Opinion Magazine
Number of visits: 9566892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યનો ક્ષય ને પાપનો જય

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 February 2023

રવીન્દ્ર પારેખ

મૂળ તો ‘સત્યનો જય, પાપનો ક્ષય’ છે, પણ હવે જમાનો બદલાયો છે. એવો સમય હતો જ્યારે મનુષ્ય પાપ ભીરુ હતો. ઈશ્વરથી ડરતો. ખોટું કરતાં ખચકાતો. હજી સત્યનો મહિમા ક્યાંક છે જ ! માણસાઈ, ભલમનસાઈ, સદ્દભાવનું મૂલ્ય હજી છે, પણ જે રીતે લુચ્ચાઈ, બદમાશી, છેતરપિંડી વધી રહી છે, સત્યને રહેવાની જગ્યા સાંકડી થતી આવે છે. ચારે બાજુ જે રીતે અસત્ય, જૂઠાણાં, વધતાં આવે છે તે જોતાં સચ્ચાઈ, અચ્છાઈ, માણસાઈને માટે જગ્યા ઓછી જ બચે છે. ખૂન, લૂંટફાટ, બળાત્કાર, છેડતીના કિસ્સાઓ જે રીતે વધતા આવે છે ને એ જ સાચું હોય તેમ પ્રચાર માધ્યમો તેનો મહિમા કરે છે, તે પરથી તો મૂલ્યોની વાત મજાક જેવી જ લાગે છે. પ્રચાર માધ્યમો જે રીતે પ્રજાને ડરાવી, ધમકાવીને કાબૂ કરે છે, તેમાં પોતે સર્વગુણ સંપન્ન હોવાનો વહેમ કેન્દ્રમાં છે. અમુક જ કરો, અમુક તો ન જ કરો જેવી સલાહો આપનારા પ્રજાને મેસ્મેરાઇઝ કે હિપ્નોટાઈઝ કરતાં હોય તેમ પૂરી બેશરમીથી ને દાદાગીરીથી વર્તે છે. આ બરાબર નથી. પ્રચાર માધ્યમો દ્વારા આવાં કામ માટે ખપમાં લેવાતી જગ્યાનું પ્રમાણ પણ તપાસવા જેવું છે. એમાં થાય છે એવું કે જે સમાચારને મહત્ત્વ અપાવું જોઈએ તે એવે ખૂણે નંખાય છે કે નજરે જ ન ચડે. તેને બદલે રાજકીય અપપ્રચાર, ધંધાકીય ગોલમાલ, આંતરરાષ્ટ્રીય રાજરમતોને એટલું મહત્ત્વ અપાય છે કે જગતમાં સારું તો કશું બનતું જ નહીં હોય એવો વહેમ પડે. એને કારણે મહત્ત્વની સમસ્યાઓ હાંસિયામાં ધકેલાતી હોવાનું પણ લાગે છે.

બીજી ઘણી સમસ્યાઓ છે જ ને તેને વિષે પણ વાત થઈ જ શકે, પણ બજેટ સંદર્ભે એક વાત તરફ નજર નાખવાનું હાલ જરૂરી લાગે છે. એક સમયે રેલવે બજેટ અલગથી પ્રસ્તુત થતું ને તેને પૂરતો સમય ફાળવાતો. નવી ટ્રેનો કે રેલવે સ્ટેશનોની સુવિધાઓ કે રેલવે ભાડાં અંગે વિગતે વાતો થતી, ચર્ચાતી. હવે મુખ્ય બજેટની સાથે જ રેલવે બજેટ પણ એવી રીતે પ્રસ્તુત થાય છે કે તે સાવ ગૌણ હોય. તેને સ્પર્શીને છોડી દેવાતું હોય તેવું વધારે લાગે છે. આવો સાવકો વ્યવહાર અટકવો જોઈએ. નથી પ્રજા એ અંગે કશું બોલતી કે નથી તો રેલવે મંત્રાલયને એમાં કૈં ખૂટતું લાગતું. રેલવે મંત્રી રાબેતા મુજબ ખોટની અને નથી પરવડતું-ની વાત કરતાં રહે છે. એમાં સચ્ચાઈ ઓછી ને ખંધાઈ વધારે છે. તેમાં વળી આ વખતના બજેટમાં નાણાં મંત્રી ઇન્કમટેક્સની રાહતો આપવામાં એવા ઉમંગી રહ્યાં કે સિનિયર્સને ટ્રેનમાં મળતી છૂટ અંગે કોઈ જાહેરાત જ ન કરી. એમને એમ હશે કે ઇન્કમટેક્સનું લોલીપોપ ધર્યું છે, તો સિનિયર્સ રેલવે કન્સેશનને યાદ નહીં કરે. રેલવે મંત્રીને તો ખોટ જ એટલી દેખાય છે કે રાહતની કોઈ વાત ભૂલમાં ય આવે એમ લાગતું નથી.

વડીલોને રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ અપાઈ, ત્યારે સિનિયર્સ, કર ભરવામાંથી મુક્તિ અપાઈ છે એમ માનીને હરખાયેલા, પણ કરની જવાબદારીઓ ઘટી ન હતી એ વાત તેમને મોડી પહોંચેલી. વાત ત્યારે એવી યુક્તિથી રજૂ થયેલી કે સિનિયર્સને છેતરાયાનું ભાન પણ મોડેથી થયેલું. એવું જ રેલવે કન્સેશન બાબતે પણ થયું હોવાનું લાગે છે. 2020 સુધી 58ની ઉપરની મહિલાઓને 50 ટકા અને ભાડામાં સિનિયર્સને 40 ટકા રાહત રેલવે ભાડાંમાં અપાતી હતી, તે આવક ઘટી છે – એ વાત આગળ કરીને, 2020થી બંધ કરી દેવાઈ. કમ સે કમ આ વખતના બજેટમાં એ રાહતની અપેક્ષા સિનિયર્સને હતી, પણ સરકારે મગનું નામ મરી ન જ પડ્યું. આ ઉપરાંત કોરોનાને નામે રેલવેએ ભાડાં તો વધાર્યાં જ, ઉપરથી પ્લેટફોર્મ ટિકિટનાં 10નાં સીધાં 30 કરી દીધા. શતાબ્દી કે રાજધાની જેવી ટ્રેનોમાં ધાબળા, ઓશીકાની સગવડો અપાતી હતી તે કોરોનાને નામે બંધ કરી દેવાઈ, આ સગવડો બંધ થઈ તો તે હિસાબે ભાડું ઘટવું જોઈએ, તેને બદલે વધ્યું. માની લઇએ કે ટ્રેન વ્યવહાર કોરોનામાં બંધ પડ્યો તો રેલવેને ખોટ ગઈ ને એ ભરપાઈ કરવા સિનિયર્સને અપાતું કન્સેશન બંધ થયું. હવે રેલવેને ખોટ ગઈ જ હોય તો સિનિયર્સને અપાતી રાહત બંધ થાય તે સમજી શકાય, તો  સાંસદોને અને પૂર્વ સાંસદોને એકનું કે એકથી વધુની મફત મુસાફરીની સવલત આપવાનું ય બંધ થવું  જોઈએને, પણ એ રાહતો તો ચાલુ જ છે. સિનિયર્સને અપાતી રાહત વખતે રેલવે પોતાને ખોટ કરતી લાગે છે, તો સાંસદોને એ.સી.ની મફત ટિકિટો આપતી વખતે રેલવે નફો કરતી થઈ જાય છે? વારુ, સિનિયર્સને અપાતી રેલવે રાહતો લોકોનાં ટેક્સમાંથી અપાય છે. એવી જ રીતે સાંસદોને અપાતી રાહત પણ લોકોના કરવેરામાંથી જ અપાય છે. તો એકને રાહત બંધ રહે ને એકને ચાલુ રહે એ યોગ્ય છે? રેલવે બીજી રાહતો બંધ કરતી હોય તો સાંસદોને ફર્સ્ટક્લાસ એ.સી.ની કે સેકન્ડ ક્લાસ એ.સી.ની એક કે તેથી વધુની અપાતી મફત ટિકિટો પણ બંધ થવી જોઈએ, એવું નહીં? કે પેલા સાંસદ છે એટલે ખોટ નથી જતી ને ખોટ સિનિયર્સથી જ જાય છે એમ માનવાનું છે? આવી બેવડી નીતિ યોગ્ય નથી.

આવું જ સાંસદોના પગાર, ભાડાંભથ્થાં ને અન્ય સવલતો બાબતે પણ થાય છે. આમ તો સાંસદોએ કેટલો પગાર ને ભથ્થાં કે સવલતો લેવાં તે અંગે કદી કોઈ વિવાદ થતો નથી. જો કે, સારી વાત એ છે કે કેન્ટિનની સબસિડી બંધ કરવાનો અવાજ પણ એક સાંસદે જ ઉઠાવ્યો હતો, પણ પગાર-ભથ્થાંને મામલે તો કોઈ અવાજ સંસદમાંથી નથી જ ઊઠયો તે દુ:ખદ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળતા તમામ સરકારી લાભો બંધ કરી દેવા જોઈએ એ મતલબની અરજી 2019માં થયેલી ને સુપ્રીમે તેનો સ્વીકાર પણ કરેલો, પણ પરિણામ અટકવામાં નહીં, પણ વધવામાં આવ્યું. કોઈ સાંસદનાં પગાર કે પેન્શનમાં વધારા સિવાય કોઈ ફેરફાર થયો નથી. થાય છે એવું કે બધું જ વધે છે તો ટેક્સ પણ વધે છે ને એનો બોજ સામાન્ય પ્રજા પર જ પડે છે. આ લાભ સાંસદો, ધારાસભ્યોથી માંડીને કોર્પોરેટરો સુધીના બધા જ લે છે. એમને પગાર, ભથ્થાં ઉપરાંત ઘણું મફતમાં જ મળે છે ને ઉપરથી તમામ પ્રકારના ટેક્સમાંથી મુક્તિ મળે છે તે નફામાં. સિનિયર્સને રેલવે કન્સેશનમાંથી મુક્તિ અપાઈ, પણ તેમની ટેક્સની જવાબદારીઓ ઘટી નથી. જ્યારે સાંસદને કન્સેશન તો અપાય જ છે, ઉપરથી ટેક્સની જવાબદારીમાંથી મુક્તિ પણ અપાઈ છે. એમનો પોસ્ટનો, મોબાઈલનો, પ્રવાસનો ખર્ચ સામાન્ય પ્રજા પર છે. એની એક ટર્મ પૂરી થાય ને ફરી ન ચૂંટાય કે ચૂંટણી ના લડે તો તે પેન્શનને પાત્ર ઠરે છે. લોકોને ગેસની સબસિડી છોડવાની અપીલ થાય ને લોકો સ્વેચ્છાએ એ લાભ જતો કરે, પણ સાંસદને તેનાં ગામમાં મળતી ગેસની સબસિડી છોડવાની ઈચ્છા નથી જ થતી તે હકીકત છે.

કશુંક મેળવવાને મામલે બધાં જ રાજકારણીઓ એક થઈ જાય છે. મહિને ત્રણેક લાખનો પગાર ને ઉપરથી ભથ્થાં ને સગવડો મેળવનાર સાંસદોને પેટ્રોલ, લિટરનાં હજાર રૂપિયા થાય તો ય મોંઘું ન લાગે એમ બને. સાંસદ હોવું નોકરીનો ભાગ નથી, તે સેવાકીય પ્રવૃત્તિ છે ને છતાં તેનો પગાર લાખોમાં બને છે. એટલું ઓછું હોય તેમ તેનું પેન્શન બંધાય છે. એ પણ એક નહીં, ત્રણ ત્રણ. તે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, તેની ટર્મ પૂરી થાય કે ત્રણ ત્રણ પેન્શન એક જ જણને નામે ચડે છે. હવે તો પેન્શન લગભગ બધેથી ગયું છે. ત્રીસ-પાંત્રીસ વર્ષની નોકરી પછી પણ પેન્શન ન હોય ને રાજકારણમાં પાંચ વર્ષે પેન્શન લાગુ થઈ જાય છે ને તે ય કેટલાક કિસ્સાઓમાં તો ત્રણત્રણ ! આ બરાબર છે? આટલા સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો આખા દેશમાં છે, પણ કોઈ માઈના લાલને એ સવાલ નથી થતો કે આ રીતે પેન્શન, ભથ્થાં લઈ શકાય તો પેલા સિનિયર્સને ટ્રેનમાં કન્સેશન કેમ ન આપી શકાય? રેલવે શું માત્ર સિનિયર્સને કારણે ખોટમાં જાય છે? એને માટે સાંસદો જવાબદાર નથી, શું? વર્ષનાં પાંચ લાખ કમાનારો ઇન્કમટેક્સ ભરતો હોય અને મહિને પાંચ લાખ પાડનારો સાંસદ રૂપિયો ય ટેક્સ ન ભરતો હોય એ બરાબર છે? કોર્ટ આ મામલે સરકારને પોતાનાં ધોરણો સ્પષ્ટ કરવાનો આગ્રહ કરે છે તો સરકાર રોકડું પરખાવે છે કે ગૃહની વાતો ગૃહ જ નક્કી કરશે, એમાં ન્યાયતંત્રે માથું મારવાની જરૂર નથી. સાચું તો એ છે કે મૂળ કાયદામાં પેન્શનની વાત જ ન હતી, પણ 2004માં પેન્શનનો લાભ ઉમેરવામાં આવ્યો. એક વાર સભ્યો ગૃહમાં ટર્મ પૂરી કરે કે જિંદગીભરનું પેન્શન પાકું. આ હકીકત છે. પછી કઇ રીતે સત્ય પર ભરોસો રહે? સત્યનો ડગલે ને પગલે ક્ષય થતો જતો હોય ને આંખ સામે જ થતો જતો હોય, તો અ’સત્યમેવ જયતે’ જ કહેવાનું બાકી રહે કે બીજું કૈં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ફેબ્રુઆરી 2023

Loading

જગ કેરી જમાતમાં એની છેક અનોખી ભાત

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar|12 February 2023

એમને જાણતો ય નહોતો તે દિવસોની વાત છે.

નીરજ શાહ

સંજોગો અનુસાર, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી પદેથી છૂટા થયા પછીના એ દિવસો હતા. કાર્યવાહી સમિતિનો સભાસદ પણ નહોતો. તેમ છતાં, માર્ગદર્શન સારુ દરેક બેઠકમાં હાજર રહેવા નિમંત્રણ રહેતું. આવી જ બેઠકમાં, ખાલી પડેલી એક જગ્યા સારુ, ડૉ. પંચમ શુક્લે એક નીરજ શાહના નામનો પ્રસ્તાવ મુક્યો. હિસાબકિતાબના નિષ્ણાત એવા નીરજ શાહે ‘રણકાર’ નામે સરસ મજાની વેબસાઇટ ઊભી કરી છે, તેમ જ તે નામ, એક દા, ઈન્ટરનેટી રેડિયો પણ ચલાવેલો, તેવી માહિતી પણ અપાઈ.

મારા માટે વિમાસણ હતી, કેમ કે આ નવાઈનું નામ હતું. પરંતુ કારોબારીએ પંચમભાઈનું સૂચન સ્વીકારી લીધું. … ખેર ! આ ઘટનાને હવે લાંબો પનો મળ્યો છે.

હળુ હળુ નીરજભાઈ જોડેનો પરિચય થતો રહ્યો; જામતો રહ્યો. અમે ખૂબ નજીક આવ્યા. 

લાંબા સમય ગાળાથી અકાદમી પોતાની વેબસાઇટ ઊભી કરવા પ્રયત્નશીલ રહી; પણ અનેકવિધ કારણે તે શક્ય બનતું નહોતું. ફારુકભાઈ ઘાંચી, પંચમભાઈ શુક્લ જોડે મારી આ બાબત વાતો થયા કરતી, એ વાતોમાં હવે નીરજભાઈનો ઉમેરો થયો અને અમારી આ ફળદ્રુપતાને કારણે વિચારને કોટા ફૂટ્યા; ફૂલ બેઠાંનો અનુભવ થયો.

યૉકર્શર બેઠા બેઠા ફારુકભાઈએ; લંડનની કોઈક યુનિવર્સિટીમાં મેકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાભ્યાસ કરાવતાં કરાવતાં પંચમભાઈએ વાતાવરણ તૈયાર કરેલું, અને નીરજભાઈ શાહે સપનાંનાં વાવેતર કર્યાં. એમણે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની વેબસાઇટ ઊભી કરી આપી. એમાં સાહિત્ય, ભાષા, અસ્મિતા, કાર્યક્રમો, પ્રકાશન, સમાચાર ઉપરાંત આનુષંગિક કડીઓ સમેતનું જીવંત ઈન્ટરનેટી જગત ખડું કરી દીધું. બીજી પાસ, નીરજભાઈએ પંચમભાઈના તેમ જ ફારુકભાઈના સાથમાં ફેઇસબૂકે સાહિત્ય અકાદમીનું ખાતુ ખોલી આપ્યું. આજે 72,756થી વધારે ‘સભ્યો’ તેનો લાભ લેતા રહ્યાં છે.

°°°

અમદાવાદમાં વસતાં કોકિલાબહેન અને બિપીનભાઈ શાહને ત્યાં નીરજભાઈનો 27 ઑગસ્ટ 1982ના રોજ જન્મ થયો. આ દંપતીનું એ બીજું સંતાન. પહેલું સંતાન એટલે નીરજભાઈથી મોટેરા વિપુલ શાહ. અમદાવાદની સ્વસ્તિક સ્કૂલ માંહેના શાળાકીય અભ્યાસકાળ પછી, સહજાનંદ કૉલેજના એક દા આ વિદ્યાર્થીએ ત્યાં જ બી.કૉમ.ની ઉપાધિ મેળવી હતી. આશરે બે દાયકા થયા હશે નીરજ શાહને ઇંગ્લૅન્ડ આવ્યાને. સપ્ટેમ્બર 2005 વેળા એ અહીં

બંધુ બેલડી : વિપુલ અને નીરજ શાહ

વિલાયતમાં વધુ અભ્યાસ સારુ આવેલા. યુનિવર્સિટી ઑવ્‌ ગ્રિનીચમાંથી ‘ઇન્ફૉર્મેશન સિસ્ટમ્સ મેનેજમેન્ટ’ વિષય સાથે એમ.એસસી.ની ઉપાધિ એમણે મેળવી. 

આવા આવા દિવસોમાં જ નીરજભાઈએ 2006/7 દરમિયાન, ‘રણકાર’નો આદર કર્યો. કવિતાનો, સંગીતનો નાદ જગવતો તે નામે રેડિયો ય પણ શરૂ કરી ચલાવી ય જોયો. એક મજેદાર વાતાવરણ ઊભું ય કરી જાણ્યું.

વડોદરાનિવાસી ઇન્દિરાબહેન અને અશોકભાઈ પુરાણીનાં દીકરી હેતલ આ દિવસોમાં અહીં ફાર્મસિસ્ટનો વ્યવસાય કરે. એ બન્નેનો પરિચય થયો અને હેતલ – નીરજનું મિલન 13 ફેબ્રુઆરી 2009ના રોજ પરિણયમાં પરિણમ્યું.

આ યુગલનું આતિથ્ય અનેક વાર માણ્યું છે અને એ બન્નેએ પારાવાર હૂંફ આપ્યાં કરી છે.

***

હેતલ − નીરજ શાહ

જેમને લગીર પણ જાણતો ન હતો તેવા આ નીરજ શાહ આજે (અ)મારા અડીખમ તેમ જ વિશ્વાસુ સાથીસહોદર બની ગયા છે. ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઇટ તો એમણે દીપાવી જાણી જ જાણી, પરંતુ જોડાજોડ, અકાદમી યોજિત અનેકવિધ સોજ્જા અવસરોને યુટ્યુબ વાટે કાયમી બનાવી દીધા છે. કેટલાક કાર્યક્રમોમાં વક્તા ય બન્યા છે તથા અભ્યાસુ રજૂઆત કરીને ચકિત કર્યો છે. વરસો પહેલાં ગુજરાતી ડાયસ્પોરાનાં અગ્રગણ્ય કવયિત્રી પન્ના નાયક અંગેની એમની રજૂઆત તો સાંભરે જ; પણ નવમી ભાષાસાહિત્ય પરિષદ ટાંકણે, ‘ઈન્ટરનેટ જગત, બ્લૉગ, વેબસાઈટ, ફેઇસબુક વગેરે વગેરે એટલે ગુજરાતી ભાષા-સાહિત્યની વાત’ વિષય બાબત, બીજા દિવસની સવારની બેઠકમાં, આપેલું વક્તવ્ય હજુ ય તાજાતર અનુભવું છું.

આવાં કસદાર જોમ અને આવડત છતાં, નીરજભાઈ છવાઈ જતા નથી, બલકે આવી જવાબદારીઓથી પર રહેવાની લાગણીમાં સતત પરોવાયેલા રહે છે. આગલી હરોળે ઘમરોળવા કરતાં સિપાહી બની રહેવાની જાણે કે મહેચ્છા ધરાવતા ન હોય તેમ લાગે !

કોવિડ-ઓગણીસે જગતને માથે લીધું. એ તો હજુ હમણાંની જ વાત છે. તે ટાંકણે પંચમભાઈ, નીરજભાઈ અને મને અસુખ રહ્યા કરે. સભ્યગણ જે દર માસે હળતોમળતો તેના પર પ્રતિબંધ થયો. તે હવે ઊકેલ રૂપે, ઇન્ટનેટી માધ્યમ વાટે વર્ચ્યુઅલ બેઠકો યોજવાનું અમે નક્કી કરી બેઠા. એક પછી એક અનુભવો લેતા ગયા, કરતા ગયા. સ્કાઈપથી આદર કર્યો; ગૂગલનો માર્ગ પણ લીધો અને છેવટે ઝૂમને પનારે આગળ ધપતા રહ્યા. આ ક્ષેત્રની મને કોઈ જ સૂજબૂજ નહીં; આવડત પણ નહીં. જાણે કે એક ઠોઠ નિશાળિયો ! પણ પંચમભાઈ અને નીરજભાઈ સક્રિય રહ્યા. અને કોઈ પણ જાતની આડંબરી વિના નીરજભાઈએ ગોઠવણ વ્યવસ્થાને સાંચવી લીધી. ડૉ. સુમન શાહના વક્તવ્યથી આદર કર્યો ત્યારે જગતને ચોક ભાગ્યે જ આવી ગોઠવણ વર્તાતી. આજે ચોમેર બિલાડીના ટોપાની જેમ છવાઈ ગયાનું વર્તાયા કરે છે !

તેમ છતાં, આ કાર્યક્રમોનું ખમીર મોટે ભાગે ઓજસ્વી રહ્યું છે તેમાં પંચમ શુક્લ ઉપરાંત નીરજ શાહનો પારાવાર સમો ફાળો વર્તાય. 

2021માં “ઓપિનિયન”ની રજત જયંતી મનાવવાનું વિચારાયું. નીરજ શાહ, પંચમ શુક્લ તથા અશોક કરણિયાને સાથે રાખ્યા. અમે ’રજત રાણ પડાવે ઓપિનિયન’ નામનો લાંબા અરસા સુધી યાદ રહી જાય તેવો કાર્યક્રમ ઘડી કાઢ્યો. નીરજભાઈએ અહીં બેઠા પેશગીની જબ્બર ગોઠવણ કરી. એમાં પંચમભાઈએ, અશોકભાઈએ મન મૂકીને પરોવાઈ જવાનું રાખ્યું. આ ત્રણેય મિત્રોની સામેલગીરી, એમની સૂજસમજ, એમની દૂરંદેશીને કારણે લાંબા અરસા લગી મમળાવ્યા કરવાનું મન થાય તેવો આ અવસર બની બેઠો. આ પહેલા, ક્વચિત, આ રીતે જગત ભરે વસેલી ગુજરાતી જમાતમાંથી વક્તાઓની પસંદગી થઈ હોય. વિષયો અફલાતૂન હતા અને પેશગી બેનમૂન. અને આના યશભાગી નીરજ શાહ સમેતની આ ત્રિપુટી જ હતી.

પરિસ્થિતિવસાત, ‘ગુજરાતી લેક્સિકૉન’ની સ્વાયત્તતા તેમ જ સ્વતંત્રતા વીંટીસાટીને ‘ગુજરાતી વિશ્વકોશ’માં સામેલ થઈ જવાનું થયું, તેને કારણે, “ઓપિનિયન”નું પાયાગત ઘર બદલવાનું થયું ત્યારે નીરજભાઈ શાહે જ જાતમહેનતે ગોઠવણ કરીને, ઘડીના છઠ્ઠા ભાગમાં, આ કમઠાણની ફેરબદલ સફળતાપૂર્વક કરી આપી. આટલું ઓછું હોય તેમ, “ઓપિનિયન”ના આરંભનાં મુદ્રિત વર્ષોના તેમ જ ડિજિટલ ગાળાના ત્રણ વર્ષ થઇને તમામે તમાત 18 વર્ષોની ફાઈલને પણ નવેસરથી કંડારીને હાથવગી કરી લીધી. 

“ઓપિનિયન”ની ડી.વી.ડી. માંહેના તમામ અંકોને આમ, “ઓપિનિયન”ની વેબસાઇટના માધ્યમે સુલભ કરી આપવાનું મહાભારત કામ પણ એમણે સુપરે પાર પાડ્યું છે.

સોટકે, ‘સાદી વાત, સાદો ભાવ અને રોજ બ રોજની તળપદી લાગણીઓને આછા ચમત્કાર સાથે વાચા આપનાર’ આપણા એક સોજ્જા કવિ દેવજી રામજી મોઢાની ‘મન’ નામે એક કવિતા સાંભરે છે. 

મનની મોટી વાત રે ભાઈ, મનની મોટી વાત !

જગ કેરી સૌ જમાતમાં એની છેક અનોખી ભાત રે, 

                                 ભાઈ, મનની મોટી વાત !

આવી અનોખી ભાતના આ મનેખ એક મિત્ર છે તેમ જ અદના સાથીદાર છે, એ ઘટનાને એક ઉમદા સૌભાગ્ય લેખું છું. 

પાનબીડું :

                                       મોટાઓની અલ્પતા જોઈ થાક્યો,

                                      નાનાની મોટાઈ જોઈ જીવું છું.          

                                                                 − ઉમાશંકર જોશી  

(937 શબ્દો)
હેરૉ, ઇંગ્લૅન્ડ; 27 જાન્યુઆરી − 11 ફેબ્રુઆરી 2023
e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

પરવેજ મુશર્રફ : કારગિલના ખલનાયક જ્યારે આગ્રામાં હીરો બનવા આવ્યા હતા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 February 2023

રાજ ગોસ્વામી

માણસની જેમ જેમ ઉંમર થાય તેમ તેમ તેની બુદ્ધિ ઠેકાણે આવતી જાય છે. ગયા સપ્તાહે, 79 વર્ષની ઉંમરે દેહાંત પામેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને સેનાધ્યક્ષ જનરલ પરવેજ મુશર્રફે, 2006માં, ‘ઓન ધ લાઈન ઓફ ફાયર’ નામની આત્મકથા લખી હતી. એમાં તેમણે એકરાર કર્યો છે કે મિલીટરીની તેમની કારકિર્દી દરમિયાન તેઓ એક બિન-જવાબદાર, લાપરવાહ, અનુશાસનહીન અને વાત-વાતમાં લડી પડતા સૈનિક હતા. બેજવાબદારી એવી કે 1965માં ભારત સાથે પાકિસ્તાનનું જે યુદ્ધ થયું, તેનાં વાદળો બહુ વખતથી ઘેરાયેલાં હતાં અને એ વચ્ચે મુશર્રફ અઠવાડિયાની છુટ્ટી પર જતા રહ્યા હતા. તેમના કમાન્ડિંગ ઓફિસરે એ રજા નામંજૂર કરી દીધી હતી.

પાછળથી તેમની સામે કોર્ટ માર્શલની કાર્યવાહી શરુ કરાઈ હતી, પણ યુદ્ધ થયું તેમાં એ બચી ગયા. તેમના લશ્કરી કાર્યકાળ દરમિયાન તેમની અનુશાસનહીનતાના કારણે અનેક વાર મુશર્રફને સજા પણ થઇ હતી. વિધિની વક્રતા કેવી કે એ જ મુશર્રફને 2019માં પાકિસ્તાનનો કોર્ટે દેશદ્રોહના મામલે ફાંસીની સજા ફરમાવી હતી. દેહાંતદંડ પામનારા એ પહેલા પાકિસ્તાની રાષ્ટ્રપતિ હતા. એટલા માટે જ એ તેમના અંતિમ વર્ષોમાં દુબઈ જતા રહ્યા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

જીદ્દી અને મનસ્વી મુશર્રફને ભારત બે રીતે યાદ રાખશે; એક, કારગિલમાં નાલેશીભર્યું ઉંબાડિયું મુકવા બદલ અને બે, આગ્રામાં અટલ બિહારી વાજપેયી સાથે કાશ્મીર પ્રશ્ને લગભગ સમાધાન સુધી પહોંચી જવા બદલ. બંને પરસ્પર વિરોધી મુશર્રફ છે. જે માણસે તેની ‘સદાબહાર’ લાપરવાહીના પગલે કારગિલમાં શરમજનક પરાજય થાય તેવું યુદ્ધ છેડ્યું હતું, એ જ માણસે તેની કોઈનું કહ્યું નહીં માનવાની મનસ્વી વૃત્તિના કારણે જ વાજપેયી સાથે બેસીને સમાધાન કરવાની હિમ્મત બતાવી હતી.

કારગિલવાળી ઘટના તો બહુ જાણીતી છે અને તેમના અવસાન પછી ઘણા રાજકીય લેખકો અને પત્રકારોએ તેમના એ દુ:સાહસને યાદ કર્યું હતું, પણ આગ્રાવાળી શિખર મંત્રણાનો ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કે કાશ્મીર વિવાદના લોહિયાળ ઇતિહાસમાં એ એક માત્ર અવસર હતો, જ્યાં ભારત અને પાકિસ્તાન કાયમ માટે તેનો ઉકેલ લાવવા સુધી પહોંચી ગયા હોત.

એમાં ય મુશર્રફની લાંબી જીભ જ કારણભૂત બની હતી. ભારત-પાકિસ્તાનને સાંકળતી કોઈ પણ ઘટનામાં બંને છે તેમ, આગ્રા સંમેલનને લઈને વિરોધાભાસી વાતો છે. તે વખતના પાકિસ્તાની વિદેશ મંત્રી અબ્દુલ સત્તારે તેમના પુસ્તકમાં લખ્યા મુજબ, કાશ્મીરના મુદ્દે મુશર્રફ ‘અનુકૂળ’ અને ‘પ્રભાવશાળી’ હતા. ભારતના તત્કાલીન વિદેશ મંત્રી જશવંતસિંહે તેમના પુસ્તકમાં લખ્યા મુજબ મુશર્રફ ‘લડાયક’ અને ‘નુમાઈશી’ હતા અને બોલબોલ કરીને વાતાવરણ ખરાબ કર્યું હતું. મુશર્રફ ભારતીય મીડિયા પર છવાઈ જવા માંગતા હતા, જે સામાન્ય રીતે અંતરરાષ્ટ્રીય મંત્રણાઓની રીત નથી. 

પાકિસ્તાનમાં ભારતના પૂર્વ હાઈ કમિશનર ટી.સી.એ. રાઘવન લખે છે કે મુશર્રફને શિખર મંત્રણા માટેનું આમંત્રણ જ ‘અશુભ’ સમયે આપવામાં આવ્યું હતું. મે-જૂન 1999માં કારગિલ જંગ પછી મુશર્રફે પાકિસ્તાનમાં લોકશાહી સ્થાપવાના બહાને તખ્તાપલટ કર્યું હતું. એમાં ડિસેમ્બર 1999માં ભારતના વિમાનને અફઘાનિસ્તાનમાં હાઈજેક કરી જવામાં આવ્યું, જેના બદલામાં ભારતે અમુક આતંકવાદીઓને જેલમાંથી છોડવા પડ્યા હતા.

1999નું એ વર્ષ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સૌથી ખરાબ હતું. મે 2001માં, મુશર્રફને વાતચીત કરવા માટે ભારત આવવાનું નોતરું આપવામાં આવ્યું હતું. જાણકાર લોકો એવું કહે છે કે કારગિલ યુદ્ધમાં જેમ અમેરિકાએ પીછેહઠ કરવા માટે વડા પ્રધાન નવાઝ શરીફ પર દબાણ કર્યું હતું (શરીફ સામેથી અમેરિકા ગયા હતા અને મદદ માગી હતી) , તેવી રીતે તેણે મંત્રણાના ટેબલ પર આવવા માટે ભારતને દબાણ કર્યું હતું. ‘જ્યાં સુધી આતંકવાદને સમર્થન બંધ ન થાય ત્યાં સુધી કોઈ વાત નહીં’ તેવા ભારતના કાયમી અભિગમ છતાં, વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 2000ની સાલમાં કહ્યું હતું કે, “આત્મવિશ્વાસથી ભરપૂર અને સ્થિતિસ્થાપક રાષ્ટ્ર અતીતના અસુવિધાજનક મુદ્દાઓને આવતીકાલ પર ઠેલતું નથી.”

વાજપેયી પ્રધાનમંડળના બે વરિષ્ઠ સભ્યો, ગૃહ પ્રધાન એલ.કે. અડવાણી અને જશવંતસિંહ, આ શિખર મંત્રણાના પ્રમુખ રચનાકાર હતા. મુશર્રફ પાકિસ્તાનમાં ખુદને રાષ્ટ્રપતિ તરીકે ઘોષિત કર્યા હતા અને કાશ્મીર મુદ્દે ભારતને નમાવાના બદઈરાદાથી આગ્રા આવવા તૈયાર થયા હતા. પાકિસ્તાનમાં મંત્રી રહેલી આબિદા હુસેન તેના પુસ્તકમાં લખે છે કે, “મુશર્રફ ગરમ દિમાગવાળા કમાન્ડોના રૂપમાં પ્રખ્યાત હતા, જે હંમેશાં વગર વિચારે બિન-જવાબદારીપૂર્વક નિર્ણયો કરતા હતા.”

કારગિલમાં સળી કરવાનું, શરીફને ઉથલાવીને રાષ્ટ્રપતિ બની જવાનું, ભારતના વિમાનના અપહરણકર્તાઓને મદદ કરવાનું, 9/11ના ત્રણ મહિના પછી ભારતીય સંસદ પર આતંકી હુમલામાં જરૂરી સહાય કરવામાં અને પછી વાજપેયીનું નોતરું સ્વીકારી લઈને ભારત આવવાનું તેમનું સાહસ કમાન્ડો વ્યૂહરચનાથી ઓછું નહોતું.

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરી તેમના એક પુસ્તકમાં લખે છે કે કાશ્મીરનું સમાધાન બંને સરકારોના હાથમાં હતું અને તેઓ કરવા પણ માંગતા હતા. છતાં કેમ નિષ્ફળતા મળી? મંત્રણા બે દિવસની હતી. પહેલો દિવસ તો હરવા-ફરવા અને મહેમાનનવાજીમાં ગયો હતો. બીજા દિવસે વાજપેયી અને મુશર્રફ વચ્ચે 90 મિનિટની આમને-સામને મુલાકાત થઇ હતી. તેમાં બંને નેતાઓએ કાશ્મીરના પડતર પ્રશ્નો, સરહદ-પારના આતંકવાદ, ન્યુક્લિયર જોખમમાં ઘટાડા, યુદ્ધ કેદીઓના છુટકારા અને આર્થિક સંબંધો પર ચર્ચા થઇ હતી.

અધિકૃત રીતે તો શું ચર્ચા થઇ હતી તે તો સાર્વજનિક કરવામાં નથી આવ્યું, પરંતુ બંને દેશોના જાણકાર લોકો અનુસાર, મુશર્રફે સમાધાન માટે ચાર સૂત્રી ફોર્મુલા પેશ કરી હતી. 

1. કાયમી શાંતિ માટે નિયંત્રણ રેખાની બંને બાજુ લાખો સૈનિકો તૈનાત છે વાપસી કરવામાં આવે. એ કઈ રીતે થાય તે વિચારનો મુદ્દો છે.

2. કાશ્મીરની સીમાઓમાં (વાસ્તવિક નિયંત્રણ રેખા અને અંતરરાષ્ટ્રીય સીમામાં) કોઈ બદલાવ નહીં થાય, જો કે જમ્મુ-કાશ્મીરના લોકોને નિયંત્રણ રેખાની આરપાર સ્વતંત્ર રીતે જવાની છૂટ હશે. આવું થયું હોત તો ભારતે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર પર પાકિસ્તાનનો અખત્યાર મંજૂર રાખ્યો હોત અને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને ભારતનું અંગ માન્યું હોત. 

3. પાકિસ્તાન હંમેશાંથી ‘કાશ્મીરીઓના આત્મનિર્ણય’નું હિમાયતી રહ્યું છે, પરંતુ મુશર્રફ કાશ્મીરીઓને સ્વાયત્તા આપવાની શરત જતી કરવા માંગતા હતા. તેની સામે જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ કાયમી કરવામાં આવે. ભા.જ.પે. તેનો આ એજન્ડા છોડવો પડ્યો હોત. 

4. ભારત, પાકિસ્તાન અને કાશ્મીરનું બનેલું એક સંયુક્ત દેખરેખ તંત્ર બનાવવામાં આવે. મુશર્રફનો આગ્રહ હતો કે આ તંત્રમાં સ્થાનિક કાશ્મીરી નેતાઓને સામેલ કરવામાં આવે.

જાણકાર લોકો અનુસાર, સીમા-પારના આતંકવાદને લઈને મુશર્રફની નિષ્ઠાથી વાજપેયી ખુશ નહોતા. આ શિખર મંત્રણા ચાલતી હતી ત્યારે પણ સીમા પર ઘુસણખોરી અને ગોળીબાર થતા રહ્યા હતા. વાજપેયી સંયુક્ત ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવાના પક્ષમાં નહોતા. એમાં મંત્રણા પડી ભાંગી અને મુશર્રફ વિલા મોઢે પાછા ગયા.

આ મંત્રણાનાં પાંચ વર્ષ પછી, 2004માં, એક કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે આગ્રા શિખર સંમેલનનો સમાધાનપત્ર હસ્તાક્ષર માટે તૈયાર હતો, પરંતુ ભારતીય કેબિનેટે તેને મંજૂરી આપવાનો ઇન્‌કાર કરી દીધો હતો. કેમ? 2006માં તેમની આત્મકથામાં મુશર્રફે લખ્યું હતું, “રાતે લગભગ 11 વાગે પ્રધાન મંત્રી વાજપેયી સાથે મુલાકાત થઇ. માહોલ ગંભીર હતો. મેં સાફ-સાફ કહી દીધું કે એવું લાગે છે કે કોઈ એવી વ્યક્તિ છે જે આપણા બંનેની ઉપર છે અને તેની આગળ આપણા બંનેનું ન ચાલ્યું. આમાં આપણા બંનેની નાલેશી થઇ છે.”

મુશર્રફનો ઈશારો એલ.કે. અડવાણી તરફ હતો. ‘માય કન્ટ્રી માય લાઈફ’ પુસ્તકમાં અડવાણીએ લખ્યું હતું કે મુશર્રફે મારું નામ તો લીધું નહોતું પણ ઈશારો મારી તરફ હતો. વાજપેયીએ મુશર્રફના બયાનને સરાસર જૂઠ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમનો અડિયલ વ્યવહાર અને કાશ્મીરના આતંકવાદને આઝાદીની લડાઈ તરીકે ખપાવાનો પ્રયાસ આગ્રા સમજૂતીને નિષ્ફળતા તરફ લઇ ગયો હતો.

પાકિસ્તાની જાણીતી સુરક્ષા વિશ્લેષક આયેશા સિદ્દીકાને એકવાર પૂછવામાં આવ્યું હતું કે સત્તામાં હતા ત્યારે મુશર્રફની સૌથી મોટી ભૂલ શું હતી? જવાબ  હતો, સત્તામાં ચીટકી રહેવાની જીદ. એ એમાંથી નીકળી શકે તેમ નહોતા. દરેક જનરલ આવું જ કરતા હોય છે. છેવટે મુશર્રફની બધી વિશ્વસનિયતા ખતમ થઇ ગઈ હતી અને દેશનિકાલ થઇને અલ્લાહને પ્યારા થઇ ગયા હતા. ભારત (અને પાકિસ્તાન માટે પણ) એ એક ખરાબ સ્વપ્ન સિવાય કશું નહોતા. 

લાસ્ટ લાઈન :

“કાં તો તમે અમારી સાથે છો, અથવા અમારી સામે છો. નક્કી કરી લો.”

— જ્યોર્જ બુશ, મુશર્રફને, 9/11 પછી   

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 12 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2011,2021,2031,204...1,2101,2201,230...

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved