Opinion Magazine
Number of visits: 9458590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—159

દીપક મહેતા|Opinion - Opinion|20 August 2022

સર્વસમાવેશીપણું એ દરેક સાચા ગુજરાતીની ઓળખ છે

એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?

“શરવ લોકોને પ્રગટ છે જે શ્રી હિન્દુસ્તાન મધ્યે પહેલી સંસ્કૃત ભાષા હતી. તે મધેથી કેટલી એક બીજી ભાષાઓ નીકળી છે, એમાંની એક ગુજરાતી ભાષા પણ છે. પણ એ ગુજરાતી ભાષા મધે મોગલાઈની હકુમતના વખતમાં ઘણાખરા ફારસીના, અરબીના બોલ આવેલા છે. અને વલી હવે અંગ્રેજ બહાદુરની હકૂમતમાં કેટલાક અંગ્રેજી બોલ પણ ભેળવાયા છે. ગુજરાતી બોલી એવી લેવા ધારી છ કે જે સર્વે લોકોની સમજમાં આવે. આપણે જો કદાપિ ચાહિએ કે નિતારી ગુજરાતી ભાષા બોલીએ તો તે એક બીજાને સમજવી કઠણ પડશે.”

આ શબ્દો લખાયા હતા આજથી ૨૦૦ વરસ પહેલાં. અને એ લખનાર નહોતા કોઈ પંડિત, નહોતા મોટા ભાષાશાસ્ત્રી. એ તો હતા ગુજરાતી મુદ્રણ, ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, જેવાં અનેક ક્ષેત્રોના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનસાહેબ.

“મારા ભાઈ, જરા ધીરજ ખમો, પરભાષાના સંપાદનના શ્રમ કરતાં સ્વભાષામાં પ્રવીણતા મેળવવાનો આયાસ અધિક છે. ભાષા કે બીજું કંઈ પણ આપણું હોય, તેમાં આપણે મનોયત્નથી પરિશ્રમ કરવો, ત્યારે જ તે દીપે. આર્ય કુળની સંસ્કૃતની દીકરી, ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી ગુજરાતી, તેને કોણ કદિ અધમ કહે? પ્રભુ એને આશીર્વાદ દેજો.”

ફરદુનજી મર્ઝબાન              રેવરન્ડ ટેલર             ઈચ્છારામ દેસાઈ

આ શબ્દો લખનારની માતૃભાષા ગુજરાતી નહોતી. પણ ‘મનોયત્નથી પરિશ્રમ’ કરી ગુજરાતી ભાષા શીખ્યા હતા. અને તે પણ કેવી? આ શબ્દો જેની પ્રસ્તાવનામાં લખ્યા છે તે તેમનું ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ ૧૮૬૭માં પ્રગટ થયું ત્યારથી દાયકાઓ સુધી ગુજરાતી વ્યાકરણ શીખવવા માટે બોમ્બે પ્રેસિડન્સીની સ્કૂલોમાં વપરાતું રહ્યું. એમણે લખેલાં ખ્રિસ્તી ધર્મભાવનાનાં પદો આજે પણ ગુજરાતની કેટલીક ચર્ચમાં ગવાય છે. એમનું નામ રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર. પિતાની જેમ લંડન મિશનરી સોસાયટીના પાદરી. પણ ૧૮૬૦માં એ સોસાયટીએ ગુજરાતમાંની પોતાની કામગીરી સમેટી લેવાનું નક્કી કર્યું. એક બાજુ બાપીકો સંપ્રદાય, બીજી બાજુ કર્મભૂમિ ગુજરાત. સંપ્રદાયને વળગી રહેવું હોય તો ગુજરાત છોડવું પડે. રેવરન્ડ ટેલરે શું કર્યું? બાપીકો સંપ્રદાય છોડ્યો, ગુજરાતમાં કામ કરતા આયરિશ પ્રેસબિટેરિયન મિશનમાં જોડાઈ ગયા.

“દરેક ભાષાની ખૂબી તેની સાદાઈમાં છે. જ્યારે શબ્દો નાના નાના, સાદા અને સાધારણ લોકો સમજી શકે એવા હોય ત્યારે જ ખરેખરી ખૂબી માલુમ પડે છે અને બોલનાર અને લખનારના વિચારોની અસર સાંભળનાર અથવા વાંચનાર ઉપર બરાબર રીતે થઈ શકે છે.”

આ શબ્દો છપાયા હતા ૧૮૮૦ના ઓક્ટોબરની ૧૦મી તારીખે. ‘ગુજરાતી’ નામના અઠવાડિકના પહેલા અંકના તંત્રીલેખમાં. અને એ લખનાર હતા ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ. મેટ્રિક પણ નહોતા થયા એવા ગુજરાતી ભાષાના મોટા ગજાના પત્રકાર અને લેખક.

ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ

પણ આજે લગભગ ભૂલાઈ ગયેલી વ્યક્તિઓના આ બધા શબ્દો આજે યાદ કરવાનું કારણ? કારણ ૨૪મી ઓગસ્ટ એટલે ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ.’ હા, આજે ગુજરાતી એક વિશ્વભાષા બની છે. પણ અર્વાચીન ગુજરાતી ભાષા, સાહિત્ય, પત્રકારત્વ, રંગભૂમિ, ચલચિત્ર, સુગમ સંગીત, વગેરેની ગંગોત્રી છે મુંબઈ. અને તેમાં અસ્વાભાવિક કશું નથી. કારણ આજનું ગુજરાત ૧૯૬૦ સુધી વિશાળ બોમ્બે પ્રેસિડન્સીનો જ ભાગ હતું. એટલે ત્યાં સુધી ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું મુંબઈ.

કવિ નર્મદ

અને આ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ ઉજવાય છે દર વરસે ૨૪મી ઓગસ્ટે. કારણ? આપણે જેને અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખીએ છીએ તે કવિ નર્મદનો એ છે જન્મ દિવસ. નર્મદ જન્મ્યો હતો સુરતમાં. પણ તેને જાણ્યો અને પ્રમાણ્યો તે તો મુંબઈએ. તેનું મોટા ભાગનું સ્કૂલનું શિક્ષણ મુંબઈમાં, કારણ પિતા લાલશંકર સરકારી છાપખાનામાં લહિયા તરીકે નોકરી કરતા હતા. અંગત સંજોગોને કારણે ભલે ગ્રેજ્યુએટ થવાનું સપનું પૂરું ન કરી શક્યો નર્મદ, પણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજનો વિદ્યાર્થી. પહેલું જાહેર ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’ કર્યું તે મુંબઈમાં. ૧૮૫૭ના એપ્રિલની પહેલી તારીખે નર્મદનું પહેલવહેલું પુસ્તક ‘પિંગળપ્રવેશ’ પ્રગટ થયું તે મુંબઈથી. અને તે પછીનાં પણ ઘણાં પુસ્તકો છપાયાં અને પ્રગટ થયાં મુંબઈથી. અને નર્મદની જુદી જુદી પ્રવૃત્તિઓને આર્થિક ટેકો આપનાર ઘણાખરા હતા મુંબઈગરા. આજે પણ જેનું નામ ભૂલાયું નથી તે ‘ડાંડિયો’ નામનું સામયિક પણ નર્મદે શરૂ કર્યું તે મુંબઈમાં. અને જન્મ્યો ભલે સુરતમાં. સુરતની ભૂમિને ચાહતો હતો પણ પુષ્કળ. પણ તાપી નદી ય છેવટે જે અરબી સમુદ્રમાં સમાઈ જાય છે તે જ સમુદ્રને કાંઠે આવેલા મુંબઈમાં નર્મદે છેલ્લા શ્વાસ લીધા. આ જ કવિ નર્મદે એક કાવ્યમાં પહેલી પંક્તિમાં સવાલ પૂછ્યો છે :

‘કોની કોની છે ગુજરાત?’

અને પછી આગળ જતાં પોતે જ જવાબ આપ્યો છે:

‘પૂર્વજ જેના, જે વળી આજે જન્મ થકી ગુજરાતી વદ્યા 

કોઈ રીતની તો પણ ને વળી આર્ય ધર્મને રાખી રહ્યા.

તેની તેની છે ગુજરાત, પછી હોય ગમે તે જાત. 

વળી પરદેશી બીજા જેને ભૂમિએ પાળી મોટા કર્યા,

પરધર્મી, પણ હિત ઇચ્છનારા માતતણું તે ભાઈ ઠર્યા. 

તેની તેની છે ગુજરાત, પછી હોય ગમે તે જાત,

તેની તેની છે ગુજરાત.

આ સર્વસમાવેશીપણું નર્મદમાં વિકસ્યું તે મુંબઈમાં. અને આ સર્વસમાવેશીપણું એ માત્ર નર્મદની નહિ, દરેક સાચા ગુજરાતીની ઓળખ છે.

ગુજરાતી ભાષાના છાપકામની શરૂઆત મુંબઈમાં થઈ તેમ ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણનું પુસ્તક પણ લખાયું અને છપાયું મુંબઈમાં. અને એના લખનાર હતા કંપની સરકારના મુંબઈ ઈલાકાના સર્જન જનરલ ડો. રોબર્ટ ડ્રમન્ડ. પુસ્તકનું નામ જરા લાંબું લચક હતું : ‘ઈલસટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મહરટ્ટ એન્ડ ઈંગ્લિશ લેન્ગવેજિસ’. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. આ પુસ્તક છપાયું હતું મુંબઈના બોમ્બે કુરિયર પ્રેસમાં. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કિટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના અસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન

બ્રિટિશ પદ્ધતિની સ્કૂલોમાં ગુજરાતી-મરાઠી જેવી દેશી ભાષાઓના શિક્ષણનો પાયો નાખ્યો તે પણ બે અંગ્રેજોએ. એટલું જ નહિ, એ બંને માનતા હતા કે ‘દેશી’ઓને શાળાનું શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ બેમાંના એક તે મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન અને બીજા તે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસ. આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમણે પહેલી સ્કૂલો શરૂ કરી. જુદા જુદા વિષયનાં પાઠ્ય પુસ્તકો ‘દેશી’ ભાષાઓમાં તૈયાર કરી કે કરાવી છપાવ્યાં. શિક્ષકોની તાલીમની વ્યવસ્થા ઊભી કરી. વ્યવસ્થિત અભ્યાસક્રમ તૈયાર કર્યા-કરાવ્યા. જર્વિસ વ્યવસાયે તો એન્જિનિયર. પણ એલ્ફિન્સ્ટનના કહેવાથી મંડી પડ્યો પાઠ્ય પુસ્તકોના કામમાં. અને એલ્ફિન્સ્ટન? તેમના પરિચય માટે આ એક પ્રસંગ જ પૂરતો છે. એક વાર તેઓ ડિસ્ટ્રિકટમાં ફરવા નીકળ્યા હતા. સાંજ પડી એટલે તંબુ તાણ્યા. ફાનસના આછા અજવાળામાં પુસ્તકોનો ઢગલો લઈને બેઠા. એક-એક પુસ્તક જોતા જાય, નોંધ ટપકાવતા જાય. તેમના તંબુથી થોડે દૂર બ્રિટિશ લશ્કરની છાવણી. તેના વડા કર્નલ બ્રિગ્સ ગવર્નરને મળવા આવ્યા. પૂછ્યું : સાહેબ, આટલા આછા અજવાળામાં આપ આ પુસ્તકો જોવા બેઠા છો, તો એવાં તે કેવાં મહત્ત્વનાં એ પુસ્તકો છે? જવાબ : આ બધાં ગુજરાતી-મરાઠી જેવે ‘દેશી’ ભાષાઓનાં પુસ્તકો છે. અહીંના લોકોને ભણાવવા માટે કેટલાં કામનાં છે એ તપાસી રહ્યો છું. બ્રિગ્સ : પણ સાહેબ, આ ‘દેશી’ઓને ભણાવવા એટલે તો આપણે માટે પાછા સ્વદેશ ભેગા થઈ જવા માટેનો રસ્તો બાંધવો. એક વાર ભણ્યા પછી આ લોકો આપણા તાબામાં રહેશે? જવાબ : જુઓ, આ લોકોને સારી રીતે ભણાવવા-ગણાવવા એ શાસનકર્તા તરીકે આપણી ફરજ છે. અને સાચો બ્રિટિશ બચ્ચો પોતાની ફરજ ક્યારે ય ચૂકે નહિ. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે.

બીજા એક અંગ્રેજ અમલદાર, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. સરકારી નોકરીનો મોટો ભાગ આજના ગુજરાતમાં. પણ ૧૮૬૨માં બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના થઈ ત્યારે તેના પહેલા છ જજની નિમણૂક ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ પોતે કરેલી. એ છ જજમાંના એક તે આ ફાર્બસ. ગુજરાતી બોલવા-વાંચવામાં એક્કો નર. ખાંખાંખોળાં કરી અંગ્રેજીમાં પહેલી વાર ગુજરાતનો ઇતિહાસ લખ્યો, ‘રાસ માળા’. અમદાવાદ, સુરત, ઇડર, જ્યાં ગયા ત્યાં ગુજરાતી ભાષા-સાહિત્યને, સંસ્કૃતિને પોષણ આપ્યું. ૧૮૬૫માં મુંબઈમાં તેમણે સ્થાપેલી ‘ગુજરાતી સભા, મુંબઈ’. એ જ વરસે ફાર્બસનું પૂનામાં કાચી વયે અવસાન થયું. તેમની યાદગીરીમાં ‘ગુજરાતી સભા’નું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ રાખવામાં આવ્યું. આજના ગુજરાત રાજ્ય બહાર ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના ક્ષેત્રે કામ કરતી આ સૌથી જૂની સંસ્થા.

હા, મુંબઈ શહેરને ઘડવામાં ગુજરાતીઓનો ફાળો ખરો જ. પણ ગુજરાતી ભાષા, સાહિત્ય, રંગભૂમિ, ફિલ્મ, રેડિયો, ટેલિવિઝન, મુદ્રણ, પુસ્તક પ્રકાશન, પત્રકારત્વ જેવાં અનેક ક્ષેત્રોમાં પારસીઓએ, પરદેશીઓએ, પાદરીઓએ જે ફાળો આપ્યો છે તેને વિશ્વ ગુજરાતી દિવસ નિમિત્તે તો યાદ કરીએ. આપણે તો વેપારી પ્રજા. જમા-ઉધારના ચોપડા બરાબર ચીતરીએ. તો આપણી આજની ઓળખને ઘડવામાં આ બધાએ જે ફાળો આપ્યો તેને જમા ખાતે તો લખીએ! તેનું ઋણ ચૂકવી તો ન શકાય, પણ ઋણસ્વીકાર તો કરી જ શકાય ને? આવો ઋણસ્વીકાર ન કરે તેને માટે જ કદાચ ઉમાશંકર જોશીએ આ પંક્તિ લખી હશે :

એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?

e.mail : deepakbmehta@gmail.com 
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 20 ઓગસ્ટ 2022 

Loading

દેવકીની પીડા ..

દેવીકા ધ્રુવ|Poetry|20 August 2022

શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરૂ થઈને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્ત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ-જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના કરી છે?

દેવકીની પીડા ..

 

 

 

 

 

 

શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.

છાતીમાં ધગધગતી કેવી એ લ્હાય?

કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,

વદપક્ષની રાતે મુજ હૈયું વ્હેરાય.

લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય …..

સાત સાત નવજાત હોમીને સેવ્યો,

નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો.

જન્મીને જ જવાને આવ્યો જ શાને?

કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કા’ને?

ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય …..

રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ, વાહ!

જગ તો ના જાણે ઝાઝુ, દેવકીને આજ.

વાંક વિણ, વેર વિણ, પીધા મેં વખ,

ને તોયે થાઉં રાજી, જોઈ યશોદાનું સુખ.

આઠમની રાતે જીવે ચૂંથારો થાય,

કેમે ખમાય? બહુ પીડા અમળાય .. હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય …..

Click the link below and kindly watch..
https://youtu.be/Ur68NBL09t4
https://devikadhruva.wordpress.com/2022/08/19/

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૪) 

સુમન શાહ|Opinion - Literature|20 August 2022

આ નવલની ‘સમરી’ મળે છે તે સારું છે કેમ કે એથી કથાની રૂપરેખા જળવાય છે. હું એ જોતો હોઉં છું, પણ પૂરી સાવધાનીથી. પરિણામે મને અનેકવાર જોવા મળ્યું છે કે સમરીવાળાઓ માર્ક્વેઝની કથનકલા પ્રગટી હોય એ રમણીય અંશોને જ કાતરી ખાય છે ! જિવાતા જીવનના તળમાંથી ઊગેલાં નવજાત છોડવા જેવાં દર્શનપરક રસપ્રદ વિધાનોને જ વાઢી નાખે છે. એ કેમ ચાલે? મારો પ્રયાસ એથી બચવાનો હોય છે.

પ્રકરણ : ૪ : (આ પ્રકરણમાં બે મહત્ત્વની ઘટનાઓ ઘટે છે : મેલ્કીઆદેસનું મૃત્યુ અને હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનો કરુણ અંજામ. એકદમ રસ પડી જશે, ધીરજથી વાંચજો. નવલની મારી પાસેની ઑનલાઈન નકલમાં આ પ્રકરણનાં ૧૯ પેજીસ છે. ટૂંકાવતાં જીવ નથી ચાલ્યો, પણ શું કરું?)

સફેદ કબૂતર જેવા સફેદ નવા ઘરનું ઉદ્ઘાટન ઉર્સુલાએ નાચગાનથી કર્યું. બપોરે ઉર્સુલાના ધ્યાનમાં આવેલું કે રેબેકા અને અમરન્તા દેખાવે હવે બાળકી નથી રહી, કિશોરાવસ્થામાં પ્રવેશી છે, ત્યારથી એના મનમાં નાચગાનનો વિચાર થનગનતો’તો.

ઘરને નવું બનાવી દેવાનો વિચાર ખાસ તો એને એ કારણે આવેલો કે છોકરીઓ શોભીતી જગ્યાએ બેઠી હોય તો મહેમાનોનું સરસ રીતે સ્વાગત કરી શકે. ઘરના વૈભવમાં કશી કમી રહી જાય નહીં એ માટે ઉર્સુલાએ જેને ગધાવૈતરું કહેવાય એ હદની મહેનત કરેલી. સવિશેષે, ડૅકોરેશન્સ અને ઇન્ડીઝ કમ્પનીની ટેબલ સર્વિસ માટે તેમ જ બીજી મૉંઘી મૉંઘી અનેક વસ્તુઓના ઑર્ડર કરેલા. ગામલોકો ચકિત થઈ જાય, ખાસ તો જુવાનિયાંને મૉજ પડી જાય, એ માટે એણે પિયાનોલા મંગાવેલું. ઑર્ડર પ્રમાણેની વસ્તુઓ આવી ગયેલી – વિયેનીઝ ફર્નિચર – બોહેમિયન ક્રિસ્ટલ – હોલૅન્ડથી ટેબલક્લૉથ્સ તેમ જ કીમતી લૅમ્પ્સ, કૅન્ડલસ્ટીક્સ, હૅન્ગિન્ગ્સ અને લાંબા પરદા. ઇમ્પૉર્ટ હાઉસવાળાએ પિયાનોલા ઍસેમ્બલ કરવા, કેમ ચાલુ કરવું વગેરેનું શિક્ષણ આપવા પોતાને ખર્ચે પિએત્રો ક્રેસ્પી નામના ઇટાલિયન નિષ્ણાતને મોકલી આપેલો.

એકલવાયો ઉદાસ ઔરેલિયાનો મોટા ભાઇથી સગર્ભા થયેલી બે બાળકોની મા તરનેરાને ભોગવવા જાય છે. પણ બને છે, કંઇક જુદું.

તરનેરા સ્લિપમાં હતી, ઊભી’તી, પગરખાં ય નહીં પ્હૅરેલાં, ઑરેલિયાનો ત્યાં પ્હૉંચી જાય છે. તરનેરા લૅમ્પ ધરે છે અને એને ભાળીને ચમકે છે. ઔરેલિયાનોને સમજાતું નથી કે પોતે એટલે લગી શી રીતે પ્હૉંચી ગયો, પણ પોતાના લક્ષ્ય વિશે એ સભાન હતો. નાનપણથી એ લક્ષ્ય એના હૃદયની ખાડીમાં એટલે કે બંધિયારમાં બંધ હતું. કહે છે : હું આવ્યો છું અહીં તારી સાથે સૂવા : એનાં કપડાંમાંથી કાદવ અને ઊલટીની વાસ આવતી’તી. તરનેરા એને એક પણ સવાલ કર્યા વિના પથારીમાં લે છે, એનો ચ્હૅરો સાફ કરે છે, એનાં વસ્ત્રો ઉતારી નાખે છે, પોતે પણ સાવ નગ્ન થઈ જાય છે, બાળકો જુએ નહીં એ માટે મચ્છરદાની પાડી દે છે.

તરનેરા પોતાના ભૂતકાળથી થાકી ગયેલી. દરમ્યાન એની ચામડી પર કરચલીઓ પડી ગયેલી, સ્તન ચીમળાઈ ગયેલાં, હૃદયના અગ્નિ ઓલવાઈ ગયેલા. અંધારામાં એણે ઔરેલિયાનોના શરીરને ફંફોસ્યું, એના પેટ પર હાથ મૂક્યો અને એની ડોકે ચુમ્બન કરતાં બબડી : હે મારા બાળ બચારા ! : ઔરેલિયાનો થથરી જાય છે; સાવધ રહી સિફતથી પોતાની સંચિત વેદનાથી છૂટવા હળવેકથી નીકળી જાય છે.

એ પછી ઔરેલિયાનો યુવા રેમેડિયોસ વિશે વિચારે છે. એ એને પરણવા માગતો હોય છે. પોતાનાં કામકાજ પડતાં મૂકીને ઔરેલિયાનો રેમેડિયોસને શોધે છે – એની બારીના પરદા પાછળ – એની બહેનોની દુકાને – એના બાપની ઑફિસે, પણ રેમેડિયોસ નથી મળતી. મળે છે તે બસ એની ઇમેજ – જે ઇમેજે ઔરેલિયાનોના અંગત ભયાવહ એકાન્તને વલોવી નાખેલું.

ઔરેલિયાનો પછી તો, કાવ્યો કરવા લાગ્યો – એવાં જેને ન હોય આરમ્ભ કે ન અન્ત. મેલ્કીઆદેસે આપેલા પાતળા ચર્મપત્ર પર લખે, બાથરૂમની દીવાલો પર લખે, પોતાના બાહુ પર લખે – દરેકમાં રેમેડિયોસ રૂપાન્તરિત થઈ હોય : બપોરના બે થયા હોય ને હવામાં જે ઘૅન લ્હૅરાતું હોય એમાં રેમેડિયોસ. ગુલાબની સુંવાળી સુગન્ધમાં રેમેડિયોસ. જળ-ઘડિયાળમાં પતંગિયાંની છાનીછપની વાતોમાં રેમેડિયોસ. સવારની ગરમ ગરમ બ્રેડમાં રેમેડિયોસ. રેમેડિયોસ સર્વત્ર અને સદાકાળ, બસ રેમેડિયોસ.

આ તરફ બ્વેન્દ્યા પરિવારની પેલી બે છોકરીઓ, અમરન્તા અને અપનાવાયેલી રેબેકા, બન્ને, પિએત્રો ક્રેસ્પીના પ્રેમમાં પડે છે. પિેએત્રો ક્રેસ્પી જુવાન હતો, સશક્ત અને રૂપાળો. પહેરવેશ બાબતે એકદમ સભાન, સખત ગરમી પડતી હોય તો પણ એ એનાં ભારે કાળાં કપડાંમાં હોય – સોનાચાંદીની જરી ભરેલી વેસ્ટ તો હોય જ. બન્ને છોકરીઓને પ્રેમરોગ લાગ્યો અને માંદી પડી ગઇ.

એ ઉમ્મરે પણ રેબેકા અંગૂઠો ચૂસવાનું ભૂલી ન્હૉતી. એ માટે બાથરૂમમાં ભરાઈ જતી, વળી, દીવાલે માથું અડાડીને ઊંઘી જતી. વરસાદી બપોરોમાં બૅગોનિયાથી છવાયેલા પ્રવેશદ્વાર પાસે બેનપણીઓ જોડે વાતો ને ભરતગૂંથણ ચાલતાં હોય, પણ રેબેકા અચાનક વાતોનો દૉર વીસરી જાય, અને કશીક યાદની મારી રડવા માંડે. ત્યારે એણે ભીની માટીની પટ્ટીઓ અને બાગનાં અળસિયાંઓએ કાઢેલા કાદવના નાના ઢગ જોયા હોય. એનું તાળવું ખારું થઈ જતું …

રેબેકા વળી પાછી માટી ને પોપડા ખાવા માંડે છે; જો કે ક્રેસ્પીએ નક્કી કરેલું કે પોતે રેબેકાને પરણશે. એટલે પછી, રેબેકા-ક્રેસ્પી અને ઔરેલિયાનો-રેમેડિયોસનાં લગ્ન ગોઠવાયાં. પરન્તુ અમરન્તાને રેબેકાની ખૂબ જ ઈર્ષા થઈ. એટલે લગી કે એણે પ્રણ લીધું કે પોતે એ લગ્ન નહીં જ થવા દે. અમરન્તાના એ પ્રણને લીધે રેબેકા અતિ દુ:ખી થાય છે.

સરવાળે, ઉર્સુલાના બ્વેન્દ્યા-હાઉસનું એ સુખ ઝાઝું ટકતું નથી. એમાં ઉમેરાય છે, જિપ્સી મેલ્કીઆદેસનું મૃત્યુ. એ રહી રહીને મર્યો’તો. માકોન્ડોમાં મરણ પામનાર એ પહેલો હતો. માકોન્ડો આવ્યાને એને બે મહિના થયેલા, પણ એજિન્ગ શરૂ થયું, એટલું બધું ઝડપી ને મુશ્કેલ કે તુરન્ત સારવાર શરૂ કરવી પડી.

કશા ય ઉપયોગમાં ન આવે એવા ન-કામા દાદા-વડદાદાઓની થતી હોય છે એવી હતી એ સારવાર. એ ડોસાઓ બેડરૂમોમાં પડછાયાની જેમ ભમતા હોય – પગ પછાડતા હોય ને મોટેથી બોલતા હોય કે ક્યાં ગયા મારા એ સારા દિવસો … પણ કોઇને એમની પડી હોતી નથી. કોઇને યાદ પણ નથી આવતા. યાદ આવે છે ત્યારે સવાર થઈ ગઈ હોય છે, ને તેઓ પથારીમાં મૃત જોવા મળે છે.

સારવાર દરમ્યાન મેલ્કીઆદેસ ઘણા સમય બાદ પહેલી વાર હસે છે, અને સ્પૅનિશમાં બોલે છે : હું મરું ત્યારે ત્રણ દિવસ મારા રૂમમાં પારાના દીવા કરજો : આર્કાદિયો આ વાત હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને કહે છે પણ એને કંઈ સમજાતું નથી. મેલ્કીઆદેસ જણાવે છે – મને અમરત્વ મળી ગયું છે. વગેરે.

એના મૃત્યુના શોક-દિવસો પૂરા થાય છે. એ પછી હાઉસમાં સુખની આછી ઝલક આવેલી. ક્રેસ્પી-રેબેકા પ્રેમમાં રત હતાં અને ઔરેલિયાનો ભાવિ વધૂ રેમેડિયોસની નજીક જઇ રહ્યો’તો. તરનેરા ગર્ભવતી થયેલી પણ એ સમાચાર વિશે ઔરેલિયાનો બેતમા હોય છે.

હોસે આર્કાદિયો બ્વેન્દ્યા અજ્ઞાતની શોધનાં અન્ત વગરનાં અધ્યનનોમાં મચી પડેલો. એણે એક યાન્ત્રિક બૅલેરિના બનાવેલી. એ બૅલેરિના ત્રણ ત્રણ દિવસ લગી નાચ્યા કરેલી. પોતાની એ શોધથી એ એટલો બધો ખુશ થઈ ગયેલો કે ખાવા-પીવાનું ને ઊંઘવાનું સુધ્ધાં ભૂલી ગયેલો. રેબેકા એને સાચવતી’તી પણ એને એના નિરન્તરના હનેપાતથી બચાવી શકેલી નહીં. એ પોતાના રૂમમાં ચાલ્યા કરતો અને પોતાના સંશોધનને વિકસાવનારા વિચારોનો બડબડાટ કર્યા કરતો.

અનિદ્રાથી એ ખૂબ થાકી જતો. એક વાર મળસ્કું હતું ને કોઈ ડોસો એના રૂમમાં આવી લાગેલો, પણ શા માટે, તે સમજાયેલું નહીં. ડોસાના વાળ સફેદ હતા અને અસ્પષ્ટ ચાળા કરતો’તો. એ હતો પ્રુદેન્સિયો આગિલાર, પૂર્વે જેને હોસેએ મારી નાખેલો. હોસે એને ઓળખી પાડે છે, એને થાય છે કે મૃતક વૃદ્ધ પણ છે. હોસેનું ચિત્ત અતીતમાં ભમવા માંડે છે. અચરજ વ્યક્ત કરે છે – પ્રુદેન્સિયો ! લાગે છે કે તું બહુ દૂરથી આવ્યો છું …

હોસેએ એ વરસોમાં એને ખૉળવામાં ઘણો સમય ખરચેલો. એણે ઉપલી ઘાટીએથી કળણ ખૂંદીને આવેલા રિઓહાચના મૃતકોને પૂછેલું. પણ કોઇ કહી શકેલું નહીં કેમ કે મેલ્કીઆદેસના આવતાં પહેલાં માકોન્ડોની કોઇને કશી ખબર જ ન્હૉતી. એ તો મેલ્કીઆદેસ હતો જેણે મૃત્યુના પચરંગી નક્શા પર નાનકડી કાળી ચાંલ્લી કરેલી.

મળસ્કા દરમ્યાન હોસેએ પ્રુદેન્સિયો સાથે વાતો કરી પણ જાગરણથી થાકી ગયેલો. થોડા સમય બાદ ઔરેલિયાનોની વર્કશોપે ગયો ને પૂછ્યું : આજે કયો વાર છે? : મંગળવાર : મને એમ કે એમ જ છે પણ થયેલું કે ગઈકાલવાળો સોમવાર હજી ચાલુ છે; તું આકાશ જો, દીવાલો જો, બૅગોનિયાં જો, આજે સોમવાર જ છે. ઔરેલિયાનો હોસેની વિચિત્રતાઓથી ટેવાઈ જાય છે, કાન નથી ધરતો. પણ બુધવારે હોસે ફરીથી ઔરેલિયાનોની વર્કશોપે જાય છે. કહે છે : આફત તો જો કેવી રૂપાળી છે, તું હવા જો, તડકાની ગુંજ સાંભળ, બધું ગઈ કાલે ને પરમ દિવસે હતું એમ જ છે. આજે સોમવાર જ છે.

રાત્રે ક્રેસ્પી હોસેને પ્રવેશદ્વારમાં બેસીને રુદન-વિલાપ કરતો જુએ છે – પ્રુદેન્સિયોને યાદ કરીને – મેલ્કીઆદેસને યાદ કરીને – રેબેકાનાં માબાપને – પોતાની માને – બાપને … જેટલાં યાદ આવ્યાં એ બધાંને તેમ જ મરણની રાહ જોતા એકલ જીવો માટે પણ હોસે રુદન-વિલાપ કરતો રહે છે.

ગુરુવારે હોસે પોતાની વર્કશોપમાં પાછો ફરે છે. નજર એની ખેડાયેલા ખેતર જેવી છે. રડમસ અવાજમાં બબડે છે : સમયનું મશિન તૂટી ગયું છે ને પાસમાં ઉર્સુલા કે અમરન્તા ય નથી : ઔરેલિયાનો હોસેને એ બાળક હોય એમ ધમકાવે છે. હોસે પસ્તાવો કરતો જપી જાય છે.

બધાં જાગે એ પહેલાં શુક્રવારે હોસેને કુદરત એ-ની-એ જ લાગે છે ને દિવસ પણ સોમવાર જ લાગે છે. પછી એણે બારણાનો સળિયો પકડી લીધો અને પોતે અસાધારણ બળવાન તો હતો જ તે નરી ચીડ અને ક્રૂરતાથી આલ્કેમી લૅબોરેટરીનાં સાધનસામગ્રીને મસળી-કૂટીને ધૂળભેગાં કરી દીધાં. અસ્ખલિત પણ અસ્પષ્ટ અને જડબાંતોડ ભાષામાં સંડોવાયેલા કોઈ જનની જેમ એ બરાડતો રહ્યો.

બાકી બચેલા ઘરને હોસે નષ્ટભ્રષ્ટ કરી મૂકે એ પહેલાં ઔરેલિયાનો પડોશીઓને મદદ માટે બોલાવે છે. હોસેને નીચે લાવવા ૧૦ માણસોની જરૂર પડેલી અને ૧૪ વડે એને બાંધી શકાયેલો. ૨૦ જણા એને આંગણાના ચેસ્ટનટ વૃક્ષ લગી લઈ જાય છે ને એના હાથ ને પગ થડ સાથે દોરડાંથી બાંધી દે છે, ને પછી એમ જ છોડી જાય છે.

હોસે વિચિત્ર ભાષામાં બોલતો રહે છે, અને એના મૉંએ લીલા પરપોટા થતા રહે છે.

ઉર્સુલા અને અમરન્તા આવીને જુએ છે તો હોસે વરસાદથી પલળી ગયેલો અને પૂરો ગરીબડો લાગતો’તો. ઉર્સુલા હોસેની કમરે બાંધેલું દોરડું રહેવા દે છે, બાકીનાં છોડી નાખે છે.

પાછળથી એ લોકોએ હોસેના માથે પામની સૂકી શાખાઓની છાપરી કરેલી – ટાઢતડકાથી બચી શકે.

(હવે પછી, પ્રકરણ -૫)
(August 20, 2022: USA)
Pic Courtesy : https://steemit.com/@tolmachova1981
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2821,2831,2841,285...1,2901,3001,310...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved