Opinion Magazine
Number of visits: 9667577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યર ઑફ મિલેટઃ અંગ્રેજોને કારણે હાંસિયામાં ધકેલાયા મિલેટ્સ હવે સુપરફૂડનું છોગું મળ્યું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 February 2023

મિલેટ્સ કૂલ 131 દેશોમાં ઉગાડાય છે અને તે એશિયા અનેઆફ્રિકાનાં 60 કરોડ જેટલા લોકોનું પારંપરિક ખાણું છે, મિલેટ્સનો પહેલો પુરાવો હડપ્પાની સંસ્કૃતિના વખતનો મળી આવ્યો છે

છેલ્લા કેટલાક દિવસોથી ‘મિલેટ્સ’ (Millets) ચર્ચાનો વિષય બન્યા છે. યુનાઇટે નેશન્સે 2023ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઑફ મિલેટ જાહેર કર્યું છે અને આ કરવા માટેનું સૂચન ભારતીય સરકારે યુ.એન.ને 2019માં કર્યું હતું. મિલેટ્સ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી ભારત સરકાર જેટલું થઇ શકે અને જેવું થઇ શકે તેવું બનતું બધું જ કરી રહી છે. વડા પ્રધાને કેટલાક સાંસદો સાથે મિલેટ્સમાંથી બનાવેલી વાનગીઓની મિજબાની પણ કરી. જ્યારે 1લી ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સિતારમણે બજેટ રજૂ કર્યું, ત્યારે તેમણે મિલેટને એક ઉમદા ખોરાક ગણાવ્યાં અને તરત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત ટેબલ પર થાપ આપી વધાવી લીધી અને બીજા સાંસદોએ પણ એ ઉત્સાહને ટેકો આપ્યો. ભારતે છેલ્લા કેટલાક વખતથી મિલેટ્સનો પ્રચાર પ્રસાર કરવાનું બીડું ઝડપ્યું છે. વિદેશમાં પણ ભારતીય મિલેટ્સની લોકપ્રિયતા વધારવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. તાતા અને આઇ.ટી.સી. જેવી મોટી કોર્પોરેટ્સ પણ મિલેટ્સ સંબંધિત પ્રોડક્ટ્સ બનાવવામાં હોંશે હોંશે પોતાનું યોગદાન આપી રહી છે.

મિલેટને હિંદીમાં મોટું અનાજ કહેવાય છે અને ગુજરાતીમાં બરછટ અનાજ – મિલેટ્સ એટલે શું એ સવાલ બાજરી અને જુવાર જમનારા આપણને આમ તો ન જ થાય, પણ ભારતમાં દસ જાતના મિલેટ્સ ઉપલબ્ધ છે. મિલેટ્સ એટલે નાના દાણાનું જૂથ, આમ તો બીજ જે ઘાસ જેવી ડૂંડીમાં ઊગે અને મોટે ભાગે ગરમ દેશો અને ઓછી રસાળ-ફળદ્રુપ જમીનમાં મિલેટ્સની ખેતી થતી હોય છે.  મુખ્ય અનાજ જેમ કે ઘઉં કે ચોખાથી તેનો દાણો નાનો હોય છે. મિલેટ્સ કૂલ 131 દેશોમાં ઉગાડાય છે અને તે એશિયા અને આફ્રિકાનાં 60 કરોડ જેટલા લોકોનું પારંપરિક ખાણું છે. મિલેટ્સનો પહેલો પુરાવો હડપ્પાની સંસ્કૃતિના વખતનો મળી આવ્યો છે. જે મિલેટ્સ હડપ્પાની સંસ્કૃતિમાં હોવાના પુરાવા મળ્યા છે તે અંગે આટલો શોર-બકોર કેમ? વળી આજકાલ સુપરફૂડ્ઝનું લેબલ જેની સાથે જોડાઇ ગયું છે એવા આ મિલેટ્સ કંઇ આપણને અચાનક જ પ્રાપ્ત થયા છે એમ નથી. તો પછી એવું તો શું થયું જેનાથી અચાનક જ ગરીબની થાળીની શોભા ગણાતા, જુવાર, બાજરી, નાચણી કે કાંગને આગળ કરવામાં આવ્યા?

ભારતમાં તો આ ધાન પહેલાં પણ પ્રચલિત હતા જ, વૈદિક કાળમાં લખાયેલ યજુર્વેદમાં પણ આ ધાનનો ઉલ્લેખ છે. જો એમ હોય તો આ ઘઉં અને ચોખાનું મહત્ત્વ આટલું બધું કેવી રીતે વધી ગયું? આ શરૂઆત થઇ અંગ્રેજોના વખતમાં. બ્રિટિશ રાજ હતું ત્યારે મિલેટ્સ ભારતનો મુખ્ય આહાર હતો પણ સામ્રાજ્યવાદી અંગ્રેજોને તો શેરડી અને કપાસના પાકમાં રસ હોત અને માટે જ બાજરી અને જુવાર જેવા મિલેટ્સનો પાક લેવાની વાત અભેરાઈએ ચઢી ગઇ. જો કે સ્વતંત્રતા પછી મિલેટ્સને પાછી અગત્યતા તરત મળી ગઇ, તેમ નહોતું થયું કારણે ૫૦ના દાયકા પછી રાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાના પ્રશ્નો હતા. અંગ્રેજો ભારત છોડીને ગયા ત્યાં સુધીમાં ચોખા અને ઘઉં ભારતીયોનો મુખ્ય ખોરાક બની ગયા હતા પણ તેની અછત પણ એટલી જ હતી. આ અછત લાંબી ચાલી, જ્યાં સુધી હરિયાળી ક્રાંતિનું હળ ન ફર્યું ત્યાં સુધી અને ત્યાર બાદ સિંચાઇની સારી સવલતો, ખેતીની નવી પદ્ધતિઓ અને બહેતર ગુણવત્તા વાળું બિયારણ વપરાતું થયું. હરિયાળી ક્રાંતિને પગલે ભારત આખરે અનાજની આયાત કરતાં અટક્યો અને આપણે સ્વાવલંબી દેશ તો બન્યાં જ પણ સાથે આપણે અનાજની નિકાસ કરતાં થયા. જો કે આ બધામાં ય કેન્દ્ર સ્થાને તો ચોખા અને ઘઉં જ હતા કારણ કે મિલેટ્સનો પાક ચોખા-ઘઉં જેવા મુખ્ય અનાજ કરતાં ઓછો હોવાથી ખેડૂતોને આર્થિક લાભ ન થતો.  મિલેટ્સ ઉગાડવા માટે વપરાતી જમીનનો વિસ્તાર પણ ઘટ્યો, ખેડૂતોએ જુવાર-બાજરાને જાણે નોધારા કરી દીધા. એમાં પાછું રાશનિંગ અને પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમને કારણે સ્વાવલંબી પ્રજા જે પોતાનું ધાન જાતે ઉગાડતી તેમને મફત અનાજ મળતા તેમણે પણ આ પાક લેવાનું બંધ કર્યું, વળી તેમને વહેંચણીમાં મળતા ઘઉં અને ચોખા એટલે જુવાર-બાજરી સાવ ખૂણામાં ધકેલાઇ ગયા. 

આ બધાનું એક મોટું પરિણામ આવ્યું કે ભારતમાં કેલરી ધબાધબ વધી અને સાથે ડાયાબિટીસનું પ્રમાણ પણ, અને ઘઉં ચોખા જમવામાં સૂક્ષ્મ પોષણને મામલે આપણે પાછળ રહી ગયા. ચોખા કે ઘઉંમાં ઝિંક અને આયર્ન જેવા તત્ત્વો નથી હોતા અને ભારતમાં કુપોષણનો પ્રશ્ન કેટલો મોટો છે તે આપણે જાણીએ છીએ. બદલાયેલા વર્તમાન સંજોગોમાં મિલેટ્સને આગળ કરવામાં આવી રહ્યા છે. ભારત આ પ્રકારના ધાનનું ઉત્પાદન કરવામાં મોખરે છે અને જો તેને પ્રોત્સાહન મળે તો આપણને આર્થિક ફાયદો પણ થાય. આમ કરવામાં મિલેટ્સને વધુ પડતું જ મહત્ત્વ મળી જાય એમ બને પણ જે રીતે તે અંગ્રેજોના સમયથી બિનજરૂરી થઇ ગયા છે તે જોતાં આવું થાય તો કંઇ ખોટું ન કહેવાય.

હવે આપણા શરીરનું વિજ્ઞાન સમજીએ. આપણે જે પણ ખાઇએ તેમાંથી મોટા ભાગનું ગ્લુકોઝમાં ફેરવાઇને લોહીમાં ભળે. ગ્લુકોઝ ખાંડનું સાદું સ્વરૂપ છે, ખોરાકમાંથી જેટલી જલદી ગ્લુકોઝ બને એટલું જ એ ખાવાનું આપણને ગમે. વનસ્પતિ જ ખોરાકની લોકપ્રિયતા અથવા વ્યવસાયી સફળતાનો આધાર હોય છે તેની સુગર ડિલીવરી સિસ્ટમની ગતિ – આ મામલે પણ ચોખા અને ઘઉંએ મિલેટ્સને પાછળ મૂક્યાં. આપણે બધાં ખાંડના ગુલામ બની ચૂક્યાં છીએ. મિલેટ્સનું પરિવર્તન ગ્લુકોઝમાં ઘઉં અને ચોખા કરતાં ઘણું ધીમું થાય છે અને માટે તેને સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાય છે. મિલેટ્સમાં કોમ્પલેક્સ કાર્બ્ઝ હોવાથી તે ગટ માટેના સારા બેક્ટેરિયા માટે ફાયદાકારક હોય છે તો તેમાં રહેલું ફાઇબર પ્રોબાયોટિકનું કામ કરે છે, હ્રદય રોગનાં જોખમને ઘટાડવા માટે પણ મિલેટ્સ જરૂરી છે અને તેમાં વિટામિન એ, બી, પોટેશિયમ, ફોસ્ફરસ, એન્ટિઑક્સિડન્ટ્સ, નિયાસિન, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે. ગ્લૂટન ફ્રી ખાનારાઓ માટે મિલેટ્સ ઉત્તમ વિકલ્પ છે પણ અતિરેક તો કશાનો પણ સારો નહીં અને હાઇ ફાબરને કારણે થતું ધીમું પાચન અમુક લોકોને સદે નહીં એમ પણ બને.

ખેડૂતોની દૃષ્ટિએ વિચારીએ તો મિલેટ્સ ઉગાડવાનું આસાન છે, તેને માટે બહુ પાણી કે ખાસ ખાતરની જરૂર નથી પડતી. તેનો પાક મુખ્ય પાક ઉગાડવાની વચ્ચેની મોસમમાં લઇ શકાય છે. હવે કેન્દ્ર સરકાર ભારતને મિલેટ્સના મુખ્ય ઉત્પાદક અને નિકાસ કરનારા તરીકે વૈશ્વિક સ્તરે વધુને વધુ આગળ કરવાના બધાં જ પ્રયાસ કરી રહી છે. યુ.એન.ને 2023ને યર ઑફ મિલેટ્સ જાહેર કર્યું છે એટલે ભારતીય ખેડૂતોને પણ એક નવી ગતિ મળશે. મિલેટ્સ ખેતીનું ભાવિ બદલી શકે તેમ છે, એમાં ય જ્યારે ભારતની જમીનમાં ભૂગર્ભ જળ 61 ટકા ઘટ્યું છે ત્યારે એવા પાક જેમાં પાણી ઓછું જોઇએ તે તો આશીર્વાદ જ કહેવાય.

બાય ધી વેઃ

ગ્લૂટન ફ્રી, ફાઇબર રિચ, વિગન, ડેરી ફ્રી – આ બધા શબ્દો ભલે આપણે સાંભળતા હોઇએ પણ દરેકનું તંત્ર જુદું હોય અને માટે જ બધા માટે એક સરખું ડાયટ ન ચાલે. મિલેટ્સ શ્રેષ્ઠ છે એમ માનીને મંડી ન પડવું પણ એક્સપર્ટ પાસેથી તમને શું સદે છે તે જાણીને આ ધાનને પોતાના રોજિંદા આહારમાં ધીરે ધીરે ઉમેરવું. થાયરોઇડ હોય તો મિલેટ્સ ન સદે, પાચનતંત્ર ગરબડ હોય તો એકદમ જ મિલેટ્સનો મારો ન કરાય જેવી બાબતો સમજવી જરૂરી છે. અધૂરામાં પૂરું ખાસ તો એ કે આ મિલેટ્સને મોંઘાદાટ કરીને બ્રાન્ડ બનાવાશે તો શું થશે એ વિચારવું રહ્યું. કિનોઆ જે ભારતીય નથી તે મોંઘું દાટ છે પણ લોકો ખરીદીને ખાય છે, એવું સન્માન આપણા દેશી મિલેટ્સને મળવું જોઇએ તો સાથે ખેડૂતોને પણ તેનો પાક લેવાનો ફાયદો થવો જોઇએ નહિંતર જે ઉદ્દેશથી મિલેટ્સને પ્રચલિત કરાયા છે તે જ પાર નહીં પડે અને આપણે ડાયાબિટીસ અને બેડ કોલેસ્ટ્રોલ વાળો દેશ રહીશું અને ખેડૂતો બેહાલ બનશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ફેબ્રુઆરી 2023

Loading

માનવી શ્રેષ્ઠ બની શકે, પણ પૂર્ણ તો ઈશ્વર જ છે : પ્રમુખસ્વામી

સોનલ પરીખ|Opinion - Opinion|12 February 2023

આપણું જીવન અનેકના પરિશ્રમથી ટકી રહ્યું છે. તેને યથાશક્તિ પાછું વાળવું જોઈએ. અન્યના ઉત્કર્ષમાં જ આપણો ઉત્કર્ષ છે, અન્યના સુખમાં જ આપણું સુખ છે. મધમાખી ફૂલના રૂપરંગ કે ગંધને નુકસાન પહોંચાડ્યા વિના તેનો અર્ક ખેંચી લે છે અને મધ બનાવે છે. ગુણાતીત સાધુ હોય કે નિષ્ઠાવાન નાગરિક – મધમાખીનો આ ગુણ સૌએ અપનાવવો જોઈએ. 

— પ્રમુખસ્વામી

એક સુંદર પંક્તિ છે, ‘તમે એક નાનકડું ફૂલ પણ તોડી શકો નહીં, એક તારાના કંપન વગર.’ તરણાંથી લઈ નક્ષત્રો સુધીના આ મહાવિરાટ વિસ્તારમાં વ્યાપ્ત તત્ત્વને અધ્યાત્મ ઈશ્વર કહે છે ને વિજ્ઞાની સૃષ્ટિના સર્વોચ્ચ બળ તરીકે ઓળખાવે છે.

આ વાત જુદીજુદી રીતે પહેલા પણ કહેવાઈ છે, પણ જ્યારે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામનું પુસ્તક ‘ટ્રાન્સેન્ડન્સ’ વાંચીએ ત્યારે આ સત્યનો એક અલગ જ સ્તર પર સાક્ષાત્કાર થાય છે. આ પુસ્તકમાં કલામ સાહેબે પોતાનાં ટૅક્નૉલૉજિકલ અભિયાનો તેમ જ રાજનૈતિક અને આંતરરાષ્ટ્રીય નિર્ણયોનાં મૂળમાં રહેલા પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના આધ્યાત્મિક અનુબંધને ખુલ્લા મનથી વર્ણવ્યો છે.

બી.પી.એસ.ના વડા ધર્મગુરુ પ્રમુખસ્વામીના શતાબ્દીવર્ષે અમદાવાદમાં ઊભા થયેલા પ્રમુખસ્વામીનગરમાં ભરાયેલો ભવ્ય મેળો 2022ની આખર અને 2023ના આરંભને જોડતો, એક મહિના સુધી દેશની જનતાના આધ્યાત્મિક આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનો છે ત્યારે વાત કરીએ એક વિજ્ઞાની અને એક ધર્મગુરુ વચ્ચેના અનોખા અદ્દભુત અનુબંધની.

ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ પર પ્રમુખસ્વામીની એવી જબરદસ્ત અસર પડી હતી કે તેમણે રાષ્ટ્રપતિપદ પ્રમુખસ્વામીના આશીર્વાદ સાથે ગ્રહણ કર્યું હતું અને પ્રમુખસ્વામીની જ પ્રેરણાથી પોતાની ટર્મ પૂરી થઈ ત્યારે ફરી વખત એ પદ માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો.

2001માં રાષ્ટ્રપતિ તરીકે વરણી પામ્યા પહેલાં એ.પી.જે. અબ્દુલ કલામ પ્રમુખસ્વામીને પહેલીવાર મળ્યા હતા. પોતાના ‘વિઝન 2020’ના વિચારને સ્વામીજી સામે મૂકતાં તેમણે કહેલું, ‘ભારત એક વિકાસશીલ દેશ છે. આવતાં ત્રીસ વર્ષમાં તેને વિકસિત દેશ બનાવવા માટે અમે પાંચ ક્ષેત્રોમાં પરિવર્તન કરવા માગીએ છીએ : શિક્ષણ-આરોગ્ય, કૃષિ, માહિતી-પ્રત્યાયન, માળખાકીય સુવિધાઓ અને ટૅકનૉલૉજી. પણ સ્વામીજી, આ ક્ષેત્રોમાં પરિવર્તન તો જ થાય જો મૂલ્યનિષ્ઠ નાગરિકો તૈયાર થાય. એ કેમ કરવું?’ સ્વામીજીએ કહ્યું, ‘દેશના ઉત્થાન માટે તમે જે પાંચ ક્ષેત્રો નક્કી કર્યાં છે, તેમાં છઠ્ઠું ક્ષેત્ર ઉમેરી દેજો, શ્રદ્ધા અને અધ્યાત્મ થકી લોકોનો વિકાસ. એ વિના તમારું સ્વપ્ન પૂરું નહીં થાય.’ વિદાય વખતે પ્રમુખ સ્વામીએ કલામ સાહેબનો હાથ પકડી કહ્યું હતું, ‘ભૂતકાળમાં ઋષિઓએ આપણને વિજ્ઞાન પણ આપ્યું હતું. તમે એક ઋષિ જ છો. જાઓ અને યુવાધનને વિકાસોન્મુખ બનાવો. દેશનું નેતૃત્વ કરો.’

ત્યાર પછી બરાબર એક વર્ષે ભારતના અગિયારમા અને પ્રથમ વિજ્ઞાની રાષ્ટ્રપતિ તરીકે ડૉ એ.પી.જે. અબ્દુલ કલામની શપથવિધિ થઈ. સમય કપરો હતો. રાજકીય પડકારો, કુદરતી આફતો અને કોમી હુલ્લડો દેશને રોળી રહ્યાં હતાં. યુવાધનને પ્રબુદ્ધ અને કૌશલ્યયુક્ત બનાવવાનું મિશન લઈ કલામ સાહેબ પરિશ્રમ કરતા રહ્યા. પ્રમુખસ્વામીએ વિદ્યામંદિરો સ્થાપ્યાં. 2005માં દિલ્હીમાં દુનિયાનું સૌથી મોટું મંદિર અક્ષરધામ બન્યું ત્યારે કલામ સાહેબે પૂછ્યું, ‘મંદિરો શા માટે બનાવો છો?’ ત્યારે પ્રમુખસ્વામીએ કહ્યું, ‘મંદિર એ અગોચરનું મૂર્ત સ્વરૂપ છે, માટે. હવે તમે કહો, મંદિરમાં આવનારને કયો સંદેશો મળવો જોઈએ?’ ‘ભારતીય હોવાનું ગૌરવ જાગવું જોઈએ.’ ‘મારો પણ એ જ પ્રયત્ન છે.’ આ હતું બંને મહાનુભાવોનું મનોજગત. 2000માં ભરાયેલી યુનોની મિલેનિયમ વિશ્વશાંતિ પરિષદમા પ્રવચન આપતાં પ્રમુખસ્વામીએ કહ્યું હતું, ‘આપણે ધર્મગુરુઓએ વિશ્વમાં એક જ ધર્મ પ્રસારવાનો ખ્યાલ સેવવાને બદલે એવા વિશ્વનો ખ્યાલ સેવવો જોઈએ જ્યાં બધા ધર્મમાં એકતા હોય.’

એક દિવસ કલામ સાહેબને થયું કે રાષ્ટ્રપતિભવનમાં પ્રમુખસ્વામીની પધરામણી કરવી. સ્વામીજી ત્યારે બીમાર હતા. બોલ્યા, ‘તમે જ્યારે મને યાદ કરો છો ત્યારે હું ત્યાં જ હોઉં છું.’ યુરોપિયન સંસદને સંબોધતી વખતે કલામ સાહેબે રાષ્ટ્રપતિપદ ગ્રહણ કરતાં પહેલા પ્રમુખસ્વામીએ એમને જે શબ્દો કહેલા તેને યાદ કર્યા હતા. આ શબ્દો હતા, ‘ઈમાનદારી, જ્ઞાન, અનાસક્તિ અને શ્રદ્ધાથી કામ કરવું.’

ટર્મ પૂરી થયા પછી કલામ સાહેબને ફરી ચૂંટણી લડવાનો આગ્રહ કરવામાં આવ્યો. વિજયની પૂરી શક્યતા હતી. પ્રમુખસ્વામી કહે, ‘હવે કાર્યભાર લેશો નહીં. પૂરી શક્તિથી લોકોની સેવા કરો.’ પોતાની જે બે સૂટકેસ સાથે પ્રવેશ્યા હતા, એ જ બે સૂટકેસ સાથે કલામ સાહેબ રાષ્ટ્રપતિભવન છોડી ગયા. વિદાયવેળાના વક્તવ્યમાં કહ્યું, ‘જ્યાં ગ્રામ્ય અને શહેરી ભારત વચ્ચેની ભેદરેખા પાતળી હશે, સહુને સમાનપણે ઊર્જા અને સ્વચ્છ પાણી મળશે, જ્યાં ઉદ્યોગો અને સેવાક્ષેત્રો સુમેળથી કામ કરતાં હશે, જ્યાં ગરીબી, શોષણ અને નિરક્ષરતા નહીં હોય, તેવું ભારત મારું સ્વપ્ન છે.’

યુવાનોને તૈયાર કરવાના સંકલ્પ સાથે પછી કલામ સાહેબ ભારતભરમાં ફરતા રહ્યા, ‘સ્વામીજી, હવે હું સાધુની જેમ મુક્ત વિહાર કરું છું.’ ‘મેં નહોતું કહ્યું, તમે એક ઋષિ છો? પ્રાચીન ઋષિઓ વિજ્ઞાની હતા, બ્રહ્મચારી હતા અને હા, લાંબા વાળ પણ રાખતા. તમે તેવા જ છો.’

સ્વામીજી પણ સતત પ્રવાસ કરતા. 17,000થી વધુ ગામડાંની મુલાકાત લીધી હતી. ગરીબ ભક્ત કે મોટા નેતાને સમાનભાવે મળતા. યુવાનોને સાત મુદ્દાની પ્રતિજ્ઞા લેવડાવતા : ધ્યેયેનિષ્ઠા, પરિશ્રમ, નિર્ભયતા, સ્વચ્છતા, ચારિત્ર્ય, પ્રમાણિકતા અને દેશપ્રેમ. તેમના શક્તિશાળી નેતૃત્વે સંગઠન અને સહકારનું બળ સર્જ્યું, આંતરકલહ સામે રક્ષાકવચ પૂરું પાડ્યું.

કલામ કહેતા, ‘જીવન ગમે તેટલું વિપરીત હોય, ઉત્સાહથી જીવો. સંજોગોનો સામનો કરો અને બીજા જેવા બનવાની લ્હાયમાં સમય ન વેડફો. આપણે બીજાના નહીં, પોતાના અનુભવો જીવવા પૃથ્વી પર આવ્યા છીએ.’ સ્વામીજી કહેતા, ‘શ્રેષ્ઠતાને પૂર્ણતા ગણશો નહીં. માનવી શ્રેષ્ઠ બની શકે છે, પણ પૂર્ણતા ઈશ્વરનો જ ગુણ છે.’ કલામે કહ્યું છે, ‘દરિયા પાસેથી હું ઊર્જા અને શિસ્તનો અર્થ શીખ્યો છું.’ સ્વામીજીએ કહ્યું છે, ‘સત્ય અને પ્રેમ માનવીની મૂળભૂત પ્રકૃતિ છે. લાલસા, રિવાજો, અંધશ્રદ્ધા તેના મૂળ સ્વભાવને ઢાંકી દે છે.’

પ્રમુખસ્વામી કહેતા, ‘જે ઈન્દ્રિયો અને મનને તાબે ન થાય પણ તેને નિયંત્રણમાં રાખે, જે કામનારહિત, આસક્તિરહિત અને અહંકારરહિત થઈ પરમતત્ત્વના સંસર્ગમાં રહે તે સત્પુરુષ.’ તેઓ પોતે અને કલામ સાહેબ આવા જ સત્પુરુષો હતા. પ્રમુખસ્વામીને મળ્યા પછી કલામ સાહેબ વિજ્ઞાન અને અધ્યાત્મના સંગમ વિશે વિચારતા થયા. ઊર્જા અને શ્રદ્ધાનું મૂળભૂત બંધારણ એક જ છે.

વેદ ગર્ભમાંથી અગ્નિ સાથે જન્મેલા અસ્તિત્વની વાત કરે છે. પયગંબર ખુદાને એક પ્રકાશ કહે છે. વિજ્ઞાન બિગ બેંગ થિયરી આપે છે. આ બધી મહાવિરાટ વાસ્તવિકતાઓનો મનુષ્ય અત્યંત અલ્પ અંશ છે. એક વિજ્ઞાની સૃષ્ટિનો અભ્યાસ કરે ત્યારે તે મહાવિસ્મયકારક, ગહન અને અત્યંત અદ્દભુત અનુભવ પામે છે. વિજ્ઞાન જેને અંતરીક્ષ કહે છે અને અધ્યાત્મ જેને અનંત તરીકે વર્ણવે છે એ બે એક જ છે.

પ્રમુખસ્વામી માનતા કે આપણું જીવન અનેકના પરિશ્રમથી ટકી રહ્યું છે. તેને યથાશક્તિ પાછું વાળવું જોઈએ. અન્યના ઉત્કર્ષમાં જ આપણો ઉત્કર્ષ છે, અન્યના સુખમાં જ આપણું સુખ છે. મધમાખી ફૂલના રૂપરંગ કે ગંધને નુકસાન પહોંચાડ્યા વિના તેનો અર્ક ખેંચી લે છે અને મધ બનાવે છે. ગુણાતીત સાધુ હોય કે નિષ્ઠાવાન નાગરિક – મધમાખીનો આ ગુણ સૌએ અપનાવવો જોઈએ.

ગ્લૉબલ યુગમાં દરેકે આ વાત શીખી લેવી જોઈએ એમ નથી લાગતું?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 08 જાન્યુઆરી 2023

Loading

સિસ્ટમ જજોની જ બનેલી હતી અને જજોએ જ તેને નિષ્ફળ બનાવી

રમેશ ઓઝા|Opinion - Opinion|12 February 2023

રમેશ ઓઝા

બંધારણ દ્વારા નિર્મિત ભારતીય રાષ્ટ્રને જો બચાવી રાખવું હોય તો બંધારણનું રક્ષણ જરૂરી છે અને બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતની છે. ઇન્દિરા ગાંધીની સરકારે જ્યારે બંધારણના મૂળભૂત માળખા પર કુઠારાઘાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળભૂત માળખાને હાથ લગાડવાનો સરકારને કે લોકપ્રતિનિધિઓને અધિકાર નથી એમ કહીને બંધારણને અને બંધારણીય રાષ્ટ્રને બચાવી લીધું હતું. પણ એ શકવર્તી ચુકાદો ત્યારે, એટલે કે આઝાદીનાં આંદોલનનાં મૂલ્યો હજુ જાહેરજીવનમાં અસ્તિત્વ અને પ્રભાવ ધરાવતાં હતાં, સ્વાતંત્ર્ય સૈનિકો હજુ હયાત હતા, નાગરિક સમાજ સાબદો હતો ત્યારે ૧૯૭૩ની સાલમાં પણ માત્ર એક જજની જ બહુમતી ધરાવતો હતો. ૧૩ ન્યાયમૂર્તિઓની બેંચમાંથી સાત ન્યાયમૂર્તિઓએ બહુમતી ચુકાદો આપીને બંધારણને અને બંધારણીય રાષ્ટ્રને બચાવી લીધાં હતાં. આનો અર્થ એ થયો કે એકની બહુમતી બેની લઘુમતીમાં ફેરવી શકાય છે એ હકીકત શાસકોને સમજાઈ ગઈ. જરૂરિયાત માત્ર એટલી જ છે કે અનુકૂળ જજોને સર્વોચ્ચ અદાલતમાં બેસાડવામાં આવે. જો ૧૯૭૦ના દાયકામાં અનુકૂળ જજો મળતા હોય તો અત્યારે તો એ સાવ સહેલું છે. જો પત્રકારો, વિદ્વાનો, માસ્તરો બજારમાં પોતાની જાતને વેચતા હોય તો જજ કેમ વેચાતા ન મળે?

જો ૧૯૭૩નો કેશવાનંદ ભારતી કેસમાં આપવામાં આવેલો ચુકાદો સર્વાનુમતનો કે પછી દસ સામે ત્રણ જજોનો પ્રચંડ બહુમતીવાળો હોત તો? તો કદાચ આજનો દિવસ જોવાનો ન આવ્યો હોત. પણ જો અને તો નો કોઈ મતલબ નથી. વાસ્તવિકતા એ છે કે ૧૯૭૩થી સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે જજોની નિયુક્તિને લઈને અથડામણ ચાલે છે. સરકારને સમજાઈ ગયું કે ન્યાયતંત્ર એટલું સાબદું નથી જેટલું હોવું જોઈએ અને જજો એટલા પવિત્ર નથી જેટલા હોવા જોઈએ. ન્યાયતંત્રને પણ આ વાત સમજાઈ ગઈ કે આપણું ઘર એટલું ચોખ્ખું નથી જેટલું હોવું જોઈએ અને સર્વોચ્ચ અદાલત સુધી જે જજો પહોંચે છે એમાંના મોટી સંખ્યામાં જજો ઊંડી બંધારણીય સમજ, નિસ્બત, કુવત અને પ્રામાણિકતાની એરણે ચકાસો તો નબળા છે. ૧૯૮૯ પછીથી કેન્દ્રમાં મિશ્ર સરકારો આવવા માંડી અને કેન્દ્ર નબળું પડ્યું. સર્વોચ્ચ અદાલતે તક જોઇને સરકાર સામે આક્રમક વલણ અપનાવવા લાગ્યું અને એક પછી એક બે ચુકાદા આપીને જજોની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે એટલે કે ન્યાયતંત્ર દ્વારા રચવામાં આવનારા કોલેજિયમ દ્વારા લઈ લીધો.

હવે બન્યું એવું કે કેટલાક જજો સરકારની લાચારી જોઇને પોતાની તાકાત બતાવવા ગમે તેવા, સરકારને અડચણમાં મૂકે એવા અને કેટલીકવાર તો અવ્યવહારુ ચુકાદાઓ આપવા માંડ્યા. માસ્તર જેમ વિદ્યાર્થીને ઠમઠોરે એમ જજો શાસકોને ઠમઠોરતા હતા. કેટલાક જજો સરકારની લાચારીનો લાભ લેતા હતા. રસ્તો કરી આપે અને નિવૃત્તિ પછીની પવૃત્તિઓના લાભ લઈ લે. શાસકોએ પણ નિવૃત્તિ પછીના લાભો આપવાનું પ્રમાણ અનેકગણું વધાર્યું. અદાલતોમાં ધીંગાણું અને ધમાલ બન્ને બેશુમાર પ્રમાણમાં ચાલતા હતા. એની વચ્ચે સર્વોચ્ચ અદાલતે જજોની નિયુક્તિનો અધિકાર પોતાની પાસે લઈ લીધો. એ અધિકાર બંધારણ બક્ષ્યો નહોતો, પોતે આપેલા ચુકાદા દ્વારા પોતે લઈ લીધેલો અધિકાર હતો.

જ્યારે કોઈ અધિકાર છીનવી લીધેલો હોય, અથવા શૂન્યાવકાશનો લાભ લઈને કે શૂન્યાવકાશને પરિણામે હાથમાં આવ્યો હોય, અથવા દેશહિતમાં સદહેતુથી પ્રેરાઈને કાયદાનું થોડુંક પહોળું અર્થઘટન કરીને અધિકાર હાથમાં લઈ લીધો હોય ત્યારે અધિકાર હાથમાં લેનારાની જવાબદારી વધી જાય છે. અહીં સર્વોચ્ચ અદાલતે કોલેજિયમ રચીને જજોની નિયુક્તિ કરવાનો અધિકાર હાથમાં લઈ લીધો ત્યારે કોલેજિયમની ફરજ બનતી હતી કે તે તેની ઉપયોગિતા સાબિત કરી આપે. એવા જજો નિયુક્ત થવા જોઈતા હતા જેની ક્ષમતા અને પ્રામાણિકતા સામે કોઈ શંકા ન કરે. ટકોરાબંધ જજો વડી અદાલતોમાં અને વડી અદાલતોમાંથી સર્વોચ્ચ અદાલતમાં જવા જોઈતા હતા. નિવૃત્તિ પછીના લાભોથી મન લલચાઈ જાય અને શાસકોને અનુકૂળ ચુકાદાઓ આપે એવા જજો નિયુક્તિ ન પામે એવું બનવું જોઈતું હતું. પણ આપણા દુર્ભાગ્યે એવું બન્યું નહીં. અહીં એ હકીકત કબૂલ કરવી જોઈએ કે કોલેજિયમ સિસ્ટમ જજોની જ બનેલી હતી અને જજોએ જ તેને નિષ્ફળ બનાવી. આપણે જાણીએ છીએ કે ભ્રષ્ટ જજો દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચ્યા છે. નીચલી અદાલતમાં પ્રેક્ટીસ કરતો વકીલ જેટલું કાયદાનું જ્ઞાન ધરાવતો હોય એનાં કરતાં પણ ઓછું કાયદાનું જ્ઞાન ધરાવનાર અને છેલછોગાળા જેવી હરકત કરતા જજ દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચી શક્યા. કોલેજિયમના સભ્ય જજોએ પોતાનાં કે મિત્રોનાં સગલાંઓને આવડત જોયા વિના ન્યાયતંત્રમાં ઘુસાડ્યા હતા. આના વિશે વ્યાપક ઊહાપોહ પણ થતો હતો, પરંતુ કોલેજિયમ સિસ્ટમમાંની મર્યાદાઓને દૂર કરવાનો કોઈ પ્રયાસ કરવામાં નહોતો આવ્યો. માટે આજે જે લોકો કોલેજિયમનો બચાવ કરે છે તેઓ એમ નથી કહેતા કે કોલેજિયમે તેની કમાલ બતાવી આપી છે, પણ એમ કહીને દલીલ કરે છે કે શાસકો દ્વારા જજોની નિયુક્તિ થાય એનાં કરતાં જજો જ જજોની નિયુક્તિ કરે એ વધારે સારું રહેશે, કારણ કે શાસકોની તુલનામાં જજોનાં સ્થાપિત હિતો ઓછા અને પ્રમાણમાં નાના હોય છે.

જેમ કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો પ્રચંડ બહુમતીવાળો હોત તો આજે સ્થિતિ જુદી હોત એમ કોલેજિયમ સિસ્ટમે તેની પાછળનો હેતુ સિદ્ધ કરી આપ્યો હોત તો આજે સ્થિતિ જુદી હોત. એમ ન બન્યું એટલે સરકાર નિયુક્તિનો અધિકાર જજો પાસેથી છીનવી લેવા માગે છે. આવો પહેલો પ્રયાસ ૨૦૧૫માં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશનની રચના કરવાનો કર્યો હતો જેને ૨૦૧૬માં સર્વોચ્ચ અદાલતે રદ્દ કરી નાખ્યો હતો. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં શાસક પક્ષને પહેલાં કરતાં પણ વધુ બેઠકો મળી એટલે ન્યાયતંત્ર ઉપર દબાણ હજુ વધારવામાં આવી રહ્યું છે. અઢીસો વરસ પહેલાં મહારાષ્ટ્રના બ્રાહ્મણોને મુસ્લિમ શાસકોના અનુગામી બનીને દેશ ઉપર રાજ કરવાની તક મળી હતી, પણ તેમને રાજ કરતાં આવડ્યું નહોતું. હિન્દવી રાષ્ટ્ર ઘાસીરામ કોટવાલોનું માથાભારે રાષ્ટ્ર સાબિત થયું. અત્યારના હિન્દુત્વવાદી શાસકોની પણ એવી જ સ્થિતિ છે. હિંદુરાષ્ટ્ર હિંદુઓના માથાભારેવાળા રાષ્ટ્ર તરીકે આકાર લઈ રહ્યું છે. દુર્ભાગ્યે ન્યાયતંત્રને ન્યાયતંત્રના હિતમાં કોલેજિયમનો લાભ લેતા આવડ્યું નહીં.

આમ છતાં ય કોલેજિયમ સિસ્ટમ શ્રેષ્ઠ છે એમ આ લખનાર માને છે. એમાં રહેલી ખામીઓ દૂર કરવી જોઈએ અને કરી શકાય એમ છે. એ કેવી હોવી જોઈએ એનો એક ચિતાર દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. વર્માએ ૧૯૯૩માં કોલેજિયમની તરફેણમાં બહુમતી ચુકાદો આપતા આપ્યો હતો. અહીં એને ઉદ્ધૃત કરું તો લેખ લાંબો થાય. ગૂગલમાં જઇને ‘સેકન્ડ જજીઝ કેસ’ લખીને સર્ચ કરશો તો એ મળી જશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,2411,2421,2431,244...1,2501,2601,270...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved