Opinion Magazine
Number of visits: 9458654
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“જનતાના જસ્ટિસ”ની કથની અને કરણી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 September 2022

ભારતના 48માં મુખ્ય ન્યાયમૂર્તિ નૂતલપાટિ વેંકટરમણ 26મી તારીખે નિવૃત્ત થયા છે. તેમની વિદાયના બે દિવસ પહેલાં, રાજકીય પક્ષો દ્વારા મફત સેવા-સુવિધાઓ આપવા સંબંધી મામલાની સુનાવણી કરતી વખતે તેમણે એક ટીપ્પણી કરી હતી કે એક વ્યક્તિ જે સેવાનિવૃત્ત થઇ ગઈ છે અથવા સેવાનિવૃત્ત થઇ રહી હોય, તેનું દેશમાં કોઈ મૂલ્ય નથી. આમ તો ટીપ્પણીનો સંદર્ભ સુનાવણી વેળા એક વકીલે આ મામલામાં નિવૃત્ત જસ્ટિસ આર.એમ. લોઢા જેવી સમિતિની રચના કરવાનું સૂચન કર્યું તે હતું, પરંતુ પોતાની જ નિવૃત્તિના બે દિવસ પહેલાં તે આવું બોલ્યા તે સૂચક છે. ખાસ તો એટલા માટે કે દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને પ્રભાવિત કરે તેવા અનેક નિર્ણાયક મામલાઓ તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યા હતા.

સેવાનિવૃત્તિ પછી જસ્ટિસ રમણની પોતાનું મૂલ્ય થાય છે કે નહીં તે તો ખબર નથી, પરંતુ તેમના કાર્યકાળનું મૂલ્યાંકન જરૂરથી થવાનું છે. તેમના જીવનનો 4 દાયકા જેટલો સમય ન્યાયતંત્રને આપનારા જસ્ટિસ રમણે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે ઘણાં મહત્ત્વના ચુકાદાઓ આપ્યા છે, પરંતુ તેમની કથની અને કરણીમાં બહુ અંતર રહ્યું છે અને એટલા માટે તેમએ યાદ રાખવામાં આવશે.

દેશની ન્યાય વ્યવસ્થાની નિષ્ફળતાઓ અને અધૂરપો પર ગહન અને અભ્યાસપૂર્ણ લેખો માટે જાણીતા ઓનલાઈન સામયિક “આર્ટિકલ-14”નું એક વિશ્લેષણ કહે છે કે 16 મહિનાના તેમના કાર્યકાળમાં, કાનૂનના રાજ અને બંધારણની રક્ષા કરવા માટે શું કરવું જોઈએ તે માટે જસ્ટિસ રમણે 29 ભાષણો આપ્યાં હતાં, પરંતુ તેમના નાક નીચે રાષ્ટ્ર માટે મહત્ત્વના છ કેસોમાં કોઈ જ પ્રગતિ થઇ ન હતી, અને જેની બંધારણીય બેંચ સમક્ષ વ્યાપક સમીક્ષા કરવાની અવશ્યકતા હતી તેવા 53 કેસો, અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિઓની માફક જ, પડતર રાખવામાં આવ્યા હતા. સૌરવ દાસ નામના આ વિશ્લેષણના લેખકે અલગ-અલગ અરજીકર્તાઓ સાથે વાત કરીને તેમના કેસો અને જસ્ટિસ રમણના કામકાજને લઈને તેમના મત જાણવાની કોશિશ કરી હતી. “નિરાશા અને હતાશા.” એવા બે ભાવ આ વાતચીતમાં બહાર આવ્યા હતા.

“વૈધાનિક અને શાસકીય કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા કરવી એ બંધારણીય યોજનાનો અવિભાજ્ય હિસ્સો છે. હું તો ત્યાં સુધી કહીશ કે એ તો ભારતીય બંધારણનો આત્મા છે. મારા નમ્ર મતે, ન્યાયિક સમીક્ષાના અભાવમાં, બંધારણમાં લોકોનો વિશ્વાસ ઓછો થયો છે,“ એવું જસ્ટિસ રમણે એક ભાષણમાં કહ્યું હતું. તેમ છતાં, તેમણે 53 કેસોમાં ન્યાયિક સમીક્ષા કરવાનું મુનાસીબ માન્યું ન હતું. સૌરવ દાસે તેમાંથી છ મહત્ત્વના કેસ અલગ તારવ્યા છે :

– જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી (1,115 દિવસોથી પેન્ડીંગ)

– ચૂંટણી બોન્ડમાં પારદર્શિતાનો અભાવ અને સંદેહાસ્પદ રાજકીય ફંડિંગ (1,816 દિવસોથી પેન્ડીંગ)

– સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ વિધાર્થીઓના હિજાબ પહેરવા પર કર્ણાટક સરકારનો પ્રતિબંધ (159 દિવસોથી પેન્ડીંગ)

– જાતિ નહીં, પણ માત્ર આર્થિક માપદંડના આધારે આરક્ષણની કેન્દ્ર સરકારની નીતિ (1,323 દિવસોથી પેન્ડીંગ)

– વિરોધને દાબી દેવા માટે જેનો ઉપયોગ થાય છે તે અનલોફૂલ એક્ટીવીટી પ્રિવેન્શન એક્ટ (યુ.એ.પી.એ.) સામેનો કેસ (1,105 દિવસોથી પેન્ડીંગ)

– બીજા દેશોના બિન-મુસ્લિમોને ઝડપથી નાગરિકત્વ આપવા માટેનો સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ-2019 (987 દિવસોથી પેન્ડીંગ)

મુખ્ય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટમાં “માસ્ટર ઓફ રોસ્ટર” કહેવાય છે અને બેંચોની રચના કરવાની, તેમણે ક્યા કેસોની સુનાવણી કરવી અને ચોક્કસ કેસો ચોક્કસ બેંચોને આપવાની સત્તા તેમની હોય છે અને કેસો સુનાવણી માટે લિસ્ટિંગમાં હોય તેના માટે પણ તેમની જવાબદારી બને છે.

મહારાષ્ટ્રમાં શિવ સેનાનું જે રીતે ધોળા દિવસે અપહરણ થયું અને તેનાં બે (નકલી) ફાડિયાં થઇ ગયાં, તે પછી તે ઉદ્ધવ ઠાકરેનું જૂથ ન્યાય માગવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું, ત્યારે આ કેસ એટલો સીધોને સટ્ટ હતો કે એક જ સુનાવણીમાં તેનો ફેંસલો આવી જાય તેમ હતો, છતાં જસ્ટિસ રમણે તેને પાંચ જજોની બંધારણીય બેંચને સુપરત કરવા નિર્ણય કર્યો છે. એ બેંચની રચના ક્યારે થશે અને ક્યારે તેની સુનાવણી થશે એ તો કોઈને ખબર નથી.

ઉપરના દાખલા, તેમની “જનતાના જસ્ટિસ” તરીકેની છાપથી વિરુદ્ધ જાય છે. જાહેર સમારોહોમાંથી જસ્ટિસ રમણે જનહિતમાં ન્યાય તોળવાની કાયમ તરફદારી કરી હતી, પણ જેવા તે સુપ્રીમ કોર્ટના રૂમમાં આવતા હતા કે તેઓ વિવાદાસ્પદ મુદ્દાઓ અડવામાં સાવધાની રાખતા હતા. જેમ કે, અંગ્રેજોએ તેમની સત્તા બચાવી રાખવા માટે ઘડેલા રાજદ્રોહના કાનૂનનો દેશમાં જે બેફામ ઉપયોગ થાય છે તેને ઠેકાણે પાડવાનો અવસર આવ્યો, ત્યારે તેઓ કોઈ નક્કર પગલું ભરવાને બદલે “ચિંતા” વ્યક્ત કરીને અટકી ગયા હતા. એ વખતે પણ તેમના શબ્દો તો રૂપાળા હતા :

“આઝાદીનાં 75 વર્ષ પછી પણ આ કાનૂનની જરૂર છે?” જસ્ટિસ રમણે ધારદાર સવાલ પૂછ્યો હતો, પણ પછી તરત જ તેની ધાર બુઠ્ઠી પણ કરી નાખી હતી, “અમારી ચિંતા કાનૂનના ગેરઉપયોગને લઈને અને વહીવટદારોની જવાબદારીનો અભાવ છે.” તેમને આ કાનૂનની જરૂરિયાતને લઈને નિશ્ચિતપણે શંકા હશે, પણ એના માટે કશું કર્યું નહીં અને ખાલી “ચિંતા” જ વ્યક્ત કરી હતી.

બની શકે કે તેમનો આત્મા સાચે જ ડંખતો હશે, પણ તેમને એક કાનૂની શિસ્તમાં રહીને વર્તવાની મજબૂરી હશે. બની શકે કે તો મુખ્ય ન્યાયમૂર્તિનો ઝબ્ભો ઉતરી જશે પછી, જેમાં તે માહેર છે તેમ, સાર્વજનિક મંચ પરથી આત્માની વાતો કરશે પણ ખરા, પરંતુ દેશની જનતાને એ વાતનો અફસોસ રહેશે કે તેઓ (એક વારના ધુઆંધાર મુખ્ય ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષનની જેમ) સાહસિક ન બની શક્યા.

થોડા દિવસ પહેલાં જ, કોર્ટની રજીસ્ટ્રીએ એક વિષયને કાઢી નાખ્યો, તે મુદ્દો વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ રજૂ કર્યો, ત્યારે જસ્ટિસ રમણે કહ્યું હતું, “એવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને ચિંતા છે, પણ હોદ્દો છોડતાં પહેલાં મારે કશું કહેવું નથી, પણ હું મારા વિદાય સમારોહમાં બોલીશ. તમે ત્યાં સુધી રાહ જુઓ.”

જસ્ટિસ રમણ તેમની સામેની ટીકાઓ પ્રત્યે સભાન હોવા જોઈએ, અને એટલે જે તેમણે તેમના કામના છેલ્લા દિવસે, એક સાથે પાંચ વિવાદાસ્પદ કેસોની સુનાવણી કરી નાખી હતી. તેમાં ય જો કે કોઈ નક્કર પ્રગતિ ન થઇ અને અમુક નિર્દેશો સાથે દિવસ પૂરો થયો.

– બિલ્કીસ બાનુ કેસમાં કોર્ટે ગુજરાત સરકારને નોટિસ જારી કરી અને 11 આરોપીઓને પણ પાર્ટી બનાવ્યા

– પેગાસસ જાસૂસી કેસમાં સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની સમિતિએ કહ્યું કે તેણે તપાસેલા 29 મોબાઈલ ફોનમાંથી માત્ર પાંચમાં જ સ્પાયવેર મળ્યું હતું, જો કે તેણે એ ખુલાસો ન કર્યો કે તે સ્પાયવેર પેગાસસનું હતું કે નહીં .. બેન્ચે નોંધ્યું કે કેન્દ્ર સરકારે આ તપાસમાં સહકાર નથી આપ્યો.

– પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પી.એમ.એલ.એ.)ના અગાઉના સુપ્રીમ કોર્ટના ફેંસલાની રિવ્યુ પિટીશન પર ઓપન કોર્ટમાં સુનાવણી થઇ. કોર્ટે કહ્યું કે ફેંસલાનો હેતુ ઉદાર છે પણ તેની અમુક બાબતો પર સમીક્ષા જરૂરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. 

– પીએમ મોદીના સુરક્ષા કવચમાં પંજાબમાં ચૂક થઇ હતી તે કેસમાં બેન્ચે કહ્યું કે એમાં પંજાબના પોલીસ અધિકારી ફરજ નિભાવામાં નિષ્ફળ નીવડ્યા છે અને સુરક્ષા મજબૂત કરવાના ઉપાયો સૂચવ્યા.

– ગોધરા તોફાનોના કેસમાં ધરપકડ કરાયેલી સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના કેસમાં જામીન અરજી પર કેન્દ્ર સરકારે જવાબ આપવા સમય માગ્યો એટલે હવે તેની સુનાવણી 30મી ઓગસ્ટે થશે.

જસ્ટિસ રમણ તેમના કાર્યકાળને કેવી રીતે જુએ છે તે તેમની નિવૃત્તિ પછીની વાતોમાં જાણવાનું રસપ્રદ રહેશે, પણ તેઓ સુપ્રીમ કોર્ટને વધુ જનતાલક્ષી બનાવીને છોડી રહ્યા છે કે કેમ તે ચર્ચાનો મુદ્દો છે. તેમની વાત પરથી એવું લાગે છે કે તેમને સમય ઓછો પડ્યો છે. એપ્રિલ મહિનામાં એક વેબિનારમાં તેમણે સંકેત આપતાં કહ્યું હતું;

“નિવૃત્ત થવા માટે 65 વર્ષ વહેલાં કહેવાય. મારામાં ઘણી સારી ઉર્જા બચી છે. હું ખેડૂતનો દીકરો છું. ખેડવા માટે જમીન છે. હું આમ તો લોકોનો માણસ છું. મને લોકો વચ્ચે રહેવાનું ગમે છે. હું આશા રાખું છું કે લોકોના હિતમાં મારી ઉર્જા વાપરી શકવાનો મને ઉચિત અવસર મળે.”

લાસ્ટ લાઈન :

“મને જો લાગશે કે બંધારણનો ગેરઉપયોગ કરવામાં આવે છે, તો સૌથી પહેલાં તો હું જ તેને સળગાવી દઈશ.”

– ડો. ભીમરાવ આંબેડકર

પ્રગટ : ‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 28 ઑગસ્ટ 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસાઈને સ્થાપિત કરવા માટે ધર્મ અને ઇતિહાસની ગલીમાં પ્રવેશવાની જરૂર નથી 

રમેશ ઓઝા|Opinion - Opinion|4 September 2022

આઈ.આઈ.ટી.(મુંબઈ)માં ૨૭ વરસ સુધી બાયોમેડિકલ એન્જિનિયરીંગ ભણાવીને નિવૃત્ત થયેલા ડૉ રામ પુનિયાની સાથે એક વાર થયેલી ચર્ચાની યાદ આવે છે. ચર્ચાનો વિષય હતો કે મૂળભૂત માનવીય મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે ધર્મવચનો અને ઇતિહાસનો સહારો લેવો જરૂરી છે? રામ પુનિયાની કોમી એકતાની જરૂરિયાત સમજાવવા ઇતિહાસનો સહારો લે છે, કારણ કે કોમી ઝેર રેડનારાઓ ઇતિહાસનો સહારો લે છે. તેમણે આઈ.આઈ.ટી.માં વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયનો પૂરો સમય ઇતિહાસનાં ઝાળાં સાફ કરવામાં વિતાવ્યો છે અને અનુભવ એવો છે કે ઝાળાં સાફ થયાં નથી. જે સાંભળે છે એનો પોતાનો કોઈ અભ્યાસ હોતો નથી એટલે તે પોતે સત્ય અસત્યની કોઈ ખાતરી કરતો નથી. દેખીતી રીતે ઝેર ફેલાવનારાઓ રામ પુનિયાની કરતાં ઘણી વધુ સંખ્યામાં છે જેઓ તેના સુધી વધુ પહોંચે છે અને તેઓ તેને પોતાની (ઈર્ષા, દ્વેષ અસત્ય) ચુંગાલમાંથી નીકળવા દેતા નથી. માટે રામ પુનિયાનીઓની મહેનતનું જેટલું પરિણામ મળવું જોઈએ એટલું મળતું નથી.

આ તો વ્યવહારપક્ષ થયો. એક સિદ્ધાંતપક્ષ પણ છે. શા માટે મૂળભૂત માનવીય મૂલ્યોને કોઈના સહારાની જરૂર પડે? ધર્મ અને ઇતિહાસનો સહારો મળતો હોય કે ન મળતો હોય, જે મૂલ્ય માનવીય મૂલ્ય છે અને જે મૂળભૂત છે એટલે કે દરેક યુગ અને દરેક સમાજને માટે છે એ સ્વીકાર્ય હોવાં જોઈએ. એ એટલા માટે સ્વીકાર્ય હોવાં જોઈએ કે તેમાં વ્યક્તિનું પોતાનું, સમાજનું, સકળ વિશ્વનું અને આવનારી પેઢીનું હિત છે. આ હિતકારી પક્ષ વ્યવસ્થિત રીતે લોકોને ગળે ઉતરે એમ સમજાવીએ એટલું પૂરતું છે. આપણે તેમને ત્રણ વાત ખાસ ઠોકીઠોકીને કહેવી જોઈએ.

એક તો કે આ સંસારમાં જેટલા ધર્મ છે એ દરેકે દરેક અને તેના ધર્મગ્રન્થ (અપવાદ વિના) માનવીની રચના છે એટલે એમાં અધુરપ છે. માનવીની કોઈ રચના સંપૂર્ણ ન હોઈ શકે. જો ધર્મ ઈશ્વરે સ્થાપ્યા હોત અને ધર્મગ્રન્થ ઈશ્વરે લખ્યા કે કહ્યા હોય તો એ આટલી મોટી સંખ્યામાં ન હોત. જે ઈશ્વરે માનવીને તેની જરૂરિયાત માટે એક સરખો દેહ અને અંગઉપાંગ આપ્યાં એ એક ધર્મ અને એક ગ્રન્થ ન આપી શક્યો હોત? ઈશ્વરને એની કોઈ જરૂર નહોતી લાગી. માનવીને ડરના માર્યા કે વિસ્મયના કારણે એની જરૂર લાગવા માંડી અને ધર્મ અને ધર્મગ્રંથો અસ્તિત્વમાં આવ્યાં. ટૂંકમાં ધર્મ અને ધર્મગ્રન્થ માનવીનું સર્જન છે અને માટે તેમાં ઉણપ છે. તે સ્થળ અને કાળથી બાધિત છે. આ એક સનાતન સત્ય છે જે લોકોને કહેવું જોઈએ. આનો અર્થ એ નથી કે લોકો ધર્મ છોડીને નાસ્તિક બની જાય. આપણે તો માત્ર એટલું જ કહેવાનું છે કે જે ધર્મવચન કે ધર્મપ્રણાલી અમાનવીય છે, કોઈને અન્યાય કરનારી છે તેને બાજુએ મૂકી દેવી. પ્રતિવાદ પણ કરવાની જરૂર નથી, બસ તેનું અનુસરણ નહીં કરો. હા, તેને અનુસરવા માટે જો કોઈ ફરજ પાડતું હોય તો તેની સામે પ્રતિવાદ કરો અને જરૂર પડ્યે વિદ્રોહ પણ કરો. કારણ કે મૂળભૂત માનવીય મૂલ્યો ધર્મવચન અને ધર્મપ્રણાલી કરતાં વધારે મૂલ્યવાન છે. માટે તો તેને મૂલ્યો કહેવામાં આવ્યાં છે.

બીજી વાત લોકોને એ કહેવી જોઈએ કે જે ઇતિહાસનો તમે “બીજાઓ” સામે વેર વાળવા માટે સહારો લો છો એ ઇતિહાસ કોણે રચ્યો છે? એ લોકો તો એટલા પણ મહાન નહોતા જેમણે ધર્મોની સ્થાપના કરી અને ધર્મગ્રંથો લખ્યાં હતાં. બીજી રીતે પ્રતાપી, પણ માણસ તરીકે સાધારણ કક્ષાના લોકોએ ઇતિહાસ રચ્યો છે. ધીરુભાઈ અંબાણીએ અને ગૌતમ અદાણીએ ભારતીય ઉદ્યોગનો ઇતિહાસ રચ્યો છે એમાં ઘણું બધુ સમજાઈ જશે. તો પછી સાધારણ કક્ષાના રાજવીઓએ મદમાં આવીને કરેલાં કુકર્મોની ગાંસડી લઈને આપણે આ યુગમાં શા માટે જીવવાનું? સત્તા અને સંપત્તિ ખાતર લોકો કેવાં કુકર્મો કરે છે એ ક્યાં અજાણ્યું છે! અને એમાં ઉપરથી મદ હોય તો તો પછી પૂછવું જ શું? જેવું વર્તમાનમાં જોવા મળે છે એવું જ ઇતિહાસમાં બન્યું હતું. ઇતિહાસમાં એક નજર કરી જુઓ. અંદાજે ત્રણ-ચાર હજાર વરસના શાસકીય ઇતિહાસમાં જેને ખરા અર્થમાં આદરણીય કહી શકાય એવા શાસકો કેટલા? વિશ્વમાં હજારો શાસકો થયા છે, પણ માણસાઈ અને ન્યાય માટે પ્રતિષ્ઠા ધરાવનારા સો શાસકો પણ નહીં મળે. ભારતમાં થયેલા શાસકોની ગણતરી કરી જુઓ. એક હાથની પાંચ આંગળીના પંદર વેઢા પણ વધારે થશે.

આને કારણે બને છે એવું કે રામ પુનિયાની જેવા ધર્મોમાંથી કે ઇતિહાસમાંથી માણસાઈની ગાંસડી બાંધે છે તો દ્વેષ ફેલાવનારાઓ ગાંસડા બાંધે છે. એમના ગાંસડા સામે ગાંસડી ટૂંકી પડે છે. વળી ગાંસડા ભરનારાઓની સંખ્યા પણ મોટી હોય છે. માટે મને એમ લાગે છે કે ધર્મવચનો અને ઇતિહાસના હવાલા આપવા કરતાં અને તેનો સહારો લીધા વિના મૂળભૂત માનવીય મૂલ્યોને તેની પોતાની તાકાતને સહારે લોકો સુધી પહોંચાડવા જોઈએ.

માનવીય મૂલ્યોની પોતાની તાકાત ક્યાં ઓછી છે? ત્રીજી વાત આ કહેવી જોઈએ. એ સિદ્ધ કરી આપવું જોઈએ કે સ્થાપિત હિતોના પ્રચંડ વિરોધ છતાં માનવીય મૂલ્યોનો અસ્ત થયો નથી અને થવાનો નથી. કયો હિન્દુત્વવાદી પોતાના ધર્મની આણ કાયમ કરવા કે હિંદુઓની સરસાઈ સ્થાપિત કરવા કે બ્રાહ્મણવાદી બ્રાહ્મણની આણ કાયમ કરવા કે પુરુષવાદી પુરુષની સત્તાને કાયમ કરવા કહે છે કે અનુક્રમે વિધર્મીઓને કે બહુજન સમાજને કે સ્ત્રીને કચડીને રાખવાનો અમારો જન્મસિદ્ધ કે ઈશ્વરદત્ત અધિકાર છે? એ એમ માનતા હોવા છતાં ય અને કરતા હોવા છતાં ય બોલી શકતા નથી એ માણસાઈનો વિજય છે. સત્ય, સમતા, સમત્વ, સહિષ્ણુતા, સમાનતા, એકબીજાનો આદર વગેરે અમને સ્વીકાર્ય નથી એમ તેઓ ખુલ્લીને કહી શકતા નથી; જ્યારે કે આ બધા ગુણો તેમને માથાભારે બનવામાં કે તેમનું વર્ચસ સ્થાપવામાં કે ટકાવી રાખવામાં આડે આવે છે એ તેઓ જાણે છે. તેમની અકળામણ સમજો. માટે તેઓ બીજાઓનાં પાપો ગણાવીને પોતાનાં પાપોને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરે છે. અને માટે હું કહું છું કે એ લોકો જે ગલીમાં પ્રવેશે છે ત્યાં આપણે પ્રવેશવાની જરૂર નથી, એ ખોટનો ધંધો છે; પણ એ ગલીમાં જવું જોઈએ જ્યાંથી એ લોકો ભાગે છે.

માણસાઈ તેમને બહુ સતાવે છે અને માટે તો માણસાઈના મેરુ પર્વત સમાન ગાંધીજીથી તેઓ ભાગે છે. તેઓ એટલે તેઓ દરેક. ધર્મસત્તા ટકાવી રાખવા માગનારાઓ, ચોક્કસ ધર્મની સરસાઈ સ્થાપિત કરવા માગનારાઓ, વર્ણ કે વંશની સત્તા ટકાવી રાખવા માગનારાઓ, પુરુષની સત્તા ટકાવી રાખવા માગનારાઓને એમ દરેકને માણસાઈ પરવડતી નથી. તો મારો અભિપ્રાય એવો છે કે માણસાઈને સ્થાપિત કરવા માટે પણ ધર્મ અને ઇતિહાસની ગલીમાં પ્રવેશવાની જરૂર નથી. માણસાઈ પોતે સ્વયંસિદ્ધ છે. તે પોતે શક્તિશાળી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 સપ્ટેમ્બર 2022 

Loading

ચલ મન મુંબઈ નગરી—161

દીપક મહેતા|Opinion - Opinion|4 September 2022

ગુરુ રૂપી ચિંતામણિનો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!

સાચો શિક્ષક વિચારો વહેંચતો નથી, પણ પોતાની જાતે વિચારતાં શીખવે છે

“સાચો શિક્ષક વિદ્યાર્થીઓને વિચારો વહેંચતો નથી, પણ તેમને પોતાની જાતે વિચારતાં શીખવે છે.” જેમનો જન્મ દિવસ, પાંચમી સપ્ટેમ્બર, શિક્ષક દિન તરીકે ઉજવાય છે તે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને ઓછામાં ઓછા શબ્દોમાં શિક્ષકની સાચી વ્યાખ્યા આપી છે. અને તેમની સાચી ઓળખ એટલે એક મહાન ફિલસૂફ અને શિક્ષણશાસ્ત્રી. આપણા દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા, બીજા રાષ્ટ્રપતિ હતા, એ તો પ્રમાણમાં ગૌણ ઓળખ. આ લખનારનું સારું નસીબ કે એને શાળામાં આવા સાચા શિક્ષકો મળ્યા. શિક્ષક દિન નિમિત્તે મુંબઈની કેટલીક નોખી સ્કૂલો અને એક અનોખા શિક્ષક વિષે થોડી વાતો.

પોદાર સ્કૂલના સ્થાપક આચાર્ય રામપ્રસાદ બક્ષી

વીસમી સદીના ત્રીજા દાયકામાં દેશની આઝાદી માટેની લડત તેના છેલ્લા તબક્કામાં દાખલ થઈ રહી હતી ત્યારે સારે નસીબે મુંબઈને કેટલીક એવી સ્કૂલ મળી જે રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલી હતી અને શિક્ષણનાં ઊંચામાં ઊંચા ધોરણોને તાકવા મથતી હતી. આળસ મરડીને બેઠું થતું મુંબઈનું એક પરું તે સાંતાક્રુઝ. અને ત્યાં ૧૯૨૭માં શરૂ થઈ એક નાનકડા, ભાડાના મકાનમાં પોદાર સ્કૂલ. આ સ્કૂલની શરૂઆતથી દાયકાઓ સુધીના તેના વિકાસના પાયામાં રહ્યું રામભાઈ બક્ષીનું સારસ્વત તપ. આ સ્કૂલ શરૂ થઈ તે પહેલાં રામભાઈ ધોબી તળાવ નજીકની સરકારી એલ્ફિન્સ્ટન સ્કૂલમાં શિક્ષક. માત્ર મુંબઈ શહેરની નહિ, પણ આખા મુંબઈ ઈલાકાની એ સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્કૂલ. રાજીનામું લખી રામભાઈ અંગ્રેજ પ્રિન્સીપાલને આપવા ગયા. પહેલાં તો સ્કૂલ ન છોડવા સમજાવ્યા. ભવિષ્યમાં સરકારી નોકરીમાં કેવી ઉજળી તકો છે એ કહ્યું. પણ રામભાઈ એકના બે ન થયા. પ્રિન્સિપાલ કહે : મિસ્ટર બક્ષી! એક-બે વરસ પછી અહીં પાછા ફરવાની ઈચ્છા હોય તો તે પ્રમાણે કાગળિયાં કરું. જવાબ : સાહેબ, હવે તો સાંતાક્રુઝમાં બીજી એલ્ફિન્સ્ટન સ્કૂલ ઊભી કરું તે પછી જ અહીં પાછા ફરવાનો વિચાર કરી શકું. સ્કૂલ શરૂ થતાં પહેલાં શેઠ આનંદીલાલ પોદારે દરખાસ્ત મૂકી કે આ સ્કૂલમાં છોકરા-છોકરીને મફત શિક્ષણ આપવું. ત્યારે રામભાઈએ કહ્યું કે ના, ભલે ઓછી, પણ ફી તો લેવી જ જોઈએ. પોદારશેઠ : પણ કેમ? તમે જાણો છો કે આ સ્કૂલ હું કમાણી કરવા શરૂ નથી કરતો. રામભાઈ : ફી આપતા હોય તો વાલીઓ આપણી ભૂલો બતાવી શકે, આપણને સૂચનો કરી શકે. જો મફત હોય તો જે મળે તે મૂંગે મોઢે સ્વીકારી લે. અને તો આપણી સ્કૂલનો વિકાસ ન થાય. રામભાઈએ વાવેલો એ છોડ આજે તો વટવૃક્ષ બની ગયો છે.

ભરૂચ જિલ્લાના રાજપીપળાના બે યુવાનો ચંદુભાઈ અને મગનભાઈ વ્યાસ. ૧૯૨૨માં બંને ભાઈઓએ શુક્લતીર્થમાં આશ્રમ પદ્ધતિની શાળા શરૂ કરી. ડોક્ટર જ્યોર્જ અરુન્ડેલની અસર નીચે બંને આવ્યા. અરુન્ડેલનું સૂચન માનીને મગનભાઈ લંડન સ્કૂલ ઓફ એજ્યુકેશનમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા. ૧૯૨૪થી ૧૯૨૭ સુધી ત્યાં અભ્યાસ કરીને પાછા મુંબઈ આવ્યા. ત્યાં સુધી મુંબઈના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ એજ્યુકેશનના હોદ્દા પર કોઈને કોઈ અંગ્રેજની જ નિમણૂક થતી. પણ મગનભાઈને એ હોદ્દો આપવાની સરકારે દરખાસ્ત કરી, જેનો તેમણે સવિનય અસ્વીકાર કર્યો. કારણ તેમની ઈચ્છા શિક્ષણ ક્ષેત્રે સક્રિય કામ કરવાની હતી. ઇન્ગ્લન્ડમાં અભ્યાસ કરતા હતા ત્યારે મગનભાઈ ન્યૂ એજ્યુકેશન ફેલોશીપ નામની શિક્ષણની ચળવળના સંપર્કમાં આવ્યા હતા. મુંબઈ પાછા આવ્યા ત્યારે રતનલાલ મોરારજી નામના ઉદ્યોગપતિએ મુંબઈમાં એક નવી સ્કૂલ શરૂ કરવા જણાવ્યું. અને ૧૯૨૭માં શરૂ થઈ ફેલોશીપ સ્કૂલ. પણ થોડા જ વખતમાં બીજા સાથીઓ સાથે કેટલીક બાબતમાં મતભેદ થયા, અને મગનભાઈ અને તેમનાં પત્ની સરોજબહેને ફેલોશીપ છોડી. સાથે નક્કી કર્યું કે હવે જે સ્કૂલ શરૂ કરવી તે એકલે હાથે કરવી.

સ્થાપક આચાર્ય મગનભાઈ વ્યાસ અને ન્યૂ ઈરા સ્કૂલ

ગોવાળિયા તળાવના મેદાનના એક છેડે હતી ફેલોશીપ સ્કૂલ. સામે છેડે ૧૯૩૦માં વ્યાસ દંપતી અને ચંદુભાઈએ શરૂ કરી ન્યૂ ઈરા સ્કૂલ. ઇન્ગ્લન્ડના અભ્યાસ દરમ્યાન જેનો પરિચય થયો હતો તે અદ્યતન શિક્ષણ પદ્ધતિ, મહાત્મા ગાંધીની પાયાની કેળવણી, અને ગુરુદેવ ટાગોરની વિવિધ કલાઓને પ્રાધાન્ય આપતી શિક્ષણ પદ્ધતિ – આ ત્રણેનો સમન્વય કરીને એક અનોખી સ્કૂલ તેમણે ઊભી કરી.

પ્યુપિલ્સ ઓન સ્કૂલના સ્થાપક જહાંગીરજી વકીલ અને જ્યાં એ સ્કૂલની મુંબઈમાં શરૂઆત થઈ તે મોર બંગલો (ફોટો સૌજન્ય: આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. ખેવના દેસાઈ)

એક જમાનામાં ખાર નામના પરાનું અલગ અસ્તિત્ત્વ નહોતું. વાંદરા તરીકે ઓળખાતા મોટા વિસ્તારનો એક ભાગ. ૧૯૨૪માં ‘ખાર રોડ’ સ્ટેશન શરૂ થયું ત્યારથી વિકાસ ઝડપી થયો. આ ખારમાં આજે આવેલી પ્યુપિલ્સ ઓન સ્કૂલ મુંબઈની એક અગ્રણી સ્કૂલ. તેની શરૂઆત ખારમાં નહિ, પૂનામાં થઈ હતી, ૧૯૨૯માં. આ સ્કૂલ એટલે ગાંધીજી અને ગુરુદેવ ટાગોરના રંગે રંગાયેલા પારસી દંપતી જહાંગીરજી અને કુંવરબાઈ વકીલનું સપનું. અને ત્યારના એના વિદ્યાર્થીઓમાંનાં કેટલાકનાં નામ : ઇન્દિરા ગાંધી, કમલનયન બજાજ, વિજયાલક્ષ્મી પંડિતની બે દીકરી. ૧૯૩૩માં પૂણેમાં પ્લેગનો રોગ ફેલાયો ત્યારે એ સ્કૂલ પૂણેથી આવી વિલે પાર્લે ઇસ્ટમાં આવેલા ભવ્ય મોર બંગલામાં. ખાર આવી તે તો છેક ૧૯૪૬માં. અને ચોથી સ્કૂલ તે એ વખતે ગુજરાતીઓના ગઢ તરીકે ઓળખાતા ‘સી’ વોર્ડમાં સિક્કા નગર ખાતે ૧૯૩૬માં શરૂ થયેલી મોર્ડન સ્કૂલ. રમણભાઈ વકીલ અને તેમનાં પત્ની પુષ્પાબહેન વકીલ તેના પાયાના પથ્થર.

પણ આ બધી સ્કૂલોમાં આ લખનારની પોતીકી સ્કૂલ તે તો ન્યૂ ઈરા, ના, ‘ધન્ય ન્યૂ ઈરા.’ જે હવે ભૂતકાળ બની ગઈ છે. ૧૯૪૭થી ૧૯૫૭નાં દસ વરસ ત્યાં ભણવા મળ્યું તે મોટું સદ્ભાગ્ય. ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’ એ સ્લોગન તો ઘણાં વરસ પછી પ્રચારમાં આવ્યું. પણ ન્યૂ ઈરાએ તો દાયકાઓ પહેલાં એ અમલમાં મૂકેલું. જેટલું મહત્ત્વ અભ્યાસનું, એટલું જ મહત્ત્વ અન્ય પ્રવૃત્તિઓનું. સંગીત, નૃત્ય, નાટક, વક્તૃત્ત્વ, ચિત્રકામ, કાંતણ. અને હા, રમતગમત તો ખરી જ. સ્કૂલનું વાતાવરણ મુક્ત, પણ સંયમી. અવારનવાર કોઈ ને કોઈ મહેમાન વક્તા આવે જ. સાહિત્ય, સંગીત, નૃત્ય, અને બીજી કલાઓના કેટલા ધુરંધરોને સાંભળવાની, જોવાની, જાણવાની તક મળી એ દસ વરસમાં! પહેલું લખાણ પ્રગટ થયું તે સ્કૂલના ‘ઉષા’ નામના વાર્ષિકમાં – કવિ સુન્દરમ્‌ની મુલાકાતનો અહેવાલ.

એ અરસામાં અહીં ભણેલા કોઈ પણ વિદ્યાર્થીને સૌથી પહેલાં યાદ આવે જરબેન ગ્યારા, પ્રાથમિક વિભાગના વડા. શિસ્તના અતિશય આગ્રહી. પણ કાળજું કપોતના જેવું. સોમભાઈ, ઈશ્વરભાઈ અને વરધભાઈ પટેલની ત્રિપુટી. દોલતભાઈ દેસાઈ અને સુશીલાબહેન વાંકાવાળા. શાસ્ત્રીય સંગીત શીખવા મળ્યું જોગળેકર સર પાસેથી તો સંસ્કૃત શીખવા મળ્યું ગાડગીળ સર પાસેથી. આજ સુધી જેમાં ગતાગમ નથી પડી એ વિજ્ઞાન શીખવે જામ્ભેકર સર. પહેલાં મધુભાઈ પટેલ અને પછી દિનેશભાઈ શાહ જેવા જાણીતા કલાકારો શીખવતા છતાં ચિત્રકામ ન જ આવડ્યું.

પિનાકિન ત્રિવેદી

પણ ન્યૂ ઇરાના શિક્ષકોમાંથી સૌથી વધુ પ્રભાવ પડ્યો તે તો પિનુભાઈનો. આ પિનુભાઈ એટલે પિનાકિન ત્રિવેદી. સાહિત્ય, સંગીત, અન્ય કળાઓનો જીવ. શાંતિનિકેતનમાં રહી ગુરુદેવ ટાગોર પાસે ભણેલા. એક વાર ટ્રેનમાં ટાગોર સાથે કલકત્તાથી મુંબઈ આવતા હતા ત્યારે આખે રસ્તે ગુરુદેવનાં ગીતો ગાઈને ગુરુદેવને સંભળાવેલાં. હંમેશ શ્વેતવસ્ત્રાવૃત – જાણે સરસ્વતીનો પુરુષદેહી અવતાર. કવિતા હોય કે નાટક, વાર્તા હોય કે નિબંધ – ભણાવતી વખતે તેમાં પોતે તલ્લીન અને વિદ્યાર્થીઓ પણ તલ્લીન. પ્રેમાનંદનું ‘સુદામાચરિત’ ભણાવતી વખતે ટેબલ પર પલાંઠી વાળીને બેસી જાય. એક પછી એક કડી ગાતા જાય અને સમજાવતા જાય. હથેળી વડે ટેબલ પર થાપ મારીને તાલ પણ શીખવે. રાગ-રાગિણી વિષે વાત કરે. કવિતા લખી, નાટક લખ્યાં, ઘણા અનુવાદો કર્યા. ગુરુદેવ ટાગોરની કવિતાના અનુવાદ તો ઘણા અનુવાદકોએ કર્યા. પણ સમગેય અનુવાદ કર્યા તે મુખ્યત્વે પિનુભાઈ-નિનુભાઈની જોડીએ. નિનુભાઈ તે નિનુ મઝુમદાર. મહાદેવભાઈ દેસાઈ અને પિનાકિનભાઈએ કરેલા ગુરુદેવના સમગેય અનુવાદોની સરખામણી કરતાં છેક ૧૯૩૯માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું : “પિનાકિન રચિત ચાર ગીતો અને આ બે ગીતો(એકલો જાને રે અને તારાં સ્વજન તને જાય મૂકી તો)નાં ગાયન વચ્ચે જે મોટો તફાવત પડી રહે છે તે જ બતાવી આપે છે – આપણી ગુજરાતી વાણીઓની ખૂબીઓની પિનાકિનને પ્રાપ્ત થયેલી પિછાન, અને મહાદેવભાઈને હાથ ન લાગેલી સાન. એ તફાવત ગુજરાતી ભાષાને કાન પકડી પરાણે બંગાળી વાણીના મરોડો પહેરાવવાના પ્રયત્નમાંથી પરિણમ્યો છે. પિનાકિન પણ ટાગોરની પાસે બેસી બંગાળી બાઉલ સંગીત તેમ જ શિષ્ટ સંગીતનું પાન કરનારા છે. મહાદેવભાઈ પણ બંગાળી ભાષાના જ્ઞાતા છે, ને એમણે કરેલા તરજૂમા મૂળ બાઉલ લયવાળાં ગીતોના છે. પિનાકિનનાં સ્વતંત્ર ગીતોમાં ભાષાનો કે સંગીતનો તરજુમો નથી, બંગાળી મરોડો ને સ્વરભારોનો મનોવિભ્રમ નથી, એથી તો ગુજરાતી મરોડો પરની પકડ મજબૂત છે. એટલે જ એમણે કર્યું છે રસાયણ, ને મહાદેવભાઈના તરજૂમાંમાં જે નિપજ્યું છે તે છે બંગાળીકરણ.”

પિનુભાઈની કાર્યનિષ્ઠા અને ધગશનું એક જ ઉદાહરણ : મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળે એક વાર ગીતો ગાવા આમંત્રણ આપેલું. તે જ દિવસે પિનુભાઈનો અવાજ સાવ બેસી ગયેલો. છતાં કાર્યક્રમ માટે ગયા. પોતાની સ્થિતિ જણાવી અને કહ્યું કે ફક્ત એક ગીત ગાઈશ. પણ પછી કોણ જાણે શું જાદુ થયો, તે પૂરા બે કલ્લાક સુધી સતત ગાતા રહ્યા. પછી મંડળના પ્રમુખે એમને વાર્યા ત્યારે કહે કે બસ, હવે આ છેલ્લું ગીત. પિનુભાઈના એ ગાયેલા ગીતની છેલ્લી પંક્તિઓ છે :

ચિંતામણિનો આ તો ચમત્કાર, સો સો જ્યોત ઝગમગી!

કરશે કથીરને કનક આકાર, સો સો જ્યોત ઝગમગી!

ગુરુ, શિક્ષક, એ એક ચિંતામણી છે જેના ચમત્કારને પ્રતાપે માત્ર સો સો જ નહિ, હજારો વિદ્યાર્થીઓનાં જીવન કથીરમાંથી કનક થાય છે, એમના જીવનની જ્યોત ઝગમગતી થાય છે.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx  

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 03 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,2661,2671,2681,269...1,2801,2901,300...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved