Opinion Magazine
Number of visits: 9566988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પર્યાવરણને નાખો વખારે!! વિકાસ કોના અને શેના ભોગે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 January 2023

ક્યાંક દરિયો પુરાય છે તો ક્યાંક પહાડો ખોદાય છે તો ક્યાંક જંગલોનું નિકંદન નિકળે છે અને પોતે સચવાય એ માટે પ્રકૃતિ કોઇ શરતો મૂકી નથી શકતી અને લાલસાની દોટમાં હાંફતા માણસને પગ તળેથી ખસી રહેલી ધરતીની પરવા નથી. 

ચિરંતના ભટ્ટ

હિમાલયના ઢાળ પર 1874 મીટર ઊંચાઇ પર આવેલા જોશીમઠની વલે થવા બેઠી છે. આ શહેર ડૂબી રહ્યું છે, ફસડાઇ રહ્યું છે અને વાત માત્ર આ શહેરની નથી, પણ આસપાસની બીજી વસ્તીઓ પણ જોખમમાં છે. રોજે રોજ લોકોને ખસેડવાની ખબરો અને લોકોને માટે સલામત સ્થળ શોધવાની સરકારી ભાંજગડની વાતો સામે આવતી રહે છે. આ આફત માનવ સર્જિત છે અને હજી તો તેની શરૂઆત થઇ છે. પહેલાં આપણે જંગલોનો દાટ વાળ્યો, હજી પણ એ તો ચાલી જ રહ્યું છે અને એને આપણે રૂપકડું નામ આપ્યું વિકાસ –  “ડેવલપમેન્ટ” – આ કારણે માણસો અને વન્ય સૃષ્ટિ વચ્ચે સંઘર્ષના બનાવો થતા રહે છે. આપણને – માણસ જાતને, બસ, બધું જોઇએ છે, માલિકી કરી લેવી છે જે મળે ત્યાં, જગ્યા જોઇએ છે. મહાનગર મુંબઈ પણ દર વર્ષે 2 મિલીમીટર જેટલું દરિયામાં ડૂબી રહ્યું છે એવું સંશોધન થઇ ચૂક્યું છે. 2050 સુધીમાં મુંબઇ આખે આખું ડૂબી જાય તેવી વકી છે, ગ્લોબલ વૉર્મિંગના પરિણામે વિશ્વના જે 12 શહેરો ડૂબી જાય તેવી શક્યતા છે, તેમાં દક્ષિણ મુંબઈના હિસ્સાઓ પણ છે જે અરબી સમુદ્રમાં ગરકાવ થઇ જશે. વિકાસને નામે આપણે જંગલો, દરિયા, નદીઓ અને પહાડો પર વર્ચસ્વ જમાવ્યું, એમ માનીને કે આપણને વળી કોણ સવાલ કરશે? આજે માણસો જ હેરાન થઇ રહ્યા છે પણ જે માણસો થકી જ થઇ છે એ ભૂલ પર નજર કરી તેને સ્વીકારીને ધરમૂળથી પરિવર્તન કરવાની દિશામાં હજી કોઇ નક્કર પગલાં લેવાતાં હોય એવું લાગતું નથી. પ્રકૃતિ હવે જવાબ માગે છે – ક્યાંક દરિયો પુરાય છે તો ક્યાંક પહાડો ખોદાય છે તો ક્યાંક જંગલોનું નિકંદન નિકળે છે અને પોતે સચવાય એ માટે પ્રકૃતિ કોઇ શરતો મૂકી નથી શકતી અને લાલસાની દોટમાં હાંફતા માણસને પગ તળેથી ખસી રહેલી ધરતીની પરવા નથી.

જોશીમઠમાં જે હાલ થયા એની પાછળ અવગણના એક મોટું કારણ છે. અવગણના આ હકીકતોની – હિમાલય વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા છે એટલે તેના ઢાળમાં સ્થિરતા ન હોય, તે ઢીલી માટી પર ઘડાયેલા હોય એટલે ત્યાં ભેખડો ધસી પડવાની ઘટના સામાન્ય છે. વળી આ પ્રદેશને જ્યાં ધરતીકંપ વારંવાર થઇ શકે તેવો સંવેદનશીલ જાહેર કરાયો છે. આ તો નજર સામેની હકીકતો છે પણ પછી પર્યાવરણમાં આવતા નકારાત્મક પરિવર્તનો જેવા કે કમોસમી વરસાદ વગેરે પણ અણધારી બનતી ઘટનાઓ છે. મૂળે આ એવો પ્રદેશ છે જે બહુ સંવેદનશીલ છે – અને આ વાત જગજાહેર છે પણ છતાં પણ વિકાસને નામે અંધાધૂંધ બાંધકામ આપણને ચાલે છે. હા આ પ્રદેશમાં પણ રસ્તા, ગટર વ્યવસ્થા, રહેઠાણો હોવા જોઇએ પણ તેમાં પ્લાનિંગને નામે બિનશરતી કામ થાય છે તે શા માટે થવું જોઇએ? શું બંધ બાંધવામાં બાહોશ એન્જિનિયર્સને એ દેખાશે જ નહીં કે 520 મેગાવોટ તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટ પણ જોશીમઠની આ હાલતનું કારણ છે? 2021થી આજ સુધી આ જ વિસ્તારમાં ફ્લેશ ફ્લડ્ઝ આવ્યાં, ભેખડો ધસી પડવાના બનાવો થયા જેને કારણે ઋષિગંગા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ ધોવાઇ ગયો અને 200 જણનાં જીવ પણ ગયાં. જેટલી પણ કુદરતી આફતો આવે છે તેમાં સીધો સંદેશ છે કે પ્રકૃતિનો – દરિયા, પહાડો, નદીઓ, જંગલો – તમામનો આદર કરતાં શીખો. તમે બોગદાં બાંધો, રોડ બાંધો અને ઘર ખડા કરી દો તે પહેલાં પ્રકૃતિની ક્ષમતા, તેની સગવડ, તેને થનારા નુકસાનની પણ ગણતરી કરો. આ વિસ્તારની નદીઓમાં એટલી તાકત છે કે તે એનર્જી પેદા કરી શકે, એની ના જ નથી પણ આપણે પેલી કહેવત પણ તો યાદ રાખવી પડે, “મીઠાં ઝાડનાં મૂળિયાં ન કપાય”, કેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સનો બોજ આ નદી પર નાખવો જોઇએ – આ પ્રોજેક્ટ ખડા કરવાથી થતું નુકસાન ઓછામાં ઓછું હોય એવી રીતે પ્લાનિંગ થઇ શકશે ખરું? કોઇપણ પ્રદેશની સંવેદનશીલતા પ્રત્યે વિકાસ લક્ષી નેતૃત્વ અને કામ કરનારા એન્જિનિયરિંગ કોર્પોરેશન ક્યાં સુધી આંખ આડા કાન કરશે? વસાહતો અને શહેરો ધસી જવા માંડે, ડૂબી જવા માંડે ત્યાં સુધી?

સરકારી સમિતિમાં ગંગા અને એના પ્રવાહોને કાબૂમાં કરવાની વાતો થઇ હોવાનું તે સમિતિનો હિસ્સો રહી ચૂકેલા પર્યાવરણવાદીઓએ નોંધ્યું છે. નદીના વહેણ પ્રમાણે પ્રોજેક્ટ ન બને પણ પ્રોજેક્ટ માટે નદીનું વહેણ બદલી નાખવાની વાત થાય – આ કેટલું તાર્કિક છે? ક્લીન એનર્જીની લ્હાયમાં આપણે કુદરતી મર્યાદાઓ ભૂલી જઇને તે પ્રદેશની બાયોડાઇવર્સિટીને જોખમમાં મૂકી રહ્યા છીએ. ઉત્તરાખંડે 2021 અને 2022માં તારાજી જોઇ છે, હજી કેટલી એવી દુર્ઘટનાઓ આપણે થવા દેવી જોઇએ? વળી આપણે આ નુકસાન હમણાં જ વેઠ્યાં છે એમ નથી, 2013માં કેદારનાથની ઘટનામાં ગ્લેશિયર ડિઝાસ્ટરમાં ૧૦૦૦એ જીવ ગુમાવ્યો હતો.

આ તો જોશીમઠની વાત છે પણ મુંબઈ પર થયેલું સંશોધન પણ એક નકારી ન શકાય હકીકત છે તો ઝારખંડના ઝારિયામાં કોલસાની ખાણોમાં જે રીતે આડેધડ કામ થાય છે તેના કારણે પણ જંગલનો સફાયો, ભૂગર્ભ જળની ગુણવત્તા પર અસર – હવા અને જમીનના પ્રદૂષણના પ્રશ્નો, મહાકાય ઢગલાઓને કારણે જમીનનું ધોવાણ, કોલસાની રાખના થર, કોલસાના ઢગલા જેવી સમસ્યાઓ થાય છે જે માણસજાત અને પ્રાણી જીવનની સુરક્ષા ખોરવી રહી છે. જ્યાં અધધધ કોલસો છે એવા ઝારખંડમાં સ્કૂલ કે હૉસ્પિટલમાં વીજળીના વાંધા છે. આપણો આધાર કોલસાથી મળતી ઊર્જા પર જ છે અને રિન્યુએબલ એનર્જીની વાતો કરનારા કોલસાની કામગીરીને બંધ કરી દેવા માટે હજી માનસિક રીતે તૈયાર નથી. બીજી તરફ દર વર્ષે પૂરમાં હેરાન થનારું આસામ છે જ્યાં સાથે પ્રાણી અને માનવ જાત વચ્ચેનો સંઘર્ષ પણ સપાટી પર તરી આવે છે.

રિન્યુએબલ એનર્જીની વાત થાય ત્યારે એ પણ ગણતરીમાં લેવું પડે કે જ્યારથી ભા.જ.પા.ની સત્તા આવી છે ત્યારથી સમાજવાદી રાષ્ટ્ર ગણાતા આપણા દેશમાં રિન્યુએબલ એનર્જીમાં રોકાણો બમણાં થયાં છે પણ આ બધાં રોકાણ ખાનગી કંપનીઓએ કરેલાં છે. રિન્યુએબલ એનર્જીનું ખાનગીકરણ જે રીતે થઇ રહ્યું છે એ જોતાં આમ જનતાના ગજવા પર એનો ઝટકો કેવો હશે એની તો કલ્પના જ કરવી રહી.

બાય ધી વેઃ

વિકાસની વાતો પર્યાવરણને ગણતરીમાં લઇને કરવાની આપણી અણઆવડત વિનાશ નોતરશે. અત્યારે પણ એ થઇ જ રહ્યું છે પણ આપણામાં એ સ્વીકારવાની દાનત કે હિંમત બન્ને ય નથી. આપણા દેશમાં ઊર્જાની જે રીતે માગ છે એ જોતાં આપણે એક રાષ્ટ્ર તરીકે ક્લાઇમેટ ચેન્જની દિશામાં ઝડપથી ચાલવું પડશે અને નક્કર પગલાં લેવાં પડશે. વૈશ્વિક સ્તરે ભારત ગ્લોબલ વોર્મિંગમાં ભાગ ભજવતા હોય તેવા 7 ટકા તત્ત્વો ઓકે છે અને વિકાસની સાથે આ આંકડો પણ વિકસશે. આવનારી પેઢીઓનું અને આ પૃથ્વીનું ભવિષ્ય સુધ્ધા વૈશ્વિક નેતૃત્વના અભિગમ પર આધારિત છે. આપણે અશ્મિગત ઇંધણ પરનો આધાર ઘટાડીશું તો કદાચ કંઈ મેળ પડે, બાકી જોશીમઠ વાળી જુદાં જુદાં ભૌગિલક સ્થળો પર સમયાંતરે થતી રહેશે અને આપણે પર્યાવરણની હાયપીટ કર્યા કરીશું પણ કોઇ નક્કર રસ્તો નહીં મળે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 જાન્યુઆરી 2023

Loading

બંધારણનાં મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|22 January 2023

રમેશ ઓઝા

આ શ્રેણીમાં મેં લખ્યું હતું કે ૧૯૭૩માં કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બહુમતી ચુકાદો આપ્યો કે બંધારણનાં મૂળભૂત માળખામાં (બેઝીક સ્ટ્રક્ચરમાં) ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી, ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમ જ ભારતીય જનસંઘના નેતાઓ એ ચુકાદો માથે લઈને નાચ્યા હતા. ન્યાયમૂર્તિ ખન્નાના ઓવારણા લેવામાં તેમણે કાંઈ બાકી નહોતું રાખ્યું. આનું એક પ્રમાણ લાલકૃષ્ણ અડવાણીનું જ આપું. ગયા અઠવાડિયે અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ અડવાણીની આત્મકથામાંથી એક હિસ્સો પ્રકાશિત કર્યો છે જેમાં અડવાણી લખે છે કે જે દિવસે બંધારણનાં મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો અધિકાર સંસદ અને સંસદમાં બેસનારા રાજકારણીઓને આપવામાં આવશે એ દિવસે ભારતમાં લોકતંત્રનો અંત આવશે અને સરમુખત્યારશાહીના પાગરણ થશે. બી.જે.પી.ના ધનગરોએ તેમના નેતાની આત્મકથા વાંચી નથી લાગતી.

આજે અડવાણી ચૂપ છે. એક શબ્દ બોલતા નથી. આ પણ એક ખેલ છે. પોતાને જણાતી પ્રતિકૂળતાઓ વચ્ચે પોતાને જોઈએ એવી અનુકૂળતા પેદા કરવા માટે પ્રતિકૂળતાની તરફેણમાં અને અનુકૂળતાઓના વિરોધમાં બોલવાનું કે જેથી આપણી અનુકૂળતાઓનો વિરોધ કરનારાઓ આપણને બાજુમાં બેસાડે. જયપ્રકાશ નારાયણ અને કેટલાક સમાજવાદીઓ આ રીતે જ ભરમાયા હતા. તેમને એમ લાગ્યું હતું કે આ ભાઈઓ આપણી ભાષા બોલે છે એટલે આપણી સાથે છે અને તેમને પણ આપણી કલ્પનાનું જ રાષ્ટ્ર જોઈએ છે. જો ખરેખર લાલકૃષ્ણ અડવાણીને જયપ્રકાશ નારાયણ અને બીજાની કલ્પનાનું ભારત જોઈતું હોત તો તેમણે ધનગરોનો વિરોધ કર્યો હોત. એને વફાદાર રહ્યા હોત જે ભાષા તેઓ બે દાયકા પહેલાં બોલતા હતા. અત્યારે લોકશાહીપ્રેમ ક્યાં જતો રહ્યો?

આ આત્મકથા ૨૦૦૬માં પ્રકાશિત થઈ હતી અને ૨૦૦૪માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. એ પહેલાં શું થયું હતું ખબર છે? એ પહેલાં ૨૨મી ફેબ્રુઆરી ૨૦૦૦ના રોજ વાજપેયી સરકારે દેશના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ એમ.એન. વેંકટચેલૈયાના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરી હતી જેને ભારતનાં બંધારણની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું. એ કમિશનનું નામ હતું; ધ નેશનલ કમિશન ટુ રીવ્યુ ધ વર્કિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યૂશન.’ ઈરાદો બંધારણમાં ફાંકુ પાડવાનો હતો. વળી ન્યાયમૂર્તિ વેંકટચેલૈયા કોઈ મેધાવી પ્રતિભા ધરાવનારા કાયદાવિદ હોવાની કોઈ પ્રતિષ્ઠા નથી ધરાવતા. વાજપેયી-અડવાણીને એમ કે એક મીડિયોકર ન્યાયમૂર્તિનું બનેલું કમિશન કહેશે કે બંધારણ ખામીગ્રસ્ત છે અને તેમાં પરિવર્તનો કરવા પડે એમ છે. આપણને બંધારણમાં ફેરફાર કરવા માટેનું કારણ મળી રહેશે. તેમનાં દુર્ભાગ્યે કમિશને કહ્યું કે ભારતનું બંધારણ કોઈ ગંભીર ખામીઓ ધરાવતું નથી અને તેનાં બેઝીક સ્ટ્રક્ચરને તો હાથ પણ નહીં લગાડવો જોઈએ. બંધારણમાં ફાંકુ પાડવાનો તેમનો ઈરાદો નિષ્ફળ નીવડ્યો. એ પછી ચૂંટણી યોજાઈ, બી.જે.પી.નો પરાજય થયો, લાલકૃષ્ણ અડવાણીને લાગ્યું કે મંઝિલ હજુ દૂર છે એટલે અનુકૂળતા પેદા કરવા સારુ અનુકૂળતા સામેની પ્રતિકૂળતાની ભાષા બોલવી પડશે. માટે તેમણે તેમની આત્મકથામાં બેઝીક સ્ટ્રક્ચરનો મહિમા કર્યો હતો.

જો એમ ન હોત તો તેમણે તેમના પક્ષના આજના શાસકોને ન્યાયમૂર્તિ વેંકટચેલૈયા કમિશનના અભિપ્રાયની યાદ અપાવી હોત જેની રચના ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની સરકારે પોતે કરી હતી. પણ એક શબ્દ નથી બોલતા. હકીકતમાં કમિશનની રચના જ બંધારણમાં ફાંકુ પાડવા માટે કરી હતી. તેમની કારી ફાવી નહીં એ જુદી વાત છે. આ બધા એક જ વેલાના તુંબડા છે, જે હિંદુરાષ્ટ્ર માટેની અનુકૂળતા પેદા કરવા માટે અલગ અલગ સમયે, અલગ અલગ ચહેરા ધારણ કરીને અલગ અલગ ભાષા બોલે છે. આજે અટલ બિહારી વાજપેયી હોત તો તેઓ પણ ચૂપ રહ્યા હોત. તેમના ગુરુ સાવરકર કહી ગયા છે કે સત્યનિષ્ઠા અને એકનિષ્ઠા સદ્દગુણ નથી, પણ સદ્દગુણવિકૃતિ છે. હિંદુઓએ દુર્ગુણોની ઉપાસના કરીને એક નવી દુર્ગુણસંસ્કૃતિ વિકસાવવી પડશે.

તો વાત એમ છે કે અત્યારે તેમને હિંદુરાષ્ટ્રની નજીક જવાની અનુકૂળતા નજરે પડી રહી છે, પણ એમાં આડખીલીરૂપ છે બંધારણના બેઝીક સ્ટ્રક્ચરને હાથ નહીં લગાડવાનો સર્વોચ્ચ અદાલતનો ૧૯૭૩નો કેશવાનંદ ભારતીવાળો ચુકાદો. એ આડખીલી દૂર કરવી હોય તો સર્વોચ્ચ અદાલતમાં એવા જજોની નિયુક્તિ કરવી જોઈએ જે બહુમતીથી એ ચુકાદો ઉલટાવી આપે. બીજા શબ્દોમાં કહીએ તો અનુકૂળ જજો. ગોદી જજો. બીકાઉ જજો. અને આજે એવા જજો એક માગો તો દસ મળી શકે એમ છે. સવાલ છે તેમને, ગોદીજજોને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચાડવા કેવી રીતે? અને બંધારણને વફાદાર, બુદ્ધિમાન અને ખુદ્દાર જજોને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતા રોકવા કઈ રીતે? જે લોકો એક સમયે ન્યાયમૂર્તિ ખન્નાને લઈને નાચતા હતા એ લોકો અત્યારે ન્યાયમૂર્તિ ખન્નાને ન્યાયતંત્રની બહાર રાખવાની પેરવી કરી રહ્યા છે.

જો ઇન્દિરા ગાંધી ત્યારે બંધારણ ફગાવીને વિધિવત્ સરમુખત્યાર બન્યાં હોત તો એ સેક્યુલર સરમુખત્યારશાહી હોત અને તેમાં હિન્દુત્વની ખો નીકળી ગઈ હોત એટલે સંઘપરિવાર લોકશાહીની ચિંતા કરતો હતો. તેમને જાણ હતી કે લોકશાહી માર્ગે જ પૂરી બહુમતી સાથે દિલ્હી સુધી પહોંચી શકાશે, જો સરમુખત્યારશાહી આવી તો જિંદગી જેલમાં વિતાવવી પડશે. પાકિસ્તાનમાં, ઈરાકમાં, લિબિયામાં, ઈરાનમાં અને બીજા કેટલાક મુસ્લિમ દેશોમાં આવું જ બન્યું હતું. ત્યાંનાં સરમુખત્યારો સેક્યુલર સરમુખત્યારો હતા. (પાકિસ્તાનના જનરલ ઝિયા આમાં એક માત્ર અપવાદ છે) ખોમેનીઓ અને મૌલવીઓ જેલમાં સડતા હતા. હિન્દુત્વવાદીઓની જેમ એ લોકો પણ ત્યારે રાષ્ટ્રવાદીની સાથે સાથે પાક્કા લોકશાહીવાદી હતા. એ પછી સત્તા પલટો થયો અને ત્યાં લોકશાહી માર્ગે ઇસ્લામના નામે સરમુખત્યારશાહી આવી. લોકશાહી માટેની તેમની નિસ્બત ખપ પૂરતી હતી. એ પણ કેવી વિડંબના! જગત આખામાં મોટા ભાગે સરમુખત્યારો સેક્યુલર, બેવડાં ધોરણ નહીં અપનાવનારા, નિર્દયી હોવા છતાં પ્રામાણિક હતા અને તેની સામે બહુમતી પ્રજાના હિતમાં લોકશાહીનો જાપ જપનારાઓ નથી સેક્યુલર અને નથી લોકશાહી માટે સાચી નિસ્બત ધરાવનારા. માટે અમેરિકા અને યુરોપના વિકસિત દેશો મુસ્લિમ દેશોમાં સરમુખત્યારોને પ્રોત્સાહન આપતા હતા અને પ્રજાના કહેવાતા નેતાઓને ઘાસ નહોતા નાખતા.

અડવાણી અત્યારે ચૂપ છે અને ઘનગરો સક્રિય છે એનું કારણ સમજાઈ ગયું હશે.

હવે મોકો મળ્યો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 જાન્યુઆરી 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—180

દીપક મહેતા|Opinion - Opinion|21 January 2023

મુંબઈ યુનિવર્સિટી કરતાં એલ્ફિન્સ્ટન કોલેજ વધુ જૂની

મૌખિક પરીક્ષા પહેલાં સૂઈ ગયેલા ગોવર્ધનરામ ત્રિપાઠીને કોણે જગાડ્યા? 

જસ્ટિસ સુજાતા મનોહર, અભિનેત્રી સ્મિતા પાટિલ, લેખિકા ધીરુબહેન પટેલ, અભિનેત્રી સ્વરૂપ સંપટ, નાગરિક હકોનાં હિમાયતી તિસ્તા સેતલવડ, કળામર્મજ્ઞ સરયુ દોશી – જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કરતી આ મહિલાઓ વચ્ચે એક બાબત સમાન છે. તે કઈ?

બાળગંગાધર ટિળક, પ્રેમચંદ રાયચંદ, કવિ નર્મદ, દાદાભાઈ નવરોજી, મહાદેવભાઈ દેસાઈ, જમશેદજી તાતા, અભિનેતા સલમાન ખાન, ક્રિકેટર અજિત વાડેકર, પાકિસ્તાનના પહેલા પ્રમુખ ઇસ્કન્દર મિર્ઝા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, લેખક સુરેશ જોશી, ગાયક કુણાલ ગાંજાવાલા – આ બધા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારાઓ એક યા બીજે વખતે એક જ સંસ્થા સાથે સંકળાયેલા હતા. એ સંસ્થા તે કઈ?

જવાબ: આજના લેખને અંતે.

*

આપણે ત્યાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પછી જ બોમ્બે પ્રેસિડન્સીમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ. પણ હકીકતમાં આ યુનિવર્સિટીની સ્થાપના પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી. ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નરને પદેથી માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા. તેમની અત્યંત વિશિષ્ટ કામગીરીની યાદ કાયમ રાખવા માટે શું કરવું જોઈએ એ અંગે વિચારણા કરવા નાગરિકોની એક જાહેર સભા ૧૮૨૭ના ઓગસ્ટની ૨૮મી તારીખે મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીની લાઈબ્રેરીમાં મળી. સભાપતિનું સ્થાન માધવદાસ રણછોડદાસે સંભાળ્યું હતું. એલ્ફિન્સ્ટનના નિકટના સાથી કેપ્ટન જર્વિસે કહ્યું કે ગવર્નર એલ્ફિન્સ્ટન પણ રાજી થાય એવું કામ આપણે કરવું જોઈએ. અને શિક્ષણના ક્ષેત્ર કરતાં વધુ સારું બીજું કયું ક્ષેત્ર આ માટે હોઈ શકે? એટલે ‘એલ્ફિન્સ્ટન પ્રોફેસરશીપ’ શરૂ કરવી એ ઉત્તમ રસ્તો છે એવું ઠરાવવામાં આવ્યું. તથા તે અંગે મુંબઈની સરકાર અને ગ્રેટ બ્રિટનમાંની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિનંતી કરવી એમ પણ નક્કી થયું. આ કામ પાર પાડવા માટે એક સમિતિ રચવામાં આવી જેમાં આટલાનો સમાવેશ થતો હતો : જમશેદજી જીજીભાઈ, ફરામજી કાવસજી બનાજી, બહમનજી હોરમજજી વાડિયા, ધાકજી દાદાજી, દેવીદાસ હરજીવનદાસ, જગન્નાથ શંકરશેઠ, અને મહંમદઅલી રોગે.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનનું બાવલું – ભાઉ દાજી લાડ  મ્યુઝિયમ

આ અંગે ‘દેશીઓ’ પાસેથી ફાળો ઉઘરાવવાનું પણ નક્કી થયું. કુલ રૂ. ૨,૨૬,૧૭૨નો ફાળો ભેગો થયો. (૧૮૨૭ના સવા બે લાખ એટલે આજના કંઈ નહિ તો પચીસ કરોડ.) અંગ્રેજી ભાષા-સાહિત્ય ઉપરાંત યરપનાં કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયો શીખવી શકે એવા એક કે વધુ પ્રોફેસરોની પસંદગી એલ્ફિન્સ્ટન પોતે કરે એવી વિનંતી પણ સરકારને કરવામાં આવી. અલબત્ત, સરકાર સાથેની લખાપટ્ટીમાં ઘણો વખત ગયો. છેવટે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ શકી. પહેલા બે પ્રોફેસરો આર્થર બેડફર્ડ ઓર્લેબાર અને જોન હાર્કનેસ મુંબઈ આવ્યા પછી ૧૮૩૬માં પહેલવહેલા વર્ગો શરૂ થયા. અલબત્ત, બીજી કોઈ જગ્યાની સગવડ થઈ ન હોવાથી એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત મુંબઈના ટાઉન હોલના મકાનમાં થઈ હતી. યુનિવર્સિટીની ઓફિસ તો એ મકાનમાં હતી જ, પણ વર્ગો પણ ત્યાં જ લેવાતા અને વાર્ષિક પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાતી. શરૂઆતમાં આ કોલેજ અગાઉની એલ્ફિન્સ્ટન સ્કૂલ સાથે જોડાયેલી હતી. ૧૮૪૫માં કોલેજ અલગ થઈ તે પછી જોન હાર્કનેસ તેના પહેલા પ્રિન્સિપાલ બન્યા. આજે જેનું સત્તાવાર નામ જમનાદાસ મહેતા રોડ છે તે રસ્તાનું અસલ નામ હાર્કનેસ રોડ હતું કારણ એ રોડ પરના એક બંગલામાં તેઓ રહેતા હતા.

એલ્ફિન્સ્ટન કોલેજનું જૂનું મકાન, ભાયખળા

૧૮૪૫માં ઉચ્ચ શિક્ષણની દિશામાં બોમ્બે પ્રેસિડન્સીએ બીજું એક મહત્ત્વનું પગલું ભર્યું. એ વર્ષે આ ઈલાકાની પહેલવહેલી મેડિકલ કોલેજ, ગ્રાન્ટ મેડિકલ કોલેજની શરૂઆત મુંબઈમાં થઈ. તેની સાથે જોડાયેલી સર. જે.જે. હોસ્પિટલ પણ સાથોસાથ શરૂ થઈ. શરૂઆતમાં એલ્ફિન્સ્ટન કોલેજ અને ગ્રાન્ટ મેડિકલ કોલેજ, બંને પોતે જ વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી. ૧૮૬૦માં એ બંને કોલેજ યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાઈ ગઈ અને ત્યારથી ડિગ્રી આપવાનું કામ યુનિવર્સિટી કરતી થઈ.

૧૮૫૭માં દેશમાં પહેલી ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાંની એક યુનિવર્સિટી ઓફ બોમ્બે ૧૮૫૭ના જુલાઈની ૧૮મી તારીખે અસ્તિત્ત્વમાં આવી. તે વખતે તેમાં માત્ર બે જ વિદ્યા શાખા હતી – આર્ટસ અને મેડસિન. પણ શરૂઆતમાં શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આર્ટ્સના વિદ્યાર્થીઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં અને મેડસિનના વિદ્યાર્થીઓ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા. ૧૮૫૯માં યુનિવર્સિટીએ પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હોલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ તેમાંથી માત્ર ૨૨ પાસ થયા હતા. તેમાંના બે ગુજરાતીભાષી હતા : ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. એ વખતે મેટ્રિકની પરીક્ષામાં ગુજરાતી-મરાઠી વગેરે ભાષાઓના ત્રણ-ત્રણ પેપર રહેતા : એક વ્યાકરણનો, બીજો અંગ્રેજીમાંથી અનુવાદનો, અને ત્રીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો.

શરૂઆતનાં ઘણાં વરસ દરેક વિષયમાં લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. એ વખતના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધનો ખ્યાલ આપતો એક કિસ્સો : ૧૮૭૧માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે સંસ્કૃતના પરીક્ષક હતા પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર. મૌખિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તેમની અટકના alphabetical orderમાં બોલાવતા. એટલે ગોવર્ધનરામનો વારો લગભગ છેલ્લો. આગલે દિવસે આખી રાત તૈયારી કરવા જાગેલા. એટલે વારો આવે તેની રાહ જોતાં જોતાં બાંકડા પર જ સૂઈ ગયા. ભાંડારકરે બે વખત ‘ત્રિપાઠી’ના નામની બૂમ પાડી, પણ કોઈ આવ્યું નહિ. એટલે પોતાની કેબિનમાંથી બહાર જઈ જોયું તો એક વિદ્યાર્થી સૂતો હતો. ઢંઢોળીને પૂછ્યું : ‘તમે જ મિસ્ટર ત્રિપાઠી?’ ‘હા જી સાહેબ.’ ‘ચાલો મૌખિક પરીક્ષા માટે.’

મેટ્રિકની પહેલી પરીક્ષામાં ફક્ત બે ગુજરાતી છોકરા પાસ

યુનિવર્સિટી ઓફ બોમ્બેએ ૧૮૬૨માં પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી તેમાં તો માત્ર ચાર છોકરા જ પાસ થયા હતા, જેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. લાઈસેનસિયેટ ઇન મેડસિનની ડિગ્રી મેળવનારાઓમાં ત્રણ પારસી હતા અને એક હતા મરાઠીભાષી. ૧૮૬૩ની બી.એ.ની બીજી પરીક્ષામાં માત્ર ત્રણ છોકરા ગ્રેજ્યુએટ થયા હતા, અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના કર્તા. બી.એ. પછી એલએલ.બી. થઈ વ્યવસાયે વકીલ બન્યા, પણ વૃત્તિએ સમાજ સુધારાના પુરસ્કર્તા રહ્યા.

ગ્રાન્ટ મેડિકલ કોલેજનું જૂનું મકાન

પરીક્ષા શરૂ થાય તે પહેલાં પેપર ફૂટી ન જાય તે માટે આજે યુનિવર્સિટીઓ જાતજાતની તરકીબ અજમાવે છે, અને છતાં ઘણી વાર પેપર ફૂટી જાય છે. જ્યારે એ જમાનામાં દરેક પ્રશ્નપત્રને મથાળે જ તેના પેપર સેટર્સનાં નામ છાપવામાં આવતાં! લેખિત પરીક્ષા પછીની મૌખિક પરીક્ષા પણ એ જ પેપર સેટર્સ લેતા, છતાં તેમનાં નામ આ રીતે જાહેર કરવામાં વાંધો જણાતો નહોતો. તેવી જ રીતે ઉત્તરપત્રમાં દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ પોતાનું નામ અને નંબર લખવાનાં રહેતાં. એટલે કે એ વખતે યુનિવર્સિટીને પરીક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ પર પણ પૂરેપૂરો વિશ્વાસ હતો.

એલ્ફિન્સ્ટન કોલેજને તેનું પોતાનું મકાન મળ્યું તે તો છેક ૧૮૭૧માં, સર કાવસજી જહાંગીરની સખાવતથી. એ મકાન તે આજનું કોટ વિસ્તારમાં આવેલું મકાન નહિ. અસલ મકાન ભાયખળામાં વિક્ટોરિયા ગાર્ડનની સામે હતું. આજે એ મકાનમાં ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર રેલવે હોસ્પિટલ છે. ત્યાર બાદ કોલેજને હાલના કાળા ઘોડા સામેના નવા મકાનમાં ખસેડાઈ હતી. આ મકાન ૧૮૮૮માં બંધાયું હતું. આજે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ બિલ્ડિંગનો દરજ્જો ધરાવે છે. આપણા પ્રખ્યાત ભાષાશાસ્ત્રી, કવિ, વિવેચક નરસિંહરાવ દિવેટિયા આ કોલેજમાં વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા.

૧૮૬૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે બીજી એક કોલેજ – વિલ્સન કોલેજ – યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાઈ. છેક ૧૮૩૨માં સ્કોટિશ પાદરી જોન વિલ્સને ગિરગામમાં આમ્બ્રોલી ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરી હતી. પછીથી તેનું નામ વિલ્સન સ્કૂલ રાખવામાં આવ્યું. ૧૮૩૬માં તેમાં ‘કોલેજ સેક્શન’ ઉમેરવામાં આવ્યું. સ્કૂલથી અલગ થયા પછી તે વિલ્સન કોલેજ તરીકે ઓળખાયું. તે પછી ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે શરૂ થયેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજ યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાઈ. પહેલે વરસે તેમાં ફક્ત બે જ વિદ્યાર્થીઓ ભણવા માટે દાખલ થયા હતા.

માત્ર મુંબઈ શહેર માટે જ નહીં, આખા બોમ્બે પ્રેસિડન્સી માટે યુનિવર્સિટી અને તેની કોલેજો – ખાસ કરીને એલ્ફિન્સ્ટન કોલેજ – ઉચ્ચ કેળવણીનું કેન્દ્ર બની રહી. નવું જ્ઞાન, નવા વિચારો, નવા આદર્શો, ફેલાવવામાં તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. ગુજરાતી સાહિત્યમાં જે સમયગાળાને પંડિત યુગ તરીકે ઓળખવાનો ચાલ છે તે સમયના ઘણાખરા લેખકો, પત્રકારો, સમાજ સુધારાના અગ્રણીઓ, યુનિવર્સિટી ઓફ બોમ્બેના, અને એલ્ફિન્સ્ટન કોલેજના જ વિદ્યાર્થીઓ હતા. આજના ગુજરાત રાજ્યના વિસ્તારમાંની પહેલવહેલી કોલેજ છેક ૧૮૭૯માં અમદાવાદમાં શરૂ થઈ, ગુજરાત કોલેજ. ત્યાં સુધી તો આખા ગુજરાતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ મુંબઈ જ આવતા. એટલે આજના ગુજરાત રાજ્યના શૈક્ષણિક, સાંસ્કૃતિક, સાહિત્યિક વિકાસમાં મુંબઈનો ફાળો અનન્ય છે. આજના ગુજરાતના શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યની અગ્રણી સંસ્થાઓ કે વ્યક્તિઓ આ વાત સ્વીકારે કે ન સ્વીકારે, તેથી કાંઈ હકીકત બદલાઈ જતી નથી.

યુનિવર્સિટી ઓફ બોમ્બે અને તેની સાથે સંકળાયેલી કોલેજોએ બીજું એક મહત્ત્વનું કામ કર્યું તે સામાજિક સીડીનાં પગથિયાં ચડવા માટે એક ભરોસાપાત્ર સાધનની સગવડ ઊભી કરી આપી. અને પહેલાં ગ્રેટ બ્રિટનનાં અને પછી આખી દુનિયાનાં જ્ઞાન-વિજ્ઞાન, સાહિત્ય-સંસ્કૃતિ, શોધન-સંશોધન સાથે ઘરોબો બાંધી આપ્યો. આ નવી આબોહવામાં શ્વાસ લેનાર કવિ નર્મદે કદાચ એટલે જ ગાયું : ‘દીપે અરુણું પરભાત.’

*

આ લેખની શરૂઆતમાં પૂછેલા સવાલનો જવાબ : જુદાં જુદાં ક્ષેત્રની આ બધી જ અગ્રણી વ્યક્તિઓ વચ્ચે એક સમાન બાબત એ હતી કે એક યા બીજે વખતે તે એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણી હતી, અને એટલે યુનિવર્સિટી ઓફ બોમ્બેની સંતાન હતી. 

e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 જાન્યુઆરી 2023

Loading

...102030...1,2221,2231,2241,225...1,2301,2401,250...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved