Opinion Magazine
Number of visits: 9458223
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ પણ જીતે, હારે છે તો પ્રજા જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|21 November 2022

ચૂંટણી જોર પર છે. પ્રજા અને પ્રધાનો એકબીજાને પટાવવામાં / પતાવવામાં પડ્યાં છે. સભાઓ થાય છે, રોડ શો થાય છે ને પક્ષોને લાગે છે કે પ્રજા પોતાની સાથે છે એટલે જીત તો પોતાની જ છે, પણ પ્રધાનો જેટલી, પ્રજા બોલકી નથી. તે વધારે અકળ છે. કોઇની પણ સભામાં તે તાળીઓ પાડવા પહોંચી તો જાય છે, પણ મત તો ‘ગમે તેને’ જ આપે છે. ગુજરાતમાં 27 વર્ષથી ભા.જ.પ.ની સરકાર છે. એ જોર પર પ્રદેશ પ્રમુખે 182માંથી 182 સીટ ભા.જ.પ.ને મળવાની આગાહી કરી છે, પણ નાનું છોકરું ય ન વિચારે એવું ભા.જ.પ.ના નેતાઓ જાહેરમાં બોલે છે ત્યારે આશ્ચર્ય નથી થતું, રમૂજ થાય છે. 182 સીટ મળે કે ન મળે, પણ ભા.જ.પ.ની સરકાર ન જ બને એવું પણ નથી. તે એટલે કે પ્રજાને ભા.જ.પ.ની ભક્તિ ફળે તેવો ભરોસો છે. એક વાત તો છે કે રામ મંદિર અને 370મી કલમની નાબૂદી બાબતે ભા.જ.પે. રાષ્ટ્રમાં અને પાણી-વીજળીની બાબતે ગુજરાતમાં, પ્રજાને રાહતનો અનુભવ કરાવ્યો છે. એ જ કારણ છે કે પ્રજા મોંઘવારીની બાબતે આંખ આડા કાન કરી લે છે. આજે ઘણાં એવાં છે, જેમનું કોઈ પક્ષ પૂરું કરતો નથી, પણ પ્રજાની વફાદારી ઘટતી નથી. એ આંખ મીંચીને મત આપી આવે છે ને પછી અનેક મુશ્કેલીઓ માટે તૈયાર પણ રહે છે. ભક્તિ અને આરતી ભલે ભક્તો કરે, પણ પક્ષમાં અને પ્રજામાં, એક નાનો વર્ગ રાજી નથી તેનો ભા.જ.પે. વિચાર કરવાનો રહે જ છે. કેટલાંક ક્ષેત્રોમાં કામ નથી થયાં, તેનો અસંતોષ પ્રજાએ પોતાનાં વિસ્તારમાં મત ન માંગવા આવવાનું કહીને પ્રગટ કર્યો છે. મોંઘવારી, બેકારીથી ત્રાસનાર વર્ગ પણ નથી એવું નથી. બોટાદનો લઠ્ઠાકાંડ ને મોરબીનો ઝૂલતો પુલ ભુલાયો નથી. એની અસર ચૂંટણીમાં વર્તાય તો નવાઈ નહીં. સરકારનાં પ્રોજેક્ટ્સ ભલે અર્પણ થાય, વિશ્વમાં વડા પ્રધાન ભારતનું નામ ભલે ઊજળું કરે, પણ દીવા નીચે અંધારું છે ને તે નજર અંદાજ કરી શકાય એવું નથી તે સ્વયં સ્પષ્ટ છે.

ભા.જ.પ.ની સરકાર ન જ બનવી જોઈએ એવું કહેવાનું નથી, પણ ભા.જ.પ.ની સરકાર આડે જે વિઘ્નો છે તે તરફ નજર નાખવાની રહે. આ વખતે વિધાનસભામાં ભા.જ.પ.ની સીટો ઘટે એમ લાગે છે. એમ લાગવાનાં કારણો છે. ભા.જ.પ.નો નો-રિપીટ થિયરીનો વહેમ નડે એમ છે. એક તો 2021માં કોઈ મોટાં કારણ વિના રૂપાણીની સરકાર ઘરભેગી કરાઇ તે ઘણાંને અકળ લાગ્યું છે. એ ખરું કે કોરોના વખતે સરકાર નિષ્ફળ રહી, પણ એમ તો દેશ આખામાં ક્યાંક કેન્દ્ર સરકાર પણ નિષ્ફળ હતી ! વળી પ્રજાની એવી કોઈ તીવ્ર માંગ પણ ન હતી કે બધું થાળે પડવા આવેલું હોય ત્યારે જ સરકાર બદલવી પડે. પ્રજા સરકાર બદલે, એ સમજાય, આ તો સરકારે જ સરકાર બદલી, એ તો ઠીક, પણ વિજય રૂપાણી અને નીતિન પટેલ અને અન્યોની પાસે ચૂંટણી ન લડવાનું લખાવી / લખાવડાવીને જે ખેલ ચૂંટણી ટાણે પડાયો તે પણ પ્રજાએ જોયો છે. આ બધું કેવી રીતે ભા.જ.પી. હાઇકમાંડને પોતાની ફેવરમાં લાગે છે તે સમજવાનું મુશ્કેલ છે.

એ પણ છે કે 2017 સુધી ગુજરાતમાં ચૂંટણી મુખ્યત્વે ભા.જ.પ. અને કાઁગ્રેસ વચ્ચે જ લડાતી રહી છે, પણ 2022ની ચૂંટણીમાં બીજાં બે પરિબળો ઉમેરાયાં છે. એક તો આપ પાર્ટી પૂરી તાકાતથી મેદાનમાં છે. આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ 300 યુનિટ વીજળી મફત આપવાનો વાયદો કરીને  ગયા છે. આપના જ મુખ્ય મંત્રી ગુજરાતમાં બનવાના હોય તેમ ઇસુદાન ગઢવીને આગળ કરાયા છે, તો સૂરતમાં ગોપાલ ઇટાલિયા પણ આપનું ઝાડું ફેરવીને પોતાની જગ્યા બનાવી રહ્યા છે. વળી રાજસ્થાનના મુખ્ય મંત્રી ગેહલોત સિવાય કાઁગ્રેસને ગુજરાતમાં જીતાડવાનો કોઈ કાઁગ્રેસી નેતાને રસ લાગતો નથી. એ ભા.જ.પ.ની નહીં, પણ આપની ફેવરમાં જાય છે. રાહુલ ગાંધીનું ‘ભારત જોડો’માં છે એટલું ધ્યાન ગુજરાતમાં નથી. જો કે, ગુજરાતના કાઁગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી આજે રાજકોટમાં અને સુરતમાં જનસભાઓ સંબોધવાના છે. એનાથી કેટલોક ફેર પડશે તે વિચારવાનું રહે. વળી રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવાનું સહાનુભૂતિમાં ફેરવાય એવું કદાચ કાઁગ્રેસને હોય, તો પણ એનો લાભ ભા.જ.પ.ને કદાચ વધુ મળે એમ છે. અત્યાર સુધી હિમાચલ પ્રદેશ કે ગુજરાતમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર ક્યાં કારણોસર નથી કર્યો એ સમજવાનું અઘરું છે.

આમ તો ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારોનું સરકારમાં ઝાઝું ઉપજતું હોતું નથી, પણ આ વખતે અપક્ષ ઉમેવારોનો ચૂંટણીમાં પડઘો પડે એમ લાગે છે. એક બાબત સ્પષ્ટ છે કે પક્ષ માટે ગમે એટલું કામ કર્યું હોય તો પણ, બધાંને ચૂંટણીમાં ટિકિટ આપી શકાતી નથી. 182 સીટ માટે 4,100ની યાદી હતી. સક્ષમ હોય તો પણ એ બધાંને ચૂંટણી લડાવવાનું શક્ય નથી. ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સહિત અન્ય મંત્રીઓની ટિકિટો પણ કપાઈ હોય ત્યારે બધાં ટિકિટનો આગ્રહ રાખે એ બરાબર નથી. ગમે કે ન ગમે, પણ સિનિયર્સે પક્ષની વફાદારી છોડી નથી એ નોંધનીય છે. આવી વફાદારી બધાં દાખવે એમ બનતું નથી. પ્રજાની પક્ષ પ્રત્યેની વફાદારી છે એટલી, પક્ષના કાર્યકરોની પક્ષ માટે ન હોય એ દુ:ખદ છે. ચૂંટણી આવે ને ટિકિટ ન મળે તો એકમાંથી બીજા પક્ષમાં આવનજાવન શરૂ થઈ જાય છે, ત્યારે એટલું તો પુરવાર થઈ જાય છે કે આવા સભ્યોને પક્ષ કરતાં પોતાનું મહત્ત્વ વધારે છે ને પક્ષમાં જે સમજથી જોડાવાનું બનેલું તે સમજ ટિકિટ ન મળતાં, રાતોરાત બદલાઈ જાય છે ને બીજી તરફ જેના સિદ્ધાંતોનો વિરોધ હતો એ જ પક્ષનો સિદ્ધાંત આદર્શ હોય તેમ એ તરફ દોટ મુકાય છે. અહીં પણ સિદ્ધાંત કરતાં પદની લાલચ જ કેન્દ્રમાં હોય છે, એટલે એમાં વફાદારી સિવાય બધું જ હોય એમ બનવાનું.

કમનસીબે આવા પક્ષપલટુઓ બધા જ પક્ષમાંથી મળી રહે એમ છે, પણ આ વખતે ભા.જ.પ.ના જ અસંતુષ્ટો આંખે ઊડીને વળગે એવા છે. પ્રદેશ પ્રમુખે સમજાવી જોયા છે, પણ જૂનાગઢથી તે વડોદરા ને બાયડ સુધીના સાતેક અસંતુષ્ટો એવા નીકળ્યા છે જેમણે ભા.જ.પ.ની સામે પડીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ભા.જ.પે. આ સભ્યોને સસ્પેન્ડ કર્યાં છે. નાંદોદના હર્ષદ વસાવા, કેશોદના અરવિંદ લાડાણી, વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, પાદરાના દિનેશ પટેલ (દિનુ મામા), બાયડના ધવલસિંહ ઝાલા, મહીસાગરના જયપ્રકાશ પટેલ અને ધાનેરાના માવજી દેસાઇએ ભા.જ.પ. સાથેની વફાદારી છોડી અપક્ષ ચૂંટણી લડવા ઉમેદવારી કરી છે. એ જીતશે કે કેમ તે તો સમય નક્કી કરશે, પણ ભા.જ.પ.ની સામે ટક્કર લઈ શકાશે એવો વિશ્વાસ, જે તે સભ્યને મજબૂત કરતો હોય તો પણ, પક્ષની પ્રતિષ્ઠા અને ક્ષમતાને તો દાવ પર લગાવે જ છે. ભા.જ.પ.ના જ મધુ શ્રીવાસ્તવ 1995થી વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. કદાચ રિપીટ ન કરવાની નીતિને કારણે તેમને ટિકિટ ન મળી ને એમણે વિરોધમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું સ્વીકાર્યું. એવું જ અન્ય કિસ્સાઓમાં પણ ખરું, પણ ભા.જ.પ. પોતાની નીતિને વળગી ન રહે તો પણ અસંતોષ વધે છે. જેમ કે 75થી વધુ વયનો ઉમેદવાર ન જોઈએ એવું નક્કી કર્યાં પછી, વડોદરાની માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડવા 76 વર્ષનાં યોગેશ પટેલને ટિકિટ આપે તો તેની ચર્ચા ઊઠે જ ! ટિકિટ ન આપી હોત, તો યોગેશ પટેલ અપક્ષ ચૂંટણી લડે એવી શંકા ભા.જ.પ.ને હતી. એ સ્થિતિ ટાળવા અપવાદ કરાયો. આવો અપવાદ વાઘોડિયાની સીટ પર મધુ શ્રીવાસ્તવ જેવા સિનિયર નેતાને માટે પણ થઈ શક્યો હોત, પણ એમ ન થયું. આવી બાબતો પક્ષ પરનો વિશ્વાસ ઘટાડે છે.

એમ લાગે છે કે ભા.જ.પ. માટે આ વખતે મુશ્કેલીઓ વધી છે. કેજરીવાલનો પ્રભાવ વધ્યો છે. કાઁગ્રેસને મળનારા મત ભા.જ.પ.ને બદલે આપને મળે એમ બને. સુરતમાં કોર્પોરેશનની છેલ્લી ચૂંટણીમાં કાઁગ્રેસને મળનારા મતો આપને જ મળ્યા હતા ને એક બે નહીં, 27 સીટ આપને ફળી હતી. ભા.જ.પ.ના જ નીવડેલા સભ્યો બળવો કરીને અપક્ષ ચૂંટણી લડે ત્યારે, ભા.જ.પ.ના, તેમની સાથે સમર્થનમાં હતા તેવા હજારો સભ્યો અપક્ષનો સાથ આપવાના. એ સ્થિતિમાં ભા.જ.પ.ના સમર્થકો ઘટે છે એ ચિંતા કરવાની રહે. એ તો સમજ્યા, પણ મતદારો બહુ સમજી-વિચારીને મત આપે એ જરૂરી છે. કારણ એને પાંચ વર્ષે મળનારી એક તક ધારાસભ્યને તો પાંચ વર્ષ સુધી અનેક તકો પૂરી પાડે છે, એટલે એને મળનારી એક તકનો કોઈ પાંચ વર્ષ સુધી દુરુપયોગ ન કરે એટલી કાળજી તો મતદાતાએ લેવાની રહે જ છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 નવેમ્બર 2022

Loading

સાહિત્યકારણી ચૂંટણી વિશે —

સુમન શાહ|Opinion - Literature|21 November 2022

રાજકારણી ચૂંટણીનાં પડઘમ વાગે છે, ત્યારે મને સાહિત્યકારણી ચૂંટણી વિશેનો મારો એક પૂર્વપ્રકાશિત લેખ યાદ આવે છે. અહીં મૂકું છું, નહીં કે અદેખાઓ કહે છે એમ એ લેખ જૂનો હોવાથી વાસી થઈ ગયો છે એટલે મૂક્યો છે; ના, હું એવું વીકલિ કૉલમિયું નથી લખતો જે આવતા અઠવાડિયા પહેલાં ક્યારનું ય પતી ગયું હોય. મારાં દરેક again પણ પ્રસ્તુત અને સાર્થક હોય છે. આ લેખ લગરીક ઉમેરણ સાથે, બસ, મિત્રોની વિચારમૉજ માટે મૂક્યો છે.

°°°° 

કોઇપણ ચૂંટણીમાં મતદાર સર્વેસર્વા ગણાય — પ્રાઇમ મૂવર. એટલે પાયાનો સવાલ એ કે એની પાસે શું હોય તો એને મતદાન માટે લાયક ગણી શકાય? કોઇપણ ચૂંટણીમાં ઉમેદવાર પણ મતદારના જેવો જ મહત્ત્વનો એકમ. એટલે પાયાનો સવાલ એ પણ થાય કે ઉમેદવારની શી લાયકાત. રાજકારણી ચૂંટણીમાં તો મતદાર અને ઉમેદવારની લાયકાતો નક્કી હોય છે. તદનુસાર, કોઇપણ વ્યક્તિ મતદાર હોઇ શકે. ગરીબ તવંગર ઘરડો જુવાન બુધ અબુધ પ્રબુદ્ધ, હર કોઇ, મતદાર તરીકે ખુશી ખુશીથી યોગ્ય ગણાય. તદનુસાર, કોઇપણ વ્યક્તિ ઉમેદવાર હોઇ શકે. શાણા સજ્જનો કે જેલમાં જઇ આવેલા દુર્જનો પણ આરામથી યોગ્ય યોગ્ય જ લેખાય.

પણ આપણે તો સાહિત્ય-વાળા; આપણી ચૂંટણી સાહિત્યકારણી; જરા જુદા ધ્યાનથી નક્કી કરવું પડે કે એમાં મતદારની તેમ જ ઉમેદવારની લાયકાતો શી હોઇ શકે.

દીવા જેવું સ્પષ્ટ છે કે સાહિત્યકારણી ચૂંટણીમાં મતદાર અને ઉમેદવાર, બન્ને, સાહિત્યકાર હોવા જોઇએ. જો કે તેઓ સાહિત્યકાર છે એમ નક્કી શી રીતે થાય? એ રીતે કે એમની એક-બે ચૉપડીઓ પ્રકાશિત થઇ હોય. જો કે ચૉપડીઓ તો રસોઇકામની પણ હોય છે — રાંધણને પણ ‘કળા’ કહેવાય છે. મીડિયામાં ઍડ-બિઝનેસ પણ ‘આર્ટ’ કહેવાય છે. છાપાંના તન્ત્રીઓ સમ્પાદકો રીપોર્ટરો કૉલમનવીસો પણ રાતદિવસ ‘સ્ટોરી’ સર્જે છે. એ બધું વાઙ્મય પણ સાહિત્ય છે. તો એઓને સાહિત્યકાર ગણાય કે નહીં? ના? ભલે, સ્વીકારી લઇએ કે વાઙ્મય સમસ્ત નહીં પણ સાહિત્યિક સર્જકતા અને લેખનક્ષમતા સાથે સંકળાયેલું જે સાહિત્યકલા કહેવાય છે એવું લખનારાઓને જ સાહિત્યકાર ગણવાના છે.

તો પણ સવાલો થવાના; જેવા કે : કોઇ એક-બે ચૉપડીઓથી અને કોઇ બીજો ૪૦-૫૦ ચૉપડીઓથી સાહિત્યકાર ગણાયો છે, તો એ બેમાં કશો ફર્ક કરવાનો કે નહીં? : ૪૦-૫૦-વાળાના વાચકો સાવ થોડા હોય અને એક-બેવાળાના અનેક હોય, તો મતદાર કે ઉમેદવાર તરીકે એ બેમાંથી કોને વધારે લાયક ગણવાનો? : આ સવાલો ન ટાળી શકાય એવા છે.

કોઇપણ સાહિત્યકારમાં રસ પડવાનું મૂળ કારણ તો એની સર્જકતા છે, લેખનશક્તિ. પણ એકલા એ જ કારણે એ લાયક થઇ જ જાય એવો નિયમ નથી. કેમ કે સાહિત્યના મામલામાં એના રીસિવરની — એટલે કે વાચકની — એટલી જ નિર્ણાયક ભૂમિકા હોય છે. રચના વંચાય ત્યારે જ સમ્પન્ન થઈ કહેવાય. લેખક અને વાચક, બન્ને, સરખા ભાગીદાર છે. એટલે તો વાચનને કોઇ કોઇ વિદ્વાનો નર-નારીના જાતીય સમાગમ સાથે સરખાવે છે !

જો કે મોટેભાગે બને છે જુદું : રચના જોડે વાચકો હાવરાબાવરા થઇ ચડી બેસતા હોય છે. સમાગમ ન લાગે. સાહિત્યકારની સૃષ્ટિ મહાન હોય કે ન હોય, વિવેચકોએ વખાણી હોય કે ન હોય, વાચકો એનાં અર્થઘટન પોતાની રીતે જ કરવાના. હરસુખ નામનો કવિ મહાન ગણાયો કેમ કે વાચકોએ એનાં અમુક રીતનાં અર્થઘટન કર્યાં. પણ હરસુખ એમ ન પણ ગણાયો કેમ કે વાચકોએ એને અમુક રીતે ન વાંચ્યો. તાત્પર્ય એ કે હરસુખની સાહિત્યકાર તરીકેની છબિ એ જાતના પ્લસ-માઇનસથી બની છે.

આપણામાંના અમુકોએ ગોવર્ધનરામને એવી રીતે વાંચ્યા જેથી એ એમને ગ્રેટ લાગ્યા પણ અમુકોને ન લાગ્યા કેમ કે એમણે એમને જુદી રીતે વાંચ્યા. હરસુખની જેમ કાલિદાસ કે શેક્સપીયરની મહાકવિ કે મહાન નાટ્યકાર તરીકેની છબિઓ પણ એવા પલ્સ-માઇનસથી રચાઇ છે. કોઇ સાહિત્યકારો જન્મથી ‘મહા’ કે ‘ન-મહા’ નથી હોતા. વાચકોનાં અર્થઘટનોથી હોય છે. દરેક સાહિત્યસમાજમાં છબિ-નિર્ણાયક વાચકોની આવી એક જમાત આપોઆપ પ્રગટી આવી હોય છે. અમેરિકન સાહિત્યસિધ્ધાન્તવિદ સ્ટૅનલિ ફિશ (1938– ) એને અર્થઘટનકારી ‘ઇન્ટરપ્રિટિવ કૉમ્યુનિટી’ કહે છે — વાચકોની જમાત. ‘જમાત’ શબ્દ ન ગમે તો, મંડળી. એમના કહેવાનો સાર એ છે કે વાચક પોતાની મંડળીના સહભાગી એકમ તરીકે રચના અને રચનાકારનાં અર્થઘટન કરે છે — નહીં કે એકલદોકલ વ્યક્તિ તરીકે.

Stanley Fish  / સ્ટૅનલિ ફિશ (1938 — )

આ શાસ્ત્રાર્થનો સંદેશ એ છે કે આપણે પણ આપણે ત્યાંની વાચકમંડળી વડે નિર્ણિત સાહિત્યકારોને સુ-યોગ્ય ગણીને ચાલી શકીએ. તેઓને ચૂંટણીમાં મતદાર અને ઉમેદવાર ગણી શકીએ. એ સાહિત્યકારો હમેશાં તરી આવે, દેખાય જ. શોધવાનો પ્રશ્ન ન રહે. સાહિત્યસિવાયના હેતુથી લખનારા આપોઆપ બાદ થઇ જાય. અમુકને જ મન્ત્રી કે પ્રમુખ બનાવવાની પેરવીઓ કરવાનું રહે નહીં.

આ ચૂંટણી સાહિત્યકારણી એટલે એમાં પ્રચાર ન હોય. કેમ કે ઉમેદવાર સ્વયંપ્રકાશિત હોય. એણે મત માગવાના હોય? ના. રાજકારણીઓની જેમ મતદારોને એણે લાલચો આપવી પડે? ના. કેમ કે મતદાર સ્વયંસંચાલિત હોય. ઉમેદવાર વિશેનો એનો મત બારોબારનો નહીં પણ એના પોતાનાં અર્થઘટનોથી ઘડાયો હોય. આમ વાચકમંડળી વડે નિર્ણિત સાહિત્યકારો ચૂંટાયા હોય તો સાહિત્યનાં કામોની ભૂમિકા પણ સાહિત્યિક અર્થઘટનોથી રચાવાની. ભળતા હેતુઓને એમાં જગ્યા નહીં મળવાની.

જો કે ઝળહળ ઝળહળ સળગતો કેમ કે ભડ ભડ બળતો સવાલ એ છે કે આપણે ત્યાં આવી કશી વાચકમંડળી છે ખરી –? વાચકો જ ક્યાં છે ! ભારોભારનો અભાવ છે ! માત્ર ૧૨-૧૫ સાહિત્યકાર-મોવડીઓની મંડળીથી ગુજરાતી સાહિત્યનું ગાડું ગબડતું રહે છે. એમાંના કેટલાક સ્વકીય પધ્ધતિએ કામો કરે છે. મોટાભાગના સંસ્થાકીય પદ્ધતિએ કરે છે — કોઇ આ સંસ્થા સંભાળે છે, કોઇ તે. એઓને નિર્ણાયક વાચકમંડળી કહી શકીએ. કેમ કે ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો એમના વડે થયેલાં અર્થઘટનોને આભારી છે.

એ કારણે એ ૧૨-૧૫ની મંડળીને ધ્યાનથી જોવાની જરૂર ખરી. જુઓ, શું જણાય છે? : સ્વકીય પધ્ધતિના મોવડીઓ સાહિત્યિક આદર્શવાદથી પીડાય છે. સંસ્થાકીય પદ્ધતિના મોવડીઓ સાહિત્યિક વ્યવહારવાદથી પીડાય છે. આદર્શવાદીને પૂછશો તો કહેશે : હું દલિત કે નારીવાદી સાહિત્યને નથી સ્વીકારી શકતો. હું નવલકથાને નાહકની મજૂરી લેખું છું : વ્યવહારવાદીને પૂછશો તો કહેશે : વિશ્વ-સાહિત્ય ફાલતુ છે — અંગ્રેજી કોને આવડે છે? પંચાત મૂકો, ઘરદીવડા શા ખોટા છે ! કહેશે, ગઝલને આજે હું અનિવાર્ય ગણું છે. મારે મન અછાન્દસ બકવાસ છે : એકને ગ્રામજીવનલક્ષી સાહિત્ય નિ:સામાન્ય લાગે. બીજો નગરજીવનલક્ષીને વખોડ્યા કરે. એક ‘હા’ પાડે એટલે જ બીજો ‘ના’ પાડે !

મને એક રમૂજી વાયકા યાદ આવે છે : બલવન્તરાય ઠાકોરને ન્હાનાલાલ જોડે બનતું નહીં. તે ઠાકોર હમેશાં લગભગ આવું કહેતા — એ ન્હાનિયાને પૂછી આવો; એ જેની ‘હા’ કહે, મારી એમાં ‘ના’ સમજો ! (ઠાકોર મોટા વિદ્યાપુરુષ છતાં ‘ન્હાનાલાલ’-ને ઠેકાણે અણછાજતો શબ્દ વાપરતાં ખંચકાયેલા નહીં ! એમની પાસે સમર્થક કારણો હશે …)

ટૂંકમાં, આ મંડળી સજ્જ ખરી પણ કુણ્ઠિત-સીમિત ખાસ છે. સર્વસમાવેશક નથી –સાહિત્યપદાર્થને એની અખિલાઇમાં ન જોઇ શકે, હમેશાં ભેદોને સ્થિર કરે. હવે આને પણ સ્ટૅનલિ ફિશ નિર્ણાયક વાચકમંડળી કહે તો મારાથી એમને ના નહીં પડાય.

કેમ કે કયો સાહિત્યકાર મતદાર કે ઉમેદવાર થવાને લાયક છે એ તો આ મંડળીને પૂછ્યે જ જાણી શકાય. એમની અર્થઘટનદૃષ્ટિમતિ અનુસાર એમના વડે પ્લસ-માઇનસ થયેલી છબિઓનું આલ્બમ એમની પાસે હાજર જ છે.

કમનસીબી એ છે કે જેમ જેમ આલ્બમ ખૂલતું ચાલે છે, છબિઓ એમની ને એમની જ નીકળે છે ! તો પછી, એમ નથી લાગતું કે ચૂંટણીથી મેલ કરવત મોચીના મોચીવાળો જ ઘાટ થવાનો …? … 

જો કે સાહિત્યકારણી ચૂંટણી નદીકિનારે જે વિરલ ઠેકાણે સંભવે છે ત્યાં હમણાં તો નથી થવાની. અને, આપણે ક્યાં મિડ-ટર્મ પોલમાં માનીએ છીએ? – વિજેતા અને વિજયાનુસારીઓને માંડ બે-ત્રણ વર્ષ મળ્યાં હોય ત્યાં ! 

= = =

(Nov 19, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૧૩)

સુમન શાહ|Opinion - Literature|20 November 2022

===  આ પ્રકરણમાં, ઔરેલિયાનો સેગુન્દોએ ‘‘સીઝ, કાઉ્સ, સીઝ, બીકૉઝ લાઇફ ઇઝ શૉર્ટ.’ (‘ગાયો થમ્ભો, થમ્ભો, કેમ કે જીવન ટૂંકું છે.’) એમ કહ્યું એ વિદ્વાનોમાં અને વાચકસમાજમાં ખૂબ પ્રશંસા પામ્યું છે. 

ખરેખર તો એણે માત્ર ગાયોને નહીં પણ એના સમગ્ર જાનવરોને લક્ષમાં રાખીને કહ્યું છે – કે તમે થમ્ભો, પ્રજનનને રોકો. કેમ કે એનાં જાનવરોનાં પ્રજનન કદી થંભ્યાં ન્હૉતાં. પરન્તુ નિરન્તર ચાલ્યા કરતી પાર્ટીઓ માટે અનેક ગાયો, ડુક્કર અને મરઘીઓનો વધ પણ વણથંબ્યો ચાલુ જ હતો, આંગણું લોહી અને કાદવકીચડથી ખદબદ થઈ જતું’તું. 

એટલે ઔરેલિયાનો કદાચ પોતાને પણ થોભી જવા કહે છે. જાનવરો જન્મ્યા કરે અને માણસોનાં ભોજન માટે મર્યા કરે એ વિષચક્રને એ તોડવા માગે છે. એ પશુપ્રજનનને તેમ જ પશુસંહારને રોકાવા માગે છે. એને જીવન ટૂંકું લાગે છે, પોતાનું, જાનવરોનું અને મનુષ્યમાત્રનું. 

સૂચવાય છે એમ કે જો જીવન ટૂંકું છે તો આ નવલકથા પણ ટૂંકી જ છે. જીવન સાન્ત છે તેમ કલા પણ સાન્ત છે. પરન્તુ એ વ્યંજિત કરે છે એ સંદેશ અનન્ત છે. ===

પ્રકરણ : ૧૩ :

ઉર્સુલાએ પૂરા ભાવથી હોસે આર્કાદિયો બીજો-ને પોપ બનાવવાનું ઝંખ્યું હતું. એનામાં એણે સુપ્રિમ પૉન્ટિફ-ની ભાવના, સર્વોચ્ચ ધર્માધિકારી-ની ભાવના, આકારી હતી. પરન્તુ એની એ શિક્ષાની કશી અસર જોવા ન્હૉતી મળતી એ વાતે એ દુ:ખી રહેતી’તી. જો કે એનો દોષ એણે પોતાના આવી પડેલા બૂઢાપામાં ન્હૉતો જોયો, વસ્તુ-પરિસ્થિતિઓને કાબૂમાં લેવાની પોતાની મથામણોમાં પણ ન્હૉતો જોયો. દોષ એણે ઝડપથી વિકસી રહેલા સમયના ભંગાણમાં, બ્રેકડાઉનમાં જોયેલો – જેની એ વ્યાખ્યા-વર્ણના ન્હૉતી કરી શકતી. એને સમજાવા લાગેલું કે સમય ત્વરાથી બદલાઈ રહ્યો છે. એ અનુભવતી હતી કે રોજ બ રોજની વાસ્તવિકતા પણ એના હાથમાંથી સરકી જઈ રહી છે; એ કહેતી, ‘વરસો હવે સાલાં પહેલાંની જેમ નથી પસાર થતાં’.

પહેલાં તો બાળકો મોટાં થવામાં વરસો લગાડતાં’તાં, એને થતું. હોસે આર્કાદિયો માટે બધાંએ તે દિવસોમાં એટલું જ યાદ રાખવાનું હતું કે જિપ્સીઓ જોડે જવા માટે એને શેની શેની જરૂર પડશે; કેમ કે એ મોટો ! અને, પોતાના શરીર પર સર્જકતાના પ્રતીક સમા સર્પ ચીતરાવીને પાછો આવ્યો, ખગોળશાસ્ત્રીની જેમ વાતો કરવા લાગ્યો, ત્યારે સૌને સમજાયું કે કર્યું-કારવ્યું બધું કેવું તો સમ્પન્ન થયું છે. અમરન્તા અને આર્કાદિયો ઇન્ડિયનોની ભાષા ભૂલીને સ્પૅનિશ શીખ્યાં એ દરમ્યાન પણ ઘરમાં કેટકેટલું ને કેવું કેવું બધું બનેલું. તેમ છતાં, કોઈના ય ધ્યાનમાં નહીં આવેલું કે ઉર્સુલા ઝડપથી ઘરડી થવા માંડી છે, એને અંધાપો ઊતરી રહ્યો છે.

ખરી વાત એ હતી કે ઉર્સુલા વિકસી રહેલા વૃદ્ધત્વનો પ્રતિકાર કરતી’તી. બાકી, પોતાની વયનો આંકડો પણ એને યાદ ન્હૉતો આવતો. એ બધી વાતે પરેશાન હતી કેમ કે એણે દરેક બાબતમાં દખલ કરવાની ટેવ પડી ગયેલી. અપરિચિતો એનાથી ચિડાયેલા રહેતા’તા કેમ કે એ લોકોને એ સવાલો બહુ કરતી’તી. પાછલાં વર્ષોમાં નબળાઈને લીધે એનાથી પથારીમાંથી બેઠા પણ ન્હૉતું થવાતું, પણ કોઈને ખબર જ નહીં પડેલી કે એ આંધળી થઈ ગઈ છે. લોક માને કે ઉર્સુલા હવે કશા કામની નથી રહી એ કારણે ઉર્સુલાએ પણ સામે ચાલીને કોઈને ય જણાવેલું નહીં. તેમ છતાં, રૂમમાં અંધારું હોય તો પણ સૉયમાં દોરો પરોવી શકતી’તી. બટનહોલ પર ટાંકા લઈને ગાજ કરી શકતી’તી. એને ખબર પડી જતી’તી કે – દૂધ ઊકળી ગયું છે ને તરતમાં ઉભરાઈ જશે …

એક વાર ફર્નાન્ડાએ આખું ઘર માથે લીધેલું કેમ કે એની વેડિન્ગરિન્ગ ખોવાઈ ગયેલી; ઉર્સુલાએ શોધી આપેલી – બાળકોના બેડરૂમમાં હતી. વાત સાદી હતી. બધાં ભલે લઘરવઘર પણ ઉર્સુલા પોતાની જ્ઞાનેન્દ્રિયોથી સૌને પામી જતી. સમયાન્તરે એ સમજી ગયેલી કે પરિવારનું દરેક જણ હરરોજ એ-ને-એ રસ્તે જ જાય છે, એ-નાં-એ જ કામો કરે છે બલકે અમુક સમયે શબ્દો પણ એ-ના-એ જ વાપરે છે. એણે અંકે કરેલું કે એઓ એમની અતિસાવધ દિનચર્યાથી જરા પણ ફંટાય છે, કશુંક નુક્સાન જરૂર સંભવે છે.

ઉર્સુલાને ખાતરી થઈ ગયેલી કે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા ભલે ઘણાં યુદ્ધ લડ્યો પણ આદર્શો માટે ન્હૉતો લડ્યો. એને સાર મળી ગયેલો કે જે દીકરા માટે પોતે જિન્દગી ખરચી નાખી એનામાં પ્રેમ કરવાની હિમ્મત જ નથી ! ઉર્સુલાએ એક રાતે પોતાના ગર્ભમાં એને રડતો સાંભળેલો. રુદન નર્યો વિલાપ, એવો કે ઉર્સુલાની બાજુમાં સૂતેલો હોસે આર્કાદિયો બ્વેન્દ્યા ઊંઘમાંથી જાગી ગયેલો. જો કે હોસેને એ વિચારે ખુશી થયેલી કે એનો દીકરો જરૂર ગરુડવાદી બનવાનો (ગરુડવાદી = વૅન્ટ્રિલૉક્વિસ્ટ. જુદા જુદા અવાજ કાઢનાર મનોરંજનકાર). પણ બીજાંઓએ એમ ધારણા બાંધેલી કે એ પ્રૉફેટ, પયગમ્બર, થશે. પણ, ઉર્સુલા એકદમ ગભરાઈ ગયેલી. એને થાય – એવું રુદન ડુક્કરની પૂંછડીનો સંકેત હોય છે – જોતાં જ હબકી જઈએ. અને એણે ઈશ્વરને પ્રાર્થના કરી કે – હે પ્રભુ ! તું એને મારા ગર્ભમાં જ મૃત્યુ આપ ! પરન્તુ એના નિર્વ્યાજ વાર્ધક્યે એને એમ સુઝાડ્યું, અને એણે એકથી વધારે વાર એ કહ્યું પણ ખરું – કે માતાઓના ગર્ભમાં થતા બાળકના રુદનનો સંકેત એ નથી કે એ ગરુડવાદી થશે કે પયગમ્બર, પણ એ નિશ્ચિત છે કે એ બાળકમાં પ્રેમ કરવાનું સામર્થ્ય નહીં હોય.

ઉર્સુલાને થયું કે પોતાની પાસે હોસે આર્કાદિયોના વ્યવસાયને સુસ્થિર કરવા જેટલો સમય નથી, ત્યારે જાતને એણે કહ્યું : બાઈ, તું જંપ રાખ, બેબાકળા થવાય તો ભલે ! : અને એણે ભૂલો કરવા માંડી. આંખો તો ગયેલી પણ હૈયાસૂઝથી પરખાય એટલું જરૂર  પાકું પરખતી’તી. તો પણ એક વાર સવારે છોકરાના માથા પર એણે શાહીનો ખડિયો ઊંધો વાળી દીધેલો, એમ કે ગુલાબજળ છે ! વાતે વાતે દરેક બાબતમાં જાતને જોડવા માટેના એના ધખારાને કારણે એ ક્ષુબ્ધ રહેતી’તી, એનાથી વારંવાર ચિડાઈ જવાતું’તું; જાતને કરોળિયાના જાળામાં ગૂંથી લેનારી છાયાઓ શરૂ થઈ ગયેલી; તો પણ ઉર્સુલાએ એથી છૂટવાના સાચુકલા પ્રયાસ ચાલુ રાખેલા. એને ગડ બેસેલી કે – પોતે બેબાકલી થઈ જાય છે એ જરાજીર્ણતા અને અંધારા પરની વિજયપતાકા નથી બલકે સમયે ફરમાવેલી સજા છે. એટલે પછી એને વિચાર આવેલો કે પહેલાં, ભગવાને જ્યારે મહિના અને વર્ષો નક્કી નહીં કરેલાં, તુર્કીઓ કાપડના વાર નક્કી કરવા ગજ વાપરતા, ત્યારે બધી વસ્તુઓ સાવ જુદી હતી. હવે બાળકો જલ્દી મોટાં થઈ જાય છે, ઉપરાન્ત, લાગણીઓ પણ જુદી જ રીતે વિકસવા લાગી છે.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાનો દિવસ વરસોથી હતો એવો જ હતો. પાછલી ભીંતેથી દેડકા, વાંદા ને તમરાંનો સમ્મિશ્ર સુન્ન ધ્વનિ એને મળસ્કાના પાંચના શુમારે જગાડી દે; હાડકાં થીજાવી દે એવી ઠંડીથી બચવા એ બ્હાર ન જાય; ગરમ ધાબળો લપેટી રાખે; ધાબળાને વાંદરાટોપી જેમ માથે ચડાવે, આંગળીઓથી મૂછ સરખી કરે ને આંગણામાં જઈ પેશાબ કરે. તડકા ચડવાને વાર હોય, વરસાદમાં સડી ગયેલી પામની ઝાવલીઓના પથારા પર હોસે આર્કાદિયો બ્વેન્દ્યા સૂતો હોય, પણ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને એ દેખાય નહીં કેમ કે એને એણે કદી જોયેલો જ નહીં. એણે અક્કલ વગરની એ વાત પણ નહીં સાંભળેલી કે જાગે એટલે એના પિતાનું ભૂત એને સમ્બોધે છે. એ ચૉંક્યો કેમ કે ઊના મૂત્રની ધારા એના જોડા પર તડતડ કરતી છાંટા ઉડાડતી’તી.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને સપનું આવેલું. સફેદ દીવાલોવાળા એક ખાલી ઘરમાંથી એ જતો’તો. એવા ઘરમાં દાખલ થનાર પહેલો મનુષ્ય પોતે હતો એ વાતે એ પરેશાન હતો. સપનામાં એને યાદ આવેલું કે આગલી રાતે પણ સપનું આવેલું અને એમાં એને એ જ દેખાયેલું જે આજે દેખાય છે; એટલું જ નહીં, પાછલાં વરસોની રાતોમાં આવેલાં સપનાંમાં પણ એ જ દેખાયેલું જે આજે દેખાય છે. એને ગમ પડી કે પોતે જાગશે ત્યારે સપનાંની દૃશ્યાવલિ યાદ નહીં આવે, ઊડી ગઈ હશે. કેમ કે એ સપનાં પુનરાવર્તનશીલ છે અને એ જાતનાં છે કે દૃશ્યાવલિની યાદ સપનામાં જ આવે, ન કોઈ બીજી રીતે ! થોડીવારમાં, વાળંદે વર્કશોપનું બારણું ખખડાવ્યું. એ જાગ્યો ને એને થયું કે ઝોકું આવી ગયેલું – કશું સપનુંબપનું ન્હૉતું ! એણે વાળંદને કહ્યું, ‘આજે નહીં, શુક્રવારે.’

ત્રણ મહિના પછી ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યા અને ફર્નાન્ડા, મેમેને શાળાએ મૂકી આવે છે. સાથે, ક્લેવિકોડ – સાદી વાજાપેટી – લાવે છે, એટલે પિયાનોલાની જરૂર નથી રહેતી. અમરન્તા પોતાનું આવરણ શીવતી’તી ત્યારની વાત. બનાના-ફીવરનો વાવર આછો થઈ ગયેલો. માકોન્ડોના પુરાણા વતનીઓની આસપાસ નવા ઘણા લોકો આવી લાગેલા; જો કે ગત સમયના કીમતી આધારોને વતનવાસીઓ વળગી રહેલા અને સખત શ્રમ કરતા’તા; અને, એ વાતે નિરાંતજીવ રહેતા કે કોઇએ એમને સમાજબ્હાર તો નથી મૂક્યાં ! રોજે રોજ તેઓએ મહેમાનોને બપોરે બપોરે જમાડવા પડતા એટલે એમની દિનચર્યા પહેલાં જેવી ગોઠવાતી ન્હૉતી. વરસો પછી બનાના-કમ્પની ગઈ ત્યારે બધું ઠેકાણે આવેલું.

કમિલા સાગાસ્ટુમે = ધ ઍલિફન્ટ

રોજ અગિયાર વાગે ટ્રેન આવે એટલે ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યા શૅમ્પેઇન અને બ્રાન્ડીનાં કેસિસ ઉતારી લેતો. સ્ટેશનેથી પાછાં ફરતાં રસ્તામાં વતનીઓ મળે કે પરદેશીઓ, ઓળખીતા, અજાણ્યા કે ઓછા અજાણ્યા મળે, સૌ જોડે એ કશા ફરક વિના કામચલાઉ કુમ્બિઆમ્બા (કુમ્બિયા નૃત્ય) કરી લેતો. બનતું એમ કે એના લોભામણા ચાળાથી મિસ્ટર બ્રાઉન પણ ચલિત થઈ જતો. ઔરેલિયાનો સેગુન્દો પેત્રા કોટ્સના ઘરે જઈ ચિક્કાર પીતો ને લુઢકી જતો. એ નાચતો ત્યારે જર્મન શેફર્ડ ડાઘિયા કૂતરા એની જોડે ને જોડે ભમતા રહેતા. ‘ટૅક્સાસ સૉન્ગ્સ’ એ જેમતેમ કરીને ઍકોર્ડિયનમાં બેસાડે ને ગાય. એક ક્ષણે એ ઊંચા અવાજે બૂમ પાડી ઊઠ્યો :

‘સીઝ, કાઉ્સ, સીઝ, બીકૉઝ લાઇફ ઇઝ શૉર્ટ.’ (‘ગાયો થમ્ભો, થમ્ભો, કેમ કે જીવન ટૂંકું છે.’)

એ કદી સરખો દેખાયો નહીં, કોઈ વડે ચહાયો નહીં. એનાં જાનવરોનાં પ્રજનન કદી થંભ્યાં ન્હૉતાં. નિરન્તર ચાલ્યા કરતી પાર્ટીઓ માટે અનેક ગાયો, ડુક્કર અને મરઘીઓનો વધ થતો, આંગણું લોહી અને કાદવકીચડથી ખદબદ ભરાઈ જતું. અસ્થિ-માંસ-મજ્જાના વધનું એ સદાકાલીન થાણું હતું. મરેલા વધ્યાઘટ્યા અવયવોથી ખાડો ભરાઈ જતો. શિકારી બાજપક્ષીઓને ફાવટ ન આવે એટલા માટે ખાડાને એ લોકો અવારનવાર ડાયનામાઇટ બૉમ્બ મારીને ખાલી કરી લેતા.

ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યાને ખાવામાં કોઈ હરાવી શકતું નહીં. એ એવો અપરાજિત ભક્ષક હતો. પણ એના કમનસીબ શનિવારે એક ટોટેમિક (કુળગુણી) સ્ત્રી કમિલા સાગાસ્ટુમે આવી ચડી, મલક આખામાં બધા એને ‘ઍલિફન્ટ’-ના શુભ નામથી જાણે. બન્ને વચ્ચેનું દ્વન્દ્વ મંગળવાર લગી ચાલેલું. શરૂઆતના ૨૪ કલાક દરમ્યાન રાત્રિભોજનમાં કસાવા, શક્કરિયાં જેવા કંદ યામ, તળેલાં કેળાં સાથે વાછરડાનું માંસ પીરસવામાં આવેલું, ઉપરાન્ત, દોઢ કેસ જેટલા શૅમ્પેઇન-બૉટલ; ઔરેલિયાનોને પોતાના વિજયની ખાતરી હતી.

જો કે વિજયની હાયવૉયમાં એ મોટા મોટા કૉળિયા ભરતો’તો, પણ એની હરીફ ઍલિફન્ટ તો માંસને એક સર્જ્યનની જેમ કુનેહથી કાપી કરીને કશી જ ઉતાવળ વિના નિરાંતે એક જાતની મૉજમસ્તીથી આરોગતી’તી. ઍલિફન્ટ વિશાળકાય અને સંગીન જરૂર હતી પરન્તુ એના એ સ્વરૂપ પર કોમળ સ્ત્રીત્વ ઝલમલતું વિરાજતું’તું. એનો ચ્હૅરો ઘણો સુન્દર હતો, હાથ કાળજી કરીને સરસ સાચવ્યા હતા. ઘરમાં પ્રવેશેલી ત્યારે એના એ અપ્રતિમ આકર્ષણથી લોભાયેલો ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યા ધીમા અવાજે બોલેલો – દ્વન્દ્વ આની જોડે બેડમાં કરીશ, ટેબલ પર નહીં.

એ પછી, એણે નૉંધ્યું કે ઍલિફન્ટ તો સારી એકપણ ટેબલમૅનેર ચૂક્યા વિના વાછરડાના માંસ-ટુકડાને સિફતથી આરોગી શકે છે. એટલે એણે ગમ્ભીરતાથી સૌને જણાવ્યું કે – આ કોમળ અને મનમોહક સદા અતૃપ્ત હસ્તિપ્રકારિણી (પ્રોબોસડિયન) મહિલા ખરેખર તો એક અનુત્તમ નારી છે.

ઔરેલિયાનો સેગુન્દો બ્વેન્દ્યા સ્પર્ધા હાર્યો અને બેસુધ થઈ ગયો, ચૂસેલાં હાડકાંવાળી પ્લેટમાં નતમસ્તક ઝૂકી પડ્યો, કૂતરાની જેમ ક્રોધે બ્હાવરો થઈ ગયો, અને, વેદનાથી ઓહ્ ઓહ્ કરતો રહ્યો. અન્ધકાર વચ્ચે એને લાગ્યું કે એ લોકો એને ટાવરની ટોચેથી નીચે તળિયા વિનાના ખાડામાં ફૅંકી રહ્યા છે. ચેતનાની અન્તિમ ક્ષણે એને સમજાયું કે અન્ત વિનાના એ પછડાટમાં એની રાહ જોઈ રહ્યું છે, મૃત્યુ.

છેવટે એ કહે છે, ‘મને ફર્નાન્ડા પાસે લઈ જાઓ’. વગેરે.

કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યાને વર્કશોપેથી પાછા ફરતાં લાગ્યું કે હવા ભેજરહિત સુક્કી છે. એને થયું આવા સમયે ન્હાઇ લેવું જોઈએ, પણ અમરન્તા ન્હાવા પહેલેથી ગયેલી હતી. એટલે પાછા જઈને એણે બીજા નમ્બરની નાની માછલી પર કામ કરવાનું શરૂ કર્યું. માછલીની પૂંછ પર એ આંકડો બેસાડવા જતો’તો ત્યારે એવો તીખો તડકો નીકળી આવ્યો કે એનો ફિશિન્ગ બોટમાં આવે એવો ચૂંઈઈ અવાજ આવ્યો. ત્રણ દિવસના ઝરમરિયા વરસાદથી ધોવાઈ ગયેલી હવામાં હવે ઊડતી કીડીઓથી ચિક્કાર હતી. પછી એને ભાન પડ્યું કે માછલીને સરખો ઓપ ન અપાય ત્યાં લગી પેશાબને પોતે ક્યારનો રોકી રાખ્યો છે.

ચાર ને દસે એ આંગણામાં ગયો ત્યારે દૂર એણે પિત્તળનાં વાજિન્ત્ર અને ઢોલનગારાંના ધ્વનિ અને બાળકોના કલશોર સાંભળ્યાં, અને, યુવાવસ્થા પછી પહેલી વાર એને અતીતની યાદોમાં રાચવું ગમ્યું, અને, એને જિપ્સીઓની એ અનેરી બપોરમાં એને ફરીથી જીવવું ગમ્યું જ્યારે પિતા એને બરફ જોવા લઈ ગયેલા. 

કીચનમાં સાન્તા સોફિયા દ લા પિયદાદ કરતી’તી એ કામ પડતું મૂકીને બારણે દોડી, અને બૂમ પાડીને બોલી, ‘એ તો સર્કસ છે’.  

ચેસ્ટનટે જવાને બદલે કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા શેરીમાં પડતા બારણે થઈને પરેડ જોનારાઓમાં ભળી ગયો. બધાંની જોડે ઊભા ઊભા એણે જોયું કે સુવર્ણ પોશાકમાં સજ્જ એક સ્ત્રી હાથીના ગણ્ડસ્થળે બેઠી છે; એણે સવારી માટે ઉદાસ ઊંટ જોયું; એણે ડચ છોકરીના ડ્રેસમાં એક રીંછ જોયું – તાવડી પર ચમચી વગાડીને સંગીતના તાલ આપતું’તું. એણે જોયું કે પરેડના સમાપનમાં રંગલાઓ ‘કાર્ટવ્હીલ’ વગેરે અંગકસરતના દાવ કરતા’તા.

બધું પતી ગયું. અને પાંખાળી અસંખ્ય કીડીઓથી સભર હવામાં લંબાઈને જતી ખુલ્લી શેરીમાં ગણ્યાગાંઠ્યા જનો ન-કશાને તાકી રહ્યા’તા ત્યારે, વળી એક વાર એણે પોતાના દુ:ખદ એકાન્તનો ચ્હૅરો ભાળ્યો.

એ પછી એ ચેસ્ટનટ ગયો, સર્કસના વિચારો કરતાં કરતાં એણે પેશાબ કરવાનું ચાલુ રાખ્યું, પણ પોતાની સ્મૃતિને એ ફંફોસી શક્યો નહીં, કંઈ કરતાં કંઇ એને યાદ જ ન આવ્યું. નવજાત પંખીની જેમ પોતાના મસ્તકને એણે બન્ને ખભા વચ્ચે ઝુકાવી દીધું અને ચેસ્ટનટના થડ પર કપાળ ટેકવીને બસ સ્થિર ઊભો રહ્યો.

બીજા દિવસની સવાર થઈ પણ પરિવારમાં એ કોઈને ય દેખાયો નહીં. અગિયાર વાગ્યે ઘરના પાછળના ભાગમાં સાન્તા સોફિયા દ લા પિયદાદ કચરો ફૅંકવા જતી’તી, એણે જોયું કે આકાશેથી ગીધ ઊતરી રહ્યાં છે.

= = =

(Nov 20, 2022: USA) 
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1891,1901,1911,192...1,2001,2101,220...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved