Opinion Magazine
Number of visits: 9667484
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્મા ગાંધીની ડિગ્રીનું અર્ધ સત્ય અને પૂર્ણ સત્ય

રાજ ગોસ્વામી|Opinion - Opinion|2 April 2023

રાજ ગોસ્વામી

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ તાજેતરમાં મહાત્મા ગાંધીની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવ્યો હતો. ગ્વાલિયરની આઈ.ટી.એમ. યુનિવર્સિટીના એક કાર્યકમમાં, ‘ડિગ્રી મેળવવી એ શિક્ષણની સાબિતી નથી’ એવા મતલબના તેમના તર્કને સાચો ઠેરવવા માટે સિંહાએ કહ્યું હતું કે, “કોણ કહે છે કે ગાંધીજી અશિક્ષિત હતા? મને નથી લાગતું કે એવું કોઈ કહી શકે, પરંતુ શું તમને ખબર છે કે તેમની પાસે એક પણ યુનિવર્સિટીની ડિગ્રી કે શિક્ષણ નહોતું? આપણામાંથી ઘણા એવું માને છે કે મહાત્મા ગાંધી પાસે કાયદાની ડિગ્રી હતી. ના, નહોતી. તેમની એક માત્ર લાયકાત હાઈસ્કૂલનો ડિપ્લોમા હતો. તેઓ કાયદાની પ્રેક્ટિસ કરવા માટે ક્વોલિફાય હતા, પણ ડિગ્રી નહોતી. તેમની પાસે ડિગ્રી નહોતી છતાં પણ કેટલા ભણેલા હતા, એ જુવો!”

મનોજ સિંહા ગ્વાલિયરના વિધાર્થીઓને ભણતર અને ગણતર વચ્ચેનો ફરક સમજાવવા માંગતા હશે તે સમજી શકાય તેવું છે, પરંતુ તેમણે ક્યા આધારે મહાત્મા ગાંધીની કાયદાની ડિગ્રીનું ઉદાહરણ ટાંક્યું હશે, તે સમજવું અઘરું છે. એટલા માટે કે ગાંધીજીની ઔપચારિક ડિગ્રીને લઈને ગાંધીજીના અભ્યાસુઓમાં જ સ્પષ્ટતા નથી. ગાંધીજીના જીવન અંગેનું સૌથી અધિકૃત લખાણ તેમની ખુદની જ આત્મકથા છે, પરંતુ તેમાં ય કોઈ જગ્યાએ લંડનની તેમની ડિગ્રીની વાત નથી.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસ(યુ.સી.એલ.એ.)માં ઇતિહાસના પ્રોફેસર વિનય લાલ એક લેખમાં લખે છે કે મહાત્માનું જીવનચરિત્ર્ય લખનારા જાણીતા લેખકો ડી.જી. તેન્ડુલકર, રોબર્ટ પયને, બી.આર. નંદા અને જ્યોફ્રી એશ પણ ગાંધીની યુનિવર્સિટી કોલેજ લંડન (યુ.સી.એલ.)નો ક્યાં ય ઉલ્લેખ કરતા નથી. એ ધ્યાન આપવા જેવું છે કે નંદાના જીવનચરિત્ર્યમાં ગાંધીનાં લંડનનાં વર્ષો અંગે એક નાનકડું પ્રકરણ છે પણ તેમાં ય ગાંધીની શાકાહારીઓ, થિયોસોફીસ્ટ લોકો અને અન્ય ભિન્ન મતધારીઓ સાથેની દોસ્તીની વાતો જ છે.

વિનય લાલના લખવા પ્રમાણે, ગાંધીના જીવનચરિત્ર્ય લેખક જ્યોફ્રી એશ નોંધે છે કે ગાંધી યુનિવર્સિટી કોલેજ લંડનના ‘ઇનર ટેમ્પલ’માં ‘દાખલ’ (એન્રોલ) થયા હતા, પણ આ ‘ઇનર ટેમ્પલ’ શું છે તેનો તેમણે ખુલાસો કર્યો નથી. ગાંધીજી તેમની આત્મકથામાં ‘વિદ્યામંદિર’ શબ્દ વાપરે છે, પરંતુ ક્યાં ય યુનિવર્સિટી કોલેજ લંડનનો ઉલ્લેખ નથી.

આત્મકથાના પહેલા ભાગના 24માં પ્રકરણમાં તેઓ પહેલીવાર બેરિસ્ટર બનવાની વાત કરે છે. તેઓ લખે છે, “બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ’ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. એવા બાર સાચવવા. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવા એનો અર્થ ’ખાણાં ખાવાં’, એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરું થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું.”

ગાંધીજી પોરબંદરમાં સ્કૂલના સમયથી ભણવામાં નબળા ય હતા અને ઉદાસ પણ હતા. લંડનનું ભણતર પણ ઉત્સાહપ્રેરક નહોતું. આત્મકથામાં તેઓ લખે છે, “ઇંગ્લંડના કાયદાનું વાચન હું નવ માસમાં ઠીક મહેનતે પૂરું કરી શક્યો. કેમ કે બૂમના ’કૉમન લૉ’નું મોટું પણ રસિક પુસ્તક વાંચતાં જ ઠીક ઠીક વખત ગયો. સ્નેલની ’ઈક્વિટી’માં રસ આવ્યો, પણ સમજતાં દમ નીકળ્યો … પરીક્ષાઓ પસાર કરી. ૧૮૯૧ના દસમી જૂને હું બારિસ્ટર કહેવાયો, અગિયારમીએ ઇંગ્લંડની હાઈકોર્ટમાં અઢી શિંલિંગ આપી મારું નામ નોંધાવ્યું, બારમી જૂને હિંદુસ્તાન તરફ પાછો વળ્યો … પણ મારી નિરાશા અને ભીતિનો પાર નહોતો. કાયદાઓ વાંચ્યા તો ખરા, પણ હું વકીલાત કરી શકું એવું તો મને કંઈ જ નથી આવડ્યું એમ લાગ્યું. બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અધરું જણાયું. કાયદાઓ વાંચ્યા પણ વકીલાત કરવાનું ન શીખ્યો.”

જીવનચરિત્ર્ય લેખક સુઝાન વોલેસ, ગાંધીજીને સમર્પિત વેબસાઈટ એમ.કે.ગાંધી ડોટ ઓ.આર.જી. પર લખે છે કે તેમણે પોરબંદરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું, પછી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અને તે પછી ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં ભરતી થયા હતા. અહીં તે છ મહિના જ ભણ્યા હતા અને પાછા પોરબંદર જતા રહ્યા હતા. તે વખતે આ એક માત્ર કોલેજ ડિગ્રી આપતી હતી.

પોરબંદરમાં થોડા સમય પસાર કર્યા પછી તેમણે ફરીથી કોલેજ કરવાનું નક્કી કર્યું હતું, પણ આ વખતે વિલાયત જઈને. પરિવાર અને નાતના વિરોધ વચ્ચે તેઓ લંડન ગયા હતા અને યુનિવર્સિટી કોલેજ લંડનમાં ભરતી થયા હતા, અને 3 વર્ષ પછી કાયદાની ડિગ્રી મેળવી હતી, એવું સુઝાન લખે છે.

આ જ વેબસાઈટ પર, ગાંધીજીના જીવન પરિચયમાં લખવામાં આવ્યું છે; “મહાત્મા ગાંધી 4 સપ્ટેમ્બર 1888ના રોજ ઇંગ્લેન્ડ ગયા હતા. તેમણે ઇનર ટેમ્પલમાં સત્ર રાખ્યાં હતાં અને નવ મહિના પછી પરીક્ષામાં પાસ થયા હતા. 10મી જૂન, 1891ના રોજ તેમને બારમાં બોલવામાં આવ્યા હતા અને બીજા દિવસે તેઓ ઇંગ્લેન્ડની હાઈ કોર્ટમાં ભરતી થયા હતા.”

વિનય લાલને યુ.સી.એલ.માં બેરિસ્ટર અને ઇનર ટેમ્પલના સદસ્ય એવા એક બેરિસ્ટરે કહ્યું હતું કે (બેરિસ્ટરનું વ્યવસાયિક સંગઠન) ઇન્સ ઓફ કોર્ટ ડિગ્રી નથી આપતું અને બ્રિટનની કોર્ટમાં ‘ભરતી’ થવા જેવું પણ કશું હોતું નથી.

વિનય લાલ લખે છે કે ગાંધીજી લંડનમાં ઇનર ટેમ્પલમાં જોડાયા હતા અને ત્યાં કાયદાનું ભણ્યા હતા એ હકીકત તો સ્પષ્ટ છે. વિકિપીડિયા પર ‘ઇનર ટેમ્પલ’ નામનું પેઈજ છે. તેમાં આપેલી માહિતી અનુસાર, બેરિસ્ટરો અને જજોના વ્યવસાયિક સંગઠન ઇન્સ ઓફ કોર્ટની ચાર ઇન છે; ગ્રે ઇન, ઇનર ટેમ્પલ, મિડલ ટેમ્પલ અને લિંકન ઇન. બારમાં જવું હોય અને ઇંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરવી હોય તો વિધાર્થીએ આ ચારમાંથી એક ઇનમાં સદસ્ય બનવું પડે. આ ઇનમાં, કાયદાની તાલીમ મળે છે અને તેનું સંચાલન માસ્ટર્સ અને બેંચની બનેલી કાઉન્સિલ કરે છે.

આ ઇન ડિગ્રી નથી આપતી એ વાત તો સાચી છે. એ અર્થમાં મહાત્મા ગાંધી પાસે કાયદાની ડિગ્રી નહોતી તે વાત ખોટી નથી. યુ.સી.એલ. તેની વેબસાઈટ પર તેના ‘ફેમસ એલુમનાઈ’માં મહાત્માનું નામ ગૌરવથી મુક્યું છે. ગાંધી સેવાશ્રમ વેબસાઈટ પર ગાંધીજીના જીવનચરિત્રમાં લેખક રાજકુમારી શંકર લખે છે કે લંડન ગયા પછી તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનથી મેટ્રિકની પરીક્ષા બે પ્રયાસે પાસ કરી હતી.

એટલે એવું કહેવાય કે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી ગાંધીજીએ મેટ્રિક કર્યું હતું અને ઇનર ટેમ્પલમાંથી કાયદાનું ભણતર લીધું હતું. તે વખતે ભારતથી આવતા વિધાર્થીઓમાં ઇનર ટેમ્પલ વધુ લોકપ્રિય હતું કારણ કે તેનાથી સમાજમાં તેના સર્ટિફીકેટથી એક ઈજ્જત મળતી હતી અને તે યુ.સી.એલ.ને સહાયક પણ ગણાતું હતું.

એટલે, મનોજ સિંહા જો એમ કહેતા હોય કે ગાંધીજી એલ.એલ.એલ. બી કે એલ.એલ. એમ નહોતા તો તે અર્ધ સત્ય છે. પૂરું સત્ય એ છે કે ગાંધીજીએ ઇનર ટેમ્પલમાંથી કાયદાના અભ્યાસનું સર્ટિફિકેટ મેળવ્યું હતું, પણ એ વાત સિંહા ન બોલ્યા.

બાય ધ વે, 1930માં ‘દાંડી યાત્રા’ને રાષ્ટ્રદ્રોહ ગણીને આ ઇનર ટેમ્પલના બેન્ચરોએ મહાત્મા ગાંધીને ઇનમાંથી નિષ્કાસિત કર્યા હતા. પાછળથી, 1988માં ટેમ્પલે મહાત્માની પુન:સ્થાપના કરી હતી.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 02 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભા.જ.પા.ના રાજનૈતિક ખેલ માટે અનિવાર્ય અનિષ્ટ સમા રાહુલ ગાંધી શું આ ક્ષણના નાયક છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 April 2023

લોકશાહીને બચાવવાની તાતી જરૂરિયાત જે લોકોને ગળે ઉતારી શકશે એ જ રાજકીય પ્રવાહ દેશના ભાવિને ઉગારી શકશે

ચિરંતના ભટ્ટ

અત્યારે રાહુલ ગાંધી જે સ્થિતિમાં છે એમાં પેલું અંગ્રેજી વાક્ય તેમને બરાબર બંધબેસે છે – “લવ મી ઓર હેટ મી, બટ યુ કાન્ટ ઇગ્નોર મી”. રાહુલ ગાંધી બોલે તો ય મુદ્દો બને છે અને ન બોલે તો ય મુદ્દો બની જાય છે. રાહુલ ગાંધીના લંડન અને કેમ્બ્રિજના વિધોના પર થયેલા વિવાદનો મામલો હજી માંડ શમ્યો હતો. પણ ભા.જ.પા.ના મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધી તો હોય જ. રાહુલ ગાંધીએ ચાર વર્ષ પહેલાં 2019માં કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું હતું કે, ‘આ બધા ચોરોની અટક મોદી કેમ છે?’ ચાર વર્ષ જૂની વાતને લઇને સુરત ભા.જ.પા.ના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો દાવો માંડ્યો. સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી જેમાં તેમણે જામીન મેળવ્યા. આ મુદ્દે જ તેમની લોકસભાની સદસ્યતા તેમની પાસેથી લઇ લેવાઇ અને તેમનો બંગલો ખાલી કરવાની નોટિસ પણ અપાઇ છે. આ બધું કંઇ હજી અટક્યું નથી હવે આ કેસમાં પટણાથી રાહુલ ગાંધીને સમન્સ પણ આવ્યા તો લલિત મોદીએ પણ રાહુલ ગાંધીને યુ.કે. કોર્ટમાં ઢસડી જવાની ધમકી આપી છે. રાહુલ ગાંધીનું સંસદીય પદ જવા અંગે પહેલાં અમેરિકાએ પ્રતિક્રિયા આપી તો પછી જર્મનીએ પણ એમ કહ્યું કે રાહુલ ગાંધી પર જે પણ કાર્યવાહી થશે એમાં લોકશાહીના વ્યક્તિગત સ્વાતંત્ર્ય જેવી બાબતોને ગણતરીમાં લેવામાં આવશે. આ મુદ્દાને કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

કાઁગ્રેસ મુક્ત ભારતનો દેકારો કરતી આવેલી ભા.જ.પા.એ પહેલાં સોનિયા ગાંધીનો અને હવે રાહુલ ગાંધીનો વારો કાઢ્યો છે. કોઈને ગમે કે ન ગમે પણ એ હકીકત છે કે રાહુલ ગાંધીને કારણે કાઁગ્રેસ સતત ચર્ચામાં રહે છે.

રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી હતી એમાં બદનક્ષીનો દાવો કરી દેવા જેવી વાત હતી ખરી? ખેર, જે હોય એ પણ આપણી નીચલી કોર્ટને એમ કરવું યોગ્ય લાગ્યું. જે આસાનીથી રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ છીનવી લેવાયું તે બતાડે છે કે ભારતના ન્યાય તંત્ર પર રાજકારણની કેટલી પકડ છે.

અહીં ભા.જ.પા. વિરોધી હોવાની વાત નથી પણ એ હકીકતને સ્વીકારવાનો મુદ્દો છે કે શાસનની વાત હોય ત્યાં મોદી સરકાર કામ કરે છે એની ના નહીં પણ રાજકીય સ્તરે જે ચાલે છે તેમાં નકરી સરમુખ્ત્યારશાહી છે. વળી રાહુલ ગાંધી સામે વૃશ્ચિક રાશીના નરેન્દ્ર મોદી જે ડંખ રાખી રહ્યા છે એ કેટલો યોગ્ય? એક તરફ રાહુલ ગાંધીને કોઇ ગણતું નથી એવો પ્રચાર-પ્રસાર તો ચાલુ છે જ તો બીજી તરફ લોકશાહીને નેવે મૂકીને ચાર વર્ષ પહેલાં બોલાયેલી વાત પર રાહુલ ગાંધીનું સંસદીય પદ લઇ લેવામાં ય ભા.જ.પા. સરકારને રસ છે. વડા પ્રધાન પોતે જે સ્તરે છે, જે સત્તા ધરાવે છે તેમાં તેમણે ખરેખર રાહુલ ગાંધી સાથેના જંગમાં સીધી કે આડકતરી રીતે ઉતરવાની જરૂર છે ખરી? આ જે પણ થઇ રહ્યું છે એ વડા પ્રધાનને ઇશારે નહીં પણ એમને પ્રભાવિત કરવા માટે કરાયું હોવાની શક્યતાઓ વધારે છે. વડા પ્રધાનને પોતાની સત્તાનો જેટલો મદ હશે તેના કરતાં કંઇ ગણો વધારે મદ તેમની આસપાસ, તેમની નીચે કામ કરનારાઓને હોય એમ લાગે છે. ચા કરતાં કિટલી ગરમની કહેવત અહીં લાગુ કરવામાં જરા ય શરમાવાની જરૂર નથી.

એ બધાં દેકારા કરતાં અહીં વધુ મહત્ત્વની વાત એ છે કે આપણું તંત્ર, આપણી લોકશાહી પાંગળાં બની રહ્યાં છે જ્યાં સત્તાધીશો તેમની ટીકા કરનારાઓનો છેદ ઉડાડવામાં ક્ષણભરની પણ વાર નથી લાગતી. માળું, રાહુલ ગાંધીને ચૂપ કરવા માટે કેન્દ્રમાં સત્તાએ બેઠેલાઓએ આટલો મોટો ઉપાડો લેવો પડ્યો? કાઁગ્રેસીઓ એમ કહે છે ભા.જ.પા. અને મોદીને રાહુલ ગાંધીનો ડર છે અને માટે તેને ચૂપ કરાવવાની આ બધી રમત છે. પરંતુ જો એ સાચું હોય રાહુલ ગાંધીનો જે દાવો છે કે ભા.જ.પા. લોકશાહી વિરોધી છે એ સાચું પડે એ માટે ભા.જ.પા. મર્યાદાનું ઉલ્લંઘન ન કરત. રાહુલ ગાંધીનો પ્રભાવ હોય કે ન હોય પણ વાસ્તવિકતા એ પણ છે કે તેમની ભારત જોડો યાત્રામાં ક્યાં ય પણ નરેન્દ્ર મોદીને નુકસાન પહોંચડવાનો ઉદ્દેશ નથી રાખ્યો, બલકે એમણે કાઁગ્રેસમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પર ધ્યાન આપ્યું અને તેમાં સફળતા પણ મેળવી. લંડનમાં એ જે બોલ્યા એવા અર્થનું તો એ 2021માં પણ બોલ્યા છે અને પછી ચાર રાજ્યોમાં ભા.જ.પ.ના સૂપડાં સાફ થઇ ગયા. ત્યારે ભા.જ.પા.એ રાહુલ ગાંધીને બહુ ગંભીરતાથી ન લીધા પણ અત્યારે રાહુલ ગાંધી જાણે ભા.જ.પા. માટે એક માત્ર અગત્યનો મુદ્દો બની ગયા છે. રાહુલ ગાંધીને હકાલી કાઢવા ભા.જ.પા. જે રીતે પગલાં લીધાં એમાં એ લોકો જાણે યેનકેન પ્રકારણે રાહુલ ગાંધીને જ આગલી ચૂંટણીમાં વડા પ્રધાનના પ્રતિસ્પર્ધી તરીકે જોવા માગે છે.

હવે રાહુલે ભારત જોડો યાત્રામાં ભેગા કરેલા ગુડવીલનો ઉપયોગ કરતા કાઁગ્રેસને આવડે છે કે પછી કાઁગ્રેસીઓ પણ રાહુલ ગાંધીની વાહવાહી કરવામાં સમય વેડફી નાખે છે એ જોવું રહ્યું. રાહુલ ગાંધીને પણ કોઇએ એ કડવું સત્ય કહેવું પડશે કે તેમની શાલિનતા તેમની ઢાલ નથી બનવાની. ભારતીય લોકશાહીનું પતન થયું હોય તો એમાં રાહુલ ગાંધીનો પણ એટલો જ ફાળો છે કારણ કે જ્યારે જે કામ, જે રીતે થવું જોઇએ એ રીતે તેમણે કે તેમના પક્ષે કર્યું નથી. રાહુલ ગાંધીને સવાલ કરનારાઓને તેમની આસપાસના લોકો, પરિવાર પર પરાલંબી જીવની માફક ચોંટેલા લોકો ચૂપ કરી દે છે, કાઁગ્રેસમાં વંશવાદનો વિરોધ કરનારાઓનું કંઇ ચાલતું નથી. ઉદાહરણ તરીકે જ્યારે શશી થરૂરે પક્ષ પ્રમુખની ચૂંટણી લડવાનું નક્કી કર્યું તો એમને એવા હાંસિયામાં ધકેલ્યા કે બીજા કોઇ કાઁગ્રેસી નેતા એવું કરવાનો વિચાર પણ ભવિષ્યમાં ન કરે. હવે આ પણ તો લોકશાહીનું હનન જ થયું કહેવાય. રાહુલ ગાંધીને મોદીને હરાવવાનો વિચાર હશે? કે પછી એ એવી કોઇ બાબતની રાહમાં છે જે મોદીને હરાવી શકે. આ તરફ નરેન્દ્ર મોદી રાહુલને ઉશ્કેરવામાં વ્યસ્ત છે. રાહુલ ગાંધીને પોતાની સાચી જવાબદારી સમજાશે તો કંઇ ફેર પડશે. રાહુલ ગાંધીની આસપાસના લોકો એમને ગેરમાર્ગે નથી દોરી રહ્યા, પણ સાચા માર્ગે પણ નથી જ દોરી રહ્યા.

ઇંદિરા ગાંધીનું સંસદીય પદ પણ છીનવાયું હોવાની વાતને પણ રાહુલના કિસ્સા સાથે સરખાવાય છે. ઇંદિરા ગાંધીનું ફોકસ રાજકારણ હતું અને રાહુલ ગાંધીને સમાજ સુધારણા કરવી છે. રાહુલ ગાંધી પ્રત્યે લોકોની, વિપક્ષોની સહાનુભૂતિ વધી રહી છે પણ છતાં ય 1977માં જે રીતે ઇંદિરા ગાંધીના જેલ વાસ પછી તેમનું જે ‘વિક્ટીમ કાર્ડ’ ચાલી ગયું હતું એવું રાહુલના મામલામાં થવાની શક્યતાઓ પાંખી છે.

આ તરફ ભા.જ.પા.ને રાહુલ ગાંધીનું નામ વાતે વાતે ઉછાળવાની મજા પડે છે. ભા.જ.પા. શાસનનું કામ ચાલુ રાખે છે પણ તેમું રાજકારણ કોઇ નેતાને પંચિગ બૅગ બનાવીને લડ્યા કરવાનું છે. અતિક અહેમદ હોય કે અદાણી હોય – એ બધા મુદ્દે ભા.જ.પા.ને ચૂપ રહેવું છે.

જો વિપક્ષો એક થઇ જાય તો મતદારોને લોકશાહી પર તોળાઇ રહેલા જોખમની વાસ્તવિક્તા બતાડી શકે પણ ભારતીય મીડિયામાં સત્તા પક્ષથી અલગ અવાજ સંભળાવવાનુ આજકાલ થોડું અઘરું બન્યું છે. રાજકીય ઐક્ય જ સરમુખત્યારી રાજકારણનો જવાબ બની શકે. રાહુલ ગાંધીએ પણ સંસદીય જવાબદારીમાંથી મળેલી મુક્તિનો ઉપયોગ ભારતની સમસ્યાઓને વધારે નજીકથી જોવામાં કરવો જોઇએ.

બાય ધી વેઃ

રાહુલ ગાંધીના ટ્વિટર બાયોમાં હવે ‘ડિસક્વૉલિફાઇડ એમ.પી.’ લખાયેલું છે. નીચલી અદાલતે રાહુલની અપીલ માટે એક મહિનાનો સમય આપ્યો છે. સસલા અને કાચબા વચ્ચે દોડવાની જે હરીફાઇ થઇ હતી એ વાર્તાનો સંદર્ભ લઇએ તો એમાં રાહુલ ગાંધી ધીરે ધીરે દોડતું સસલું હોય અને લોકશાહી પર બેઠેલા વજનદાર કાચબાથી આગળ નીકળી શકે – ભલેને લાંબે ગાળે – એવું પણ થઇ શકે છે પણ એ માટે આસપાસના ‘ચિયર લિડર્સ’ને દૂર કરી રાહુલ ગાંધીએ વૈચારિક નેતાઓને નજીક લાવવા પડશે. આ ક્ષણના નાયક રાહુલ ગાંધી નથી, પણ રાજકીય ખેલમાં ટલ્લે ચઢાવાતી લોકશાહી છે. લોકશાહીને બચાવવાની તાતી જરૂરિયાત જે લોકોને ગળે ઉતારી શકશે એ જ રાજકીય પ્રવાહ દેશના ભાવિને ઉગારી શકશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઍપ્રિલ 2023

Loading

ઇઝરાયેલની જગતભરમાં નિંદા થઈ રહી છે તો એ માટે જવાબદાર કોણ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|2 April 2023

રમેશ ઓઝા

ઇઝરાયેલની વિશ્વભરના દેશોની એલચી કચેરીઓ બંધ કરી દેવામાં આવી છે. ના, ઇઝરાયેલની સરકરે નથી કરી. ઇઝરાયેલની એલચી કચેરીઓના કર્મચારીઓ હડતાલ પર ગયા છે અને તેમાં રાજદૂતોનો પણ સમાવેશ થાય છે. હળતાળ પર જવાનું કારણ એ છે કે ઈઝરાયેલની સરકાર ન્યાયતંત્રની અને સર્વોચ્ચ અદાલતની પાંખ કાપવા માગે છે. આને કારણે ઇઝરાયેલ જેવા પ્રચંડ મનોબળ અને સંકલ્પશક્તિ ધરાવતા દેશની જગતમાં બદનામી થઈ રહી છે. અમેરિકાના પ્રમુખ જો બાયડન અને જર્મનીના ચાન્સેલર ઓલાફ શૉલ્ઝએ ઇઝરાયેલની વર્તમાન સરકારને સલાહ આપી છે કે જે દિશામાં તમે જવા માગો છો એ ઇઝરાયેલ માટે શોભાસ્પદ નથી, માટે પાછા ફરો. ૨૧મી ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રસંસ્થાના લઘુમતિ અધિકારો માટેના કમીશનના વડા વોલ્કર તુર્કે કહ્યું હતું કે ઇઝરાયેલ જે કાયદો પસાર કરવા માગે છે એ જો પસાર થશે તો ઇઝરાયેલમાં માનવઅધિકારોનો અંત આવશે. બીજા શબ્દોમાં ઇઝરાયેલમાં લોકતંત્રનો અંત આવશે. જગત આખાના મીડિયા તેમ જ રાજકીય નિરીક્ષકો પણ ઇઝરાયેલની નિંદા કરી રહ્યા છે. ‘આબરૂદાર’ ઇઝરાયેલ ફાસીવાદી તાનાશાહ શાસકોની જીદને કારણે જગતમાં બદનામ થઈ રહ્યું છે.

આ તો જગતની વાત થઈ. આ સિવાય ઘરઆંગણે ઇઝરાયેલના આજી અને માજી ન્યાયાધીશો, આજીમાજી લશ્કરી અધિકારીઓ, આજીમાજી નોકરશાહો, બૌદ્ધિકો અને વિશ્વભરમાં ફેલાયેલા યહૂદીઓ (એકલ દોકલ નહીં, હજારોની સંખ્યામાં પોતપોતાની સંસ્થાઓમાં ઠરાવો કરીને) ઇઝરાયેલના શાસકોની નિંદા કરી રહ્યા છે. તેઓ રસ્તા ઉપર ઉતર્યા છે અને અનિવાસી યહહૂદીઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. ઇઝરાયેલનું નાક કપાઈ ગયું છે.

અહીં પહેલો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઇઝરાયેલની જગતભરમાં નિંદા થઈ રહી છે તો એ માટે જવાબદાર કોણ? નિંદા કરનારાઓ કે નિંદાજનક કામ કરનારાઓ? આજકાલ જગત આખામાં નીચતાની નીચલી સીમા પાર કરવાની હોડ શરૂ થઈ છે. દાયકાઓ જૂની સમૃદ્ધ લોકતાંત્રિક પરંપરાઓને ભૂંસવામાં આવી રહી છે. સામાજિક વિમર્શ અને ભિન્નમત ધરાવનારાઓની મત વ્યક્ત કરવાની આઝાદીને ગુંગળાવવામાં આવી રહી છે. વિરોધ પક્ષોને ખતમ કરીને એક પક્ષીય શાસન માટેની પેરવી કરવામાં આવી રહી છે. ઇઝરાયેલનો વર્તમાન  વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આવો એક આત્મમુગ્ધ, ઝનૂની અને તાનાશાહી માનસ ધરાવનારો શાસક છે જેણે ઇઝરાયેલની તેના સ્થાપનાથી શરૂ થયેલી વણલખી પરંપરાને તોડી છે.

શું છે એ પરંપરા? ઉપર મેં ઇઝરાયેલ માટે આબરૂદાર વિશેષણ અવતરણ ચિહ્નમાં મુક્યું છે. આબરૂદાર ખરું, પણ ટકોરાબંધ નહીં. કારણ એ કે ૧૯૪૮માં યહૂદીઓ માટે ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી એવી એક વણલખી પરંપરા વિકસી છે કે ઇઝરાયેલમાં વસતા યહૂદીઓને પૂરી મોકળશ આપવામાં આવશે. પણ મોકળાશ માત્ર યહૂદીઓને અને બીજા કેટલાક પસંદ કરલા ગેરયહૂદી લોકોને આપવામાં આવશે બધાને નહીં. બીજાઓને એટલા માટે નહીં કે ઇઝરાયેલના અસ્તિત્વનો સવાલ છે અને ઇઝરાયેલના દુ:શ્મનો ઇઝરાયેલને નેસ્તનાબૂદ કરવા માગે છે. પેલેસ્ટાઇનનાં મૂળ વતની આરબો હમવતન હોવા છતાં આગંતુક યહૂદીઓના બનેલા ઇઝરાયેલના દુ:શ્મન છે. ૧૯૪૮થી આમ માનવામાં અને કહેવામાં આવે છે. ટૂંકમાં ઇઝરાયેલનું લોકતંત્ર મુખ્યત્વે યહૂદીઓ માટે છે. સોળે કળાએ ખીલેલું, પણ પક્ષપાતી.

આ પક્ષપાત અને પક્ષપાતી લોકતંત્ર સ્વીકારી લેવામાં આવ્યું હતું. ઇઝરાયેલના બહુમતી યહૂદીઓએ, લગભગ દરેક રાજકીય પક્ષે, વહીવટીતંત્રની તમામ શાખાઓએ, ન્યાયતંત્રએ, મીડિયાએ અને વિદેશમાં વસતા યહૂદીઓએ એમ દરેકે એકંદરે સ્વીકારી લીધું હતું કે ઇઝરાયેલના અસ્તિત્વનો સવાલ છે એટલે પક્ષપાતી લોકતંત્ર સિવાય બીજો વિકલ્પ નથી. તેમને સમાધાન એ વાતનું હતું કે લોકતંત્ર જેને મળ્યું છે (મુખ્યત્વે યહૂદીઓને એટલે કે તેમને પોતાને) એ સંપૂર્ણ મળ્યું છે. આ વણલખી પરંપરા ૧૯૪૮થી ચાલી આવે છે.

પણ આનો અર્થ એવો નથી કે આવા પક્ષપાતી લોકતંત્રનો વિરોધ કરવામાં નહોતો આવતો. ઇઝરાયેલમાં એવા મોટી સંખ્યામાં માનવતાવાદી યહૂદીઓ છે અને હતા જેને એમ લાગતું હતું કે લોકતંત્ર પક્ષપાતી ન હોય અને જો એવું થતું હોય તો એ લોકતંત્ર ન કહેવાય. લાખોની સંખ્યામાં આવા યહૂદીઓ ઇઝરાયેલમાં વસે છે. અલબત્ત તેઓ કાયમ લઘુમતીમાં રહ્યા છે. રાષ્ટ્રીય સંમતી પક્ષપાતી પણ યહૂદીઓ માટે સંપૂર્ણ લોકતંત્રના પક્ષે રહી છે. દેખીતી રીતે યહૂદીઓ માટેનાં સંપૂર્ણ લોકતંત્રનો લાભ પક્ષપાતરહિત સાચા લોકતંત્રની માગણી કરનારા માનવતાવાદી યહૂદીઓને મળતો હતો. તેમનો વાળ પણ વાંકો કરવામાં નહોતો આવતો. દાયકાઓથી આવી એક પરંપરા ચાલતી આવી છે. મુક રાષ્ટ્રીય સંમતીનો અસ્વીકાર કરનારો જો યહૂદી હોય તો તેને હાથ પણ નહીં લગાડવાનો.

ઇઝરાયેલના વર્તમાન વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ એ શિરસ્તો તોડ્યો. એ ઉપર કહ્યું એમ કમાલનો સત્તાલોલુપ, ધાર્મિક ઝનૂની, આત્મમુગ્ધ અને તાનાશાહી વૃત્તિ ધરાવનારો માણસ છે. એ વિરોધ અને વિરોધીઓને સહન કરી શકતો નથી. ઉપરથી ભ્રષ્ટ છે. ઇઝરાયેલની મિશ્ર સરકારમાં જે ઝનૂની પક્ષોનો ટેકો લીધો છે એ તમામ નેતાઓ ગામના ઉતાર જેવા છે. એમાંના એક આરે દેરી વિષે તો આ કોલમમાં મેં એક લેખ પણ લખ્યો હતો. નેતાન્યાહુ પોતાની સત્તા ટકાવી રાખવા માટે યહૂદી વિરોધીઓની બાબતે પણ અસહિષ્ણુ વલણ ધરાવે છે.

આમાં નેતાન્યાહુને સૌથી મોટી અડચણ ન્યાયતંત્રની છે. એ મનમાની કરવામાં આડું આવે છે. ઈઝરાયેલનું ન્યાયતંત્ર આપણા જેવું લકવાગ્રસ્ત નથી. નેતાન્યાહુ કહે છે કે પ્રજા દ્રારા ચૂંટાયેલા લોકપ્રતિનધિઓ લોકોનો અવાજ છે અને એટલે તેઓ લોકતંત્રનો પ્રાણ છે. બંધારણ, ન્યાયાલય, બીજી લોકતાંત્રિક સંસ્થાઓ, સ્વતંત્ર મીડિયા લોકતંત્રનો પ્રાણ ન હોઈ શકે. કાંઈ યાદ આવે છે? આપણે ત્યાં ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનકર અને કાયદા પ્રધાન કિરણ રિજ્જુજી આ જ દલીલ કરે છે. લોકપ્રતિનધિઓ બંધારણમાં ઇચ્છે એવા માળખાકીય સુધારા કરી શકે. કિરણ રિજ્જુજી તો વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં જજોની નિયુક્તિનો અધિકાર પણ ન્યાયતંત્ર પાસેથી છીનવી લેવા માગે છે. એ જ કરવા માગે છે જે ઈઝરાયેલમાં થઈ રહ્યું છે.

ખેર, ઇઝરાયેલના વડા પ્રધાન બેંજામીન નેતાન્યાહુએ ન્યાયતંત્રની સત્તા છીનવી લેવાનો અને કેટલીક બાબતે ન્યાયતત્રના અધિકારોને મર્યાદિત કરવાનો સંસદમાં એક ખરડો લાવીને પ્રયાસ કર્યો અને પ્રજા સડક પર ઉતરી પડી. તેમને સમજાઈ ગયું કે જો ન્યાયતંત્ર અને લોકતંત્ર તેનો પ્રાણ ગુમાવશે તો આપણી હાલત પણ મુસ્લિમ આરબો જેવી થઈ શકે છે. શાસકોનો વિરોધ કરવા માટે આપણો દીકરો પણ જેલમાં જઈ શકે છે. આને કારણે ઈઝરાયેલના ઇતિહાસમાં પહેલી વખત પક્ષપાતી યહૂદીઓ અને માનવતાવાદી યહૂદીઓ સાથે આવ્યા. જગત આખામાં યહૂદી સમાજમાં તેનાં પડઘા પડી રહ્યા છે.

અને હવે છેલ્લો પ્રશ્ન. ઇઝરાયેલમાં મુસલમાનો સાથે કરવામાં આવતા અન્યાયને જોઈને રતીભાર પણ વેદના નહીં અનુભવનારા યહૂદીને માનવતાવાદી તરીકે ઓળખાવવાનો તો સવાલ જ પેદા નથી થતો પણ તેને ચતુર કહેવો જોઈએ કે નહીં? એ એટલો ઘેલો નથી કે પોતાનું અને પોતાની આવનારી પેઢીનું ભવિષ્ય હોમી દે. તેને એ વાતની જાણ છે કે કાયદાનાં રાજ્ય વિના સુરક્ષીત જીવન શક્ય નથી અને તેની ગેરંટી સ્વતંત્ર ન્યાયતંત્ર જ આપી શકે. આમાંથી કાંઈ ધડો લેવા જેવું લાગે છે?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 ઍપ્રિલ 2023

Loading

...102030...1,1881,1891,1901,191...1,2001,2101,220...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved