Opinion Magazine
Number of visits: 9667532
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકીય લાભ માટે પવાર કોઈ સાથે પણ વિશ્વાસઘાત કરી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 May 2023

રમેશ ઓઝા

શરદ પવાર ચતુર મહત્ત્વાકાંક્ષી નેતા છે. તેમણે તેમની ચતુરાઈ દ્વારા મહત્ત્વાકાંક્ષા પૂરી કરી છે અને બળબળતી મહત્ત્વાકાંક્ષાએ ચતુરાઈને ઝાંખી પાડી છે. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી વડા પ્રધાન બનવા પી.વી. નરસિંહ રાવ સામે તેમણે કરેલી ઉમેદવારી અને મે ૧૯૯૯માં  વિદેશી સોનિયા ગાંધીનાં નેતૃત્વનો અસ્વીકાર કરીને કરેલી બગાવત આનાં ઉદાહરણ છે. ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તક ઝડપીને મહારાષ્ટ્રને સબળ શાસકની જરૂર છે એમ કહીને વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવીને દિલ્હીથી મુંબઈ ધકેલી દીધા. ૧૯૯૯માં તેમને એમ લાગ્યું હતું કે દેશમાં પ્રવાહી રાજકીય સ્થિતિમાં સોનિયા ગાંધીનું વિદેશી હોવાપણું મોટો મુદ્દો બનશે અને તેઓ પક્ષમાં રાષ્ટ્રીય નેતૃત્વ ધારણ કરશે. તેમની એ ગણતરી ખોટી પડી. ઊલટું શરદ પવાર રાષ્ટ્રીય નેતાની જગ્યાએ માત્ર એક રાજ્યમાં રાજકીય હાજરી ધરાવનારા પક્ષના નેતા બની ગયા. મુલાયમ સિંહ યાદવ કે પ્રકાશસિંહ બાદલ જેવા પ્રાદેશિક નેતા નહીં, પણ માત્ર એક જ પ્રદેશમાં વગ ધરાવનારા રાષ્ટ્રીય નેતા. આ દૃષ્ટિએ શરદ પવારને એક અનોખા નેતા કહેવા જોઈએ.

શરદ પવાર

૨૪ વરસ પહેલાં તેમણે કાઁગ્રેસ છોડી હતી અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી. હવે તેમણે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. પ્રસંગ તેમની આત્મકથાની સુધારિત આવૃત્તિના વિમોચનનો હતો. સામે પક્ષના દિગ્ગજ નેતાઓ બેઠા હતા અને સોપો પડી ગયો. અશ્રુધારા વહેવા લાગી અને થોભો થોભો અને કોઈ રોકો રોકોના ઉદ્ગારો થવા માંડ્યા. છેવટે પવારે કહ્યું કે તેમને વિચારવા માટે ત્રણ દિવસ અને સંપૂર્ણ એકાંત આપવામાં આવે. કોઈ કાર્યકર્તા કે નેતા મળવા આવ્યો છે તો તેઓ પુનર્વિચાર નહીં કરે. ત્રણ દિવસ પછી પવાર શું નિર્ણય લે છે તેની યથા સમય જાણ થઈ જશે, પણ તેમણે આવો નિર્ણય લીધો શું કામ એ પ્રશ્ન તો રહે જ છે. પવાર કોઈ નિર્ણય વગર વિચાર્યે લેતા નથી. તેનાં દૂર દૂરનાં પરિણામ તેને ભળાય એટલા તેઓ વિચક્ષણ છે. ટાઈમિંગની બાબતમાં પણ તેઓ ભાગ્યે જ થાપ ખાય છે. શા માટે શરદ પવારે અત્યારે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી હશે? બીજું તેમણે માત્ર પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે પોતે કહ્યું છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી અને જાહેરજીવનમાંથી નિવૃત્ત થવાના નથી. આમ એન.સી.પી. અને પવાર વચ્ચેનો અવિભાજ્ય સંબંધ તેઓ હયાત છે ત્યાં સુધી અવિભાજ્ય જ રહેવાનો છે.

ભારતમાં પરિવાર સ્થાપિત રાજકીય પક્ષોમાં વારસાનો સંઘર્ષ હંમેશાં જોવા મળ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નજર કરો, દરેક પક્ષમાં સ્થાપક નેતાનાં મૃત્યુ પછી કલહ જોવા મળ્યો છે. એન.ટી. રામારાવ અને બાળ ઠાકરેનાં પરિવારમાં તો તેમની હયાતીમાં જ કલહ શરૂ થઈ ગયો હતો. શરદ પવારનાં પરિવારમાં પણ પુત્રી સુપ્રિયા સૂલે અને ભત્રીજા અજીત પવાર વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. અજીત પવારે તો ૨૦૧૯માં બી.જે.પી. સાથે હાથ મેળવ્યા પણ હતા. એમાં શરદ પવારની સંમતિ હતી કે નહીં એ આપણે નથી જાણતા. અત્યારે ફરી ચર્ચા ચાલી રહી છે કે અજીત પવાર કાકા સામે બળવો કરીને બી.જે.પી. સાથે હાથ મેળવવાના છે. અજીત પવારને એમ લાગે છે કે ભારતમાં પોતાનાં રક્તનાં અદકેરાપણાની મજબૂરી જોતાં વારસો સુપ્રિયાને જ મળવાનો હોય અને પોતાનાં નસીબમાં રાજ ઠાકરે બનવાનું લખાયું હોય તો એ નસીબ અત્યારે જ બદલી નાખવું જોઈએ.

ઘરમાં શું ચાલી રહ્યું છે એની જાણ પવારથી વધુ કોને હોય? એમ લાગે છે કે તેઓ ગૃહકલેશનો પોતાની પુત્રીના પક્ષમાં અંત લાવવા અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા છે. જે થવાનું હશે એ તેમની હયાતીમાં નજર સામે થશે અને તેઓ તેનો સામનો કરી લેશે. કાર્યકર્તા અને જિલ્લા સ્તરના નેતાઓ શરદ પવાર સાથે હોય એટલે પક્ષમાં વિભાજનનો સવાલ નથી અને જો થાય તો પણ તેને પહોંચી વળી શકાય. શિવસેનાનો દાખલો સામે છે. આખી શિવસેના તેના ડણાક દેતા વાઘ અને ચૂંટણીચિહ્ન સહિત છીનવી લીધી હોવા છતાં, છીનવી લેનારાઓ લોકોની વચ્ચે જતાં ડરે છે, કારણ કે કાર્યકર્તા અને નાના સ્થાનિક નેતાઓ ઉદ્ધવ ઠાકરેની સાથે છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ડરના માર્યા યોજવામાં આવતી નથી. આમ પક્ષના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવાનું દેખીતું કારણ પોતાની હયાતીમાં અજીત પવારની સંભવિત ખટપટને નાથવાનું છે.

ભારતનાં રાજકારણમાં શરદ પવાર એક માત્ર એવા નેતા છે જેમના દરેક પક્ષમાં મિત્રો છે અને તેઓ મોટા ઉદ્યોગપતિઓના પણ મિત્ર છે. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં જો નવાજૂની થાય અને પોતે પક્ષીય રાજકારણ અને તેની ગણતરીઓથી ઉપરવટ હોય તો કદાચ વડા પ્રધાન બનવાની તક મળે. શરદ પવાર ૧૯૮૦થી ભારતના વડા પ્રધાન બનવાના મનોરથ સેવે છે અને એ કોઈ છૂપી વાત નથી. ૧૯૯૬માં વી.પી. સિંહ વિરોધ પક્ષોમાં જે સ્થાન અને આદર ધરાવતા હતા એવું સ્થાન અને આદર મેળવી શકાય. વી.પી. સિંહ જનતા દળમાંથી નિવૃત્ત થઈ ગયા હતા અને માત્ર તેને કારણે વડા પ્રધાનપદ માટે લડતા ત્રીજા મોરચાના નેતાઓએ વી.પી. સિંહને વડા પ્રધાન બનવાની વિનંતી કરી હતી. શું ખબર પવારને એવો મોકો મળે પણ ખરો!

શરદ પવારની એક મર્યાદા છે વિશ્વાસર્હતાનો અભાવ. તેઓ અંગત સંબંધમાં અત્યંત ભરોસાપાત્ર માણસ છે, પણ રાજકીય લાભ માટે કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરી શકે. માત્ર રાજકીય લાભ માટે, અંગત નુકસાન ન પહોંચાડે, બલકે અંગત નુકસાન ન થાય તેનું ધ્યાન રાખે.

શરદ પવાર સત્તામાં હોય કે ન હોય, પણ શરદ પવાર રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેવાની આવડત ધરાવે છે. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 મે 2023

Loading

સરેરાશ ભારતીય એક સમયે અનેક ઓળખ સાથે જીવે છે

રમેશ ઓઝા|Diaspora - Features|3 May 2023

પાકિસ્તાનની વાત આવે એટલે ભારતીયતા જાગી ઊઠે, કારણ પાકિસ્તાન ભારતનું દુ:શ્મન છે. બ્રાહ્મણની વાત આવે એટલે દલિતપણું જાગી ઊઠે !

રમેશ ઓઝા

બ્રિટનમાં વસતા ગુજરાતીઓએ નોખો ચોકો કર્યો તેને કારણે બ્રિટનમાં વસતા અન્ય ભારતીયો નારાજ થયા છે અને તેઓ ગુજરાતીઓનાં વલણને વિભાજક અને ભારતીયતા વિરોધી તરીકે ઓળખાવી રહ્યા છે. કેટલાક લોકો તેને મનોમન હિંદુ વિરોધી પણ માનતા હશે, પણ તેમ બોલતા નથી. બ્રિટિશ ગુજરાતીઓએ અલગથી ‘ધ બ્રિટિશ ગુજરાતી ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ’ની સ્થાપના કરી છે. સાધારણ રીતે પરાયા દેશમાં વસતા સ્વદેશીઓ વચ્ચે વધારે લાગણીનો સંબંધ જોવા મળે છે. ઘરઆંગણે ધર્મ, ભાષા, નાત-જાતના નામે એકબીજાથી અંતર પાળતા લોકો પરાયા દેશમાં વધારે એકત્વ ધરાવે છે. કારણ બહુ સ્પષ્ટ છે; હૂંફ, સલામતી અને સાંસ્કૃતિક સહિયારાપણું. માણસ એકલો જીવી શકતો નથી અને જેમ જેમ કેન્દ્રથી દૂર જાય એમ પોતાનાંનો પરિઘ પહોળો થવા લાગે છે.

તો પછી એવું શું થયું કે બ્રિટનમાં ગુજરાતીઓએ અલગ ચોકો કર્યો? આજકાલ ભારતમાં વસતા હિંદુઓ કરતાં વિદેશમાં વસતા હિંદુઓ વધારે દેશપ્રેમી અને રાષ્ટ્રવાદી છે. તેઓ વધારે ધર્મપ્રેમી અને સંસ્કૃતિપ્રેમી છે. તેઓ વતનઝૂરાપો અનુભવે છે અને પાછળ કાંઈક છૂટી ગયું હોવાની પીડા અનુભવે છે. માટે તો ભારતીય પ્રજા જે દેશોમાં વસે છે એ દેશોના લોકો ફરિયાદ કરે છે કે તેઓ રહે છે અહીં, કમાય છે અહીં, સુખસગવડ અહીંની ભોગવે છે; પણ તેમનો પહેલો પ્રેમ તેમના વતન માટે અને પોતાના ધર્મ માટે હોય છે. જો તેઓ આટલો બધો ઝૂરાપો અનુભવતા હોય તો તેમણે પોતાને વતન પાછા જતા રહેવું જોઈએ. કાં તો જે ભૂમિમાં રહેતા હોય તેને પ્રેમ કરતા શીખો અને કાં જે ભૂમિને પ્રેમ કરતા હો ત્યાં જતા રહો. બ્રિટિશ ગુજરાતી કે બ્રિટિશ શીખમાં જે બ્રિટિશ છે એ સ્થળવાચક છે એનાથી વિશેષ કાંઈ જ નથી એમ તેઓ ટોણો મારે છે. તેઓ એટલે કે ભારતીયો ખરા અને વિશાળ અર્થમાં બ્રિટિશ થયા નથી અને થવા માગતા નથી.

પરાઈ ધરતીમાં વધારે એકતા જોવા મળતી હોય તો એ એકતા બ્રિટિશ ગુજરાતીઓએ તોડી શા માટે ? અને તેઓ જો સવાયા દેશપ્રેમી રાષ્ટ્રવાદી ભારતીય હોય તો તેનું બ્રિટનમાં બાષ્પીભવન કેમ થઈ ગયું? આ ઘટના એક રીતે નાની છે, પણ તેનાં સૂચિતાર્થો ઘણાં મોટાં છે. ખાસ કરીને અત્યારે અસ્મિતાઓનો જ્વર વકર્યો છે અને રાજકારણનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે ત્યારે એને સમજવાની જરૂર છે.

બ્રિટનની સંસદમાં ભારતીય વંશના 27 સંસદસભ્ય છે અને તેમાં 14 ગુજરાતી છે. 27 ભારતીય વંશના સંસદસભ્યોમાં 15 સભ્યો આમની સભાના સભ્યો છે એટલે કે આપણી લોકસભાની જેમ અદના બ્રિટિશ મતદાતાઓએ ચૂંટ્યા છે. બ્રિટનના વડા પ્રધાન ભારતીય વંશના છે. ગોરા ખ્રિસ્તી અંગ્રેજોએ એક વિદેશી વંશના, અશ્વેત અને વિધર્મીને પોતાનો ગણ્યો છે, પણ ગુજરાતીઓએ સંસદમાં તેમની બહુમતી હોવા છતાં અલગ ચોકો કર્યો છે. જો અલગ ચોકો કરવો હોય તો પંજાબી કે બીજા કરે, ગુજરાતીઓ શા માટે કરે જેનું પલડું પહેલેથી જ ભારે છે!

એનાં બે કારણ છે. એક તો ભારતીય માનસ. ભારતીય જેવી અને ભારતીય જવા દો, અખંડ હિંદુ જેવી કોઈ ચીજ નથી. સરેરાશ ભારતીય એક સાથે એક કરતાં વધુ ઓળખ ધરાવીને જીવે છે. એક કરતાં વધુ ઓળખ ધરાવે છે એટલે દેખીતી રીતે એક કરતાં વધુ દુ:શ્મન ધરાવે છે. પાકિસ્તાનની વાત આવે એટલે ભારતીયતા જાગી ઊઠે, કારણ પાકિસ્તાન ભારતનું દુ:શ્મન છે. બ્રાહ્મણની વાત આવે એટલે દલિતપણું જાગી ઊઠે. ગુજરાતની વાત આવે એટલે ગેરગુજરાતીની યાદ આવે. આમ ઓળખ પકડશો નહીં કે દુ:શ્મન સામે આવશે નહીં. આ અસ્મિતા કે ઓળખનો સ્વભાવ છે. આમાં જો સંખ્યા મોટી હોય અને સંખ્યા અને આર્થિક-સામાજિક રાજકીય તાકાત વધુ હોય તો ઓળખ માતેલી બનવા લાગે છે અને દુ:શ્મન મોટો દુ:શ્મન બની જાય છે. બ્રિટનમાં આવું બની રહ્યું છે. અડધો અડધ વસ્તી ગુજરાતીઓની છે અને બીજી કોમ કરતાં આર્થિક-સામાજિક-રાજકીય સરસાઈ ધરાવે છે. બીજાઓને ઘાસ નાખવાની જરૂર શું છે? ગુજરાતીઓએ નોખો ચોકો કર્યો એનું આ પહેલું કારણ.

બીજું કારણ આનાથી પણ વધારે ચિંતા કરાવનારું છે. એક જમાનામાં લોકશાહી દેશોમાં રાજકીય પક્ષો ચોક્કસ વિચારધારા અને વિચારધારા આધારિત નીતિને વરેલા હતા. બ્રિટનમાં મજૂર પક્ષ વસાહતીઓની બાબતે ઉદાર વલણ અપનાવતો હતો એટલે ભારતીયો મહદ્અંશે તેને ટેકો આપતા હતા. આજે વિચારધારા અને નીતિનું સ્થાન લોબિંગે લઈ લીધું છે. એક સમાન હિતસંબંધો ધરાવનારાઓ જે તે પક્ષના પ્રતિનિધિઓને પોતાના જૂથ માટે લોબિંગ કરવા રોકે અને તેમને પૈસા આપે. પશ્ચિમના કેટલાક દેશોમાં લોબિંગ કાયદેસર છે.

બ્રિટિશ ગુજરાતી શ્રેષ્ઠીઓને લાગ્યું હશે કે આ રાજકારણીઓને પૈસા આપણે આપીએ, મત આપણા વધુ તો આપણી વગમાં હજુ વધારો થાય એવું શા માટે ન કરવું? બાકીના ભારતીયો જાય ભાડમાં, તેઓ પોતાનું ફોડી લેશે. નવા જૂથનું નામ જુઓ : ‘ધ બ્રિટિશ ગુજરાતી ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ’ ઑલ પાર્ટી. અમારું કામ કરી આપો, અમે તમારું કામ કરી આપશું.

ટૂંકમાં ગુજરાતીઓએ નોખો ચોકો કર્યો એનું બીજું કારણ સ્વાર્થ છે. આવતીકાલે બ્રિટિશ ગુજરાતી પાટીદારોનું પણ અલગ જૂથ રચાઈ શકે છે. પૈસા અમે ખરચીએ તો અમારી સરસાઈ વધવી જોઈએ! જગતમાં અત્યારે લોકશાહી પર કુઠારાઘાત થઈ રહ્યા છે અને તેનું પોત પાતળું પડી રહ્યું છે તેનું આ મુખ્ય કારણ છે. પૈસાએ વિચારને ખરીદી લીધો છે. ખરીદ્યો નથી, ખતમ કરી નાખ્યો છે. મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, બહુમતી રાષ્ટ્રવાદ વગેરે બેવકૂફ લોકોને પકડાવવા માટેનું ગાજર માત્ર છે.

માટે કહ્યું કે આ ઘટના નાની છે, પણ તેનાં સૂચિતાર્થ મહત્ત્વનાં છે. ઓળખ સ્વાર્થનિર્ભર છે અને તે સતત બદલાતી રહેતી હોય છે! માટે ગાંડા થવાની જરૂર નથી.

e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘કારણ તારણ’, ‘રસ રંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઍપ્રિલ 2023
છવિ સૌજન્ય : ભૂપેન્દ્રસિંહજી જેઠવા

Loading

મારા દાદા પાસેથી પાઠ

મૂળ લેખક- અરુણ ગાંધી • અનુવાદક - હિદાયત પરમાર|Gandhiana|3 May 2023

અરુણ ગાંધી : હાર્દિક શ્રદ્ધાંજલિ 

હિદાયત પરમાર

૧૪ એપ્રિલ, ૧૯૩૪ના રોજ ડરબનમાં મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાને ત્યાં જન્મેલા અરુણ ગાંધી એક કર્મનિષ્ઠ તરીકે તેમના દાદાના પગલે ચાલ્યા. અરુણ ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીના પાંચમા પૌત્ર અરુણ ગાંધીનું લાંબી માંદગી બાદ, ૮૯ વર્ષની વયે, આજે (૦૨-૦૫-૨૦૨૩) કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ખાતે અવસાન થયું. તેઓ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં ત્રીસ વર્ષથી વધુ સમય સુધી પત્રકાર રહ્યા અને ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ માટે પણ લખ્યું. બાળકો માટેના તેમનાં બે પુસ્તકોમાંનું પ્રથમ હતું Grandfather Gandhi (દાદા ગાંધી). અરુણ ગાંધીએ વર્લ્ડવાઈડ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ તરીકે સેવા આપી હતી સાથે સરકારી અગ્રણી નેતાઓ તેમ જ યુનિવર્સિટી અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે શાંતિ અને અહિંસાની પ્રેકટીસ વિશે વાત કરવા માટે વિશ્વની મુસાફરી કરતા રહ્યા. તેઓ ઘણા સમય સુધી ન્યુયોર્ક રાજ્યના રોચેસ્ટરમાં રહ્યા હતા. તેમના જ પુસ્તક ‘The Gift of Anger and other lessons from My Grandfather Mahatma Gandhi’ ની પ્રસ્તાવનાનું અનુવાદ મૂકી એમને અને બાપુને આદરણાંજલી અર્પણ કરું છું.. 

— હિદાયત પરમાર

********************

અમે દાદાને મળવા જતા હતા. મારા માટે, તેઓ એવા મહાન મહાત્મા ગાંધી નહોતા, જેમને વિશ્વ આદર આપે છે, પરંતુ ફક્ત “બાપુજી” હતા, જેમના વિશે મારાં માતા-પિતા વારંવાર વાત કરતાં હતાં. દક્ષિણ આફ્રિકાના અમારા ઘરેથી ભારતમાં તેમને મળવા આવવા માટે લાંબી મુસાફરીની જરૂર હતી. સિગારેટ, પરસેવા અને સ્ટીમ એન્જિનમાંથી નીકળતા ધુમાડાથી ભરેલા થર્ડ ક્લાસના ડબ્બામાં, ભરેલી મુંબઈથી ગીચ ટ્રેનમાં, અમે સોળ કલાકની સફર સહન કરી હતી. ટ્રેન વર્ધા સ્ટેશન પર આવી ત્યારે અમે બધાં થાકી ગયા હતાં અને કોલસાની ડમરીઓથી બચીને પ્લેટફોર્મ પર પગ મૂકવો અને તાજી હવાનો આનંદ માણવો આહ્લાદક લાગ્યો.

સવારના માંડ નવ વાગ્યા હતા, પણ વહેલી સવારનો સૂરજ આખો તપતો હતો. સ્ટેશનમાસ્તર માટે એક જ રૂમ ધરાવતું આ પ્લેટફોર્મ હતું, પરંતુ મારા પપ્પાને લાંબો લાલ શર્ટ અને લંગોટી પહેરેલો એક કુલી અમારી બેગ ઉપાડી મદદ કરવા અને અમને જ્યાં ઘોડાની બગી (ભારતમાં તોંગા કહેવાય છે) ત્યાં લઈ જવા માટે મળ્યો. પપ્પાએ મારી છ વર્ષની બહેન ઇલાને ઊંચકીને બગી પર બેસાડી, મને તેની બાજુમાં બેસવાનું કહ્યું. તેઓ અને મમ્મી પાછળ ચાલતાં હતાં.

“પછી હું પણ ચાલીશ,” એમ મેં કહ્યું.

“તે લાંબુ અંતર છે – કદાચ આઠ માઇલ,” પિતાએ ધ્યાન દોર્યું.

“મને કોઈ સમસ્યા નથી,” મેં ભારપૂર્વક કહ્યું. હું બાર વર્ષનો હતો અને મજબૂત દેખાવા માંગતો હતો.

મારા નિર્ણયનો અફસોસ કરવામાં મને લાંબો સમય ન લાગ્યો. સૂર્ય વધુ તપતો ગયો, અને સ્ટેશનથી લગભગ એક માઇલ સુધી જ રસ્તો મોકળો હતો. થોડા જ સમયમાં હું થાકી ગયો હતો અને પરસેવાથી લથપથ હતો તથા ધૂળ અને ડમરીઓથી ઢંકાયેલો હતો, પરંતુ હું જાણતો હતો કે હવે હું બગીમાં ચઢી શકતો નથી. ઘરમાં નિયમ એવો હતો કે તમે કંઈ બોલો તો તેને પાળવું જ રહ્યું. જો મારો અહંકાર મારા પગ કરતાં વધુ મજબૂત હોય તો તેનાથી કોઈ ફરક પડતો નથી – મારે આગળ વધવાનું હતું.

અંતે અમે બાપુજીના ‘સેવાગ્રામ’ નામના આશ્રમ પાસે પહોંચ્યા. અમારા પ્રવાસ પછી, અમે ભારતના દરિદ્રનારાયણની હૃદયભૂમિમાં એક દૂરના સ્થળે પહોંચી ગયા હતા. દાદાની સુંદરતા અને પ્રેમ વિશે મેં એટલું સાંભળ્યું હતું કે મને ખીલેલાં ફૂલો અને વહેતા ધોધની અપેક્ષા હતી. તેના બદલે સપાટ, શુષ્ક, ધૂળવાળી અને અવિશ્વસનીય જગ્યા દેખાતી હતી, જેમાં ખુલ્લી સામાન્ય જગ્યાની આસપાસ કેટલીક માટીની ઝૂંપડીઓ હતી. શું હું આ ઉજ્જડ, પ્રભાવશાળી સ્થળ માટે આટલો દૂર આવ્યો હતો? મને લાગ્યું કે અમારું સ્વાગત કરવા માટે ઓછામાં ઓછી એક સ્વાગત પાર્ટી હશે, પરંતુ અમારા આગમન પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું. “બધા ક્યાં છે?” મેં મારી મમ્મીને પૂછ્યું.

અમે એક સાદી ઝૂંપડીમાં ગયાં જ્યાં મેં સ્નાન કર્યું અને મારો ચહેરો સાફ કર્યો. હું પાંચ વર્ષનો હતો ત્યારે બાપુજીને અગાઉ એક વાર મળ્યો હતો, પણ મને એ મુલાકાત યાદ ન હતી, અને હવે અમારી બીજી મુલાકાત માટે હું થોડો નર્વસ હતો. મારા માતા-પિતાએ દાદાને મળતી વખતે અમને સારું વર્તન કરવાનું કહ્યું હતું કારણ કે તેઓ એક મહત્ત્વપૂર્ણ માણસ હતા. દક્ષિણ આફ્રિકામાં પણ મેં લોકોને તેમના વિશે આદરપૂર્વક બોલતા સાંભળ્યા હતા, અને મેં કલ્પના કરી હતી કે આશ્રમના મેદાનમાં ક્યાંક બાપુજી જ્યાં રહેતા હશે તે હવેલી હશે, જે આસપાસ સેવાભાવીઓના સમૂહોથી ઘેરાયેલા હશે.

તેના બદલે જ્યારે અમે બીજી સાદી ઝૂંપડીમાં ગયાં અને માટીના વરંડાને પાર કરીને દસ બાય ચૌદ ફૂટથી વધુ ન હોય તેવા રૂમમાં પગ મૂક્યો, ત્યારે મને આઘાત લાગ્યો. ત્યાં બાપુજી ભોંયતળિયાના એક ખૂણામાં પાતળી ગોદડી પર બેઠા હતા.

પાછળથી મને ખબર પડી કે રાજ્યના વડાઓ તેમની બાજુમાં સાદડીઓ પર બેસીને મહાન ગાંધી સાથે  મુલાકાત – વાત અને પરામર્શ કરે છે. પણ હવે બાપુજીએ તેમનું સુંદર, દાંત વિનાનું સ્મિત આપ્યું અને અમને આગળ આવવા ઇશારો કર્યો.

મારાં માતાપિતાનાં નેતૃત્વને અનુસરીને, હું અને મારી બહેન પરંપરાગત ભારતીય સભ્યતાથી તેમના ચરણસ્પર્શ કરવાં ગયાં. અમને સ્નેહભર્યા આલિંગન આપવા માટે ઝડપથી અમને તેમની પાસે ખેંચ્યા. તેમણે અમારા બંને ગાલ પર ચુંબન કર્યું, ઇલા આશ્ચર્ય, આનંદ અને રમૂજ સાથે ચીસો પાડવા લાગી.

“તમારી મુસાફરી કેવી રહી?” બાપુજીએ પૂછ્યું.

હું એટલો સ્તબ્ધ હતો કે હું હડધૂત થઈ ગયો, “બાપુજી, હું સ્ટેશનથી આખો રસ્તે ચાલતો આવ્યો.”

તે હસી પડ્યા અને મેં તેમની આંખમાં અનેરી ચમક જોઈ.

“એવું છે ને? મને તમારા માટે ખૂબ ગૌરવ છે,” તેમણે કહ્યું અને મારા ગાલ પર વધુ એક ચુંબન કર્યું.

હું તરત જ તેમના બિનશરતી પ્રેમને અનુભવી શકતો હતો, અને તે મારા માટે જરૂરી બધા જ આશીર્વાદ હતા.

પણ હજુ ઘણા આશીર્વાદ આવવાના બાકી હતા.

મારાં માતા-પિતા અને ઇલા ભારતના અન્ય ભાગોમાં મારી માતાના મોટા પરિવારની મુલાકાત લેવાં જતાં પહેલાં આશ્રમમાં થોડા દિવસ રોકાયા હતાં. પણ મારે બાપુજી સાથે આગામી બે વર્ષ રહેવાનું હતું અને પ્રવાસ કરવાનો હતો, કારણ કે હું અહીં જ બાર વર્ષના ભોળા બાળકમાંથી ચૌદ વર્ષના બુદ્ધિમાન યુવાન સુધી પહોંચ્યો હતો. તે સમયે મેં તેમની પાસેથી એવા પાઠ શીખ્યા જેણે મારા જીવનની દિશા કાયમ માટે બદલી દીધી.

બાપુજીની બાજુમાં લગભગ ચરખો રહેતો, અને મને તેમના જીવનને વાર્તાઓ અને પાઠોના સુવર્ણ દોર તરીકે સમજવાનું ગમે છે જે પેઢીઓ સુધી અંદર અને બહાર વણાટ કરવાનું ચાલુ રાખે છે, જે આપણા બધાના જીવન માટે એક મજબૂત ફેબ્રિક બનાવે છે. ઘણા લોકો હવે મારા દાદાને માત્ર ફિલ્મોથી ઓળખે છે, અથવા તેઓને એટલું યાદ છે કે તેમણે અહિંસાની ચળવળો શરૂ કરી હતી, જે આખરે યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ પહોચી અને નાગરિક અધિકારો લાવવામાં મદદ કરી હતી. પરંતુ હું તેમને એક હૂંફથી ભરેલા, પ્રેમાળ દાદા તરીકે જાણતો હતો, જેઓ મારામાં શ્રેષ્ઠ શોધતા રહેતા હતા – અને તેથી તેને બહાર પણ લાવ્યા. તેમણે મને અને બીજા ઘણા લોકોને આપણે ક્યારે ય કલ્પના નહીં કરી હોય તેના કરતાં પણ વધુ સારા બનવાની પ્રેરણા આપી. તેમણે રાજકીય ન્યાયની કાળજી કોઈ ભવ્ય સૈદ્ધાંતિક દૃષ્ટિકોણથી નહીં, પરંતુ કારણ કે દરેક વ્યક્તિની દુર્દશાથી તેઓ પ્રભાવિત હતા. તેમણે વિચાર્યું કે આપણામાંના દરેક શક્ય તેટલું શ્રેષ્ઠ જીવન જીવવા માટે લાયક છીએ.

હવે વર્તમાનમાં આપણ બધાને પહેલા કરતાં વધુ બાપુજીના પાઠની જરૂર છે. મારા દાદા આજે દુનિયામાં જે ચાલી રહ્યું છે તે જોતા ક્રોધના ઉંડાણથી ઉદાસ હશે. પરંતુ તે નિરાશ નહીં થાય.

સમગ્ર માનવતા એક પરિવાર છે.

*****************************

“સમગ્ર માનવતા એક કુટુંબ છે,” તેમણે મને વારંવાર કહ્યું. તેમણે તેમના સમયમાં જોખમો અને તિરસ્કારનો સામનો કર્યો હતો, પરંતુ તેમની અહિંસાની વ્યવહારુ ફિલસૂફીએ ભારતને આઝાદ કરાવવામાં મદદ કરી હતી અને સમગ્ર વિશ્વમાં અધિકારોની પ્રગતિ માટેનું મોડેલ હતું.

હવે, ફરીથી, આપણે જે વાસ્તવિક જોખમોનો સામનો કરી રહ્યા છીએ તેને અસરકારક રીતે સંબોધવા માટે આપણે એકબીજા સાથે લડવાનું બંધ કરવું પડશે. સામૂહિક ગોળીબાર અને ઘાતક બોમ્બ ધડાકા અમેરિકામાં દૈનિક વાસ્તવિકતાનો ભાગ બની ગયા છે. અમે પોલીસકર્મીઓ અને શાંતિપૂર્ણ દેખાવકારોને ઠંડા કલેજે મરતા જોયા છે. શાળાઓમાં અને આપણી શેરીઓમાં બાળકોની હત્યા કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા નફરત અને પૂર્વગ્રહનું મંચ બની ગયું છે. રાજકારણીઓ સામાન્ય જગ્યા બનાવવા માટે હિંસા અને ગુસ્સાને ઉશ્કેરે છે.

મારા દાદાના અહિંસાના ઉદાહરણનો અર્થ ક્યારે ય નિષ્ક્રિયતા અથવા નબળાઈનો ન હતો. વાસ્તવમાં તેમણે અહિંસાને પોતાને સમુચિત અને નૈતિક રીતે મજબૂત બનાવવા અને સમાજમાં સંવાદિતા લાવવાના ધ્યેય તરફ આગળ વધવા માટે વધુ સક્ષમ બનાવવાના માર્ગ તરીકે જોયું. જ્યારે તેઓ તેમની અહિંસા ઝુંબેશ સાથે આગળ વધી રહ્યા હતા, ત્યારે તેમણે લોકોને તેમની નવી ચળવળ માટે નામ શોધવામાં મદદ કરવા કહ્યું, અને તેમના પિતરાઈ ભાઈએ સંસ્કૃત શબ્દ સદ્દગ્રહ સૂચવ્યો, જેનો અર્થ થાય છે “સારા હેતુમાં મક્કમતા.” બાપુજીને આ શબ્દ ગમ્યો, પણ તેમણે તેમાં થોડો ફેરફાર કરીને સત્યાગ્રહ અથવા “સત્ય માટે મક્કમતા” કરવાનો નિર્ણય કર્યો. પાછળથી, લોકો ક્યારેક તેનું “આત્મબળ” તરીકે ભાષાંતર કરે છે, જે આપણને સશક્તપણે યાદ અપાવે છે કે વાસ્તવિક શક્તિ યોગ્ય મૂલ્યો રાખવાથી આવે છે કારણ કે આપણે સામાજિક પરિવર્તનની શોધ કરીએ છીએ.

હું જોઉં છું કે આપણ બધાએ અત્યારે મારા દાદાના સત્યાગ્રહ અથવા આત્માની શક્તિમાં પાછા ફરવાની જરૂર છે. તેમણે એક ચળવળની રચના કરી જેના કારણે ભારે રાજકીય ઊથલપાથલ થઈ અને કરોડો ભારતીયોને સ્વ-શાસન અપાવ્યું. પરંતુ સૌથી અગત્યનું, બાપુજીએ બતાવવાનો પ્રયાસ કર્યો કે આપણે પ્રેમ અને સત્ય દ્વારા આપણાં લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ અને જ્યારે આપણે આપણો અવિશ્વાસ ગુમાવી દઈએ છીએ અને હકારાત્મકતા અને હિંમતમાં શક્તિ શોધીએ છીએ ત્યારે સૌથી મોટી પ્રગતિ થાય છે.

મારા દાદા લોકો વચ્ચેના લેબલો અથવા વિભાજનમાં માનતા ન હતા, અને તેઓ ઊંડે આધ્યાત્મિક હોવા છતાં, જોડાયેલા લોકોને બદલે વિભાજિત થાય ત્યારે ધર્મનો પણ વિરોધ કર્યો હતો. આશ્રમમાં અમે દરરોજ સવારે ૪:૩૦ વાગ્યે ઊઠીને ૫:૦૦ વાગ્યાની પ્રાર્થના માટે તૈયાર થતા. બાપુજીએ તમામ ધર્મોના ગ્રંથો વાંચ્યા હતા, અને તેમણે જે સર્વવ્યાપક પ્રાર્થનાઓ કરી હતી તે બધા ધર્મોમાંથી લેવામાં આવી હતી. તેઓ માનતા હતા કે દરેક ધર્મમાં થોડું સત્ય છે – અને મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે આપણે વિચારીએ છીએ કે એ એક થોડું જ બધું અને માત્ર સત્ય છે.

બાપુજીએ તમામ લોકો માટે સ્વ-નિર્ણયની તરફેણમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ વાત કરી હતી, અને તે માટે આ વ્યક્તિ જે ફક્ત પ્રેમ અને શાંતિ ફેલાવવા માંગતી હતી તેમણે લગભગ છ વર્ષ ભારતીય જેલોમાં વિતાવ્યાં હતા. શાંતિ અને એકતાના તેમના વિચારો ઘણા લોકો માટે એટલા જોખમી હતા કે તેઓ, તેમની પત્ની અને તેમના શ્રેષ્ઠ મિત્ર અને વિશ્વાસુ, મહાદેવ દેસાઈ, બધાને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં. દેસાઈને હાર્ટ એટેક આવ્યો અને ૧૯૪૨માં જેલમાં જ તેમનું અવસાન થયું અને દાદાના ધર્મપત્ની કસ્તૂરબાઈએ આખરે ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪ના રોજ તેમના ખોળામાં માથું રાખીને દેહ છોડ્યો. તેના મૃત્યુના ત્રણ મહિના પછી, એકલા બચી ગયેલા દાદા જેલમાંથી બહાર આવ્યા. પછીના વર્ષે તેમણે મને તેમની છત્રછાયામાં લીધો અને મને સારું જીવન કેવી રીતે જીવવું તે શીખવવાનું તેમનું મિશન બનાવ્યું.

બાપુજી સાથે હું જે બે વર્ષ રહ્યો તે અમારા બંને માટે મહત્ત્વનો સમય હતો. જ્યારે હું તેમની સાથે હતો, સ્વતંત્ર ભારત માટેનું તેમનું કાર્ય ફળ્યું, પરંતુ તેની સાથે જે હિંસા અને ભાગલા આવ્યા તે તેમના સપનાંનો ભાગ ન હતા. જેમ જેમ તેણે વિશ્વના મંચ પર ફેરફારો કર્યા તેમ, હું મારી પોતાની, ઘણી વાર અણઘડ લાગણીઓ પર કાબૂ મેળવીને અને મારી સંભવિતતાને કેવી રીતે પરિપૂર્ણ કરવી અને નવી આંખો દ્વારા વિશ્વને કેવી રીતે જોવું તે શોધીને, હું મારી જાતમાં ફેરફારો કરવાનું શીખ્યો. હું એ જ સમયે ઇતિહાસનો સાક્ષી બન્યો કે બાપુજીએ મને મારા અંગત ધ્યેયો સુધી પહોંચવાના સરળ, વ્યવહારુ પાઠો આપ્યા. તે તેમની ફિલસૂફીનો સઘન અભ્યાસક્રમ હતો : “તમે વિશ્વમાં જે પરિવર્તન જોવા માંગો છો તે પરિવર્તન પોતાનામાં લાવો.”

**********************************************

આપણે અત્યારે તે પરિવર્તનની જરૂર છે, કારણ કે આપણે વિશ્વમાં હિંસા અને નફરતના અસહ્ય સ્તરે પહોંચી ગયા છીએ. લોકો પરિવર્તન માટે તલપાપડ છે પણ અસહાયતા અનુભવે છે. ભારે આર્થિક અસંતુલનનો અર્થ એ છે કે અમેરિકામાં ૧૫ મિલિયનથી વધુ બાળકો અને વિશ્વભરના લાખો લોકો પાસે એક ટંક ખાવા માટે પૂરતું નથી, જ્યારે જેઓ વિપુલતા સાથે જીવે છે તેઓને લાગે છે કે તેમની પાસે બગાડવાનું લાઇસન્સ છે. જ્યારે જમણેરી ફાસીવાદીઓએ તાજેતરમાં ઉત્તર ભારતના એક ટાઉન સ્ક્વેરમાં મારા દાદાની પ્રતિમાને વિકૃત કરી હતી, ત્યારે તેઓએ વચન આપ્યું હતું કે, “You will witness a trail of terror.”(તમે આતંકના પગેરું જોશો.) જો આપણે આ ગાંડપણનો અંત લાવવો હોય તો આપણે આપણા પોતાના જીવનમાં પરિવર્તન લાવવું પડશે.

આપણા ઇતિહાસમાં મારા દાદાને આ જ ક્ષણનો ડર હતો. તેમની હત્યાના એક અઠવાડિયા પહેલાં એક પત્રકારે તેમને પૂછ્યું હતું કે, “તમારા મૃત્યુ પછી તમારી ફિલસૂફી સાથે શું થશે એના વિશે આપને શું લાગે છે?” તેમણે ખૂબ જ ઉદાસી સાથે જવાબ આપ્યો હતો, “લોકો જીવનમાં મને અનુસરશે, મૃત્યુમાં મારી પૂજા કરશે, પરંતુ મારા કારણને તેમનું કારણ બનાવશે નહીં.” આપણે ફરી એકવાર તેમના કારણને આપણું બનાવવું જોઈએ. તેમની રોજિંદી શાણપણ આપણને આજે પણ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, તે ઉકેલવામાં મદદ કરી શકે છે.

બાપુજીએ ઇતિહાસનો માર્ગ બદલવા માટે ગુણાતીત સત્યો અને વ્યવહારુ માર્ગદર્શનનો ઉપયોગ કર્યો. હવે આપણા બધા માટે તેનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.

બાપુજી પાસેથી મેં જે પાઠ શીખ્યા તે મારા જીવનમાં પરિવર્તનશીલ છે, અને હું આશા રાખું છું કે તેઓ તમને તમારામાં વધુ શાંતિ અને અર્થ શોધવામાં મદદ કરશે.

અરુણ ગાંધીકૃત ‘ધ ગિફ્ટ ઓફ એંગર – એંડ અધર લેસન્સ ફ્રોમ માય ગ્રાન્ડ ફાધર મહાત્મા ગાંધી’ પુસ્તકમાંથી સાદર 

સૌજન્ય : હિદાયત પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1531,1541,1551,156...1,1601,1701,180...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved