Opinion Magazine
Number of visits: 9567186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાલિસ્તાનનો પ્રશ્ન હોળીમાંથી દાવાનળ બને એ પહેલાં સરકારે અન્ય ભાગીદારો સાથે મળીને ડામવો રહ્યો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 March 2023

ભૂતકાળને વળગી રહેલા અમુક લોકોના આ સમૂહને ભારતની અંદરના અને બહારના અનિષ્ટ તત્ત્વોનો ટેકો મળે છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલતાઓ વધારશે

ચિરંતના ભટ્ટ

2023નું વર્ષ ભારતીય રાજકીય નેતૃત્વ માટે સાવ સહેલું નથી એ ચોક્કસ. ભલેને સંજોગો એકનાં એક હોય, પરિસ્થિતિ એકની એક હોય પણ જે રીતે ખાલિસ્તાની આંદોલને ફરી માથું ઉંચક્યું છે એ મૂંઝવણમાં વધારો જ કરે તેવી બાબત છે. વળી, એક સમયે જ માત્ર દેશમાં ખાલિસ્તાનીઓએ અફરાતફરી મચાવી હતી પણ હવે તો વિદેશમાં પણ આ આંદોલનના પડઘા પડી રહ્યા છે. વળી ઘર આંગણે અને વિદેશમાં ખાલિસ્તાનીઓ જે અરાજકતા ફેલાવી રહ્યા છે એમાં સરકારે બન્નેનો તફાવત, પ્રભાવ અને પરિણામોની ત્રિરાશી માંડીને નિર્ણય લેવાના રહે.

અત્યારે જે થઇ રહ્યું છે તેનાં મૂળિયાં 1929માં કાઁગ્રેસના લાહોર અધિવેશનમાં રોપાયા, જ્યારે મોતીલાલ નહેરુએ પૂર્ણ સ્વરાજની વાત કરી. આ સમયે મુસ્લિમ લીગ, દલિતો અને શિરોમણી અકાલી દળના સમૂહોએ પોતાના નેતાઓ અનુક્રમે જિન્નાહ, આંબેડકર અને માસ્ટર તારા સિંહ મારફતે પૂર્ણ સ્વરાજના પ્રસ્તવાનો વિરોધ કર્યો. શીખો માટે અલગ રાજ્યની માંગ તો થઇ પણ 1947માં આ માંગણી આંદોલનમાં ફેરવાઇ અને તેને નામ અપાયું પંજાબી સૂબા આંદોલન. જે પંજાબ ભારતમાં રહ્યું તેમણે શીખ સૂબાની એટલે અલગ શીખ પ્રદેશની માંગ ચાલુ રાખી અને આ આંદોલનો લગભગ બે દાયકા ચાલ્યા. ઇંદિરા ગાંધીની સરકારે અમુક બદલાવ કર્યા પણ. આ બધી માથાકૂટ બહુ લાંબી ચાલી. જરનૈલ સિંહ ભિંડરાવાલે એંશીના દાયકામાં શીખ કટ્ટરવાદના જનક તરીકે ઓળખાયા. શીખ ધર્મનું શિક્ષણ આપનારી સંસ્થા દમદમી ટકસાલના અધ્યક્ષ બન્યા પછી રાજકીય ચિત્રમાં લોહીનો રંગ પુરાવા માંડ્યો. ભિંડરાવાલે આનંદ સાહિબ રિઝોલ્યૂશનના કટ્ટર સમર્થક હતા, તે હિંદુઓની હત્યા કરવા શીખોને ઉશ્કેરતા, તેમણે શિરોમણી અકાલી દળ સાથે મળીને અસહકાર આંદલોનનને સશસ્ત્ર બળવામાં ફેરવ્યું. નિરંકારી સંત અને દમદમી ટકસાલ એકબીજાની સામે હતા. નિરંકારી સંતની તરફેણ કરનારા ‘પંજાબ કેસરી’ના તંત્રી લાલા જગત નારાયણની હત્યા કરાઇ અને ભિંડરાવાલેએ સરેન્ડર પણ કર્યું પણ પુરાવાના અભાવે તે છૂટી ગયા. સરકાર અને કટ્ટરવાદી શીખો વચ્ચે સંઘર્ષ વઘતો રહ્યો, ભિંડરાવાલે માથાભારે થતા ગયા, બેફામ હિંસા પણ ચાલુ રહી અને 1984માં ઑપરેશન બ્લૂસ્ટાર પાર પાડ્યું અને ભિંડરાવાલે અને તેમના સમર્થકોને ઠાર મરાયા. જો કે તેમાં 83 જવાનના મોત થયા અને 249 ઘાયલ થયા.  બ્લૂસ્ટાર પાર પડ્યા પછી હિંસાનો દૌર નવા સ્તરે પહોંચ્યો વડા પ્રધાન ઇંદિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરાઈ, એ પછી શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા, ખાલિસ્તાનીઓએ ફ્લાઇટમાં બોમ્બ બ્લાસ્ટ કરી ભિંડરાવાલેના મોતનો બદલો લીધો. ખાલિસ્તાની આતંકવાદ ચરમ સીમાએ હતો પણ પંજાબ પોલીસ વડા કે.પી.એસ. ગિલને કારણે તે સમયે ખાલિસ્તાની ચળવળ પર પૂર્ણવિરામ મૂકાયું.

જો કે અત્યારે ભારતમાં અને વિદેશમાં જે રીતે ફરી ખાલિસ્તાની ચળવળના ભડકા થવા માંડ્યા છે તે સાબિતી છે આ કોઇપણ નક્કરતા વગરનો ઘોંઘાટ છે.  બહારનાં તત્ત્વો ખાલિસ્તાનીઓને ઉશ્કેરી રહ્યા છે અને આ બહારના તત્ત્વોમાં પાકિસ્તાન પણ સામેલ છે. વળી એમાં અમૃતપાલ સિંઘનો વારિસ પંજાબ દેનું લોકલ છોગું પણ ઉમેરાયું છે. સરહદ પરના રાજ્યમાં અમૃતપાલ સિંઘ અરાજકતા ફેલાવી રહ્યા છે તો વિદેશમાં આપણા જ ડિપ્લોમેટિક મિશન્સ પર હુમલા થઇ રહ્યા છે. ઑસ્ટ્રેલિયા અને બીજા દેશોમાં હિંદુ મંદિરો પર હુમલા કરાયા છે. ખાલિસ્તાની આંદોલનને નામે અત્યારે ભારતમાં થઇ રહેલી હિંસક પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવાય તે જરૂરી છે, તો વિદેશના સંજોગોમાં આપણે અગમચેતી ભર્યાં પગલાં લેવાં પડશે નહીંતર મામલો ધાર્યા કરતાં વધુ બિચકશે.

અમૃતપાલ સિંઘ અને તેના સાથીઓએ ગયા મહિને અજનાલા પોલીસ સ્ટેશનમાં ઘુસી જઇને પોલીસકર્મીઓને ઘાયલ કર્યા. ફ્રિન્જ – કોરે રહેલા ઉગ્ર ગણગણાટને મુખ્ય પ્રવાહમાં આવતા વાર નથી લાગતી. જો આ ઝડપથી કાબૂમાં નહીં લેવાય તો હિંદુ-શીખ વચ્ચેના સામાજિક સંબંધો પર ભારત જ નહીં પણ વિદેશમાં પણ તિરાડ પડશે. ખાલિસ્તાનીઓને એટલું જ જોઇએ છે. ખાલિસ્તાની કટ્ટરવાદ એંશીના દાયકામાં પણ દેશની એકતા માટે જોખમી પુરવાર થઇ ચૂક્યો છે. અત્યારે દિલ્હીમાં જે ચાલી રહ્યું છે તેને કાબૂમાં લાવવા માટે કેન્દ્ર, કૉંગ્રેસ, અકાલી દળ, વહીવટી તંત્રમાં છે એવી આમ આદમી પાર્ટી બધાંએ એક સાથે મળીને પોલીસ દળોને ટેકો આપવો જોઇએ. આપણે જો રાજકારણની હુંસાતુંસીમાં રહી જઇશું તો પંજાબમાં આપણે અલગાવવાદી રાક્ષસને વધુ જોરાવર થવા દેવાની ભૂલ કરીશું. મોદી સરકારે આ વાત તમામ પક્ષ સાથે મળીને એ દૃષ્ટિકોણ પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ કે જો ખાલિસ્તાની જૂથો ફરી સક્રિય થશે તો અત્યારના કોઇ પણ રાજકીય પક્ષની સુસંગતતાનું ઠેકાણું નહીં રહે. યુ.કે., યુ.એસ., કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ખાલિસ્તાની પ્રવૃત્તિઓને ઠારવા માટે જુદો અભિગમ જોઇશે. અત્યારે તો મુત્સદ્દીભરી રાજનીતિથી બધું સાચવી લેવાશે પણ વૈશ્વિક સ્તરે ભારતનું નીચાજોણું થાય એ માટે જે તત્ત્વો કામે લાગ્યા છે એમને ઉઘાડા પાડવા માટે આપણી પાસે એક રાષ્ટ્ર તરીકે નક્કર દલીલો જોઇએ. વિદેશમાં ખાલિસ્તાનીઓ જે કરી રહ્યા છે એ કરવા માટેની મોકળાશ તેમને શા માટે મળી રહી છે?

શીખો વિદેશમાં રહેતા હોય કે ભારતમાં – પશ્ચિમી રાષ્ટ્રો તેમને લઘુમતીમાં ગણે છે અને માટે જ તેમની સાથેનો તેમને વહેવાર બહુ કાળજીપૂર્વકનો રહ્યો છે. પશ્ચિમી સરકારો તેમની લઘુમતી સામેના ગુનાઓ સંભાળવાને મામલે વધુ પડતી ચિવટ રાખે છે. વળી ઉત્તર અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં ઉદારમતવાદી વલણ છે અને ખાલિસ્તાનીઓના દેખાવો અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારમાં ગણાઇ જાય છે. પશ્ચિમમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને એટલો ગંભીરતાથી લેવાય છે કે તેનો ગેરલાભ લેનારાઓ પાછું વળીને જોતા નથી અને સામે આતંકીઓ બદલો લેવાનું છોડતા નથી. વળી યુ.કે. અને કેનેડાના સીમાંત મતવિસ્તારોમાં મુસ્લિમ અને શીખ મત અગત્યનો છે. આવામાં પાકિસ્તાનીઓ ખાલિસ્તાનીઓને ટેકો આપે તો હિંદુ વિરોધી અથવા ભારત વિરોધી પ્રવૃત્તિઓ પર સીધી અસર પડે. વિદેશમાં ખાલિસ્તાની તરફીઓ પોકળ ઘોંઘાટ કરીને માહોલ ખરાબ કરે છે, તેમને એ નથી સમજાતું કે આંતરારષ્ટ્રીય સ્તરે તેમને ત્યાંથી કોઇ ટેકો નથી મળવાનો. અમુક નવરાઓ ખાલિસ્તાનનો મુદ્દો ગુજરાન ચલાવવાને માટે ચગાવી મારે છે અને વિદેશમાં થતા ચાળાને રોકવા ભારતે પોતાના વિરોધીઓને ત્યાંના રાજકારણીઓ સામે ઉઘાડા પાડી, તેમની સામે ગંભીરતાથી પગલાં લેવાય તેવી માંગ સાથે રાજનૈતિક ચર્ચા છેડવી જોઇએ. જરૂર પડે તો કેન્દ્ર સરકારે વિદેશી સરકારની મદદ લઇને વિદેશમાં ખાલિસ્તાનના અવાજને નાથવો જોઇએ.

બાય ધી વેઃ

ખાલિસ્તાનના મુદ્દાને અગ્રિમતા આપીને ઉકેલવો જરૂરી છે નહીંતર તણખામાંથી ભડકો અને એમાંથી દાવાનળ જેવી સ્થિતિ થતા વાર નહીં લાગે. આ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે અને ભા.જ.પા. સરકારને અત્યારે આવી કોઈ પણ વધારાની પળોજણ પોસાય તેમ નથી. અમૃતપાલના સંગઠનને ડૃગ માફિયાઓનું ફંડિગ છે તો પાકિસ્તાની એજન્સી આઇ.એસ.આઇ. સાથે પણ તેના તાર જોડાયેલા છે. અમૃતપાલની આનંદપુર ખાલસા ફૌજ ખાલિસ્તાનના અલગ દેશ બનાવવાની માંગ માટેની લડાઈ કરવાની હતી. ભૂતકાળને વળગી રહેલા અમુક લોકોના આ સમૂહને ભારતની અંદરના અને બહારના અનિષ્ટ તત્ત્વોનો ટેકો મળે છે, હા તેને કારણે અચાનક બધું ખતમ થઇ જાય એમ નથી પણ તેનો અર્થ એવો ય નથી કે જે ત્વરિત પગલાં આપણે લેવાં જોઇએ એમાં આપણે મોડા પડીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 માર્ચ 2023

Loading

ભયમુક્તિમાં જે તાકાત છે એટલી તાકાત આ જગતમાં બીજી કોઈ ચીજમાં નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|26 March 2023

રમેશ ઓઝા

કેટલો ભય! ચારે બાજુએ ભયની ભૂતાવળ નજરે પડી રહી છે. વિરોધ પક્ષોનો ભય, કર્મશીલોનો ભય, સ્વતંત્ર ન્યાયતંત્રનો ભય, સ્વતંત્ર મીડિયાનો ભય, બૌદ્ધિકોનો ભય, વિદેશી રાજકીય નિરીક્ષકોનો ભય, તેજસ્વી કલાકારો અને સાહિત્યકારોનો ભય, જેને વિદાય લીધે છ દાયકા થવા આવ્યા એ જવાહરલાલ નેહરુનો ભય અને આજની તારીખે સૌથી વધુ રાહુલ ગાંધીનો ભય. પેલાને બોલતો અટકાવો, બીજાને ખરીદો, ત્રીજાને હેરાન કરો, ચોથાને જેલમાં નાખો, પાચમાંનું સ્થાન ઇતિહાસમાંથી ભૂંસી નાખો. કારણ? કારણ એ કે એ લોકો આપણને માફક ન આવે એવું બોલે છે અને કરે છે અથવા બોલીને કે કરીને ગયા છે. કારણ એ કે, કોને ખબર કાલે પ્રજા કદાચ તેમની વાત સાંભળવા લાગે! માટે અવાજોને રૂંધો.

જેને વિચારતા આવડતું હશે તેને એક વાતનું આશ્ચર્ય થતું હશે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસને બદનામ કરીને ભૂંસી નાખવા માટે કેટલી તાકાત અજમાવવામાં આવે છે! જગતના ઇતિહાસમાં ગાંધી પહેલાં એવો કોઈ માણસ નથી થયો જેનાં વિચારોને અને ચિંધેલા માર્ગને ભૂંસવા માટે આટલી પ્રચંડ અને એ પણ સંગઠિત તાકાત અજમાવી પડી હોય. અને છતાં ય એ માણસ મરતો નથી. આશ્ચર્ય એ વાતનું નથી કે એને મારવાના પ્રયાસ કરવામાં આવે છે, આશ્ચર્ય એ વાતનું છે કે એ માણસ મરતો નથી. શા માટે? એનાં અનેક કારણો છે જેમાં એક મહત્ત્વનું કારણ એ છે કે એણે ભારતની પ્રજાના મનમાંથી ભયની ગ્રંથિ ફેંકી દીધી હતી. પ્રજાને લઘુતાની ગ્રંથિથી મુક્ત કરી હતી. ગાંધીજી ઉપર લખાયેલાં હજારો પુસ્તકો જોઈ જાવ, એમાં સર્વત્ર ગાંધીજીનાં યોગદાનની આ વાત અચૂક કહેવાયેલી જોવા મળશે. વિન્સ્ટન ચર્ચિલ અને જનરલ સ્મટ્સ જેવા ગાંધીજીના દુ:શ્મનોએ પણ આ વાતની નોધ લીધી છે અને ભય અનુભવ્યો હતો. આ વાક્ય ફરી વાંચો. ગાંધીની પોતાની નિર્ભયતા અને પ્રજાને ભયમુક્ત કરવાની તેની ક્ષમતા જોઇને તેઓ એટલે કે ડરાવનારાઓ ડર્યા હતા. ડરાવનારાઓ જેનાથી ડરતા હોય એ ખરી તાકાત.

ગાંધીજીનાં એકાદશ વ્રતમાં એક વ્રત છે; સર્વત્ર ભયવર્જનમ્. ભયનું વર્જન અર્થાત્ ભયથી મુક્તિ અને એ પણ સાર્વત્રિક. ભયમુક્તિમાં જે તાકાત છે એટલી તાકાત આ જગતમાં બીજી કોઈ ચીજમાં નથી. પણ પ્રજા જો ભયમુક્ત થઈ જાય તો? પ્રજા જો લઘુતાગ્રંથિથી મુક્ત થઈ જાય તો? પ્રજા જો વિચારતી થઈ જાય તો? પ્રજા જો નૈતિકતાના પક્ષે ઊભી રહેતા શીખી જાય તો? તો કેટલાક લોકોનું રાજકારણ અપ્રાસંગિક થઈ જાય. ગાંધીજીના સમયમાં પણ હિન્દુત્વવાદીઓ હિંદુઓને ભયભીત કરવાનો પ્રયાસ કરતા હતા કે જુઓ, આ ગાંધીની વાત માનશો તો મુસલમાનો છાતી ઉપર ચડી બેસશે. મહમદઅલી ઝીણા મુસલમાનોને ભય બતાવતા હતા કે જો ગાંધીને રસ્તે ચાલશો તો હિંદુઓ મુસલમાનોની છાતી ઉપર ચડી બેસશે. દક્ષિણમાં દ્રવિડ રાજકારણ કરવા માગનારા ડરાવતા હતા કે જો ગાંધીની વાત માનશો તો આર્ય હિંદુઓ આપણી છાતી ઉપર ચડી બેસશે. દલિત નેતાઓ દલિતોને ડરાવતા હતા કે જો ગાંધી પર ભરોસો કરશો તો બ્રાહ્મણો દલિતોની છાતી ઉપર ચડી બેસશે. સ્થિતિ એવી હતી કે એક માણસ પ્રજાને ડરમુક્ત કરતો હતો તો બીજી બાજુ પ્રજાને ડરાવવાનું પોતપોતાનું કોરસગાન ચાલતું હતું. આમ છતાં ય એ માણસ બીજાં કરતાં લાંબી રેખા ખેચી ગયો અને આજે પણ હજાર પ્રકારના સંગઠિત પ્રયાસો પછી પણ એ મરતો નથી.

ગાંધી જેને ભયમુક્ત કરતો હતો એ ભારતીય પ્રજા હતી અને જે લોકો જે પ્રજાને ડરાવતા હતા એ ભારતીય સિવાયની બીજી પ્રજા હતી. હિંદુ હતા, મુસલમાન હતા, દ્રવિડ હતા, દલિત હતા, બ્રાહ્મણ હતા, મરાઠી કે અન્ય ભાષિક હતા, પટેલ કે મરાઠા હતા અને બીજી અનેક પ્રકારની ઓળખ ધરાવનારી પ્રજા હતી; પણ ભારતીય નહોતી. તેઓ ભારતમાં વસતા હતા એટલા સીમિત અર્થમાં જ ભારતીય હતા. તેમનો પ્રાણ ભારતીય નહોતો.

ભયમુક્ત થવું હોય તો ભારતીય બનવું પડે, ના માણસ બનવું પડે. માણસ સિવાયની કોઈ પણ ઓળખ ધરાવનારો, ફરી કહું છું કોઈ પણ ઓળખ ધરાવનારો માણસ ભયમુક્ત ન થઈ શકે. ટૂંકમાં ભારતીય પ્રજા ભારતીય ન બને અને આગળ જઇને માણસ તરીકેની વ્યાપક ઓળખ ન અપનાવે એ માટે ડરાવનારાઓ પ્રયાસરત હતા. કોઈ માણસ ખરા અર્થમાં ‘માણસ’ ત્યારે જ બની શકે જ્યારે એ માનવીય મૂલ્યોને અપનાવે. ગાંધીજી ભારતીય પ્રજાને ભયમુક્ત ‘માણસ’ બનાવવા માગતા હતા અને એ જોઇને ગભરાઈ ગયેલા સાવરકરે કહ્યું હતું કે માણસાઈ એ સદ્દગુણવિકૃતિ છે.

આજે ડરનારાઓ અને ડરાવનારાઓ સત્તામાં છે. ઉપરના વિવેચન પછી એટલું તો સમજાઈ ગયું હશે કે ડર એ તેમની સત્તાનાં રાજકારણનું ઉપાદાન કારણ છે. જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે એમ. માટી ન હોય તો ઘડો ન બની શકે એમ જો ડર ન હોય તો ઓળખનું રાજકારણ સંભવી ન શકે. બન્યું એવું કે હિંદુઓને ડરાવનારા હિન્દુત્વવાદીઓ સત્તામાં આવ્યા એ પહેલાં મુસલમાનોને ડરવાનારા મુસ્લિમ લીગીઓ પાકિસ્તાનની સ્થાપના કરીને પહેલાં સત્તામાં આવ્યા. અને એ પછી તેમણે પાકિસ્તાની મુસલમાનોને ડરાવવાનું શરૂ કર્યું, જે આજે ભારતમાં જોવા મળી રહ્યું છે. ભારતનો ભય, અલગ દેશ મેળવ્યા પછી પણ હિંદુઓનો ભય, પશ્ચિમનો ભય, કહેવાતા ઇસ્લામવિરોધીઓનો ભય, આધુનિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારાઓનો ભય, વિચારનારાઓ અને પ્રશ્ન પૂછનારાઓનો ભય, વગેરે. ભય ભય ભય સાર્વત્રિક ભય. અને એ પછી ભય બતાવીને ભિન્ન અને સ્વતંત્ર અવાજોને રૂંધવાનું શરૂ થયું કે જેથી કોઈ સત્તામાં ભાગીદાર પેદા ન થાય. માત્ર પાકિસ્તાન નહીં, દુનિયાના ઘણા દેશોમાં ભયનું રાજકારણ અસ્તિત્વમાં હતું અને છે. સોવિયેત રશિયા આનું એક મોટું ઉદાહરણ છે. સામ્યવાદી રશિયામાં ભય બતાવીને જુલમ કરવામાં આવતા હતા.

પરિણામ શું આવ્યું? પાકિસ્તાન અને રશિયામાં શું બન્યું અને બની રહ્યું છે? બન્ને દેશો બરબાદ થઈ ગયા અને વિશ્વમાં કોડીની આબરૂ નથી. હિંદુઓને ડરાવનારા હિંદુત્વવાદીઓ હવે સત્તામાં આવ્યા છે અને તેઓ પણ એ જ કરી રહ્યા છે જે ઇસ્લામવાદીઓ અને સામ્યવાદીઓ કરી રહ્યા છે કે કરતા હતા. સો ટકા આપણું પણ ભવિષ્ય એ જ હશે જે પાકિસ્તાન અને રશિયાનો વર્તમાન છે. કારણ કે ભય એ ઓળખ આધારિત સત્તાના રાજકારણનું ઉપાદાન કારણ છે.

અહી એક પ્રશ્ન વિચારવા જેવો છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને પહેલી કાઁગ્રેસની સરકાર આવી એણે આજના શાસકોની જેમ ડરવા અને ડરાવવાનું સત્તાકીય રાજકારણ અપનાવ્યું હોત તો? પ્રજાને ડરાવવા માટેનાં કારણો જોઈએ એટલાં મળી રહે એમ હતાં. પણ તેમણે એમ કર્યું નહોતું. ગાંધીજીએ તેમને લઘુતાગ્રંથિથી મુક્ત આત્મવિશ્વાસપૂર્વક જગતમાં ભારતની જગ્યા બનાવતા શીખવ્યું હતું. વિરોધ કરનારાઓને બોલવા દીધા હતા. વિરોધીઓને પોતાની જગ્યા બનાવવાની તક રોળી નહોતી નાખી. ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પક્ષ ગાંધીએ શીખેવેલી મૂલ્યનિષ્ઠાના લાભાર્થી છે. જો જવાહરલાલ નેહરુ અને કાઁગ્રેસીઓએ રોતલું રાજકારણ કરીને એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘનો ટોટો પીસી નાખ્યો હોત તો? તેઓ કરી શકે એમ હતા. આજે બી.જે.પી. જેટલી તાકાત ધરાવે છે એનાથી પાંચ ગણી વધુ તાકત ત્યારે કૉંગ્રેસ ધરાવતી હતી. આજે નરેન્દ્ર મોદી જે વગ ધરાવે છે એનાથી અનેકગણી વધુ વગ નેહરુ ધરાવતા હતા અને એ પણ પોતીકી ખરીદેલી નહીં. ધારત તો જનસંઘને દૂધપીતો તેઓ કરી શક્યા હોત. પણ તેમણે તેમ કર્યું નહોતું.

આ ફરક છે ભય અને નિર્ભયતામાં. આ ફરક છે લઘુતાગ્રંથિ અને આત્મવિશ્વાસમાં. આ ફરક છે સદ્દગુણમાં અને સદ્દગુણવિકૃતિમાં.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 માર્ચ 2023

Loading

ચલ મન મુંબઈ નગર—189

દીપક મહેતા|Opinion - Opinion|25 March 2023

મુંબઈમાં રસ્તાનાં નામમાં ઝાડ, ડુંગર, બેકરી

વન મહાલ લેન બની ગઈ બેનહામ હોલ લેન       

 આપણા જ્ઞાની કવિ અખાની એક પંક્તિ છે : 

કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.

મુંબઈના રસ્તાઓની બાબતમાં પણ કેટલીક વાર આવું બન્યું છે. ગામદેવી વિસ્તારમાં બે રસ્તા આવેલા છે : એલેકઝાન્ડ્રા રોડ અને લેબર્નમ રોડ. પહેલી નજરે લાગે કે આ તો છે કોઈ અંગ્રેજોનાં નામ. હટાવો. પણ હકીકતમાં આ બે નામને કોઈ અંગ્રેજ સાથે લાગતું વળગતું નથી. એ બંને તો છે ઝાડનાં નામ. એલેક્ઝાન્ડ્રા એ તાડ કે નાળિયેરી જેવું ઝાડ છે. તો લેબર્નમ એ ગરમાળા જેવું ઝાડ છે, ભરચક પીળાં ફૂલોવાળું. એક જમાનામાં આ બંને રસ્તા પર તે-તે જાતનાં વૃક્ષો હતાં એટલે પડ્યાં આ બે નામ. થોડાં વરસ પહેલાં લેબર્નમ રોડનું તો નામ બદલવાની માગણી પણ થયેલી. જે રસ્તા પર ગાંધીજીનું સ્મારક મણિ ભવન આવેલું છે એ રસ્તાનું નામ કોઈ બ્રિટિશ અમલદારના નામ પરથી? પછી વળી કોક જાણકારે કહ્યું કે ભાઈ, લેબર્નમ એ તો એક ઝાડનું નામ છે, કોઈ અંગ્રેજનું નહિ.

જેના પરથી બે રસ્તાનાં નામ પડ્યાં છે તે બે ઝાડ એલેકઝાન્ડ્રા અને લેબર્નમ

તો કેટલીક વાર સાવ સીધા-સાદા નામ અંગે પણ લાંબી લાંબી ચર્ચા થાય છે. કોટ વિસ્તારમાં કાવસજી પટેલ સ્ટ્રીટથી પીઠા સ્ટ્રીટ સુધીના રસ્તાનું નામ હતું બાર્બર લેન. ઘણા લોકો તેને હજામ મહોલ્લો પણ કહેતા. બહુ દેખીતી વાત કે જેમ સુતાર ચાલ, જેમ લુહાર ચાલ, જેમ ભોઈ વાડો, તેમ બાર્બર સ્ટ્રીટ કે હજામ મહોલ્લો. એ રસ્તા પર હજામોની ઝાઝી વસતી એટલે આ નામ. બોમ્બે ગેઝેટ નામના એ વખતના અંગ્રેજી અખબારના ઓક્ટોબર સાત, ૧૯૦૭ના અંકમાં આર.પી. કરકરિયાએ આ પ્રમાણે લખ્યું. અને તરત બૂમાબૂમ થઈ કે આ રસ્તાનું નામ બદલો. પણ એ વખતે તો કંઈ થયું નહિ. ખુદ મ્યુનિસિપલ કમિશનર પી.આર. કેડલ તરફથી નામ બદલવાની દરખાસ્ત રજૂ થઈ. એક આડ વાત : કેડલ રોડ નામ આ કેડલસાહેબના નામ પરથી જ પડેલું. એ રોડનું આજનું નામ છે સ્વાતંત્ર્ય વીર સાવરકર માર્ગ. એ જ રસ્તા પર તેમનું રાષ્ટ્રીય સ્મારક પણ આવેલું છે. કેડલે જણાવ્યું કે કોટ વિસ્તારમાં રહેતા ઘણા નાગરિકોએ માગણી કરી છે કે બાર્બર લેનનું નામ વહેલી તકે બદલવામાં આવે. જો કે બનવા જોગ છે કે આ નામ હજામ લોકો પરથી નહિ, પણ એક જમાનામાં ત્યાં રહેતા મિસ્ટર બાર્બર નામના એક પોલીસ અધિકારીના નામ પરથી પાડવામાં આવ્યું હોય. છેલ્લાં કેટલાંક વરસોમાં મ્યુનિસિપાલિટીએ આ રસ્તાને ઘણો પહોળો કર્યો છે અને એટલે હવે તે ‘લેન’ રહી નથી. સાધારણ રીતે હું રસ્તાનાં નામ બદલવાની તરફેણ કરતો નથી. પણ આ કિસ્સામાં એ રસ્તા પર કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકોનાં રહેઠાણ આવેલાં છે. અને એ લોકોને આ નામ હીણપતભર્યું લાગે છે. એટલે આ નામ બદલવા લાયક છે એમ હું માનું છુ. એટલે હું આપ સૌ માનવંતા સભ્યો સમક્ષ દરખાસ્ત રજૂ કરું છું કે બાર્બર લેનનું નામ બદલીને બખ્તાવર સ્ટ્રીટ રાખવામાં આવે. ફારસી અને ગુજરાતી ભાષામાં ‘બખ્તાવર’નો અર્થ થાય છે ‘નસીબદાર.’

વીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક

જ્યારે આ દરખાસ્ત રજૂ થઈ ત્યારે વી.એ. દાભોલકર નામના સભ્યે ‘સુખિયા સ્ટ્રીટ’ નામ સૂચવ્યું. ‘બખ્તાવર’ અને ‘સુખિયા’નો અર્થ તો ઘણે અંશે સરખો. પણ વધુમાં એ રસ્તા પર ડો. સુખિયા નામના એક કોર્પોરેટર રહેતા હતા. તો સર જમશેદજી જીજીભાઈએ Barbour Street નામ સૂચવ્યું. કારણ એ નામની જાણીતી કંપનીની દુકાન એ સ્ટ્રીટ પર આવી હતી. ઇન્ગ્લન્ડમાં ૧૮૯૪માં તેની સ્થાપના થઈ હતી. તેની શાખા આ લેન પર હતી. અલબત્ત, તેમાં વેચાતાં કપડાં કાં મોટા અંગ્રેજ અમલદારોને કે સર જમશેદજી જીજીભાઈ જેવા માલેતુજારોને જ પરવડે તેવાં હતાં. બીજાં નામો પણ સૂચવાયાં. પણ છેવટે હતા ત્યાંના ત્યાં.

પછી આર.ડી. કૂપર નામના પ્રતિષ્ઠિત નાગરિકે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લખેલા પત્રમાં જણાવ્યું કે હકીકતમાં આ વિસ્તાર ‘હજામ મહોલ્લા’ તરીકે જ ઓળખાતો હતો. અંગ્રેજોએ હજામનો અનુવાદ કરી નામ રાખ્યું બાર્બર લેન. તો બીજા એક વાચક એચ. સિબાલ્ડે લખ્યું કે હકીકતમાં અહીં જે મિસ્ટર બાર્બર રહેતા હતા તે પોલીસ ખાતામાં નહોતા, પણ એ વિસ્તારના એક જાણીતા ડોક્ટર હતા. મુંબઈના બારામાં નાંગરતાં વહાણોના ખલાસીઓની સારવાર માટે તેઓ જાણીતા હતા. ૨૦૦થી ૩૦૦ જેટલાં નાનાં વહાણો તો હંમેશ મુંબઈના બારામાં નાંગરેલાં રહેતાં. તેના ખલાસીઓની સારવાર કરીને એ ડોક્ટર મહિને ઓછામાં ઓછા સો રૂપિયા તો કમાતા. (એ જમાનામાં આ મોટી રકમ કહેવાય.) તેના જવાબમાં મિસ્ટર કરકરિયાએ લખ્યું કે આ ડોક્ટર બાર્બર તો છેક ૧૮૬૬માં અહીં રહેવા આવેલા. જ્યારે ‘બાર્બર લેન’ નામ તો તેનાથી કંઈ નહિ તો સો એક વરસ જૂનું છે. મને આ નામ ‘ધ બોમ્બે ગેઝેટ’ નામના અખબારના ૧૮૩૯ના અંકોમાં જોવા મળ્યું છે. આ બધી ચર્ચાનું પરિણામ એ આવ્યું કે એ નામ બદલાયું નહિ, અને બાર્બર સ્ટ્રીટ નામ એ વખતે તો કાયમ રહ્યું.

તો ક્યારેક અંગ્રેજ અમલદારો ‘દેશી’ નામ સમજી ન શકે તેથી પણ છબરડા થતા. ગિરગામ રોડથી ગિરગામ બેકરોડ તરફ જતા એક રસ્તાનું લોકોમાં પ્રચલિત નામ હતું બન (વન) મહાલ લેન. એ જમાનામાં અહીં વસ્તી નહિ જેવી. આ લત્તામાં ઝાડી ઝાંખરા પુષ્કળ. નજીકના ખેત વાડી વિસ્તારમાં ખેતરો. એ વખતે આ લેનમાં માત્ર એક જ બંગલો હતો, જેનું નામ હતું વન મહાલ. એટલે લોકો એ ગલ્લીને વન (કે બન) મહાલ લેન તરીકે ઓળખતા. પણ અંગ્રેજો આ નામનો અર્થ સમજી શક્યા નહિ એટલે તેમણે નામ આપ્યું બેનહામ હોલ લેન.

આવો હશે એ વન મહાલ?

તો આ નામ અંગે બીજી એક વાત પણ પ્રચલિત છે. ૧૮૯૦થી ૧૮૯૫ સુધી મિસ્ટર એકવર્થ મુંબઈના મ્યુનિસિપલ કમિશનર હતા. તેમનું વતન ઇન્ગ્લન્ડનું મેલવર્ન નામનું ગામ. અને ત્યાં તેઓ રહેતા હતા બેનહામ નામના બંગલામાં. એ જ વખતે તેમને બન મહાલ લેન પરના રહેવાસીઓના કેટલાક પત્રો મળ્યા. તેમને આ નામ જરા વિચિત્ર લાગ્યું. એટલે તેમણે બોમ્બે મ્યુનિસિપાલિટીને લખ્યું કે આ રસ્તાનું નામ બદલીને બેનહામ હોલ લેન કરી નાખો. પણ આ વાત માનવાનું મુશ્કેલ પડે તેમ છે. કારણ એક તો એ વખતે ભલે લોકશાહી નહોતી, પણ ઠોકશાહી પણ નહોતી. કોઈ પણ રસ્તાનું નામ બદલતાં પહેલાં કોર્પોરેશનમાં ચર્ચા થતી. જુદાં જુદાં નામો સૂચવાતાં. અને એ પછી પણ ઘણી વાર – જેમ બાર્બર લેનની બાબતમાં બન્યું તેમ – નામ બદલાતું નહિ.

તો ક્યારેક આજે આપણને સાવ મામૂલી લાગે એવી ઇમારત પરથી પણ રસ્તાનું નામ પડતું. આજના મુંબઈના નકશામાં પણ ગ્રાન્ટ રોડથી પરેલ (પરળ) રોડ સુધીના રસ્તાનું નામ છે બાપ્ટીઝ રોડ. ૧૯મી સદીમાં પણ એ જ નામ હતું. આ વિસ્તારમાં પારસીઓની વસ્તી ઝાઝી. એટલે કોઈને પણ થાય કે બાપ્ટી નામની કોઈ પારસી બાનુના નામ પરથી આ નામ પડ્યું હશે. પણ હકીકતમાં આ રસ્તા પર છે બાપ્ટી નામની બેકરી. એટલે તેના નામ પરથી એ રસ્તાનું નામ પડ્યું. આ નામવાળો રસ્તો જ નહિ, આ બેકરી આજે પણ હયાત છે – બાપ્ટીઝ નામે. અને તે જાણીતી છે તેનાં જાત જાતનાં કેક માટે.

વડાળાથી થોડે દૂર એક નાનકડી ટેકરી આવેલી છે, એન્ટપ હિલ. એનું નામ પણ કોઈ અંગ્રેજના નામ પરથી નથી પડ્યું. એક જમાનામાં આ વિસ્તારની ઘણી જમીન અન્તોબા નામના જમીનદારની માલિકીની હતી. તો વળી કેટલાક કહે છે કે આ નામ જમીનદારના નામ પરથી પડ્યું છે એ સાચું. પણ એ નહોતો હિંદુ, કે નહોતું એનું નામ અન્તોબા. એ તો હતો પોર્ટુગાલી, અને એનું નામ હતું એન્ટન. પણ હકીકતમાં એ હતો હિંદુ, નામ હતું અન્તોબા, અને આ વિસ્તાર ઉપરાંત ગિરગામ અને વરલી વિસ્તારમાં પણ તેની પાસે ઘણી જમીન હતી.

૧૯મી સદીના નકશામાં એન્ટપ હિલ

તો ક્યારેક એવું ય બન્યું છે કે મૂળના ‘દેશી’ નામને આપણે કોઈ અંગ્રેજનું નામ માની લીધું હોય અને એટલે આઝાદી પછીનાં વરસોમાં આપણે એ નામ બદલી નાખ્યું હોય. હોર્નબી રોડથી બજાર ગેટ સ્ટ્રીટ જતા એક રસ્તાનું નામ ગનબો સ્ટ્રીટ. એટલે કેટલાકે આ નામને બ્રિટિશ લશ્કરની તોપ (ગન) સાથે સાંકળવાનો પ્રયત્ન કર્યો. તો કેટલાકે માની લીધું આ ગનબો તો કોઈ અંગ્રેજનું નામ હશે. એટલે બદલો નામ. નવું નામ પાડ્યું રુસ્તમ સિધવા માર્ગ. હા, ગનબો સ્ટ્રીટ નામ આપેલું અંગ્રેજોએ. પણ એ નામ આપેલું એ સ્ટ્રીટ પર રહેતા એક જાણીતા હિંદુ ગણબા શેઠનું નામ કાયમ રાખવા. આ ગણબા શેઠ તે પ્રખ્યાત જગન્નાથ શંકરશેઠના પૂર્વજ. મૂળ વતન કોંકણ. ત્યાંથી કુટુંબ આવ્યું ઠાણે, અને પછી મુંબઈ. કોટ વિસ્તારમાં ગણબા શેઠ પોતાના મકાનમાં રહેતા. એટલે એ ગલ્લીનું નામ અંગ્રેજ સત્તાવાળાઓએ રાખ્યું ગણબા સ્ટ્રીટ. પછી ધીમે ધીમે અંગ્રેજો તેનો ઉચ્ચાર ‘ગનબો’ જેવો કરવા લાગ્યા. એટલે આપણે આઝાદી પછી માની લીધું કે આ નામ તો અંગ્રેજ લશ્કરની તોપો અહીં રહેતી એટલે પડ્યું છે. એટલે બદલીને કર્યું રુસ્તમ સિધવા માર્ગ. આ રુસ્તમજીનો જન્મ ૧૮૮૨માં હાલના પાકિસ્તાનના કરાચી શહેરમાં. પાકા કાઁગ્રેસી. કરાચી પોસ્ટ ઓફિસના એક ક્લાર્ક તરીકે કારકિર્દી શરૂ કરી. પહેલેથી રાજકારણમાં રસ. આઝાદી પછી બંધારણ સભાના સભ્ય તરીકે કાઁગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા. બંધારણના ખરડા પરની ચર્ચામાં મહત્ત્વનો ભાગ લીધો. ૧૯૫૭ના ડિસેમ્બરની ૨૮મી તારીખે અવસાન.

આપણામાં કહેવત છે કે જૂનું એટલું સોનું. પણ રસ્તાનાં નામની બાબતમાં આ વાત આપણે સ્વીકારી નથી. રસ્તાનાં નામ બદલવાં એ રાજકારણીઓની મનગમતી રમત છે. આવી બીજી કેટલીક રમતની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 માર્ચ 2023

Loading

...102030...1,1561,1571,1581,159...1,1701,1801,190...

Search by

Opinion

  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved