Opinion Magazine
Number of visits: 9744066
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતની આખી સરકાર બદલી કઢાતી હોય તો આ શિક્ષણ વિભાગને કેમ કોઈ આંગળી અડાડી શકતું નથી?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 March 2023

રવીન્દ્ર પારેખ

આમ તો 2022ની વિધાનસભાની ચૂંટણી આવતી જ હતી, પણ સપ્ટેમ્બર, 2021માં મુખ્ય મંત્રી વિજય રૂપાણીને અને તેમની સરકારને બદલી કઢાયાં હતાં ને જે નવું મંત્રીમંડળ આવ્યું હતું, એમાં અગાઉના કોઈ મંત્રી રિપીટ થયા ન હતા. રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા ને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું સ્થાન જીતુ વાઘાણીએ લીધું હતું. એ પછી 56ની છાતી 2022ની ચૂંટણી બાદ 156ની થઈ. મુખ્ય મંત્રી તો ભૂપેન્દ્ર પટેલ જ રહ્યા, પણ શિક્ષણ મંત્રી વળી બદલાયા ને હાલમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા છે. ડિંડોર સાહેબે એટલું તો કર્યું કે ગુજરાતી વિષય 1થી 8માં ફરજિયાત થયો, પણ હજી ઘણું કરવાનું રહે છે. શિક્ષણ હાલ ખાનગીકરણ તરફ ધસી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં 359 ખાનગી પ્રાથમિક શાળા અને 135 માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ છે. એમાં ગ્રાન્ટેડનું કોઈ સ્થાન નથી. એને કારણે નાનાં ગામડાઓમાં ચાલતી શાળાઓ બંધ પડી છે ને સ્થિતિ એવી છે કે એક લાખથી વધુ બાળકો તો શાળા સુધી જ પહોંચી શકયાં નથી.

વારુ, જ્યાં શિક્ષણ ચાલે છે ત્યાં અધિકારીઓ વાઇસરોયની ભૂમિકામાં છે ને કામ તઘલખી તુક્કાઓ પર ચાલે છે. સુરતની વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપશાસનાધિકારીએ 13/03/23ને રોજ તમામ શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓને ‘શાળાનાં સાંસ્કૃતિક / અભ્યાસિક / સહઅભ્યાસિક કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓને આમંત્રણ આપવા બાબત’ આવો પરિપત્ર મોકલ્યો : ‘જત ઉપરોક્ત વિષયનાં અનુસંધાનમાં જણાવવાનું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ઉજવવામાં આવતા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે અભ્યાસિક / સહઅભ્યાસિક કાર્યક્રમોમાં અત્રેની કચેરીનાં અધ્યક્ષ / ઉપાધ્યક્ષ / સભ્યશ્રી / તેમ જ જે-તે ઝોનનાં સભ્યશ્રી / અન્ય સભ્યશ્રી, સ્થાનિક પદાધિકારી / કોર્પોરેટરશ્રી / કાર્યકર્તાઓને શાળા કક્ષાએથી ફરજજિયાત આમંત્રણ પત્રિકા આપવી અને ટેલિફોનિક આમંત્રણ આપવાનું રહેશે. અને કાર્યક્રમમાં પ્રોટોકોલ જાળવવાનો રહેશે.’

આવો પરિપત્ર મુખ્ય શિક્ષકોને ઉદ્દેશીને કરાયો હોય એટલે વિવેકની અપેક્ષા તો કેમ રખાય ને આચાર્યો પણ છે તો ચિઠ્ઠીના ચાકર જ ! માણસને સ્વમાન પણ હોય એવું આચાર્યને ને એમના શિક્ષકોને ઓછું જ યાદ આવતું હોય છે એટલે મોટે ભાગે તો પરિપત્રોના જવાબ આપવામાં, વસતિ ગણતરી, ચૂંટણી, રસીકરણ જેવાં શિક્ષણેતર કામો કરવામાં, આંકડાઓ ભરીને પત્રકો મોકલવામાં જ નોકરી પૂરી થતી હોય છે. એવું નથી કે ભણાવાતું નથી, કોઈ કોઈ વાર ભણાવાય પણ છે. વળી કોઈ કાર્યક્રમ કરવો હોય તો સંસ્થાના હેડ તરીકે એક જમાનામાં આચાર્ય કોઈ નિષ્ણાત કે જાણકારને બોલાવીને માર્ગદર્શનનો કાર્યક્રમ પણ પાર પાડતા, ક્યારેક સમિતિના હોદ્દેદારો પણ બોલાવાતા ને એમની હાજરીમાં પણ વાર્ષિક કાર્યક્રમ કે ઈનામ વિતરણ જેવું થતું. રાજકારણીઓની પણ કોઈને બહુ છોછ ન હતી, કારણ ત્યારે એમની બહુ દખલ પણ ન હતી. હવે દખલ અસહ્ય રીતે વધી છે. બાકી હતું તે હવે આવો ફતવો બહાર પાડીને સામેથી આમંત્રણો ઉઘરાવવાનું ચાલુ થયું છે. તે પણ ફરજિયાત રીતે ! પોતાની સ્કૂલમાં કોને કોને બોલાવવા તે હવે આચાર્યનાં હાથમાં રહ્યું નથી, તે શિક્ષણ સમિતિ નક્કી કરે છે ને ઉપશાસનાધિકારી તેની યાદીનો પરિપત્ર મોકલે છે ને ફરજ પાડે છે કે આટલાને તો ઉજવણામાં બોલાવવા જ !

આપણે શાળાઓમાં પ્રવેશોત્સવ શરૂ કર્યો. એમાં રાજકારણીઓ એવા પ્રવેશ્યા કે જેમને માટે આ ઉત્સવ શરૂ થયો એ બાળકો બાજુએ રહી ગયાં. એમનો ઉપયોગ પધારેલા મહાનુભાવોની સરભરા પૂરતો જ રહી ગયો. હવે કોઈ પણ સૂચવાયેલા કાર્યક્રમોમાં સૂચવાયેલા અતિથિઓને મંચ આપવાનું, તેમની સરભરા કરવાનું ઉમેરાયું છે, એમાં બાળકો ને શિક્ષકો કે આચાર્યોનો રાજકીય પ્રચાર સિવાય બીજો કોઈ ઉપયોગ હોય એવું ઓછું જ છે. આ રીતે ધારો કે બધા જ મહાનુભાવોને બોલાવાય, આચાર્ય પટાવાળાની જેમ આમંત્રણ આપવા જાતે જાય, ફોન કરે, તો પણ ઘણા સજ્જનો એટલા નવરા હોય છે કે આવતા નથી. એવે વખતે વ્યવસ્થાના જે પ્રશ્નો થાય એનો તાગ શિક્ષણ સમિતિએ મેળવવા જેવો છે.

ઘણીવાર મહાનુભાવોનું આખું ધાડું સ્કૂલમાં ઊતરી પડતું હોય ને એમની વ્યવસ્થા કરવામાં જ સ્કૂલને પરસેવો વળી જતો હોય ને મહાનુભાવોનું સન્માન થાય કે તરતમાં જ એ હારતોરા કે શાલદુશાલા મંચ પરથી એવા ઊતરી જાય કે શોધ્યા ના જડે. કામ હોય કે ન હોય બધાં જ ચાલુ કાર્યક્રમે અલોપ થઈ જાય છે. એમને ખરેખર તો સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા અને બાળકોને પ્રોત્સાહિત કરવા આમંત્રણ અપાયું હોય છે, પણ લગભગ મંચ ખાલી થઈ જાય છે ને કાર્યક્રમ બતાવવા ઉત્સુક બાળકો મોં વકાસીને એકબીજાને જોતાં રહી જાય છે. આવાં પરિપત્ર બહાર પાડનાર સાહેબને એ સવાલ પણ નથી થતો કે આ યાદી પ્રમાણેનું ટોળું એકઠું કરવાની શાળાની ને આચાર્યની ક્ષમતા છે કે કેમ?

કોણ જાણે કેમ પણ આચાર્યોને આ ‘ફરજિયાત’ પરિપત્રની એલર્જી થઈ. એમણે અંદરોઅંદર એવું પણ નક્કી કર્યું કે આવાં ફરજિયાત તેડાં જ કરવાનાં હોય તો કાર્યક્રમો જ ન કરવા કે એકાદ કાર્યક્રમ કરીને બેસી રહેવું. પગાર તો ચાલુ રહેવાનો જ છે ! આ મિત્રો પગારનો પ્રશ્ન ન હોય તો યુનિયન જેવું બહુ કળાવા દેતા નથી. એમને પગાર નિમિત્તે જેટલા વિરોધ ઊઠે છે એટલા શિક્ષણનાં ધોરણ સંદર્ભે ઊઠતા નથી. એ રીતે આ બધા નિરુપદ્રવી છે. આચાર્યોમાં થોડી ચણભણ થઈ કે કેમ, પણ ઉપશાસનાધિકારીશ્રીએ એ જ તારીખમાં બીજો પરિપત્ર બહાર પાડ્યો જેમાં મૂળમાં ત્રણ ફેરફાર થયા. 1. ‘ફરજિયાત’ શબ્દ દૂર કરાયો. 2. ‘કાર્યકર્તાઓ’ શબ્દ રદ્દ થયો અને 3. મૂળમાં ‘કોર્પોરેટરશ્રી’ હતું, તેનું બહુવચન ‘કોર્પોરેટરશ્રીઓ’ એમ થયું. ‘ફરજિયાત‘ શબ્દ દૂર થયો, પણ આદેશ તો જેમનો તેમ જ છે તે ‘જાણ કરવાની રહેશે’, તેમ જ ‘પ્રોટોકોલ જાળવવાનો રહેશે’ પરથી સમજી શકાય એમ છે. સુધારેલા પરિપત્રમાં પણ આમંત્રણ માંગવાની ભૂખ તો ‘કાર્યકર્તાઓ’ પૂરતી જ ઓછી થઈ છે.

સાધારણ રીતે તો આચાર્ય કોઈ કાર્યક્રમ શાળામાં યોજે ત્યારે સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય અધિકારીઓને, કૈં નહીં તો લોકલાજે પણ બોલાવતા હોય છે, પછી પણ શાળાના કાર્યક્રમમાં હાજર રહેવાની આટલી ઉત્કંઠા કેમ રહેતી હશે તે નથી સમજાતું. શિક્ષણ સમિતિના અધ્યક્ષને ‘ફરજિયાત’ (પરિપત્ર) સંદર્ભે એક ચેનલે પૂછ્યું તો સાહેબે રીઢા જવાબો આપ્યા ને પરિપત્ર બતાવાયો છતાં તે જોયા વગર જ ‘ફરજિયાત‘ જેવું કશું હોય જ નહીં એવો રાગ આલાપ્યા કર્યો. ખરેખર તો સમિતિએ પરિપત્રો અને ડેટાની જટાજાળમાંથી આચાર્યોને બહાર કાઢવાની જરૂર છે. કેટલી ય સ્કૂલોમાં ગણવેશ, પાઠ્યપુસ્તકો, ભોજન વગેરેના પ્રશ્નો મહિનાઓ સુધી ઉકલતા નથી. એ ઉકેલ જડશે, જો પરિપત્રો ઓછા થશે તો ! સમિતિ અને આચાર્યો એમાંથી બહાર નીકળશે તો બંને પક્ષે કારકૂની પણ ઘટશે. જો કે, સાહેબોને મોકળાશ રહેતી હશે, નહિતર એક જ તારીખમાં બબ્બે પરિપત્રો કાઢવાનું મુશ્કેલ છે.

આમ તો આખી સરકાર, બદલાતી સરકારની જેમ જ નિર્ણયો બદલતી રહે છે. તે એટલે કે નાની નાની બાબતોમાં સરકાર દખલ બહુ કરે છે. અંબાજીના મંદિરમાં મોહનથાળનું ચીકીકરણ કરવાની સરકારને એવી ચાનક ચડી કે પછી મોહનથાળને લાવ્યા વગર છૂટકો ન થયો. એક તરફ ચીકીનો ફતવો બહાર પાડ્યો ને બીજે જ દિવસે મોહનથાળ મંજૂર રાખવો પડ્યો. સરકારની આવી દખલ ઘટે તો બીજા થોડાં કામ થશે, નહિતર કામ બધાં, મીડિયામાં જાત જાહેરાતો પૂરતાં જ સીમિત થઈ રહેશે. પ્રજાને જાણીને આનંદ થશે કે સરકારશ્રીનો મીડિયામાં મોઢાં બતાવવાનો ખર્ચ સોળ મહિનાનો 988.58 લાખ રૂપિયા થયો છે. બીજું કૈં કામ થાય કે ન થાય, પણ સરકાર પોતાને મીડિયામાં બતાવવા પાછળ આટલો ખર્ચ કરે છે, એ પણ વિકાસનો જ ભાગ છે.

કમાલ એ છે કે શિક્ષણનું નાહી નાખવા જેવું થયું છે, પણ વિકાસ અટકતો નથી.

એ સારું થયું કે ગુજરાતી કાગળ પર ફરજિયાત તો થયું, પણ વાસ્તવિકતા શરમાવનારી છે. વરસે દસેક લાખ વિદ્યાર્થીઓ 10માંની પરીક્ષા આપતા હોય છે, તેમાંથી દોઢ બે લાખ જેટલા તો ગુજરાતીમાં જ નાપાસ થાય છે. ગુજરાતમાં માતૃભાષા ગુજરાતી છે, ત્યાં આ આંકડાની આપણને નાનમ લાગતી નથી. આ તો વિદ્યાર્થીઓની વાત થઈ, પણ શિક્ષણ વિભાગની સ્થિતિ કેવી છે? આ વખતે ગુજરાતી માધ્યમની ગુજરાતી વિષયની પરીક્ષા 14 માર્ચે હતી, જેમાં પેપર સેટરે ભાંગરો વાટ્યો. બરકત વિરાણી ’બેફામ’ની પંક્તિઓ ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી’ અન્ય કવિને નામે ચડાવીને એમ પુછાયું કે એમાં રઈશ મણિયાર શું કહેવા માંગે છે? આવા (અ)ખતરામાં જેની કવિતા છે તેની ઉપેક્ષા તો થાય જ છે, પણ જેની નથી તેને ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકવા જેવું પણ થાય છે. એ સાથે જ જે વિદ્યાર્થી જાણતો હોય કે આ પંક્તિઓ ‘બેફામ’ની છે, તે રઈશ મણિયારનું નામ, એ પંક્તિને લાગેલું જોતાં, એ વાતે મૂંઝાય છે કે પોતાને છે એટલી ખબર પણ પેપર સેટરને કેમ નથી? ખરેખર તો આ પંક્તિ ‘બેફામ’ની ગઝલની પંક્તિઓ છે. એ મુક્તક પણ નથી ને ‘મુક્તક’ એટલે શું? એ સવાલની સાથે જોડીને આ પ્રશ્ન પુછાયો છે.

આ ઉપરાંત એ જ પ્રશ્નપત્રના 26માં પ્રશ્નમાં જોડકું જોડો(કે બનાવો?)-માં કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર પૂછવાને બદલે, પુસ્તકનાં નામ મૂકી દેતાં વિદ્યાર્થીઓની મૂંઝવણ વધી, કારણ એ પરિરૂપની બહારનો પ્રશ્ન હતો. આ ઉપરાંત ’દુકાનદાર’ને બદલે ‘દુકાન દાર’, ‘આપદા ની પડવી’, ને બદલે ‘આપદાની પડવી’, ‘વર્ષાઋતુ’ને બદલે ‘વર્ષાઋુતુ’, ‘પ્રતીક’ને બદલે ‘પ્રતિક’, ‘કૃષ્ણ વિરહને’ બદલે ‘કૃષ્ણ વિરહ ને’ ‘પ્રવૃત્તિ’ ને બદલે ‘પ્રવૃતિ’, ‘હાનિકારક’ને બદલે ‘હાનીકારક’ જેવી જોડણીની ભૂલો રહી જવા પામી છે. વિદ્યાર્થીઓને સાચી જોડણીના પ્રશ્નો પુછાતા હોય ને તે ન આવડે તો માર્ક કપાતા હોય છે તો ગુજરાતીના પ્રશ્નપત્રમાં આટલી બેદરકારી કઇ રીતે ક્ષમ્ય છે? એને માટે સૌથી વધુ જવાબદાર ગુજરાતનો શિક્ષણ વિભાગ છે. ભાષા બાબતે તો શિક્ષણ વિભાગ જવાબદાર છે જ, વહીવટ બાબતે પણ તેની ગુનાહિત ઉદાસીનતા માફીને પાત્ર ન હોય ત્યારે થાય કે ગુજરાતની આખી સરકાર બદલી કઢાતી હોય તો આ શિક્ષણ વિભાગને કેમ કોઈ આંગળી અડાડી શકતું નથી?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 માર્ચ 2023

Loading

કાવ્ય અને કલાઓનાં પ્રયોજનો 

સુમન શાહ|Opinion - Literature|16 March 2023

== ૨૦૨૩ના માર્ચની ૧૩ તારીખે ગોવિન્દગુરુ યુનિવર્સિટીમાં આપેલા વ્યાખ્યાનનું લેખ-સ્વરૂપ == 

સુમન શાહ

— એક કહેવત છે કે મૂરખ માણસ પણ પ્રયોજન વિના તો હાલતો પણ નથી. આમ તમારી સામે વ્યાખ્યાન કરવું એ મારું પ્રયોજન છે. ખરેખર તો, ૧૫-૨૦ દિવસ પર જૈમિને મને વાત કરી એ ઘડીથી આ પ્રયોજન મારામાં આકાર લઈ રહેલું. એ પ્રયોજન પાર પાડવાને હું અમદાવાદથી તમારા લગી આવ્યો છું. તમે પણ મને સાંભળવાના પ્રયોજનથી બેઠા છો. આયોજકો આ પરિસંવાદ પાછળનું પ્રયોજન પાર પાડી રહ્યા છે. એટલે એમની ચિન્તા એ પણ હોઈ શકે છે કે હું ક્યારે પૂરું કરું ને બીજા વક્તા શરૂ કરે. મજાક છે. મજાક છે એમ કહેવું પડે છે.

— મમ્મટે ૬ પ્રયોજન ગણાવ્યાં છે : કાવ્યમ્ યશસે અર્થકૃતે વ્યવહારવિદે શિવેતરક્ષતયે / સદ્ય:પરનિર્વૃતયે કાન્તાસમ્મિતતયોપદેશ યુજે.

— દરેકને સમજીએ.

સદ્ય: પરનિર્વૃતિ છે, સદ્ય: પરનિવૃત્તિ નથી. નિર્વૃતિ અને નિવૃત્તિ વચ્ચેના ફર્કને અનેક અધ્યાપકો અને સમીક્ષકો પણ ગળી જતા હોય છે. સદ્ય: એટલે, તુર્ત જ. શૈવ દર્શનમાં અર્થ છે, મુક્તિ. શાક્ત દર્શનમાં અર્થ છે, માયાથી મુક્તિ. એ મુક્તિ તો એ દર્શનોના માર્ગે જઇએ તો મળે, આ તો સાહિત્યકલા વડે મળે, અને તુર્ત જ મળે એવી મુક્તિ છે. કલામાં ‘મુક્તિ’-નો સંકેત બદલાઈ જાય છે, જેને કાવ્યાચાર્યો ઉચિત રીતે જ ‘ચેતોવિસ્તાર’ અને ‘અ-લૌકિક આનન્દ’ જેવા આગવા સંકેતોથી ઓળખાવે છે.

– એ પ્રયોજનને ‘સકલપ્રયોજન મૌલિભૂતમ્’ કહ્યું છે. બધાં પ્રયોજનોમાં શીર્ષસ્થાને છે.

— પણ આ પ્રયોજનો છે કે પરિણામો?

— પ્રયોજન તો બીબું બની જાય. સરકારી કવિઓ – ગરીબી હઠાવો. અમે બે અમારાં બે. વગેરે પ્રયોજનોથી લખાતું સાહિત્ય. સ્ટાલિનના સમયનું સરકારી સાહિત્ય. ત્યારે સાચા લેખકોએ પોતાનાં લેખન ડ્રૉઅર્સમાં સંતાડી રાખેલાં. પાછળના સમયમાં ‘ડ્રૉઅર રાઇટર્સ’ રૂપે પ્રગટ થયા. અસલી રશિયા એ સાહિત્યમાં ધબકતું’તું. એવા કવિ કવિ લાગે, લાગે કે કેટલી જરૂરી વાત કરે છે. પણ એથી કૃતક કલાઓ જન્મે છે. એને કવિમાં કે કલામાં ગણવાનું આપણે બંધ કરવું જોઈશે.

— કેમ કે કૃતક કલાઓ દુષ્પ્રયોજનોને કારણે સદ્ કલાઓને હડસેલી મૂકે છે. અત્યારે એ જ થઈ રહ્યું છે. ઉપજાવી કાઢેલાં જૂઠાણાં હવે સત્ય છે. એ પોસ્ટ ટ્રુથ છે. સત્તાના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હકીકત રૂપ સત્યને સ્વાર્થે મચડી નાખે. પોસ્ટ ટ્રુથ ઊભાં કરીને નર્મદનાં સત્યોને હણી નંખાયેલાં, આજે સુરેશ જોષીનાં સત્યોને પોસ્ટ ટ્રુથના હથિયારથી હણવાના પ્રયાસ ચાલુ છે. ફ્રાન્સમાં એક જમાનામાં વાઇન લોહી જેવા લાલ રંગનો હોવાથી અપવિત્ર અને ત્યાજ્ય મનાતો હતો, કમ્પનીઓએ જાહેરાતો કરવા માંડી કે વાઇન સ્વાસ્થ્યવર્ધક છે. રોલાં બાર્થ એવી જાહેરાતોને નવા જમાનાની મિથ કહે છે. 

અસદ્ કલાપ્રયોજનોથી સમાજ ભાવનાઓના વિષયમાં માંદો પડે છે. એ માંદગી ન દેખાય એવી હોય છે. 

— ઉપયોગી બને એવી કારીગરી એક જમાનામાં કલાઓ ગણાતી હતી : જેમ કે, નદીમાં ઝાડનું થડિયું તરતું જોઈને માણસને હોડીનો વિચાર આવ્યો. પણ શિલ્પી કલાકારે આરસની હોડી બનાવી. એનો ઉપયોગ નથી, નદીમાં મૂકો તો ડૂબી જશે. આગળના સમયમાં વાંસની ચીપોની સાદડીઓ હતી, એવા પંખા પણ હતા. પણ અસમના અવનિયતિ સત્રમાં આયોજકોએ મને હાથીદાંતની ચીપોની સાદડી બતાવેલી. એ પર બેસાય થોડું? ઉપયોગ કાઢી નાખો એટલે કલા પ્રગટવા માંડે.

— ફ્રૅન્ચ ચિત્રકાર અને શિલ્પી માર્સલ દુશામ્પે (૧૮૮૭-૧૯૬૮) ૧૯૨૧માં બનાવેલું એક શિલ્પ છે, જેમાં બર્ડકેજ છે, પંખીનું પાંજરું. એમાં, ૧૫૨ સાકરના જેવા સફેદ દાણા છે, પણ આરસના બનાવેલા છે. એમાં એક મૅડિકલ થર્મોમીટર પણ છે, એક કટલબોનફિશ પણ છે, અને પોર્સેલિનની એક નાની ડિશ પણ છે. ઉપયોગી વસ્તુઓના બનેલા એ શિલ્પનો કશો જ ઉપયોગ નથી.

LHOOQ (1919): Marcel Duchamp’s Uncompromising Piece

એ દુશામ્પે લિયોનાર્ડો વિન્સીના જગવિખ્યાત ચિત્ર મોના લિસાનું ઠઠ્ઠાચિત્ર બનાવ્યું છે. મોનાને એણે મૂછો સાથે ચીતરી. નામ આપ્યું – L.H.O.O.Q. જેનો ફ્રૅન્ચમાં વિસ્તૃત અર્થ છે, ‘શી હૅઝ હૉટ ઍસ’. મતલબ, જાતીયતાથી ઉશ્કેરાયેલી અને તેથી ઉપલબ્ધ વ્યક્તિની મનોવસ્થા. 

નક્કી પ્રયોજનને નહીં વરેલી આવી કલાઓ આઘાતક હોય છે. આપણને એ ટેવોથી નહીં પણ જગતને જુદી જ રીતે જોવાની તાજપભરી રસીલી દૃષ્ટિ આપે છે. 

— ઇટાલિયન પેઇન્ટર જિઓર્જિઓ મોરાંદીએ (૧૮૯૦-૧૯૬૪) દોરેલાં શીશીઓનાં ચિત્રનું દૃષ્ટાન્ત પણ સમજવા જેવું છે. સ્ટીલ લાઇફ છે. જીવનભર એણે એનાં જ સર્જન કર્યાં. નાનીમોટી, જાતભાતની રંગબેરંગી શીશીઓનાં ચિત્ર. એણે પોતાના સ્ટુડિયોમાં ફ્લાવરવાઝ, ઘડા, ફળફળાદિ માટેની ડિશો, વગેરે રોજિંદા વપરાશની વસ્તુઓ એકઠી મૂકેલી. વસ્તુઓનાં કાયમી સ્થાનો કે તેમનાં ઉપયોગો યાદ જ ન આવે. શો હેતુ? કયું પ્રયોજન?

એથી પરિચિતથી અપરિચિતની દિશા ખૂલે છે. એક હતું, વસ્તુઓનું ચવાઈ ચૂકેલું રૂપ અને બીજું હતું, કલાકાર વ્યક્તિએ સરજેલું નવ્ય રૂપ. સામાન્યપણે લોકોને જીવનભર ખબર જ નથી પડતી કે એમની આસપાસની બધી જ ચીજો નિષ્પ્રાણ હતી, કેટલીક વ્યક્તિઓ પણ …

— ફ્રૅન્ચ ફિલસૂફ સાર્ત્રે એક ચર્ચામાં (૧૯૦૫-૧૯૮૦) – બટર હૉર્સની વાત કરેલી. બટરનો ઘોડો. એમાં, બટર હતું પણ ખાવા માટે ન્હૉતું. કોઈ જડભરત એને તવા પર મૂકે તો નરી સર્જકતાથી બનાવેલો એ ઘોડો મરી જાય. વળી, એ ઘોડા પર સવારી ન થઈ શકે, ગાડીએ જોડીને ઘોડાગાડી ન બનાવાય. એમાં, એવા સંસારી ઉપયોગનું પ્રયોજન છે જ નહીં. 

— સ્પૅનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલિના (૧૯૦૪-૧૯૮૯) જગવિખ્યાત પેઇન્ટિન્ગનું શીર્ષક છે, ‘ધ પર્સિસ્ટન્સ ઑફ મૅમરિ’ – ‘સ્મૃતિનું દૃઢ સાતત્ય’. 

એ ચિત્ર સર્રીયલ આર્ટનો ઉત્તમ નમૂનો મનાય છે. ડાલિ પણ સર્રીયાલિઝમના મહાન ઉદ્ગાતા કહેવાયા છે. જાતીય વાસના અને અસમ્પ્રજ્ઞાત મનના, અન્કૉન્સિયસના, આવિષ્કારો એમની સૃષ્ટિમાં કલારૂપે પ્રગટ્યા છે. ડાલિ કહેતા કે હું મદીરા-પાન નથી કરતો, પણ હું પોતે જ મદીરા છું, મારી કલાકૃતિઓ જોઈને લોકોનાં દિમાગ ખૂલી જાય છે, કેમ કે એમાં અસમ્પ્રજ્ઞાતને જાગ્રત કરવાની તાકાત છે. 

એ ચિત્રમાં કેટલાંક પૉકેટ વૉચીસ છે – ખિસ્સામાં રાખવાનાં ઘડિયાળ. પણ એ પોચાં છે, પલળેલાં છે, ભીનાં છે, અને કલાકાર ડાલિએ એને ઝાડની ડાળ પર સૂક્વ્યાં છે. એ સંયોજન વિલક્ષણ તો છે જ પણ અ-પૂર્વ છે. સમય અને સ્થળને અમુક જ રીતે જોવા ટેવાયેલી આપણી આંખોને એથી એક નવ્ય અપરિચિત દૃશ્ય નિહાળવા મળે છે. 

કલા પરિચિતથી અ-પરિચિત સૃષ્ટિમાં લઈ જાય છે એનું આ ચિત્ર ચોખ્ખું નિદર્શન છે. કેમ કે, ઝાડ પર કપડાં સૂકવાય, ઘડિયાળ નહીં. ઘડિયાળ અને ઝાડ પરિચિત પદાર્થો છે. પણ ડાલિનાં એ ઘડિયાળ અને તેનું એ ઝાડ અને તે પરનું એ સૂકવણું અ-ભૂતપૂર્વ છે.

‘ભીનો’ સમય, સમય ‘વહી’ ગયો, પ્રયોગોમાં સમયનું પ્રવાહી રૂપ છે પણ રોજિન્દી ઘટમાળમાં આપણે એને વીસરી ગયા છીએ. ‘ટાઇમ ઇઝ મનિ’ જપ્યા કરીએ છીએ. ચિત્ર આપણી એ જડતા સામે પણ ઇશારો કરે છે.

વિદ્વાનોએ એ ચિત્રમાં સ્થળ-કાળની સાપેક્ષતા જોઈ, તો ડાલિએ કહેલું, ના ના, આ તો, કૅમેમબર્ટ – ગાયના દૂધમાંથી બનાવાયેલી ચીઝની સપાટી – તડકામાં ઑગળી જાય છે એ જાણીતી હકીકતનું મારું સર્રીયાલિસ્ટ દર્શન છે.

મારા મતે, ખરેખર તો ડાલિએ આપણી સ્મૃતિના હઠીલા સાતત્યને, દૃઢ સાતત્યને, પર્સિસ્ટન્સને, સમયના એવા જ સાતત્ય સાથે સરખાવ્યું છે. કોઈની ય તમા રાખ્યા વિના સ્મૃતિ અને સમય વહ્યા જ કરે છે. સ્મૃતિમાં સમય વહે છે કે સમયમાં સ્મૃતિ વહે છે, કહી શકાતું નથી. અને, સ્મૃતિ હમેશાં ભીની હોય છે, મોટે ભાગે આંસુભીની, અને, કદી સૂકાતી નથી, અને, એનાં કશાં ચૉક્કસ ઠેકાણાં પણ હોતાં નથી. એને આપણે ડાલિની જેમ ઝાડ પર કે ઠીક લાગે એ પર સૂકવવા મૂકીએ તો પણ એ કદી ન સૂકાય એવી હઠીલી વસ્તુ છે. 

કલાકૃતિ તો એમ પણ પૂછી શકે – તમારી પાસે આવી હઠીલી સ્મૃ્તિ છે ખરી? કે કોરામોરા જ છો?

— સાહિત્યસર્જકોએ અને સમીક્ષકોએ આટલા ફર્ક સમજવા જરૂરી છે 

: ૧ : ઉપયોગી અને બિન-ઉપયોગી કલાઓ 

: ૨ :  પરિચિતથી અપરિચિત 

: ૩ : કારીગરી અને કલા 

: ૪ : આર્ટિસ્ટ અને આર્ટિસન 

: ૫ : સર્જકતા અને જુક્તિઓ 

: ૬ : જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત ચિત્ત. એમાં, કલાનો અજાગ્રત ચિત્ત સાથેનો સમ્બન્ધ. 

— પણ સવાલ એ છે કે શું સાહિત્યમાં આ હદની નિષ્પ્રયોજનતા શક્ય છે? અથવા કશા જ પ્રયોજન વિના કલા સરજી શકાય? હું કહીશ કે કાવ્ય કરવું એ જ પ્રયોજન. કેમ કે કલાનું પ્રયોજન, કલાનો હેતુ, સમજવાની જરૂર છે. એમાં, હેતુ નથી પણ હેતુ-તા છે. જર્મન ચિન્તક ઇમાન્યુએલ કાન્ટે કહેલું, આ તો હેતુ વગરની હેતુ-તા છે – પર્પઝલેસ પર્પઝિવનેસ. 

ગઝલકારે મનમાં રાખવાનું કે મારે ગઝલના પ્રયોજનથી નથી લખવું પણ કલાત્મક કાવ્યના પ્રયોજનથી ગઝલ લખવી છે. ટૂંકીવાર્તાકારે મનમાં રાખવાનું કે મારે ટૂંકીવાર્તા નથી લખવી પણ કલાત્મક કથાના પ્રયોજનથી ટૂંકીવાર્તા લખવી છે.

એ બધી લલિતકલાઓમાં જોવા મળે છે એ હદની નિષ્પ્રયોજનતા સાહિત્યકલામાં શક્ય નહીં બને, કેમ કે ભાષા માત્રનો કે ગુજરાતી ભાષાનો દરેક શબ્દ પોતાનો અર્થ લઈને આવ્યો હોય છે, એટલું જ નહીં, એ અર્થ સહિયારો હોય છે, તે ભાષાના ભાષકોનો હોય છે, લોકો વડે પ્રયોજનો, ઉપયોગો, હેતુઓ વડે વપરાઇને વપરાઈને ઘસાઈ ગયો હોય છે. એ એવી સામાજિકતાથી ખરડાયેલો હોય છે. સાહિત્યકારે એને સ્વચ્છ કરવાનો હોય છે, તોડીફોડીને નવો કરવાનો હોય છે -જેથી સર્જનના પ્રયોજનને પાર પાડી શકાય.

સર્જકતાને પ્રતાપે, સાહિત્યકલામાં પણ, નવલકથા કે ટૂંકીવાર્તામાં, સ્થાપત્યના અને શિલ્પના ગુણ પ્રગટી શકે. હરેક સાહિત્યકૃતિમાં ચિત્ર અને ચલચિત્રના ગુણ પ્રગટી શકે, સંગીતના ગુણ કાવ્યમાં પ્રગટી શકે. 

પ્રયોજન નહીં એ જ પ્રયોજન. કલા સરજવી છે એ જ પ્રયોજન. 

= = =

(March 16, ’23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એનું હૃદય તો માતૃભૂમિ તરફ જ હોય છે

શિવાની દેસાઈ|Diaspora - Features|16 March 2023

આજે હું ‘ઓથ’ -સોગંદ – લઈ ને આવી! આજથી હવે હું અમેરિકન નાગરિક!

થોડા દિવસમાં  ઘેરા ભૂરા રંગનો પાસપોર્ટ પણ આવી ગયો અને એની કિંમત રૂપે ચૂકવ્યો કાયમી તરફડાટ અને અજંપો, મૂળસોતાં ઉખડી જવાનો ….!

શિવાની દેસાઈ

મને ભારત છોડે અઢાર વરસ થયાં …અને ભારતનું નાગરિકત્વ છોડે પંદર વરસ ..! ચાલીસ વરસથી અમેરિકામાં રહેતા મારા સસરા, મોત વેળા એમની જન્મભૂમિ ચરોતરમાં આવેલ મહેડાવ માટે ઝુરતા ઝુરતા ગયા … અને જુવાનીમાં અમારા પપ્પાનું લાખો લોકોની જેમ ઝનૂની સપનું હતું, અમેરિકા આવવાનું પણ ચાલીસ વરસના વસવાટ પછી પણ લાખો ઇમિગ્રન્ટસની જેમ એ ના અમેરિકન બની શક્યા, ન ઇન્ડિયન રહી શક્યા … અને અત્યારે મારી સ્થિતિ પણ એ જ છે ..!

મોટાભાગના ઇમિગ્રન્ટ્સ કહેતા નથી પણ વતન ઝુરાપનું ઝીણું દર્દ સતત સાથે લઈને જીવતા હોય છે. શા માટે? કોઈએ દેશ છોડવા મજબૂર નહોતા કર્યા, વિદેશી નાગરિકત્વ સ્વીકારવું એ પોતાની પસંદગી હોય છે તો પછી આ અજંપો, બેચેની શેની રહેતી હોય છે?

બીજી બાજુ વિદેશમાં કમાઈ લીધા પછી પણ દેશ પાછું કેમ નહીં ફરી શકાતું હોય? આ બધા સવાલો વિદેશમાં જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી નિરુત્તર જ રહે છે!

વિદેશમાં સંતાનોનાં ભાવિ માટે, સારી પ્રોફેશનલ તક માટે કે વૈભવી લાઈફ માટે આવતા લોકો કેમ આ બધું મળી જાય પછી પણ શુ શોધતા હોય છે?

અને મને જે જવાબ મળ્યો એ છે, પોતાની ઓળખ ..! ગમે તે કરો એક જગ્યાથી ઉખડેલો છોડ બીજી જમીનમાં નથી જ બરાબર ઊગી શકતો .. એને ફૂલો તો આવે છે પણ એમાંથી સુગંધ ગાયબ હોય છે!

તમે પ્રોફેશનલ ઓળખાણ તો બનાવો છો, પૈસા તો ખૂબ કમાઓ છો, તમારા સંતાનો સારામાં સારી કોલેજમાં ભણીને ખૂબ સફળતા મેળવે છે, તમારી પાસે ત્રણ ત્રણ વીલા અને ચાર ચાર વૈભવી કાર્સ હોય છે પણ ગાયબ હોય છે એ કારમાં બેસીને જેની સાથે મજા કરવાનું મન થાય એ બાળપણનાં ગોઠિયાં …

અને આ તો એક દાખલો થયો … આમ જ વતનનું ઘર, જૂનાં પાડોશી, સગાં વહાલાં, શાળા, કોલેજ, મિત્રો વગેરે ને મિસ કરતાં કરતાં જીવન પસાર તો થઈ જાય છે, પણ આ બધા માટેનો તરફડાટ કેમેય કરી ને જતો નથી … કારણ કે દરિયો ગમે તેટલો મોટો હોય એમાં ખોવાઈ જવાનો ડર રહે છે, જ્યારે, તળાવ ગમે તેટલું બંધિયાર હોય માણસ ને એક હૂંફ અને સલામતી લાગે છે કે આમાં હું તરી શકીશ … અથવા અહીં ડૂબતો હોઈશ તો કોઈ પણ મને બચાવી લેશે!

આ હૂંફ, અને સલામતી અને ઓળખ આદિ કાળથી માનવીની ઝંખના રહી છે અને એ પોતાના વતન અને પોતાના માણસો જ એ આપી શકે, એવું માણસને લાગે છે અને માટે જ વિદેશમાં વસેલા માનવીને સપનાં માતૃભાષામાં જ આવતા હોય છે અને એ પગ કર્મભૂમિ તરફ રાખી ને સૂએ છે; પણ એનું હૃદય તો માતૃભૂમિ તરફ જ હોય છે …!!

March 14, 2023
(બ્લોગ “આપણું આંગણું”માં આવેલી મારી પોસ્ટ)
સૌજન્ય : શિવાનીબહેન દેસાઈની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2351,2361,2371,238...1,2501,2601,270...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved