Opinion Magazine
Number of visits: 9456406
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોંઘા ગુલાબના ઉપવનો

અશોક નાયક|Opinion - Short Stories|12 June 2025

છ વર્ષની સોમલી ગુલાબકાકાના ઘરનું કામ પતાવી પોતાની ઝુપડીએ પહોંચી. ધોવાનાં કપડાંનું તગારું માથે લેતીકને ગુલાબકાકાની વાડી બાજુ દોડી. ગુલાબકાકાની વાડી ગામથી થોડીક દૂર. વાડીની ડંકીએ કપડાં ધોઈને એણે અંધારું થતાં પહેલાં પાછા ઘેર આવી જવું પડે. એને અંધારાની બહુ બીક. બનતી ઝડપે કપડાં ધોઈ એણે ઝટપટ તગારું હજુ માથે ચડાવ્યું જ હતું કે દૂરથી કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. જુએ તો એક ડાઘિયો એના તરફ જ ભસતો દોડતો આવતો હતો. તગારું ફેંકતા જ ને એ રાડો પાડતી ભાગી. કૂતરો એને આંબી જવામાં જ હતો. ત્યાં તો લીમડાના ઝાડ ઉપરથી લગભગ એના જેવડો જ એક છોકરો હઠ હઠ કરતોક ને એની અને કૂતરાની વચ્ચે કૂદી પડ્યો. હવે રાડો પાડતાં ભાગવાનો વારો કૂતરાનો આવ્યો. 

સોમલી દેવદૂતસમા છોકરાને ભાળીને ઊભી રહી ગઈ. શ્વાસ હેઠો બેઠો એટલે બોલી;

“હારુ થિયુ તને ભગવાને મોકઈલો તે. ની’ તો આજે આ ડાઘિયો મને ફાડી જ ખાતે. તારું નામ હું?” 

“મંગો. પણ તું અમથી બીધી. આ મેં હઠ હઠ કઈરું તેમ, તેં હો કલ્લુ ઓ’તે ને હામ્મી થતે તો ડાઘિયો તાથ્થી હો બી’ જતે.”

“ને એ ની’ બીતે તો? ચાલ મને કહબાના પાદર લગણ મૂકી જા.”

“થોભ. મને ઝાડ પથ્થી લીંબોડી પાડી લેવા દે. તને નાહતી જોઈને લીંબોડીનું પોટલું ઉં ઝાડ ઉપ્પર જ રે’વા દેઈને કૂદી પડલો.”

કસબા ગામનું પાદર આવતાં આવતાં તો બન્નેએ દોસ્તી પાકી કરી લીધી. સોમલીના બાપા, એમના ધણિયામા ગુલાબકાકા, ને ત્યાં ખેતમજૂરના ખેતમજૂર અને ઘરઘાટી ના ઘરઘાટી. ગુલાબકાકાના ઘરની પાછળ જ મોટા વાડામાં એ લોકોની ઝૂંપડી. સોમલી પણ બાપાને ગુલાબકાકાના ઘરનાં કામમાં મદદ કરતી. 

મંગો દસ-પંદર ગાઉ દૂર મહુવા ગામમાં રહેતો હતો. જેમ સોમલીએ પોતાની માને નહોતી જોઈ, તેમ મંગાએ પણ પોતાના બાપાને નહોતા જોયા. મંગાની મા બે દિવસ પહેલાં જ ગુજરી ગઈ. એટલે મામા એને ગઇકાલે જ મહુવાથી લઈ આવ્યા. મામા કસબા નજીકના જ આમરી ગામે મોંઘાકાકાને ત્યાં ખેતમજૂરના ખેતમજૂર અને ઘરઘાટીના ઘરઘાટી. એમનું ઘર પણ મામાના ધણિયામા, મોંઘાકાકા, ને ત્યાં. પાછળના મોટા વાડામાં. 

કસબાનું પાદર આવતાં સોમલી કસબા તરફ વળી અને મંગો આમરી તરફ. 

મોંઘાકાકા ગામના સરપંચ. ઝાઝી ખેતી ને ઝાઝાં ઢોરાં. જાહેર કામોમાં એમનો બોલ આખરી. આખાબોલા ને ધાર્યું જ કરવા કરવવામાં માને. ધાક ભારી. દિલના સાફ. બીજે દિવસે સવારે એ મંગાને અને એના મામાને લઇને ઉપડ્યા કસબે. એ જમાનામાં આજુબાજુના છ ગામો વચ્ચે એક જ નિશાળ. તે કસબામાં.  હેડ-માસ્તર સાહેબને મંગાને શાળામાં દાખલ કરવા કહ્યું. નામ લખાવ્યું મનહર કાંતિભાઈ પટેલ. હેડ-માસ્તર સાહેબ ચમક્યા. કચવાયા. આવું નામ? એક દુબળાના છોકરાનું આવું નામ હોય? નામ લખતા તેઓ સહેજ અચકાયા. 

એમને અચકાતા જોઈને મોંઘાકાકા તપ્યા. “કેમ માસ્તર? આ’વુ નામ કેમ ની’ ઑ’ય? તમે માસ્તર થેઈને હમજતા ની’ મલે? દુબરાઓ અને બીજા દબાએલા કચડાએલા બદ્ધા જો આપણી જેમ જ આ’વા નામો પાડતા થેઇ જહે તો હું ખાટું-મોરું થેઈ જવાનું છે જે? જરાક તમારું ભેજું વાપરો. આવું ચાલુ કરહું તો પચ્ચા હો વરહ પછી કોણ કઈ નાત-જાતનું છે તે નામ પથ્થી પરખાહે જ ની’. તમુને બો’ વાંધો આવી જતો ઑ’ય તો અટકવારું ખાનું ખાલી રાખો. ની’ તો પછી તાં મહુવાકર લખો. હેડ-માસ્તર થિયા પણ તે હો તમારે આ ઊંચાને આ નીચા છોડવું નથી? તમારો તો આ જ ધરમ છે, ભાઈ.’

હેડ-માસ્તર સાહેબે કચવાતા મને મનહર મહુવાકરને શાળામાં દાખલ કરવાનો વિધિ પતાવ્યો. ત્રણેય જણા નિશાળની બહાર નીકળતા જ હતા કે સોમલી એના બાપા અને ગુલાબકાકા દાખલ થયા. ગુલાબકાકા અને મોંઘાકાકા મા-જણ્યા ભાઈઓ જ જોઈ લ્યો. ગુલાબકાકાએ સીમા મહેન્દ્ર આમરીકરને શાળામાં દાખલ કરાવી.

ને આમ શરૂ થયા મનહર-સીમાનાં ભણતર-ઘડતર. બન્ને જણા કામમાં શરીર થકવી નાખતા અને ભણવામાં મગજ. બન્નેની સમજ વિકસતી ગઈ તેમ તેમ બન્નેને એટલો ખ્યાલ આવવા માંડ્યો કે તેઓ બન્ને વધારે પડતા જોરાવર નસીબ લઈને જન્મ્યા હતા. મોંઘાકાકા અને ગુલાબકાકા જેવા માણસો દુનિયામાં બહુ ઓછા હતા. કચવાતા મનના હેડ-માસ્તર જેવા ઘણા વધારે. સમય જતાં એમને એવા એવા માણસોનો ભેટો થવા માંડ્યો કે હેડમાસ્તર સાહેબ તો સરળ, ડરપોક, સજ્જન અને દયાપાત્ર લાગવા માંડ્યા. એમને એ પણ સમજાવા માંડ્યુ કે પોતાને મળી છે એવી તક પોતાના જેવડા જ બીજા અનેકોને નથી મળી. એ તો બિચ્ચારાં ભૂખમરામાં અને અજ્ઞાનમાં જ સબડે છે.

દાયકો વિત્યો. મનહર મહુવાકર આઈ.ટી.આઈ. પાસ કરી જી.આઈ.ડી.સી.માં એક એંજિનિયરીંગ કારખાનામાં હેલ્પરની નોકરીએ લાગ્યા. સીમા મનહર મહુવાકર અગ્યારમું ધોરણ પાસ કરી એક સહકારી બેંક્માં સાફ-સફાઈ કરવાના અને ચા-પાણી કરાવવાના કામે લાગ્યાં. સીમાએ ભણવાનું ચાલુ જ રાખ્યું. એમની આવક વધતી ગઈ. એમણે જરૂરિયાતો સીમિત જ રાખી. બન્નેએ એક જ સહિયારો શોખ કેળવ્યો. પેલા બિચ્ચારા ભૂખમરા અને અજ્ઞાનમાં સબડતા મિત્રોને યથા શક્તિ મદદ કરવાનો. 

મનહરે કામ શરૂ કર્યાના ત્રીજા મહિને એમના કારખાનાના બી.ટૅક. થયેલા માલિક, જૉહન મેથ્યુસ સાહેબે જર્મનીથી મંગાવેલું એક મસ-મોટું અને અતિ-મોંઘું મશીન આવી પહોંચ્યું. એને ટ્રક્માંથી ઉતારતી વખતે ક્રેઈનનું લોખંડી દોરડું તુટી ગયું. મશીન બાપડું ઘાયલ થઇ ગયું. એના મુખ્ય ભાગનો જ અસ્થિભંગ થઇ ગયો. તેને નવો મંગાવવા ટેલીફોનો ધણધણ્યા. જર્મનીએ સમય માંગ્યો : છ મહિના. કિંમત માંગી : મેથ્યુસ સાહેબની છાતીના પાટિયા બેસી જાય તેટલી. મુનિમને મશીનના વીમા બાબતે પૂછ્યું ત્યારે ખબર પડી કે પ્રિમિયમ પેટે આપેલો ચૅક તારીખ લખવામાં ભૂલ થયેલી અને બૅંકે પાછો મોકલેલો. ટૂંકમાં વીમો ન હતો. મશીન વ્યવસ્થિત ગોઠવી ચાલુ કરી આપવા જર્મનીથી આવેલા એંજિનિયરો પાછા ગયા. મેથ્યુસ સાહેબ માથે હાથ દઈ બેઠા. એમને તો લીધેલી લોન ન ભરાતાં બેંક્ના અધિકારીઓ કારખાનાને તાળા મારવા આવતા દેખાવા લાગ્યા. જે ગ્રાહકો એ બનનારા માલ પેટે આગોતરા નાણાં આપેલા એમને પોતાની ઑફીસ બહાર લાઈન લગાવી બેઠેલા દેખાવા માંડ્યા. પોતાના હોંશિયાર અને ભરોસાપાત્ર કારીગરો નોકરી છોડીને જતા દેખાવા માંડ્યા. ચાર દિવસમાં તો એમની ઉંમરમાં ચાલીસ વર્ષનો વધારો થઈ ગયો. 

એ ચારેય દિવસ મનહર મશીનના એ તૂટેલા ભાગને જેમ ગોળ ઉપર મંકોડો ચોંટે તેમ ચોંટેલો રહ્યો. અને પછી હિંમત ભેગી કરી મેથ્યુસ સાહેબ સામે જઇ ઊભો. ગુંચવાતાં ગભરાતા કહ્યું: “સાહેબ, મને કંઈક રસ્તો સૂઝે છે. થોડીક મુશ્કેલીનો ઉપાય નથી સુઝતો. તમે જો ઉપાય શોધી કાઢી શકો તો આ ભાગ આપણે અંહી જ બનાવી શકીયે. દસેક દિવસમાં જ બની જાય.” ત્રણેક મહિનાના ટૂંકા ગાળામાં પણ મનહરની હોંશિયારી અને નિષ્ઠાનો અંદાજ પામી ચુકેલા મેથ્યુસ સાહેબ કૂદીને ખુરશીમાંથી ઊભા થઇ ગયા. પછીના ચાર દિવસ અને ચાર રાત્રિ મનહરે અને મેથ્યુસ સાહેબે કારખાનામાં જ વીતાવી. બધા જ કારીગરો સુઝ્યું તે કામે લાગ્યા. જેમને કંઈ ના સુઝ્યું એમણે હવન-પૂજા-ઉપવાસ ચાલુ કર્યા. દર્શન કરવાની / ચૂંદડી /નારિયેળ / ચાદર ચડાવવાની માનતાઓ માની. અખૂટ આશા અને ભયંકર હતાશાના ઝુલે આખું કારખાનું ઝુલતું રહ્યું. બીજા આઠ દિવસો વીત્યા. મશીન બાપડું ગુમાવેલા દિવસોનો બદલો આપવો હોય તેમ ધમધમાટ કરતું બમણી ઝડપે માલ ફેંકવા માંડ્યું.

મેથ્યુસ સાહેબે મનહરને મસમોટું ઇનામ આપ્યું. પગાર બમણો કરી નાંખ્યો. નોકરી અડધા સમયની કરી નાંખી. બાકીના અડધા સમયમાં એને એંજિનિયરીંગનો અભ્યાસ પૂરો કરાવ્યો. એ સાથે સીમાએ પણ બી.એ. પૂરું કર્યું. અને એ જ બેંક્માં ક્લાર્ક બની. બન્ને બે બેડ રૂમના સરસ મજાના ફ્લૅટમાં રહેતા થયાં. અત્યાર સુધી બાંધી રાખેલી સંતાન-પ્રાપ્તિની ઈચ્છા એમણે મુક્ત કરી દીધી. સારા દિવસોના એંધાણ વરતાયા. તપાસ કરતા ડૉક્ટરે જોડકા બાળકોની વધામણી આપી. નજીકના કોઈ સગાં તો હતાં નહીં. આવનારાઓને સાચવશે કોણ એ વિચારે સીમા-મનહરે નક્કી કર્યું કે સુવાવડ પછી સીમા નોકરી છોડી દેશે. 

સીમાની બૅંકમાં સીમાના સારા સમાચારની અને એના નોકરી છોડવાના નિર્ણયની વાત મેનેજર પઠાણ સાહેબના કાને પહોંચી. એમણે સીમાને બોલાવી. વાત એમ હતી કે પઠાણ સાહેબના વતનના ગામમાં એક મા-બાપ વગરની ઘરબાર વગરની બારેક વર્ષની ઉંમરની છોકરી, મુમતાઝ, રહેતી  હતી. એને પગે સહેજ ખોડ હતી. નર્યા સ્વાર્થની પ્રતિકૃતિ જેવા કાકા-કાકીને ત્યાં જાનવર કરતાં પણ બદતર હાલતમાં તે દિવસો ગુજારતી હતી. સીમાના ઘર-કુટુંબની આખી પરિસ્થિતિથી વાકેફ પઠાણ સાહેબે સીમાને સહેજ અચકાતાં અચકાતાં એની વાત કરી. અને કહ્યું કે જુઓ સીમાબહેન, આ તો મને જે વિચાર આવે છે તે તમને જણાવું છું. જો તમે મુમતાઝને તમારા ઘરમાં આશરો આપશો તો તમારા સંતાનો અને તમારી નોકરી બન્ને સચવાઈ જશે. બોનસમાં તમને એક ગરીબડી દીકરીના હૈયાના આષિશ મળશે. હા. મુમતાઝને તમારે તમારા ઘરમાં રાખવી પડે. એ એકલી બહાર ન રહી શકે. મનહરભાઈ સાથે નિરાંતે વિચારી, ચર્ચા કરી ને મને જણાવજો. 

ખૂબ લાંબી અંધારી ગુફામાં મુસાફરી શરૂ કરવાની તૈયારી કરતી સીમાને તો જાણે સીધો ગુફાનો અંત જ દેખાઈ ગયો. પોતાના મનહરને પૂરેપૂરો ઓળખી ચુકેલી સીમાએ પઠાણ સાહેબને બને એટલી જલદી મુમતાઝને બોલાવી લેવા જણાવી દીધું. સાંજે મનહરને વાત કરી તો બન્નેને મોંઘા-ગુલાબનું ઋણ ઉતારવાની તક સામે આવી ઊભેલી દેખાઈ. ભલા પઠાણ સાહેબે બીજે જ દિવસે વતનની વાટ પકડી. મુમતાઝ આવી પહોંચી. બારેક્ની ઉંમરની. માંડ છની લાગે. 

દાયકો વિત્યો. ફરી એક વખત પઠાણ સાહેબે સીમાને પોતાના મનની વાત કરી. પઠાણ સાહેબના દૂરનાં સગાંમાં એક મુમતાઝની જ ઉંમરનો છોકરો હતો. નામ મોઈન. અભણ. એકલો. વ્યવહારમાં કાચો. એને પગે સહેજ ખોડ હતી. નજીકના જ એના બાપ-દાદાના ગામે કોઇકના ખેતરમાં ખેત-મજૂર. મહેનત કરવામાં પાકો. નેક દિલ. સઘળા ઓળખીતા પાળખીતાઓએ મુમતાઝ-મોઈનના નિકાહ રંગે-ચંગે ઉજવ્યા. 

બીજા અડધાએક દાયકા પછીની એક સાંજે મુમતાઝ, મનહર-સીમાના ઘરની રસોઈ પતાવી, બસમાં પોતાના ગામના પાદરે ઉતરી. તેણે ખેતર તરફ જવા માંડ્યું. ત્યાં તો મોઈન સામેથી આવતો દેખાયો. ઉડતો ઉડતો. એના ચહેરા પર તો જાણે તારામંડળ ફૂટતા હતા. થયું હતું એવું કે એ દિવસે સાંજે ગામના સરપંચ સાહેબે મોઈનને સામેથી બોલાવીને બે દિવસ પછી પોતાની સાથે શહેરમાં આવવા તૈયાર રહેવા જણાવેલું. સરકારની કોઈ યોજનામાં મોઈનને ચાળીસ હજાર રૂપિયા મળવાના હતા. મોઈને સરપંચ સાહેબ સાથે અંગૂઠો પાડવા શહેરમાં જવાનું હતું. બેંકમાં ખાતું પણ ખોલાવવાનું હતું. હવે મોઈનની સાથે હવામાં મુમતાઝ પણ ઉડવા માંડી. ઘર પહોંચતા સુધીમાં તો બન્નેએ કંઈ કેટલાયે સપનાંઓ જોઈ નાંખ્યાં. 

મુમતાઝ થોડી વહેલી ધરતી પર આવી. બીજે દિવસે એ એની સીમાદીદીને ત્યાં પહોંચી ત્યાં સુધીમાં તો એને થોડીક શંકા પણ જનમવા માંડેલી. આવી તે કેવી સરકારી યોજના કે આખ્ખા ગામમાં એકલા મોઈનને જ આટલા બધા રૂપિયા મળે? એણે સીમાદીદીને વાત કરી. સીમાદીદીએ મનહરને. બીજે દિવસે મોઈન સાથે મનહર અને સીમાદીદી સરપંચ સાહેબને મળવા ઉપડ્યા. અજાણ્યા રૂઆબદાર માણસો સાથે આવેલા મોઈનને જોઈ સરપંચ સાહેબએ ફેરવી તોળ્યું. યોજના તો બંધ થઈ ગઈ છે. ફરીથી ચાલુ થાય ત્યારે બોલાવશું કહી પૂર્ણવિરામ મુક્યું.

મનહરે પોતાના એક વકીલ મિત્રને મામલો સોંપ્યો. અઠવાડિયા પછી મોઈને પાડેલા અંગૂઠાના બદલામાં મોઈન-મુમતાઝના સંયુક્ત બેંક ખાતામાં રૂપિયા ચાર કરોડ જમા થયા. દાદાના વખતના ઉપજાઉ, મોકાની જગ્યા ઉપર આવેલા, વિશાળ ખેતરમાં મોઈનનો ભાગ પોષાતો હતો. તેની કિંમત તેને મળી હતી.

બીજો એક દાયકો વીત્યો. 

મનહર-મોઈન-સીમા-મુમતાઝની ભલી ચોકડીએ ઉછેરેલા મોંઘા-ગુલાબના ઉપવનો મઘમઘી રહ્યા હતા. 

e.mail : naik_ashok2001@yahoo.com

Loading

ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 

દીપક મહેતા|Opinion - Opinion|12 June 2025

ગ્રંથયાત્રા : 5

ગલિવર્સ ટ્રાવેલ્સ

બાળકો અને કિશોરો માટેની આ એક અદ્ભુત રસિક વાર્તા છે? હા અને ના. આ એક સાહસ ભરી પ્રવાસકથા છે? હા અને ના. વિક્ટોરિયન યુગના ગ્રેટ બ્રિટનના લોકો, તેમના રીતરિવાજો, તેમની માન્યતાઓ, કેટલીક જાણીતી વ્યક્તિઓ, વગેરેની ઠેકડી ઉડાડતી કટાક્ષકથા છે? હા અને ના. માણસને અંદરથી જોવા અને જાણવા મથતી, તેના ભાવિનો તાગ લેવા મથતી, કંઇક નિરાશાવાદી રૂપકકથા છે આ? હા અને ના. હકીકતમાં આ એક બહુરૂપી સર્જન છે. જેવો વાચક, જેવો સમય, જેવો દેશ તેવો વેશ ધારણ કરી શકતી આ એક અસાધારણ કથા છે. એનું નામ ગલિવર્સ ટ્રાવેલ્સ. 

ઇ.સ ૧૭૨૬માં ચાર ભાગમાં પહેલી વાર ગલિવર્સ ટ્રાવેલ્સ પ્રગટ થઈ. ત્યારથી આજ સુધીમાં તેના કંઈ કેટલાયે અનુવાદ, અનુકરણ, રૂપાંતર થઈ ચૂક્યાં છે. નાટક, ફિલ્મ અને ટી.વી.વાળાઓએ પણ તેનો ઉપયોગ કર્યો છે, પણ મુખ્યત્વે બાળકો માટે. ગલિવર્સ ટ્રાવેલ્સ પહેલી વાર પ્રગટ થઈ ત્યારે તેના ચાર ભાગમાંથી એકે ભાગ પર ક્યાં ય તેના ખરા લેખકનું નામ છાપ્યું જ નહોતું. કથાનાયક પોતે જ જાણે લેખક હોય તેમ પુસ્તક પર લેખક તરીકે ‘લેમ્યુએલ ગલિવર’ એવું નામ છાપેલું. એટલું જ નહીં, ગલિવર જાણે ખરેખરી વ્યક્તિ હોય તેમ તેનું કાલ્પનિક ચિત્ર પણ મુખપૃષ્ઠ પર છાપેલું! પુસ્તકનો આરંભ તેના પ્રકાશક રિચર્ડ સિમ્પસને વાચકોને ઉદ્દેશીને લખેલી નોંધથી થાય છે. પોતાના જિગરજાન દોસ્ત અને દૂરના સગા ગલિવર પાસેથી આ પુસ્તકનું લખાણ પોતાને કઈ રીતે મળ્યું તેની વાત તેમાં તેણે કહી છે. ત્યાર બાદ ગલિવરે પ્રકાશકને લખેલો પત્ર મૂક્યો છે. તેમાં પુસ્તકમાંની કેટલીક વાતો અંગે ગલિવરે પોતાનો બચાવ કર્યો છે અથવા ખુલાસા કર્યા છે. આ પત્ર જાણે ખરેખર કોઈ લેખકે તેના પ્રકાશકને લખ્યો હોય તેવી રીતે લખાયો છે. પણ પત્રને અંતે લખેલી તારીખ – એપ્રિલ ૨, ૧૭૨૭ – તરફ ધ્યાન જાય તો તરત સમજાઈ જાય કે ગલિવરનો પત્ર અને પ્રકાશકની નોંધ, બંને વાસ્તવિક નહીં પણ કાલ્પનિક છે, બનાવટી છે. કારણ ૧૭૨૬ની સાલમાં પ્રગટ થયેલા પુસ્તકમાં ૧૭૨૭માં લખાયેલો પત્ર કઈ રીતે છપાયો હોય? વળી બીજી એપ્રિલની તારીખ પણ પુસ્તકના સ્વરૂપની સૂચક છે. આ પુસ્તકમાં પહેલી એપ્રિલ – એપ્રિલ ફૂલ – ની બનાવટ નથી. પણ વાસ્તવિકતા અને કલ્પના, હકીકત અને બનાવટ, અહેવાલ અને તરંગ, એ બધાનું અહીં અજબ મિશ્રણ છે માટે જ એપ્રિલ ફૂલ પછીના દિવસની તારીખ.

ગલિવરના નામે આ પુસ્તક લખનાર તે આઈરિશ પ્રોટેસ્ટન્ટ પાદરી અને કટાક્ષ લેખક જોનાથન સ્વિફ્ટ. એ જમાનાના બ્રિટનના રાજકારણીઓ પર અને સામાજિક રીતરસમો પર તેમાં જે વેધક કટાક્ષો છે તેને કારણે સ્વિફ્ટે લેખક તરીકે પોતાનું નામ છાપ્યું નહોતું. અને છતાં સ્વિફ્ટના વિરોધની ઐસી તૈસી કરીને પ્રકાશકે મૂળ લખાણમાંનો કેટલોક ભાગ કાઢી નાખ્યો હતો. પુસ્તક પ્રગટ થયું તે પછી માત્ર એક જ અઠવાડિયામાં તેની બધી નકલો ખપી ગઈ. ત્યારથી આજ સુધીમાં આ પુસ્તક ક્યારે ય આઉટ ઓફ પ્રિન્ટ થયું નથી. પ્રખ્યાત ફ્રેંચ લેખક અને વિચારક વોલ્તેરે ૧૭૨૮માં સ્વિફ્ટને લખેલું : “જેમ જેમ હું તમારી કૃતિ વાંચતો જાઉં છે તેમ તેમ મેં જે કાંઇ લખ્યું છે તે અંગે હું શરમ અનુભવતો જાઉં છું.” અને પ્રખ્યાત કવિ-વિવેચક ટી.એસ. એલિયટે ૧૯૨૬માં આપેલા ક્લાર્ક લેક્ચર્સમાં સ્વિફ્ટને ‘ધ ગ્રેટેસ્ટ રાઈટર ઓફ ઇંગ્લિશ પ્રોઝ’ તરીકે ઓળખાવ્યો હતો.

ગલિવર્સ ટ્રાવેલ્સના ચાર ભાગમાંથી પહેલા બે ભાગ સૌથી વધુ જાણીતા થયા છે અને તેમાં સ્વિફ્ટની સર્જકતા પણ સોળે કલાએ ખીલી ઊઠી છે. પહેલા ભાગમાં ગલિવર છ ઈંચના વહેંતિયા લીલીપુટોના પ્રદેશમાં જઈ ચડે છે. આ વહેંતિયાઓના રીતરિવાજ, રહેણીકરણી, રાજ્ય-વ્યવસ્થા વગેરેના અદ્ભુત ચિત્રણ દ્વારા લેખકે માણસના વામન સ્વરૂપને પ્રગટ કરવાનું નિશાન તાક્યું છે. આ વહેંતિયાઓ માટે સીધો સાદો, નોર્મલ ગલિવર જેવો માણસ એક અજાયબી બની જાય છે. તેઓ જાતજાતની રીતે ગલિવરને માપવાનો અને પામવાનો પ્રયત્ન કરે છે. તો પુસ્તકના બીજા ભાગમાં એ જ ગલિવર મહાકાય વિરાટ લોકોના દેશમાં પહોંચી જાય છે. આ મહાકાય જીવો જીવે છે તદ્દન વ્યવહારુ ભૂમિકા પર. તેમને ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ, સારું-નરસું, જેવા ‘અમૂર્ત’ ખ્યાલોમાં નથી ગતાગમ પડતી કે નથી તેની જરૂર પણ જણાતી.પહેલા ભાગમાં લેખકે માણસના દોષોને સૂક્ષ્મદર્શક કાચ વડે જોયા, તો બીજા ભાગમાં તેને મેગ્નિફાય કરીને બતાવ્યા છે. 

તો ત્રીજા ભાગમાં લેખકે પોતાના સમયના વૈજ્ઞાનિકોની હાંસી ઊડાવી છે. લાગાડો શહેરમાં પ્રખર બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો, સંશોધકો, વિચારકો વસે છે. પણ એવા, કે માણસની ડાબી આંખ વિષે વિચારવામાં જ આખી જિંદગી કાઢી નાખે, પણ માણસને જમણી આંખ પણ હોય છે તે હકીકતની તેમને ખબર પણ ન હોય! ઈન્ટરનેટ સાથે જેને થોડી ઘણી પણ લેવાદેવા હોય તેવી કોઈ પણ વ્યક્તિ ‘યાહૂ’ નામથી અજાણી ન જ હોય. પણ તેમાંથી કેટલાને ખબર હશે કે આ ‘યાહૂ’ નામ પહેલવહેલું સ્વિફ્ટે આ નવલકથામાં યોજ્યું હતું. ચોથા ભાગમાં ગલિવર આ યાહૂ લોકોના દેશમાં જઈ ચડે છે. આ યાહૂ એટલે માણસના રૂપમાં અતિશય બળવાન રાક્ષસ. એનાં રંગઢંગ જંગલી, એની રીતભાત જંગલી. પેલું ફિલ્મી ગીત યાદ છે ને – ‘યાહૂ! ચાહે કોઈ મુઝે જંગલી કહે.’ સ્વિફ્ટ કદાચ સૂચવવા માગે છે કે માણસજાતનું ભાવિ આવા યાહૂ બની રહેવાનું જ છે. 

જોનાથન સ્વિફ્ટ

૧૬૬૭ના નવેમ્બરની ૩૦મી તારીખે ડબ્લીન શહેરમાં સ્વિફ્ટનો જન્મ. તેના જન્મ પહેલાં જ પિતાનું તો અવસાન થયેલું એટલે પિતાનો પ્રેમ ન મળ્યો. માતાની ગરીબીને કારણે પહેલાં સૂયાણી પાસે અને પછી તવંગર કાકા પાસે ઉછર્યો. સારસંભાળ મળ્યાં, પણ પ્રેમ ન મળ્યો. બે સ્ત્રીઓ સાથેના પ્રેમપ્રસંગો પણ નિષ્ફળ નીવડ્યા. રાજકારણમાં પડ્યો પણ બંને વખત જે પક્ષમાં હતો તે પક્ષ ચૂટણીમાં હાર્યો એટલે સ્વિફ્ટની રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂરી ન થઈ. ચર્ચમાં પણ અપેક્ષા પ્રમાણેનો ઊંચો હોદ્દો ક્યારે ય ન મળ્યો. લગભગ આખી જિંદગી બહેરાપણાથી અને વર્ટીગોથી પીડાતો રહ્યો. લગભગ ગાંડપણની હદે પહોંચ્યા પછી ૧૭૪૫ના ઓક્ટોબરની ૧૯મીએ સ્વિફ્ટનું અવસાન થયું.  

XXX XXX XXX

11 જૂન 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

ઝૂફાર્માકોગ્નોસી : પ્રાણીઓ કેવી રીતે પ્લાન્ટ્સને દવાખાનું બનાવે છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 June 2025

રાજ ગોસ્વામી

મોટાભાગના લોકો એવું માને છે રોગને ઠીક કરવા માટે દવા અથવા ઉપચારની પદ્ધતિ માત્ર મનુષ્યોએ જ વિકસાવી છે, અને બાકીના જીવો રામ ભરોસે જીવે છે. પરંતુ એવું નથી. પ્રાચીન સમયથી અમુક આદિવાસી જાતિઓને ખબર હતી કે જંગલી પશુ-પ્રાણીઓ પણ રોગમુક્ત રહેવાનું જાણતાં હોય છે. 

તેના પરથી મેડિકલની દુનિયામાં, ઝૂફાર્માકોગ્નોસી (Zoopharmacognosy) નામની એક નવી વિદ્યા વિકસી છે – તેમાં પ્રાણીઓ કેવી રીતે ઔષધીય ગુણવત્તાવાળી વનસ્પતિ, માટી અને જીવજંતુઓને ખાઈને કે શરીર પર લગાવીને રોગમુક્ત રહેવાનો પ્રયાસ કરે છે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. ઝૂફાર્માકોગ્નોસી ત્રણ ગ્રીક શબ્દો પરથી બન્યો છે; ઝૂ (પ્રાણી), ફાર્માકોન (દવા) અને ગ્નોસી (જ્ઞાન).

ભુવા-ઓઝાઓ પ્રાણીઓનું જોઇને જ નવી દવાઓ બનાવતા હતા. ઉત્તર અમેરિકાના દેશી લોકોમાં ‘બેર મેડિસિન’ પ્રચલિત છે, જે રીંછ પ્રજાતિના નિરીક્ષણ પરથી આવી છે. તેનો ઉપયોગ શરદી, ખાંસી, શ્વાસનળીના સોજા અને તાવને ઠીક કરવા માટે થાય છે. તેનો અર્થ એવો થયો કે એસ્પિરિનની સૌથી પહેલી ‘શોધ’ રીંછ જમાતમાં થઇ હતી.

ઉત્તરીય ગોળાર્ધના દેશી ઉપચારકોએ એવું જોયેલું કે રીંછ શીતનિંદ્રામાંથી બહાર આવીને પાણી નજીક ઊગતાં નેતર જેવા ‘વિલો’ નામનાં ઝાડવાંની છાલ ખાતાં હતાં. તેની છાલમાં સાલિસિન નામનું સમૃદ્ધ કેમિકલ હોય છે, જે મહિનાઓ સુધી ઠંડીમાં રહેવાથી રીંછના શરીરમાં પેદા થતી અક્કડ અને દુ:ખાવો દૂર કરતું  હતું.

ઉપચારકોએ શરીરમાં બળતરા શાંત કરવા માટે અને સંધિવાને ઠીક કરવા માટે રીંછના આ વર્તનની નકલ કરી હતી. પાછળથી વૈજ્ઞાનિકોએ નેતરમાંથી સાલિસીલિક એસિડ છૂટો પાડીને એસ્પિરિન બનાવી હતી.

1853માં, ચાર્લ્સ ફ્રેડરિક ગેરહાર્ડ નામના એક જર્મન કેમિસ્ટે પહેલીવાર સોડિયમ સાલિસીલિક અને એસેટાયલ ક્લોરાઈડ ભેળવીને એસેટાયલસાલિસીલિક એસિડ બનવ્યો હતો. તે પછી પચાસ વર્ષ સુધી બીજા કેમિસ્ટો તેના કેમિકલ માળખામાં ફેરફાર કરતા રહ્યા હતા. 1897માં, ફેલિક્સ હોફમેન નામના એક કેમિસ્ટ સંધિવાથી પીડાતા તેમના પિતાનો ઉપચાર શોધતા હતા. તેમના પિતા દવાની ગોળીઓ ગળવાના વિરોધી હતા. આ હોફમેને 10 ઓગસ્ટ 1997ના રોજ સફળતાપૂર્વક શુદ્ધ એસેટાયલસાલિસીલિક એસિડ બનાવ્યો હતો. અંતત: તે એસ્પિરિન બની હતી.

ભારતમાં બળતરાને શાંત કરવા માટે દેશી ઉપચાર તરીકે લીચ (જળો) થેરાપી પ્રચલિત છે, જે ખૂન ચૂસીને શરીર શાંત કરે છે. સૌથી પહેલાં અમુક પ્રાણીઓને આવો ઉપચાર કરતાં જોવામાં આવ્યાં હતાં. ભારતમાં આજે પણ ખેડૂતો તેમનાં ઢોર-ઢાંખરના રોગ મટાડવા માટે અમુક પ્લાન્ટ્સનો ઉપયોગ કરતા હોય છે.

પ્લાન્ટ્સમાં ઔષધીય તત્ત્વો હોય છે તે વાત નવી નથી. ભારતીય આયુર્વેદ પરંપરામાં હર્બલ દવાઓ કેન્દ્રમાં છે, જે ચોક્કસ પ્રકારની વનસ્પતિનાં મૂળિયાંમાંથી બને છે. પરંતુ પ્રાણીઓ હજારો વર્ષોથી આવી રીતે ઉપચાર કરતાં આવ્યાં છે, તે હકીકત હજુ પચાસ વર્ષથી જ ગંભીર અધ્યયનનો વિષય બની છે.

તમે ઘાસ ખાઈને ઊલટી કરતા કૂતરા જોયા છે? તે ઝૂફાર્માકોગ્નોસીનું ઉદાહરણ છે. તેવી રીતે વાંદરાઓ ઘણીવાર ખોરાકને ચાવ્યા વગર પેટમાં ઉતારી દે છે, પતંગિયાં તેમનાં બચ્ચાંમાં પરજીવીઓ ન વિકસે તે માટે ઝેરી પ્લાન્ટ્સ પર ઈંડાં મૂકે છે. અમુક પ્રાણીઓ તેમના શરીરમાં પરજીવીઓ કે ઝેરને રોકવા માટે માટી, કોલસો કે ઝેરી પ્લાન્ટ્સ ખાઈ જાય છે.

આવી પ્રવૃત્તિથી પ્રાણીઓનો સાચે ઉપચાર થાય છે કે કેમ તેનો ઝૂફાર્માકોગ્નોસીમાં અભ્યાસ થાય છે. પશ્ચિમમાં, 80ના દાયકાથી આ વિદ્યામાં રસ લેવાનું શરૂ થયું હતું. તે પછી તો આ દિશામાં ઘણું કામ થયું છે, અને તાજેતરમાં અમેરિકામાં આ વિષય પર એક રસપ્રદ પુસ્તક પ્રગટ થયું છે; Doctors by Nature : How Ants, Apes, and Other Animals Heal Themselves. 

તેના લેખક, જાપ ડે રૂડે, અમેરિકાના જ્યોર્જિયામાં એમોરી નામની એક ખાનગી યુનિવર્સિટીમાં બાયોલોજીના પ્રોફેસર છે. તેઓ વર્ષોથી વિવિધ પ્રજાતિઓની ઉત્ક્રાંતિ પર કામ કરી રહ્યા છે. તેમણે વિવિધ દેશોના અગ્રણી વૈજ્ઞાનિકો સાથે વાત કરીને અને પતંગિયાં પર તેમના ખુદના સંશોધનના આધારે આ પુસ્તકમાં દાવો કર્યો છે કે કીડીઓથી લઈને બંદર સુધી, મધમાખીથી લઈને રીંછ સુધી અને ઈયળથી લઈને બિલાડી સુધીનાં તમામ પ્રાણીઓ પોતાના અને પરિવારજનોના ઉપચાર માટે પ્લાન્ટ્સનો ઉપયોગ કરે છે.

રૂડે રસપ્રદ દાખલા આપે છે. વાનર તેના પેટમાં ગયેલા કીડાઓને મળ વાટે બહાર કાઢવા માટે લીલાં પાંદડાં ચાવ્યા વગર પેટમાં ઉતારી દે છે. ચકલીઓ પરજીવી જંતુઓને દૂર રાખવા સિગારેટનાં ઠૂંઠાનો ઉપયોગ કરે છે, અને મધમાખીઓ રોગનાં જંતુઓને મારવા માટે ગુંદરને મધપૂડામાં ગોઠવે છે.

તેમણે તાન્ઝાનિયામાં એક રસપ્રદ નિરીક્ષણ કર્યું હતું. ત્યાં તેમણે ચાઉસિકુ નામની એક માદા ચિમ્પાન્ઝીને શિથિલ અવસ્થામાં જોઈ હતી. તેને ડાયેરિયા થઇ ગયો હતો અને આખો દિવસ ઊંઘ્યા કરતી હતી. રૂડે અને બીજા એક સ્થાનિક વિજ્ઞાનીએ જોયું કે ચાઉસિકુ વેર્નોનિયા નામના એક કડવા પ્લાન્ટ પાસે જતી અને તેનીં છાલ કાઢીને તેમાં ઝરતા રસને ચૂસતી. બંને વૈજ્ઞાનિકોને ખબર હતી કે આ પ્લાન્ટ તેનું ડાયેટ નહોતો. તે ઉપચાર માટે તેની પાસે જતી હતી.

આ પુસ્તક વિશે રૂડે એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, “મને બહુ નાની ઉંમરથી પ્રાણીઓમાં રસ હતો, એટલે પ્રાણીઓના ઉપચાર અંગે લખવાની મજા આવી હતી. મેં ચેપી રોગો અને પરજીવીઓ અંગે પણ અભ્યાસ કરેલો હતો. 2005માં મેં અમેરિકામાં મોનાર્ક બટરફ્લાયનાં પરજીવોનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેની ઈયળો દૂધિયાં છોડને ચૂસતી હોય છે, જે આમ ઝેરી પ્લાન્ટ છે. મને અભ્યાસમાં ખબર પડી કે ઈયળો બીમાર હોય ત્યારે આવું ખાસ કરે છે. તેના પરથી મને પ્રશ્ન થયો કે બીજાં જીવો પણ આવું કરતાં હશે?”

એક પ્રશ્ન એવો થાય કે પ્રાણીઓને ખુદનો ઉપચાર કરતાં કેવી રીતે આવડતું હશે? મજાની વાત એ છે કે તેમનામાં પણ ‘કોઠાસૂઝ’ હોય છે. અર્થાત, તેમનામાં ઔષધીય પ્લાન્ટ્સ ખાવાની જન્મજાત વૃત્તિ હોય છે, અને મનુષ્યોની જેમ, તેઓ એકબીજાનું જોઇને અને અનુભવો પરથી પણ આ વૃત્તિ કેળવે છે. જંગલી પ્રાણીઓ કેમ વધુ તંદુરસ્ત હોય છે અને પાલતું પ્રાણીઓને કેમ માણસોની જેમ ડોકટરોની જરૂર પડે છે, તેનું કારણ એ જ છે કે પાલતું પ્રાણીઓ પ્લાન્ટ્સના ઉપયોગથી ખુદનો ઉપચાર કરવાનું ભૂલી ગયાં છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “ સંદેશ”, 08 જૂન 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...117118119120...130140150...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved