Opinion Magazine
Number of visits: 9663879
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શૂન્યરાત્રી

પ્રદ્યોત પ્રિયદર્શી|Opinion - Opinion|30 September 2025

દૂર ક્યાંક ઢોલ વાગી રહ્યો છે ત્યારે મને મારું બાળપણ યાદ આવી રહ્યું છે. અમે મહિનાઓ પહેલાં નોરતાંની રાહ જોતાં. કારણ એ કે એ દિવસો દરમિયાન અમને ખૂબ રમવા મળતું અને એ ય પાછું આખા ગામમાં.

સામાન્ય રીતે નિશાળેથી છૂટ્યા બાદ પોતાના વાસમાં રમવાનું હોય, પણ નોરતાં દરમિયાન તો ગામમાં રમવા જવાનું. આમ તો એની તૈયારી ચાલતી હોય એ દિવસથી અમારા ત્યાં ધામા. સાંજ પડે આખા વાસના છોકરાં ચોકમાં ભેગા થાય અને મંડે રમવા. રમવામાં અડવાદાવ સૌથી વધુ લોકપ્રિય. એમાં ય સાંકળ તો મજાની. એ ય આખા ગામમાં દોટમદોટ … સામાન્ય રીતે જ્યાં જવા ના મળતું હોય/જવાનું ના થતું હોય એવી બધી જગ્યાઓ ખૂંદી વળીએ. અન્ય વાસના છોકરાં પણ અમારી પેઠે જ ધમાચકડી મચાવતા હોય. નિશાળમાં બધા સાથે રમીએ પણ અહીં બધા જ્ઞાતિ/વાસ/વિસ્તાર પ્રમાણે રમતા. બધાં બાળકો આ દિવસો દરમિયાન ખૂબ મજા કરતા જોવા મળે. (જાણે કે રમતની ઋતુ)

અમારાથી મોટી ઉંમરની છોકરીઓ અમને ચકરડી ખવડાવતી એ હજુ ય યાદ આવે. સરખેસરખાં હોઈએ એ બધા ફેરફુદરડી ફરીએ. ક્યારેક અમારાથી મોટા બહુ મજબૂત છોકરા અમને પગેથી પકડીને ચકરડી ખવડાવતા. મગજ ભમી જાય ત્યાં સુધી ના છોડે, બોલો! પણ એની ય મજા તો ખરી જ.

સામાન્ય રીતે અમારે મંદિરમાં જવાનું ના થાય પણ આ દિવસો દરમિયાન તો માતાજી જ ચોકમાં હોય. એટલે અમે પગે લાગવા જઈએ અને આમ કહો તો પૂજારી જોડે ચાંદલો કરાવવા! દરેક ઉંમરના પોતાના રોમાંચ હોય છે!

ચડાવો શરૂ થાય એટલે અમને રમવાનું બંધ કરવાની સૂચના મળવા મંડે. અમારા ગામના (પટેલ) સાંકા મગન રોજ આરતીનો ચડાવો બોલાવે. ને મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનું નામ લઈને એને ઊંચાઈ પર લઈ જાય. એકવાર … બે વાર … ત્રણ વાર … થતું હોય ત્યારે આખું ગામ રોમાંચિત હોય.

ક્યારેક તો આરતી ચાલુ થાય ત્યાં સુધી અમે રમતા હોઈએ.

ને પછી જય આજા શક્તિ …

(એ સમયે શબ્દો બરાબર પકડાતા નહોતા હોં …)

એક બાજુ પ્રસાદી વહેંચાતી હોય અને બીજી બાજુ માઈકમાંથી પ્રસાદીના દાતા અને આજના તથા આવતીકાલના ચોકીદારના નામ બોલાતાં હોય. વર્ષો સુધી એકનાએક ચોકીદારોનાં નામ સાંભળીને અમને પણ મોઢે થઈ ગયેલાં!

તમે કહો તો અત્યારે પણ બે ચાર નામ બોલી શકું!

અમારા ગામમાં એક જ માંડવી નીકળે એટલે આખું ગામ એક જ જગ્યાએ ભેગું થાય. પ્રસાદીના દાતાએ પણ એ પ્રમાણે ખાસ્સા જથ્થામાં ચીજો લાવવી પડે. જો કે પટેલો ઘણા આર્થિક સમૃદ્ધ એટલે વાંધો ના આવે. મોટાભાગે આરતી ને પ્રસાદી એમનાં જ હોય. ઘણીવાર તો બે-ત્રણ પ્રસાદી પણ હોય. અત્યારે બહુ યાદ નથી, પણ બાળપણમાં ક્યારેક બીજીવાર પ્રસાદી લેવાની ચેષ્ટા પણ કરી હોય! જો કે વહેંચનારા પણ કાયમી એકના એક એટલે એ ય ઉસ્તાદ હોય પાછા!

બસ પ્રસાદીનું પતે એટલે અમારી આંખો સિવાયનાં બધાં અંગો સ્થિર થઈ જાય. આમ તો પ્રસાદી બાદ તરત ઢોલ વાગવાનો શરૂ થાય, એટલે અંગોમાં ચહલ-પહલ થવી જોઈએ. પણ અમારાં અંગોને એની છૂટ નહોતી. અમે રહ્યા ચમાર-વણકર ને રાવળ. અમારે તે વળી શેનું ગાવાનું? અમારે તો માત્ર  જોવાનું. જોઈ રહેવાનું!

ગામની લગભગ 1/3 વસ્તી આમ ગરબે રમવામાંથી બાકાત. અને આમાં કોઈને કશું અજુગતું લાગે નહિ! (સર્વસ્વીકૃત)

ત્રીજા ધોરણમાં ન્યાયનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછાતો હતો કે નહીં એ ખ્યાલ નથી પણ ઉપરોક્ત બાબત મને અન્યાય જેવી લાગેલી. મને થયું કે બધા ગરબા ગાય છે તો આપણે કેમ નહિ?! ને મેં તૈયાર કરી ચડ્ડીધારી ગેંગ. અમારી જ લાઈનમાં રહેતા મારી સાથે જ ભણતા અન્ય ત્રણ છોકરાઓને મેં તૈયાર કર્યા. અને અમે ગરબાની લાઈનમાં ઘૂસવાનું નક્કી કર્યું. મેં ચડ્ડીની ઉપર સદરો પહેરેલો એ મને યાદ છે. લગાર વ્યવસ્થિત દેખાવા માટે મેં વસ્ત્ર પરિધાન નિયમ વિરુદ્ધ જઈને સદરાનું ઇન કરેલું!

અમારા વાસના લોકો જે ખૂણે બેસતા હતા ત્યાંથી જ અમે ચાર જણે સિફતપૂર્વક ગરબાની લાઈનમાં હોંશભેર પ્રવેશ લીધો. એક રીતે તો અમારા માટે આ કાર્ય પરાક્રમથી ઓછું ન હતું. કદી ગરબા ના ગાયા હોય એટલે ના આવડે એ સ્વાભાવિક છે. તો ય અમે અધિકૃત ગરબેદારોને જોઈ જોઈને, એમની નકલ કરીને આગળ વધતા રહ્યા. અમે લગભગ 50 ફૂટ જેટલું અંતર કાપ્યું હશે ને કેટલીક ચબરાક આંખોની નજર અમારા પર પડી ગઈ. ને પછી શું? અમને હાથ ઝાલીને બહાર કાઢવામાં આવ્યા.

કદાચ વિરોધ કરવાની તાકાત એ વખતે નહિ હોય. એટલે 50 ફૂટનું પરાક્રમ કરીને ફરી પાછા અમે અમારા ટોળામાં આવીને બેસી ગયા. અમારા ટોળામાં થોડોક ગણગણાટ થયો ને પછી બધું જેમનું તેમ. ગામ તરફથી આ ઘટનાના કોઈ પ્રત્યાઘાતો આવ્યા નહિ. 2001ની આ ઘટના આટલાં વર્ષો બાદ તો કદાચ બધા ભૂલી પણ ગયા હશે, પણ અમે ચાર ચડ્ડીધારી તો શેના ભૂલીએ!

દર આસો માસે એને યાદ કરીને હરખાઈએ છીએ. કદાચ અમારા જીવનનું પહેલું ‘સાત્ત્વિક તોફાન’.

પણ આજે 21 વર્ષ બાદ પણ સ્થિતિ બદલાઈ નથી.

ઘણા સમયથી એમ થતું હતું કે આ ઘટનાનું વર્ણન કરું પણ પાછું એમ થતું હતું કે લોકો મને દલિત લેખકના ખાનામાં ખતવી દેશે, જે મને નથી પાલવતું. (અલબત્ત લેખક શબ્દ તો મોટો કહેવાય, હું તો અનુભવો વહેંચતો ફરું છું.)

 હા, હવે તો અમારા વાસના બહુ લોકો પ્રસાદી લેવા કે જોવા પણ નથી જતા.

મારી વાત કરું તો ત્રીજા ધોરણમાં આવું થયું એ પછી ઘણાં વર્ષો તો રમવાનું, પ્રસાદી લેવાનું ને જોઈને બેસી રહેવાનું ચાલુ જ રહ્યું હતું. લગભગ કૉલેજમાં આવ્યો ત્યારે જોવા જતો પણ અન્યાયના પ્રતીકાત્મક વિરોધ તરીકે પ્રસાદી લેવાનું બંધ કરેલું. પણ પછી એમ થયું કે આવું કરશું તો એમ પણ અંતર વધતું જશે. ને પછી પ્રસાદી લેવાનું શરૂ પણ કર્યું.

છેલ્લાં થોડાંક વર્ષોથી તો સહજપણે જ બધું બંધ થઈ ગયું છે. જાણે માંડવી સાથે કાંઈ લેવાદેવા જ ના હોય.

અન્યો માટે નવરાત્રી ને અમારા માટે ‘શૂન્યરાત્રી’.

આજે આટલાં વર્ષે વિચાર આવે છે કે ગામના એક તૃતીયાંશ ભાગના ભાઈઓ ને જવા દો બહેનોને કેવું થતું હશે! આપણા જ વર્ગમાં ભણતા અન્ય બાળકો સરસ રીતે તૈયાર થઈને ગરબે રમતા હોય અને આપણે દૂર બેઠા બેઠા જોઈ રહીએ એ કેવું લાગે! કદાચ ગરબે રમવા નહીં મળતું એટલે જ અમે આરતી પહેલાં બીજાઓ કરતાં વધુ રમી લેતા! મને અત્યારે ગરબા ગાતાં (રમતાં) નથી આવડતું એનું એક કારણ આ પણ ખરું. (જેમ નિશાળમાં કોઈ ઘરની પહેલી પેઢી ભણવા આવી હોય અને બહુ ના આવડે એમ!)

અલબત્ત કેટલાક લોકો લગ્નના વરઘોડામાં નાચી-નાચીને શીખી ગયા. (અમારા ગામમાં વરઘોડા સામે વિઘ્ન નથી એટલું સારું છે.)

કોઈ કહેશે કે તમે તમારી અલગ માંડવડી કાઢી શક્યા હોત, પણ એ કાંઈ ઉકેલ નથી.

અને હા, શહેરો અને પાર્ટીપ્લોટમાં થતા ગરબાની વાત જુદી છે.

ગરબો/નવરાત્રી તો હવે ભારતભરમાં લોકપ્રિય થયાં છે ત્યારે મૂળે ગુજરાતી એવા લાખો લોકો એનાથી અછૂત હોય એ કેમ ચાલે?

અમારા ગામની એક સારી કહી શકાય એવી વિચિત્ર સ્થિતિ કહું. જે રાવળોને નવરાત્રીમાં ગાવા દેવામાં નથી આવતા એ રાવળો એમને ત્યાં થતા દિવાળીના (જોગણીમાના) ગરબામાં ‘બધાને’ ગાવા દે છે. કેવા ઉદાર!

અસ્પૃશ્યતાનું નિવારણ ક્યારે આવશે?

જ્ઞાતિવાદ ક્યારે દૂર થશે?

કેટલી પેઢીઓએ વેઠવું પડશે!

માણસને માત્ર માણસ ક્યારે ગણીશું!

ગાંધી-આંબેડકર વગેરેના આત્માને ટાઢક ક્યારે પહોંચાડીશું?

આ સવાલો સાથે ગુજરાતનાં હજારો ગામડાંના કાંઈક લાખો પગ પૂછી રહ્યા છે,

હેં થનગનાટ એટલે શું?

અમારું ગામ રામપુરા(મા) તો પાટનગરથી ઘણું નજીક છે અને કાયદાનું શાસન પણ ઠીક ઠીક પ્રમાણમાં છે. જ્યાં લોકો કાયદાને કશું નથી ગણતા હોતા ત્યાં શું સ્થિતિ હશે!?

[આ તબક્કે એ પણ નોંધવું રહ્યું કે અસ્પૃશ્યતા મુદ્દે થોડોક સુધારો થયો છે પણ એ પૂરતો નથી.]

નોંધ : 21મી સદીનું 25મું વર્ષ ચાલે છે.
e.mail : pradhyotpriyadarshi@gmail.com

Loading

પુસ્તકની વેદના

હિતેશ એસ. રાઠોડ|Poetry|30 September 2025

શબ્દોને સંઘરી-સાચવી,
ગ્રંથાલયમાં લગોલગ
ખડકાયેલાં પુસ્તકો
વાટ જુએ છે વાચકની …
પણ, વાચકો હવે ક્યાં પધારે છે
પુસ્તકોને પસવારવા!
સૌ કોઈ વ્યસ્ત છે આજકાલ
સોશિયલ મીડિયાના
“સામાજિક” સંપર્કોમાં,
પુસ્તકોને હવે કોણ પૂછે છે
કારણ વિના!!
હાથમાં પુસ્તકધારી
વ્યક્તિના દર્શન દુર્લભ છે હવે!
એક સમયે વેદનાને
ખાળતાં પુસ્તકો
આજે વેદના સમેટી
બેઠાં છે ગ્રંથાલયોમાં,
એ આશ પર કે
એક દિવસ એનો વાચક આવશે
અને ધૂળ ખંખેરી
પાનાં ફંફોસશે …!
‘દરેક પુસ્તકને એનો વાચક મળે’
એ વાત પર
મરકાય છે પુસ્તક,
ને વદે છે : “રાખો હવે,
દરેક ગ્રંથાલયને
એનો વાચક મળે
તો પણ અમે રાજી!”

સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com

Loading

ઝુબિન ગર્ગ અને ડૉ. હિમા સાને : જીવનની મર્યાદા મનની મર્યાદા નથી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 September 2025

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, બે ‘સાધારણ’ ભારતીયોનાં અવસાનથી મન વિચારે ચઢી ગયું કે આપણી આસપાસમાં જિંદગી (કે મૃત્યુ?) કેવા અજીબોગરીબ રંગમાં જોવા મળે છે. આસામના સુપરસ્ટાર સિંગર જુબિન ગર્ગનું સિંગાપુરમાં સ્કૂબા ડાઈવિંગ દરમિયાન મૃત્યુ થયું. 52 વર્ષના ગર્ગને દુનિયાએ ‘ગેંગસ્ટર’ ફિલ્મના શાનદાર સૂફી ગીત ‘યા અલી મદદ અલી’થી ઓળખ્યો હતો. 

ગર્ગની ઉંમર તો હજુ નાની જ હતી પણ તેણે કેવી રીતે મરવું છે તેની ઈચ્છા સેવી રાખી હતી. જાન્યુઆરી મહિનામાં એક આખરી ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું, “હું પાગલ છું, હું લોકોને મારું બધું જ આપવા માંગુ છું.” તેણે કહ્યું હતું કે તે તેનો અંતિમ સમય એક ટિલ્લા(ટેકરા)માં પસાર કરવા માંગે છે. ટિલ્લા બ્રહ્મપુત્ર નદીનું બ્રિટિશ રાજ સમયનું હેરિટેજ સેન્ટર છે, જેને બોરફુકોનર ટિલ્લા અથવા ઇટાખુલી ટિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગર્ગે કહ્યું હતું, “આ સુંદર જગ્યા છે. આ સૌથી અદ્દભુત સ્થળોમાંનું એક છે. ત્યાં એક નાનો બંગલો છે. હું અહીં જ રહીશ અને અહીં જ મરી જઈશ. જ્યારે હું મરી જાઉં, ત્યારે મને ત્યાં અગ્નિદાહ આપવામાં આવે અથવા બ્રહ્મપુત્રમાં વિસર્જિત કરવામાં આવે.” તેની કિસ્મતમાં ઇચ્છાપૂર્તિ જેવું નહીં હોય. એટલે તેનો અંત હજારો કિલોમીટર દોર સિંગાપુરના દરિયામાં આવ્યો. તે લાઈફ જેકેટ પહેર્યા વગર દરિયામાં કુદ્યો હતો અને પછી પાછો આવી ન શક્યો.

જુબિન ગર્ગ તેની શોહરતના શિખર પર હતો અને તેણે હજુ ઘણી મંજિલ કાપવાની હતી. તેની પાસે સફળતા હતી, સંપત્તિ હતી અને ઈજ્જત હતી. તેને હજુ ઘણું કરવાનું હતું. એ બધાનો અચાનક અંત આવી ગયો. એ અંત તેની ઇચ્છા મુજબનો નહોતો. અતૃપ્ત આત્મા જેવું કશું હોય તો તે અત્યારે ભટકતો હશે ને? જીવનમાં ઇચ્છિત જિંદગી અને ઇચ્છિત મોત મળે તેના જેવું સુખ બીજું કશું નહીં. ઘણા લોકો અકસ્માતે જીવે છે અને અકસ્માતે મરી જાય છે. 

એક દિવસ પછી બીજા સમાચાર આવ્યા. પુણે સ્થિત પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને અબાસાહેબ ગવારે કોલેજનાં નિવૃત્ત પ્રોફેસર ડૉ. હિમા સાનેનું શુક્રવારે 85 વર્ષની વયે અવસાન થયું. ડો. સાનેની વિશેષતા એ હતી કે તેઓ આખું જીવન અત્યંત સાદાઈથી જીવ્યાં હતાં. તેઓ પૂણેમાં બુધવાર પેઠના તાંબાડી જોગેશ્વરી મંદિર વિસ્તારમાં એક જર્જરિત ‘વાડામાં’ રહેતાં હતાં. તેમના અવસાનના સમાચાર રાષ્ટ્રીય સ્તરે ચમક્યા તેનું કારણ એ હતું કે તેઓ ઘરમાં વીજળી વગર રહેતાં હતાં. તેઓ રેફ્રિજરેટર, ટી.વી. અથવા કોઈ આધુનિક ઇલેક્ટ્રોનિક સુવિધાનો ઉપયોગ કરતાં નહોતાં.

તેમણે જીવન જીવવાની એક ફિલસૂફીનું અનુસરણ કર્યું હતું : “રોટલો અને ઓટલો એ મૂળભૂત જરૂરિયાતો છે, વીજળી પછીથી આવે. મને આ જીવનની આદત છે અને મને તે ગમે છે.”

ડો. સાનેએ તેમની કારકિર્દીમાં વનસ્પતિશાસ્ત્ર શીખવવાનું પસંદ કર્યું હતું. તેમણે અબાસાહેબ ગવારે કોલેજમાં પ્રોફેસર તરીકે લાંબા સમય સુધી કામ કર્યું હતું અને આ સમયગાળા દરમિયાન 30થી વધુ પુસ્તકો પણ લખ્યાં હતાં. તેમનાં લેખન અને શિક્ષણથી ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા મળી હતી.

ડૉ. સાને પોતાનું ઘર માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ ખુલ્લું રહેતું હતું. તેઓ હંમેશાં પોતાની જાતને માલિક તરીકે નહીં પરંતુ સંભાળ રાખનાર તરીકે જોતાં હતાં. “આ કૂતરાઓ, બિલાડીઓ, નોળિયાઓ અને પક્ષીઓ માટેનું સ્થળ છે, હું ફક્ત તેની સંભાળ રાખું છું,” એમ તે કહેતાં હતાં.

તેમનું અવસાન થયું તે સમાચાર વાંચીને સુષમા દાતે નામનાં અન્ય એક પર્યાવરણવાદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, “ડૉ. હિમા સાનેનો વિચાર કરું છું, ત્યારે મને સોક્રેટિસની જૂની વાર્તા યાદ આવે છે. એકવાર તેણે એથેન્સના બજારમાં ચીજવસ્તીઓની ચકાચોંધ જોઈને કહ્યું હતું – ‘મને કેટલી વસ્તુઓની જરૂર નથી!’ ડૉ. સાને ટિનની એક નાનકડી ઝૂંપડી જેવા ઘરમાં રહેતાં હતાં. આખો દિવસ વાંચન-લેખનમાં પસાર થતો હતો. દુનિયા સાથે જોડાયેલા રહેવા માટે મોબાઇલ હતો, જે સૌર બેટરીથી ચાર્જ થતો હતો.

કોટનની સાડી પહેરેલાં ડૉ. સાને જીવ્યાં ત્યાં સુધી લાકડીના ટેકે ઘરમાં ફરીને કામ કરતાં હતાં. તેઓ 1940થી અહીં રહેતાં હતાં. તેમનાં માતા-પિતા અને દાદા-દાદી પણ અહીં જ રહ્યાં હતાં. તેમના જેવું જ જીવન તેમને માફક આવી ગયું હતું. તેમણે કબુલ્યું નહોતું, પણ વીજળી વગર રહેવાની તેમની પસંદગી પાછળ પર્યાવરણ પ્રત્યેનો તેમનો પ્રેમ હતો. વીજળીનો અભાવ તેમને નડ્યો નહોતો. તેમણે વનસ્પતિશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી અને 46 વર્ષની ઉંમરે ઇતિહાસના પ્રેમને કારણે ઇન્ડોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

તમને આ જંગલ જેવી જગ્યામાં સાપ વગેરેની બીક નથી લગતી? કોઈએ ડૉ. સાનેને પૂછ્યું હતું. તેમણે કહ્યું હતું, “કદાચ આસપાસમાં હશે. સાચું કહું તો, મને કોઈ જનાવર કરતાં માણસની વધુ બીક લાગે છે. માણસો વધુ ખતરનાક છે. હું આજમાં જીવું છું. આવતીકાલની ચિંતા નથી કરતી.”

જુબિન ગર્ગ અને ડૉ. હેમા સાનેના જીવનનો આ કેવો વિરોધાભાસ! 

શાયર મરીઝની એક ગઝલનો લોકપ્રિય શેર છે :

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,

એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

જન્મ અને મૃત્યુ નક્કી છે એનો અર્થ એ નથી કે જીવનમાં આનંદ નથી કે તેનો ઉદ્દેશ નથી. સ્કૂપમાં આઈસક્રીમ અંતત: ઓગળી જવાનો છે તે સૌને ખબર છે, અને એટલે જ તો તેને ખાવાની મજા આવે છે. આપણે એવું નથી વિચારતા કે આઈસક્રીમ કાયમ નથી રહેવાનો એટલે હું તેનો આનંદ નહીં લઉં. ઈન ફેક્ટ, તેની ક્ષણભંગુરતા જ આપણને તેનો આનંદ લેવા આપણાને પ્રેરે છે.

જીવનનું પણ એવું છે. વિધાતાએ જન્મ અને મૃત્યુ નક્કી કરી રાખ્યું છે એટલે જ આપણે આનંદમય અને સાર્થક બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. એક દિવસ મરી જવાના છીએ એટલા માટે જ તો રોજ સવારે દુઃખી થઈને ઉઠવાનો અર્થ નથી. જીવન એટલું સાર્થક અથવા નિરર્થક બને છે જેટલું આપણે તેને બનાવીએ છીએ. જીવનની મર્યાદા આપણા દિલ અને દિમાગની મર્યાદા નથી.

જીવન હોવાનો અર્થ એ નથી કે આપણે આપણી ઇચ્છા મુજબ પેદા થઈએ અને આપણી ઇચ્છા મુજબ વિદાય લઈએ. જીવન હોવાનો અર્થ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયનો અનુભવ કરવાનો છે. તમે તેને કેવી રીતે અનુભવ કરો છો તે વિધાતાના નહીં, આપણા હાથમાં છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ ગુજરાત મેઈલ”; 28 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...126127128129...140150160...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved