Opinion Magazine
Number of visits: 9667429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવ્યાંગ દિવ્યાની પ્રતિભા

સુરેશ જાની|Opinion - Opinion|12 April 2023

સુજલે પતિ રવીન્દ્રને કહ્યું ,”ચોક્કસ દિવ્યા જોઈ શકતી નથી.”  ડો. રવીન્દ્ર આ વાત માની ન શક્યા. સુજલ પણ ડોક્ટર જ હતી – એનેસ્થેટિસ્ટ. અને રવીન્દ્ર? – આંખનો જ સર્જન! મુંબઈ નજીક વસાઈમાં બન્નેની ધીકતી પ્રેક્ટિસ ચાલતી હતી. પણ એમને માથે આભ તૂટી પડ્યું. દિવ્યા – માત્ર એક જ મહિનાની, પરાણે વ્હાલી લાગે એવી ઊગી રહેલી કળી અને જીવનભરનો કારમો અંધાપો.

બીજા જ દિવસે ડો. રવીન્દ્રે જાતે દિવ્યાની આંખ તપાસી જોઈ. તેના જ્ઞાન મુજબ તેને ખાતરી થઈ ગઈ કે, આંખને મગજ સાથે જોડતા જ્ઞાનતંતુમાં જન્મજાત ખામીના કારણે દિવ્યા જિંદગીમાં કદી જોઈ નહીં શકે. ડો. રવીન્દ્ર દિવ્યાને મુંબઈના શ્રેષ્ઠ સર્જનો પાસે લઈ ગયા. પણ આશાનું કોઈ જ કિરણ દિવ્યાની અંધાર કોટડીને અજવાળી શકે તેમ ન હતું. અઠવાડિયા સુધી સુજલ અને રવીન્દ્ર માટે ઊંઘ હરામ થઈ ગઈ. શી રીતે દિવ્યાની આખી જિંદગી પસાર થશે? શી રીતે?

પણ આ આપત્તિ સામે  ઝૂકે એવા એ દમ્પતી ન હતાં. આ દુઃસહ્ય આઘાતને એમણે જીરવી લીધો અને નિર્ધાર કર્યો કે, દિવ્યાના વિકાસમાં સહેજ પણ પાછી પાની કરવાની નથી.

૨૦૦૨

વસાઈની સેન્ટ પિટર હાઈસ્કૂલમાંથી દિવ્યાએ ૮૭ % માર્ક સાથે એસ.એસ.સી.ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી છે અને અંધજનો માટેની રાષ્ટ્રીય સંસ્થાએ (NAB) તેનું બહુમાન કર્યું છે. શાળાના બધાં વર્ષોમાં દિવ્યા અવ્વલ નંબર જાળવતી આવી છે.  કે.જી.માં દાખલ પણ નહોતી થઈ ત્યારથી સુજલ મોટી દીકરી અદિતિને ભણાવતી હોય ત્યારે દિવ્યા તેની લગોલગ બેસીને નવું નવું જાતે શીખી લેતી. આ કારણે એને સીધો પહેલા ધોરણમાં પ્રવેશ મળી ગયો હતો. ભલે કુદરતે એને દૃષ્ટિનું સૌભાગ્ય આપ્યું નથી, પણ તેને  અંતરની ચબરાક આંખ આપી છે.

ભણતરની સાથે સાથે એને સંગીત માટે પણ ગજબની લગની છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી તે કંઠ્ય સંગીતની પાંચ પરીક્ષાઓ પણ પસાર કરી ચૂકી છે, અને હાર્મોનિયમ સરસ રીતે બજાવી શકે છે.

સુખી માબાપની સાથે દિવ્યા માથેરાન, મહાબળેશ્વર, કોડાઈકેનાલ અને સિંગાપુર પણ ફરી આવી છે. દરેક સ્થળના અવાજો અને સુગંધો પંદર વર્ષની આ કિશોરીના દિલો દિમાગમાં તરબતર છે. પૂણેમાં ડોકટર થવાની ખ્વાહેશ રાખી ભણતી બહેન અદિતિની જેમ દિવ્યાને પણ લોકોની સેવા કરવાના અભરખા છે. આ માટે તેણે ફિઝિયોથેરાપીની તાલીમ આપતી અંધ જન સંસ્થામાં પ્રવેશ મેળવી લીધો છે. બે વર્ષમાં તેને એનો ડિપ્લોમા મળી જવાનો છે.

૨૦૨૦

દિવ્યાની ગાયકી પણ મરાઠી ફિલ્મમાં ઝળકી ઊઠી છે. શરીરનાં અંગોનાં દાન બાબત સર્જાયેલી મરાઠી ફિલ્મ ‘વિકુન તાક’ ફિલ્મ માટે તેણે ‘ ચંદવા…’ શબ્દ વાળું એક સુમધુર ગીત ગાયું છે. એન જ પ્રતાપે દિવ્યાનો ડંકો મીડિયામાં ગાજતો થયો છે.

—

—

અલબત્ત તકલીફમાં હોય એવા લોકોની શુશ્રૂષા કરવાનું તેનું સ્વપ્ન પણ સાકાર થયું જ છે. વસાઈમાં જ તેનું પોતાનું ફિઝિયોથેરાપી ક્લિનિક છે.

આ વીડિયો એમ્બેડ કરવા વિનંતી –

https://www.youtube.com/watch?v=ym-QeV0bcwU

દિવ્યાની દિવ્ય દૃષ્ટિને સો સલામ

સંદર્ભ –

http://timesofindia.indiatimes.com/articleshow/21588201.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

https://www.outlookindia.com/newsscroll/visuallychallenged-singer-records-for-marathi-film/1707290

e.mail : surpad2017@gmail.com

Loading

દિવ્ય સંગત

બીજલ જગડ|Opinion - Opinion|11 April 2023

આંખોમાં અમૃત હૃદયમાં મીઠાશ હતા જીવનનાં આકર્ષણો

ખાલીપણાંનું છે કેટલું ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે.

કિસ્મત હંમેશાં હથેળીમાં, દેવાને દિલાસો હિંમત રાખી,

ધીરજ સબર સંતોષનું ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે.

મૌનની સંવેદના દુઃખદર્દ તદબિર દિલાસા નિષ્પ્રાણ પ્રયાસો

હશે ગોરસ સ્મરણોનું, ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે.

જીવનની તિમિરમાં મ્હારે વિશમે ના આંખના ઘેરા ઉચાટ,

સ્નેહભૂખ્યા સ્નેહીનું, ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે

એકલતા લલિત, દિવ્ય સંગત મુજ ને મારી મને લાગે,

આ મનના મોતીનું, ભીતર ઊંડાણ અહીં ન કોઈ જાણે.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દૈત્ય માનવજાતને ગળી જશે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 April 2023

રાજ ગોસ્વામી

આધુનિક ટેકનોલોજી માટે કહેવાય છે કે જે પરિવર્તનને આવતાં એક દાયકો લાગતો હતો તે હવે, થેન્ક્સ ટુ ટેકનોલોજી, બે વર્ષમાં આવે છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ના ક્ષેત્રમાં ટેકનોલોજીએ તેની પ્રગતિમાં એટલી બધી સ્પીડ વધારી દીધી છે કે આ ક્ષેત્રના અગ્રણીઓમાં ચિંતા પેઠી છે કે એવું તો નહીં થાય ને કે ટેકનોલોજી માણસના કંટ્રોલની બહાર જતી રહેશે અને તે માણસને કંટ્રોલ કરવા લાગી જશે?

તાજેતરમાં ઓપન એ.આઈ.ના ચેટબોક્સ ‘ચેટ-જી.પી.ટી.’ અને અન્ય એ.આઈ. ટૂલ્સમાં જે ઝડપે ક્રાંતિ આવી છે, તેનાથી સફાળા બેઠા થયેલા ટેસ્લા અને ટ્વીટરના વડા ઈલોન મસ્ક સહિત 1,000 જેટલા ટેકનોલોજી નિષ્ણાતોએ ઓપન લેટર લખીને સાર્વજનિક અપીલ કરી છે કે છ મહિના સુધી એમાં વધુ ડેવલપમેન્ટ અટકાવી દેવામાં આવે.

તેમણે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આવી ડિઝાઇન્સમાં સુરક્ષાના પ્રોટોકોલ્સ વિકસાવામાં ન આવે અને સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા તેનું ઓડિટિંગ ન થાય ત્યાં સુધી કોઈ કંપનીએ તેમાં આગળ વધવું ન જોઈએ નહીં તો માનવતા અને સમાજ માટે એમાં જોખમ છે. “તાકાતવર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ ત્યારે જ વિકસાવી જોઈએ જ્યારે આપણને પૂરતો ભરોસો હોય કે તેનાં પરિણામ સકારાત્મક જ હશે અને તેનાં સંભવિત જોખમોનું નિયમન કરી શકાય તેમ હોય,” એમ આ પત્રમાં લખવામાં આવ્યું છે.

આ અગ્રણીઓને ડર છે કે પૂર ઝડપે વિકસી રહેલી નવી નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સ માણસને હંફાવે તેવી છે અને સરવાળે તે આર્થિક અને રાજકીય ક્ષેત્રમાં બધું ખેદાનમેદાન કરી નાખશે. સરકારો, નીતિ નિર્માતાઓ અને રેગ્યુલેટરી ઓથોરિટીઓને જો આમાં વિશ્વાસમાં લેવામાં નહીં આવે તો પછી એવી પરિસ્થિતિ સર્જાશે કે ટેકનોલોજી સ્વચ્છંદ બની જશે.

જેમ બીજા વિશ્વ યુદ્ધ પછી શીત-યુદ્ધના ગાળામાં પરમાણું હથિયારો બનાવવાની દેશો વચ્ચે હોડ લાગી હતી તેમ, ‘ચેટ-જી.પી.ટી.’ની સફળતા પછી અનેક ટેકનોલોજી કંપનીઓ વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં ટૂલ્સ બનાવાની હરીફાઈ શરૂ થઇ છે, જે માણસોનાં જાત-ભાતનાં કામ કરશે. આમ તો એ સુવિધા જ છે, પરંતુ નિષ્ણાતોને એ ડર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાત જ પોતાનો કંટ્રોલ લઇ લે તો શું?

તમને એવું થાય કે એમાં શું જોખમ હોય? તમે મેડિકલ સ્ટોરમાંથી જે નવી દવાઓ ખરીદો છો તે તેની સલામતીના સખત પરીક્ષણ પછી સ્ટોરમાં આવી હોય છે. ખાવા-પીવાની જે વસ્તુઓ બજારમાં મળે છે તે બારોબાર ફેકટરીમાંથી નથી આવતી. આપણે જાણીએ છીએ કે સોશિયલ મીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ‘પહેલું સંતાન’ છે. આપણે જોઈ રહ્યા છીએ કે એ સંતાન કેવું નપાવટ બનીને હવે પજવી રહ્યું છે. ચેટ-જી.પી.ટી. તેનું બીજું ‘સુધરેલું’ સંતાન છે અને બીજા અનેક ‘પાઈપ-લાઈન’માં છે. એ આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરશે તેની કોઈને ખબર નથી.

નિષ્ણાતો સાત પ્રકારનાં પ્રમુખ જોખમો જોઈ રહ્યા છે. 

    1. ઓટોમેશન વધતાં નોકરીઓ ખતમ થઇ જશે.
    2. માણસોનીપ્રાઈવસીઉઘાડીપડીજશે.
    3. (ફોટોશોપની જેમ) માણસોના ફેક વીડિયો બનશે.
    4. ગલતડેટાનાંપગલેઅલગોરિધમપક્ષપાતપૂર્ણવર્તનકરશે.
    5. સામાજિક-આર્થિકઅસમાનતાવધશે.
    6. બજારોઅસ્થિરથઇજશે.
    7. ઘાતકહથિયારોનુંઓટોમેશનથશે.

2022માં, દુનિયાની તમામ ટેકનોલોજી કંપનીઓના એક સર્વેમાં અડધોઅડધ કંપનીઓએ કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માનવજાતના અસ્તિત્વ સામે ખતરો છે. તેમણે કહ્યું હતું કે ટેકનોલોજી માણસોનાં તમામ કામ કરતી થઇ જઈને તેમને નવરા બેસાડી દેશે એટલું જ નહીં, હોલિવૂડની ફ્યુચરિસ્ટિક ફિલ્મોમાં બને છે તેમ એ સિસ્ટમો ગેરવર્તન કરતી પણ થઇ જશે. 2017માં, ફેસબૂકે બોબ અને એલિસ નામના બે રોબોટ્સને નષ્ટ કરી દેવા પડ્યા હતા કારણ કે તેમણે અચાનક એવી ભાષામાં બોલવાનું શરૂ કર્યું હતું જે માણસો સમજી શકતા નહોતા.

એવી કોઈ ટેકનોલોજી બની નથી જેનો ગેરઉપયોગ થયો ન હોય. અત્યાર સુધી માણસ પોતે તેનો ગેરઉપયોગ કરતો હતો, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીઓમાં જોખમ એ છે કે તેને માણસના મગજની જરૂર નહીં પડે. એ પોતે જ ‘સ્વતંત્ર માણસ’ બની જશે. જેમ કે કોમ્પ્યુટરમાં જે વાઇરસ આવે છે તે આપણા શરીરમાં આવતા વાઇરસનું જ ડિજિટલ રૂપ છે. આવા ઘણા ઉદાહરણ કલ્પી શકાય.

ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગે એ.આઈ.ને ‘માનવ ઇતિહાસની સૌથી બદતર ઘટના’ ગણાવી છે, ટેસ્લા અને ટ્વિટરવાળા ઇલોન મસ્કે કહ્યું છે કે એ.આઈ.માંથી ‘સૌથી દુષ્ટ અને ક્યારે ય ન મરે તેવો સરમુખત્યાર’ પેદા થશે. 2020માં, મસ્કે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 21મી સદીમાં એ.આઈ. માણસ કરતાં વધુ સ્માર્ટ હશે અને માનવજાતિ પર સરસાઈ ભોગવતી હશે. એમાં ઘણી બાબતો અસ્થિર અને વિચિત્ર થઈ જશે.

2018માં, દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં તત્કાલીન ગૂગલ સી.એ.ઓ. સુંદર પિચઈએ કહ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાતે ક્યારે ય ન જોઈ હોય તેવી ટેકનોલોજી છે. તેનો પ્રભાવ ઇલેક્ટ્રિસિટી કે અગ્નિની શોધ કરતાં પણ ક્રાંતિકારી રહેવાની છે.” તે વખતે ત્યાં બેઠેલા લોકોને આ વાતમાં બહુ દમ લાગ્યો ન હતો, પરંતુ ચેટ-જી.પી.ટી.ના વિકાસ પછી સૌને સમજાઈ ગયું છે કે ટેકનોલોજી કેટલી હદે કઈ દિશામાં જઈ રહી છે.

‘હોમો સેપિયન્સ’ પુસ્તકના લેખક યુવલ નોઆ હરારીએ તેની સિકવલમાં ‘હોમો ડેયસ’ નામનું ભવિષ્યવાદી પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે વર્તમાનમાં જે ટેકનોલોજીઓ વિકસી રહી છે તેના દાખલા-દલીલો સાથે કહ્યું છે કે અત્યારે માણસ પ્રકૃતિના નિયમોને અધિન છે, પરંતુ ભવિષ્યમાં એ પાવર આપણે બનાવેલાં યંત્રોમાં હશે. સવાલ એ છે કે શું એ યંત્રો આપણા નિયંત્રણમાં હશે? યંત્રોમાં કોન્સિયસનેસ આવી જાય તો તે તેમની ઈચ્છા પ્રમાણે વર્તશે? આ ડર વ્યાજબી છે.

‘હોમો ડેયસ’માં હરારીએ તેની વાત કરી છે :

“આપણે બહુ ઝડપથી એક અજાણી દિશા તરફ દોડી રહ્યા છીએ અને એનાથી બચવા માટે આશા પણ રાખીએ છીએ કે કોઈક બ્રેક મારે અને આપણને ધીમા પાડે, પણ એ શક્ય નથી કારણ કે કોઈને ખબર નથી કે બ્રેક ક્યાં છે. અમુક લોકો AI, નેનો-ટેકનોલોજી, બિગ ડેટા કે જીનેટિક્સ જેવાં ક્ષેત્રોની ઘટનાઓથી પરિચિત હોઈ શકે, પણ એવી કોઈ વ્યક્તિ નથી જે તમામ ક્ષેત્રોને અરસપરસ જોડીને વ્યાપક ચિત્ર જોઈ શકે. અલગ અલગ ક્ષેત્રો એકબીજાને એવી પેચીદી રીતે અસર કરે છે કે સૌથી શ્રેષ્ઠ મગજ પણ એ ના સમજી શકે કે AIની નેનો-ટેકનોલોજી પર અને નેનો-ટેકનોલોજીની AI પર કેવી અસર પડશે. એવી કોઈ વ્યક્તિ નથી જે તમામ આધુનિક વૈજ્ઞાનિક શોધખોળોને સમજી શકે, જે ભવિષ્યવાણી કરી શકે કે આવતાં દસ વર્ષમાં અર્થવ્યવસ્થા કેવી હશે અને કોઈને ખબર નથી કે આપણે કઈ દિશામાં દોડી રહ્યા છીએ. એટલે આ આખી સિસ્ટમને સમજવાવાળું કોઈ નથી, એને રોકવાવાળું પણ કોઈ નથી.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 09 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1791,1801,1811,182...1,1901,2001,210...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved