Opinion Magazine
Number of visits: 9667703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શૂન્યથી સંગમ સુધી

રોહિત શુકલ|Opinion - Opinion|26 February 2023

ભારત એક ખોજ : 

રોહિત શુક્લ

વીતેલા, લગભગ સાત-આઠ દાયકાથી વિશ્વમાં માનવ ઉપર પ્રચંડ આઘાતો કરાઈ રહ્યા છે. મુસોલિની, હિટલર, સ્તાલિન, માઓ અને હવેના પુતિન, શી જીંગ, ઉત્તર કોરિયા, મ્યાનમાર, અફઘાનિસ્તાન, સીરિયા, વગેરેની એક મોટી યાદી છે. આ તમામ અપૂર્ણાંકોનો લ.સા.અ. કાઢીએ તો કેવું ચરિત્ર નીપજે ? હિંસા, ડર, ખમીર અને ઝમીરનું હનન, નિ:સહાયતા અને પીડા જાણે કે માનવ-જીવનનું ચરિત્ર બની ગયું છે ! તેમાં શ્રીલંકા અને પાકિસ્તાન જેવા પાયમાલીના પ્રબંધો ઉમેરીએ તો સમગ્ર જગતના નિયંતા ગણાતા ઈશ્વરે ક્યાંક છુપાઈ જવું પડે ! સાંકડી માનસિકતા માત્ર બે જ લક્ષણોને પહેચાની શકે છે : પૈસા અને સત્તા. પરસ્પર પૂરક બનીને મ્હાલતી આ વ્યવસ્થા પૂર્ણપણે માણસખાઉં બની રહી છે. ભારતમાં માંડ દસ ટકા લોકો પાસેની સંપત્તિ લગભગ એંશી ટકા કેમ હશે ? આ અર્થતંત્રો, સમાજ અને રાજકીય વ્યવસ્થાને બાટલીમાં પૂરી વારંવાર ‘હૂકમ મેરે આકા’ કહેવડાવનારની માનસિકતા અને સંવેદનશીલતા(સંવેદનહીનતા ?!)ની સામે વિકલ્પ કયો ?

સત્તા અને પૈસાની આ નાગચૂડમાં ઘણું બધું નાશ પામતું જાય છે. નફરત, હિંસા, આપખુદી, માનસિક ગુલામી, લાચારી વગેરે માનવ અસ્તિત્વની ગરિમાને લજવે છે. આ સંજોગોમાં – નફરતના બજારમાં, પ્રેમની એક પરબ મંડાય તે જરૂરી હતું. પણ સત્તા-પૈસાની સાઠમારી બધે જ વ્યાપેલી હતી. તેમાં સાતમી સપ્ટેમ્બર ૨૦૨૨ના દિવસે એક નવો જ સૂર્ય ઊગ્યો અને આશાનું કિરણ ફૂટ્યું; પેલી ગઝલની પંક્તિઓની જેમ જ :

“દમ સા ઘૂટતા હૈ મગર, ગમ કી સીયાં રાતોં મેં,

શમ્મા કી લૌ કો કોઈ ધીરે સે બઢા દેતા હૈ.”

ગૂંગળામણ તો છે જ પરંતુ અંધારું સ્હેજ-સાજ ઓસર્યું છે ખરું ! આ કોઈ દાવાનળ નથી, માત્ર આગિયાના ઝબકારા છે. પાનબાઈ કહે છે તેમ :

‘વીજને ઝબકારે મોતી રે પરોવો’ આ જુગનુના ઝબકારે નફરત છોડો – દિલથી દિલ મેળવો. રાહુલ ગાંધીની આ યાત્રા ૩૦મી જાન્યુઆરી ‘શહીદ દિવસે’ કશ્મીરમાં વીરમી તેના ફલિતાર્થો પાર વગરના છે.

સત્તા-પૈસાના ખેલાડીઓ આ યાત્રાની આધ્યાત્મિકતાને સમજી જ નહીં શકે; જો કે રાહુલ ગાંધીએ શેરે કશ્મીર સ્ટેડિયમની સભામાં આ ફલિતાર્થો સાવ સ્પષ્ટ કરી આપ્યા છે. આ સ્પષ્ટતાઓ સમજીએ :

(૧)       શૂન્યતાથી સંગમ સુધી : દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયેલા રાહુલ ગાંધી એક અદ્ભુત અનુભૂતિ પામ્યા છે. તેઓ કહે છે તેમ, કશ્મીરિયત શિવની શૂન્યતા અને ઇસ્લામની ફના છે. પોતાના વડવાઓ આ શૂન્યતા લઈને નીકળ્યા અને ઈલાહાબાદના સંગમમાં ગંગા-જમની તહજીબની રીતે તેને વહાવી ! આ દેશમાં નફરત ફેલાવનારા અને તેમાંથી પ્રગટતી હિંસાનો ભોગ થઈ પડનારા પ્રેમની આ નાનકડી દુકાનમાંથી બે ઘૂંટ આચમન કરે તો બધું જ સ્વાહા થઈ જાય. રાહુલ ગાંધીની યાત્રામાં – ખાસ કરીને કશ્મીરમાં ભારે ઠંડી વચ્ચે પણ ઊમટી પડેલી ભીડ આની ગવાહી પૂરે છે. આંસુઓનાં તોરણ બાંધેલી મહિલાઓ અને વૃદ્ધોએ આ શૂન્યતા અને પ્રેમનો સાક્ષાત્કાર કર્યો હશે ?

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી માત્ર કૉંગ્રેસના માણસ તરીકે ચાલ્યા નથી. ‘चरैव: चरैव:’ શાસ્ત્રવચનનું પ્રમાણ પણ પૂરું પાડે છે. તે માત્ર દેહથી ચાલ્યા નથી; વડદાદાએ દાદીને લખેલા પત્રો અને સમગ્ર ઇતિહાસભાન સાથે તે સંચર્યા છે. ત્યારે તો શિવની શૂન્યાવસ્થાના વાહક બનીને ગંગા-જમની તહજીબની છલાંગ લગાવી શક્યા છે. ફિલસૂફીના અભ્યાસને કારણે તેઓ કહી શક્યા કે ‘મારે ઈંટ-ચૂનાનું કોઈ મકાન-ઈમારત નથી, સરકારી, આવાસોમાં હું જીવ્યો છું. પરંતુ કશ્મીરિયત મારું ઘર છે.’ આ કક્ષાએ વિચારનાર અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરનાર કોઈક તપસ્વી જ હોઈ શકે !

(૨)       પ્રેમની બુલંદી : માત્ર સત્તા-પૈસાની કાવાદાવાભરી કૂટનીતિ એટલે જ રાજકારણ – એ સમીકરણ આ યાત્રાએ ખોરવી નાખ્યું છે. કદાચ તે ફરી વધુ વિકરાળ સ્વરૂપે ઊભું થાય પણ ખરું. આ સત્તા-પૈસા એટલે જ કદાચ અહીરાવણ-મહીરાવણ હશે. શ્રી રામ એક દસ માથાંળા રાવણને તો હણી શકે પણ પેલા અહી/મહી રાવણનું શું ? તેમનું તો લોહીનું એક ટીપું જમીન ઉપર પડે તે સાથે બીજા હજાર પેદા થતા. સત્તા-પૈસાની લાલસા આવી જ – રક્તપિપાસુ બની રહે છે. મોબ લિંચીંગથી બુલડોઝર સુધીની આવૃત્તિઓ બહાર પડી છે.

વિશેષ નોંધપાત્ર બાબત એ બની કે નફરતના આ ધીખતા ધંધાવાળા પણ પ્રેમની હાટડી તરફ – કાંઈક છદ્મવેશે તો કંઈક કુતૂહલવશ સંચર્યા છે. આર.એસ.એસ.ના વડા મસ્જિદમાં જાય, મુસ્લિમોના પ્રતિનિધિઓને મળે અને (કમ સે કમ ૨૦૨૪ની ચૂંટણીઓ સુધી) ઇસ્લામોફોબિયાનાં શસ્ત્રોને મ્યાન કરવાની સૂચના સર્વોચ્ચ કેન્દ્રસ્થાનેથી આવે તે શું સૂચવે છે ? આમાંથી ઘણું એ જ અહી/મહી રાવણી ચાતુર્ય હોઈ શકે – વરુણ ગાંધીએ તલવારના વાર કરીને હાથ વાઢી નાંખવાની વાત કરી હતી; કદાચ તેમની અંદરના ખૂનના કોઈક કતરાને કશ્મીરિયતનો ધ્વનિ સંભળાયો પણ હોય !

આમ તો સમગ્ર વિશ્વમાં, પણ ખાસ કરીને તાજેતરનાં વર્ષોમાં ભારતમાં ‘મહાભારત’ પુરાણ આદર્શરૂપે પ્રસ્થાપિત થયું છે. વ્યાસમુનિએ મહાભારત રચીને જગતનું વાંછનીય મોડલ પ્રસ્થાપિત કરવા ધાર્યું હતું. પરંતુ બન્યું શું ? જીવનની સાવ છેવાડાની ઉત્તરાવસ્થામાં તેમને સમજાયું કે આ તો ‘નફરતનું બજાર’ સર્જાઈ ગયું ! મહાભારતના સર્જન બદલ પીડા પામતા બેઠા હતા; ધ્યાન-સમાધિ છૂટી ગયાં હતાં અને વિક્ષિપ્ત મનોદશામાં હતા. ત્યાં બ્રહ્માજીએ નારદજીને મહર્ષિ પાસે મોકલ્યા. દેવર્ષિ નારદે મહર્ષિ વેદવ્યાસને બ્રહ્માજીના મોકલેલા ચાર શ્લોક સંભળાવ્યા. આ ચાર શ્લોક એટલે ચતુ:શ્લોકી ભાગવત. શ્રીમદ્ ભાગવત નકરા પ્રેમનો ગ્રંથ છે. તેમાં ય દશમસ્કંધ અને મહારાસ દ્વારા નફરતના બજારમાં પ્રેમની હાટડી ખૂલી ગણાય. રાધા ગોપીઓ – ગોવાળો અને દામોદર – ગોવર્ધનધારી કુંજબિહારી શ્રીકૃષ્ણ પ્રત્યે તો રસખાન પણ ખેંચાઈ આવેલા. નરસૈયાને પણ શિવજીએ મહારાસના દર્શન કરાવેલા. રાહુલ ગાંધીનું આ કાર્ય સૌનાં દિલો સુધી પહોંચ્યું છે.

*         એટલે જ ઘણી સ્ત્રીઓએ રડતાં-રડતાં, પોતાના જ કુટુંબીઓ ઉપર ગુજારેલા બળાત્કારની કથનીઓ કહી. તેમણે કોઈ ઉપાય ન માંગ્યો કે ન માંગી કોઈ સજા – માત્ર દિલ ખોલ્યું અને થોડાંક આંસુ સારીને હળવી થઈ. જુગનુના ચમકારામાં પણ આશા તો છે ને !

*         ઠંડીમાં ધ્રૂજતા – લગભગ નિર્વસ્ત્ર ગરીબ બાળકોને જોઈને એટલા હલી ગયા કે પોતે કશ્મીરની ઠંડીમાં પણ અડધી બાંયના ટી-શર્ટ-ભેર જ ચાલ્યા. પેલા મો.ક. ગાંધીએ પણ કાયમ માટે પોતડી સ્વીકારી હતી. ઇંગ્લેંડના શહેનશાહને મળવા ગયા ત્યારે પણ ‘નંગા ફકીર’ બનીને જ ગયા.

*         પદયાત્રા પડતી મૂકવી પડે તેવું દર્દ ઘૂંટણમાં ય ઊપડ્યું હતું. પણ રસ્તામાં શું બન્યું ?! આ મનોસ્થિતિ અને શારીરિક અવસ્થામાં ચાલતા હતા ત્યાં એક નાની બાળા આવી. તેણે કહ્યું – ‘તમને પગમાં પીડા થાય છે તે મને તમારા મોઢા ઉપરથી દેખાય છે. હું પણ તમારી સાથે ચાલત પણ મારાં માતા-પિતા ના પાડે છે. પણ તમે ચાલતા જ રહેજો – અમારી આજ અને આવતીકાલ માટે પણ તમે ચાલો. આ એક પત્ર તમને આપું છું – પછીથી વાંચજો.’ એ છોકરીના ગયા પછી શ્રી રાહુલ ગાંધીએ તે ચિઠ્ઠી વાંચી અને અચાનક દરદ દૂર થઈ ગયું !

અલબત્ત, પંડિત નહેરુના વૈજ્ઞાનિક અભિગમ સાથે આવા ચમત્કારો સુસંગત નથી જ ! આ એક કાકતાલીય ન્યાય પણ હોઈ શકે. પણ મુદ્દો માત્ર શારીરિક પીડા દૂર થવાના ચમત્કારનો નથી. યાત્રા દરમિયાન કોઈક ખૂણાના ગામની છોકરી રાહુલ ગાંધીને મળવા દોડી આવે, તેમના ચહેરા ઉપર મીટ માંડીને તેમની પીડા જૂએ, આ યાત્રા પોતાના જેવી અનેક કન્યાઓનાં જીવન માટે શા માટે અને કેટલી મહત્ત્વની છે તે સમજે અને યાત્રા ચાલુ જ રાખવાની વિનંતિ કરે – તેમાં ભરોભાર ચમત્કાર જ ચમત્કાર છે. બાઇબલમાં કહેવાયું છે :

‘એન્ડ ગોડ સેઈડ લેટ ધેર બી લાઈટ, એન્ડ ધેર વોઝ લાઈટ.’

ઈશ્વરે પ્રકાશનું સર્જન કર્યું તે ચમત્કાર કરતાં અદકેરો ચમત્કાર ઈશ્વરના મનમાં સૃષ્ટિ પ્રતિ કરુણા ઊભરાઈ તે છે. આ કરુણાના સાગરે તેથી જ પ્રકાશનું સર્જન કર્યું !

ભારતમાં જેટલી યાત્રાઓ થઈ છે તેટલી અન્ય ક્યાં ય થઈ નથી. ભારતમાં જેટલી વૈચારિક ક્રાંતિઓ થઈ છે તેટલી અન્યત્ર ક્યાં ય થઈ નથી. આ દેશના પ્રવાહો મુક્ત અને અસ્ખલિત વહેવા ટેવાયેલા છે. તેને પ્રેશર કુકરના ડોઘલામાં પૂરી ઢાંકણું બંધ કરી પોતપોતાની ખિચડી પકવવા વાપરી ન શકાય. આ યાત્રાએ આવી ગૂંગળામણ સામે સંવેદના અને પ્રેમભરી મોકળાશ કરી આપી છે.

મીર્ઝા ગાલીબે કહ્યું છે ને :

‘રગો મેં દોડને ફિરને કે હમ નહીં કાઈલ,

જો આંખ સે ટપકે ના વો લહૂ લહૂ ક્યા હૈ’

આ સુદીર્ઘ પરિપાટીમાં, ‘ભોમિયા વિના’, અભય પામીને અને ‘મસ્તકને ઉન્નત રાખીને’ નીકળી પડનાર આ ભારતીય માનુષે વિશ્વની પીડાઓને નિવારવાનો કીમિયો બતાવ્યો છે. પેલા ગાંધીને ચૂકી જનાર નોબલ આ ગાંધીને ચૂક્યા વગર શાંતિનું નોબલ અર્પે તેમાં તેનું પોતાનું પણ ગૌરવ છે.

e.mail : shuklaswayam345@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—185

દીપક મહેતા|Opinion - Opinion|25 February 2023

ગુજરાતના ચાહક–અભ્યાસી ફાર્બસનું એકે સ્મારક ગુજરાતમાં નથી

પણ મુંબઈમાં તેમના નામની સંસ્થા આજે ય અડીખમ ઊભી છે  

અમને ખબર છે, સુજ્ઞ વાચકો જરૂર તેમના સવાલના જવાબની રાહ જોતા હશે : “ગયે અઠવાડિયે ‘ફોર્બ્સ ફોર્બ્સ’ કર્યા કરતા હતા, તો એ અંગ્રેજ સાહેબ હતા કોણ?” 

ઔપચારિક જવાબ તો બે-ચાર શબ્દોમાં આપી શકાય : એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ હતા એક અંગ્રેજ સનદી અધિકારી. આજના વાતાવરણથી ટેવાયેલા કેટલાક વાચક મનોમન બોલશે : અચ્છા અચ્છા! એટલે અંગ્રેજ સરકારને રાજી રાખવા એક સંસ્થા સાથે તેમનું નામ જોડી દીધું. આજે જેમ કોઈ સંસ્થા સાથે રાતોરાત અલાણા-ફલાણા નેતાનું નામ જોડાય છે, દરેક સરકારી જાહેર ખબરને તેમના ફોટા શોભાવે છે, તેમ. પણ એવું નહોતું. ગુજરાત અને તેની સંસ્કૃતિ, ઇતિહાસ, ભાષા, સાહિત્ય વગેરેના પરમ ચાહક હતા, એ સાહેબ. અભ્યાસી હતા. ગુજરાતી સરસ રીતે વાંચી-બોલી શકતા. અંગ્રેજી ભાષામાં ગુજરાતના ઇતિહાસનું પહેલવહેલું પુસ્તક બે દળદાર ભાગમાં તેમણે લખેલું. આટલું જાણ્યા પછી આ ફોર્બ્સ સાહેબ વિષે વધુ જાણવાનું મન થયું ને? તો હવે વાંચો આગળ.

એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ 

આખું નામ એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ. પણ કવિ દલપતરામ તેમને ફાર્બસ કહેતા એટલે ગુજરાતીઓ તેમને ‘ફાર્બસ’ તરીકે વધુ ઓળખે. જન્મ લંડન શહેરમાં ૧૮૨૧ના જુલાઈ મહિનાની સાતમી તારીખે. જોન ફોર્બ્સ-મિચેલ અને એન પોવેલને કુલ છ સંતાનો. તેમાં એલેક્ઝાન્ડર સૌથી નાના. યુવાન વયે તેમની આંખોમાં સ્થાપત્ય વિશારદ થવાનું સપનું અંજાયું હતું. પ્રખ્યાત અંગ્રેજ સ્થપતિ બસેવી પાસે તેમણે આઠેક મહિના અભ્યાસ પણ કર્યો. પણ પછી  બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાવાનું પસંદ કર્યું. તે માટે ઈસ્ટ ઇન્ડિયા કોલેજમાં જોડાવાનું જરૂરી હતું.

૧૮૪૧ના જાન્યુઆરીની ૭, ૮, અને ૯ તારીખે લેવાયેલી પ્રવેશ પરીક્ષામાં ફાર્બસ બેઠા અને બીજા સોળ પરીક્ષાર્થીઓ સાથે એ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પછીથી તેઓ કંપનીની સિવિલ સર્વિસમાં જોડાયા અને હેલબરી અને ઈમ્પિરિયલ સર્વિસ કોલેજમાં અભ્યાસ કર્યો. અહીંના અભ્યાસકાળ દરમ્યાન તેઓ પ્રખ્યાત ઇન્ડોલોજિસ્ટ સર વિલિયમ જોન્સનાં પુસ્તકોના પરિચયમાં આવ્યા. અગાઉ સ્થાપત્યકલાનો ભલે થોડો, પણ અભ્યાસ કર્યો હતો, અને હવે આ પુસ્તકો દ્વારા તેઓ ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના પરિચયમાં આવ્યા. હિન્દુસ્તાનમાંના લાંબા વસવાટ દરમ્યાન તેનાં ઇતિહાસ, સંસ્કૃતિ, ભાષા, અને સાહિત્યમાં જે ઊંડો રસ ફાર્બસે લીધો તેનાં મૂળ આ બે ઘટનામાં શોધી શકાય.

તાલીમ પૂરી થયા પછી બોમ્બે પ્રેસિડન્સીની સિવિલ સર્વિસમાં ફાર્બસ ૧૮૪૨ના ડિસેમ્બરની ૩૦મી તારીખે જોડાયા. ત્યારે તેમની ઉંમર હતી ૨૧ વર્ષ. પણ તે પછી લગભગ એક વર્ષે, ૧૮૪૩ના નવેમ્બરની ૧૫મી તારીખે તેમણે પહેલી વાર હિન્દુસ્તાનની ધરતી પર – મુંબઈના બારામાં — પગ મૂક્યો. આપણે ત્યાં અભ્યાસ કે સંશોધનના ક્ષેત્રે કેવી કેવી વેઠ ઉતારાય છે તેના દાખલા ફાર્બસ વિષે જે લખાયું છે તેમાંથી મળે છે. એક ‘અભ્યાસી’એ ફાર્બસ પરના લેખમાં લખ્યું છે કે ગુજરાતનાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ વગેરે વિષે ફાર્બસ આટલું કામ કરી શક્યા એનું કારણ એ હતું કે તેમણે લગ્ન કર્યાં નહોતાં. પહેલી વાત તો એ, કે લગ્ન કર્યાં હોય તો આવાં કામ થઈ જ ન શકે એવી વાત જ વાહિયાત છે. પણ હકીકતમાં ફાર્બસે તો લગ્ન પણ કર્યાં હતાં. આપણા આ મુંબઈમાં જ ૧૮૪૬ના માર્ચની પચ્ચીસમી તારીખે માર્ગારેટ મોઇર ફોર્બ્સ-મિચેલ સાથે ફાર્બસનાં લગ્ન થયાં. લાંબા લગ્ન જીવન દરમ્યાન તેમને છ સંતાનો થયાં. તેમાં એલેક્ઝાન્ડર સૌથી નાના. સરકારી નોકરીમાંથી રજા લઈ ફાર્બસ થોડા વખત માટે સ્વદેશ પાછા ગયેલા તે સમય ગાળાને બાદ કરતાં જિંદગીનાં બાકીનાં બધાં વર્ષો તેમણે હિન્દુસ્તાનમાં, બલ્કે બોમ્બે પ્રેસિડન્સીમાં જ વિતાવ્યાં હતાં.

ફોર્બ્સનાં પત્ની માર્ગારેટ (પાછલી વયે)

હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂક્યા પછી ફાર્બસે પહેલું કામ કર્યું તે હિન્દુસ્તાની ભાષા શીખવાનું. આ માટે તેમને અહમદનગર મોકલવામાં આવ્યા. ૧૮૪૩ના નવેમ્બરની ૨૦મી તારીખે તેઓ અહમદનગર પહોંચ્યા તે પછી બે મહિનાના ટૂંકા ગાળામાં તેમણે હિન્દુસ્તાની ભાષાની પરીક્ષા આપી અને તેમાં પાસ થયા. ત્યાર બાદ અહમદનગરના થર્ડ આસિસ્ટન્ટ કલેકટર તરીકે તેમની નિમણૂક થઈ. ૧૮૪૪ના ઓક્ટોબરની ૧૦મી તારીખે ફાર્બસે મરાઠી માટેની પરીક્ષામાં પણ સફળતા મેળવી. પરિણામે ૧૮૪૪ના નવેમ્બરની આઠમીથી તેમને બઢતી મળી, અને ખાનદેશના ‘સેકન્ડ આસિસ્ટન્ટ કલેકટર’ તરીકે નિમણૂક થઈ. ૧૮૪૬ના એપ્રિલ સુધી તેઓ આ પદે રહ્યા.

એ વર્ષના એપ્રિલની છઠ્ઠી તારીખે ફાર્બસની નિમણૂક મુંબઈની સદર અદાલત(બોમ્બે હાઈ કોર્ટની પુરોગામી અદાલત)ના એક્ટિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે થઈ. પણ બે જ દિવસ પછી, આઠમી એપ્રિલે, તેમની નિમણૂક અમદાવાદના અસિસ્ટન્ટ જજ તરીકે થઈ. જો કે એ વર્ષના નવેમ્બર સુધી તેઓ મુંબઈમાં જ રહી સદર અદાલતનું કામ કરતા રહ્યા. એ પછી નવેમ્બર મહિનામાં તેઓ અમદાવાદ ગયા. અને ત્યારથી તેમના ગુજરાત સાથેના પરસ્પર હિતકારી સંબંધની શરૂઆત થઈ. ફાર્બસે પોતાની આસપાસ જે જોયું તેનાથી એક વાત તેમના મનમાં ઠસી ગઈ: આ સમાજને અર્વાચીનતા તરફ લઈ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઈ શકે નહિ એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા.

ભોળાનાથ સારાભાઈ અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા અને તેમની સાથે ફાર્બસને સારો પરિચય હતો. આથી ગુજરાતીના કોઈ સારા શિક્ષકનું નામ સૂચવવા ફાર્બસે ભોળાનાથભાઈને વિનંતી કરી. અગાઉ કવિ દલપતરામ પાસે ભોળાનાથભાઈ પિંગળ ભણ્યા હતા, અને તેમને દલપતરામનો સારો પરિચય હતો. ભોળાનાથભાઈની સૂચનાથી ફાર્બસે વઢવાણથી કવિ દલપતરામને મળવા બોલાવ્યા. પહેલી વાર બંને મળ્યા તે જ દિવસથી દલપતરામ ફાર્બસના ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયા, પણ પછી ગુજરાત અંગેના સંશોધનમાં તેમના મદદનિશ બની રહ્યા. અને અમુક અંશે બંને વચ્ચે મૈત્રીસંબંધ પણ બંધાયો. ફાર્બસ ગુજરાતી બોલતાં-વાંચતાં તો જલદી શીખી ગયા. તેઓ અંગ્રેજીમાં ગુજરાતનો ઇતિહાસ લખવા ધારતા હતા. એ માટેની કાચી સામગ્રી એકઠી કરવાનું કામ તેમણે દલપતરામને સોંપ્યું. દલપતરામ પ્રવાસ ખેડીને જરૂરી હસ્તપ્રતો મેળવતા કે તેની નકલ કરાવી લેતા. ફાર્બસે આ કામ માટે પોતે પણ પ્રવાસ કર્યા હતા અને દલપતરામ ઉપરાંત બીજાઓની મદદ પણ લીધી હતી.

કેટલાક અંગ્રેજ અધિકારી મિત્રોની એક સભા ફાર્બસે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે અમદાવાદમાં બોલાવી. એ સભામાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થાપવાનું ઠરાવ્યું. ૧૯મી સદીમાં ગુજરાતનાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વગેરેના અભ્યાસમાં આ સોસાયાટીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. આજના ગુજરાતીભાષી પ્રદેશમાંથી પહેલું અખબાર અને પહેલું સામયિક આ સંસ્થાએ શરૂ કર્યું. ઘણાં પુસ્તકો પ્રગટ કર્યા. સરકારી નોકરીમાં બદલીઓ થતી રહી. જ્યાં ગયા ત્યાં ફાર્બસે ગુજરાતી સંસ્કૃતિ અંગેનું કોઈ ને કોઈ કામ કરવાનો પ્રયત્ન કર્યો.

સરકારી નોકરીમાંથી રજા લઈને ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી તે બધી પોતાની સાથે લઈ ગયા. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ નામના બે દળદાર ભાગમાં ગુજરાતનો ઇતિહાસ પહેલી વાર અંગ્રેજીમાં લખીને પોતાને ખર્ચે પ્રગટ કર્યો. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક પ્રગટ થયું તે પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા અને નોકરીમાં ફરી જોડાયા. ફરી બદલીઓ. ૧૮૬૧માં તેમની નિમણૂક મુંબઈની સદર અદાલતના જજ તરીકે થઈ. આ સદર અદાલત એટલે બોમ્બે હાઈ કોર્ટની પુરોગામી અદાલત.

બોમ્બે હાઈ કોર્ટની સ્થાપનાની જાહેરાત કરતો બ્રિટનનાં મહારાણીનો ઢંઢેરો

૧૮૬૨ના જૂન મહિનાની ૨૪મી તારીખે બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતું હુકમનામું ગ્રેટ બ્રિટનનાં મહારાણીએ બહાર પાડ્યું. તેમાં બોમ્બે હાઈ કોર્ટમાં કુલ છ ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી. આ છમાંના એક હતા એલેક્ઝાન્ડર ફાર્બસ. આમ, તેઓ બોમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા છ ન્યાયાધીશોમાંના એક બન્યા. બોમ્બે હાઈ કોર્ટની સત્તાવાર વેબ સાઈટ પર લખવામાં આવ્યું છે: “મિસ્ટર જસ્ટિસ એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ આઈ.સી.એસ. હિન્દુસ્તાનની સનદી સેવાના સભ્ય હતા અને ૧૮૬૨માં બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે જે પહેલા છ ન્યાયાધીશોની નિમણૂંક થઈ તેમાંના તેઓ એક હતા. તેઓ પોતાના જમાનાના એક ઉમદા ન્યાયાધીશ હતા. આ દેશ વિષે તેઓની ઊંડી જાણકારી, હિન્દુસ્તાનની ભાષાઓ, તેના રીતરિવાજો પશ્ચિમ ભારતનું લોકસાહિત્યની જાણકારી વગેરેને લીધે તેઓ હિન્દુસ્તાનીઓમાં પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેમના સ્વભાવમાં એક ‘સંતનાં લક્ષણો’ જોવા મળતાં હતાં.”

મુંબઈ આવ્યા પછી થોડા વખતમાં તેઓ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટીના ઉપપ્રમુખ બન્યા, યુનિવર્સિટી ઓફ બોમ્બેના વાઈસ ચાન્સેલર બન્યા, સર જે જે સ્કૂલ ઓફ આર્ટ્સના પ્રમુખ બન્યા. ૧૮૬૫માં તબિયત બગડતાં ડોક્ટરોની સલાહથી હવાફેર માટે પૂના ગયા. પણ ત્યાં તબિયત વધુ બગડી. અને માત્ર ૪૩ વરસની વયે ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે ફાર્બસનું પૂનામાં અવસાન થયું.

ફાર્બસના અવસાન પછી તેમનું વસિયતનામું લંડનની રજિસ્ટ્રીમાં પત્ની અને પુત્રોએ ૧૮૬૯ના જુલાઈની ૨૪મી તારીખે રજિસ્ટર કરાવ્યું હતું. આ અંગેની નોંધમાં વસિયતનામામાંની કુલ મિલકત એક સો પાઉન્ડ કરતાં ઓછી હોવાનું જણાવ્યું છે. એ જમાનામાં પણ આ રકમ ઘણી નાની ગણાય. આજે ફાર્બસ ફરી ગુજરાતમાં આવે તો આજના ગુજરાતને ઓળખી શકે? કદાચ ના. અને ગુજરાતે તો ફાર્બસને ક્યારનાયે વિસારે પાડી દીધા છે. પોતાની જિંદગીનાં ઉત્તમ વર્ષો જેમણે ગુજરાતને, ખાસ કરીને અમદાવાદને, આપી દીધાં એ ફાર્બસનું ભલે નાનકડું, પણ એક્કેય જાહેર સ્મારક અમદાવાદમાં નથી. હા, મુંબઈમાં તેમની યાદગીરી સાચવતી સંસ્થા આજે ય અડીખમ ઊભી છે. બીજા કેટલાક ભારતપ્રેમી અંગ્રેજો અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 25 ફેબ્રુઆરી 2023

Loading

સૂરજદાદા અને ચાંદામામાનું અંગ્રેજી શું થાય?

સોનલ પરીખ|Opinion - Opinion|25 February 2023

અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને એમનાં માબાપો ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો સાથે રમવાની ના પાડે છે. ‘આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ઈન ગુજરાતી’ એવું ગર્વભેર કહેતા ગુજરાતીઓની સંખ્યા વધતી જાય છે. લઘુતાગ્રંથિની આ કઈ હદ છે? માત્ર ગુજરાતી નહીં, ભારતની અને વિશ્વની ઘણીખરી ભાષાના આ જ હાલ છે. ભાષાવિદ્દ ગણેશ દેવી કહે છે કે આવતાં પચાસ વર્ષમાં દુનિયાના પટ પરથી 4,000 ભાષાઓ વિલુપ્ત થઈ જશે. વિશ્વ માતૃભાષા દિવસે આપણી ગુજરાતી ભાષાને થોડું વહાલ કરી લઈએ …

‘શું થયું?’ દાદા-દાદી પાર્કની બેંચ ઉપર ઉદાસ બેઠેલાં માયાબહેને અંજુબહેનને પૂછ્યું. ‘આ નવી પેઢી કેવી છે – મારા પૌત્ર નિર્મયને વાર્તા કહેતી હતી કે એક હતી ચકીબહેન … તો કહે, હુ ઈઝ ચકીબહેન?’ ‘એમાં શું? આપણે સ્પેરો કહીને વાર્તા કહેવાની. વાત તો મઝા પડવાની છે ને?’ ‘પણ સૂરજદાદા અને ચાંદામામાનું અંગ્રેજી કેવી રીતે કરવું?’

સોનલ પરીખ

દરેક ભાષામાં એવા શબ્દો હોય છે જેનું ભાષાંતર થઈ ન શકે. કરવા જઈએ તો તેની મઝા ચાલી જાય, તેનું ખમીર ચાલ્યું જાય. 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન છે એ નિમિત્તે વાત કરીએ માતૃભાષા ગુજરાતીની. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌ પ્રથમ સાંભળ્યો, જે ભાષામાં તેણે કાલું-કાલું બોલવાની શરૂઆત કરી, જે ભાષામાં એ વિચારતા ને વ્યક્ત થતા શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. માતૃભાષા તો દૂધભાષા – અખૂટ હૂંફ, અખૂટ આકર્ષણ, અખૂટ સ્નેહથી તરબતર અને છલોછલ. માને કેમ વહાલ કરવું એ બાળકને શીખવવું નથી પડતું તેમ વાતાવરણ આપીએ તો બાળક માતૃભાષાને આપોઆપ ચાહે છે. ૨૦૦૦ની સાલથી યુનેસ્કો દ્વારા ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઊજવાય છે, જેનો ઉદ્દેશ છે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. 

ભારત 1947માં આઝાદ થયું, ઈઝરાયેલ 1948માં. ઈઝરાયલનો 4,000 વર્ષનો ગુલામીકાળ પૂરો થયો અને ભારતનો 1,000 વર્ષનો. ઈઝરાયેલના પ્રમુખને પૂછવામાં આવ્યું, ‘આપની રાષ્ટ્રભાષા તેમ જ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?’ ‘ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?’ ‘પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?’ જાણીને આશ્ચર્ય થશે કે ઈઝરાયલના વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કામ સાત વર્ષમાં પૂરું કર્યું, ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરૂ થયું.

માતૃભાષા સાથે માણસ ઘનિષ્ટતાથી જોડાયેલો હોવાથી તે ભાષામાં અપાતું શિક્ષણ માણસમાં એવી રીતે ઊગી નીકળે છે જાણે કે કોઈ બીજ, છોડ કે કલમને અનુકૂળ જમીન, સારું ખાતર, ભરપૂર પાણી, વિપુલ સૂર્યપ્રકાશ તથા યોગ્ય સંભાળ મળી ગયું હોય. માતૃભાષા દિન, દુનિયાના કુલ 190 દેશોમાંથી 129 દેશોમાં વસતા ગુજરાતી લોકોનો દિવસ છે. ભારતની બીજી કોઈ ભાષા બોલનારા લોકો આટલી મોટી સંખ્યામાં આટલા બધા દેશોમાં જઈને વસ્યા નથી. આમ છતાં આપણે ગુજરાતી ભાષાના અસ્તિત્વની ચિંતા કરવી પડે છે કેમ કે ગુજરાતી જેની અધિકૃત ભાષા છે તે ગુજરાત રાજ્ય અને દીવ-દમણમાં પણ ગુજરાતી ભાષા ધીરે ધીરે કથન અને શ્રવણમાં સમેટાતી જાય છે. વાચન અને લેખનની સ્થિતિ ઉત્તરોત્તર કથળતી જાય છે. ગુજરાતી માધ્યમની શાળાઓ અને તેના વિદ્યાર્થીઓ ગરીબ બિચારા જેવા થઈ ગયાં છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને એમનાં માબાપો ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો સાથે રમવાની ના પાડે છે. ‘આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ઈન ગુજરાતી’ એવું ગર્વભેર કહેતા, અંગ્રેજી બોલવામાં ભૂલ કરનારની હાંસી ઉડાવતા ને પાછા ફેશનેબલ ગણાતા ગુજરાતીઓની સંખ્યા વધતી જાય છે. લઘુતાગ્રંથિની આ કઈ હદ છે? માત્ર ગુજરાતી નહીં ભારતની અને વિશ્વની ઘણીખરી ભાષાના આ જ હાલ છે. ભાષાવિદ્દ ગણેશ દેવી કહે છે કે આવતાં પચાસ વર્ષમાં દુનિયાના પટ પરથી 4,000 ભાષાઓ વિલુપ્ત થઈ જશે.

1947માં દેશનું વિભાજન થયું. પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચાયું. બન્ને પાકિસ્તાન ભાષા, સંસ્કૃતિ અને રહેણીકરણીની રીતે ઘણાં જુદાં હતાં. એટલે પાકિસ્તાને ઉર્દૂને રાષ્ટ્રભાષા જાહેર કરી ત્યારે બંગાળીભાષી પૂર્વ પાકિસ્તાનમાં તેનો વિરોધ થયો. ધીરેન્દ્રનાથ દત્તના નેતૃત્વમાં આંદોલન શરૂ થયું. સરકાર દમન પર ઊતરી આવી, વિદ્રોહ ઉગ્ર બન્યો. 1952ની 21મી ફેબ્રુઆરીએ પોલિસે એક સરઘસ પર ગોળીબાર કર્યો જેમાં પાંચ યુવાનો માર્યા ગયા. અનેક ઘાયલ થયા. વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો, છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો. માતૃભાષા માટે લોકોએ જીવન આપ્યાં હોય તેવો દાખલો ઇતિહાસમાં દુર્લભ છે. ત્યારથી બાંગલા દેશમાં 21 ફેબ્રુઆરી નેશનલ હોલિડે અને શોકદિન છે. 1998માં કેનેડાવાસી બાંગલાદેશીઓ રફિક-ઉલ-ઇસ્લામ અને અબ્દુસ્સલામે યુ.એન. સેક્રેટરી જનરલ કોફી અન્નાનને પત્ર લખી વિશ્વની ભાષાઓને મરતી બચાવવા એક આંતરરાષ્ટ્રીય ભાષાદિન ઘોષિત કરવાની વિનંતી કરી અને ઢાકાના શહીદોને અંજલિ આપવા માટે એ દિન 21 ફેબ્રુઆરીએ ઊજવાય એવો પ્રસ્તાવ મૂક્યો.

બીજા વર્ષથી વિવિધ થીમ સાથે આ દિન ઊજવવાની શરૂઆત થઈ. 2005માં બ્રેલ અને સાઇન લેંગ્વેજ, 2007માં વિવિધ ભાષાઓમાં શિક્ષણ, 2013માં માતૃભાષા શિક્ષણમાં પુસ્તકોનું સ્થાન, 2014માં લોકલ લેંગ્વેજિસ ફૉર ગ્લૉબલ સિટિઝનશીપ આવી થીમ હતી. 2020માં સરહદમુક્ત ભાષા અને 2021માં વિવિધ ભાષામાં શિક્ષણ તેમ જ ભાષાવૈવિધ્યને અપનાવતા સમાજની થીમ હતી. 2022ની થીમ હતી ડિજિટલ વિશ્વમાં માતૃભાષાને પડકાર અને 2023ની થીમ છે બહુભાષી વિશ્વમાં બહુભાષી શિક્ષણની અનિવાર્યતા.

ભાષાનું એક શાસ્ત્ર હોય છે; તેનો એક ઇતિહાસ, એક ભૂગોળ, એક વિજ્ઞાન અને એક રાજકારણ પણ હોય છે. આ તમામ પાસાં ખૂબ રસપ્રદ છે. દુનિયાની તમામ સાત હજાર ભાષાઓ દસ ભાષાકુળોમાંથી જન્મી છે. ગુજરાતી ભાષા ઈન્ડો યુરોપિયન કુળમાંથી જન્મી છે. આ ભાષાકુળ સૌથી મોટું છે, જેમાંથી જન્મેલી 437 ભાષા દુનિયાના ત્રણ અબજ લોકો બોલે છે. યુરોપ, રશિયાની ભાષાઓ અને સંસ્કૃત આ કુળમાંથી જન્મ્યાં છે. વિગતમાં જઈએ તો ગુજરાતી ભાષાનો વંશવેલો આ પ્રમાણે બને : ઈન્ડો યુરોપિયન  ઈન્ડો ઈરાનિયન  ઈન્ડો આર્યન (સંસ્કૃત)  પશ્ચિમ ઈન્ડો આર્યન(પ્રાકૃત-અપભ્રંશ) જૂની ગુજરાતી (ઈ.સ. 1100થી 1500)  ગુજરાતી. ગુજરાતી ભાષાની કુલ 14 બોલીઓ છે જેમાંથી ચાર મુખ્ય છે:

વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ મુજબ વિશ્વભરની 25 સૌથી બોલાતી ભાષાઓમાં સાત ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે. વિશ્વભરમાં 26.5 કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે. 17 કરોડ લોકોની સાથે 11મા ક્રમે ઉર્દૂ, 9.5 કરોડ લોકોની સાથે 15મા સ્થાને મરાઠી, 9.3 કરોડની સાથે 16મા ક્રમે તેલુગુ, 8.1 કરોડ લોકોની સાથે 19મા ક્રમે તમિલ અને 5.6 કરોડ લોકો સાથે ગુજરાતીનું સ્થાન 24મું છે.

ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ગુજરાતીનો ક્રમ છઠ્ઠો છે. દેશની વસતીના સાડાચાર ટકા લોકો ગુજરાતીમાં વાતો કરે છે, વિચારે છે ને સપનાં જુએ છે. જૂની ગુજરાતી ભાષાને ગુર્જર રાજસ્થાની અને ગુજરાતી ભાષા તેમાંથી જન્મી છે.

ગુજરાતી ભાષાને પોતાનું પોત છે. માધુર્ય, સૌંદર્ય અને લાલિત્ય છે તેમ ચોકસાઈ અને વૈજ્ઞાનિકતા પણ છે. દરેક ભાષાની બોલીઓની જેમ જુદા જુદા પ્રાંતમાં બોલાતી ગુજરાતીને આગવી મીઠાશ છે. આપણે ગુજરાતી ભાષાને વર્ષમાં બે વાર ઊજવીએ છીએ : નર્મદના જન્મદિન 24 ઑગસ્ટે વિશ્વ ગુજરાતી દિન મનાવીએ છીએ અને 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન ઊજવીએ છીએ.

શબ્દો રત્નો કરતાં પણ વધારે કિંમતી છે. ભાષાની કિંમત સમજનારે આઠ ગુણ કેળવવા જોઈએ : મધુરતા, નિપુણતા, અર્થપૂર્ણતા, સહજતા, લાઘવ, શોભા, વિચારપૂર્ણતા અને સત્ય. યુ.એન. કહે છે, ‘ભાષા આપણા વર્ણ્ય-અવર્ણ્ય વારસાને સાચવવા અને વિકસાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે. માતૃભાષાઓને પ્રોત્સાહિત કરવાથી ભાષાવૈવિધ્યને પ્રોત્સાહન મળે છે એટલું જ નહીં, તેનાથી આખા વિશ્વમાં ભાષા અને સંસ્કૃતિ માટેની જાગરુકતા વધે છે અને વિશ્વ સમજ, સહિષ્ણુતા અને સંવાદના પાયા પર જુદી રીતે એક થાય છે.’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,2231,2241,2251,226...1,2301,2401,250...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved