Opinion Magazine
Number of visits: 9456020
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|10 September 2025

હેમન્તકુમાર શાહ

ક્રૂર અને નિર્દય તાનાશાહો – પછી ભલે ને એ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીમાં ચૂંટાયેલા હોય – પોતે અકલ્પનીય હિંસા લોકો પર આચરે છે, પણ લોકો એમની સામે અહિંસક જ બની રહે એમ ઇચ્છે છે! શું એ લાંબા ગાળા સુધી શક્ય બને? 

નેપાળમાં લોકોની હિંસા બધાની નજરે ચડે છે, ઊડીને આંખે વળગે છે, હાહાકાર મચી જાય છે. લોકોએ આવું ન કરવું જોઈએ એમ પણ અહિંસાપ્રેમીઓ કહે છે. 

પરંતુ નેપાળના રાજકર્તાઓએ કેટલા ય સમયથી પ્રત્યક્ષ અને પરોક્ષ હિંસા આચરી એનું શું? એ કેમ દેખાતી નથી? નેપાળની ગરીબી અને બેકારી તેમ જ ભ્રષ્ટાચાર એ પરોક્ષ હિંસા છે, એ રાજકીય અને આર્થિક હિંસા છે, કે જે રાજકીય સત્તા દ્વારા થાય છે અથવા સત્તા એની સામે આંખ આડા કાન કરે છે. 

આધુનિક યુરોપિયન દાર્શનિક સ્લાવોજ ઝિઝેક એને વ્યવસ્થાજન્ય હિંસા (systemic violence) કહે છે. નોર્વેના મહાન વિદ્વાન જોહાન ગાલ્ટુંગ (૧૯૩૦-૨૦૨૪) એને માળખાગત હિંસા (structural violence) કહે છે. રાજકીય, ધાર્મિક, સામાજિક અને આર્થિક માળખું જ એવું ઊભું કરવામાં આવ્યું હોય છે, વ્યવસ્થા જ એવી હોય છે કે જેમાં શોષણ થયા જ કરે, તરત નજરે ન દેખાય તેવી હિંસા થયા જ કરે.

લોકો પોતાનો અવાજ સોશ્યલ મીડિયામાં રજૂ ન કરી શકે માટે તેમના પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવો અથવા એવા કાયદા કરવા એ રાજ્યની નાગરિકો પર આચરવામાં આવેલી પરોક્ષ હિંસા છે. કારણ કે મનુષ્ય પાસે ભાષા છે અને એના દ્વારા એ પોતાની અભિવ્યક્તિ ઇચ્છે છે. ભલે કોઈ એ ન સાંભળે કે ન જુએ. 

લોકશાહીમાં સરકારોનું એ કર્તવ્ય છે કે તેઓ લોકોની ઇચ્છાઓ અને ફરિયાદોને સાંભળે તેમ જ લોકકલ્યાણ માટે કામ કરે અને લોકોને અભિવ્યક્તિ કરવાની મોકળાશ આપે. લોકોનો અવાજ લોકશાહી દેશમાં સરકાર દ્વારા રુંધાઈ જાય તો લોકો ક્યારેક હિંસા પર ઊતરી આવે, કારણ કે તેમની અભિવ્યક્તિને કે તેમની અહિંસક રજૂઆતોને સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નહીં. 

ચૂંટાયેલા નેતાઓ રાજાની જેમ વર્તે એ ચાલે? એ બેફામ ખર્ચા કરે એ ચાલે? એ ગમે તેટલો ભ્રષ્ટાચાર કરે કે અન્યાય કરે અને બોલવા પણ ન દે, સરઘસ પણ કાઢવા ન દે, જેલમાં પૂરે એ ચાલે? એ લોકોના ભોગે દેશનો વિકાસ કરે તો ચાલે? એ પોતાને કાયદાથી પર સમજે તો ચાલે? આવું બધું થાય છે એ રાજકર્તાઓએ લોકશાહીમાં આચરેલી અદૃશ્ય હિંસા છે. 

આવી પરોક્ષ કે માળખાગત કે વ્યવસ્થાજન્ય હિંસામાંથી બહાર નીકળવા માટે એટલે કે અન્યાય સામે જે હિંસા લોકો આચરે તેને જર્મન દાર્શનિક વોલ્ટર બેન્જામિન (૧૮૯૨-૧૯૪૦) દૈવી હિંસા (divine violence) કહે છે. દૈવી એટલા માટે કે ઈશ્વર તો બધા મનુષ્યોમાં સમાનતા ઇચ્છે છે પણ ધાર્મિક, આર્થિક, સામાજિક અને રાજકીય સત્તા ક્યારેક જાતે અથવા બધી સત્તાઓ ભેગા મળીને એ સમાનતા ઊભી થવા દેતી નથી. એટલે એ સમાનતા આણવા માટે જે હિંસા થાય તેને દૈવી હિંસા કહેવાય! 

શું નેપાળના યુવાનોની હિંસા આવી દૈવી હિંસા કહેવાય? જરા વિચારો, દુર્યોધન પાંચ ગામ પાંચ પાંડવોને આપવા તૈયાર થયો નહોતો ત્યારે જ મહાભારતનું યુદ્ધ થયું હતું એમ કહેવાય છે. ભગવાન કૃષ્ણનું પણ દુર્યોધને સાંભળ્યું નહોતું! અન્યાય સામે સમજાવટ કરો, આજીજી કરો, રજૂઆતો કરો, અરજીઓ કરો, અહિંસક પ્રતિકાર કરો, પણ સરકાર સાંભળે જ નહીં તો શું? 

અહિંસાના પૂજારી મહાત્મા ગાંધી પણ અહિંસાની મર્યાદાઓ સમજ્યા તો હતા જ. અહિંસા પરમ ધર્મ છે પણ, શું એ ઘણી વાર નરમ અધર્મ બની જતો નથી?

તા.૧૦-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’

દીપક મહેતા|Opinion - Literature|10 September 2025

ગ્રંથયાત્રા – 13

સેલ્ફ હેલ્પનાં પુસ્તકો આજે તો ઢગલાબંધ છપાય છે અને વેચાય છે. પણ છેક ૧૮૪૧માં સેલ્ફ હેલ્પનું પુસ્તક? અને તે ય પૂરાં ૪૬૪ પાનાંનું! એનું નામ ‘શરીર શાંનતી’ (એટલે કે શરીર શાંતિ. અહીં અને હવે પછી બધે અવતરણ ચિહ્નોમાં જોડણી મૂળ પ્રમાણે). અને એ મુંબઈ કે સુરતમાં નહોતું છપાયું. તે કિતાબ તો “શ્રી દમણ મધે કાવશજી ફરદુનજીએ છાપી છે.” પૂરાં ૪૪ પાનાંના દીબાચામાં આ પુસ્તકને ‘નાંધલી શરીખી વૈદકની કિતાબ’ તરીકે ઓળખાવીને લેખક તેની પાછળનો હેતુ સમજાવતાં કહે છે : “હરેક વેલાએ પરવીણ વઇદની ગેર હાજરીએ હરેક કુંટમબ પરીવાર વાલાને તુરત હરેક બીમારીની દવા કરવાને બની આવે કે તેથી કરીને લોકોને ફાઇદો પોંહોંચે.” સ્વાસ્થ્ય અને સારવાર અંગેના પુસ્તકની આજે આપણને નવાઈ ન લાગે. જાણકાર, ઓછા જાણકાર અને અ-જાણકાર લોકો આજે એવાં પુસ્તકો બનાવતા રહે છે. પણ આ પુસ્તક પ્રગટ થયું તેની સાલ છે ૧૮૪૧. આખા હિન્દુસ્તાનની પહેલવહેલી મેડિકલ કોલેજ ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’ મુંબઈમાં ૧૮૪૫માં શરૂ થઈ. તે પહેલાં ચાર વર્ષે આ પુસ્તક પ્રગટ થયું હતું.

સ્વાસ્થ્ય અને સારવાર અંગેનાં આજનાં પુસ્તકો જુઓ તો મોટે ભાગે ચિકિત્સા અને સારવાની કોઈ એક પદ્ધતિને આધારે તે લખાયાં હોય છે. જેમ કે એલોપથી, આયુર્વેદ, નેચરોપથી, વગેરે. પણ ૧૮૪૧માં પ્રગટ થયેલા આ પુસ્તકની એક વિશિષ્ટતા એ છે કે તેના લેખકે એક સાથે ત્રણ પદ્ધતિઓનો સહારો લીધો છે : યુનાની, આયુર્વેદ, અને એલોપથી. એટલે ઘણાં રોગ કે માંદગીની સારવાર માટેનાં આ ત્રણે પદ્ધતિ પ્રમાણેનાં ઔષધોની માહિતી તેમણે અહીં આપી છે. આવું પુસ્તક તૈયાર કરવાની પોતાની લાયકાત અંગે લેખકે દીબાચામાં વિસ્તારથી ખુલાસો કર્યો છે. પહેલું, તેમને બાળપણથી જ યુનાની પદ્ધતિ અંગેનાં પુસ્તકો વાંચવાનો શોખ હતો, એટલું જ નહિ તેમાંની બાબતો અંગે જાણીતા હકીમો સાથે ચર્ચા કરવાની ટેવ હતી. બાર વર્ષની ઉંમરે સુરતના એક પ્રખ્યાત યુનાની હકીમ પાસે તાલીમ લેવાનું તેમણે શરૂ કર્યું હતું. ત્યાર બાદ મુંબઈમાં મુલ્લા ફિરોઝ જેવા વિદ્વાન પાસેથી પણ તેમણે આવી તાલીમ લીધી હતી. તેમના અવસાન બાદ ભરૂચના એક ‘નામીચા હકીમ’ પાસેથી તાલીમ લીધી. યુનાની પદ્ધતિનું તો જાણે સમજ્યા, પણ એ જમાનામાં એલોપથીની જાણકારી ક્યાંથી મેળવી? તો કહે, ડોક્ટર ટેલર, ડોક્ટર વ્હાઈટ, ડોક્ટર જેફરસન, જેવા સરકારી કે ખાનગી અંગ્રેજ ડોકટરો પાસેથી. આ ઉપરાંત કેટલાક ફિરંગી (પોર્ટુગીઝ) ડોક્ટરોનાં નામ પણ આ સંદર્ભે લેખકે આપ્યાં છે. એટલું જ નહિ, એલોપથીની પોતાની જાણકારીનો લેખક લોકોની સારવારમાં ઉપયોગ પણ કરતા હતા. પણ એમ કરવું તે એક વાત, અને પુસ્તક લખવું તે જરા જૂદી વાત. પોતે જે જાણતા હતા તેની ચકાસણી કોઈ જાણકાર તબીબ પાસે કરાવ્યા વગર આવું પુસ્તક લખવું યોગ્ય ગણાય નહિ. લેખકના સદ્ભાગ્યે આવા એક ડોક્ટર મળી ગયા – પૂનામાં કામ કરતા ડોક્ટર એલેક્ઝાન્ડર ગિબ્સન. તે એલોપથીના ડોક્ટર તો હતા જ, પણ સાથોસાથ આયુર્વેદિક જડીબુટ્ટીઓ વિષે સંશોધન કરી રહ્યા હતા અને હિન્દી, મરાઠી તથા ગુજરાતી ભાષાના જાણકાર હતા. લેખકે કેટલાક દિવસ સુધી તેમની સાથે ચર્ચાઓ કરી, જરૂરી નોંધો લઈ લીધી. પુસ્તકના ટાઇટલ પેજ ઉપર લેખકે આ ડોકટરના નામ સાથે ઋણસ્વીકાર કર્યો છે. બલકે, તેમનું નામ પહેલાં, અને પોતાનું પછી મૂક્યું છે. પોતે જે પુસ્તક લખવા ધારતા હતા એવા પુસ્તકની ‘દેશીઓ’ માટે ખૂબ જરૂર છે એવો તે ડોકટરનો અભિપ્રાય મળવાથી લેખકને પાનો ચડ્યો. પણ માત્ર સાંભળેલી અને નોંધેલી વાતો પર બધો મદાર કેમ રખાય? એટલે તેમણે ફારસી અને અંગ્રેજી કિતાબો વાંચવા માંડી. તેનાં નામ પણ દીબાચામાં નોંધ્યાં છે. બંને ભાષાના શબ્દોના અર્થોની ચોકસાઈ કરવા માટે જરૂરી ડિક્ષનરીઓ પણ ઉથલાવી. પોતે ત્રણ પદ્ધતિઓનો આશરો લીધો છે તો તેની ચિકિત્સા અને સારવારની પદ્ધતિની સરખામણી પણ લેખકે દીબાચામાં કરી છે. એકંદરે તેમને એલોપથી પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી લાગી છે. તે માટેનાં કારણો પણ તેમણે આપ્યાં છે. આ કિતાબમાં જણાવેલી દવાઓ ક્યાંથી મળે, કેવી રીતે આપવી, તેની આડ અસરોનું કઈ રીતે ધ્યાન રાખવું, વગેરે અંગેની ચર્ચા પણ લેખકે કરી છે. તેના અનુસંધાનમાં દવાઓ માટેનાં તોલ-માપની સમજણ પણ આપી છે.  

પુસ્તકમાં માહિતી આપવાની લેખકની પદ્ધતિ પણ નોંધપાત્ર છે. પહેલાં તો રોગોને તેમણે બે ભાગમાં વહેંચ્યા છે: શરીરની બહારના ભાગના રોગો, અને શરીરની અંદરના રોગો. તાવ અને તેની સારવાર અંગે અહીં પૂરાં ૨૬ પાનાં રોકાયાં છે. તે પછી આવે છે માથાનો દુખાવો અને તેની સારવાર. આ પુસ્તકમાં જે રોગોની વાત કરી છે તેમાંના કેટલાક : કમળો, કોલેરા, ખીલ, ખુજલી, ખાંસી, ગુમડાં, જલંદર, દમ, પથરી, પક્ષઘાત, બદહજમી, મરડો, હરસ. આવા સર્વસામાન્ય રોગો ઉપરાંત આંખ, કાન, નાક વગેરેનાં દર્દો તથા સ્ત્રીઓ અને બાળકોના રોગો વિષે પણ પુસ્તકમાં વિગતે વાત કરી છે.

રોગો અને તેની સારવારની વાત ૩૦૭મે પાને પૂરી થાય છે. તે પછી પહેલાં તો ઔષધોનો કોશ આપ્યો છે જેમાં ત્રણે પદ્ધતિની દવાઓનો વર્ણાનુક્રમે પરિચય આપ્યો છે. જો કે તેમાં શરૂઆત ‘ક’થી કરી છે અને બધા વ્યંજનો પૂરા થયા પછી સ્વરોને સ્થાન આપ્યું છે. કેટલીક યુનાની અને આયુર્વેદિક દવાઓની બાબતમાં તે ઘરે કઈ રીતે બનાવી શકાય તે પણ જણાવ્યું છે. ૪૦૧મે પાને આ કોશ પૂરો થાય છે. તે પછી ઔષધો માટેનાં તોલ-માપ અંગેની વિગતવાર માહિતી આપી છે. ત્યાર બાદ જુદી જુદી ઉંમરના દર્દીઓને કેટલી અને કેવી રીતે દવા આપવી તે જણાવ્યું છે. સામાન્ય બીમારીના ઈલાજ માટે એલોપથીની કઈ કઈ દવાઓ ઘરમાં રાખવી જોઈએ તે પણ જણાવ્યું છે. અને અંતે આપ્યું છે પુસ્તકનું ‘શાંકલીઉઁ.’ તેમાં પણ વ્યંજનો પછી સ્વરોને સ્થાન આપ્યું છે.

ફરદુનજી

જોઈ, જાણી, સમજી, વિચારીને, મહેનતપૂર્વક આ પુસ્તક બનાવ્યું હોવા છતાં દીબાચામાં એક વાત લેખકે ચાર-પાંચ વખત ભારપૂર્વક કહી છે : કોઈ જાણકાર તબીબ હાજર ન હોય ત્યારે, અને ત્યારે જ, આ પુસ્તકનો ઉપયોગ કરવો. તબીબ હાજર હોય અને સારવાર કરતો હોય ત્યારે આ પુસ્તકને નામે તેના કામમાં દખલ કરવી નહિ. કારણ રોગોની સારવારની બાબતમાં જાણકાર તબીબ જે કામ કરી શકે તે કોઈ પુસ્તક કરી ન જ શકે.

પણ આ પુસ્તકના લેખકનું નામ? એવણનું નામ હતું ફરદુનજી મર્ઝબાનજી. પહેલવહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક-તંત્રી. માત્ર ગુજરાતી છાપકામ કરતું પહેલું છાપખાનું ૧૮૧૨માં મુંબઈમાં શરૂ કરનાર ફરદુનજીસાહેબ. લેખક, અનુવાદક, સંપાદક, પુસ્તક-વિક્રેતા, મુદ્રક, પત્રકાર, ૧૯મી સદીના અર્વાચીનતાના એક અગ્રણી મશાલચી. પણ ‘શરીર શાંનતી’ જેવું પુસ્તક તેમણે લખેલું એ વાત આજે ભાગ્યે જ કોઈ જાણે છે. અને આ કાંઈ તેમનું એકલ દોકલ પુસ્તક નહોતું. પૂરાં પચીસ પુસ્તકો તેમનાં પ્રગટ થયાં હતાં, જેમાં ‘દબેસ્તાન’ અને  ‘પંચતંત્ર’નો અનુવાદ, ‘ગુલેસ્તાન’નો તરજુમો, વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ‘પોતે સુધારીને છાપેલાં પુસ્તકો’ની સંખ્યા ૨૨ની થવા જાય છે. પણ ફરદુનજીનું પોતાનું છાપખાનું, અખબાર, તો મુંબઈમાં હતું. તો પછી તેમણે આ પુસ્તક દમણમાં કેમ છાપ્યું? પારસી કેલેન્ડરની કાળગણના અંગે એ વખતે પારસીઓમાં જબરો વિવાદ ચગ્યો હતો. કદમી અને શહેનશાહી એવા બે પક્ષ સામસામે આવી ગયા હતા. ફરદુનજી કદમીઓનો પ્રચાર જોરશોરથી કરવા લાગ્યા. વિરોધીઓએ પહેલાં તેમને વારવાનો પ્રયત્ન કર્યો. નિષ્ફળતા. એટલે એક ‘મિત્ર’ની મદદથી ફરદુનજીને એક આર્થિક બાબતમાં ખોટી રીતે સંડોવ્યા. તેમની બધી માલમિલકત જપ્ત થઈ. છતાં માથે દેવું તો રહ્યું જ. એ વખતના બ્રિટિશ કાયદા પ્રમાણે દેવાદારને લાંબી અને આકરી જેલની સજા થતી. તેમાંથી બચવા ન છૂટકે મુંબઈ છોડી ફરદુનજી ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે તે વખતે પોર્ટુગીઝોના તાબામાં આવેલા દમણ જઈ વસ્યા. મુસાફરી માટેના એંસી રૂપિયા પણ એક મિત્ર પાસેથી ઉછીના લેવા પડેલા. દમણના ગવર્નરના આગ્રહથી પહેલાં એક નાનકડું શિલાછાપ છાપખાનું શરૂ કર્યું. પણ મુંબઈના છાપખાનામાં મુવેબલ ટાઈપથી ટેવાયેલા ફરદુનજીને લિથોગ્રાફથી સંતોષ ન થયો. એટલે ૧૮૩૮માં દમણમાં જ બીબાં વાપરી છાપકામ કરતું પહેલવહેલું છાપખાનું શરૂ કર્યું. અલબત્ત, પોતાને માથે કાયદાની જે તલવાર લટકતી હતી તેનાથી ફરદુનજી પૂરેપૂરા સજાગ હતા, એટલે આ છાપખાનું પોતાને નામે નહિ, પણ પોતાના એક દીકરા કાવસજીને નામે કર્યું હતું. એ જ પ્રેસમાં છપાયું હતું આ પુસ્તક. પુસ્તકની છપામણી અંગેની એક લાક્ષણિકતા પણ નોંધી લઈએ. બીબાં વાપરીને છાપેલા આ પુસ્તકમાં શબ્દો છૂટા પાડીને છાપ્યા છે એટલું જ નહિ, બે શબ્દો વચ્ચે બધે જ મધ્યરેખાબિંદુ પણ મૂક્યાં છે. વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણવિરામને બદલે મધ્યરેખા પર અક્ષરના કદની જ ફુદરડી (*) મૂકી છે. જો  કે આ બંને લાક્ષણિકતા ફરદુનજીએ છાપેલાં બીજાં કેટલાંક પુસ્તકોમાં પણ જોવા મળે છે. આ પુસ્તક છપાયું ત્યારે ફરદુનજી બ્રિટિશ ઇન્ડિયાના રહેવાસી નહોતા, છતાં મુંબઈના ગવર્નરની કાઉન્સિલે આ પુસ્તકની પચીસ નકલ ખરીદી, એટલું જ નહિ, જો ફરદુનજી તેનો મરાઠી અનુવાદ કરાવે તો સરકાર પોતાને ખર્ચે તે છાપી આપશે તેમ પણ ઠરાવ્યું.

ફરદુનજીનો જન્મ સુરતમાં, ૧૭૮૭માં. (ચોક્કસ તારીખ મળતી નથી, પણ તેમના પોરિયાના પોરિયા કેકોબાદ બેહેરામજી મર્ઝબાને લખેલ અને ૧૮૯૮માં પ્રગટ થયેલ ‘ફરદુનજી મર્ઝબાનજી: ગૂજરાતી છાપાના સ્થાપક, એક ફિલસૂફ, એક સુધારક, એક કવિ’ નામના પુસ્તકમાં આ સાલ આપી છે.) ૧૮૪૭ના માર્ચની ૨૩મી તારીખે દમણમાં અવસાન.

XXX XXX XXX

10 સપ્ટેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

સોનલ પરીખ|Opinion - Opinion|10 September 2025

મારિયા મોન્ટેસોરી અને ગિજુભાઈ આ બંને બાળકોને આકંઠ ચાહતાં શિક્ષણવિદો ‘ચાઇલ્ડ ઈઝ બોથ અ હોપ એન્ડ અ પ્રોમિસ ફૉર મેનકાઈન્ડ’ આ સૂત્રને જીવી ગયાં હતાં. કહેતાં કે ‘ઘરમાં અને શાળામાં બાળક પાસેથી જે પૂર્ણ આજ્ઞાંકિતતાની અપેક્ષા રખાય છે તે તદ્દન બિનુપયોગી, અતાર્કિક અને બાળકના સાહસ–સર્જનશીલતાને છીનવી લેનારી છે.’

મારિયા મોન્ટેસોરી

ઓગણીસમી સદીનું યુરોપ એટલે જેન્ડર બાયસનેસ – લિંગપૂર્વગ્રહનો જમાનો. ઇટલીમાં જન્મેલી મારિયાએ તો પણ એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોયું. શાળાજીવન પૂરું થયું ત્યારે સ્વપ્ન બદલાઈ ગયું હતું. હવે એ ડૉક્ટર બનવા માગતી હતી. માબાપે કહ્યું કે છોકરીઓને માટે તો શિક્ષિકા બનવું વધારે સારું, પણ મારિયા માની નહીં. યુનિવર્સિટી ઑફ રોમની એ પહેલી મહિલા વિદ્યાર્થિની હતી. લિંગભેદના તીવ્ર અનુભવોમાંથી પસાર થઈ તે ડૉક્ટર બની, પણ તેનું ખરું કાર્યક્ષેત્ર બન્યું બાળકેળવણી. ડૉ. મારિયા મોન્ટેસોરીએ વિકસાવેલી શિક્ષણપદ્ધતિ દુનિયાભરમાં શ્રેષ્ઠ મનાય છે. એમનો જન્મદિન 31 ઓગસ્ટના દિવસે છે અને 5 સપ્ટેમ્બરે શિક્ષકદિન છે એ નિમિત્તે એમણે અને મહાત્મા ગાંધીએ જેમને ‘મૂછાળી મા’નું બિરુદ આપેલું તે ગિજુભાઈને સ્મરણવંદન કરીએ. 

1898માં એક ડૉક્ટર સાથેના પ્રણયથી મારિયાને એક પુત્ર થયો. લગ્ન કરે તો કામ છોડવું પડે – પ્રેમીઓએ આજની ભાષામાં કહીએ તો ડિસ્ટન્ટ રિલેશનશિપ રાખી અને અન્યને ન પરણવાનું નક્કી કર્યું, પણ પ્રેમી પુરુષ પરિવાર અને સમાજના દબાણથી પરણી ગયો. મારિયા દીકરાને લઈને હોસ્પિટલ ક્વાર્ટરમાં રહેતી, પણ કુંવારી મા હોવાને લીધે તેને પુત્ર કોઈને સોંપવો પડ્યો. થોડાં વર્ષ પછી પુત્ર મારિયો તરુણ બન્યો ત્યારે મા-દીકરો સાથે રહેવા પામ્યાં. મારિયોએ માતાને સંશોધનકાર્યમાં ખૂબ મદદ કરી હતી. 

આ તો થઈ અંગત વાત. માનસિક અક્ષમ બાળકોને ભણાવતા શિક્ષકોને તાલીમ આપતી ઓર્થોફેનિક સ્કૂલમાં કો-ડિરેક્ટર બન્યા પછી મારિયાને બાળશિક્ષણમાં વધુ સક્રિય થવાની ને શિક્ષણપદ્ધતિ સુધારવાની તક મળી. શ્રેષ્ઠ શિક્ષણપદ્ધતિ શોધવા મારિયા આખો દિવસ કામ કરે અને રાતે નોંધો લખે. સાથે માનવવિજ્ઞાન અને શિક્ષણફિલોસોફીનો અભ્યાસ ચાલે. કામે જતાં માબાપો ઘરમાં ઉધામા કરતાં બાળકોને વ્યસ્ત કેવી રીતે રાખવાં તે મારિયાને પૂછતાં. ગરીબ માબાપોનાં બાળકો માટેનાં કેન્દ્રો મારિયાએ ખોલ્યાં. આવું પહેલું ચિલ્ડ્રન્સ હાઉસ તેણે 1907માં ખોલ્યું. ‘પ્રતિભાવ બહુ પ્રોત્સાહક ન કહેવાય. પણ મને અંદરથી લાગતું હતું કે એક દિવસ મારા વિચારોને આખી દુનિયા માનશે.’ મારિયા લખે છે.  

મારિયા માનતાં કે બાળક ખૂબ આદરને પાત્ર છે કેમ કે તે નિર્દોષતામાં આપણાથી અનેકગણું ચડિયાતું છે અને તેણી પાસે ભવિષ્યની શક્યતાઓ પણ આપણા કરતાં અનેકગણી વધારે છે. શિક્ષણનો હેતુ બાળકને શાળા માટે નહીં, જીવન માટે તૈયાર કરવાનો છે. જો બાળકને તેના કુદરતી વિકાસને સહાયક એવું વાતાવરણ મળે તો તે જાતે જ પ્રસન્નતાપૂર્વક નવું નવું શીખે છે. ઘરમાં અને શાળામાં બાળક પાસેથી જે પૂર્ણ આજ્ઞાંકિતતાની અપેક્ષા હોય છે તે તદ્દન બિનુપયોગી, અતાર્કિક અને બાળકના સાહસ-સર્જનશીલતાને છીનવી લેનારી છે.

એમણે બાળકનો સર્વાંગી વિકાસ કરતી શિક્ષણસામગ્રી બનાવી હતી. શિક્ષકોને આ નવી પદ્ધતિની તાલીમ આપતો અભ્યાસક્રમ તેઓ ચલાવતાં. 1911-12માં અમેરિકામાં આ પદ્ધતિ લોકપ્રિય બની અને મોન્ટેસોરી શાળાઓ ખૂલી. એક શાળા, ટેલિફોનના શોધક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના કેનેડિયન ઘરમાં પણ ખૂલી હતી. પરંપરાગત શિક્ષણશાસ્ત્રીઓએ વિરોધ તો ઘણો કર્યો, છતાં ધીરે ધીરે દુનિયાના ઘણા દેશો મોન્ટેસોરી પદ્ધતિ અપનાવતા ગયા. 

મોન્ટેસોરી શાળાઓમાં અમુક કલાક એવા હોય છે જેમાં બાળકો શિક્ષકોની ખલેલ વગર પોતાની મેળે પ્રવૃત્તિ કરે. ખંડમાં ચિત્ર, સંગીત, વાંચન, હસ્તકામ વગેરેની સામગ્રી બાળક પોતે લઇ શકે એ રીતે મુકાયેલી હોય. તેનો ઉપયોગ શિક્ષકે પહેલા બાળકોને બતાવ્યો હોય એટલે બાળક પોતાની પસંદગીનું કામ, સમજીને હાથમાં લે. મોન્ટેસોરી પદ્ધતિ માને છે કે બાળકમાં છુપાયેલી શક્તિને બહાર કાઢે તે શિક્ષણ સાચું અને સાચા શિક્ષણનો માપદંડ બાળકની પ્રસન્નતા. બાળકને પ્રોત્સાહન અને શાબાશી આપવાં, સજા કે ઈનામ નહીં કેમ કે સજા-ઈનામ બાળકને ગુલામ બનાવે છે અને તેને શીખવાના, જાતે કરવાના આનંદથી દૂર કરે છે. 

મોન્ટેસોરી પદ્ધતિથી ચાલતાં બાલમંદિરોમાં જઈએ તો ત્રણચાર વર્ષનાં બાળકો હાથમોં ધોતાં-લૂછતાં, માથું ઓળતાં, આસન પાથરીને બેસતાં, એપ્રન પહેરીને નાસ્તો પીરસતાં, કચરો વળતાં, વાસણ ધોતાં, રંગો-પીંછીઓ વગેરે વ્યવસ્થિત કરતાં, ગીતો ગાતાં, વાર્તાઓ કહેતાં, ગણતાં, આકાર-રંગ-અક્ષર ઓળખતાં, છોડને પાણી પાતાં, એકબીજાને મદદ કરતાં અને સંપીને રમતાં જોઈને ખુશ થઈ જવાય. બાળક નાનુંમોટું જે પણ કરે છે તેમાં તે પોતાને વ્યક્ત કરતું હોય છે. શિક્ષકની ભૂમિકા બાળકને શીખવવા કરતાં શીખવામાં રસ લેતું કરવાની વધારે હોય છે અને જે કામ પોતે કરી શકશે એમ બાળકને લાગતું હોય તેમાં તેને મદદ કરવા ન જવું એવું શિક્ષકને સમજાવેલું હોય છે.

ભારતમાં 1913થી મોન્ટેસોરી પદ્ધતિ પ્રત્યે રસ જાગ્યો હતો. ભારતના કેટલાક વિદ્યાર્થીઓ ઇટલી જઈને મોન્ટેસોરીનો કોર્સ કરી આવ્યા હતા. 1926માં ભારતમાં મોન્ટેસોરી સોસાયટી સ્થપાઈ. 1927થી હિન્દી, ગુજરાતી જેવી ભાષાઓમાં આ પદ્ધતિ શીખવવા માંડી. મારિયા ભારતમાં ગરીબોના શિક્ષણ માટે કામ કરતી થિયોસૉફિકલ સોસાયટી સાથે પણ જોડાયેલાં હતાં અને વિશ્વયુદ્ધ દરમિયાન થોડાં વર્ષ ભારતમાં રહ્યાં હતાં. 

ગિજુભાઈ બધેકા

મારિયા મોન્ટેસોરીના શતાબ્દીવર્ષે ભારતે ટપાલટિકિટ બહાર પાડી હતી. નેધરલેન્ડ્સ, ઇટલી, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ મોન્ટેસોરીના નામની ટપાલટિકિટ બહાર પડી છે. તેઓ નોબેલ શાંતિ ઈનામ માટે ત્રણ વાર નોમિનેટ થયાં હતાં.

ઇટલીમાં મારિયા મોન્ટેસોરીના જન્મ પછી પંદર વર્ષે ભારતના ગુજરાત રાજ્યમાં, અમરેલી તાલુકાના ચીતલ ગામે એક બાળકનો જન્મ થયો. નામ પાડ્યું ગિરજાશંકર. આપણે એને ગિજુભાઈના નામે ઓળખીએ છીએ. તેજસ્વી ગિરજાશંકર બાપદાદાના ગામ વળામાં ઊછર્યા અને સમય જતાં વકીલ થયાં. 1913માં એમને ત્યાં પુત્ર નરેન્દ્રનો જન્મ થયો. એની કેળવણીના પ્રશ્ને ગિજુભાઈ ખૂબ મૂંઝાતા. સ્વાનુભવ, આસપાસની શિક્ષણસંસ્થાઓ અને બાળકોની સ્થિતિ જોઈ અકળાતા અને પુત્રને એમાંથી મુક્ત રાખવા ઇચ્છતા. એક તબક્કે તો નક્કી કરી લીધું કે મારા દીકરાને હું પોતે ભણાવીશ અથવા તેને અભણ રહેવા દઇશ પણ આ બધામાં નહીં નાખું.

એ અરસામાં તેમણે વસોમાં મોન્ટેસોરી કાર્ય કરતાં મોતીભાઈ અમીનને મળવાનું થયું. મોતીભાઈએ એમની મૂંઝવણ દૂર કરવા કેટલાંક પુસ્તકો વાંચવા આપ્યાં જેમાં ડૉ. મારિયા મોન્ટેસોરીનાં પુસ્તકો પણ હતાં. એ વાંચીને ગિજુભાઈને બાળકેળવણીનો સાચો રસ્તો મળ્યો. 

ગિજુભાઈના મામા હરગોવિંદદાસે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાભવનની શરૂઆત કરી હતી. નાનાભાઈ ભટ્ટ પ્રોફેસરપદને તિલાંજલિ આપી તેમ જોડાયા હતા. ગિજુભાઈ વકીલાત છોડી દક્ષિણામૂર્તિમાં શિક્ષક તરીકે જોડાયા, પણ એમાં એમને સંતોષ ન થયો. મનમાં મોન્ટેસોરી પદ્ધતિ રમતી હતી. બાલ્યાવસ્થાના સંસ્કાર જીવનભર ટકે છે એવું દૃઢપણે માનતા ગિજુભાઈએ 1920માં બાલમંદિર ખોલ્યું. પછી તો આ બાલમિત્ર મન મૂકીને બાળકેળવણીના પ્રયોગો કરતા રહ્યા. માતાપિતાને અને શિક્ષકોને માર્ગદર્શન આપતાં અનેક પુસ્તકો લખ્યાં. તેમની પાસેથી સાચું અને ખૂબ સમૃદ્ધ બાળસાહિત્ય ગુજરાતને મળ્યું. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ગિજુભાઈની વાર્તાઓ ન માણી હોય. તેમનું એક પુસ્તક વાર્તાના શાસ્ત્ર વિષે છે. ઘરમાં ઉછરતાં બાળકને યોગ્ય વાતાવરણ મળે એવો એમનો સતત આગ્રહ રહેતો. માબાપોને માર્ગદર્શન આપતાં પુસ્તકો પણ તેમણે લખ્યાં. 

‘ચાઇલ્ડ ઈઝ બોથ અ હોપ એન્ડ અ પ્રોમિસ ફૉર મેનકાઈન્ડ’ આ સૂત્ર મારિયા મોન્ટેસોરીએ આપ્યું અને તે અને ગિજુભાઈ તેને જીવી ગયા. બાળકને પ્રેમ કરવો એટલું પૂરતું નથી, તેને આદર અને મોકળાશનું વાતાવરણ માબાપે અને શિક્ષકે આપવાનું હોય છે. એટલું જ નહીં એમણે પોતે પણ બાળક પાસેથી ઘણુંબધું શીખવાનું હોય છે. માબાપો અને શિક્ષકનું ખરું ઘડતર બાળકના હાથે જ થાય છે. બર્ટ્રાન્ડ રસેલ તો ત્યાં સુધી કહે છે કે શિક્ષકો અને શિક્ષણસંસ્થાઓની ચુંગાલમાંથી છૂટ્યા પછી જ માણસનો સાચો બૌદ્ધિક વિકાસ શરૂ થાય છે. આવા મહાનુભાવોને યાદ કરીને આપણે આપણા ઘરમાં ઉછરતા બાળકને આપણા ગુરુ બનાવી શકીશું તો આપણું વડપણ અને એમનું બાળપણ બેઉ સાર્થક થશે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 31 ઑગસ્ટ  2025

Loading

...11121314...203040...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved