Opinion Magazine
Number of visits: 9456260
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું?

ઉમાશંકર જોશી|Gandhiana|6 June 2025

ઉમાશંકર જોશી

એક વખત તો મનમાં એમ થઈ આવે છે કે આ આખું વરસ એ નામ ઉચ્ચારવું નહીં. કવિ શેલીએ કહ્યું છે : One word is too often profaned for me to profane it – એક શબ્દ એટલી બધી વાર ભ્રષ્ટ કરવામાં આવે છે કે મારે તો એ ભ્રષ્ટ ન કરવો જોઈએ.

એ નામ જીભથી રટવાને બદલે હૃદયમાં રાખીને એનો પ્રકાશ ક્ષણેક્ષણે જિવાતા જીવન દ્વારા પ્રગટ થવા દેવો એ જ શતાબ્દી ઉજવણીનો ઉત્તમ પ્રકાર નીવડે.

શો છે એ પ્રકાર ? આમ તો એ સદાનો પ્રકાશ છે. એમણે કહ્યું છે : મારે કશું જ નવું કહેવાનું નથી. સત્ય અને અહિંસા પર્વતો જેટલાં પુરાણા છે.

સત્યનો અને અહિંસાનો પ્રકાશ એમના સત્યાગ્રહ અને સર્વોદયના કાર્યક્રમો દ્વારા પ્રગટ થયો. એમણે કહ્યું, પરમેશ્વર સત્ય છે એમ નહીં, સત્ય જ પરમેશ્વર છે. એમણે જીવનભર બતાવ્યું કે સત્યને વળગવા જઈએ એટલે અહિંસા શ્વાસોચ્છવાસ જેવી બની જાય છે. અહિંસાને છોડીને `સત્ય’નો આગ્રહ સેવવા જતાં એનાથી આપણે દૂર પડી જઈએ છીએ. અહિંસા એ સત્યની પારાશીશી છે.

સામાજિક અન્યાયો દૂર કરવા માટેનું રાજકીય શસ્ત્ર, સત્યાગ્રહ, એમણે જગતને શોધી આપ્યું. પણ એના લક્ષ્ય તરીકે એમણે સામાજિક આદર્શ સ્થાપ્યો. સર્વોદય, – સૌ કોઈનો ઉદય, કહેવાતા વિરોધીનો પણ ઉદય, અને સમાજની છેલ્લામાં છેલ્લી વ્યક્તિનો ઉદય.

સત્ય, અહિંસા, – જુગજૂના શબ્દો, સત્યાગ્રહ અને સર્વોદયના કાર્યક્રમ દ્વારા આધુનિક ભારતની જ નહીં, જગત આખાની જનતાને માટે અમૃતસંજીવનીરૂપ બની રહ્યા.

વીરની અહિંસા એ માગતા. જીવનના છેલ્લા વરસમાં એમને લાગ્યું કે આપણે તો રાજકીય સગવડ ખાતર અહિંસાને વળગ્યા હતા, શ્રદ્ધાપૂર્વક નહીં. 1963ના ઑગસ્ટમાં વોશિંગ્ટનમાં બે લાખ હબસીઓની શાંતિકૂચને દોરવણી આપનાર અને અનેક અહિંસક કાર્યક્રમો દ્વારા પોતાની કોમને અન્યાયો સામે ઝૂઝવા પ્રેરનાર અને એમાં પ્રાણની આહુતિ આપનાર માર્ટિન લ્યૂથર કિંગમાં એ અહિંસાનો પ્રકાશ સોળે કળાએ પ્રગટ થયેલો જગતે જોયો. હિટલરનાં ધાડાં ચેકોસ્લોવાકિયા પર તૂટી પડયાં. ત્યારે એમણે ચેક પ્રજાને અહિંસક પ્રતિકાર કરવા અનુરોધ કર્યો હતો. ત્રીસ વરસે ગયા જુલાઈ માસમાં વીર ચેક પ્રજાએ રશિયાની મહાન લશ્કરી સત્તા સામે એ અહિંસક પ્રતિકારનો દાખલો જગત આગળ ધર્યો.

છેલ્લા કેટલાક મહિનાઓમાં એક હરિજનને આંધ્રમાં સળગાવી દીધાના, બીજાને વડોદરા જિલ્લામાં સીમમાં ઘસડી જઈ મારી નાખ્યાના, રાજસ્થાનમાં તળાવ ખોદતાં નરબલિ આપ્યાના પ્રસંગો બન્યા છે. એ જોઈ આપણો હિંદદેશ હજી કઈ સ્થિતિએ છે તેનો કારમો ખ્યાલ આવે છે. બંને હરિજનોની હત્યા પાછળ આર્થિક કારણ પણ છે.

શતાબ્દીવરસમાં આર્થિક-સામાજિક ન્યાય માટેની સક્રિયતાને પ્રાધાન્ય મળવું જોઈએ. જનસમુદાયની સ્થિતિ જરીક પણ સુધરી કે કેમ એ શતાબ્દી ઉજવણીના બધા કાર્યક્રમોની કસોટી રહેવાની. બહુજનસમાજ માટે કંઈ ન થઈ શક્યું તો એમનો માનવતા માટેની અપાર કરુણાથી છલકાતો ચહેરો આપણી સામે મૌન પ્રશ્ન પૂછવાનો : અરે, તમે મારું પણ આ કર્યું ?

દિવાળી ઉત્તમ રીતે ઊજવાય દિલમાં દીવો કરીને. મહાત્માની જન્મશતાબ્દી ઉત્તમ રીતે ઊજવી શકાય દિલ જરીક વધારે, હજુ વધારે, મોકળું કરતા રહીને. 

(1968)
06 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 345

Loading

કેટલું બધું બને છે ને કેટલાં બધાં ‘બનાવે’ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 June 2025

રવીન્દ્ર પારેખ

કાલે પર્યાવરણ દિવસ ગયો. ઠેર ઠેર બધું લીલું લીલું થઈ ગયું. આમ તો પીળાં પડી જાય, પણ કાલે તો કાગળો ય લીલાં થઈ ઊઠ્યાં. રાતોરાત બધે કૂંપળો ફૂટી, છોડ રોપાયાં ને બધે ‘છોડ છોડ’ થઈ રહ્યું. રાતોરાત ઝાડ ઊગ્યાં હોય ને જંગલો કપાયાં હોય તો ય નવાઈ નહીં ! એક બાજુ પર્યાવરણની ચિંતા થાય છે, તો ચીન જેવાને જગતનું પર્યાવરણ બગાડવામાં રસ છે. કોરોના તેનું પાપ છે ને તેને લીધે આખી દુનિયાએ વેઠવાનું આવ્યું છે ને હજી વેઠે છે. તાજેતરમાં જ તેણે અમેરિકી ખેતીને બગાડવાનું કાવતરું કર્યું છે. એક ચીની યુગલે અમેરિકી ખેતીને નુકસાન પહોંચાડવા રોગાણુઓ ઘૂસાડ્યા છે. આવો પાશવી આનંદ લૂંટવાનું તો ચીનને જ પરવડે.

પર્યાવરણ સંદર્ભે પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ રીતે ઘટાડવો તેની માળા રોજ ફરતી રહે છે, પણ સુરતની જ વાત કરીએ તો 8 વર્ષમાં તેણે 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક રિસાઈકલ કરી ઉપયોગમાં લીધું. એ ઉપરાંત 8 વર્ષમાં 225 મેટ્રિક ટન પ્લાસ્ટિકમાંથી સુરતમાં 38 કિલોમીટરના રસ્તા બન્યા. એનો આનંદ થાય કે લાખો ટન પ્લાસ્ટિક રિસાઈકલ થયું, પણ એ વિચાર પણ આવે જ કે સુરતમાં જ 8 વર્ષમાં 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક ભેગું તો થયું જ ! સુરત સંદર્ભે એ પણ નોંધવું જોઈએ કે તેણે જ એક લાખ મેટ્રિક ટન કાર્બનનું ઉત્સર્જન ઘટાડ્યું ય છે.

એ પણ છે કે ભારત ખેતીપ્રધાન દેશ હોવાની સાથે જ ઉજવણાં પ્રધાન દેશ પણ છે. કાલે લીલું લીલું થયું તો અગાઉ સિંદૂર સિંદૂર પણ થયું ને હજી એ સક્રિય છે. આખો દેશ જાણે સૌભાગ્યવંતો-સિંદૂરિયો થઈ ઊઠયો છે. કોઈકે તો ‘ઓપરેશન સિંદૂર’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરીને ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. કૈં બન્યું નથી કે ‘બનાવવાનું’ શરૂ થઈ જાય છે.

દિવસો ઉજવવાનું શરૂ થયું છે ત્યારથી દુનિયા તેની જાહેરાત અને ઉજવણીમાં ધંધે લાગી ગઈ છે. પર્યાવરણ દિવસ આવે છે ને જગત શુદ્ધિકરણમાં લાગી પડે છે. રોઝ ડે આવે છે કે બધું ગુલાબી ગુલાબી થઈ ઊઠે છે. વેલેન્ટાઇન ડે આવે છે કે કાર્ડ અને ગિફ્ટ સાથે ‘જોડકાં’ રસ્તે આવી જાય છે. ઘણી વાર તો એમ લાગે છે કે વિશ્વમાં આ દિવસો ઉજવવા સિવાય જાણે કોઈ કામ જ બચ્યું નથી. એટલું સારું છે કે ‘પર્યાવરણ દિન’ની તાજગી એક દિવસ પૂરતી જ રહે છે, જેવો બીજો ‘ડે’ આવે છે કે પર્યાવરણ, પાનખર જેવું ઉદાસ થઈ જાય છે. રોઝ ડે પતે કે બધી પાંખડીઓ સુકાઈને હવામાં ઊડવા લાગે છે.

4 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) IPLની ટ્રોફી જીત્યું તેની ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણી હતી. બધા ક્રિકેટર્સ ને ક્રિકેટપ્રેમીઓ ભેગા થયા, પણ 35-40 હજારની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં ને સ્ટેડિયમની બહાર ત્રણ લાખ લોકો જમા થઈ ગયા. દેખીતું છે કે આવામાં અવ્યવસ્થા અને અરાજકતા જ વધે. વધી. પ્રશાસન પણ કેટલુંક કાબૂ કરે? નાસભાગ થઈ. લોકો કચડાયાં ને પરિણામે 11 લોકોનાં મોત થયાં ને 33 લોકો ઘવાયાં. આવું થાય ત્યારે શાસકો આર્થિક સહાયનો ટુકડો ફેંકે, વિપક્ષો શાસકોને માથે ઠીકરાં ફોડે, મંત્રીઓનાં રાજીનામાં મંગાય ને એમ ઉઠમણાં દિન પૂરો થાય. રાજીનામાં માંગવાની પણ ફેશન છે ને શાસકો ‘ફેશન ડે’ ઉજવતા નથી, એટલે માંગવાથી કોઈ રાજીનામું આપતું નથી. એ તો રાજીનામાં દિન ઉજવવાનું શરૂ થાય તો વાત જુદી છે …

મેળાવડા, મંદિરો, સભાઓ વગેરેમાં ભીડ કરવાની ભારતને નવાઈ નથી. બરાબર એક મહિના પહેલાં ગોવાના શિરગાઉંમાં શ્રી લૈરાઈ મંદિરમાં થયેલી ભાગદોડમાં 6 લોકો મૃત્યુ પામેલા ને 100 લોકો ઘવાયેલા. 15 ફેબ્રુઆરી, 2025ને રોજ નવી દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકો મૃત્યુ પામેલા. 29 જાન્યુઆરી, 2025 ને રોજ મહાકુંભના સંગમ વિસ્તારમાં ભાગદોડ થયેલી અને તેમાં 30 લોકો મૃત્યુ પામેલા. 8 જાન્યુઆરી તિરૂમલા હિલ્સના મંદિરમાં ટિકિટોની ધમાચકડીમાં 6 ભક્તો મૃત્યુ પામેલા. આવી તો ઘણી દુર્ઘટનાઓ ભીડને લીધે બને છે ને ઘણાં એમાં મરે છે, તો ઘણાં ઘવાય છે, પણ તેનો કાયમી ઉકેલ કોઈને જડતો નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિઝાસ્ટર રોકવા પણ હોવી ઘટે, પણ મોટે ભાગે તે દુર્ઘટના પછી કેટલી નિષ્ફળ રહી એ જાણવા જ હોય છે. પ્રશાસન પણ આર્થિક સહાય આપી છૂટે છે કે કોઈ સમિતિ રચી કાઢે છે કે તપાસ ગોઠવાય છે ને રાબેતા મુજબ જવાબદાર ભાગ્યે જ હાથ લાગે છે.

જો કે, બધું બધે ઉજવાય જ છે, એવું નથી. ‘વોર ડે’ કેલેન્ડરમાં નથી, તો ય યુક્રેન-રશિયા, ઈઝરાયેલ-ગાઝા, પાકિસ્તાન-બલૂચિસ્તાન, ભારત-પાકિસ્તાન વચ્ચેની લોહિયાળ અથડામણોનો છેડો આવતો નથી. યુદ્ધ કદી સુખદ હોતું નથી. એનાથી હારે ને જીતે તે બંનેને વેઠવાનું આવે છે. જેમનો કોઈ વાંક નથી એવાં નિર્દોષ નાગરિકો ને બાળકોનાં યુદ્ધમાં મોત થાય છે, છતાં યુદ્ધો અટકતાં નથી. આખું વિશ્વ અણુશસ્ત્રોના ઓછાયામાં જીવે છે ને વાતો નિર્ભયતાની ને સ્વતંત્રતાની થાય છે. આ પણ એક પ્રકારની બનાવટ જ છે ને!

એ જગ જાહેર છે કે પાકિસ્તાન આતંકીઓને પોષે છે ને તેની જાણમાં જ આતંકી પ્રવૃત્તિઓને અંજામ અપાય છે. તેનો મોટો પુરાવો તો એ કે નેતાઓનું સગું ગુજરી ગયું હોય તેમ તે સૌ આંતકીઓની અંતિમ વિધિમાં હાજર રહે છે. ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનની ચામડી ઊતરડી નાખી ને થોડા જ કલાકોમાં તેણે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો. ભારતે તે સ્વીકાર્યો, તો હજી પણ તેની ટંગડી તો ઊંચી જ છે. યુદ્ધવિરામની વહેતી ગંગામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ હાથ ધોઈને પુણ્ય કમાવાનો પ્રયત્ન કર્યો છે ને કાજી કો સારે ગાંવ કી ફિકર-ની જેમ ટેરિફના ભાવતાલ દ્વારા દુનિયામાં તેમની દખલ ચાલુ જ છે. ટ્રમ્પે આતંકવાદથી બચાવવા 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકયો છે, તો સાત દેશો પર આંશિક પ્રતિબંધ લાદવાનું પણ કહ્યું છે. ગમ્મત એ છે કે આતંકવાદના જન્મદાતા પાકિસ્તાન પર આવો કોઈ પ્રતિબંધ નથી, એ પરથી પણ ભારતે સમજવાનું રહે કે ટ્રમ્પની નીતિ કેવળ તકસાધુની છે.

જો કે, પાકિસ્તાન જાત બતાવવાનું છોડતું નથી. તે જન્મ્યું ત્યારથી ઉધારની અક્કલ પર જ ચાલ્યું છે. ભારતે પાકિસ્તાનને દુનિયામાં ઉઘાડું પાડવા બહુપક્ષીય સાત પ્રતિનિધિ મંડળો જુદા જુદા દેશોમાં મોકલ્યા, તો પાકિસ્તાને પણ બે ટીમ વિદેશમાં મોકલી છે, જે યુ.એસ. અને યુ.કે.ની મુલાકાત લેશે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે સિંધુ જળસંધિ અંતર્ગત પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કર્યું છે ને આતંકી પ્રવૃત્તિઓ બંધ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેવાનો છે. પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકે એમ નથી ને પાણી વગર પણ ઝાઝું ખેંચી શકે એમ નથી, એ સ્થિતિમાં તે ભારત પર એમ કહીને દબાણ ઊભું કરે છે કે ચીન જો બ્રહ્મપુત્રાનું પાણી રોકે તો શી હાલત થાય? ગમ્મત તો એ છે કે ચીને આપવાની ધમકી, પાકિસ્તાન, ભારતને આપે છે. એ ખરું કે એવી કોઈ ધમકી ચીને આપી નથી. ધારો કે એવું થાય તો પણ, ભારતને કોઈ વાંધો આવે એમ નથી. સાચું તો એ છે કે પાકિસ્તાન પાસે ભારત અંગેની ભૌગોલિક જાણકારી જ ઓછી છે. બ્રહ્મપુત્રા સંદર્ભે આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વાએ કહ્યું છે કે બ્રહ્મપુત્રા એવી નદી છે, જેનું પાણી ઉપરથી નિયંત્રિત કરવાનું મુશ્કેલ છે. વળી બ્રહ્મપુત્રાનો પ્રવાહ વરસાદને કારણે ભારતમાં વધુ વેગવાન બને છે. એ પણ ચીને જોવાનું છે કે તેણે શું કરવું, તેની દલાલી પાકિસ્તાન કરે ને ભારત પર પાણી છોડવા પર દબાણ લાવે એ આખી વાત જ વાહિયાત છે.

જોયુંને ! કેટલું બધું બને છે ને કેટલાં બધાં ‘બનાવવા’ મથે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જૂન 2025

Loading

૧૮૬૨ના લંડનમાં ઘેર ઘેર ગેસના દીવા 

દીપક મહેતા|Opinion - Opinion|5 June 2025

ગ્રંથયાત્રા : 5

ગુજરાતી સાહિત્યના ઇતિહાસ, વિવેચન, ‘અભ્યાસ’નાં પુસ્તકો ફેંદી વળો. તેમાં ક્યાં ય ડોસાભાઈ ફરામજી કરાકાનું કે તેમના પુસ્તકનું નામ પણ જોવા મળે તો કહેજો! ગુજરાતીમાં લખાયેલાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોની વાત કરવાની હોય ત્યારે બધા સૌથી પહેલાં મહીપતરામ રૂપરામ નીલકંઠને અને તેમના નાનકડા પુસ્તકને જ યાદ કરે. ૧૮૬૨માં પ્રગટ થયેલું તેમનું ‘ઇન્ગ્લન્ડની મુસાફરીનું વર્ણન’ એ આપણી ભાષાનું પ્રવાસ વર્ણનનું પહેલું પુસ્તક એમ પણ ઘણાએ તો ઠઠાડી દીધું છે. પણ કરાકાનું પુસ્તક મહીપતરામના પુસ્તક કરતાં એક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું, ૧૮૬૧માં. એનું નામ, ‘ગરેટ બરીટન ખાતેની મુસાફરી.’ અને આ કોઈ નાનુંસૂનું પુસ્તક નથી. ૯ X ૧૧ ઇંચના કદનાં ૩૧૪ પાનાંનું છે આ પુસ્તક. છપાયું છે મુંબઈના દફતર આશકારા પ્રેસમાં. લીલા રંગના પાકા પૂંઠા પર સોનેરી શાહી વડે ‘ધ ક્રિસ્ટલ પેલેસ’નું એન્ગ્રેવિંગ છાપ્યું છે. ખાસ ઇન્ગ્લંડમાં છપાવીને ત્રીસ જેટલાં ચિત્રો પણ લેખકે આ પુસ્તકમાં મૂક્યાં હતાં. મહીપતરામના પુસ્તકમાં એક પણ ચિત્ર નથી.

તે વખતનાં બીજાં ઘણાં પુસ્તકોની જેમ ડોસાભાઈના પુસ્તકમાં પણ બે ટાઈટલ પેજ છે, એક અંગ્રેજીમાં, અને બીજું ગુજરાતીમાં. એટલું જ નહિ, લેખકની પ્રસ્તાવના પણ બંને ભાષામાં છે. (આ ચાલ છેક ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ સુધી તો ચાલુ રહ્યો જ છે.) ‘દિબાચો’ નામે લખેલી પ્રસ્તાવનામાં ડોસાભાઈ કહે છે : “જે મુલકના રાજા હેઠળ આપણા વતનનું દેશ છે, તે મુલકથી સારી પેઠે વાકેફ થવાની તથા તાહાં જે જોવામાં આવે તેનું આ દેશના લોકોને સમજ પડે અને ઉપઓગી થાએ, તેવી રીતનું વરણન તેઓની આગળ રજૂ કરવાની મતલબથી ઇસવી સને ૧૮૫૮ના વરસની શરૂઆતમાં આ ટાપુ(મુંબઈ)નો કિનારો છોડીઓ હતો.” આટલું વાંચતાં પણ તરત ખ્યાલ આવશે કે તે વખતના બીજા ઘણા પારસી લેખકોની જેમ આ લેખક પણ જોડાક્ષરો ઓછામાં ઓછા અને ન છૂટકે જ વાપરે છે. પુસ્તકને લેખકે ૨૭ પ્રકરણમાં વહેંચ્યું છે. પહેલાં ત્રણ પ્રકરણ મુંબઈથી ઇડન, સુએઝ, કેરો, એલેક્ઝાન્ડ્રિયા, માલ્ટાથી ફ્રાંસ સુધીની દરિયાઈ મુસાફરીના વર્ણન પાછળ રોકાયાં છે. તે પછી પૂરાં છ પ્રકરણ લેખકે પેરિસ શહેરના વર્ણનને ફાળવ્યાં છે. આ છ પ્રકરણોમાં ડોસાભાઈએ પેરિસનાં અનેક જોવા લાયક સ્થળો વિષે લખ્યું છે, પણ એફિલ ટાવર વિષે એક અક્ષર પણ લખ્યો નથી! એક કેમ હશે? જવાબ માટે રાહ જુઓ આ લેખ પૂરો વાંચી રહો ત્યાં સુધી. 

દસમા પ્રકરણમાં પેરિસથી લંડન સુધીની દરિયાઈ મુસાફરીનું વર્ણન છે, અને ૧૧મા પ્રકરણમાં આપણે તેમની સાથે લંડન પહોંચી જઈએ છીએ. એ વખતે લંડનની કુલ વસ્તી ૨૩ લાખ, ૬૨ હજાર, અને ૨૩૬ની હતી એમ લેખક નોંધે છે. લંડનમાં મકાનોનાં બારી-બારણાં હંમેશાં બંધ જ રહે છે તે જોઈને આ હિન્દુસ્તાની મુસાફરને પહેલાં તો નવાઈ લાગે છે. પણ પછી સમજાય છે કે ઠંડી અને ઘર ઘરની ચીમનીમાંથી નીકળતા ધૂમાડાથી બચવા આમ કરવું જરૂરી છે. ડોસાભાઈએ જોયેલું તે લંડનમાં વિજળીના દીવા નહોતા. પણ ગેસના દીવા હતા! રસ્તાઓ પર, અને ઘરોમાં પણ. લંડનમાં ઠેર ઠેર કૂવાઓ નથી, પણ પાઈપ વાટે લોકોનાં ઘરોમાં પાણી પહોંચાડાય છે એ વાત ડોસાભાઈ અચરજ પૂર્વક નોંધે છે. એ વખતે લંડનના રસ્તાઓ પર ઘોડા ગાડીઓ દોડતી હતી, અને આ ગાડીઓને ઊભી રાખવા માટે આખા શહેરમાં ૩૦૦ સ્ટેન્ડ હતાં. આ ઉપરાંત બસ પણ હતી, જેને ત્રણ ઘોડા ખેંચતા! એક બસમાં ૨૬ મુસાફરો બેસી શકતા. આખા લંડનમાં મુસાફરી કરવા માટેની ટિકિટનો એક જ દર હતો – છ પેન્સ, અથવા પા રૂપિયો (આજના આપણા ૨૫ પૈસા). આવી એક ટિકિટ લીધા પછી તમે આખા લંડનમાં ક્યાં ય પણ જઈ શકો. બારમા પ્રકરણમાં લેખકે બકિંગહામ પેલેસ અને બીજા રાજમહેલોની વાત કરી છે. તે પછીનાં પ્રકરણોમાં પાર્લામેન્ટ હાઉસ, લંડનનો કિલ્લો, ટંકશાળ, બેંક ઓફ ઇન્ગ્લંડ, સેન્ટ પોલ્સ કેથીડ્રલ, બાગ બગીચા, સંગ્રહસ્થાનો, આર્ટ ગેલેરીઓ, વગેરે પોતે જોયેલાં સ્થળોની વાત લખી છે. 

૧૮મા પ્રકરણથી લેખક લંડનના જાહેર જીવન તરફ વળે છે. કેળવણીની વ્યવસ્થા, સખાવતી સંસ્થાઓ, ‘રમત અને મોજનાં કારખાના’ (સ્પોર્ટ્સ અને રીક્રિયેશન ક્લબો), વગેરેની વાત કર્યા પછી ફરી ક્રિસ્ટલ પેલેસના વર્ણનમાં ૨૧મું પ્રકરણ રોકે છે. (૧૮૫૧ના મોટા પ્રદર્શન માટે બાંધવામાં આવેલો આ કાચનો મહેલ એ વખતે એક અજાયબી ગણાતો હતો. ૧૯૩૬ના નવેમ્બરની ૩૦મી તારીખે લાગેલી ભયંકર આગમાં તે ભસ્મીભૂત થઈ ગયો હતો.) ૨૨મા પ્રકરણથી લેખક લંડન છોડીને આસપાસમાં ફરવા નીકળે છે. માન્ચેસ્ટરની કાપડ મિલો જુએ છે, એડિનબરામાં લટારો મારે છે, બીજાં કેટલાંક સ્થળોની મુલાકાત લે છે. ૨૪મા અને પચ્ચીસમા પ્રકરણમાં સરકારની શાસન પદ્ધતિની વાત કરે છે, લશ્કર, આવક-જાવક, વેપાર વણજ વગેરેની ચર્ચા કર્યા પછી છેલ્લા પ્રકરણમાં ડોસાભાઈ એ મુલકની ‘સંસારી હાલત’ વિષે વાત કરે છે. અહીં લેખક નથી તો ખોટી વાહ વાહ કરતા, કે નથી તો નિરર્થક ટીકા-નિંદા કરતા. કહે છે : “જે દેશમાં વધારે શુધરાઈ તાહાં વધારે ઠગાઈ બી હોવી જોઈએ. ઠગો બી અકલના બલથી બને છે, પણ સઘળાં જ આદમીઓ ઠગ છે એમ કહેવાશે નહિ. ઇન્ગ્લન્ડમાં સૌથી સરસ ઈમાનદારી ધરાવનારા લોકો છે, તેમ સૌથી સરસ ઠગો પણ છે.” ડોસાભાઈ ૧૮૫૭ના બળવા પછી લગભગ તરત ઇન્ગ્લંડ ગયા હતા. ત્યારે તેમને ત્યાં ગોરાઓનો કેવોક અનુભવ થયેલો? પુસ્તકને અંતે તેઓ લખે છે : “અમો અમારી અજમાયેશ ઉપરથી કહેવાને આંચકો ખાતા નથી કે અંગ્રેજ લોકો પારકા લોકોને સારું માન આપે છે તથા તેઓની બરદાસ્ત લે છે અને પોતાનાથી બને તેટલું તેઓને વાસ્તે કરે છે. માટે જો અંગ્રેજ લોકોની ખરી ખૂબી જોવી હોય તો ઇન્ગ્લંડ ગયાથી દેખાય છે.”  

હવે પેલી એફિલ ટાવરવાળી વાત. ડોસાભાઈએ આ પુસ્તકમાં એફિલ ટાવર વિષે એક શબ્દ પણ લખ્યો નથી, કારણ ત્યારે એ ટાવરનું અસ્તિત્ત્વ જ નહોતું! અ ટાવર બાંધવાની શરૂઆત ૧૮૮૭ના જાન્યુઆરીની ૨૮મીએ થયેલી. તેનું કામ ૧૮૮૯ના માર્ચની ૧૫મી તારીખે પૂરું થયેલું, અને તેનું ઉદ્ઘાટન થયેલું એ જ મહિનાની ૩૧મી તારીખે. જ્યારે આપણા ડોસાભાઈ તો પેરિસ પહોંચ્યા હતા ૧૮૫૮માં. એટલે કે આ લખનારના હાથમાં ડોસાભાઈના પુસ્તકની જે નકલ છે તે પણ એફિલ ટાવર કરતાં જૂની છે! 

XXX XXX XXX

05 જૂન 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...123124125126...130140150...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved