Opinion Magazine
Number of visits: 9743482
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાગરિકોને મૂળભૂત અધિકારોની સુરક્ષા આપતાં કેશવાનંદ ભારતી કેસના પચાસ વર્ષ!

કિરણ કાપુરે|Opinion - Opinion|8 May 2023

કિરણ કાપુરે

કેશવાનંદ ભારતી કેસ દેશમાં સિમાચિહ્નરૂપ ગણાય છે અને હાલમાં આ કેસને પચાસ વર્ષ પૂર્ણ થયા છે. દેશનું બંધારણ અકબંધ રહ્યું છે અને તેમાં મૂળભૂત રીતે કોઈ ફેરફાર ન થઈ શકે તેવું સુનિશ્ચિત કેશવાનંદ ભારતી કેસ દ્વારા જ થયું હતું. અને એટલે જ આ કેસને મૂળભૂત અધિકારોના કેસ તરીકે પણ ઓળખાય છે. કેસમાં એક પક્ષકાર કેરળમાં આવેલા એડનીર મઠના શંકરાચાર્ય કેશવાનંદ ભારતી હતા. સામે પક્ષે કેરળ રાજ્ય હતું. આ કેસની મહતત્તા માત્ર પ્રજા માટે નહીં, બલકે કાયદાના ક્ષેત્રના લોકો માટે પણ આ કેસ હંમેશાં સ્મૃતિમાં રાખવા સમાન છે. અને એટલે જ 24 એપ્રિલના રોજ જ્યારે આ કેસને પચાસ વર્ષ પૂર્ણ થયા ત્યારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડિ.વાય. ચંદ્રચુડે આ કેસને સમર્પિત એક વેબસાઇટ પણ ખુલ્લી મૂકી છે. આ વેબસાઇટમાં કેસના સંદર્ભની બધી જ માહિતી મૂકવામાં આવી છે.

કાયદાને સમજવો હંમેશાં સામાન્ય લોકો માટે મુશ્કેલ રહ્યો છે અને જ્યારે કેશવાનંદ ભારતી જેવો કેસ હોય જેમાં બંધારણની ચર્ચા થતી હોય ત્યારે તેની સમજણની ગેડ બેસતા વાર લાગે. આ કેસની કાયદાના સંદર્ભે ઘણી જગ્યાએ વાત થઈ છે, પણ અહીંયા આ પૂરા કેસના મૂળ મુદ્દાને સરળતાથી સમજવાનો ઉદ્દેશ્ય રાખ્યો છે. આ કેસનો આરંભ થાય છે કેરળમાં ભૂમિ સુધાર અર્થે ‘કેરળ લૅન્ડ રિફોર્મ એક્ટ’ લાવવામાં આવ્યો ત્યારથી. ભૂમિ સુધાર કાયદો આવતાં જ કેશવાનંદ જે મઠના શંકરાચાર્ય હતા, તે મઠની સંપત્તિ સરકારના હસ્તક જતી રહેવાની હતી. આ ઍક્ટ આવ્યો તેનું એક કારણ પણ બંધારણ હતું, જેમાં આઝાદી વખતે એવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દેશમાં સામાજિક ન્યાય અને આર્થિક સમાનતાના પ્રયાસ થશે. આ પ્રયાસ અર્થે રાજ્યો એવા કાયદા બનાવી રહ્યા હતા, જેનાથી આર્થિક-સામાજિક અસમાનતા ઘટે. પરંતુ જ્યારે ભૂમિ સુધાર ઍક્ટ દ્વારા મઠની જમીન લેવામાં આવી તો તે અંગે કેશવાનંદ ભારતી કેરળ હાઇકોર્ટમાં ગયા અને તેમણે બંધારણની કલમ 26નો હવાલો આપીને કાયદા સામે પડકાર ફેંક્યો. કલમ 26 મુજબ દેશના દરેક નાગરિકને ધર્મ માટે સંસ્થા નિર્માણ કરવા, તેનું મેનેજમેન્ટ કરવા અને સ્થાયી-અસ્થાયી સંપત્તિ ઊભી કરવાનો અધિકાર ધરાવે છે. કેશવાનંદ ભારતીનું કહેવું હતું કે સરકારે બનાવેલા કાયદો તેમનાં બંધારણના અધિકારને છીનવી લે છે. આ કેસ સંદર્ભે કેશવાનંદ ભારતીએ આખરે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અને ત્યાં પણ પોતાના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે તેવી દલીલ મૂકી. કેશવાનંદ ભારતી તરફથી જાણીતા વકીલ નાની પાલખીવાલા અપીઅર થયા હતા. કેસ અર્થે સુપ્રિમ કોર્ટે 13 ન્યાયાધિશોની બંધારણીય બેંચ બેસાડી અને પછી શરૂ થયો સતત 68 દિવસ સુધીની ચર્ચા-દલીલોનો સિલસિલો.

આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે દેશમાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી હતાં અને જો કેશવાનંદ ભારતીના પક્ષમાં ચુકાદો જાય તો તેનાથી સરકારને ધક્કો લાગવાનો હતો. અને પછી સરકાર પોતાની મુનસફી પ્રમાણે બંધારણમાં કોઈ પણ સુધારો ન કરી શકે, તે પ્રસ્થાપિત થવાનું હતું. કેસ હાઇપ્રોફાઇલ બન્યો અને તેના પર સરકારની તો નજર હતી, પરંતુ દેશભરમાંથી કાયદા નિષ્ણાતો અને જાગ્રત નાગરિકો પણ કેસમાં રસ લઈ રહ્યા હતા.

આ કેસમાં અગાઉના અનેક કેસોના ચુકાદાનો સંદર્ભ અપાયા છે અને તેમાંનો એક કેસ એટલે ‘ગોલકનાથ વિ. પંજાબ રાજ્ય’નો. 1967ના વર્ષમાં આ કેસમાં સુપ્રિમ કોર્ટે બંધારણના મૂળભૂત અધિકારોમાં સંસદ કોઈ પણ બદલાવ ન કરી શકે તેવો ચુકાદો આપ્યો હતો. બંધારણમાં સંશોધન અંગે સંસદ પર તરાપ આવી ત્યારે સામે પક્ષે સંસદે પણ બંધારણીય કલમ 368નો હવાલો આપીને બંધારણમાં ફેરફાર કરવાના તમામ હકો પોતાના પક્ષે લઈ લીધા. તેમાં મૂળભૂત અધિકારોમાં બદલાવ કરવા વિશેની વાત પણ સમાવિષ્ટ હતી. દેશ સ્વતંત્ર્ય થયા પછી બંધારણનો અમલ થયો ત્યારે કેટલીક બાબતો અસ્પષ્ટ હતી તે આવા ચુકાદાઓથી સ્પષ્ટ થતી ગઈ. પરંતુ કેશવાનંદ ભારતી વિ. કેરળ રાજ્યનો કેસ એ રીતે અલગ હતો કારણ કે તેમાં બંધારણમાં ફેરફાર કરવાનો મુદ્દો કાયમ માટે ઉકેલવવાનો હતો. આ માટે સુપ્રિમ કોર્ટે 13 ન્યાયાધિશોની બેંચ બેસાડી. અગાઉ આટલી સંખ્યામાં ન્યાયાધિશ કોઈ પણ બેંચમાં બેઠા નહોતા. મૂળ ચર્ચા હતી કે સંસદ બંધારણમાં ફેરફાર કરી શકે કે નહીં? અને કરી શકે તો તે કેટલાં હદે?

આ મુદ્દાને લઈને બંને પક્ષે દલીલો થઈ. અરજદાર વતી જે દલીલો થઈ તેમાં એક હતી કે બંધારણમાં સંસદને 368 કલમ અંતર્ગત જે અધિકાર મળે છે તે અમર્યાદિત નથી. એટલે કે સંસદ પોતાના મુનસફી પ્રમાણે બંધારણમાં કશું ય બદલાવ ન લાવી શકે. બીજી દલીલ હતી કે બંધારણમાં જે અધિકાર આપવામાં આવ્યા છે તે નાગરિકો હકોની સુરક્ષા અર્થે આપ્યા છે. જેમ કે કલમ 19 (1) (એફ) જે નાગરિકોને સંપત્તિનો અધિકાર આપે છે. સામે પક્ષે સરકાર તરફથી બંધારણમાં સુધારો કરવાના અમર્યાદિત અધિકાર સંસદ પાસે છે તે દલીલ થઈ હતી. અને જો સંસદનો અધિકાર બંધારણ સુધારામાં મર્યાદિત કરવામાં આવશે તો સમય સાથે જે બદલાવ સમાજમાં આવશે તેની માંગને પૂરી નહીં કરી શકાય.

આ કેસને લઈને અનેક કિસ્સા પણ છે, કારણ કે અવિરત ચર્ચા-સંવાદ અને ઘટનાઓથી આ કેસ સમૃદ્ધ બન્યો છે. એક કિસ્સાની વાત કરીએ જ્યારે કેસની દલીલ આપતી વેળાએ નાની પાલખીવાલાએ એમ કહ્યું કે હું તમને એક જાણીતા વકીલે કહેલી વાતના કેટલાંક અંશ સંભળાવું છું. તેમણે કહ્યું કે તે વકીલે કહ્યું છે કે, “બંધારણ સામાન્ય કાયદાની જેમ નથી, જેમાં ઘરમૂળથી પરિવર્તન લાવી શકાય. જો સરકાર ઇચ્છે ત્યારે બંધારણ બદલી શકે તો મૂળભૂત અધિકારોનું કોઈ મહત્ત્વ રહેતું નથી.” પાલખીવાલાની દલીલ ન્યાયાધિશોને વાજબી લાગી, પરંતુ ન્યાયાધિશોએ આ વાત કયા વકીલે કહી છે તેમ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ અંશો એસ.એમ. સરવાઈના છે. એસ.એમ. સરવાઈ આ કેસમાં સરકાર તરફથી દલીલ કરી રહ્યા હતા અને તેમના જ અંશો પાલખીવાલાએ ટાંક્યા.

કેસમાં ચુકાદો ન આવી શકે તેવાં ઘણા વિઘ્નો પણ આવ્યા. જેમ કે સુનાવણી દરમિયાન ન્યાયાધિશ જે. બેગને ત્રણ વાર તબિયત બગડતા દાખલ કરવામાં આવ્યા. એક સમયે એવું પણ લાગ્યું ચુકાદો નહીં આવી શકે કારણ કે નજીકના દિવસોમાં મુખ્ય ન્યાયાધિશ સર્વમિત્ર સીકરી નિવૃત્ત થઈ રહ્યા હતા. પરંતુ આખરે પાંચ મહિનામાં 68 દિવસ સુધી ચાલેલા આ કેસમાં 24 એપ્રિલ 1973ના રોજ ચુકાદો આવ્યો, જ્યારે મુખ્ય ન્યાયાધિશ સર્વમિત્ર સીકરીનો પદ પરનો અંતિમ દિવસ હતો. ચુકાદા સાત-છથી કેશવાનંદ ભારતીના પક્ષમાં આવ્યો અને તેમાં સુપ્રિમ કોર્ટે બંધારણનું ‘બેઝિક સ્ટ્રક્ચર’ એટલે કે મૂળ માળખું જસનું તસ રહેવું જોઈએ તેવો ચુકાદો આપ્યો. અલ્ટીમેટલી આ તત્કાલિન સરકારના વિરુદ્ધ ચુકાદો હતો, પરંતુ તેનાથી દેશના નાગરિકોને મૂળભૂત અધિકારો પર જાણે એક સુરક્ષા કવચ મળ્યું, જે આજ દિન સુધી કાયમ છે. બંધારણ સર્વોપરી, કાયદાનું શાસન, ન્યાયપાલિકાની આઝાદી, કેન્દ્ર-રાજ્યનો અધિકારોનો ભેદ, સંપ્રભુતા, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી માળખું, સરકારનું સંસદીય વ્યવસ્થા, નિષ્પક્ષ ચૂંટણી, વગેરે …. એવી અનેક બાબતો જેને આપણે ‘બેઝિક સ્ટ્રક્ચર ડૉક્ટ્રેઇની’ કહીએ છીએ. આ ક્યાંય લખાણમાં નથી, પણ મૂળ બાબતોને તેમાં સમાવી શકાય.

આ કેસમાં થયેલી ચર્ચા, સંદર્ભનો આધાર આજે પણ લેવાય છે અને તે માત્ર આપણા દેશમાં જ નહીં, બલકે વિદેશોમાં પણ. બાંગ્લાદેશની સુપ્રિમ કોર્ટે પણ કેશવાનંદનો સંદર્ભ લઈને ‘બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રેઇની’ની વાત કરી છે. કેન્યા, યુગાંડા અને સેશલ્સ જેવા દેશોએ પણ કેશવાનંદ ભારતી કેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

e.mail : kirankapure@gmail.com 

Loading

લગ્નમાં પડે એટલી મુશ્કેલી હવે કદાચ છૂટાછેડામાં નહીં પડે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 May 2023

રવીન્દ્ર પારેખ

એક તરફ આપણે પોતાની જાતને બહુ મોડર્ન, એડવાન્સ્ડ, લેટેસ્ટ ફેશન્ડ ગણાવીએ છીએ ને લગ્નમાં પ્રિ-વેડિંગ શૂટ, હાઇફાઈ રિસેપ્શન ને સ્વિત્ઝર્લેન્ડ કે પેરિસમાં હનીમૂન ને એવું એવું તો કૈં કૈં પ્લાનિંગ કરીએ છીએ, ક્યાંક એ ખરા અર્થમાં થતું પણ હશે, પણ મોટે ભાગે તો આપણી ચામડી નીચે આપણે વધુ રૂઢિચુસ્ત, વહેમી ને દંભી માણસો છીએ તે પણ એટલું જ સાચું છે. ક્યાંક લગ્ન પહેલાં હનીમૂન થઈ ગયું હોય છે, તો ક્યાંક કુટુંબો દ્વારા સંતાનોનાં લગ્ન જ્ઞાતિમાં જ કરવાનો આગ્રહ રખાય છે, ક્યાંક છોકરી પોતાની પસંદગીનો વર શોધે છે તો માબાપ તેનું ભલું ઇચ્છવાની લ્હાયમાં પોતાને ગમતો છોકરો ભટકાડી આપે છે ને છોકરી ક્મને પરણી જાય છે અથવા તો આત્મહત્યા કરી લે છે. અમે તો કૈં જ્યોતિષ-બોતિશમાં માનતા નથી – કહીને ખાનગીમાં કુંડળી ખોલી નાખતાં માબાપો છે ને કુંડળી નથી મળતી તો દિલ મળે કે ન મળે, માબાપને કોઈ ફરક પડતો નથી, તેવું પણ છે. તેમણે તો સંતાનોને ઠેકાણે પાડવાં હોય છે. ટૂંકમાં, આપણા ચાવવાના ને બતાવવાના જુદા છે.

ક્યારેક છોકરાંઓ પણ માથાનાં નીકળે છે. માબાપ કહે ત્યાં પરણી તો જાય છે, પણ પછી જેની સાથે પરણવું હતું એની સાથેનું કનેક્શન પણ ચાલુ રાખે છે. પછી જ્યારે ખબર પડે કે છોકરો કે છોકરી તો પૂર્વપ્રેમને ભૂલ્યાં નથી, તો માબાપ પર આભ તૂટી પડે છે ને તેઓ છાતી કૂટવા લાગે છે, પણ એ બધું ઢોળાયેલાં દૂધ પર અફસોસ કરવા જેવું જ છે. માબાપ ખોટી આનબાન ને શાનમાં સંતાનોની પથારી ફેરવી નાખે છે. એમાં સૌથી વધારે મરો તો એ નિર્દોષ વ્યક્તિનો થાય છે જે પરણીને એ ઘરમાં આવે છે. એને તો ખબર જ નથી કે એનાં આવતાં પહેલાં જ ઘરમાં ઘણું રંધાઈ ચૂક્યું છે. પછી જે કકળાટ થાય છે તે લોહીનાં આંસુ પડાવે છે. ઘરની શાંતિનો સર્વનાશ થાય છે ને રોજના ઝઘડાનો ઉકેલ છૂટાછેડામાં શોધાય છે. સાચું તો એ છે કે છૂટાછેડા પણ અત્યંત મુશ્કેલ બાબત આજ સુધી રહી છે, એટલે ઘણાં તો એનાથી દૂર જ રહેવા મથે છે.

એક સમય હતો જ્યારે લગ્ન, કોઈ એકનાં મૃત્યુ પછી જ પૂરાં થતાં. પતિપતિની વચ્ચે બને કે ન બને, જિંદગી પૂરી થતી. તેનું એક કારણ તે મહિલાઓ એટલી શિક્ષિત ન હતી તે હતું. ઘર અને વર સાચવવા સિવાય બીજું કોઈ લક્ષ્ય જ તેમની પાસે ન હતું. સાસરામાં સચવાઈ રહે એટલે દીકરીને કરિયાવર કે દહેજ અપાતું. સ્વેચ્છાએ અપાતું. તે પછીથી સાસરિયાં તરફથી હકની જેમ મંગાતું થયું. વરને મોટો કરાયો, તેને ભણાવાયો, નોકરીધંધે લગાડાયો તે વહુ માટે જ ને ! એમ કહીને દહેજ પછી પણ ઉઘરાણીઓ થતી ને દીકરીનો બાપ કટકે કટકે કપાતો રહેતો. કોઈ છોકરીનો બાપ એમ નથી કહેતો કે દીકરીને મોટી તો મેં પણ કરી છે, તેને ઘરકામ શીખવ્યું છે, ઢસરડો કરવાની ટેવ પાડી છે તે પણ વર માટે જ ને !

એ પછી તો છોકરીઓ પણ ભણીગણીને નોકરીધંધે લાગી, પ્રેમમાં પડવા લાગી, વર પસંદ કરતી થઈ, ફેર અફેરમાં પડી, ઘણાં કુટુંબોમાં તેનું વર્ચસ્વ વધ્યું, પણ સાસરામાં તેને મળવું જોઈતું માન આજે ય ઓછું જ પડે છે. તે પોતે વરને છોડતી થઈ છે, સાસરિયાંઓનાં ત્રાસ સામે પોલીસમાં ફરિયાદ કરતી ને તેમને સળિયા પાછળ ધકેલતી થઈ છે. જો કે, એનું પ્રમાણ ઓછું જ છે. ભણી હોય કે નોકરી કરતી હોય તો પણ કન્યાના બાપે હજી દહેજ આપવું જ પડે છે. એરેન્જ્ડ મેરેજમાં હજી દહેજ માંગનાર ઘણાં કુટુંબો છે જ. એ ન મળે તો અસંતોષ સાસરિયાંઓનો વધતો જ આવે છે. એટલું છે કે હવે સમાજ શિક્ષિત થયો છે એટલે ઘણા વ્યવહારો અન્ડર ટેબલ થાય છે. સમાજ જેમ જેમ શિક્ષિત થયો, તેની શોષણની રીતો વધુ આધુનિક અને વધુ સૂક્ષ્મ થતી ગઈ છે. બીજી તરફ લગ્નજીવન પણ એટલું જ જટિલ અને તનાવયુક્ત થયું છે. પ્રેમલગ્ન કરનારાંઓ સુખી નથી તો, એરેન્જ્ડ મેરેજ કરનારાં બધાં દુખી જ છે એવું પણ નથી. થયું છે એવું કે સંવેદનશીલ અને સહનશીલ સમાજ હવે ઘટતો આવે છે. શાંતિનું સ્થાન અજંપાએ લીધું છે. મતભેદો અને મનભેદો આજનાં સમાજનાં વ્યાવર્તક લક્ષણો છે.

એવું નથી કે દહેજને મામલે જ છૂટાછેડા થાય છે, હવે તો શિક્ષિત પતિપત્નીનાં જીવનમાં ત્રીજી વ્યક્તિનો પ્રેમ પણ ઉમેરાયો છે. નોકરીધંધા નિમિત્તે લગ્નેતર સંબંધોની ટકાવારી વધી છે. એ મુદ્દે પણ કોર્ટમાં છૂટાછેડાની અરજીઓ વધી છે. આજે ઘણાં યુગલો છૂટાં થઈને નવી જિંદગી જીવવા ઈચ્છે છે, પણ કેસનો ભરાવો એટલો છે કે વહેલો નિકાલ લાગતો નથી. વળી છૂટાં થનાર યુગલને સંપત્તિના, ભરણપોષણના, સંતાનોના એટલા બધા પ્રશ્નોનો છે કે ન્યાય મેળવવામાં સમય જાય જ છે. પરિસ્થિતિ એટલી ઘેરી બને છે કે ન સાથે રહેવાય કે ન અલગ રહેવાય. ત્રિશંકુ જેવી દશામાં વર્ષો નીકળી જતાં હોય છે, પણ કેસનો નિકાલ લાગતો નથી. દેખીતી રીતે લાગતું હોય કે પતિપત્ની વચ્ચે બધાં પ્રયત્નો છતાં કોઈ સમાધાન થઈ શકે એમ જ નથી, ત્યાં પણ છૂટાછેડા થતાં નથી ને પતિપત્નીએ કેટલોક સમય દોજખ જેવી જિંદગી જીવવી પડે છે. આવી વિષમ પરિસ્થિતિમાંથી કોર્ટે તાજેતરમાં જ એક ઉકેલ શોધ્યો છે.

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે ગયા સોમવારે કરેલા નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે પતિપત્ની વચ્ચેના તમામ સંબંધો પૂરા થાય અને તેમાં સુધારાને કોઈ અવકાશ જ ન હોય તો અત્યાર સુધી જરૂરી ગણાયેલો છ મહિનાનો વેઇટિંગ પિરિયડ વિશેષ સંજોગોમાં જરૂરી રહેશે નહીં. સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 142 હેઠળ પતિપત્ની વચ્ચેના સંબંધોમાં કોઈ સુધારો ન થાય એવી સ્થિતિમાં, એવી સ્થિતિમાં જ, 6 મહિનાનો વેઇટિંગ પિરિયડ અનિવાર્ય ગણ્યો નથી. આમ તો સુપ્રીમે 29 સપ્ટેમ્બર, 2022 ને રોજ આ નિર્ણય અનામત રાખ્યો હતો, પણ ગયા સોમવારે એનો ચુકાદો આપી દીધો છે. આ ચુકાદો હવે મહિલાઓને આગળ વધવાની તકો પૂરી પાડશે એવું નેશનલ કમિશન ફોર વુમન-NCWને લાગે છે. સુપ્રીમે કેટલીક વધુ સ્પષ્ટતાઓ કરતાં  ઉમેર્યું છે કે આ ચુકાદો હિન્દુ મેરેજ એક્ટ સંદર્ભે જ લાગુ થશે ને જે તે છૂટાછેડા ઇચ્છુક યુગલે સ્વેચ્છાએ, પરસ્પર સંપૂર્ણ સહમતિથી અલગ થવું હશે, તો, ફેમિલી કોર્ટમાં અરજી કરવાની રહેશે. કોઈ પણ પક્ષ અનુચ્છેદ 32 હેઠળ સુપ્રીમમાં સીધી અરજી કરી શકશે નહીં. હા, સુપ્રીમને પોતાને લાગશે તો તે સામેથી કેસ હાથ પર લઈ શકશે. એ પણ સ્પષ્ટ છે કે આ ચુકાદો દરેક કિસ્સામાં લાગુ નહીં પડે. જે કિસ્સામાં મતભેદ દૂર થવાની થોડી પણ શક્યતાઓ છે, ત્યાં આ ચુકાદો લાગુ કરાશે નહીં. અત્યાર સુધી એવું હતું કે હિન્દુ મેરેજ એકટની કલમ 13બી-1 હેઠળ સંમતિથી છૂટાછેડાની અરજી પર ફેમિલી કોર્ટ પતિપત્નીને ફેરવિચારણા માટે અને સમાધાનની કોઈ શક્યતા હોય તો તે તપાસવા માટે 6થી 18 મહિનાનો ગાળો આપતી હતી ને જયાં હજી એવી તકો છે ત્યાં એ વાત હજી લાગુ પડે જ છે, પણ જ્યાં બધા પ્રયત્નો પછી પણ સમાધાનની કોઈ શક્યતા જ નથી, ત્યાં અને ત્યાં જ સુપ્રીમે 6 મહિનાની રાહ જોવાનું જરૂરી ગણ્યું નથી.

આમ તો અત્યારે પણ લગ્નોમાં ન્યાતજાત, ધર્મ, કુંડળી, ગોત્ર જેવી અનેક બાબતો મુશ્કેલીઓ ઊભી કરે જ છે ને એ બધું જોયા-તપાસ્યા પછી પણ લગ્નો સફળ થાય જ એની કોઈ ખાતરી કોઈ ધર્મ, કોઈ જ્યોતિષ, કોઈ કુટુંબ તરફથી મળતી નથી ને જિંદગીભર જોડાવા માટે બે વ્યક્તિને, ઇચ્છાથી કે અનિચ્છાથી ફરજ પાડવામાં આવે છે. ઉધારઉછીનું કરીને, કુટુંબો લખલૂટ ખર્ચ કરીને વાહવાહી લૂંટે છે ને સંતાનોની જિંદગી દાવ પર લગાવે છે. આ અગાઉ હતું ને આજે પણ છે. ક્યાંક સાચા પ્રેમની વાત બનતી પણ હશે, ક્યાંક કોર્ટ મેરેજની સાદાઈ પણ અપનાવાતી હશે, પણ છેલ્લે તો વાત કોર્ટ પર જ આવે છે. બધી જ વખતે કુટુંબ જ જવાબદાર હોય એવું પણ નથી, પતિપત્ની પણ નાની નાની વાતે છણકાતાં રહે છે. નભાવવાનું કયારેક જ બને છે ને સંતાનોનો પણ વિચાર કર્યાં વગર અલગ થવા કોર્ટ સુધી ઊભાં જ નથી રહેતાં. ક્યાંક સમજાવટ કામ કરતી પણ હશે, પણ વાતે વાતે અલગ થવાની ફેશન પડી હોય એવું પણ લાગે છે. મુશ્કેલી એ છે કે દુ:ખ તો વેઠાતું નથી, સુખ પણ વેઠાતું નથી. બહુ ઝડપથી સુખનો ઓડકાર આવી જાય છે ને પછી ફરિયાદો, આરોપો ને ઝઘડાઓનો સિલસિલો શરૂ થાય છે ને એનો છેડો છૂટા થવામાં આવે છે. આવનારા સમયમાં કદાચ લગ્નો મુશ્કેલીથી થશે, પણ છૂટાં થવાનું સરળ થઈ જશે ને જ્યાં સમાધાનની કોઈ શક્યતા જ નહીં રહે ત્યાં 6 મહિના વેઇટિંગ પિરિયડની રાહ જોવાનું ફરજિયાત ન રાખતો છેલ્લો ચુકાદો ઘણા યુગલોને ઉપકારક નીવડે એમ બને.

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 મે 2023

Loading

ગુર્જરી વિશ્વરૂપને વરે : નોબૅલ-સન્માનિત સર્જકોનાં ‘સાહિત્યત્વ’નું ગુજરાતીમાં અવતરણ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|7 May 2023

પુસ્તક પરિચય 

● ‘સાહિત્યત્વ’ : સંપાદન : અદમ ટંકારવી અને પંચમ શુક્લ, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઈટેડ કિંગ્ડમ, એપ્રિલ 2022, પાનાં 432, રૂ. 675/- 

નોબલ પુરસ્કાથી સન્માનિત લેખકોના વક્તવ્યોના ગુજરાતી અનુવાદોનો સંચય ‘સાહિત્યત્વ’ એ આપણી ભાષાના સમૃદ્ધ અનુવાદ-રાશિમાં મહત્ત્વનો ઉમેરો છે.

‘સહસ્ત્રાબ્દીના સંધિકાળની આસપાસનાં વર્ષો’ એટલે કે 1991થી 2016 દરમિયાન નોબલ સન્માન મેળવનાર 26 સર્જકોના વક્તવ્યોનો અહીં સમાવેશ છે.

તેમને દેશ તેમ જ દેશાવરના એકવીસ અનુવાદકોએ ગુજરાતીમાં ઊતાર્યા છે. યુનાઇટેડ કિન્ગડમમાં ચાળીસેક વર્ષથી કાર્યરત ગુજરાતી સાહિત્ય અકાદમીના એક મહત્ત્વના પ્રકલ્પ તરીકે અદમ  ટંકારવી અને પંચમ શુક્લના સંપાદન હેઠળ આ પુસ્તક પ્રસિદ્ધ થયું છે.

ઉત્કૃષ્ટ રીતે નિર્માણ પામેલું સહેજ મોટા કદનું આ સચિત્ર અને ઓપદાર પુસ્તક 432 પાનાંનું હોવા છતાં વજનમાં હળવું છે.

ધોરણસરની સાહિત્યરુચિ ધરાવનાર વાચકો-અભ્યાસીઓને આ સંગ્રહના કેટલાક લેખકો વત્તા-ઓછાં પરિચિત હોવાના, જેમ કે ટૉની મૉરિસન, શેયમસ હિની, દારિયો ફો, વી.એસ. નાયપોલ, ડૉરિસ લેસિન્ગ, એલિસ મુનરો અને બૉબ ડિલન.

વર્ષ 2015નું સન્માન મેળવનાર રશિયન લેખિકા સ્વેતલાના એલેક્સયેવીચના વ્યાખ્યાન અત્યારે વિશેષ પ્રસ્તુત છે. સ્વેતલાનાનો જન્મ યુક્રેનમાં અને તેમની કારકિર્દી બેલારુસમાં. રશિયન શાસકોની કડક આલોચના માટે દેશનિકાલ પામ્યા બાદ યુરોપના વિવિધ દેશોમાં વસે છે.

અત્યારે બેલારુસની લોકશાહી માટેની ચળવળના સક્રિય ટેકેદાર અને યુક્રેન પરના રશિયન આક્રમણના સખત વિરોધી છે. તેમના પુરસ્કાર વ્યાખ્યાનનું શીર્ષક છે : ‘હારેલી લડાઈ વિશે’.

પ્રકાશકીય નોંધે છે કે ‘સમાવેશક અભિગમથી’ અનુવાદકો તરીકે એવી વ્યકિઓની  પસંદગી કરવામાં આવી છે જે ‘વૈશ્વિક સાહિત્યથી પરિચિત હોય; અકાદમી સાથેના નિર્વ્યાજ સ્નેહના સેતુથી જોડાઈને કામ કરી શકે’.

એ નોંધપાત્ર છે કે આ પુસ્તકના અનુવાદકોમાંથી બહુ ઓછા અનુવાદકો વ્યાવસાયિક કૉલમનવીસો કે અનેક પુસ્તકો લખનાર સર્જકો/વિવેચકો છે. 

ઘણાં નામો એકંદરે ઓછા જાણીતા છે. પણ તેમનું હીર અહીં બરોબર પરખાયું છે. તેમણે ઘણી મહેનતથી વાચનીય અનુવાદો કર્યા છે. કામચોરી નથી, અણઘડ અભિવ્યક્તિના દાખલા જૂજ  છે, સઘન સંમાર્જનનો અંદાજ મળતો રહે છે.

આફ્રિકન લેખિકા નેડીન ગોર્ડીમરના વ્યાખ્યાનના આરંભે જ તેમનાથી તદ્દન ભિન્ન ભારતીય સાંસ્કૃતિક પરિવેશ બતાવતો અનુવાદ મળે છે : ‘નાદ-બ્રહ્મ સ્વરૂપે શબ્દ ઇશ્વરને આધીન હતો …’ અંગ્રેજી શબ્દો છે : ‘The word was with God, signified God’s word …’

ઈટાલિયન નાટ્યકાર અને રાજકીય વ્યંગકાર દારિયો ફોનું વ્યાખ્યાન તેની અંદરના ઠઠ્ઠાચિત્રો સાથે છાપવામાં આવ્યું છે. તેમાંથી ‘Gurgle, gurgle, splash…’નું ગુજરાતી છે : ‘બુડબુડ .. બુડબુડ, છાલક ..’.

અનુવાદોમાં ‘અમળાટ’, ‘કરસાંઠી’, ‘કાચફૂકણિયા’, ‘ચતુરા’, ‘ટગલી ડાળ’, ‘બિરદ ભોંય’, ‘પિતરણ’ ‘માંકડા’, ‘હેરિયું’ જેવા એકદમ દેશજ પોતના શબ્દો મળતા રહે છે. તેના મૂળ અંગ્રેજી શબ્દો શોધવા એ મજા પડે તેવો વ્યાયામ છે.

અનુવાદકો હેરોલ્ડ પિન્ટર, ટૉમસ ટ્રાન્સટ્રોમર, પેટ્રિક મોદિયાનોના વ્યાખ્યાનોમાં આવતી કવિતાઓ અને બૉબ ડિલનમાં આવતાં ગીતને ગુજરાતીમાં લાવ્યાં છે.

તમામ વ્યાખ્યાનોને આવરી લેતું ‘પરિષ્કૃતિ’ નામનું વીસ પાનાનું સંપાદકીય પુષ્કળ મહેનતથી લખવામાં આવ્યું છે. વક્તવ્યોમાંથી ઊભા થતાં સાહિત્ય પદાર્થ, આત્મભાન, સમાજ દર્શન, સર્જન પ્રક્રિયા, ભાષા તેમ જ ભાવક અંગેના પ્રશ્નોની અવતરણો સહિત છણાવટ તેમાં અવતરણો સાથે કરવામાં આવી છે.

કેટલાંક વક્તવ્યોમાં લાંબી-ટૂંકી પણ ચોકસાઈથી લખાયેલી ફૂટનોટસ છે. ગુન્ટર ગ્રાસના વ્યાખ્યાનમાં આવતા ઉદ્દગાર ‘બુભુક્ષાના ધસારાની ઝીંક કોઈ દુર્ગદ્વાર ઝીલી ન શકે’ની ફૂટનોટમાં ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે …’ યાદ કરવામાં આવી છે.

અઢળક વિશેષ નામોના ગુજરાતી લિપ્યંતરમાં અહીં જોવા મળતી એકંદર ચોકસાઈથી ગુજરાતી પુસ્તકોમાં ઓછી જોવા મળે છે. સવૃત અને વિવૃત ‘એ’ સ્વરના મુદ્રણના પ્રશ્નો પણ અહીં ઓછા છે.

અનુવાદકોના શ્રેયનામોને આપવામાં આવેલું ગૌણ સ્થાન બીજી આવૃત્તિની દૃષ્ટિએ ફેરવિચાર માગી લે છે.

આ પ્રકારના  સંભવત: પહેલાવહેલા સંગ્રહમાં વક્તવ્યો ઉપરાંત પણ વાચકને ન્યાલ કરી દે તેવી વિપુલ વાચન સામગ્રી મળે છે. તેનો શ્રેય ‘સંવર્ધક’ કેતન રૂપેરાને મળે છે. ‘પ્રકાશકીય’માં કેતનના સહયોગને ‘ગોવર્ધન-ટેકો’ ગણીને તેની ‘ઓશિંગણ ભાવે’ નોંધ લેવામાં આવી છે.

સંવર્ધકે દરેક લેખકના જીવન-સર્જનનો માત્ર દોઢસો-બસો શબ્દોમાં સંતર્પક પરિચય આપવાનું પડકારરૂપ કામ કર્યું છે. પુસ્તકના અનુક્રમની સાથે વિશ્વનો નકશો અને કયા વર્ષે કયા દેશને પારિતોષિક મળ્યું તેનું ગ્રાફિક જોવા મળે છે.

દરેક વક્તવ્યનું પહેલું પાનું સાહિત્યકાર વિશેની પાયાની માહિતીને ચિત્રાત્મક રીતે મૂકે છે. તેમાં નોબેલ citation એટલે કે સન્માનપત્રમાંથી પારિતોષિક કઈ ગુણવત્તા (quality) માટે આપવામાં આવ્યું છે તેને વર્ણવતાં અંગેજી અવતરણનો મહત્ત્વનો હીસ્સો Prize Motivation મથાળા હેઠળ મૂકવામાં આવ્યો છે.

જેમ કે બૉબ ડિલનમાં માટે : ‘for having created new poetic expression within the great American song tradition’. તદુપરાંત પુસ્તકમાં ડાબી બાજુના ત્રણ અલગ અલગ ક્રમનાં પાનાં એવાં છે કે જેમાંથી દરેક પર આઠ સાહિત્યકારોના અંગ્રેજી અવતરણો વાંચવા મળે છે.

પુસ્તકના મુખપૃષ્ઠ પર નોબલ પુરસ્કાર આપનાર સ્વીડીશ એકેડેમિના સ્ટૉકહોમ ખાતેના મુખ્ય મથકનો ફોટો મૂક્યો છે, જે પાનાંના રંગસંયોજન અને UV Varnishથી ઘણું આકર્ષક લાગે છે.

પુસ્તક માનવધિકારના કર્મશીલ અને વરિષ્ઠ સંપાદક વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં આવ્યું છે. ‘ગુજરાતી ડાયસ્પોરાની દીવાદાંડી’ સમા વિપુલભાઈ માટેની અર્પણપત્રિકાના શબ્દો છે : ‘બ્રિટિશ ગુજરાતીઓ ગુજરાતી સાંભળે, બોલે, વાંચે, લખે, જીવે તે માટે એમણે કરેલ પ્રયત્નની કદરરૂપે’.

‘સાહિત્યત્વ’ પુસ્તક રંજક નથી, પણ તે વાચકને ખૂબ આંતરસમૃદ્ધિ આપે છે. આ પુસ્તક અને તેનું નામ બંને ગુજરાતી ભાષાનો હિસ્સો બને તેવું સત્વ ધરાવે છે.

અનુવાદકો અને લેખકોના નામ આ મુજબ છે : 

* અદમ ટંકારવી – જૉન મૅક્સવેલ કોત્ઝી, દક્ષિણ આફ્રિકા; એલ્ફ્રિડ યેલિનેક, ઑસ્ટ્રિયા; હેરૉલ્ડ પિન્ટર, યુનાઈટેડ કિંગ્ડમ * અવનીશ ભટ્ટ – વી.એસ. નાઇપોલ, યુનાઈટેડ કિંગ્ડમ * અશોક વિદ્વાંસ – નેડીન ગોર્ડીમર, દક્ષિણ આફ્રિકા  * અહમદ ગુલ –  શેયમસ હિની, આયર્લૅન્ડ * આરાધન ભટ્ટ – ડોરિસ લેસિંગ, યુનાઈટેડ કિંગ્ડમ * આશા બૂચ : ટોની મૉરિસન, યુનાઈટેડ સ્ટેટસ ઑફ અમેરિકા * ઇમ્તિયાઝ પટેલ –  ટૉમસ ટ્રાન્સ્ટ્રોમર, સ્વિડન * ચિરંતના ભટ્ટ – જોસે સરમાવો, પોર્ટુગલ * ચિરાગ ઠ્ઠક્કર ‘જય’ – બૉબ  ડિલન, યુ.એસ. એ. * દીપક ધોળકિયા – ગાઓ શિન્ગજિયાન, ચીન  * નંદિતા મુનિ – જોં મારી ગુસ્તાવ લે ક્લેઝિયો, ફ્રાન્સ * નીતા શૈલેષ – ડેરેક વૉલકૉટ, સેન્ટ લૂસિયા; એમો યાન – ચીન ; એલિસ મુનરો, કૅનેડા * પંચમ શુક્લ -વિસ્લાવા સિમ્બોર્સકા, પોલેન્ડ * પીયૂષ જોશી – પેટ્રિક મોદિયાનો, ફ્રાન્સ * પ્રતિષ્ઠા પંડ્યા – ઓરહાન પામુક, તુર્કી * બકુલા ઘાસાવાલા-દેસાઈ – મરિયો  વરગાસ લોસા * ભદ્રા વડગામા – ઇમરે કરતેઝ, હંગેરી; સ્વેતલાના એલેક્સિયેવીચ, બેલારુસ * ડૉ. રજની પી. શાહ – દારિયો ફો ઇટાલી * રંજના હરીશ – હેરતા મ્યુલર * રાજન્દ્રસિંહ જાડેજા – કેન્ઝાબૂરો ઓએ, જાપાન * હરીશ મીનાશ્રુ – ગુન્ટર ગ્રાસ 

● પ્રાપ્તિસ્થાન – ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસ રંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 07 મે 2023 [અનુવાદકોના નામની યાદીના  ઉમેરણ સાથેનો લેખ]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...1,1791,1801,1811,182...1,1901,2001,210...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved