Opinion Magazine
Number of visits: 9735943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—331 

દીપક મહેતા|Opinion - Opinion|7 March 2026

મુંબઈમાં ભંડારી આવ્યા, તાડી લાવ્યા અને પછી બની ગયા પોલીસ!        

‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી,

સાધુ પુરુષને સૂઈ ન રહેવું.’

નરસિંહ મહેતાનું આ પ્રખ્યાત પ્રભાતિયું આજથી ૩૦૦-૪૦૦ વરસ પહેલાંના મુંબઈમાં જરા જૂદી રીતે પણ ગાઈ શકાય તેમ હતું :

‘રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી,

ભંડારી પુરુષને સૂઈ ન રહેવું.’

કોળી પછી મુંબઈના આદિ વતનીઓમાં ભંડારી લોકો આવે. મુખ્ય ધંધો તાડનાં ઝાડ પર ચડી, માટલીમાં તાડી કાઢવાનો અને પછી તે વેચવાનો. પણ તો પછી આ જમાતનું નામ ‘ભંડારી’ કેમ પડ્યું? આપણા દેશમાં આવાં નામ પાછળ કોઈ દંતકથા ન હોય એવું બને? પંડિત મહાદેવ શાસ્ત્રી જોશી નામના વિદ્વાને ‘ભંડારી’ નામ અંગે એક દંતકથા નોંધી છે : એક વખત તિલકાસુર નામના રાક્ષસે માઝા મૂકી હતી. ત્રણે લોકમાં હાહાકાર મચાવ્યો હતો. છેવટે ભગવાન શંકરે તેને પકડ્યો અને પીસવા માટે ઘાણીમાં નાખ્યો. એ એ ઘાણી ચલાવવાનું કામ સોંપ્યું તેમના માનીતા પોઠિયા નંદીને. પણ ઘાણી ચલાવીને નંદી તો થોડી વારમાં લોથપોથ. તેના પરસેવાની નદીઓ વહે. અને તો ય પેલો તિલકાસુર તો હેમખેમ, ને પાછો હસ્યા કરે. પોતાના માનીતા નંદિની દશા જોઈ ભગવાન શંકરને કપાળે પરસેવો થયો અને તેનાં ટીપાં પડવા લાગ્યાં. અને ત્યાં તો પરસેવાના એક ટીપામાંથી પ્રગટ થયો એક પુરુષ. વાન શામળો. કાઠું મજબૂત. તેણે પહેલાં તો ભગવાન શંકરને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. તેમનો કૃપાસ્પર્શ થયા પછી એ પુરુષે નંદીને ઘાણીએથી છોડાવ્યો અને તેની જગ્યા પોતે લીધી. એણે તો જે જોરથી ઘાણી ફેરવી, તે બે પાંચ ઘડીમાં તો પેલા તિલકાસુરના રામ રમી ગયા! ત્રણે લોકમાં આનંદ આનંદ. પણ હજી પેલા પુરુષની પરીક્ષા પૂરી થઈ નહોતી. ઘાણીથી થોડે દૂર ભગવાન શંકરે એક ખાસ્સું ઊંચું ઝાડ બનાવી દીધું. પછી પેલા માણસને કહ્યું : ‘મને બહુ તરસ લાગી છે. આ ઝાડ પર ચડી તેનો મીઠ્ઠો મધુરો રસ મારે માટે લઈ આવ.’ પેલો માણસ તો આંખના પલકારામાં એ ઊંચા ઝાડ પર ચડી ગયો. ફળનો રસ કાઢીને નીચે આવ્યો અને ભગવાન શંકરને ધર્યો. એ પીધા પછી ભગવાન શંકર પ્રસન્ન થયા અને પેલા માણસને પોતાની અલકા નગરીના ખજાના કહેતાં ભંડારનો વડો બનાવ્યો. અને ભગવાન શંકરે ઊભું કરી દીધેલું પેલું માયાવી ઝાડ તે તાડનું ઝાડ. બસ, પછી તો તે દિવસથી પેલા માણસના વંશજો ‘ભંડારી’ તરીકે ઓળખાયા. પણ કામ કરે તાડીમાડી ગાળવાનું.

‘ભંડારી’ અટક ધરાવતા લોકો પૂર્વ અને ઉત્તર ભારતમાં પણ જોવા મળે. પણ મુંબઈના અને મહારાષ્ટ્રના ભંડારીઓ પોતાને તેમનાથી જુદા માને છે. અસલ ધંધો ભલે તાડી ગાળવાનો, પણ પોતાને ક્ષત્રીય માને છે. એક જમાનામાં ભંડારીઓની અડધા કરતાં વધુ વસતી રત્નાગિરી જિલ્લામાં હતી. ત્યાંથી તેઓ મુંબઈ આવ્યા. મુંબઈની ઉત્તરે સુરત સુધીના દરિયા કિનારા પર પણ તેમની વસતી જોવા મળે છે. ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વસેલા ભંડારીઓએ ઠેર ઠેર ચીકુની વાડીઓ ઊભી કરી છે. તેમાંથી દહાણુ, ઘોલવડ અને અમલસાડનાં ચીકુને આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતો GI Tag મળ્યો છે. ત્યાંનાં ચીકુ દેશમાં અનેક જગ્યાએ વેચવા મોકલાય છે. ચીકુની સાથોસાથ બીજા પાક તરીકે ‘લીલી’ નામનાં ફૂલ પણ તેઓ વાવે છે. 

તાડના ઝાડ પર ભંડારી 

ભંડારીઓ જે જમાનામાં મુંબઈ આવ્યા એ જમાનામાં મુંબઈનો ઘણો મોટો ભાગ ખેતરાઉ હતો. તાડ વાડી અને તાડ દેવ જેવાં નામો સૂચવે છે તેમ અહીં ઠેર ઠેર તાડની વાડીઓ હતી. ઉપરાંત ફણસ વાડી, ફોફળ વાડી, કાંદા વાડી, મુગભાત લેન, ખેત વાડી જેવાં નામો સૂચવે છે તેમ શહેરના જુદા જુદા ભાગોમાં વાડીઓ કે ખેતર હતાં. તેમાં ભંડારીનું કામ સહુથી પહેલાં શરૂ થાય. સવારના અંધારામાં સડસડાટ તાડના ઝાડ પર ચડી જાય. કેડે લટકતાં હોય કોયતો અને માટીની માટલી. તાડની ટોચે પહોંચી પહેલાં માટલી બાંધે. પછી થડની ટોચ પર ચોક્કસ જગ્યાએ કોયતાથી કાપો મૂકે. ટીપે ટીપે રસ ઝરીને માટલીમાં ભેગો થાય. ખાસ્સી વાર તાડની ટોચે બંધાઈને રહેવું પડે. સાંજે સૂરજ ઢળી જાય પછી પાછી એ જ કવાયત. ઝાડની ટોચ પરથી બીજું તો શું કરી શકે? આજુબાજુ નજર ફેરવે. ક્યારેક ઉપર જુએ, ક્યારેક નીચે.

મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆર ભારે ચતુર-સુજાણ. એ વખતે મુંબઈમાં પોલીસ જેવું કશું નહિ. નાની-મોટી ચોરીથી માંડીને ખૂનખરાબા થયા કરે, અવારનવાર. ઓન્ગીઆરે નોંધ્યું કે સવાર-સાંજ આ ભંડારીઓ તાડની ટોચે લાંબો વખત રહે છે. આજુબાજુ નજર ફેરવતા રહે છે. તેમણે થોડાક ભંડારીઓને ભેગા કર્યા. કહ્યું : તમે સવાર-સાંજ ઝાડની ટોચે હો ત્યારે આજુબાજુ નજર તો નાખતા હશો.

હોવ્વે.

એવે વખતે કોઈ નાની મોટી ચોરી, મારામારી, કે ખૂન પણ તમારી નજરે પડે, ખરું ને?

હોવ્વે. 

બસ. તો તમારે એક કામ કરવાનું. આવું કાંઈ જુઓ ત્યારે તરત મને જાણ કરવાની. 

હોવ્વે.

અને આમ, ભંડારીઓ બન્યા કંપની સરકારના પહેલવહેલા ‘ખબરીઓ.’ પણ ભંડારીઓનું કામ તો ફક્ત સવાર-સાંજનું. આખો દિવસ નવરા. ફરી થોડા ભંડારીઓને ઓન્ગીઆરે ભેગા કર્યા. દિવસે તમે નવરા બેઠા હો છો, ખરું ને?

હોવ્વે.

તો શહેરની ગલીઓમાં, ખેતરોમાં, રસ્તાઓ પર, દરિયા કિનારે આંટા મારો અને કોઈ ચોર-મવાલી, ઠગ-ધુતારો દેખાય તો એને બાવડું પકડી અમારી પાસે લઈ આવો. બોલો, થઈ શકશે તમારાથી આ કામ?

હોવ્વે. 

તાડી માડી વિક્રી કેન્દ્ર 

અને એમ શરૂઆત થઈ મુંબઈ પોલીસની. નામ આપ્યું ‘ભંડારી મિલિશિયા.’ યુનિફોર્મ કે એવું કાંઈ નહિ. હાથમાંનો દંડૂકો એ એની ઓળખાણ. એ વખતે મુંબઈની સરકાર સતત ભય સાથે જીવતી હતી. ડચ, પોર્ટુગિઝ, મોગલ, સીદી, મરાઠા, એ બધામાંથી કોણ, ક્યારે, કઈ દિશામાંથી મુંબઈ પર ચડી આવે, કાંઈ કહેવાય નહિ. એટલે ઓન્જીઆરે માહિમ, શિવરી, સાયન, અને બીજી કેટલીક જગ્યાએ ભન્ડારીઓની ટુકડીઓ ગોઠવી. આ ટુકડીઓની કામગીરી બેવડી હતી : કંપની સરકારના ગોરા લશ્કરને મદદરૂપ થવું, અને આજે જે ફરજો પોલીસ બજાવે છે તે પણ સાથોસાથ બજાવવી. એટલું જ નહિ, લંડનમાં બેઠેલા કંપનીનાં ડિરેક્ટરોને લખેલા એક કાગળમાં ઓન્જીઆરે ત્યાં સુધી લખ્યું હતું કે ‘દેશી’ ખ્રિસ્તીઓ કરતાં આ ભંડારીઓ વધુ ભરોસામંદ હોય છે. કારણ એક તો તેઓ વધુ બહાદુર હોય છે અને તેમની કંપની સરકાર પ્રત્યેની વફાદારી વધારે મજબૂત હોય છે. વળી ભંડારી સૈનિકો રાતના રખેવાળ તરીકે પણ વધુ બાહોશીથી કામ કરી શકે છે. ચોરી-ચપાટી કે લૂંટફાટ કરનારાઓને ઓળખીને પકડવામાં તેઓ કાબેલ હોય છે. આ પત્ર મળ્યા પછી કંપની સરકારના ખેરખાંઓએ ભંડારી સૈનિકોની સંખ્યા ૫૦૦થી વધારીને ૬૦૦ કરવાની મુંબઈ સરકારને પરવાનગી આપી. ઓન્જીઆર પછી ૧૬૮૧થી ૧૬૯૦ સુધી  મુંબઈના ગવર્નરના પદે રહ્યા સર જોન ચાઈલ્ડ. તેમને આ ભંડારી સેના પાછળ થતો ખરચ બિનજરૂરી લાગ્યો એટલે તેમણે ૧૬૭૯માં એ સેનાને વિખેરી નાખવાની ભલામણ લંડન મોકલી. ત્યાંના સાહેબોને તો પૈસા બચે એવી કોઈ પણ દરખાસ્ત મધથી ય મીઠી લાગે. એટલે તરત ‘હા’ ભણી મોકલી. પણ એ રુક્કો મુંબઈ પહોંચ્યો ત્યારે એક બાજુ છત્રપતિ શિવાજી મહારાજ મુંબઈ પર ચડાઈ કરશે એવી વાતો ફેલાઈ હતી તો બીજી બાજુ સીદી ચાંચિયાઓ કંપનીનાં વહાણોને આંતરીને લૂંટી રહ્યા હતા. એટલે ખુદ ગવર્નરે જ ભંડારી સેનાને ખાલસા કરવાની વાતનો વીંટો વાળી દીધો. બ્રિટનમાં બેઠેલા માંધાતાઓને પણ પોતાની ભૂલ સમજાઈ અને ભંડારી સેના વિખેરી નાખવા અંગેનો પોતાનો આગલો ઠરાવ રદ્દબાતલ કરવો પડ્યો. જો કે પછી ઈ.સ. ૧૮૦૦માં છેવટે ભંડારી સેનાને વિખેરી નાખવામાં આવી. મુંબઈ પોલીસની વ્યવસ્થિત રીતે શરૂઆત થઈ તે પછી પણ ઘણા વખત સુધી મુંબઈ તેમાં સૌથી વધુ સિપાઈઓ ભંડારી જાતિના રહેતા.

કોળીઓ અને ભંડારીઓ વચ્ચેનો એક ફરક એ કે કોળીઓ મોટે ભાગે પરંપરાને વળગી રહ્યા. બીજા ક્ષેત્રોમાં ભાગ્યે જ ઝાઝો રસ લીધો. જ્યારે ભંડારીઓ શિક્ષણ, સમાજ, રાજકારણ, વ્યવસાયો, વગેરેમાં આગળ વધતા રહ્યા. તેમાંના કેટલાકની નોંધ તો મુંબઈ શહેરની બહાર રાજ્યમાં અને દેશમાં પણ લેવાતી રહી છે. મરાઠીમાં બાબાસાહેબ આંબેડકર અને બીજા કેટલાક અગ્રણીઓનાં સંશોધનાત્મક જીવનચરિત્રો લખનાર ધનંજય કીર, જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર મહેશ માંજરેકર, જાણીતા અભિનેતા નાના પાટેકર, મરાઠી રંગભૂમિના પ્રખ્યાત નટ મછીન્દ્રનાથ કામ્બલી, સચિન તેંદુલકરના ક્રિકેટ-ગુરુ રમાકાંત આચરેકર, વિજય માંજરેકર, સંજય માંજરેકર, અને પદ્માકર શિવાલકર જેવા ક્રિકેટરો, પણ ભંડારી જાતિના. 

ભંડારી સ્ટ્રીટ

ભંડારી કોમમાં લગ્ન વખતે દહેજ કે વાંકડો આપવા-લેવાનો ચાલ મુદ્દલ નથી. અગાઉ લગ્નપ્રસંગે માંસાહારી ભોજન પીરસાતું, પણ હવે તે બંધ થયું છે. પણ પ્રતીકાત્મક રીતે ભોજન શરૂ થાય એ પહેલાં એક મોટા કોળાનાં બે ફાડચાં કરવામાં આવે છે. પછી એ કોળાનું શાક ભોજનમાં બધાને પીરસવામાં આવે છે. તેમની લગ્નવિધિ રજપૂતોની લગ્નવિધિને મળતી આવે છે. લગ્નવિધિ વખતે હાજર રહેલા દરેક પુરુષનું એક પછી એક નામ પોકારવામાં આવે છે. એ પુરુષ ઊભો થાય એટલે કન્યાના પિતા તેની પાસે જઈને તેને કપાળે કંકુનો ચાંદલો કરે અને તેને પાનબીડું આપી સન્માન કરે. 

ગોળ દેવળ, ૧૯૦૭ પછી ક્યારેક

મુંબઈના એક રસ્તા સાથે ભંડારીઓનું નામ જોડાયેલું છે. ભંડારી સ્ટ્રીટ ફોકલેન્ડ રોડ પાસેથી શરૂ થાય અને કુંભારવાડા પાસે પૂરી થાય. જો કે કેટલાકને મતે કુંભારવાડા નામ પછીથી પડ્યું. અસલ નામ હતું ભંડારવાડા. એક જમાનામાં આ વિસ્તારમાં ભંડારીઓની ઝાઝી વસતી હતી એટલે આ નામ. ભંડારી સ્ટ્રીટ નજીક મુંબઈનું સૌથી જૂનું શિવનું મંદિર આવેલું છે એ ફક્ત અકસ્માત ન હોય. મોટા ભાગના લોકો એને ‘ગોળ દેવળ’ તરીકે ઓળખે છે. કારણ રસ્તાની વચ્ચોવચ બંધાયેલું આ મંદિર આકારમાં ગોળ છે, બીજાં ઘણાંખરાં મંદિરોની ચોખૂણિયું નથી. અગાઉ ઘણી વાર આ મંદિરને નજીકમાં બીજે ક્યાંક ખસેડવાની યોજનાઓ થઈ હતી. પણ શિવભક્તોના ઉગ્ર વિરોધને કારણે પડતી મૂકાઈ હતી. મંદિર ખસેડવા માટે સુધરાઈએ નજીકમાં એક પ્લોટ પણ ખાલી રાખ્યો હતો. એ જગ્યા હવે નાગેશ્વર વાડી તરીકે ઓળખાય છે, અને ત્યાં એક ધર્મશાળા બંધાઈ છે.

ચાલો, ગોળ દેવળનાં દર્શન સાથે આજની આપણી યાત્રા થઈ પૂરી. હવે આવતે શનિવારે? નવી ગિલ્લી, નવો દાવ!

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 માર્ચ 2026)

Loading

યુદ્ધગ્રસ્ત વિશ્વ : ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે?

કિરણ કાપુરે|Opinion - Opinion|6 March 2026

ઇરાન-ઇઝરાયલ ફરી સામસામે આવીને મરણિયા થયા છે. ઇઝરાયલ સાથે અમેરિકા છે અને તેથી હવે ઇરાન સાથે કોઈ દેખાઈ રહ્યું નથી. છેલ્લે જે ખબર આવ્યા તે પ્રમાણે ઇઝરાયલ-અમેરિકાના હૂમલાથી ઇરાનના શહેરો તહસનહસ થઈ રહ્યા છે. આ યુદ્ધ થવાનાં અનેક કારણો છે; પરંતુ મૂળે તો આ ગજગ્રાહ સામ્રાજ્યવાદ, કુદરતી સંપદા મેળવવાનો અને અહંકારનો છે. વિશ્વમાં આ સ્થિતિ આજે ડોનાલ્ડ ટ્રમ્પ, બ્લાદિમિર પુતિન કે નેતન્યાહૂના શાસનમાં નથી આવી; તે અગાઉ પણ વિશ્વ આવી દોજખભરી સ્થિતિમાં આવ્યું છે અને તેનો ઉલ્લેખ વિગતે આપણા દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના પુસ્તક ‘જગતના ઇતિહાસના રેખાદર્શન’માં કર્યો છે. મૂળે આ પુસ્તક અંગ્રેજીમાં ‘ગ્લીમ્પ્સિસ ઑફ વર્લ્ડ હિસ્ટરી’ નામે લખાયું છે અને તે પછી તેનો અનુવાદ મણિભાઈ ભ. દેસાઈએ કર્યો છે. આ પુસ્તકમાં અનેક એવાં પ્રકરણ છે- જે વાંચીએ તો ખ્યાલ આવે કે આજે ય પા-સદી-સદી પહેલાંની સ્થિતિ છે. માણસ તેના ભૂલથી કશું ય શીખ્યો નથી તેવું જવાહરલાલ નેહરુના કલમે વાંચીને આપણે કહી શકીએ. ‘યુદ્ધની છાયા’ના પ્રકરણ અંતર્ગત તેઓ લખે છે : ‘રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની આ હરીફાઈ એ ખરેખર મૂડીવાદી ઉદ્યોગોનું અનિવાર્ય પરિણામ હતું. બજારોની તેમ જ કાચા માલની દિનપ્રતિદિન વધતી જતી માગણીએ મૂડીવાદી સત્તાઓ પાસે સામ્રાજ્ય માટે દુનિયાની ફરતે દોડાદોડની કેવી હરીફાઈ કરાવી તે આપણે જોયું. એ સત્તાઓ એશિયા તથા આફ્રિકામાં જ્યાં-ત્યાં દોડી વળી અને તેમનું શોષણ કરવાને હાથમાં આવે એટલો બધો મુલક પચાવી પાડ્યો. આ રીતે આખી દુનિયા ખૂંદી વળ્યા પછી પગ પસારવાનું એકે સ્થાન બાકી ન રહ્યું એટલે સામ્રાજ્યવાદી સત્તાઓ એકબીજાની સામે ઘુરકિયાં કરવા તથા એકબીજાના તાબાના મુલકો તરફ લોભી નજરે જોવા લાગતી. એશિયા, આફ્રિકા તથા યુરોપમાં આ મહાન સત્તાઓ વચ્ચે વારંવાર અથડામણો થવા પામી અને ક્રોધની લાગણી ભભૂકી ઊઠી તથા યુદ્ધ ફાટી નીકળશે કે શું, એમ ભાસવા લાગ્યું.’ જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે છે ત્યારે કોઈ દેશ માનવતાવાદી વલણ લેતું નથી તે હાલમાં ઇરાન પર થયેલાં હૂમલામાં જોઈ શકાય છે. યુરોપ અને પશ્ચિમી દુનિયા હંમેશાં માનવતાવાદી અને ઉદાર વલણ દેખાય તે રીતે નિવેદન આપે છે; પરંતુ ઇરાનના વડા આયતુલ્લાહ અલી ખામેનીની હૂમલામાં થયેલા હૂમલા બાદ યુરોપના દેશોએ કોઈ નિંદા ન કરી. એ ચોક્કસ છે કે ખામેનીનું શાસન ઇરાનમાં સરમુખત્યારશાહીભર્યું હતું, પરંતુ તેનો ન્યાય અમેરિકા કે ઇઝરાયલ ન તોળી શકે.

યુદ્ધનું પરિણામ શું આવી શકે તે પણ નેહરુએ લખ્યું છે. તેઓ લખે છે : ‘યુદ્ધ કેવળ ખર્ચાળ વસ્તુ છે, ભયંકર ખર્ચાળ વસ્તુ છે. કીમતી વસ્તુઓના ડુંગરોના ડુંગરો એ હોઈયાં કરી જાય છે અને કેવળ ભીષણ સંહાર જ એમાંથી નીપજે છે. સંપત્તિ ઉત્પન્ન કરનારી ઘણીખરી પ્રવૃત્તિઓ તે અટકાવાં દે છે અને પ્રજાની શક્તિ વિના કરવામાં કેન્દ્રિત કરે છે. આ બધાં નાણાં ક્યાંથી આવવાના હતા?’ હવે નેહરુ જે પ્રશ્ન પૂછે છે કે નાણાં આવે છે ક્યાંથી? તે પ્રશ્ન આજે ય ઊભો છે. અમેરિકા પોતે દેવામાં ડૂબેલું છે, તેમ છતાં તેનું ડિફેન્સ બજેટ દર વર્ષે વધી રહ્યું છે. અમેરિકા કોઈ પણ ભોગે પોતાની સત્તા દુનિયામાં ટકાવી રાખવા માંગે છે. એ જ પ્રમાણે રશિયાએ પણ પોતાનું ડિફેન્સ નબળું થવા દીધું નથી. ડિફેન્સ સાથે મસમોટું શસ્ત્રોનું માર્કેટ જોડાયેલું છે અને તે માર્કેટમાં સૈન્યના સાધનો સૌથી વધુ એક્સ્પોર્ટ કરનારા દેશોમાં પ્રથમ ક્રમ અમેરિકાનો આવે છે. કુલ એક્સ્પોર્ટ થનારા સૈન્ય સાધનોમાં અમેરિકાનો હિસ્સો 43 ટકા છે. મતલબ કે દુનિયાના કોઈ પણ હિસ્સામાં યુદ્ધ થતું રહે તેનો પરોક્ષ કે પ્રત્યક્ષ લાભ અમેરિકાને થઈ રહ્યો છે! એ પછી ફ્રાન્સનો હિસ્સો એક્સ્પોર્ટમાં દસ ટકાની આસપાસ છે. રશિયા જે રીતે પોતાનું સામ્રાજ્ય વ્યાપક બનાવવા માંગે છે તેના પ્રમાણમાં તેનો એક્સ્પોર્ટમાં હિસ્સો ઘણો ઓછો છે. પછીના સ્થાને ચીન આવે છે, જેનો હિસ્સો પાંચ ટકાની આસપાસ છે. એકથી દસમાં અન્ય દેશોમાં મહદંશે યુરોપના છે. માત્ર બે દેશો બીજા છે તેમાં એક નામ ઇઝરાયલ છે અને બીજું કોરિયા. શસ્ત્રોનો આ બિઝનેસ થાય છે તે ખરીદનારાઓમાં કોણ છે તો તેમાં સૌથી પહેલું નામ યુક્રેનનું છે. યુક્રેન અત્યારે પોતાના સૈન્ય સાધનો અમેરિકા અને યુરોપથી લેતું હોવું જોઈએ. બીજો ક્રમ ભારતનો છે. તે પછી કતાર અને સાઉદી અરેબિયા છે. પાંચમા ક્રમે પાકિસ્તાન છે. એકથી દસ ક્રમમાં સૈન્ય સાધનોનું આયાત કરનારાં દેશોમાં આર્થિક રીતે સૌથી નબળા કોઈ દેશ હોય તો તે ભારત અને પાકિસ્તાન છે. આ બંને દેશોએ સુરક્ષાનો સવાલ સર્વોપરી રાખીને જંગી નાણાંનું રોકાણ સૈન્ય સાધનોમાં કર્યું છે. આ બંને દેશના દાખલાથી યુદ્ધ કે યુદ્ધની તૈયારી કેટલી ખુંવારી કરી શકે તે સ્પષ્ટ રીતે જાણી શકાય.

શસ્ત્રોની હરીફાઈ વિશે પણ જે નોંધ્યું છે તેથી જાણી શકાય કે આ હરીફાઈ કેવી રીતે આગળ વધે છે. નેહરુ શસ્ત્રની હરીફાઈ વિશે લખે છે : ‘ભય એ તો ભીષણ વસ્તુ છે. દરેક દેશે યુદ્ધ માટેની તૈયારી કરવા માંડી અને બની શકે એટલા પ્રમાણમાં તે શસ્ત્રસજ્જ થવા લાગ્યો. શસ્ત્રસરંજામની હરીફાઈ શરૂ થઈ અને એ હરીફાઈની વિચિત્રતા એ હતી કે, એક દેશ પોતાનો શસ્ત્રસરંજામ વધારે તો બીજા દેશોને તેમ કરવાની પરાણે પણ ફરજ પડે છે. શસ્ત્રસરંજામ, એટલે કે, તોપો, યુદ્ધજહાજો, દારૂગોળો તથા લડાઈમાં વપરાતી બીજી બધી વસ્તુઓ ઉત્પન્ન કરનાર ખાનગી પેઢીઓને સ્વાભાવિક રીતે જ એથી ભારે નફો થયો અને તે માતબર બની. એ પેઢીઓ એથીયે આગળ વધી અને દેશો તેમની પાસેથી વધારે શસ્ત્રો ખરીદવાને પ્રેરાય એટલા ખાતર ખરેખાત તેમણે યુદ્ધની ભયજનક અફવાઓ ફેલાવવા માંડી. શસ્ત્રસરંજામ ઉત્પન્ન કરનાર આ પેઢીઓ ભારે ધનાઢ્ય અને બળવાન હતી તથા ઇંગ્લન્ડ, ફ્રાંસ અને જર્મનીના તથા અન્ય દેશોના મોટા મોટા અમલદારો તથા પ્રધાનમંડળના સભ્યો એના શૅરો ધરાવતા હતા અને એ રીતે તેની સમૃદ્ધિમાં તેમનો સ્વાર્થ રહેલો હતો. યુદ્ધની ભયજનક અફવાઓ દ્વારા કે યુદ્ધ દ્વારા જ શસ્ત્ર સરંજામની પેઢીઓ સમૃદ્ધ થઈ શકે. ઘણી સરકારોના પ્રધાનો તથા મોટા મોટા અમલદારોનું આ રીતે યુદ્ધમાં આર્થિક હિત સમાયેલું હતું. જુદા જુદા દેશોને યુદ્ધ અંગેના ખરચમાં વધારો કરવાને પ્રેરવાના બીજા ઉપાયો પણ આ પેઢીઓએ અજમાવ્યા. લોકમત ઉપર અસર પહોંચાડવાને તેમણે છાંપાઓ ખરીદી લીધા, ઘણી વાર સરકારી અમલદારોને લાંચ આપી તથા પ્રજાને ઉશ્કેરવાને માટે ખોટી વાતો પણ ફેલાવી.’ 

યુદ્ધની આ વરવી વાસ્તવિકતા છે અને તેનાથી ગુમરાહ કરવાનું કામ રાજકીય નેતાઓ કરે છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે અમેરિકા જેવા દેશના વડા તો છે જ, પણ માર્કેટમાં તેમનો હિસ્સો પણ ઘણો મોટો છે. વિશ્વભરમાં ‘ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન’ નામ અંતર્ગત ચાલતાં ધંધા-વ્યવસાય પ્રસરેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ ઓર્ગેનાઇઝેશન કન્સ્ટ્રક્શન, એન્ટરટેઇનમેન્ટ, ઓનલાઇન શોપિંગ, ઇન્વેસ્ટમેન્ટ અને ટેલિકોમ્યુનિકેશનમાં પોતાનો વેપાર ધરાવે છે. 2024ના વર્ષમાં ટ્રમ્પના ઓર્ગેનાઇઝેશનનું રેવન્યૂ છસ્સો મિલિયન ડોલર હતી. એ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ અનેક બિઝનેસ ધરાવે છે. હવે જ્યારે કોઈ દેશનો વડો આવાં બિઝનેસમાં હોય ત્યારે તેની પ્રાથમિકતામાં પ્રજા કેવી રીતે આવી શકે? 

યુદ્ધના નામે લોકોને કેવી રીતે છેતરવામાં આવે છે તે પણ નેહરુએ 1945ના અરસામાં પ્રથમ વિશ્વયુદ્ધના સંદર્ભે લખ્યું છે. તેઓ લખે છે : ‘ચાર વરસ સુધી યુરોપને તથા એશિયા અને આફ્રિકાના કેટલાક ભાગોને ખેદાન-મેદાન કરી નાખનાર, ભરયુવાનીમાં કરોડો તરુણોનો ભોગ લેનાર તથા જેને મહાયુદ્ધ કે વિશ્વયુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે, તે યુદ્ધ વિશે હું તને શું લખીશ વારુ? વિગ્રહ એ વિચાર કરવા જેવો મજાનો વિષય નથી. એ તો કદરૂપી ચીજ છે. પરંતુ ઘણી વાર એનાં વખાણ કરવામાં આવે છે તથા એને ભભકાદાર રંગોમાં ચીતરવામાં આવે છે. વળી એમ પણ કહેવામાં આવે છે કે, અગ્નિ જેમ કીમતી ધાતુઓને શુદ્ધ કરે છે તેમ વધારેપડતા એશઆરામ તથા જિજીવિષાને કારણે કોમળ અને દૂષિત થઈ ગયેલી સુસ્ત પ્રજાઓને તે શક્તિશાળી બનાવે છે. જાણે કે વિગ્રહ જ એ સદગુણો પેદા કરતો હોય તેમ અપૂર્વ ધૈર્ય અને હૃદયને હલમલાવનારાં બલિદાનોનાં દૃષ્ટાંતો આપણી આગળ ટાંકવામાં આવે છે.’ યુદ્ધની નિરર્થકતા માટે તો ઘણું સાહિત્ય છે જે ટાંકી શકાય. 

 e.mail : kirankapure@gmail.com 
પ્રગટ : ‘ઈન સાઈડ આઉટ સાઈડ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”

Loading

યુદ્ધ : રણનું ને મનનું –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 March 2026

રવીન્દ્ર પારેખ

અત્યારે ઈરાન V/S અમેરિકા અને ઇઝરાયલનું તાજું તાજું યુદ્ધ ચાલે છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. આમ તો આ ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ છે, પણ ઇઝરાયલ અમેરિકાને પક્ષે રહીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યું છે. ઈરાની વડા ખોમેનીના મોતમાં ઈઝરાયલનો હાથ નથી એમ કહી શકાશે નહીં. ઇઝરાયલ અને અમેરિકાએ 17 ઈરાની જહાજો ડુબાડ્યાં છે. ઈરાને મિડલ ઇસ્ટના નવ દેશોમાંના 14 અમેરિકી બેઝ પર વળતો હુમલો કર્યો છે, તો ઇઝરાયલે પણ લેબેનોનના ત્રિપોલી શહેરમાં આવેલા પેલેસ્ટેનિયન શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો છે. ઈરાને ઇઝરાયલને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલ સત્તા પરિવર્તનનો પ્રયાસ કરશે, તો ઈરાન ઇઝરાયલના ડિમોના ન્યુક્લીઅર સેન્ટરને ટાર્ગેટ કરશે. એ ઉપરાંત અમેરિકાએ ભારતથી પરત ફરી રહેલા ઈરાની યુદ્ધ જહાજ IRIS દેના પર શ્રીલંકા નજીક હુમલો કરીને જહાજ ડુબાડી દીધું છે. આ હુમલામાં 180માંથી 100થી વધુ નૌસૈનિકોનાં મોત થયાં છે. આ જહાજ ભારતના વિશાખાપટ્ટનમમાં આયોજિત 2026 ઇન્ટરનેશનલ ફલીટ રિવ્યૂમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું. હુમલાની પ્રતિક્રિયા આપતાં ઈરાને કહ્યું કે ઇઝરાયલે અમારું યુદ્ધ જહાજ ડુબાડીને ભૂલ કરી છે. આ ભૂલ બદલ અમેરિકાએ પરિણામ ભોગવવું પડશે. એવું અમેરિકા પણ બોલ્યા કરશે ને એમ ચાલ્યા કરશે.

આમ તો અમેરિકામાં ઈરાન પરનાં સંભવિત હુમલાનો વિરોધ થઇ રહ્યો છે. હાલમાં જ યુંનાઈટેડ સ્ટેટ્સ સેનેટની આર્મ્ડ સર્વિસિસ કમિટીની સુનાવણી દરમિયાન ભારે ધમાચકડી થઈ છે. ઈરાન પર અમેરિકી હુમલાનો વિરોધ કરવા જતાં એક પૂર્વ સભ્યનો હાથ ભાંગી ગયો. એ સાથે જ અઝરબૈજાન પર ડ્રોનનો હુમલો ઈરાને કરાવ્યો હોવાનો આરોપ પણ છે ને તેના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ઈરાન માફી માંગે. જો કે, ઈરાને હુમલાનો ઇન્કાર કર્યો છે. વાત તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાની પણ છે. ઈરાનના કમાન્ડરે પાકિસ્તાનીને હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ન્યૂયોર્કની કોર્ટમાં આવો ચોંકાવનારો દાવો થયો છે. ટૂંકમાં, આ બધા પ્રયત્નો યુદ્ધને ભડકાવવા થઈ રહ્યા હોવાનું લાગે છે. અમેરિકા દરેક પગલાંને ન્યાય્ય ઠેરવવા કંઇ પણ કરી શકે એમ છે એ સમજી લેવાનું રહે.

ભારતે ખોમેનીનાં મૃત્યુ બદલ શોક વ્યક્ત ના કર્યો એ સંદર્ભે પણ માછલાં ધોવાયાં, પણ ભારતે એ વિવેક દાખવ્યો છે ને પહેલીવાર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને ત્યાં શોકદર્શક પુસ્તિકામાં સહી પણ કરી ને શોકાંજલિ પણ અર્પણ કરી. આ શ્રદ્ધાંજલિ ભારત સરકાર દ્વારા આપવામાં આવી.

એક તરફ ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધમાં સંડોવાયેલા છે, તો રશિયા અને યુક્રેન પણ યુદ્ધમાં રોકાયેલાં છે. ચાર વર્ષથી ત્યાં યુદ્ધ ચાલ્યા કરે છે ને તેનો છેડો આવતો નથી ને જે ગુજરી ગયા એ બંને પક્ષે લોકો છેડો મૂકતાં પરવારતાં નથી. બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ એકબીજાને શિંગડાં ભરાવી રહ્યાં છે. બીજે પણ યુદ્ધ ચાલતું હશે કે યુદ્ધની તૈયારીઓ ચાલતી હશે ને મીડિયા તેની સાનંદ નોંધ લેતાં હરખાયા કરે છે. યુદ્ધના સમાચાર આપવામાં હરખાતું મીડિયા યુદ્ધ અંગેની ટિપ્પણીઓ બહુ ઓછી આપે છે. એ અત્યંત દુખદ છે કે સૌ યુદ્ધનો લાભ લઈ રહ્યા છે. એ સાથે જ શેરબજાર કડાકો બોલાવી રહ્યું છે અને ક્રૂડ મોંઘુ થવાની સંભાવનાઓ સાથે યુદ્ધ લાંબું ચાલ્યું તો ભારતની તકલીફ વધશે એવા વર્તારા પણ મીડિયા જ આપ્યે રાખે છે. કોણ જાણે કેમ પણ યુદ્ધનો લેવાય એટલો લાભ દુનિયા લઈ રહી હોય એવું વાતાવરણ છે.

આ પૃથ્વી ફરતી થઈ અને માનવ વસ્તી વધતી ગઈ તેમ તેમ યુદ્ધ થતું આવ્યું છે. માણસને લોહી વગર ચાલ્યું નથી, એટલે લોહી રેડવાનું પરાપૂર્વથી ચાલ્યું આવે છે. વહેતું લોહી જોઈને સ્વજનોને પીડા થતી હશે, પણ શત્રુને તો આનંદ જ આવે છે. મહાભારત કાળથી લોહીની નવાઈ નથી. ભીમ જેવાએ તો દુશાસનની છાતીનું લોહી પીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી, તો દ્રૌપદીએ તેનાં લોહીથી વાળ ધોયા હતા. યુદ્ધ કદાચ માનવને સૌથી વધુ ક્રૂર અને ઝનૂની બનાવે છે. આ ક્રૂરતા ઉત્તરોત્તર વધતી જ આવી છે ને તેના મૂળમાં સત્તાની પ્રાપ્તિ રહેલી છે. પહેલું યુદ્ધ પથ્થરોથી લડાયું હશે ને પછી તીરકામઠા. ભાલાતલવાર ને તોપબંદૂકોથી આક્રમણો થયાં ને થતાં રહ્યાં છે. આ બધી વખતે શત્રુ સામે રહેતો હતો ને કોને મારવાનો છે, એની ખબર મારનારને રહેતી હતી.

એક સમયે રાજા પણ રણભૂમિમાં યુદ્ધે ચડતો ને રાજ્ય માટે જીવ આપતો, હવે એવું થયું છે કે યુદ્ધ કરતી વખતે શત્રુનું દેખાવું અનિવાર્ય નથી. તેનો સંપર્ક હોય કે ન હોય સત્તાધીશો કેબિનમાંથી સામસામે આક્રમણ કરતાં રહે છે. યુદ્ધ ચાલતું રહે છે, હજારો સૈનિકો, નિર્દોષ નાગરિકો મોત પહેરી લે છે, પણ પેલા બેત્રણ સત્તાધીશોનો કાંગરો ય ખરતો નથી. હવેનાં રાજાઓ શત્રુને જોયા વગર જ કેબિનમાંથી આક્રમણ કરી શકે છે. મૃત્યુ માટે જેટલી તકો આપણે યુદ્ધમાં ઊભી કરી છે, એટલી જીવન માટે નથી કરી. યુદ્ધ માટે રણમેદાનની જરૂર જ ન રહે એટલો વિકાસ આપણે કર્યો છે. હવે હજારો માઈલ દૂર પડીને મિસાઈલ્સ ઘાતકી હુમલાઓ કરીને હજારો લોકોનાં કોલસા પાડી શકે છે ને કરોડોની માલમિલકતનો ધુમાડો પણ કરી શકે છે. જાતભાતના વિકાસ પછી સર્વનાશ એક માત્ર લક્ષ્ય રહી જાય છે.

શસ્ત્રથી દૂર રહેવાનું આજ સુધીમાં બે મોહને સ્વીકાર્યું છે. એક કૃષ્ણે ને બીજા મોહનદાસ કરમચંદ ગાંધીએ. કૃષ્ણે તો ભીષ્મ સામે રથચક્ર ઉપાડીને આક્રમણ કરવાનું કરેલું, પણ મોહનદાસ કરમચંદ ગાંધીએ એટલી ભૂલ પણ ન કરી. શત્રુ સિવાય નાગરિકો પર હુમલાઓ થતા ન હતા. હવે મિસાઇલોએ શત્રુ અને શહેરીજનો વચ્ચેનો ભેદ ભૂંસી નાખ્યો છે. એ સિવાય યુદ્ધ હંમેશાં લોહિયાળ અને વિજય ભૂખ્યાં રહ્યાં છે. સત્તા અને વિજય લોહીથી જ મેળવાય એવું યુગોથી ચાલી આવ્યું છે. એમાં યુદ્ધમાં ગુમાવનારા સ્વજનોની યાદમાં લોહી જેટલાં જ વહેલાં આંસુઓથી જરા પણ ફરક પડ્યો નથી. પડતો નથી. આંસુ વહેતાં જ રહ્યાં છે ને સમાંતરે લોહીનું વહેવાનું પણ અટકતું નથી. વ્યક્તિ શત્રુ દેશની હોય કે મિત્ર દેશની, યુદ્ધમાં સ્વજનનું મૃત્યુ માતાએ, પિતાએ, પત્નીએ, પતિએ, ભાઈએ, બહેને જીરવવાનું જીવ પર આવે છે. એ મિત્ર દેશની વ્યક્તિ હોય કે શત્રુ દેશની, યુદ્ધમાં મૃત્યુ, એવો કારમો ઘા હોય છે કે જે રહી જાય છે, તે સ્વજનોએ લોહીનાં આંસુ રડવાના આવે છે. આ દરેક યુદ્ધમાં થાય છે, પણ યુદ્ધ વગર માણસજાતને ચાલ્યું નથી. આદમ જ આદમખોર થઈ ઊઠ્યો હોય એમ આખું વિશ્વ યૌદ્ધિક હવામાનનો સામનો કરી રહેલું જણાય છે.

કોઈ પણ દેશમાં બોમ્બ પડે છે તો પ્રચંડ ભડકો થાય છે ને લોકો વરાળ થવા લાગે છે. પહેલી મિસાઈલ  પડે છે ત્યારે કોઈને અંદાજ નથી આવતો એના પડવાનો. કદાચ બધા જ વ્યવહારો ચાલતા હોય છે. કોઈ ‘આઈ લવ યૂ’ કહેવા હોઠ ખોલે છે ને શબ્દો બહાર જ નથી નીકળી શકતા. કોઈ પ્રાર્થના કરે છે ને ‘આમીન !’ શબ્દ જ તૂટી જાય છે. કોઈ માતા તેના દીકરાને દૂધ પાવા ઘોડિયામાંથી બહાર કાઢે છે ને તેનો ઝોળી પકડતો હાથ ત્યાં જ સ્થિર થઇ જાય છે ને દીકરો અડધો, ઝોળીમાં જ રહી જાય છે. પછી પવનથી થોડો સંચાર થાય છે ને બધા જ આકારો રાખનો ઢગલો થઇ જાય છે.

આપણે ચંદ્ર પર વસ્તી ઊભી કરવાનું સાહસ કરી રહ્યાં છીએ. પૃથ્વી બગાડીને હવે ચંદ્ર બગાડવા બેઠાં છીએ, પણ પૃથ્વીને વળગેલા લોહીના આકારોની આપણને નાનમ નથી લાગતી. યુદ્ધ દુખદ જ હોય છે, પણ દુનિયાને લોહી રેડાય તેવું ફાવે છે. લોહી રેડે છે તે રાજી થાય છે ને જેનું રેડાય છે તે આંસુઓમાં પણ લોહી જ વહાવે છે. આપણી ‘લોહીની સગાઈ’ જ આવી છે, શું કરીએ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 માર્ચ 2026

Loading

...11121314...203040...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved