Opinion Magazine
Number of visits: 9667700
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખળભળાવી દે તેવું હિન્દી નાટક : Enter at Your Own Risk

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|26 February 2023

દેશના લાગણીશીલ નાગરિકને ખળભળાવી દે તેવું, પૂરેપૂરું યુવાઓએ તૈયાર કરેલું ‘એન્ટર એટ યુઅર ઓન રિસ્ક’ (Enter at Your Own Risk) નામનું નાટક અમદાવાદના સ્ક્રૅપયાર્ડ થિએટરમાં ગઈકાલ, શનિવારે, રાત્રે ભજવાયું.

અનિવાર્યપણે અસ્વસ્થ કરે તેવું લખનારા ઉર્દૂ લેખક સઆદત હસન મન્ટો(1912 -1955)ની ચાર વાર્તાઓ પર આધારિત આ નાટકનું દિગ્દર્શન 28 વર્ષના સાવન ઝાલરિયાએ કર્યું છે.

માઇકનો ઉપયોગ સદંતર ન હોય એવું આ પરફૉર્મન્સ ક્ષણે ક્ષણ કલાકારોની શારીરિક ઉર્જા બતાવે છે, અને પ્રેક્ષકોને લગભગ સતત નાના-મોટા ઝાટકાથી ધૂજાવે છે.

નાટકના અંતે પ્રેક્ષકો એવા સુન્ન બની જાય છે કે તેમનાથી તાળીઓ પડતી નથી, તેને બદલે કેટલીક ક્ષણો માટે એક ભેદી મૌન છવાઈ જાય છે.                                        

જાણકારોને ખ્યાલ જ હોય કે આવી દાદ પરફૉર્મન્સની દુનિયામાં વિરલ હોય છે, જે સાવન અને તેની મંડળીને મળે છે એવું ફરીથી એક વાર દેખાયું.

ભારત-પાકિસ્તાનના ભાગલાની ભીષણતા, ઇશ્વર-અલ્લાહ અને ધર્મ-મજહબ, ધર્મઝનૂન, લડાયક રાષ્ટ્રવાદ, કોમવાદનું રાજકારણ, રાજ્યસત્તાનો જુલમ,અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ જેવા વિષયોને આવરી લે છે. દેશ અને ધર્મનાં પ્રતીકો, ચિહ્નો, નારા, ગીતો જેવી બાબતો તરફ નાટક ક્રિટિકલી જુએ છે.

આ બધાનો ભોગ સ્ત્રીઓ કેવી રીતે બને છે તેની ચોંકાવી નાખે તેવી રજૂઆત મંચ પર  જોવા મળે છે, જેના માટે કલાકાર યુવતીઓને સલામ કરવાની થાય. 

મન્ટોની કલમે શબ્દદેહ પામેલા, ભારત-પાકિસ્તાનના ભાગલા સમયના પાગલોના અમર પાત્રોની ધમાચકડીથી નાટક શરૂ થાય છે. દેખીતી શારીરિક ધાંધલ-ધમાલ તેમ જ વાતની રમૂજો સાથે માનવસ્વભાવ અને સમાજ પરનો વેધક કટાક્ષ જોડાયેલો હોય છે.

નાટક આગળ વધે છે તેમ હાસ્ય પાંખું અને કડવું બને છે. ભય અને હિંસા છવાતાં જાય છે. નાટકના અંત તરફ ફરી પાગલખાનામાં મસ્તીમજાક, પછી હિંસાચાર અને બધે મોત, આખરે મન્ટોનું ભાષ્ય.

ધર્મસંસ્થા અને રાજ્યસંસ્થાની સત્તાએ સીંચેલાં ઝનૂનથી પાગલ થઈ જતા સમાજના મોટા હિસ્સાની વાત પાગલોનાં માધ્યમથી આપણી સામે આવે છે, દેશકાળ અંગે પ્રેક્ષકોને ખિન્ન બનાવી દે છે.

મન્ટોની ભારત-પાકિસ્તાન ભાગલા પરની વાર્તાઓ પર આધારિત સંહિતા(સ્ક્રિપ્ટ)ના લેખકો રાશિ મિશ્રા, સુક્રિતિ ખુરાના અને અને રાજેશ ખુરાના છે. સાવને થોડાંક દૃશ્યો ઉમેર્યાં છે.

પંચોતેર વર્ષ પહેલાંની વિભીષિકા પરની વાર્તાઓ સાથે લેખકો 2020-21 સુધીના કેટલાક બનાવો મૂકે છે. નાટકનાં દૃશ્યોમાં અતીત અને સાંપ્રત, વિસ્મૃતિ અને અનુભૂતિ, કલ્પના અને વાસ્તવ, ગાંડપણ અને શાણપણ, દેશ અને રાષ્ટ્ર – આવી વિભાવનાઓ એકબીજા સાથે ભળતી રહે છે, વિખરાતી રહે છે.   

આ ગતિશીલતા નાટકની દૃશ્યરચનાઓમાં પણ છે. માત્ર બે પાત્રો વચ્ચેનાં દૃશ્યો પણ પાત્રોની મૂવમેન્ટથી મંચને ભરેલો રાખે છે. એવાં દૃશ્યોમાં બે પાત્રો જે તાકાતથી કમાલ કરી જાય છે, તે સમૂહ દૃશ્યોમાં પણ છે જ. 

પાત્રો સીડી પર અને ઝાડ ચઢે છે, સાવ ઓછી ઊંચાઈવાળા ખાટલા નીચે સૂએ છે, કાર્ટૂન  સ્ટ્રીપમાં હોય તેમ એકબીજાનો પીછો કરે છે, ઝાટકા ખાય છે, નાટકના પોલીસનું ટૉર્ચર ઝીલે છે, પળવાર ઊંધે માથે ઊભા રહે છે, વીંઝોળાય છે, ખેંચાય છે, ફેંકાય છે  – અને આવું કેટલું ય !

માઇકનો બિલકુલ ઉપયોગ ન કરવા છતાં લગભગ દરેક કલાકારની અવાજની તાકાત અને ફેંક દાદ માગી લે છે. થકવી નાખે તેવી અ‍ૅક્શનવાળા અભિનયમાં કોઈ કલાકાર કચાશ રાખતી/તો નથી.

રંગબેરંગી દુપટ્ટા, પાયજામા, કાપડના ટુકડા, તૂટેલો પૃથ્વીનો ગોળો, સીવવાનો પોર્ટેબલ સંચો જેવી વસ્તુઓનો આબાદ ઉપયોગ થયો છે. ઓછા ઉપયોગ છતાં પ્રકાશ આયોજન બિલકુલ ધારી અસર ઉપજાવે છે.

પાર્શ્વધ્વનિ અને સંગીતનો અત્યંત અસરકારક ઉપયોગ અહીં છે. કાર્ટૂન સ્ટ્રીપનો સાઉન્ડટ્રૅક, બારણે ટકોરા, રમખાણોની ચીસાચીસ, સાયરનોની કિકિયારીઓ, હથિયારોના ધણણાટી, સુરક્ષા દળોના પડઘમ. તેની સાથે અહીં ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌અમૃતા પ્રીતમનો જાણીતો મરસિયો ‘આજ આખાં વારિસ શાહનુ’ અને જાણે ભૈરવી તરીકે ફૈઝ અહેમદ ફૈઝની ‘બોલ કે લબ આઝાદ હૈ તેરે’  જેવી ગઝલ કાને પડતાં રહે છે.

સ્ક્રૅપયાર્ડ ચલાવનાર સમર્પિત રંગકર્મી કબીર ઠાકોર જણાવે છે કે દિલ્હીના અક્ષરા થિએટર્સ નામના વૃંદે આ નાટક દેશના કેટલાંક શહેરોની જેમ અમદાવાદમાં પણ માર્ચ 2019માં ભજવ્યું હતું.

તેનાથી કબીર અને સાવન અતિશય પ્રભાવિત હતા. મૂળ નાટકના નિર્માણની ઘેરી છાપ  સ્ક્રૅપયાર્ડએ કરેલા નાટ્યપ્રયોગ પર હોવાનું કબીર વિગતવાર જણાવે છે.

Enter At Your Own Risk જેવાં નાટકો બહુ ઓછા થાય છે. સહુ નાગરિકોએ અને તેમાં ય સિવિલ સોસાયટી, અર્થાત્‌ નાગરિક સમાજ જેવી વ્યાપક સંજ્ઞામાં માનતા સહુએ તો આ નાટક અચૂક જોવા જેવું છે.

આ નાટક યુવાઓએ કરેલું નાગરિક સમાજ માટેનું એક સ્ટેટમેન્ટ છે, તે જોવું એ આપણી સામેલગીરી – સાઝેદારી છે. 

નાટકની નિષ્ઠાવાન મંડળી આ મુજબ છે : 

  • કલાકારો : અઝાજ, અનન્યા, અમન, આયુષી, પ્રિતેશ, યશ, રાકેશ, રિકેશ, લક્ષ્ય, શર્વરી, શિલ્વા, સૂરજ, હેત, ક્ષિતિજ. 
  • સાથીદારો –  પ્રકાશ : સાવન; સંગીત અને બૅનર્સ : હર્ષિલ;                   
  • વીડિયો પ્રોજેક્શન : હાર્દિક; પોસ્ટર : કલ્પેશ
  • સહાયક દિગ્દર્શક : ચૈતાલી

*** આ નાટક આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ રાત્રે સાડા આઠ વાગ્યે ફરીથી ભજવાશે. સ્થળ પર ટિકિટો મળી શકશે. 

ઑનલાઇન ટિકિટ માટેની લિન્ક : https://allevents.in/…/enter-at-your-own…/80002076540875 

26 ફેબ્રુઆરી 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારત માટે ખતરનાક કહેવાયેલા જ્યોર્જ સોરોસની વાત કેમ ગંભીરતાથી લેવી જોઇએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 February 2023

સત્તા પર બેઠેલાઓ માટે જે શરમજનક કે પ્રતિકૂળ હોય એવી માહિતી બહાર આવે એટલે એને ષડયંત્રના વાઘા પહેરાવી દેનારા સત્તાધીશોને કારણે ઓપન સોસાયટી પર – લોકશાહી પર તવાઇ આવે છે

ચિરંતના ભટ્ટ

જ્યૉર્જ સોરોસ – આ નામે મોટા માથાવાળાં ગુજરાતીઓને અને ભારતનાં મીડિયાને અકળાવી દીધા છે. આ અકળામણનું કારણ એ છે કે 17મી ફેબ્રુઆરીએ મ્યુનિચ સિક્યોરિટી કૉન્ફરન્સમાં અમેરિકન અબજોપતિ રોકાણકાર અને ફિલાન્થ્રોપિસ્ટ સોરોસે દાવો કર્યો કે, “યુ.એસ.એ.ની શોર્ટ સેલર હિન્ડેબર્ગ રિસર્ચે વિશ્વના ધનિક માણસ ગૌતમ અદાણી સામે જે રિપોર્ટ જાહેર કર્યો છે તેને કારણે રોકાણકારોનો ભારત પ્રત્યેનો આત્મવિશ્વાસ હચમચી ગયો છે.” તેમણે ઉમેર્યું કે, “મોદી અને અને આ બિઝનેસ ટાયકૂનને સારાસારી છે, તેમનું નસીબ એકબીજા સાથે જોડાયેલું છે. અદાણી એન્ટરપ્રાઇઝે સ્ટોક માર્કેટમાં ફંડ ખડા કરવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તેમને નિષ્ફળતા મળી અને તેમણે સ્ટૉકમાં છબરડા કર્યા અને અંતે પત્તાનાં મહેલની માફક એમના સ્ટૉક ખડી પડ્યા.” – હા, તમને થશે કે આ બધું તો પતી ગયું તો એમાં શું, પણ સોરોસ આટલેથી ન અટક્યા. તેમણે આગળ એમ કહ્યું કે, “મોદી આ વિષય પર ચૂપ છે પણ તેમણે સંસદમાં વિદેશી રોકાણકારોના સવાલોના જવાબ તો આપવા જ પડશે. તેમણે એવું ય ભવિષ્ય ભાખ્યું કે આ જે પણ થયું છે તેને કારણે ભારતની સરકાર પર નરેન્દ્ર મોદીની પકડ નબળી પડશે જ અને ત્યાં જે સંસ્થાકીય પરિવર્તન અને સુધારાની જરૂર છે, તે થવાની શક્યતાઓ વધશે. તેમણે આ વાત પૂરી કરતાં એમ કહ્યું કે હું કદાચ અણસમજુ હોઇ શકું છું પણ ભારતમાં લોકતાંત્રિક પુનઃર્જીવન અને બદલાવની મને ચોક્કસ અપેક્ષા છે.”

જ્યોર્જ સોરોસ

જ્યૉર્જ સોરોસની આ ટિપ્પણી ભારત અંગે અને ભારતના રાજકીય શાસક પક્ષ સામે એક અલગ પ્રકારનો ડર અને ગેરસમજ પેદા કરશે, જે બહુ ચિંતાજનક બાબત છે એવો અવાજ વહેતો થયો. યુ.એસ.એ. મહાસત્તા હોવાને નાતે ત્યાં ન્યૂ યોર્કમાં બેઠેલા સોરોસ જેવા મોટાં માથાઓને એમ લાગે છે કે તેમનો દૃષ્ટિકોણ આખી દુનિયાના વહેવાર કે વિચારો પર સીધી અસર કરે છે એવું કહી આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે ઑસ્ટ્રેલિયાના સિડનીમાં રાયસી ડાયલૉગમાં તેમને વૃદ્ધ, ધનિક, ધર્માંધ અને ખતરનાક જેવા વિશેષણોથી નવાજ્યા. સ્મૃતિ ઇરાનીએ પણ સોરાસના આ નિવેદનની નિંદા કરી હતી.

જો કે સોરોસ આ પ્રકારની વાત પહેલીવાર નથી કરી. 2020માં દાવોસમાં થયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સોરોસે નરેન્દ્ર મોદી માટે એમ કહ્યું હતું કે, “પ્રજાસત્તાક રીતે ચૂંટાઈને આવેલા નરેન્દ્ર મોદી ભારતને એક હિંદુ રાષ્ટ્રવાદી દેશ બનાવી રહ્યા છે અને કાશ્મીર પર પ્રતિબંધ લગાડી એ ત્યાંના લોકોને દંડી રહ્યા છે અને CAA જેવા કાયદાઓ દ્વારા અનેક મુસલમાનોનું નાગરિકત્વ છીનવી લેવાની ધમકી આપી રહ્યા છે.”

જ્યૉર્જ સોરોસ એક એવું નામ છે જે 1992ના દાયકામાં ઘરઘરાઉ બન્યું કારણ કે તેમમે બ્રિટિશ પાઉન્ડની સામે બૅટ કરવાનું નક્કી કર્યું. પાઉન્ડ સામે શોર્ટ પોઝિશનિંગ કરીને 1 બિલિયન ડૉલર્સ કમાનરા જ્યૉર્જ સોરોસને કારણે ‘બ્લેક વેડનસ્ડે’ શબ્દ પ્રયોગ પ્રચલિત બન્યો જે બ્રિટિશ સરકાર માટે એવો ફટકો હતો કે એમાં તેમને ક્યારે ય કળ ન વળી. જ્યૉર્જ સોરોસ – ફિલાન્થ્રોફિસ્ટ (દાનેશ્વરી કે પરોપકારી) પણ છે અને તેમણે તેની સંસ્થા ઓપર સોસાયટી ફાઉન્ડેશન મારફતે માનવાધિકાર અને લોકતાંત્રિક સરકારોને, લગભગ 100 દેશોમાં અનેકવાર સામાજિક સંસ્થાઓ, શિક્ષણને લગતી યોજનાઓ કે પબ્લિક હેલ્થ માટે અબજો ડૉલર્સની મદદ કરી છે.

સોરોસનું જીવન તેમના આ વિચારોને આકાર આપનારું રહ્યું છે. સોરોસ યહૂદી પરિવારમાં, હંગરીના બુડાપેસ્ટમાં જન્મ્યા. વકીલ પિતાએ નાઝી કેમ્પમાંથી નામ બદલીને જેમ તેમ પોતાના પરિવારને બચાવ્યો. યુદ્ધમાં હંગરી સોવિયેત કેમ્પમાં ગયું અને મોટા થઇ રહેલા સોરોસે સોવિયેટ સામ્યવાદનો અનુભવ કર્યો. 17મે વર્ષે ઇંગ્લેન્ડ જઇને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણનારા સોરોસને ફાસીવાદ અને સામ્યવાદની ક્ષતિઓ સમજાઇ. બન્ને વાદ – પોતાના સત્યનો બેફામ દબાવ કરતા અને આમ બન્ને ‘ઓપન સોસાયટી’ના વિરોધી ગણાય. ઓપન સોસાયટીનો વિચાર પણ સમજવા જેવો છે – ઓપન સોસાયટી એટલે એવો સમાજ જ્યાં કોઇ પણ એક વિચારધારા ધરાવતું જૂથ એવો દાવો ન કરે કે તેમને બધું જ ખબર છે, તેમની પાસે બધા જવાબો છે અને ન તો તેઓ સત્તાનો ઉપયોગ કરીને પોતાના જવાબો સમાજ કે તેમનાથી અલગ વિચાર ધરાવનારાઓને બળજબરીથી માનવા દબાણ કરે. સોરોસે હેજ ફંડ મેનેજર તરીકે પોતાની કારકિર્દી ઘડી, એક એવા વિચારને સાથે રાખ્યો કે સમાજ સંપૂર્ણ ન હોઇ શકે પણ વિવિધ અભિગમને સાથે રાખીને સતત એવા સુધારા સાથે સમાજે આગળ વધવુ જોઇએ જેનાથી સફળતાને વરી શકાય. મુક્ત અને સમાન સમાજનું બંધારણ ઇતિહાસમાંથી શીખેલા બોધને આધારે થઇ શકે એમ માનતા સોરોસે માર્કેટ ઇકોનોમીના પરિવર્તનની રાહ પકડી. તેમણે માર્કેટ ફંડામેન્ટાલિઝમ – બજારી કટ્ટરવાદને પડકાર્યો, ફ્રી માર્કેટને લગતી ગેરમાન્યતાઓ ખતમ કરી. તેમના મતે આ બધી લેવડદેવડ વ્યવહારુ બની જાય છે જેનું કેન્દ્ર માત્ર પૈસા હોય છે. તેમને આમ કહેવા માટે વખોડાયા પણ બીજા વિચારકોએ પણ તેમને ટેકો આપ્યો. એવો વિચાર મક્કમ થયો કે એક માત્ર ફ્રી માર્કેટ જ ઓપન સોસાયટીનો પાયો બની શકે, એ વિચારમાં કોઇ દમ નથી કારણ કે ફ્રી માર્કેટની ગેરમાન્યતાઓ છે જેમાં આર્થિક સત્તાની શતરંજ ચાલે છે.

ડેથ કેમ્પ (નાઝીવાદ) કે ગુલગમાં (સામ્યવાદ) માણસોને મારી નખાવાથી સમાજનો ખાત્મો નથી થતો. એક મોકળો સમાજ ત્યારે ખતમ થવા માંડે છે જ્યારે કોઇ પણ ટીકા કે અસંમતિને રાષ્ટ્રવિરોધીનું લેબલ લગાડી દેવામાં આવે છે. સત્તા પર બેઠેલાઓ માટે જે શરમજનક કે પ્રતિકૂળ હોય એવી માહિતી બહાર આવે એટલે એને ષડયંત્રના વાઘા પહેરાવી દેનારા સત્તાધીશોને કારણે ઓપન સોસાયટી પર – લોકશાહી પર તવાઇ આવે છે, એનાથી રાષ્ટ્રને નુકસાન નથી થતું પણ મોકળાશ ભર્યો સમાજ પાંગળો બને છે, બંધ થતો જાય છે, સંકોરાતો જાય છે.

આપણે ત્યાં બી.બી.સી.ની જૂની ડૉક્યુમેન્ટરી ચર્ચામાં આવી અને બી.બી.સી.ની ઑફિસીઝ પર દરોડા પડ્યા. શું આ ઓપન સોસાયટી છે? ખુન્નસ કાઢવાની માનસિકતા સમાજની મોકળાશને પાંગળી કરશે. લોકશાહી સૂતરને તાંતણે લટકણિયાની માફક માત્ર શોભા પૂરતી ન રહી જાય તેની જવાબદારી સત્તાધીશો અને મતદાતાઓ તમામની છે.

સોરોસે જે કહ્યું, અદાણીએ ભૂતકાળમાં હિન્ડનબર્ગ રિપોર્ટને જે રીતે નકાર્યો કે આપણા રાજકારણીઓએ સોરોસની ટિપ્પણી સામે જે પ્રતિક્રિયા આપી આ તમામને 360 ડિગ્રીમાં નિષ્પક્ષ રીતે જોવું જરૂરી છે. સોરોસે જે પણ કહ્યું છે તેમાં રહેલી આર્થિક ચેતવણીને ગંભીરતાથી લેવી પડે, ગોટાળાવાળા મૂડીવાદને કારણે ભારતની છબી ખરડાઇ છે એમાં ના નહીં અને વડા પ્રધાને આ પ્રકારની ઘટનાઓને લઇને વિદેશી રોકાણકારોને જવાબ આપવો રહ્યો. અદાણી જૂથ હિન્ડનબર્ગ સામે બદનક્ષીનો દાવો ન કરી શક્યું, તેમણે એફ.પી.ઓ. પાછો ખેંચી લીધો આ બતાડે છે કે એ રિપોર્ટમાં કંઇક તો દમ હશે જ. વળી ભૂતકાળમાં પણ લલિત મોદી, નિરવ મોદી અને વિજય માલ્યા જેવાઓએ આપણી બૅંકિંગ સિસ્ટમની ઉધઈ જાહેર કરી જ છે. સોરોસે જે 1992માં બ્રિટનમાં કહ્યું એ હિન્ડનબર્ગના રિપોર્ટે અદાણી માટે કર્યું. ભારતના આર્થિક સંસ્થાનો પર, અહીં થતી કામગીરી પર સવાલ થાય એ સ્વાભાવિક છે.

સોરોસની વાતને ભારતની લોકશાહી પરનો ગણતરીપૂર્વકનો હુમલો ગણાવનારાઓએ પેલો હિંદી વાક્ય પ્રયોગ યાદ કરવો રહ્યો, ‘ખુદ કે ગિરેબાનમેં ઝાંક કે દેખીએ.’

બાય ધી વેઃ

જમણેરીઓના રોષનું અવારનવાર ટાર્ગેટ બનનારા સોરોસ વૈશ્વિક સ્તરે ફાઇનાન્સિંગ માટે બહુ મોટું  નામ ગણાય અને માટે જ તેમના રાજકીય વિચારો હંમેશાં મહત્ત્વના ગણાયા છે. સોરોસે નરેન્દ્ર મોદીને હંમેશાં વખોડ્યા છે એમ નથી, તેમણે ડિજીટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત મિશન માટે તેમની પ્રશંસા પણ કરી હતી. સોરોસની વાતને ગંભીરતાથી લીધે જ છૂટકો કારણ કે આપણને એક દેશ તરીકે આર્થિક સમાજિક ભેદમાં – અલગ સ્તરોમાં જીવવાની ટેવ છે – દેશના ધનિકોને પારદર્શક ઇન્ક્વાયરી માફક નથી આવતી – એ થશે તો એક સમાન અને મુક્ત સમાજને ક્યાંક પગ ટેકવવાની જગ્યા મળશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ફેબ્રુઆરી 2023

Loading

કોરોના કાળમાં કળાની સમીપે : 2

અમર ભટ્ટ|Opinion - Opinion|26 February 2023

અમર ભટ્ટ

કોરોનાના દિવસોમાં મારા વકીલાતના વ્યવસાયને સંબંધિત કાંઈ કરતાં કાંઈ કામ ન હતું, ત્યારે કૉર્ટ અને કાયદાને લગતી વાત હોય તેવું એક પુસ્તક અનોખો રોમાંચ કરાવી ગયું – “ધી સ્ટ્રેંજ આલ્કેમી ઑફ લાઈફ ઍન્ડ લૉ”. લેખક છે 1994થી 2009 સુધી દક્ષિણ આફ્રિકાની બંધારણીય અદાલતના ન્યાયાધીશ રહી ચૂકેલા Albie Sachs – આલ્બિ સાક્સ.

શ્વેત હોવા છતાં યુવા વયે નેલ્સન મંડેલાની ચળવળને ટેકો આપવા બદલ એમને જેલ થયેલી; એમના પર અત્યાચાર ગુજારવામાં આવેલો અને એમને દેશનિકાલ કરવામાં આવેલા. પછી ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કર્યા બાદ એ મોઝામ્બિકમાં કાયદા મંત્રાલયમાં કાર્યરત હતા ત્યારે એમની મોટર પર દક્ષિણ આફ્રિકી ગોરી સરકારના કહેવાથી બૉમ્બ ફેંકવામાં આવેલો. એમને ગંભીર ઇજા થયેલી – એક હાથ અને એક આંખ એમણે ગુમાવી; પણ દૃઢ મનોબળ અને આંતરસૂઝ સાથેનો  આત્મવિશ્વાસ એમની આગવી મિરાત હતાં. 1993માં નેલ્સન મંડેલાએ એમને બંધારણ ઘડવાની સમિતિમાં આમંત્રણ આપ્યું અને પછી ત્યાંની સર્વોચ્ચ અદાલત – બંધારણીય કૉર્ટ -ના ન્યાયાધીશ તરીકે એમને નીમ્યા. પુસ્તકની પ્રસ્તાવનામાં ઇંગ્લેન્ડની સર્વોચ્ચ અદાલતના તે સમયના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ લૉર્ડ વુલ્ફે નોંધ્યું છે કે ‘ન્યાયની પ્રક્રિયામાં રસ ધરાવનાર તમામ માટે આ પુસ્તક ખૂબ રસપ્રદ છે અને જો મારા પર કૈં પણ જવાબદારી હોય તો તે કહેવાની જવાબદારી છે કે દરેક ન્યાયાધીશ જેની નિયુક્તિ માટે હું જવાબદાર છું તેણે આ પુસ્તક વાંચવું જોઈએ.’

લગભગ 300 પાનાંનું પુસ્તક હું તો એકીબેઠકે વાંચી ગયો. મુખપૃષ્ઠ ઉપર જુડિથ મેસન નામની એક કલાકારે ભૂરા રંગના પ્લાસ્ટિકમાંથી બનાવેલું એક ફ્રૉક છે. જુડિથે એ કેમ બનાવ્યું? એના નિવેદનમાં એ નોંધે છે કે ફિલા એન્ડવાન્ડવે નામની એક શ્યામ સ્ત્રીએ મૌન રહીને અત્યાચાર સહ્યો પણ પોતાના સાથીદારોનાં નામ ગોરી સરકારને ન આપ્યાં. એની હત્યા કરવામાં આવી તે પહેલાં તેને દિવસોના દિવસો નગ્ન હાલતમાં રાખવામાં આવી હતી. ભૂરા રંગના પ્લાસ્ટિકની બેગ વડે તેણે પોતાની નગ્નતા ઢાંકી હતી. જુડિથે બનાવેલ ડ્રેસ પર તેણે ફિલાને ઉદ્દેશીને એક પત્ર ચીતર્યો છે. જસ્ટિસ આલ્બિ સાકસના કહેવાથી આ ડ્રેસ દક્ષિણ બંધારણીય અદાલતમાં ભૂતકાળમાં થયેલા અત્યાચારોની યાદગીરી રૂપે મૂકવામાં આવ્યો છે. આમ તો આખું પુસ્તક નિતાંત રસપ્રદ છે; પણ એમાંની, મને અંદરથી ભીંજવી ગયેલી, કેટલીક વાત વહેંચવી છે –

– રંગભેદ નીતિ નાબૂદ થયા પછી દક્ષિણ આફ્રિકામાં ટ્રુથ ઍન્ડ રિકન્સીલિએશન ઍક્ટ (સત્ય અને મનમેળ કાયદો) ઘડવામાં આવ્યો. એ કાયદા નીચે નિયુક્ત થયેલ કમિશન સમક્ષ જે કોઈ ગોરી સરકારના કહેવાથી કાળા લોકો પર પોતે ગુજારેલા અત્યાચારની સંપૂર્ણ જાહેરાત અને સાચી કબૂલાત કરે તેને દિવાની કે ફોજદારી કોઈ પણ સ્વરૂપની કાનૂની કાર્યવાહી સામે રક્ષણ આપવાની જોગવાઈ હતી. આ કાયદાની બંધારણીયતા દક્ષિણ આફ્રિકાની અદાલતમાં પડકારાઈ હતી. આ કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે એવું નોંધતા અદાલતે ઠરાવ્યું કે દક્ષિણ આફ્રિકી બંધારણનો હેતુ દેશના નવનિર્માણનો છે. ભૂતકાળની ભૂલનો દસ્તાવેજ આંખ સમક્ષ હોવો જોઈએ અને સાથે સાથે નિખાલસ અને સાચો એકરાર કરનારને સંપૂર્ણ માફી આપી એવા અત્યાચારો ફરીથી ન થાય તે ધ્યાનમાં રાખી દૃષ્ટિ ભવિષ્ય તરફ રાખીને આગળ વધવાનું છે.  “ક્ષમા વીરસ્ય ભૂષણમ્”ને અહીં બંધારણીય માન્યતા મળે છે.

અનિલ જોશીનું ગીત છે –

કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી ધોળો વરસાદ તારા દેશમાં 

આપણે તો નોધારા ભટકી રહ્યાં છીએ ચામડીના ખોટા ગણવેશમાં.

– ત્યાંની બંધારણીય અદાલતનું મકાન ગાંધીજી અને મંડેલાને જોહાનિસબર્ગની જે જેલમાં રાખવામાં આવ્યા હતા તે જેલના પરિસરમાં બનાવવામાં આવ્યું છે એમ લેખક નોંધે છે. આ મકાનની ડિઝાઇન નક્કી કરવાની જ્યુરીમાં ભારતના પ્રખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા અધ્યક્ષ પદે હતા. બંધારણીય અદાલતમાં ન્યાયાધીશોને બેસવાનું સ્થળ એ રીતે બનાવાયું છે કે જ્યાંથી તેમને બહાર અવરજવર કરતા લોકોના પગ માત્ર દેખાય, ચહેરાઓ નહીં – એટલે કે – લોકોના ચહેરા જોયા વગર સર્વને સમાન ન્યાય મળી રહે તેવી વિભાવના આ અદાલતની ડિઝાઇન પાછળ છે.

આલ્બી સાક્સ

– પોતે આપેલ ચુકાદાઓનાં તારણો પર એ કઈ રીતે પહોંચ્યા તે આ લેખકે સાહિત્યિક રીતે સમજાવ્યું છે. એ નોંધે છે કે ઘણી વાર ન્હાતાં ન્હાતાં, આર્કિમિડિઝની જેમ, એમને તારણો ને કારણો જડ્યાં છે. કેસની અંદર સમાયેલ માનવીય અધિકારોના ભંગના પ્રશ્નો જોઈને કેટલી ય વાર આ ન્યાયાધીશ રડ્યા છે તેનો પણ અહીં એકરાર છે. ન્યાયાધીશે અનુભવેલું મનોમંથન આપણે પણ અનુભવી શકીએ એટલું અદ્દભુત આ આલેખન છે. “લાફ ઈટ ઑફ” નામના પ્રકરણમાં લાફ ઈટ ઑફ નામની એક કંપની ઉપર ટ્રેડમાર્ક ભંગનો કેસ થયેલો તેની વાત છે. આ કંપની પૅરડી-વક્રોક્તિ-નો ઉપયોગ કરીને ટી-શર્ટ બનાવતી હતી. બ્લેક લૅબલ નામના એક બિયરની પૅરડી “બ્લૅક લૅબર વ્હાઇટ લાય” એ રીતે કરીને બનાવેલ ટી-શર્ટ માટે બ્લૅક લૅબલ બિયર બનાવતી કંપનીએ લાફ ઈટ ઑફ ઉપર  ટ્રેડમાર્ક ભંગનો કેસ કર્યો હતો. પ્રશ્ન વાણી સ્વાતંત્ર્ય અને ટ્રેડમાર્કના હક્કો વચ્ચેના ઘર્ષણનો હતો. લાફ ઈટ ઑફની તરફેણમાં ચુકાદો આપતા આ ન્યાયાધીશે નોંધ્યું છે –

“Does the law have a sense of humor?… A society that takes itself too seriously risks bottling up its tensions and treating every example of irreverence as a threat to its existence. Humor is one of the great solvents of democracy. It permits the ambiguities and contradictions of public life to be articulated in non-violent forms. It promotes diversity. It enables a multitude of discontents to be expressed in a myriad of spontaneous ways. It is an elixir of constitutional health.”

(“શું કાયદા પાસે હાસ્ય મળી શકે? જે સમાજ પોતાને અત્યંત ગંભીરતાથી લે છે તે પોતાના તણાવોને બાટલીમાં પૂરી દેવાનું જોખમ ધરાવે છે અને અનાદરના દરેક ઉદાહરણને પોતાના અસ્તિત્વ સામે ધમકીરૂપે જુએ છે. હાસ્ય લોકશાહી માટે ઉત્તમ દ્રાવક પદાર્થ  છે. તે જાહેર જીવનની સંદિગ્ધતાઓ અને વિરોધાભાસોને અહિંસક રીતે અભિવ્યક્ત કરી શકે છે. તે વિવિધ સ્વરૂપના અસંતોષોને વ્યક્ત કરવા અસંખ્ય સ્વયંસ્ફૂર્ત રસ્તાઓ કરી આપે છે. હાસ્ય એ (દેશના) બંધારણીય સ્વાસ્થ્ય માટે ઉત્તમ રસાયણ છે”)

– એમના પર બૉમ્બ ફેંકાયો તે અંગેના કાવતરામાં સક્રિય ભાગ લેનાર હેન્રી આલ્બિ સાકસને મળે છે અને પશ્ચાતાપ અનુભવે છે; આલ્બિ એને કમિશન પાસે જઈને સત્ય વાત જાહેર કરવા કહે છે, અને એ પછી એની સાથે પોતાના એકમાત્ર હાથ વડે “શૅક હૅન્ડ” કરવાનું વચન આપે છે. થોડો સમય બાદ એક કાર્યક્રમમાં આલ્બિ અને હેન્રીનો અનાયાસ ભેટો થાય છે. એ મુલાકાત કમિશન પાસે નિખાલસ કબૂલાત પછીની છે. બન્ને  “શૅક હૅન્ડ” કરે છે. છૂટા પડ્યા  પછી હેન્રી બે અઠવાડિયા સુધી સતત રડતો હતો એમ કાર્યક્રમના આયોજકો આલ્બિને જણાવે છે. વાંચીને મને કલાપી યાદ આવે છે –

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે 

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

કાયદાનું સકારાત્મક પાસું કેવું હોઈ શકે અને કાયદો સમાજને અને વિચારધારાને બદલવા માટે કઈ રીતે ઉપયોગી થઇ શકે તે આ પુસ્તકમાંથી જાણવા મળે છે.

ત્રીસ વર્ષથી વકીલાતના ક્ષેત્રમાં હોવા છતાં આપણે તો કશું કર્યું જ નથી એવી અનુભૂતિ આ પુસ્તક વાંચીને થઇ. ક્યાંક વાંચેલા ગીતના આ શબ્દો યાદ આવી ગયા –

ગાયું જે કહેવાય એવું ક્યાં ગાયું?

સપ્ટેમ્બર 2020માં કોરોના આવ્યે 6 માસ થયા. આ વ્યાધિનો કેર ઓછો ન થયો. મૃત્યુ આંક વધતો ગયો. ઘેર બેઠા રમેશ પારેખના સમગ્ર કાવ્યોમાંથી પસાર થઈ રહ્યો હતો. મીરાંની મનોદશામાં પહોંચીને લખાયેલું ર.પા.નું એક ગીત સ્વરબદ્ધ કરવાનો આનંદ લીધો. એમાં પણ કાયદાની પરિભાષાના બે શબ્દો છે- “ગુનો” અને “માફી”.

ગિરધર ગુનો અમારો માફ 

તમે કહો તો ખડખડ હસીએ, વસીએ જઈ મેવાડ 

માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ 

સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએ સાફ 

મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું 

વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું 

પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ

મનની વ્યગ્રતાએ આ ગીત પણ તાર સ્વરે ગવડાવ્યું. સંગીતની પરિભાષામાં કહું તો સાધારણ રીતે હું કાળી 1 સૂરથી ગાઉં છું, પણ આ ગીત એના મધ્યમ(“મ” સ્વર)થી એટલે કે કાળી 3ને “સા” માનીને સ્વરાંકિત થયું. ર.પા.ના આ મીરાંકાવ્યમાંના અંતરાની પ્રથમ પંક્તિમાં “વસ્તુ અમોલિક દી મેરે સત્‌ગુરુ”ના સ્વરો અને અંતરાની બીજી પંક્તિમાં પણ એ જ ઢાળ, પણ બીજા સ્કેલથી, બેસી ગયા.  ગાર્ગી વોરાના અવાજમાં સાંભળો.

સપ્ટેમ્બર 2020માં અમેરિકાની સુપ્રીમ કૉર્ટનાં જસ્ટિસ શ્રીમતી રૂથ બૅડર ગિન્સબર્ગ(વ્હાલસોયું નામ આર.બી.જી.)નું અવસાન થયું. આખા અમેરિકાએ આ ઉદારમતવાદી ન્યાયાધીશના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. “નૉટોરિયસ આર.બી.જી.” તરીકે જાણીતાં આ ન્યાયાધીશ જાતિવિષયક ભેદભાવને વખોડતા એમના ચુકાદાઓ માટે પ્રખ્યાત હતાં. એમના જીવન પર આધારિત ફિલ્મ “ઑન ધ બૅઝિસ ઑફ સૅક્સ” ઘેર બેઠા માણી. આર.બી.જી.ના પાત્રમાં  અભિનેત્રી ફૅલિસિટી જૉન્સનો અભિનય અત્યંત આકર્ષક છે. આર.બી.જી. ન્યાયાધીશ બન્યાં તે પહેલાંની એમની વકીલ તરીકેની કારકિર્દીમાં જાતિભેદ નાબૂદી અને બન્ને જાતિઓને સમાન તક મળે તે માટે આર.બી.જી.એ કરેલા સંઘર્ષની કથા છે. મજાની વાત એ હતી કે સ્ત્રીઓને પુરુષો જેવા જ હક્ક મળે તે માટેની એમની લડત શરૂ થઈ એક પુરુષ તરફથી સમાન અધિકાર માટે તેમણે કરેલા એક કેસથી. એક હાર્વર્ડ લૉ સ્કૂલમાં નવમાંનાં એક વિદ્યાર્થી તરીકે એડમિશન લીધા બાદ એમને જાતિભેદનો અનુભવ અનેક વાર થયો. પુરુષપ્રધાન વ્યવસાયમાં એક સ્ત્રીની હાજરી અને એમાં પણ આટલી વિખ્યાત યુનિવર્સિટીમાં સ્થાન એમનો જાતિવિષયક ભેદભાવ સામેનો પ્રથમ કેસ એ પુરુષ તરફથી લડ્યાં હતાં. અમેરિકાના ટૅક્સ કૉડ અંતર્ગત નીચેના કરદાતાને પોતાનાં આશ્રિતોની સંભાળ રાખવાનો ખર્ચ કરમાં મજરે મળી શકે તેવી જોગવાઈ હતી –

1. જો કરદાતા સ્ત્રી હોય,

2. જો કરદાતા વિધુર હોય અથવા 

3. જો કરદાતા એવો પતિ હોય કે જેનાં પત્ની શારીરિક અક્ષમતા ધરાવતાં હોય અથવા કોઈ સંસ્થામાં સારવાર અર્થે દાખલ હોય.

રૂથ બૅડર ગિન્સબર્ગ

કોઈ અવિવાહિત પુરુષને પોતાનાં માતાપિતાની સંભાળ રાખવાનો ખર્ચ ટૅક્સ કૉડ નીચે મજરે મળી ન શકે. ચાર્લ્સ મૉરિત્ઝ અવિવાહિત પુરુષ હતો અને તેનાં માતાની સંભાળ લેવા તેણે એક નર્સ રાખેલ હતી તેનો ખર્ચ તેને મજરે ન મળ્યો. આર.બી.જી.એ ચાર્લ્સ મૉરિત્ઝ વતી આ જોગવાઈ સમાનતાના અધિકારનો ભંગ કરે છે તેવી દલીલ કરીને આ જોગવાઈની બંધારણીયતા પડકારી. અમેરિકાના બંધારણમાં સમાનતાનો અધિકાર છે જેમાં “કાયદા સમક્ષ સર્વની સમાનતા અને સર્વને કાયદાનું સમાન રક્ષણ” હોય એવી વિભાવના છે. (ભારતના બંધારણ નીચે પણ આ મૂળભૂત હક્ક છે. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે.) ત્યાંની ફેડરલ કૉર્ટે આર.બી.જી.ની દલીલ સ્વીકારી અને આ જોગવાઈ સમાનતાના હક્ક વિરુદ્ધની ઠરાવી. પછી તો જાતિભેદના અનેકાનેક કેસો સ્ત્રીઓ વતી પણ કર્યા. કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત આર.બી.જી.ને પ્રમુખ રોનાલ્ડ રેગને  વૉશિન્ગટન ડી.સી., ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયાની ફેડરલ કૉર્ટમાં ન્યાયાધીશ નિયુક્ત કર્યા. મારા કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લૉના વિદ્યાર્થી તરીકેના એક વર્ષમાં અમે આર.બી.જી.ને અલપઝલપ મળેલા તે યાદ આ ફિલ્મ જોઈને તાજી થઇ. 1993માં પ્રમુખ બિલ ક્લિન્ટને એમને અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નીમ્યાં, ત્યારથી 2020 સુધી એમણે લોકોનાં જીવનને સ્પર્શે તેવી બાબતો પર અનેકવિધ ચુકાદાઓ આપ્યા અને બંધારણના સર્જનાત્મક અર્થઘટન દ્વારા લોકોને રાજ્ય સામે વિવિધ વ્યક્તિગત હક્કો આપીને એમનાં જીવન સમૃદ્ધ કર્યાં.

આ ફિલ્મમાં આર.બી.જી.એ સમાનતાની તરફેણમાં કરેલી દલીલનું એક વાક્ય સ્પર્શી ગયું –

“We are not asking you to change the Country. That has already happened without the Court’s permission. We are asking you to protect the right of the Country to change.”

ફિલ્મને અંતે આર.બી.જી.ને પોતાને (એમનો અભિનય કરનાર અભિનેત્રીને નહીં) અમેરિકાની સુપ્રીમ  કૉર્ટનાં પગથિયાં ચડતાં બતાવાયાં છે તે દૃશ્ય જોઈને  મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. આમ, પુસ્તક, કાવ્ય અને ફિલ્મ ત્રણેયમાં કાયદાની પારિભાષિક શબ્દાવલી હોઈ જીવને થોડી ટાઢક વળી.

e.mail : amarbhatt@yahoo.com
પ્રગટ : “બુદ્ધિ પ્રકાશ”; ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,2221,2231,2241,225...1,2301,2401,250...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved