Opinion Magazine
Number of visits: 9458224
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Olympics 2036: શું ભારતથી વૈશ્વિક સ્તરે ‘સોફ્ટ પાવર’ની મજબૂતાઇ બતાડી શકાશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 January 2023

ગયા વર્ષના અંતમાં આપણા ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે નિવેદન આપ્યું કે 2036માં ભારત ઑલિમ્પિકના આયોજન માટે તૈયાર છે અને એક રાષ્ટ્ર તરીકે આપણા દેશ તરફથી ઑલિમ્પિક માટેની યજમાનીની બોલી લગાડવા અંગે ગંભીરતાથી વિચાર કરાઇ રહ્યો છે. અમદાવાદથી સ્ટેચ્યુ ઑફ યુનિટી સુધી ઑલિમ્પિક સર્કિટ બનાવવાની વાતો પણ થઇ રહી છે. ખેલ-કૂદ કોઇ પણ રાષ્ટ્ર માટે સત્તા દર્શાવવાનું એક બહુ અગત્યનું માધ્યમ છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઇ પણ રાષ્ટ્ર ખેલકૂદ ક્ષેત્રે પોતાની કેવી અને કેટલી શક્તિ, યોગદાન, આવડત દર્શાવે છે તે હંમેશાંથી અગત્યનું રહ્યું છે.

ઇતિહાસની વાત કરીએ તો જે ગ્રીસમાંથી ઑલિમ્પિક્સની શરૂઆત થઇ ત્યાં ગ્રીક શાસકો અને પ્રજા એમ માનતાં કે પોતે ખેલ-કૂદમાં આટલા આગળ પડતાં છે તે તેમને એ લોકોથી જુદાં પાડે છે જેઓ ગ્રીક્સ નથી; વળી માત્ર ગ્રીક નાગરિકોને જ આ ખેલ-કૂદમાં ભાગ લેવા દેવાતો. વળી સ્પેનિશ સંસ્કૃતિનો અનિવાર્ય ભાગ ગણાતી બુલ ફાઇટ્સ છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકારણના રંગે પણ રંગાઇ છે કારણ કે તેને રાજકીય પ્રતીક ગણીને જમણેરી અને ડાબેરી રાજકરાણીઓએ શિંગડા અફાળ્યા છે.

કોઇ પણ રાષ્ટ્ર માટે કોઇ પણ સમાજ માટે ખેલ-કૂદ હંમેશાંથી બહુ જ અગત્યનો હિસ્સો રહ્યો છે. વિશ્વમાં ખેલાતી 8,000થી વધુ જાતની રમતોમાંથી ભારતમાં તો બહુ જ ઓછી રમતો પ્રચલિત થઇ છે. કેટલીક ભારતમાં જ શોધાઇ તો કેટલીક બીજા દેશોના પ્રભાવમાં ભારતમાં પ્રચલિત થઇ. હાલમાં તો ક્રિકેટ ભારત માટે એક ખેલ નથી બલકે ધર્મ છે એમ કહીએ તો ય ચાલે. પરંતુ ભારતમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે બીજી રમતોમાં સારું એવું કાઠું કાઢ્યું છે.

ખેલ-કૂદ કોઇ પણ રાષ્ટ્ર માટે સોફ્ટ પાવર સ્ટ્રટેજીનાં માધ્યમ તરીકેનું કામ કરે છે. છેલ્લા બે દાયકામાં ઘણી એશિયન સત્તાઓએ પોતાના અર્થતંત્ર, સંસ્કૃતિ-સમાજ વગેરેને વૈશ્વિક ફલક મુકવા માટે સોફ્ટ પાવરના માધ્યમનો ઉપયોગ કર્યો છે અને આમ કરી તેઓ પોતાના રાષ્ટ્રની શ્રેષ્ઠ શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા છે.

તમે નોંધ્યું હશે કે જાપાનિઝ માર્શલ આર્ટથી માંડીને જાપાનિઝ ખાણાંની ચર્ચા આપણે માટે સામાન્ય બની છે. શું એ અચાનક થયું છે? આમ થવા પાછળ સારી પેઠે વિચારાયેલી યોજનાઓએ કામ કર્યું છે અને જાપાને પોતાની પાંખો એ રીતે વિસ્તારી છે. જાપાને બખૂબી ખેલકૂદને પોતાના સોફ્ટ પાવરની સિદ્ધિ બનાવી છે અને એ માટે 2019માં યોજાયેલ રગ્બી વર્લ્ડ કપ, 1964 અને 2020માં ટોક્યો ઑલિમ્પિક ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેટ્ન્ટ્સનું પણ જાપાને આયોજન કર્યું.

હવે આપણા દેશ તરફ પાછા વળીએ તો સરકારની નીતિમાં ભારતને ખેલ પ્રેમી રાષ્ટ્ર તરીકેની ઓળખની ધાર કાઢવા પર આયોજન બદ્ધ રીતે કામ થઇ રહ્યું છે. એક સમયે હૉકીમાં ભારતનું નામ હતું જે 60ના દાયકા પછી ઝાંખું પડ્યું તો એકલ દોકલ પદક પછી લગભગ 1996 સુધી ઑલિમ્પિક્સમાં ભારતે કંઇ ખાસ નહોતું ઉકાળ્યું. ઑલિમ્પિક્સમાં ભારતના દેખાવમાં બે ભાગ હતા 1980 પહેલા ફિલ્ડ હૉકીમાં પુરુષોની ટીમનો દેખાવ હતો તો 1996 પછી ભારતીયોએ ટેનિસ, બેડમિન્ટન, શૂટિંગ, રેસલિંગ અને બૉક્સિંગમાં કાઠું કાઢ્યું વળી મહિલા ખેલાડીઓનો દબદબો પણ દેખાયો. આનું કારણ હતું કે અર્થતંત્ર બહેતર બનવાથી ખેલાડીઓને સારી સ્પોન્સરશિપ મળવા લાગી અને કેબલ ટી.વી.એ બીજા ખેલો અંગે ઉત્સુકતા પેદા કરી.

શું ભારત 2036માં ઑલિમ્પિક્સના યજમાન દેશ તરીકે તૈયાર છે ખરો? ઑલિમ્પિક્સનું આયોજન અધધધ ખર્ચાળ હોય છે, 2004ના ઑલિમ્પિક્સ પછી ગ્રીસે તો નાદારી નોંધાવવી પડી. અત્યારે એમ છે કે ઊંચી કિંમતોને કારણે ઑલિમ્પિક્સ યોજવા માગતા હોય એવા દેશો પણ ઓછા છે અને આ સંજોગોમાં ભારતને આ મોકો મળવાની શક્યતા વધી જાય છે. ભારતે વિચારવું રહ્યું કે દિલ્હીને બદલે અમદાવાદમાં આ આયોજન આર્થિક રીતે કેટલું ફાયદાકારક રહેશે કારણ કે દિલ્હીમાં એશિયન અને બાદમાં કોમનવેલ્થ ખેલ મહોત્સવ થયા છે તો ત્યાં અમુક માળખાકીય સુવિધાઓ છે જ.

ઑલિમ્પિક યોજનારા દેશોને આંતરાષ્ટ્રીય સ્તરે પદ વધશેથી માંડીને ટુરિઝમને વેગ મળશેની આશા હોય છે પણ છેલ્લા પાંચ દાયકામાં જે શહેરોમાં ઓલિમ્પિક્સ યોજાઇ છે, ત્યાં અર્થતંત્ર પર બોજ આવ્યો છે. જેમ કે 1976માં મોન્ટ્રિએલ ગેમ્સ પછી તેના દેવામાંથી બહાર આવવામાં તેને 3 દાયકા લાગ્યા. તો 2016માં સમર ગેમ્સ જે રિયો ડે જેનેરોમાં થઇ તેમાં 20 બિલિયન ડૉલર્સ ખર્ચો થયો. ઑલિમ્પક્સ યોજવાથી કોઇ દેશ કમાયો છે ખરો? 1984માં લૉસ એન્જલ્સને ટુરિઝમ અને બ્રોડકાસ્ટિંગને પગલે 500 મિલિયન ડૉલર્સ કમાણી થઇ હતી તો સાઉથ કોરિયાને 55 મિલિયન ડૉલર્સની સરપ્લસ મળી પણ મોટા ભાગના ઑલિમ્પિક્સ આયોજનથી રાષ્ટ્રોને આર્થિક તંગી જ વેઠવી પડી છે. આવામાં કોવિડ-19નો ફટકો ઘણાં રાષ્ટ્રોને યજમાન બનવાની હોડમાં જોડાતા રોકશે; એટલે ભારતને આ સ્થિતિનો લાભ મળવાની શક્યતા છે.

ભારતને ઑલિમ્પિક્સના યજમાન થવું હોય તો તેનો ખર્ચો મેનેજ કરવો સૌથી મોટી માથકૂટ હશે. જે માળખાં છે તેની પર જ વધારાનું બાંધકામ કરવું અને નવા ખર્ચા ન કરવાની સ્ટ્રેટેજી ભારતને ફળી શકે છે અને માટે દિલ્હી કદાચ અમદાવાદ કરતાં બહેતર પસંદ સાબિત થઇ શકે.

ભારતમાં તાતાથી માંડીને રિલાયન્સ ફાઉન્ડેશન જેવી કંપનીઝે સ્થાનિક સ્તરે રમાતા ખેલોમાં રોકાણ કર્યું છે. વળી મોટા પાયાના ખેલની વાત કરીએ તો નીતા અંબાણીના પ્રયત્નોથી ઑલિમ્પિક કમિટીની આગલી બેઠક ભારતમાં મુંબઇમાં થવાની છે. યુ.એસ.એ., રશિયા અને ચીન ઉપરાંત યુરોપનાં નોંધનીય અર્થતંત્રોનું ખેલકૂદ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન છે જે તેમની સત્તાને વ્યાખ્યાયિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વળી એશિયાઇ દેશોમાં ભારત અન્ય દેશો કરતાં ઘણો સ્થિર છે જેમ કે અફઘાનિસ્તાન કે પાકિસ્તાનમાં ભલે સૉકર પહોંચે પણ ત્યાં સામાજિક અને આર્થિક પ્રશ્નો આડા આવે તે સ્વાભાવિક છે.

ખેલકૂદમાં રાજકારણ, બિઝનેસ અને મીડિયા ત્રણેયનો સંગમ હોય છે જે એક રીતે વૈશ્વિક સ્તરે સોફ્ટ પાવરનું માધ્યમ બનાવે છે. ભલે બધા દેશો સ્પોર્ટ્સ અવે ફ્રોમ પૉલિટિક્સ વાળી નીતિની વાત કરે પણ જે રીતે અત્યાર સુધી ઑલિમ્પિક્સ ગેમ્સ યોજાઇ છે, જે રીતે અમુક રાજકીય કારણોસર જે તે રાષ્ટ્રમાં ખેલાતા આ મહોત્સવનો બહિષ્કાર પણ થયો છે, તે જ સાબિત કરે છે કે ખેલકૂદને રાજકારણની ચોપાટથી દૂર કરી શકાય તેમ નથી.

બાય ધી વેઃ

ઑલિમ્પિક જેવો મહોત્સવ કોઇ પણ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજને શિસ્તબદ્ધ અને નેતૃત્વના લક્ષણ ધરાવનાર સિદ્ધ કરી શકે છે. આપણે ત્યાં હવે સંજોગો બદલાયા છે પણ છતાં પણ અન્ય દેશોમાં ખેલકૂદ અભ્યાસક્રમનો હિસ્સો હોય છે, ત્યાં સ્પોર્ટ્સ જોવી તેમના સામાન્ય કલ્ચરનો ભાગ છે. આપણાં પી.ટી.ના શિક્ષકોને ભળતી ડ્યૂટીમાં લગાડી દેવાના કિસ્સા પણ બન્યા છે. આપણે ત્યાં સ્કૂલના સ્તરે ખેલકૂદ અંગેના અભિગમની ઝલક ધવલ શુક્લની ગુજરાતી ફિલ્મ ‘મેડલ’માં બહુ સરસ રીતે મળે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જાન્યુઆરી 2023

Loading

લોકસભાની પહેલી ચૂંટણી થઈ નહોતી એટલે બંધારણસભા જ લોકસભા તરીકે કામ કરતી

રમેશ ઓઝા|Opinion - Opinion|8 January 2023

પટણાની વડી અદાલતે જમીનદારોની અમર્યાદિત જમીનની માલિકીના હકને મિલકત ધરાવવાના મૂળભૂત અધિકાર તરીકે ગણાવીને જમીનદારોની તરફેણમાં ચુકાદો આપ્યો એ જોઈને આપણા પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ વ્યથિત થઈને કહ્યું હતું કે આખરે યેનકેન પ્રકારેણ વકીલો આપણાં મહાન બંધારણને આંચકી ગયા.

હવે? હવે એક જ ઉપાય બચતો હતો બંધારણમાં સુધારો કરવાનો. ૧૯૫૧માં બંધારણમાં પહેલો સુધારો કરવામાં આવ્યો હતો. બંધારણમાં સુધારો કરનારા એ લોકો જ હતા જેમણે બંધારણ ઘડ્યું હતું. આનું કારણ એ હતું કે એ સમયે હજુ લોકસભાની પહેલી ચૂંટણી થઇ નહોતી એટલે બંધારણસભા જ લોકસભા તરીકે કામ કરતી હતી, પણ બંધારણ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં આવી ગયું હતું. બંધારણમાં પહેલો સુધારો કરવામાં આવ્યો અને મૂળભૂત અધિકારો અમર્યાદિત નથી, પણ એમાં જરૂરી નિયંત્રણો મૂકી શકાય છે. આગળ જતાં લાંબાં સમયનાં પરિણામો પેદા કરનારી એક હકીકત અહીં નોંધી લેવી જોઇએ. આ સુધારાનો અર્થ એ થયો કે લોકસભા બંધારણની એ જોગવાઈઓ બાબતે પણ સુધારા કરી શકે છે જેને બંધારણ ઘડાનારાઓએ પવિત્ર અને સુરક્ષિત ગણાવી છે. સુરક્ષિત કરનારાઓ અને તેમાં વ્યાપક પ્રજાકીય હિતોને ધ્યાનમાં રાખીને જરૂરી છેદ પાડનારાઓ એક જ હતા. જો વકીલોએ તેમનું ખેપાની દિમાગ વાપરતાં પહેલાં પ્રજાકીય હિતમાં વિવેક વાપર્યો હોત તો આવી સ્થિતિ પેદા ન થઈ હોત. નેહરુના એ શબ્દો પયગંબરી હતા. 

એ પછી ધીરે ધીરે એક ત્રિકોણ રચાયો. શાસકો અને તેમનું સત્તાકીય રાજકારણ, સ્થાપિત હિતોની બ્રીફ પકડીને અદાલતોમાં ગમે તે સ્તરે નીચે ઊતરતા વકીલો અને જેમની પાસે પ્રામાણિકતા અને વિવેકની અપેક્ષા છે એવા જજો. આમાં હુકમનો એકો જજો હતા કારણ કે તેમણે આખરી નિર્ણય કરવાનો હતો. બંધારણને, બંધારણના પ્રાણને અને બંધારણીય ભારતને જજોએ બચાવવાનું હતું અને તેના પર શાસકો અને વકીલો દ્વારા સ્થાપિત હિતોના પ્રહારો શરૂ થયા. અને એમાં એક વાત નોંધી લેવી જોઈએ કે જજો પણ આખરે માટીના બનેલા માનવી છે. કેટલાક વેચાઈ ગયા, કેટલાકે સમાધાનો કર્યા, કેટલાક જજોએ દહીંદૂધમાં પગ રાખવાનું શીર્ષાસન કર્યું અને કેટલાક ટટ્ટાર ઊભા રહ્યા. આ બધું આજે પણ જોવા મળી રહ્યું છે. એનું આખું એક પુસ્તક લખી શકાય (અને લખાયાં પણ છે) એટલો લાંબો ઇતિહાસ છે, પણ માત્ર એમાંથી એક ઘટના નોંધવી જોઈએ. એ શકવર્તી ખટલો હતો અને એનાથી મોટો શકવર્તી ચુકાદો હતો.

૧૯૭૩ની સાલમાં કેશવાનંદ ભારતી કેસ સર્વોચ્ચ અદાલતમાં આવ્યો. સ્વામી કેશવાનંદ નામના કેરળના મઠાધીશે કેરળના જમીનદારી નાબૂદીના કાયદાને અદાલતમાં પડકાર્યો અને છેવટે એ કેસ સર્વોચ્ચ અદાલતમાં આવ્યો. મુદ્દો એ જ હતો; મૂળભૂત અધિકારોનો. શાસકો અને સંસદ મૂળભૂત અધિકારોમાં કાપ મૂકી શકે અથવા તેનું સંકોચન કરી શકે? આ પહેલાં ૧૯૬૭માં ગોલખનાથ કેસમાં સર્વોચ્ચ અદાલતે આગલા દરેક ચૂકાદાઓને ઊલટાવીને બહુમતી ચુકાદો આપ્યો હતો કે સંસદને બંધારણના મૂળભૂત અધિકારોનું સંકોચન કરવાનો અધિકાર નથી. કેશવાનંદ ભારતી કેસ વખતે સર્વોચ્ચ અદાલતે નિર્ણય લીધો કે આ વારંવારની ડાબે-જમણેની યાત્રાનો આખરી અંત લાવવામાં આવે. સર્વોચ્ચ અદાલતના ૧૩ ન્યાયમૂર્તિઓની બંધારણીય બેંચ રચવામાં આવી અને તેની સમક્ષ સતત રોજેરોજ ૬૬ દિવસ સુનાવણી કરવામાં આવી. એમાં પણ ન્યાયમૂર્તિઓ વચ્ચે મતભેદ થયા, પણ સાત ન્યાયમૂર્તિઓએ બહુમતી ચુકાદો આપ્યો એ શકવર્તી હતો. ચુકાદો એવો હતો કે સંસદ બંધારણમાં સુધારા કરવાનો અધિકાર ધરાવે છે, પણ બંધારણનાં મૂળભૂત માળખા(બેઝીક સ્ટ્રક્ચર)માં સુધારા ન કરી શકે. બંધારણનું મૂળભૂત માળખું બંધારણનો, ભારતીય રાષ્ટ્રનો, ભારત નામનાં રાજ્યનો પ્રાણ છે. એમાં ભારતીય નાગરિકોને આપવામાં આવેલો વાયદો છે અને એ વાયદા માટેની તજવીજ છે. વાયદાની પવિત્રતા અને પ્રતિબદ્ધતા જળવાવી જોઈએ.

કઈ બાબતોનો સમાવેશ થાય છે મૂળભૂત માળખામાં? 

૧. પ્રજાસત્તાક સંસદીય લોકતંત્ર.

૨. સેકયુલારિઝમ.

૩. બંધારણની સર્વોપરિતા.

૪. સ્વતંત્ર ન્યાયતંત્ર.

૫. કાયદાનું રાજ.

૬. રાજ્યોનાં અસ્તિત્વને અને અધિકારોને સુરક્ષિત રાખતું સમવાય સંઘ (ફેડરલ ઇન્ડિયા).

૭. રાજ્યની ત્રણ પાંખ (સરકાર – એક્ઝીક્યુટીવ, સંસદ / વિધાનસભા – લેજિસ્લેચર અને ન્યાયતંત્ર – જ્યુડિશિયરી) વચ્ચે સત્તાનું વિભાજન અને સંતુલન. 

૮. સ્વતંત્ર ચૂંટણીતંત્ર. અને

૯. બંધારણમાં રેખાંકિત કરવામાં આવેલા ભારતની અખંડતા.

જે દિવસે આ શકવર્તી ચુકાદો આવ્યો એ જ દિવસે મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એમ. સીકરી નિવૃત્ત થયા અને એ જ દિવસે ઇન્દિરા ગાંધીની સરકારે ત્રણ જજોની સિનિયોરીટીને નકારીને ચોથા ક્રમના જજ એ.એન. રેને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા. જેમની સિનીયોરીટીને નકારવામાં આવી હતી એ ત્રણ જજ; ન્યાયમૂર્તિ શેલત, ન્યાયમૂર્તિ ગ્રોવર અને ન્યાયમૂર્તિ હેગડેએ પોતાનાં આત્મસન્માનને બચાવવા રાજીનામાં આપી દીધા. કહેવાની જરૂર નથી કે જે ત્રણ ન્યાયમૂર્તિઓને દંડવામાં આવ્યા એમણે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો અને જેને મુખ્ય ન્યાયમૂર્તિનું ઇનામ આપવામાં આવ્યું એ ન્યાયમૂર્તિ રેએ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. તાનાશાહ શાસકો અને ગોદી ગલૂડિયાં ત્યારે પણ હતા. ફરક માત્ર પ્રમાણનો છે. પ્રમાણ અલબત્ત ૧૦:૯૦નું છે અને કદાચ એનાથી પણ વધુ છે. આ ઉપરાંત તાનાશાહી વ્યાપક છે, સાર્વત્રિક છે અને મોટા પ્રમાણમાં તો છે જ.

હવે આજે સ્થિતિ એવી છે કે સત્તા છે, પ્રચંડ બહુમતી છે, પ્રજાનું સમર્થન છે, કોઈને પણ ખરીદી શકાય એટલા અઢળક પૈસા છે, ગોદી ગલૂડિયાંઓની ફોજ છે, લોકોને ડરાવનારા-રડાવનારા-ધૂણાવનારા મીડિયા છે એમ બધું જ છે; પણ પેલો બેઝીક સ્ટ્રક્ચરવાળો ચુકાદો આડો આવે છે. એક સાબૂત કરોડરજ્જુવાળો ટટ્ટાર માણસ એક લાખ કરોડરજ્જુ વિનાનાઓને ભારી પડી શકે એનું આ ઉદાહરણ છે. આ છે સત્યની અને નૈતિકતાની તાકાત. જો હિંદુરાષ્ટ્ર સ્થાપવું હોય તો બંધારણનું બેઝીક સ્ટ્રક્ચર બદલવું જોઈએ. જો બેઝીક સ્ટ્રક્ચર બદલવું હોય તો સર્વોચ્ચ અદાલતમાં મોટી સંખ્યામાં ગોદી જજોને પહોંચાડવા જોઈએ જે એક દિવસ સર્વાનુમતે ચુકાદો આપે કે સંસદને બંધારણના બેઝીક સ્ટ્રક્ચરને પણ બદલવાનો અધિકાર છે.

અત્યારે આની તૈયારી થઈ રહી છે અને માટે સર્વોચ્ચ અદાલત અને સરકાર વચ્ચે અથડામણ ચાલી રહી છે. માટે સર્વોચ્ચ અદાલતની વારંવારની વિનંતી છતાં સર્વોચ્ચ અદાલતમાં અને વડી અદાલતોમાં જજોની નિમણૂક કરવામાં આવતી નથી. વડી અદાલતોમાં નિમણૂક એટલા માટે કરવામાં નથી આવતી કે તેઓ આગળ જતાં સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી શકે છે અને એમાં વળી કોઈ કરોડરજ્જુવાળો ન્યાયમૂર્તિ ખન્ના ભટકાઈ જાય તો એક સાવજ એક હજાર શિયાળવાને ભારી પડી શકે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જાન્યુઆરી 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—178

દીપક મહેતા|Opinion - Opinion|7 January 2023

સોટી વાગે ચમ્ ચમ્, વિદ્યા આવે ઘમ્ ઘમ્

ધૂડી નિશાળોમાં શીખવાતું ફક્ત અંકગણિત અને લિપિલેખન

બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી પહેલી સ્કૂલ શરૂ થઈ મુંબઈમાં  

સોટી વાગે ચમ્ ચમ્, વિદ્યા આવે ઘમ્ ઘમ્ 

એક જમાનામાં આવું માત્ર ગુજરાતીઓ જ નહોતા માનતા. મરાઠીમાં પણ કહેવત હતી :

છડી લાગે છમ્ છમ્, વિદ્યા યેઇ ઘમ્ ઘમ્ 

આપણે ત્યાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને ગુલામ જેવા કારકૂનો પેદા કરવા માટે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું. એટલું જ નહીં, આપણે ત્યાં પરંપરાગત રીતે શિક્ષણ આપતી જે નિશાળો હતી તેનો મૃત્યુઘંટ તેમણે વગાડ્યો. પણ વાત આટલી સીધી સાદી નથી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું, લગભગ તે જ વખતે બોમ્બે પ્રેસિડેન્સીની સરકારે આખા ઈલાકામાંની પરંપરાગત રીતે શિક્ષણ આપતી નિશાળોની મોજણી કરાવી હતી.

 

સોટી વાગે ચમ્ ચમ્, વિદ્યા આવે ઘમ્ ઘમ્  

ધ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે મિસ્ટર ફેરિશે એક પ્રશ્નાવલી તૈયાર કરીને ૧૮૨૪ના માર્ચની ૧૦મી તારીખે રાજ્યના દરેક જિલ્લાના કલેકટર અને જજને મોકલી આપી. તેમાંના દસ પ્રશ્નોના જવાબ તેમણે લખી મોકલવાના હતા, વહેલામાં વહેલી તકે. ૧૮૨૫ના માર્ચની દસમી તારીખે તો અહેવાલ તૈયાર થઈ ગયો અને મિ. ફેરિશે તે સરકારને સુપરત પણ કરી દીધો – માત્ર એક જ વર્ષના ગાળામાં. મુસાફરી અને સંદેશ વ્યવહારનાં એ વખતનાં ટાંચાં સાધનોને જોતાં આ કામ ઘણી ઝડપથી થયું ગણાય.

આ અહેવાલ પ્રમાણે ધૂડી નિશાળોમાં અંકગણિત અને લિપિલેખન સિવાય બીજું કશું શીખવાતું નહોતું. અંક ગણિતમાં પણ પહેલાં એકથી સો સુધીના આંકડા ગોખાવવામાં આવતા અને પછી અંક લેખન શીખવાતું. આ ઉપરાંત તોલમાપ, લંબાઈ, વજન વગેરેની માહિતી અપાતી. આટલું ભણી રહે પછી નિશાળ છોડતાં પહેલાં વિદ્યાર્થીને નીતિ અને ધર્મના થોડા પાઠ ભણાવતા. આખા મુંબઈ ઈલાકાની વાત કરીએ તો મોટાં શહેરોમાં આવેલી ૨૫ નિશાળોમાં કુલ ૧,૩૧૫ છોકરા ભણતા હતા. જ્યારે ગામડાંઓમાં આવેલી ૧,૬૮૦ નિશાળોમાં કુલ ૩૩,૮૩૮ છોકરા ભણતા હતા. એ વખતે મુંબઈ ઈલાકાની વસ્તી લગભગ ૪૭ લાખની હતી. એટલે કે દર ૧૩૩ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ભણવા માટે નિશાળે જતી હતી.

આ અહેવાલમાંની બીજી કેટલીક હકીકતો પણ નોંધ પાત્ર છે : મુંબઈ ઈલાકાની એક પણ નિશાળને પોતાનું અલાયદું મકાન નહોતું. લગભગ બધા મહેતાજીઓ બ્રાહ્મણ હતા. અછૂત ગણાતી જાતિઓનો છોકરો ભણતો હોય એવો એક પણ દાખલો અહેવાલમાં ક્યાં ય નોંધાયો નથી. તેવી જ રીતે એક પણ નિશાળમાં છોકરી ભણતી હોય તેવું નોંધાયું નથી. સાધારણ રીતે સાતથી બાર વર્ષની ઉંમરના છોકરાઓ આ નિશાળોમાં ભણવા આવતા. છોકરો દોઢથી ત્રણ વર્ષ સુધી નિશાળમાં ભણતો. વાર્ષિક પરીક્ષા જેવું કશું નહોતું. છોકરાના બાપને કે મહેતાજીને લાગે કે જરૂર પૂરતું ભણવાનું પૂરું થયું છે એટલે છોકરો નિશાળ છોડતો અને કૌટુંબિક વ્યવસાયમાં જોડાતો. એ વ્યવસાય માટેની જરૂરી જાણકારી તેને કુટુંબના વડીલો તરફથી મળી રહેતી.

એન. શ્રીનિવાસના સિદ્ધાંત અંગે આપણે અગાઉ વાત કરેલી. તે પ્રમાણે સંસ્કૃતિના નીચલા થર પરથી ઉપલા થર પર જવા માટેનું એક મોટું સાધન તે શિક્ષણ. અને જ્યારે શિક્ષણ સમાજના એક બહુ નાનકડા વર્ગનો જ અધિકાર બની રહ્યું હોય, ત્યારે બીજા વર્ગના લોકો તેનાથી વંચિત રહે અને સામાજિક સીડીના ઉપલા પગથિયે પહોંચી ન શકે. છોકરીઓ તો એવા આછા-પાતળા શિક્ષણથી પણ વંચિત. એટલે જ જ્યારે મુંબઈથી સમાજ સુધારાની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે શરૂઆતથી જ કન્યાશિક્ષણ પર ભાર મૂકાયો. સરકારે પણ ‘છોડીઓ’ માટેની અલગ નિશાળો શરૂ કરી. આવી નિશાળો સૌ પહેલાં શરૂ થઈ મુંબઈમાં. હવે જરા વિચાર કરો, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપણે ત્યાં ન આવ્યું હોત અને આ પરંપરાગત નિશાળો જ ચાલુ રહી હોત તો આજે આપણે ક્યાં હોત?

ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતો વખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું. આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. પણ આ કલમનો લાભ લઈને દેશીઓના શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબુ લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબુ લચક નામ બદલીને તેનું ટૂંકુ નામ રખાયું : ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’

તેના બીજા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે આખા હિન્દુસ્તાનમાં આ પ્રકારની આ પહેલી અને એકમાત્ર સોસાયટી છે. અલબત્ત, તે વખતે તેનો ઉદ્દેશ ગરીબ ખ્રિસ્તી છોકરાઓને માટે શિક્ષણની સગવડ ઊભી કરવાનો હતો. ૧૭૧૮થી મુંબઈમાં ચાલતી એક ધર્માદા સ્કૂલ સોસાયટીએ પોતાને હસ્તક લઈ લીધી અને ૧૮૧૫માં મુંબઈના કોટ વિસ્તારમાં એક ‘સેન્ટ્રલ સ્કૂલ’ શરૂ કરી. પણ પહેલેથી જ એમ ઠરાવવામાં આવ્યું કે જે દેશી છોકરાઓ આ સ્કૂલમાં અભ્યાસ કરવા માગતા હોય તેમને વાજબી ફી લઈને દાખલ કરવા. બંને નિશાળમાં ભણતા ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે ચર્ચ ઓફ ઇન્ગ્લન્ડ પુરસ્કૃત ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ ફરજિયાત હતું, પણ દેશી વિદ્યાર્થીઓ ઉપર ધાર્મિક શિક્ષણ અંગે કોઈ પ્રકારનું દબાણ લાવવું નહિ એમ ઠરાવાયું હતું. એટલે કે શિક્ષણનો હેતુ ધર્માંતરણ કરાવવાનો નહોતો. ૧૮૧૮ના જાન્યુઆરીની પહેલી તારીખે ભણતા કુલ ૮૩ વિદ્યાર્થીઓમાંથી સાત પારસી, પાંચ હિંદુ, અને એક મુસ્લિમ હતા, બાકીના ખ્રિસ્તી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ મેળવનારા આ પહેલા દેશી છોકરાઓ. ૧૮૧૮ સુધીમાં સોસાયટીએ એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ હિંદુ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ હિંદુ છોકરી ભણતી નથી.

છોકરાઓ માટેની સરકારી નિશાળ, ૧૮૭૩

૧૮૧૮માં આ સોસાયટીએ એક મહત્ત્વનું પગલું લીધું. તેણે મુંબઈમાં કેવળ ‘દેશી’ છોકરાઓ માટે ત્રણ સ્કૂલ શરૂ કરી – એક મુંબઈના કોટ વિસ્તારમાં, બીજી ગિરગાંવ વિસ્તારમાં, અને ત્રીજી મઝગાવ વિસ્તારમાં. તેમાંની પહેલી સ્કૂલ ૧૮૧૮ના ઓગસ્ટની ૧૨મી તારીખે શરૂ થઈ ત્યારે તેમાં ૪૦ છોકરાઓ દાખલ થયા હતા. પણ થોડા જ વખતમાં આ સંખ્યા વધીને ૯૦ જેટલી થઈ. ૧૮૧૮ના ડિસેમ્બરમાં શરૂ થયેલી ગિરગાંવની સ્કૂલમાં શરૂઆતમાં ૪૫ અને મઝગાંવની સ્કૂલમાં ૨૦ છોકરા દાખલ થયા. અલબત્ત, આ ત્રણે સ્કૂલોમાં જે દેશી છોકરાઓ ભણતા હતા તેમાંના મોટા ભાગના પારસી હતા. હકીકતમાં જ્યાં જ્યાં દેશીઓ માટેની નવી સ્કૂલો શરૂ થઈ ત્યાં ત્યાં નવી પદ્ધતિનું શિક્ષણ અપનાવવામાં પારસી કોમે પહેલ કરી હતી. 

મરેના વ્યાકરણનો તરજૂમો, ૧૮૨૨

૧૮૧૯ના ચોથા વાર્ષિક અહેવાલમાં આ નવી સ્કૂલો વિષે માહિતી આપવામાં આવી છે. તેની સાથોસાથ જ બે મુશ્કેલીઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. એક, દેશીઓ માટેની સ્કૂલોમાં શીખવી શકે તેવા શિક્ષકોની અછત. અને બીજી, આ સ્કૂલોમાં શીખવી શકાય તેવાં દેશી ભાષાઓમાં છાપેલાં પુસ્તકોનો લગભગ અભાવ. તેમાંથી બીજી મુશ્કેલી દૂર કરવાના હેતુથી કલકત્તાની સ્કૂલ બૂક સોસાયટી પાસેથી તેણે તૈયાર કરેલાં પુસ્તકો મગાવવામાં આવ્યાં. બીજી બાજુ મુંબઈ ઈલાકાના સ્થાનિક લોકોને પણ તેમણે લખેલાં અથવા અનુવાદ કરેલાં પુસ્તકો મોકલવા માટે વિનંતી કરવામાં આવી. કલકત્તાથી કેટલાંક પુસ્તકો આવ્યાં પણ ખરાં, પણ બોમ્બે પ્રેસિડેન્સીની સ્કૂલોમાં કામ લાગે તેવાં તે નહોતાં. સ્થાનિક લોકો તરફથી માત્ર એક જ પુસ્તક મળ્યું હતું – મરેના અંગ્રેજી વ્યાકરણની બાવનમી આવૃત્તિનો અરદેશર બહેરામજી લશ્કરીએ કરેલો ગુજરાતી તરજૂમો, જે મુંબઈ સમાચારના છાપખાનામાં છપાયો હતો. એટલે સોસાયટીને લાગ્યું કે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરાવ્યા સિવાય છૂટકો નથી.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન  

નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઈ ત્યારથી મુંબઈના ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું : પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ચાર હિંદુ (દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ) હતા અને ચાર પારસી (ફરામજી કાવસજી, હોરમસજી બમનજી, જમશેદજી બમનજી, જમશેદજી જીજીભાઈ) હતા. દાન આપનારા બાકીના બધા અંગ્રેજો હતા. નવી કમિટીના સંચાલક મંડળમાં ૧૨ અંગ્રેજો ઉપરાંત ૧૨ દેશી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. તેમાંના ચાર પારસી (ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, જમશેદજી જીજીભાઈ), ચાર હિંદુ (દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, જગન્નાથ શંકર શેઠ, ધાકજી દાદાજી), અને ચાર મુસલમાન (મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદ અલી રોગે, મોહમ્મદ ઈબ્રાહીમ મકાબા) હતા. મળેલા દાનને આધારે આ કમિટીએ જે પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 જાન્યુઆરી 2023

Loading

...102030...1,1421,1431,1441,145...1,1501,1601,170...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved