Opinion Magazine
Number of visits: 9667700
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સાહિત્યકલા

સુમન શાહ|Opinion - Literature|19 March 2023

ગણપત વણકર ને સુમન શાહ

લગભગ રોજ ગુજરાતી ઉપરાન્ત ભારતીય દલિત સાહિત્યસૃષ્ટિની વાત કરનારા ગણપત વણકર મારા મિત્ર છે. પરન્તુ તેઓ મનોચિકિત્સા શાખાના એક ઉમદા પ્રૉફેસર પણ છે. એમના પ્રેમાળ નિમન્ત્રણથી માર્ચ 17 ને શુક્રવારે પારુલ યુનિવર્સિટી, વડોદરામાં મેં આપેલા વ્યાખ્યાનનું લેખ-સ્વરૂપ રજૂ કરું છું, છોડી દીધેલા કેટલાક મુદ્દા સાથે.

આ ત્રણેય વિદ્યાજગતો છે અને મનુષ્ય વિશે છે. દરેકનાં વ્યાપ અને ઊંડાણ સાગર-સમાં છે. એકને ઍટલાન્ટિક ઓસન કહીએ, બીજાને ઇન્ડિયન ઓસન અને ત્રીજાને પૅસિફિક, તો બરાબર લાગે.

આ ત્રણેયનાં વિષયવસ્તુ -કન્ટેન્ટ- શું છે?

મનોવિજ્ઞાન મનુષ્યના મનનું વિજ્ઞાન છે. મન અથવા ચિત્ત એક સામર્થ્ય છે – ફૅકલ્ટી. એથી ચૈતસિક આવિર્ભાવો પ્રગટે છે – મૅન્ટલ ફીનોમિના. જેવા કે, સૅન્સેશન – સંવેદન, પરસૅપ્શન – ઇન્દ્રિયબોધ, વિચાર – થિન્કિન્ગ, તર્ક – રીઝનિન્ગ, સ્મૃતિ – મૅમરિ, માન્યતા, ઇચ્છા કે પ્રેરણા – મોટિવેશન. 

તત્ત્વજ્ઞાન અથવા ફિલસૂફીનું વિષયવસ્તુ, જીવ જગત અને ઈશ્વરવિષયક પ્રશ્નો છે. મનુષ્યનું અસ્તિત્વ શું છે, જ્ઞાન, જીવનમૂલ્યો, ચિત્ત, ચેતના, ભાષાઓ વગેરે શું છે, તેનો વિમર્શ-પરામર્શ. મૂળ સંજ્ઞા ગ્રીક ભાષામાં ‘ફિલોસોફિયા’ છે – ફિલો = લવ, સોફિયા = વિઝડમ. ડહાપણને માટેનો પ્રેમ તે ફિલસૂફી. 

તત્ત્વજ્ઞાનની અનેક શાખાઓ માણસને ડહાપણ લગી નથી પહૉંચાડતી, ઊલટું એમ કહે છે કે વાદે વાદે જાયતે તત્ત્વબોધ: પણ તત્ત્વને તો છેડો નથી; એેને જેટલું કાંતો એટલું કંતાતું જશે. ષડદર્શનના જૂજવા મતા છે, પણ સાંઠ પણ હોઈ શકે છે. નરસિંહે બરાબર પકડ્યું હતું – તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે, પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર …

સાહિત્યકલાનો જીવન સમગ્ર સાથે સમ્બન્ધ છે પણ એના વિષયવસ્તુનો પહેલો સમ્બન્ધ મનુષ્યના Lebenswelt સાથે છે. એ શબ્દ જર્મન ભાષાનો છે, અંગ્રેજીમાં lifeworld કહેવાય છે, ગુજરાતીમાં હું એને ‘જીવનવિશ્વ’ કહું છું. એ ‘વિશ્વજીવન’ નથી, એટલે કે, એ વિશ્વ સમગ્રમાં જિવાયેલું જીવન નથી, મારા વડે મારા સ્થાને મારા સમયમાં જિવાયેલું અને જિવાતું મારું જીવન છે. એ નકરી વાસ્તવિકતા છે. એની સરખામણીમાં, વિશ્વ એક ધ્યર્થ છે – આઇડિયા. મારી આસપાસનાં મનુષ્યો પણ, દરેક, પોતપોતાનું જીવન જીવે છે. અમારી વચ્ચે જે સમ્બન્ધ રચાય છે તે મારા અને એમનાં જીવનવિશ્વની આપ-લેનું પરિણામ હોય છે.

સાહિત્યની પરમ્પરાગત ચર્ચામાં જગત આખાનો અનુભવ, સંસાર સમગ્રનો અનુભવ વગેરે સામાન્યથી પણ સામાન્ય સંકેતોનો આગ્રહ સેવાતો હોય છે. પણ આ ‘જીવનવિશ્વ’-ના સંકેતાર્થથી વધારે નક્કર અને વાસ્તવિક અર્થ એમાં નથી.

‘લેબેન્શ્વેલ્ત’ સંજ્ઞા હ્યુસેર્લે એમની એક હસ્તપ્રતમાં ૧૯૧૭-માં પ્રયોજેલી. હ્યુસેર્લના બે અનુયાયીઓ માર્ટિન હાઇડેગર અને આલ્ફ્રેડ શૂત્ઝનાં દર્શનોમાં આ સંજ્ઞા વિશેષ રૂપે વિકસી છે.

હાઇડેગર અનુસાર, મારા, અમારા કે આપણા વિશ્વમાં ચિન્તનાત્મક વસ્તુઓની ભરમાર નથી – ઇટ ઇઝ નૉટ પૉપ્યુલેટેડ બાય ઑબ્જેક્ટ્સ ઑફ કન્ટેમ્પ્લેશન – પણ એમાં વર્તન અને વ્યવહારથી સાંપડેલી નક્કર વસ્તુઓ હોય છે. એ વસ્તુઓની જાળ રચાઈ હોય છે, એક નૅક્સસ રચાયું હોય છે, જે જીવવા માટેનાં મારાં ઑજારો બને છે અને મને સજ્જ કરે છે. મારા જીવનવિશ્વથી મારી દુનિયા રચાય છે અને મારી એ દુનિયામાં મારું જીવનવિશ્વ સમેટાઈ જાય છે.

મનુષ્યમાત્રની જન્મથી મૃત્યુ લગીની યાત્રામાં આથી જુદું શું બને છે? સમજાય એવું છે.

કલાઓ, સાહિત્ય, વિજ્ઞાન કે તત્ત્વચિન્તનની આ જીવનવિશ્વ, મૂળભૂત ભૂમિકા છે. એની ઉપેક્ષા કરીને કે એને બાદ કરીને વિસ્તરેલાં સાહિત્ય, કલાઓ, વિજ્ઞાન કે તત્ત્વચિન્તન વ્યર્થ ઠરે છે. મારું જીવનવિશ્વ લઈને હું મારી સમીપે વસતા મનુષ્યના જીવનવિશ્વ લગી પ્હૉંચું છું ત્યારે અંગતતાથી, ભાવ-ભાવના, ઊર્મિઓ, લાગણીઓ, વિચારોથી વધારે વર્તું છું, એમાં બિનંગતતા કે વસ્તુલક્ષીતા કે તર્ક કરતાં અતર્કની બલકે તર્કહીનતાની માત્રા વિશેષ હોય છે, એમાં, બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા જેવા દાર્શનિક ખયાલો પણ નથી હોતા. સીધુંસાદું જીવન હોય છે.

સાહિત્યકલાનો જીવન સમગ્ર સાથે સમ્બન્ધ છે પણ એના વિષયવસ્તુનો બીજો સમ્બન્ધ મનુષ્યના ભાવજગત સાથે છે. સાહિત્ય મુખ્યત્વે મનુષ્યના ભાવજગતની કલા છે. ભાવથી સ્ફુરેલા અને કલાની રીતે સ્ફુરેલા વિચારોના ચિન્તન કે દર્શનની સાહિત્યમાં મનાઈ નથી.

પણ હકીકત એ છે કે ભાવોની સૃષ્ટિમાં ઘમસાણ મચે ને ચિત્ત ડ્હૉળાઇ જાય. સ્ટ્રેસ, હાઇપર ટેન્શન, જેવાં અનેક દર્દ જન્મે, જેને મનોવિજ્ઞાન મનોરોગો કહે છે. બાજુની મનુષ્ય વ્યક્તિ સાથેનું વર્તન અસંતુલિત અને સંકુલ થઈ જાય છે. એમાંથી લડવાડો અને યુદ્ધો સરજાય છે. કહેવાનું તાત્પર્ય એ કે મનોવિજ્ઞાન માટેની સામગ્રીનાં મૂળ મનુષ્યનું ભાવજગત છે.

હું સાહિત્યકલાના અ બ ક ડ એવા ૪ વિશેષને ધ્યાનપાત્ર ગણું છું :

અ : મનુષ્યની ભાવસૃષ્ટિ પર સર્જકની ચેતના કામ કરીને રસસૃષ્ટિ પ્રગટાવે છે. એ એનો પહેલો વિશેષ છે.

ભરત મુનિએ “નાટ્યશાસ્ત્ર”-માં ૮ ભાવોને મુખ્ય અને સ્થાયી કહ્યા છે. ૧ : રતિ (love), ૨ : હાસ (Mirth), ૩ : ક્રોધ (Anger), ૪ : ઉત્સાહ (Courage), ૫ : ભય (Fear), ૬ : જુગુપ્સા (Aversion), ૭ : વિસ્મય (Wonder) અને ૮ : શોક (Sorrow). ૯-મો ભાવ -ઉપશમ (Calm) પણ ગણાવ્યો છે.

સર્જકચેનાના વ્યાપારને કારણે કે કવિ કર્મને કારણે દરેક ભાવમાંથી રસ પ્રગટે છે, રસ પણ એટલે ૮ ગણાવ્યા છે. ૧ : રતિ – શૃંગાર રસ (Erotic), ૨ : હાસ -હાસ્ય રસ (Comic), ૩ : ઉત્સાહ – વીર રસ (Heroic), ૪ : ક્રોધ – રૌદ્ર રસ (Furous), ૫ : ભય – ભયાનક રસ (Terrible), ૬ : શોક – કરુણ (Pathetic), ૭ : વિસ્મય – અદ્ભુત (Marvellous), ૮ : જુગુપ્સા – બીભત્સ (Odious). અને ૯ : ઉપશમ – શાન્ત રસ.

સાહિત્યકલાની ધરિત્રીના ત્રણ ઉપખણ્ડ છે : ઊર્મિકવિતા – લિરિકલ પોએટ્રી. કથાકવિતા – નૅરેટિવ પોએટ્રી. નાટ્યકવિતા – ડ્રામેટિક પોએટ્રી. એ ત્રણેયમાં, સાહિત્યકારની સર્જકતાને પ્રતાપે મનુષ્યની ભાવસૃષ્ટિનું રસસૃષ્ટિમાં રૂપાન્તર થાય છે.

બ : બીજી વિશેષતા એ છે કે સાહિત્યકલામાં, વિચારો તર્ક દલીલો દર્શન કે ચિન્તનને સીધો પ્રવેશ નથી હોતો.

આ ક્ષણે, હું કથાકવિતા અને નાટ્યકવિતાની ચર્ચા જતી કરું છું, ઊર્મિકવિતાની કરું. એમાં, સંવેદનો અને ઇન્દ્રિયબોધોની માત્રા વધારે હોય છે.

સંવેદનો : ‘તે પંખીની ઉપર પથરો ફૅંકતાં ફૅંકી દીધો.’ ‘કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો / વિખેરી તુજ માર્ગે આહ્લાદ ભરતે.’ ‘ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.’ વગેરે.

ઇન્દ્રિયબોધો : સાહિત્યનો શબ્દ આંખ કાન નાક જિહ્વા અને સ્પર્શ એ ઇન્દ્રિયોને સંતર્પતો હોય છે : સુરેશ જોષીનું આ “અન્ધકાર” કાવ્ય જુઓ : એમાં, કામચલાઉ ધૉરણે કહું કે કાવ્યશબ્દ કયા ઇન્દ્રિયબોધને પ્રગટાવે છે :

આજે હું તારા અંધકાર સાથે બોલીશ. (જિહ્વા) / તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર. (સ્પર્શ) / તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર. (આંખ) / તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ. (સ્પર્શ) / તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને (સ્પર્શ) / હું કામોન્મત્ત શાર્દૂલની ગર્જનાથી પડકારીશ; (કાન) / તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને (સ્પર્શ) / હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ; / તારી આંખમાં થીજી ગયેલા અંધકારને / હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ; (સ્પર્શ, આંખ) / વૃક્ષ ની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય / તારાં ચરણોને શીખવીશ. / આજે હું અંધકાર થઈને તને ભેદીશ. (સ્પર્શ).

ક : સાહિત્યકલામાં, વિચારો તર્ક દલીલો કે દર્શન અને ચિન્તનને સીધો પ્રવેશ નથી હોતો એ ખરું પણ તત્ત્વચિન્તન માણસને જાગ્રત કરી શકે છે, માણસને ડહાપણનો માર્ગ ચીંધી શકે છે. એ ત્રીજી વિશેષતા છે.

મેં બે વર્ષ પર અમારા પીઓરીઆ શ્હૅરની ઇલિનૉય કૉમ્યુનિટી કૉલેજમાં છ વ્યાખ્યાનો આપેલાં, વિષય હતો : Suffering and Pursute of Happiness.

અસ્તિત્વવાદી તત્ત્વજ્ઞાની સાર્ત્રે કહ્યું કે ‘ઍક્ઝિસ્ટન્સ પ્રીસિડ્સ ઇસેન્સ. અસ્તિત્વ મનુષ્યના સત્ત્વને વટી જાય છે. માણસ to be-માંથી to become-ની દિશામાં વળી જાય છે ને એ જ દિશામાં મૃત્યુ પામે છે.

સાર્ત્રે સાચું કહ્યું કે અસ્તિત્વ સત્ત્વને વટી જાય છે, પણ હું તો એટલે લગી અનુભવું છું કે હું હમેશાં મારા સત્ત્વમાં પાછો ફરું છું, કેમ કે એ જ છે જે ખરેખર છે.

મારું હોવું અને સમીપે વસતા એનું હોવું અમને બન્નેને જિવાતા જીવન દરમ્યાન ઘણું શીખવે છે. અમને બન્નેને ભાન થાય છે કે એકમેકના સ્વાતન્ત્ર્યની રક્ષા ન કરી, એટલે ઘર્ષણ થયાં, પસંદગીનાં ચૂકવણાં ન કર્યાં, ઠાગાઠૈયા કર્યા, એટલે બરબાદી થઈ. મને થાય, ઈશ્વર જેવા ચિરંતન ખયાલથી કે મૃત્યુ જેવી નકરી ભવિતવ્યતાથી ડરીને ન જીવ્યો, ભૂતકાળે ઘટેલા બનાવોથી અને ભવિષ્યની ચિન્તામાં ગ્રસ્ત રહીને વર્તમાનને જ ન જીવ્યો … વગેરે.

અસ્તિત્વ દોડાવે છે, મને ખદેડે છે એવા ભાન સાથે પોતાના સત્ત્વમાં અવારનવાર પાછા ફરવું એ એક કારગત ઉપાય છે. દુ:ખનો અભાવ સુખ છે અને સુખનો અભાવ દુ:ખ છે એવા ભાન સાથે જીવવું એ પણ એટલો જ કારગત ઉપાય છે. નરસિંહે સરસ ભાળ્યું છે, ભાખ્યું છે – સુખ-દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિ યાં … it is the human life.

પીડા જીવન છે. એ ભાવજગતની અને તેથી સાહિત્યની સામગ્રી છે. પણ સુખની શોધનો સમ્બન્ધ અધ્યાત્મ સાથે છે. હું સંસાર અસાર છે એવા ડહાપણને વશ થઈ જીવું, તો સુખ મને મળે. પણ એમ થઈ શકતું નથી. કેમ કે જીવન પોતે જ અસાર છે, અર્થહીન છે, અસંગત છે, ઍબ્સર્ડ છે.

બુદ્ધ એ જ વાત એમની રીતે કરે છે, એમણે ૪ સત્ય પર આંગળી ચીધી : ૧ : પીડા અથવા દુ:ખ છે. (દુ:ખ) : ૨ : દુ:ખનું કારણ છે. (સમુદાય) ૩ : દુ:ખનિવારણનો ઉપાય છે. (નિરોધ) : ૪ : ઉપાય માટે ૮ પથ છે.

તત્ત્વજ્ઞાનની આ વિશેષતા પણ સાહિત્યકલામાં સામગ્રી બને છે, અને ત્યારે શબ્દ અને તત્ત્વની એકરૂપતા સિદ્ધ થાય છે.

એવી એકરૂપતાનું ડાયડેક્ટિક પોએટ્રીમાં હોય છે – ઉપદેશપ્રધાન કવિતામાં. મિલ્ટનકૃત “પૅરેડાઈઝ લૉસ્ટ”, વિલિયમ બ્લૅકકૃત “ડિવાઇન ઇમેજ” કે આલ્ફ્રેડ લૉર્ડ ટેનિસનકૃત “ઇન મૅમોરિયમ” એનાં જાણીતાં દૃષ્ટાન્તો છે. પણ રવીન્દ્રનાથ ટાગોરકૃત “ગીતાંજલિ”-ની સૃષ્ટિને ઉપદેશપ્રદાન ગણવા જતાં ભૂલ થાય, ન ગણીએ તો પણ ભૂલ થાય, એવી એની વિલક્ષણતા છે.

ડ : ચૉથી વિશેષતા એ છે કે સાહિત્યકાર મનુષ્યજીવનને પોતાની કલારીતિ અનુસાર સરજે છે. જેમ કે, મેં ગણાવ્યા એ બધા જ ચૈતસિક આવિર્ભાવો સાહિત્યકલાસૃષ્ટિમાં હમેશાં જોવા-અનુભવવા મળે છે. પણ તેમાંના કોઈની પણ જોડે સાહિત્યકાર બૌદ્ધિક વ્યાપાર નથી માંડતો.

એ જ રીતે, એ કોઈપણ ધર્મની કશી પણ પૂર્વધારણાને વશ નથી થતો. દાખલા તરીકે, બૌદ્ધ ધર્મની બીલીફ સિસ્ટમમાં ૩ બાબતો મુખ્ય છે : ૧ : કર્મ : ૨ : પુનર્જન્મ : ૩ : ક્ષણભંગુરતા.

એમાંની એક બાબત જીવનની ક્ષણભંગુરતા વિશે વાત કરું. જીવનમાં એ કેવાં કેવાં સ્વરૂપે છે :

આતુરતા, બેચેની, કારણ ન હોય એવી માનસિક અસ્વસ્થતા-anxiety રૂપે. insecurity- અસલામતીનો ભાવ, શું થશે? બધું બરાબર હશે? uncertainty-અનિશ્ચિતતા. બધું જ નિશ્ચિત છે. કશું જ નિશ્ચિત નથી. મૃત્યુ નિશ્ચિત છે પણ અનિશ્ચિત છે – ક્યારે? ક્યાં? અથવા એ નિશ્ચિત છે પણ આપણે જાણતા નથી એ નિશ્ચિત છે. Volatility – કશું જ સ્થિર નથી, એકાએક ઊછળે, અચાનક બેસી પડે. vulnerability – આક્રમણભોગ્ય છીએ. વાઘ આવે અને ખાવા માગે તો ખવાઇ જઈએ. સ્ત્રીઓ આક્રમણભોગ્ય છે. Fluctuation રૂપે – સમુદ્રમાં ભરતી-ઓટ સંભવે છે, એમ માણસના જીવનમાં પણ સુખ કે દુ:ખની ચડતી પડતી ચાલ્યા કરે છે. દિવસ દરમ્યાન પણ સવાર સારી, બપોર વધારે સારી, સાંજ ગમગીન હોય – શામ બડી ગમગીન હોતી હૈ. સ્નો જામે, ઑગળી જાય. સૂરજ જોવા ન મળે, મળે ત્યારે બધાં એક જ વાક્ય ઉચ્ચારે – ઇટ’સા સની ડે, હાઉ બ્યુટિફુલ !

કાફ્કાકૃત “A Country Doctor” નામની એક ટૂંકીવાર્તામાં સ્નોયી નાઇટ છે, વળી, ચાંદની પણ છે. એવામાં ગામડા ગામના પ્રૌઢ દાક્તરને એક દર્દીને જોવા જવું જ પડે એમ હોય છે. એ ઇમરજન્સી વિઝિટ માટે ઘોડા પર જવાય પણ દાક્તરનો ઘોડો આગલી રાતે મરી ગયો હોય છે. નોકર-છોકરી રોઝા બીજાનો ઘોડો મળે એ માટે ગામ આખામાં ભટકે છે, પણ સફળ થતી નથી. દાક્તર સ્નોમાં કૉર્ટયાર્ડમાં ઊભો રહે છે, અગતિક. વગેરે વાર્તાની વાતથી મેં વ્યાખ્યાન સમ્પન્ન કરેલું. (એ વાર્તાની વીગતે વાત ક્યારેક કરીશ.)

= = = 

(March 19, 2023 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઑસ્કાર એવોર્ડ્ઝઃ વંશવાદ, આર્થિક હિત, રંગભેદ, જાતિભેદનાં રાજકારણનું મેદાન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 March 2023

ઑસ્કાર એવોર્ડના 74 વર્ષમાં યુરોપીય રાષ્ટ્રને ઑસ્કાર મળ્યા હોવાની ઘટના 58 વખત બની છે 

ચિરંતના ભટ્ટ

આઠ વર્ષ પહેલાં એકેડેમી એવોર્ડ્ઝ એટલે કે ઑસ્કાર એવોર્ડ્ઝ અંગે એક હૅશટૅગ બહુ પ્રચલિત થયો હતો – #OscarsSoWhite (#ઓસ્કાર્સસોવ્હાઇટ). આ ટ્રેન્ડની પાછળ એ વિશ્લેષણ કારણભૂત હતું કે ઑસ્કાર એવોર્ડ મેળવનારાં અથવા તો એ માટે નોમિનેટ થનારાં વીસે વીસ એક્ટર્સ વ્હાઇટ-શ્વેત હતા, અંગ્રેજીમાં જેમને માટે ‘પિપલ ઑફ કલર’ શબ્દ વપરાય છે, એવા બીજા વંશના કે બીજા વર્ણનાં લોકો નહોતા. તાજેતરમાં જ યુનિવર્સિટી ઑફ સધર્ન કેલિફોર્નિયાની થિંક ટેંક એનનબર્ગ ઇન્ક્લુઝન ઇનિશ્યેટિવ દ્વારા જાહેર કરાયેલા એક સંશોધન અનુસાર 2015માં જ્યારે ઓસ્કાર્સ સો વ્હાઇટના અવાજ સાથે વિરોધ થયો, તે પહેલાનાં આઠ વર્ષમાં માત્ર 8 ટકા લોકો જ શ્વેત સિવાયના, બીજા કોઇ વંશના હતા. પણ જ્યારથી એ હૅશટૅગ ચાલ્યો એ પછી અન્ય વંશ કે વર્ણના લોકોનું પ્રતિનિધત્વ ઑસ્કાર્સમાં લગભગ 17 ટકા જેટલું વધ્યું છે. એક અંગ્રેજી શબ્દ છે – Inclusivity – ઇન્ક્લ્યુઝિવિટી – આ શબ્દનો સીધો સાદો અર્થ છે સમાવેશ!

એકેડેમી એવોર્ડ્ઝના 95 વર્ષના ઇતિહાસમાં વંશ વિવિધતાની હાજરી કે ગેરહાજરી અંગે એનનબર્ગનો ડેટા જાહેર થતો રહે છે જેને ‘ઇન્ક્લુઝન લિસ્ટ’ કહે છે. ટૂંકમાં શ્વેત વર્ણ સિવાયના વર્ણનાં હોય જેમ કે, બ્લેક કે એશિયાઇ વંશના હોય એવા એક્ટર્સ, ડાયરેક્ટર્સ વગેરેનાં કામનું પ્રતિનિધિત્વ ઓસ્કાર્સમાં કેટલું રહ્યું છે તેની માહિતી આ ડેટામાં હોય છે. વળી પ્રતિનિધિત્વની વાત આવે ત્યારે મહિલાઓના સમાવેશ કે પ્રતિનિધિત્વની ગણતરી પણ કરવાની રહે. 1929થી માંડીને અત્યાર સુધીમાં માત્ર 16 ટકા સ્ત્રીઓને ઑસ્કાર એવોર્ડ મળ્યો છે અને તેમાં ય શ્વેત ન હોય તેવી સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ તો માંડ 2 ટકા જેટલું જ રહ્યું છે. આ વર્ષે એક્ટિંગની મુખ્ય કેટેગરીઝના 20 એક્ટર્સ નોમિનેશનમાંથી 6 અશ્વેત એક્ટર્સ છે.

પહેલી નજરે સિનેમાની કળાનો ઉત્સવ મનાતા ઑસ્કાર એવોર્ડ્ઝ આપણે ધારીએ છે તે કરતાં કંઇ ગણા વધારે રાજકીય છે. તેની પર રંગભેદ, જાતિભેદ, રાજકીય અભિગમ, વૈશ્વિક રાજકારણના પ્રવાહો, સત્તાકીય રાજકારણ જેવી અનેક બાબતોનો પ્રભાવ હોય છે. 1993માં એક્ટર રિચર્ડ ગેર જ્યારે આર્ટ ડાયરેક્શનના વિજેતા જાહેર કરવા સ્ટેજ પર આવ્યા, તો તેમણે પોતાની નક્કી કરેલી સ્પીચ ઉપરાંત ચીનના તત્કાલિન શાસકને તિબેટ સાથેના તેમના વહેવાર બદલ ટપાર્યા અને માનવાધિકારના હનનની ટીકા કરી. ઑસ્કાર સેરીમનીમાં રિચર્ડ ગેરની હાજરી પર 20 વર્ષનો બાન મુકાઇ ગયો. વળી આ કંઇ પહેલીવારનું નહોતું, 1973માં ગોડફાધર ફિલ્મમાં માર્લોન બ્રાન્ડોને ગૉડફાધર ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, ત્યારે તેમણે એમ કહીને એ એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો કે હૉલિવૂડના મુખ્ય પ્રવાહમાં નેટિવ અમેરિકન્સ સાથે દુર્વ્યવહાર થાય છે. 2018માં મી ટુ કેમ્પેઇને વિવાદની હોળી સળગાવી હતી જેની ગરમી આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી માંડીને રાજકારણ સુધી પહોંચી હતી. ગયા વર્ષે વિલ સ્મિથે ઉદ્ઘોષક ક્રિસ રૉકને સ્ટેજ પર જઇને સણસણતો લાફો મારી દીધો હતો એ તો તમને યાદ જ હશે. આવા બધા અનેક વિવાદોને પગલે ઑસ્કાર કમિટીએ પરિવર્તનનાં ધીમાં અને મક્કમ પગલાં ભર્યાં, પણ એનાથી કંઇ બધું સાફસૂથરું નથી થઇ ગયું. આ વર્ષે પણ યુક્રેઇન પર રશિયાની ચડાઇ, રશિયન સેન્સરશિપ, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથેની સાંઠગાઠ, વંશીય છેતરપીંડી અને નોમિનેશન માટે થનારા લોબિંગે હૉલિવૂડની બેહૂદી વાસ્તવિકતા છતી કરી છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી ફોરેન ફિલ્મ કેટેગરીઝમાં અમુક દેશોનું પ્રતિનિધિત્વ થવા માંડ્યું છે પણ આ ફિલ્મો મોટે ભાગે યુરોપીય દેશોની હોય છે, બીજા દેશોની ફિલ્મોને બહુ પ્રાધાન્ય નથી મળતું. ઑસ્કાર એવોર્ડના 74 વર્ષમાં યુરોપીય રાષ્ટ્રને ઑસ્કાર મળ્યા હોવાની ઘટના 58 વખત બની છે અને આ કંઇ એટલે નથી થયું કે બીજા દેશોએ પ્રયત્ન નથી કર્યો, પણ નીચી આવક ધરાવતા રાષ્ટ્રો ઑસ્કારના લિસ્ટમાં ભાગ્યે જ પહોંચતા હોય તેવામાં જીતવાની તો વાત જ ભૂલી જવાની.

અત્યાર સુધીમાં આફ્રિકાના પાંચ દેશોને પ્રતિનિધિત્વ મળ્યું છે, એમાંથી જે ત્રણ જીત્યા એમાંથી બેના ડાયરેક્ટર યુરોપના હતા તો ત્રીજીનું ડાયરેક્ટર શ્વેત દક્ષિણ આફ્રિકીએ કર્યુ હતું. ઘણીવાર ફિલ્મોને વિદેશી ફિલ્મોની કેટેગરીમાં માત્ર એ કારણથી નથી ગણવામાં આવતી કે તેમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ વધુ પડતો કરાયો હોય છે – તેઓ આવી ફિલ્મને પૂરતી ‘ઇન્ટરનેશનલ’ નથી ગણતા. ઑસ્કાર્સમાં વંશવાદ હંમેશાં બહુ મોટો પ્રશ્ન રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઑસ્કાર્સની વ્યૂઅરશીપ પણ ઘટી છે. પૉપ્યુલર ફિલ્મોને જ્યારે ગણતરીમાં લેવામાં આવે તો ઑસ્કાર્સના આયોજકને પણ ફાયદો થાય છે ને કદાચ એ જ કારણોસર RRRના મજબૂત પ્રચારને પગલે તેને કમિટીએ ગણતરીમાં લીધી હોય એમ બને. ઓસ્કાર્સમાં બહુ દેખીતા સાંસ્કૃતિક પૂર્વગ્રહો હોય છે.

આ વર્ષે એવ્રીથિંગ, એવ્રીવ્હેર, ઑલ એટ વન્સ ફિલ્મને જેટલા નોમિનેશન્સ મળ્યા અને જેટલા એવોર્ડ મળ્યા એનાથી ઑસ્કાર કમિટીએ એશિયાના પ્રતિનિધિત્વનો મામલો બરાબર સાચવી લીધો. વળી આ ફિલ્મ તેને લાયક છે એ પણ એટલું જ સાચું છે. મિશેલ યો એવી પહેલી એશિયન મહિલા છે જેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. પોતાની ઑસ્કાર જીત્યા પછીની સ્પીચમાં તેણે જે કહ્યું એની શરૂઆત હતી કે મારાં જેવાં દેખાતાં અનેક જુવાન છોકરા છોકરીઓ માટે આ આશાની મશાલ છે. મિશેલ યો ઑસ્કાર માટે નોમિનેટ થનારી બીજી એશિયન સ્ત્રી છે અને અશ્વેત હોય પણ ઑસ્કાર જીતનારી તે બીજી મહિલા છે. ડાઇવર્સિટી અને ઇન્ક્લુઝિવનેસની વાત કરનારા ઑસ્કારમાં આ વર્ષે ડાયરેક્ટરની યાદીમાં બધા પુરુષ ચહેરાઓ જ છે. આ વર્ષે બ્લેક એક્ટર વાયોલા ડેવિસને ‘ધી વુમન કિંગ’ અને બાયોપિક ‘ટિલ’ ફિલ્મ માટે મહિલા ડાયરેક્ટર ચિનોની ચુક્વુને ક્યાં ય ગણતરીમાં ન લેવાયા એ બાબતે પણ ઑસ્કાર્સની ટીકા થઇ છે.

આખા વિશ્વમાં નાના મોટા દેશોમાં ફિલ્મો બને છે અને બનવી જોઇએ. હૉલીવૂડના ઑસ્કાર એવોર્ડનું આંતરરાષ્ટ્રીયકરણ થાય એમાં વાંધો નથી, પણ પશ્ચિમમાં મળનારી સ્વીકૃતિની લ્હાયમાં જે પોતાનું છે તે હાંસિયામાં ધકેલાઇ જાય અને બધાં સર્જકો હૉલીવૂડની ઘરેડની જ ફિલ્મો બનાવવા થનગનવા માંડે. આવામાં રાષ્ટ્રિય, વંશીય મૌલિકતા ધૂંધળી થવા માંડે.

નેવુંના દાયકાના ઉત્તરાર્ધમાં ઐશ્વર્યા રાય, સુશ્મિતા સેન, પ્રિયંકા ચોપરા, યુક્તા મુખી, લારા દત્તા આ બધી સુંદરીઓ ઇન્ટરનેશનલ બ્યુટી પેજન્ટમાં છવાઇ ગઇ. એવું નહોતું કે ભારતમાં એ પહેલાં સુંદર ચહેરા નહોતા, પણ ત્યારે વૈશ્વિક સ્તરે ભારતના માર્કેટની શક્યતાઓ અન્ય અર્થતંત્રોને નજરે ચઢી હતી. એ બ્યૂટી ઇન્ડસ્ટ્રીની વાત હતી. ઑસ્કાર્સમાં થોડેઘણે બદલાયેલા પ્રતિનિધિત્વની પાછળ ‘વૉક’ રાજકારણનો હાથ છે પણ અંતે પશ્ચિમી સમાજ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની માનસિકતા છતી તો થઇ જ જાય છે.

બાય ધી વેઃ

આપણે RRRના ‘નાટુ નાટુ’ ગીત અને ડૉક્યુમેન્ટરી શોર્ટ ‘એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને મળેલી જીતથી ખુશ તો છીએ જ પણ એક સવાલ ચોક્કસ થાય કે હૉલીવૂડને એવી ફિલ્મો ગમે છે જેમાં ભારતને એક ચોક્કસ રીતે દર્શાવાયો હોય. ભૂતકાળમાં જેને વાહવાહી મળી છે એવી ‘સ્લમડૉગ મિલ્યોનેર’ એક વિદેશીએ બનાવેલી ફિલ્મ હતી અને આપણા સામાજિક તંત્રના વિરોધાભાસ, ડાન્સ, ચમક-દમક, ગરીબી અને વંચિતતાની તેમાં વાત હતી. ઑસ્કારના સ્ટેજ પર એવી બાબતોને સ્થાન મળે છે જે હૉલિવૂડ માટે એક્ઝોટિક હોય અને જેમાં ત્રીજા વિશ્વની તસવીર દેખાતી હોય એને નોમિનેશન મળી જાય છે. વળી નોમિનેશનની વાત કરીએ તો 3થી 10 મિલિયન જેટલો ખર્ચો કરનારી ફિલ્મોને નોમિનેશનમાં સ્થાન મળી જાય છે. RRR ટીમે 9.7 મિલિયન ડૉલર્સના ખર્ચે મજબૂત લોબિઇંગ કર્યું. લોબિંઇગનો અર્થ પૈસા ખર્ચીને એવોર્ડ લેવો નથી પણ એ હદે એ સર્જનનો પ્રચાર પ્રસાર થાય કે નોમિનેશનમાંથી આખરી પસંદગી કરનારાઓના મત પર તેની અસર થાય. વળી આપણે એક રાષ્ટ્ર તરીકે વૈશ્વિક ફલક પર રાજકીય સત્તાનો દબદબો બતાડવો હોય ત્યારે પણ આ લોબિઇંગ જોરશોરથી થાય. પહેલાં તો RRRને ઑસ્કાર 2023માં એન્ટ્રી જ નહોતી મળી અને પછી તેનો એવો પ્રચાર કરાયો કે તેને નોમિનેશન મળ્યું અને ગીતને એવોર્ડ પણ મળ્યો. આ કરવા પાછળ તેના મેકર્સના કરોડો ખર્ચાયા છે. નાટુ નાટુ ગીત ખરેખર મજાનું છે, એમાં ડાન્સ પણ જોરદાર છે પણ હૉલિવુડની મહોર મેળવવા આટલી લાંબી સોડ તાણવાની જરૂર ખરી? દરેકનો મત આ અંગે જૂદો હોઇ શકે, બની શકે કે ભારતીય ફિલ્મોના ભવિષ્યની દિશા આ એક એવોર્ડને કારણે બદલાઇ પણ જાય. પણ જ્યારે ઑસ્કાર એવોર્ડનો હોસ્ટ એક તેલુગુ ફિલ્મને બૉલીવૂડની ફિલ્મ તરીકે ઓળખાવે ત્યારે આપણે શું સમજવું? હા, આપણી ફિલ્મો માટે હવે વૈશ્વિક બજારના દરવાજા ખૂલી ગયા, આપણે આપણી લીટી લાંબી કરીને આ તકનો બરાબર લાભ લેવો જોઇએ. પરંતુ, જે આપણું છે તેની ચમક કે સત્ત્વ ખોયા વિના.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 માર્ચ 2023

Loading

ઇતિહાસ જ્યારે ત્રાજવે તોળે ત્યારે કોઈની શેહશરમ રાખતો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|19 March 2023

રમેશ ઓઝા

વિદેશી ધરતી પર પોતાના દેશની ટીકા કરાય? કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇંગ્લેન્ડમાં ભારતમાં અસ્ત પામી રહેલા લોકતંત્ર વિષે અને આકાર લઈ રહેલા ફાસિસ્ટ સ્ટેટ વિષે જાહેરમાં નિવેદનો કર્યાં એ પછી આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. ભા.જ.પ.ના નેતાઓ અને બીજા કેટલાક લોકોને એમ લાગે છે કે દેશની અંદર ભલે શ્વાનની માફક લડીએ પણ વિદેશમાં દેશની બદનામી નહીં કરવી જોઈએ. કાઁગ્રેસીઓ કહે છે કે આવા દાયકાઓ જૂના વણલખ્યા નિયમને બાજુએ રાખીને દેશની વાત વિદેશમાં કરાવાની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે તેનાં પ્રમાણો પણ આપ્યાં છે.

સામાન્ય સંજોગોમાં વિદેશની ભૂમિ પર રાજકીય નેતાઓ ઘર આંગણેની રાજકીય બાબતો વિષે નુક્તેચીની કરતા નથી. પણ એ સામાન્ય સંજોગોમાં. અસામાન્ય સંજોગો હોય તો બોલવું પણ પડે. ૧૯૭૫થી ૧૯૭૭નાં વર્ષોમાં ઇન્દિરા ગાંધીએ દેશમા ઇમરજન્સી લાદી હતી, ત્યારે કેટલાક ભારતીય નેતાઓએ વિદેશમાં ઇન્દિરા ગાંધીની નિંદા કરી હતી. ડૉ. સુબ્રમણ્યમ્‌ સ્વામી આનું બોલકું ઉદાહરણ છે. એ સમયે ઇન્દિરા ગાંધીની ટીકા કરવા માટે ડૉ સ્વામીની નિંદા કરવામાં નહોતી આવી, તેમની સરાહના કરવામાં આવી હતી. કોઈ વિવેકી અને ડાહ્યા માણસે દેશપ્રેમ અને રાષ્ટ્રવાદના સોગંદ ખાઈને એમ નહોતું કહ્યું કે ડૉ. સ્વામીએ દેશની બદનામી કરી છે. આજે દેશમાં ૧૯૭૫ કરતાં પણ વધુ પ્રમાણમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે, પણ સુબ્રમણ્યમ્‌ સ્વામીનાં પેટનું પાણી પણ હલતું નથી; જ્યારે કે સરમુખત્યારશાહી કરતાં ફાસીવાદ અનેકગણો ખતરનાક છે. અત્યારે રશિયા, ચીન, તુર્કી, મ્યાનમાર, પાકિસ્તાન વગેરે દેશોના રાજકીય નેતાઓ પોતાના દેશના શાસકોની નિંદા વિદેશમાં કરે જ છે. કરતા નથી, કરવી પડે છે. જ્યારે શાસન સરમુખત્યારશાહી હોય, પસંદ કરેલી પ્રજા સાથે જુલમ થતા હોય, કાયદાના રાજની મર્યાદાઓનું ઉલ્લંઘન થતું હોય, લોકતંત્રને નિષ્પ્રાણ બનાવવામાં આવતું હોય, ન્યાયતંત્ર સહિત લોકતાંત્રિક સંસ્થાઓને કચડવામાં આવતી હોય ત્યારે દેશ અને વિદેશમાં પણ ઊહાપોહ કરવો પડે.

બીજું, સામાન્ય સંજોગોમાં વિદેશમાં ટીકા નહીં કરવાનો વિવેક રાજકીય નેતાઓ પાળતા આવ્યા છે (બાય ધ વે એ પરિપાટીનો ભંગ નરેન્દ્ર મોદીએ જ કર્યો હતો.), પત્રકારો અને રાજકીય સમીક્ષકો નહીં. નરેન્દ્ર મોદીની રાહુલ ગાંધી કરતાં હજાર ગણી આકરી ટીકા વિદેશી મીડિયા કરે છે. બી.બી.સી.ની ડોકયુમેન્ટરી ફિલ્મ આનું તાજું ઉદાહરણ છે. ‘ધ ઈકોનોમિસ્ટ’ નામના સામયિકે નરેન્દ્ર મોદી ઉપર બે વાર કવર સ્ટોરી કરી છે જેમાં તેમને (સામાજિક) ‘વિભાજનકર્તા’ અને (કોરોનાના) ‘સંક્રમણકર્તા’ તરીકે ઓળખાવ્યા હતા. આ તો બે ઉદાહરણ છે, આવા તો બીજાં વીસ ઉદાહરણ આપી શકાય એમ છે. ક્યાં ક્યાં ગળટુપા આપશો? આ સિવાય જે તે દેશોના અને જે તે વૈશ્વિક એજન્સીઓના વાર્ષિક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે. જે નાગરિકો બુદ્ધિ ધરાવે છે અને જે ગોદી મીડિયા દ્વારા બતાવવામાં આવતી દુનિયા સિવાયની સાચી દુનિયા વિશે જાણવા માગે છે અને જાણવા જેટલી બુદ્ધિ અને પ્રામાણિકતા ધરાવે છે તે આ જાણે છે.

ત્રીજું, એ તો સનાતન સત્ય છે કે જો પ્રતિષ્ઠા જોઈતી હોય તો પ્રતિષ્ઠા રળવી પડે. ખરીદીને અને ડરાવીને જે પ્રતિષ્ઠા મળે છે એ ક્યારે ય ટકી શકતી નથી. અને જેઓ પ્રતિષ્ઠા રળીને ગયા છે તેમને ગમે એટલા બદનામ કરવામાં આવે તેની કીર્તિ અસ્ત પામતી નથી. ગાંધીજી આનું ઉદાહરણ છે. ગાંધીજીને ખતમ કરવા માટે કેટલી પ્રચંડ તાકાત દિવસરાત કામે લાગેલી છે, પણ એ માણસ મરતો જ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાહરલાલ નેહરુને ટપી જાય એવી પ્રતિષ્ઠા જોઈતી હોય તો એ રળવી પડે અને એ રળવાના માર્ગ જુદા છે. તેઓ અત્યારે જે માર્ગ અપનાવી રહ્યા છે એ પ્રતિષ્ઠાનો માર્ગ નથી. “વહુએ વગોવ્યા મોટાં ખોરડાં રે લોલ…” નામની કવિ ત્રાપજકરની એક કવિતા એક જમાનમાં ઘરેઘરે ગવાતી હતી અને ટાંકવામાં પણ આવતી હતી. ત્યારે (અને આજે પણ) બહુ થોડા લોકો પ્રશ્ન પૂછતા હતા કે ગુનેગાર કોણ? વગોવણી કરનારી વહુ કે પછી વગોવણી થાય એવાં કૃત્યો કરનારા મોટાં ખોરડાના મોભી? કોણ જવાબદાર? વહુ પરાઈ છે, વહુ ઓશિયાળી છે, નિર્બળ અને લાચાર છે માટે તેને ગુનેગાર ઠેરવવાની? ઘરનો મોભી નિર્લજ્જ કૃત્યો કરે અને લાચાર વહુ મોઢું બંધ રાખીને લાજ રાખે એ ન્યાય કહેવાય? માટે પ્રતિષ્ઠા જોઈતી હોય તો પ્રતિષ્ઠા રળવી પડે. ઉધારની પ્રતિષ્ઠા ગમે ત્યારે દગો દઈ શકે છે.

અને છેલ્લે આવે છે ઇતિહાસ. ઇતિહાસ જ્યારે ત્રાજવે તોળે ત્યારે કોઈની શેહશરમ રાખતો નથી. ત્યાં તમે એકલા હો છો અને સાથે હોય છે કરેલાં કાર્યો. ઇતિહાસ પંક્તિઓ પાડે છે અને કરેલાં કાર્યો મુજબ પંક્તિમાં બેસાડે છે. કઈ પંક્તિમાં જગ્યા પાકી કરવી એ આજના શાસકોએ નક્કી કરવાનું છે. જો રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી બરતરફ કરવામાં આવશે તો રાહુલ ગાંધીએ ઇંગ્લેન્ડમાં જે કહ્યું એ સિદ્ધ થઈ જશે, એટલું જ નહીં, ઇતિહાસમાં ક્યાં જગ્યા મળશે એની પંક્તિ પણ નક્કી થઈ જશે.

જો સાચી અને ટકાઉ પ્રતિષ્ઠા રળવી હોય તો હજુ પણ સમય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 માર્ચ 2023

Loading

...102030...1,2021,2031,2041,205...1,2101,2201,230...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved