Opinion Magazine
Number of visits: 9458443
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દસ કાલ્પનિક કોલમો, એકવીસમી સદીના ગરબા વિષે 

આશિષ મહેતા|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|3 October 2022

૧૯૯૫-૯૭ના અરસામાં ‘જનસત્તા’ના દિવાળી અંકમાં અને ૨૦૦૩માં ‘ગુજરાત ટાઈમ્સ’માં પુન:પ્રકાશિત નવરાત્રિવિશેષ લેખ

(વર્ષ ૨૦૦૫માં ૧૦૮ કિલો વજનના આઠ કાર્ટન સાથે પહેલવહેલી વાર દિલ્હી આવવા નીકળી, ત્યારે સાસુમાએ જતનપૂર્વક સાચવી રાખેલાં ‘ગુજરાત ટાઈમ્સ’ના આશિષના લેખના પાનાં હરખાતાં  હરખાતાં હાથમાં સોંપેલા. એક પછી એક દિલ્હીમાં ઘરો બદલાતા ગયા પાનાંના અક્ષરો ઝાંખા પડતાં ગયા. જર્જરિત દશામાં પડેલા આ અક્ષરો વિલુપ્ત થતાં પહેલા …)

— રીતિ શાહ

•••

ગરબા એટલે ઊર્જાની ઉપાસનાનો ઉત્સવ

ગુણવંત શાહ

એલ્વિન ટોફલર નામના મહાન વિચારકે ‘ધ ફિફ્થ વેવ’ નામના તેમના ક્રાન્તિદર્શી પુસ્તકમાં એક સુંદર વાત કરી છે. તેઓ કહે છે કે એસવીસમી સદી એટલે ઊર્જા (એનર્જી) અને પૂરજા(કોમ્પોનન્ટ્સ)નો સમન્વય. એક બેઠકે વાચીને ઊંચું (કે નીચું) મૂકી શકાય એવું આ પુસ્તક નથી. તેની શરૂઆતમાં એસ.ટી. કોલેરિજની બે પંક્તિઓ મૂકવામાં આવી છે :

A damsel with a dandiya

In a garba once I saw:

It was an Ahmedabadi maid,

And on her dandiya she play’d,

Singing of Mount Pawagarh.

અઢારમી સદીના અંગ્રેજ કવિને એકવીસમી સદીના અમદાવાદનું દર્શન લાધ્યું એ પણ કેવો યોગાનુયોગ!

એકવીસમી સદી હવે આવી પૂગી છે એ અંગે હવે લઘુ કે ગુરુ – કોઈ શંકા નથી. સામેના પ્રાંગણમાં ગરબા ઉત્સવ યોજાયો છે, વીસમી સદીમાં ફ્રોઈડે શરૂ કરેલી વૈચારિક ક્રાન્તિના પ્રવાહમાં યુવા પેઢી તરી રહી છે, ત્યારે આલ્ડસ હક્સલીએ ક્યાંક લખેલી વાત ટાંકવાનો લોભ કે લાભ રોકી શકતો નથી : આ સદી શક્તિની ઉપાસનાની સદી છે. આવી ઉપાસના આપણને વર્ષોથી સદી ગઈ છે.

મારી અને નવી પેઢીની વચ્ચેનું અંતર સામેના પ્રાંગણ આડેના રસ્તા સુધીનું જ છે તેનું ભાન થતાં હું રસ્તો ઓળંગીને ખટમધુરાં શમણાંના ઉપવનમાં લટાર મારું છું. રાસના મોટા વર્તુળની અંદર બીજું, નાનું વર્તુળ જોતાં મને અચાનક યાદ આવે છે – શુમાખરના ‘સ્મોલ ઈઝ બ્યુટિફુલ’ પુસ્તકને ધ્યાનમાં રાખીને ટોફલરે એક નવું સૂત્ર વહેતું મૂક્યું હતું : ‘Small-within-big is beautiful.’

(‘ઉત્સવનું અસ્તિત્વ’માંથી)

* 

ગરબા, ગુજરાતી સાહિત્યની જેમ, નગ્નતાની જાહોજલાલી છે

ચંદ્રકાંત બક્ષી

સમય હતો જાન્યુઆરી 1960નો, અને મુંબઈમાં નાની પાલખીવાળાએ મને કહેલું કે આટલી ઉદ્યમી, ચતુર અને પરિષ્કૃત પ્રજાને ગરબા શોભતા નથી …

પિતૃભૂમિની સંસ્કૃતિના ખંડિયેરનો પરાજયબોધ છે આ … મરદાની ગુજરાતી પ્રજાનો આ સ્ત્રૈણ, નિર્વીર્ય ચહેરો છે.

આજે 70 વર્ષની ઉંમરે મારો વાંકો થઈ ગયેલો અંગુઠો કોમ્પ્યુટરના કીબોર્ડની શિફ્ટ કી પ્રેસ કરી શકતો નથી ત્યારે ચોથી સદીના રોમન સેનાની માર્કસ કોપિયસનું કદી ન રૂઝાતા ઝખમનું દર્દ સમજાય છે : નપુંસકલિંગની પૂજક પ્રજા પાસેથી કેટલી આશા રાખી શકાય?

ગરબા એ નૃત્ય નથી, શાસ્ત્રીય કલા નથી. ગઈ સદીની શ્રેષ્ઠ નર્તકીઓમાં સ્થાન પામતી રશિયાની બોરિસ પાસ્તરનાકાએ 1992માં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’માં ગરબા પ્રદર્શન જોઈને મને કહ્યું હતું, આ નૃત્ય નથી, ભારતીય સંસ્કૃતિનો લેફ્ટઓવર (વધ્યો-ઘટ્યો) કચરો છે …

જટાયુની પાંખના સળગતા વિપ્લવની ન બુઝાયેલી રાખ પર સર્જકતા ઊંગલી રંગાવે છે ત્યારે દેવહુમાની જેમ ઊભું થાય છે તે નૃત્ય છે. બાપના, પસીનાની બદબૂ વિનાના પૈસૈ તાગડધિન્ના કરવાનું ખ્વાબ જોતી બેશર્મ આંખોમાં બિભત્સતાનાં સાપોલિયાં નાચે ત્યારે સર્જાય એ ગરબા છે.

*

‘તારી બેની પરણ્યે ઘેર આવ્ય રે, મેંદી રંગ લાગ્યો’

મધુ રાય

મિ. ગગનવાલા અત્યારે મહામોહમયીનગરી લંડનમાં નિવાસે છે. સવારે દાતણ કરતી વખતે પ્રભાતિયાંને યાદ કરીને બી.બી.સી. ન્યૂઝ સાંભળે છે. પછી વતનની મિટ્ટીની મહેંક ને એવી બધી વાતોના વિચારે ચડી જાય છે.

વર્તમાનપત્રમાં એન્ટરટેનમેન પેજ પર કાતિલ હસિનાઓ અને જાંબાઝ જવામર્દોનાં દિલધડક કારનામાં વિશેનાં ચલચિત્રોનાં વિજ્ઞાપનો જોતાં ઓલોફેસડન એમની નજર પડે છે નવરાત્રિ મહોત્સવની જાહેરાત પર. લિપિ ગુજરાતીના બદલે રોમન, એટલે પહેલી વાર વાંચો ત્યારે નાવારાટ્રી વંચાય. ફરી એક વાર કાઠિયાવાડના રાસ જોવાના અરમાન આ પંક્તિઓ લખનાર નરાધમના મનમંદિરિયામાં ઉત્પાત કરે છે.

***

અમદાવાદમાં નવરાત્રિઓ ઉજવાતી. શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલના પરિષ્કૃત વાતાવરણમાં શાળાનો પરિવાર રાસ રમી રહ્યો હતો. કર્ણરંજક અવાજમાં કિશોરીઓ ગાતી હતી :

તારી બેની પરણ્યે ઘેર આવ્ય રે,

મેંદી રંગ લાગ્યો—

બેની પરણ્યે તે ભલે પરણ્યે,

મેંદી રંગ લાગ્યો—

શાળાના આચાર્ય કપાસીએ અમને બાકીનો વાર્તાસાર કહી સંભળાવ્યો, “આ એક-ની અને બે-નીથી નહિ ચાલે, છેવટે પરણ્યો આવસે એટલે માની જસે.”

***

ઉપરવાળાની સ્કીમ ઓફ થિંગ્ઝમાં બધાને જુદાંજુદાં કર્તવ્યો સોંપાયાં છે. અમને ભાષાની સમૃદ્ધિ, વૈવિધ્ય, ભાષાનાં કુળ અને શબ્દોનાં મૂળ ને એવી બધી વાતો વિચારવાનું અને સંદર્ભગ્રંથોમાંથી યોગ્ય સામગ્રી ઉપાડી, વાણીવિલાસ ભભરાવી, વહાલસોયા વાચકોને બે ઘડી ગન્યાન સાથે ગમ્મત આપવાનું કામ સોંપાયું છે. 

તો અમે ‘બેન’ શબ્દ પર અટકળ કરીએ છીએ. અપશબ્દોમાં વૈવિધ્યપૂર્ણ ઉચ્ચારોને બાદ કરતાં પણ ‘બહેન’, ‘બેન’ અને તળપદી પ્રાદેશિક બોલીમાં ‘બોન’ – એમ ત્રણ મુખ્ય ઉચ્ચારો વિદ્વાનોએ નોંધ્યા છે. આ ‘બોન’ શબ્દમાં અત્યંત ગ્રામ્ય પ્રકારની અભિવ્યક્તિ લાધે છે, પણ બંગાળી જેવી પરિષ્કૃત મનાતી ભાષામાં પણ એમ જ ઉચ્ચાર થાય છે. આમ દૂરની પણ ઈન્ડો-યુરોપિયન કુળની જ બીજી ભાષા, ફ્રાન્સિસીમાં પણ આ ઉચ્ચાર છે, જો કે તેનો અર્થ જરા જુદો છે.

એમ કેમ હશે? અમે વિસ્મયથી આતંકિત થઈ વાયવ્ય ક્ષિતિજે ઉદિત થતાં ચંદ્રને પૂછ્યું. ચંદ્ર કહે, “બોન કેસ્તિયોં!” (ગૂડ ક્વેશ્ચન)

*

ગરબાઝ ઈન ધ એજ ઓફ લટકાઝ

હસમુખ ગાંધી

આપણી પ્રજા મૂળથી (એટ રૂટ્સ) હડોહડ ઘોંઘાટપ્રિય છે. સવારે પાડોશીનું ટેણિયું ફુલ વોલ્યુમમાં ટી.વી. ચાલુ કરી દે છે. રસ્તા પર ટ્રાફિક જામમાં સો-કોલ્ડ શિક્ષિતવર્ગ એમની કોન્ટેસાઓ અને વનથાઉઝન્ડ્સોનાં હોર્ન વડે પેં પેં પેં પેં કરીને પાષાણયુગના માનવો જેવો મેસોકિસ્ટ આનંદ લે છે.

ગણેશ ઉત્સવ અને નવરાત્રિ ઉત્સવમાં પેલા હરામખોરો ઉઘરાણાં ઉઘરાવે છે અને બદલામાં ગંદાં ફિલ્મી ગાયનો લાઉડસ્પીકર પર દસ દિવસ અને દસ રાત સુધી વગાડીને તમારા મગજના મજ્જાતંતુ, લિટરલી, તોડી નાખે છે.

એક સમયે શેરીમાં પાંચ મહિલાઓ એકઠી થઈને શક્તિના આરાધના (રિપિટ, આરાધના) કરતી હતી. પણ એ પછી તો સાબરમતીમાં ઘણાં નીર વહી ગયાં છે. હવે ક્લબો અને હોટેલોમાં ગરબા થાય છે. એમાં વૈકુંઠ નાનું ને વૈષ્ણવો ઝાઝા હોય છે.

એકવીસમી સદીનો આ કામોત્સવ છે. સંત વેલેન્ટાઈન, ઈરોસ, મન્મથ અને પ્રદ્યુમ્નની વાંહે વાંહે ક્યુપિડ હઉ આવી જાય છે, એનાં તીરકામઠાં લઈને. એડોલસેન્ટ કન્યાઓનાં પહેરણ જુઓ તો લાગે કે આમાં (ધેટ ઈઝ, ગરબામાં) અને કેબરેમાં ફરક શો. ધૂળની બોન રાખોડી એ આનું નામ.

ટ્રેડિશનલ ગરબાના નામે એ લોકો કાર્યક્રમની શરૂઆત કરે છે, પણ પછી ને લાઉડસ્પીકરમાં ‘લટકા દિખા દિયા હમને, ઝટકા દિખા દિયા તુમને, હો તુમ તુમ ટરાં’ (ટી.યુ.આર.આર.એ.) ગવાવા લાગે છે અને અબ્દુલ્લાની શાદીમાં બેગાના બનીને આવેલા બુદ્ધિ વગરનાં છોકરાં-છોકરીઓ હિન્દી ફિલ્મના એક્સ્ટ્રાની જેમ એમની દેહલતાને આમથી તેમ ઝુલાવે છે.

બીજે દિવસે ફરમાસુ આઈટમ તરીકે બદ્ધેબદ્ધાં છાપાંમાં આ મતલબના ફોટા હોય છે અને તાલીમી ઉપતંત્રી કેપ્શન લખે છે : “શેઠ ફલાણા ફલાણા (કે સો-એન્ડ-સો ટ્રસ્ટ) દ્વારા પ્રાયોજિત ગરબા મહોત્સવમાં યુવક-યુવતીઓ રાસની રંગત લઈ રહેલાં દૃષ્ટિગોચર (એમ જ) થાય છે.”

*

‘કિસન-હરકિસન’: ધારાવાહિક નવલકથાનો અંશ

હરકિસન મહેતા

(વહી ગયેલી વાર્તા : જેફ્રી આર્ચરની ‘ધ ફોર્થ એસ્ટેટ’માં બને છે એમ, કિસન સાવંત અને હરકિસન દિવાન મીડિયા બેરોન છે અને એકબીજાના કટ્ટર હરીફ બનવા જઈ રહ્યા છે. થોડાંક અખબારો ટેકઓવર કર્યા પછી હવે બન્નેની નજર ‘નવસારી ટાઈમ્સ’ પર છે. બન્નેએ 45-45 ટકા શેર હસ્તગત કર્યા છે અને બાકીના દસ ટકા શેર શેઠ ગોપાલદાસ દામાણી પાસે છે. બન્ને જણ આજે જ શેઠને એ શેર માટે મળી રહ્યા છે…)

પ્રકરણ 158મું

ગોપાલદાસ કિસનને બ્રેકફાસ્ટ માટે ટેબલ ભણી દોરી ગયા. શેઠે કિસનની ઓળખાણ તેમની પત્ની સાથે કરાવી. કિસને કહ્યું, “જેશીકૃષ્ણ, માસી.” તેમણે પણ સામે સત્કાર કર્યો.

અચાનક કિસનને બાંસુરીમય અવાજ સંભળાયો. ગૂડ મોર્નિંગ, ડેડી. શેઠે પરિચય આપ્યો, “આ મારી દીકરી, માનસી. હમણાં એમ.બી.એ. કરે છે. માનસી, આ છે, મિ. કિસન સાવંત, ‘ધંધુકા એક્સપ્રેસ’ પેપરના માલિક છે.”

કિસન અને માનસીની નજર મળી અને એક તારકમંડળ રચાયું. માનસીએ નજાકતભર્યા સ્વરે નેણ નચાવીને કહ્યું, “આજે સાંજ સુધી અહીં જ રોકાવાના હો તો અમારા ફ્રેન્ડ્ઝ સર્કલના ગરબામાં આવશો ને?”

કિસને સૂકા મેવાનું મંચિંગ કરતાં કહ્યું, “તમારું ઈન્વિટેશન હોય તો તો આવવું જ પડે ને!”

(વાર્તા આગળ ચાલુ)

‘માનસી સાવંત’: ધારાવાહિક નવલકથાનો અંશ

*

અશ્વિની ભટ્ટ

(વહી ગયેલી વાર્તા – ઉપર મુજબ)

પ્રકરણ 159મું

કિસનનું વૃત્તાન્ત

ઓહ…શું અનુપમ એ સાંજ હતી… માનસીએ સામ્પ્રત ફેશન મુજબનું, મરૂન કવરનું સ્કર્ટ પહેર્યું હતું અને ઉન્નત ઉરપ્રદેશને ઢાંકવા આછા આસમાની રંગનું બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતું. તેના પોશાકમાં ભરતકામ કરીને ચાંદલા ટાંકવામાં આવ્યા હતા. તેની શ્યામલ ચામડી આ લિબાસમાં કંઈક અજબ ગૌર લાગતી હતી.

તેના ગરબામાં, તેના નર્તનમાં એક અનેરો લય હતો, તેના સ્ટેપ્સમાં બ્રહ્માંડની અવિરત ઊર્જા હતી. હું માનવસહજ એષણા, અભિલાષા અને આકાંક્ષા અનુભવી રહ્યો હતો … એક જિન્સી આવેગ હતો આ માહોલમાં … કોઈ અંતસ્થ ઊંડાણમાંથી આશાઓ પ્રગટતી હતી …

“કિસન! ઓહ! તું આવી ગયો છે? કમ ઓન જોઈન અસ,” કહીને તેણે સ્મિત આપ્યું.

“માનસી …” તદ્દન આશ્ચર્યમૂઢ થઈને હું બોલ્યો. મારામાં એક અકલ્પિત રોમાન્સના આવિર્ભાવની એ ક્ષણ હતી …

અચાનક એ ક્ષણે એક સાથે ત્રણ ઘટનાઓ બની. બત્તીઓ બુઝાઈ ગઈ. હરકિસનના માણસ મૂંજા જેઠાએ મને ચોપ કિક મારી અને હું બેભાન થઈ ગયો.

બીજે દિવસે હું ભાનમાં આવ્યો ત્યારે મારા મસ્તિષ્કમાં સતત એક જ વિચાર અફળાયા કરતો હતો. માનસી … માનસી દામાણી … યસ તેનું નામ કેવું ઓડ લાગે છે. તેનું નામ માનસી સાવંત થવું જોઈએ, માનસી કિસન સાવંત.

(ક્રમશ:)

*

ગૂડ મોર્નિંગ : ગરબા જર્નલિઝમ વિશે એક રિવ્યૂ

સૌરભ શાહ

આજે શનિવાર નથી, માટે જે કાંઈ કહેવાનું હોય તે વિસ્તારથી જ કહેવાનું હોય તે તો સુજ્ઞ વાચક જાણે જ છે. ‘લાફ્ટરનૂન’ના નવરાત્રિ વિશેષાંક (એકવીસમી સદીમાં ગરબા) સાથે ગુજરાતી જર્નલિઝમમાં એક નવું ચેપ્ટર શરૂ થયું છે. ‘કિડ-ડે’ના રમેશ ઓઝાઓ અને અન્ય સ્યુડોસેક્યુલારિસ્ટો આ ઓપર્ચ્યુનિટી મિસ કરી ગયા. ખેર, આ વિશેષાંકની વાત કરીએ.

નવરાત્રિ વિશેષાંકની વાચનસામગ્રીમાં ગરબા જર્નલિઝમના ઊંચાં સ્ટેન્ટર્ડ દેખાય છે. કાન્તિ ભટ્ટે લંડનના ગરબા વિશે એક પીસ લખ્યો છે. હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટની સહિયારી નોવેલનું સ્કૂપ છે. ગુણવંત શાહના અપ્રકાશિત પુસ્તકમાંથી રિલેવન્ટ એક્સર્પ્ટ અપાયા છે. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, આમંત્રણ હોય કે ન હોય, પણ અમુક (બની બેઠેલા) વડીલો તો હોય જ, તે હિસાબે ચંદ્રકાંત બક્ષી પણ છે. જમણના અંતે મુખવાસની જેમ વિશેષાંકોમાં હ્યુમરસ પીસનો રિવાજ છે એ અશોક દવેએ નિભાવ્યો છે.

યોર્સ ટ્રુલીનો ગરબા જર્નલિઝમ અંગેનો એક ઈન્ફર્મેટિવ રાઈટઅપ છે, જે ન્યૂ યોર્કથી પ્રસિદ્ધ થતા એક ગુજરાતી અખબારે બેઠેબેઠો ઊઠાવ્યો છે. અનપબ્લિશ્ડ પીસની એમણે કેવી રીતે કોપી મારી હશે એ વિશે વાચકોને ફોડ પાડીને સમજાવવાનું ન હોય. વાચકો (ધેટ ઈઝ, સુજ્ઞ વાચકો) બધું જ સમજતા હોય છે, ટૂંકમાં કહીએ તો.

(‘ધ સૌરભ શાહ કોલમ : અ કલેક્શન’માંથી)

*

“દાદુ, તમને ગરબામાં જોયા’તા”

અશોક દવે

અમદાવાદમાં ચાર મોસમ હોય છે. ત્રણ તમને ખબર છે તે અને ચોથી નવરાત્રિની. આમાં બધી ઉંમરના લોકોનો રંગ બદલાઈ જાય. જો કે, અમારા પરવીણભ’ઈ ગરબા જોવા જવામાં માનતા નથી. એમ તો એ અન્નકૂટનાં દર્શન કરવા પણ નથી જતા … (બાય ધ વે, આ જોક આદમે ઈવને કહી હતી એવું નથી. બન્નેએ સાથે જ વાંચેલી … આ કોલમમાં …) પણ ગઈ કાલે હું અને પરવીણભ’ઈ ગરબા જોવા ગયેલા, કારણ પેલું કહે છે ને કે જીવ્યા કરતાં જોયું ભલું …

રાતે રસ્તા પર જવાની છલકાતી હતી, ઢોળાતી હતી, ગરબાનું ગાંડપણ રેલાતું હતું, પરવીણભઈ ગમે તે (એટલે ગમે તે નહિ, પણ ગમ્મે તે) ટ્વેન્ટીપ્લસ સાથે નજરના એક્સિડન્ટ કરવાના મૂડમાં હતા. મારી ચોઈસ પહેલેથી સાવ સાદી રહી છે, હું માત્ર સાડાચાર અને સવાનવની જ ફિરાકમાં હતો.

અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં પાસ માટે લાંબી લાઈન હતી અને પાસ મળતા નહોતા. ત્રણે ત્રેખડ થાય તો બેએ શું થાય? બેખડ? એનીવે, મેં ગેટકીપરને બાજુ પર બોલાવીને કહ્યું કે હું અશોક દવે છું. તો એણે કહ્યું, “એમાં શું થઈ ગયું?” મેં કહ્યું, “દાદુ, બે દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ જે કહેલું કે હું અદનો આદમી છું, તે અ.દ.નું ફુલ ફોર્મ ખબર છે?”

બે મિનિટ રહીને અમે અંદર પહોંચ્યા …

(‘બપોરિયાં’માંથી)

*

લંડનમાં ગરબા મહોત્સવ : એક અહેવાલ

કાન્તિ ભટ્ટ

લંડનના સાક્ષરધામ મંદિરમાં હમણાં નવરાત્રિની સાથે ગરબા મહોત્સવ યોજાઈ ગયો. ન્યૂ યોર્કમાં ચરોતરના પટેલો આવો ઉત્સવ દર વર્ષે કરે છે, તેમાં હાજરી આપીને હું લંડન આવ્યો ત્યારે સ્વામી આજીવનદાસજીએ મને માહિતી આપી કે આમાં 15,000 પાઉન્ડનું ખર્ચ થયું. મેં એમને પૂછ્યું કે તમે ફાયનાન્સ ક્યાંથી મેળવ્યું, તો કહે મૂકેશભાઈ અને અનિલભાઈ અંબાણી જેવા ભક્તો હોય ત્યાં સુધી ફિકર કરવાની જરૂર નથી.

ચોરાણુંમાં જામનગરમાં રિલાયન્સના નવા પ્લાન્ટની ભૂમિપૂજન વિધિ વખતે હું ધીરુભાઈને મળ્યો ત્યારે એમણે કહેલું કે તેમને દાળઢોકળી બહુ ભાવે છે. (જો કે ટીના મુનિમે મને કહ્યું હતું કે તેને દાળઢોકળી નહિ પણ પિઝા વધારે ભાવે છે.)

લંડનના ‘ધ ટાઈમ્સ’ અખબારે આ ગરબા મહોત્સવને સારું કવરેજ આપ્યું છે. બીજા પાને ગરબા રમતાં ટીના મુનિમ અને પ્રિન્સેસ ડાયનાના ફોટા છે. આ ટાઈમ્સ આપણા એન.આર.આઈ. હિન્દુજા ભાઈઓના હાથમાં છે. આપણા ભારતના ટાઈમ્સવાળા સમીર જૈન 51 ટકા કોલેબોરેશનનું વિચારે છે. (સમીર જૈનને ઢોકળા બહુ ભાવે છે.)

મેં આજીવાનદાસજીને ટાઈમ્સના કવરેજ અંગે પૂછ્યું ત્યારે તેમણે રેટ કહ્યો. ત્રણ કોલમ એટલે ત્રણ હજાર પાઉન્ડ. વત્તા પ્રસાદ તો ખરો જ. “આ લોકોને આપણો મગસ બહુ ભાવે.”

(‘સૌજન્યથી’માંથી) 

*

ગરબા : એક સાંસ્કૃતિક સંકેતતત્ત્વ તરીકે

ડો. સુમન શાહ

અનુઆધુનિકવાદની પરંપરામાં ઉન્નતભ્રૂ સંસ્કૃતિ અને લોકપ્રિય સંસ્કૃતિ વચ્ચેની ભેદરેખા પાતળી થતી જાય છે. બાર્થ અને ઈકો જેવા સંરચનાવાદી વિવેચકોએ ફેશન, ફૂડ, કોમિક્સ, જેમ્સ બોન્ડની ફિલ્મો ઈત્યાદિ તથાકથિત પોપ કલ્ચરનાં ઘટકોનો વિઘટનવાદી અભ્યાસ હાથ ધર્યો છે, તેવું સ્થાનિક સ્તરે ગરબા માટે શક્ય છે?

ગરબાને સાંસ્કૃતિક સંકેત (સાઈન) તરીકે સ્વીકારતાં પ્રશ્ન એ ઊભો થાય છે કે આમાં સંકેતક (સિગ્નિફાયર) કોણ અને સાંકેતિક (સિગ્નિફાઈડ) કોણ. આમાં સંકેતક તરીકે ગરબાના શબ્દોની ટેક્સ્ટ છે અને સાંકેતિક તરીકે કુમારિકાની અવ્યક્ત ભાવનાઓ છે.

પરંતુ, ગરબો ઢોલી અથવા ગાયક દ્વારા ગવાતો હોવાથી કુમારિકાને પ્રોક્તિ (ડિસ્કોર્સ) ઉપલબ્ધ નથી અને તે રીતે સમાજનો પુરુષપ્રધાન ઢાંચો (પેટ્રિયાર્કી) અકબંધ જળવાઈ રહે છે.

એકવીસમી સદીની શરૂઆતમાં જે ગરબા દેખાઈ રહ્યા છે તેમાં અનુઆધુનિકતાનો દ્વંદ્વ સ્પષ્ટ છે. એક તરફ અત્યંત સ્થાનિક ઓળખ (લોકલ આઈડેન્ટિટી) છે, જે ગરબાની પ્રક્રિયા, પહેરણ, ઈત્યાદિમાં વ્યક્ત થાય છે, જ્યારે બીજી તરફ વૈશ્વીકરણના પ્રવાહો છે, જે પાશ્ચાત્ય સંગીત, આયોજનના વ્યાપારીકરણ ઈત્યાદિમાં વ્યક્ત થાય છે.

*

ટૂંકી સંદર્ભસૂચિ :

દેવી, ગણેશ : ‘ડિકન્સ્ટ્રક્ટિંગ ગરબા : બિફોર ઈન્સોમ્નિયા’

નાન્દિ, આશિષ : ‘ગરબા એઝ ડિલોકોલોનાઈઝિંગ ધ સાયકી’

(‘મડિયાથી મીડિયા સુધી : આધુનિકતાનાં પરિમાણો અને અનુઆધુનિકતાનાં પરિણામો’માંથી)

સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

PFI: રાતે 2 વાગે મોદી જાપાનથી આવ્યા, સવારે 6 વાગે પ્રતિબંધ લાગ્યો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|3 October 2022

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા અથવા પી.એફ.આઈ. એક આતંકી સંગઠન છે તેવા મત સાથે, તેના પર પ્રતિબંધ લગાવવાનો મુદ્દો દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે છેક 2010થી ચર્ચાનો વિષય બન્યો હતો. 2010માં, કેરળના એક પ્રોફેસર ટી.જે. જોસેફનો હાથ કાપી નાખવાની ઘટનામાં પી.એફ.આઈ.નું નામ ચર્ચામાં આવ્યું હતું. અર્નાકુલમ જિલ્લાના મુવ્ત્તુપુઝાની નિર્મલા કોલેજમાં મલાયલમ ભાષા ભણાવતા આ પ્રોફેસરે બીજા વર્ષની બી.કોમ.ના વિધાર્થીઓ માટે પરીક્ષાપત્રમાં એક પાત્ર અને ઈશ્વર વચ્ચે સંવાદને લઈને પ્રશ્ન પૂછ્યો હતો. એ પાત્ર એક ફિલ્મમાંથી લેવાયું હતું, જેનું નામ નસીરુદ્દીન હતું. તે સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે અને જાત સાથે બડબડ કરે છે. પ્રોફેસર જોસેફે પ્રશ્નપત્રમાં તેનું નામ કુંજુ મહોમ્મદ કરી નાખ્યું હતું. સંવાદ એ રીતનો હતો કે કોઈને તે ઈશ્વર અને મહોમ્મદ પયગંબર વચ્ચેની વાતચીત લાગે.

‘મધ્યમમ’ નામના એક સ્થાનિક અખબારમાં આ પ્રશ્નપત્રના સમાચાર છપાયા પછી વિવાદ શરૂ થયો હતો અને કેરળના મુસ્લિમોમાં એવો ભાવ ઘર કરી ગયો કે પ્રોફેસરે પયગંબરની મજાક ઉડાવી છે. અનેક મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો હતો. એમાં પી.એફ.આઈ.ની વિધાર્થી પાંખ, કેમ્પસ ફ્રન્ટે પ્રોફેસર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. કેરળનાં અન્ય રાજકીય સંગઠનોએ પણ પ્રોફેસરની હરકતની નિંદા કરી હતી. જિલ્લા કલેકટરે સર્વ પક્ષીય બેઠકમાં પ્રોફેસર સામે પગલાં ભરવાનું પણ નક્કી કર્યું હતું.

એમાં, 4થી જુલાઈ 2010ના રોજ આઠ લોકોએ પ્રોફેસરને તેમના ઘર નજીક ઘેરી લીધા હતા અને તેમની પર તલવારો અને ચાકુઓથી હુમલો કર્યો હતો. તેમાં તેમનો જમણો હાથ કપાઈ ગયો હતો અને સાથળમાં ઘા વાગ્યા હતા. પ્રોફેસરને સારવાર માટે કોચી લઇ જવાયા હતા, જ્યાં 16 કલાકના ઓપરેશન બાદ તેમનો હાથ જોડવામાં આવ્યો હતો. પોલીસે એ જ દિવસે પી.એફ.આઈ.ના બે કાર્યકરોની ધરપકડ કરી હતી. એ પછી પી.એફ.આઈ. એજન્સીઓની નજરમાં આવી ગયું હતું. એમાં ઘણા દરોડા પડ્યા હતા અને અન્ય કાર્યકરોની પણ ધરપકડ થઇ હતી. દરોડામાં પી.એફ.આઈ.ના આંતરરાષ્ટ્રીય સંગઠનો અને મુસ્લિમ દેશો સાથેના સંબંધો ઉજાગર થયા હતા.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની રચના 2006માં પ્રતિબંધિત મુસ્લિમ સંગઠન સીમીમાંથી ઊભા થયેલા કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને સુન્ની સંગઠન નેશલન ડેવલપમેન્ટ ફ્રન્ટના જોડાણમાંથી થઇ હતી. પી.એફ.આઈ. પોતાને ‘નવી-સામાજિક’ ચળવળ ગણાવે છે, જેનો ઉદેશ્ય લઘુમતી વર્ગને ન્યાય, સ્વતંત્રતા અને સલામતીનો છે. તેણે મુસ્લિમો માટે આરક્ષણની માંગણી કરી છે. તેણે યુ.એ.પી.એ. (અનલોફૂલ એક્ટીવિટી પ્રિવેન્શન એક્ટ) હેઠળ નિર્દોષ નાગરિકોની ધરપકડોનો પણ વિરોધ કર્યો હતો. વિડંબના એ છે કે પી.એફ.આઈ. એ જ કાનૂન હેઠળ પાંચ વર્ષ માટે પ્રતિબંધિત થયું છે.

સુરક્ષા એજન્સીઓ કહેતી આવી છે કે પી.એફ.આઈ. રાષ્ટ્ર-વિરોધી અને સમાજ-વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલું છે. 2012માં, કેરળ સરકારે દાવો કર્યો હતો કે આ સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનના બગલ બચ્ચા સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા(સીમી)નું જ નવું સ્વરૂપ છે. પી.એફ.આઈ. કેરળ અને કર્ણાટકમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરરો સાથે પણ અથડામણોમાં સંડોવાયેલુ છે. તેના કાર્યકરો ઘાતક હથિયારો, બોમ્બ, ગનપાવડર અને તલવારો સાથે પકડાયા છે. તેનો સંબંધ તાલિબાન અને અલ-કાયદા સાથે હોવાના પણ આરોપ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પી.એફ.આઈ.ના 50 હાજરથી વધુ નિયમિત સભ્યો છે અને માત્ર કેરળમાં જ તેના સમર્થકો દોઢ લાખથી વધુ છે. સંગઠનમાં દર વર્ષે પાંચ ટકાનો વધારો થઇ રહ્યો હતો. તેની કેડર લોકોને કટ્ટરપંથી બનાવવા માટે કામ કરતી હતી. એવું કહેવાય છે કે 22 રાજ્યોમાં સંગઠનની પહોંચ હતી.

અમિત શાહ ગૃહ મંત્રી બન્યા ત્યારથી પી.એફ.આઈ. પર તલવાર લટકતી હતી, એટલે તેના નેતાઓને એજન્સીઓના દરોડા અને પ્રતિબંધની નવાઈ લાગવી ન જોઈએ. 22મી સપ્ટેમ્બરે, નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અને અન્ય તપાસકર્તા એજન્સીઓએ અડધી રાતે આખા દેશમાં પી.એફ.આઈ.નાં ઠેકાણાંઓ પર દરોડાઓ હાથ ધર્યા અને 100 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી. દેશવ્યાપી દરોડાનો બીજો સિલસિલો 27મીએ થયો. 15 રાજ્યોમાં પી.એફ.આઈ.નાં 99 ઠેકાણાઓ પર દરોડામાં કુલ મળીને 247 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી. બુધવારે વહેલી સવારે (5.30 કલાકે) ગૃહમંત્રાલયે યુ.એ.પી.એ. હેઠળ આતંકી ફંડિંગ અને હવાલા સંબંધી અપરાધ હેઠળ પી.એફ.આઈ.ને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કર્યું.

તેની સાથે પી.એફ.આઈ. ‘સંલગ્ન’ આઠ અન્ય સંગઠનોને પણ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યાં; રેહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ઈમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ ઓર્ગેનાઈઝેશન, નેશનલ વિમેન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન અને રેહેબ ફાઉન્ડેશન-કેરળ. આ પ્રતિબંધની માંગણી ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતે કરી હતી (ગુજરાતમાંથી 15 ‘પી.એફ.આઈ. સમર્થકો’ની ધરપકડ કરવામાં આવી છે).

સરકારના પ્રતિબંધ પછી હવે પી.એફ.આઈ. વિરોધ પ્રદર્શનો, સંમેલનો, કોન્ફરન્સ, ડોનેશન ગતિવિધિ કે કોઈ પ્રકાશનમાં ભાગ લઇ નહીં શકે. તે સંગઠનની કોઈ પણ પ્રવૃત્તિ ગેરકાયદે ગણવામાં આવશે. કોઈ વ્યક્તિ તેની સાથે સંલગ્ન છે એવી ખબર પડે તો તેની સામે પોલીસ તત્કાળ કાર્યવાહી કરી શકશે. તે ઉપરાંત, સંગઠન સાથે જોડાયેલા લોકો પર વિદેશ યાત્રા-બંધી લાગશે, તેમનાં બેંક ખાતાં અને સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે.

દરોડાથી લઈને પ્રતિબંધ સુધીની પૂરી કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા અને ગુપ્તચર તેમ જ એન્ફોર્સમેન્ટ વિભાગના વડાઓએ પાર પાડી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ભૂતપૂવ વડા શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા રવાના થાય તે પહેલાં પી.એફ.આઈ. પર પ્રતિબંધનો નિર્ણય તેમની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ઇન ફેક્ટ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સામાન્ય રીતે વડા પ્રધાનની વિદેશ યાત્રાઓમાં સામેલ હોય છે, પરંતુ આ કિસ્સામાં ડોભાલને પી.એફ.આઈ. સામેની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે દિલ્હીમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. 27મીની રાતે 2 વાગે મોદી દિલ્હી પાછા આવ્યા, અને વહેલી સવારે 6 વાગે સંગઠન પર પ્રતિબંધનું જાહેરનામું જારી થઇ ગયું.

આ સંગઠન 15 વર્ષથી સક્રિય હતું પણ તેની સામેની કાર્યવાહીમાં કોઈ ઉતાવળ કરવામાં આવી ન હતી. હકીકતમાં, એજન્સીઓ પી.એફ.આઈ. સંબંધી માહિતીઓ અને પુરાવો ઘણા સમયથી એકઠી કરતી હતી. પૂરા દેશમાં રાતના અંધારામાં એક સાથે દરોડા પાડીને પી.એફ.આઈ.ને ‘ઊંઘતું ઝડપી’ લેવામાં આવ્યું તે એજન્સીઓનું કાબિલેદાદા કામ કહેવાય, પરંતુ દરોડામાં (આતંકી ફંડિંગના સૌથી મજબૂત પુરાવા) પૈસા કે હથિયારો નથી મળ્યાં તે બતાવે છે કે સંગઠન સાવ જ ઊંઘતું નહોતું.

અપેક્ષા પ્રમાણે જ, પી.એફ.આઈ. સામેની કાર્યવાહીને સ્વાભાવિક રીતે જ ભા.જ.પ. શાસિત રાજ્યોએ આવકાર આપ્યો છે, પણ વિપક્ષોએ બીજા મુદ્દા પણ ઉઠાવ્યા છે. કાઁગ્રેસના નેતા રશીદ અલીએ કાર્યવાહીના સમયને લઈને પ્રશ્ન કર્યો છે. તેમણે પૂછ્યું છે કે પી.એફ.આઈ. જો આતંકી સંગઠન હતું, તો સરકાર પાંચ વર્ષથી શું કરતી હતી? તેમના મતે આ કાર્યવાહી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. સમાજવાદી નેતા અમીક જમાઈએ કહ્યું છે સરકારે તેની આર્થિક નિષ્ફળતાને ઢાંકવા આ કાર્યવાહી કરી છે.

કાઁગ્રેસના રણદીપ સુર્જેવાલાએ કાર્યવાહીને આવકાર આપતા કહ્યું છે કે હવે આર.એસ.એસ. સામે ક્યારે પગલાં ભરાશે? આર.જે.ડી.ના લાલુ પ્રસાદ યાદવે પણ પી.એફ.આઈ.ની જેમ આર.એસ.એસ. પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ. ડાબેરી સી.પી.એમ. પક્ષે કહ્યું છે પી.એફ.આઈ. અને આર.એસ.એસ. બંને કેરળ અને કર્ણાટકમાં હુમલાઓ કરીને ધ્રુવીકરણ કરે છે. એ.આઈ.એમ.આઈ.એમ.ના અસદુદ્દીન ઓવેસીએ કહ્યું છે કે તેઓ પી.એફ.આઈ.ની રીત-રસમ સાથે સંમત નથી, પણ આ રીતે પ્રતિબંધ યોગ્ય નથી, કારણ કે કોઈ પણ મુસ્લિમ હવે સરકાર સામે મોઢું ખોલશે તેને પી.એફ.આઈ.નું ચોપાનિયું પકડાવી દઈને અંદર કરી દેવામાં આવશે.

અલબત્ત, પી.એફ.આઈ. સામેની કાર્યવાહીને ભારતીય જનતા પાર્ટી કર્ણાટક અને કેરળમાં આતંકવાદ સામેના નિર્ણાયક યુદ્ધ તરીકે પેશ કરીને મતો મેળવવા માટે ચોક્કસ કવાયત કરશે, કારણ કે તેને ખબર છે કે કોઈ પક્ષમાં આ કાર્યવાહી સામે બોલવાની રાજકીય હિમ્મત નથી, પણ એક વાત છે. પ્રતિબંધિત સંગઠનો એમ મરતાં નથી. એ નવા નામકરણ સાથે પુનઃ:જીવિત થાય છે. ઉલ્લેખનીય છે કે, સરકારે પ્રતિબંધ ઘોષિત કર્યો તેના કલાકોની અંદર પી.એફ.આઈ.ના રાજ્ય મહામંત્રી અબ્દુલ સત્તારે જાહેરાત કરી છે કે, “પી.એફ.આઈ.ના સભ્યો અને જાહેર જનતાને જણાવાનું કે પી.એફ.આઈ.નું વિસર્જન કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂકતુ જાહેરનામું બહાર પાડયું છે. કાનૂનના પાબંદ નાગરિકો તરીકે અમારું સંગઠન આ નિર્ણયનો સ્વીકાર કરે છે.”

લાસ્ટ લાઈન :

“બંદૂકોથી તમે આતંકવાદીઓને મારી શકો, શિક્ષણથી તમે આતંકવાદને મારી કરી શકો.”

—મલાલા યોસફ્ઝાઈ

નોબેલ શાંતિ પુરષ્કાર વિજેતા પાકિસ્તાની કાર્યકર.
(‘ક્રોસલાઈન’ કોલમ, “ગુજરાતી મિડ–ડે”; 02 ઑક્ટોબર 2022)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી મૂલ્યો – વિચારોનું એક લેખકને માટે સાંપ્રત સમયમાં મહત્ત્વ …

પ્રતિભા ઠક્કર|Opinion - Opinion|3 October 2022

લેખક અને લેખન – 

       સત્ય, અહિંસા, સાધન-શુદ્ધિ એ તે કઈ બલાનું નામ 

       કોણ હતા એ ગાંધી અને કોણે દીધું’તું બધું સાંધી ?

       આ તો, ભાઈ, એવી થઇ ભવાઈ કે કામે લાગ્યા મુન્નાભાઈના ગાંધી … 

સાંપ્રત સમયમાં ગાંધી – મૂલ્યો કે વિચારો વિષે વિચારીએ ત્યારે અને એમાં પણ એક લેખકને માટે ત્યારે એક બહુ જ અસ્પષ્ટ ચિત્ર નજરે ચડે છે. મનમાં એક ચિંતાનો માહોલ ખડો થઇ જાય છે.

એક બાજુ યોજાતા એવોર્ડ સમારોહો, મહેફીલો, રેલીઓ, પ્રદર્શનોમાં અટવાયેલાં ગાંધી ચિત્રો જાણે ગુંગળામણ અનુભવતાં જોવા મળે છે. અને સ્વતંત્ર બુદ્ધિથી સામાજિક નિસ્બત સાથેનાં લેખન સામે એક પ્રશ્નાર્થ ઊભો થઇ ગયો છે. એક ધૂંધળું ચિત્ર નજર સામેથી પસાર થાય છે.

એક બાજુ માનવ આકારનાં ઘેટાંનાં ટોળાં જેવો દેખાતો સમૂહ જે લાભાર્થી લેખકોનો છે એ હાથમાં અવનવા એવોર્ડ્સ – માનપત્રો લઇ હરખાતાં હરખાતાં પસાર થાય છે, અને બીજી બાજુ બહુ થોડાં ‘માનવ’ આક્રોશ ભર્યા ચહેરાં સાથે સામાજિક નિસ્બત જાળવી લખતાં, બોલતાં નજરે ચડે છે.

અહીં મારી આજની વાત શરૂ થાય છે કે, આ પરિસ્થિતિમાં ગાંધી વિચારો અને મૂલ્યો ખૂબ જરૂરી બની રહે છે. આમ તો કોઈ પણ સમયની સમસ્યાનાં ઉકેલ માટે ગાંધીનાં ‘સત્ય’, ‘અભય’, ‘સાધનશુદ્ધિ’ આ ત્રણ સનાતન મૂલ્યોની પરખ રાખી અને અમલમાં મૂકી લખાતું સાહિત્ય માનવીય ગૌરવ ને પુરસ્કૃત કરે છે, નહિ કે સત્તાસ્થાને બેસેલાઓની ચાપલુસી કરી મેળવાયેલ પુરસ્કારો.

આપણી આસપાસના પ્રવર્તમાન માહોલમાં સ્વાર્થની આ દૌડ બહુ ભયંકર બનતી જાય છે. ચારે બાજુ ગુન્ડાગીરી, ચાંચિયાગીરી, ચમચાગીરી કે ઘેટાંગીરી જેવા શબ્દો જ્યારે લખનારા વર્ગનાં લોહીમાં ભળી ગયા હોય, ત્યારે આપણી સાથે જીવતાં લોકોની સંવેદનાઓ ને જીવતી રાખવાનો કસબ આપણને ગાંધી વિચારોમાંથી ચોક્કસ મળી આવે.

માત્ર ને માત્ર ઉપભોક્તાવાદમાં ફસાયેલો આપણો સમાજ, સત્તાનાં રાજકારણને ટૂંકી અને સ્વાર્થી બુદ્ધિથી ચલાવી લેનાર આ સમાજને જો કોઈ બચાવી શકે એમ હોય તો આ વિચારોનો ફેલાવો અને સમજ જ બચાવી શકશે.

રેગીસ્તાન બનતાં જતાં લોકોનાં ભાવજગતને ઢંઢોળવા સામાજિક નિસ્બત સાથેનું લેખન જો ગાંધી વિચારો અને મૂલ્યોથી પ્રભાવિત હશે અને લોકો સુધી પહોંચશે તો સ્વસ્થ સમાજ બનવા તરફ ગતિ કરશે.

ગાંધી વિશેનાં સાચા ખોટા લખાણો સર્વે ઊગતી પેઢીને ગેરમાર્ગે દોરે છે ત્યારે હકીકતનાં ભય વગર અને કોઈ પણ જાતની લાલચ વગર સત્ય સાથે લખનારા લેખકોની હત્યાઓનો સિલસિલો એ આ સદીની સહુથી મોટી દુર્ઘટના ગણી શકાય ત્યારે ગાંધી વિચારો અને મૂલ્યોનાં પુન:સ્થાપનની તાતી જરૂરત છે.

ઉપભોક્તાવાદને હિસાબે આખો સમાજ એક બજાર બની ગયું છે, ત્યારે બજાર કિંમત અને મૂલ્યોનાં અર્થ વચ્ચે તફાવત છે. લેખનનાં મૂલ્યોને લાગેવળગે છે ત્યાં સુધી માત્ર વાહ-વાહી  મેળવવા માટેનું લખાણ સમાજ માટે પ્રશ્નાર્થ છે. ત્યારે આજની પેઢી અને આવતીકાલની પેઢી બંને જીવનનાં મૂલ્યો સમજે અને ગાંધી વિચાર પ્રમાણે સત્ય અને અભય અપનાવી નિરર્થક અને દૂષિત વિચારો અને પ્રવૃત્તિ અટકાવવાની જવાબદારી લેખકોની છે.

ધાકધમકી અને પ્રલોભનોને વશ થયા વગરનું, નિસ્બત સાથેનું લેખન જો ગાંધી વિચારો અને મૂલ્યોથી પ્રભાવિત હશે, અને લોકો સુધી પહોંચશે તો ચોક્કસ પરિણામ મળશે. અલબત્ત, વેચાઈ ચૂકેલું લેખન જગત અને પત્રકારત્વ જગત જોઈને આમાં કશું થઇ શકે નહિ એવું કહીને રેતીમાં મોં ખોસીને બેસી ન રહેતા ગાંધીગીરીને વધુ વિશાળ ફલક પર લાવવાની જવાબદારી નિસ્બત ધરાવનાર લેખકોની જ છે.

કળા ખાતર કળા નહિ પણ લેખન પ્રતિબદ્ધતા જાળવવા માટે ગાંધીનાં સત્ય, અભય અને સાધન શુદ્ધિ જેવાં મૂલ્યો આજના સમયમાં પ્રસ્તુત છે.

(‘ગુજરાતી લેખક મંડળ’ સંપાદિત ‘ગાંધી’ ૧૫૦ વિશેષાંક )
સૌજન્ય : પ્રતિભાબહેન ઠક્કરની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2371,2381,2391,240...1,2501,2601,270...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved