Opinion Magazine
Number of visits: 9669234
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિકાસ એટલે વિનાશ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 January 2023

આજે વિશ્વે અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે ને તે એ હદે કે ચંદ્ર અને મંગળ પર પણ માનવ- વસાહતો સ્થાપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. માની લઇએ કે ત્યાં પણ વિકાસ થઈ ગયો, ત્યાં પણ માણસોનો વસવાટ થયો, પછી શું? ધારો કે સૂર્ય પર યાન મોકલીને ત્યાં પણ વસવાટ કરી લીધો, પછી શું? એથી આગળ પણ પ્રગતિ થતી જ રહેશે કે ક્યાંક અટકીશું? વારુ, જેને વિકાસ કહીએ છીએ તે પણ વિકાસ છે કે પછી એની દિશા વિનાશ તરફની છે? તે ચકાસીશું કે પછી આડેધડ વિકાસ, વિકાસની જ વાતો કર્યાં કરીશું? ખરેખર તો આપણે વિકાસમાં નથી, પણ વિકાસની ઘેલછામાં છીએ. આપણે પૃથ્વી પૂરતી બગાડી ચૂક્યા છીએ ને તે હવે રહેવા લાયક રહી નથી, એટલે ચંદ્ર કે મંગળને બગાડવા નીકળ્યા છીએ, એવું તો નથી ને? વિકાસ મનુષ્યની પ્રકૃતિ છે, પણ તે પ્રકૃતિને ભોગે થતો હોય તો તે અંગે વિચારવાનું રહે. ઘણીવાર તો એ જ ખબર નથી પડતી કે આપણે મૂરખ છીએ કે મતલબી? ઊંચે જવા આપણે કદાચ આપણાં જ મૂળિયાં કાપી રહ્યાં છીએ. સાદો સવાલ એટલો છે કે જો આપણો વિકાસ યોગ્ય દિશાનો જ છે તો પર્યાવરણના આટલા પ્રશ્નો કેમ છે?

આપણે ખેતીમાં રાસાયણિક ખાતરોનો એવો ઉપયોગ કર્યો કે જમીનના ને આરોગ્યના પ્રશ્નો ઊભા થયા. એ પછી ઓર્ગેનિક ખેતીનો વિકાસ થયો. આપણી ખેતી પહેલાં કુદરતી ખાતરની જ હતી, પછી બહુ બધું પકવવાના ને જમીનમાંથી ખેંચી કાઢવાના લોભમાં રાસાયણિક ખેતીનું નાટક કર્યું ને હવે ઓર્ગેનિક, ઓર્ગેનિકના મણકા ફરે છે ને ગમ્મત એ છે કે ઓર્ગેનિકને નામે બધું મોંઘું વેચાય છે. જે કુદરતી અને સસ્તું હતું તે રાસાયણિક ખાતર પછી યુ- ટર્ન મારીને આપણે વધારે મોંઘું કર્યું. આપણને વીજળી-પાણીની જરૂર પડી તો નદીઓ પર બંધો બાંધીને સિંચાઇ દ્વારા ખેતરો સુધી પાણી પહોંચાડ્યું ને ગામેગામ વીજળીનું સુખ ઊભું કર્યું. જમીન પર વધુ વસવાટ શક્ય ન લાગ્યો તો ઊંચે ગયાં ને હાઈરાઇઝની મજા માણી. એમાં પણ કેટલે ઊંચે જવું એ કોર્પોરેશન અને રાજ્ય સરકારના અધિકારીઓની હથેળીઓ ગરમ કરવા પર નિર્ભર રહ્યું. બિલ્ડર લોબી નામનો એક નવો વાયરસ દેશભરમાં ફેલાયો અને તેણે કોઈ પણ રીતે બધું બાંધી બાંધીને હોજરી ભરી લેવા માંડી. બધાંને નવડાવી ખવડાવીને ખાતાં જવું એવી નીતિનું પરિણામ એ આવ્યું કે સંસ્કાર, સંસ્કૃતિ, માનવતા જેવું આઉટડેટેડ થઈ જવા લાગ્યું. શિક્ષણ તો થયું, પણ સંસ્કારનો દાટ વળી ગયો.

શિક્ષક અત્યાચારી થયો. તેને આઠ વર્ષનાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનું કે વિદ્યાર્થીઓને આડેધડ ફટકારવાનું સહજ થઈ પડ્યું. તો, વિદ્યાર્થી પણ પાછળ શું કામ રહે? તે વિદેશમાં એટલા હિંસક બન્યા કે રિવોલ્વર કે રાઈફલથી શિક્ષક કે વિદ્યાર્થીઓને ગોળીએ દેતાં અચકાયા નહીં. કાલની જ ઘટના છે, છ વર્ષનાં એક બાળકે અમેરિકામાં તેની શિક્ષિકાને ગોળી મારી દીધી. છ વર્ષનાં બાળકને ભણતાં આવડે છે કે નહીં, તે તો નથી ખબર, પણ તેની ટીચરને ગોળીએ દેતાં તો આવડે જ છે. શિક્ષણ આધુનિક થયું તેનો આનંદ જ હોય, પણ તેણે સંસ્કારોનું જે ધોવાણ કર્યું છે તેણે પરિણામો તો હિંસક જ આપ્યાં છે. શિક્ષણ એટલું તો વિકસ્યું જ છે કે તે શિક્ષક કે વિદ્યાર્થીને પક્ષે હિંસાના પાઠ ભણાવી શકે. વિકાસનો હાથમાં આવતો આજનો અર્થ તો ગમે ત્યાં આડેધડ વધી જવું એટલો જ જણાય છે. વિકાસને કારણે બધું મોટું મોટું ને ઝાકઝમાળ દેખાય તો છે જ, પણ અંદરથી ઘણું પોલું છે એની પ્રતીતિ વારંવાર થતી રહે છે. સરકારી માણસ તો વિકાસનું વિચારે જ, પણ એ વિકાસ ધંધાદારી હોવાની ખાતરી જરૂર રાખી શકાય.

જૈનોનું તીર્થધામ સમેત શિખર ધાર્મિક અને પવિત્ર સ્થળ તરીકે જાણીતું છે. તેનાં વિકાસની કોઈ માંગણી જૈનો દ્વારા કરવામાં આવી નથી, પણ સરકારને, તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો વિચાર આવ્યો. આમ તો કોઈ ધાર્મિક સ્થળ વિકસાવવાનું સરકાર વિચારે તો આનંદ થાય, પણ એમ થતાં ત્યાં હોટેલો આવે, આવાસો વિકસે, દારૂ-માંસની મહેફિલો જામે ને એ બધાંમાં ધાર્મિક સ્થળની પવિત્રતા નષ્ટ થાય એ પણ ખરું. દેખીતું છે કે એ બધું તીર્થસ્થળને નામે થાય અને જે તે સમાજને તે ન જ રુચે. સમેત શિખરનાં પર્યટન સ્થળ તરીકેનાં વિકાસની વાતનો જૈનો દ્વારા દેશભરમાંથી વિરોધ ઊઠ્યો. ઠેર ઠેર દેખાવો થયા. જૈન સાધુઓએ અને જૈન સમાજે તીવ્ર અને મક્કમ અવાજ એવો બુલંદ બનાવ્યો કે સરકારે ઝૂકવું પડ્યું ને જાહેરાત કરવી પડી કે સમેત શિખરનો પર્યટન સ્થળ તરીકે વિકાસ નહીં થાય. સમેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિક્સાવવાના વિરોધે એટલું તો બતાવી આપ્યું કે બધા વિકાસ, વિકાસ નથી. ક્યાંક રકાસ પણ છે જ !

વિકાસનો આવો જ તાજો વિરોધ જોશીમઠના શંકરાચાર્યે પણ નોંધાવ્યો છે. તેમણે સુપ્રીમકોર્ટના દરવાજા ખખડાવતાં જાહેર કર્યું છે કે ઉદ્યોગો અને શહેરીકરણના વિકાસને લીધે જો માણસોનાં મોત થતાં હોય તો એવો વિકાસ નથી જોઈતો. બન્યું છે એવું કે હિંદુઓનાં પવિત્ર તીર્થધામ ગણાતાં બદ્રીનાથનાં પ્રવેશ દ્વાર જોષીમઠમાં 600 મકાનોમાં ને રસ્તાઓ પર તિરાડો પડી છે ને તેનાં મૂળિયાં હાલી ગયાં છે. ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં આવેલા જોશીમઠનું અસ્તિત્વ જ જોખમમાં મુકાયું છે ને ત્યાંના રહેવાસીઓની વૈકલ્પિક વ્યવસ્થા માટે રાજ્ય સરકારે આદેશ આપવા પડ્યા છે. અહીંની ઘટનાઓને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માંગ પણ ઊઠી છે. જોષીમઠ નગરમાં ભૂસ્ખલન અને જમીનો ધસી પડવાની ઘટનાઓને કારણે જમીનની નીચેથી અને ઘરોમાંથી પાણી નીકળવા લાગ્યું છે, જમીન ફાટી રહી છે. આખું નગર ભૂકંપની ફોલ્ટ લાઇન પર આવેલું છે, એને કારણે ત્યાં ભેખડો ધસી પડવાના બનાવો બનતા જ રહે છે. આવી પરિસ્થિતિમાં ત્યાં બાયપાસ રોડ બને કે ભારે મશીનરીથી ખોદકામ થાય, મકાનો ને ફોર લેન સડકો બને તો તે આખા ય સંવેદનશીલ વિસ્તાર પર જોખમ ઊભું કરે જ. મિશ્રા પંચે તો છેક 1976માં રિપોર્ટ આપેલો કે જોશીમઠ વિસ્તારનાં મૂળિયાં ઢીલાં છે ને તેની સાથે ચેડાં કરવાનું જોખમી છે. આવું કૈં થાય છે તો સરકાર સમિતિ નીમી દે છે. મોટે ભાગે તો સરકાર વળતર ચૂકવીને કે સમિતિઓ નીમીને ફરજ બજાવી લે છે. એ સમિતિઓ રિપોર્ટ પણ આપે છે, પણ એ મોટે ભાગે ધૂળ ખાવા માટે જ હોય છે. 1976માં મિશ્રા કમિટીએ રિપોર્ટ આપેલો જ હતો, પણ થયું શું? રિપોર્ટ, રિપોર્ટની જગ્યાએ રહ્યો ને બંધ બાંધવાનું, વીજળી પેદા કરવાનું, બહુમાળી ઇમારતોની પરવાનગી આપવાનું અને અન્ય વિનાશક યોજનાઓનો અમલ કરવાનું ચાલુ જ રહ્યું. આખું મકાન જમીનમાં ઊતરી ગયાનું પણ નોંધાયું છે ત્યારે પ્રશ્ન થાય કે યાત્રાધામો તેની પવિત્રતા જાળવે કે તેની સલામતી જળવાય એવું કૈં થાય એવું શક્ય છે કે કેમ?

મોટે ભાગે તીર્થધામો પર્વતો પર, દૂર, ઊંચાઈઓ પર આવેલાં છે, તેનું કારણ જ એ કે તે પવિત્ર રહે ને પ્રદૂષિત થતાં અટકે, પણ આપણે વિકાસને નામે ત્યાં પણ ધસી જઈને પર્યાવરણના અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. આપણે પર્વતોને પણ નગરોમાં ફેરવ્યાં છે ને પછી કુદરત માથું ફેરવે છે ત્યારે માથે હાથ દેવાનો વારો આવે છે. આપણે પ્રકૃતિમાં ય એન્ક્રોચમેન્ટ કર્યું છે, પછી એ ખાલી કરાવે છે ત્યારે ક્યાં ય હાથ મૂકવાં જેવું રહેતું નથી. 2013માં કેદારનાથમાં વાદળ ફાટવાની ઘટના પછી પણ આપણે ચેત્યા નથી. કેટલી લાશો પછી ચેતવું એનું ભાન જ કદાચ પડતું નથી. કેદારનાથ દુર્ઘટનામાં પાંચ હજાર માણસોના જીવ ગયા, પછી પણ આપણને વિકાસનું આકર્ષણ ઘટ્યું નથી એ દુ:ખદ છે. એ વખતે પણ વિકાસ પર અંકુશ મૂકવાની વાતો થયેલી. આવું દરેક દુર્ઘટના વખતે થાય છે અને નવી કોઈ ઘટના ન બને ત્યાં સુધી બધું ભુલાઈ જાય છે, પણ પ્રકૃતિ નથી થોભતી, એ તો એનો રસ્તો કરી જ લે છે. એટલું સ્પષ્ટ છે કે આ ઘટનાઓ કુદરતી નથી, એ પૂર્ણપણે માનવ સર્જિત છે. ખરેખર તો કુદરત માનવની મદદમાં રહેવા ઈચ્છે છે, એ હવા, પાણી જેવી જરૂરતો પૂરી કરે છે. નદીનો સ્વભાવ વહેવાનો છે. તેને બંધથી બાંધવામાં વિવેક દાખવવાનો રહે, પણ આપણને બંધો બાંધીને ભૂકંપો વસાવવાનું ફાવી ગયું છે. તો, ભલે તેમ ! શું છે કે આપણી પાસે મરી જવા માટે માણસોનો એટલો મોટો ખડકલો છે કે રેલમાં તણાવા માટે, આગમાં બળવા માટે, ભૂકંપમાં દટાવા માટે માણસો મળી રહે છે, એટલે ખપ્પર ભરાતું રહે છે ને કારભાર ચાલતો રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 જાન્યુઆરી 2023

Loading

Olympics 2036: શું ભારતથી વૈશ્વિક સ્તરે ‘સોફ્ટ પાવર’ની મજબૂતાઇ બતાડી શકાશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 January 2023

ગયા વર્ષના અંતમાં આપણા ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું કે 2036માં ભારત ઑલિમ્પિકના આયોજન માટે તૈયાર છે અને એક રાષ્ટ્ર તરીકે આપણા દેશ તરફથી ઑલિમ્પિક માટેની યજમાનીની બોલી લગાડવા અંગે ગંભીરતાથી વિચાર કરાઇ રહ્યો છે. અમદાવાદથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી ઑલિમ્પિક સર્કિટ બનાવવાની વાતો પણ થઇ રહી છે. ખેલ-કૂદ કોઇ પણ રાષ્ટ્ર માટે સત્તા દર્શાવવાનું એક બહુ અગત્યનું માધ્યમ છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ પણ રાષ્ટ્ર ખેલકૂદ ક્ષેત્રે પોતાની કેવી અને કેટલી શક્તિ, યોગદાન, આવડત દર્શાવે છે તે હંમેશાંથી અગત્યનું રહ્યું છે.

ઇતિહાસની વાત કરીએ તો જે ગ્રીસમાંથી ઑલિમ્પિક્સની શરૂઆત થઇ ત્યાં ગ્રીક શાસકો અને પ્રજા એમ માનતાં કે પોતે ખેલ-કૂદમાં આટલા આગળ પડતાં છે તે તેમને એ લોકોથી જુદાં પાડે છે જેઓ ગ્રીક્સ નથી; વળી માત્ર ગ્રીક નાગરિકોને જ આ ખેલ-કૂદમાં ભાગ લેવા દેવાતો. વળી સ્પેનિશ સંસ્કૃતિનો અનિવાર્ય ભાગ ગણાતી બુલ ફાઇટ્સ છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકારણના રંગે પણ રંગાઇ છે કારણ કે તેને રાજકીય પ્રતીક ગણીને જમણેરી અને ડાબેરી રાજકરાણીઓએ શિંગડા અફાળ્યા છે.

કોઇ પણ રાષ્ટ્ર માટે કોઇ પણ સમાજ માટે ખેલ-કૂદ હંમેશાંથી બહુ જ અગત્યનો હિસ્સો રહ્યો છે. વિશ્વમાં ખેલાતી 8,000થી વધુ જાતની રમતોમાંથી ભારતમાં તો બહુ જ ઓછી રમતો પ્રચલિત થઇ છે. કેટલીક ભારતમાં જ શોધાઇ તો કેટલીક બીજા દેશોના પ્રભાવમાં ભારતમાં પ્રચલિત થઇ. હાલમાં તો ક્રિકેટ ભારત માટે એક ખેલ નથી બલકે ધર્મ છે એમ કહીએ તો ય ચાલે. પરંતુ ભારતમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે બીજી રમતોમાં સારું એવું કાઠું કાઢ્યું છે.

ખેલ-કૂદ કોઇ પણ રાષ્ટ્ર માટે સોફ્ટ પાવર સ્ટ્રટેજીનાં માધ્યમ તરીકેનું કામ કરે છે. છેલ્લા બે દાયકામાં ઘણી એશિયન સત્તાઓએ પોતાના અર્થતંત્ર, સંસ્કૃતિ-સમાજ વગેરેને વૈશ્વિક ફલક મુકવા માટે સોફ્ટ પાવરના માધ્યમનો ઉપયોગ કર્યો છે અને આમ કરી તેઓ પોતાના રાષ્ટ્રની શ્રેષ્ઠ શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા છે.

તમે નોંધ્યું હશે કે જાપાનિઝ માર્શલ આર્ટથી માંડીને જાપાનિઝ ખાણાંની ચર્ચા આપણે માટે સામાન્ય બની છે. શું એ અચાનક થયું છે? આમ થવા પાછળ સારી પેઠે વિચારાયેલી યોજનાઓએ કામ કર્યું છે અને જાપાને પોતાની પાંખો એ રીતે વિસ્તારી છે. જાપાને બખૂબી ખેલકૂદને પોતાના સોફ્ટ પાવરની સિદ્ધિ બનાવી છે અને એ માટે 2019માં યોજાયેલ રગ્બી વર્લ્ડ કપ, 1964 અને 2020માં ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેટ્ન્ટ્સનું પણ જાપાને આયોજન કર્યું.

હવે આપણા દેશ તરફ પાછા વળીએ તો સરકારની નીતિમાં ભારતને ખેલ પ્રેમી રાષ્ટ્ર તરીકેની ઓળખની ધાર કાઢવા પર આયોજન બદ્ધ રીતે કામ થઇ રહ્યું છે. એક સમયે હૉકીમાં ભારતનું નામ હતું જે 60ના દાયકા પછી ઝાંખું પડ્યું તો એકલ દોકલ પદક પછી લગભગ 1996 સુધી ઑલિમ્પિક્સમાં ભારતે કંઇ ખાસ નહોતું ઉકાળ્યું. ઑલિમ્પિક્સમાં ભારતના દેખાવમાં બે ભાગ હતા 1980 પહેલા ફિલ્ડ હૉકીમાં પુરુષોની ટીમનો દેખાવ હતો તો 1996 પછી ભારતીયોએ ટેનિસ, બેડમિન્ટન, શૂટિંગ, રેસલિંગ અને બૉક્સિંગમાં કાઠું કાઢ્યું વળી મહિલા ખેલાડીઓનો દબદબો પણ દેખાયો. આનું કારણ હતું કે અર્થતંત્ર બહેતર બનવાથી ખેલાડીઓને સારી સ્પોન્સરશિપ મળવા લાગી અને કેબલ ટી.વી.એ બીજા ખેલો અંગે ઉત્સુકતા પેદા કરી.

શું ભારત 2036માં ઑલિમ્પિક્સના યજમાન દેશ તરીકે તૈયાર છે ખરો? ઑલિમ્પિક્સનું આયોજન અધધધ ખર્ચાળ હોય છે, 2004ના ઑલિમ્પિક્સ પછી ગ્રીસે તો નાદારી નોંધાવવી પડી. અત્યારે એમ છે કે ઊંચી કિંમતોને કારણે ઑલિમ્પિક્સ યોજવા માગતા હોય એવા દેશો પણ ઓછા છે અને આ સંજોગોમાં ભારતને આ મોકો મળવાની શક્યતા વધી જાય છે. ભારતે વિચારવું રહ્યું કે દિલ્હીને બદલે અમદાવાદમાં આ આયોજન આર્થિક રીતે કેટલું ફાયદાકારક રહેશે કારણ કે દિલ્હીમાં એશિયન અને બાદમાં કોમનવેલ્થ ખેલ મહોત્સવ થયા છે તો ત્યાં અમુક માળખાકીય સુવિધાઓ છે જ.

ઑલિમ્પિક યોજનારા દેશોને આંતરાષ્ટ્રીય સ્તરે પદ વધશેથી માંડીને ટુરિઝમને વેગ મળશેની આશા હોય છે પણ છેલ્લા પાંચ દાયકામાં જે શહેરોમાં ઓલિમ્પિક્સ યોજાઇ છે, ત્યાં અર્થતંત્ર પર બોજ આવ્યો છે. જેમ કે 1976માં મોન્ટ્રિએલ ગેમ્સ પછી તેના દેવામાંથી બહાર આવવામાં તેને 3 દાયકા લાગ્યા. તો 2016માં સમર ગેમ્સ જે રિયો ડે જેનેરોમાં થઇ તેમાં 20 બિલિયન ડૉલર્સ ખર્ચો થયો. ઑલિમ્પક્સ યોજવાથી કોઇ દેશ કમાયો છે ખરો? 1984માં લૉસ એન્જલ્સને ટુરિઝમ અને બ્રોડકાસ્ટિંગને પગલે 500 મિલિયન ડૉલર્સ કમાણી થઇ હતી તો સાઉથ કોરિયાને 55 મિલિયન ડૉલર્સની સરપ્લસ મળી પણ મોટા ભાગના ઑલિમ્પિક્સ આયોજનથી રાષ્ટ્રોને આર્થિક તંગી જ વેઠવી પડી છે. આવામાં કોવિડ-19નો ફટકો ઘણાં રાષ્ટ્રોને યજમાન બનવાની હોડમાં જોડાતા રોકશે; એટલે ભારતને આ સ્થિતિનો લાભ મળવાની શક્યતા છે.

ભારતને ઑલિમ્પિક્સના યજમાન થવું હોય તો તેનો ખર્ચો મેનેજ કરવો સૌથી મોટી માથકૂટ હશે. જે માળખાં છે તેની પર જ વધારાનું બાંધકામ કરવું અને નવા ખર્ચા ન કરવાની સ્ટ્રેટેજી ભારતને ફળી શકે છે અને માટે દિલ્હી કદાચ અમદાવાદ કરતાં બહેતર પસંદ સાબિત થઇ શકે.

ભારતમાં તાતાથી માંડીને રિલાયન્સ ફાઉન્ડેશન જેવી કંપનીઝે સ્થાનિક સ્તરે રમાતા ખેલોમાં રોકાણ કર્યું છે. વળી મોટા પાયાના ખેલની વાત કરીએ તો નીતા અંબાણીના પ્રયત્નોથી ઑલિમ્પિક કમિટીની આગલી બેઠક ભારતમાં મુંબઇમાં થવાની છે. યુ.એસ.એ., રશિયા અને ચીન ઉપરાંત યુરોપનાં નોંધનીય અર્થતંત્રોનું ખેલકૂદ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન છે જે તેમની સત્તાને વ્યાખ્યાયિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વળી એશિયાઇ દેશોમાં ભારત અન્ય દેશો કરતાં ઘણો સ્થિર છે જેમ કે અફઘાનિસ્તાન કે પાકિસ્તાનમાં ભલે સૉકર પહોંચે પણ ત્યાં સામાજિક અને આર્થિક પ્રશ્નો આડા આવે તે સ્વાભાવિક છે.

ખેલકૂદમાં રાજકારણ, બિઝનેસ અને મીડિયા ત્રણેયનો સંગમ હોય છે જે એક રીતે વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવરનું માધ્યમ બનાવે છે. ભલે બધા દેશો સ્પોર્ટ્સ અવે ફ્રોમ પૉલિટિક્સ વાળી નીતિની વાત કરે પણ જે રીતે અત્યાર સુધી ઑલિમ્પિક્સ ગેમ્સ યોજાઇ છે, જે રીતે અમુક રાજકીય કારણોસર જે તે રાષ્ટ્રમાં ખેલાતા આ મહોત્સવનો બહિષ્કાર પણ થયો છે, તે જ સાબિત કરે છે કે ખેલકૂદને રાજકારણની ચોપાટથી દૂર કરી શકાય તેમ નથી.

બાય ધી વેઃ

ઑલિમ્પિક જેવો મહોત્સવ કોઇ પણ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજને શિસ્તબદ્ધ અને નેતૃત્વના લક્ષણ ધરાવનાર સિદ્ધ કરી શકે છે. આપણે ત્યાં હવે સંજોગો બદલાયા છે પણ છતાં પણ અન્ય દેશોમાં ખેલકૂદ અભ્યાસક્રમનો હિસ્સો હોય છે, ત્યાં સ્પોર્ટ્સ જોવી તેમના સામાન્ય કલ્ચરનો ભાગ છે. આપણાં પી.ટી.ના શિક્ષકોને ભળતી ડ્યૂટીમાં લગાડી દેવાના કિસ્સા પણ બન્યા છે. આપણે ત્યાં સ્કૂલના સ્તરે ખેલકૂદ અંગેના અભિગમની ઝલક ધવલ શુક્લની ગુજરાતી ફિલ્મ ‘મેડલ’માં બહુ સરસ રીતે મળે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જાન્યુઆરી 2023

Loading

લોકસભાની પહેલી ચૂંટણી થઈ નહોતી એટલે બંધારણસભા જ લોકસભા તરીકે કામ કરતી

રમેશ ઓઝા|Opinion - Opinion|8 January 2023

પટણાની વડી અદાલતે જમીનદારોની અમર્યાદિત જમીનની માલિકીના હકને મિલકત ધરાવવાના મૂળભૂત અધિકાર તરીકે ગણાવીને જમીનદારોની તરફેણમાં ચુકાદો આપ્યો એ જોઈને આપણા પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ વ્યથિત થઈને કહ્યું હતું કે આખરે યેનકેન પ્રકારેણ વકીલો આપણાં મહાન બંધારણને આંચકી ગયા.

હવે? હવે એક જ ઉપાય બચતો હતો બંધારણમાં સુધારો કરવાનો. ૧૯૫૧માં બંધારણમાં પહેલો સુધારો કરવામાં આવ્યો હતો. બંધારણમાં સુધારો કરનારા એ લોકો જ હતા જેમણે બંધારણ ઘડ્યું હતું. આનું કારણ એ હતું કે એ સમયે હજુ લોકસભાની પહેલી ચૂંટણી થઇ નહોતી એટલે બંધારણસભા જ લોકસભા તરીકે કામ કરતી હતી, પણ બંધારણ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં આવી ગયું હતું. બંધારણમાં પહેલો સુધારો કરવામાં આવ્યો અને મૂળભૂત અધિકારો અમર્યાદિત નથી, પણ એમાં જરૂરી નિયંત્રણો મૂકી શકાય છે. આગળ જતાં લાંબાં સમયનાં પરિણામો પેદા કરનારી એક હકીકત અહીં નોંધી લેવી જોઇએ. આ સુધારાનો અર્થ એ થયો કે લોકસભા બંધારણની એ જોગવાઈઓ બાબતે પણ સુધારા કરી શકે છે જેને બંધારણ ઘડાનારાઓએ પવિત્ર અને સુરક્ષિત ગણાવી છે. સુરક્ષિત કરનારાઓ અને તેમાં વ્યાપક પ્રજાકીય હિતોને ધ્યાનમાં રાખીને જરૂરી છેદ પાડનારાઓ એક જ હતા. જો વકીલોએ તેમનું ખેપાની દિમાગ વાપરતાં પહેલાં પ્રજાકીય હિતમાં વિવેક વાપર્યો હોત તો આવી સ્થિતિ પેદા ન થઈ હોત. નેહરુના એ શબ્દો પયગંબરી હતા. 

એ પછી ધીરે ધીરે એક ત્રિકોણ રચાયો. શાસકો અને તેમનું સત્તાકીય રાજકારણ, સ્થાપિત હિતોની બ્રીફ પકડીને અદાલતોમાં ગમે તે સ્તરે નીચે ઊતરતા વકીલો અને જેમની પાસે પ્રામાણિકતા અને વિવેકની અપેક્ષા છે એવા જજો. આમાં હુકમનો એકો જજો હતા કારણ કે તેમણે આખરી નિર્ણય કરવાનો હતો. બંધારણને, બંધારણના પ્રાણને અને બંધારણીય ભારતને જજોએ બચાવવાનું હતું અને તેના પર શાસકો અને વકીલો દ્વારા સ્થાપિત હિતોના પ્રહારો શરૂ થયા. અને એમાં એક વાત નોંધી લેવી જોઈએ કે જજો પણ આખરે માટીના બનેલા માનવી છે. કેટલાક વેચાઈ ગયા, કેટલાકે સમાધાનો કર્યા, કેટલાક જજોએ દહીંદૂધમાં પગ રાખવાનું શીર્ષાસન કર્યું અને કેટલાક ટટ્ટાર ઊભા રહ્યા. આ બધું આજે પણ જોવા મળી રહ્યું છે. એનું આખું એક પુસ્તક લખી શકાય (અને લખાયાં પણ છે) એટલો લાંબો ઇતિહાસ છે, પણ માત્ર એમાંથી એક ઘટના નોંધવી જોઈએ. એ શકવર્તી ખટલો હતો અને એનાથી મોટો શકવર્તી ચુકાદો હતો.

૧૯૭૩ની સાલમાં કેશવાનંદ ભારતી કેસ સર્વોચ્ચ અદાલતમાં આવ્યો. સ્વામી કેશવાનંદ નામના કેરળના મઠાધીશે કેરળના જમીનદારી નાબૂદીના કાયદાને અદાલતમાં પડકાર્યો અને છેવટે એ કેસ સર્વોચ્ચ અદાલતમાં આવ્યો. મુદ્દો એ જ હતો; મૂળભૂત અધિકારોનો. શાસકો અને સંસદ મૂળભૂત અધિકારોમાં કાપ મૂકી શકે અથવા તેનું સંકોચન કરી શકે? આ પહેલાં ૧૯૬૭માં ગોલખનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે આગલા દરેક ચૂકાદાઓને ઊલટાવીને બહુમતી ચુકાદો આપ્યો હતો કે સંસદને બંધારણના મૂળભૂત અધિકારોનું સંકોચન કરવાનો અધિકાર નથી. કેશવાનંદ ભારતી કેસ વખતે સર્વોચ્ચ અદાલતે નિર્ણય લીધો કે આ વારંવારની ડાબે-જમણેની યાત્રાનો આખરી અંત લાવવામાં આવે. સર્વોચ્ચ અદાલતના ૧૩ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચ રચવામાં આવી અને તેની સમક્ષ સતત રોજેરોજ ૬૬ દિવસ સુનાવણી કરવામાં આવી. એમાં પણ ન્યાયમૂર્તિઓ વચ્ચે મતભેદ થયા, પણ સાત ન્યાયમૂર્તિઓએ બહુમતી ચુકાદો આપ્યો એ શકવર્તી હતો. ચુકાદો એવો હતો કે સંસદ બંધારણમાં સુધારા કરવાનો અધિકાર ધરાવે છે, પણ બંધારણનાં મૂળભૂત માળખા(બેઝીક સ્ટ્રક્ચર)માં સુધારા ન કરી શકે. બંધારણનું મૂળભૂત માળખું બંધારણનો, ભારતીય રાષ્ટ્રનો, ભારત નામનાં રાજ્યનો પ્રાણ છે. એમાં ભારતીય નાગરિકોને આપવામાં આવેલો વાયદો છે અને એ વાયદા માટેની તજવીજ છે. વાયદાની પવિત્રતા અને પ્રતિબદ્ધતા જળવાવી જોઈએ.

કઈ બાબતોનો સમાવેશ થાય છે મૂળભૂત માળખામાં? 

૧. પ્રજાસત્તાક સંસદીય લોકતંત્ર.

૨. સેકયુલારિઝમ.

૩. બંધારણની સર્વોપરિતા.

૪. સ્વતંત્ર ન્યાયતંત્ર.

૫. કાયદાનું રાજ.

૬. રાજ્યોનાં અસ્તિત્વને અને અધિકારોને સુરક્ષિત રાખતું સમવાય સંઘ (ફેડરલ ઇન્ડિયા).

૭. રાજ્યની ત્રણ પાંખ (સરકાર – એક્ઝીક્યુટીવ, સંસદ / વિધાનસભા – લેજિસ્લેચર અને ન્યાયતંત્ર – જ્યુડિશિયરી) વચ્ચે સત્તાનું વિભાજન અને સંતુલન. 

૮. સ્વતંત્ર ચૂંટણીતંત્ર. અને

૯. બંધારણમાં રેખાંકિત કરવામાં આવેલા ભારતની અખંડતા.

જે દિવસે આ શકવર્તી ચુકાદો આવ્યો એ જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એમ. સીકરી નિવૃત્ત થયા અને એ જ દિવસે ઇન્દિરા ગાંધીની સરકારે ત્રણ જજોની સિનિયોરીટીને નકારીને ચોથા ક્રમના જજ એ.એન. રેને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા. જેમની સિનીયોરીટીને નકારવામાં આવી હતી એ ત્રણ જજ; ન્યાયમૂર્તિ શેલત, ન્યાયમૂર્તિ ગ્રોવર અને ન્યાયમૂર્તિ હેગડેએ પોતાનાં આત્મસન્માનને બચાવવા રાજીનામાં આપી દીધા. કહેવાની જરૂર નથી કે જે ત્રણ ન્યાયમૂર્તિઓને દંડવામાં આવ્યા એમણે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને જેને મુખ્ય ન્યાયમૂર્તિનું ઇનામ આપવામાં આવ્યું એ ન્યાયમૂર્તિ રેએ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તાનાશાહ શાસકો અને ગોદી ગલૂડિયાં ત્યારે પણ હતા. ફરક માત્ર પ્રમાણનો છે. પ્રમાણ અલબત્ત ૧૦:૯૦નું છે અને કદાચ એનાથી પણ વધુ છે. આ ઉપરાંત તાનાશાહી વ્યાપક છે, સાર્વત્રિક છે અને મોટા પ્રમાણમાં તો છે જ.

હવે આજે સ્થિતિ એવી છે કે સત્તા છે, પ્રચંડ બહુમતી છે, પ્રજાનું સમર્થન છે, કોઈને પણ ખરીદી શકાય એટલા અઢળક પૈસા છે, ગોદી ગલૂડિયાંઓની ફોજ છે, લોકોને ડરાવનારા-રડાવનારા-ધૂણાવનારા મીડિયા છે એમ બધું જ છે; પણ પેલો બેઝીક સ્ટ્રક્ચરવાળો ચુકાદો આડો આવે છે. એક સાબૂત કરોડરજ્જુવાળો ટટ્ટાર માણસ એક લાખ કરોડરજ્જુ વિનાનાઓને ભારી પડી શકે એનું આ ઉદાહરણ છે. આ છે સત્યની અને નૈતિકતાની તાકાત. જો હિંદુરાષ્ટ્ર સ્થાપવું હોય તો બંધારણનું બેઝીક સ્ટ્રક્ચર બદલવું જોઈએ. જો બેઝીક સ્ટ્રક્ચર બદલવું હોય તો સર્વોચ્ચ અદાલતમાં મોટી સંખ્યામાં ગોદી જજોને પહોંચાડવા જોઈએ જે એક દિવસ સર્વાનુમતે ચુકાદો આપે કે સંસદને બંધારણના બેઝીક સ્ટ્રક્ચરને પણ બદલવાનો અધિકાર છે.

અત્યારે આની તૈયારી થઈ રહી છે અને માટે સર્વોચ્ચ અદાલત અને સરકાર વચ્ચે અથડામણ ચાલી રહી છે. માટે સર્વોચ્ચ અદાલતની વારંવારની વિનંતી છતાં સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતોમાં જજોની નિમણૂક કરવામાં આવતી નથી. વડી અદાલતોમાં નિમણૂક એટલા માટે કરવામાં નથી આવતી કે તેઓ આગળ જતાં સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી શકે છે અને એમાં વળી કોઈ કરોડરજ્જુવાળો ન્યાયમૂર્તિ ખન્ના ભટકાઈ જાય તો એક સાવજ એક હજાર શિયાળવાને ભારી પડી શકે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2771,2781,2791,280...1,2901,3001,310...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved