Opinion Magazine
Number of visits: 9566843
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—190

દીપક મહેતા|Opinion - Opinion|1 April 2023

સીધા સાદા નામ ‘કોલાબા’ અંગે વિદ્વાનોના આટાપાટા

ભાટિયા બાગની ચડતી, પડતી, ચડતી 

કોણ હતા વાલચંદ હીરાચંદ?

સપનાં લો કોઈ સપનાં, 

અવાવરુ કો હૈયા ખૂણે 

નાખી રાખો, નહિ કંઈ પૂણે 

નીવડશે કદી ખપનાં.

                  − ઉમાશંકર જોશી 

એપ્રિલ ૧ 

બ્રેકિંગ ન્યૂસ : મુંબઈ મહાનગર પાલિકાની અસાધારણ બેઠકમાં બરાબર રાતના બાર વાગે એક ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. તે પ્રમાણે મુંબઈના રસ્તાઓનાં જે નામ ૧૯૪૭ પહેલાં હતાં તે પ્રમાણે ફરી રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું, જેથી મુંબઈ શહેરના ભવ્ય ઇતિહાસને હંમેશ માટે જાળવી રાખી શકાય. રસ્તાઓને તેનાં જૂનાં નામ પાછાં આપવાની આ કામગીરી એક મહિનામાં પૂરી કરવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું. ખાસ નોંધપાત્ર વાત એ છે કે બધા જ રાજકીય પક્ષોના સભ્યોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો.

ચિંતા ન કરતા હો! ક્યારે ય સાચું ન પડે એવું આ તો એક સપનું માત્ર હતું. હકીકતમાં તો રસ્તા, ગલ્લી, સ્ટેશન, ચોક-ચબૂતરા, ઇમારતો વગેરેનાં નામ બદલવાની હોડ જામી છે. અંગ્રેજોએ આપેલાં ઘણાંખરાં નામ તો બદલાઈ ગયાં – એકાદ એલ્ફિન્સ્ટન કોલેજને બાદ કરતાં. હવે શું બદલવું? બદલો ‘લઘુમતિ જાતિઓ’નાં નામ. કેટલીક વાર તો ડિમાંડ કરતાં રસ્તા ઓછા હોવાને કારણે રસ્તાને અગાઉ આપેલું નામ ગુપચૂપ રાતોરાત બદલી નાખવામાં આવે છે. પણ આ બધા તો સત્તાધારીઓના ખેલ. લોકો તો જે હૈયે તે જ હોઠે એમ માનીને જૂનાં નામ જ વાપરે છે.

હિન્દીમાં એક કહેવત છે : હાથ કંગન કો આરસી ક્યા? પણ આ વાત તો મારા-તમારા જેવા આમ આદમી માટે. સાક્ષરો તો પાણીમાંથી પોરા કાઢે. એટલે જ તો સંસ્કૃતમાં કહેવાયું છે : સાક્ષરા: વિપરીતા: રાક્ષસા: ભવતી. એક, સાક્ષરા: શબ્દને ઊંધો વાંચો તો વંચાય રાક્ષસા:, અને જો સાક્ષરો અવળા થાય તો રાક્ષસો જેવું કામ કરે. જે નામ સાવ સાદું સીધું હોય તેને માટે પણ સાક્ષરોમાં મતમતાંતર જોવા મળે. મુંબઈના અસલ સાત ટાપુમાંનો છેવાડાનો એક નાનકડો ટાપુ. દરિયાનાં પાણીથી ઘેરાયેલો. પણ પાણી બહુ ઊંડાં નહિ એટલે ત્યાં જવા-આવવા માટે નાની હોડી બસ થાય. વસ્તી એ વખતે તો કોળીઓની. પ્રાગઐતિહાસિક કાળથી તેઓ અહીં વસે. માછીમારી એમનો મુખ્ય ધંધો. સાથે થોડાં શાકભાજી પણ ઉગાડે. પુરુષો તો મોટે ભાગે દરિયે હોય, એટલે કુટુંબમાં સ્ત્રીઓનું વર્ચસ્વ. માછલી વેચવાથી અવારનવાર સોનું ખરીદવા સુધીનાં ઘણાંખરાં કામ સ્ત્રીઓ કરે.

૧૯મી સદીના પ્રખ્યાત ચિત્રકાર ધુરંધરની પીંછીએ કોળી પતિ–પત્ની

કોળીઓ મોટેભાગે દેવી પૂજક. તેમની એક દેવી તે મુંબા આઈ. તેના પરથી આપણા આ શહેરને નામ મળ્યું મુંબાઈ-મુંબઈ. કોળીઓની વસ્તી માટેનું એક નામ કોલભાટ. ગિરગામ વિસ્તારમાં એક કોલભાટ લેન પણ હતી. આ કોલભાટ પરથી નામ પડ્યું કોલાબા. પણ સંસ્કૃતના પ્રકાંડ પંડિત મોલ્સવર્થે કહ્યું કે ના. આ નામ તો અરબી ભાષામાંથી આવ્યું છે જેનો અર્થ થાય છે દરિયાના પાણી વચ્ચેની નાની, પાતળી, ગરદન જેવી જમીન, ભૂશિર. તો બીજા એક પારસી વિદ્વાન ડો. જીવણજી જમશેદજીએ કહ્યું કે ફારસી શબ્દ ‘આબ’ (પાણી) અને કોળી, એ બે નામ ભેગાં થતાં બન્યું કોલાબા. તો વળી બીજા એક વિદ્વાને કહ્યું કે ના ભાઈ ના. આ કોલાબા નામ તો બન્યું છે બે ફારસી શબ્દો ભેગા કરીને : કાલા+આબ (પાણી) = કાલાબા, કોલાબા.

છેક ૧૮૩૮ સુધી કોલાબા ટાપુ બીજા બધા ટાપુથી અલગ હતો. તેને બીજા ટાપુઓ સાથે જોડવાની યોજના તો છેક ૧૮૨૦માં ઘડાઈ હતી, પણ તેની શરૂઆત થઈ ૧૮૩૫માં! એટલે જ તો સૂરદાસજીએ ગાયેલું : સરકારી ગત ન્યારી, ઊધો! સરકારી ગત ન્યારી!’ પચીસ-ત્રીસ વરસ પહેલાં બંધાયેલા પૂલ આજે તોડીને નવેસરથી બાંધવા પડે છે. પણ એ પૂલ તોડતાં પહેલાં કોઈ એવો સવાલ કરતું નથી કે પૂલ એવો તે કેવો બંધાયેલો, કોણે બાંધેલો, કે આટલા ઓછા વખતમાં એ ખખડધાજ બની ગયો? ક્યારેક બ્રિટિશ શાસનમાં પણ આવું બનતું હો! ૧૮૩૮માં બંધાયેલો કોલાબા કોઝવે ૧૮૬૧-૧૮૬૩ દરમ્યાન તોડીને ફરી બંધાયો! એટલે હાથકંગન જેવી વાત એ કે જે નાનકડા ટાપુ પર કોળીઓની વસ્તી તેનું નામ પડ્યું કુલાબા કે કોલાબા.

કોળીઓ પછી આવ્યા ભંડારીઓ. તેમના નામ પરથી પણ એક રસ્તાનું નામ પડ્યું ભંડારી સ્ટ્રીટ. અગાઉના ફોકલેન્ડ રોડથી ભંડારવાડા સ્ટ્રીટ સુધી જતા રસ્તાનું એ હતું નામ. મુખ્ય ધંધો તાડી બનાવવાનો અને વેચવાનો. એક જમાનામાં મુંબઈમાં તાડીનું ચલણ ઘણું. આ લખનારે નાનપણમાં રસ્તાઓ પર ઠેર ઠેર ‘તાડી માડી કેન્દ્ર’નાં બોર્ડ જોયાં છે. ગુજરાતી અને મરાઠીના ‘તાડી’ શબ્દ પરથી અંગ્રેજોએ બનાવ્યો શબ્દ toddy. અંગ્રેજી ભાષામાં આ શબ્દ પહેલવહેલી વાર વપરાયો ઈ.સ. ૧૬૦૯માં. ૨૦૧૬ના ઓક્ટોબરમાં મહારાષ્ટ્ર સરકારે તાડીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો. પણ તેને પરિણામે બીજાં ભેળસેળવાળાં જોખમી પીણાં વેચાવા લાગ્યાં એટલે આ પ્રતિબંધ ૨૦૧૭ના ઓગસ્ટમાં પાછો ખેંચી લીધો. આ ભંડારીઓમાં પાછી પાંચ ઉપજાતિ : શિંદે, ગૌડ, મોરે, કિરપાલ, અને કિત્રે. આ બધા આમ તો ભંડારી, પણ તેમના વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર નહિ. ભંડારવાડા નામ પણ આ ભંડારીઓ પરથી.

 તાડી માડી ભંડારી

અગાઉ ઉજ્જડ ટેકરી હતી તે મલબાર હિલ પર ૧૮૬૪ પછી મુંબઈના માલેતુજારો બંગલા બંધાવી રહેવા લાગ્યા. પણ એ પહેલાં મુંબઈના શ્રેષ્ઠીઓ ક્યાં રહેતા? સર દિનશા વાચ્છાના કહેવા પ્રમાણે એ પહેલાં ધનિકોની વસ્તી બહાર કોટ વિસ્તારમાં, એટલે કે કિલ્લાની બહારના ભાગમાં હતી. તેમાં પારસી વેપારીઓ, કપોળ વાણિયા, મંગળદાસ નથ્થુભાઈ અને વરજીવનદાસ માધવદાસ જેવા શ્રેષ્ઠીઓ, પણ અહીં જ રહેતા. બજાર ગેટ સ્ટ્રીટ અને જૂની મોદી સ્ટ્રીટમાં મુખ્યત્ત્વે ભાટિયાઓની વસતી. ગોકુલદાસ તેજપાલ, ગોકુલદાસ લીલાધર, ખટાઉ મકનજી, જીવરાજ બાલુ, જયરામ સવજી, જેવી હસ્તીઓ બજાર ગેટ સ્ટ્રીટ અને પારસી અગિયારી સ્ટ્રીટ પર રહેતી. હોળી ચકલામાં પણ ભાટિયાઓની મોટી વસતી. ઘણા લોકો એ વિસ્તારને ‘ભાટિયા વાડ’ તરીકે ઓળખતા. બોરી બંદરથી થોડે દૂર આવેલા ભાટિયા બાગ વિસ્તારમાં પણ તેમની ઝાઝી વસતી.

આ વિસ્તારમાં આવેલા ભાટિયા બાગની વાત ‘ઘડીમાં ઉપર, ઘડીમાં નીચે’ એવી છે. ચોક્કસ વરસ તો જાણવા નથી મળ્યું, પણ બોરી બંદર – આજના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – થી થોડે દૂર આવેલો આ બાગ લગભગ દોઢસો વરસ જૂનો તો છે જ. નહોતો બહુ મોટો, કે નહોતો આલા દરજ્જાનો બાગ. આસપાસનાં છોકરાં રમવા આવે, ગલઢેરાઓ સાંજે બાંકડે બેસવા આવે. ધીમે ધીમે ઘસાતો ચાલ્યો. સારસંભાળને નામે મીંડું. એટલે પછી પંદરેક વરસ બંધ રહ્યો – નો એન્ટ્રી. હા, ગંજેરી ભંગેરી વિના રોકટોક આવજા કરતા અને પોતાના ગોરખ ધંધા ચલાવતા. પછી વળી મ્યુનિસિપાલિટી સફાળી જાગી. આનું તો નવીનીકરણ કરવું જોઈએ. સફાઈ કરી, બાળકો માટે હિંચકા, લસરપટ્ટી વગેરે ગોઠવ્યાં. થોડા બાંકડા પણ ખરા. ટેવ પ્રમાણે લાલ-લીલા ભડક રંગે બધું રંગ્યું. આ બધા પાછળ એક કરોડ સિત્તેર લાખ રૂપિયા ખર્ચાયા.

કલકત્તાની ટ્રામને પહેરાવ્યા મુંબઈના વાઘા

થોડા વખતમાં નજીકના CSMTને વર્લ્ડ હેરિટેજનું લેબલ લાગ્યું. અરર, આટલી  ભવ્ય ઈમારતની નજીક આવેલો બાગ આવો ભૂખડી બારસ? આવા ભડક રંગો? આવા ભંગાર બાંકડા? ના ચાલે, ચાલે ના. ફરી તોડફોડ. નવી ગિલ્લી નવો દાવ, પૂરી નહિ તો શીરો લાવ. ત્યાં વળી કોઈના ભેજામાં ફળદ્રુપ વિચાર આવ્યો. એક જમાનામાં મુંબઈના રસ્તા પર ટ્રામ દોડતી. એ ‘હેરિટેજ’ની યાદમાં મૂકીએ અહીં એક ટ્રામ. પણ ટ્રામ લાવવી ક્યાંથી? ૧૯૬૪માં મુંબઈમાં ટ્રામ બંધ થઈ પછી બધી વેચાઈને ભંગાર વાડે ગઈ. હવે? અરે, કલકત્તામાં હજી ચાલે છે ટ્રામ. તો ત્યાંથી લઈ આવો. આવી. વાજતે ગાજતે મેયરને હાથે ગોઠવાઈ. પણ જેણે મુંબઈની ટ્રામ જોયેલી એ તો તરત કહી દે : ‘મુંબઈમાં જે ટ્રામ દોડતી તે આવી તો નહોતી!’ કારણ મુંબઈ-કલકત્તાની ટ્રામની ડિઝાઈન, રૂપરંગમાં ફેર. ટ્રામ બંધ કર્યા પછી કોઈને એકાદ નમૂનો પણ રાખવાનું સૂઝ્યું નહિ. નાખો બધી ભંગાર વાડે. અને પછી ટ્રામ લાવો ભાઈ ટ્રામ! પહેલાં થૂંકીને ઇતિહાસ ભૂંસો, પછી થૂંકેલું ચાટો!

આ ભાટિયા બાગ આવેલો છે તે રસ્તાનું અસલ નામ ફોર્ટ સ્ટ્રીટ. ખાસ્સો લાંબો-પહોળો રસ્તો એને ‘સ્ટ્રીટ’ કેમ કહ્યો હશે, એ તો અંગ્રેજો જાણે. અસલ ફ્રેરે રોડથી હોર્નબી રોડ સુધી જતો આ રસ્તો. પણ ફોર્ટ કહેતાં કિલ્લો તો આ સ્ટ્રીટથી દૂર છે. છતાં આ નામ કેમ? કારણ અસલ ફોર્ટ નાનો પડવાને કારણે નજીકમાં બીજો કિલ્લો ફોર્ટ સેન્ટ જ્યોર્જ બાંધવામાં આવેલો. અને આ રસ્તો એ કિલ્લા સુધી જતો એટલે ફોર્ટ સ્ટ્રીટ એવું નામ.

વાલચંદ હીરાચંદનાં માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ

આ રસ્તાનું આજનું નામ વાલચંદ હીરાચંદ માર્ગ. એમનો જન્મ ૧૮૮૨માં, અવસાન ૧૯૫૩માં. એ જમાનામાં ‘સ્વદેશી’ ઉદ્યોગોના પુરસ્કર્તા. કામની શરૂઆત કરી રેલવેના કોનટ્રેક્ટર તરીકે. ૧૯૦૮માં વાલચંદ નગર ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી. શરૂઆત ખાંડના ઉત્પાદનથી. પણ તેમનું સૌથી મોટું સાહસ તે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની. નરોત્તમ મોરારજી અને કિલાચંદ દેવચંદ સાથે મળીને માત્ર એક સેકંડ હેન્ડ સ્ટિમરથી તેમણે આ કંપની શરૂ કરી. પછી ૧૯૨૭માં ફ્રી પ્રેસ ઓફ ઇન્ડિયા નામની ન્યૂસ એજન્સી શરૂ કરી. સ્ટીમર પછી વિમાન! ૧૯૩૯માં બેંગ્લોરમાં શરૂ કરી હિન્દુસ્તાન એરક્રાફ્ટ. જો કે ૧૯૪૨માં બ્રિટિશ સરકારે એ કંપની હસ્તગત કરી લીધી. કારણ ત્યારે બીજું વિશ્વ યુદ્ધ ચાલતું હતું અને એટલે વિમાન બનાવતી કંપની ખાનગી ક્ષેત્રમાં હોય તે સરકારને પોસાય નહિ. આજની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL)ની એ માતૃ સંસ્થા. ઘણા દેશોમાં રસ્તાને જો કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો તે વ્યક્તિની થોડી જાણકારી પણ બાજુમાં મૂકવાનો ચાલ છે. આપણે ત્યાં નથી. એટલે આપણા લોકો એવી જાણકારીથી વંચિત રહે છે.

એટલે જ નરસિંહ મહેતાએ ગાયેલું : રોડ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં …

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 01 એપ્રિલ 2023

Loading

લેખકની સ્વસ્થતા અને લેખનમાં તટસ્થતા

ઇલિયાસ શેખ|Opinion - Opinion|1 April 2023

ઇલિયાસ શેખ

ગુજરાતી અખબારોમાં છપાતી અનેક કોલમ હું વાંચતો-જોતો હોઉં છું. ઘણીવાર આવી કોલમમાં લખવામાં આવતા વિષય-વસ્તુને લઇને મને મનમાં થતું હોય છે કે, ન જાને આવી ‘કોલમ’ના આધારે કંઈ કેટલાં ‘બિંબ’ અને ‘પ્રતિબિંબ’ ટકી રહેતા હશે !

‘કોલમ’ આમ તો અંગ્રેજી શબ્દ છે, પણ આપણી ગુજરાતીમાં કડિયાઓએ ‘બિંબ-કોલમનું ચણતર’ એમ બોલી-બોલીને એનું ગુજરાતીકરણ કરી નાખ્યું છે ! કોલમ માટે ગુજરાતીમાં સાચો શબ્દ ‘સ્તંભ’ છે. જે વર્તમાન સમયમાં લખાતી કોલમોના રંગ-રૂપ અને છટા જોતાં આપણને એકદમ બંધ-બેસતો શબ્દ લાગે. કેમ કે, સ્તંભ એ દંભનો સહોદર છે. આપણે અમુક-તમુક સ્તંભ લેખકોને વાંચીએ ને મળીએ તો આપણે સ્તબ્ધ બની જઇએ – એ હદ્દે એ લેખકો દંભી હોય છે. ટર્નર, ફિટર અને લેથના કારીગરની માફક એવાં લેખકો શબ્દો સાથે કામ પાર પાડતા હોય છે. અખબારમાં પ્રચલિત ‘કોલમ-સેન્ટીમીટર’ની સંજ્ઞા મને જાહેરાત કરતાં તો એ કોલમિસ્ટના દૂષિત અને અનિષ્ટ મસ્તિષ્કનું માપ હોય એવું વધારે જણાય છે !

કટાર-લેખનમાં હવે બે-ચાર અપવાદોને મજરે મુકતા, મોટાભાગની કલમો સત્તા સામે મુજરો કરતી, કુરનિશ બજાવતી ગણતરીબાજ જોહરાબાઇ બની ગઇ છે. આવી બુઠ્ઠી અને જુઠ્ઠી કટારોને હું તો ન કટાર માનું, અને ન કલમ. પણ, મારાં માનવા-ન માનવાથી એમને કોઇ ફેર નથી પડવાનો.

ગુગલ, વિકિપીડિયા અને સોશ્યલ મીડિયામાંથી, અહીં-તહીંથી એકઠું કરીને, આવાં બખિયાબાજ કટાર લેખકો માત્ર ફકરા ને ફિતુરના થીગડાં મારે છે. ચારેકોરથી થતાં માહિતીઓના વિસ્ફોટે આજના લેખકને જાણે કે એક ‘ઉચ્ચક – બબુચક લહિયો’ બનાવી નાખ્યો છે. આવા લહિયાઓ જ્યારે લખવા બેસે છે ત્યારે એના સંવેદનને જાણે કે લકવો મારી જાય છે. આવા લહિયાઓ તો પોતાની જાતને શ્વેત કાગળ ઉપર સાચા મોતીનો ચારો ચણતા માનસરોવરના હંસ માનતા હોય છે. પણ એ લહિયાઓ એ હકીકતથી બેખબર હોય છે કે, એ લોકો ‘માનસરોવરના હંસ’ નહીં પણ ‘અપમાન ધરોહરના કંસ’ સમાન હોય છે. 

માનસરોવરના હંસમાં તો ‘ક્ષીરનીર વિવેકની’ સમજણ હોય છે. જ્યારે આવા લહિયાઓ તો ‘સત્તાધારી’ના ચરણોમાં ગેલ કરતાં ગલુડિયાં સમાન હોય છે. એમને મન ‘વિસ્મય’ હોવું અને ‘વિષમય’ હોવું – બંને એક જ બાબત છે. આવા લોકોને જો ‘સત્તાધારી’ની સંધિ છૂટી પાડવાનું કહેવામાં આવે તો – એ લોકો એને ‘સત્ત આધારી’ તરીકે છૂટી પાડીને આપણને અચરજમાં નાખી દેતા હોય છે !

લેખનમાં ‘તટસ્થતા’ જાળવવી, એટલે કે ‘ન્યુટ્રલ’ હોવું – એ તો મને શબ્દ સાથે આચરવામાં આવતું ‘છળ-કપટ’ લાગે છે. લેખક તટસ્થ નહીં, પણ ‘સ્વસ્થ’ હોવો જોઈએ. એનો વિવેક એટલો મજબૂત અને સાબૂત હોવો જોઇએ કે, એ પોતાની જાત સાથેની નિસબત અને પ્રતિબદ્ધતા નિભાવી જાણે. ‘ન્યુટ્રલ’ તમે ખરેખર તો હોતા નથી, પણ પરાણે બની જતાં હો છો. ‘ન્યુટ્રલ’ હોવું અને ‘અનબાયસ્ડ’ હોવું – બંને એક જેવા ભલે લાગે – પણ હકીકતમાં એના અર્થ એક સરખા નહીં પણ તદ્દન અલગ-અલગ છે.

લેખનમાં ‘ન્યુટ્રલ’ હોવું એટલે પલાયનવાદી ગધેડાનું પૂછડું ઝાલવું ! પોતાને ‘ન્યુટ્રલ’ ઓળખાવતા લેખકોને ‘two face’ અને ‘two ass’ હોય છે ! એટલે કે ‘બે મોઢા’ અને ‘બે ધગડા’ હોય છે ! જ્યારે ‘અનબાયસ્ડ’ હોવું એટલે ન્યાયી ને નિર્ભીક હોવું. અનબાયસ્ડ લેખનમાં પાછલાં પૂર્વગ્રહની એક પણ પરછાઈ નથી હોતી. અનબાયસ્ડ લેખનમાં માંહ્યલામાં રહેલી માન્યતાની કોઇ આમાન્યા કે હઠાગ્રહ નથી હોતાં. એટલે અનબાયસ્ડ લેખન કોઇ મુદ્દાની તરફેણમાં પણ હોઇ શકે અને કોઇ મુદ્દાની વિરુદ્ધમાં પણ હોઇ શકે. એની સામે, ન્યુટ્રલ રાઇટિંગમાં મૂળ તો ‘સેઇફ રાઇડિંગ’નો કારસો રચવા જેવી વાત હોય છે. એટલે જ ન્યુટ્રલ રાઇટિંગના એક ફકરામાં ચાબૂક વીંઝાતી જોવા મળે તો તરત જ બીજા ફકરામાં આપણને લેખકની લેખિની હાથમાં ગુલાબ-જાંબુ ભરેલોનો કટોરો લઇને શરમાળ નવોઢા જેવી જોવા મળે !

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં પણ ન્યુટ્રલનું હોવું એટલે એક ‘અનપાવર્ડ’ કરન્ટ વગરની લાઈનની માફક સાથે રહેવું. ફેઇઝ એક લાઈવ પાવર્ડ લાઈન હોય છે. એ વિજ-ઉપકરણોનેને પાવર ફીડ કરે છે. અર્થિંગની ડ્યુટી અનવોન્ટેડ પાવરને ગ્રાઉન્ડ કરવાની હોય છે. એટલે કે ફેઇઝ પાવરનું વહન કરે છે. અર્થિંગ પાવરને સહન કરે છે. પણ ‘ન્યુટ્રલ’ની ઉપયોગિતા માત્ર ઇલેક્ટ્રિકલ સર્કીટને પૂરી કરવા માટે હોય છે. કે જેથી વિજ-પ્રવાહ સરક્યુલેટ થતો રહે.

ઇલેક્ટ્રિક સર્કીટમાં આવતા મોટાભાગના પ્રોબ્લેમ્સનું કારણ ‘bad neutral’ હોય છે. Neutral જ્યારે bad હોય ત્યારે એ ઉપકરણ અને અર્થિંગ બંનેને બગાડે છે. લેખનમાં પણ ન્યુટ્રલ લેખકો આવા બેડ-ન્યુટ્રલ સમાન હોય છે. એમની પાસે ન તો પોતીકી કોઇ ટોલરન્સ હોય છે, કે ન તો પોતીકી કોઇ વહનક્ષમતા. એટલે એ બેડલી ન્યુટ્રલ રહીને ‘અર્થ’ને નિરંતર ‘અનર્થ’ કરતા રહે છે. આવા ‘લે-ભાગું’ ન્યુટ્રલ લેખકોથી અંતર રાખવું. કેમ કે, ન્યુટ્રલ લેખકો પાસેથી આપણે કશું જ પામી શકતા નથી. ન્યુટ્રલ લેખકોનું તો માસ્તર માટેની કહેવત જેવું હોય છે કે ‘મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં’. જો કે, ન્યુટ્રલ લેખકો ઊઠાં ભણાવવામાં ભારે ઉસ્તાદ હોય છે.

અંતે, મારે ભારપૂર્વક એટલું જ કહેવું છે કે, આજે જ્યારે ઠેર-ઠેર માહિતીઓના રાફડા ફાટ્યા છે, ત્યારે કોઇ રાફડા પાસે હાંફળા-ફાંફળા થઇને ન જવું. વાચક તરીકેની સજ્જતા કેળવવી. નહીં તો આવા રાફડામાં રહેલા નાગ પળવારમાં એની તરફેણની ફેણ ફુલાવીને તમને તરત જ ડસી લેશે. એ ડસી લે પછી મને કહેતાં નહીં કે ‘તમે કેમ કીધું નહીં !’ કેમ કે, રાફડામાં રહેતા બધાં નાગ બિન-ઝેરી નથી હોતા! અસ્તુ. આ લખ્યું નથી અમસ્તુ.

••• 

સૌજન્ય : ઇલિયાસભાઈ શેખની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી, તેમના વિચારો અને જીવન હજુ 21મી સદીના ત્રીજા દાયકામાં પણ શા માટે મહત્ત્વ ધરાવે છે તેનાં દસ કારણો.

લેખક : રામચંદ્ર ગુહા • અનુવાદક : આશા બૂચ|Gandhiana|31 March 2023

ચિરસ્થાયી આવશ્યકતા 

ભારતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ, પર્યાવરણવાદી, લેખક અને પ્રબુદ્ધ વક્તા રામચંદ્ર ગુહા ગાંધી વિચાર અને જીવન પદ્ધતિ વિશેના તેમના સિદ્ધાંતો આજે શા માટે પ્રસ્તુત છે તે અત્યંત તર્કબદ્ધ રીતે દર્શાવે છે જે એમના જ શબ્દોમાં જાણીએ.

− આશા બૂચ

•

ગાંધીના નિર્વાણ બાદ, 75 વર્ષ જેટલા લાંબા સમય પછી, ગાંધી ખરેખર હજુ મહત્ત્વના છે? એમનું મહત્ત્વ હોવું જોઈએ? આ લેખમાં હું ગાંધી, તેમનું જીવન અને વિચારો હજુ 21મી સદીના ત્રીજા દાયકામાં પણ શા માટે મહત્ત્વ ધરાવે છે તેના ભારે વજૂદવાળાં દસ કારણો આપીશ.

ગાંધીનું મહત્ત્વ છે એનું પ્રથમ કારણ છે, તેમણે ભારતને અને સારાયે વિશ્વને પોતે શસ્ત્ર બળનો ઉપયોગ કર્યા વિના અન્યાયી સત્તાનો સામનો કરવાનો ઉપાય આપ્યો. રસપ્રદ બાબત એ છે કે સત્યાગ્રહનો વિચાર જોહાનિસબર્ગના એમ્પાયર થિયેટરમાં ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતીય લોકો 11 સપ્ટેમ્બર 1906ને દિવસે જાતિભેદ ધરાવતા કાયદાનો વિરોધ કરીને જેલમાં જવા તત્પર થવા એકઠા મળેલા ત્યારે થયો. એ ઘટનાના 95 વર્ષ બાદ આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ધ્વંસ કર્યો. બે 9/11ની ઘટના : એક અહિંસક લડત અને વ્યક્તિગત બલિદાન મારફત ન્યાય માગનારી ચળવળ હતી, તો બીજી દુ:શ્મનો પર ત્રાસ અને શસ્ત્ર બળના ઉપયોગ દ્વારા ધાક બેસાડવા ખેલાયેલ જંગ હતો. ઇતિહાસ ગવાહ છે કે અન્યાય સામે વિરોધ કરવામાં સત્યાગ્રહ તેના અન્ય વિકલ્પો કરતાં વધુ નૈતિક અને અસરકારક સાબિત થયો છે. દક્ષિણ આફ્રિકા અને ભારતમાં બ્રિટિશ શાસન સામે પ્રથમ તેની અજમાયશ થઇ, ત્યાર બાદ તેનું અનુકરણ ઘણી જગ્યાએ થયું, સહુથી વધુ નોંધપાત્ર કદાચ અમેરિકાની નાગરિક અધિકારની ચળવળ ગણાવી શકાય.

ગાંધી મહત્ત્વના છે તેનું બીજું કારણ એ છે કે તેઓ પોતાના દેશ અને સંસ્કૃતિને ચાહતા હતા, સાથો સાથ તેને વિરૂપ કરનારાં તત્ત્વો શોધીને તેને દૂર કરવાનો પ્રયાસ પણ કરતા હતા. ઇતિહાસકાર સુનિલ ખિલનાની કહે છે તેમ, ગાંધી માત્ર બ્રિટિશરો સામે નહોતા જંગે ચડ્યા, તેઓ ભારત સામે પણ યુદ્ધે ચડ્યા હતા. તેઓ પોતાના સમાજને – આપણા સમાજને ઓળખતા હતા. વ્યાપક અને ઊંડે સુધી પ્રસરી ગયેલી અસમાનતાના રૂપમાં એ ચિત્રિત થાય છે એ તેઓ જાણતા હતા. ભારતીય પ્રજાને સ્વતંત્રતા માટે યોગ્ય બનાવવાની ઈચ્છામાંથી અસ્પૃશ્યતા સામેની લડાઈનો જન્મ થયો. અને મુખ્યત્વે નારીવાદી ન હોવા છતાં તેમણે મહિલાઓને જાહેર જીવનમાં સક્રિય કરવા ઘણો ફાળો આપ્યો.

ગાંધીની મહત્તા હજુ આજે પણ છે એનું ત્રીજું કારણ એ છે કે તેઓ એક હિન્દુ હતા છતાં પોતાની નાગરિકતા ધર્મને આધારે વ્યાખ્યાયિત કરવા તેઓ બિલકુલ સંમત નહોતા. જેમ જ્ઞાતિપ્રથાએ ભારતના સમાજને ક્ષિતિજની સમાંતર રેખામાં વિભાજીત કર્યો, તો ધર્મએ ભારતને શિરોબિંદુથી સીધી રેખામાં વિભાજીત કર્યો છે. આ ઊભી રેખામાં ઐતિહાસિક રીતે વિરુદ્ધ એવા બે સમાજ વચ્ચે પુલ બાંધવા ગાંધીએ ખૂબ સંઘર્ષ વેઠ્યો. હિન્દુ – મુસ્લિમ વચ્ચેની સંવાદિતા એ એમનો હંમેશની નિસબતનો વિષય હતો; તેને માટે જ તો તેઓ જીવિત હતા અને અંતે એ માટે મૃત્યુને ભેટવા પણ તૈયાર હતા.

ગાંધીની પ્રસ્તુતતાનું ચોથું કારણ એ ગણાવી શકાય કે તેઓ ગુજરાતી સંસ્કૃતિથી પૂરેપૂરા રંગાયેલા હતા, અને ગુજરાતી ગદ્ય લેખનમાં સિદ્ધહસ્ત હતા એ સર્વમાન્ય છે, છતાં તેઓ પ્રાંતવાદને પોષનારા નહોતા. જેમ તેમના હૃદયમાં પોતાના ધર્મ ઉપરાંત બીજા ધર્મ માટે સ્થાન હતું તેમ પોતાની ભાષા જેટલી જ ચાહ અને સ્થાન અન્ય ભાષાઓ પ્રત્યે ધરાવતા હતા. ભારતમાં ધર્મ અને ભાષાઓ વચ્ચેના વૈવિધ્યની સમજ તેમના વિદેશ વસવાટ દરમ્યાન વધુ ઘેરી બની, કેમ કે તેમના નિકટના સાથીઓ જેટલા હિન્દુ હતા તેટલા જ મુસ્લિમ અને પારસી હતા, અને ગુજરાતી બોલનારા જેટલા જ કદાચ તમિલ ભાષા બોલનારા પણ હતા.

પાંચમું કારણ ગાંધીની મહત્તાનો અહેસાસ કરાવે તેવું એ છે કે તેઓ દેશભક્ત હતા તેટલા જ રાષ્ટ્રો વચ્ચે હિતૈક્ય અને મૈત્રીભર્યા સહકારના સિદ્ધાન્તની હિમાયત કરનાર હતા. તેઓ ભારતીય સભ્યતાની સમૃદ્ધિ અને વારસાનું મૂલ્ય સમજતા હતા, પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે 20મી સદીમાં કોઈ દેશ કૂવામાંના દેડકાની જેમ જીવી ન શકે. વ્યક્તિ જો પોતાની જાતને બીજાની દૃષ્ટિથી જુએ તો તેને મદદ થાય. તેમના પર ભારતની અસર હતી તેટલી જ પશ્ચિમી સભ્યતાની પણ હતી. તેમના આધ્યાત્મિક અને રાજકીય દૃષ્ટિકોણ જેટલા ગોખલે અને રાયચંદભાઈને આભારી હતા તેટલા જ ટોલ્સટોય અને રસ્કિનને પ્રતાપે વિકસ્યા હતા. જાતિ અને અન્ય વિભિન્નતાઓ વચ્ચે પણ તેમણે હેન્રી અને મિલી પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ સાથે અતૂટ મૈત્રી કેળવી કે જેણે તેમના અંગત તેમ જ જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા બજાવી.

અહીં હું ક્ષણિક વિરામ લઈને સમજાવવા માગુ છું કે ગાંધીના વારસાના ઉપરોક્ત પાંચ પાસાંઓ વિના સ્વતંત્ર ભારતે જે માર્ગ લીધો તેનાથી તદ્દન અલગ રાહ જ લીધો હોત. કેમ કે ગાંધીએ વાટાઘાટની તરફેણમાં હિંસાને વર્જ્ય ગણી, જેને કારણે બહુ પક્ષીય લોકશાહી તરીકે ઉભરી આવવામાં ભારતને મદદ થઇ, જ્યારે મોટા ભાગના એશિયન અને આફ્રિકાના દેશોએ સ્વશાસન માટે હિંસક માર્ગ લઈને એક પક્ષીય એકહથ્થુ સત્તા સ્થાપી. ગાંધી અને આંબેડકરે લિંગ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો, જે સિદ્ધાંતો આપણા બંધારણમાં લેખિત રૂપમાં સામેલ થઇ ગયા. ગાંધી અને જવાહરલાલ નહેરુ જેવા લોકોએ ધાર્મિક અને ભાષાકીય સ્વાતંત્ર્ય પર ભાર મૂક્યો જેથી દુનિયાના અન્ય દેશોની માફક ભારતનું નાગરિકત્વ કોઈ એક ચડિયાતા ધર્મ કે એક બળૂકી ભાષાને આધારે નિર્ધારિત ન થયું.

આંબેડકર અને નહેરુના નામનો ઉલ્લેખ સૂચવે છે કે હું એક પણ ક્ષણ માટે એવો દાવો કરવા નથી માંગતો કે ભારતના લોકશાહી અને સર્વ સમાવેશી નૈતિક વલણોને ગાંધીએ એકલપંડે ઘાટ આપ્યો. જો કે તેમણે લોકશાહી, સાંસ્કૃતિક વૈવિધ્યમાં સહઅસ્તિત્વની ભાવના અને સામાજિક ઐક્ય ઉપર વારંવાર ભાર મૂકીને દેશના ઘડતરમાં મહત્ત્વનો ભાગ જરૂર ભજવ્યો.

ગાંધી મહત્ત્વના છે તેનું છઠ્ઠું કારણ છે, તેઓ અઠંગ પર્યાવરણવાદી હતા, જેમણે આગાહી કરી હતી કે નિરંકુશ પ્રગતિ અને ગ્રાહકવાદ આપણા ગ્રહનો વિનાશ સર્જી શકે. તેમણે ડિસેમ્બર 1928માં લખેલું : “ભગવાન ન કરે કે ભારત પશ્ચિમને અનુસરીને તેમની માફક ઔદ્યોગિકરણ ન અપનાવે. ઇંગ્લેન્ડ જેવા નાના ટાપુનો આર્થિક સામ્રાજ્યવાદ આજે દુનિયાને એક સાંકળમાં બાંધી બેઠો છે. જો 30 કરોડની પ્રજા ધરાવતો આખો દેશ એના જેવું આર્થિક શોષણ કરવા તરફ વળશે, તો તીડની માફક એ સારી ય પૃથ્વીને વેરાન બનાવી દેશે.” આ અદ્દભુત દૂરંદેશી હતી, કેમ કે પશ્ચિમે શોધી કાઢેલા મૂડી, સંસાધનો અને ઉર્જા કેન્દ્રિત ઔદ્યોગીકરણના માર્ગનું અનુસરણ કરવાથી ચીન અને ભારત આજે ખરેખર આ દુનિયાને તીડનાં ઝૂંડની માફક પૃથ્વીને ઉજ્જડ કરવાની અણી પર આવી રહ્યા છે. પોતાના જીવન અને કાર્ય દ્વારા ગાંધીએ સંયમ અને જવાબદારીપૂર્ણ વ્યવહારનાં મૂલ્યોનું સમર્થન કર્યું, કે જેને અપનાવવા પર આપણી પૃથ્વીના ભાવિનો આધાર છે.

ગાંધીની મહત્તા આજે પણ એટલી જ છે તેનું સાતમું કારણ છે, પોતાની શક્તિનો વિકાસ કરવાની અને વધુ ઉત્કૃષ્ટ થવાની તેમની શક્તિ. જેમ જેમ તેઓ નવા પડકારોનો સામનો કરતા ગયા, નવા અનુભવો મેળવતા ગયા તેમ તેમ તેઓ પોતાના આચાર-વિચાર બદલતા ગયા. અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કિન્સનું પ્રખ્યાત (કદાચ ગફલતથી એમનું છે એમ માનવામાં આવે છે) અવતરણ છે : “જ્યારે હકીકત બદલે, ત્યારે હું મારો વિચાર બદલું. અને તમે શું કરો, સર?” ગાંધીએ 1934માં કહેલું તે આ મુજબ છે, “હું મારી સુસંગતતા માટે કોઈ દાવો નથી કરતો. જો હું દરેક પળે મારી જાત પ્રત્યે સત્યનું પાલન કરતો રહું, તો મને અસંગત હોવાનું માનવામાં આવે તેનો કશો વાંધો નથી.”

પોતાના જીવન દરમિયાન ગાંધીએ ત્રણ અતિ મહત્ત્વના મુદ્દાઓ વિષે પોતાના વિચારો બદલ્યા. જાતિ, જ્ઞાતિ અને લિંગભેદ. આ ત્રણેય વિષે પોતાના નાની વયે બંધાયેલા પૂર્વગ્રહોને સ્થાને વધુ પરિપક્વ વલણો કેળવાયાં. જાતિ વિશે ખાસ ન વિચારનારા યુવકમાંથી જાતિવાદના પ્રખર વિરોધી બન્યા, પરંપરાગત ચાલતી આવેલી જ્ઞાતિ પ્રથાનો ભીરુતાથી અચકાતા વિરોધ કરનારમાંથી જ્ઞાતિભેદનો સીધો અને નિઃસંકોચ પણે વિરોધ કરનાર બન્યા, મહિલાઓને બિન રાજકીય ભૂમિકા સોંપનાર અગેવાનમાંથી મહિલાઓ જાહેર જીવનમાં અને સ્વાતંત્ર્યની લડાઈમાં સમાન ભાગીદારી કરે એવું માનીને તેમને પૂરેપૂરું પ્રોત્સાહન આપનારા બન્યા.

હવે ગાંધીની મહત્તાનું આઠમું કારણ જોઈએ. તેમનામાં પોતાના અનુયાયીઓમાંથી નેતા બનાવવાનું ભાગ્યે જ જોવા મળે તેવું કૌશલ્ય હતું. તેઓ અન્યમાં રહેલી શક્તિને પિછાણી લેતા, તેનું સંગોપન કરતા અને પછી તેમને પૂર્ણ રીતે વિકસવા સ્વતંત્ર છોડી દેતા. તેમના અસંખ્ય અનુયાયીઓ, કે જેઓ તેમની આસપાસ એકઠા થયેલા એ સમય જતા પોતાની શક્તિના બળ પર ઇતિહાસ રચનારા બની ગયા. આ અનુયાયીઓમાંથી નેતા બની ગયેલા નોંધનીય હસ્તીઓમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકીર હુસૈન, જે.બી. ક્રિપ્લાની, જે.સી. કુમારપ્પા, સરલાદેવી સારાભાઈ (કેથરીન મેરી હેઈલમાન) અને બીજા અનેકનો સમાવેશ થાય.

ગાંધીની ભાવિ નેતાઓ તૈયાર કરવાની શક્તિ સ્વતંત્ર ભારતના ત્રણ વડા પ્રધાનોની તેમ કરવાની અશક્તિ કરતાં તદ્દન વિરુદ્ધ છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી પોતપોતાનાં ચારિત્ર્ય અને રાજકીય વિચારધારાઓમાં એકબીજાંથી ઘણા અલગ છે, પણ એક બાબતમાં ત્રણેયમાં સામ્ય છે – રાજકીય પક્ષ, સરકાર અને રાજ્યમાં પોતાના અસ્તિત્વને ભાળવું. ઇન્દિરા ગાંધીએ સત્તાનું વ્યક્તિગત માલિકીપણું નહેરુ કરતાં પણ વધુ આગળ ધપાવ્યું, અને મોદી તો ઇન્દિરા ગાંધી કરતાં પણ વધુ આગળ નીકળી ગયા. અને છતાં એ ત્રણેય પોતાને સત્તા પરથી હઠાવી ન શકાય અને અન્ય કોઈને તેમના સ્થાને મૂકી ન શકાય તેવું માનનારા હતા. તેઓએ તેમના પછીની પેઢીમાં કોઈ નેતા તૈયાર થાય એ માટે કશો પ્રયાસ નહીં કરેલો. (રાજકારણના બહારના ક્ષેત્રમાં વ્યક્તિગત સત્તા ભોગવવાનું લક્ષણ ભારતના મોટા નિગમના નેતાઓ અને સામાજિક સંગઠનોના આગેવાનોમાં વ્યાપકપણે જોવા મળે છે, કે જેઓ પોતાની જાતને જ જે તે સંગઠન તરીકે ઓળખાવતા હોય છે.)

હવે ગાંધીની મહત્તા આજે પણ પ્રસ્તુત છે તેનું નવમું કારણ જોઈએ. તેઓ પ્રતિપક્ષીના દૃષ્ટિકોણને સમજવા હંમેશ ઇચ્છુક રહેતા, તેમ જ પરસ્પરને માન્ય હોય તેવું સમાધાન કરવા સદાય તત્પર રહેતા. આથી તેઓ પોતાના પ્રતિસ્પર્ધીઓ જેવા કે મહમ્મ્દ અલી જિન્નાહ અને આંબેડકર તથા દક્ષિણ આફ્રિકા અને ભારતમાં સામ્રાજ્યના એલચીઓ વચ્ચે એક સામાન્ય ભૂમિકા શોધી શક્યા. ગાંધીને કોઈ સાથે વ્યક્તિગત અભાવ કે નફરતની લાગણી નહોતી, માત્ર બૌદ્ધિક કે રાજકીય મતભેદ, અને તેઓ આશા રાખતા કે એ બધા પણ હલ કરી શકાય તેવા છે. કોઈના પણ પ્રત્યે દ્વેષ રાખવાની તેઓમાં બિલકુલ શક્તિ નહોતી.

ગાંધી આજે મહત્ત્વના છે તેનું દસમું કારણ, તેમની રાજકીય જીવનમાં રહેલી પારદર્શિકતા. તેમના આશ્રમમાં કોઈ પણ પહોંચી જઈને તેમની સાથે ચર્ચા કરી શકે; ખરેખર, આખર એમ જ બન્યું, કોઈ પણ વ્યક્તિ તેમના સુધી પહોંચી જઈ શકે અને તેમની હત્યા કરી શકે. તેમના કે આપણા સમયમાં સલામતી દળોની ટુકડી સાથે રાખી ફરતા રાજકીય નેતાઓના જીવન કરતાં આ કેવો વિરોધાભાસ!

ગાંધીના જીવનમાંથી મળતી શીખ, જેનો મેં અહીં ઉલ્લેખ કર્યો છે એ માત્ર આ દેશ પૂરતી જ પ્રસ્તુત નથી. જો કે વર્તમાન સમયના આક્રમક ધાર્મિક બહુમતીવાદ, નિંદાત્મક ભાષણો અને અન્યો પ્રત્યેના અભદ્ર વર્તનથી સભર રાજકારણ, નેતાઓ અને સરકાર દ્વારા જૂઠાણાં અને ખોટા પ્રચારકીય સમાચારોનો પૂરો પાડવામા આવતો પુરવઠો અને પર્યાવરણની થતી બરબાદી અને વ્યક્તિ પૂજાનું વધતું જોર એ બધું જોતાં લાગે છે કે ભારતમાં કદાચ ગાંધીનું મહત્ત્વ સમજવું સૌથી વધુ જરૂરી છે.

Courtesy: The article has been adapted from The Telegraph, dt. 28.1.2023
e.mail : 71abuch@gmail.com

Loading

...102030...1,1501,1511,1521,153...1,1601,1701,180...

Search by

Opinion

  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?
  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved