Opinion Magazine
Number of visits: 9458351
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પ્રકાશ’ બંગલાની યાદો …. પ્રકાશ ન. શાહનું નવું સરનામું વાંચતા

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|25 November 2022

‘પ્રકાશ’ બંગલો એ માત્ર બંગલો નહીં, ઘર નહીં, પણ  ઉજાસ અને ઉમળકાભર્યું એક વાસ્તુ.

‘પ્રકાશ’ બંગલો એ હંમેશાં ખુલ્લો હોય, ક્યારે ય બંધ જ ન હોય, બંધ થવાનો પણ ન હોય એવું ભાસતું. એનો નાનકડો ઝાંપો તો ખરેખર જ પૂરો બંધ ન થતો. આવડા મોટા બંગલાનો મસમોટો વરંડો, પણ જાળી-બાળીનું નામ નહીં. કોટ પણ ઓછી ઊંચાઈવાળો. ઉભયને અને અભયને વરેલા દંપતીને અસલામતીનો કોઈ અહેસાસ નહીં, સલામતીની જરૂર નહીં.

તસવીર સૌજન્ય : ઉર્વીશ કોઠારી

‘પ્રકાશ’ બંગલા સાથે ઘણાં બધાંની જેમ મારી પણ યાદો સંકળાયેલી છે. એક ખાસ યાદ : સવારે પોણા સાત-સાતના સુમારે ‘નિરીક્ષક’ના તંત્રીને ત્યાં ઓટલા પર પડેલી નેતરની ગોળ ખુરશીમાં ‘મૅટર’ – લેખ મૂકીને, પછી એચ.કે. આર્ટસ કૉલેજ જતો.

આમ કરવું  — સ્કૂટર બંગલાની બહાર ઊભું રાખવું, ખુલ્લા જ ઝાંપાને સહેજ ધકેલીને અંદર જવું, લેખના કાગળો મૂકવા, બહાર નીકળવું  — બહુ  સરળ, સહજ અને સંતોષ આપનારું હતું ક્યારેક પ્રકાશભાઈ છાપું (એટલે કે છાપાં) વાંચતા દિસે, હંમેશના મલકંત મુખે. લોકો મંદિરે દર્શન કરીને કામે જાય. હું લેખ આપવા ‘પ્રકાશ’ બંગલે જતો. અત્યારના રહેઠાણનું નામ ‘સંસિતા’ પ્રકાશભાઈએ પાડેલું નથી છતાં સમજાતું નથી !

એક વાર સવારે કૉલેજ જતાં મીઠાખળી છ રસ્તે નાનકડો અકસ્માત થયો. અકસ્માત ગંભીર નહીં, પણ માથે મૂઢ માર વાગ્યો એટલે હું ડરી ગયો હતો, ચક્કર  આવવા જેવું લાગવા માંડ્યું.

એ વખતે 108 એમ્બ્યુલન્સ સેવા ન હતી, અને હું ભાનમાં પણ હતો. એટલે સ્કુટર ચલાવીને પ્રકાશભાઈને ત્યાં પહોંચ્યો હતો. જઈને આડા પડીને આરામ કરેલો. નયનાબહેને હોમિયોપાથીની અર્નિકાની ગોળીઓ પણ આપેલી. પણ બેમાંથી કોઈએ બિનજરૂરી ચિંતા કે દોડધામ કરી ન હતી. બિલકુલ સ્વસ્થ રહ્યાં અને મને પણ સ્વસ્થ રાખેલો.

પ્રકાશભાઈના જન્મદિવસે અમારું ગ્રુપ (ચંદુભાઈ, ઉર્વીશ, કેતન, દિવ્યેશ,બિનીત, આશિષ, આરતી અને અન્ય) પ્રકાશભાઈને ત્યાં બપોરે જમવાનું ગોઠવતા – હૅવમોરનું પૅક્ડ લન્ચ. આઇસક્રીમ પ્રકાશભાઈ ખવડાવતા.

ઘરના સ્વચ્છ, સુંદર, આરામદાયક ઉજાસભર્યા દિવાનખાનાના કૉર્નર પીસ પર નવાં પુસ્તકો હોય તેમનું ખૂબ આકર્ષણ રહેતું. ક્યારેક પ્રકાશભાઈ અંદરથી બહાર આવવાની વાર હોય તો એકાદ પુસ્તક ચોરી લેવાની લાલચે ય થતી.

ખબર નહીં કેમ, પણ એ દિવાનખાનામાં બહુ સારું લાગતું. શ્વેતોજ્જ્વલ ‘બહેન’ (પ્રકાશભાઈના માતુ:શ્રી)ને પણ એ જ દિવાનખાનામાં જોયાં છે. ‘તમારો લેખ વાંચ્યો’ એવું પણ એમણે મને એક કરતાં વધુ વખત કહ્યું હોવાનું યાદ છે. વિપુલભાઈ(કલ્યાણી)ને પણ પહેલવહેલી વાર અને પછી પણ અહીં જ મળ્યો છું. ચી.ના. પટેલ પ્રકાશભાઈના પાછળના જ બંગલામાં રહે છે એ હકીકત જાણી ન જાણે  કેમ પણ મને ઘણી મજા પડેલી.

‘દર્શક’ ને પણ પહેલી વાર નજીકથી ‘પ્રકાશ’ બંગલાના બેઠકખંડના સોફા પર જોયા હતા.  મુગ્ધ ક્ષણોમાં હજુ પણ એમ થાય  કે જેમને ત્યાં સ્વામી દાદા (સ્વામી આનંદ) પણ કદાચ દેખાઈ ગયા હોત એવું અમદાવાદનું મારા પરિચયનું આ એક જ ઘર. કોવીડ-વર્ષના જાન્યુઆરી પછી ‘પ્રકાશ’ બંગલામાં જવાનું થયું જ નહીં.

પણ બીજી એક યાદ પાકી છે – એ બંગલામાં મસમોટા વરંડાની સામે એક નાનકડું આંગણું, એક નાનકડો હિસ્સો હતો જેમાં માટી હતી, અને એ મોટે ભાગે ભીની રહેતી. એ માટી બધાં વર્ષો અકબંધ હતી. તેની પર સિમેન્ટ કૉન્ક્રિટ ક્યારે ય થયું નહીં!

સવાર સિવાયના સમયે ગયો હોઉં, અને કામ પૂરું કરીને હું બહાર નીકળું ત્યારે પ્રકાશભાઈ એમને સમય હોય તો ઝાંપા સુધી મૂકવા આવતા, ઝાંપે પણ ઊભા રહીને વાતો થતી. ક્યારેક તો વળી હું હેલ્મેટ પહેરીને સ્કુટરને કિક મારીને નીકળું ત્યાં સુધી વાતો ચાલતી.

[નવું સરનામું : B 302, સંસિતા પ્રથમ, મંગલ વિદ્યાલય પાસે, મહારાષ્ટ્ર સોસાયટી, મીઠાખળી, અમદાવાદ 380 006]

24 નવેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

આપણને કોઈ મૂરખ બનાવી શકે એમ નથી, આપણે છીએ જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 November 2022

ચૂંટણી સભાઓ, રોડ શો અને રાજકીય વચનોનાં માહોલમાં આપણે ખેંચાઈ રહ્યાં છીએ ને કોને મત આપવો એની ગડમથલમાં દિવસો કાઢીએ છીએ. બધાં જ રાજકીય પક્ષો આપણને જાતભાતનાં વચનો આપીને ભરમાવી રહ્યા છે. નેતાઓ વાયદાઓ કરે છે. એ વાયદાઓ આપણે યાદ રાખવાના ને ફાયદાઓ એમણે યાદ રાખવાના. આગલી ચૂંટણીઓમાં કેટલું કહેલું અને એમાં કેટલું થયું તે એ લોકોને નથી ખબર, આપણને ખબર છે, એવું જ આ વખતે પણ ખરું. સુરતની જ વાત કરીએ તો અગાઉનાં કોઈ ભા.જ.પી. કેન્દ્રીય બજેટમાં સુરતને વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની વાત થયેલી. ભા.જ.પ.ના પ્રદેશ પ્રમુખ સુરતના છે ને રેલવે મંત્રી પણ સુરતના છે, છતાં તેમાં કેટલું થયું તે આજનું સ્ટેશન જોવાથી સમજાય એમ છે. તે પછી તો ગાંધીનગર રેલવે સ્ટેશન આંતરરાષ્ટ્રીય સ્તરે ડેવેલપ થયું. ઠીક છે, એવું બધું તો ચાલ્યા કરે. નેતાઓના વાયદાઓને માનવાના ન હોય તે તો છોકરું ય જાણે છે.

એ પણ જવા દો, સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકાર પર ભરોસો નથી એવું આજે જ ચૂંટણી કમિશનરની નિમણૂક સંદર્ભે કહેવાયું છે. શંકા પડે એવું છે જ. વાત એવી છે કે હાલ જે ચૂંટણી કમિશનર નીમાયા તે અરુણ ગોયલ વિષે સુપ્રીમને એ વાતે શંકા પડી છે કે ગુરુવારે ગોયલને વી.આર.એસ. મળ્યું, શનિવારે એમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થઈ અને સોમવારે તો તેમણે પદ સંભાળી પણ લીધું. આટલો ઝડપી વિકાસ સુપ્રીમને પણ પચાવવાનું અઘરું થયું એટલે તેણે સરકાર પાસેથી ગોયલની ફાઇલ જોવા માંગી છે. સુપ્રીમને તો એવા ચૂંટણી કમિશનરની અપેક્ષા છે જે વખત આવ્યે વડા પ્રધાનને ય પડકારી શકે. એવા તો મળે ત્યારે ખરા ! જો કે, સુપ્રીમની ચકાસણી વાજબી છે. ચૂંટણી કમિશનર તો સ્વતંત્ર અને સ્વાયત્ત જ હોવા ઘટે. આમ પણ નબળા વિપક્ષને કારણે લોકશાહી ડામાડોળ થઈ જ છે, ત્યાં ચૂંટણી કમિશનર પણ સ્વાયત્ત ન હોય તો લોકશાહી જેવું જ કેટલું ટકે?

આમાં નાગરિક તરીકે જવાબદાર આપણે પણ છીએ. આપણે ફોગટિયાં સંસ્કૃતિથી એટલાં લલચાયાં છીએ કે બધું મફતનું જ શોધીએ છીએ. ડિસ્કાઉન્ટ, ફ્રી અને એક્સચેન્જ ઓફરોથી છેતરાઈએ છીએ. કોઈ કૈં મફત આપવાનું કહે છે કે આપણી લાળ ટપકવા માંડે છે. કોઈ પક્ષ કહે કે અમે બે વડા પ્રધાન આપીશું. એક પર એક ફ્રી ! તો, તેનો ય વાંધો નથી, કારણ આપણને કોઈ વાતે ફેર જ નથી પડતો. મૂરખ બનવા આપણે કાયમ તત્પર હોઈએ છીએ. જેમ એક પર એક ફ્રીનું છે એવું જ રાજકીય વાયદાઓનું પણ છે. તે આગલા અનુભવો પરથી સમજાવું જોઈએ. સાચું તો એ છે કે સામે પક્ષે બધા જ સાચા હોવાનો દાવો કરનારા છે, ત્યારે આપણો વિવેક કામે લગાડવાનો રહે. આપણે કાઁગ્રેસનું શાસન જોયું છે, બી.જે.પી.નું જોઈ રહ્યાં છીએ ને આપને તક જોઈએ છે. આપણે એટલું પણ સમજી લઇએ કે આ બધા જ વેપારીઓ છે ને વેચવા ઊભા છે. એ કૈં આપે કે ન આપે, આપણે મત આપવાનો છે. એ વેચવો કે આપવો એ આપણે નક્કી કરવાનું છે. વાત આટલેથી જ અટકતી નથી. ગુજરાતનાં પરિણામોનો પડઘો કેંદ્રમા ય પડવાનો છે તે ભૂલવા જેવું નથી.

એ સંદર્ભે વિચારીએ તો હાલ ગુજરાતમાં ભા.જ.પ.ની સરકાર છે, કેન્દ્રમાં પણ ભા.જ.પ.ની સરકાર છે ને તે પાય એટલું જ પાણી ગુજરાત પીએ છે. ડબલ એન્જિન જોડ્યા વગર ગુજરાતની ગાડી દોડે એમ નથી. ગુજરાતમાં અને કેન્દ્રમાં કાઁગ્રેસની સરકાર લાંબો સમય રહી. કાઁગ્રેસના સમયમાં જ ભ્રષ્ટાચાર શરૂ થયો ને તેનો છેડો હજી આવ્યો નથી. વડા પ્રધાનની ખાતો નથી – વાળી વાત સાચી, પણ ખાવા દેતો નથી – વાળી વાત ખોટી છે. ગુજરાતમાં 27વર્ષ અને કેન્દ્રમાં 8 વર્ષ પહેલાં કાઁગ્રેસ સત્તા ભોગવી ચૂકી છે, પણ તેણે બહુ ઝડપથી પોતાનો પ્રભાવ ગુમાવ્યો છે. એ સાથે જ દિલ્હી અને પંજાબમાં આપને શાસનની તકો ઊભી થઈ છે. એવી તક તે ગુજરાતમાં શોધે છે. સુરત કોર્પોરેશનથી તેણે શરૂઆત કરી છે. તેની સ્વસ્થતા વધે તો કાઁગ્રેસની ઢીલાશ, આપને વિધાનસભા સુધી લઈ જાય એમ બને.

અનેક વાંધાઓ છતાં ભા.જ.પ.નું ગુજરાત અને કેન્દ્રમાં થયેલું કામ અવગણી શકાય એમ નથી. નોટબંધી ને લોકડાઉન જેવામાં ભા.જ.પ. સરકારે ઉતાવળ કરી છે, તો કોરોના વખતે કરોડો લોકોને સરકારે મફત રસી આપી, એટલું જ નહીં, વિદેશ પણ મોકલી. આ નાનું કામ નથી, એ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી જેવાં કામો નજર અંદાજ કરી શકાય નહીં. વડા પ્રધાને ભારતનું વિદેશમાં જે વર્ચસ્વ ઊભું કર્યું છે તે ઐતિહાસિક છે. વીજળી, પાણી, રસ્તા, ટેક્નોલોજી અને અનેક પ્રોજેકટોની બાબતે પણ નોંધપાત્ર કામ થયું જ છે, પણ પક્ષમાં અસંતોષ, મોંઘવારી અને બેરોજગારીને મુદ્દે સરકાર બેક ફૂટ પર છે. ગરીબોને સહાય મળે છે, પણ કામની, રોજગારીની બાબતે તેમની સ્થિતિ હજી કાળજી માંગે છે. ઘણીવાર એમ પણ લાગે છે કે દેશ ઉદ્યોગપતિઓના હાથમાં છે અથવા સરકાર ઉદ્યોગપતિઓના હાથમાં છે. મોંઘવારી વધારવામાં એમનો હાથ છે ને સરકારે એમના પર નિયંત્રણો મૂકવાની જરૂર છે. અબજો રૂપિયા બેન્કોના ડુબાડીને એન.પી.એ. વધારવામાં ને વિદેશ ભાગી જવામાં ઉદ્યોગપતિઓએ આડો આંક વાળ્યો છે. દેશના કરોડો રૂપિયા લોન માફીમાં વેડફાયા છે. દેવા માફી અમીરોની પણ હોય એ તો આ જ દેશમાં બને. પૈસા કરતાં પણ પ્રમાણિકતાનો અભાવ દેશને વધારે હાનિ પહોંચાડી રહ્યો છે. દેશનો ગરીબ જેટલો પ્રમાણિક છે, એટલો અમીર નથી તે દુ:ખદ છે.

એમાં સૌથી વધુ કફોડી સ્થિતિ તો મધ્યમ વર્ગની છે. અમીરોને મોંઘવારી નડતી નથી, ગરીબોનું સહાય પર નભી જાય છે, પણ મધ્યમ વર્ગ કશીયે મદદ વગર પગાર પર નભે છે. મોંઘવારી વધે છે એ ઝડપે પગાર કે ભથ્થાં વધતાં નથી. કોઈ પણ કોર્પોરેટર એકાદ વર્ષમાં કરોડપતિ થઈ જાય છે. એટલી ઝડપે મધ્યમ વર્ગની આવક વધતી નથી. તેનો પગાર, ટેક્સ કપાયા પછી હાથમાં આવે છે. એને અપ્રમાણિક થવાની તકોયે ઓછી છે. બીજું બધું જવા દઇએ, માત્ર પેટ્રોલનો જ વિચાર કરીએ તો 2014માં પેટ્રોલ 66 રૂપિયે અને ડિઝલ 50 રૂપિયે લિટર હતું, તે 8 વર્ષમાં 100નીયે પાર પહોંચ્યું. એને લીધે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું, પરિણામે ઘણી વસ્તુઓ મોંઘી થઈ. લોન સસ્તી થઈ તે સાથે ડિપોઝિટના રેટ પણ ઘટયા. એની અસર સિનિયર્સની આવક પર પડી ને તેમને ઓછી આવકમાં વધુ મોંઘવારીનો સામનો કરવાનો આવ્યો. એનું પેન્શન અપડેટ થતું નથી ને એ આઉટ ઓફ ડેટ થતો જાય છે. એની સામે આવકવેરાનો સ્લેબ અઢી લાખ અને સિનિયર્સનો ત્રણ લાખ 2014થી એમનો એમ જ છે. 2014માં મોદી સરકારનું પહેલું બજેટ આવ્યું ત્યારે નાણાં મંત્રી અરુણ જેટલીએ આવકવેરાનો સ્લેબ બે લાખથી વધારીને અઢી લાખ અને સિનિયર્સ માટે ત્રણ લાખ કરેલો, તે પછી બધું જ વધ્યું, પણ સ્લેબ વધ્યો નથી. દૂધને ત્રણ ચાર મહિને બબ્બે રૂપિયા વધવાની ટેવ પડી છે, પણ આવકવેરાનો સ્લેબ હતો ત્યાં જ સ્થિર છે. પ્રજા પણ સ્થિર છે. તે પ્રચારમાં ટોળે વળે છે, પણ દૂધ મોંઘું થાય છે તો ચુમાઈને બેસી રહે છે.

આપણી કેન્દ્ર સરકારને ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગ વિષે ગેરસમજો ઘણી છે. તે 6થી 18 લાખની આવકવાળાને નિમ્ન મધ્યમ વર્ગમાં મૂકે છે, તો 8 લાખની આવકવાળાને ગરીબ ગણે છે. નાણાં મંત્રીએ 2021માં મિડલ ઇન્કમ હાઉસિંગ સ્કિમ માર્ચ, 2021 સુધી લંબાવતાં કહેલું કે એનો લાભ જેમની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખની વચ્ચે છે તે લોઅર મિડલ ક્લાસને મળશે. તેમણે વધુ સ્પષ્ટતા કરતાં ઉમેરેલું કે જે ગરીબી રેખાની ઉપર છે એવા નિમ્ન મધ્યમ વર્ગને આ લાભ મળશે. છેને કમાલ ! 6 લાખવાળો નિમ્ન મધ્યમ વર્ગમાં અને 8 લાખવાળો ગરીબ વર્ગમાં.

મદ્રાસ હાઇકોર્ટની જસ્ટિસ આર. મહાદેવન્‌ અને જસ્ટિસ સત્ય નારાયણ પ્રસાદની બેન્ચે કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને પુછાવ્યું છે કે 8 લાખની આવક ધરાવનાર નબળા વર્ગમાં આવતો હોય તો તેની પાસેથી આવકવેરો કેમ વસૂલાય છે? અઢી લાખથી વધુ આવકવાળો ગરીબ ગણાતો નથી ને તેની પાસેથી આવકવેરો વસૂલાય છે, જ્યારે 8 લાખની આવકવાળો ગરીબ ગણાય છે. મદ્રાસ હાઇકોર્ટમાં એક અરજી આવી છે, જેમાં આવકવેરાની હાલની જોગવાઈને પડકારવામાં આવી છે. અરજી મુજબ આવકવેરા વસૂલાત માટે સ્લેબ અઢી લાખનો છે ને ઇકોનોમિકલી વીકર સેકશન (EWS) માટેની વાર્ષિક આવક મર્યાદા 8 લાખ નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ 103માં બંધારણીય સુધારા બિલની કાનૂની માન્યતાને સમર્થન આપ્યું છે જેમાં EWS માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે ને એની આવક મર્યાદા આઠ લાખ નક્કી કરવામાં આવી છે. આ વિસંગતતા મદ્રાસ હાઇ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે ને કોર્ટે તેનો જવાબ કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો છે. અરજદારે 8 લાખથી ઓછી આવકવાળા તમામને આવકવેરાના દાયરામાંથી બહાર રાખવા આ અરજી કરી છે. આ મુદ્દો ખરેખર વિચાર માંગે એવો છે. સરકાર પોતે જ જો 8 લાખની આવકવાળાને આર્થિક રીતે નબળા ગણતી હોય તો તે અઢી લાખથી આઠ લાખની વચ્ચેની આવકવાળા ગરીબો પાસેથી ટેક્સ વસૂલી કઇ રીતે શકે? સરકારે આ મુદ્દે ફેર વિચારણા કરીને નવાં કેન્દ્રીય બજેટમાં આવકવેરાનો સ્લેબ ઓછામાં ઓછો આઠ લાખ કરવો જોઈએ. એ ન કરે તો પ્રજા તરીકે આપણે તેને ફરજ પાડવી જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 નવેમ્બર 2022

Loading

રાજશ્રી પ્રોડક્શનની ‘દોસ્તી’ની ‘ઊંચાઈ’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 November 2022

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, ડેની ડેન્જોગ્પા અને બોમન ઈરાની એમ ચાર મિત્રોના પ્રેમ અને સાહસની વાર્તા લઈને આવેલી ફિલ્મ ‘ઊંચાઈ’ આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મના નિર્દેશક સૂરજ બડજાત્યા છે અને તેમની ફિલ્મ નિર્માણ કંપની રાજેશ્રી પ્રોડકશન આ વર્ષે તેની સ્થાપનાનાં 75 વર્ષ પણ પૂરાં કરે છે. રાજેશ્રી પ્રોડકશન પારિવારિક મનોરંજન અને મૂલ્યો માટે જાણીતી છે. જીવન મૃત્યુ, પિયા કા ઘર, ચિત્તચોર, દુલ્હન વહી જો પિયા મન ભાવે, અખિયોં કે ઝરોખો સે, સારાંશ, મૈને પ્યાર કિયા, હમ આપ કે હૈ કૌન જેવી ફિલ્મો દ્વારા રાજેશ્રીએ ભારતીય ફિલ્મ દર્શકોમાં એક ઈજ્જતભર્યું સ્થાન ઊભું કર્યું છે.

રાજેશ્રીની ફિલ્મોમાં લગ્નો, તહેવારો, રીત-રિવાજો, પારિવારિક પ્રસંગોનું એક અનોખું સ્થાન છે અને એ ફિલ્મો જોઇને મોટા થયેલાં ચાહકોને ‘ઊંચાઈ’ રાજેશ્રીની ‘લિક સે હટકે’ ફિલ્મ લાગે, પરંતુ આગલી પેઢીના દર્શકોને યાદ હશે કે રાજેશ્રીની બીજી જ ફિલ્મ (1962માં આવેલી પહેલી ફિલ્મ ‘આરતી’ વિશે આપણે તાજેતરમાં જ અહીં વાંચી ગયા છીએ) ‘દોસ્તી’માં પણ બે મિત્રોના પ્રેમ અને હમદર્દીની વાર્તા હતી. એટલે એવું કહી શકાય કે રાજેશ્રી પ્રોડકશને તેના 75માં વર્ષમાં ફરીથી એ જ વિષયને છેડ્યો છે જે તેણે 1964માં ‘દોસ્તી’ ફિલ્મમાં છેડ્યો હતો.

અને કેવો છેડ્યો હતો! 1965ના છ ફિલ્મફેર પુરષ્કાર ‘દોસ્તી’ લઇ ગઈ હતી; શ્રેષ્ઠ ફિલ્મ- તારાચંદ બડજાત્યા (સૂરજના દાદા), શ્રેષ્ઠ સંગીત – લક્ષ્મીકાંત-પ્યારેલાલ, શ્રેષ્ઠ વાર્તા – ગોવિંદ મૂનિસ, શ્રેષ્ઠ ગાયક કલાકાર – મહોમ્મદ રફી (ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે) અને શ્રેષ્ઠ ગીતકાર – મજરૂહ સુલતાનપૂરી (ચાહૂંગા મેં તુજે સાંજ સવેરે). શ્રેષ્ઠ નિર્દેશકની કેટેગરીમાં ‘દોસ્તી’ના નિર્દેશક સત્યન બોઝનું નોમીનેશન પણ હતું, પરંતુ ‘સંગમ’ માટે રાજ કપૂર એમાં મેદાન મારી ગયા હતા.

1964માં બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડનારી ટોપ ટેન ફિલ્મોમાં ‘દોસ્તી’ ત્રીજા નંબરે હતી. તેની આગળ અનુક્રમે ‘સંગમ’ અને ‘આયી મિલન કી બેલા’ હતી. બે બાળ કલાકારો, સુશીલ કુમાર અને સુધીર કુમાર અભિનીત આ ફિલ્મને દર્શકોએ અનહદ પ્રેમ કર્યો હતો. પાછળથી આ બંને કલાકરો ખોવાઈ ગયા હતા. બંનેને લઈને તેમની હત્યા, અકસ્માત, અન્ડરવર્લ્ડ કનેક્શન વગેરે જેવી અનેક અફવાઓ ફેલાઈ હતી, પણ એ એવા ખોવાઈ ગયા કે કોઈની પાસે તેમની સાચી માહિતી નહોતી. તેમની સાથેનો બીજો એક કલાકાર આગળ જઈને મોટો સ્ટાર બન્યો; એ ફિરોઝ ખાનનો ભાઈ સંજય ખાન હતો.

કોઈ જ મોટા સ્ટાર વગર, બે સાવ નવા નિશાળિયા એક્ટરને લઈને માત્ર મર્મસ્પર્શી વાર્તા અને મધુર સંગીતના દમ પર એક સુપરહીટ ફિલ્મ કેવી રીતે બને એ જો કોઈએ શીખવું હોય તો ‘દોસ્તી’ને જોવી-જાણવી જોઈએ.

ભારતને આઝાદી મળી તે જ દિવસે, 15મી ઓગસ્ટ 1947ના રોજ મુંબઈમાં “રાજશ્રી” નામની ફિલ્મ ડિસ્ટ્રબ્યૂશન કંપની શરૂ કરનારા મારવાડી બિઝનેસમેન તારાચંદ બડજાત્યાએ 1962માં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું, ત્યારે ‘આરતી’ માટે તેઓ નવોદિત કલાકારોની તલાશમાં હતા, પણ નવા ધંધામાં પૈસે-ટકે ભરવાઈ ન જવાય તેવી બીકમાં તેમણે મીના કુમારી, પ્રદીપ કુમાર અને અશોક કુમાર જેવા ધરખમ સ્ટાર સાથે ફિલ્મ બનાવી. ફિલ્મ ઠીકઠાક ચાલી અને તેનાં ગીતો પણ (“કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોં કી મંજિલ, રાહી …” અને “અબ ક્યા મિશાલ દૂં મૈં તેરે શબાબ કી, ઇન્સાન બન ગઈ હૈ કિરણ મહેતાબ કી”) પણ મશહૂર થયાં એટલે તારાચંદને હિમ્મત આવી અને બે વર્ષ પછી અજાણ્યા કલાકારોવાળી ‘દોસ્તી’ લઈને આવ્યા. એ બે ફિલ્મોથી, રાજેશ્રી પ્રોડક્શનની ફિલ્મ હોય એટલે તેનું સંગીત ઉત્કૃષ્ઠ જ હોય એવો શિરસ્તો બેસી ગયો, જે ‘ઊંચાઈ’માં જળવાઈ રહ્યો છે.

‘દોસ્તી’માં કુલ છ ગીતો હતાં; પાંચ મહોમ્મદ રફીના અવાજમાં અને એક લતા મંગેશકરના અવાજમાં. એમાં ચાર ગીતો અત્યંત લોકોપ્રિય થયાં; ચાહૂંગા મૈં તુજે સાંજ સવેરે, કોઈ જબ રાહ ના પાયે, રાહી મનવા દુઃખ કી ચિંતા કયું સતાતી હૈ … દુઃખ તો અપના સાથી હૈ અને જાનેંવાલોં જરા મૂડ કે દેખો મુજે. એ ચારમાં ‘ચાહૂંગા મૈં તુજે સાંજ સવેરે, કોઈ જબ રાહ ના પાયે’ તો આજે પણ મહોમ્મદ રફીનાં ટોપ ટેન સર્વશ્રેષ્ઠ ગીતોમાં શાનથી બેઠું છે.

1964માં, ક્રિકેટની ભાષામાં કહીએ તો, એક એક મોટો અપસેટ સર્જાયો હતો કે જે તેમના ગીત-સંગીત માટે જાણીતા હતા તે રાજ કપૂરની ઇસ્ટમેન કલર ફિલ્મ ‘સંગમ’નાં એટલાં જ સમૃદ્ધ ગીતોને પછાડીને, એક બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ ‘દોસ્તી’નું એ ગીત ફિલ્મફેર એવોર્ડ લઇ ગયું. ત્યાં સુધી કે લક્ષ્મીકાંત-પ્યારેલાલને પણ સુખદ આશ્ચર્ય થયું હતું કે ‘સંગમ’ને સંગીતનો એવોર્ડ ન મળ્યો.

રસપ્રદ વાત એ છે કે લક્ષ્મીકાંત-પ્યારેલાલને ‘ચાહૂંગા મૈં તુજે’ને લઈને બહુ વિશ્વાસ નહોતો અને તેઓ એ ગીતને કાઢી નાખવાના મતના હતા, પણ તેમણે રફી સાહેબનો મત જાણવાનું નક્કી કર્યું હતું. રફીએ જ્યારે એ ધૂન સાંભળી ત્યારે તેમણે કહ્યું કે તમે રેકોર્ડીંગની તૈયારી કરો, આપણે આ ગીત રાખીશું.

ફિલ્મની વાર્તા અત્યંત હૃદયસ્પર્શી હતી; બે ગરીબ મિત્રો, રામૂ અને મોહન, ઘર-પરિવારથી અનાથ થઈને મુંબઈની સડકો પર એક બીજાને ભટકાય છે. રામૂ લંગડો છે અને મોહન આંધળો. બંને તેમની ગાવા-વગાડવાની પ્રતિભાના જોરે નિર્દયી મુંબઈ શહેરમાં કેવી રીતે જીવનનિર્વાહ કરે છે અને એકબીજા માટે બલિદાન આપે છે તેની આ વાર્તા એક રીતે નહેરુના ભારતની ગરીબી, બેરોજગારી અને અનીતિની પણ વાર્તા હતી. નોંધપાત્ર એ છે કે બંનેને તેમની પીડા માટે દુનિયા સામે ફરિયાદ નથી. બલકે તેઓ તેમની સ્થિતિમાં સકારાત્મક રહેવાનો પ્રયાસ કરે છે;

રાહી મનવા દુઃખ કી ચિંતા ક્યોં સતાતી હૈ

દુઃખ તો અપના સાથી હૈ

સુખ હૈ એક છાંવ, ઢલતી આતી હૈ, જાતી હૈ

ભારતમાં ગરીબ હોવું એ એક શ્રાપ છે, તે એ વખતે જેટલું સાચું હતું એટલું જ આજે પણ સાચું છે. જેમ કે અભ્યાસમાં હોંશિયાર રામૂ તેના પરિવાર અને એક પગને ગુમાવી દે છે તે સાથે ઉત્તમ ભવિષ્યનું તેનું સ્વપ્ન પણ લંગડું થઇ જાય છે. એક રીતે એ આઝાદીના એક દાયકા પછીની પેઢીનું સ્વપ્ન તુટવાનો વાત હતી. મોહન સાથે પણ એવું જ થાય છે. તેની બહેનની શોધમાં આવેલા મોહનને મોટા શહેરના મતલબી લોકોની ઉદાસીનતાનો અનુભવ થાય છે, જેમની પાસે વંચિત અને હાંસિયામાં ધક્લાઈ ગયેલ લોકો માટે ન તો સમય છે કે ન તો સંવેદના.

ગરીબ, ભિખારી, રસ્તે રઝળતા અનાથ લોકો પ્રત્યે સમાજની સંવેદનશૂન્યતા કેવી હોય છે તેનાથી પરિચિત મજરૂહ સુલતાનપુરી એમાં મોહનના મોઢે ગવડાવે છે;

જાનેંવાલોં જરા મૂડ કે દેખો મુજે

એક ઇન્સાન હું મૈં ભી તુમ્હારી તરાહ

પ્રગટ : ‘સુપરહીટ’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 23 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1851,1861,1871,188...1,2001,2101,220...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved