Opinion Magazine
Number of visits: 9458219
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન … … એન્ડ બેબી તબસ્સુમ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 December 2022

મલ્લિકા-એ-ગઝલ (ગઝલની રાણી) તરીકે મશહૂર અખ્તરીબાઈ ફૈઝાબાદી ઉર્ફે બેગમ અખ્તરે 20મી સદીના ઉર્દૂ ગઝલકાર જીગર મોરાદાબાદીની ઘણી ગઝલને સ્વરબદ્ધ કરી હતી. તેમની એક ગઝલ બેગમના અવાજમાં રેડિયો પર બહુ લોકપ્રિય થઇ હતી;

કોઈ યે કહ દે ગુલશન ગુલશન

લાખ બલાયેં એક નશેમન

ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન

લેકિન અપના અપના દામન

(ગુલશન = બગીચો, બલાયેં = આફત, નશેમન = માળો)

શનિવાર તા.19મી નવેમ્બરના રોજ જન્નતના ગુલશનમાં વિદાઈ લઇ ગયેલાં એક્ટ્રેસ અને ટી.વી. હોસ્ટ તબસ્સુમ દૂરદર્શન પર જે કાર્યક્રમ હોસ્ટ કર્યો હતો, ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’, તેનું શિર્ષક બેગમ અખ્તરની આ ગઝલ પરથી આવ્યું હતું. તબસ્સુમની આ બેહદ પસંદીદા ગઝલ હતી. મુંબઈ દૂરદર્શનનો પ્રારંભ 2જી ઓકટોબર 1972ના રોજ થયો હતો. એ જ અઠવાડિયે (8મી ઓક્ટોબરે) તબસ્સુમનો સેલિબ્રિટી ટોક-શો શરૂ થયો. દૂરદર્શન એ કાર્યક્રમનું નામ “ગુલદસ્તા” રાખવા માગતું હતું, પરંતુ તબસ્સુમેં જિદ્દ કરીને કાવ્યાત્મક “ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન” નામ રખાવ્યું હતું.

પાંચ વર્ષમાં જ આ કાર્યક્રમ એટલો મશહૂર થઇ ગયો કે 1978માં, અનિલ કપૂર-બોની કપૂરના પિતા સુરિન્દર કપૂરે રિશી કપૂર-મૌસમી ચેટરજીને લઈને ‘ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન’ નામથી ફિલ્મ પણ બનાવી હતી. આ ફિલ્મ તો ફ્લોપ ગઈ હતી, પણ તબસ્સુમનો કાર્યક્રમ 21 વર્ષ સુધી ચાલ્યો. દૂરદર્શનના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારા કાર્યક્રમોમાં તેનો સમાવેશ થાય છે.

80ના દાયકામાં દૂરદર્શનની કમાણીનો “ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન” કાર્યકમ એક મોટો સ્રોત હતો. બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.ના જમાનામાં એ પહેલો સેલિબ્રિટી ટોક શો હતો. ટી.વી. પર આ પ્રકારનો આ પહેલો શો હતો એટલે કલાકારો આવી રીતે કેમેરા સામે બોલતાં ડરતા હતા અથવા શરમ અનુભવતા હતા, પરંતુ કાર્યક્રમ જેમ જેમ લોકપ્રિય થવા લાગ્યો, તેમ તેમ તબસ્સુમની ઓફિસ બહાર લાઈન લાગવા માંડી હતી. એક જૂના ઇન્ટરવ્યૂમાં તબસ્સુમ કહે છે;

“શરૂઆતમાં અમુક કલાકારો નાકનું ટીચકું ચઢાવતા હતા, પણ એ લોકપ્રિય થયો પછી મોટા-મોટા સ્ટાર દૂરદર્શનની ઓફિસ પર આવીને એપિસોડમાં આવવા માંગણી કરતા હતા. આજના સોશ્યલ મીડિયા કરતાં પણ એ કાર્યક્રમનો ક્રેઝ હતો. “ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન”ની બે વિશેષતા હતી; એક તો, સ્ટાર સાથે વાતચીત દરમિયાન તેમની ફિલ્મોનાં દૃશ્યો બતાવવામાં આવતાં હતાં. ફિલ્મો અને ફિલ્મસ્ટાર્સ રસિયાઓ માટે એક સાથે અસલી સ્ટાર અને તેમની ફિલ્મોનાં દૃશ્યો જોવાનો આખો અનુભવ જ ‘દિવ્ય’ હતો. એક્ટર્સ અને એક્ટ્રેસ ઉપરાંત તેમાં સંગીતકારો, લેખકો, ગીતકારો પણ આવતા હતા, એ એક બોનસ હતું. તેના પહેલાં એપિસોડમાં જ સંગીતકાર નૌશાદ હતા. હેમા માલિની અને રેખા માટે સ્ટંટ કરતી રેશમા પઠાણના ઇન્ટરવ્યૂ પછી બોડી ડબલ આર્ટીસ્ટ તરફ લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

“ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન”માં આવી ગયેલા અમુક નામો : સોહરાબ મોદી, દુર્ગા ખોટે, શોભના સમર્થ, નૂતન, તનુજા, અશોક કુમાર, પ્રેમ નાથ, શમ્મી કપૂર, અમિતાભ બચ્ચન, પ્રેમ ચોપરા, આર.ડી. બર્મન, શત્રુઘ્ન સિંહા, શક્તિ કપૂર, વગેરે.

બીજું, તબસ્સુમની અનુકરણીય સ્ટાઈલ. એક તો તેમનો અવાજ રણકદાર હતો, બીજું તેઓ એકદમ પ્રફુલ્લિત મિજાજથી ઇન્ટરવ્યૂ કરતાં હતાં. કાર્યક્રમમાં લોકોને સુખનો અનુભવ થાય તે માટે તેઓ કાયમ તેમના માથામાં પાછળ ફૂલ ખોસીને આવતાં. કાર્યક્રમના નામમાં ફૂલ, તબસ્સુમના માથામાં ફૂલ, તેમના અવાજમાં ફૂલ જેવી પ્રસન્નતા અને ચહેરા પર મુસ્કાન (તબસ્સુમનો અર્થ જ મુસ્કાન થાય છે). ‘ઝળઝળિયાં’વાળા એ જમાનાના દૂરદર્શન પર આવો અનોખો કાર્યક્રમ લોકોને ન આકર્ષે તો જ નવાઈ.

દર્શકો તબસ્સુમને તેના લાઈટ બલ્બ જેવા હાસ્ય માટે યાદ કરે છે. જેવું નામ હતું, તેવા જ ગુણ હતા. ટી.વી. અને પછીથી એક્ટ્રેસ તરીકે સ્થાપિત થયેલાં તબસ્સુમની શરૂઆત બેબી તબસ્સુમ તરીકે થઇ હતી. તે તેમના ગોળમટોળ અને હસમુખ દેખાવને જોઇને તબસ્સુમ નામ કોણે વિચાર્યું  હતું? તેમનું મૂળ નામ કિરણ બાલા સચદેવ હતું. તેમના પિતા અયોધ્યાનાથ સચદેવ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમની માતા અશઘરી બેગમ પત્રકાર અને લેખક હતાં.

એક વાત એવી છે કે પિતાએ માતાના ધર્મને ધ્યાનમાં રાખીને તેમનું નામ તબસ્સુમ રાખ્યું હતું અને માતાએ પિતાના ધર્મને ધ્યાનમાં રાખીને તેનું નામ કિરણ બાલા પાડ્યું હતું. બીજી વાત એવી છે કે બેબી તબસ્સુમ નામ દિલીપ કુમારે પાડ્યું હતું. દિલીપ કુમાર સાથે તબસ્સુમનો 70 વર્ષનો સંબંધ હતો. દિલીપ કુમારની મોટી બહેન સકિના અને તબસ્સુમની માતા બંને ખાસ સખીઓ હતી. 1947માં, ડેવિડ અબ્રાહમ (પાછળથી જાણીતા ચરિત્ર્ય અભિનેતા ડેવિડ ચાચા), નરગીસ અને રહેમાનને લઈને ‘નરગીસ’ નામની ફિલ્મ આવી હતી. એ ફિલ્મથી ‘બેબી તબસ્સુમ’નો જન્મ થયો હતો. એ નામનો અર્થ આજીવન તેમની સાથે જોડાયેલો રહ્યો. તબસ્સુમ જ્યાં પણ હોય ત્યાં હાસ્ય અને સુખનો અહેસાસ કરાવતાં હતાં.

નરગીસ અને મીના કુમારીની બાળ ભૂમિકાઓમાં તબસ્સુમ એટલાં જાણીતાં થયાં હતાં કે તે વખતે લોકો તેને બેબી નરગીસ અથવા બેબી મીના તરીકે ઓળખતા હતા. દિલીપ કુમાર-નરગીસની ફિલ્મ ‘દીદાર’માં તબસ્સુમ પર ફિલ્માવાયેલું ‘બચપન કે દિન ભૂલા ન દેના’ આજે પણ એટલું જ લોકપ્રિય છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે બિમલ રોયની ‘બાપ બેટી’ ફિલ્મમાં તબસ્સુમ અને આશા પારેખ બંને બાલ કલાકાર તરીકે હતાં. 

અશોક કુમાર, નરગીસ, મીના, સુરૈયા, દિલીપ કુમાર, નિમ્મી, વૈજયંતીમાલા, મધુબાલા, દેવ આનંદ જેવાં સ્ટાર્સ સાથેની ફિલ્મોમાં તબસ્સુમની હાજરી એટલી સહજ થઇ ગઈ હતી કે એમનું નામ ન હોય તો જ અજુગતું લાગે. એકવાર તબસ્સુમે કહ્યું હતું, “એ બધી ફિલ્મોમાં કલાકારો સાથે અચૂક મારું આવતું. જેમ કે – ‘નરગીસ, દિલીપ કુમાર એન્ડ બેબી તબસ્સુમ.’ એ એટલી વાર વાંચવામાં આવતું કે અંતે હું પણ એવું માનતી થઇ ગઈ કે મારું નામ ‘એન્ડ બેબી તબસ્સુમ’ છે.”

ગુજરાતીમાં સ્વ. મણિભાઈ ત્રિવેદીનું એક મરશિયા ગીત છે; ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યાં ગીત–ઝણકાર.

તબસ્સુમ માટે આ પંક્તિઓ એકદમ ઉચિત છે.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 30 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સફળ લોકશાહીમાં નાગરિકોની ભૂમિકા

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|1 December 2022

સરમુખત્યારશાહીમાં પ્રજાને વિના વિરોધે સરમુખત્યાર શાસકના આદેશોનું કેવળ પાલન કરવાનું – કહો કે ત્રાસ અને પીડા વેઠવાના હોય છે.

રાજાશાહીમાં શાસક રાજાના મનના તરંગોને કાયદા-કાનૂન ને ફરમાન બનતા સહેજે વાર લાગતી નથી; અને એને પરિણામે રૈયત તો રાંક જ બની રહે છે; ફરમાનના વિરોધ કરનારને ભાગ્યે શૂળીએ ચડવાનું અથવા કેદખાનામાં ચાબૂકના મીઠામાં બોળેલા કોરડાના માર અથવા ચાબખા જ ખાવાના રહેતા એ વૈશ્વિક ઐતિહાસિક સત્ય છે.

લોકશાહીમાં નાગરિક અને પ્રજા નામથી ઓળખાતો નાગરિક સમૂહ આ બાબતમાં ભાગ્યશાળી છે; કારણ કે એને એ જે બાબતમાં અસંમત હોય એમાં અસંમતિ દર્શાવવાની અને અયોગ્ય-અનુચિતનો વિરોધ કરી એની સામે પડવાની પણ છૂટ મળે છે; પણ આ છૂટ મેળવવા એણે જવાબદાર નાગરિકની હેસિયતથી આ બધું કરવાનું છે. દેશમાં બનતી નાની-મોટી ઘટનાઓ, ઘડાતા કાયદા-કાનૂનો, લોકોની રોજ બ રોજની સમસ્યાઓ વગેરેનો ઝીણવટભર્યો અભ્યાસ કરી – એ વિષયક ચિંતન-મનન કરી, કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચી, આ નિષ્કર્ષને સહુ માટે પ્રતીતિકર અનુભવાય એ રીતે રજૂ કરી, એ સર્વગ્રાહ્ય બને એ માટે ઝૂંબેશ-અભિયાન આદરવાનું છે. પોતાના હકથી વંચિતોને આ અભિયાનમાં સામેલ કરવાના છે. બિનજવાબદાર બનતા જતા શાસકોની સામે આ રીતે દબાણ ઊભું કરવાનું છે. લોકશાહીનો મોટો ફાયદો એ છે કે એમાં કાયદા-કાનૂન અને અદાલતોનું મોટું બળ અદનામાં અદના નાગરિક પાસે હોય છે.

લોકશાહીમાં, જેમને વિચારવાની બિલકુલ તસ્દી નથી લેવી અથવા ડર કે ધાકધમકીના કારણે કે એના ભયના કારણે અન્યના ખોટા નિર્ણયમાં કમને-અનિચ્છાએ સામેલ થવાનું બને છે, એને કારણે લોકશાહીને નિષ્ફળ બનાવતી ટોળાંશાહી જન્મે છે. આવી ટોળાંશાહી બિનજવાબદાર શાસકને મોટો ફાયદો કરાવે છે; કારણ કે એને કારણે એના રાજપાટ ખૂબ લાંબા સમય સુધી નિર્વિઘ્નપણે ટકી રહે છે.

આપણને આશ્વાસનરૂપ એ બાબત છે કે દરેક લોકશાહી દેશમાં કેટલાક જાગૃત અને નિર્ભીક અને આત્મવાન નાગરિકો પણ જીવે છે. એમની સક્રિયતાને કારણે જ શાસકો અસ્વસ્થ રહે છે – અકળામણ અનુભવે છે.

આપણે આશા રાખીએ અને ઈચ્છીએ કે આવા જાગૃત, નિર્ભીક અને આત્મવાન નાગરિકોની સક્રિયતા સદૈવ રહે.

વંદે માતરમ્‌

તા. ૦૧-૧૨-૨૦૨૨   

Loading

જળવાયુ પરિવર્તન : સ્વર્ગ અને નર્કના ત્રિભેટે ઊભેલી દુનિયા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 November 2022

અમેરિકાની એક યુનિવર્સિટીમાં ફિલોસોફીના પ્રોફેસર જ્યોર્જ જેમ્સ, એકવાર ઉત્તરાખંડમાં ટિહરી ગઢવાલ જિલ્લામાં રહેતા ‘ચિપકો’ અંદોલનના પ્રણેતા (જેમાં વૃક્ષને કપાતું બચાવા માટે તેને વળગીને ઊભા રહી જવાનું) સુંદરલાલ બહુગુણાને મળવા આવ્યા હતા. પ્રોફેસરે તેમને પૂછ્યું હતું કે, “મને જીવનની ફિલોસોફી અને જીવનની ગતિવિધિઓ પાછળની પ્રકૃતિની ફિલોસોફીમાં રસ છે. પર્યાવરણ માટે લડવાની પ્રેરણા તમને શેમાંથી મળે છે?”

“મારું સમગ્ર ચિંતન,” સુંદરલાલે આંગળીના વેઢા ગણતાં જવાબ વાળ્યો હતો, ” ત્રણ ‘એ’ અને પાંચ ‘એફ’ પર ટકેલું છે. પહેલો ‘એ’ ઑસ્ટેરિટી (કરકસર) માટે છે. પૃથ્વી પર આપણે સરળતાથી જીવવું જોઈએ. બીજો ‘એ’ એટલે ઑલ્ટર્નટિવ (વિકલ્પ) : કરકસર શક્ય ન હોય તો વિકલ્પો શોધવા જોઈએ. ત્રીજો ‘એ’ અફોરેસ્ટેશન (વનીકરણ) માટે છે. પાંચમો ‘એફ’ આપણા જીવન માટે અનિવાર્ય તત્ત્વો માટે છે, જે આપણને વૃક્ષો આપે છે; ફૂડ (ખોરાક) ફોડર (ઘાસ), ફ્યુઅલ (ઇંધણ), ફર્ટીલાઈઝર (ખાતર) અને ફાયબર (રેશા).”

પ્રોફેસરે તો પછી સુંદરલાલ સાથે વર્ષો સુધી નિયમિત વાતો કરી હતી. એમાંથી 2013માં એક સુંદર પુસ્તક આવ્યું, જેનું નામ હતું; ઇકોલોજી ઈઝ પર્મેનન્ટ ઈકોનોમી (પર્યાવરણ કાયમી અર્થતંત્ર છે). સુંદરલાલ વર્ષોથી કહેતાં આવ્યા હતા કે પર્યાવરણનું તંત્ર દેશના અર્થતંત્રથી ઓછું મહત્ત્વનું નથી, બલકે પર્યાવરણ હશે તો અર્થતંત્ર હશે. આજે દુનિયાને ભાન થવા લાગ્યું છે કે વધતું તાપમાન, દરિયાઓની વધતી સપાટી અને આન્ત્યાંતિક હવામાન વિશ્વના દેશોની સંપત્તિઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ, માનવીય સ્વાસ્થ્ય અને ઉત્પાદન ક્ષમતાને હાનિ પહોંચાડી રહ્યું છે. પરિણામે તેની અસર અર્થતંત્ર પર પડી રહી છે.

માણસની એક તાસીર છે; તેને લાંબા ગાળાના નુકસાનની અપેક્ષાએ ટૂંકા ગાળાના ફાયદામાં વધુ રસ હોય છે. માણસને ખબર છે કે કોઇપણ પ્રકારનું વ્યાસન હાનિકારક હોય છે, છતાં તે વ્યસન અપનાવે છે, કેમ? કારણ કે તેને એ પણ ખબર છે કે વ્યસનનું નુકસાન ભવિષ્યમાં થવાનું છે, પણ તત્કાળ તો મજા જ મજા છે. વ્યસનીનો વ્યસન નથી છોડી શકતા તેનું કારણ જ એ છે કે તેમને એક સિગારેટ કે દારૂના એક પેગમાં નુકસાન નથી દેખાતું. “આજે પી લઉં, કાલે છોડી દઈશ” એવી ચતુરાઈમાં તેનું નુકસાન વધતું જાય અને પછી ડોક્ટરની શરણે જવાનો વારો આવે, ત્યારે મોડું થઇ ગયું હોય.

કંઈક આવું જ પર્યાવરણ અને જળવાયુ-પરિવર્તનના ક્ષેત્રમાં થઇ રહ્યું છે. દાયકાઓથી પૂરી દુનિયામાં તેનું એટલું નુકસાન થઇ રહ્યું છે છતાં માનવજાત પાસે ન તો તેને લઈને ગંભીર ચિંતા છે અથવા કોઈ નક્કર સમાધાન.

આ સંદર્ભમાં, આ અઠવાડિયે શર્મ અલ-શેખ(ઈજિપ્ત)માં મળી ગયેલી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરસ (COP27- કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ઓફ ધ યુ.એન.એફ.સી.સી.સી.), જળવાયુ પરિવર્તન સામેની વૈશ્વિક લડાઈમાં સીમાચિન્હરૂપ સાબિત થવાની છે. તેમાં 190 દેશોના 90 વડાઓ અને 35,000 પ્રતિનિધિઓ ઉપસ્થિત હતાં. આ કોન્ફરન્સ સંયુક્ત રાષ્ટ્રસંઘની નિશ્રામાં 1992થી કાર્યરત છે. આ કોન્ફરન્સની રચના પૃથ્વી પર વિવિધ માનવીય પ્રવૃતિઓમાં ઇંધણો બળવાથી પેદા થતાં ગ્રીનહાઉસ ગેસ એમિશન પર કાબૂ મેળવવા માટે કરવામાં આવી હતી.

શર્મ અલ-શેખની કોન્ફરન્સમાં એક નોંધપાત્ર પ્રગતિ તરીકે, 190 દેશો ‘લોસ એન્ડ ડેમેજ’ની જોગવાઈ પર સહમત થયા છે. તે અનુસાર, ભવિષ્યમાં જળવાયુ પરિવર્તનના કારણે આવનારી પ્રાકૃતિક આફતોથી ગરીબ દેશોમાં થનારા જાનમાલનું નુકશાન ભરપાઈ કરવા માટે ધનિક દેશો વૈશ્વિક ફંડ ઊભું કરવા સહમત થયા છે. આ ક્રાંતિકારી જોગવાઈ છે. વૈશ્વિક અર્થતંત્રની ખરાબ હાલત છે અને રશિયા-યુક્રેન યુદ્ધે નવા પડકારો ઊભા કર્યા છે તેમાં છતાં તમામ દેશો એક થઈને ભાવિ આપદામાં કરોડો લોકોની મદદે આવવા તૈયાર થયા છે.

કોન્ફરન્સની નિષ્ફળતા ગણાવવી હોય તો તે એ છે કે જીવાશ્મ ઇંધણ(ફોસિલ ફ્યુઅલ)નો ઉપયોગ બંધ કરવાના લક્ષ્ય પર સમજુતી ન થઇ શકી. આરોપ એવો છે કે ઇંધણના કારોબાર સાથે જોડાયેલી કંપનીઓએ બહુ મોટું લોબિંગ કર્યું હતું અને એમાં તે સફળ નીવડી હતી. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં પૃથ્વીનું તાપમાન જેટલું હતું, તેને 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધવા ન દેવાનો આ કોન્ફરન્સમાં ફરીથી સંકલ્પ લેવાયો હતો, પરંતુ સામાજિક કાર્યકરો કહે છે કે તાપમાન વધવાનું કારણ કાર્બનની પેદાશ છે અને તે સૌથી વધુ જીવાશ્મ ઇંધણમાંથી આવે છે. એટલે તેનો ઉપયોગ ન ઘટે તો વૈશ્વિક તાપમાનને રોકવું શક્ય નથી. તાપમાન જો 1.5 ડિગ્રીથી આગળ જાય તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.

વૈશ્વિક સ્તર પર ભારતનું પ્રતિ વ્યક્તિ કાર્બન ઉત્સર્જન માત્ર 2.2 ટન છે, જે તેની સમકક્ષ દેશો જેવા કે અમેરિકા અને યુરોપિયન યુનિયન કરતાં ઘણું ઓછું છે. ઉત્સર્જન રિપોર્ટ 2022 અનુસાર, ભારત સહિતના પ્રમુખ દેશો જેમ કે ચીન, યુરોપિન યુનિયન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રશિયા અને અમેરિકા દુનિયાના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક છે.

જળવાયુ પરિવર્તનની ભારત પર ગંભીર અસરનું અનુમાન છે. આઈ.આઈ.ટી.-ગાંધીનગરના એક રિસર્ચ પ્રમાણે, ભારતમાં ગરમીની મોસમમાં લૂ અને ચોમાસામાં પૂર આવવા જેવી ઘટનાઓમાં ઘણો વધારો થવાની શક્યતા છે. એક અન્ય રિપોર્ટ અનુસાર, પૂરા વિશ્વમાં 2015થી 2022નાં વર્ષો ઘણાં ગરમ રહ્યાં હતાં અને આવનારા વર્ષોમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેની વરવી અસર જોવા મળશે. પાકિસ્તાનમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં રેકોર્ડ તોડ ગરમી હતી, જેના પગલે તેની ખેતી ખરાબ થઇ ગઈ હતી અને તેણે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો. એવી જ રીતે ભારતે ચોખાની નિકાસ અટકાવી હતી. આ પ્રતિબંધોના કારણે આંતરરાષ્ટ્રીય ખાદ્ય બજારમાં જોખમ ઊભું થયું છે.

આ કારણોથી જ ભારત આંતરરાષ્ટ્રીય જળવાયુ કોન્ફરન્સોમાં ઘણું સક્રિય છે. જેમ કે શર્મ અલ-શેખમાં, ભારત એ બાબતે અગ્રેસર હતું કે કાર્બન ઉત્સર્જનને લઈને કોઈ સમજુતી સધાય, પરંતુ અમેરિકા જેવા વિકસિત દેશ કાનૂની પેચમાં ફસાવા માંગતા નથી એટલે વિરોધ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રાઝિલના જૈર બોલસોનારો જેવા નેતાઓ તો જળવાયુ પરિવર્તનને ગપગોળો ગણે છે. જળવાયુ પરિવર્તનને રોકવા માટે 192 દેશોએ કરેલી પેરિસ સંધિમાંથી ટ્રમ્પ વખતે અમેરિકા ખસી પણ ગયું હતું.

ભારતમાં 2021ની સરખામણીમાં કોલસા અને તેલની ખપતમાં છ ટકાનો વધારો થયો છે, જ્યારે સૌથી વધુ કાર્બન પેદા કરતાં દેશ ચીનમાં ગયા વર્ષમાં ઉત્સર્જનનો દર એક ટકા ઘટ્યો છે. ત્યાં કોલસાની ખપતમાં પણ વધારો થયો નથી. વૈજ્ઞાનિકો કહે છે કે કોલસાનાં કારણે થતા ઉત્સર્જનમાં એક ટકાનો પણ વધારો થશે તો તે એક રેકોર્ડ હશે.

વિશ્વમાં હજુ પણ 80 ટકા ઉર્જા જીવાશ્મ ઇંધણમાંથી આવે છે. એનો અર્થ એ થયો કે ઉત્સર્જનમાં વધારો થશે જ. એટલે ઉત્સર્જન ઘટવાની આશા કરવી વ્યવહારુ નથી. અક્ષય ઉર્જા (રિન્યૂએબલ એનર્જી) અને સ્વચ્છ ઉર્જા (ક્લીન એનર્જી)ના વિકલ્પનું હજુ બાળપણ ચાલે છે. એનો ઉપાય એ છે કે જે દેશોની વસ્તી ઓછી છે ત્યાં અક્ષય ઉર્જાના વપરાશમાં વધારો કરી શકાય, પરંતુ મોટી વસ્તીવાળા દેશો માટે વૈકલ્પિક ઉર્જાનું સપનું દાયકો દૂર છે. ભારત તો સૌર અને પવન ઉર્જાના મામલે પણ પાછળ છે.

ભારતે શર્મ અલ-શેખમાં એટલા માટે જ કહ્યું હતું કે અમીર દેશો તેમની જીવન શૈલી બદલીને કાર્બન ઉત્સર્જન ઓછું કરવામાં સહયોગ કરતાં નથી અને વિદેશોમાં સસ્તાં સમાધાનો શોધી રહ્યાં છે. ભારતે કહ્યું કે વિકસિત દેશો કૃષિ ક્ષેત્રને નાના કરવાની હિમાયત કરે છે તે કૃષિ આધારિત દેશો માટે નુકશાનકારક છે.

કુલ મળીને, જળવાયુ પરિવર્તનની વૈશ્વિક લડાઈમાં, ભારતે પોતાના તરફથી ત્રણ મહત્વના વાયદા કર્યા છે:

1. ભારત 2005ના સ્તરની સરખામણીએ તેની જી.ડી.પી.થી થનારા ઉત્સર્જનને 2030 સુધી 45 ટકા ઓછું કરશે.

2. વર્ષ 2030 સુધી ભારત તેના કુલ વીજળી ઉત્પાદનનું 50 ટકા ઉત્પાદન સ્વચ્છ ઉર્જાથી મેળવશે

3. વધારાનાં વૃક્ષો અને જંગલ બનાવીને ભારત 2.5થી 3 અબજ ટન જેટલો વધુ કાર્બનનું  શોષણ કરશે.  

4. 

અમેરિકાના પ્રોફેસર જ્યોર્જ જેમ્સને પેલા ઇન્ટરવ્યૂમાં સુંદરલાલ બહુગુણાએ કહ્યું હતું, “ભારતની પરંપરામાં દરેક ચીજમાં દિવ્યતા છે. દિવ્યતા માત્ર સ્વર્ગમાં નહીં, પણ પંખીઓમાં, પશુઓમાં, નદી-ઝરણાંમાં, પહાડોમાં અને જંગલનાં વૃક્ષોમાં છે. હવે ચારે બાજુ ટેકનોલોજી છે. આપણે ડેમ બનાવવા માટે નદીઓને મારી નાખી છે, અને આ બધું માણસની લાલચને સંતોષવા માટે. ગાંધીએ એક જ વાક્યમાં સમજાવ્યું હતું : સૌની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રકૃતિમાં પૂરતું છે, પણ એક જણની લાલચ સંતોષવા માટે એ ઓછું પડી જાય છે.”

લાસ્ટ લાઈન :

“અત્યારે આપણે ભવિષ્યને લૂંટીએ છીએ, વર્તમાનમાં તેને વેચીએ છીએ અને તેને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ કહીએ છીએ.”

— પોલ હોવકેન, અમેરિકન પર્યાવરણવાદી

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 27 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1791,1801,1811,182...1,1901,2001,210...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved