Opinion Magazine
Number of visits: 9456146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તારવણ

યોગેશ પટેલ|Poetry|10 June 2025

અર્ધ ઉર્ધ્વ છું
નથી સમજાતું
કેમનો ફરું છું

સંપુર્ણ સમેટાયલું
બિન્દુ છું
નથી સમજાતું
કેમનો સર્વત્ર છું

અંદર નથી, બહાર નથી
ડગર નથી, ઘર નથી
પણ દ્વાર પર
અધ્ધર શ્વાસે અધ્ધર છું

આ કલશોરમાં
છતાંય લો
સંભળાય છે
છુટું સંગીત
રૉબિનનું, રૅનનું
સંગીતમય કાબર બ્લૅક બર્ડનું

e.mail : skylarkpublications@gmail.com

Loading

હે કૃષ્ણ ! કોણ છે તું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Poetry|9 June 2025

હે કૃષ્ણ !
મારા ભાગ્યમાં ન હતો તું
પણ મારું ભાગ્ય તો તું જ હતો
મોટી હતી તારાથી
પણ કેટલી નાની રહી તારે માટે !
ગોકુળની ગલીઓમાં વહેતી રહી તારી સાથે
જળધારાની જેમ
તો ય મને તો એમ જ કે
તું મારો સખા છે
ને હું છું તારી સખી !
મને મૂર્ખને તો એ પણ ભાન નથી પડતું કે
કાલીયદમન તું કરે છે
ને હું તો તને કા’નો જ માનું છું
નથી સમજાતું કે આંગળીને ઈશારે મને
બોલાવતો તું
ટચલી આંગળીએ કેવી રીતે
ગોવર્ધન તોળી રહ્યો છે
ને તારી આંગળી નીચે
ઇન્દ્રવર્ષાથી ભયભીત પ્રજા
થરથરતી ઊભી છે …
યમુનાને કાંઠે તારી સાથે રાસ રમી ત્યારે પણ
મને તો એમ જ કે તું મારો છે
તારામાં એટલી તન્મય કે
મને એ તો દેખાતું જ નથી
કે તું અનેક ગોપીઓનો પણ છે
તારી વાંસળીના સૂરે હું જ તલ્લીન નથી થઈ
સકળ સૃષ્ટિ લીન થઈ છે
તેં મને નાદાન ને નિર્દોષ જ રાખી
કોઈ પરિચય જ ન હોય એમ
તું ઓદ્ધવની સાથે
નીકળી ગયો મથુરા
રથમાં
આટલી અજાણી કરી મને?
જતી વખતે જરા જોયું હોત
તો એ દૃષ્ટિને આધાર બનાવી જીવી ગઈ હોત
પણ તારે તો મને મૃત્યુ જીવવા છોડવી હતી
તે છોડી …
આ સૂનું વૃંદાવન
અંધારી યમુના
કોરી કદંબ ડાળ
મારે એકલીએ જ ઉછેરવાનાં હતાં
તે ઉછેર્યાં
હજી રહી ગયો છે ક્યાંક
મારામાં
એટલે સ્થિર જળમાં પણ હું
મને જોઈ શકતી નથી
મને જોવા જાઉં છું
ને તું  દેખાય છે
ઘણું રડી છું
હવે તો આંસુ ય બનતાં નથી
વલોવાતાં રહે છે હૈયે
પણ પાંપણે આવતાં નથી
બહુ દિવસ થયા
હવે તો આવ
ક્યાં સુધી આમ પ્રતીક્ષા બનીને ઊભી રહીશ?
તું મને કદમ્બ તો નથી માની બેઠો ને !
હું કદમ્બ નથી
કદમ ડગમગે છે મારા
હું વૃક્ષ નથી
કે ખોડાઈ રહું એક જ સ્થળે
ક્યારેક તો આવીશ એ આશામાં
રોજ નિરાશ થાઉં છું
મોડે મોડે એટલું જાણી ચૂકી છું કે
એક વાર નીકળી ગયા પછી
તું કદી પાછો ફરતો નથી
મારું જવા દે
હું તો છું જ વિરહ!
પણ નંદ-જશોદાનું ય મન નથી થતું તને?
મેં તો માની લીધું છે કે
અનંત પ્રતીક્ષાના દોરમાં મારે
આંસુઓ પરોવતાં રહેવાનું છે
તે પરોવું છું
જાણું છું કે હું પૂરી થઈ જઈશ
પણ પ્રતીક્ષા પૂરી નહીં થાય …
પહેલાં તને જોઈને અટકળો કરતી હતી
હવે અટકળો કરીને તને જોઉૈ છું
કોઇકે કહ્યું કે તું દ્વારિકાધીશ થઇ ગયો છે
પણ મારું તો હૃદયરાજ્ય જ તું !
તારી બહાર મારી કોઈ સીમા જ નહીં
તો બીજું મને ખપે પણ શું?
જો કે, તું સામે નથી એટલે કોઈ કહે
તે પરથી ઉછરે છે મારામાં
ને એમ તને કુરુક્ષેત્રમાં જોઉં છું
કુટિલ તો હતો જ તું
ને ચતુર પણ !
પોતે શસ્ત્ર ધારણ ન કર્યાં
ને અર્જુનનું ગાંડીવ છૂટ્યું તો
તેને ગીતા ઉપદેશીને
શસ્ત્ર ઉઠાવવા કટિબદ્ધ કર્યો
વિશ્વરૂપ દર્શન કરાવીને
અનેકમાં એક અને એકમાં અનેક
સિદ્ધ થયો
પણ મારો એકમેવ તો તું જ !
મારું વિશ્વ જ તું !
વિશ્વરૂપ તું ન હોય
તો કોણ હોય?
તને ખબર છે કે તારી અનેકોમાં એક
અને એકમેવ હું જ છું?
કદાચ તારો સ્નેહ હું નથી
પણ મારો વ્રેહ તો તું જ છે
મારી જેમ જ છોડી દીધેલી વાંસળી
હવે તો વૃદ્ધ થવા આવી છે
એ ઝંખે છે તારો સ્પર્શ
પણ એને કેમ સમજાવું કે
સુદર્શન ધારણ કરનારી આંગળી
હવે વાંસ પર ઠરે એમ નથી
હવે વાંસળી વગાડવાનો નહીં
વાંસ પર સૂવાનો સમય છે
તને જોવાની ઈચ્છા છે
આવ
પણ એ માટે તારે મારાં
સ્વપ્નમાંથી બહાર આવવું પડશે
સ્વપ્નમાં તો બહુ ઉછેરી
હવે બે હાથોમાં ઉછેર
બહુ વાર નહીં લાગે
બાળકને ઉછેરવામાં વાર લાગે
પણ વૃદ્ધને ઉછેરવાનું સહેલું છે
તું પણ તો થાક્યો છે ને !
કારાવાસથી લઈને કુરુક્ષેત્ર સુધીમાં
કેટલું બધું કર્યું
પણ કશું પણ
તેં
તારે માટે ન કર્યું
ને તો ય ગાંધારીનો શાપ કમાયો તું
ને રહ્યો નિસ્પૃહી
અનાસક્તિનું મૂર્તિમંતરૂપ જ તું છે !
પણ
તું હોય કે ન હોય
કોઈ પણ કાળમાં યાદવાસ્થળી હશે
શ્રમિત, વ્યથિત આવ્યો છે
અશ્વત્થની નીચે
વિશ્રામ કરવા
પણ દેહ વિશ્રામ કેમ કરશે?
આ તો દેહોત્સર્ગની ઘડી છે
તું તો ન આવ્યો
પણ હું આવી છું
દર્શન દેવા
તારી દૃષ્ટિમાં એટલી સમાવી લે કે તારી બહાર ક્યાં ય રહું જ નહીં !
તું હું થઈ જા
ને હું તું થઈ જાઉં
એટલાં એક કે મૃત્યુ તને કે મને
અલગ
તારવી ન શકે
કોઈ
બેને એક મૃત્યુ મળે એવી
ઘટનાને
સાકાર થવા દઈએ …
આપણે કદાચ હવે
મંદિરોમાં જ સાથે થવાનું થશે
તો ભલે તેમ …

000
e.mail : ravindra21111946@gmail.com

Loading

ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી

વિશ્વનાથ ટંડન (અનુવાદ: નરોત્તમભાઈ શિ. પટેલ)|Gandhiana|9 June 2025

ગાંધીજીની આત્મકથામાંથી એ બાબત જાણવા મળે છે કે તેમને બાઇબલનો જૂનો કરાર મહત્ત્વનો લાગ્યો ન હતો, પરંતુ નવા કરારનો પ્રભાવ તેમના પર વિશેષ પડ્યો હતો. ખાસ કરીને તેમના પર મહાત્મા ઈશુના ગિરિ-પ્રવચનની ઊંડી છાપ પડી હતી. તેમના જ શબ્દોમાં, “જ્યારે ‘નવો કરાર’ વાચ્યો ત્યારે જુદી જ અસર થઈ. ઈશુના ગિરિ-પ્રવચનની ખૂબ જ સારી અસર થઈ. તે હૃદયમાં સોંસરું ઊતરી ગયું. બુદ્ધિએ ગીતા સાથે તેની સરખામણી કરી.” 

ડો. ગોપીનાથ ધવને ગાંધીજીના રાજકીય દર્શન પર લખેલા પુસ્તક “સર્વોદય તત્ત્વ-દર્શન’માં લખ્યું છે : “ઈશુ ખ્રિસ્ત અને તેમના ઉપદેશો ગાંધીજીના સત્યાગ્રહ દર્શનનો એક મહત્ત્વનો સ્રોત છે.’ ગાંધીજીએ એક વાર પોતાના મિત્ર રેવરન્ડ જે.જે. ડોકને કહ્યું હતું કે નવો કરાર અને ખાસ કરીને ગિરિ-પ્રવચને તો ખરેખર જ તેમના હ્રદયને સત્યાગ્રહની ઉપયોગિતા અને તેના મૂલ્ય પ્રત્યે જાગ્રત કર્યું હતું. ગીતાથી આ છાપ વધારે દઢ થઈ હતી, અને ટોલ્સ્ટોયના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ (The Kingdom of God is Within You) એ ગ્રંથથી તે કાયમી બની હતી.

આમાં આશ્ચર્ય જેવું કંઈ નથી. ગાંધીજી નૈતિક જીવન પર ખૂબ ભાર મૂકતા હતા. સત્ય તેમના જીવનનું ધ્યેય હતું. એની પ્રાપ્તિ અર્થે અહિંસાને તે એટલી હદે અનિવાર્ય ગણતા હતા કે તેને ‘સત્યની બરોબર’નું સ્થાન આપ્યું હતું. અહિંસાની તેમની વ્યાખ્યા ખૂબ વ્યાપક હતી. ગિરિ-પ્રવચનમાં પ્રભુ ઈશુના નીતિ સિદ્ધાંતોનું સરલ, રહસ્યમય અને પ્રભાવી ભાષામાં વર્ણન છે. એક હિંદુ લેખકે જણાવ્યું છે કે આ ઉપદેશની જેટલી શુભ અસર હિંદુઓ પર થાય છે તેટલી ખ્રિસ્તીઓ પર થતી નથી, એમ કહેવામાં ખાસ અતિશયોક્તિ નહિ થાય. રાજા રામમોહનરાય અને વિશેષ કરીને કેશવચંદ્ર સેન પર તેની ઊંડી છાપ પડી હતી. પ્રતાપચંદ્ર મજુમદારે તો “પૂર્વના ઈશુ” નામના પોતાના પુસ્તકમાં તેમને પૂર્વના પરિવેશમાં રજૂ કર્યા હતા. આમ, ગાંધીજીની પહેલાં પણ, બીજા હિન્દુઓને પ્રભુ ઈશુનો ઉપદેશ વિદેશી કે હિન્દુ ધર્મથી વિરુદ્ધ લાગ્યો ન હતો.

ઈશુએ આ ઉપદેશમાં એવી પણ શીખ આપી છે કે સારાં સાધનોનું પરિણામ સારું અને ખરાબ સાધનોનું પરિણામ ખરાબ આવી શકે છે. તેમના પોતાના શબ્દોમાં : “સારું વૃક્ષ ખરાબ ફળ આપી ન શકે, નકામું ઝાડ સારું ફળ આપી ન શકે.”

ઈશુને માટે સિદ્ધાંતો માત્ર કોરા સિદ્ધાંતો ન હતા. તેમનું પોતાનું જીવન એ સિદ્ધાંતો પર નિર્ભર હતું. અહિંસા, સેવા, દયા તથા ક્ષમાશીલતાની એ પોતે સાક્ષાત્ મૂર્તિ હતા.

ગાંધીજીના વિચારોથી જાણકાર વ્યક્તિને એ વાત તરત સમજાશે કે તેમના વિચાર ઈશુના વિચારોને ખૂબ મળતા આવે છે. તેમણે પણ સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સાધનશુદ્ધિ, સેવા વગેરે પર કોઈ રીતે ઓછો ભાર નથી મૂકયો. તે સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારવાનો તેમણે ભરચક પ્રયત્ન કર્યો હતો. સંત પોલે ભાવનાને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે એમ કહ્યું છે કે શબ્દોને અક્ષરશઃ લેવાથી વિચારનો આત્મા હણાય છે. ગાંધીજી પણ એવું જ માનતા હતા. માટે જ તેમના વિચારોમાં ક્યાંક ઉપરછલ્લી રીતે જોતાં વિરોધાભાસ દેખાય છે, જો કે ખરેખર એવું નથી. ઈશુની જેમ તેઓ પણ ભાવનાની શુદ્ધિને ખૂબ મહત્ત્વ આપતા હતા. તેની સાથે જ, ગાંધીજીએ નીતિના આ સનાતન સિદ્ધાંતોનો અર્થ જમાનાને અનુરૂપ કર્યો અને તે મુજબ સમાજનો વિકાસ થાય તે માટે ‘સત્યાગ્રહ’ની પદ્ધતિનું નિર્માણ કર્યું.

આ જ કારણથી, પશ્ચિમના ઘણા ધાર્મિક ખ્રિસ્તીઓને તેમના જીવન, વિચાર અને કાર્યોમાં પ્રભુ ઈશુના સિદ્ધાંતો સજીવન થતા લાગે છે. અહીં ફક્ત બે જ દાખલા આપવા પૂરતા થશે. રેવરન્ડ સી.એફ. એન્ડ્રુઝે પોતાના પુસ્તક ‘ધ સરમન ઓન ધ માઉન્ટ’-માં યુદ્ધ, શોષણ, જૂઠ વગેરે સામાજિક અનિષ્ટો તરફ અંગુલિનિર્દેશ કરીને લખ્યું છે : “આધુનિક યુગની સૌથી અજબ ઘટનાઓમાં એક એ પણ છે કે અનિષ્ટના આ સામાજિક પાસા તરફ ધ્યાન ખેંચનારા ચુસ્ત ખ્રિસ્તી નથી, પણ તે કાર્લ માકર્સ જેવા ધર્મત્યાગી, ટોલ્સ્ટોય જેવા ધર્મબહિષ્કૃત કે ગાંધીજી જેવા અન્ય ધર્મી હતા. કદાચ, સૌથી વિશિષ્ટ બાબત એ છે કે એક હિન્દુ મહાત્મા ગાંધીએ આ સમસ્યાના એક ખ્રિસ્તી ઉકેલ તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે અને તેને એવું અમલી સ્વરૂપ આપ્યું છે કે કેટલાક ખ્રિસ્તીઓને તે બિલકુલ વ્યવહારુ લાગે છે.’

બીજું દૃષ્ટાંત પ્રખ્યાત ખ્રિસ્તી ધર્મપ્રચારક સ્ટેન્લી જેન્સનું છે. તેમણે ગાંધીજી વિષે કહ્યું છે કે : “આ એક એવા પુરુષ છે કે જેમણે, આપણા ખ્રિસ્તીઓને શૂળીમાં (ક્રોસમાં) જે સત્યનું દર્શન થાય છે તે જ સત્યને રાષ્ટ્રીય સ્તરે ક્રિયાન્વિત કરી બતાવ્યું.” ખ્રિસ્તીઓ સાથે મહાત્મા ગાંધીની સરખામણી કરીને તેઓ લખે છે : “ફેર એટલો જ છે કે ગાંધીજી કરતાં આપણને, ખ્રિસ્તી હોવાને નાતે, શૂળીમાં અધિક દર્શન થાય છે ત્યારે તેમણે તેને વ્યવહાર-ક્ષમ રૂપ આપ્યું છે. આપણે તેને કોરો સિદ્ધાંત ગણીને છોડી દીધું હતું, ગાંધીજીએ તેને વ્યવહારમાં આચરી બતાવ્યું.” અહીં એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે ઈશુનું શૂળી આરોહણ તે ગિરિ-પ્રવચનનું જ અમલી સ્વરૂપ હતું.

09 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 338

Loading

...102030...119120121122...130140150...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved