Opinion Magazine
Number of visits: 9458636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સર્વેશુભોપમા-યોગ્ય’ અને ‘શુક્રતારક સમા’ મહાદેવભાઈ દેસાઈ

સોનલ પરીખ|Gandhiana|15 September 2022

ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતો એ મહાન આત્મા જન્મથી જ દૈવી સંપત્તિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ પણ એકએકથી ચડિયાતા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા …

—     સ્વામી આનંદ

સ્વામી આનંદે મહાદેવભાઈ દેસાઈ વિશેના લેખનું શીર્ષક આપ્યું છે ‘શુક્રતારક સમા’. એમાં તેઓ લખે છે, ‘આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં સંસારના કવિઓ થાક્યા નથી. આમ છતાં આ તેજસ્વી તારાને દુનિયા સમીસાંજે કે વહેલી સવારે કલાક-બે કલાકથી વધુ દુનિયા દેખી શકતી નથી. ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષ:કાળે પોતાની એવી જ આભાથી આપણા આકાશને ઝળાંઝળાં કરી, દેશદુનિયાને મુગ્ધ કરી શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા.’

કિશોરલાલ મશરુવાળા જેવા ગાંધીયુગના સર્વતોશ્રેષ્ઠ સમતોલ વિચારવંતે જેમને ‘સર્વેશુભોપમા-યોગ્ય’ કહ્યા છે, એ મહાદેવભાઈ દેસાઈને માટે ગાંધીજી ખુદ કહેતા કે ‘મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે.’ 15 ઑગસ્ટ 1942 એ મહાદેવભાઈની પુણ્યતિથિ હતી. એ નિમિત્તે એમને સ્મરીએ અને ભાવવંદન પાઠવીએ.

‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવભાઈના દીકરા નારાયણ દેસાઈએ લખેલું એમના પિતાનું જીવનચરિત્ર. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ આ શબ્દો મહાદેવભાઈ માટે પહેલવહેલા ઝવેરચંદ મેઘાણીએ વાપર્યા હતા. આ પુસ્તક 1992માં લખાયું. એનાં ઘણાં વર્ષ પહેલાં 1950માં મહાદેવભાઈના મિત્ર, સાથી અને મહાત્મા ગાંધીના અંતેવાસી નરહરિ પરીખે ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ આપ્યું છે. મહાદેવભાઈ અને નરહરિભાઈ પરીખ કૉલેજના અભ્યાસ સમયે એકબીજાના પરિચયમાં આવ્યા, સાથે રહ્યા, સાથે જરા જેટલી વકીલાત કરી, સાથે ગાંધીજી પાસે ગયા અને એમના આજીવન અનુયાયી અને સેવક બન્યા. અંત સુધી મૈત્રીની ગાંઠ એવી ને એવી અતૂટ રહી.

નરહરિભાઈ પોતાના પુસ્તકમાં લખે છે, ‘મહાદેવભાઈ બાપુજી પાસે કેવી અને કેટલી સંપત—ચારિત્ર્યબળની, ભક્તિપૂર્ણ હૃદયની, બુદ્ધિની, વિદ્યાકળાની અને હોશિયારીની—લઈને આવ્યા હતા એ જ મારે તો બતાવવું હતું … એવી સંપત લઈને મહાદેવ બાપુજી પાસે આવ્યા અને તેમાંથી કિશોરલાલભાઇએ લખ્યું છે તેમ, “એક વિદ્વાન ફિલસૂફ, સાહિત્યિક, કવિ, મધુર ગાયક અને કલારસિક હોવા છતાં પરિચર્યા કરનાર નર્સ; કપડાં ધોનાર ધોબી, રાંધીને ખવડાવનાર રસોઈયા; સાફ નકલ કરી આપનાર કારકુન; લખેલું સુધારી આપનાર શિક્ષક, અધૂરું કામ પૂરું કરી આપનાર સહયોગી; મંત્રી; નાજુક કામને કુનેહથી પાર પાડી આપનાર એલચી; પોતાના સ્વામી અને આપણી વચ્ચે ગેરસમજૂતી ઊભી થઈ હોય તો તેને દૂર કરાવનાર વિષ્ટિકાર; પિતૃભક્તિ, સ્વામીભક્તિ, મિત્રભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ એવા સર્વે સંબંધોને યથાયેગ્યપણે સંભાળવામાં પરાકાષ્ઠાનો પ્રયત્ન કરનાર તુલાધાર; અને આ બધું છતાં માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાવધ સાધક;” —એવા એ બન્યા.

ગાંધીજી કહેતા, ‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું તો કહું કે પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ’ તેઓ મહાદેવભાઈને ‘ભક્તિનું અખંડ કાવ્ય’ કહેતા. મહાદેવભાઈએ ગાંધીજીની સાથે એવું તાદાત્મ્ય સાધ્યું હતું કે ચક્રવર્તી રાજગોપાલાચારી તેમને ‘હૃદય દ્વિતીયમ્’ કહેતા. અનેક લેખકોએ નોંધ્યું છે કે ગાંધીજી અને મહાદેવભાઈની લેખનશૈલીમાં એવું સામ્ય હતું કે લેખની નીચે સહી જોઈએ ત્યારે જ ખબર પડે કે તે લેખ કોનો છે. નારાયણભાઈ વર્ણવે છે કે ગાંધીજીના કેટલાક ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ ગાંધીજી જેટલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી વખતે તેમણે તીવ્રપણે એવી પ્રાર્થના કરેલી કે ઈશ્વર તેમનું અડધું આયુષ્ય લઈને ગાંધીજીને બચાવો.

આ મહાદેવભાઈનો જન્મ જાન્યુઆરી 1892માં. શિક્ષક પિતા હરિભાઈ અને ઊંડી ધર્મભાવનાવાળાં માતા જમનાબહેન ઉપરાંત એમના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ તેમ જ ગોધરાના પુરુષોત્તમ સેવકરામ ભગતનો મહત્ત્વનો ફાળો હતો.

તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1910માં તેઓ તત્ત્વજ્ઞાન તથા તર્કશાસ્ત્ર સાથે બી.એ. થયા અને 1913માં એલએલ.બી. થયા. ગાંધીજી ભારત આવ્યા એ વર્ષે મહાદેવભાઈ મુંબઈમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કરતા. 1915ના જુલાઈ મહિનામાં તેમની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ ને 1917માં તેઓ બધું છોડી ગાંધીજી પાસે આવી ગયા. જો કે કૌટુંબિક પાશમાંથી મુક્ત થવું સહેલું નહોતું. એ મંથનનું ચિત્રણ નરહરિભાઈના લખેલા ‘મહાદેવનું પૂર્વચરિત’માં જોવા મળે છે.

1919ની શરૂઆતમાં મહાદેવભાઈએ થોરોના ‘ઓન સિવિલ ડિસઓબિડિયન્સ’નો રાતોરાત સંક્ષેપ કર્યો – ‘કાયદાની સામે થવાની ફરજ’. પ્રેસ કાયદાનો ભંગ કરી એની નાનકડી પુસ્તિકા મુંબઈના હજારો લોકોએ ખુલ્લેઆમ વેચી સવિનય કાનૂનભંગ કર્યો. 1919ના જલિયાંવાલાં હત્યાકાંડ સમયે પંજાબ જતાં પલવલ સ્ટેશને ગાંધીજી પકડાયા, ત્યારે તેમણે મહાદેવભાઈને પોતાના વારસ કહ્યા.

19૦5માં તેમનું લગ્ન દુર્ગાબહેન ખંડુભાઈ દેસાઈ સાથે થયું. પત્ની સાથે સુંદર મનમેળ, છતાં મહાદેવભાઈ પત્ની પાસે રહ્યા તે કરતાં ગાંધીજી પાસે વધારે રહ્યા હતા! તેઓ ઘણી વાર કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ ગાતાં: ‘પાનાં પ્રારબ્ધનાં ફેરવું રે. માંહી આવે વિયોગની વાત જો. સ્નેહધામ સૂનાં સૂનાં રે.’ જો કે વિયોગ છતાં નારાયણભાઈએ લખ્યું છે તેમ મહાદેવ–દુર્ગાનાં સ્નેહધામ ભર્યાં ભર્યાં હતાં, સૂનાં સૂનાં નહીં.

19૦9ના ‘નવજીવન’ના પહેલા અંકથી મહાદેવભાઈ તેની સાથે જોડાયેલા રહ્યા અને પ્રસંગોપાત તંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી. 1921માં મોતીલાલ નેહરુના આમંત્રણથી ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી થયા. 1931માં ઇંગ્લૅન્ડથી ‘યંગ ઇન્ડિયા’નું સફળ રીતે સંપાદન કરેલું. ‘નવજીવન’ની જેમ ‘હરિજનબંધુ’, ‘હરિજન’, ‘હરિજનસેવક’ને પણ તેમની કલમનો લાભ મળ્યો હતો. 1936માં બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ-વિભાગના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ તેમની પત્રકાર તરીકેની નિષ્ઠા, પ્રતિભા ને સજ્જતાનો પ્રેરણાદાયી નમૂનો છે. તેમને 1927માં ‘નવજીવન’માંના લેખો માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું.

ગાંધીસેવા પૂર્વે મહાદેવભાઈએ સાહિત્યસેવામાં પગરણ માંડેલાં. 1915માં કરેલા લૉર્ડ મૉર્લીના ‘ઑન કૉમ્પ્રોમાઇઝ’ના ‘સત્યાગ્રહની મર્યાદા’ નામે અનુવાદે ફાર્બસ ગુજરાતી સભાનું પારિતોષિક મેળવ્યું. 1915થી 1925ના ગાળામાં રવીન્દ્રનાથના ‘ચિત્રાંગદા’, ‘પ્રાચીન સાહિત્ય’, ‘વિદાય અભિશાપ’ ઉપરાંત શરદબાબુની ‘ત્રણ વાર્તાઓ’ ને ‘વિરાજવહુ’નો અનુવાદ કર્યો. જવાહરલાલ નેહરુની તેમ જ ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદ આપ્યા. કૉંગ્રેસ કમિટીના પંજાબનાં રમખાણોના અંગ્રેજી અહેવાલનો અનુવાદ પણ કરેલો. ‘એકલો જાને રે’ કે ‘ચિંતા કર્યે ચાલશે ના’ જેવા અનુવાદો આજે પણ મન મોહી લે. 

ઉપરાંત એમણે ‘અંત્યજ સાધુ નંદ’, ‘વીર વલ્લભભાઈ’, ‘સંત ફ્રાન્સિસ’, ‘બે ખુદાઈ ખિદમતગાર’ તથા ‘મૌલાના અબુલ કલામ આઝાદ’ જેવા ચરિત્રગ્રંથો, ‘એક ધર્મયુદ્ધ’માં અમદાવાદની અહિંસક મજૂર-ચળવળનો તો ‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’માં બારડોલીના સત્યાગ્રહનો ઇતિહાસ, નરહરિ પરીખ સાથે રહીને ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો’, માર્તણ્ડ પંડ્યા સાથે ‘ખેતીની જમીન’ તેમ જ અંગ્રેજીમાં ‘ધી એપિક ઑવ્ ત્રાવણકોર’, ‘ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજિઝ’, ‘વિથ ગાંધીજી ઇન સિલોન’, ‘ધ સ્ટોરી ઑવ્ બારડોલી’, ‘ધ નૅશન્સ વૉઇસ’, ‘અનવર્ધી ઑવ્ વર્ધા’, ‘ધી ઇક્લિપ્સ ઑવ્ ફેથ’ અને ‘એ રાઇચ્યસ સ્ટ્રગલ’ એ પુસ્તકો આપ્યાં છે.

પણ ગુજરાતી તેમ જ ગાંધીસાહિત્યને મહાદેવભાઈનું સર્વોપરી અર્પણ તે ડાયરીઓ. ડાયરીઓનો પહેલો ભાગ 1948માં તો વીસમો ભાગ 1991માં પ્રગટ થયો છે. ગાંધીજીના સત્યના પ્રયોગોનો રોજ બ રોજનો પુરુષાર્થ, ગાંધીજીના સંપર્કમાં આવતી અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ, અનેક અંગત-જાહેર ઘટનાઓનાં તથા ગાંધીજીપ્રેરિત રાષ્ટ્રીય જીવનની અનેકવિધ પરિસ્થિતિઓનાં ટાંચણથી માંડી સુરેખ વર્ણનો ભરેલી આ ડાયરીઓ ગાંધીકોશની ગરજ સારે એવી છે. 1955માં એમને આ ડાયરી-સાહિત્ય માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.

ગાંધીજીના ‘અનાસક્તિયોગ’ના પોતે કરેલા અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનારૂપે લખેલા ‘માય સબમિશન’ લેખમાં મહાદેવભાઈએ ભગવદગીતાની સૂક્ષ્મ છણાવટ કરી શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન અને બ્રાઉનિંગ જેવા સાઠ ઉપરાંત પરદેશી ચિંતકોને ટાંક્યા છે! ભારતીય ચિંતકો તો જુદા. 

ગાંધીજી ૧૯૩૫માં વર્ધા રહેવા ગયા એ પછીનો સમય મહાદેવભાઈ માટે શારીરિક તેમ જ માનસિક કસોટીઓનો હતો. ૧૯૪૨ના ઑગસ્ટની ૯મીથી ૧૫મી તારીખના અઠવાડિયા દરમિયાન ગાંધીજી ઉપવાસ કરશે એ વિચારે મહાદેવભાઈના મનમાં ખૂબ ફડક પેસી ગઈ હતી. એ ફડક જ તેમના અકાળ મૃત્યુનું કારણ બની. આ મૃત્યુનો જખમ છેક સુધી ગાંધીજીને હૈયે રહ્યો. પછીનાં વર્ષોમાં પ્યારેલાલજીને કશુંક કહેવું હોય તો ગાંધીજીના મોંએથી અનાયાસ ‘મહાદેવ !’ સંબોધન સરી જતું.

અંતે ફરી સ્વામી આનંદે લખેલા શબ્દો યાદ કરીએ : ‘ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતો એ મહાન આત્મા જન્મથી જ દૈવી સંપતિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ પણ એકએકથી ચડિયાતા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 ઑગસ્ટ 2022

Loading

નફરત ભારતની માટીની પેદાશ નથી, એ આયાત કરેલી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2022

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની રાહુલ ગાંધીની પદયાત્રાને કેટલાક લોકો કાઁગ્રેસને બચાવી લેવાના અને એ દ્વારા પોતાનું નેતૃત્વ ટકાવી રાખવાના છેલ્લા પ્રયાસ તરીકે જુએ છે. પદયાત્રાને કારણે કાઁગ્રેસની સ્થિતિ સુધરશે કે કેમ અને રાહુલ ગાંધીના રાજકીય કદમાં વધારો થશે કે કેમ એ તો સમય કહેશે. મારી દૃષ્ટિએ અને મારા જેવા બીજા અનેક લોકોની દૃષ્ટિએ આ પદયાત્રા દેશને બચાવી લેવા માટેની છે. એવો દેશ જે વેદોના ઋષિઓથી લઈને વિનોબા સુધીના લોકોએ કેળવેલી ભારતની માટીની સુગંધમાં છે. એવો દેશ જ્યાં અસ્મિતાનો મહિમા નથી કરવામાં આવ્યો પણ તેને ત્યાજ્ય માનવામાં આવી છે, કારણ કે અસ્મિતા માત્ર માનવીને વિકાસમાં અવરોધરૂપ છે અને તેને વાડામાં બાંધીને રાખે છે. એવો દેશ જ્યાં નફરતનો મહિમા નથી કરવામાં આવતો. કોઈ સામે નફરત કરવા માટે પ્રમાણો શોધવાનાં, નફરત માટેનો મસાલો પેદા કરવાનો, નફરતોને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપીને બાળકોનાં મનમસ્તિષ્ક પર કબજો જમાવવો, નફરતોને સડક છાપ બાવા-બાપુઓ દ્વારા ધાર્મિક રંગ ચાડાવવો, નફરતોનું રાજકારણ કરવું, નફરતોને રાજ્યકારણનો હિસ્સો બનાવવો અને સ્વાયત્ત લોકતાંત્રિક સંસ્થાઓને કચડી નાખીને નફરતોને માન્યતા અપાવવી વગેરે ભારતની માટીની પેદાશ ન હોઈ શકે! આવું ભારતમાં ક્યારે ય બની જ ન શકે, ચિંતા કરવાની જરૂર નથી એમ માનીને તો સંઘપરિવારના નફરતના ઉદ્યોગ તરફ આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. લોકશાહીએ બક્ષેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરીને તેઓ સત્તા સુધી પહોંચ્યા છે અને હવે એ જ સ્વતંત્રતાની બાંયધરી આપતી લોકશાહીને તેઓ ખતમ કરવા માગે છે.

દેશમાં આજે જે નફરત જોવા મળી રહી છે એ આયાત કરેલી છે. ન ગમતી પ્રજાને કચડી નાખાનારો માથાભારે બહુમતી રાષ્ટ્રવાદ એ પશ્ચિમમાં વિકસેલી કલ્પના છે, જેને વિનાયક દામોદર સાવરકર ભારત લઈ આવ્યા હતા. દેખીતી રીતે જે પ્રજા ન ગમતી હોય તેની સામે ન ગમવા માટેનાં કારણો શોધવાં પડે. થોડાં સાચાં અને વધુ ઉપજાવી કાઢેલાં. સો વરસથી તેઓ વિદેશથી આયાત કરેલો નફરતનો છોડ ભારતની માટીમાં ઉગાડવાનો પ્રયાસ કરતા હતા અને સો વરસથી ભારતની માટી તેનો પ્રતિકાર કરતી હતી. આ છોડને ઉગવા દેવો એનો અર્થ એ થાય કે આપણે આપણા બાળકને અને આવનારી પેઢીઓને નફરતની વેદી ઉપર હોમી દેવાની. નફરત અશાંતિ નોતરે છે, નફરત હિંસા નોતરે છે, નફરત વિકાસ સાધનારી સર્જનાત્મક ઉર્જાને અવરોધે છે અને સરવાળે નફરત નફરત કરનારાને જ ભરખી જાય છે. વીતેલી સદીમાં જ્યાં બહુમતી રાષ્ટ્રવાદ વિકસ્યો હતો એ જર્મની અને ઇટલીને આનો અનુભવ થઈ ચુક્યો છે અને અત્યારે મુસ્લિમ દેશોને એનો અનુભવ થઈ રહ્યો છે. આ ધરતી ઉપર એવો એક દેશ બતાવો જેણે નફરત દ્વારા સુખસમૃદ્ધિ મેળવી હોય. એક દેશ બતાવો. દેશ છોડો એવો એક પરિવાર બતાવો જે નફરત દ્વારા સુખ ભોગવતો હોય. નફરત નફરત કરનારાને જ ભરખી જનારી બીમારી છે.

આમ નફરત એ ભારતની માટીની પેદાશ નથી એ આયાત કરેલી છે અને માટે આપણને માફક નથી આવતી. નફરત આધારિત બહુમતી રાષ્ટ્રવાદમાં હિંદુઓને અન્ય પ્રજા સામે સરસાઈ મળતી હોવા છતાં ૬૦થી ૬૫ ટકા હિંદુઓ તેનો પ્રતિકાર કરે છે. નફરતને અપનાવનારાઓએ વિચારવું જોઈએ કે આટલી મોટી સંખ્યામાં હિંદુઓ શા માટે હિંદુઓની રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક સરસાઈનો વિરોધ કરે છે? વળી જે હિંદુઓ બહુમતી રાષ્ટ્રવાદનો વિરોધ કરી રહ્યા છે એ તમે જોશો કે તેઓ વધારે બુદ્ધિશાળી છે, વધારે ઊંડી સમજ ધરાવે છે, વધારે ઉર્જાવાન છે, વધારે વ્યાપક નિસ્બત ધરાવે છે અને જીવનમાં વધારે સફળ છે. તમારી આજુબાજુ નજર કરી જુઓ. તો ૬૦થી ૬૫ ટકા હિંદુઓ ભારતની માટીમાં નફરતનાં ઝેર ઉગાડવાના પ્રયોગ કરવામાં આવી રહ્યા છે અને ભારતની માટીને એ રીતે કેળવવામાં આવી રહી છે એનાથી અસ્વસ્થ છે. પ્રચંડ માત્રામાં અસ્વસ્થ છે.

રાહુલ ગાંધીની પદયાત્રા ભારતની માટીને બચાવી લેવા માગતા ૬૦ ટકા અસ્વસ્થ હિંદુનું અને ૬૫ ટકા ભારતીયનું પ્રતિનિધિત્વ કરે છે. તે બધા કાઁગ્રેસી નથી. ઘણા તો કાઁગ્રેસવિરોધી પણ હશે. ઘણાએ રાહુલ ગાંધીમાં કોઈ આવડત નથી એમ માનીને તેમના નામનું નાહી નાખી પણ નાખ્યું હશે. પણ એ છતાં ય તેઓ રાહુલની પદયાત્રાને આશાથી જોઈ રહ્યા છે. ભારતનો શાણો સમાજ (જાણીતા મનોવૈજ્ઞાનિક ઍરિક ફ્રોમની ભાષામાં સેન સોસાયટી) સંગઠિત  થઈ રહ્યો છે. ભાન ભૂલેલા સમાજ સામે શાણા સમાજનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે. સહિયારા ભારત માટેની આ સુખદ ઘડી છે. રાહુલ ગાંધી આમાં નિમિત્ત બન્યા છે.

આવું માત્ર ભારતમાં બની શકે. ૬૦થી ૬૫ ટકા જર્મનોએ જર્મન નાઝીવાદ સામે પ્રતિકાર નહોતો કર્યો. ૬૦થી ૬૫ ટકા ઇટાલિયનોએ ઇટાલિયન ફાસીવાદનો પ્રતિકાર નહોતો કર્યો. મુસ્લિમ દેશોમાં તો આવો પ્રતિકાર બહુ દૂરની વાત છે. જગતના કોઈ દેશમાં આવું બન્યું નથી, જેમાં બહુમતી પ્રજા બહુમતી રાષ્ટ્રવાદનો આટલા મોટા પ્રમાણમાં અને આટલી સક્રિયતા સાથે વિરોધ કરતી હોય. બહુમતી રાષ્ટ્રવાદ નુકસાનકર્તા છે એ વાત તેનો વિરોધ કરનારાઓએ નાગરિકશાસ્ત્ર ભણીને આત્મસાત નથી કરી. સરખી રીતે નાગરિકશાસ્ત્ર ભણાવવામાં ન આવ્યું હોવા છતાં ય ભારતીય નાગરિકે તેને આત્મસાત કર્યું છે એ જગતની અનોખી ઘટના છે. (પાંચ દાયકા પહેલા શૈક્ષિણક સુધારાઓ માટે રચવામાં આવેલા કોઠારી કમિશનને એમ લાગ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીને નાગરિકતાનું શિક્ષણ આપવું જોઈએ. સારો ડૉક્ટર સારો ડૉક્ટર હોય એટલું પૂરતું નથી, તે સારો નાગરિક પણ બનવો જોઈએ. માટે જુનિયર કોલેજમાં ફાઉન્ડેશન કોર્સ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને મહાવિદ્યાલયોના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થી સંગઠનોએ મળીને નિષ્ફળ બનાવ્યો હતો.) ભારતની પ્રજાએ સહિયારા ભારતની કલ્પના ભારતની માટીમાંથી આત્મસાત કરી છે. માટે આજથી બે દાયકા પહેલા અમેરિકાના એ સમયના પ્રમુખ જ્યોર્જ બુશે મલ્ટીકલ્ચરલિઝમના સંદર્ભમાં કહ્યું હતું કે અભિગમભેદ છતાં સાથે કેમ જીવવું એ શીખવું હોય તો ભારત જાવ.

સહિયારાપણું, સહિષ્ણુતા, ઉદારતા, વિવેક, મર્યાદા ભારતની માટીમાં છે. ભારતની સુગંધ છે. ભારતની ઓળખ છે. આ હકીકત ભારતના વર્તમાન શાસકો જાણે છે. તેઓ એ પણ જાણે છે કે આ ધરતી પરના બીજા કોઈ પણ દેશથી ઊલટું ભારતની બહુમતી પ્રજા બહુમતી રાષ્ટ્રવાદનો માત્ર વિરોધ નથી કરતી સક્રિય વિરોધ કરે છે. તેઓ એ પણ જાણે છે કે તેમના વિરોધમાં પ્રચંડ અસ્વસ્થતા છે જે નિમિત્ત મળતાની સાથે ઉર્જામાં ફેરવાઈ શકે એમ છે. રાહુલ ગાંધી એ અસ્વસ્થતાને ઉર્જામાં ફેરવવામાં નિમિત્ત બની શકે એમ છે. માટે જેટલો ભારતનો શાણો સમાજ અસ્વસ્થ છે એટલા જ વર્તમાન શાસકો પણ અસ્વસ્થ છે. તેઓ જાણે છે કે શાણા સમાજનો સભ્ય ક્યારે ય કદાપી તેમનો મતદાતા બનવાનો નથી. તેમનો મદાર નફરતના ઝેર અપનાવી લીધેલા વાડે પૂરેલા ૩૫ ટકા હિંદુઓ ઉપર છે, જેમને મોંઘવારી અને બેરોજગારીના ખીલા સતાવે તો છે પણ નફરતના સુખ સામે તેને સહન કરી લે છે. આવતીકાલે નફરતના સુખ કરતાં મોંઘવારી અને બેકારીનું દુઃખ વસમું લાગવા માંડે તો? પડોશમાં શ્રીલંકામાં સિંહાલા હ્રદયસમ્રાટના શા હાલ થયા એ તમે જાણો છો. વળી વાડે પૂરેલા હિંદુઓ ભારતના મર્યાદિત પ્રદેશોમાં જ સૌથી વધુ માત્રામાં છે.

હવે પછી કસોટી રાહુલ ગાંધીની નહીં, નરેન્દ્ર મોદી-અમિત શાહની થવાની છે. બહુમતી હિંદુઓની અસ્વસ્થતા રખે ઉર્જામાં ફેરવાય એ વાતનો તેમને ડર છે. આવું થશે કે નહીં એ અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ થવાની સંભાવના પૂરી છે. શાણા સમાજની અસ્વસ્થતા કરતાં તેમની અસ્વસ્થતા ઘણી વધુ છે કારણ કે સો વરસની નફરતની ખેતી હજુ રાષ્ટ્રીય ખેતીમાં તો નથી જ પરિણમી! તેમનો આખો મદાર ભારતના મર્યાદિત પ્રદેશમાં ખીલે બાંધેલા મર્યાદિત સમર્થકો ઉપર છે અને તેમને મોંઘવારી અને બેકારીનો ડંખ સતાવી રહ્યો છે. એમાં વળી રાહુલ ગાંધી સક્રિય શાણા સમાજને સંગઠિત કરવામાં નિમિત્ત બને તો? શાણા સમાજનું ધ્રુવીકરણ તેમને ક્યારે ય ન પરવડે. કદાચ તેઓ હજુ વધુ આક્રમક બનશે. કદાચ તેઓ અંજીરનું પાન પણ ફગાવી દે. હવે પછીના દિવસો નિર્ણાયક હશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2022

Loading

ટૂંકમાં (૮) : વાણી અને લેખન : 

સુમન શાહ|Opinion - Literature|14 September 2022

સાહિત્યસર્જકો અને સાહિત્યના અધ્યાપકોનો પાયાનો સમ્બન્ધ વાણી અને લેખન સાથે છે. પ્રજાજનોની સરખામણીએ તેઓ સરસ બોલતા હોય છે, સરસ સરજતા હોય છે, લખતા હોય છે.

વાણી બાબતે આપણી ભાષામાં બે કહેવતો છે : બોલે તેનાં બોર વેચાય : ન બોલ્યામાં નવ ગુણ : બન્ને કહેવતો એકબીજાની વિરોધી લાગે છે.

અધ્યાપક પોતાના વર્ગમાં સાહિત્યના શિક્ષક તરીકે શુદ્ધ ભાષામાં બોલે, મધુર બોલે, ને અર્થપૂર્ણ વાત કરે તો એનાં બોર જરૂર વેચાય. વ્યાખ્યાન એ જો હસીને કરે તો ઘણાં વેચાય. બને કે દીવેલિયા મૉઢે બોલતા અધ્યાપક માટે વિદ્યાર્થીઓને – એમને આજે શું ખાધું હશે, જેવા પ્રશ્નો થાય.

ટી-ટેબલ પર અન્ય અધ્યાપકો વચ્ચે એ મૌન જાળવે એમાં એનું હિત છે. પણ ઘરે જઈને મૌન ન જાળવે એમાં ય એનું હિત છે. કેમ કે એને પાછો આવેલો જોઈને ઘરનાં તો ખુશ થઈ ગયાં હોય : પત્ની પૂછે, ચા હમણાં બનાવી દઉં કે થોડી વાર પછી? : જવાબમાં અધ્યાપકે ફટાફટ બે-ત્રણ હકારવાચક વાક્યો બોલી નાખવાં જેથી ચિન્તાળુ પત્નીને શાન્તિ થાય કે – ચાલો આજે પણ એમને બહુ કષ્ટ નથી પડ્યું. અધ્યાપક-દીકરીને પિતા પૂછે : બેટા, આવી ગઈ, સરસ; ટ્રાફિક તો ન્હૉતો નડ્યો ને? : એવા પ્રશ્નના જવાબમાં અધ્યાપક-દીકરી સસ્મિત જરાક મૌન પાળે અને તે પછી ટ્રાફિકનું લાંઆંબું વર્ણન કરે તો એ વધારે વ્હાલી લાગે. બાકી, કશું કહ્યા વિના સીધી એના રૂમમાં ચાલી જાય, તો – એવું તે શું થયું હશે, જેવા પ્રશ્નો જાગે.

વક્તાએ પોડિયમ પર પૂરી તૈયારી સાથે જવું, અગડમ્ બગડમ્ કે કવેતાઈ ન બોલવું. વાસી ન બોલવું કેમ કે બોરાં વેચનારા પણ તાજાં નવાં બોરાં લઈને ઊભા હોય છે. એણે એવી ઠાંસ ન રાખવી કે જે બોલીશ તે ઝિલાશે કેમ કે હું તો અનુત્તમ અછાન્દસકાર તરીકે સાહિત્યસમાજમાં વરસોથી છવાઈ ગયેલો છું. સભામાં કાનફૂસિયાં કે ફુસફુસાહટમાં એને માટે શું યે ક્હૅવાયેલું એની જાણ થોડીક વારમાં એના સિવાયનાં સૌને થઈ જતી હોય છે. એણે વિષય માગે તેટલું જરૂર બોલવું પણ એટલું ઓછું પણ ન બોલવું જેથી એ કંગાળ ભૂખડીબારસ લાગે. એણે એવી તુમાખી ન રાખવી કે સંસ્થાનો પ્રમુખ છું કે બેઠકનો અધ્યક્ષ છું એટલે જેટલું બોલીશ એટલું ચાલી જશે. આયોજક અને શ્રોતાઓ અદૃશ્ય ચીડથી એને વિશે શું યે બબડતા હોય તે તો હું યે નથી જાણતો. સૉરિ, જાણું છું પણ આ સ્થાને કહી નથી શકતો.

અધ્યાપકે તેમ જ કોઈપણ વક્તાએ સમજી રાખવું કે મૌન તત્ત્વાર્થમાં વાણીનું જ એક રૂપ છે. મૌનનો એક અર્થ સમ્મતિ થાય; બીજો, અસમ્મતિ થાય. મૌન સમ્મતિ અને અસમ્મતિ વચ્ચેનો સંમિશ્ર અર્થભાવ પણ સૂચવે. વાણી ઉપરાન્ત મૌનના એ બધા ભેદ સાચવી જાણે એને નવ તો નહીં પણ એક-બે ગુણ અવશ્ય લાધે.

લેખન બાબતે પણ આપણી ભાષામાં એક કહેવત છે : લખતાં લહિયો થાય : આ કહેવતને સમજવી જોઈએ – ઊંધું ઘાલીને લખ્યે રાખીશ તો એક દિવસ લહિયો થઈ જઈશ, અતિ ન લખીશ. અલબત્ત, એક જમાનામાં લહિયાઓ પણ માગ્યા મુજબનું ચૉકક્સ લખી આપતા’તા. કહેવતના ઉત્તરાર્ધમાં કહ્યું છે – પૂછતાં પણ્ડિત નીપજે. મતલબ, અતિ ન લખવું પણ બહુ પૂછવું જરૂર.

અધ્યાપકે સમજી રાખવું કે બોલવું, મૌન પાળવું તેમ વાંચવું ને ખૂબ જ પૂછવું એ એના અધ્યાપકીય જીવનની જીવાદોરી છે.

કેટલાક નિ:સામાન્ય નવલકથાના લેખકો એમની જાણ બ્હાર લહિયા થઈ ગયા હોય છે. એવો એક લહિયો લોકપ્રિય અને મોટો સાહિત્યસેવક હોય એમ અમારા ભાષાભવનમાં એના વક્તવ્ય દરમ્યાન આત્મપ્રશસ્તિ કરવા લાગેલો – જુઓ ને, લખી લખીને મને આંગળીએ કેવાં આંટણ પડી ગયાં છે. બાજુમાં બેઠેલા મને સજા જેવાં એનાં આંટણ જોતાં સારું લાગેલું. એવાઓ કોઈને કશું પૂછતા જ નથી, પૂછ્યા વિના કોઈનું તફડાવી લે છે ખરા. એમને કદીપણ પણ્ડિત તો થવું જ નથી હોતું. એટલું જ નહીં, પણ્ડિતોને સમીક્ષકોને કે અધ્યાપકોને ભૂતકાળમાં ગાળો દઈ ચૂક્યા હોય છે. કેમ? કેમ કે એઓએ એમની રચનાઓની ટીકાટિપ્પણી કરી હોય છે, અને ‘ટિકાટિપ્પણી’ સંજ્ઞાના તત્ત્વાર્થની એમને કશીયે ખબર હોતી જ નથી.

એ મુદ્દો જુદો છે કે ન લખવાથી સાહિત્યજગતને ફાયદો થાય કે નહીં.

પણ કેટલાક ક્હૅતા હોય છે કે હું તો પૂર્ણતાવાદી છું, પરફૅક્શનિસ્ટ, એકદમ સારું ન લખાય તો ન જ લખું. એ ભૂલી જાય છે કે એકદમ સારા માટે જેવો કે તેવો શુભારમ્ભ કરવો પડે છે અને જીવ માને નહીં ત્યાંલગી મંડ્યા રહેવું જરૂરી હોય છે. કેટલાક ક્હૅતા આવે છે, સુમનભાઈ, તમારી બધી વાત બરાબર, પણ સામ્પ્રતમાં સાહિત્યની કોઈને જરૂર જ નથી. સાહિત્યની વાત કે ચર્ચાની પણ કોને જરૂર છે? વિદ્યાર્થીને ડિગ્રી જોઈએ છે, જ્ઞાન નહીં. જવાબમાં હું એને કહેતો હોઉં છું કે સામ્પ્રત જો એવું દયાજનક છે તો સમજ, કે એ વાસ્તવિકતા જ તારે કે મારે લખવા માટેનું મોટું કારણ છે. મારી એ વાત પણ એને બરાબર લાગે એ માટે એ મને તાક્યા કરે છે.

ન લખવાથી શું થાય એ સમજી લેવાની જરૂર છે – ધીમે ધીમે લેખનશક્તિ નામે જે કંઈ હોય એનો નાશ થવા માંડે. પહેલાં, ફકરો ભરીને ઇમેઇલ કરે કે મૅસેજ મોકલે, પછી નાના ફકરા, પછી બે-ત્રણ વાક્યો, પછી એકાદ શબ્દગુચ્છ, એ પછી ઓકે, હા, હમ્મ, અને છેવટે, નમસ્કારનું કે કોઈપણ સગવડસાધક ઇમોજી.

તાત્પર્ય, એક દિવસ એવો આવે જ્યારે એ ઇચ્છે તો પણ લખી ન શકે – ન એક વાક્ય કે ન એક કાવ્યપંક્તિ. આંગળાં પેન પકડે ખરાં, પણ એની સર્જકતા વસૂકી ગઈ હોય એટલે કશું ટપકે જ નહીં. લેખક તરીકે એ મટી / મરી ગયો હોય. લેખક તરીકેનું પોતાનું જ અવસાન એ જીવતેજીવત અનુભવ્યા કરે. ઇમોજીઝ જોયા કરે. ઇમોજીને હું લેખકના અવસાનનું પ્રતીક સમજું છું.

ટૂંકસાર એ છે કે સાહિત્યકારજીવે નિરન્તર કંઈ-ને-કંઈ લખવું. એ જરૂરી નથી કે લખ્યું તે બધું પ્રકાશનયોગ્ય હોય. પણ મશહૂર ગાયકો, હરિપ્રસાદ કે શિવકુમાર, રોજ રિયાજ કરે, એમ સાહિત્યકારજીવે પણ રોજ સવારે બપોરે કે રાતે શબ્દની ઉપાસના-સાધના-આરાધના કરવી જરૂરી છે. અકારણ લખનારો જ કદાચ ખરો તપસ્વી છે.

કલાસર્જનના મર્મીઓ ‘પ્રતિભા’ અને ‘વ્યુત્પત્તિ’-ને સર્જનનો મહત્ હેતુ ગણે છે પણ એમ પણ સૂચવે છે કે ‘અભ્યાસ’ એટલે કે નિરન્તરની સાધના નહીં હશે તો એ બે મહત્ હેતુ વ્યર્થ નીવડશે; હું એટલે લગી કહું કે અજાગલની જેમ લટક્યા કરશે. દરેક માણસે ભોજન તો કરવું જ પડે છે – પ્રતિભાવન્ત અને વ્યુત્પન્ન મોટાએ – આપોપા મોટાએ – કે નવોદિતે. ‘અભ્યાસ’ લેખકમાત્રનો ખોરાક છે.

વાણીસંયમ, લેખનવિવેક વગેરે વિશે પણ કહી તો શકાય પણ સમજદારો વચ્ચે આટલા ઇશારા કાફી છે. 

(September 14, 2022: USA)

અજાગલ = બકરીના ગળાના આંચળ

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2561,2571,2581,259...1,2701,2801,290...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved