Opinion Magazine
Number of visits: 9567600
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૈનો અને મુસ્લિમો સહિત સૌ ધર્મીઓ સુધરશે ખરા? સાધુ કઈ ઉંમરે થવાય? લગ્ન કઈ ઉંમરે થાય?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|18 January 2023

હેમંતકુમાર શાહ

આજે ‘ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની અમદાવાદ આવૃત્તિમાં ફોટા સાથે એક સમાચાર છે કે સુરતમાં આઠ વર્ષની દેવાંશી સંઘવી નામની એક છોકરીએ જૈન સાધ્વી થવા માટે દીક્ષા ગ્રહણ કરી. આવું થયા જ કરે છે, વારંવાર. જે પુખ્ત ઉંમરની વ્યક્તિઓ સંપૂર્ણ સંસાર ભોગવ્યા પછી પણ સાધુ થતી નથી, તેઓ પાછા આવાં બાળકોના ત્યાગ પર ગૌરવ લે છે!

આવાં નાની ઉંમરનાં બાળકો કોઈ પણ ધર્મમાં દીક્ષા લઈને સાધુ બને તે યોગ્ય કેવી રીતે કહેવાય?

હિન્દુ ધર્મમાં આટલી નાની ઉંમરે સાધુ કે સાધ્વી થતા હોય કે ખ્રિસ્તી ધર્મમાં પાદરી કે ફાધર કે મધર થતા હોય તો તે જાણમાં નથી. એમ એમનામાં પણ થતું હોય તો તે સદંતર ખોટું જ છે.

બાળક ૮-૧૦ વર્ષનું થાય ત્યાં સુધી રાહ પણ શું કરવા જોવાની? બાળક જન્મે કે તરત જ આપી દો સાધુ કે સાધ્વીને, તેઓ જ એને ઉછેરે અને એને સાધુ બનાવે! હદ થઈ રહી છે આ તો ધર્મને નામે. 

૮-૧૦ વર્ષનાં છોકરા કે છોકરીને શી સમજણ પડે કે સાધુ થવું એટલે શું? “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” એવું નિષ્કુળાનંદ સ્વામીનું એક ભજન છે. આ ત્યાગ અને વૈરાગ્ય એટલે શું એનો ખ્યાલ કેવી રીતે આવે આટલી નાની ઉંમરના બાળકને?

બાળક ૧૮ વર્ષની ઉંમરનું થાય તો જ તે લગ્ન માટે લાયક ગણાય એમ બાળ લગ્ન પ્રતિબંધ ધારો કહે છે. તો પછી ૧૮ વર્ષથી ઓછી વયનું  કોઈ બાળક સાધુ કેવી રીતે થઈ શકે? સંસારમાં પ્રવેશ માટેની ઉંમર કાયદાથી નક્કી થાય તો સંસાર છોડવાની ઉંમર પણ કાયદાથી નક્કી થવી જોઈએ. એક ધર્મનિરપેક્ષ દેશમાં એમાં વચ્ચે ધર્મ આવવો જોઈએ જ નહિ.

અમારા ધર્મમાં તો આમ થતું આવ્યું છે કે અમારા ધર્મગ્રંથોમાં આમ લખેલું છે માટે અમે તો એમ જ કરીએ, સરકાર કે કોઈ કાયદો એમાં વચ્ચે ના આવે એવી દલીલ એક ધર્મનિરપેક્ષ ભારત દેશમાં લઘુમતીઓ કર્યા કરે એ તદ્દન વાહિયાત છે.

હમણાં પંજાબ અને હરિયાણાની વડી અદાલતે ૧૫ વર્ષની વયની એક મુસ્લિમ છોકરીનું લગ્ન કાયદેસર ઠરાવ્યું કારણ કે મુસ્લિમ પર્સનલ લો હેઠળ એ શક્ય અને માન્ય છે. પણ બાળ લગ્ન પ્રતિબંધ ધારો-૨૦૦૬ તો ધર્મનિરપેક્ષ કાયદો છે. એમાં ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિના લગ્ન પર પ્રતિબંધ છે. એ તો મુસ્લિમો સહિત બધાને લાગુ પડવો જ જોઈએ. આ મુદ્દો અત્યારે સર્વોચ્ચ અદાલતમાં પડ્યો છે. જો સર્વોચ્ચ અદાલત એમ કહે કે મુસ્લિમ પર્સનલ લો બરાબર છે આ બાબતમાં, તો સંસદે બાળ લગ્ન પ્રતિબંધ ધારો મુસ્લિમોને પણ લાગુ પડે તેવો કાયદો કરવાની હિંમત કરવી જોઈએ.

શા માટે ધર્મનિરપેક્ષ મુસ્લિમો એમ કહેતા નથી કે ઇસ્લામ ધર્મ ગમે તે કહેતો હોય, કુરાન, શરિયત કે હદીસ ગમે તે કહેતા હોય, પણ ધર્મનિરપેક્ષ ભારત દેશનો કાયદો જ મહત્ત્વનો છે અને તેનું જ પાલન થવું જોઈએ? મુલ્લા, મૌલવીઓ કે આયતોલ્લાહો તો એવું ના જ કહે, પણ જેઓ પોતાને ધર્મનિરપેક્ષ મુસ્લિમ કહે છે તેઓ શા માટે મૌન છે આ બાબતે? શું તેમને અંધ રૂઢિચુસ્ત મૌલવીઓનો અને મુસ્લિમોનો ડર લાગે છે?

બાળ લગ્નો તો હિન્દુઓમાં કાયદો હોવા છતાં પણ મોટા પાયે થાય છે જ. પણ એ ગેરકાયદે છે એ મહત્ત્વનું છે. જે હિંદુઓ કાયદાનો ભંગ કરે તેમને સજા થાય એ પણ એટલું જ આવશ્યક છે. એને જ કાયદાનું શાસન કહેવાય.

જૈનો અને મુસ્લિમો બંને લઘુમતી છે. પણ ભારતમાં ધર્મનિરપેક્ષ થવાની કે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન આ બાબતોમાં કરવાની જવાબદારી માત્ર બહુમતી હિન્દુઓની જ છે એવી માનસિકતા જોખમી છે એ સમજવું જરૂરી છે. જે સમાન નાગરિક ધારો (UCC) લાવવાની વાત બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કલમ-૪૪માં લખવામાં આવી છે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ બધાને સામાજિક બાબતોમાં પણ સમાન ગણવાનો છે, સામાજિક સમાનતા લાવવાનો છે.

માટે :

(૧) બાળ લગ્ન પ્રતિબંધ ધારો બધા નાગરિકોને કોઈ પણ ભેદભાવ વિના લાગુ પડવો જોઇએ.

(૨) ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિ કોઈ પણ ધર્મમાં સાધુ બની શકે નહિ તે પ્રકારનો કાયદો સંસદે કરવો જોઈએ. 

તા.૧૮-૧-૨૦૨૩
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કન્હૈયાલાલ : કર ભલા તો હો ભલા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|18 January 2023

રાજ ગોસ્વામી

ઓ.ટી.ટી. પ્લેટફોર્મ એમ એક્સ પ્લેયર પર ‘નામ થા કન્હૈયાલાલ’ નામની એક ડોક્યુમેન્ટરી રિલીઝ થઇ છે. તમે આજના જમાનાના કોઈ સિનેમાપ્રેમીને પૂછો કે અભિનેતા કન્હૈયાલાલ સાંભળ્યું છે? તો શકય છે કે દસમાંથી નવ લોકો વળતો સવાલ કરે કે એ વળી કોણ? તમે જો તેમને મહેબૂબ ખાન સર્જિત નરગીસની ‘મધર ઇન્ડિયા’ના દુષ્ટ વ્યાજખોર સુખીલાલાની યાદ અપાવો, તો શક્ય છે કે તેમને કન્હૈયાલાલ યાદ આવી જાય.

લગભગ 50 વર્ષ સુધી, દિલીપ કુમાર, દેવ આનંદ, અશોક કુમાર, મનોજ કુમાર, સુનીલ દત્ત, રાજેન્દ્ર કુમાર, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન જેવા ટોપ સ્ટાર્સ સાથે કામ કરનારા કન્હૈયાલાલનું નામ એવા કલાકારોમાં સામેલ છે, જેમણે તેમના પરફોર્મન્સથી સિનેમા પ્રેમીઓને પ્રભાવિત તો ખૂબ કર્યા હતા, પણ કમનસીબે બહુ ઝડપથી ગુમનામીની ખીણમાં ખોવાઈ ગયા. નિર્દેશક પવન કુમારે આવા કન્હૈયાલાલને પાછા બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. ડોક્યુમેન્ટરીમાં, અમિતાભ બચ્ચન, નસીરુદ્દીન શાહ, બોમન ઈરાની, બોની કપૂર, જાવેદ અખ્તર, રણધીર કપૂર, સલીમ ખાન, અનુપમ ખેર, જોની લીવર, પંકજ ત્રિપાઠી, બિરબલ, પેન્ટલ જેવા કલાકારોએ પોતપોતાની રીતે કન્હૈયાલાલને યાદ કર્યા છે.

કોણ હતા કન્હૈયાલાલ? આખું નામ કન્હૈયાલાલ ચતુર્વેદી. જન્મ 1910માં વારાણસી. તેમના પિતા, પંડિત ભૈરોદત્ત ચૌબે ત્યાં સનાતન ધર્મ નાટક સમાજ નામની નાટક મંડળી ચલાવતા હતા. એ મંડળી અલગ-અલગ શહેરોમાં નાટકો લઈને જતી હતી. 9 વર્ષના કન્હૈયાલાલને એમાં મજા પડી અને ભણવા-બણવાનું છોડીને પિતા સાથે જોડાઈ ગયા. એમનો મૂળ શોખ લખવાનો હતો (અને એટલે જ મુંબઈના હિન્દી ફિલ્મ  જગતમાં આવ્યા હતા), પણ પિતાનું અવસાન થયું એટલે નાટક મંડળી જાતે ચલાવાનું શરૂ કર્યું.

તેમના મોટા ભાઈ પંડિત સંકટપ્રસાદ ત્યાં સુધીમાં મુંબઈ સ્થાયી થયા હતા અને મૂંગી ફિલ્મોમાં કામ કરતા થયા હતા. વારાણસીમાં નાટક મંડળીનો શક્કરવાર વળતો નહતો, એટલે મોટાભાઈ અને માના કહેવાથી કન્હૈયાલાલ મુંબઈ આવ્યા. મુંબઈમાં એ અભિનય કરવા આવ્યા નહોતા. તેમણે વિચાર્યું હતું કે મુંબઈમાં નાટકો-ફિલ્મો લખીને પૈસા કમાઈશું. ડોક્યુમેન્ટરીમાં તો એવો ઈશારો છે કે મોટાભાઈ ક્યાં ગયા છે તે શોધવા માટે માએ કન્હૈયાલાલને મુંબઈ મોકલ્યા હતા અને તેઓ ખુદ મુંબઈના થઇને રહી ગયા.

ફિલ્મોમાં તેમની શરૂઆતને લઈને બે-ત્રણ વાતો છે. એક વાત પ્રમાણે, અરદેશર ઈરાની, ચીમનલાલ દેસાઈ અને અંબાલાલ પટેલની સાગર મૂવીટોન ફિલ્મ કંપનીની ફિલ્મ ‘સાગર કા શેર’(1937)માં એક્સ્ટ્રા કલાકાર તરીકે પહેલીવાર કામ કર્યું હતું. એ ફિલ્મમાં મહેબૂબ ખાનની પણ એક નાનકડી ભૂમિકા હતી. પાછળથી મહેબૂબ ખાન કન્હૈયાલાલને ‘સુપરસ્ટાર વિલેન’ બનાવી દેવાના હતા. સાગર મૂવીટોનમાં તેમના ભાઈની ભલામણથી કન્હૈયાલાલને કામ મળ્યું હતું અને મહેનતાણામાં ૩૫ રૂપિયા મળતા હતા.

કંપનીની બીજી એક ફિલ્મ, આપણા લેખક કનૈયાલાલ મુન્શીની વાર્તા આધારિત ‘ઝૂલ બદન’ (1938) હતી. એમાં ફિલ્મના હિરો મોતીલાલ(દિલીપ કુમારની ‘દેવદાસ’માં ચુન્ની બાબુની ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો)ના પિતાની ભૂમિકા કરતો કલાકાર શુટિંગમાં ન આવ્યો એટલે મોતીલાલે સ્ટુડીઓમાં ‘રખડતા’ કન્હૈયાલાલને કહ્યું કે તું કેમેરા સામે ઊભો થઇ જા. મોતીલાલ કન્હૈયાલાલ કરતાં 11 દિવસ મોટા હતા અને 28 વર્ષના કન્હૈયાલાલે એ ફિલ્મમાં તેમના પિતાની ભૂમિકા કરી હતી! એ જ વર્ષે ‘ગ્રામોફોન સિંગર’ નામની બીજી એક ફિલ્મ આવી, જેમાં સુરેન્દ્ર નામનો હિરો હતો. એમાં પણ કન્હૈયાલાલની નાનકડી ભૂમિકા હતી.

1939માં, કંપનીની ત્રીજી ફિલ્મ ‘સાધના’ આવી. તેમાં (કાજોલની નાની) શોભના સમર્થ અને બિબો (ઇશરત સુલતાન, જે પાછળથી પાકિસ્તાનમાં જઈને એક્ટિંગ કરતી હતી) જેવી મોટી સ્ટાર હતી. એમાં, ચીમનલાલ દેસાઈએ કન્હૈયાલાલ પાસે સંવાદો લખાવ્યા હતા, પણ તેમને સંવાદો બોલતાં સાંભળીને દેસાઈએ ફિલ્મના હિરો પ્રેમ અદિબ(ગાંધીજીએ જોયેલી એક માત્ર ફિલ્મ ‘રામ રાજ્ય’માં એ રામ બન્યો હતો)ના દાદાની ભૂમિકા માટે કન્હૈયાલાલને ઊભા કરી દીધા. ફિલ્મ સફળ નીવડી.

આ ત્રણે ફિલ્મોમાં તેમની નોંધ લેવાઈ હતી, પણ જવાનજોધ કન્હૈયાલાલ હવે ‘ડોસા’ની ભૂમિકામાં બંધાઈ ગયા હતા. વર્ષો પછી એક ઇન્ટરવ્યૂમાં મજાક કરતાં કહ્યું હતું, “સાધનામાં તેમને પિતાને બદલે દાદાની ભૂમિકા કરવાનું પ્રમોશન મળ્યું હતું.”

એમાં બાકી હતું તે મહેબૂબ ખાને પૂરું કર્યું. પાછળથી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા મૂળ ગુજરાતી મહેબૂબ ખાને કન્હૈયાલાલમાં એક દુષ્ટ વિલેન જોયો હતો. 1939માં આવેલી તેમની ફિલ્મ “એક હી રસ્તા”માં તેમણે પહેલીવાર કન્હૈયાલાલને બાંકે નામના એક દલાલની ભૂમિકામાં લીધા હતા, જે ફિલ્મની હિરોઈન માલાનું અપહરણ કરીને એક ધનવાનને વેચી દે છે.

એ જ વર્ષે, સાગર મૂવીટોનનું શટર પડી ગયું. એના પાર્ટનર ચીમનલાલ દેસાઈએ નેશનલ સ્ટુડિયોના યુસુફ ફઝાભાઈ સાથે હાથ મિલાવ્યા. આ નેશનલ સ્ટુડિયોના સહકારથી મહેબૂબ ખાને 1940માં ‘ઔરત’ ફિલ્મ બનાવી હતી. તેમાં વ્યાજખોર સુખીલાલાની ભૂમિકામાં તેમણે કન્હૈયાલાલને લીધા હતા. 17 વર્ષ પછી, 1957માં મહેબૂબ ખાને હિન્દી સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ બનાવી હતી, તે આ ‘ઔરત’ની જ રીમેક હતી. તેમાં ઉર્દૂ નાટકોમાંથી આવેલી સરદાર અખ્તરે (જેની સાથે મહેબૂબ ખાને લગ્ન કર્યા હતાં) રાધાની ભૂમિકા કરી હતી, રામુની ભૂમિકા સુરેન્દ્રએ કરી હતી અને બીરજુની ભૂમિકા યાકુબે કરી હતી. ‘મધર ઇન્ડિયા’માં આ ભૂમિકાઓ અનુક્રમે નરગીસ, રાજેન્દ્ર  કુમાર અને સુનીલ દત્તે કરી હતી.

‘મધર ઇન્ડિયા’માં મહેબૂબ ખાને ‘ઔરત’નો સ્કેલ મોટો કરી નાખ્યો હતો. વાર્તા, તેની ટ્રીટમેન્ટ, કલાકારો, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફીની દૃષ્ટિએ ‘તોતિંગ’ (લાર્જર ધેન લાઈફ) ફિલ્મો બનાવાની પરંપરામાં ‘મધર ઇન્ડિયા’ લાઈનમાં પહેલી ઉભેલી ફિલ્મ છે.  

કન્હૈયાલાલની અભિનય ક્ષમતાનો જ એ પુરાવો હતો કે મહેબૂબ ખાને ‘ઔરત’ના બધા એક્ટર્સમાંથી માત્ર કન્હૈયાલાલને ‘મધર ઇન્ડિયા’માં રિપીટ કર્યા હતા. ગરીબીમાં ભૂખ્યાં છોકરાંને મોટા કરતી અને ગામના દુષ્ટ વ્યાજખોરને વશ થયા વગર સુહાગની રક્ષા કરતી નરગીસ માટે ‘મધર ઇન્ડિયા’ માઈલ સ્ટોન સાબિત થઇ, તેમ કન્હૈયાલાલ માટે પહેલાં ‘ઔરત’ અને પછી ‘મધર ઇન્ડિયા’ ટર્નિંગ પોઈન્ટ બની ગઈ. એ જમાનામાં, જ્યારે જૂની ફિલ્મોની રીમેક બનતી ન હતી ત્યારે, મહેબૂબ ખાને આવું દુ:સાહસ પહેલીવાર કર્યું એટલું જ નહીં, તેના વિલેનને પણ એ જ ભૂમિકામાં લીધો.

આનું સંપૂર્ણ શ્રેય કન્હૈયાલાલને જાય છે. એ જમાનાના નો-નોનસેન્સ ફિલ્મ વિશ્લેષક બાબુરાવ પટેલે ‘ઔરત’ ફિલ્મમાં કન્હૈયાલાલના અભિનય માટે લખ્યું હતું કે, “વ્યાજખોર સુખીલાલાની ભૂમિકામાં દર્શકોમાં ઘૃણા પેદા કરવામાં કન્હૈયાલાલ સફળ રહ્યા છે.”

કન્હૈયાલાલે એમાં એવી જાન રેડી દીધી હતી કે મહેબૂબ ખાને ‘મધર ઇન્ડિયા’માં તેમને એ જ ભૂમિકામાં રિપીટ કર્યા અને કન્હૈયાલાલે પણ તેનો ફાયદો ઉઠાવીને સુખીલાલામાં ‘ચાર ચાંદ’ લગાવી દીધા. જેમ ગબ્બર સિંહ માટે ‘શોલે’ અને અમરીશ પૂરી માટે ‘મિસ્ટર ઇન્ડિયા’ કેરિયર-બેસ્ટ સાબિત થઇ હતી, તેવી રીતે કન્હૈયાલાલ માટે ‘મધર ઇન્ડિયા’ એક ઇતિહાસ સર્જી ગઈ. એ પછી જે પણ ફિલ્મો તેમને મળી, તે સૌમાં તેમને એક યા બીજી રીતે સુખીલાલા જેવી જ દુષ્ટતા બતાવાની હતી. એમની એ સફળતા જ તેમના માટે ગાળાનો ફંદો બની ગઈ. ફિલ્મ સર્જકો તેમને બીજી કોઈ ભૂમિકામાં જોવા તૈયાર જ ન હતા, એવો સુખીલાલાનો પ્રભાવ હતો.

એ પછી, 1967માં મનોજકુમારની ‘ઉપકાર’માં લાલા ધનીરામ, 1967માં દિલીપ કુમારની ‘રામ ઔર શ્યામ’માં મુનિમજી અને 1965માં મનોજ કુમારની ‘હિમાલય કી ગોદ મેં’માં ઘોઘર બાબાની ભૂમિકામાં કન્હૈયાલાલને દર્શકોએ બહુ વધાવ્યા હતા. 1981માં, સંજીવ કુમાર, શબાના, મિથુન ચક્રવર્તી, રાજ બબ્બર અને નસરુદ્દીન શાહની ‘હમ પાંચ’ ફિલ્મમાં તેમણે લાલા નયનસુખ પ્રસાદની ભૂમિકામાં ‘સુખીલાલા’ જેવી મીઠી દુષ્ટતાનો પરચો બતાવ્યો હતો.

‘હમ પાંચ’ના શુટિંગવેળા જ તેઓ ગંભીર રીતે જખ્મી થયા હતા. લાંબો સમય સુધી પથારીવશ રહ્યા પછી એ ઊભા તો થઇ શક્યા હતા પણ એ જખ્મ જીવલેણ સાબિત થયો. એક વર્ષ પછી, 14 ઓગસ્ટ 1981ના રોજ કન્હૈયાલાલ દુનિયા છોડી ગયા.

તેમના પરની ડોક્યુમેન્ટરીમાં તેમને અનુલક્ષીને એક ગીત પણ બનાવામાં આવ્યું છે; પહન કે ધોતી કુર્તે કા જામા … સુખીલાલાથી લઈને બીજા તમામ પાત્રોમાં, કન્હૈયાલાલ તેમની ટ્રેડમાર્ક ધોતી અને કુર્તામાં દર્શકોને કાયમ માટે યાદ રહી ગયા છે. 1972માં, રાજેશ ખન્ના-મુમતાઝની ફિલ્મ ‘દુશ્મન’માં ગામના દુષ્ટ વેપારી દુર્ગા પ્રસાદની ભૂમિકા કરી હતી. તેમાં તેમનો એક સંવાદ બહુ મશહૂર થયો હતો; કર ભલા તો હો ભલા. સંવાદ સાધારણ હતો પણ કન્હૈયાલાલ તેને જે રીતે બોલતા હતા એટલે લોકોના મનમાં જડાઈ ગયો હતો. અસલ જીવનમાં પણ એ ભલા માણસ જ હતા. કદાચ એટલે જ જલદી ભુલાઈ ગયા.

પ્રગટ : ‘સુપરહિટ’ કોલમ, “સંદેશ”, 18 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આર્થિક સમૃદ્ધ રાજ્યોમાં મજૂરીના દર નીચા કેમ ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|18 January 2023

ચંદુ મહેરિયા

ખેત મજૂર જેવા અપમાનજનકને બદલે ખેત કામદાર કે કૃષિ શ્રમિક જેવો સન્માનજનક શબ્દ વાપરીએ કે તેથી આગળ વધીને જમીનવિહોણા ખેડૂત કહીએ પણ તેનાથી તેમની સ્થિતિમાં ઝાઝો ફેર પડતો નથી. આ પ્રકારના શબ્દપ્રયોગથી ના તો તેમના હાંડલામાં જરી મુઠ્ઠી ચોખા વધારે ઓરાય છે કે ના તો તેના કલાડે જારનો બટકુ રોટલો સેકાય છે. આઝાદીના અમૃત પર્વે દેશનો ખેત કામદાર અભાવો અને ગરીબીની દયનીય હાલતમાં જિંદગી બસર કરે છે તે વરવી વાસ્તવિકતા છે.

તાજેતરમાં પ્રકાશિત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એન્યુઅલ હેન્ડબુક ઓફ સ્ટેટિસ્ટિક્સ ઓન ઇન્ડિયન સ્ટેટ્સમાં દેશના વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની આર્થિક ગતિવિધિઓની આંકડાકીય માહિતી મળે છે. ગત નાણાંકીય વરસના આંકડા દર્શાવતી આ હાથપોથીમાં દેશના આર્થિક વિકાસ સાથે કામદારોને મળતી મજૂરીની વિગતો ચિંત્ય છે.

હેન્ડબુકમાં જણાવેલા આંકડાનો સ્રોત સરકારી અર્થાત કેન્દ્ર સરકારનું લેબર બ્યૂરો છે. એટલે સરકાર માટે તેને નકારવાનું શક્ય નથી. ૧૯૫૧માં દેશમાં ૨.૭૫ કરોડ, ૨૦૦૧માં ૧૦.૬૭ કરોડ અને ૨૦૧૧માં ૧૪.૪૩ કરોડ ખેત કામદારો હતા. કોઈ કારણ નથી કે આજે તેમાં ઘટાડો થયો હોય. કુલ ગ્રામીણ વસ્તીમાં ૧૯૫૧માં કૃષિ શ્રમિકો  ૩૨.૬ ટકા હતા તે ૨૦૧૧માં વધીને ૪૬ ટકા થયા હતા. ૧૯૫૧થી ૨૦૧૧ના છ દાયકામાં દેશની ગ્રામીણ વસ્તીનો વૃદ્ધિ દર  ૧.૮ ટકા હતો. પણ એ જ ગાળામાં કૃષિ શ્રમિકો ૨.૮ ટકાના દરે વધ્યા હતા. ખેડૂતો ઘટે અને ખેતમજૂરો વધે તેવો અદ્દભુત કૃષિ વિકાસ આપણે સાધ્યો છે.

દેશમાં આર્થિક સમૃદ્ધિ આવી છે પણ તે ખેત કામદારોને વણસ્પર્શી રહી છે. ગયા વરસે ટચુકડું રાજ્ય હરિયાણા માથાદીઠ આવકમાં દેશમાં મોખરે હતું. હરિયાણાની પ્રતિવ્યક્તિ વાર્ષિક આવક રૂ. ૨,૩૯,૫૩૫/- હતી. પરંતુ કૃષિ સમૃદ્ધ અને માથાદીઠ આવકમાં ટોચે હોવા છતાં હરિયાણાના કામદારોને તેનો લાભ મળ્યો નથી. માથાદીઠ આવકમાં મોખરો સાચવતું હરિયાણા મજૂરીના દરમાં મોખરે નથી. કેમ કે ત્યાં દૈનિક મજૂરી રૂ.૪૨૧/- છે.

ખેતકામદારોને સૌથી વધુ દૈનિક મજૂરી કેરળમાં મળે છે. ૨૦૨૧-૨૨માં ખેત મજૂરોના દૈનિક વેતનની રાષ્ટ્રીય સરેરાશ રૂ. ૩૨૩.૩૨ હતી. જ્યારે કેરળમાં ખેતકામદારોનો મજૂરી દર રોજનો રૂ. ૭૨૬.૮ હતો. નોંધપાત્ર બાબત એ છે કે દેશના ઘણા રાજ્યો કરતાં કેરળની માથાદીઠ આવક (વાર્ષિક રૂ. ૧,૯૪,૭૬૭/- ) ઓછી છે પણ કામદારોનું  વેતન ઊંચું નક્કી થયું છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૬૮.૩૯ લાખ ખેતકામદારો હતા. સપ્ટેમ્બર-૨૨ અંતિત દેશમાં ખેતકામદારોની સરેરાશ મજૂરી દૈનિક રૂ. ૩૪૪ હતી. ત્યારે ગુજરાતમા રૂ.૨૪૪ હતી. એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતાં સો રૂપિયા ઓછા મળતા હતા. આ સમયે કેરળમાં રૂ. ૭૫૯ અને મધ્ય પ્રદેશમાં રૂ. ૨૩૦ મજૂરી હતી. ૨૦૨૧-૨૨માં બીજા ક્રમની માથાદીઠ આવક (રૂ. ૨,૧૩, ૯૩૬)  ધરાવતા વિકસિત રાજ્ય ગુજરાતમાં મજૂરીના નીચા દર નવાઈ પમાડે છે. 

આર.બી.આઈ.ની હેન્ડબુકમાં જે વીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ગ્રામીણ વસ્તીની રોજની મજૂરીનું મૂલ્યાંકન છે, તેમાં અડધા રાજ્યોમાં રૂ. પાંચસો કરતાં ઓછો રોજ મળે છે. ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા કથિત બીમારુ રાજ્યોની જેમ જ ખેતી અને ઉદ્યોગના ક્ષેત્રે વિકસિત ગણાતા ગુજરાત અને મહારાષ્ટ્ર પણ નીચા મજૂરી દરવાળા રાજ્યોમાં સમાવિષ્ટ છે.

ભૂમિહીન કૃષિ શ્રમિકોને આર્થિક રીતે વિકસિત રાજ્યોમાં પણ ઘણી ઓછી મજૂરી મળે છે તેનાં કારણો વિચારવાં જેવાં છે. ખેત કામદારોનો સમૂહ સંખ્યામાં ઘણો મોટો છે પરંતુ સંગઠિત નથી. તેથી ખેત માલિકો સાથેની તેમની સોદા શક્તિ સંગઠનના અભાવે નબળી છે. ભલે તેમને જમીનવિહોણા ખેડૂતો તરીકે નવાજાય પણ તેમનું જમીનવિહોણા હોવું તે જ તેમના દુ:ખનું મુખ્ય કારણ છે. તેઓ માટે રોજગારનું એક માત્ર સાધન ખેતમજૂરી છે અને તે ખેતમાલિકો પર નિર્ભર છે એટલે જો તેઓ મજૂરી વધુ માંગે તો રોજી ગુમાવવી પડે અને સરવાળે ભૂખે મરવું પડે.

અર્થશાસ્ત્રનો માંગ અને પુરવઠાનો નિયમ પણ ખેતમજૂરીના દર નક્કી કરતો હોય છે. પંજાબમાં ખેતીના કામો(માંગ)ની સરખામણીમાં ખેતીકામ કરવા માંગતા લોકો (પુરવઠો) ઓછો છે એટલે વાવણી અને લણણીની મોસમમાં ત્યાં કામચલાઉ ધોરણે પણ ખેતમજૂરીના ઊંચા દર હોય છે. પરંતુ બિહાર અને ઓડિશામાં ખેતીના કામોની તુલનાએ ખેતકામદારોનું પ્રમાણ અનેકગણું વધારે હોઈ ખેતીની સિઝનમાં પણ નીચા કે સામાન્ય દરે કામ કરવું પડે છે.

જેમની આવકનો અડધો કે તેથી વધુ હિસ્સો ખેતીનાં કામો પર આધારિત છે તેવા ખેત કામદારોના લમણે અલ્પ રોજગારી અને કાયમી બેરોજગારી લખાયેલી હોય છે. ખેતકામદારોમાં કેટલાક મોટા જમીનમાલિકોના કાયમી વેઠિયા હોય છે, તે થોડા આગોતરા નાણાં મેળવી કાયમી ગુલામી વેઠે છે. તે દેવા અને વેઠના કાયમી શિકાર બનેલા હોય છે. કેટલાક ખેત મજૂરો કામચલાઉ ધોરણે એટલે ખેતીની મોસમમાં ખેતમજૂરી કરે છે તો કેટલાક ભાગિયા તરીકે કામ કરે છે, પણ આ સૌના માટે ગરીબી અને અભાવો તો એક સરખા જ હોય છે.

કેરળના ખેતમજૂરોને સૌથી વધુ મજૂરી મળે છે તેનું કારણ ત્યાંની ડાબેરી ખેતકામદાર ચળવળો અને સંગઠનો છે. તેને કારણે કેરળની સરકાર અને સમાજ, બંને તેમનું શોષણ કરી શકતા નથી. આવું પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો માટે પણ સાચુ છે.

દેશના આર્થિક સમૃદ્ધ રાજ્યો માટે જાણે ખેત મજૂરોની કોઈ વિસાત જ નથી. તે રાજ્યોની સરકારો જમીનમાલિકોની તરફદાર છે અને સમાજ સામંતી અને શોષક માનસિકતા ધરાવે છે. તેમણે આર્થિક સમૃદ્ધિ ખેતકામદારોના પરસેવાથી રળી છે.

ખેતકામદારોના શોષણ માટે સરકાર અને સમાજ બંને જવાબદાર છે. છેક ૧૯૪૮માં ભારત સરકારે લઘુતમ વેતન ધારો ઘડીને મજૂરીના દરો નક્કી કર્યા છે. પરંતુ તેનો અસરકારક અમલ અસંગઠિત ક્ષેત્રના મજૂરોની રોજી માટે થતો નથી. ખેતકામદારોને વૈકલ્પિક રોજગાર પૂરો પાડીને, જમીન સુધારાના કાયદાનો અમલ કરીને અને સરકારી પડતર જમીનોનું ભૂમિહીનોને વિતરણ કરીને પણ મજૂરીના નીચા દરનો ઉપાય શોધી શકાય. પરંતુ ખેતકામદારો જાણે કે સરકારોની પ્રાયારિટી જ નથી. કૃષિ સુધારા ને કૃષિ કલ્યાણની કોઈ પણ યોજનામાં સરકાર ખેતકામદારોને બાકાત રાખે છે. બિનકૃષિ કાર્યોમાં રોજગારનો અભાવ, શહેરોમાં સ્થળાંતર, ખેતીના કામોનું યાંત્રિકીકરણથી ઘટતો રોજગાર, જેવાં કારણોથી પણ તેમની રોજીના દર નીચા છે. દુનિયાના મહેનતકશમાં સમાવિષ્ટ ખેતિહર મજદૂરની સંગઠનશક્તિ જ શાયદ તેમના દુ:ખદર્દ ફેડી શકશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,2271,2281,2291,230...1,2401,2501,260...

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved