Opinion Magazine
Number of visits: 9663125
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સહસ્રલિંગનું પવિત્ર તર્પણ : વીર મેઘમાયા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 January 2026

પ્રકાશ ન. શાહ

બરાબર યાદ છે પિસ્તાળીસેક વરસ પરની એ બપોર. મધ્યાહને સૂર્ય શા યથાનામ ભાનુ અધ્વર્યુ પ્રેસમાં એમની કોલમ માટેનું મેટર લઈને પ્રગટ્યા, અને એમનો જે છીંકણીરાબેતો તે સંગીન ધાર્મિક રીતે સંપન્ન પણ કર્યો. જો કે, હું તો એમનો ચહેરો એ આવ્યા ત્યારથી વાંચી રહ્યો હતો. એ કશુંક કહેવા બાબતે જાણે ઝાલ્યા નહીં રહે એવું લાગતું હતું. છીંકણી પછી અલબત્ત સુક્કા ટાટ ગુજરાતને એવો ચાનો પેગ ચડાવતે ચડાવતે ભાનુભાઈએ બોલવા માંડ્યું – ‘હું હરિજનોનો હમદર્દ કે હામી કહેવાઉં ને મને જ ખબર નહીં!’ 1981ના અનામત વિરોધી આંદોલન અને ઉત્પાતના એ દિવસો હતા.

અને છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના અમારા મિત્રો (હવે આર્ચ વાહિનીએ ખ્યાત અનિલ પટેલ તેમ જ હવે રાજ્યના પૂર્વમંત્રી તરીકે ઓળખાતા મહેસાણાના ઈશ્વરભાઈ મકવાણા વ.) સાથે ઉત્તર ગુજરાતનાં કેટલાંક ગામોમાં હરિજનો પરના અત્યાચારની જાત તપાસ માટે ગયા હતા. સવારે ઊઠ્યા ને બે-પાંચ મિત્રો સહસ્રલિંગ(પાટણ)ની મુલાકાત સારુ આગ્રપૂર્વક લેવા આવ્યા હતા અને સાથે વાજાપેટી ને ઢોલક પણ હશે. આ સાજસજ્જા ને તામઝામ જોઈ વીર ભાનુવાળાનું છટક્યું – ‘તમને કંઈ ખબર પડે છે કે નહીં? અમે પર્યટન માટે નથી આવ્યા, સ્થળતપાસ વાસ્તે આવ્યા છીએ. સહેલાણી નથી.’ માને તો જુવાનિયા શાના. સહસ્રલિંગ તળાવે પહોંચી વચમાં ટેકરા પર લઈ ગયા. વાજાપેટી જમાવી ને ગાવા લાગ્યા :

બાર બાર વરસ નવાણ ગળાવ્યા

નવાણે નીર ના આયાં જી રે.

વાત એમ હતી કે તળાવ ફેરગોડાવી સધરા જેસંગે (સિદ્ધરાજ જયસિંહે) પાણીની સોઈ કરવા ધાર્યું હતું, પણ નવાણે નીર ના’વે! કોઈ બત્રીસ લક્ષણો બલિદાન આપે તો જ પાણી આવે. રાજ આખામાં વાયક ફરી વળ્યું ત્યારે ધોળકા પાસેના રનોડા ગામનો વણકર, નામે માયો, સ્વેચ્છાએ તૈયાર થયો. (તેથી સ્તો વીર કહેવાયો) જો કે, એણે વળતી શરત મૂકી કે મારા સમાજને તમે અન્યાયી અનવસ્થામાંથી છોડાવો :

કુલડીઓ છોડાવો રાજા

સાવરણી તોડાવો

ગામની બાજુમાં વસાવો જી રે

હડે હડે થતી હડધૂત દશામાંથી એ સમુદાય મુક્ત થવાની શરત સ્વીકારાઈ અને વીરમાયાના બલિદાન સાથે સહસ્રલિંગ તળાવ જળાં જળાં થઈ ઊઠ્યું. લખવા બેઠો અને પિસ્તાળીસ વરસ પરની બપોરે લાંગર્યો એનું નિમિત્ત હમણાં ધ્યાનમાં આવેલી એ આનંદવાર્તા છે કે મહા સુદ સાતમે (પચીસમી જાન્યુઆરીએ) વીર મેઘમાયા બલિદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેઃ આ યાત્રા ગાંધીનગરથી સહસ્રલિંગ (પાટણ) લગીની રહેશે અને એનું સમગ્ર સંચાલન ને વ્યવસ્થાપન ‘વિશ્વ વીર મેઘમાયા સમાજ’નું રહેશે. આ અંગે પ્રસારિત પત્રિકામાં ગાઈવગાડીને એટલે કે અધોરેખિતપણે એક મુદ્દો ખાસ એ કરાયો છે કે વીર મેઘમાયાએ કોઈ ચોક્કસ ધર્મ, સમાજ કે જ્ઞાતિ માટે નહીં પણ પાણી વગર ટળવળતાં સૌ પશુપંખી, વનસ્પતિ અને તમામ જીવસૃષ્ટિ માટે બલિદાન આપ્યું હતું.

ગયે વરસે પણ માયા સાતમ કહેતાં મહા સુદ સાતમે આવી યાત્રા યોજાઈ હતી. ત્યારે આયોજન વીર મેઘમાયા સમિતિનું હતું. હવે તે વિશ્વ મેઘમાયા સમાજ રૂપે કાર્યરત છે. આ નામાંતરમાંથી વ્યાપકતા ફોરે છે, અને એ સ્પષ્ટતા પણ અંકિત થાય છે કે તે કોઈ એક જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષથી પ્રેરિત, સંચાલિત કે આયોજિત નથી. આ અભિગમમાં વણકર સમાજની સહજ પહેલ અલબત્ત હશે, છતાં સંકોચનને બદલે ઉમાશંકરની પ્રખ્યાત પંક્તિ ‘વિશાળે જગવિસ્તારે …’ની ધાટીએ વ્યાપકતાની વાંછના પણ છે – સંતબાલજી જેને વિશ્વવાત્સલ્ય કહેતા એવું કંઈક એમાં અભીષ્ટ છેઃ કિશોર મકવાણાના પુસ્તકની પ્રસ્તાવનામાં નરેન્દ્ર મોદીએ લગરીક હાઈપકારાની રીતે પણ એક મુદ્દો મજાનો કીધો છે કે આપણે આંબેડકરને સ્વાભાવિક જ સન્માનભેર સંભારીએ છીએ,

પણ એમના પૂર્વેય વીરમાયા જેવા ભોં ભાંગનારા થઈ ગયા છે. આપણી સામાજિક ન્યાય ચળવળની ચર્ચામાં ગાંધી અને આંબેડકર બે છેડે ધ્રુવીકૃત થઈ જવાનું વલણ જોવા મળે છે, એની સામે માયા ઘટનાને વ્યાપક વિશ્વમાનતાની રીતે જોવાનું જે વલણ છે તે મૂકવા જેવું છે . સ્વેચ્છાએ બલિદાનનો માયા માર્ગ, 1934માં હરિજન યાત્રાએ નીકળેલા ગાંધી પર પુણેમાં જે બોમ્બ પ્રયાસ થયો તેની જરી જુદા છેડેથી યાદ આપે છે … પરથમ પહેલું મસ્તક મૂકી, વળતું લેવું હરિ(જન)નું નામ જો ને! અંગત રીતે હું બહુ રાજી થાઉં, જો આંબેડકર ને ગાંધીને સામસામા મૂકવા કરતાં પોતપોતાને છેડેથી – એક જો અધિકારના છેડેથી તો બીજા વળી પ્રાયશ્ચિતના છેડેથી – સરવાળે એક જ પંથના પથિક હતા એવી જાડી પણ સમજ કેળવવામાં મેઘમાયા માહોલ સફળ થાય. 

જે વસ્તુ ઝટ પકડાતી નથી તે એ છે કે ગાંધી કે આંબેડકર જાહેર જીવનમાં કોઈ ઈસ્ત્રીબંધ ફિનિશ્ડ પ્રોડક્ટ તરીકે પ્રવેશ્યા ન હતા. બંને વિકસતા અને ખીલતા ગયા છે. કોઈક તબક્કે ગંઠાઈને એમને માત્ર એમ જ જોતા રહેવાથી, બને કે ઝાડવાં ગણતાં આપણે જંગલ ચૂકીએ. ‘કાસ્ટ મેટર્સ’ અને ‘કાસ્ટ, અ ગ્લોબલ સ્ટોરી’થી દેશવિદેશના દલિત વિમર્શમાં જેનો પાટલો પડે છે તે સૂરજ મિલિન્દ યેંગડે, જેમ કે દક્ષિણ આફ્રિકી ગાંધીના સમતા અભિગમ બાબતે આશ્વસ્ત નથી.

ગોરા સાંસ્થાનિકો સામે બ્રિટિશ રાજના નાગરિક તરીકે હિંદીવાનોના હકની લડાઈ ગાંધી જરૂર લડ્યા હતા. પણ બાકી સૌ, રિપીટ, સૌને એ આગળ ચાલતા પોતાની સમજમા આવરી શક્યા ન હોત તો માર્ટિન લ્યુથર કિંગ કે નેલ્સન મંડેલાને એમનામાં આદર્શનાં દર્શન ન જ થયાં હોત. આટલું એક સમતા સિપાહી તરીકે, મેઘમાયાની સાખે.

Editor: nireekshak@gmail.com
સૌજન્ય : : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 જાન્યુઆરી  2026

Loading

એક પંડિત પત્રકાર વિશેનો સ્મૃતિગ્રંથ

દીપક મહેતા|Opinion - Literature|20 January 2026

ગ્રંથયાત્રા – 23

[અરુણ ટિકેકર. સંપાદક: શુભદા ચૌકર, શ્રીકાંત બોજેવાર, સુહાસ ગાંગલ. પદ્મગંધા પ્રકાશન, મુંબઈ. ૧ આવૃત્તિ, ૨૦૧૭. ૧૯૦ પાનાં, સચિત્ર. રૂ.૪૫૦]

અરુણ ટીકેકર

રોકડા બે શબ્દમાં ઓળખાણ આપવી હોય તો ડો. અરુણ ટિકેકર એટલે પંડિત પત્રકાર. પણ એનો અર્થ પંડિત અને પત્રકાર એટલો જ નહિ, પણ પંડિત છતાં પત્રકાર, અને પત્રકાર છતાં પંડિત એવો પણ ખરો. આ બંને બેધારી તલવારને તેમણે સફળતાથી એક મ્યાનમાં રાખી જાણી. ૧૯૪૪ના ફેબ્રુઆરીની પહેલી તારીખે જન્મ. એક રાતની ટૂંકી માંદગી પછી ૨૦૧૬ના જાન્યુઆરીની ૧૯મી તારીખે અણધાર્યું અવસાન. કુલ ૪૦ પુસ્તકો. તેમાંનાં ૧૫ અંગ્રેજી, બાકીનાં મરાઠી. તેમની સ્મૃતિમાં મોટા કદનાં ૧૯૦ પાનાંનો ગ્રંથ પ્રગટ થયો. સીધું સાદું નામ : ‘અરુણ ટિકેકર’. ટિકેકર હાડોહાડ ક્રિયાપદના માણસ હતા, વિશેષણોના નહિ. એટલે તેમની સ્મૃતિમાં પ્રગટ થયેલા ગ્રંથને આવું વિશેષણ-વિરહિત નામ જ શોભે. 

છેલ્લાં ઘણાં વર્ષોથી તેમણે કમ્પ્યુટર સાથે ઘરોબો કેળવ્યો હતો, છતાં લખવા માટે તો ફાઉન્ટન પેન જ વાપરતા – બોલપેન પણ નહિ જ. પુસ્તકના કવર પર સફેદ પછીત પર તેમની સહી સાથે બસ, તેમની એક ફાઉન્ટન પેન મૂકી છે, બીજું કશું નહિ. ટિકેકર અગ્રણી મરાઠી દૈનિક ‘લોકસત્તા’ના ૧૧ વર્ષ સુધી તંત્રી હતા ત્યારે બહુ કડક રીતે એક નિયમ સ્વેચ્છાએ પાળેલો : કોઈ પણ સંજોગોમાં તેમનો ફોટો ‘લોકસત્તા’માં છપાવો ન જ જોઈએ. આ પુસ્તકમાં છેક છેલ્લે માત્ર એક જ ફોટો છાપ્યો છે. બીજે બધે લેખો સાથે દત્તાત્રેય પાડેકરે કરેલાં ટિકેકરનાં સુરેખ રેખાંકનો મૂક્યાં છે. સાદગીની સમૃદ્ધિ ધરાવતા આ પુસ્તકનાં મુખપૃષ્ઠ, સજાવટ, માંડણી, અને સુલેખન પણ તેમનાં જ છે. 

પુસ્તકમાં કુલ ૪૧ લેખ છે, જેમાંના ચાર અંગ્રેજીમાં છે. બાકીના મરાઠીમાં. મરાઠીમાં લખનારા લેખકોનાં નામ જોતાં જ થાય કે કેટલા જુદા જુદા ક્ષેત્રના માણસોએ અહીં ઉમળકાપૂર્વક, આત્મીયતાથી ટિકેકર વિષે લખ્યું છે. અહીં રામદાસ ભટકળ, આનંદ લિમયે, અરુણ જાખડે, પ્રદીપ ચંપાનેરકર, જેવા પ્રકાશકોએ લખ્યું છે તો કુમાર કેતકર, દિનકર ગાંગલ, સદા ડુંબરે, હેમંત કુલકર્ણી, પ્રશાંત દીક્ષિત, જેવા અગ્રણી પત્રકારોએ પણ લખ્યું છે. અહીં મોનિકા ગજેન્દ્રગડકર, મીના વૈશંપાયન, સુધીર ગાડગીળ, મુકુન્દ ટાકસાળે, જેવાં લેખક-લેખિકાના લેખો છે. આ પુસ્તક માટે લખનારાઓમા ન્યાયાધીશ, ઉદ્યોગપતિ, ચિત્રકાર, સંગીતકાર, અખબાર-વિતરક, વ્યવસ્થાપક, કમ્પ્યુટર નિષ્ણાત, વગેરેનો પણ સમાવેશ થાય છે. પહેલા તેર લેખોમાં મુખ્યત્વે અંગત અનુભવોની અને ટિકેકરના સ્વભાવ-વૈવિધ્યની વાત થઇ છે. તે પછીના છ લેખો વાંચતાં અભ્યાસી અને સંશોધક ટિકેકરનો પરિચય થાય છે. કારકિર્દીની દૃષ્ટિએ ‘લોકસત્તા’ના તંત્રી તરીકેનાં ૧૧ વર્ષ એ તેમનો સુવર્ણકાળ હતો. એ વખતના તેમના ૧૩ જેટલા સાથીઓએ સંપાદક અને પત્રકાર ટિકેકરનાં સૂઝ, નિષ્ઠા, દૂરદર્શિતા, જાતે પરસેવો પાડવાની અને બીજા પાસે પરિશ્રમ કરાવવાની ટેવ, નિર્ભયતા, વગેરે વિષે ઉમળકાપૂર્વક લખ્યું છે. 

ટિકેકર ‘લોકસત્તા’ના તંત્રી હતા એ વખતે મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. પણ તેમનાં અમુક વિચાર, વાણી અને વર્તનની ટિકેકરે પોતાના અખબારમાં આકરી ટીકા કરી હતી. બાળાસાહેબ છંછેડાય નહિ તો જ નવાઈ. ‘તારે માથે જાનનું જોખમ છે’ એવી ધમકી ટિકેકરને મળી. અનિચ્છાએ પોલિસ પ્રોટેક્શન સ્વીકારવું પડ્યું. પણ જે માનતા હતા તે લખવાનું બંધ ન જ કર્યું. તો ક્યારેક પોતાની ભૂલ થઇ હોય તો જાહેરમાં તેનો એકરાર કરતાં ટિકેકર અચકાતા નહીં. તંત્રી તરીકે તેમણે કેટલાયે બિન-લેખકોને લખતા કર્યા હતા. વધુમાં વધુ કલમોનો લાભ વાચકોને મળે એવા આશયથી કોઈ પણ કોલમ – પોતાની સુદ્ધાં – એક વર્ષ કરતાં વધુ સમય ચલાવતા નહિ. દર વર્ષે જાન્યુઆરીમાં બધી જૂની કોલમ બંધ થાય અને નવી શરૂ થાય. ક્યારેક અધવચ્ચે કોઈ નવી કોલમ શરૂ કરવાની જરૂર લાગે તો તેને માટે જગ્યા કરવા પોતાની કોલમ બંધ કરી દે. મુંબઈ સિવાયનાં શહેરોમાં અને ગામોમાં ‘લોકસત્તા’ પહોંચતું અને વંચાતું થાય એ માટે તેમણે પુષ્કળ પ્રવાસો કર્યા. સભાઓ ભરી વાચકોના અભિપ્રાયો, અપેક્ષાઓ જાણ્યાં. જુદા જુદા વિસ્તારો માટેની ખાસ પૂરવણીઓ શરૂ કરી. એક વાર તેમણે જાતે એક જાહેર ખબર તૈયાર કરીને લાગતા વળગતા વિભાગને મોકલી અને સૂચના આપી કે આ જાહેર ખબર આવતી કાલે પહેલા પાના પર છપાવી જોઈએ. એ જાહેરાતમાં માધુરી દીક્ષિત અને શરદ પવારના ફોટા હતા અને નીચે લખ્યું હતું: ‘આ બંને વચ્ચે શું સરખાપણું છે? જવાબ આવતી કાલે.’ બીજે દિવસે બીજી જાહેર ખબર. તેમાં ફરી એ જ બંનેના ફોટા. નીચે લખ્યું હતું: ‘આ બંને રોજ નિયમિત રીતે ‘લોકસત્તા’ વાંચે છે’. થોડા દિવસ પહેલાં એ બન્નેએ અલગ અલગ મુલાકાતોમાં એ પ્રમાણે કહ્યું હતું તેનો લાભ લેવાનું સરકયુલેશન વિભાગને ન સૂઝ્યું, પણ તંત્રીને સૂઝ્યું!

તંત્રી તરીકે અત્યંત સફળ થયા, પણ ટીકેકર ખરા ખીલ્યા અને ખુલ્યા તે તો અભ્યાસ, સંશોધન, વિવેચનને ક્ષેત્રે. જ્યાંથી મળે ત્યાંથી ‘દુર્મિળ’ (રેર) પુસ્તકો એકઠાં કરવા પાછળ અડધી જિંદગી અને અડધા કરતાં વધારે આવક ખર્ચી નાખી. જો કે તેમાંનો મોટો ભાગ થોડાં વર્ષો પહેલાં મુંબઈ યુનિવર્સિટીને બિનશરતી દાનમાં આપી દીધો. ઓગણીસમી સદીનો મુંબઈ ઇલાકો એ એમના અભ્યાસ અને રસનો ખાસ વિષય. આજના ભગવા વાતાવરણ સાથે બંધબેસતો ન થાય એવો અને એટલો અંગ્રેજો અને તેમણે કરેલાં કામો માટે અભ્યાસપ્રેરિત આદર. અંગ્રેજ અમલદારો, પાદરીઓ, વગેરેએ મુંબઈ ઈલાકાનાં સમાજ, સંસ્કૃતિ, શિક્ષણ, ભાષા, સાહિત્યને ઘડવામાં જે ફાળો આપ્યો તેનો દૃષ્ટિપૂર્વકનો અભ્યાસ. ઝીણામાં ઝીણી વિગત ચોકસાઈથી તપાસીને પછી જ લખવાનો આગ્રહ. રોજિંદા જીવનની નાની નાની વિગતો પણ સમાજમાં આવતા પરિવર્તનની કઈ રીતે દ્યોતક હોય છે તે તેમણે ‘જન-મન’ જેવા વિલક્ષણ, વિચક્ષણ અને સચિત્ર પુસ્તક દ્વારા બતાવ્યું. મુંબઈ યુનિવર્સિટીનો વિસ્તૃત, સંશોધનમૂલક, છતાં અત્યંત સુવાચ્ય એવો ઇતિહાસ અંગ્રેજી અને મરાઠી બંને ભાષામાં લખ્યો. ઓગણીસમી સદીનાં લેખકો, પુસ્તકો, સંસ્થાઓ, સામયિકો, અખબારો, પ્રવૃત્તિઓ વિષે સતત લખતા રહ્યા. એટલું જ નહિ, બીજાઓને પણ ઓગણીસમી સદીનો અભ્યાસ કરવા પ્રેરતા રહ્યા અને જરૂર પડ્યે મદદ કરતા રહ્યા. પુસ્તકના છ લેખોમાં તેમના આ ક્ષેત્રના કામ વિષે વિગતે વાત થઇ છે. 

ટિકેકરમાં રહેલા સંશોધક-અભ્યાસી અને પત્રકાર એકબીજાને માટે સતત પરસ્પર પૂરક બની રહ્યા. અભ્યાસને કારણે તેમનું પત્રકારત્વ ઉપરછલ્લું કે કેવળ સમસામયિક ન બની રહેતાં ઊંડું, ઠરેલ અને ગંભીર બની રહ્યું. તેમના આ પ્રકારના લેખો ‘તારતમ્ય’ના પાંચ ભાગમાં એકઠા થયા. આધાર વગર કશું લખાય જ નહિ એ શિસ્ત તેમણે પત્રકારત્ત્વમાં પણ પાળી અને બીજા પાસે પળાવી. તો બીજી બાજુ, તેમનામાં રહેલા પત્રકારને કારણે અભ્યાસ લેખો શુષ્ક, ભારેખમ, અટપટા, ક્યારે ય ન બન્યા, પણ સુવાચ્ય અને સુખવાચ્ય બની રહ્યા. તેમના સંશોધન, અભ્યાસ કે વિવેચનના લેખોમાં પણ ફૂટ નોટ, એન્ડ નોટ, સંદર્ભસૂચિ, વગેરેના ઠઠારાનો ભાર ભાગ્યે જ જોવા મળે. એ બધું ન હોય એમ નહિ, પણ બને ત્યાં સુધી તેને સળંગ લખાણમાં જ અસ્તર રૂપે મૂકવાની ટેવ અને ફાવટ. એ માટે એમનામાં રહેલો સજાગ પત્રકાર જવાબદાર. મોટા ભાગના વાચકોને જેમાં ગતાગમ ન પડે તે જ ઊંચા માયલું વિવેચન એમ માનનારાઓમાંના એક તેઓ નહોતા. 

એક જ વ્યક્તિ વિષે એકતાલીસ વ્યક્તિ જ્યારે લખે ત્યારે માહિતી, વિગતો, સ્વભાવ કે વર્તનની ખાસિયતો, વગેરે વિષે કેટલુંક પુનરાવર્તન થાય તે સ્વાભાવિક છે. પણ જેમણે અહીં લખ્યું છે તેમણે સાચા ઉમળકા અને આદર સાથે લખ્યું છે. જન્મભૂમિ સોલાપૂર અને ત્યાંની નિશાળ, કોલેજ, તેમાંના શિક્ષકો પ્રત્યેનો છેવટ સુધી રહેલો આદર અને ઉમળકો, શાસ્ત્રીય સંગીત અને જૂનાં ફિલ્મી ગીતો સાંભળવાનો શોખ, ક્રિકેટ માટેની લગન, અમુક અંશે નાકમાંથી બોલવાની ટેવ, વગેરે વિષે એક કરતાં વધુ લેખોમાં લખાયું છે. તો તેમનાં ટીખળ અને રમૂજના દાખલા પણ ઘણાએ નોંધ્યા છે. ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’માં કામ કરતા હતા ત્યારે ટિકેકર તેના તંત્રી ગોવિંદ તળવળકરનો જમણો હાથ હતા અને તેમના ઉત્તરાધિકારી મનાતા હતા. પણ પછી કોઈક કારણસર બંને વચ્ચે બોલવાનો વ્યવહાર પણ રહ્યો નહિ અને ટિકેકર ‘મહારાષ્ટ્ર ટાઈમ્સ’ છોડી ‘લોકસત્તા’માં ગયા. પણ આ આખી ઘટના અંગેનો ખુલાસો ભાગ્યે જ કોઈ લેખમાં જોવા મળે છે. 

પુસ્તકમાંનો લગભગ દરેક લેખ ટિકેકરના કોઈ ને કોઈ પાસાને ઉજાગર કરે છે. પણ એ બધામાંથી જો કોઈ એક જ લેખ પસંદ કરવાનો હોય તો? કશી અવઢવ વગર તેમનાં વિદૂષી પત્ની ડો. મનીષા ટિકેકરે અત્યંત સંયમપૂર્વક, લાગણીવેડાથી સદંતર દૂર રહીને લખેલો, પણ ટિકેકરનો લગભગ સર્વાંગીણ અને અંતરંગ પરિચય આપતો લેખ પસંદ કરું. એક વ્યક્તિ, એક પતિ, એક પુત્ર, એક પિતા, એક દાદા તરીકે ટિકેકરને અહીં આપણે ઓળખી શકીએ છીએ. તો તેમનાં વિશાળ મિત્રવર્તુળ, સહકાર્યકરો, આદરણીય મુરબ્બીઓ, વગેરે વિષે પણ સાચકલી ઉષ્માથી વાત થઇ છે. લેખક, સંશોધક, અભ્યાસી, વિવેચક, પત્રકાર, ગ્રંથપ્રેમી, એમ ટિકેકરનાં જીવન અને વ્યક્તિત્વનાં લગભગ બધાં પાસાંને તેમણે સ્પર્શ કર્યો છે. કેટલીક વાતો તો એવી છે કે જે બીજું કોઈ લખી ન શકે. પૌત્ર યશ થોડો મોટો થયો તે પછી ટિકેકર તેને ફરવા લઇ જતા. ક્યાં? સ્ટ્રેન્ડ બુક સ્ટોલ કે ‘કિતાબખાના’ જેવી પુસ્તકોની દુકાનોમાં! તો બીજી બાજુ પૌત્રને કંપની આપવા ખાતર તેની સાથે બેસીને રોજ રાતે ટી.વી. પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સિરિયલ જોતા. લખવા બેસે ત્યારે બાજુમાં ચંદનની અગરબત્તી કે ધૂપ જલાવવાની અને ખારી શીંગ અને ચેવડાની રકાબીઓ રાખવાની ટેવ. અને સિગારેટનો સાથ તો હોય જ! લેખનાં છેલ્લાં વાક્યોમાંથી દાબી રાખેલું ડૂસકું સંભળાયા વગર ન રહે : “હું બહાર જાઉં છું, નાટક-સિનેમા જોઉં છું, રોજિંદુ જીવન ચાલુ જ છે. યશની સોબત પણ છે. પણ એ પણ બરાબર જાણું છું કે Life will not be the same again! 

પુસ્તક વિષે વાત કર્યા પછી છેલ્લે એક અંગત વાત : આ લખનારને ટીકેકરની નિકટની મૈત્રીનો લાભ વર્ષો સુધી મળ્યો હતો.

XXX XXX XXX

20 જાન્યુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com

પૂરવણી :

Dr. Aroon Tikekar : Mumbai’s tireless chronicler (1944-2016)

A Humble Tribute on His Death Anniversary 

By Deepak B. Mehta

Aroon Tikekar was more of a scholar, a historian of Mumbai city, than a mere journalist, though he donned many hats during his chequered career spanning five decades. He dominated Marathi journalism for two decades, provided long needed depth to daily coverage and analysis of socio-political happenings in Maharashtra.

He was an expert on the history of Mumbai University, was an excellent raconteur of Mumbai city, and knew its landmarks and stories behind them. He was more comfortable with the company of books which he loved, rather than spending time with socialites of the day. He spent months in the Mumbai University library to unearth its history before he wrote The Cloister’s Pale – A Biography of the University of Mumbai. He donated a part of his personal collection of books to the same library. He played a major role in modernizing the Asiatic Society during his long tenure as president of the institute.

He was a prolific writer in Marathi as well as English and contributed occasionally on important issues to the Times of India and other publications. He cherished high moral values and always kept a distance from the ruling class. He was basically a non-conformist, liberal editor. His motto was, editors must be read and not be seen with the high and mighty of the society. He extensively wrote about contemporary Maharashtra and always took a moral stand on controversial issues, unmindful of what the people in power wanted. This gave an edge and sharpness to whatever he wrote in his columns and editorials. He continued the long tradition of Marathi journalism set by Lokmanya Tilak, of fearless journalism. 

But above all, for me he was one of my closest friends, a philosopher, and a guide. 

I miss you very much, Dear TK.

Loading

નોબેલ પુરસ્કાર લહાણી કરવાની ચીજ નથી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|19 January 2026

રવીન્દ્ર પારેખ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વૈશ્વિક અરાજકતાનું ઉત્તમ ઉદાહરણ છે. એવો એક દિવસ નથી જતો જેમાં ટ્રમ્પે ટેરિફ અને ધમકીની વાતો ના ઉચ્ચારી હોય. તેઓ ન બોલે તો વૈશ્વિક શાંતિ વહેલી સ્થપાય, પણ કમનસીબે તેવું થતું નથી. બોલવાનો, તોછડાઈનો રોગ હોય તે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ વર્તે છે. ભારતને મિત્ર ગણીને ટેરિફની ધમકી આપવાનું પણ તેઓ ચૂકતા નથી. ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામ ટ્રમ્પ વગર શક્ય જ ન હતો એવો પ્રલાપ તેઓ એકથી વધુ વખત કરી ચૂક્યા છે. બાકી, હતું તે ગઈ કાલના સમાચારમાં જ ટ્રમ્પે કહ્યુ કે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવીને તેમણે લાખો લોકોના જીવ બચાવ્યા છે. એ સાથે જ એમ પણ ઉમેર્યું કે અમે એક વર્ષ કરતાં ઓછા સમયમાં 8 શાંતિ સમજૂતી કરાવી છે. એ પણ ગણાવ્યું કે ઉત્તર કોરિયા સાથેના સંવાદ, મધ્યપૂર્વમાં અબ્રાહમ એકોર્ડ્સ અને આતંકવાદ વિરોધી પગલાં માટે પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર એકથી વધુ વખત મળવો જોઈએ, એવો દાવો અને પ્રચાર ખુદ ટ્રમ્પે કરવામાં કોઈ કસર રાખી નથી. દાવો તો ઠીક, પણ નોબેલની તેમણે રીતસરની ઉઘરાણી જ કાઢી હતી. જો કે, તેમના દુર્ભાગ્યે, ટ્રમ્પને 2025નું નોબેલ પીસ પ્રાઈઝ ન મળ્યું ને તે વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને મળ્યું. ટ્રમ્પ નોબેલ કમિટી પર ગિન્નાયા પણ ખરા, તે કમિટી પક્ષપાતી છે, એવો આરોપ મૂકવાથી પણ ન ચૂક્યા.

આ સાથે જ તેમનો ઉપદ્રવ તો ચાલુ જ છે. 8 યુરોપિયન દેશોને 10 ટકા ટેરિફની ધમકી આપતાં તેમણે રોકડું પરખાવ્યું કે સમજૂતી નહીં થાય તો 1 જૂનથી ટેરિફ 25 ટકા થશે. ગ્રીનલેન્ડ ખરીદીને કબજે લેવાની ધમકીને કારણે ભયંકર ઠંડી વચ્ચે લોકોએ રેલી કાઢી ને સ્પષ્ટ કર્યું કે ગ્રીનલેન્ડ વેચવા માટે નથી. ડેન્માર્કમાં પણ અનેક રેલીઓ નીકળી. ટ્રમ્પના 8 વખત શાંતિ પ્રયાસોની વાત સાચી માનીએ તો પણ, કોઈ દેશની ખરીદ-વેચાણની વાતે કે ટેરિફની ધમકીઓથી શાંતિ ડહોળાય છે, એવું નહીં? સુપ્રીમ લીડર ખોમેનેઈએ કહ્યું કે ટ્રમ્પના હાથ લોહીથી રંગાયેલા છે, તો, ટ્રમ્પ જવાબમાં કહે છે કે ઈરાન સરકાર થોડા દિવસની જ મહેમાન છે. ઈરાની પ્રદર્શનકારીઓનું માનવું છે કે ટ્રમ્પે અમને દગો કર્યો છે. સૌથી વધુ જરૂર હતી ત્યારે જ ટ્રમ્પે સમર્થન પાછું ખેંચ્યું ને તેનું પરિણામ 5,000 લોકોનાં મોતમાં આવ્યું છે. આ બધી વાતો અને શાંતિ સમજૂતી વચ્ચે કેવળ માનસિક અસ્થિરતા જ કેન્દ્રમાં આવી રહે છે.

આની સમાંતરે ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું ચૂપચાપ અપહરણ કરી વેનેઝુએલામાંથી સરમુખત્યારશાહી ખતમ કરવાનો પ્રયત્ન કર્યો. આ માન્યતા મારિયા મચાડોની છે. એ જે હોય તે, નિકોલસ માદુરો સરમુખત્યાર જ કેમ ન હોય, ટ્રમ્પને કોઈ હક નથી કે તેઓ માદુરોને તેમના દેશમાંથી ઉપાડીને અમેરિકા ખેંચી જાય. એ ખરું કે મચાડો વિપક્ષી નેતા છે. તેમણે જોયું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું અપહરણ થયું છે ને ટ્રમ્પને વહાલા થવાથી વેનેઝુએલામાં સત્તા મળે એમ છે, તો તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ભેટ(કે દાન?)માં આપી દીધો. ‘TO  PRESIDENT DONALD J. TRUMP’ લાઈન સાથે મચાડોએ નોબેલ પુરસ્કાર અર્પણ કર્યો. ટ્રમ્પ તો નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટાંપીને બેઠા જ હતા, ત્યાં ભાવતું હતું ને વૈદે કહ્યા જેવું થયું. મચાડોને પુરસ્કાર જાહેર થયો ત્યારે ટ્રમ્પ તેમનાથી નારાજ હતા, એ પછી નોબેલ પુરસ્કાર સામેથી પોતાને આંગણે આવે તો ના કેમ પાડે?

જરા પણ સંકોચ વગર રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુરસ્કાર સ્વીકારતો ફોટો મચાડો સાથે પડાવી લીધો. મચાડોએ એમ પણ કહ્યું કે આજનો દિવસ વેનેઝુએલાના લોકો માટે ઐતિહાસિક છે. આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર વિશ્વાસ કરી શકીએ. કોઈનું ઇનામ પોતે સ્વીકારી લેવું કોઈ રીતે યોગ્ય નથી. તેમાં આ તો નોબેલ પુરસ્કાર ! દુનિયા જાણે છે કે 2025નો શાંતિ પુરસ્કાર મચાડોને મળ્યો છે. તે પોતાને નામે ચડાવવાનો રાષ્ટ્રપતિ જેવાને સંકોચ ન થાય એ બેશરમીની પરાકાષ્ટા છે. ઉપરથી ટ્રમ્પ ખુશ થઈને મચાડો માટે સોશિયલ મીડિયા પર લખે છે કે મચાડો એક હિંમતવાન અને અદ્દભુત મહિલા છે. મચાડોને નોબેલ પુરસ્કાર મળ્યો, ત્યારે તે હિંમતવાન અને અદ્દભુત મહિલા લાગ્યાં ન હતાં. તેઓ તો મચાડોને પુરસ્કાર મળ્યો, એ વાતે નારાજ હતા, પણ જેવું મચાડોએ ઇનામ ટ્રમ્પને પધરાવ્યું કે મચાડો અદ્દભુત ને હિંમતવાન મહિલા થઈ ગયાં ! માત્ર રાજકીય લાભ ખાટવા મચાડો જેવાં વિપક્ષી નેતા નોબેલ પુરસ્કારનું ગૌરવ જાળવવાને બદલે તેની લહાણી કરવા નીકળે એ પણ એટલી જ શરમજનક ઘટના છે.

હવે નોબેલ પારિતોષિક આપતી કમિટીને પણ થતું હશે કે તેણે કેવાં સન્નારીને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કર્યાં છે ! મચાડો બધી શંકાથી પર, વેનેઝુએલામાં લોકશાહીની જ્યોત પ્રગટાવી રાખવા માટે જે જોખમો વચ્ચે ટકી રહ્યાં છે, તે કાબિલે દાદ છે. એ રીતે નોબેલ પુરસ્કાર માટે તેમની પસંદગી બધી રીતે ઉચિત છે, પણ તેમણે જે હરકત નોબેલનું દાન કરવાની કરી છે, તે અક્ષમ્ય છે. એમ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને આપવાથી એ સિદ્ધ થઈ શકશે કે નોબેલ પુરસ્કાર મચાડોને અપાયો નથી? ન તો આ પુરસ્કાર અર્પણવિધિથી દુનિયા એમ માનશે કે પુરસ્કાર મચાડોને નહીં, પણ ટ્રમ્પને મળ્યો છે? જો એ શક્ય જ નથી તો પારિતોષિક અર્પણવિધિનો આ આખો વેપલો રાજકીય સ્ટંટથી વિશેષ કંઇ નથી. અલબત્ત ! ટ્રમ્પે મારિયા મચાડોને રાજકીય નેતા તરીકેનું સમર્થન આપ્યું નથી, પણ મચાડો નિસ્વાર્થ ભાવે નોબેલની લ્હાણી કરીને ચૂપચાપ બેસી રહે એવાં સન્નારી તો નથી જ !

વેનેઝુએલાની અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધુ રાજકીય લાભ ખાટવાની તકો મચાડો પાસે છે ને એ નોબેલ દાન કરવાથી હાથવગી હોય તો મચાડો એ ન જ ગુમાવે એ સમજી લેવાનું રહે. આમાં સૌથી વધુ ચલણી તત્ત્વ દાખલ પડી જાય એવું કંઇ હોય તો તે નોબેલની ગરિમા ન જળવાવાનું. નોબેલમાં મોટી રકમ મેડલની સાથે અપાય છે. એથી વધુ રકમ ઘણાં ધરાવતા હોય એ શક્ય છે. એવી સાધન સંપન્ન કોઈ વ્યક્તિ વધુ રકમ આપીને નોબેલ ખરીદવા નીકળે કે વધુ રકમની લાલચે કોઈ નોબેલ વેચવા નીકળે તો તેને રોકવાનું મુશ્કેલ બને. ટ્રમ્પને નોબેલ અર્પણ વિધિની મચાડોની ચેષ્ટાથી આવો નવો ધારો પડે તે મોટું ભયસ્થાન આ ઘટના/દુર્ઘટનાનું છે.

બહુ યોગ્ય રીતે જ આ ભયસ્થાન પારખીને નોબેલ કમિટીએ કેટલીક સ્પષ્ટતાઓ કરવી પડી છે. મેડલના માલિક બદલાઈ શકે છે, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાનું બિરુદ બદલી શકાતું નથી. ટૂંકમાં, નોબેલ પુરસ્કાર કોઈને ટ્રાન્સફર કરી શકાતો નથી, વહેંચી શકાતો નથી કે રદ્દ કરી શકાતો નથી, એટલે આ પુરસ્કાર મચાડો પાસે જ રહેશે. નોબેલ કમિટીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે નોબેલ વિજેતાની પસંદગી સંપૂર્ણપણે સ્વતંત્ર છે ને તે કોઈ રાજકીય દબાણને વશ નથી. ટ્રમ્પે નોબેલ સ્વીકારતો ફોટો તો પડાવ્યો છે, પણ મચાડો પાસે જોઈએ તેટલાં પ્રમાણમાં સમર્થન નથી, એટલે મચાડો વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હોવાની કલ્પના કરી બેઠાં હોય તો તેમાં છક્કડ ખાવાની તૈયારી પણ રાખવાની રહે.

કોઈ રાજકીય દાવપેચમાં ન પડીએ, તો પણ વૈશ્વિક કક્ષાનો નોબેલ શાંતિ પુરસ્કાર તેની ગરિમા ગુમાવે એ રીતનું વર્તન મારિયા મચાડોએ કરવા જેવું ન હતું. એવી પણ ચર્ચા છે કે મારિયા મચાડોને આ પુરસ્કાર અમેરિકાને, એટલે કે ટ્રમ્પને ઈશારે મળ્યો છે, જેથી વાયા મચાડો તે ટ્રમ્પ સુધી પહોંચે. આ સેટિંગ હોય તો તે નોબેલ કમિટીની નિષ્પક્ષતા પર પણ પ્રશ્નાર્થચિહ્ન લગાવે છે. જો કે, અત્યારે તો આ પુરસ્કારને દુનિયાએ નોબેલ કમિટીની નિષ્પક્ષતા સંદર્ભે જ જોવાનો રહે, એટલે નોબેલ કમિટીને ટ્રમ્પ વધુ યોગ્ય જણાયા હોત, તો એ પુરસ્કાર તેમને જ અપાયો હોત, પણ તેમ ન થતાં મચાડો વધુ લાયક ઉમેદવાર લાગ્યા ને પુરસ્કાર તેમને અપાયો. હવે નોબેલની નિર્ણાયક કમિટીની ઉપરવટ જઈને મારિયા મચાડો એ પુરસ્કાર ટ્રમ્પને એનાયત કરે એમાં પારિતોષિકની અવમાનના છે, એટલું જ નહીં, નોબેલ કમિટીનું પણ એમાં અપમાન છે ને એ નોબેલ પારિતોષિક વિજેતાને હાથે થાય એ તો વધુ ગંભીર ઘટના છે.

કમ સે કમ નોબલ પુરસ્કાર આટલો સસ્તો તો તેના વિજેતા દ્વારા ન જ થવો જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 જાન્યુઆરી 2026

Loading

...11121314...203040...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved