Opinion Magazine
Number of visits: 9458561
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાર્થીઓ શાળા છોડે છે કે શાળા વિદ્યાર્થીઓને છોડે છે ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 August 2022

સરકારી પરિભાષામાં એને સ્કૂલ ડ્રોપ આઉટ ચિલ્ડ્રન અર્થાત્‌ શાળા છોડી જતાં વિદ્યાર્થીઓ કહે છે. ગુજરાત સરકારની આ વરસની પ્રવેશોત્સવની જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે  બે દાયકા પહેલાં ગુજરાતમાં ધોરણ એકથી આઠનો ડ્રોપ આઉટ રેટ ૩૭.૨૨ ટકા હતો. જે ૨૦૨૦-૨૧માં લગભગ દસ ગણો ઘટીને ૩.૩૯ ટકા થઈ ગયો છે. જો કે આ દાવામાં અર્ધસત્ય છે. કેમ કે બે દાયકા પહેલાં ધોરણ ૧થી ૮નું એકમ નહોતું અને માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક તથા કોલેજ –યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતાં પહોંચતાં કેટલાં વિદ્યાર્થીઓ ટકે છે તે ભયાવહ વાસ્તવિકતા માત્ર પ્રાથમિક શિક્ષણના ડ્રોપ આઉટ રેટથી જાણી શકાતી નથી.

૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના શાળા છોડી જતાં બાળકો સંબંધી પ્રકરણ ત્રણમાં જણાવવામાં આવ્યું છે કે દેશનો ધોરણ ૬થી ૮નો જી.ઈ.આર. (ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) ૯૦.૯ ટકા છે. એટલે કે પહેલા ધોરણમાં દાખલ થયેલાં બધાં બાળકો પાંચમા ધોરણ સુધી જ બરાબર ટકે છે. તે પછી તેઓનું શાળા છોડવાનું શરૂ થાય છે. ધોરણ ૧થી ૫માં ૧૦૦ ટકા બાળકો , ધોરણ ૬થી ૮માં ઘટીને ૯૦.૯ ટકા, ધોરણ ૯-૧૦માં ૭૯.૩ ટકા અને ધોરણ ૧૧ અને ૧૨માં ૫૬.૫ ટકા થઈ જાય છે. આ સરકારી દસ્તાવેજમાં એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે ૬થી ૧૭ વરસના સ્કૂલ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓની સંખ્યા દેશમાં ૩.૨૨ કરોડ છે. ૨૦૨-૨૧માં પ્રાથમિક શિક્ષણનો નેશનલ ડ્રોપ આઉટ રેટ ૦.૮ ટકા જ છે પણ માધ્યમિક શિક્ષણનો ૧૪.૬ ટકા છે.

શાળા છોડી જતાં બાળકોની આ વાસ્તવિકતા અંગે ભારત સરકાર સજાગ થઈ છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ બાદ શાળા છોડી જતાં બાળકોને ફરી શાળામાં દાખલ કરવા તેણે પ્રયત્નો આદર્યા છે. દેશભરમાં સ્કૂલ ડ્રોપ આઉટનો સર્વે અને તેમને શાળામાં દાખલ કરવા માટે આર્થિક સહાયથી માંડીને શિક્ષણ સંસાધનો પૂરા પાડવાની દિશામાં સરકાર ગંભીર બની છે.

આખરે બાળકો શાળા છોડી જાય છે (સ્કૂલ ડ્રોપ આઉટ) કે તેમને શાળા બહાર ધકેલવામાં આવે છે (પુશ આઉટ) ? તે લાખેણો સવાલ છે. ૨૦૧૯-૨૧ના પાંચમા કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ, યુનિફાઈડ ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન અને કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલયના આંકડાના અધ્યયન પરથી જણાય છે કે આપણી શૈક્ષણિક, સામાજિક અને આર્થિક અનવસ્થાને કારણે બાળકોને શાળા બહાર ધકેલવામાં આવે છે કે તેમને શાળા છોડી જવા વિવશ કરાય છે.

અધ્યયનો જણાવે છે કે ૨૦ ટકા છોકરીઓ અને ૧૬ ટકા છોકરાઓના શિક્ષણનો ખર્ચ તેમનું કુટુંબ વહન કરી શકતું નથી એટલે તેમને શિક્ષણ છોડવાની ફરજ પડે છે. ૧૩ ટકા છોકરીઓ અને ૧૦ ટકા છોકરાઓને માબાપને ઘરકામમાં મદદ કરવા રોકાવું પડે છે એટલે તે ભણતર છોડે છે. ૬ ટકા છોકરા અને ૨.૫ ટકા છોકરીઓને રોકડ રકમ કે વસ્તુના બદલામાં કામ કરવું પડે છે એટલે તે શાળા છોડે છે. ૪.૪ ટકા છોકરા અને ૨.૩ ટકા છોકરીઓને માબાપને ખેતીવાડી કે કુટુંબના વ્યવસાયમાં મદદ કરવાની થતાં તે ભણતર અધૂરું મૂકે છે.

માત્ર આર્થિક જ નહીં શૈક્ષણિક કારણોસર પણ વિદ્યાર્થીઓ ભણવાનું છોડે છે. ૫ ટકા છોકરાઓ અને ૪ ટકા છોકરીઓ એકના એક ધોરણમાં નાપાસ થવાના કારણે શિક્ષણને અલવિદા કરે છે. ૫ ટકા છોકરા-છોકરીઓ ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવી ન શકવાને કારણે શાળા છોડે છે. ૬ ટકા છોકરીઓ અને ૨ ટકા છોકરાઓ શાળા ઘરથી દૂર હોવાથી, ૪ ટકા છોકરા – છોકરીઓને આગળનો અભ્યાસ જરૂરી ન લાગતો હોવાથી, ર ટકા કન્યાઓ અસલામતીના કારણે તથા ૧.૭ ટકા પરિવહન અને અન્ય સુવિધાના અભાવે શાળા છોડે છે. અભ્યાસમાં રસ-રુચિના અભાવે સૌથી મોટી સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ છોડે છે. આઘાત અને આશ્ચર્યજનક બાબત છે કે ૨૦૧૯-૨૦ના વરસમાં ૬થી ૧૭ વરસના ૩૫.૭ ટકા કુમારો અને ૨૧.૪ ટકા કન્યાઓએ અભ્યાસ છોડવાનું કારણ તે કંટાળાજનક અને તેમની રસ-રુચિને અનુકૂળ ન હોવાનું દર્શાવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અભ્યાસમાં રુચિના અભાવે શિક્ષણ છોડે તેનો આપણા નીતિનિર્માતાઓ અને શિક્ષણવિદો પાસે જાણે કે કોઈ ઉપાય જ નથી.

બાળલગ્ન, કન્યા શિક્ષણ પ્રત્યે જાગ્રતિનો અભાવ, નાના ભાઈ-બહેનની દેખભાળ, મહિલા શિક્ષકોનો અભાવ, શાળાઓમાં કન્યાઓ માટે ટોઈલેટની સગવડ ન હોવી જેવા સામાજિક કારણો પણ શાળા છોડવા માટે જવાબદાર છે. દેશની ૩૫.૫ કરોડ મહિલાઓને માસિકનો સામનો કરવાનો થાય છે. પરંતુ તેમાંથી ૩૬ ટકા જ સેનેટરી નેપકિન જેવી સ્વચ્છતા સુવિધા મેળવી શકે છે. દર પાંચમાંથી એક કિશોરી માસિકને કારણે શાળામાં અનિયમિત હોય છે કે શાળા છોડે છે. આજે પણ ૮.૪ કરોડ બાળકો શાળા શિક્ષણની બહાર છે દલિત, આદિવાસી, સામાજિક અને શૈક્ષણિક પછાત, લઘુમતી જેવા સમાજના વંચિત વર્ગો શિક્ષણથી પણ વંચિત રહે છે. ૨૦૧૭-૧૮નો નેશનલ ડ્રોપ આઉટ રેટ ૧૮.૯૬ ટકા હતો પણ મુસ્લિમ બાળકોનો ૨૩.૧ ટકા હતો. ઓડિસાના મુસ્લિમ બાળકોનો શાળા છોડવાનો દર ૪૭.૪ ટકા, બિહારનો ૩૬.૯ ટકા, હરિયાણાનો ૩૫.૧ ટકા, દિલ્હીનો ૨૫. ૧ ટકા, ઉત્તર પ્રદેશનો ૧૨.૯ ટકા અને ગુજરાતનો ૪.૩ ટકા હતો.

સરકાર ૨૦૩૦ સુધીમાં માધ્યમિક શિક્ષણમાં સો ટકા નામાંકન કરવા માંગે છે. પરંતુ તે પૂર્વે શાળા છોડવાના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક કારણો દૂર કરવાનાં છે. ગરીબી, બેકારી, કુપોષણ, વાલીઓનું શિક્ષણ પ્રત્યે ઉદાસીન વલણ, છોકરા-છોકરી વચ્ચેનો ભેદ જેવાં કારણોનો કાયમી નિવેડો લાવ્યા સિવાય આ પ્રશ્ન હલ થઈ શકવાનો નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કેટલાક ઉપાયો જણાવાયા છે. સરકારી શાળાઓની વિશ્વસનીયતા અને ગુણવત્તા વધારવી, મફત અને સર્વ સુલભ શિક્ષણ, શિષ્યવૃતિ, મધ્યાહ્ન ભોજન, કન્યા છાત્રાલયો ઊભા કરવા, સ્થળાંતરિત કામદારોનાં બાળકો માટે ખાસ સગવડો ઊભી કરવી, સુરક્ષિત અને આકર્ષક સ્કૂલ શિક્ષણ, પૂરતા અને તાલીમબદ્ધ શિક્ષકો, અસરકારક અને પર્યાપ્ત મૂળભૂત શૈક્ષણિક સગવડો જેવા ઉકેલ ત્યારે જ ફળીભૂત થઈ શકશે જ્યારે આ સવાલના ઉકેલ માટે બાળકો અને માતાપિતાની સહભાગિતા નિશ્ચિત કરવામાં આવશે. 

(તા.૨૦.૦૭.૨૦૨૨)
e.mail : maheriyachandu@gmail.com

Loading

મીંડું

બીજલ જગડ|Opinion - Opinion|3 August 2022

મૌનમાં સ્થિર મર્મસ્થાને ખુદ કેન્દ્રમાં જડી જાય,

બધી વાણી ડહાપણની જ્યારે જ્યારે શમી જાય.

એક મીંડું અંદર બેઠું છે તગ તગ તાગી રહ્યું,

ચિત્તતંત્ર અનોખી દુનિયાનો મુખ પ્રેક્ષક બની જાય.

ઊંડે .. ઓર .. ઊંડે .. આ વમળમાં ઊતરતાં જ,

મનની અંદર પળમાં *હું પણાંને મારું* શમી જાય.

એક કોમળ કળી પર ઝાકળ ને અંદર ગેબી નાદ,

પરમ આનંદની અનુભૂતિ પળ ભરમાં થઈ જાય.

અહમ્‌ના વળ જ્યારે જ્યારે બ્લેક હોલમાં ડૂબે,

સકળ બ્રહ્માંડમા ખુદને મળી માણસ તરતો જાય.

આ લાંબી સફર છે જીવન યાત્રા તો શેની સકળ ડખળ,

હાથ ના ટેરવા ફરતા રહ્યા આ જન્મ જન્મ જો જાય.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

કોરાંભીનાં સ્મરણો (૫) ચોરી

સુમન શાહ|Opinion - Opinion|3 August 2022

નાનપણમાં હું ડરપોક હતો. મોટેરાં રાતે રાતે ભૂતપ્રેતની વાતો ખાસ કરે. મારી કલ્પના ચગતી હશે એટલે ડર ન્હૉતો લાગતો, ઠીકઠીક મજા આવતી’તી, પણ ચોરોની વાતો નીકળે એટલે હું બીતો, વિચારમાં પડી જતો. મને થતું, મધરાત પછી પાછલે બારણેથી ઘૂસશે તો …

છીંડાં પાડે, પાડી શકે, કેમ કે દીવાલો જૂની તે દોદળી થઈ ગઈ હોય. પરસોતમને તાં ચોરી થઈ …જગાભાઈને તાં ચોરી થઈ … રોજ સવારે એવા માઠા સમાચાર મળે જ મળે … લોકો સાંત્વન આપવા, ખરેખર તો કુતૂહલવશ, મળવા જાય – કેવી રીતે થયું? – શું શું ચોરાયું? – દાગીના? – રોકડા? – કેટલા વાગ્યે થયું? – તમે ભરઊંઘમાં હશો …

બા મને ત્રીજે માળ કશુંક લેવા મોકલે તો જઉં ખરો પણ કચવાતો, કેમ કે ડરું – કોઈ ભરાઈ બેઠો હશે તો …

આગળના જમાનામાં કેટલાક ચોર વંડીએથી દાખલ થાય. ઘરડેરાં ઘરેણાંનો દાબડો ભીંતમાં સંતાડતા. ભીંતમાં બાકોરું પાડતા, એમાં દાબડો મૂકતા ને પછી બાકરું સીડી દેતા. એટલે, જો પધાર્યા હોય તો ભીંતોને પણ ન છોડે. મેં બા-ને પૂછેલું – આપણી ભીંતમાં તો દાબડો નહીં હોય ને? પિતાજીએ કહેલું – હોઈ શકે, દાદા-પરદાદાના વારાનો. તો મેં કહેલું – જોઇ પાડીએ. અને અમે ભાઈબહેનોએ એક આશાસ્પદ ભીંતને ખાસ્સી ‘ખખડાવી’ જોયેલી. કશું મળેલું નહીં, અટકી ગયેલાં. જો કે, રીપેરિન્ગનો મહા મોટો ખરચો ઊભો કરેલો.

અમારા ઘરનું મુખ્ય બારણું સડક પર પડે. સામેનું ઘર મોટે ભાગે બંધ રહે. કેમ કે એ લોકો ગામડે રહેતા’તા. એક વાર એ ઘરમાં ચોર પૅઠા ને ખાસ્સું રહી પડ્યા; ચા બનાવી, રાંધ્યું, ખાધું-પીધું. ગામડેથી પેલાં આવ્યાં હશે ને જોયું હશે તો રસોડું રફેદફે, ને બધું ફલ્લંફલ્લા. દાગીના રાખેલા નહીં એટલાં તેઓ બચી ગયેલાં.

ચોરો ગૃહસ્થની જેમ, ભલે બીજાને ત્યાં, પણ રહી પડે ને જાતે રાંધે, એવું તો કેમ બને? મને થતું, એટલા તો તેઓ સામાન્ય માણસ ખરા જ ને વળી ! કદાચ એમને ચોરીના ધંધાનો કદીક કંટાળો આવતો હશે – અસ્તિત્વનું એક રસાયણ કંટાળો છે.

ઍમ. એ.-માં ભણતાં ભણતાં સમજવા મળેલું કે ફ્રૅન્ચ માનસ જુદું હોય છે : જો સમાજ વ્યક્તિને એના હક-હિસ્સાથી વંચિત રાખતો હોય તો સમાજને જ શા માટે ચોર ન ગણવો? ધનવાનો જરૂરતથી વધુ એકઠું કરીને બેઠા હોય છે, એ સંઘરાખોરોને ત્યાંથી ચોરો થોડુંક લઈ જવાની ખરેખર તો કુનેહભરી તસ્દી લેતા હોય છે; એ અર્થમાં ચોરો સમાજસેવા કરે છે; સૌએ એમનો આભાર માનવો જોઈએ. પરિગ્રહ પણ સામાજિક ચોરી જ ને?

ફ્રૅન્ચ સાહિત્યકાર ઝાં જેને વેશ્યાસુત હતા, પાલક માતાને ત્યાં ને પછી અન્યોને ત્યાં ઊછરેલા; કવિ, નવલકથાકાર, નાટ્યકાર, નિબન્ધકાર, પોલિટિકલ ઍક્ટિવિસ્ટ. તેમછતાં, એમના બારામાં માન્યામાં ન આવે એવી હકીકત એ છે કે યુવાકાળમાં તેઓ ચોરીઓ કરતા’તા, પકડાયેલા ને એમને એકથી વધુ વાર જેલમાં ધકેલવામાં આવેલા. એમણે એક નવલકથા લખી છે, “ધ થીફ’સ જર્નલ”, ૧૯૪૯. હકીકતો અને પોતાની વીતકવારતાનું એમાં મિશ્રણ છે. નાયક સ્પેન ઇટાલિ ઑસ્ટ્રીઆ ઝેકોસ્લેવેકીઆ નાઝિ જર્મની અને બેલ્ઝિયમમાં ભટકતો રહે છે.

જેનેએ નવલમાં શક્ય એટલાં દુષ્કૃત્યોનું અથવા અસામાજિક કૃત્યોનું નિરૂપણ કર્યું છે. એટલું જ નહીં, ’ચાળીસીનાં સર્વમાન્ય બૂર્ઝવા મૂલ્યોનો ધ્વંસ કર્યો છે બલકે પ્રતિ-મૂલ્યોનું સ્થાપન કર્યું છે. વિદ્વાનો કહે છે કે જેનેએ ત્રિગુણ(!) સાધના કરી છે : સમલૈંગિકતા, ચોરી, અને દગાબાજી : એમનો કથાનાયક ચોરીનું હરેક કામ એક જાતની ‘ધાર્મિકતા’-થી કરતો હોય છે. કથક જણાવતો રહે છે કે ચોર ચોરીને માટેની પૂર્વતૈયારી એવા ‘ધર્મ’ભાવથી કરતો હોય છે, જેમ સાધુ પોતાના પવિત્ર જીવન માટે ઇશ્વરને પાર્થના કરતો હોય છે.

સાર્ત્રે એ નવલના અનુલક્ષમાં પુસ્તક લખ્યું છે, “સેઇન્ટ જેને, ઍક્ટર ઍન્ડ માર્ટિર”, ૧૯૫૨. સાર્ત્ર એમ સૂચવી રહ્યા છે કે ‘પ્રતિભા’ કશી બક્ષિશ નથી, પણ વ્યક્તિએ અનેક વિટમ્બણાઓમાંથી ખાંખતથી શોધી કાઢેલો જીવનોપાય છે. સાર્ત્રે અસ્તિત્વાદી ફિલસૂફની નજરે આ મનુષ્યમાં ‘અભિનેતા’ જોયો છે, ‘શહીદ’ જોયો છે. એમને જેને ‘સન્ત’ લાગ્યો છે. આપણને ન ગમે, પણ ફિલસૂફી કાતિલ હોય છે, તથ્યોનું નર્યું નિસ્યન્દન કાઢી આપતી હોય છે.

એક વાર મારા પર બહુ વીતેલી. સાતમા ધોરણની શાળાન્ત પરીક્ષા હતી – વર્નાક્યુલર ફાઈનલ. એ પરીક્ષામાં ચોરી મેં કરી જ ન્હૉતી છતાં સુપરવાઈઝરે મને ઊઠાડી મૂકેલો. બનેલું એમ કે હું એકીપાણી માટે બહાર નીકળલો. કોઇકે મને કહ્યું – આ તારી બાજુવાળાને આપી દેજે. કશીક ચિઠ્ઠી લાગેલી. મેં પેલાને આપી કે તરત સુપરવાઈઝરે મારું કાંડું પકડ્યું, મારી ઉત્તરપોથી આંચકી લીધી ને મને વર્ગની બ્હાર કાઢી મેલ્યો. તેથી, પેલાનું શું થયું તેની મને ખબર ન પડી. ‘કાંણિયાકાકા’-ની દુકાન નજીક હતી, હું ત્યાં જઈને રડી પડ્યો. શું થયું શું થયું-નો જવાબ આપી શકેલો નહીં કેમ કે ધ્રૂસકે ભરાઈ ગયેલો. 

છેવટે પિતાજીને બોલાવ્યા હશે તે મને હેડમાસ્ટર પાસે લઈ ગયેલા – મારા દીકરાનો વાંક શું છે? એને શી ચોરી કરી, કહો તો? તે દિવસે મારા સદનસીબે ‘ડિપોટી માસ્ટર’ આવેલાં – ઇન્દિરા ભણોત. મારી ઉત્તરપોથી મારા હાથમાં મૂકતાં મને કહે – બાકી છે એ સવાલોના જવાબ તું લખી શકે? મેં હા પાડી. મેં ફટાફટ લખી નાખ્યું. જોઇને એ ખુશ થઈ ગયાં. પિતાજી કશું બોલ્યા નહીં. રાતે મને તાવ હતો, પણ સવારે પેલો સુપરવાઈઝર ક્ષમાયાચના માટે ઘરે આવેલો. હું એને કતરાતી તીખી નજરે જોઈ રહેલો. એ પરીક્ષામાં ડભોઇ તાલુકામાં હું ફર્સ્ટ આવેલો. મારાં વર્ગશિક્ષક ઉષાબેને મને ઊંચકીને ચૂમી લીધેલો. બાએ ખુશી જાહેર કરેલી કે એ મને પાટલૂન કરાવી આપશે. એ મારું પહેલું પાટલૂન હતું – બદામી રંગનું, સુતરાઉ, બટન પણ દરજીએ જાતે બનાવેલાં, સુતરાઉ; ઝિપર તો ક્યાંથી હોય? હોય એવી ખબર પણ કોને હતી?

મેં ક્યારે ય ચોર લોકો કરે એવી જાતની ચોરી નથી કરી, તે છતાં, તે દિવસ પછી હું સમજેલો કે ચોરી માટે કોઈને અજાણ્યે પણ મદદ કરવી એ ય એ કૃત્યનો જ ભાગ ગણાય. ગુજરાત યુનિવર્સિટી-સંલગ્ન કૉલેજોમાં પરીક્ષાચોરોને પકડવા જવાના ફ્લાઇન્ગ સ્ક્વૉડમાં જોડાવા હું આનાકાની કરતો’તો. કદાચ ૧૯૯૦ આસપાસની વાત છે. કેમ કે ત્યારે કેટલાક જુનિયર સુપરવાઈઝરો જ ચોરી કરવા દેતા’તા; બદલામાં, પરીક્ષાખણ્ડના દરેક પરીક્ષાર્થી પાસેથી રૂપિયા પડાવતા’તા. મને થાય, હું એમને શી રીતે પકડવાનો? અને પરોક્ષ ભાગીદાર ગણાઉં કે કંઈ બીજું?

પ્રૉ. પીરજાદા મને કહે – સુમનભાઈ, તમારા જેવી વ્યક્તિએ તો જવું જ જોઇએ. મનમાં રમૂજી થયેલી – શું હું ચોરીના ધંધાનો નિષ્ણાત છું તે મને લાયક વ્યક્તિ ગણી રહ્યા છે? મેં એમને હસતાં હસતાં કહેલું પણ ખરું – સર, હાઉ કૂડ યુ કન્સિડર મી સો કૉમ્પિટન્ટ? તો  સરસ બોલેલા – તમે છો જ, મેં હાથ ધરેલા આ કામને લાયક જેમ હું છું, તેમ તમે છો …

“મૃચ્છકટિક”-માં વર્ણવ્યું છે કે ચોરો કેવા કેવા આકારનાં રૂપાળાં બાકોરાં પાડે છે. મને થતું – શૂદ્રકને એ જ્ઞાન શાથી લાધ્યું હશે? પરન્તુ, આપણા પ્રાચીનો તસ્કરવિદ્યા જાણતા હતા, ચૌર્યશાસ્ત્ર પણ લખાયું છે. ડાકોર અને નડિયાદની કૉલજોના કૅમ્પસમાં અમારી ટૅક્સી પ્રવેશે એટલે એકોએક બારીએથી કાપલીઓનો વરસાદ વરસતો. કોઇ કોઇ માથાભારે તો રામપુરી ચપ્પુ બૅન્ચ પર ખુલ્લો રાખીને કાપલીમાંથી ઉતારો કરતા’તા. ચાલાક છોકરીઓ જાંઘ પર લખી લાવતી’તી. નડિયાદમાં તો કાપલીઓ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલતો’તો. કાપલી મોતી જેવા પણ એવા ઝીણા અક્ષરમાં બનાવી હોય કે કલાકૃતિ લાગે. બૂટ કે સૅન્ડલની એડીમાં કાપલીનો નાનકડો રોલ છુપાવી દીધો હોય. એડી આરામથી ખોલબંધ થાય એવી બનાવી આપનારા મોચી પણ એ ઉદ્યોગમાં જોડાયેલા.

આજે તો બૅન્કોને મૂરખ બનાવીને કરોડોની ચોરીઓ કરનારા રાષ્ટ્ર સ્તરના માલ્યા ને નીરવ જેવા ધનિક ચોરો અને તેમના ભેરુઓ વધતા ચાલ્યા છે, કેમ કે, સાથોસાથ, તસ્કરવિદ્યા પણ પ્રકાર પ્રકારે ફુલીફાલી રહી છે. એટલે તો, ચોરીમાં ‘સફેદ’ ચોરીનો પ્રકાર વિકસી રહ્યો છે; નજાકત પણ ભળી છે, સ્ત્રીચોરો મળવા લાગ્યા છે. સાચે જ, અતુલનીય છે ભારત !

લોકવાયકા છે કે શ્રીમન્તો પણ રેસ્ટોરાંવાળાએ જમવા આપેલા નાઇફ-ફૉર્ક ચોરી જાય છે. કહે છે, એમને છૂપો આનન્દ આવે છે. એવી ચોરીને નિર્દોષ ગણવી? સામે મળે ને નજર ચુરાવી લે એ ગુજ્જુ ચોરીને સદોષ ગણવી? એક સાહિત્યપરક સવાલ : સાહિત્યવસ્તુના ચોરને ચોર ગણવો કે કેમ? કેમ કે જુલિયા ક્રિસ્તેવા તો ઇન્ટરટૅક્સ્ચ્યુઆલિટીની – આન્તરપાઠત્વની – વીગતે નિરૂપણા કરે છે. કોની ટૅક્સ્ટ કોનામાં ઘૂસી ગઈ કે કોણે સમજીવિચારીને પોતાને નામે ઘુસાડી દીધી એ સંશોધનનો મામલો છે. સંશોધનથી લાધેલા જ્ઞાન પછી પણ પ્રશ્ન ઊભો જ રહે છે કે સાહિત્યકારોને ચોર કહેવા કે શાહુકાર. પ્લેજ્યારિઝમ ઇઝ અન્ડર ક્વેશ્ચન !

દૉસ્તોએવ્સ્કી “ધ મીક વન” (“વિનીતા” અનુ૦ સુ૦) લઘુનવલમાં એવા મતલબનું કહે છે કે – પિસ્તોલ રાખશો તો હત્યા કે આત્મહત્યા અવશ્ય થશે. અમેરિકામાં નાગરિકો ગન રાખી શકે છે. અમેરિકન ચોર છડેચૉક ચોરી કરે છે, પણ મારીને જ જાય છે. સ્યુસાઇડ્સની ખબર નથી પડતી પણ ગ્રૂપ શૂટિન્ગ્સ વધી રહ્યાં છે.

મારી પાસે તો નથી પિસ્તોલ કે ગન કે રાયફલ. નાની લાકડી પણ નથી. જો કે મારી પાસે ચોરવા જેવું પણ કંઈ નથી, એટલે ચિન્તા નથી. હું તો વિદ્યાધની છું ને વિદ્યાની ચોરી નથી થઈ શકતી; બીજાઓને માત્ર આપી શકાય છે અને બીજાઓ માત્ર શીખીને મેળવી શકે છે. જો કે શીખનારા ઘટી રહ્યા છે એટલે એની પણ ચિન્તા નથી. પણ એ જ મોટી ચિન્તાનો વિષય નથી?

= = =

(August 2, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,3001,3011,3021,303...1,3101,3201,330...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved