Opinion Magazine
Number of visits: 9458240
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભવ્ય, ભપકાદાર અને અતિ ખર્ચાળ લગ્નો દેખાડાનું પ્રતીક છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 January 2023

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહમાં એ મતલબની  ટકોર કરી હતી કે સમૂહ લગ્ન બાદ ઘરે માંડવો બાંધી નાત ના જમાડતા. જો રૂપિયા ઉછળતા હોય તો સારા કામમાં વાપરજો. ભવ્ય, ભપકાદાર અને અતિ ખર્ચાળ લગ્નોમાં જે પ્રકારે સામાજિક પ્રતિષ્ઠા અને સંપત્તિનું વરવું પ્રદર્શન થાય છે તેનાથી હવે તો સૌ કોઈ વાકેફ છે. થોડા કલાકો કે એકાદ દિવસની વાહવાહી લૂંટવા જે પ્રકારે લગ્નોમાં ધૂમ ખર્ચા થાય છે તે હાલની લગ્નસરામાં પણ જોવા મળશે.

ભારતમાં વરસે દહાડે ૧.૨ કરોડ લગ્નો થાય છે. ૨૦૧૭થી ૨૦૨૧માં લગભગ ૬ કરોડ લગ્નો થયા હતા. અમેરિકાનું લગ્ન બજાર ૭૦ અબજ ડોલરનું છે અને ભારતનું ૩.૭૧ લાખ કરોડનું છે. દર વરસે તેમાં સરેરાશ પચીસ ટકાના દરે વૃદ્ધિ થાય છે. ભારતમાં એક લગ્ન દીઠ સરેરાશ લગ્ન ખર્ચ ૫ લાખથી ૫ કરોડનો અંદાજવામાં આવે છે. બે વ્યક્તિ વચ્ચેનું મિલન એવો લગ્ન પ્રસંગ અંગત નહીં પણ પારિવારિક અને સામાજિક અવસર ગણાય છે. તેના માટે મહિનાઓથી તૈયારીઓ ચાલે છે અને આખી જિંદગીની બચત ખર્ચી નાંખવામાં આવે છે. જેની પાસે આર્થિક સવલત નથી તે દેવું કરીને પણ આ પ્રસંગને ભપકાદાર બનાવે છે.

લગ્ન ટાણે સોનુ, કપડાં, જમણવાર, ફટાકડા, વાહનો, દહેજ અને સજાવટ પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે. જ્વેલરી માર્કેટમાં ૭૦ ટકા સોનાની ખરીદી લગ્નો માટે થાય છે. લગ્ન દીઠ ૩૦થી ૪૦ ગ્રામના હિસાબે વરસે એક કરોડ લગ્નોમાં ૩૦૦થી ૪૦૦ ટન સોનાનું જ વેચાણ થાય છે. હવે લગ્ન ખર્ચમાં અવનવા ઉમેરા થયા કરે છે. પારંપરિક લગ્નોનું સ્વરૂપ બદલાઈને કોર્પોરેટ લગ્નોનું બની ગયું છે. લગ્નનો ખુશીનો અવસર જે અગાઉ સામૂહિક જવાબદારીથી ઉકેલાતો હતો તે હવે પ્રાઈવેટ એજન્સીઝને સોંપી દઈ ઉજવાય છે. ધનાઢ્યોના ડેસ્ટિનેશન વેડિંગ સાથે મધ્યમવર્ગમાં પ્રી.વેડિંગ શૂટનું ચલણ વધ્યું છે.

કેટલાક અતિ ખર્ચાળ લગ્નોની ચર્ચા અને થોડીઘણી ટીકા માધ્યમોમાં દિવસો સુધી થાય છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીનાં દીકરી ઈશા અંબાણીના ઉદ્યોગપતિ પરિવારના પુત્ર આનંદ પિરામલ સાથેના લગ્ન એટલા તો ભવ્ય હતા કે તેમાં ૫૦૦થી ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચાયા હતા. ઉત્તરા ખંડના એક વ્યાપારી ગુપ્તા બંધુઓના બે પુત્રોના લગ્નમાં ૨૦૦ હેલિકોપ્ટર, રૂ. ૫ કરોડનાં વિદેશી ફૂલ વપરાયાં હતા અને લગ્ન પછી ૨૭૫ ક્વિન્ટલ કચરો ઉત્પન્ન થયો હતો ! આ લગ્નનો ખર્ચ રૂ. ૨૦૦ કરોડનો હતો. ક્રિકેટર વિરાટ કોહલીના ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેના લગ્ન ઈટલીમાં યોજાયા હતા. અનુષ્કા માટેની રૂ. એક કરોડની વીંટી સાથે આ લગ્નનો ખર્ચ રૂ. ૧૦૦ કરોડનો થયાનો અંદાજ છે. ફિલ્મ અભિનેતા રણવીર સિહ અને અભિનેત્રી દીપિકા પદુકોણના લગ્નમાં રૂ. ૯૫ કરોડ વપરાયા હતા.

એવી દલીલ થાય છે કે જેમની પાસે નાણાં છે તે પોતાના આનંદ કે શોખ માટે લગ્નોમાં ખર્ચા કરે તેમાં ખોટું શું છે ? આ દલીલ કરનાર તેની અસર અન્યો પર પડે છે તે હકીકત નજરઅંદાજ કરે છે. લગ્નના વ્યર્થ ખર્ચને કન્યાના માતાપિતાની દૃષ્ટિએ જોવાની જરૂર છે. પિતૃસત્તાક દેશમાં પુત્રીના જન્મ સાથે જ એના લગ્નના ખર્ચની ચિંતા થાય છે. એક કરતાં વધુ દીકરીનાં માવતરને તો આખી જિંદગી આ ચિંતા સતાવતી રહે છે. એક સર્વેનું તારણ એવું પણ હતું કે જે કન્યાના લગ્નમાં વરપક્ષને ઓછો ખર્ચ થયેલો લાગ્યો હોય છે તે કન્યાને સાસરીમાં કાયમ મહેણાં-ટોણાં સાંભળવા પડે છે અને ક્યારેક વાત વણસીને છૂટાછેડા સુધી પહોંચે છે. મધ્યમવર્ગ, નિમ્ન મધ્યમવર્ગ અને ગરીબો પણ ભવ્ય લગ્નોને કારણે લઘુતા ગ્રંથિ અનુભવે છે.

જવાહરલાલ નહેરુએ એમની આત્મકથા ‘મારી જીવનકથા’માં લખ્યું છે કે, “હિંદુસ્તાનમાં ગરીબ કે અમીર સૌનાં લગ્નોમાં કેવળ દમામ અને દેખાવમાં પૈસાનું પાણી થાય છે એવી ટીકા બહુ થઈ છે અને એ ટીકા સાચી પણ છે. પૈસાનું પાણી  થાય છે એ તો બાજુએ રહ્યું, પણ જેમાં કળા કે સૌંદર્યનું નામ પણ ન હોય એવા અશિષ્ટ તમાશા જોઈને તો દુ:ખ જ થાય છે. આ બધા માટે ખરા ગુનેગાર લોકો મધ્યમવર્ગના છે. ગરીબ લોકો પણ કરજના બોજા વહોરીને ઉડાઉ થઈ શકે છે.” (પૃષ્ઠ-૧૦) આઝાદી પૂર્વે લખાયેલી આ આત્મકથામાં લગ્નો પાછળના દેખાડાના ખર્ચની જે ટીકા અને ચિંતા છે તે આજે આઝાદીના અમૃત પર્વે પણ કરવી પડે છે.

લગ્નો પાછળ પાણીની જેમ વપરાતા પૈસા અંગે સમાજમાં જાગ્રતિ પણ આવી રહી છે. કેટલાક જ્ઞાતિ અને ધર્મ સમૂહોએ તેના પર પ્રતિબંધો મૂકવાના પ્રયાસો કર્યા છે. સામાજિક જાગ્રતિ સાથે સરકારી લગામ પણ જરૂરી છે. ૨૦૧૭માં બિહારના કાઁગ્રેસ સાંસદ રંજીત રંજને લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું હતું. ધ મેરેજ (કમ્પલસરી રજિસ્ટ્રેશન એન્ડ પ્રિવેન્શન ઓફ વેસ્ટફૂલ એક્સપેન્ડિચર ) બિલ, ૨૦૧૬માં મહેમાનોની સંખ્યાથી માંડીને ઘણા ખર્ચા પર મર્યાદા મૂકવાની, પાંચ લાખથી વધારે ખર્ચ પર દસ ટકા ટેક્સ લેવાની જોગવાઈ હતી. આ બિનસરકારી વિધેયક હોઈ સ્વાભાવિક જ તે પસાર થઈ શક્યું નથી. પરંતુ આ પ્રકારના કોઈ સરકારી અંકુશની જરૂરિયાત છે.

નેતાઓ અને અભિનેતાઓએ સાદાઈથી લગ્નોનો દાખલો પૂરો પાડવાની પણ જરૂર છે. દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર પટેલે એમના સચિવ વી.પી. મેનનને તેમનાં દીકરીના લગ્નનો સમારંભ  દિલ્હીમાં નહીં યોજવાની ફરજ પાડી હતી. ઇન્દિરા ગાંધીએ વડા પ્રધાનના તેમના  કાર્યકાળ દરમિયાન જ બંને સંતાનોના લગ્નો સાદાઈથી કર્યા હતા. જો કે ખુદ તેમના પક્ષના ગઈકાલના અને આજના નેતાઓ તેનું અનુકરણ કરતા નથી. સંતાનહીન લોકનાયક જયપ્રકાશ નારાયણનાં પત્ની પ્રભાવતી દેવી જેમને પુત્રવત માનતા હતા તેવા એક કૌટુંબિક યુવાનનું લગ્ન ભારે ધામધૂમ સાથે બનારસમાં યોજાયું અને તેમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સહિતના અનેક રાજનેતાઓ અને મંત્રીઓ હાજર રહ્યા તેની વ્યાપક ટીકા થઈ હતી. તેથી જયપ્રકાશે ‘અંતે મેં ભી મિટ્ટી કા બના હુઆ નાચીઝ ઈન્સાન હું” એવા ખુલાસા સાથે દેશજનતાની ક્ષમા માંગતું અખબારી નિવેદન કર્યું હતું. આ સ્થિતિમાં આ પ્રશ્ન સહેલાઈથી ઉકલવાનો નથી.

e.mail : maheriyachandu@gmail.com

Loading

મન્તવ્યજ્યોત (૨૪) : સાક્ષરજીવન : સાહિત્યિકતા : શબ્દભંડોળ

સુમન શાહ|Opinion - Literature|3 January 2023

સાક્ષરજીવન, તેમાં સાહિત્યિકતા અને આજે એમાં શબ્દભંડોળની વાત ઉમેરવી છે.

શબ્દભંડોળ, અંગ્રેજીમાં – વૉકેબ્યુલરી. માણસ પાસે પોતાની ભાષાના ઉપરાન્ત બીજી ભાષાના જે શબ્દો હોય તે બધાના સરવાળાને શબ્દભંડોળ કહેવાય. 

તમે કેટલા શબ્દો જાણો છો તેનો ટેસ્ટ આપી શકાય છે. તમારા શબ્દભંડોળનું સ્તર કયું છે, તેનું સામર્થ્ય કેટલું છે, તે જાણી શકાય છે. કરુણતા એ છે કે આ બધાં પરીક્ષણ અંગ્રેજી કે અન્ય ભાષાના ભાષકનાં થાય છે, ગુજરાતી ભાષકનાં નહીં – શાળા કક્ષાએ હળવાશથી થતાં હોય તો તેની મને જાણ નથી. 

ગુજરાતી ભાષા મરી રહી છે એમ કહેવું કેટલું ગલત છે તે સૌ જાણે છે હવે. ખરી વાત તો એ છે કે તળ પ્રદેશોમાં ગામડાંઓમાં કે કસબાઓમાં ગુજરાતી મરી નથી. હા, ઘરડાં સાસુમા પણ ‘થૅન્ક્યુ’ ‘સૉરિ’ કરતાં થયાં છે – પણ એ શાસ્ત્રીય ચર્ચાનો વિષય છે, એમાં નથી જવું.

સર્જન / લેખન કરનારા સાહિત્યકારનું અને સહૃદય વાચકનું શબ્દભંડોળ સામાન્ય ભાષકના કરતાં મોટું હોય છે.

છતાં પૂછી શકાય કે ગુજરાતી સાહિત્યકારને કેટલા તત્સમ, કેટલા તદ્ભવ, અને કેટલા દેશ્ય શબ્દો આવડે છે. કેટલાં પંખીનાં, કેટલાં પુષ્પનાં, કેટલાં શ્હૅરોનાં કે વિશ્વના કેટલા દેશોનાં નામ એ જાણે છે. ત્રણ ઋતુ તો બધા જાણે છે પણ છ ઋતુનાં નામ અને તેના પ્રાકૃતિક ક્રમની કેટલાને ખબર છે. આ જ સવાલો ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપકને પણ પૂછી શકાય.

માહિતીપરક સવાલો પણ કરી શકાય : સમસામયિક વિવેચકને ગુજરાતી સાહિત્યના દિવંગત અને વિદ્યમાન કેટલા વિવેચકોનાં નામની જાણ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓનાં અને પશ્ચિમના કેટલા સિદ્ધાન્તકારોનાં નામની ખબર છે. કેટલા મરાઠી બંગાળી કે પંજાબી સાહિત્યકારોનાં નામની જાણ છે. ભારતની પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યકૃતિઓની એની યાદી નાની છે કે કેમ. એ શેક્સપીયર કોટિના કેટલા વિશ્વ સાહિત્યકારોનાં નામ જાણે છે. 

સામાન્યપણે માણસને પોતાના નાણાંભંડોળની જાણ હોય છે. પોતાના બૅન્કઍકાઉન્ટમાં બૅલેન્સ કેટલું છે તેની જાણ હોય છે; ચિન્તા રાખે છે કે એ કેમ વધે, નિત્ય વધ્યા જ કરે, ઘટે નહીં, ઘટે જ નહીં. પણ પોતાના શબ્દભંડોળ વિશે એ ભાગ્યે જ કશું જાણતો હોય છે, વિચારવાનો તો સવાલ જ કેવો.

એટલે એ એક-ના-એક શબ્દો જ વાપર્યા કરે છે. કેટલાક લેખકો પણ એક જ ફકરામાં એ-નો-એ શબ્દ વાપરતાં ખચકાતા નથી. ભાષકોની એ માનસિકતા સમજવા જેવી છે. કેટલાક લોકો હરખમાં આવી જઈને, સવિશેષે, દીકરા-દીકરીના લગ્નની આસપાસ, ઘણા પૈસા વાપરી નાખે છે, ત્યારે કોઈ કોઈના અવાજ બેસી જાય છે કેમ કે ઘાંઘા થઈને એમણે એ-ના-એ શબ્દો વડે ઘાંટા પાડ્યા હોય છે. આગળના સમયમાં, ધોતી-ઝભ્ભામાં અને માથે ટોપીવાળો કોઇ શૅઅરબજારિયો એટલું તો બરાડતો હોય કે એને ભાન જ ન રહે કે એક મિનિટમાં પોતે કેટલા શબ્દો બોલી ગયો – એમાં કેટલા ય શબ્દો ભચડાઈ ગયા હોય ! આથી ઊલટું પણ જોવા મળે છે. કેટલા ય ભણેલા-ગણેલાઓ ‘પેલું શું ક્હૅવાય, પેલું’ કરીને અટકી પડતા હોય છે, ને વાક્ય માંડ પૂરું કરતા હોય છે. કો’કને આપણે ઓછાબોલો કહેતા હોઈએ છીએ, ચીડ ચડે તો મીંઢો ને ચીડ વધારે ચડે તો મૅંઢો કહેતા હોઈએ છીએ.

એના એવા ભાષિક વર્તનનું એક કારણ તો એ છે કે એની પાસે ઝાઝું મોટું શબ્દભંડોળ નથી. ચતુરાઈને કારણે ઓછું બોલતા હોય એ આમાં અપવાદ ગણાય.

આ બધી વાતો ઉપરાન્તની એક સંલગ્ન વાત કરવી છે :

વિશ્વમાં ભાષાઓ શીખવા માટેની એટલી બધી ઍપ્સ શરૂ થઈ છે કે વિદ્વાનો એને ‘ગોલ્ડન એજ ઑફ લૅન્ગ્વેજ લર્નિન્ગ ઍપ્સ’ કહે છે. કેટલાંક નામો ઘણા સમયથી ખાસ્સાં ચલણમાં છે : ‘ડ્યુઓલિન્ગો’. ‘મૅમરાઈઝ’. ‘બાબેલ’. તમે ‘ડ્યુઓલિન્ગો’ ખોલશો તો જણાવશે – અમે હિન્દી સ્પૅનિશ અરેબિક ગ્રીક આઇરિશ કે ડેનિશ વગેરે અનેક ભાષાઓ શીખવીએ છીએ. ‘બાબેલ’ કે ‘મૅમરાઇઝ’ પણ ડઝનેક ભાષાઓ શીખવે છે. આ દરેકના લર્નર્સની સંખ્યા અમુક મિલિયન્સથી ઓછી નથી.

શબ્દભંડોળના ઘડતર અને વિકાસ માટેની ઍપ્પ છે, ‘ડ્રૉપ્સ’. ‘ડ્રૉપ્સ’-ના લર્નર્સ છે ૩૫+મિલિયન્સ. ‘લર્ન ફ્રી …’ કહીને બોલાવે, પણ પછી ફી માગે. ‘ડ્રૉપ્સ’-ની માસિક ફી ૧૩ યુ.ઍસ. ડૉલર, વાર્ષિક ૮૯.૯૯ અને, કોઈ આજીવન ઠોઠ નિશાળિયો હોય તો તેને માટેની ફી ૧૫૯.૯૯. સામાન્યપણે આ કંઈ બહુ મોટી રકમો નથી. જો કે આ મુદ્દો અહીં જ પૂરો કરતાં કહું કે આમાંની ય એક પણ ઍપ્પ ગુજરાતી નથી શીખવતી.

પણ ભલા, ભાષિક વાતાવરણમાં રહેવાથી ભાષા સીધી જ આવડતી હોય છે. એ હકીકતના અનુમોદનમાં એટલું જ કહેવું રહે કે ગુજરાત પોતે જ સરળતાથી ઉપલબ્ધ એવી બહુ મોટી ઍપ્પ છે ! આપણ સૌ ગુજ્જુભાઈઓને ગમે એવું એમાં એ છે કે એ ફ્રી છે ! એ વાતાવરણમાં ચોખ્ખું ગુજરાતી બોલતા અને લખતા હોય એમને સાંભળવાની અને વાંચવાની ટેવ પાડવાથી ઘણો લાભ થશે, કેમ કે એ મોટું ઔષધ છે.

અને શબ્દભંડોળ તો આમ જ વધી જશે. ગુજરાતીના સારા પ્રૉફેસરને રોજ સાંભળવાને કારણે વિદ્યાર્થી કે વિદ્યાર્થિની બોલતાં થઈ જાય છે : પપ્પા, તમે મુદ્દાને ‘સંકુલ’ ન બનાવો, ‘સુસ્પષ્ટ’ વાત કરો તો મને ‘પ્રતીતિ’ થાય. નહિતર એણે આટલું જ કહ્યું હોત : પપ્પા, સીધું ક્હૉ તો હમ્જાય.

વિદ્યાર્થી કે વિદ્યાર્થિની લખતાં પણ થઈ જાય છે : તેઓ આપણા ‘સર્વશ્રેષ્ઠ’ કવિ છે. એમની કવિતામાં, ‘સંયમ’ ’ગામ્ભીર્ય’ અને ‘ઘનતા’-ના ગુણ ‘પ્રાધાન્ય’ ભોગવે છે. એમની કાવ્યસૃષ્ટિમાં ‘સવિશેષ’ કૃતિઓ નથી છતાં એ સૃષ્ટિ ‘સુશ્લિષ્ટ’ અને ‘રસાનુભવકારી’ છે. બને કે આવા લાક્ષણિક શબ્દો વાપરતાં વાપરતાં એ ‘વિદ્વાન’ થઈ જાય.

જો કે એની ‘એવી’ વિદ્વત્તા જુદી જ ચિન્તાનો વિષય પણ બને.

કેમ કે એ ‘વિદ્વાન’-ને બધા એક દિવસ ભલે ‘મહાન’ ગણે પણ એનું શબ્દભંડોળ ઠિંગરાઈ ગયું હોય કેમ કે એની મતિ ભાષાના એ ઓરડામાં કૅદ થઈ ગઈ હોય અને એ એવા અને એટલા જ શબ્દોનો ગુલામ બની ગયો હોય.

બીજા શબ્દોમાં કહેવાય કે એની ‘સંકેતપરક સ્વતન્ત્રતા’ નષ્ટ થઈ ગઇ હોય – સૅમિયોટિક ફ્રીડમ. એ ફ્રીડમની વાત હવે પછી.

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈમ્પિરિયલ કનેક્શન

ભદ્રા વડગામા|Diaspora - Features|2 January 2023

માતાના મૃત્યુ પછી છ મહિને કચવાતા મને હેલન તેમનું માળિયું સાફ કરવા ગઈ. ધૂળ ચોટેલા પૂઠાનાં ખોખાંથી ભરેલું, મોટાંમોટાં લાકડાનાં પાટિયાથી બનેલું માળિયું હતું તે કરતાં નાનું લાગતું હતું. જાણે સ્મશાનમાં વેરવિખેર પડેલી ઠાઠડીઓ કરોળિયાનાં જાળાં વચ્ચે જેમતેમ તરછોડાયેલી પડી હોય એવું લાગતું હતું.

“દેખવું નહીં ને દાઝવું નહીં! કેટલું તથ્ય છે આ કહેવતમાં!” હેલને વિચાર્યું. “સમજી શકું છું કે માએ પોતાની પ્રિય વસ્તુઓને ફેંકી દેવાનું આમ જ ટાળ્યું હશે. ખેર, હવે એ બાબત પર અફસોસ કરવા કરતાં લાગી જા કામે, બહેન!” હેલને પોતાને સંબોધતાં વિચાર્યું.

ત્યાં તો તેની નજર ખોખાંની નીચે અડધી દબાઈ ગયેલી એક ઘઉંવર્ણી ચામડાની પેટી પર પડી. તેનો થોડો ભાગ જોઈ શકાતો હતો. હેલને મહેનત કરી તેને એક ભારી ખોખાની નીચેથી ખેંચી કાઢી.

‘’આમાં કંઈક સરસ હોવું જોઈએ!’’ વિચારતાં, આમે ય તેને માળિયાં સાફ કરવાનું કામ ગમતું નહોતું, એટલે બધું પડતું મૂકી હેલન પેટી લઈ નીચે ઊતરી. પેટી કોઈ અમલદારી ફાઈલો મૂકાય એનાથી થોડી મોટી હતી. તેના ચાર ખૂણે સ્ટીલની પટ્ટીઓ હતી. ધ્યાનથી જોતાં લોકની બાજુમાં પિત્તળની એક તકતી પર હેલને કંઈ લખેલું જોયું. કપડાના ટુકડાથી ઘસીને જોયું તો એના પર લખ્યું હતું :

Maria Pereira

26 King Edward’s Road

Hackney

London E9

“હમ્…! પરૈરા! આ તો પોર્ટુગીઝ નામ છે. મને ખબર નહીં કે મારી માનું કોઈ પોર્ટુગીઝ સગું હતું.” હેલનની વિચારમાળા ચાલતી રહી.

હેલન તેની માના વિશાળ દિવાનખાનાના સુંદર સુંવાળા ગાલીચા પર ગોઠવાઈ. ઘરમાં કોઈ હતું નહીં અને તેની સ્મશાનવત શાંતિથી થોડી ખમચાઈને હેલને ધ્રૂજતે હાથે તેના માથાની પીનથી લોક ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ વર્ષોથી કટાઈને પડેલા લોકે હેલનની કૂનેહભરી આંગળીઓને સાથ ન આપ્યો. એમ કંઈ નાસીપાસ થવાય? તરત જઈને તેના ડેડીના ટૂલબોક્સમાંથી હેલન લુબ્રીકન્ટ સ્પ્રે લઈ આવી. તેણે લોકના કાણાંમાં સ્પ્રે નાખ્યું અને નાની હથોડી બન્ને લોક પર હળવેથી મારી. તેણે ફરી એકવાર પીન વાપરી જોઈ અને આ વખતે પેટી ખૂલી ગઈ.

“હાશ!” હેલન ખુશ થતાં બોલી.

ટિશ્યુ પેપર જેવા કાગળમાં વીંટેલું કપડાં જેવું કંઈક પેટીમાં ખૂબ ચોક્કસાઈથી ગોઠવેલું હતું. કાગળ થોડો પીળો પડી ગયો હતો. હેલને ખૂબ કાળજીથી કાગળને ખોલ્યો અને કુતૂહલતાથી એમાં પડેલાં કપડાંને થોડીવાર સુધી જોયા કર્યું. ત્રણ કપડાં હતાં. ધીમેથી ત્રણે ય વસ્ત્રોને એણે ગાલીચા પર અલગ અલગ મૂક્યાં. એક હતી કાળી ભરેલી કોર વાળી પાતળા મલમલની સફેદ સૂતરાઉ સાડી. સાડીની ગડી વાળી હતી ત્યાં પીળી લીટીઓ દેખાતી હતી, પણ ક્યાંયથી ફાટેલી નહોતી. બીજી વસ્તુ હતી, જાડા અમેરિકન સૂતરની બનેલી નાળાવાળી સફેદ ઘાઘરી, અને ત્રીજી વસ્તુ હતી કાળું લાંબી બાંય અને ગળા સુધીનાં બટનવાળું પોલકું.

“એક પોર્ટુગીઝ સ્ત્રીએ આ ઇન્ડિયન કપડાં આટલાં જતનથી કેમ સાંચવી રાખ્યાં હશે?” હેલનને કૌતુક થયું. “શું મારીઆ ઇન્ડિયન હોઈ શકે?”

હેલનને એટલી તો ખબર હતી કે પોર્ટુગલનાં લોકો ઉપરાંત ઇન્ડિયાના પશ્ચિમ કિનારે પોર્ટુગીઝ સત્તા હેઠળ આવેલા ગોવાના લોકોએ પણ પોર્ટુગીઝ નામો અપનાવી લીધાં હતાં.

“એટલે કાં તો મારીઆના કુટુંબને ક્રિશ્ચિયન પાદરીએ આ નામ આપ્યું હશે, કાં તો એ કોઈ ગોરા પોર્ટુગીઝ પુરુષને પરણી હશે!” હેલનની વિચારમાળા સતત ચાલતી રહી. આ કોયડો ઉકેલવા માટે હેલન વધુ નિશ્ચિત બની.

હેલનને કોઈએ કહ્યું નહોતું કે એનું કોઈ વંશજ ઇન્ડિયન હતું, પણ હા, એ ઇંગ્લિશ હોવા છતાં પોર્ટુગીઝ લોકોની જેમ કેથોલિક હતી. તો શું મારીઆ એની વડ-નાની હતી? માબાપ તો ગુજરી ગયાં હતાં; નાનો ભાઈ કંઈ જાણતો હોય તેવી શક્યતા નહોતી, તો હવે પૂછવું કોને?

હેલને માળિયામાંથી મળેલી પેટીની વાત તેના પતિ હેરીને કહી, પણ તેણે ખાસ રસ ન બતાડ્યો, પણ જો હેલન ઈચ્છતી હોય તો વધુ શોધખોળ કરે એ એને ઉચિત લાગ્યું.

હવે હેલનને જ્યાં સુધી આ કોયડો ઉકેલાય નહીં ત્યાં સુધી ચેન પડવાનું નહોતું. એ તો ક્રોયડનથી છેક હેકની જઈ 26 King Edward’s Road પર પહોંચી ગઈ. તેના કમનસીબે જ્યાં નંબર ૨૬ હોવો જોઈએ ત્યાં ફ્લેટ્સ બંધાઈ ગયાં હતાં. આટલે દૂર આવ્યા પછી ખાલી હાથે પાછા વળવું હેલનના માનસમાં નહોતું. પૂછપાછ કરતી એ તો પહોંચી હેકનીની સ્થાનિક ઇતિહાસ લાઈબ્રેરી અને મ્યુઝિયમમાં. ત્યાંનો લાઈબ્રેરિયન એટિયેન જોન્સ હેલને ધાર્યા કરતાં વધુ મદદગાર નીવડ્યો.

“26 King Edward’s Road પર હાલ ફ્લેટ્સ છે, પણ પહેલાં ત્યાં શું હતું?” હેલને પૂછ્યું.

“તમે કોઈ ખાસ સાલની વાત કરોછો?”

“મને ખબર નથી પણ મારી મૃત માતાના માળિયામાંથી મને મળેલી આ પેટી પર આ તકતી છે. કોઈ તારીખ હોય તો મને ખબર નથી.” એટિયનને સાથે લાવેલી પેટી દેખાડતાં હેલને કહ્યું.

“અરે, વાહ! પેટી સાથે લાવ્યાં એ બહુ સારું કર્યું.” એટિયન વ્યવસાયિક કુતૂહલતા સાથે સ્મિત કરતાં બોલ્યો.

એટિયને પેટી ઊંધી ઉથલાવીને જોયું તો ચામડાની એક તકતી પર લખેલું હતું : Bears Legend GWH & Co. Ltd. 1920.

હવે હેલનની ઉત્સુકતા વધવા લાગી.

“મારી પાસે ૧૯૨૦ Kelly’s Street Directory છે, એમાં જોઈએ.”

હેલન પણ સાથે જોડાઈ.

“મળી ગયું.” હજુ એટિયન કંઈ બોલે તે પહેલાં હેલન જોરથી બોલી ઊઠી.

“આયાઝ હોમ!” હેલન અને એટિયન બન્નેએ મોટેથી વાંચ્યું.

“આયાઝ? આ આયાઝ કોણ હતી?” હેલને પૂછ્યું.

“ઇન્ડિયાના બ્રિટિશ શાસન દરમિયાન ઘણાં અંગ્રેજ કુટુંબો ઇન્ડિયા અને બ્રિટન વચ્ચે સ્ટીમરથી મુસાફરી કરતાં. મુસાફરી લાંબી હોવાથી સ્ટીમરમાં એમનાં બાળકોની દેખભાળ માટે તેઓ પગારદાર ઇન્ડિયન બાઈઓને સાથે લાવતાં. એમને આયા તરીકે બોલાવવામાં આવતી.” એટિયને સમજણ પાડી.

વધુ શોધ કરતાં એટિયને જોયું તો ૧૯૨૧ની Kelly’s Directoryમાં ૨૬ નંબરની નોંધ નહોતી.

“ચાલો, આપણે આ વિસ્તારના નકશાઓમાં જોઈએ કે તે પહેલાં ક્યાં સુધી ૨૬ નંબરનું મકાન હતું.”

પાછળનાં ઘણાં વર્ષો સુધી ૨૬ નંબર નકશાઓમાં હતો.

“પણ જો આયાઓ નોકરિયાત બાઈઓ હતી તો એ થોડી લંડનમાં ઘર લઈ શકવાની હતી? એ તો ભાડે જ રહેતી હશે ને? પણ તો કોઈ માલિક એને ‘આયાઝ હોમ’ એવું નામ કેવી રીતે આપે?”

હવે એટિયનને પણ આ વિષયમાં રસ પડવા લાગ્યો. મોટા ભાગે ઐતિહાસિક રીસર્ચ કરવાવાળાંને એ માંગે તે સામગ્રી પૂરી પાડવાનું કામ એ કરતો, તો ક્યારેક વળી ક્યાં શોધવું એની સલાહ એ આપતો. આ રીતની અંગત શોધખોળ કરવાવાળું હેકનીમાંથી ભાગ્યે જ કોઈ આવતું.

“તો પછી આ મકાનનો માલિક કોણ હતો?” એટિયનને આ શોધવા માટે સમયની જરૂરત હતી. એ વખતે હજુ ઈન્ટરનેટ એટલું વિકસીત નહોતું કે બધા જવાબ તરત મળી જાય.

“તમે એમ કરો,” એણે હેલનને કહ્યું, “હું બનતી મહેનત કરી શક્ય હશે તેટલી માહિતી એકઠી કરી તમને ફોન કરી, મળવાનું રાખીશ. પણ એક વાત પૂછું?”

“ચોક્કસ, બોલો.” સ્મિત સહિત હેલને કહ્યું.

“આ પેટી મારા મ્યુઝિયમાં મૂકવા માટે આપશો? વાજબી ભાવ નક્કી કરશું.”

“મને એની કિંમત નથી જોઈતી, આ પેટી તમારી, જો તમે મને મારીઆ પરૈરા કોણ હતી એ શોધી આપશો તો!”

“કબૂલ,” હસતાં હસતાં એટિયને કહ્યું અને બે દિવસનો વાયદો લઈ હેલને વિદાય લીધી.

આ બે દિવસો હેલનને બે મહિના જેવડા લાગ્યા. એના મનમાં જાતજાતના વિચારો ઘર કરી બેઠા. “શું ખરેખર મારામાં ઇન્ડિયન લોહી વહેતું હશે?” તેને તેનાં ચિબાવલાં સાસુમા યાદ આવ્યાં. ઓક્સ્ફર્ડ યુનિવર્સિટીનો ગ્રેડ્યુએટ એમનો દીકરો પોલિટેકનિકના ડિપ્લોમાવાળી છોકરીને પરણ્યો હતો તે તેમને ગમ્યું નહોતું, અને હવે જો એમને જાણ થશે કે મારામાં ઇન્ડિયન લોહી વહી રહ્યું છે તો તો તેમને શું ને શું થઈ જશે! અને એમાં જો મને બ્રાઉન સ્કિનવાળું બાળક જન્મ્યું તો? સાસુમાની હાલતના વિચાર માત્રથી હેલન હસી પડી.

પણ પછી એ પોતાની અંદર રહેલી ગડમથલનો વિચાર કરવા લાગી.

“મારાં એક પૂર્વજ ઇન્ડિયન હતાં તેની અસર મારા પર કેવી પડશે? શું હું મારીઆનાં સગાંને શોધવા ઇન્ડિયા જઈશ? ખરેખર મજા પડશે. પણ મારો ભાઈ તો એમ કરતાં મને રોકવાનો જ એની મને ખાતરી છે, અને હેરી તો સાવ તટસ્થ બની કહેશે, ‘તને ઠીક લાગે તેમ કર.’ મારા પર આ વાતની કેટલી ઊંડી અસર પડવાની એ બાબતથી એ સાવ અસાવધ જ રહેશે.

ત્યાં તો એટિયનનો ફોન આવ્યો કે તેને વધુ માહિતી મળી છે એટલે હેલને તેને મળવું.

ખૂબ ઉત્સુકતાથી હેલન હેકની પહોંચી.

“આ આયાઝ હોમના માલિક હતા London City Mission”, એટિયને હેલનને એ મિશનનું એક મેગેઝિન આપ્યું. ૧૯૨૨ની એ કોપીમાં Ayah’s and Amah’s Home શિર્ષક હેઠળ લખેલો લેખ હતો.

એ લેખનું પાનું ખોલતાં પહેલાં હેલનનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો; એક અજાણી બીકે એ ધબકાઈ ગઈ હતી. A.C. Marshallનો લખેલો લેખ એ ધ્રૂજતે હાથે પકડીને વાંચી રહી. મિસીસ એન્થની પેરૈરાનો એમાં ઉલ્લેખ હતો. “શું મિસીસ પેરૈરા એ જ મારીઆ હશે?” હેલનની ઉત્સુક્તા વધતી જતી હતી. લેખમાં મિસીસ પેરૈરાને એક અતિ કાબેલિયત અને વિશ્વાસપાત્ર આયા તરીકે વર્ણવી હતી. એ ફક્ત બાળકોની જ નહીં, પણ મેમસાબની તેમ જ તેમનાં પેટીપટારાંની પણ સંભાળ લેવામાં નિષ્ણાત હતી.

એનું વર્ણન લેખકે આ રીતે કર્યું હતું : એ જરા શ્યામ વર્ણની હતી અને એની ચામડી ઝાડ પરથી ખરી પડી, ચીમડાઈ ગયેલાં સફરજન જેવી કરચલીઓવાળી હતી. એના ચહેરા પર સ્મિત છવાયેલું રહેતું. આત્મવિશ્વાસની દૃઢતા મોઢા પર હોવા છતાં ય એના વ્યક્તિત્વમાં એની કોમળતા અને માતૃત્વ ભાવના પરખાઈ આવતાં હતાં. એ ધીમા મીઠા અવાજે બોલતી હતી. એની નાની કાળી આંખોમાં એની માનસિક ચતુરાઈ ડોકિયાં કરતી હતી. એણે ઓછામાં ઓછી ૫૪ વાર ઇન્ડિયા અને બ્રિટન વચ્ચેની તોફાની દરિયાઈ મુસાફરી કરી હતી. એની પાસપોર્ટ પ્રમાણે એ વિધવા હતી. સોળ વર્ષની ઉંમરે એ પરણી હતી અને અત્યાર સુધીમાં ઘણાં છોકરાંની દાદી/નાની હતી.

“૫૪ વાર?” હેલને એટિયનને પૂછ્યું, “એ શક્ય છે?”

“હા, આ જુઓ,” રોઝિના વિસરામનું Asians in Britain : 400 years of historyના પુસ્તકમાં લખેલા આયા વિશેના વર્ણન તરફ અંગૂલીનિર્દેશ કરતાં એટિયને કહ્યું.

“આ આયાઓમાં કોઈક કુંવારી છોકરીઓ હતી, તો કોઈક પરણેલી, વળી કોઈક તો પોતાનાં બાળકોને દાદી પાસે છોડી પૈસા ખાતર આ નોકરી સ્વીકારી લેતી. અને હેલન, કોઈક તો દાદીમા પણ હતી.”

“પણ મને સમજાતું નથી કે તેમને રહેવા માટે આયાઝ હોમની જરૂર કેમ પડી હશે? તેમનાં શેઠશેઠાણી સાથે એ કેમ નહોતી રહેતી?”

“આ આયાઓનો કોન્ટ્રાક્ટ એક મુસાફરી પૂરતો જ હતો, તેમને પાછાં મોકલવા માટે એના શેઠ બંધાયેલા નહોતા.”

“ખરેખર? એ તો કેટલું ગેરવાજબી ગણાય!”

“હાસ્તો ને! એટલે જ અમુક બિચારીઓ પાસે પાસે જ્યારે પાછા જવા માટે પૂરતા પૈસા ન હોય અને એમને ઈંગ્લન્ડથી ઇન્ડિયા જતાં કુટુંબ સાથે પાછા જવાની નોકરી ન મળે ત્યારે અહીં ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં નજીવા પગારે ‘વર્કહાઉસીઝ’માં તેઓ કામે લાગી જતી અને આ રીતે ગરીબાઈમાં તેમને બ્રિટનમાં થોડાં વર્ષો કાઢી નાખવાં પણ પડતાં.

આવી સ્ત્રીઓની દુર્દશા જોઈને જ લંડન સિટી મિશને આયાઓ માટે ૨૬ King Edward’s Road પરનું એક મોટું મકાન ખરીદી લીધું અને તેમાં ૩૦ ઓરડાની સગવડ કરાવી ૧૦૦ આયાઓને રહેવાની જગ્યા બનાવી આપી. આ મકાનમાં ઇન્ડિયન ઉપરાંત જાવા, ચીન અને સિલોનની આયાઓ પણ હતી. મિસીસ પેરૈરાની આવડતને લીધે એને તરત નોકરી મળી જતી હશે એટલે જ એણે ૫૪ જેટલી મુસાફરીઓ કરી હશે.”

હેલને જોયું કે રોઝિનાના પુસ્તકમાં આપેલા ફોટામાં આયાઓેએ પહેરેલાં કપડાં મારીઆની પેટીમાંથી નીકળેલાં કપડાં જેવાં જ હતાં. એને થયું કે કદાચ આયાઓનો આ યુનિફોર્મ હોઈ શકે.

“એટિયન,” આંખોમાં થોડી હતાશા સાથે હેલન બોલી, “મને આયાઓનાં જીવન અને કામ વિશે ઘણું જાણવા મળ્યું પણ આ મારીઆ એ જ મિસીસ એન્થોની પેરૈરા છે એ કેવી રીતે સાબિત કરશું?”

“એક શક્યતા છે. જો મિસીસ પેરૈરા અહીં મૃત્યુ પામી હશે તો કદાચ એના મૃત્યુની નોંધ King Edward’s Road પર આવેલા St. John the Baptist Roman Catholic Churchમાં હોય પણ ખરી. હું ફોન કરી પૂછી જોઉં છું કે જો ત્યાંના વિકર આપણને મળી અને મરણનોંધો બતાવી શકે તો આજે બપોરે જ ત્યાં જઈ આવીએ.”

એટિયનને પણ હવે આ કોયડો ઉકેલવામાં રસ પડ્યો હતો. આખરે ઐતિહાસિક બાબતોની શોધખોળ જ એનો વ્યવસાય હતો.

લન્ચ લઈ બન્ને પહોંચ્યાં ચર્ચમાં. ભાગ્યજોગે વિકર ત્યાં હાજર હતા.

“તમને કયા વર્ષની નોંધો જોવી છે?” વિકરે પૂછ્યું.

હેલન અને એટિયન એકબીજા સામું જોઈને એકસાથે બોલી ઊઠ્યાં, “એ જ અમને નથી ખબર.”

“એમ કરો, ૧૯૨૦ની સાલથી શરૂ થતી નોંધો અમને આપો. અમે દશેક વર્ષની નોંધો જોઈ લઈશું.” એટિયને કહ્યું.

પછી બન્ને મંડી પડ્યાં. બપોર પૂરી થવા આવી હતી અને દશ વર્ષની નોંધોમાં ક્યાં ય મારીઆ પેરૈરા ન મળી.

“હવે શું કરવું છે?” એટિયને હેલનને પૂછ્યું.

“થોડાં બેચાર વર્ષની નોંધો જોઈ કાઢીએ?” હેલને સામો પ્રશ્ન કર્યો.

“ભલે.”

થોડી વાર પછી એટિયનનો ઉત્સાહભર્યો અવાજ સંભળાયો. “હેલન, અહીં આવો, જુઓ મને શું જડ્યું!”

ડિસેમ્બર, ૧૨, ૧૯૩૨ની નોંધ હેઠળ લખ્યું હતું :

સદ્ગત વ્યક્તિનું નામ : મારીઆ – સદ્ગત શ્રી એન્થોની પેરૈરાની પત્ની

મૃત્યુનું કારણ : ન્યૂમોનિયા

સરનામું : 26 King Edward’s Road, Hackney, London E9.

બાળકો : એન્થોની (જુનિયર), જોન, ટેરેઝા, લિલિયન, વિલિયમ, ફિલિપ.

“ઓહ માય ગોડ!” હેલન ચિત્કારી ઊઠી. “લિલિયન તો મારી નાનીમાનું નામ હતું.”

વિકરનો આભાર માની બન્ને બહાર નીકળ્યાં.

“એટિયન,” ગળગળા અવાજે હેલન બોલી, “તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે! તમે તો મારા જીવનની રાહ બદલવામાં નિમિતરૂપ બન્યા છો. આ મહેનતનો કર હું ક્યારે ય ચૂકવી શકીશ નહીં.”

“પણ હું જાણું છું બદલો કેમ વાળી શકો છો!” હેલનના હાથમાં પકડેલી પેટી પર નજર નાખતાં હસતાં હસતાં એટિયને કહ્યું.

“અરે, હું તો સાવ ભૂલી ગઈ હતી. લો આ પેટી, અને મારાં વડ-નાનીમાનું યુનિફોર્મ પણ એમાં છે.”

ઘેર પાછાં વળતાં વળતાં હેલનનું મન વિચારોના વમળમાં ભમ્યા કર્યું. એક આખી નવી દુનિયા એના માટે ખુલ્લી ગઈ હતી.

“શું હું એમાં ઘૂમી શકીશ?” અને મનોમન ખુશ થતી એ હસી પડી.

૨૯/૦૮/૨૦૨૦
e.mail : bv0245@googlemail.com

Loading

...102030...1,1471,1481,1491,150...1,1601,1701,180...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved