Opinion Magazine
Number of visits: 9667430
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાકાળમાં કળાની સમીપે : 4

અમર ભટ્ટ|Opinion - Opinion|27 April 2023

25 ઍપ્રિલ 2021ના દિવસે હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત રાજન મિશ્રાનું કોરોનામાં દુઃખદ અવસાન થયું. સૅકન્ડ વૅવ પૂરજોશમાં હતો. પંડિત રાજન મિશ્રા ખૂબ ગમતા ગાયક. અમદાવાદ સાથે  પંડિત રાજન-સાજન મિશ્રાનો અનોખો નાતો હતો.  એમના 1990-91થી 2020 સુધી અઢળક કાર્યક્રમો માણ્યા હતા. મારી પત્ની વિરાજ એમની શિષ્યા હોવાથી અમારે ઘેર પણ એમની અવરજવર રહેતી અને એમના સૂરીલા વ્યક્તિત્વનો અને એમની ઉષ્માનો અનુભવ અનેક વાર મને થયેલો. બીજે દિવસે દૂરદર્શન પર પંડિત રાજન મિશ્રાની સ્મૃતિમાં આ વિરલ બેલડીએ ગાયેલો રાગ બિહાગ સાંભળ્યો કવિ હરીન્દ્ર દવેની ગઝલના એક શેરની પ્રથમ પંક્તિ  આમ છે –

“થોડી કવનમાં છું, થોડો સ્મરણમાં છું”. આ શબ્દો સહેજ બદલીને જાણે કે પંડિત રાજન મિશ્રા કહી રહ્યા હતા! –

“થોડોક ગાનમાં છું, થોડો સ્મરણમાં છું 

સંકેલ્યો શ્વાસ દેહે, સ્વજન હું નથી ગયો.”

2020માં લોકડાઉનના પ્રથમ દિવસે જ સમજાયું કે સર્જનાત્મકતાનું લોકડાઉન ન થઇ શકે; હૃદયના ભાવોનું લોકડાઉન ક્યારે ય ન થઇ શકે. અનેક સાવચેતી ને વૅક્સિનના બંને ડૉઝ લેવા છતાં હું ઝડપાયો – અલબત્ત નહીંવત અસર થઇ. પણ ભાગ્યમાં 14 દિવસનો એકાંતવાસ મળ્યો. સુખદ પરિણામ એ આવ્યું કે કેટલાંક પુસ્તકો વાંચી શક્યો; સુંદર સંગીત માણી શક્યો ને કેટલીક રચનાઓ સ્વરબદ્ધ કરી શક્યો, જે માત્ર તાનપુરા પર મારા તે વખતના ખોખરા અવાજમાં, ગાઈને મૉબાઇલમાં ઝીલી લીધી. સર્જનની પ્રથમ ક્ષણને તત્કાલીન એ રીતે કેદ કરી.

ગાનસરસ્વતી કિશોરી આમોનકર જfયારે ગાતાં ત્યારે રાગ સાથે મૈત્રી બાંધતાં હોય એવું અનુભૂતિ સૌને થતી. આ દિવસોમાં શ્રોતાઓને સમાધિની સ્થિતિમાં લઇ જનારાં કિશોરીજીનો રાગ અલ્હૈયા બિલાવલ ત્રણ દિવસ સતત સાંભળ્યો (https://youtu.be/ZkBMsVfRn4Q ). સૂરની લગાવટ, એકથી બીજા સ્વર પર જતી સ્વરયાત્રા, તાન લઈને સમ (તાલનું ચક્ર જ્યાંથી શરૂ થાય તે પ્રથમ માત્રા), પર આવવું, બંદિશની પ્રસ્તુતિ અને અંતે અનુભવાતી શાંતિ! આ સઘળું અંદર ઉતારીને મેં મારા ipadમાં તાનપુરો ચાલુ કર્યો અને મારા રૂમમાં ચાલતાં ચાલતાં કવિ મનોહર ત્રિવેદીના આ ગીતની સ્થાયી અલ્હૈયા બિલાવલમાં સ્વરબદ્ધ કરી – 

“ચાલું મોજ પ્રમાણે 

કોઈ કશું ના પૂછે ગાછે કોઈ કશું ના જાણે

મોજ પ્રમાણે આંખ ભરીને ભરચક ભરચક ઊંઘું 

જાણે કોઈ અજાણ્યાં પુષ્પો ડાળ નમાવી સૂંઘું

હું મારું નહીં માનું પણ આ ખેંચે કોણ પરાણે? ( https://youtu.be/rveV4tAbzS8 )

કોણ જાણે  કેમ પણ બિલાવલ રાગ પરિચિત અને ગુજરાતી ફ્લૅવર ધરાવતો લાગ્યો. પછી જાણવા મળ્યું કે પંડિત ઓમકારનાથજીએ મુંબઈ યુનિવર્સiટીમાં 8/1/1962થી 12/1/1962 “મહાગુજરાતનું સંગીત સત્વ” એ વિષય પર પાંચ વ્યાખ્યાન આપેલાં; અને તેમાંનાં એકમાં તેમણે કહેલું કે આપણાં પ્રભાતિયાંમાં બિલાવલ રાગનો એક પ્રકાર – શુક્લ બિલાવલ છે.

મોજ પ્રમાણે ચાલવાનું સ્વાતંત્ર્ય મળ્યું તે બદલ આપણા દેશના બંધારણનો મનોમન આભાર માન્યો. બંધારણનો વિચાર મને એક પુસ્તક પાસે લઇ ગયો – Sixteen Stormy Days –  સોળ તોફાની દિવસો – લેખક : ત્રિપુરદમન સિંઘ.

1951માં ભારતના બંધારણમાં કરવામાં આવેલ પ્રથમ સુધારાની પાર્શ્વભૂમિકા આ પુસ્તકમાં વાર્તાની જેમ વર્ણવાઈ છે. આ સુધારા ઉપરની ચર્ચા 16 દિવસ ચાલી હતી એટલે પુસ્તકનું આ શીર્ષક લેખકે પસંદ કર્યું.

લોકો કાયદાના નક્કર શબ્દોથી ડરે છે; પણ કાયદાના અભ્યાસી તરીકે અને લૉ કૉલેજના વિઝિટિંગ પ્રૉફેસર તરીકે મારે અધિકારપૂર્વક કહેવું છે કે આપણે જો કાયદાને પણ નજીકથી નિહાળીએ તો કદાચ એની બીક નહીં લાગે. એમાં પણ આપણા બંધારણને એક જીવંત દસ્તાવેજ – લિવિંગ ડોકયુમેન્ટ – તરીકે જોવામાં આવે છે. એમાં, કવિતા કે કોઈ પણ કળાની જેમ જ, અર્થઘટનની અઢળક શક્યતાઓ પડેલી છે. બંધારણને પણ, કવિતા ને કવિની જેમ, ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોવાથી એક જુદો જ દૃષ્ટિકોણ મળે છે. કોલંબિયા લૉ સ્કૂલના અમારા પ્રોફેસર કહેતા કે “We cannot separate past and present otherwise we will embarrass future.” (આપણે અતીત અને વર્તમાનને અલગ ન કરી શકીએ, નહીં તો આપણે  ભવિષ્યને અગવડમાં મૂકીશું.)

બંધારણ ઘડાયાની પ્રક્રિયા રસપ્રદ છે. આપણે વિશ્વના અનેક દેશોનાં બંધારણોમાંથી આપણે માટે અનુકૂળ વિચારો લીધા. બંધારણના ઘડવૈયાઓએ ઋગ્વેદની આ ઋચાનો વિચાર અમલમાં મૂક્યો એમ કહું? – आ नो भद्राः क्रतवो यन्तु विश्वतोऽदब्धासो अपरितासउद्भिदः। (સૌ દિશાઓમાંથી અમને ભવ્ય વિચારો પ્રાપ્ત થાઓ.) યુ.એસ.એ.ના બિલ ઑફ રાઈટ્સ ઉપર આપણા બંધારણમાં મૂળભૂત અધિકારોનું પ્રકરણ આધારિત છે. (જો કે યુ.એસ.એ.માં શસ્ત્ર ધારણ કરવાનો હક્ક પણ બંધારણના બીજા સુધારાથી અપાયો છે; જયારે આપણે ત્યાં શાંતિપૂર્ણ રીતે હળવા મળવાની સ્વતંત્રતા અનુચ્છેદ 19(1)(બ) નીચે છે.) અનુચ્છેદ 19(1)(એ) નીચે વાણી અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય મળ્યું જેમાં પ્રેસનું સ્વાતંત્ર્ય સમાવિષ્ટ છે. બંધારણીય સભાની ચર્ચાઓમાં પણ વ્યક્તિગત અધિકારો, વ્યક્તિસ્વાતંત્ર્ય વગેરે ઉપર ભાર આપવામાં આવ્યો હતો. મિલકત ધારણ કરવાનું સ્વાતંત્ર્ય પણ અનુચ્છેદ 19(1)(એફ) નીચે આપવામાં આવ્યું હતું. સાથેસાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીચે દેશની સાધનસંપત્તિ “બહુજન સુખાય બહુજન હિતાય” વપરાય અને આર્થિક સત્તાનું પણ વિકેન્દ્રીકરણ થાય તે જોવા તરફ રાજ્યે પોતાની નીતિઓ ઘડવી તેવી માર્ગદર્શિકા પણ બંધારણમાં છે. આઝાદી મળી તે પહેલાં બ્રિટિશ ભારતમાં  પ્રાંતીય  સભાઓની ચૂંટણી થઇ. એમાં ભારતની તમામ પુખ્ત વયની વ્યક્તિઓને મતાધિકાર નહોતો. મત આપવા માટે મતદાતા સ્ત્રી કે પુરુષ જમીનધારક, શિક્ષિત કે કરદાતા હોય તે જરૂરી હતું. એટલે પ્રાંતીય સભામાં  ભારતની તમામ પુખ્ત વયની પ્રજાનું નહીં; પણ માત્ર 28% પ્રજાનું પ્રતિનિધિત્વ હતું. બંધારણ ઘડવા માટે બંધારણીય સભા બનાવવા જોગવાઈ થઇ તેમાં પ્રાંતીય સભાના સભ્યોએ ચૂંટેલ પ્રતિનિધિઓ જ બંધારણીય સભાના સભ્યો બન્યા. એટલે આવી સભા દ્વારા આપવામાં આવેલ બંધારણ તે ભારતની તમામ પ્રજાના પ્રતિનિધિઓએ આપેલું બંધારણ ન કહેવાય એમ વિચારીને બંધારણમાં અનુચ્છેદ 368 નીચે બંધારણમાં સુધારા અંગે જોગવાઈ કરી હતી – કદાચ એમ વિચારીને કે બંધારણ અમલી બને પછી પુખ્ત વયની દરેક વ્યક્તિને મતાધિકાર મળે તે પછી  પ્રજાસત્તાક ભારતમાં જે  પ્રથમ ચૂંટણી થાય તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંધારણમાં સુધારો કરી શકે. બંધારણીય સભાની ચર્ચાઓ વાંચીએ ત્યારે બંધારણના ઘડવૈયાઓની  દીર્ઘદૃષ્ટિને આપોઆપ નમન થઇ જાય છે.

26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં આવ્યું. પ્રથમ સામાન્ય ચૂંટણી 1951ના અંતમાં કે 1952ની શરૂઆતમાં યોજાવાની હતી. પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ નીચેની પ્રથમ સરકારે  જમીનદારીપ્રથા નાબૂદીનો ખૂબ પ્રચાર કર્યો હતો. જુદાં જુદાં રાજ્યો જમીન સુધારણાના કાયદાઓ ઘડી રહ્યાં હતાં. જમીનદારોના મતે તેમના મૂળભૂત અધિકારનો ભંગ થતો હતો. પટણા હાઈકૉર્ટે 12 માર્ચ 1951ના મહારાજ કામેશ્વરસિંઘના કેસમાં બિહારનો જમીન સુધારણાનો કાયદો ગેરબંધારણીય ઠરાવ્યો. બીજી બાજુ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અંતર્ગત “ઑબ્ઝર્વર”, “ક્રૉસરોડ્સ” જેવાં વર્તમાનપત્રો સરકારની નીતિઓની  સખ્ત ટીકા કરતાં હતાં. આ બધાંથી નહેરુ સરકાર ભીંસમાં આવી હતી. અકળાયેલા નહેરુએ કહેવું પડ્યું –

“Somehow, we have found that this magnificent constitution that we had framed was later kidnapped and purloined by lawyers.” (ગમે તે રીતે પણ આપણે જે ભવ્ય બંધારણ ઘડેલું તેનું  વકીલોએ હરણ કરીને એને તફડાવી લીધું છે.)

આઝાદી પહેલાં બ્રિટિશ પાસે હતી તેવી સંપૂર્ણ સત્તા પોતાની પાસે છે તેવી સરકારની ભ્રાંતિ પટણા હાઈકૉર્ટના ચુકાદાથી ચૂર થઇ ગઈ. બંધારણ અમલી બન્યાના 16 મહિનામાં જ અને પ્રજાસત્તાક ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલાં બંધારણમાં સુધારા કરવાની જરૂરિયાત સરકારને જણાઈ. આ સુધારામાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને મિલકતના અધિકાર પર વ્યાજબી નિયંત્રણો મૂકવાની કવાયત શરૂ થઇ. બંધારણમાં 9મું પરિશિષ્ટ ઉમેરીને તેમાં મૂકવામાં આવેલ કાયદાઓની બંધારણીયતા પડકારી શકાય નહીં તેવી જોગવાઈ કરવાનું વિચારાયું. લેખક ત્રિપુરદમનસિંઘ કહે છે કે 9મું પરિશિષ્ટ તે સરકાર માટે “બંધારણીય સુરક્ષાપેટી” – “Constitutional Vault” હતી. આ સુધારા ઉપર સંસદમાં ઉગ્ર ચર્ચાઓ થઇ. 16 દિવસ ચાલેલી ચર્ચાને અંતે આ સુધારો પસાર થયો. આ પુસ્તકમાં સુધારા પહેલાંની ઘટનાઓનું રોમાંચક, દિલધડક વર્ણન છે. બંધારણ અમલમાં આવ્યાના માત્ર 16 મહિનામાં જ ભારતને એનું “નવું બંધારણ” મળ્યું તેનું વાર્તાસ્વરૂપનું આલેખન ભાષાસમૃદ્ધિ અને અંદરની સમૃદ્ધિ બંને વધારે છે. આ સુધારો શંકરી પ્રસાદના કેસમાં પડકારવામાં આવ્યો. સુપ્રીમ કૉર્ટે ઠરાવ્યું કે બંધારણમાં સુધારો કરવાનો સંસદને અબાધિત અધિકાર છે. પ્રથમ સુધારો અને એ પછીની ઘટનાઓ ધારાતંત્ર અને ન્યાયતંત્ર વચ્ચે અને સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સર્વોપરિતા ને વર્ચસ્વ મેળવવા અંગેની સ્પર્ધાનું કારણ બન્યાં. આ સ્પર્ધા 1973માં 13 ન્યાયાધીશોની બૅન્ચ દ્વારા કેશવાનંદ ભારતીના કેસમાં આપવામાં આવેલ ઐતિહાસિક ચુકાદા સુધી પહોંચી  જે અંતે કોઈ ચોક્કસ તંત્ર નહીં પણ બંધારણ સર્વોપરિ છે તે ખ્યાલમાં પરિણમી. (એક રસપ્રદ વાત – તત્કાલીન કાયદા મંત્રી ડૉ. આંબેડકરે સંસદમાં પ્રથમ સુધારાના સમર્થનમાં વક્તવ્ય આપ્યું હતું. મહારાજ કામેશ્વરસિંઘના કેસમાં પટણા હાઈકૉર્ટે આપેલ ચુકાદો બિહાર સરકારે સુપ્રીમ કૉર્ટમાં પડકાર્યો. આ કેસ ચાલ્યો તે સમયે ડૉ. આંબેડકરે સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. સુપ્રીમ કૉર્ટમાં જમીનદારો તરફથી વકીલ તરીકે ડૉ. આંબેડકરે દલીલો કરી હતી.)

The Tunnel of Time : ધ ટનલ ઑફ ટાઈમ : સુખ્યાત કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણની સ્મરણયાત્રાનું આ પુસ્તક છે. 2021 આર.કે. લક્ષ્મણનું જન્મશતાબ્દી વર્ષ પણ હતું. માર્ચ 23, 2023ના એક અહેવાલ પ્રમાણે ભારતની સુપ્રીમ કૉર્ટના હાલના મુખ્ય ન્યાયમૂર્તિએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે તેમના પ્રિય પત્રકાર કાર્ટૂનિસ્ટ આર.કે. લક્ષ્મણ છે. આ પુસ્તકમાં દરેક પ્રકરણને અંતે આર.કે. લક્ષ્મણનાં કાર્ટૂન મૂકાયાં છે. સ્મરણો નદીની જેમ વહે છે. આર.કે. લક્ષ્મણ લંડન હતા ત્યારે ટી.એસ. એલિયટ, ગ્રેહામ ગ્રીન અને બર્ટ્રાન્ડ રસેલ સાથેની એમની મુલાકાતો થઇ હતી. વિદ્યાર્થીકાળમાં એમને સ્પર્શી ગયેલી વાત દરેક સર્જકને સ્પર્શે તેવી છે – એક દિવસ એક કાર્ટૂન જોઈને એનાથી પ્રભાવિત થઇ તે એની નકલ કરવા બેઠા ત્યારે તેમના ભાઈએ કહ્યું –  “Copying? Never ….. It is like eating leftover food from someone else’s plate.” સફળ કાર્ટૂનિસ્ટની વિચારપ્રક્રિયા અને સ્તરમાં નહીં ઉતરીને પણ સચોટ અભિવ્યક્તિ કઈ રીતે થઇ શકે એની વાત સરળતાથી એમણે આલેખી છે.

કાવ્યાસ્વાદના રમેશ પારેખના પુસ્તક “ચાલો એકબીજાને ગમીએ”માં એમણે મરાઠી કવિ વિંદા કરંદીકરની કવિતા “ઉત્સવ”નો ગુજરાતી અનુવાદ મૂક્યો છે, જેમાં બંધારણ પણ છે ને લક્ષ્મણ પણ –

“આજનો દિવસ મને ઉજવવા દો!

આજે આર.કે. લક્ષ્મણે લખી આધુનિક ભારતની સર્વશ્રેષ્ઠ વિદ્રોહી કવિતા 

અર્ધી રેખામાં, અર્ધી શબ્દોમાં :

‘નગરપાલિકા સ્વચ્છતા માટે 

કચરાના ઢગલા અહીંથી ખસેડશે તો અમે ભૂખે મરીશું’

આજનો દિવસ મને ઉજવવા દો!

કચરામાંથી અન્ન ઉઠાવીને જીવંત રહેવાનો હક આપણા બંધારણમાં સમાવિષ્ટ છે ખરો?

તેમ ન હોય તો સાર્વજનિક વસ્તુની ચોરી કરવા બદલ 

આપણી સરકાર આ લોકો પર દાવો માંડી શકશે કે નહિ?

આ પ્રશ્નનો જાણકારો ઉકેલ આણે તે પહેલાં આજનો દિવસ મને ઉજવવા દો!”

e.mail : amarbhatt@yahoo.com

Loading

ખુશવંત સિંહ અને એમની ‘ટ્રેન ટુ પાકિસ્તાન’

સોનલ પરીખ|Opinion - Opinion|27 April 2023

કપાયેલાં માનવશરીરોથી ભરેલી ‘ભૂતિયા ટ્રેન’ની ખબર કોઈ લાવ્યું ત્યારે ગામલોકોએ ધ્યાન ન આપ્યું. દૂર ક્યાંક કશીક કાપાકાપી થાય તેમાં આપણે શું? પહેલી ‘ભૂતિયા ટ્રેન’ ચૂપચાપ પાટા પર સરકી આવી ત્યારે લોકો હેબતાઈને જોઈ રહ્યા. બીજી ટ્રેન આવી ત્યારે લોકોને ફરમાવાયું કે મડદાં જલદી બાળી નાખો, ચોમાસું માથા પર છે. પણ સરળ ગામલોકો સામે વાસ્તવિકતાનો ખરો બિહામણો ચહેરો તો ત્યારે આવ્યો જ્યારે ગામના મુસ્લિમોને હાથમાં લેવાય તેટલું લઈ ગામબહાર એક કૅમ્પમાં લઈ જવામાં આવ્યા અને શીખોને શસ્ત્રો આપી પાકિસ્તાન તરફ જતી ટ્રેન પર હુમલો કરવાનું કહેવામાં આવ્યું. આ જ ટ્રેનમાં તેમના જૂના મિત્રો ને પાડોશીઓ જવાના હતા, જુગ્ગતની મુસ્લિમ પ્રિયતમા નૂરાં પણ … 

— ખુશવંત સિંહ 

(‘ટ્રેન ટુ પાકિસ્તાન’)

‘ઇતિહાસ મને હાડપિંજર આપે છે. હું તેના પર માંસ વીંટું છું. લોહી પૂરું છું’ આ શબ્દો છે જબરજસ્ત લેખક-પત્રકાર ખુશવંતસિંહના. 25 વર્ષની મહેનતથી લખાયેલી નવલકથા ‘દિલ્હી’ અને ખુશવંતસિંહના નામ સાથે હંમેશાં જોડાતી લઘુ નવલકથા ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ સંદર્ભે તેમણે આવું કહ્યું હતું.

ખુશવંત સિંહ

2014ની 20 માર્ચે તેમને ચિરવિદાય લીધી અને ભારતના અંગ્રેજી ભાષામાં લખનારા જૂજ શ્રેષ્ઠ લેખકોમાંથી એકની બાદબાકી થઈ ગઈ. સાચી ધર્મનિરપેક્ષતા, ઉર્દૂ કવિતા પરનો ઝનૂની પ્રેમ અને ડર્ટી જોક્સ માટે જાણીતા આ તીખા, બુદ્ધિજીવી લેખકની કલમમાંથી વિવિધ વિષયો પરનાં પુસ્તકો અવતર્યાં છે. પોતાને નાસ્તિક ગણાવતા ખુશવંત સિંહ કાયમ શીખોની ઓળખરૂપ પાઘડી અને કેશ ધારણ કરતા અને શીખ ધર્મ વિશે કોઈ પણ હયાત શીખે લખ્યું હોય તેના કરતાં વધારે લખ્યું હોવાનો દાવો કરતા. કોઈએ તેમને પૂછ્યું, ‘તમે ઇતિહાસમાં કઈ રીતે ઓળખાવું પસંદ કરશો – પત્રકાર, સર્જક કે ઇતિહાસકાર?’ ત્યારે તેમણે કહ્યું, ‘ત્રણે તરીકે કેમ નહીં? એ ત્રણે પાછળ મેં ખૂબ મહેનત કરી છે.

‘ટ્રેન ટુ પાકિસ્તાન’ 1956માં પ્રગટ થયેલી, માત્ર 207 પાનાંની, ભારતના ભાગલાના વાતાવરણમાં સર્જાયેલી નવલકથા (લઘુનવલ) છે. વાત છે 1947ની – સતલજ નદીથી પાંચ જ કિલોમીટર દૂર આવેલા એક નાના ગામ મનોમાજરાની. વસ્તી મુખ્યત્વે શીખ અને મુસ્લિમ ખેડૂતોની છે. ચારે બાજુ શીખો-મુસ્લિમોની કત્લેઆમ ચાલી રહી છે, પણ આ ગામમાં શાતિ છે. પેઢીઓથી સાથે રહેતા અને લગભગ એક જ પ્રકારની જિંદગી જીવતા શીખો-મુસ્લિમો વચ્ચે સંપ છે. મુલ્લા વહેલા વહેલા ઊઠી મસ્જિદમાં જાય છે ને મક્કા તરફ મોં રાખી બાંગ પોકારે છે. શીખ ધર્મગુરુ એમની બાંગથી જાગે છે, ગુરુદ્વારાના કૂવામાંથી પાણી ખેંચી શરીર પર રેડે છે. પાણીના છપ-છપ અવાજ સાથે એમના મોંમાંથી ગુરુબાનીના શબ્દો સરે છે. રોજ બહારથી જાતજાતની અફવાઓ આવે છે, લોકો સાંભળીને ભૂલી જાય છે – ‘બીજે થતું હશે, આપણે ત્યાં થોડું આવું બધું થાય?’ એક દિવસ ત્યાંના શાહુકારનું ખૂન થાય છે. આરોપ ગામના એક દાદાગીરી કરતા રહેતા યુવાન જુગ્ગત સિંહ પર આવે છે. જુગ્ગત સિંહ એક મુસ્લિમ યુવતી નૂરાંના પ્રેમમાં છે. 

એક દિવસ કોઈ વાત લાવે છે, ગામ પાકિસ્તાનમાં જવાનું છે. એક મુસ્લિમ કહે છે, ‘પાકિસ્તાનનું આપણે શું કામ? આપણા બાપદાદા અહીં જન્મ્યા અને અહીં મર્યા. આપણે તો અહીં જ રહીશું.’ પણ સલામતીને નામે મુસ્લિમોને ગામ બહાર રેફ્યુજી કૅમ્પમાં ખસેડવામાં આવે છે ને શીખોને કહેવામાં આવે છે કે મુસ્લિમો તો દુ:શ્મન છે, કાઢી મૂકવાના લાગના જ હતા. તમે તમારે શાંતિથી રહો. હવે તમે સ્વતંત્ર થશો. લોકોની મતિ મુંઝાઈ જાય છે: ‘સ્વતંત્રતા? તે તો છે તેને માટે લડી રહેલા ભણેલાઓ માટે. આપણે તો પહેલા અંગ્રેજોના ગુલામ હતા ને હવે ભણેલાઓના ગુલામ થવાના. ભણેલાઓ ભલે પોતાને ભારતના કે પાકિસ્તાનના કહેવડાવે, એમાં આપણે શું?’

પણ અજાણ્યા ધર્મઝનૂનીઓ ગામમાં ઠલવાતા જાય છે. તેઓ મુસ્લિમોનાં મનમાં ઝેર રેડે છે કે આ શીખો તમને લૂંટી લઈને પાકિસ્તાનમાં હાંકી મૂકશે અને શીખોને ઉશ્કેરે છે કે મુસ્લિમો કોઈના થયા છે કે તમારા થશે? એમની ટ્રેન ગામ છોડે એ પહેલાં એમને કાપી નાખો. ગામલોકોના ભોળાભલા ચહેરા એવી રીતે ક્રૂર બનતા જાય છે કે વાચકોના જીવ બળી જાય.

હત્યાકાંડ શરૂ થાય છે. ગામની શેરીઓમાં લોહીની નદીઓ વહે છે. ભ્રષ્ટ, નિષ્ક્રિય સરકારી અધિકારીઓ શાંતિ સ્થાપવાના કહેવા પૂરતા થોડા પ્રયત્ન કરે છે. ન્યાય અને વ્યવસ્થાથી નિરાશ લોકોના મનમાં ભણેલા માણસો વળી લોકશાહી ને સમાજવાદના અધકચરા વિચાર રેડે છે. સ્તબ્ધ વાચકોની આંખ સામે કરપીણ દૃશ્યો ભજવાતાં જાય છે.

ભાગલાના રાજકારણની ઝાઝી વિગત અહીં નથી. લેખકનું લક્ષ્ય માનવીય અને સામાજિક પ્રત્યાઘાતો છે. અંગ્રેજોએ દિલ્હીથી રેડક્લિફને તેડાવીને બહુ ઊતાવળે કાગળ પર વિભાજનની રેખાઓ પડાવી ભારત અને પાકિસ્તાન એવા બે ભાગ કરી નાખ્યા, પણ તેનાથી જુદા જુદા ધર્મના લોકો બહુ ખરાબ રીતે અને વિસ્થાપિત થયા અને એકબીજાને હાથે માર્યા ગયા.

લેખકે દેખાડ્યું છે કે ભાગલા જેણે, જેવી રીતે પાડ્યા એ બીજી વાત છે, પણ હિંસાના ભયાનક વિસ્ફૉટની જવાબદારી સૌથી વધારે લોકોની હતી. લોકોની નીતિમત્તા મૂળમાંથી ઊખડી ગઈ તેથી એવું બધું થયું જે કદી નહોતું થવું જોઈતું. જુગ્ગત સિંહ અને ઈકબાલ આ બે જાણે દેશના બે વર્ગોના પ્રતિનિધિ હોય એવા છે. બન્ને પરસ્પર વિરોધી સ્વભાવ ધરાવે છે. ઈકબાલ બ્રિટનથી ભણીને આવ્યો છે અને સમાજ-ઉપયોગી કામ કરતો સુંવાળો બુદ્ધિજીવી છે જ્યારે જુગ્ગત અશિક્ષિત, હટ્ટોકટ્ટો, મગજથી નહીં પણ શરીરબળથી કામ લેનારો અને જેલમાં જતોઆવતો રહેનારો છે. શાહુકારનું ખૂન બેમાંથી એકેએ નથી કર્યું, પણ બંનેને પકડી જેલની બાજુબાજુની ખોલીમાં પૂરવામાં આવે છે. જેલમાંથી છૂટે છે ત્યારે બંનેને ખબર પડે છે કે એક ટોળકી મુસ્લિમોની ટ્રેન પર હુમલો કરવાની છે. બંને આ અટકાવી શકે તેમ છે, પણ તેમ કરતાં જીવ જશે એ નક્કી છે. જુગ્ગત તરત જ ઝુકાવે છે અને ટ્રેનને બચાવવા જતાં મૃત્યુ વહોરે છે. ઈકબાલ પરિસ્થિતિનું અને પોતે શું કરવું જોઈએ તેનું પૃથક્કરણ કરવા પાનાં ભરીને નોંધો લખે છે.

કંઈ ખોટું થઈ રહ્યું હોય ને તેને રોકવાની શક્તિ હોય ત્યારે માણસે શું કરવું એ પ્રશ્ન લેખકે વારંવાર ઉઠાવ્યો છે. ખુશવંત સિંહ હંમેશાં ખૂબ સ્પષ્ટ અને પ્રામાણિક લેખક રહ્યા છે. હત્યા, લૂંટફાટ અને અત્યાચારનું નિર્દય ને નગ્ન ચિત્ર નિર્મમતાથી રજૂ કરીને પછી એમણે એ પ્રતીતિ કરાવી છે કે જે ખોટું છે, ખરાબ છે તેના તરફ પીઠ કરી શકાય નહીં. સાથે તેઓ જે પણ બન્યું તેને માટે કોઈ એક સમૂહ જવાબદાર નહોતો એ હકીકત તરફ પણ કવર-પેજમાં અંગુલિનિર્દેશ કરે છે : ‘મુસ્લિમ્સ એન્ડ હિંદુઝ હેડ પ્લાન્ડ એન્ડ સ્ટાર્ટેડ કિલિંગ. ધ ફૅક્ટ ઈઝ, બોથ સાઈડ્ઝ કિલ્ડ. બોથ શૉટ એન્ડ સ્ટૅબ્ડ એન્ડ સ્પિયર્ડ એન્ડ ક્લબ્ડ. બોથ ટૉર્ચર્ડ. બોથ રેપ્ડ. બાય ધ સમર ઑફ 1947 … ટેન મિલિયન પીપલ – મુસ્લિમ્સ એન્ડ હિંદુઝ એન્ડ શીખ્સ – વેર ટુ ફ્લાઈટ. ઑલમૉસ્ટ અ મિલિયન ઑફ ધેમ વેર કિલ્ડ.’

‘ટ્રેન ટુ પાકિસ્તાન’ની અનેક આવૃત્તિ થઈ. વિદેશોમાં પણ એ વંચાઈ અને ખુશવંત સિંહનો અભિન્ન હિસ્સો બની રહી. તેના પરથી 1998માં પામેલા રુક્સે આ જ નામની હિંદી ફિલ્મ બનાવી હતી; તેમાં નિર્મલ પાંડે (જુગ્ગત), રાજિત કપૂર (ઈકબાલ), સ્મૃતિ મિશ્ર (નૂરાં) ઉપરાંત મોહન અગાશે, દિવ્યા દત્તા અને મંગલ ધિલ્લોં જેવાં કલાકારો હતાં. એક સૉર્સ કહે છે કે શશી કપૂર, શબાના આઝમી અને અન્ય ઘણાં આ વાર્તા પરથી ફિલ્મ બનાવવા માગતાં હતાં, પણ વિષયની સંવેદનશીલતા જોઈ કોઈએ સાહસ કર્યું નહીં. ઈસ્માઈલ મરચન્ટે ફિલ્મ બનાવવી શરૂ કરી હતી જેમાં રુક્સ નૂરાંના પાત્રમાં હતી. ફિલ્મ બની નહીં. 1993માં પોતાની જ નવલકથા પરથી બનાવેલી ફિલ્મ ‘મિસ બેટ્ટીઝ ચિલ્ડ્રન’ને નેશનલ અવૉર્ડ મળ્યો તે પછી પામેલાએ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ બનાવી. સેન્સર બૉર્ડ સાથે એક લડાઈ બાદ ફિલ્મ ભારતમાં રિલિઝ થઈ શકી. પછી તો તે અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફૅસ્ટિવલોમાં ગઈ અને વખણાઈ.

2010માં ખુશવંત સિંહની અંતિમ નવલકથા ‘સનસેટ ક્લબ’ આવી. તેમાં 80 વર્ષ આસપાસના, સાંજે સાથે ફરવા જતા વૃદ્ધોની વાત છે. જિંદગીમાં જે પણ કરવાનું શક્ય ન બન્યું એ બધું તેઓ કલ્પનામાં કરી લે છે જેમાં હિંસા, બલિદાન, ઝનૂન, કવિતા અને સેક્સ બધું જ છે. આ પુસ્તક ખુશવંત સિંહને ઘણું ગમતું.

ખુશવંત સિંહ હંમેશાં વિરોધો ને વિવાદોથી ઘેરાયેલા રહ્યા ને એને માણતા, પોતાની રીતે જીવતા રહ્યા. કહેતા, ‘લાઈફ ડઝન્ટ સ્ટૉપ. કીપ ધ સ્પિરિટ હાઈ.’ આમ કહેતી વખતે તેમણે તોફાની સ્મિત સાથે શરાબનો ગ્લાસ ઊંચો કરીને બતાવ્યો હશે એમ કલ્પવું અઘરું નથી.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 માર્ચ 2023

Loading

હિંદુ એકતા સધાશે તો હિંદુ વિજયી નિવડશે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 April 2023

રમેશ ઓઝા

હિંદુ રાષ્ટ્ર સ્થાપવું હોય અને ટકાવવું હોય તો હિંદુ એક્તા રચાવી જોઈએ અને ટકવી પણ જોઈએ. આ પહેલી અને અનિવાર્ય શરત છે. ભારતના ઇતિહાસમાં હિન્દુઓ કયારે ય એક નહોતા એટલે વિદેશીઓનાં અને વિધર્મીઓનાં આક્રમણ સામે હિન્દુઓનો પરાજય થયો હતો. માટે દયાનંદ સરસ્વતીથી લઈને ગોલવલકર જેવાઓએ હિંદુ એક્તા પર ભાર મૂક્યો હતો. હિંદુ એકતા સધાશે તો હિંદુ વિજયી નીવડશે.

પણ શા માટે હિન્દુ એક્તા નથી સધાતી? એવાં કયાં હિંદુ-વિભાજક પરિબળો છે અને છે તો તેનો ઉપાય શો? એક કારણ છે હિંદુ ધર્મનું સ્વરૂપ. પશ્ચિમના ધર્મોની જેમ હિંદુ ધર્મ સંગઠિત નથી. પશ્ચિમના ધર્મો એક ધર્મપ્રવર્તક, એક ધર્મગ્રંથ અને એક ઈશ્વર દ્વારા ચૂસ્તપણે ગંઠાયેલા છે, જ્યારે હિંદુ ધર્મ અનેક ઈશ્વર, પંથ, ગ્રંથ અને ફિરકાઓમાં વહેંચાયેલો છે. બીજું અને વધારે મોટું કારણ છે જ્ઞાતિઓ અને સેંકડોની સંખ્યામાં પેટા જ્ઞાતિઓ. ઊંચનીચના ભેદ અને અધિકારભેદને કારણે હિંદુએકતા નથી સધાતી.

આ હિંદુઓની મર્યાદા છે તો તેની તાકાત પણ છે. આ લખનાર સહિત અનેક રાજકીય સમીક્ષકો, સમાજશાસ્ત્રીઓ, રાજકારણીઓ એમ માનતા હતા કે હિન્દુઓમાં આંતરિક વિભાજન હોવાને કારણે હિન્દુ બહુમતિ રાષ્ટ્રવાદ અર્થાત્ ફાસીવાદથી ડરવાની જરૂર નથી. હિન્દુ એકતા અસંભવ છે અને એવી એકતાની કોઈ જરૂર પણ નથી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ આ વાતની જાણ હતી. તેને પણ એ વાતની ચિંતા હતી કે જ્ઞાતિગ્રસ્ત અને ફિરકાગ્રસ્ત હિંદુ સમાજને રાજકીય રીતે એક કઈ રીતે કરવો? સંસદીય લોકશાહીમાં હિંદુઓની અંદર રાજકીય એકતા સ્થપાય તો જ સત્તા સુધી પહોંચી શકાય અને હિંદુ રાષ્ટ્ર સ્થાપી શકાય. એમાં વળી આધુનિક શિક્ષણનો વિસ્તાર થતાં ૧૯૭૦ પછીથી પછાત જાતિઓ જાગૃત થવા માંડી ત્યારે સંઘ સામે પ્રશ્ન ઉપસ્થિત થયો કે જાગૃત થઈ રહેલી જ્ઞાતિચેતના હિન્દુ ચેતનાનો છેદ ઉડાડશે અને હિન્દુ એકતા હજુ વધુ મુશ્કેલ બનશે.

આના ઉપાયરૂપે સંઘે જ્ઞાતિચેતનાનો રણનીતિના ભાગરૂપે સ્વીકાર કર્યો. જે તે પછાત જાતિઓની સામાજિક ન્યાયની માગણીઓને ટેકો આપ્યો અને એ જ્ઞાતિઓમાં પ્રવેશ મેળવીને તેમાં અસ્તિત્વમાં આવી રહેલા અને વિકસી રહેલા મધ્યમવર્ગને મુસલમાનોનો ડર બતાવીને પોતાની પાંખમાં લીધા. મોટી અને પ્રમાણમાં વગદાર પછાત જાતિઓ (યાદવ, કુર્મી વગેરે) સામે હજુ વધુ પછાત જાતિઓને સાચા સામાજિક ન્યાયના નામે ઊભી કરી. આ જ્ઞાતિઓમાં અસ્તિત્વમાં આવી રહેલા મધ્યમવર્ગને પણ મુસ્લિમ વિરોધી હિંદુ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા. રમત એવી હતી કે જો અનામતવિરોધી આંદોલન થાય તો આંદોલકારીઓને પાછળથી ટેકો આપવાનો. ૧૯૮૦ અને ૧૯૮૫માં ગુજરાતમાં અને ૧૯૯૦માં દિલ્હી તેમ જ દેશભરમાં આ જોવા મળ્યું હતું. અનામત વિરોધીઓને સંઘપરિવારનો ટેકો હતો. બીજી બાજુ એ પણ જોવા મળ્યું કે ૨૦૦૨નાં ગુજરાતમાં થયેલાં દંગલોમાં મુસલમાનોને મારવામાં દલિત અને આદિવાસી સહિત પછાત અને અતિ પછાત કોમોએ આગળ પડતો હોય ભજવ્યો હતો. સંઘે બ્રાહ્મણો સામેની નફરતને સિફતથી મુસલમાનો સામે વાળી હતી.

પછાત કોમોને મુસલમાનો સામે ડરાવવાનું અને રડાવવાનું સુપેરે ચાલતું હતું એવામાં જનગણનાનો પ્રશ્ન આવ્યો. અત્યારે દેશભરનાં રાજકીય પક્ષો માગણી કરી રહ્યા છે કે જ્ઞાતિઓની અને જ્ઞાતિનાં સભ્યોની પણ ગણના કરવામાં આવે. બિહારે તો કેન્દ્ર સરકારની અવગણના કરીને જ્ઞાતિ આધારિત જનગણના કરવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પક્ષ આનો વિરોધ કરે છે. કારણ એ છે કે જો જ્ઞાતિ આધારિત જનગણના કરવામાં આવે તો લોકોને ખબર પડી જાય કે હિંદુ રાષ્ટ્રમાં શાશન કોનું છે?  કોણ લાભ લઇ રહ્યા છે? હિંદુઓનું રાજ છે, પણ કયા હિંદુઓનું? ન્યાયતંત્રમાં, ઉચ્ચ સ્તરની સરકારી નોકરીઓમાં, મીડિયામાં, શાળા-કોલેજોમાં ભણાવનારાઓમાં, અન્ય પ્રોફેશનલોમાં, કોર્પોરેટ કંપનીઓમાં પછાત જ્ઞાતિઓ ક્યાં છે અને કેટલા પ્રમાણમાં છે? બીજી બાજુ હિંદુ રાષ્ટ્રની રક્ષા કરનારાઓ કોણ છે એની પણ જાણ થાય? લશ્કરમાં, અર્ધ લશ્કરી દળોમાં, પોલીસખાતામાં કોણ છે? કેટલા બ્રાહ્મણ વાણિયાઓ છે અને કેટલા લોકો પછાત કોમના છે? હિંદુરાષ્ટ્ર કોનું છે અને કોણ કેટલા ભાગીદાર છે એની જાણ થવી જોઈએ. અઢી ટકાવાળાઓનો કેટલો હિસ્સો છે અને ૩૫ ટકાવાળાઓનો કેટલો હિસ્સો છે એની જાણ થવી જોઈએ.

બી.જે.પી.ને સ્વાભાવિકપણે આની સામે વાંધો છે. હિંદુ શાસનમાં ભાગીદારીનાં સ્વરૂપની પછાત કોમોને ખબર પડી જાય અને કદાચ તેની વિરુદ્ધ પણ જાય. બી.જે.પી.ની આ દુઃખતી નસ વિરોધ પક્ષોએ પકડી લીધી છે. થોડા દિવસ પહેલાં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કોલાર ખાતે એક જનસભાને સંબોધતા જ્ઞાતિ આધારિત જનગણના થવી જોઈએ તેવી માગણી કરી હતી અને અનામત બેઠકો ઉપર ૪૯ ટકાની ઉચ્ચતમ મર્યાદા (કેપ) છે તેને દૂર કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કાઁગ્રેસ જો સત્તામાં આવશે તો આ બે કામ કરશે. રાહુલ ગાંધીને અનુસરીને બીજા વિરોધ પક્ષોએ પણ આ વાત પકડી લીધી છે. હિંદુ એકતામાં જ્ઞાતિઓ બાધારૂપ છે એ સેંકડો વરસ જૂની હકીકતને ફરીવાર અજમાવવામાં આવી રહી છે. હિંદુ એકતામાં સમાનતા ન હોય, ન્યાય ન હોય તો એકતા શાની અને શા માટે? કોના લાભાર્થે? આ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. અમે ક્યાં કાંઈ માગીએ છીએ અમે તો માત્ર જાણકારી માગીએ છીએ કે અમે છીએ કેટલા અને અમને શું મળે છે.

સંઘપરિવાર ખરેખર હિંદુ એકતાને વરેલો હોય તો જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી કરાવવી જોઈએ અને તેમાં જેવી અને જેટલી અસમાનતા નજરે પડે તેનો સ્વીકાર કરવો જોઈએ. અસમાનતાનો ઈલાજ કરવો જોઈએ અને બ્રાહ્મણો અને અન્ય સવર્ણોને તેમની સંખ્યા બતાવીને કહેવું જોઈએ શુદ્ર ભારતનો સ્વીકાર કરો. આર્યાવર્ત બહુમતી શુદ્રોનું બનેલું છે. હિન્દુત્વવાદીઓ માટે શુદ્રોની બહુમતીવાળું આર્યાવર્ત સ્વીકારવું અઘરું પડી રહ્યું છે, માટે જ્ઞાતિઆધારિત વસ્તીગણતરીથી ભાગે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 27 ઍપ્રિલ 2023

Loading

...102030...1,1611,1621,1631,164...1,1701,1801,190...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved