Opinion Magazine
Number of visits: 9563763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરત મહાનગરપાલિકાને —

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 April 2023

રવીન્દ્ર પારેખ

વાત પાલિકાની કરવી છે, પણ તે હાલમાં બાલિકાની જેમ વધુ વર્તે છે, એટલે પાલિકા કહો કે બાલિકા, બહુ ફરક પડે એમ નથી. પાલિકાની ઉંમર તો વધી છે, પણ તે કદાચ ઉંમરલાયક થઈ નથી. સુરતની જ વાત કરીએ, તો તે અગિયારમાં સૈકામાં તાપીતટે વસ્યું ને 15 મે, 1852માં સુરત સુધરાઈની સ્થાપના થઈ. એ વાતને પણ આ 15 મે, 2023ને રોજ 171 વર્ષ પૂરાં થશે. એ પછી 1 ઓકટોબર, 1966થી સુધરાઈનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું. 11માં સૈકામાં સુરતનો વિસ્તાર આશરે 25 ચોરસ કિલોમીટર હતો, જે 2019ની ડાયરી પ્રમાણે (એ પછી ડાયરી પ્રગટ થઈ હોય તો ખબર નથી) 326.515 ચો.કિ.મી. થયો છે, એટલે કે ક્ષેત્રફળ 300થી વધુ ચો.કિ.મી. વધ્યું છે. 1482માં ભયંકર દુકાળ પડ્યો ત્યારે મલેક ગોપીએ અનાજપાણી સુરતને પૂરાં પાડ્યાં ને એણે જ ગોપીતળાવ બંધાવ્યું. ગોપીપરું પણ ગોપીની જ દેન છે. જે કિલ્લો અત્યારે નવા રંગેરૂપે ટિકિટ ખર્ચીને બતાવવાનું ચાલે છે તે ખુદાવંદખાને 1540-41માં બંધાવેલો. જો કે, હવે ઇતિહાસ બદલાઈ રહ્યો છે એટલે કોઈ, કિલ્લો કોર્પોરેશને બંધાવેલો એમ ભણાવે તો નવાઈ નહીં !

1955માં રંગ ઉપવન શરૂ થયું ને વર્ષો સુધી એ જ સુરતની સાંસ્કૃતિક અને કળાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું. તે પછી ટેક્સટાઇલ માર્કેટનાં ચોથા-પાંચમાં માળે પણ ઓડિટોરિયમ શરૂ થયું. ત્યાં પણ મુખ્યત્વે નાટ્યપ્રવૃત્તિઓ ઠીક ઠીક ચાલી. 1980માં ટીમલિયાવાડ, નાનપરા સુરત ખાતે ‘ગાંધી સ્મૃતિ ભવન’ થયું ને શહેરની મધ્યમાં અનેક કળાકીય પ્રવૃત્તિઓ એવી ધબકી કે સુરત સાચા અર્થમાં સાંસ્કૃતિક નગર તરીકે ખ્યાત થયું. તે પછી તો વરાછામાં સરદાર સ્મૃતિ ભવન અને પાલમાં સંજીવકુમાર ઓડિટોરિયમ પણ થયું, પણ ગાંધી સ્મૃતિ ભવનનો જે દબદબો હતો તે શહેરમાં બીજે જોવા ન મળ્યો. 2017માં ગાંધી સ્મૃતિ ભવન ચાર કરોડને ખર્ચે રીપેર થયું અને 10 મહિના બંધ રહ્યા પછી ફરી શરૂ થયું, પણ એક દિવસ ભવનમાં મોટો પોપડો ખરી પડતાં મોટો અકસ્માત થતાં રહી ગયો. આખી ઇમારત, રિપેરિંગ છતાં, ચાળીસ વર્ષ પણ ન ટકી ને સ્થિતિ એવી આવી કે જુલાઇ, 2019માં અનિશ્ચિત મુદ્દત માટે ગાંધી સ્મૃતિ ભવનને બંધ કરી દેવામાં આવ્યું. જૂન, 2022 સુધી તો 46 કરોડને ખર્ચે ગાંધી સ્મૃતિ ભવન ફરી બાંધવાની વાત હતી, પણ હવે તેની કશી ખાતરી મળતી નથી. હવામાન એવું પણ છે કે તેનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ થાય. હાલ તો રંગ ઉપવન વાર્ષિકોત્સવ પૂરતું બચ્યું છે, બાકી તો, વૈધવ્ય ભોગવતું તે પણ ખૂણે પડ્યું છે, સંજીવકુમાર ઓડિટોરિયમ ક્યારેક જાગે છે ને કોર્પોરેશનની નાટ્ય સ્પર્ધા પૂરતું ખીલે છે, તો સરદાર સ્મૃતિ ભવન ધબકે છે તો ખબર પડે છે કે તે છે. એવું નથી કે સુરત એટલું ગરીબ થઈ ગયું છે કે ‘ગાંધી સ્મૃતિ ભવન’ ફરી બંધાય જ નહીં ! મૂળ વાત ઈચ્છા શક્તિની છે. ઈચ્છા શક્તિ વધુ લાલચની હોય તો કળાકીય પ્રવૃત્તિ બાજુ પર મૂકવાનું પણ સાવ અશક્ય નથી. સાચું તો એ છે કે કોર્પોરેશન હાલ તુરત તો કમાણી ને કલેક્શન પૂરતું જ સીમિત થઈ ગયું છે.

2023નાં ફેબ્રુઆરીના અંત સુધીમાં મિલકત વેરામાં જ પાલિકાએ 1,750 કરોડ વસૂલવાનો અંદાજ મૂક્યો છે. હવે નવી ટેકનિક એવી વિકસાવાઈ છે કે ગામડાં કોર્પોરેશનમાં ઉમેરી દેવાનાં ને ટેક્સ વસૂલવાનું શરૂ કરી દેવાનું. સગવડો ક્યાં ભાગી જાય છે, એ તો અપાયાં કરશે. સગવડ આપવાની વાત આવે ત્યારે સગવડિયા બહેરાશ પણ કોર્પોરેશન કેળવી શકે છે એ કોઇથી અજાણ્યું નથી. 2023-24નું 307 કરોડના વધારા સાથે 7,707 કરોડનું ડ્રાફ્ટ બજેટ આવ્યું. બ્રિજ, ઇન્ફ્રાસ્ટ્રકચર, આરોગ્ય અને અન્ય સેવાઓ, સિનિયર સિટિઝન્સ ને હેલ્થકાર્ડ, આંગણવાડીનું આધુનિકરણ, નવાં ફાયર સ્ટેશન્સ જેવી અનેક સુવિધાઓ આપવાની વાત પણ છે. કૈં નથી થતું એવું નથી, પણ જે થાય છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આગળ નથી જતું. સુરત અત્યારે તો રાક્ષસી વિકાસ સાધી રહેલું દેખાય છે. આટલો વિકાસ જરૂરી છે કે માત્ર વિકાસને નામે બધું આડેધડ વધારતાં જ જવું છે એ અંગે ઠરીને વિચારવાની જરૂર છે. રાક્ષસી વિકાસનું પરિણામ એ આવ્યું છે કે સુરતીઓનો સ્વભાવ પણ રાક્ષસી થવા માંડ્યો છે. એનો લહેરી અને ઉદાર સ્વભાવ હવે લુચ્ચાઈ અને દોંગાઈમાં ફેરવાઇ રહ્યો છે. બધાં જ બધું કબજે કરવા દોડે છે ને પછી એક દિવસ અહીં જ બધું મૂકીને ધુમાડો થઈ જાય છે.

છેલ્લાં વર્ષોમાં વધેલી હિંસાખોરી, લૂંટફાટ અને દુષ્કર્મની ઘટનાઓમાં પણ એટલો જ વિકાસ થયો છે. આખી હવા હિંસક થઈ ગઈ હોય એવું લાગ્યા કરે છે. કોઈએ અટકવું જ નથી. શ્વાસ પાછળ રહી જાય ને માણસ આગળ નીકળી જાય એવી સ્થિતિ છે. અટકવું, પણ ટકવું જ છે એ સમજવાની જરૂર છે. એવું નથી કે ગુનાખોરી આજે જ છે, એ અગાઉ પણ હતી, પણ આજે તેનું પ્રમાણ અમર્યાદ રીતે વધ્યું છે. આવું થવાનું એક કારણ તે આ શહેરમાં વધી રહેલી વ્યાપારી ને આર્થિક પ્રવૃત્તિઓ છે. અનેક પ્રકારની, અન્ય રાજયોમાંથી આવેલી મિશ્ર પ્રજાઓ કમાવા ઉપરાંત અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ પણ લઈને આવી છે. ટૂંકે રસ્તે હરામની કમાણીમાં રસ લેનારાઓની સંખ્યા પણ ખૂબ વધી છે. એ સાથે જ કળાકીય, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભયંકર પડતી આવી છે, એટલે કમાણી ને ધંધાના વિકાસ સિવાય બીજો કોઈ રસ જ ન બચ્યો હોય એવું વાતાવરણ છે.

આ શહેરને અર્વાચીનોમાં આદ્ય એવો નર્મદ મળ્યો. પહેલો નવલકથાકાર નંદશંકર ને પહેલો વિવેચક નવલરામ પણ આ જ શહેરની ઉપજ છે. એ પછી તો આ શહેરમાં હાસ્યકારો, નાટ્યકારો, નવલકથાકારો, વાર્તાકારો, કવિઓ, વિવેચકોની લાંબી હારમાળા સર્જાઇ. આ શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાયું. અનેક સાહિત્યિક સંસ્થાઓ, નાટ્ય સંસ્થાઓ, કલામંડળો આ શહેરમાં થયાં. એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાઓ, ગરબા સ્પર્ધાઓ, કવિ સંમેલનો, વ્યાખ્યાનો … જેવી અનેક પ્રવૃત્તિઓ રંગ ઉપવન, ગાંધી સ્મૃતિ ભવનમાં થઈ. પછી કૈંક એવું બન્યું કે ઉદ્યોગોનો મહિમા વધ્યો. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, ગ્રીન સિટી ને સ્વચ્છ શહેર થવામાં જ એવો વેગ આવ્યો કે ઉદ્યોગોનો વિકાસ જ કેન્દ્રમાં આવી ગયો. સુરત મહાનગરપાલિકાને  સ્વચ્છતાના, સ્વસ્થતાના ઘણા એવોર્ડસ પણ મળ્યા ને તેની રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ કદર પણ થઈ, પણ પછી આ શહેર એવી રીતે વિકસ્યું છે કે તેની ગતિ વિકાસની છે કે વિનાશની એ નક્કી થઈ શકતું નથી. કેટલું વિકસવું જોઈએ આ શહેરે, એ અંગે વિચારવાનો સમય પાકી ગયો છે. આ શહેરે ન વિકસવું જોઈએ એવું કહેવાનું નથી, પણ સાંસ્કૃતિક કે કળાકીય વિકાસને ભોગે થતો વિકાસ ઘણાં અનિષ્ટોને નોતરશે એ સમજી લેવાનું રહે.

શહેરની સાહિત્યિક, સાંસ્કૃતિક સંસ્થાઓની જે પડતી થઈ છે તે અભૂતપૂર્વ છે. નિષ્પક્ષ, વિદ્વાન અને જે તે ક્ષેત્રના નિષ્ણાત હોદ્દેદારોને બદલે, તકવાદી, લાલચુ ને મતલબી લોકો કળાકીય સંસ્થાઓમાં દાખલ પડી ગયા છે. કોને કોરાણે મૂકવા, કોને સાથે રાખવા એના દાખલાઓ ગણાય છે ને એમાં હેતુ તો પોતાની જ સ્થાપનાનો વિશેષ છે. ઇનામો, ચંદ્રકો, એવોર્ડો સંસ્થાની બહાર ન જાય ને ઘીનાં ઠામમાં ઘી પડી રહે એની પેરવીઓ ચાલે છે. પાત્રતાને ભોગે બધું મેળવી લેવાને ઇરાદે કામ ચાલે છે, એટલે ઓછી મૂડીએ બહોળો નફો રળવાની યુક્તિઓ અજમાવાય છે. એનું પરિણામ એ આવ્યું છે કે શહેર પાસે નવી પેઢીનો સારો વાર્તાકાર નથી, સારો નવલકથાકાર નથી, સારો નાટ્યકાર નથી, સારો કવિ નથી, સારો વિવેચક નથી. ગઝલકારો 100 મળી આવે, પણ સારી ગઝલ જડવાનું મુશ્કેલ છે. જે બચ્યા છે તે માથે વેચાણ કિંમતની ટેગ મારીને બજારમાં વેચાવા ઊભા છે. ભાવ ઉપજાવવાની સ્પર્ધાઓ ચાલે છે. આમાં ક્યાંક સારું, સાત્ત્વિક પણ છે જ, પણ તે સાચવવાની ગરજ જણાતી નથી.

આ વિનિપાતમાં જે તે સંસ્થાઓ તો જવાબદાર છે જ, પણ સુરત મહાનગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે. સૌથી પહેલાં તો યુદ્ધને ધોરણે ‘ગાંધી સ્મૃતિ ભવન’ એ જ સ્થળે, રિપીટ, એ જ સ્થળે પૂરી સગવડ અને વ્યવસ્થા સાથે તૈયાર થાય એ જોવાની તાતી જરૂર છે. એ થશે તો નાટ્યપ્રવૃત્તિમાં જીવ  આવશે. પાલિકા, બાલિકા જેવી અબૂધ હોય તેમ ઘણું બધું ભૂલી ગઈ છે. શું ભૂલી જવું તે, તે બરાબર યાદ રાખે છે. પાલિકા દર વર્ષે નાટ્ય સ્પર્ધા કરે છે તે સારી વાત એટલે છે, કારણ, વિશ્વની કોઈ મહાનગરપાલિકા એ કરતી નથી. ઘણાંને ખબર ન હોય, પણ આ જ મહાનગરપાલિકા દર વર્ષે નાટ્ય લેખન સ્પર્ધા પણ કરતી હતી, એ સ્પર્ધા એમ જ બંધ કરી દેવાઈ. એ ફરી ચાલુ કરવી જોઈએ. સુરત મહાનગરપાલિકા દર વર્ષે પુસ્તક મેળાનું આયોજન કરતી હતી, તે ટલ્લે ચડી ગયું છે. કોરોનાનું બહાનું કોર્પોરેશન કાઢી શકે, પણ આ આયોજન વર્ષની શરૂઆતમાં થતું હતું ને ત્યારે એવું કૈં ન હતું તે યાદ રહે. આ ઉપરાંત મહાપાલિકા વરસે દિવસે અનેક પ્રકારની વ્યાખ્યાનમાળાઓ યોજતી હતી, દર વર્ષે ઉદ્યોગપતિઓનું, કલાકારોનું, સાહિત્યકારોનું સન્માન કરતી હતી, એ બધું જ બંધ પડ્યું છે ને વર્ષોથી બંધ પડ્યું છે, એ ફરી શરૂ થવું જોઈએ. સુરતના મેયર અને કમિશનરે વહેલી તકે એમાં પ્રાણ ફૂંકવાની જરૂર છે. પાલિકાની સાંસ્કૃતિક સમિતિ પણ હતી, એ હવે કાગળ પર હોય તો હોય, પણ તેની કોઈ અસર શહેરમાં વર્તાતી નથી. એ દુ:ખદ છે કે કોઈ પણ રીતે લોકોમાંથી પૈસા ઊભાં કરવાનું જેટલું ધ્યાન પાલિકા રાખે છે એટલું કળા, સાહિત્ય, સંગીત જેવી પ્રવૃત્તિઓ માટે રાખતી નથી. પાલિકા દર વર્ષે ટેક્સ વધારતી જાય છે ને એની સમાંતરે સાત્ત્વિક, સરળ ને સહજ જનજીવન તરફ દુર્લક્ષ સેવે છે. આ નીતિ સુધારવાની જરૂર છે.

એમાં કોઈ શંકા નથી કે આ શહેરનું જનજીવન સરળ અને સહજ નથી રહ્યું, એમાં પાલિકાની સાંસ્કૃતિક, સામાજિક અને કળાકીય પ્રવૃત્તિઓ માટે કેળવેલી ઘોર ઉપેક્ષા જવાબદાર છે. અહીંથી પાલિકાને કરબધ્ધ પ્રાર્થના છે કે તે સુરતને, ફરી એક વાર સાંસ્કૃતિક અને કળાકીય નકશા પર મૂકીને, સર્વાંગી પ્રવૃત્તિથી સજીવ અને સંવર્ધિત કરે. આટલું થશે તો શહેરીજનો પર ઉપકાર જ થશે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ઍપ્રિલ 2023

Loading

‘લિવ ઇન’ને જ ‘લીવ આઉટ’ કરવા જેવું છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 April 2023

રવીન્દ્ર પારેખ

લગ્નની અનેક ખૂબીખામીઓ હોવા છતાં, આજે પણ લગ્નો થાય છે ને ગાઈબજાવીને થાય છે. લગ્ન આજે પણ ઉત્સવને સ્થાને છે ને લગ્નમાં જોડાનાર બે કુટુંબો ઉપરાંત એકથી વધુ સમાજો ઉત્સાહથી જોડાય છે ને લખલૂટ ખર્ચ એમાં આજે પણ કરે છે. જ્યારે બે વ્યક્તિને લગ્ન ન થાય એવું લાગે છે તો તે ભાગી જાય છે, પણ ભાગીને પણ તેમનો હેતુ તો લગ્ન કરવાનો જ હોય છે. આજે લગ્નો બહુ ટકતાં નથી, પણ ટકાવવાના પ્રયત્નો તો થાય જ છે. એ પછી પણ લગ્ન ન જ ટકે તો વાત છૂટાછેડા સુધી આવે છે. છૂટાછેડા આજે પણ સરળ નથી ને છતાં છૂટાછેડાને કારણે કોઈ લગ્ન કરવાનું માંડી વાળતું નથી. અનેક તકલીફો થતી હોવા છતાં આજે પણ ઘણાંને લગ્નનો વિકલ્પ લગ્ન જ લાગે છે. તેનું એક કારણ, લગ્ન, પતિ-પત્નીને, તેનાં સંતાનોને કાનૂની રક્ષણ આપે છે. આ સગવડ લગ્ન સિવાય બીજા કોઈ વિકલ્પમાં નથી. ભલે જૂનવાણીમાં ખપવાનું થાય, તો પણ ધર્મ અને સંસ્કારનો મહિમા કરવાનું, વડીલોના આશીર્વાદ મેળવવાનું લગ્ન નિમિત્તે ચુકાતું નથી, તે લગ્નની સૌથી મોટી ઉપલબ્ધિ પણ માનવામાં આવે છે. આજે તો ટેકનોલોજી અને વિજ્ઞાનનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, તીવ્ર સ્પર્ધાનો સમય છે. કામ કોઇની પાસે હોય કે ન હોય, પણ સમય કોઇની પાસે જ હોતો નથી. લગ્નની ઉંમર પણ વધી છે. ઘણાં પરિપક્વ ઉંમરે પરણવામાં માને છે. ભણતરમાં, નોકરી મેળવવામાં એટલો સમય ચાલી જાય છે કે ઘણાં લગ્નનો વિચાર પણ કરી શકતાં નથી. કોઈ લગ્નનું કદાચને વિચારે તો તેમાં વડીલોની સંમતિ, બે કુટુંબો વચ્ચેની સહમતિ, ખર્ચ વગેરે એટલી બાબતો નડતર ઊભું કરે છે કે લગ્ન ભાગ્યે જ સરળ રહે. એમાં જો પ્રેમલગ્નની વાત હોય તો બે કુટુંબો વચ્ચે સહમતિ સધાતાં એટલો સમય જાય છે કે લગ્ન સુધી પહોંચતામાં ત્રાસ જ ભાગે આવે. એ પછી પણ લગ્ન શક્ય બને જ એની કશી ખાતરી નથી હોતી. એનાં કરતાં તો લગ્ન ન કરવાં સારાં એવું માનવા – મનાવવામાં આવે છે. એમાં જો સ્ત્રીઓ કેરિયર અંગે ગંભીર હોય તો તે પરણવાનું લગભગ બાજુ પર જ મૂકે છે.

આ બધાં કારણોસર ઘણાં યુવક-યુવતીઓને લગ્નની ઝંઝટથી દૂર રહેવાનું જ મુનાસિબ લાગ્યું, તે એટલે કે લગ્નને તેઓ સામાજિક નહીં, પણ વ્યક્તિગત જરૂરિયાત તરીકે જ વધુ સ્વીકારતાં હતાં. આમ તો લગ્ન બે વ્યક્તિની અંગત બાબત ગણાય, તેમાં કુટુંબ, સમાજ, કોર્ટ વગેરેની જરૂર જ નથી એવું માનનારો પણ વર્ગ હતો. છે. લગ્ન નિમિત્તે સેંકડો માણસોને રોકી રાખવા, તેને  નિમિત્તે લખલૂટ ખર્ચ કરવો કે ધાર્મિક વિધિવિધાનોમાં સમય વ્યતીત કરવો … વગેરે ઘણાંને માફક આવતું ન હતું. મૂળ વાત તો બે વ્યક્તિનાં મિલનની હતી. તન-મનનાં મિલન માટે તો લગ્નની જ કોઈ જરૂર યુવા વર્ગને લાગતી ન હતી. બે વિજાતીય વ્યક્તિઓ સાથે રહેવા ઈચ્છે છે, એટલું જ પૂરતું હતું. એમાં ભીડભાડ, વિધિવિધાન, ભોજન વગેરેની અનિવાર્યતા જ ક્યાં લાગતી હતી? બે જણાં સાથે રહેવા ઈચ્છે તો રહી શકે એટલી વ્યવસ્થા જ પૂરતી હતી, એમાં કાયદાનો હસ્તક્ષેપ પણ જરૂરી ન હતો. જરૂર હતી, બે વ્યક્તિ સાથે રહે એટલી. બસ ! એટલું પૂરતું હતું ને એમ સાથે રહેવાનું શરૂ થયું પણ ખરું. એને લિવ ઇન રિલેશનશિપનું નામ અપાયું. આ એવો સંબંધ હતો જેમાં બે વ્યક્તિ કોઇની પણ દખલ વગર સાથે રહી શકતી હતી ને ઈચ્છે ત્યાં સુધી રહી શકતી હતી. એમાં ન તો માબાપ જરૂરી હતાં કે ન તો સમાજ કે લગ્ન કે કાયદો જરૂરી હતાં. જરૂરી હતું તે બંને વ્યક્તિનું આર્થિક રીતે પગભર હોવું. જેથી છૂટાં પડવાનું આવે તો બંને પોતપોતાની રીતે ટકી રહે. ઉદ્દેશ એવો પણ હતો કે લગ્નની જેમ લિવ ઇન સંબંધ પરાણે ખેંચ્યા કરવાનું ન થાય. ફાવે ત્યાં સુધી સાથે રહેવું ને ન ફાવે તો કોઈ પર બોજ બન્યા વગર પોતપોતાનો રસ્તો કરી લેવો એમ માનીને બે જણાં સાથે રહેતાં હતાં ને અલગ પણ થઈ જતાં હતાં. લિવ ઇનની સૌથી મોટી સગવડ હતી તે એ કે કોઈ, કોઈ પર બોજ ન હતું. છૂટાં પડવું હોય તો કાયદાની આંટીઘૂંટીમાં લાંબો સમય સંડોવાવાનું ન હતું. ન ફાવે તો ગમે ત્યારે છૂટાં પડી શકાતું હતું. સંબંધ સાચવવાની જવાબદારી બંનેની હતી. લાંબો સમય સાથે રહ્યાં પછી એમ લાગે કે લગ્ન કરી લેવાં છે તો તેની ય મનાઈ ન હતી. કોઈ બાંહેધરી ન હતી, કોઈ બંધન ન હતું એટલે ઘણાંને લિવ ઇન માફક પણ આવ્યું.

પણ, લિવ ઇનની મર્યાદાઓ પણ સમય જતાં પ્રગટ થવા લાગી. કોઈ બંધન ન હતું એટલે કોઈ જવાબદારી પણ ન હતી. હક બધા હતા, પણ ફરજો ખાસ ન હતી. કોઈ સાક્ષી ન હતા, કોઈ મધ્યસ્થી ન હતા, એટલે કોઈ રક્ષણ પણ ન હતું. સાથે રહેવાનો આનંદ હતો, પણ જવાબદારી ન હોવાથી કોઈ પણ, મોટે ભાગે તો પુરુષ જ, મન ભરાઈ જતાં સાથીને છોડીને ચાલતી પકડતો હતો. એ તો બીજી સ્ત્રીને પણ પરણી શકતો હતો કે લિવ ઇનમાં અન્ય સાથે રહી શકતો હતો, પણ તેની સાથે રહેલી સ્ત્રીની હાલત કફોડી થઈ જતી હતી. ન તો તે ઘરે જઇ શકતી હતી કે ન તો એકલી રહી શકતી હતી, કારણ લિવ ઇનમાં માબાપની સંમતિ વિના જ તે પ્રવેશી હોય એવી શક્યતાઓ વધારે હતી. એટલે ઘર તો છૂટી જ ગયું હોય ને અલગ થયા પછી, નવી કોઈ જગ્યાએ ગોઠવાવાનું પણ મુશ્કેલ હતું. કોઇની સાથે લગ્ન વગર રહેનારી સ્ત્રીનું માન જળવાય એવું પણ ઓછું જ હતું, એટલે તેનાં ફરી લિવ ઇનમાં કે લગ્નમાં ગોઠવાવાના ચાન્સ ઘટી જતા હતા. તેમાં જો આર્થિક રીતે તે પગભર ન હોય તો, દશા વધુ વિકટ થતી હતી ને સૌથી ખરાબ સ્થિતિ તો બાળક હોય તો સ્ત્રીની ને  બાળકની થતી હતી, કારણ બંનેને કાયદાનું રક્ષણ ન હતું. જો કે, સુપ્રીમ કોર્ટે સંતાનોને રક્ષણ આપવાની સ્થિતિ એ રાખી છે કે લગ્નથી થતાં બાળક જેવા અધિકાર લિવ ઇનથી થતાં બાળકોને પણ મળે, પણ લિવ ઇન સંબંધ ન રહેતાં સ્ત્રીને ભરણપોષણનો કાનૂની લાભ મળતો નથી તે ખરું.

લગ્નને કાનૂની રક્ષણ છે, તેમ તેની જવાબદારીઓ પણ છે, એ જવાબદારી લિવ ઇનમાં ન હોવાથી સૌથી વધુ કફોડી હાલત એમાં સંડોવાનાર સ્ત્રીની થાય છે. બને છે એવું કે સોશિયલ મીડિયા પર કેટલાક હરામનું શોધતાં યુવકો નોકરી-ધંધો કરતી યુવતીઓની શોધમાં જ હોય છે. એવી કોઈ મળી જાય તો મૈત્રી બાંધી, તેની સાથે લિવ ઇનમાં રહેવા લાગે છે ને તેને પૈસે એશ કરીને નવું પંખી હાથ લાગે તો તે તરફ ઊડી પણ જાય છે. લિવ ઇનમાં સૌથી વધુ લાભમાં પુરુષ જ રહે છે. એને, એ સ્ત્રીની કે થયેલ સંતાનની કોઈ ચિંતા હોતી નથી ને બીજી તરફ સ્ત્રીની હાલત બદથી બદતર થઈને રહે છે. લિવ ઇનમાં રહેનાર પુરુષ, સાથે રહેનાર સ્ત્રી સાથે અનેક પ્રકારની જોહુકમી કરતો હોય છે. તેમાં જો સ્ત્રી સાથ નથી આપતી તો તેનું આર્થિક, માનસિક, શારીરિક શોષણ કરવામાં પુરુષ કોઈ નાનમ નથી અનુભવતો ને જરૂર પડે તો તેનું કાસળ કાઢી નાખતાં પણ તે અચકાતો નથી. એવા ઘણા બનાવો અત્યારે ચર્ચામાં પણ છે.

એ ખરું કે સ્ત્રીઓ પણ હવે પુરુષનું શોષણ કરતી થઈ છે ને પુરુષને પણ પીડતી થઈ છે. ત્યાં પણ તે મોટે ભાગે તો લગ્નથી મળતા લાભ જ ઉઠાવતી હોય છે, જ્યારે લિવ ઇનમાં સૌથી વધુ શોષણ સ્ત્રીનું જ થાય છે. લિવ ઇનમાં સૌથી વધુ ખોટમાં તો સ્ત્રી જ રહેતી હોય છે. લિવ ઇનમાં કુતૂહલવશ, સ્ત્રી શરૂઆતમાં જોડાતી હશે, પણ જયાં કાયદાનું કોઈ રક્ષણ જ નથી, ત્યાં તે સંબંધમાં પડવામાં પૂરું જોખમ છે એટલું વહેલી તકે તેણે સમજી લેવાનું રહે. પરદેશમાં લિવ ઇન સફળ હોય તો તે અહીં પણ સફળ થાય જ એમ માની લેવું વધારે પડતું છે. ત્યાંનું વાતાવરણ, ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંનાં તંત્રોને એ માફક આવે કદાચ, પણ ભારતીય સમાજ, તેની ભૌગોલિક, આર્થિક, જૈવિક પરિસ્થિતિને એ માફક આવે જ એ જરૂરી નથી. જ્યાં કેવળ હકનો જ ભોગવટો છે ને જવાબદારી જ કોઈ નથી તે પ્રયોગ ભારતે શું કામ ચલાવવો જોઈએ તે નથી સમજાતું. અનેક મર્યાદાઓ છતાં આજે પણ લગ્ન જેવો સબળ વિકલ્પ ભારત પાસે હાથવગો હોય ત્યારે લિવ ઇન ને જ ‘લીવ આઉટ’ કરવા જેવું છે.  લિવ ઇન પર પ્રતિબંધ મુકાય તે જ કદાચ વધારે ડહાપણ ભરેલું છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

કતરની કેદના અનુત્તર સવાલો : નૌસેના 8 અધિકારીઓની રહસ્યમય ધરપકડ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 April 2023

રાજ ગોસ્વામી

મધ્ય પૂર્વમાં, લિક્વિફાઈડ નેચરલ ગેસના સૌથી મોટા નિકાસકર્તા દેશ કતરમાં, ભારતીય નૌસેનાના આઠ ભૂતપૂર્વ ઓફિસર્સનો એક ‘વિચિત્ર અને રહસ્યમય’ કેસ ચાલી રહ્યો છે. વિચિત્ર અને રહસ્યમય એટલા માટે કે કતારી સત્તાવાળાઓ એ વિશે કોઈ જ અધિકૃત બયાન જારી કર્યું નથી અને એ આઠે ઓફિસર્સને અજ્ઞાત આરોપોસર છેલ્લા આઠ મહિનાથી એકાંત કારાવાસમાં પુરવામાં આવ્યા છે. ગયા વર્ષે 30મી ઓગસ્ટે, કતરની ગુપ્તચર સંસ્થા સ્ટેટ સિક્યોરિટી બ્યુરો દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. એકાંત કારાવાસની સજાનો અર્થ એ થયો કે તેમને સુરક્ષાનાં કારણોસર પકડવામાં આવ્યા છે.

એ પછી લગાતાર ભારતીય મીડિયામાં તેને લઈને છૂટક સમાચારો આવતા રહ્યા છે, પણ એ બધા સમાચારો ‘કહેવાય છે અને સંભળાય છે’ આધારિત છે. હમણાં છેલ્લે 16મી માર્ચે, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિન્દમ બાગચીએ એક બયાનમાં કહ્યું હતું કે કતરમાં અટકાયતમાં લેવામાં આવેલા નૌસેનાના આઠ ઓફિસર્સનો મુદ્દો ભારત માટે સૌથી પ્રાથમિક છે અને તેઓ જલદીથી પાછા આવે તેના પ્રયાસો જારી છે.

તેમની સામે શું આરોપો છે તેવા સવાલના જવાબમાં બાગચીએ કહ્યું હતું કે આ સવાલ કતરના અધિકારીઓને પૂછવો જોઈએ. આ ઓફિસરોના પરિવારજનોનું કહેવું છે કે કતરના અધિકારીઓએ તેમને આરોપો અંગે કોઈ જાણકારી આપી નથી. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પણ મીડિયાને કહ્યું હતું કે તેમની પાસે પણ આ બાબતે કોઈ જાણકારી નથી.

તાજા સમાચાર એ છે કે તેમની સામે હવે કતરની અદાલતમાં આરોપો ઘડવાની તૈયારી થઇ રહી છે એને તે સાથે જ તેમના ભારત પાછા ફરવાની શક્યતાઓ ધૂંધળી પડતી જાય છે.

અમુક તો ડેકોરેટેડ કહેવાય તેવા આ આઠ ઓફિસર્સે એવું તે શું કર્યું છે કે તેમને કેદ કરવામાં આવ્યા છે અને જેમના સુખરૂપે ઘરે આવવાની કેમ કોઈને ખબર નથી? આશ્ચર્ય તો એ છે કે કતર અને ભારત વચ્ચે મજબૂત મૈત્રી છે અને બંને દેશોએ સંયુક્ત નૌસેના અભ્યાસ પણ કર્યો છે. અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કેસની વિગતો કંઇક આવી છે :

અટકાયત કરવામાં આવેલા ઓફિસર્સનાં નામ આ પ્રમાણે છે; કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પુર્નેંદુ તિવારી, કમાન્ડર સુગુનકર પકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ.

દોહામાં ભારતીય એમ્બેસીને તેમની અટકાયતની જાણ સપ્ટેમ્બરના મધ્યમાં થઇ હતી અને ઓક્ટોબર-ડિસેમ્બરમાં કતારી સત્તાવાળાઓ દ્વારા એમ્બેસીને કોન્સુલર એક્સેસ આપવામાં આવી હતી. તે સમયથી ઓફિસરોના પરિવારોને અટકાયતીઓ સાથે અઠવાડિયે રૂબરૂ અથવા ફોનથી સંપર્ક કરવા દેવામાં આવે છે.

આ અટકાયતીઓમાંથી અમુક તો યુદ્ધજહાજો પર સેવા આપી ચુક્યા છે. જેમાં કે, કેપ્ટન ગિલ આઈ.એન.એસ. વિક્રાંત પર નેવિગેશન ઓફિસર હતા અને તેમને કેડેટ તરીકે સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 2002માં નિવૃત્તિ લીધી હતી અને કતર સાથે ભારતના સંબંધને મજબૂત કરવા બદલ તેમને 2019માં પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવ્યું હતું.

આ આઠે ઓફિસરો કતરની દાહરા ગ્લોબલ ટેકનોલોજીઝ એન્ડ કન્સલ્ટિંગ સર્વિસ નામની કંપની માટે કામ કરતા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, તેમની અટકાયત પછી કંપનીની વેબસાઈટ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ તે સક્રિય હતી ત્યારે તેમાં લખેલું હતું કે કંપની કતારી નૌસેનાને તાલીમ પૂરી પાડવાનું કામ કરે છે. કંપની ખુદને સંરક્ષણ સાધનો ચલાવામાં અને સમારકામની નિષ્ણાત ગણાવે છે.

તેની નવી વેબ સાઈટનું નામ દાહરા ગ્લોબલ છે. તેમાં કંપની અને કતર નૌસેનાનું કોઈ કનેક્શન બતાવામાં આવ્યું નથી કે ન તો તેમાં ભારતના ભૂતપૂર્વ નૌસેના ઓફિસરોનો કોઈ ઉલ્લેખ. અટકાયત પહેલાં આ લોકો કંપનીની લીડરશીપની ભૂમિકામાં હતા.

ગયા વર્ષે ડિસેમ્બર સુધી આ કંપનીમાં ભારતના 150 જેટલા ભૂતપૂર્વ નૌસેના કર્મચારીઓ કામ કરતા હતા. તેના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર તરીકે ખામિસ અલ અમિન નામના ઓમાની હવાઈ દળના એક નિવૃત્ત અધિકારી કામ કરતા હતા. એવું કહેવાય છે કે તેમને જ્યારે ખબર પડી કે તેમના કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે તેમની મુક્તિનો પ્રયાસ કરવા માટે તે દોહા ગયા હતા, પરંતુ ત્યાં તેમને પણ ટૂંકા સમય માટે અટકમાં લેવામાં આવ્યા હતા.

ગયા નવેમ્બરમાં, કતારે ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કર્યું તેના થોડા જ દિવસો પહેલાં ખામિસ અલ અમિનને છોડી મુકવામાં આવ્યા હતા. કતરે આ વર્લ્ડ કપને આરબ એકતાના રૂપમાં પેશ કર્યો હતો અને તેમને ત્યાં એક ઓમાની નાગરિકની અટકાયત થયેલી હોય તે બરાબર ન લાગે એટલે અમિનને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

આ આઠ ઓફિસરોની ટીમ છેલ્લાં. પાંચ વર્ષથી અહીં કામ કરતી હતી. ગયા ઓગસ્ટ મહિનામાં તેમની અટકાયત કરવામાં આવી ત્યારે તેઓ બધા ઘરે હતા. તેમને કોઈ નોટિસ જારી કરવામાં આવી હતી. કતરની સ્ટેટ એજન્સીની એક ટુકડી આવી અને ટ્રેનિંગમાં જવાનું છે કહીને આઠેને લઇ ગઈ. 

શરૂઆતમાં, અમુક સમાચારોમાં એવી માહિતી હતી કે આ આઠે સેવા નિવૃત્ત ઓફિસર્સને ઇઝરાયેલ માટે જાસૂસી કરવાની શંકા પરથી પકડવામાં આવ્યા છે, જો કે અમુક મીડિયા સંગઠનોએ અજ્ઞાત ગુપ્તચર સૂત્રોના હવાલો આપીને આ થિયરીને ખારીજ કરી નાખી હતી.

ઇઝરાયેલ સાથે કતરના સંબંધો કાયમ ઉતાર-ચઢાવવાળા રહ્યા છે. 1996માં, કતરે ઇઝરાયેલ સાથે વ્યાપારી સંબંધોની શરૂઆત કરી હતી. ત્યારે ઇઝરાયેલ સાથે સંબંધ સ્થાપિત કરનારો કતર પહેલો આરબ દેશ હતો. 2009 સુધી બંને દેશોના સંબંધો રાજનૈતિક અને આર્થિક હતા, પરંતુ ઇઝરાયેલના ઓપરેશન કાસ્ટ લીડ પછી કતરે ઇઝરાયેલ સાથે સંબંધ કાપી નાખ્યો હતો. ઓપરેશન કાસ્ટ લીડ 2008માં શરૂ થયું હતું અને તેમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો હતો. તેમાં પેલેસ્ટાઇનને ઘણી બરબાદી થઇ હતી. એ પછી કતર અને અન્ય ખાડી દેશોએ પેલેસ્ટાઇનને બેઠું કરવા માટે શપથ લીધા હતા.

આ ઓફિસરોની મુક્તિ માટે કરવામાં વાઈ રહેલા પ્રયાસોના સંદર્ભમાં એક સવાલના જવાબમાં વિદેશમંત્રી એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે આ એક સંવેદનશીલ મામલો છે અને તેમની મુક્તિ અમારી પ્રાથમિકતામાં છે.

તેમણે આ કહ્યું તેને પણ ચાર મહિનાનો સમય વીતી ગયો છે અને હવે તો ઓફિસરો સામે અદાલતી કાર્યવાહી શરૂ થવાની છે જે પછી તેમને વિધિવત સજા જ ફરમાવામાં આવશે. તેમનો શું અપરાધ છે અને શું સજા થાય છે તે તો હવે અદાલતમાંથી જ ખબર પડશે. મામલો કેટલો અશક્ય છે તે એ વાત પરથી જ ખબર પડે છે કે છેલ્લા આઠ મહિનામાં આ ઓફિસરોની જમીન અરજી આઠ વખત ખારીજ થઇ ચૂકી છે.

ઓફિસર પુર્નેંદુ તિવારીની બહેન મીતુ ભાર્ગવે કતર સરકારને અપીલ કરી છે કે માનવીય આધાર પર તેમને છોડી મુકવામાં આવે. તેનો પણ જવાબ નથી. 15મી માર્ચે મીતુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આ સેવાનિવૃત્ત ઓફિસરો એકાંત કારાવાસમાં રહીને માનસિક રૂપે તુટવાની અણી પર છે. તેઓ અનેક બીમારીઓનો ભોગ બન્યા છે. તેમનું વજન 10થી 15 કિલો ઘટી ગયું છે.

દેખીતી રીતે જ, આ આઠ ઓફિસરોનો મામલો ભારત સરકારના કતર સ્થિત અધિકારીઓ યોગ્ય કૂટનીતિક વાતચીત સુધી લઇ જઈ શક્યા નથી. એવું થાય એ પણ આશ્ચર્ય છે. પાકિસ્તાન જેવો કોઈ દુ:શ્મન દેશ હોય તો આવી અડચણ સમજમાં આવે છે, પણ કતર સાથે દાયકાઓથી ભારતની મૈત્રી છે. 2008માં, ડો. મનમોહન સિંહની યાત્રા પછી આ સંબંધ વધુ મજબૂત થયો હતો. 2015માં, કતરના અમીર શેખ તમીમ હમાદ અલ થાની ભારત આવ્યા હતા અને 2016માં નરેન્દ્ર મોદી કતર ગયા હતા. ખુદ જયશંકર અત્યાર સુધી ત્રણ વાર કતરના મહેમાન બની ચુક્યા છે.

કાઁગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીની સરકાર આઠ ઓફિસરોની મુક્તિ માટે કતર સરકાર પર કૂટનીતિક દબાણ લાવતાં ખચકાય છે ત્યારે 6 એપ્રિલે વિદેશ મંત્રાલયે તેના જવાબમાં કહ્યું હતું કે ભારત કતરની કાનૂની પ્રક્રિયામાં દખલઅંદાજી નહીં કરે. કાઁગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું હતું કે, ‘કતરે ઓમાનના નાગરિકને છોડી દીધો પણ આઠ ભારતીયો હજુ અટકાયતમાં છે, એવું કેમ?”

‘ધ ન્યૂ ઇન્ડિયન એકપ્રેસ’ના અહેવાલ પ્રમાણે, કતરના કાનૂન હેઠળ આ આઠે ઓફિસરો સામે અલગ-અલગ આરોપો ઘડવાની તૈયારી થઇ ચૂકી છે. તેમની અંતિમ જમીન અરજી 19 માર્ચના રોજ ખારીજ કરવામાં આવી ત્યારે તેમને જણાવામાં આવ્યું હતું કે તેમની સામે વ્યક્તિગત ધોરણે આરોપો ઘડવામાં આવશે.

લાસ્ટ લાઈન:

“બોલતી વખતે કશું જ ન કહેવું એનું નામ ડિપ્લોમસી.”

— વિલ ડુરાં

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 16 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1311,1321,1331,134...1,1401,1501,160...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved