Opinion Magazine
Number of visits: 9563865
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરસ્પર સહયોગ

વિનોબા|Opinion - Opinion|21 February 2023

આચાર્ય વિનોબાજી

જેમ તમારા હાથ-પગ-આંખ વગેરે બધું જ સાબૂત છે એમ મારાં બધાં અંગ સાબૂત છે. જેમ તમે એક પૂર્ણ પુરુષ છો એમ હું પણ એક પૂર્ણ પુરુષ છું. તમે પણ સમર્થ છો, હું પણ સમર્થ છું. હવે આપણે બંને હાથમાં હાથ પરોવીને પરસ્પર સહયોગ કરીએ, તો તેને સમર્થોનો સહયોગ કહેવાશે. જો એવું હોત કે ભગવાન કોઈ એકને ચાર આંખો આપત, પણ કાન ન આપત અને બીજા કોઈને ચાર કાન આપત, પણ આંખ ન આપત અને ત્યારે જે પરસ્પરાવલંબન ચાલતું હોત તો એક સાંભળવાનું કામ કરત અને એક જોવાનું કામ કરત. તો આને સમર્થોનું પરસ્પરાવલંબન ન કહેતાં આને ‘અંધ-પંગુ ન્યાય’ કહેવાત.

આપણે જ્યારે એમ કહેતા હોઈએ કે અમે સ્વાવલંબનવાદી છીએ તો આપણે એકદમ સંકુચિત થઈ જઈએ છીએ. અને એટલા માટે આપણે પરસ્પરાવલંબનમાં માનીએ છીએ. આપણે દરેક પૂર્ણ છીએ અને બીજાને પણ પૂર્ણ રાખીશું. અને પૂર્ણોનું પરસ્પરાવલંબન ચાલશે. પેલી જે યોજના છે એમાં બંને અપૂર્ણ છે, અને બંને મળીને પૂર્ણ બને છે. જ્યારે આપણી યોજનામાં આપણે પણ પૂર્ણ છીએ અને તમે બધાં પૂર્ણ છો અને બંને મળીને પરિપૂર્ણ બનીએ છીએ.

આપણે પરસ્પર સહયોગ ચાહીએ છીએ. જ્યાં સારા ઘઉંની પેદાશ નથી થતી, ત્યાં આપણે ઘઉંને ઉગાડીશું નહીં અને દરરોજ ઘઉં ખાવાનો આગ્રહ નહીં રાખીએ. આપણી જમીનમાં જે ઊગે તે – ચોખા અને જુવાર પેદા થાય છે, તો તે રોજ ખાઈશું. એવું પણ નથી કે ઘઉં ખાવા એ પાપ છે. માટે ઘઉં ખાવાની ક્યારેક ઇચ્છા થાય તો જરૂર ઘઉં ખરીદશું. આપણે આટલું કરવું જોઈએ કે આપણી જે રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ છે કે જેના વગર ક્ષણ પણ ન ચાલે, તેવી ચીજવસ્તુઓ માટે આપણે બીજા પર આધાર ન રાખવો જોઈએ. આનું નામ છે અહિંસાની રચના. અને આને જ ‘સ્વદેશી’ કહે છે.

વળી એવું પણ નથી કે સ્વદેશીમાં બહારના લોકો સાથે વેપાર-વ્યવહાર નહીં ચાલે. સ્વદેશી વ્રતમાં પરસ્પર વ્યવહાર માટે ઘણો અવકાશ છે. સમજવું એ જોઈએ કે જે કામ આપણાથી સારી રીતે કરી શકાતું હોય તો એ કામનો બોજો બીજા પર લાદવો એ સદંતર ખોટું છે. ગામડાઓમાં આપણે જે વસ્તુ સારી રીતે બનાવી શકીએ તેમ છીએ, તે ત્યાં ન બનાવીએ અને બીજાની ચીજવસ્તુઓ ખરીદતા રહીએ, તો આનો શું અર્થ છે ? કપડાં શહેરોની મિલમાં બને છે. અને કપાસ ક્યાં ઉત્પન્ન થાય છે ? જો કપાસ શહેરમાં પેદા થતો હોત તો આપણે ગામડાઓ માટે ખાદીનો આગ્રહ ન રાખત. અને આપણે ગામવાળાઓને આ જ કહેતા હોત કે તમારે ત્યાં કપાસ નથી થતો, તમારે ત્યાં અનાજ પેદા થાય છે તો તમારે અનાજ જ ઉગાડવું જોઈએ. પણ જ્યારે ગામડામાં કપાસ પેદા થાય છે, તો અહીંનો કપાસ ત્યાં મોકલો અને ત્યાંનાં કપડાં અહીં લાવો – આ બધું છે શું ?

વિનોબાજી

આજે તો દુનિયામાં વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થઈ જશે, કાંઈ કહી શકાતું નથી. કેમ કે આખી દુનિયાનું બધું ભલુંબૂરું કરવાનો અધિકાર બે-ચાર વ્યક્તિઓના હાથમાં છે. જો એમનાં દિમાગ બગડે, તો લડાઈ શરૂ થઈ જશે. આપણે બધાંએ આખી દુનિયાની પ્રવર્તમાન રચના એવી બનાવી દીધી છે કે અહીંની વસ્તુ ત્યાં મોકલો અને ત્યાંની વસ્તુ બીજે ક્યાંક મોકલો. આવી પરિસ્થિતિને લીધે દુનિયામાં ક્યારે સંતુલન ખોરવાશે – કહેવાય નહીં. પછી માની લઈએ કે વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય છે, તો હિંદુસ્તાન એમાં જોડાવા ઇચ્છે કે ન ઇચ્છે, તે એમાં શામિલ છે જ, એવી પરિસ્થિતિ થશે. મોટાં મોટાં મહાનગરો પર બોમવર્ષા થશે, ત્યારે મિલો ચાલી ન શકે. આવા સંજોગોમાં બધાને નિર્વસ્ત્ર રહેવાની સ્થિતિ આવી શકે. માટે જ આપણી રોજિંદી વપરાશની વસ્તુઓ બહારથી ખરીદવી ખતરનાક છે.

સારું યંત્ર એને કહેવાય કે જે સ્વયમેવ ચાલતું રહે. સમાજ-રૂપી યંત્ર પણ ત્યારે સારું માનવામાં આવે જ્યારે તે પોતાની મેળે ચાલતું રહે. આપણે ત્યાં દરેક ગામમાં ત્યાંના સ્થાનિક લોકો પોતાની રોજિંદી જરૂરિયાતો જેમ કે અન્ન-વસ્ત્ર વગેરેની વ્યવસ્થા પોતાના ગામમાં અથવા દસ-પાંચ ગામ મળીને પેદા કરે. અને જે આપણા દરરોજના ઉપયોગની વસ્તુ ન હોય તો તે જ્યાં પેદા થાય છે, ત્યાંથી ખરીદાય તો એક સારી વ્યવસ્થા ઊભી થશે. વળી મને આ વિચાર પણ પસંદ નથી કે આપણે હિંદુસ્તાનમાં ખૂબ વધારે પ્રયત્ન કરીને નાહક ઘડિયાળ બનાવીએ. સ્વીટ્ઝર્લેન્ડ ઘડિયાળોનું સારું ઉત્પાદન કરે છે. હું તો એટલું કહેવા માગું છું કે લોકો પણ નાહક ઘડિયાળ ન પહેરે. આજકાલ તો દરેકના હાથમાં ઘડિયાળ જોવા મળે છે. અને આનો ઉપયોગ પણ એ જોવામાં થાય છે કે કેટલો સમય આળસમાં પસાર થયો, એની ખબર પડે. વળી ગુણવત્તાની દૃષ્ટિએ કોઈ ઘડિયાળ બીજી ઘડિયાળથી મેળ ખાતી નથી. કોઈની ઘડિયાળ કાં તો દસ મિનિટ આગળ હોય તો કોઈની ઘડિયાળ દસ મિનિટ પાછળ.

એટલું જ નહીં, આજે દુનિયામાં એક બીજો બહુ મોટો પ્રશ્ન એ છે કે ક્યાં ય શુદ્ધ ચીજવસ્તુ મળતી નથી. દવાઓ સુધ્ધાં શુદ્ધ મળતી નથી. આ ભયંકર દશા છે. આમાં માણસની નિષ્ઠુરતાની કોઈ સીમા નથી. આ બધી ભેળસેળ, મિશ્રણ એટલા માટે થાય છે કે લોકો સ્વદેશી ધર્મને ઓળખતા નથી. માટે જ આપણે આપણું પોતાનું કામ જાતે કરતા રહેવું જોઈએ. જેટલું આપણાથી થઈ શકે એટલું કર્યા પછી જે નથી થઈ શક્યું, તે કામનો બોજો બીજા પર નાખી શકીએ છીએ. એ જ રીતે બીજાં પણ જે કામ કરી શકતાં નથી, તે અધૂરાં કામની જવાબદારી આપણે ઉપાડવી જોઈએ.

આમ, આવી રીતે એકબીજાની મદદ લેવા-કરવામાં પાપ કે સંકોચ ન હોવા જોઈએ. આ ‘ઉપકાર’ શબ્દમાં જ એક ખૂબી છે. થોડીક મદદને ઉપકાર કહે છે. આપણે આપણું પોતાનું મુખ્ય કામ જાતે જ કરીએ અને કાંઈક એવી થોડીક વસ્તુઓ કે જે આપણે બનાવી શકતા નથી, તે બીજાઓ પાસેથી લઈએ. આપણે એમનો એટલો ઉપકાર લઈએ અને આપણે પણ એટલો ઉપકાર એમના પર કરીએ. જો કોઈ લંગડો છે, તો તેને ખભા પર બેસાડ્યો. તે પ્રેમનું કર્તવ્ય હશે. સવાલ આ જ છે કે પ્રેમ અને કરુણા શું કરે છે ? આપણા નજીક રહેનારા માણસે જે ચીજવસ્તુ બનાવી, તેને ન ખરીદતાં આપણે દુનિયાની ચીજવસ્તુ ખરીદીએ તો તે સંકુચિત સ્વાર્થ અને નિષ્ઠુરતા છે.

આમ, સ્વદેશી ધર્મ એટલે દયાભાવને જીવનમાં ઉતારીને વ્યવહારમાં તેને ઉતારવો. આપણે આટલું સમજી લઈશું તો સ્વદેશી ધર્મ વિષયમાં જે આપણને મૂંઝવતા પ્રશ્નો ઊભા થાય છે, તેનો હલ આવી જશે. દયાની જેમ કોઈ એક ચોક્કસ વ્યાખ્યા નથી એમ સ્વદેશી ધર્મની કોઈ એક ચોક્કસ નીતિ બનાવવી અઘરી છે. માનું હૃદય તેના બાળક માટે હંમેશાં પ્રેમથી ભરેલું હોય છે, તેથી બાળકનો ‘ભૂખ’ શબ્દ સાંભળતાં જ તે મા એને જમવાનું બનાવીને જમાડે છે. પણ અહીં માની દયાની પરિ-સમાપ્તિ પૂરી થતી નથી. આપણે સમજીએ કે બાળક ખાવાનું માંગે તો માનું એને ખવડાવવું એ તેનું ‘દયાળુ’ કર્તવ્ય છે એવી જ રીતે બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ એના ખાવાનું માંગવા છતાં ખાવાનું ન આપવાનું પણ એટલું જ દયાળુ કર્તવ્ય હોય છે. મા આ કડવું કર્તવ્ય કરવા માટે તૈયાર નથી. એની પાસે ‘દયા’ નહીં, પણ ‘માયા’ છે. સ્વદેશી ધર્મ ‘માયાળુ’ નથી ‘દયાળુ’ છે.

આપણે ત્યાં ભક્તો-સંતો-સજ્જનોનું વર્ણન કરતાં કહેવાય છે કે તેઓ મીણની જેમ અત્યંત મુલાયમ અને વ્રજને પણ તોડી શકે તેવા કઠોર હોય છે. દયાનું પણ આવું જ સ્વરૂપ છે. દયાનો કોઈ એક જ પ્રકારનો નિયમ નથી. માયાનો નિયમ એક જ પ્રકારનો હોય છે. જેમ અંધજન માટે પૂર્ણિમા કે અમાસ વચ્ચે અંતર નથી હોતું. એનું પોતાનું એક જ સરળ ‘અદ્વૈત’ રહેતું હોય છે. દયાભાવ માટે ન્યૂનાધિક્ય (સારા-ખરાબને ઓળખવાનો વિવેકભાવ) દૃષ્ટિ જરૂરી છે. કેમ કે તે આંખ ધરાવે છે. સ્વદેશી ધર્મ એ દયાભાવનો વિનિયોગ છે. એટલા માટે સ્વદેશી ધર્મમાં મેંચેસ્ટરથી કપડાં ખરીદવાનો નિષેધ છે એમ ચીનને અફીણ પીવડાવવાનો નિષેધ છે. જેવી રીતે સ્વદેશી ધર્મને દેશી શરાબ ગમે તેટલી ‘દેશી’ હોય, છતાં તે ગ્રાહ્ય નથી. ઊલટું, સ્વિટ્ઝર્લેન્ડની ઘડિયાળો વિદેશી હોવા છતાં ખરીદવામાં કોઈ વાંધો નથી.

આજે બહારનો પ્રવાહ એટલો બધો વેગીલો છે કે આપણે સ્વદેશીનું નામ પણ ભૂલી ગયા છીએ. આ સ્થિતિ જોતાં મને ક્યારેક કયારેક રડવું આવી જાય છે. સ્વરાજ્ય આવ્યાને હજી માંડ પાંચ વરસ થયાં, અને આપણા બજારમાં વિદેશી માલ આવવા લાગ્યો છે. અને દુ:ખ એ છે કે આપણે વગર વિચાર્યે એ માલને ખરીદવા પણ લાગ્યા છીએ. કહીએ છીએ કે ખાદી મોંઘી પડે છે, મિલનાં કપડાં સસ્તાં પડે છે. પરંતુ આપણને એ ખબર પડતી નથી કે મિલનાં કપડાં ખરીદવાથી તે પૈસા ક્યાં જાય છે – કોની પાસે જાય છે. ખાદી ખરીદવાથી આ પૈસા ગામડાંની બહેનો પાસે જાય છે કે જે પોતે સૂતર કાંતે છે. આપણા પૈસા એક રીતે ગુપ્તદાન થઈ જાય છે. વળી આપણે ત્યાં તો ગુપ્તદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. જે દાન જાહેર થાય છે, જે દાનનો ઢંઢેરો પીટવામાં આવે છે, એ દાનની કોઈ કિંમત રહેતી નથી. તો જો ખાદીનાં કપડાં માટે વધારે પૈસા આપવા પડતા હોય તો સમજવું કે એટલા પૈસા એ ગરીબને મળે છે. દરિદ્રને બીજું દાન ન આપો, પણ એને રોજીરોટી મળતી રહે તેવું દાન આપવું જોઈએ.

ગામમાં જો ગામનો તેલી ગામના જ વણકરનાં વણેલાં કપડાં ખરીદતો નથી અને એ બંને બહારથી અનાવશ્યક વસ્તુઓ ખરીદે છે તો ગામ આખું દરિદ્ર બની રહે છે. અભાવગ્રસ્ત હાલતમાં દુ:ખી થાય છે. આવું ન થાય એટલા માટે આપણે ગામડાંનો માલ વધુ પૈસા આપીને પણ કેમ ન ખરીદવો પડે, છેવટે એ મોંઘો નથી રહેતો. ગામડામાં ઉત્પન્ન થયેલ વસ્તુ ખરીદવાથી એકબીજાને મદદ પહોંચાડાય છે. આમ ગામનાં બધાં જ લોકો ગામમાં જ પેદા થયેલી વસ્તુઓ વાપરે અને બહારની ચીજવસ્તુને ગામમાં બિલકુલ ન આવવા દે અને ગામમાં ને ગામમાં ઉત્પન્ન થયેલ કાચા માલને પાકો માલ બનાવશે તો આ સ્વદેશી ધર્મનું પાલન થશે.

આપણે એવો સમાજ ઇચ્છીએ છીએ જેમાં ગામ સ્વાવલંબી બને. જે રોજિંદી જરૂરિયાતો છે તે ગામમાં ને ગામમાં જ નાના નાના ઉદ્યોગો દ્વારા નિર્માણ પામે. અને જે મોટા મોટા ધંધાઓ છે – જેનો સંબંધ કેવળ દેશ પૂરતો નહીં પણ આખી દુનિયા સાથે છે – એ ધંધા-ઉદ્યોગો ખાનગી વ્યક્તિની માલિકીના નહીં, સમાજની માલિકીના હોવા જોઈએ. આના વગર સર્વોદય સમાજ ન રહી શકે. આ સાથે આપણે આ પણ સમજવું જોઈએ કે જે મોટા મોટા ધંધા અને વ્યવસાયોમાં ઘણી મોટી સંખ્યામાં આપણા મજૂરો કામ કરે છે – તેવા મજૂરોને ગણ્યાગાંઠ્યા લોકોના હાથમાં સોંપી દેવા એ ભયંકર છે. ઉપરથી એવો આક્ષેપ કરાય છે કે ખાનગી માલિકી નહીં રહે તો લોકો એમાં પોતાની અક્કલ નહીં લગાવે. આજે એ લોકો સ્વાર્થ-ભાવે એ ધંધામાં દિમાગ ચલાવે છે, માટે તે ધંધા ઓછા ખર્ચાથી ચાલે છે. જો તે ધંધા સરકારના થઈ જશે તો દેશને ઉદ્યોગપતિઓની બુદ્ધિનો લાભ મળશે નહીં. આ જો સાચું હોય તો આપણે બધાં ધર્મવિહોણાં થઈ જઈશું. પછી ભલેને આપણે સાચ્ચા હિંદુ, મુસલમાન કે ખ્રિસ્તી હોઈએ, આપણો દાવો ખોટો સાબિત થશે. જે કામ સમાજ માટે કરવાનું છે, તે સંપૂર્ણ નિષ્ઠાથી કરવાનું છે – આને ધર્મ કહે છે.

(ક્રમશ:)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 01-02 તેમ જ 21

Loading

સાંપ્રદાયિકતા અને ભારત જોડો યાત્રા

Opinion - Opinion|21 February 2023

યોગેન્દ્ર યાદવ

શું ભારત જોડો યાત્રાએ સાંપ્રદાયિક તિરસ્કાર ઘટાડ્યો ? કે પછી તે મારો ભોળો બાલિશ આશાવાદ છે ? હું આ પ્રશ્ન થોડા ગભરાટ સાથે પૂછું છું. પરંતુ તણાવ ઓછો કર્યો છે એ હકીકત છે.

હું લાંબા સમયથી સંખ્યાઓ અને ગણિત સાથે કામ કરનાર માણસ છું. મેં હંમેશાં કોઈ પણ કારણ અને અસરના દાવાઓનું સમર્થન કરવા માટે નક્કર પુરાવા માંગ્યા છે. પરંતુ આવા સવાલ નક્કર પુરાવા સ્વીકારતો નથી. ઓછામાં ઓછા આટલા ટૂંકા સમયમાં તો નહીં જ તેમ છતાં, તે પૂછવા યોગ્ય છે, કારણ કે તે ખરેખર કોઈ મોટી બાબત સાથે સંબંધિત પ્રશ્ન છે. જો એ વાત સાચી હોય કે આ યાત્રાએ ખરેખર સાંપ્રદાયિક તણાવમાં સહેજ પણ ઘટાડો કર્યો છે, તો તે સમર્થન અને ઉજવણી કરવાનું સૌથી મોટું કારણ હોઈ શકે છે. તે એવા યુગમાં રાજકારણની સર્જનાત્મક સંભાવના વિશે છે જ્યારે રાજકારણને એક ખરાબ વસ્તુ તરીકે જોવામાં આવે છે અને પ્રસ્તુત કરવામાં આવે છે. તે એવા યુગમાં રાજકારણની સર્જનાત્મક ક્ષમતા વિશે છે જ્યારે રાજકારણને જ ખરાબ બાબત તરીકે જોવામાં આવે છે અને રજૂ કરવામાં આવે છે.

તેથી ચાલો, હું આ વાત સાવધાનીપૂર્વક જણાવું છું. હું માત્ર એક પ્રશ્ન ઉઠાવી રહ્યો છું, અંતિમ જવાબ આપતો નથી; જેમ સામાજિક વિજ્ઞાનમાં કહેવાય છે ને કે તે એવી પૂર્વધારણા છે કે જેની ચકાસણી કરવાની બાકી છે. અહીં હું રમખાણો, હિંસા અને નફરતને લીધે થતા ગુનાઓ જેવાં સાંપ્રદાયિકતાનાં સંગઠિત અથવા પૂર્વ આયોજિત કૃત્યો વિશે વાત નથી કરી રહ્યો. જો આ કૃત્યો નફરતની રાજનીતિથી પ્રેરિત જૂથો દ્વારા ડિઝાઈન ન કરાય અને ચલાવવામાં ન આવે, જેનો આ યાત્રા વિરોધ કરવા માંગે છે.

હું તેમનામાં અચાનક હૃદય પરિવર્તનની અપેક્ષા રાખતો નથી, અને તે પણ ભારત જોડો યાત્રાથી. મને રોજિંદા સાંપ્રદાયિક તણાવમાં રસ છે જે ગુપ્ત દુશ્મનાવટ અને અવિશ્વાસ, દુરુપયોગ, અપમાન, પડોશની બોલાચાલીમાં અસ્તિત્વ ધરાવે છે – મને એમાં રસ છે કે શું આ યાત્રાએ સાંપ્રદાયિક કટ્ટરતામાં સામાન્ય લોકોની સંડોવણીને ઓછી કરી છે ખરી ? આ વાત યાત્રાએ જે વિસ્તારોને આવરી લીધા છે તે વિસ્તાર પૂરતી સીમિત નથી. અને મારું અનુમાન છે કે જ્યાં જ્યાં આ યાત્રાનો સંદેશો પહોંચ્યો છે ત્યાં તેણે સ્થાનિક કોમી તણાવ ઘટાડવાનો પૂરતો પ્રયાસ કર્યો છે.

મજબૂત અપીલ

એકતા પરિષદના મારા સહયાત્રી, પુષ્પરાગે મારા આ અનુમાન વિશે મને સૌ પ્રથમ સચેત કર્યો હતો. તે નવેમ્બરનું છેલ્લું અઠવાડિયું હશે, જ્યારે અમે મધ્ય પ્રદેશના એક મોટા ગામમાં અમારી યાત્રા પૂરી કરી હતી. તેઓ પાછા આવ્યા અને તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે કરેલી વાતચીતનું વર્ણન કર્યું – કેટલાક મુસ્લિમ પરિવારો, જેમણે તેમના નિવાસસ્થાન પહોંચતા પહેલાં યાત્રા વિશે સાંભળ્યું હતું તેમણે કહ્યું કે જ્યારથી યાત્રાના સમાચાર આવવા લાગ્યા છે ત્યારથી તેમના ગામમાં સાંપ્રદાયિક તણાવ ઓછો થયો છે. એકે કહ્યું : તેઓ રાહતની લાગણીનો અનુભવ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમણે અન્ય સ્થળોએ પણ આવી જ વાર્તાઓ સાંભળી છે. મને વિશ્વાસ બેસતો ન હતો. જ્યારે સારા સમાચાર આવે છે ત્યારે અમે ઝડપથી વિશ્વાસ નથી કરતા. જ્યારે મેં એક મિત્ર સામે આનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેણે પણ કહ્યું કે તેણે એક રાજ્યના એક વરિષ્ઠ પોલીસ અધિકારી પાસેથી એવું જ કંઈ સાંભળ્યું છે કે જ્યાંથી યાત્રા પહેલા જ પસાર થઈ ગઈ હતી.

ગુપ્તચર અહેવાલોમાં પણ રાજ્યમાં સાંપ્રદાયિક ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ તેણે મને તરત જ તેના વિશે ન લખવાની સલાહ પણ આપી, કારણ કે આવા સમાચાર નફરતની રાજનીતિથી લાભ મેળવનારાઓ તરફથી પ્રતિક્રિયા તરફ દોરી શકે છે. વાસ્તવમાં, કર્ણાટકના મારા મિત્રોએ રાજ્યમાં યાત્રાની સફળતા બાદ નફરતની ઝુંબેશમાં વધારો નોંધ્યો છે. ત્યારથી મેં મારા ઘણા મિત્રો સાથે જુદા જુદા વિસ્તારોમાં તપાસ કરી છે જ્યાં અલગ અલગ સરકારો છે. પ્રતિભાવો મારી પૂર્વધારણાની હળવીથી માંડીને મજબૂત પુષ્ટિ સુધીના હતા. એ વાત સાચી છે કે નફરતને લીધે પ્રેરિત ગુનાઓમાં નાટ્યાત્મક ઘટાડો થયો નથી. તેમ જ ઝેર ફેલાય તેવા પ્રસાર માટે મીડિયા સંચાલિત ઝુંબેશ નથી. પરંતુ મેં કહ્યું તેમ, હું એવી આશા નથી રાખતો કે નફરત કરનારાઓ નિરાશ થઈ જશે. મને નફરતમાં શામેલ થતા સામાન્ય લોકો પર યાત્રાની અસર જોવામાં – શોધવામાં રસ છે. તેથી, હું આ પૂર્વધારણા કેટલાક ભાવિ સામાજિક વિજ્ઞાનીઓ સમક્ષ રજૂ કરું છું. દરમિયાન, હું રાષ્ટ્રવ્યાપી જનમત સર્વેક્ષણના આગલા રાઉન્ડની રાહ જોઉં છું કે શું તેમને સાંપ્રદાયિક દૃષ્ટિકોણમાં કોઈ નાના ફેરફારો દેખાયા છે ખરા ? અથવા અમુક કેસ સ્ટડીની કે જે ચૂંટણીથી ઉપર ઊઠીને યાત્રાની અસરની તપાસ કરે.

નફરતના સમયમાં પ્રેમ

એક સારી પૂર્વધારણાને પ્રભાવિત કરતાં બે પરિબળો વચ્ચેના સંબંધને દર્શાવવાને કારણે બંધ ન કરવી જોઈએ. આપણે આવા સંબંધની અપેક્ષા રાખવાનું કારણ પણ જણાવવું જોઈએ. મારે જે કહેવું છે તે અહીં છે. ભારત જોડો યાત્રાએ સાંપ્રદાયિક કટ્ટરતામાં ઘટાડો કર્યો હોય તેવું લાગે છે, એટલા માટે નહીં કે તેણે સાંપ્રદાયિકતાનો સામનો કરવા માટે સક્રિય તાકાતનું નિર્માણ કર્યું છે. તેણે જે વિસ્તારો પસાર કર્યા છે તે રાષ્ટ્રીય અસર નોંધવા માટે ખૂબ નાના છે. તે વિસ્તારોમાં યાત્રાએ હજુ સુધી સ્વૈચ્છિક દળનું નિર્માણ પણ કર્યું નથી જે કોઈ પણ સંઘર્ષમાં અસરકારક રીતે હસ્તક્ષેપ કરી શકે.

અમારી પાસે યાત્રાનો સંદેશ છે, સામાન્ય અને વ્યાપક. તેમ છતાં, ‘જોડો’નું અસરકારક આહ્વાન જ એકતાના સંદેશને યાદ કરવાનું અને ફરીથી જોડવાનું કામ કરે છે. નફરતની રાજનીતિ સામે રાહુલ ગાંધીનું સ્પષ્ટ વલણ વિપક્ષના મોટા ભાગના મુખ્ય પ્રવાહના રાજકારણીઓ દ્વારા જે વ્યૂહાત્મક મૌન ચાલી આવ્યું હતું, તેમાં એક તાજું પરિવર્તન આવ્યું. અને પ્રેમ વિશે બોલવાનું એ અચાનક સ્વીકાર્ય બન્યું છે. ‘હું નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’ જેવાં નિવેદનોની શેલ્ફ લાઈફ આપણે ધારીએ છીએ તેના કરતાં લાંબી હોય છે.

જો નફરત ફેલાય છે, તો પ્રેમ પણ ફેલાય છે

જ્યારે યાત્રા ઉત્તર પૂર્વ દિલ્હીને પાર કરી રહી હતી ત્યારે હું તેના વિશે વિચારતો રહ્યો. જાફરાબાદ મેટ્રો સ્ટેશનથી શિવ વિહાર સુધી, અમે એવા વિસ્તારોમાંથી પસાર થયા જ્યાં ૨૦૦૨માં કોમી રમખાણો થયાં હતાં. રસ્તાની બંને બાજુએ, સાંપ્રદાયિક રીતે વિભાજિત એવા બંને બાજુના લોકોએ અમારું સ્વાગત કર્યું. યાત્રામાં એક દેશભક્તિનું ગીત વાગી રહ્યું હતું, ‘સારે જહાં સે અચ્છા,’ હું તેને સારી રીતે સાંભળી શકતો હતો. ‘મઝહબ નહીં સીખાતા આપસ મેં બૈર રખના’ આ ગીત અને દૃશ્ય જોઈને મારી આંખોમાં આંસુ સાથે આગળ વધનારો હું એકલો નહોતો.

મુસ્લિમો ખુશ, ઉત્સાહિત હતા, પરંતુ યાત્રામાં સ્થાનિક હિંદુઓની પણ નોંધપાત્ર હાજરી હતી. હું તેમના ચહેરા પર કંઈક બીજું વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શું આ પ્રદેશમાં તેમની સંખ્યા વધુ હતી તેથી કે યાત્રાની હાજરીથી મુસ્લિમોનો ભય અને ચિંતા ઓછાં દેખાતાં હતાં ? અથવા હું ફક્ત તેની ક્લ્પના કરી રહ્યો હતો ?

મને ફૈઝ અહમદ ફૈઝની એ પંક્તિઓ યાદ આવી ગઈ : ‘ખૂન કે ધબ્બે ધુલેંગે કિતની બરસાતોં કે બાદ’. શું લોહીના ડાઘ ખાલી ભાષણોથી સાફ થઈ શકે ? પરંતુ જો લોહીના ડાઘ નફરતમાંથી જન્મે છે, જે શબ્દોને કારણે છે, તો શબ્દોથી તેનાં વળતાં પાણી શા માટે નથી થતાં ? તો શું આ માત્ર બાલિશ કોરો આશાવાદ છે ? એવું હોય પણ ખરું, પરંતુ, કોઈ મારી પૂર્વધારણાનું ખંડન કરે તે પહેલાં હું આ ક્ષણનો આંનદ માણવા માગું છું.

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૂ. 16 તેમ જ 23

Loading

કસ્તૂરબાને અપાયેલી અંજલિ અને અવતરણો 

આશા બૂચ|Gandhiana|21 February 2023

તુષારભાઈ ગાંધીએ લખેલી ડાયરીના છેલ્લાં પાનાંઓમાં આ અંજલિઓ વાંચતાં હૃદય દૃવી ઊઠ્યું, લેખકની અનુમતિથી અનુવાદ કર્યો. આમ તો આ કસ્તૂરબા(11 એપ્રિલ 1869 – 22 ફેબ્રુઆરી 1944)ની પણ તિથિએ પ્રકાશિત થાય તેવી ગણતરી.

— આશા બૂચ 

બાના અવસાન બાદ બાપુએ ઘણા પ્રસંગોએ એમના વ્યક્તિત્વની મૂલવણી આંકી અને પોતાના જીવનમાં આપેલા એમના ફાળાની અવારનવાર નોંધ લીધેલી. અન્ય લોકોએ પણ બાના માનમાં અંજલિ આપી હતી. હું તેમાંની કેટલીક અહીં ફરી રજૂ કરું છું.

બાપુ બાને પોતાના અહિંસાના ગુરુ તરીકે સ્વીકાર કરે છે :

જ્યારે હું મારી પત્નીને મારી ઈચ્છા મુજબ વાળવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે તેની પાસેથી હું અહિંસાનો પાઠ શીખ્યો. એક તરફ એનો મારી માગણીનો મક્કમ પ્રતિકાર, અને બીજી બાજુ મારી મૂર્ખામીને કારણે વેઠવા પડેલ દરદને શાંતિથી સહન કરવાની તેની શક્તિએ મને મારી જાત માટે શરમનો અનુભવ કરાવ્યો અને હું તેના પર આધિપત્ય જમાવવા જન્મ્યો છું, એવી મૂર્ખામીભરી વિચારધારામાંથી મને બચાવી લીધો અને એ મારી અહિંસાની મોટી ગુરુ બની.

એમ.કે. ગાંધી, ‘હરિજન’  02 ડિસેમ્બર 1938

લોર્ડ અને લેડી વૅવેલના શોક સંદેશનો બાપુનો પ્રત્યુત્તર : 

મારી પત્નીના અવસાન બદલ આપ અને લેડી વેવેલે પાઠવેલ પ્રેમભર્યા દિલાસાના સંદેશ બદલ હું આભાર વ્યક્ત કરું છું. જો કે તેના મૃત્યુને મેં આવકાર્યું, કેમ કે શરીરને ભોગવવી પડતી પીડામાંથી તેને મુક્તિ મળી, પરંતુ મને થવું જોઈએ તેના કરતાં મને વધુ દુઃખ તેને ગુમાવવાનું થયું.

અમે એક અસાધારણ કહેવાય એવાં દંપતી હતાં. 1906માં અનેક પ્રયાસો બાદ અને પરસ્પરની સંમતિથી અમે ઇન્દ્રયો પર સ્વચ્છાએ અંકુશ રાખવાને અમારો જીવન મંત્ર બનાવ્યો. તેને પરિણામે અમે બંને પહેલાં કયારે ય નહોતાં તેટલાં નિકટ આવ્યા તેનો મને ખૂબ આનંદ થયો. અમે બંને બે અલગ વ્યક્તિ મટી ગયાં. મારી ઈચ્છા નહોતી તો પણ તેણે મારામાં સંપૂર્ણપણે ઓગળી જવાનું પસંદ કર્યું. તેનું પરિણામ એ આવ્યું કે તે ખરા અર્થમાં મારી ‘ઉત્તમ અર્ધાંગિની’ બની.

એ બહુ મક્કમ ઈચ્છા શક્તિ ધરાવનાર મહિલા હતી, કે જેને હું મારી નાની વયે તેને જીદ્દીપણું માનવાની ભૂલ કરતો. પણ તેની એ મક્કમ નિર્ણય શક્તિએ તેને અજાણતાં જ મારી અહિંસક રીતે અસહકારની કલાને  વ્યવહારમાં કેમ મુકવી તેની ગુરુ બનવામાં મદદ કરી.

 બાપુની બાને અંજલિ : ‘એ મારાથી ઊંચેરી હતી’ 

બા મારાથી કોઈ પણ અર્થમાં મારી પાછળ નહોતી. ઊલટાનું એ મારાથી ઊંચેરી હતી. હું કદાચ ક્યારેક હતાશાની ખાઈમાં સારી જતો, તો એ મારી પ્રતિજ્ઞાને ખરા અર્થમાં વળગી રહેવા મને જાગૃત રાખતી. તેણે હંમેશ મારી રાજકીય લડતોમાં સાથ આપ્યો અને પોતે એવા જંગમાં કૂદી પડવા ક્યારે ય ખચકાઈ નહીં. તે અશિક્ષિત હતી, પરંતુ મારા મતે એ સાચા શિક્ષણનું દૃષ્ટાંત હતી. એ એક સમર્પિત વૈષ્ણવ હતી. પણ તેણે પોતાના દિમાગમાંથી જ્ઞાતિ પ્રથા વિશેના તમામ ખ્યાલોનું નામનિશાન ભૂંસી નાખ્યું અને એક હરિજન બાળાને પોતાના સંતાનવત પ્રેમ આપ્યો. નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન’ ભજનમાં ગાયા છે એ આદર્શોને તેણે મૂર્તિમંત કરી બતાવ્યા. ક્યારેક એવા સંયોગો ઊભા થયા કે હું મૃત્યુ સાથે સંઘર્ષ ખેલી રહ્યો હતો. મારા આગાખાન મહેલમાં કરેલા અનશન વખતે હું મોતના મુખમાંથી પાછો આવેલો. પણ તેની આંખમાં આંસુનું ટીપું પણ નહોતું, ક્યારે ય આશા કે હિંમત ન ગુમાવ્યા અને ઈશ્વરને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરતી રહી.

બાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બાપુની અંજલિ : 

બાની વિદાયની તારીખ હતી 22ની ફેબ્રુઆરી 1944. આ ઘટના 1947માં જ્યારે બાપુ રમખાણોથી ગ્રસ્ત નોઆખલી અને ટીપેરા વિસ્તારમાં શાંતિ યાત્રા માટે ઘૂમી રહ્યા હતા ત્યારની છે.

19 ફેબ્રુઆરી મહાશિવરાત્રી હતી, શિવની પૂજાનો તહેવાર. તે દિવસે બાપુ બીરામપુરમાં હતા, અને તેમને માટે એ દિવસ દરદભરી યાદો લાવનાર હતો. ત્રણ વર્ષ પહેલાં એ દિવસે તેમણે પોતાના સહધર્મચારિણી કસ્તૂરને આગાખાન મહેલની કેદમાં ગુમાવ્યાં હતાં. ત્યારથી તેઓ દર પુણ્ય તિથિએ અનશન અને પ્રાર્થના કરતા. બહારથી એ કોઈ પણ એક સામાન્ય દિવસ જેવો જ દિવસ ભાસતો, જે પ્રાતઃકાળ ચાર વાગે શરૂ થતો અને અવિરત પણે કાર્યો ચાલતાં. તેમના મનથી તેનું કેવું અત્યંત વ્યક્તિગત મહત્ત્વ હતું તેની સાબિતિ તેમની ડાયરીમાં એક અછડતા ઉલ્લેખમા મળી આવે છે : “આજના દિવસે અને બરાબર આ જ સમયે (સાંજના 7.35 વાગે) બાએ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો.”

સાંજે 7.35 વાગે બાપુને કાંતેલા સૂતરની આંટી પહેરાવેલા બાના ફોટા પાસે નાનો દીપ પ્રગટાવેલો તેની આસપાસ કેટલાક લોકો એકઠા મળ્યા. એ સૂતરની ફરી આંટી બનાવીને વણવા માટે મોકલી આપવામાં આવતું; એક પણ વસ્તુનો વ્યય ન થતો. ભગવદ્દ ગીતાના પ્રથમ છ અધ્યયનના પઠન સમયે બાપુ બેઠા રહ્યા, અને પછી થાક વર્તાવાને કારણે આડા પડ્યા. બાદમાં તેઓએ ઉલ્લેખ કરેલો કે જ્યારે તેઓ બાકીના ગીતા પાઠને સાંભળતા સૂઈ ગયા હતા ત્યારે તેઓને પોતાની પ્રિય પત્ની સાથે એકત્વ સધાયાનો ભાસ થયો. તેમને બાની હાજરીનો અનુભવ થયો. તેઓ વધુમાં લખે છે, “ગીતાના અધ્યયન દરમ્યાન ત્રણ વર્ષ પહેલાં બાની અંતિમ ક્ષણોનું દૃશ્ય મારા અંતઃચક્ષુ સામે તદ્દન તાદૃશ થઇ ગયું. મને એવો ભાસ થયો કે તેનું માથું ખરેખર મારી છાતી ઉપર ટેકવેલું હતું. ગીતાના છ અધ્યાય સાંભળ્યા બાદ જ્યારે મેં આરામ કરવા આંખ મીંચી ત્યારે આ અનુભવ થયો.” તેમણે વેદના સાથે અભિપ્રાય આપ્યો કે “માટે કબૂલ કરવું જોઈએ કે તેના (કસ્તૂરબા) વિના હું અહિંસા અને સ્વ શિસ્તના મારા પ્રયાસોમાં સફળ ન થયો હોત. તે મને બીજા કોઈના કરતાં વધુ સારી રીતે સમજી શકતી. તેની વફાદારીનો કોઈ જોટો નહોતો. મને તેના અંતિમ દિવસ સુધી ખ્યાલ નહોતો કે કોના ખોળામાં તેની આંખ મીંચાશે. પણ અંત સમય નજીક આવ્યો તે પહેલાં તેણે મને પાસે બોલાવ્યો અને મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા. એવી હતી બા. આપણે તેનો શ્રાદ્ધ દિવસ તેના ગુણોનું સ્મરણ કરીને અને બને તેટલાને આપણા વર્તનમાં ઊતારીને પાળી શકીએ. મેં આવી કપટ રહિત શ્રદ્ધા, નિઃસ્વાર્થ એકનિષ્ઠા અને સેવા ભાવના જેવી તેનામાં હતી તેવી અન્ય કોઈનામાં હોય તે નથી જાણ્યું. અમારા વિવાહ થયા ત્યારથી એ હંમેશ મારા જીવનના હરેક સંઘર્ષમાં અડગ સત્યનિષ્ઠા સાથે મારી પડખે ઊભી રહી અને મારા જીવનના ધ્યેયને સિદ્ધ કરવા તન અને આત્માની તમામ શક્તિ સાથે પોતાની જાતને સમર્પિત કરી દીધી – એવી એની રીત કે જેની કોઈ તુલના ન થઇ શકે.”

(આ ચાર અંજલિઓ બાપુએ આપેલી, જે કેટલાક લોકોના વાંચવામાં આવી હશે, પરંતુ તેનું પુનઃપઠન બાપુના માનવીય પાસાને ઉદ્ઘાટિત કરે છે અને તેમની અત્યંત અંગત ભાવનાઓ આપણા હૃદયને ભીંઝવી જાય છે. હવે બીજી અંજલિ સુભાષચંદ્ર બોઝે આપેલી તે પ્રસ્તુત છે. આજે મહાત્મા ગાંધી અને તેમના સાથીદારો સાથેના તેમના સંબંધો વિષે ઘણો કીચડ ઉછાળવામાં આવે છે, જે એમ કરનારના અજ્ઞાન અને સ્વાર્થપટુતાનું પરિણામ છે. આ અંજલિથી સુભાષબાબુ અને ગાંધીજી-કસ્તૂરબા વચ્ચેના અમાપ આદર અને સન્માનનું દ્યોતક સાબિત થાય છે.)

નેતાજી સુભાષચંદ્ર બોઝની બાને અંજલિ : 

“ભારતીની પ્રજાની માતાને અંજલિ”

શ્રીમતી કસ્તૂરબા ગાંધીનું નિધન થયું. તેઓ પૂનામાં બ્રિટિશ રાજની કેદમાં 74 વર્ષની વયે અવસાન પામ્યાં. દેશમાં અને વિદેશમાં રહેતા મારા 38,80,00,000 દેશવાસીઓ સાથે હું કસ્તૂરબાના મૃત્યુ માટે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરું છું. તેઓ ખૂબ કરુણ સંયોગોમાં મૃત્યુને વર્યાં, પરંતુ એક ગુલામ દેશના પ્રજાજન માટે આથી વધુ સન્માનનીય અને ગૌરવશાળી મોત ન હોઈ શકે. ભારતને અંગત ખોટ પડી છે. દોઢ વર્ષ પહેલાં પૂનાની કેદમાં પુરાયા બાદ કસ્તૂરબા ગાંધીનું અવસાન એ તેમની સાક્ષીમાં બીજા કેદીનું અવસાન થયું છે. પહેલું મૃત્યુ તે એમના આજીવન કાર્યકર અને અંગત મંત્રી મહાદેવ દેસાઈનું. વર્તમાન કારાવાસ દરમ્યાન ગાંધીજીએ આ બીજી અંગત ખોટ સહન કરી છે.

હું મારા તરફથી એ મહાન મહિલા, કે જે ભારતની પ્રજાની રાષ્ટ્ર માતા હતી, તેને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું, અને ગાંધીજીને આ શોકના સમયમાં અંતરની દિલસોજી પાઠવું છું. મને અવારનવાર શ્રીમતી કસ્તૂરબા ગાંધીના અંગત પરિચયમાં આવવાનો મોકો મળેલો, અને હું થોડા શબ્દોમાં તેમને માટેની અંજલિ આપીશ. તેઓ એક આદર્શ ભારતીય નારી હતાં – સશક્ત, ધૈર્યવાન, શાંત અને સ્વનિર્ભર.

સુભાષબાબુ, કનુ ગાંધી, કસ્તૂરબા તેમ જ કહાનદાસ; સેવાગ્રામ આશ્રમ

પોતાની માતૃભૂમિ માટેના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન ભારતની લાખો કન્યાઓ વચ્ચે ફરીને કામ કર્યું તેથી તેઓ તેમને માટે પ્રેરણાનો સ્રોત બની રહ્યાં. દક્ષિણ આફ્રિકાના વસવાટથી શરૂ કરીને લગભગ ત્રીસેક વર્ષ સુધી તેઓએ પોતાના મહાન પતિની સાથે અનેક કસોટીઓ અને યાતનાઓ સહી છે. તેમની ઘણી જેલયાત્રાઓએ તેમનાં સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી, પરંતુ જેલવાસનો તેમની 74 વર્ષની આયુમાં પણ ડર નહોતો લાગતો. જ્યારે પણ મહાત્મા ગાંધીએ નાગરિક અસહકારની ચળવળનું એલાન કર્યું, ત્યારે કસ્તૂરબા એ લડતની આગેવાનીમાં તેમની સાથે જ સામેલ રહેતાં, ભારતની કન્યાઓ માટે એક અભૂતપૂર્વ દૃષ્ટાંત અને પુત્રો માટે પોતાની બહેનોને ભારતના આઝાદી સંગ્રામમાં પાછળ ન રાખવા માટેનો પડકાર પૂરો પાડ્યો.

કસ્તૂરબા એક શહિદના મૃત્યુને વર્યાં. તેઓ ચાર મહિનાથી હૃદયના રોગથી અસરગ્રસ્ત હતાં. પરંતુ એ નિર્દય બ્રિટિશ સરકારે સમસ્ત રાષ્ટ્રની સ્વાસ્થ્યના મુદ્દાને મધ્ય નજર રાખીને કસ્તૂરબાને માનવતાના પાયા ઉપર મુક્ત કરવાની વિનવણીને અનસૂની કરી. બ્રિટિશરોને એવી ધારણા હતી કે ગાંધીજીને આવી માનસિક યાતનાઓ આપશે તો તેઓ શરીર અને મનથી ભાંગી પડશે અને શરણાગતિ સ્વીકારવા મજબૂર થશે. હું એ ક્રૂર લોકો, કે જેઓ એક બાજુ સ્વતંત્રતા, ન્યાય અને નૈતિક કારણોસર લડવાનું આહ્વાન આપે છે, અને બીજી બાજુ ઠંડે કલેજે આવી હત્યા કરે છે તેને માટે માત્ર મારો તિરસ્કાર વ્યક્ત કરી શકું. એ લોકો મહાત્મા ગાંધીને સમજી નથી શક્યા. તેઓ ભારતની પ્રજાને નથી સમજી શક્યા.

બ્રિટિશ સરકાર ગમે તેટલો માનસિક ત્રાસ અને શારીરિક યાતનાઓ ગાંધીજી અને ભારતની પ્રજા ઉપર ગુજારે તો પણ તેઓએ લીધેલાં પગલાંમાંથી તેઓ એક તસુ પણ પાછા નહીં હઠે. યુદ્ધની ભયાનક્તામાંથી ઉગારવા ગાંધીજીએ બ્રિટિશ સરકારને ભારત છોડવાની હાકલ કરી. બ્રિટિશ સલ્તનતે અપમાનકારક ઉત્તર આપી તેમને એક સામાન્ય ગુનેગારની માફક કેદમાં પૂર્યા. એ અને એમનાં ઉમદા ધર્મપત્ની ગુલામ દેશમાં ફરી મુક્ત થાય તેના કરતાં એ જેલમાં મૃત્યુ પામે એવી એની નેમ.

બ્રિટિશ સરકાર કસ્તૂરબા હૃદયની બીમારીથી તેના પતિના સાનિધ્યમાં કેદમાં મૃત્યુ પામે એ માટે દૃઢનિશ્ચયી હતી. એ લોકોએ પોતાની એ ગુનાહિત ઈચ્છાઓ પૂરી કરી, અને એ એક પ્રકારના ખૂનના કૃત્ય કરતાં જરા પણ ઓછું નથી. પરંતુ દેશમાં વસતા અને વિદેશમાં રહેતા ભારતીયો માટે આ ઘટના યાદ અપાવે છે કે બ્રિટિશરો આપણા નેતાઓનો એક પછી એક નિર્દયી રીતે નિકાલ કરવા કટિબદ્ધ છે.

જ્યાં સુધી બ્રિટિશ સત્તા ભારતમાં રહેશે ત્યાં સુધી આપણા દેશ વિરુદ્ધ આવા ભયંકર દુષ્ટ કૃત્યો  વિના રોકટોક ઘટયા જ કરશે. શ્રીમતી કસ્તૂરબા ગાંધીના મૃત્યુનો બદલો ભારતના પુત્ર અને પુત્રીઓ એક જ રીતે લઇ શકે, અને એ છે બ્રિટિશ સામ્રાજ્યનો ભારતમાં સદંતર નાશ. પૂર્વ એશિયામાં બ્રિટિશ શાસકો વિરુદ્ધ જે સૈનિકોએ સશસ્ત્ર સંગ્રામ આદર્યો છે તેમના ખભ્ભા પર આ ખાસ જવબદારી છે. અહીં રહેતી મહિલાઓની પણ આ જવબદારીમાં ભાગીદારી છે. આપણી આ દુઃખદ પળોમાં આપણે જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા બ્રિટિશરને ભારતમાંથી હદપાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણી સશસ્ત્ર લડાઈ ચાલુ જ રહેશે એ પ્રતિજ્ઞા ફરીથી લઈશું.

(તુષારભાઈ ગાંધી લિખિત ‘The Lost diary of Kastur – my Baa પુસ્તકના અંત પૃષ્ઠોમાં આ અંજલિઓ મુકાઈ છે, જે એમની અનુમતિ સાથે ‘ઓપિનિયન’ના વાચકો માટે સાદર પ્રસ્તુત)

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,1891,1901,1911,192...1,2001,2101,220...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved