Opinion Magazine
Number of visits: 9566892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાવ વધવા માટે ને વજન ઘટવા માટે હોય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 February 2023

રવીન્દ્ર પારેખ

સાધારણ રીતે માણસ તરફનો ભાવ વધવો જોઈએ તેને બદલે ઘટે છે ને ચીજવસ્તુઓના ભાવ ઘટવા જોઈએ, તે વધે છે. બીજી તરફ, માણસનું વજન ઘટવું જોઈએ તે વધે છે ને ચીજવસ્તુઓનું ભાવને હિસાબે, વજન વધવું જોઈએ, તે ઘટે છે. પહેલાં ભારે ગુણ ઊંચકવા માટે માણસનું વજન ઓછું પડતું, હવે પેકિંગનું વજન ઓછું પડે છે ને માણસ ન ઊંચકાય એવો થતો આવે છે. કોઈ માણસ વજન કાંટે ઊભો રહે તો કાંટો જ બોલી ઊઠે છે – ભાઈ, એક સાથે એક જ આવો ! મોંઘવારીએ એટલું કર્યું છે કે માણસ સસ્તો થઈ ગયો છે ને તે પાણીને ભાવે મળે છે ને પાણી દૂધને ભાવે ખપે છે. એક જમાનામાં દૂધ સંપૂર્ણ ખોરાક ગણાતું, તે હજી સંપૂર્ણ ખોરાક છે જ, પણ ડેરીઓ માટે ! બે દિવસ પર જ અમુલ ડેરીએ દૂધનો ભાવ રાતોરાત જ લિટરે ત્રણ રૂપિયા વધારી દીધો છે. એણે ગયા ઓગસ્ટ, ઓક્ટોબરમાં પણ ભાવ વધારેલો જ, પણ 2023નાં વર્ષમાં મહિનો થઈ જવા છતાં ભાવ વધારવાનું અમુલને યાદ જ ન આવ્યું, તે કદાચ પોતાનું દૂધ પીવાની અસર નહીં થતી હોય એટલે હશે કે બીજું દૂધ પીધું હશે તેથી, પણ એકાએક યાદ આવ્યું, એટલે ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ભાવ વધારી દીધા ને બીજું દૂધ પીવાનું ચાલુ રહેશે તો ભાવવધારો નિયમિતપણે જળવાઈ રહે એમ બને. અમુલ ગુજરાતની ડેરી છે એવું યાદ આવ્યું હશે કે કેમ, પણ તેણે આ ભાવવધારો ગુજરાતમાં લાગુ ન કરીને ગુજરાતની દયા ખાધી છે એટલે અહીંનાં બાળકોને તો જૂના ભાવે તંદુરસ્તી જળવાશે, પણ અન્ય રાજ્યોનાં બાળકોને એ લાભ વધેલા ભાવે જ જાળવવાની છૂટ છે. એમ બધાંની દયા ખાતાં પાર કયાં આવે? આખી દુનિયાની વસ્તીનો રેકોર્ડ ભલે ભારત તોડે, પણ અમુલ ભાવવધારાનો રેકોર્ડ તોડે તો ય ‘આણંદ’ થાય. મહિને, બે મહિને ભાવ વધારતા જઈને ગિનેસ બુકમાં નામ નોંધાવવાનું સહેલું નથી. એમાં વળી અમુલ તો પ્રમાણિક દૂધ ડેરી છે. દૂધાળું ઢોરને પોતાનું દૂધ માફક નહીં આવતું હોય કે અન્ય કોઈ કારણે, દૂધ, ડેરીમાં ભરાય છે, પણ દાણના ભાવ વધ્યા, ઘાસ મોંઘું થયું, ઉત્પાદન ખર્ચ વધ્યું … જેવાં અગાઉ આપેલાં તે જ કારણો ભાવ વધારવા માટે અમુલે આપ્યાં છે. અમુલ ડેરીનો ઉપકાર એટલો કે તે કિંમત વધારે છે, પણ પેકિંગમાં લિટરથી ઓછું દૂધ આપતી નથી. પ્રોમિસ એટલે પ્રોમિસ ! પ્રાણ જાય, પર વચન …

એનાથી ઊલટું પારલે-જી બિસ્કિટનું છે. પારલે કંપની કિંમત વધારતી નથી, પણ વજન ઘટાડે છે. તેનું 5 રૂપિયાનું પેકેટ 1994થી 2021 સુધી 4 રૂપિયામાં મળતું હતું. એ હવે 5 રૂપિયાનું થયું છે. વચ્ચેનાં વર્ષોમાં ભાવ વધારી શકાય એમ ન હતું, કારણ પાર્લે ગ્લુકો જોડે બાળકોને અને ઘણાંને એક પ્રકારનું અનુસંધાન હતું. એટલે ભાવ ચાર રૂપિયા રાખીને કંપનીએ 100 ગ્રામ વજન ઘટાડી અનુક્રમે 92.5, 88, 55 ગ્રામ કર્યું. 55 ગ્રામ વખતે 4નાં 5 રૂપિયા થયા. આજે પણ 5 રૂપિયામાં બિસ્કિટ્સ તો મળે છે, માત્ર વજન 45 ગ્રામ થયું છે. હા, 5 ગ્રામ એકસ્ટ્રા પણ અપાય છે. 5 રૂપિયામાં 5 ગ્રામનું તો કંપની જ દાન કરે છે. બહુ આનંદ થાય છે કે આપણી પ્રજાને સરકાર મફત અનાજ આપે છે, પાર્લે કંપનીની જેમ કેટલીય કંપનીઓ આપણને તેલ, ઘી જેવી ઘણી સામગ્રી એકસ્ટ્રા આપે છે, એ ઉપરાંત બીજા કેટલાં બધાં તો ડિસ્કાઉન્ટ પણ આપે છે, આખો દેશ એક પર એક ફ્રી, ડિસ્કાઉન્ટ, એકસ્ટ્રા, ફ્રી ને એવી જાતભાતની સ્કિમો પર નભે છે. કમાલ છે ને કે આપણે જીવદયા પર, રામ ભરોસે કેટલી બધી પ્રગતિ કરી નાખી છે !

અમુલે ભાવ વધાર્યો, પણ વજન પૂરું આપ્યું, પારલેએ ભાવ ન વધાર્યો ને વજન ઘટાડ્યું, જ્યારે પતંજલિએ ભાવ પણ વધાર્યો ને વજન પણ ઘટાડ્યું. ગયા ઓકટોબર સુધી પતંજલિનું એક શેમ્પૂ 200 એમ.એલ.ના 105 રૂપિયાના ભાવે મળતું હતું, તે નવા પેકિંગમાં 120ના ભાવે 180 એમ.એલ. લઈને આવ્યું છે. 15 રૂપિયા વધ્યા ને 20 એમ.એલ. ઘટ્યું. આ ત્રણેક કંપનીની તો નમૂના દાખલ વાત કરી, બાકી, આવું બીજી ઘણી કંપનીઓ દ્વારા કરમુક્ત મનોરંજન અપાતું જ રહે છે, શરત એટલી કે પૈસા ફેંકો, તમાશા દેખો. 15 રૂપિયા વધારે આપો ને 20 એમ.એલ. ઓછું મેળવો ને એવું એવું તો આપણે લલ્લુઓ એટલું બધું પામીએ છીએ કે છેડો જ ન આવે ને છેડો મૂકવાનું મન થાય તે નફામાં !

બિસ્કિટનું પેકેટ લો, તો તેનાં પર ટેક્સ ! કોઈ વેપાર તમારે નામે ન કરો, તો પણ જી.એસ.ટી. તો ખરો જ ! જી.એસ.ટી.માં ને જી.એસ.ટી.માં તો સરકાર તરી ગઈ ને બીજાં ઘણાં તો હજી ગળચકાં ખાતાં પરવારતાં જ નથી. કોઈ હોટેલમાં જાવ, તો ખાધાં વગર બહાર આવશો, પણ ટેક્સ વગર નહીં અવાય. ટ્રેનમાં જાવ, પ્લેનમાં જાવ, ટેક્સ ખરો જ. ઓક્સિજન સિલિન્ડર કે ગેસનું સિલિન્ડર, બંને કહેવાય તો સિલિન્ડર જ. એટલું આપણે ગિલિન્ડરો સમજીએ જ છીએ ને આપણે સમજીએ કે ના સમજીએ ટેક્સનો ધર્મ છે લાગવાનો એટલે એ તો લાગવાનો જ ! એ બધા પર ટેક્સ ચૂકવ્યા પછી, વર્ષને અંતે ઇન્કમ ટેક્સ પણ ભરવાનો. ઇન્કમ હોય કે ન હોય, ટેક્સ તો હોય જ ! ત્યારે કોઈ લલ્લુ પૂછે કે સાહેબ, સેલ્સટેક્સ, સર્વિસટેક્સ, ડ્યૂટી, જી.એસ.ટી. વગેરે વગેરે ચૂકવી તે રકમ ઇન્કમમાંથી જ ગઈ છે, તો તે મજરે આપોને, તો સાહેબ કહેશે, લલ્લુ, 50 હજાર સ્ટાન્ડર્ડ ડિડક્શન દાંડિયા રાસ રમવા આપ્યું છે? ને લલ્લુ કહે કે 50,000થી વધારે ગજવામાંથી જાય છે ને ઇન્કમ જેવું તો કૈં રહેતું જ નથી, તો સાહેબ કહેશે, બેટા, ઇન્કમ ન હોય તો સરકાર માઈબાપની મફત અનાજની લાઇનમાં ઊભો રહી જા. આટલાં બધાંને મફતનું ખાવાની ટેવ પાડી છે તે એકાદ બે મફતિયા વધી જશે તો સરકારને કૈં ખૂટવાનું નથી. સરકાર આમ પણ દયાળુ છે, ભલે વજન વધારે હોય, પણ તું ભારે નહીં પડે !

ટૂંકમાં, આપણા પર કેટલાં બધાંની મહેર છે તેનું આપણને ભાન જ નથી. પારલે કંપની 5 ગ્રામ એકસ્ટ્રા આપે ને તે ય 5 રૂપિયામાં. એ લાભ વહેલી તકે લઈ લેવો જોઈએ. અત્યારે 5 રૂપિયામાં 50 ગ્રામ તો આવે છે ! એવું ન થાય કે કાલે 5 રૂપિયાનું પેકેટ લેવા જઈએ ને હાથમાં બિસ્કિટને બદલે રેપર જ આવે. આટલી મોંઘવારીમાં 5 રૂપિયાનું રેપર મળે તે ઓછું છે? એક સમય હતો જ્યારે સ્ટાન્ડર્ડ રેટ ને વેટનો જમાનો હતો. જે ભાવે તે ખવાય, પણ ગમે તે ભાવે વેચાય નહીં. એવી જ રીતે વજન 10, 20 કે 5, 10નાં ગુણાંકમાં જ નક્કી થતું. એ હવે બદલાઈ ગયું છે. એક બિસ્કિટ 9.4546 ગ્રામનું પણ હોય. તેલ, દિવેલ 452.5142 એમ.એલ. પણ ભરાય. તમને શંકા હોય તો જાતે વજનિયા લાવીને ભજનિયા ગાઈ લો. એક જમાનામાં તોલમાપ-ધારો હતો. હવે તોલમા-પધારો તેવી સ્થિતિ છે. શું છે કે હવે બધું મુક્ત થઈ ગયું છે, એટલે અર્થતંત્ર પણ મુક્ત થયા વગર કેમ રહે? એ ખબર નથી પડતી કે આ જ જો મુક્ત અર્થતંત્ર હોય તો અનર્થતંત્ર કોને કહેવાતું હશે?

– ને આ મોંઘવારી મોંઘવારીનું શું માંડ્યું છે તમે લોકોએ? સરકાર આટલાં મોંઘા ઘઉં, ચોખા ખરીદતી હોય, તેને ય બધા જ ટેક્સ લાગતા હોય ને તે જો અનાજ મફત આપી શકતી હોય, તો આપણે શેનાં મોંઘવારીની મેથી માર્યાં કરીએ છીએ? સાચું તો એ છે કે આપણને ટેવ પડી ગઈ છે, રડવાની, બાકી કેટલા બધા એવા છે જેમને હજાર રૂપિયે લિટર પેટ્રોલ થાય તો ય પેટનું પાણી હાલે એમ નથી, ન જ હાલે, કારણ પેટમાં પાણીને બદલે પેટ્રોલ પડેલું છે. એક બાજુ સરકાર બજેટમાં, કરદાતાને હજારો રૂપિયાનો ફાયદો, જુદી જુદી સ્કિમ હેઠળ કરાવી શકતી હોય ને તે જો ટેક્સ જતો કરી શકતી હોય તો આપણે શેનું કૂટ્યાં કરીએ છીએ, આખો દિવસ? મોંઘવારી તો સરકારને ય લાગે જ છેને ! એને ટેક્સ ન લાગે, પણ મોંઘવારી ય ન લાગે એવું નથી ! સીધી વાત છે કે કમાવું તો સરકારે પણ હોય જ છે. તેને માટે ટેક્સ નાખવો જ પડે ને ટેક્સ પડે એટલે વસ્તુ મોંઘી થાય જ. થોડી ધીરજ રાખો, એવી સ્કિમ આવવાની છે કે બધું જ મોંઘું થાય તો પણ લોકોને ટેક્સ ભરવામાંથી જ ફુરસદ નહીં મળે. ટેક્સ ભરવાનું કામ આપીને સરકાર બેકારી ઘટાડે એમ બને. એ મજૂરી જ એવી હશે કે માથું જ ન ઊંચકાય, કરદાતા જ ‘ઊંચકાઈ’ જાય ! માથું ઊંચકાય તો મોંઘવારીની બૂમ ઊઠેને ! મોંઘવારી દૂર કરવાનો આનાથી મોટો બીજો કીમિયો નથી.

માનીએ કે ન માનીએ પણ આપણે તો છેક હવે આઝાદ થયાં છીએ. કૈં પણ કરો, કોઈ પૂછે જ નહીં ! આવી આઝાદી અગાઉ હતી? કોઈને ભાવ આપો કે ગમે તે ભાવ લો, કોઈ ના પૂછે. અંગ્રેજોના વખતમાં 92.5 ગ્રામનું કે 45 ગ્રામનું બિસ્કિટનું પેકેટ હતું? કાલે ઊઠીને કોઈ 1.234 ગ્રામ ચોખાનો ભાવ 4.321 રૂપિયા માંગે ને કોઈ 4.567 રૂપિયાની કડકડતી નવી નોટ ધરીને બાકીના રોકડા માંગે તો આપવા પડે એનું નામ મુક્ત અર્થતંત્ર. આજે ફરિયાદ કોઈ કરતું નથી. કરે તો તેનું ભાગ્યે જ કૈં ઊપજે એમ છે. કોઈ નાનો વેપારી પાંચ રૂપિયાનું પેકેટ 6 રૂપિયામાં વેચે તો તેની સામે ફરિયાદ થઈ શકે, પણ કોઈ કંપની 2.4 રૂપિયામાં 3.2 ગ્રામ બિસ્કિટ આપે તો તેને પડકારી શકાય કે કેમ તે નથી ખબર ને હવે તો નાનો વેપારી 5નું પેકેટ 6માં વેચે તે કંપની કૈં અક્કલ વેચીને બેઠી છે કે તે પોતે જ 5નાં 6 છાપીને ન વેચી શકે? નાનાં વેપારીનું એ ગજું નથી કે તે 5નાં 6 કરે, એ કામ હવે કંપનીઓએ જ માથે લઈ લીધું છે. નકામી એ બિચારાને કાળા બજારની તક ક્યાં આપવી? સાચું ખોટું તો ક્યાં કરવા જવું, પણ આપણે ભ્રષ્ટાચારમાં, અત્યાચારોમાં, ખૂનામરકીમાં, કાયદા ચાતરવામાં, દવાદારૂમાં વૈશ્વિક સ્તરે આખી દુનિયાને પાછળ પાડી દીધી છે. કોઈ દેશે સ્વતંત્રતા પ્રાપ્ત થયાનાં 75 વર્ષમાં જ આટલી પ્રગતિ કરી હોય એવો બીજો દેશ દેખાતો નથી. તમને દેખાય છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ફેબ્રુઆરી 2023

Loading

બી.બી.સી. અને હેન્ડેનબર્ગ : હેડલાઈન્સની પેલે પાર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 February 2023

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, ભારતમાં શાહરૂખ ખાનની તાજી ફિલ્મ ‘પઠાણ’નો હાથે કરીને ઊભો કરેલો ‘ટેક્સ્ટબૂક’ વિવાદ ચાલતો હતો (એમાં તો ખુદ વડા પ્રધાને ટકોર કરવી પડી હતી કે ફિલ્મોને લઈને બિનજરૂરી ટીકા-ટીપ્પણીઓ કરવી ન જોઈએ) ત્યારે અચનાક જ જાણે સિલેબસ બહારનો પ્રશ્ન પૂછાયો હોય તેમ બી.બી.સી.ની ડોક્યુમેન્ટરી અને હેન્ડેનબર્ગનો રિપોર્ટ આવી પડ્યો. અંગ્રેજીમાં તેના માટે ‘આઉટ ઓફ બ્લુ’ શબ્દ છે; આકાશ એકદમ ચોખ્ખું ચણાક હોય અને અચાનક જ વરસાદ આવી જાય. બંને રિપોર્ટના રાજીકીય અને આર્થિક સૂચિતાર્થ છે.

પહેલાં એ બંને રિપોર્ટ શું છે તેની થોડી વાત. 17મી જાન્યુઆરીએ, લંડન સ્થિત બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ નામની બે ભાગની ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ રિલીઝ કર્યો. તેમાં, 2002નાં ગુજરાતનાં તોફાનોની વાત હતી. તે વખતે નરેદ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ડોક્યુમેન્ટરીએ બ્રિટિશ સરકારના રિપોર્ટ સહિત અન્ય દસ્તાવેજોની છાનબીન કરીને એવો દાવો કર્યો કે તોફાનોમાં લઘુમતી કોમ નિશાન બની હતી ત્યારે સરકારે આંખ આડા કાન કર્યા હતા અને તેને ઉત્તેજન પણ આપ્યું હતું. આ પહેલાં ભાગમાં મોદી કેવી રીતે રાજકારણમાં મોટા થયા અને કેવી રીતે તોફાનો થયાં તેની વિગતો હતી.

બીજા ભાગમાં (જે 24 જાન્યુઆરીએ રિલીઝ થયો હતો), 2019માં મોદી વડા પ્રધાન પદે ફરીથી ચૂંટાયા તે પછી કાશ્મીરની 370ની કલમ, સિટિઝનશીપ કાનૂન, કૃષિ કાનૂન અંગેના મોદી સરકારના નિર્ણયો અને 2020નાં દિલ્હીનાં તોફાનોની વાત છે. બંને ભાગનું ફોકસ, ભારતના મુસ્લિમો સાથે મોદીના સંબંધ પર છે. આ ડોક્યુમેન્ટરી ‘બી.બી.સી.-2’ પર રિલીઝ કરવામાં આવી હતી, જે ભારતમાં ઉપલબ્ધ નથી (ભારતમાં બી.બી.સી.-1 જોવાય છે).

ભારત સરકારે આ ડોક્યુમેન્ટરીને ભારત વિરોધી પ્રોપેગેન્ડા ગણાવીને પ્રતિબંધ મૂકી દીધો તેમ જ યુટ્યુબ સહિતની સોશ્યલ મીડિયા સાઈટ્સને આ ડોક્યુમેન્ટરીની લિંક ઉતારી લેવા આદેશ કર્યો. જો કે, દેશની અમુક યુનિવર્સિટીઓમાં વિધાર્થીઓએ પ્રતિબંધમાં છીંડાં પાડીને લેપટોપ પર તેના શો કર્યા. પોલીસે વિધાર્થીઓ પર કાર્યવાહી પણ કરી. બી.બી.સી.એ પ્રતિબંધના જવાબમાં કહ્યું કે તેની ડોક્યુમેન્ટરી કડક રીતે રિસર્ચ કરાયેલી છે અને તેમાં ભા.જ.પ. સહિતના અગ્રણી લોકોના અભિપ્રાય પણ છે.

દરમિયાનમાં, જનહિતની અરજીઓ કરવા માટે જાણીતા એમ.એલ. શર્મા નામના એક વકીલે સરકારના પ્રતિબંધને એકપક્ષી અને ગેરબંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તો બીજી તરફ પત્રકાર એન. રામ અને વકીલ પ્રશાંત ભૂષણે પણ ડોક્યુમેન્ટરીની લિંકવાળી ટ્વીટ દૂર કરી દેવાના આદેશ સામે સુપ્રીમમાં અરજી કરી છે. આ બંને અરજીઓ પર 6 ફેબ્રુઆરીને સોમવારે વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ ચંદ્રચુડ તૈયાર થયા છે.

25 જાન્યુઆરીના રોજ, હેન્ડેનબર્ગ રિસર્ચ નામની ન્યુયોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ગ્રુપ પર એક રિપોર્ટ જારી કર્યો. એનું શીર્ષક હતું, “અદાણી સમૂહ : વિશ્વનો ત્રીજા નંબરનો ધનિક કેવી રીતે કોર્પોરેટના ઇતિહાસમાં સૌથી મોટી ઠગાઈ કરી રહ્યો છે.” હેન્ડેનબર્ગ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ, કોર્પોરેટ કંપનીઓ તેમના બિઝનેસમાં કેવી ઘાલમેલ કરે છે અને શેરોમાં શોર્ટ-સેલિંગ કરે છે તેના પર રિપોર્ટ જારી કરતી રહે છે. અગાઉ તેણે નિકોલા, ક્લોવર હેલ્થ, કાંડી ટેકનોલોજી, લોર્ડ્સટાઉન મોટર્સ અને ટેકનોગ્લાસ નામની કંપનીઓના ગોટાળા ઉજાગર કર્યા હતા.

તેના તાજા રિપોર્ટમાં, હેન્ડેનબર્ગે અદાણી સમૂહ પર મુખત્વે 5 આરોપ મુક્યા છે : 1. અદાણી સમૂહની કંપનીઓએ શેરોની કિંમતમાં ઘાલમેલ (મેન્યુપ્યુલેટ) કરી છે અને અકાઉન્ટ ફ્રોડ કર્યું છે. 2. અદાણી સમૂહે વિદેશમાં અનેક કંપનીઓ બનાવીને ટેક્સ બચાવાનું કામ કર્યું છે. 3. મોરેશિયસ અને કેરેબિયન ટાપુઓ જેવા ટેક્સ હેવન દેશોમાં ઘણી બેનામી કંપનીઓ છે, જેમાં અદાણી સમૂહની કંપનીઓની ભાગીદારી છે. 4. અદાણીની લિસ્ટેડ કંપનીઓ પર ઘણું દેવું છે, જેનાથી આખું સમૂહ આર્થિક રીતે અસ્થિર છે. 5. ઊંચા વેલ્યુએશનના કારણે કંપનીના શેરોની કિમત 85 ટકા જેટલી વધુ બતાવામાં આવી રહી છે. 

આ રિપોર્ટ પછી અદાણીના શેરોમાં કડાકો બોલ્યો અને માર્કેટમાં ગભરાટ ફેલાયો. કંપનીએ બે તબ્બકે આ રિપોર્ટનું ખંડન કર્યું. પહેલીવાર, કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જગશીન્દર સિંહે વીડિયો મારફતે નિવેદન જારી કરીને કહ્યું કે, “હેન્ડેનબર્ગે રિપોર્ટ અદાણીના એફ.પી.ઓ.ને ખોરંભે પાડવાની બદઈરાદાવાળો છે.” સી.એફ.ઓ.એ આ વીડિયોમાં તેના ડેસ્કની બાજુમાં ત્રિરંગો ધ્વજ ગોઠવ્યો હતો.

હેન્ડેનબર્ગે તેને નિશાન બનાવીને વળતા બયાનમાં કહ્યું કે અમે જે સવાલો ઊભા કર્યા છે તેના તાર્કિક જવાબો આપવાને બદલે અદાણી તેની ગોલમાલને રાષ્ટ્રવાદમાં છુપાવે છે.  બીજા દિવસે, સમૂહે 413 પાનાંનો જવાબ આપ્યો. તેમાં સમૂહની આર્થિક ચોખ્ખાઈની વાતો તો હતી જ, પરંતુ અદાણીએ તેમાં એક મહત્ત્વનો ઈશારો કર્યો હતો. તેણે કહ્યું કે, “આ કોઈ એક કંપની પર અનુચિત હુમલો છે એટલું જ નહીં, તે ભારતની સંસ્થાઓની સ્વતંત્રતા, નિષ્ઠા અને ગુણવત્તા પર અને ભારતની પ્રગતિની કહાની અને મહત્ત્વાકાંક્ષા પર હુમલો છે.” સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ કંપનીએ તેની આર્થિક ઘાલમેલના આરોપોને સમગ્ર ભારત પરના હુમલા તરીકે ઓળખાવ્યા હોય તેવી આ પહેલી ઘટના છે.

આ બંને, બી.બી.સી. ડોક્યુમેન્ટરી અને હેન્ડેનબર્ગ રિપોર્ટ, મોદી સરકાર માટે તકલીફવાળા છે. બી.બી.સી. રિપોર્ટમાં ખેર સીધું નરેન્દ્ર મોદી પર નિશાન છે અને સરકારે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરીને તેના પર પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટેકનિકલી, હેન્ડેનબર્ગ રિપોર્ટ સેબી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દાયરામાં આવે છે અને બંને સ્વાયત્ત સંસ્થાઓ છે, પરંતુ આ રિપોર્ટ પણ વડા પ્રધાને એટલા માટે ‘અડે’ છે કારણ કે વિરોધ પક્ષો લગાતાર આરોપ મુકતા રહ્યા છે કે અદાણીની પ્રગતિ તેમની મોદી સાથેની ઘનિષ્ઠતાનું પરિણામ છે.

ત્યાં સુધી કે ખુદ ગૌતમ અદાણીએ તેનું ખંડન કરવું પડ્યું છે. તાજેતરમાં જ તેમણે પત્રકાર રજત શર્માના ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં સફાઈ આપતાં કહ્યું હતું કે તેમને કોઈ એક સરકારે મદદ નથી કરી. તેમણે કહ્યું હતું કે કાઁન્ગ્રેસના શાસનમાં રાજીવ ગાંધીની, નરસિંહમા રાવની અને ગુજરાતમાં ભા.જ.પ.ની કેશુભાઈની સરકારની નીતિઓથી અદાણીની પ્રગતિ થઇ છે.

એટલે આ બંને વિવાદના આર્થિક અને રાજકીય તાણાવાણા એકબીજામાં જોડાયેલા છે. બંને રિપોર્ટ એક સાથે જ જારી થયા તે માત્ર યોગનુગોગ છે કે ગણતરીપૂર્વકની યોજના? એક વર્ગ, ખાસ કરીને સરકારનો સમર્થક વર્ગ, એવું માને છે કે નરેન્દ્ર મોદીની સરકાર અમુક લોકો અને વર્ગને પસંદ નથી એટલે આ બંને રિપોર્ટ જારી કરવાનો સમય જાણી જોઈને પસંદ કરવામાં આવ્યો છે.

કેરળના રાજ્યપાલ આરીફ મહોમ્મદે એવો આરોપ મુક્યો કે આ વર્ષે ભારતને જી-20નું અધ્યક્ષપદ મળ્યું છે, ત્યારે જ આપણી પર બસો વર્ષ સુધી રાજ કરનારાઓ તરફથી આવો મિથ્યા રિપોર્ટ આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં આવેલા બી.બી.સી.ના રિપોર્ટને મોદી સરકારે ભારતને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે અને અદાણી સમૂહે પણ હેન્ડેનબર્ગ રિપોર્ટને ભારત પર હુમલો ગણાવ્યો છે.

પ્રશ્ન એ છે કે બી.બી.સી. કે હેન્ડેનબર્ગને નરેન્દ્ર મોદી પાછા સત્તામાં આવે કે ન આવે તેમાં શું રસ હોય? ડિપ્લોમસીને જાણતા લોકોને આખી વાતમાં રશિયા-યુક્રેનના યુદ્ધનો એન્ગલ દેખાય છે. આ યુદ્ધમાં ભારત ખુલ્લેઆમ રશિયાની પડખે છે. પશ્ચિમના દેશો યુક્રેનને મદદ કરી રહ્યાં છે. પશ્ચિમે રશિયા સામે અનેક પ્રતિબંધો લગાવી રાખ્યા છે, પણ ભારતે તેના હિતમાં અમુક લે-વેચ ચાલુ રાખી છે. આનાથી ભારત તરફ નારાજગી પ્રવર્તે છે. ઇન ફેક્ટ, બી.બી.સી. રિપોર્ટના મુદ્દે રશિયા ભારતની તરફેણમાં બહાર આવ્યું છે. સોમવારે, રશિયન વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું હતું કે, “આ વધુ એક પુરાવો છે કે બી.બી.સી. માત્ર રશિયા જ નહીં, પરંતુ સ્વતંત્ર નીતિઓ પર ચાલતી વૈશ્વિક તાકાતો વિરુદ્ધ અલગ-અલગ રીતે ઇન્ફોર્મેશન યુદ્ધ કરી રહ્યું છે. “અમુક વર્ષોથી બી.બી.સી. બ્રિટિશ સત્તાની અંદર પણ અમુક જૂથો વતી બીજા જૂથો સાથે લડાઈ કરી રહ્યું છે.”

એક વાત સાફ છે કે બી.બી.સી. ડોક્યુમેન્ટરી નરેન્દ્ર મોદીની ઈમેજને નુકશાન કરે તેવી નથી. અત્યારે સુધીનો રેકોર્ડ છે કે જ્યારે પણ હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણ થયું છે, ત્યારે તેમને રાજકીય રીતે તો ફાયદો જ થયો છે. ઊલટાની, આ ડોક્યુમેન્ટરી તો તેમના સમર્થકોમાં ‘મજબૂત નેતા’ની તેમની ઈમેજને વધુ મજબૂત કરે છે, પરંતુ અદાણીનો મામલો વધુ ગંભીર છે અને એટલી ઝડપથી ઠંડો પણ નહીં પડે. માર્કેટ અને મતદારોનો વ્યવહાર સરખો નથી હોતો. અદાણીની આર્થિક પ્રગતિ મોદીની રાજકીય પ્રગતિના ગ્રાફ સાથે જોડાયેલી છે એવો આરોપ ઘણા વખતથી થતો રહ્યો છે અને હેન્ડેનબર્ગ રિપોર્ટે એ ધારણાને બળ આપ્યું છે. બી.બી.સી. જેટલું નુકશાન નહીં કરી શકે તેટલું નુકશાન આ રિપોર્ટ કરી શકે તેમ છે. જોવાનું એ છે કે સરકાર કેવો અને કેટલો સમય સુધી અદાણીથી પોતાને અલગ રાખી શકે છે.

લાસ્ટ લાઈન :

“અર્થતંત્ર રૂપ વેશ બદલીને કામ કરતું રાજકારણ જ છે.”

— હેઝલ હેન્ડરસન 

બ્રિટિશ-અમેરિકન પર્યાવરણવિદ્દ

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ ગુજરાતી મિડ-ડે”, 05 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિન્ડનબર્ગ રિપોર્ટ અને અદાણી જૂથઃ આર્થિક બાબતોનું પોલું સાંબેલુ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 February 2023

ગણતરીના કલાકોમાં ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નીચે ઉતરી ગયા

શાણા માણસો એટલે કે જેમને ડહાપણની ભેટ હોય તે હંમેશાં એમ કહે કે માણસની પ્રગતિ જેટલી ઝડપથી થાય એટલી જ ઝડપથી એની અધોગતિ પણ થાય. સડસડાટ ઉપર ચઢેલા ભફાંગ દઇને પડે અને એમણે પોતે ધાર્યુ હોય તેના કરતાં પહેલા પડે. ગૌતમ અદાણીને કદાચ આ ખબર નહીં હોય. છેલ્લા કેટલાક વખતથી ગૌતમ અદાણી એશિયાના અને વિશ્વના સૌથી ધનિકોની રેસમાં મોટા માથાઓને પાછળ રાખીને સડસડાટ આગળ વધી રહ્યા હતા. એમાં

ચિરંતના ભટ્ટ

યુ.એસ. શોર્ટ સેલર હિન્ડનબર્ગ જે એક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મે અદાણી ગ્રૂપના સ્ટોક મેન્યુપલેશન (ચેડાં) પર રિપોર્ટ રજૂ કરીને તેમને સવાલ કર્યા. આમ તો ગૌમત અદાણીને એમ હશે જ કે આપણે જો વિશ્વના સૌથી ધનિક માણસ બનવાના માર્ગે હોઇએ તો આ બધું તો થવાનું પણ યુ.એસ.એ.ના ન્યુ યોર્ક સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગના રિપોર્ટે તેમના આ સપનાંને પત્તાનાં મહેલની માફક વિખેરી નાખ્યું. હિન્ડનબર્ગે આવા રિપોર્ટ પહેલાં બીજી કંપનીઝના પણ બનાવ્યા છે. વળી અદાણી જૂથના એવા બિઝનેસિઝ પણ છે જેના પરફોર્મન્સ સારા છે અને તે તેના બિઝનેસિઝ અને સર્વિસિઝના દેવા ભરપાઇ કરવા સક્ષમ છે, પણ અહીં સવાલ એ છે કે અપારદર્શક કોર્પોરેટ વર્કિંગમાં ખોટી રીતે શૅરને આસમાને પહોંચાડાયો અને કોઇએ તેની પર સવાલ પણ ન કર્યો.

હિન્ડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો અને અદાણી ગ્રૂપના શૅરનો ભાગ ગગડ્યો. 66 બિલિયન ડૉલર્સનું નુકસાન થયું અને અદાણીની નેટ વર્થ પણ હતી ન હતી થઇ ગઇ. ગણતરીના કલાકોમાં ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પણ નીચે ઉતરી ગયા. 20 હજાર કરોડની ફોલો ઓન પબ્લિક ઑફર(FPO)માં રોકાણકારોએ રોકેલા પૈસા પાછા આપવાની બુધવારની મોડી રાતની અદાણી જૂથની જાહેરાત કોર્પોરેટ વિશ્વની ઐતિહાસિક ઘટના જ કહેવાય. અદાણી જૂથે માર્કેટની અસ્થિરતા અને સંવેદનશીલતાને પગલે FPO રદ્દ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું. વળી એમ પણ ઉમેર્યું કે આમ કરવું તેમને નૈતિક રીતે યોગ્ય લાગ્યું જો કે આ શૅરના મુદ્દે તેમની ભાવિ યોજનાઓમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો.

અબુ ધાબીના ફંડ્ઝ અને અન્ય ભારતીય કરોડપતિઓની મદદથી ભંડોળ એકઠું કરીને જે યોજનાને સફળ બનાવાઇ હતી સફળતાના બીજા જ દિવસે 28 ટકાનો ફટકો ન ઝીલી શકી. હિન્ડનબર્ગે તો તેના રિપોર્ટમાં અદાણીને કોર્પોરેટના ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી કરનાર જૂથમાં ખપાવ્યું છે. જો કે હિન્ડનબર્ગ ગ્રૂપે આ પ્રકારના રિપોર્ટ પહેલા બીજી કંપનીઓ માટે પણ જાહેર કર્યા છે કારણ કે આ કરવું તેમનું કામ છે.

અત્યાર સુધી નરેન્દ્ર મોદી સાથેની ઘનિષ્ઠતાને કારણે અવાર-નવાર સમાચારોમાં ઝળકેલા ગૌતમ અદાણીને રાજકીય ફેવર્સ પણ મળી છે જે તે સ્વીકારતા નથી. રોકાણકારોથી માંડીને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સની મદદ અદાણી ગ્રૂપને હંમેશાં મળી છે. બોર્ડરલેસ મની – એટલે ગોલ્બલ પેમેન્ટ સોલ્યુશન જેનાથી પૈસા ફેરવવા સાવ સહેલા થઇ જાય કારણ કે એ એક વિકેન્દ્રિત ફાઇનાન્સ પ્રોટોકોલ છે જેના મારફતે સોશ્યલ રોકાણો થાય છે. પરંતુ બોર્ડરલેસ મનીની આ જ તાકત છે – તે વિશ્વના સૌથી ધનિક ગણાતા માણસના પગ તળેથી 8,000 કિલોમીટર દૂરથી ય જમીન ખસેડી શકે છે.

અદાણી જૂથ સામે હિન્ડનબર્ગની આ લડાઇએ આપણને આર્થિક વૈશ્વિકરણના બોધપાઠ શીખવ્યા છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો પછી થોડા દિવસ તો અદાણી જૂથ ‘ડિનાયલ’ એટલે કે અસ્વીકારમાં રહ્યું કે તેમને સ્ટૉક પ્રાઇઝને મામલે કોઇ પણ ચેડાં કર્યા છે, કોઇ પણ છેતરપીંડી પણ થઇ હોવાની વાતને રદિયો આપ્યો એમાં પછી ફોલો-ઓન પબ્લિક ઑફરનું પગલું તો લેવાયું જ.  અદાણી જૂથનો આ જ આત્મવિશ્વાસ અને શૅરનું વેચાણ હિન્ડનબર્ગના રિપોર્ટમાં કહેવાયેલી વાતોની નક્કરતા સાબિત કરવાનું માધ્યમ બની ગયા. ગૌતમ અદાણી પાસે બચાવના કીમિયા ખૂટી પડ્યા, રોકાણકારોને 400 પાનાંથી વધુ પાનાંની ચોખવટ પણ ગળે ન ઊતરી, અદાણી જૂથના ચિફ ફાઇનાન્શિયલ ઑફિસરે રાષ્ટ્રવાદનું ગાન ગાયું અને અદાણી જૂથ પર આંગળી ઉઠાવવી દેશ વિરોધી ગણાય પ્રકારની વાતો કરી, હિન્ડનબર્ગના રિપોર્ટને સામ્રાજ્યવાદી અંગ્રેજોએ કરેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવ્યો. આટલી બધી કાગારોળ પછી પણ સ્ટૉકનો ભાવ ગગડ્યો પણ અદાણીએ ફોલો ઓન ઓફર પાછી ન ખેંચી, ભાવ ઘટાડાનું જોખમ પણ વહોર્યું. બીજા ધનિકોની મદદથી જોર લગાડ્યું અને રિટેલ ઇન્વેસ્ટરે તેમને માટે અનામત રખાયેલા 12 ટકા શેર જ ખરીદ્યા. જરાક સફળ કહી શકાય તેવા શૅર વધારે મ્હોં ભેર પછડાયા જ્યારે ક્રેડિટ સુઇસ ગ્રૂપ એ.જી. અને સિટી બેંકે અદાણી કંપનીના બોન્ડ્ઝ ખાનગી બેંકિંગ ક્લાયન્ટ્સ માટેની માર્જિન લોન્સ માટે સ્વીકારવાનું બંધ કર્યું હોવાની જાહેરાત કરી. આખરે અદાણી એન્ટરપ્રાઇઝનો સ્ટૉક દિવસને અંતે 28 ટકા નીચે ધસી ગયો અને બંદરો – એરપોર્ટ્સના માલિક અદાણીએ ફોલો-ઓન ઑફર પાછી ખેંચી લીધી. અદાણીના ખાનગી ઑફ શોર ટ્રસ્ટ્સ, ઑફ શોર કંપનીઝ, મોરેશિયસ ફંડ્ઝ અને શેલ એન્ટિટિઝમાં કઇ રીતે અદાણી જૂથના પૈસા ફરતા હતા તેની વાસ્તવિકતાઓ ઉઘાડી પડી ગઇ છે.

અદાણી અને વિવાદને સારી પેઠે બને છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં તો કેરળના માછીમારો અદાણીને માથે માછલાં ધોવા બેઠા હતા કારણ કે ત્યાં 900 મિલિયન ડોલર્સને ખર્ચે બંદરનું બાંધકામ ચાલી રહ્યું હતું અને આ વિરોધ પ્રદર્શનો સામે ગૌતમ અદાણીએ માછીમારોના નેતાઓ અને કેરળ રાજ્ય સરકાર સામે કેસ માંડ્યો. વળી ઑસ્ટ્રેલિયામાં પણ પર્યાવરણવાદીઓએ વર્ષો સુધી અદાણીના કારમાઇકલ કોલ માઇન પ્રોજેક્ટનો ભારે વિરોધ કર્યો જેના કારણે ગ્રેટ બેરિયર રીફને નુકસાન થઇ રહ્યું હતું અને કાર્બનનો ફેલોવા પણ મોટા પ્રમાણમાં થાય તેમ હતું.

એફ.પી.ઓ. પાછો ખેંચાયા પછી અબુ ધાબીના આઇ.એચ.સી.ને અદાણી ગ્રૂપના એફ.પી.ઓ.માં રોકાયેલા 400 મિલિયન ડૉલર્સ પાછા અપાયા, બાંગ્લાદેશે અદાણી પાવરને 2017ના એક્સેસિવ પ્રાઇસિંગના પેક્ટની પુનઃચકાસણી કરવા કહ્યું છે, અદાણીના શૅરની માર્કેટ વેલ્યુ અત્યાર સુધીની સૌથી નીચા સ્તરે છે, એસ.બી.આઇ. પાસેથી અદાણીને મળેલી 2.6 બિલિયન ડૉલર્સની લોન પણ ચર્ચામાં, રિઝર્વ બેંકે પણ બીજી બેંક્સ પાસેથી અદાણી ગ્રૂપ સાથેની તેમની કડીઓ જાહેર કરવા માંગ કરી છે – વિરોધ પક્ષે પણ હોબાળો કર્યો છે અને તપાસની માંગ કરી છે.

સત્યમ કૌભાંડ પણ તોતિંગ કૌભાંડ હતું અને તેના પ્રમોટર રાજુએ જેલવાસ પણ ભોગવ્યો. અદાણી જૂથનો આ ક્રેશ એશિયાનો સૌથી ઐતિહાસિક ક્રેશ ગણાય. આપણે ત્યાં કોર્પોરેટ ગવર્નન્સ પર સરકારી નિયમન એજન્સીની નજર હોવી જરૂરી છે. અદાણી જૂથના શૅરની કિંમતો ઇન્ફ્લેટેડ હતી તે બધા જાણતા જ હતા પણ આપણા દેશની નિયમનકારી સંસ્થાઓ હિન્ડનબર્ગના રિપોર્ટ પછી જાગે એની પાછળ કયા પરિબળો જવાબદાર છે? આ લખાઇ રહ્યું છે ત્યારે અદાણી જૂથના માર્કેટ લોસિઝનો આંકડો અંદાજે 100 બિલિયન ડૉલર્સ જેટલો થયો છે.

બાય ધી વેઃ

શૅરના વેચાણથી આવનારાં નાણાંથી અદાણી જૂથ જે નાણાંકીય ખર્ચ કે દેવાઓ ભરી દેવાનું પ્લાનિંગ કરીને બેઠું હતું તે અત્યારે હવામાં છે. કેન્દ્ર સરકાર અને અદાણી વચ્ચેના સંબંધો હવે કેવા હશે? નરેન્દ્ર મોદીને અદાણીને માથે ચડાવવાની ભૂલને લીધે કંઇ ભોગવવાનું આવશે? આ બધા સવાલોના જવાબ વખત આવ્યે જ મળશે. અદાણીનું જે થવાનું હશે એ થશે પણ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારતમાં રોકાણ કરતાં પહેલાં ચાર વાર વિચારશે એ ચોક્કસ, જેમણે રોકાણ કર્યા હશે તે પોતાની મિલકતોનું પુનઃમુલ્યાંકન પણ કરશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,2081,2091,2101,211...1,2201,2301,240...

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved