Opinion Magazine
Number of visits: 9743604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહારાષ્ટ્ર રિટર્ન્સ : પવારનું પાવર-પોલિટિક્સ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 April 2023

રાજ ગોસ્વામી

મહારાષ્ટ્રના રાજકારણને જો બોલિવૂડની કોઈ ઉતાર-ચઢાવ, સસ્પેન્સ, કોમેડી, ટ્રેજેડી અને એક્શનથી ભરપુર ફિલ્મ સાથે સરખાવીએ તો, રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી(એન.સી.પી.)ના મરાઠા સેનાપતિ શરદ પવારને એ ફિલ્મના ડિરેકટર સાથે સરખાવી શકાય. ઈશ્વર માટે કહેવાય છે કે તેની ઈચ્છા વગર પૃથ્વી પર એકેય પાંદડું હાલતું નથી. એવી જ રીતે, મહારાષ્ટ્રના રાજકારણમાં પવારની સંમતિ વગર એકેય ખુરશી હાલતી નથી.

82 વર્ષની ઉંમરે, શરદ પવાર એક માત્ર રાષ્ટ્રીય નેતા છે, જેમણે હજુ પણ ખુદની પ્રાસંગિકતા બનાવી રાખી છે. બારામતી હોય કે મુંબઈ, મંત્રાલય હોય કે સાઉથ બ્લોક શરદ પવાર અત્ર-તત્ર-સર્વત્ર હોય છે. પવારની રાજકીય કુનેહ ક્યાં લડવું અને ક્યાં ન લડવું તે નક્કી કરવામાં છે. કાઁગ્રેસના ‘ખજાનચી’ સિતારામ કેસરી જ્યારે પાર્ટીના પ્રમુખ હતા, ત્યારે શરદ પવારે તેમને ઉથલાવીને સોનિયા ગાંધીને પ્રમુખપદ સંભાળવા આમંત્રણ આપ્યું હતું.

એ જ સોનિયાના ‘વિદેશી મૂળ’નો વિવાદ થયો ત્યારે પવારે કાઁગ્રેસમાંથી કૂદકો મારીને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીની રચના કરી હતી અને બિન-કાઁગ્રેસી પાર્ટીઓને એક સાથે લાવવા પ્રયાસ કર્યો હતો. જો કે 1999ની લોકસભા તેમ જ વિધાનસભાની ચૂંટણીઓ પછી તેમને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એ જ કાઁગ્રેસ સાથે હાથ મિલાવામાં કે 2004માં યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુ.પી.એ.)ની સરકારમાં મંત્રી બનવામાં હિચકિચાહટ થઇ નહોતી.

રાજકીય પ્રતિસ્પર્ધીઓની વાત છે ત્યાં સુધી પવાર જૂના જમાનાના કાઁગ્રેસી છે. એ કોઈની પણ સાથેની રાજકીય હરીફાઈને અંગત શત્રુતામાં પરિવર્તિત થવા દેતા નથી. તેમણે ક્યારે ય ચૂંટણીની રેલીઓમાં રાજકીય હરીફો માટે આકરાં વેણ નથી કાઢ્યાં. હકીકતમાં, ગમે તેટલી ગળાકાપ રાજકીય હરીફાઈ હોય છતાં તેઓ રાજકીય હરીફો સાથે ‘ભાઈબંધી’ જાળવી રાખે છે. આજની તારીખમાં કદાચ એ એક માત્ર નેતા છે જે સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદીને વગર નિમંત્રણે મળવા જઈ શકે છે.

મહારાષ્ટ્રમાં, રાજકીય મોરચે શિવસેના અને તેના વડા બાળ ઠાકરે સાથે કટ્ટર હરીફાઈ હોવા છતાં પવારે તેમની સાથે એટલો સુંદર અગંત સંબંધ કેળવ્યો હતો કે 2006માં જ્યારે તેમની પુત્રી સુપ્રિયા સૂલે રાજ્ય સભામાં જવા ઈચ્છતી હતી, તો ઠાકરેએ ફોન કરીને કહ્યું હતું કે, “મેં તેને મારી આંખ સામે નાનેથી મોટી થતી જોઈ છે. આ એના જીવનની મોટી ક્ષણ છે અને મારી પાર્ટી તેનું સમર્થન કરશે.”

તેમની આ કાબેલિયતના કારણે જ 2019માં તેઓ શિવસેના, કાઁગ્રેસ અને એન.સી.પી. વચ્ચે એક એવું અસાધારણ ગઠબંધન કરવામાં સફળ રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીને તે હજુ ય ચચરે છે. ભા.જ.પે. તેનો બદલો લેવા માટે પવારના ભત્રીજા અજીત પવારની મદદથી એન.સી.પી.માં ભંગાણ પાડીને શબ્દશ: રાતોરાત દેવેન્દ્ર ફડણવીસની સરકાર ઊભી કરી દીધી હતી, પરંતુ એમાં ય સિનિયર પવારની રાજરમત એવી કારગત નીવડી કે 80 કલાકમાં જ તેઓ કાકા પવારની છાવણીમાં પાછા ફરી ગયા.

ભા.જ.પ.ને એમાં ય સમસમી ગઈ અને છેવટે શિવસેનામાં જ ઊભી ફાચર મારીને એકનાથ શિંદેની મદદથી સરકાર બનાવી. હવે, 10 મહિના જૂની શિંદે સેના અને ભા.જ.પ.ની સરકાર સામે ફરી સંકટનાં વાદળો ઘેરાયાં છે અને ફરી એકવાર પવારનું પાવર-પોલિટિક્સ સક્રિય થયું છે.

એનું કારણ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં કરેલો કેસ છે. શિંદે શિવસેનાને હાઈજેક કરીને ભા.જ.પ.ના ગાડામાં બેસી ગયા પછી અસલી સેના કોણ એવા પ્રશ્ન સાથે ઠાકરેએ સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતા. એ કેસ હવે પૂરો થવાની અણી પર છે અને એવી અફવા ગરમ છે કે ચુકાદો ઠાકરેની તરફેણમાં જશે. એવું થાય તો શિંદે-ફડણવીસની સરકારનું શું? અફવા એવી છે કે શિંદેને જો જવું પડે તો ભા.જ.પ. એન.સી.પી.ના અજીત પવારના ટેકા સાથે સત્તામાં ટકી રહેશે. આવું શરદ પવારની જાણ બહાર કે ઈચ્છા વગર શક્ય છે?

અમુક મોટા-મોટા સંકેત એવું કહે છે કે સિનિયર પવાર 2024ની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે. એક તો તેમની પુત્રી સુપ્રિયા સૂલેનું તાજેતરનું એ નિવેદન છે જેમાં તેણે કહ્યું હતું કે આગમી 15 દિવસમાં દેશની રાજનીતિમાં બે મોટા ધડાકા થશે. એમાંથી એક ધડાકો મહારાષ્ટ્રની રાજનીતિમાં થશે અને બીજો કેન્દ્રમાં.

બીજું, રાહુલ ગાંધીના નિશાના પર રહેલા ઉધોગપતિ ગૌતમ અદાણીની શરદ પવારે તરફેણ કરી છે. તેમણે હિડનબર્ગના રિપોર્ટની વિશ્વનીયતા પર સવાલ કર્યો હતો અને રાહુલ ગાંધી જેની માંગણી કરી રહ્યા છે તે સંયુક્ત સંસદીય સમિતિની તપાસને પણ અર્થ વગરની ગણાવી હતી. એટલું જ નહીં, પવારે અદાણી સાથે મુંબઈમાં બે કલાક સુધી બેઠક પણ કરી હતી.

ત્રીજું, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સામે સવાલ ઊભો કર્યો તો પવારે તેના પર પ્રત્યાઘાત આપ્યો હતો કે કોઈની ડિગ્રી કેવી રીતે રાજકીય મુદ્દો બની શકે? તેમણે કહ્યું કે દેશમાં બેરોજગારી, મોંધવારી, કાયદો-વ્યવસ્થા જેવા ઘણા મુદ્દા છે ત્યારે ડિગ્રી જેવો મુદ્દો કેવી રીતે મહત્ત્વનો બંને?

અદાણી અને ડિગ્રીના બંને વિવાદમાં નિશાન મોદી છે અને પવારે તેનાથી અંતર કરીને એક રીતે મોદીનો બચાવ કર્યો હોવાનું કહેવાય છે. શરદ પવારે તો ત્યાં સુધી કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી આજે છે, પરંતુ કાલે હશે કે નહીં તેની ખબર નથી. પવાર કોઈ વાત એમ જ નથી કહેતા. રાજકીય પંડિતો તેમાં મહારાષ્ટ્રના રાજકારણમાં આવનારા ફેરફારને જોઈ રહ્યા છે.

અજીત પવાર મહત્ત્વાકાંક્ષી છે એ વાત નવી નથી. એન.સી.પી.માં સુપ્રિયા સૂલેનાં ચઢતાં પાણીથી તેઓ નારાજ છે તે વાત પણ નવી નથી. ભા.જ.પે. તેમની એ નારાજગીનો ઉપયોગ કરીને જ એકવાર તો તેમને ખેંચ્યા હતા, પણ બીજી વાર પણ એવું જ થશે? મતલબ કે આ વખતે પણ અજીત પવાર (તેમને 40થી 53 વિધાનસભ્યોનો ટેકો હોવાનું કહેવાય છે) એન.સી.પી. સાથે છેડો ફાડશે કે પછી શિંદેની જેમ આખી એન.સી.પી.ને હાઈજેક કરી જશે? સિનિયર પવારને આ બધી સંભવાનાઓનો અંદાજ ન હોય તે શક્ય નથી.

ત્યાં સુધી કે ઉદ્ધવ સેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે પણ કહ્યું છે કે શિંદે સરકાર 15 દિવસમાં ગબડી પડશે. તેમણે કહ્યું છે કે શિંદેનું ડેથ વોરંટ જારી થઇ ચુક્યું છે અને બહુ જલ્દી તેના પર હસ્તાક્ષર થઇ જશે. દરમિયાનમાં, ખુદ એકનાથ શિંદે તેમના ગામમાં ત્રણ દિવસની રજા પર ચાલ્યા ગયા છે. જો કે રસ્તામાં મહાબળેશ્વર ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેમના વિરોધીઓ ઘરે નવરા બેઠા છે એટલે અફવાઓ ફેલાવા સિવાય તેમની પાસે કશું કામ નથી.

જો કે, આગ વગર ધુમાડો શક્ય નથી. ત્યાં સુધી કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અમુક ઠેકાણે તો ભાવિ મુખ્ય મંત્રી તરીકે અજીત પવારનાં પોસ્ટર પણ લાગ્યાં છે. શરદ અને અજીત પવાર બંનેએ આ બાબતે સ્પષ્ટતા કરવી પડી હતી. એન.સી.પી.ના કાર્યકરોમાં આટલો બધો ઉત્સાહ માત્ર અફવાઓ આધારિત ન હોય. ખુદ અજીત પવાર પણ મુખ્ય મંત્રી બનવા માટેની ઈચ્છા જાહેર કરી ચુક્યા છે. સવાલ એ છે કે તેઓ કાકાની ઈચ્છા વગર મુખ્ય મંત્રી પદ માટે નિશાન તાકશે?

ભા.જ.પ. મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવી રાખવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે, ખાસ કરીને એક વર્ષ પછી લોકસભાની ચૂંટણી છે ત્યારે એ મહારાષ્ટ્ર ખોવાના મૂડમાં નથી. મહારાષ્ટ્રમાં શિવસેના અને એન.સી.પી.ની સરખામણીમાં ભા.જ.પ. મતદારોમાં એટલી લોકપ્રિય નથી જેટલી, દાખલા તરીકે, ગુજરાતમાં છે. એકનાથ શિંદે ભલે સરકારમાં હોય, પરંતુ આમ જનતા હજુ પણ ઉદ્ધવ સેનાને જ અસલી સેના માને છે. ઉદ્ધવની પાર્ટી કાર્યકરોમાં જે પકડ છે તે ભા.જ.પ. માટે પડકાર છે. સહજ રીતે જ, વોટ માંગવા જતાં પહેલાં ભા.જ.પ. સરકારને મજબૂત કરવાનું ઈચ્છશે. ભા.જ.પે. સેનાને તો ખતમ કરી છે અને હવે તે એન.સી.પી.માં પણ એવું જ કરવાનું સ્વપ્ન જોઈ રહી છે. ફર્ક એટલો છે કે હવે જે થશે તે શરદ પવારની સહમતીથી થશે જેથી 2019નો 80 કલાક વાળો ફિયાસ્કો ન થાય.

ટૂંકમાં, મહારાષ્ટ્રમાં રાજકીય મોસમ સામાન્ય નથી. લોકસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલાં પવાર પરિવારના કાકા-ભત્રીજા વચ્ચે ફાટફૂટ નજર આવી રહી છે. ભા.જ.પ.ના નેતાઓ પવાર સાથે જે રીતે ઇલુ-ઇલુ કરી રહ્યા છે તેનાથી એકનાથ શિંદે ખુશ નથી. મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં બધું ઠીક નથી. સરકારમાં જ નહીં, ઇવન વિપક્ષમાં પણ કાઁગ્રેસ-એન.સી.પી.-સેનાનો મોરચો અકબંધ રહે તે ભા.જ.પ.ને મંજૂર નથી.

આ ત્રણે બાબતોમાં શરદ પવારની ભૂમિકા મહત્ત્વની બની રહેવાની છે. અનુકૂળ હોય કે પ્રતિકૂળ, દરેક રાજકીય પરિસ્થિતિમાં પોતાની ઉપયોગિતાને ગમે તે રીતે કાયમ રાખવામાં માહેર આ મરાઠા સેનાપતિ, રાજકારણના ફલક પરની આ લેટેસ્ટ ફિલ્મી ટ્વીસ્ટમાં કઈ રીતે તેમની છડી ઘુમાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

લાસ્ટ લાઈન:

“પોલિટિક્સમાં કશું અકસ્માતે થતું નથી, અને જો અકસ્માત થાય તો સમજવું કે તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.”

— ફ્રેન્કલિન રૂઝવેલ્ટ

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 30 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માનુષ અને માટી, આદિવાસી અને અદના માણસોના ચિત્રકારની ગહન ચિંતન કથા  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|30 April 2023

પુસ્તક પરિચય 

● ‘માનુષ’ – લેખક : હકુ શાહ, આલેખન : પીયૂષ દઈયા, અનુવાદ : મોહન દાંડીકર, પ્રકાશક : ગૂર્જર, રૂ. 350/-

‘માનુષ’ એ ‘ચિત્રકાર અને લોકકલાવિદ હકુ શાહ(1934-2019)ની અંતરંગકથા’ છે. અહીં હકુભાઈએ કલા તરફનો પોતાના અભિગમ અને સર્જન પ્રક્રિયાની વાત કરી છે.

તદુપરાંત પોતાની કેટલીક અગત્યની કૃતિઓ અને દેશ-વિદેશમાં સફળતાપૂર્વક પાર પાડેલાં દેશજ કલાઓના ઉપક્રમોનું વર્ણન પણ મળે છે.

તેમની ખુદની કલાયાત્રા અને એ દરમિયાન મળેલાં વિલક્ષણ પાત્રો અને અનુભવો પુસ્તકનો સહુથી રસપ્રદ હિસ્સો છે. લેખકે કરેલો માટીનો મહિમા ભાવવિભોર બનાવી દેનારો છે.

હકુભાઈના દર્શનના કેન્દ્રમાં માનુષ – માણસ છે. આરંભે જ તેઓ લખે છે : ‘માનુષની વાત મને એટલી બધી નજીકની લાગે છે જેટલી પ્રકૃતિ, માટી અને ભૂ-માની વાત લાગે છે.’

રવીન્દ્રનાથની ‘સાબાર ઉપરેર મનુષ્ય’તેમની ધ્રુવ પંક્તિ છે. પણ તેમના હૈયામાં જે મનુષ્ય વસેલો છે તે આદિવાસી-વનવાસી, કુંભાર-સુથાર, કારીગર-કસબી, ઝૂંપડાવાસી-ફૂટપાથવાસી છે.

‘અદિવાસી લોકો કે એમનાં કામો મારે માટે એક મોટો પ્રેરણાસ્રોત બની રહ્યાં છે’ અને ‘જ્યારે પણ માણસની અસલિયત શોધવા નીકળું છું ત્યારે દરેક વખતે મારે લોકો પાસે અથવા આદિવાસીઓ પાસે જવું પડે છે’.

– આમ કહેનાર હકુભાઈ એમના આ ઉપેક્ષિત-વંચિત લોકની કલા અને પરંપરા, પરિશ્રમ અને પ્રતિભાને, જીવનસત્વ અને જીવનશૈલીની ઝલક આપે છે. ‘લોકોની સાથે મારો નાભિનાળ સંબંધ રહ્યો છે. લોકો જ સર્વોપરી છે મારે માટે’, એમ પણ તેઓ લખે.

‘માનુષ’ મૂળ તો દિલ્હી-સ્થિત કલાવિદ્દ અને હિન્દી કવિ પીયૂષ દઈયાએ હકુભાઈ સાથે 2007ના પહેલાં  છ મહિના દરમિયાન રોજબરોજ સંવાદ કરીને હિન્દીમાં આલેખેલું પુસ્તક છે.

દિલ્હીના સેન્ટર ફૉર મીડિયા એન્ડ આલ્ટરનેટિવ કમ્યુનિકેશને 2009માં બહાર પાડેલા આ સ્વકથનનું ગુજરાતી  ભાષાંતર મોહન દાંડીકરે (1932-2020) કર્યું છે.

જીવનના અંત સુધી ઊંડી સૂઝ અને પરિશ્રમથી, સામાજિક અનુબંધવાળા સંખ્યાબંધ અનુવાદ આપનાર મોહનભાઈએ આ અનુવાદ કર્યો ત્યારે ‘જીવનની સંધ્યા વેળાએ’ એક આંખ ‘અસહકાર’ પર ઊતરી હતી.

અર્થસભર અરૂઢ શીર્ષકો ધરાવતાં અગિયાર પ્રકરણોમાંથી પહેલાં પાંચ આ મુજબ છે : ‘અપરિચિત અસ્તિત્વ’, ‘આલોક સ્પર્શ્યું અસ્તિત્વ’, ‘યા ઘટ’ (કબીરના પદ પરથી), ‘દેહમાં દેવ તું’ અને ‘ચાકડા પર લીલા’.

આ બધાંમાં એકંદરે કલા તેમ જ જીવન વિશે ગંભીર, તત્ત્વજ્ઞાનપૂર્ણ, અમૂર્ત ખ્યાલોનું ચિંતન છે, જે વાચક પાસે વિશેષ રુચિ માંગી લે છે.

અહીં હકુભાઈ પોતાના સર્જનની પવિત્રતા, આયાસમુક્તતા, બાહ્યવાતાવરણ સ્વીકાર્યતાની, અપાર આનંદદાયકતા અને માનવી સૌંદર્યશાસ્ત્રમાંની આસ્થા જેવી વિભાવનાનો વિશે લખે છે.

હકુભાઈ શાહ

ચિત્રસામગ્રી, રંગસંયોજન, રૂપાકૃતિ, અવકાશ, નગ્નતા અંગેનું વિવરણ પણ અહીં છે. ‘માનુષનું વિશ્લેષણ અતિ કઠિન છે’ એવું લેખકનું નિરીક્ષણ પુસ્તકના પહેલા પાંચ પ્રકરણ માટે વિશેષ બંધબેસતું છે.

છઠ્ઠા પ્રકરણ ‘રૂપ ગોઠ’ અને તે પછીનાં પ્રકરણો પ્રત્યક્ષ કલાકૃતિઓ, કલા-ઉપક્રમો, અનુભવો, પ્રસંગો અને વ્યક્તિઓ વિશે વધતી રસાળતા સાથે લખાયેલી સામગ્રી છે. તેમનાં નામ છે : ‘તેજ તું’, ‘સર્વવ્યાપી સર્જનહાર’, ‘જીવને જે પૂજા’ અને ‘ગર્ભનો ખહરો’.

આ ગુચ્છમાં અનેક વિવિધ બાબતો છે. જેમ કે, ‘ગાંધી વિશે કંઈક કરવું જોઈએ’ એવી અંત:પ્રેરણાથી મહાત્માના આરાધકે ‘નૂર ગાંધીનું : મારી નજરે’ નામે રૂપ ગોઠ અર્થાત્‌ કોલાજ બનાવ્યું.

અમદાવાદમાં 2002માં કોમી રમખાણો થયાં. આ ‘જખમ’થી ચિતારો ‘વિહવળ’ થયો. ‘મારે આ સાંપ્રદાયિક તત્ત્વોની સામે હિંમતપૂર્વક ઊભા રહેવું જોઈએ’ એવા નિર્ધારથી હકુભાઈએ ‘હમન હૈ ઇશ્ક’ નામનું ચિત્રપ્રદર્શન કર્યું, જેને તે ‘હિંસક શક્તિઓ સામેનો મારો સવિનય વિરોધ’ તરીકે ઓળખાવે છે. 

‘કેટલીક કવિતાઓને કેન્દ્રમાં રાખીને’ કરેલાં ચિત્રો, રેખાંકનો, વિનોબાના ભૂદાનના આવકાર માટેની સંસ્થાપન કૃતિઓની વાત આવે છે. દેશભરના કુંભાર ભાઈઓને લઈને કરેલું ‘માટી તેરે કિતને રૂપ’ પ્રદર્શનની મહત્તાની ધારણા થઈ શકે.

‘ધર્મનિરપેક્ષ અને સમતામૂલક’ મૂલ્યો, અભિવ્યક્તિની તક અને પ્રકૃતિ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે દેશ અને દુનિયામાં કરેલી રચનાત્મક શાળાઓ તે પણ હકુભાઈનું મહત્ત્વનું પ્રદાન છે. ઉદયપુરના જે ‘શિલ્પગ્રામ’ સાથે હકુભાઈનું નામ જોડાયેલું છે તેની પરિકલ્પના અને રચનાનું બયાન મળે છે.

દેવીપૂજક સમુદાયની ઝૂંપડામાં રહેનારી ચીંથરેહાલ કસબી મહિલા ધૂળી માટીનાં સુંદર રમકડાં બનાવીને વેચતી. પરખંદા હકુભાઈ તે રમકડાંને પોતે રચેલાં ‘અનનોન ઇન્ડિયા’ નામના 1969માં  રચેલાં આંતરરાષ્ટ્રીય કલાપ્રદર્શનમાં લઈ ગયા. હવે તે ફિલાડેલ્ફિયાના સંગ્રહમાં છે.

મેઘા નામના ઝૂંપડાવાસી વૃદ્ધ મહિલાના મધુબની શૈલીના ચિત્રોને પણ હકુભાઈએ વિદેશોમાં પ્રતિષ્ઠા આપાવી. હકુભાઈના તેમના સ્નેહી અને વિશ્વવિખ્યાત અમેરિકન ડિઝાઇનર ચાર્લ્સ ઇમ્સને એક એવું ઝૂંપડું બતાવે છે જે જેની અંદર દિવાલ પર સુંદર ચિત્ર હોય અને દાદા-પૌત્ર સહિતનો પરિવાર હોય.

ઇમ્સે પોણા કલાક સુધી નિરીક્ષણ કરીને ઝૂંપડીની અંદરના ફોટા પાડ્યા,અને બે  વર્ષ પછી તેનું ‘યોર ફૅમિલી’ નામનું આલબમ ભારતમાં મોકલ્યું.

ઇમ્સની યાદ હકુભાઈએ અગિયારમા આખરી પ્રકરણ ‘આભલાં આતમ’માં લખી છે. તેમાં તેમણે જન્મ, ઉછેર, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા સ્થાપયેલા કલા વિભાગમાં અભ્યાસ તેમ જ ઘડતર તેમ જ 73 વર્ષ સુધીની તેમનાં કારકિર્દી અને સર્જનનું વાચનીય વર્ણન કર્યું છે. વાચક અભિભૂત થઈ જાય તેવા ફકરા અને ચિંતકણિકાઓ ઠેરઠેર મળે છે.         

pastedGraphic.png

‘માટી મા છે, આખા ભારતના લોકો આવું માને છે’. 

pastedGraphic.png

‘પૃથ્વી પર કોઈ જ વસ્તુ બાકી નથી જેમાં ફળદ્રુપતા ન હોય’.

pastedGraphic.png

 ‘આ દુનિયાને ઘણી મોટી ભેટ હુન્નર, કારીગરી અને સૌંદર્યરૂપે મળી છે’. 

pastedGraphic.png

‘ભારતમાં ડિઝાઈન જીવનનો ભાગ છે’. 

         એક આદિવાસીએ મને કહ્યું હતું. 

pastedGraphic.png

‘રાચ (વસ્તુ) છે તો ભાત પણ જોઈએ’. 

pastedGraphic.png

‘ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને બહુલતાવાદી પરંપરાઓમાં કેટલી ઊંડી રચનાત્મકતાઓ  છુપાયેલી છે, જેને આપણે અત્યાર સુધી ઓળખી શક્યા નથી.’

હકુભાઈની ‘માનુષ’ ચિત્રશ્રેણીમાંથી ‘ખુદી કો’ નામનું ચિત્ર પુસ્તકના મુખપૃષ્ઠ પર છે, એમ કલા મરમી અધ્યાપક અજય રાવળ જણાવે છે.

વળી હકુભાઈના ચિત્રોની શ્વેતશ્યામ પ્રતિકૃતિઓ 230 પાનાંના પુસ્તકના અનેક પાનાં પર ગોઠવવામાં આવી છે.

જો કે ઘટનાપૂર્ણ વાચનની દૃષ્ટિએ આ પુસ્તક ગુજરાતીમાં ચિત્રકારોનાં જીવન પરના પુસ્તકોથી જૂદું છે. તે ગંભીર વાચકને સર્જકના મૂર્ત-અમૂર્ત આલોકમાં લઈ જનારી ચિંતનકથા છે.

-X-X-X-X-X-                             

30 એપ્રિલ 2023

-‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

 – ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. મો. 09227055777

– ગૂર્જર સાહિત્ય પ્રકાશન, 102,લૅન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હૉલની સામે, પ્રહ્લાદનગર, અમદાવાદ. મો. 9825268759

[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા પુસ્તક પરિચયનો કેટલાંક ઉમેરણ સાથેનો લેખ, 800 શબ્દો]
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—194

દીપક મહેતા|Opinion - Opinion|30 April 2023

લવ ગ્રોવમા પ્રેમની સુવાસને બદલે ગંદા પાણીની બદબૂ 

રાજાના નામનો બગીચો ને રાજાના નામનો રોડ  

ધનજી ઉવાણે પાય, ભૂપ ભીખંતો દીઠો, 

સુરજી ન દેખે આંખ, બોલતો કડવું મીઠો.

હીરો માણેક, મોતિયો, રતનિયો કથીર દેખે નહિ,

કવિ શામળ કહે સંસારમાં, કારણ નામ રહ્યું કહીં?

યથા નામ તથા ગુણ એવી ઉક્તિ કરતાં ઊંધી વાત અહીં આપણા મધ્યકાલીન કવિ શામળે કરી છે. નામ કરતાં વિપરીત ગુણ, કે ગુણ કરતાં વિપરીત નામ! આપણી ભાષાનાં નવલકથા, નાટક વગેરેમાં ઘણા દાયકાઓ સુધી ગુણ પ્રમાણે પાત્રોનાં નામ આપવાનો ચાલ હતો. જેમ કે, ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથામાં આવતાં શઠરાય, પ્રમાદધન, વિદ્યાચતુર, ગુણસુંદરી, જેવાં નામો. પણ આવાં નામ અપવાદરૂપ હોય. કદાચ શામળની વાત વ્યવહારમાં વધુ સાચી હોય એમ બને.

પણ આજે આ શામળની, ને નામની વાત કેમ? કારણ મુંબઈનું એક નામ, જે એની સ્થિતિ કરતાં સાવ ઊંધું છે. તમે ત્યાં ભલે કદિ ગયા ન હો, પણ રસ્તા પરથી પસાર થતાં નામનું પાટિયું તો જોયું જ હોય: ‘લવ ગ્રોવ પર્જન્ય જલ ઉદંચન કેન્દ્ર’. હકીકતમાં ગંદા પાણીને દરિયામાં વહેવડાવી દેતાં પહેલાં અહીં તેને ‘શુદ્ધ’ કરવામાં આવે છે, અને પછી ઓટને વખતે દરિયામાં વહાવી દેવામાં આવે છે. પણ આવા કેન્દ્રનું નામ ‘લવ ગ્રોવ’ કેમ? અને આ માત્ર કેન્દ્રનું નામ નથી, આખા વિસ્તારનું નામ છે. અને એ નામની પાછળ છે એક પ્રેમકથા.

૧૯મી સદીમાં લવ ગ્રોવ

એક જમાનામાં વરળીની ટેકરી પર ગાઢ જંગલ હતું. એક ખુશનુમા સાંજ. બીજાઓની નજરોથી બચવા એક યુવક અને યુવતી ટેકરીના પગ પાસે, ખાડીનાં પાણીમાં પગ બોળીને બેઠાં હતાં. બંનેને એકબીજા વગર નહોતું કશું દેખાતું, નહોતું કશું સંભળાતું. શું થયું એ તો રામજી જાણે, પણ છોકરી અચાનક પડી ખાડીનાં પાણીમાં. અને એક જોરદાર મોજાએ એને દૂર ફંગોળી. બીજી જ ઘડીએ છોકરાએ પણ પાણીમાં ઝંપલાવ્યું. પોતાની પ્રેમિકાને બચાવવા ઘણા ફાંફાં માર્યાં. પણ વ્યર્થ. બંને ખાડીનાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયાં.

એ જમાનો બ્રેકિંગ ન્યૂસનો નહોતો. એટલે છેક બીજે દિવસે મુંબઈના લોકોને આ વાતની ખબર પડી. કેટલાયે લોકો એ જગ્યા જોવા ઊમટી પડ્યા. અને તેમણે એ જગ્યાનું નામ પાડી દીધું : લવ ગ્રોવ. ૧૮૩૮માં સર રોબર્ટ ગ્રાન્ટ મુંબઈના ગવર્નર બન્યા. તેમણે અહીં ડ્રેનેજ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. ૧૮૪૨માં અહીં પમ્પિંગ સ્ટેશન બન્યું. પેલા જુવાન પ્રેમીઓની કરુણ દાસ્તાન ગવર્નર સાહેબને કાને પડી. અને તેમણે જાહેર કર્યું કે આ ટેકરી, આ પમ્પિંગ સ્ટેશન હવેથી ઓળખાશે લવ ગ્રોવ તરીકે. એ વિસ્તારનું સત્તાવાર નામ તો આજે બદલાઈ ગયું છે. પણ પેલા પમ્પિંગ સ્ટેશનનું નામ તો એનું એ જ છે : લવ ગ્રોવ પમ્પિંગ સ્ટેશન.

તો આ નામ અંગે બીજી પણ એક વાત નોંધાઈ છે. કંપની સરકારના અમલદારો અને સૈનિકો તો મુંબઈના ફોર્ટ કહેતાં કિલ્લાની અંદર રહેતા. પણ એ વખતે અહીં ઘણા અંગ્રેજ વેપારીઓ પણ હતા. તેઓ મઝગાંવ વિસ્તારમાં આવેલા બંગલાઓમાં રહેતા, પોતપોતાની પત્ની અને છૈયાં-છોકરાં સાથે. પણ તેમાંના કેટલાકને દ્વૈતીયિક પ્રેમસંબંધો પણ ખરા. આવા વેપારીઓ મઝગાંવથી ખાસ્સી દૂર આવેલી ટેકરીની તળેટીમાં નાનાં કોટેજ બંધાવતા, અને અવારનવાર ત્યાં પ્રેમાલાપ કરતા. તેથી એ જગ્યાનું નામ પડ્યું લવ ગ્રોવ. પણ પછી વખત જતાં અહી બંધાયું ગંદા પાણીને, વરસાદના પાણીને શુદ્ધ કરવાનું કેન્દ્ર. આખા વિસ્તારમાં પ્રેમને બદલે પથરાતી થઈ જાતજાતની દુર્ગંધ. એ કેન્દ્ર સાથે તો ‘લવ’ જોડાયો, પણ ત્યાંના એક રસ્તાને પણ નામ મળ્યું વરળી લવ ગ્રોવ પમ્પિંગ સ્ટેશન રોડ! ખરું જોતાં એનું નામ પાડવું જોઈતું હતું ‘પુષ્કળ દુર્ગંધ રોડ.’

થોડા વખત પહેલાં એક મિત્રે વાતવાતમાં પૂછેલું : મુંબઈના રસ્તા અને ઇમારતો સાથે અંગ્રેજો સ્ત્રીઓનાં નામ જોડતા કે નહિ? એ વખતે તો થોડાં નામ સૂઝેલાં : વિક્ટોરિયા ટર્મિનસ, વિક્ટોરિયા ગાર્ડન, ક્વીન્સ રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ. એવું એક વધુ નામ તે લેડી હાર્ડિન્જ રોડ. એ વખતની બી.બી.સી.આઈ. રેલવેના માટુંગા સ્ટેશનના ફાટકથી લેડી જમશેદજી રોડ થઈને માહિમ બજાર રોડ સુધીનો ૬૦ ફૂટ પહોળો રસ્તો ૧૯૧૪માં બંધાયો. એ વખતના મ્યુનિસિપલ કમિશનર પી.આર. કેડલે આ વાત સત્તાવાર રીતે ૧૯૧૪ના સપ્ટેમ્બરની ૨૩મી તારીખે જણાવી. એ વખતે ૩,૧૦૦ ફૂટ લાંબા આ રસ્તા પર લાઈટના થાંભલા ખોડવાનું કામ ચાલુ હતું. આ કામ પૂરું થાય એટલે રસ્તો લોકો માટે ખુલ્લો મૂકાશે એમ કમિશનરે જણાવ્યું. તેમણે એમ પણ ઉમેર્યું કે આ રસ્તાના બંને છેડાને આગળ લંબાવવાની પણ યોજના છે. તેમને મતે મુંબઈના બધા રસ્તાઓમાં આ રસ્તો સૌથી વધુ સુંદર હતો. અને પછી તેમણે દરખાસ્ત રજૂ કરી કે આ રસ્તાની સાથે લેડી હાર્ડિન્જનું નામ જોડવું જોઈએ. અને એ દરખાસ્ત સર્વાનુમતે પસાર થઈ.

લેડી હાર્ડિન્જ

પણ આ લેડીસાહેબા હતાં કોણ? એ વખતની મુંબઈ સરકારમાં કોઈ સ્ત્રી ઊંચા હોદ્દા પર પહોંચી હોય એવું તો જાણવા મળતું નથી. આ લેડીસાહેબાના પિતા અને પતિ બંને હતા ‘લોર્ડ’. પિતાનું નામ લોર્ડ એલિંગ્ટન. ૧૮૬૮માં જન્મ. ૧૮૯૦માં લગ્ન કર્યાં લોર્ડ હાર્ડિન્જ સાથે. આ લોર્ડસાહેબ ૧૯૧૧થી ૧૯૧૬ સુધી હિન્દુસ્તાનના વાઈસરોયના પદે રહ્યા હતા. લેડી હાર્ડિન્જ મુંબઈની મુલાકાતે આવેલાં, પણ તે પછી થોડા જ વખતમાં, ૧૯૧૪ના જુલાઈમાં, તેમનું અવસાન થયું. એટલે આ રસ્તા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું. દિલ્હીમાં તેમના નામની કોલેજ આવેલી છે, લેડી હાર્ડિન્જ મેડિકલ કોલેજ, જે ફક્ત સ્ત્રીઓ માટેની જ કોલેજ છે. જ્યારે હિન્દુસ્તાનનું પાટનગર દિલ્હી ખસેડવામાં આવ્યું ત્યારે જ લેડીસાહેબાએ નક્કી કર્યું હતું કે અહીં સ્ત્રીઓને મેડિકલ શિક્ષણ આપવા માટે ખાસ કોલેજ હોવી જોઈએ. ૧૯૧૪ના માર્ચની ૧૭મીએ લેડી હાર્ડિન્જે જ તેના મકાનનો પાયો નાખેલો. ત્યારે એ કોલેજને નામ આપેલું ક્વીન મેરી કોલેજ એન્ડ હોસ્પિટલ. પણ પછી ૧૯૧૪ના જુલાઈની ૧૧મી તારીખે લેડી હાર્ડિન્જનું અવસાન થયું. ક્વીન મેરીએ પોતે ખાસ સંદેશો મોકલ્યો કે આ હોસ્પિટલ સાથે મારા નામને બદલે લેડી હાર્ડિન્જનું નામ જોડાય તે જ યોગ્ય ગણાય. એટલે ૧૯૧૬ના ફેબ્રુઆરીની સાતમી તારીખે જ્યારે વાઈસરોય લોર્ડ હાર્ડિન્જે તેનું ઉદ્ઘાટન કર્યું ત્યારે નામ બદલીને રાખવામાં આવ્યું લેડી હાર્ડિન્જ કોલેજ.

કવિ કાન્તના ‘વસંતવિજય’ નામના ખંડકાવ્યમાં એક પંક્તિ આવે છે :

નહિ રાજાજીનો હુકમ પણ પાછો કદિ ફરે.

પણ રાજાજીની પરવાનગી માગી હોય, છતાં તેમનો હુકમ આવે જ નહિ, આવે જ નહિ, તો શું કરવાનું? તેમણે હુકમ કર્યો છે એમ માનીને આગળ ચાલવાનું. આવું જ કૈંક બન્યું હતું બોમ્બે ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ સાથે. ૧૯૧૧ના એપ્રિલની ૨૦મી તારીખે તેની મિટિંગમાં ચેરમેને દાદર-માટુંગા સ્કીમની વિગતવાર ચર્ચા કરી. વિન્સેન્ટ રોડ પર એક ગોળાકાર બગીચો બનાવવા અંગે, ત્યાંથી છેક ક્રાફર્ડ માર્કેટ સુધી ૧૫૦ ફૂટ પહોળો રસ્તો બાંધવા વિષે, જણાવ્યું. અને પછી દરખાસ્ત રજૂ કરી કે આ રસ્તા સાથે નામદાર મહારાજા પંચમ જ્યોર્જનું નામ જોડવું. પણ કોઈએ સવાલ કર્યો કે મહારાજાની અનુમતિ વગર આપણે આ રીતે તેમનું નામ કોઈ રસ્તા અને ગાર્ડન સાથે જોડી શકીએ ખરા? એટલે ‘પ્રોપર ચેનલ’ દ્વારા પંચમ જયોર્જની અનુમતિ માટે અરજ ગુજારવામાં આવી. પણ શું આજની કે શું ગઈ કાલની, શું અહીંની કે શું તહીંની, સરકારો બધી સરખી. ડાઈનોસોરની જેમ હલનચલન મહામુશ્કેલીએ કરે. એટલે નેક નામદારની પરવાનગીની રાહ જોઈ જોઈને ટ્રસ્ટ તો થાક્યું. છેવટે વિચાર્યું કે આપણે તો નેક નામદારને માન જ આપવું છે ને! એટલે આગળ વધો. ૧૯૧૬માં સરસ મજાનો ગોળ બગીચો બનાવ્યો તેને નામ આપ્યું કિંગ્સ સર્કલ ગાર્ડન. ત્યાંથી ક્રાફર્ડ માર્કેટ સુધીનો રસ્તો તો નહિ, પણ એલ્ફિન્સ્ટન રોડ પરના જૂના ટ્રામ ટર્મિનસ સુધીના રસ્તાને નામ આપ્યું કિંગ્ઝ વે. એ વખતની જી.આઈ.પી. રેલવેની હાર્બર લાઈન પરના નજીકના સ્ટેશનનું નામ પણ કિંગ્ઝ સર્કલ. આ સ્ટેશન અને માટુંગા સ્ટેશન સાવ નજીક. પણ માટુંગા મેન લાઈન પરનું સ્ટેશન.

વિહંગ દૃષ્ટિએ આજનું કિંગ્ઝ સર્કલ

૧૯૪૭ પછી ધીમે ધીમે અંગ્રેજોનાં નામ હટાવવાની અને નવાં નામ આપવાની શરૂઆત થઈ. ૧૯૬૨ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે કિંગ્ઝ ગાર્ડનનું નવું નામ પડ્યું, બી.એન. માહેશ્વરી ઉદ્યાન. આ નવા નામની તકતી મોરારજી દેસાઈને હાથે મૂકાઈ હતી. એ વખતે તેઓ કેન્દ્રીય સરકારમાં નાણાં મંત્રી હતા. એ વાતને લગભગ ૬૦ વરસ થયાં, પણ આજે ય મુંબઈના ઘણા લોકો તો આ જગ્યાને કિંગ્ઝ સર્કલ તરીકે જ ઓળખે છે. અને હજી સુધી તો સેન્ટ્રલ રેલવેએ સ્ટેશનનું નામ બદલ્યું નથી. પણ ન જાણ્યું જાનકી નાથે, સવારે શું થશે કાલે!

પણ જેનું નામ તેનો નાશ નક્કી છે. એટલે જ નરસિંહ મહેતા કહી ગયા છે : ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં. એટલે રસ્તાનાં નામ બદલાય તેનો ઝાઝો હરખશોક કરવો નહિ. ગઈ કાલે જે નામ હતું તે આજે નથી. આજે છે તે આવતી કાલે હશે કે નહિ તે કોઈ કહી શકે તેમ નથી. તો ફરી જઈએ શામળભટ્ટ પાસે.

જે નામ તેહનો નાશ છે, ધર્મ જ એવો ધારવો,

કવિ શામળ કહે મૂરખ કરે ગંદી દેહનો ગારવો.

જે જાયું તે જાય, ફૂલ ખીલ્યું તે ખરશે,

ભર્યું તેહ ઠલવાય, ચઢ્યું તે તો ઊતરશે. 

લીલું તે સૂકાય, નવું તે જૂનું થાશે,

આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 29 એપ્રિલ 2023)

Loading

...102030...1,1881,1891,1901,191...1,2001,2101,220...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved