Opinion Magazine
Number of visits: 9555891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડીલોની દરકાર સમાવેશી અને સંવેદનશીલ સમાજની જરૂરિયાત

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 August 2025

ચંદુ મહેરિયા

ખાસ્સા વિરોધ વચ્ચે યુરોપિયન દેશ ડેન્માર્કે નોકરીની નિવૃત્તિ વય વધારીને ૭૦ વરસની કરી છે. ભારતની ૧૦ ટકા વૃદ્ધ વસ્તીમાંથી ૭૦ ટકાને જીવન ગુજારા માટે કામ કરવું પડે છે. દેશમાં સૌથી ઓછી (૭.૭ ટકા) વૃદ્ધ વસ્તી ધરાવતા રાજ્ય બિહારે યુવા આયોગની રચના કરી છે. દેશનું સૌથી સાક્ષર રાજ્ય કેરળ સૌથી વધુ વૃદ્ધ વસ્તી (૧૬.૫ટકા) ધરાવે છે. તેણે માર્ચ ૨૦૨૫માં વરિષ્ઠ નાગરિક આયોગની રચના કરી છે. જાપાનની ૧૨.૩ કરોડની કુલ વસ્તીમાં ૩.૬ કરોડ (૨૯.૩ ટકા) લોકો ૬૫ વરસ કરતાં વધુ વયના છે. જાપાનમાં પંદર વરસથી ઓછી ઉમરની વસ્તી ૧૧ ટકા જ છે. ૨૦૨૧માં ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ ૧૦.૧ ટકા હતું. પરંતુ ૨૦૨૫માં ગુજરાતની અંદાજિત ૭.૩૨ કરોડની કુલ આબાદીમાં ૬૫ ટકા (૪.૭૭ કરોડ) લોકો ૩૫ વરસ કરતાં ઓછી ઉમરના છે. દેશ-વિદેશમાં વસ્તીના કેવા વિરોધાભાસો જોવા મળે છે તેના આ કેટલાક નમૂના છે. 

આગામી વરસોમાં વૃદ્ધ વસ્તી બાળ વસ્તી કરતાં વધુ હશે તેના સંકેતો મળી રહ્યા છે. એટલે વૃદ્ધોની વિશેષ દરકાર સમાવેશી અને સંવેદનશીલ સમાજના નિર્માણ માટેની તાતી જરૂરિયાત છે. ૧૯૬૧માં ભારતમાં વૃદ્ધજનોની વસ્તી ૫.૧ ટકા હતી જે આજે વધીને બમણી થઈ ગઈ છે. કેરળમાં ૧૬.૫ ટકા, તમિલનાડુમાં ૧૩.૬ ટકા, હિમાચલ પ્રદેશમાં ૧૩.૧ ટકા, પંજાબમાં ૧૨.૬ ટકા વસ્તી ૬૦ વરસ કરતાં વધુ ઉમરના વરિષ્ઠ નાગરિકોની છે. ઘટતો પ્રજનન દર અને ઓછો મૃત્યુ દર, મોટી ઉંમરે લગ્ન, અવિવાહિત વસ્તીનું વધતું પ્રમાણ, બાળક ન હોવું કે ઓછા બાળકો હોવાં, રોજગાર માટે વિદેશ કે અન્ય રાજ્યોમાં વસવાટ, સરેરાશ આયુષ્યમાં વૃદ્ધિ જેવા કારણોથી વૃદ્ધ વસ્તી વધી રહી છે અને બાળ કે યુવા વસ્તી ઘટી રહી છે.

બાળ કે યુવા વસ્તી કરતાં વૃદ્ધ વસ્તી વિશેષ કાળજી માંગે છે. એજિંગ ઈન ઇન્ડિયા : ચેલેન્જિસ એન્ડ ઓપર્ચ્યુનિટી રિપોર્ટમાં વૃદ્ધ વસ્તીની બદહાલ સ્થિતિ જણાવી છે. પોણા ભાગના વૃદ્ધો આર્થિક પરાધીનતામાં જીવે છે. તેમણે મોટી ઉંમર કે ખરાબ સ્વાસ્થ્યની પરવા કર્યા વિના પેટનો ખાડો પૂરવા કામ કરવું પડે છે. કેરળ જેવા રાજ્યમાં રોજગારીની તલાશમાં યુવાનો દેશ કે રાજ્ય બહાર વસતા હોઈ વૃદ્ધોની દરકાર લેનાર કોઈ નથી. આશરે સાડા ત્રણ કરોડની કેરળની વસ્તીમાં દર પાંચે એક ઘરની ઓછામાં ઓછી એક વ્યક્તિ રાજ્ય બહાર વસે છે. એકલા રહેતા પુરુષો કરતાં એકલી રહેતી મહિલાઓ કે વિધવાઓની વસ્તી વધારે છે. પેટ પૂરતું ખાવાનું ન મળવું કે કુપોષણ તે વૃદ્ધોની મોટી સમસ્યા છે. ડાયાબિટીસ, બ્લડપ્રેસર, હ્રદય સંબંધી બીમારીઓથી તે પીડાય છે. તેમની પહોંચ મોંઘી આરોગ્ય સેવાઓ સુધી નથી અને સરકારી આરોગ્ય સેવાઓ ખસ્તાહાલ છે. તણાવ અને એકલતા જેવા માનસિક વ્યાધિથી પણ તે પીડાય છે. ઉપેક્ષા, ભેદભાવ અને દુર્વ્યવહાર સહેવો પડે છે. 

વરિષ્ઠ નાગરિકોની વસ્તીમાં થઈ રહેલા વધારા અને તેમની બદતર હાલત અંગે સરકાર ચિંતિત છે. ૨૦૧૧માં ભારત સરકારે વૃદ્ધજનો માટે રાષ્ટ્રીય નીતિ ઘડી હતી. આ નીતિમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ વરિષ્ઠ નાગરિક આયોગની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે. કેરળ દેશનું પહેલું રાજ્ય છે જેણે વરિષ્ઠ નાગરિક આયોગ બનાવ્યું છે. ૨૦૦૬માં વૃદ્ધ દેખભાળ નીતિ ઘડનારું પણ કેરળ પ્રથમ રાજ્ય હતું. કેરળની હાલની ૧૬.૫ ટકા વૃદ્ધ વસ્તી આગામી પચીસેક વરસોમાં વધીને બમણી થવાની શક્યતા હોઈ તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. 

કેરળનું સિનિયર સિટિઝન કમિશન કેરળ વિધાનસભાએ પસાર કરેલા સર્વસંમત વિધેયક(જે હવે કાયદો બન્યું છે)થી રચાયું છે. તેમાં અધ્યક્ષ ઉપરાંત ત્રણ સભ્યો છે. તેમનો કાર્યકાળ ત્રણ વરસનો નિર્ધારિત કર્યો છે. કમિશનના તમામ સભ્યો સિનિયર સિટિઝન હોય, સભ્યોમાં એક અનુસૂચિત જાતિ, જનજાતિમાંથી અને એક મહિલા હોય તેવી જોગવાઈ કરી છે. આ કમિશન વૃદ્ધોના કલ્યાણ, સલામતી, પુનર્વાસ, જાગ્રતિ, સશક્તિકરણનું કાર્ય કરશે. કમિશન સમક્ષ આવતી ફરિયાદોની તો તે તપાસ કરશે જ કેટલીક બાબતે સુઓમોટો પણ કરશે. રાજ્યની વૃદ્ધજન નીતિના ઘડતરમાં તે સલાહકારનું કામ કરશે. વૃદ્ધાવસ્થા સંબંધી બીમારીઓમાં તે વૃદ્ધો સુધી આરોગ્ય સેવાઓ પહોંચે, તેમના આરોગ્યની નિયમિત તપાસ થાય, સ્ટ્રેસ, ડિપ્રેશન, અલ્ઝાઈમર જેવી માનસિક બીમારીઓની પણ સારવાર મળે, તેમના જમીન-મિલકત કે ભરણપોષણના ગૂંચવાયેલા પ્રશ્નોમાં કાનૂની સહાય જેવાં કાર્યો પણ આયોગ કરશે. વરિષ્ઠ નાગરિકોના કૌશલ્ય, જ્ઞાન અને અનુભવોનો લાભ સામુદાયિક વિકાસ કાર્યો અને સેવાઓને મળે તે માટે પણ તે પ્રયત્ન કરશે. 

કેરળ સરકારે વરિષ્ઠ નાગરિક આયોગની રચનાના છ મહિના પછી તાજેતરમાં વૃદ્ધજનો માટેની રાજ્યનીતિનો મુસદ્દો જાહેર ચર્ચા માટે રજૂ કર્યો છે. વરિષ્ઠ નાગરિકોના સન્માન, કલ્યાણ અને સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના નિર્ધાર સાથેના આ મુસદામાં વૃદ્ધોની ઉપેક્ષા અને દુર્વ્યવહાર અંગે રાજ્યની ઝીરો ટોલરન્સની નીતિની ઘોષણા કરવામાં આવી છે. વૃદ્ધજનોના કલ્યાણ, સુરક્ષા, નાણાંકીય સલામતી,  દેખભાળ અને સરવાળે જીવનની ગુણવત્તામાં સુધારો જેવી બાબતો માટે વધુ દૃઢ અને પ્રગતિશીલ કાયદો ઘડવાની નેમ વ્યક્ત કરી છે. રાજ્યનીતિમાં જણાવ્યા પ્રમાણે નવા કાયદામાં વડીલોના કલ્યાણ સંબંધી નિયમોનો ભંગ કરનારને કઠોર દંડ કરવાની જોગવાઈ થશે. વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે કાર્યો કરવાં નાણાંની જરૂર રહેવાની એટલે રાજ્યસરકાર તેના બજેટમાં પાંચ ટકા સિનિયર સિટિઝન્સ કાર્યો માટે ફાળવશે તેવી જાહેરાત કરી છે અને મહાનગરપાલિકા, નગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બજેટના ૧૦ ટકા ફાળવે તેવી ભલામણ કરી છે. વધુ નાણાંકીય જરૂરિયાત માટે સંપત્તિ કર પર સેસ નાંખવાની પણ જોગવાઈ કરવાની સરકારની ઇચ્છા છે.

અનુભવ અને જ્ઞાનમાં સમૃદ્ધ પણ અવસ્થાએ લાચાર એવા વરિષ્ઠ નાગરિકોની સંભાળ રાખવી તે વ્યક્તિ, સમાજ અને સરકારનું કર્તવ્ય છે. વળી આર્થિક રીતે નબળા કે વંચિત વર્ગોના વૃદ્ધોને સવિશેષ સહન કરવું પડે છે. તેથી વરિષ્ઠ નાગરિકો માટેની નીતિ અને કલ્યાણ કાર્યક્રમો સમાનતાના ધોરણે વિચારવા જોઈએ. પૈસાદાર અને ગરીબ બંને આર્થિક સ્થિતિના વૃદ્ધોની એક સરખી દરકાર લેવાય તેવાં પગલાંની આવશ્યકતા છે. જો આપણે સમાનતાના ધોરણે વૃદ્ધોના કલ્યાણ કાર્યક્રમો વિચારીશું તો ભવિષ્યમાં સંવેદનશીલ અને સમાવેશી સમાજના નિર્માણમાં સહાય મળશે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગણપતિ બોલે છે …

રવીન્દ્ર પારેખ|Poetry|27 August 2025

ભગવાને પણ
‘હે ભગવાન !’ કહેવું પડે
એવા દિવસો આવ્યા છે
હે મારા ભક્તો, થોડું અટકો, પ્લીઝ !
મારે નામે બધાં જ
રેકોર્ડ બ્રેક કરવામાં કેમ પડ્યા છે
તે નથી સમજાતું
સાચું કહું તો હું હવે
લઘુતાગ્રંથિથી પીડાવા લાગ્યો છું
હું 7 ફૂટનો પણ કદી હતો જ નહીં
ને હવે મને 70 ફૂટનો બનાવો તો
લઘુતાથી પીડાઉં કે નહીં?
1954થી દર વર્ષે મારી ઊંચાઈ
એક ફૂટ વધે છે
કોઈ ભગવાન તો શું શેતાન પણ
દર વર્ષે એક ફૂટ નહીં વધતો હોય
ને તેલંગાણામાં મારી પ્રતિમા
આ વખતે 71 ફૂટની કરશો તો
શતાબ્દી વર્ષમાં મને જોવા
લિફ્ટ મુકાવવાના છો?
મને લાડુ ભાવે છે એની ના નહીં,
પણ 500 કિલોનો એક જ લાડુ
બનાવવાનો અર્થ ખરો?
આટલો મોટો લાડુ હોજરીમાં
રાખીશ ક્યાં તે તો કહો
500 કિલો તો મારું કુલ વજન પણ નથી
તો જરા હોજરી ભાર ઝીલે એટલું કરોને !
કોઈ વાંસનો તો કોઈ ઘાસનો બનાવે છે
કોઈ મને સાકરનો બનાવે છે
તો કોઈ કેડબરીનો !
ને પછી કીડી ચડે છે તો
ડી.ડી.ટી. મારા પર જ છાંટે છે
એ ઓછું હોય તેમ કોઈ મને મગનો બનાવે છે
તો કોઈ ચણાનો
મારા ફણગા ફોડવાનું રહેવા દો, પ્લીઝ !
આમ મગમાંથી પગ કાઢીને
મને જાતભાતની રીતે બનાવો તો છો,
પણ સરવાળે તો હું ઉલ્લુ જ બનું છું
આ વખતે કોઈએ મને
ગોબરનો પણ બનાવ્યો છે
કાલ ઊઠીને કોઈ મને ચીઝ-પનીર કે
પીઝા-બર્ગરનો બનાવે તો
ભય એ છે કે કોઈ
મને ભચડી ગયું તો
અડધો પડધો હું જીવીશ કેમ કરીને?
આમેય અધૂરો છું
માણસ પર હાથીનું ડાચું ફીટ કરીને
ફાધરે
મને જેમ તેમ એસેમ્બલ કરેલો છે
હવે તો મારા પાર્ટ્સ પણ મળતા નથી
કોઈ 60 કિલો સોનાથી
તો કોઈ 100 કિલો ચાંદીથી શણગારે છે મને
આ બધું દેખાદેખી ચાલે છે
એમાં સ્નેહ કરતાં સ્પર્ધા વધારે છે
હું દસ દિવસ પૂરતો આવું છું
પણ મને હવે મહિના અગાઉ
લાવી મુકાય છે
આમ લાવીને મને વાસી
કરવાનો કોઈ મતલબ છે?
મને રસ્તા વચ્ચે ડી.જે.ના ઘોંઘાટમાં રોકી રાખીને
ટ્રાફિક જામ કરવામાં
કોઈ હોસ્પિટલ નથી પહોંચતું
કોઈ નોકરીએ મોડા પડે છે
કોઈ ટ્રેન ચૂકે છે
એ ઠીક નથી
તમારી લાગણી હું સમજું છું
તો તમે મને પણ સમજો
આ સંપત્તિ મેં જ તો આપી છે તમને
તે મને પાછી આપવા નહીં!
મને ભાવ જોઈએ છે
મારો ભાવ ન કરો
ગણપતિ છું તો ગણપતિ જ રહેવા દો, પ્લીઝ !
તમે તો માણસ છો
હું તમને કાંદા લસણના કે કાદવ કીચડના બનાવું તો ચાલશે?
તો મને શું કામ સોનાચાંદીનો બનાવો છો?
કોઈ તો મને લાવતી વખતે
200-200ની નોટો ઉડાડે છે
ત્યારે લોકો મને નથી જોતા
નોટને જુએ છે
આટલો મોંઘો તો હું કદી હતો જ નહીં !
માટી જ થવાનું હોય તો
માટીમાં રહીએ એ જ સારું!
મારો રેકોર્ડ કરીને શું કરશો?
આવતે વર્ષે એય તૂટશે
ને ન તૂટે તોય હું તૂટી જઈશ
એ તો જુઓ
પછી વિસર્જન વખતે
સોનામાંથી મને કાઢવાનું અઘરું થશે
એનું સુખ એટલું ખરું કે
મારા હાથ, પગ રખડતા દેખાશે
પણ સોનું કે ચાંદી રઝળતાં નહીં દેખાય
જે કામનું છે તે રાખી લેવાય છે
ને નકામું તો વિસર્જિત થઈ જ જાય છે …

e.mail : ravindra21111946@gmail.com

Loading

સિલેક્ટિવ વિરોધ કેમ? સિલેક્ટિવ મૌન કેમ?

રમેશ સવાણી|Opinion - Opinion|27 August 2025

રમેશ સવાણી

ફિલ્મ કલાકારોને ફિલ્મને લગત એવોર્ડ મળે તે બરાબર છે. પરંતુ કોઈ વખત એમને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે તે ઉચિત છે કે કેમ તે પ્રશ્ન ઉદ્દભવે છે. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર લોકો માટે આદર્શ બનતાં હોય છે. અન્યાય સામે ચૂપ રહેનાર કલાકારને રાષ્ટ્રીય પુરસ્કાર મળે તે ઉચિત કહી શકાય નહીં. મહિલા પહેલવાનોનું યૌન શોષણ સામે આંદોલન હોય કે કિસાન આંદોલન હોય જો કલાકાર સરકારથી ડરીને ચૂપ રહે તો તે સમાજને અન્યાય સામે ચૂપ રહેવાનો સંદેશો આપે છે. ગરીબી / મોંઘવારી / બેરોજગારી / શિક્ષણ અને હોસ્પિટલના માફિયાનો ત્રાસ / દલિત-વંચિત પ્રત્યેનો ભેદભાવ / આદિવાસી શોષણ વગેરે સમસ્યા અંગે જો કલાકારો ચૂપ રહે તો તે આદર્શ બની શકે નહીં. 

હિન્દી ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચનનું ઉદાહરણ લઈએ. મનમોહન સિંઘની સરકાર વખતે તેમણે પેટ્રોલના ભાવ વધારા સામે ઝૂંબેશ કરી હતી, તે સારી બાબત હતી. પરંતુ મોદીજી વડા બનતા અચ્છે દિનના બદલે ખરાબ દિવસો જોવાનો સમય આવ્યો. મોંઘવારી વધી / બેરોજગારી વધી / પેટ્રોલ-ડીઝલની કિંમત વધી / ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થયું / હત્યારા અને બળાત્કારીઓને જેલ મુક્ત કર્યા / મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનારને બરાબર છાવર્યો / કિસાન આંદોલન દરમિયાન 750 કિસાનોના જીવ ગયા / ઈલેક્ટોરલ બોન્ડ સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યા / 12 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમકોર્ટના ચાર ન્યાયાધીશો – જસ્તી ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકુર અને કુરિયન જોસેફે અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ કરી લોકશાહી બચાવોનો પોકાર કર્યો / મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ અને ગેંગ રેપ થયાં / મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનારને મોદીજીએ છાવર્યો છતાં અમિતાભ બચ્ચને એક શબ્દ ઉચ્ચારવાની હિમ્મત કરી નહીં ! ફિલ્મી પરદે અન્યાય સામે ઝઝૂમતા અમિતાભે વાસ્તવિક જિંદગીમાં લોકોની વેદનાને બદલે સત્તાની ચાપલૂસી પસંદ કરી ! ભવિષ્યમાં તેમને ‘ભારત રત્ન’નો પુરસ્કાર અપાય તો લોકો તેમાંથી શું પ્રેરણા મેળવે? એ જ કે સત્તાની ચાપલૂસી કરવાથી પુરસ્કાર મળે છે ! 

બોલીવુડ ફિલ્મોને ઘણીવાર સપનાં વેચતી ફિલ્મો તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે તે પ્રેક્ષકો માટે પલાયનવાદ અને કાલ્પનિકતા પ્રદાન કરે છે, જે ગ્લેમર, રોમાંસ અને જૂઠા જીવનની વાર્તાઓમાં દર્શકોને ગૂંચવી રાખે છે. લોકો ફિલ્મોમાં મનોરંજન અને તેમની દૈનિક વાસ્તવિકતાઓથી કામચલાઉ છટકબારી શોધે છે. બોલિવૂડ ફિલ્મોમાં વારંવાર ભવ્ય સેટ, વિદેશી સ્થાનો અને નાટકીય વાર્તાઓ દર્શાવવામાં આવે છે જે દર્શકોને તેમના રોજિંદા જીવનથી દૂર દુનિયામાં લઈ જાય છે. ઘણી બોલિવૂડ ફિલ્મો આદર્શ રોમેન્ટિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઘણીવાર સુંદર અભિનેતાઓ અને અભિનેત્રીઓ સાથે, અને પ્રેમ, ઝંખના અને અવરોધોને દૂર કરવાના વિષયો હોય છે અને તેમનો ઉપાય અવાસ્તવિક હોય છે. ફિલ્મો ઘણીવાર સંપત્તિ, ફેશન અને ઐશ્વર્યની દુનિયા દર્શાવે છે, જે પ્રેક્ષકોમાં મહત્ત્વાકાંક્ષા રોપે છે. લાર્જર-ધેન-લાઇફ કથાઓ હોય છે. ભવ્યતા અને ઉત્તેજનાની ભાવના હોય છે. કાલ્પનિક તત્ત્વો હોવા છતાં, બોલીવુડ ફિલ્મો ઘણીવાર પ્રેમ, હતાશા, આનંદ અને દુ:ખ જેવી સાર્વત્રિક માનવ લાગણીઓને નાટકીય પરિસ્થિતિઓ સાથે મૂકે છે. જેથી પ્રેક્ષકો પાત્રો અને તેમના અનુભવો સાથે જોડાઈ જાય છે. ફિલ્મો વાસ્તવિક જીવનથી થોડીવાર દૂર લઈ જાય છે. ફિલ્મો લાગણીઓનો અનુભવ કરવાની, નાટકીય કથાઓ જોવાની અને સુંદરતા અને કાલ્પનિક દુનિયામાં ડૂબકી લગાવવાની તક પૂરી પાડે છે. ફિલ્મો સપનાઓ વેચે છે, તેની સામે વાંધો નથી પરંતુ ફિલ્મો નફરત પણ વહેંચે છે. પ્રોપેગેન્ડા ફિલ્મો એવા શાસકો ઊભા કરે છે જેને માનવમૂલ્યો / બંધારણીય મૂલ્યો સાથે દુ:શ્મનાવટ હોય. માનસ પ્રદૂષણ કરનારી આવી અનેક ફિલ્મો આવી અને આવી રહી છે પરંતુ અમિતાભ બચ્ચન ચૂપ છે. 

અમિતાભ બચ્ચન /અક્ષય કુમાર / અનુપમ ખેર 2014 પહેલા સરકારનો વિરોધ કરતા હતા; પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરતા હતા. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરના 100 રૂપિયાને ક્રોસ કરી ગયા છે; છતાં અમિતાભ બચ્ચન / અક્ષય કુમાર / અનુપમ ખેર ચૂપ છે. લોકોની પીડા આ કલાકારોને સ્પર્શી શકતી નથી ! 24 મે 2012ના રોજ અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું : “પેટ્રોલમાં રપિયા 7.5નો વધારો ! પંપ એટેન્ડન્ટ : ‘કેટલાનું નાખું?’ મુંબઈવાસી : ‘2-4 રૂપિયાનું કાર ઉપર છાંટી દે, ભાઈ ! સળગાવવી છે !” એ વખતે પેટ્રોલની કિંમત 64 રૂપિયા હતી. અક્ષયકુમારે 27 ફેબ્રુઆરી 2012 ના રોજ ટ્વીટ કર્યું હતું ; “સાયકલ સાફ કરી લો; પેટ્રોલમાં બીજો ભાવવધારો આવી રહ્યો છે !” 14 ઓક્ટોબર 2012ના રોજ અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું : ‘“મેં મારા ડ્રાઇવરને પૂછ્યું : ‘મોડો કેમ આવ્યો?’ ‘સર, હું સાયકલ ઉપર આવ્યો !’ ‘કેમ? તારી મોટર સાયકલને શું થયું?’ ‘સર, હવે તેને ઘેર મૂકી દીધી છે; શોપીસ તરીકે !’ 26 ઓગસ્ટ 2025ના રોજ મુંબઈમાં લિટર પેટ્રોલની કિંમત 103.5 છે. 2012માં એમને 64 રૂપિયાનું પેટ્રોલ મોંભ લાગતું હતું, હવે સસ્તું લાગે છે ! અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ 20 ઓગસ્ટ 2013ના રોજ કહ્યું હતું : “આજે હું હસવું રોકી શકી નહીં. રૂપિયાને બચાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે ડોલરને રાખડી બાંધવીને કહેવું મેરી રક્ષા કરના !” તેણે 24 સપ્ટેમ્બર 2013ના રોજ કહેલ કે : “આપણે સુધારણા માટે ફુગાવા અને બેરોજગારી પર ચર્ચા કરવી જોઈએ.” પણ 2014થી તે ચૂપ છે ! કેવી દંભની પરાકાષ્ઠા !

ફિલ્મ કલાકારો આપણને છેતરે છે ! અમિતાભ બચ્ચન / અનુપમ  ખેર / પ્રીતિ ઝિન્ટાએ બોલવું જોઈએ તેવો આગ્રહ નથી. પરંતુ સિલેક્ટિવ વિરોધ કેમ? સિલેક્ટિવ મૌન કેમ?

26 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...117118119120...130140150...

Search by

Opinion

  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved