Opinion Magazine
Number of visits: 9563730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રસન્ન ભારત : ભ્રમ અને વાસ્તવ વચ્ચે કેટલું અંતર ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 May 2023

ચંદુ મહેરિયા

ભારત કરતાં પાકિસ્તાનના અને એ બેઉ કરતાં રશિયા સાથેના યુદ્ધથી ત્રાહિમામ્‌ યુક્રેનના લોકો વધુ આનંદિત જીવન વ્યતીત કરે છે તથા એશિયા કરતાં યુરોપના દેશો વધુ ખુશહાલ છે, એવું કોઈ કહે તો આપણે માનીએ ? શું આનંદ, ખુશી, પ્રસન્નતાની લાગણી માપી શકાય? આ સવાલો થવાનું કારણ વલ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૩ છે. આ વરસના વિશ્વ પ્રસન્નતા દિવસે (વીસમી માર્ચ) જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્ર્સંઘ સમર્થિત સંસ્થા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કના વિશ્વ પ્રસન્નતા અહેવાલમાં સામેલ ૧૩૭ દેશોમાં ભારતનું સ્થાન ૧૨૬મું છે. દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા ધરાવતા વિશ્વગુરુ ભારતને આનંદિત દેશોના ક્રમમાં મળેલા નિમ્ન સ્થાને વિવાદ જગવ્યો છે.

યુનોએ ૨૦૧૩થી આનંદ, તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ વધારવા વીસમી માર્ચના દિવસને નેશનલ ડે ઓફ હેપ્પીનેસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. તે દિવસે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રગટ થાય છે. ૨૦૨૦થી ૨૦૨૨ના ત્રણ વરસનું વિષ્લેષણ રજૂ કરતાં ૨૦૨૩માં જાહેર, ૧૬૬ પૃષ્ઠોના અને પાંચ પ્રકરણોમાં વિભાજિત આ રિપોર્ટમાં પાંચ લેખો તથા ૧૩૭ દેશોનું રેન્કિંગ છે. માત્રાત્મક સંકેતકોથી લોકોના જીવનનું ગુણાત્મક મૂલ્યાંકન કરતાં આ અહેવાલમાં સતત છઠ્ઠા વરસે માંડ ૫૫.૫૪ લાખની વસ્તી ધરાવતો દેશ ફિનલેન્ડ પ્રથમ સ્થાને છે. ૨૦૨૦થી અંતિમ સ્થાને રહેતા અફઘાનિસ્તાને તેનું આ સ્થાન ૨૦૨૩માં પણ જાળવી રાખ્યું છે. પહેલા વીસ દેશોમાં એક પણ એશિયન દેશ નથી.

ગૈલપ વર્લ્ડ પોલના ડેટા ઉપરાંત સંબંધિત દેશોના પ્રતિનિધિરૂપ ૫૦૦થી ૩,૦૦૦ લોકોએ નિશ્ચિત માપદંડોને લગતા પ્રશ્નોના જવાબો તરીકે ૦થી ૧૦નો જે રેન્ક દર્શાવ્યા હોય છે તેની સરેરાશ પરથી આ હેપ્પીનેસ આંક નક્કી કરવામાં આવે છે. ઠરાવેલા માપદંડો સ્થાનિક અને વૈશ્વિક હોય છે. જેમ કે, સ્વસ્થ સરેરાશ આયુષ્ય, પ્રતિવ્યક્તિ જી.ડી.પી., સામાજિક સમર્થન, ઉદારતા, વ્યક્તિને જીવનમાં પસંદગીની સ્વતંત્રતાનો અધિકાર, ઉદારતા, કલ્પનાલોક અને દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતનું સ્થાન સુધરી રહ્યું છે. પરંતુ ઘણા વરસોથી તે તળિયે જ જોવા મળે છે. ૨૦૧૯માં તેનો પ્રસન્નતા આંક ૧૪૦, ૨૦૨૦માં ૧૪૪, ૨૦૨૧માં ૧૩૯, ૨૦૨૨માં ૧૩૬ અને ૨૦૨૩માં ૧૨૬ છે. ૨૦૨૩માં ભારત કરતાં ભારતના પાડોશી દેશોમાં વધુ પ્રસન્નતા જણાઈ છે. ચીનનો ક્રમ ૬૪, મ્યાંમારનો ૭૨, નેપાળનો ૭૮, બાંગ્લાદેશનો ૧૦૨ અને પાકિસ્તાનનો ૧૦૮ છે. યુદ્ધમાં ઘેરાયેલા રશિયા અને યુક્રેનના આનંદક્રમ અનુક્રમે ૭૦ અને ૯૨ છે. તે પણ ભારત કરતાં પ્રસન્નતામાં ચડિયાતા હોય તે બાબત નવાઈ પમાડે તેવી છે.

એકસો સાડત્રીસ દેશોમાં ભારતનું સ્થાન એકસો છવ્વીસમું હોય તે વાત ઘણાને હજમ થતી નથી. જો કે ઘણાને તેમાં કંઈ અજુગતું પણ લાગતું નથી. ઓક્સફામના અમીરો-ગરીબો વચ્ચેના અંતરનો અહેવાલ, ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ, માતા-બાળક મૃત્યુદર, માનવ વિકાસ સૂચકાંક, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, ગુણવતાયુક્ત શિક્ષણના અભાવથી અપૂરતી આરોગ્ય સગવડો જેવા ઘણા અહેવાલોમાં ભારતનું સ્થાન નીચું છે. એટલે હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત તળિયાના દસ દેશોમાં હોય તે સ્વાભાવિક લેખાવું જોઈએ. દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષાનો અભાવ, શહેરીકરણા અને તેના સવાલો, બેરોજગારી સાથે આવકમાં ઘટાડો, આરોગ્ય ખર્ચમાં વધારો, ખરાબ માનસિક આરોગ્ય અને પર્યાવરણ-પ્રદૂષણ જેવી બાબતો ભારતના લોકોની ખુશીમાં બાધક છે.

સવાસો કરોડની વસ્તીના દેશના ૫૦૦ થી ૩,૦૦૦ લોકોના જવાબો પરથી પ્રસન્નતા આંક કઈ રીતે નક્કી થઈ શકે તેવો સવાલ પણ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતના નીચા સ્થાનના વિરોધીઓનો છે. બહુ નાની સેમ્પલ સાઈઝનો આ સવાલ લગભગ કોઈ પણ સર્વેક્ષણના નિષ્કર્ષો સામે ઉઠતો હોય છે. તેના જવાબમાં રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે તેના તારણો ૯૫ ટકા સાચા છે કે તે રિઝનેબલી ગુડ એસ્ટીમેટ એટ ઘ નેશનલ લેવલ છે.

કેટલાક આલોચકો માપદંડો સામે સવાલો ઉઠાવે છે. ખુશીને અસર કરી શકે તેવા માપદંડોનો અભાવ હોવાની તેમની ફરિયાદ છે. વળી જટિલ અને બહુઆયામી આનંદ અને ઉદારતાની અવધારણાને કઈ રીતે માપી શકાય ? તેમ પણ તેઓ પૂછે છે. માત્ર આર્થિક સમૃદ્ધિ આનંદનું કારણ હોઈ શકે ખરું ? જો જવાબ હા હોય તો અમેરિકા, બ્રિટન અને સંયુક્ત આરબ અમીરાત જેવા ધનના ઢગલે આટોળતા દેશો પ્રસન્નતામાં ટોપ ટેન કેમ નથી? એટલે લોકોની ખુશી અને સંતોષ માત્ર આર્થિક બાબતો પર જ નિર્ભર નથી.

ભારત પણ લોકોના ચહેરા પર પ્રસન્નતા આણવા અને આંકવા પ્રયત્નો કરી રહ્યું છે. મધ્ય પ્રદેશ સરકારે ૨૦૧૬થી રાજ્યમાં આનંદ મંત્રાલય શરૂ કર્યું છે. તેનું કારણ રાજ્યમાં વધતા આત્મહત્યાના બનાવો અને લોકોમાં વ્યાપ્ત તણાવ અને નિરાશા હતા. લોકોમાં આનંદ સહિતની બાબતો રોપવા કેટલાક મોડ્યુલ તૈયાર કર્યા છે. તે ઉપરાંત આનંદ કલબ અને જોય ઓફ ગિવિંગના આયોજનો થાય છે. વડા પ્રધાને જી-૨૦ના દેશોને મહિલાઓમાં પ્રસન્નતા જાણવા કરેલા આહ્વાનને અનુસરીને હરિયાણામાં એક એન.જી.ઓ.એ રાજ્યના ત્રણ જિલ્લામાં વુમન હેપ્પીનેસ ઈન્ડેક્ષ માટે સર્વે હાથ ધર્યો છે. સંસ્થા વુમન હેપ્પીનેસ ચાર્ટ મહિલાઓના ઘરે લગાવીને તેના પરથી મહિલાઓની ખુશી માપવાની છે. ૨૦૨૩માં દુનિયાના જે દસ દેશો પ્રસન્નતામાં ટોચે છે તેમાંથી આઠ દેશોમાં ચાળીસ ટકા સંસદીય પદો પર મહિલાઓ છે. એ દૃષ્ટિએ પણ મહિલાઓની ખુશીને પ્રાધાન્ય મળવું જોઈએ.

માનસશાસ્ત્રના સંશોધક ફ્રેન્ક માર્ટેલા પ્રસન્નતા આંકને જરા જુદી રીતે મૂલવે છે. તેઓ કહે છે કે હું ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ છે એમ નહીં કહું પણ એમ કહીશ કે  ફિનલેન્ડમાં બહુ ઓછા લોકો દુ:ખી છે. કોઈ પણ સરકાર તેના નાગરિકોના ચહેરા પર પરાણે સ્મિત ના આણી શકે પરંતુ યોગ્ય અને સારું કામ કરવા સક્ષમ સંસ્થાઓ, સગવડો અને સેવાઓ આપીને તે તેમના દુ:ખનાં ઘણાં કારણો દૂર કરી શકે છે.

૧૯૫૬માં સૌરાષ્ટ્ર સરકારે સફાઈ કામદારોની સ્થિતિનો અભ્યાસ કરવા દવે કમિશનની રચના કરી હતી. કમિશને તેના અહેવાલમાં સફાઈ કામદારોની વસ્તીની જાત મુલાકાતના આધારે સાંજ પડે લોકો વસ્તીમાં ભેગા થઈ હાહાહીહી અને ઠઠ્ઠામશ્કરી કરતા હોય છે તેની ટીકા કરી હતી. સફાઈ કામદારો તેમના દુ:ખ અને વેદનાને ભૂલવા હસે કે હસી કાઢે તે ટીકાસ્પદ અને મહાનગરો-નગરોની કૃત્રિમ હાસ્યની લાફિંગ કલબો આવકારદાયક એવા વિરોધાભાસ વચ્ચેના પ્રસન્ન ભારતના પ્રસન્નતા આંકને માપવો અઘરો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

રાજકીય લાભ માટે પવાર કોઈ સાથે પણ વિશ્વાસઘાત કરી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 May 2023

રમેશ ઓઝા

શરદ પવાર ચતુર મહત્ત્વાકાંક્ષી નેતા છે. તેમણે તેમની ચતુરાઈ દ્વારા મહત્ત્વાકાંક્ષા પૂરી કરી છે અને બળબળતી મહત્ત્વાકાંક્ષાએ ચતુરાઈને ઝાંખી પાડી છે. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી વડા પ્રધાન બનવા પી.વી. નરસિંહ રાવ સામે તેમણે કરેલી ઉમેદવારી અને મે ૧૯૯૯માં  વિદેશી સોનિયા ગાંધીનાં નેતૃત્વનો અસ્વીકાર કરીને કરેલી બગાવત આનાં ઉદાહરણ છે. ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તક ઝડપીને મહારાષ્ટ્રને સબળ શાસકની જરૂર છે એમ કહીને વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવીને દિલ્હીથી મુંબઈ ધકેલી દીધા. ૧૯૯૯માં તેમને એમ લાગ્યું હતું કે દેશમાં પ્રવાહી રાજકીય સ્થિતિમાં સોનિયા ગાંધીનું વિદેશી હોવાપણું મોટો મુદ્દો બનશે અને તેઓ પક્ષમાં રાષ્ટ્રીય નેતૃત્વ ધારણ કરશે. તેમની એ ગણતરી ખોટી પડી. ઊલટું શરદ પવાર રાષ્ટ્રીય નેતાની જગ્યાએ માત્ર એક રાજ્યમાં રાજકીય હાજરી ધરાવનારા પક્ષના નેતા બની ગયા. મુલાયમ સિંહ યાદવ કે પ્રકાશસિંહ બાદલ જેવા પ્રાદેશિક નેતા નહીં, પણ માત્ર એક જ પ્રદેશમાં વગ ધરાવનારા રાષ્ટ્રીય નેતા. આ દૃષ્ટિએ શરદ પવારને એક અનોખા નેતા કહેવા જોઈએ.

શરદ પવાર

૨૪ વરસ પહેલાં તેમણે કાઁગ્રેસ છોડી હતી અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી. હવે તેમણે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. પ્રસંગ તેમની આત્મકથાની સુધારિત આવૃત્તિના વિમોચનનો હતો. સામે પક્ષના દિગ્ગજ નેતાઓ બેઠા હતા અને સોપો પડી ગયો. અશ્રુધારા વહેવા લાગી અને થોભો થોભો અને કોઈ રોકો રોકોના ઉદ્ગારો થવા માંડ્યા. છેવટે પવારે કહ્યું કે તેમને વિચારવા માટે ત્રણ દિવસ અને સંપૂર્ણ એકાંત આપવામાં આવે. કોઈ કાર્યકર્તા કે નેતા મળવા આવ્યો છે તો તેઓ પુનર્વિચાર નહીં કરે. ત્રણ દિવસ પછી પવાર શું નિર્ણય લે છે તેની યથા સમય જાણ થઈ જશે, પણ તેમણે આવો નિર્ણય લીધો શું કામ એ પ્રશ્ન તો રહે જ છે. પવાર કોઈ નિર્ણય વગર વિચાર્યે લેતા નથી. તેનાં દૂર દૂરનાં પરિણામ તેને ભળાય એટલા તેઓ વિચક્ષણ છે. ટાઈમિંગની બાબતમાં પણ તેઓ ભાગ્યે જ થાપ ખાય છે. શા માટે શરદ પવારે અત્યારે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી હશે? બીજું તેમણે માત્ર પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે પોતે કહ્યું છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી અને જાહેરજીવનમાંથી નિવૃત્ત થવાના નથી. આમ એન.સી.પી. અને પવાર વચ્ચેનો અવિભાજ્ય સંબંધ તેઓ હયાત છે ત્યાં સુધી અવિભાજ્ય જ રહેવાનો છે.

ભારતમાં પરિવાર સ્થાપિત રાજકીય પક્ષોમાં વારસાનો સંઘર્ષ હંમેશાં જોવા મળ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નજર કરો, દરેક પક્ષમાં સ્થાપક નેતાનાં મૃત્યુ પછી કલહ જોવા મળ્યો છે. એન.ટી. રામારાવ અને બાળ ઠાકરેનાં પરિવારમાં તો તેમની હયાતીમાં જ કલહ શરૂ થઈ ગયો હતો. શરદ પવારનાં પરિવારમાં પણ પુત્રી સુપ્રિયા સૂલે અને ભત્રીજા અજીત પવાર વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. અજીત પવારે તો ૨૦૧૯માં બી.જે.પી. સાથે હાથ મેળવ્યા પણ હતા. એમાં શરદ પવારની સંમતિ હતી કે નહીં એ આપણે નથી જાણતા. અત્યારે ફરી ચર્ચા ચાલી રહી છે કે અજીત પવાર કાકા સામે બળવો કરીને બી.જે.પી. સાથે હાથ મેળવવાના છે. અજીત પવારને એમ લાગે છે કે ભારતમાં પોતાનાં રક્તનાં અદકેરાપણાની મજબૂરી જોતાં વારસો સુપ્રિયાને જ મળવાનો હોય અને પોતાનાં નસીબમાં રાજ ઠાકરે બનવાનું લખાયું હોય તો એ નસીબ અત્યારે જ બદલી નાખવું જોઈએ.

ઘરમાં શું ચાલી રહ્યું છે એની જાણ પવારથી વધુ કોને હોય? એમ લાગે છે કે તેઓ ગૃહકલેશનો પોતાની પુત્રીના પક્ષમાં અંત લાવવા અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા છે. જે થવાનું હશે એ તેમની હયાતીમાં નજર સામે થશે અને તેઓ તેનો સામનો કરી લેશે. કાર્યકર્તા અને જિલ્લા સ્તરના નેતાઓ શરદ પવાર સાથે હોય એટલે પક્ષમાં વિભાજનનો સવાલ નથી અને જો થાય તો પણ તેને પહોંચી વળી શકાય. શિવસેનાનો દાખલો સામે છે. આખી શિવસેના તેના ડણાક દેતા વાઘ અને ચૂંટણીચિહ્ન સહિત છીનવી લીધી હોવા છતાં, છીનવી લેનારાઓ લોકોની વચ્ચે જતાં ડરે છે, કારણ કે કાર્યકર્તા અને નાના સ્થાનિક નેતાઓ ઉદ્ધવ ઠાકરેની સાથે છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ડરના માર્યા યોજવામાં આવતી નથી. આમ પક્ષના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવાનું દેખીતું કારણ પોતાની હયાતીમાં અજીત પવારની સંભવિત ખટપટને નાથવાનું છે.

ભારતનાં રાજકારણમાં શરદ પવાર એક માત્ર એવા નેતા છે જેમના દરેક પક્ષમાં મિત્રો છે અને તેઓ મોટા ઉદ્યોગપતિઓના પણ મિત્ર છે. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં જો નવાજૂની થાય અને પોતે પક્ષીય રાજકારણ અને તેની ગણતરીઓથી ઉપરવટ હોય તો કદાચ વડા પ્રધાન બનવાની તક મળે. શરદ પવાર ૧૯૮૦થી ભારતના વડા પ્રધાન બનવાના મનોરથ સેવે છે અને એ કોઈ છૂપી વાત નથી. ૧૯૯૬માં વી.પી. સિંહ વિરોધ પક્ષોમાં જે સ્થાન અને આદર ધરાવતા હતા એવું સ્થાન અને આદર મેળવી શકાય. વી.પી. સિંહ જનતા દળમાંથી નિવૃત્ત થઈ ગયા હતા અને માત્ર તેને કારણે વડા પ્રધાનપદ માટે લડતા ત્રીજા મોરચાના નેતાઓએ વી.પી. સિંહને વડા પ્રધાન બનવાની વિનંતી કરી હતી. શું ખબર પવારને એવો મોકો મળે પણ ખરો!

શરદ પવારની એક મર્યાદા છે વિશ્વાસર્હતાનો અભાવ. તેઓ અંગત સંબંધમાં અત્યંત ભરોસાપાત્ર માણસ છે, પણ રાજકીય લાભ માટે કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરી શકે. માત્ર રાજકીય લાભ માટે, અંગત નુકસાન ન પહોંચાડે, બલકે અંગત નુકસાન ન થાય તેનું ધ્યાન રાખે.

શરદ પવાર સત્તામાં હોય કે ન હોય, પણ શરદ પવાર રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેવાની આવડત ધરાવે છે. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 મે 2023

Loading

સરેરાશ ભારતીય એક સમયે અનેક ઓળખ સાથે જીવે છે

રમેશ ઓઝા|Diaspora - Features|3 May 2023

પાકિસ્તાનની વાત આવે એટલે ભારતીયતા જાગી ઊઠે, કારણ પાકિસ્તાન ભારતનું દુ:શ્મન છે. બ્રાહ્મણની વાત આવે એટલે દલિતપણું જાગી ઊઠે !

રમેશ ઓઝા

બ્રિટનમાં વસતા ગુજરાતીઓએ નોખો ચોકો કર્યો તેને કારણે બ્રિટનમાં વસતા અન્ય ભારતીયો નારાજ થયા છે અને તેઓ ગુજરાતીઓનાં વલણને વિભાજક અને ભારતીયતા વિરોધી તરીકે ઓળખાવી રહ્યા છે. કેટલાક લોકો તેને મનોમન હિંદુ વિરોધી પણ માનતા હશે, પણ તેમ બોલતા નથી. બ્રિટિશ ગુજરાતીઓએ અલગથી ‘ધ બ્રિટિશ ગુજરાતી ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ’ની સ્થાપના કરી છે. સાધારણ રીતે પરાયા દેશમાં વસતા સ્વદેશીઓ વચ્ચે વધારે લાગણીનો સંબંધ જોવા મળે છે. ઘરઆંગણે ધર્મ, ભાષા, નાત-જાતના નામે એકબીજાથી અંતર પાળતા લોકો પરાયા દેશમાં વધારે એકત્વ ધરાવે છે. કારણ બહુ સ્પષ્ટ છે; હૂંફ, સલામતી અને સાંસ્કૃતિક સહિયારાપણું. માણસ એકલો જીવી શકતો નથી અને જેમ જેમ કેન્દ્રથી દૂર જાય એમ પોતાનાંનો પરિઘ પહોળો થવા લાગે છે.

તો પછી એવું શું થયું કે બ્રિટનમાં ગુજરાતીઓએ અલગ ચોકો કર્યો? આજકાલ ભારતમાં વસતા હિંદુઓ કરતાં વિદેશમાં વસતા હિંદુઓ વધારે દેશપ્રેમી અને રાષ્ટ્રવાદી છે. તેઓ વધારે ધર્મપ્રેમી અને સંસ્કૃતિપ્રેમી છે. તેઓ વતનઝૂરાપો અનુભવે છે અને પાછળ કાંઈક છૂટી ગયું હોવાની પીડા અનુભવે છે. માટે તો ભારતીય પ્રજા જે દેશોમાં વસે છે એ દેશોના લોકો ફરિયાદ કરે છે કે તેઓ રહે છે અહીં, કમાય છે અહીં, સુખસગવડ અહીંની ભોગવે છે; પણ તેમનો પહેલો પ્રેમ તેમના વતન માટે અને પોતાના ધર્મ માટે હોય છે. જો તેઓ આટલો બધો ઝૂરાપો અનુભવતા હોય તો તેમણે પોતાને વતન પાછા જતા રહેવું જોઈએ. કાં તો જે ભૂમિમાં રહેતા હોય તેને પ્રેમ કરતા શીખો અને કાં જે ભૂમિને પ્રેમ કરતા હો ત્યાં જતા રહો. બ્રિટિશ ગુજરાતી કે બ્રિટિશ શીખમાં જે બ્રિટિશ છે એ સ્થળવાચક છે એનાથી વિશેષ કાંઈ જ નથી એમ તેઓ ટોણો મારે છે. તેઓ એટલે કે ભારતીયો ખરા અને વિશાળ અર્થમાં બ્રિટિશ થયા નથી અને થવા માગતા નથી.

પરાઈ ધરતીમાં વધારે એકતા જોવા મળતી હોય તો એ એકતા બ્રિટિશ ગુજરાતીઓએ તોડી શા માટે ? અને તેઓ જો સવાયા દેશપ્રેમી રાષ્ટ્રવાદી ભારતીય હોય તો તેનું બ્રિટનમાં બાષ્પીભવન કેમ થઈ ગયું? આ ઘટના એક રીતે નાની છે, પણ તેનાં સૂચિતાર્થો ઘણાં મોટાં છે. ખાસ કરીને અત્યારે અસ્મિતાઓનો જ્વર વકર્યો છે અને રાજકારણનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે ત્યારે એને સમજવાની જરૂર છે.

બ્રિટનની સંસદમાં ભારતીય વંશના 27 સંસદસભ્ય છે અને તેમાં 14 ગુજરાતી છે. 27 ભારતીય વંશના સંસદસભ્યોમાં 15 સભ્યો આમની સભાના સભ્યો છે એટલે કે આપણી લોકસભાની જેમ અદના બ્રિટિશ મતદાતાઓએ ચૂંટ્યા છે. બ્રિટનના વડા પ્રધાન ભારતીય વંશના છે. ગોરા ખ્રિસ્તી અંગ્રેજોએ એક વિદેશી વંશના, અશ્વેત અને વિધર્મીને પોતાનો ગણ્યો છે, પણ ગુજરાતીઓએ સંસદમાં તેમની બહુમતી હોવા છતાં અલગ ચોકો કર્યો છે. જો અલગ ચોકો કરવો હોય તો પંજાબી કે બીજા કરે, ગુજરાતીઓ શા માટે કરે જેનું પલડું પહેલેથી જ ભારે છે!

એનાં બે કારણ છે. એક તો ભારતીય માનસ. ભારતીય જેવી અને ભારતીય જવા દો, અખંડ હિંદુ જેવી કોઈ ચીજ નથી. સરેરાશ ભારતીય એક સાથે એક કરતાં વધુ ઓળખ ધરાવીને જીવે છે. એક કરતાં વધુ ઓળખ ધરાવે છે એટલે દેખીતી રીતે એક કરતાં વધુ દુ:શ્મન ધરાવે છે. પાકિસ્તાનની વાત આવે એટલે ભારતીયતા જાગી ઊઠે, કારણ પાકિસ્તાન ભારતનું દુ:શ્મન છે. બ્રાહ્મણની વાત આવે એટલે દલિતપણું જાગી ઊઠે. ગુજરાતની વાત આવે એટલે ગેરગુજરાતીની યાદ આવે. આમ ઓળખ પકડશો નહીં કે દુ:શ્મન સામે આવશે નહીં. આ અસ્મિતા કે ઓળખનો સ્વભાવ છે. આમાં જો સંખ્યા મોટી હોય અને સંખ્યા અને આર્થિક-સામાજિક રાજકીય તાકાત વધુ હોય તો ઓળખ માતેલી બનવા લાગે છે અને દુ:શ્મન મોટો દુ:શ્મન બની જાય છે. બ્રિટનમાં આવું બની રહ્યું છે. અડધો અડધ વસ્તી ગુજરાતીઓની છે અને બીજી કોમ કરતાં આર્થિક-સામાજિક-રાજકીય સરસાઈ ધરાવે છે. બીજાઓને ઘાસ નાખવાની જરૂર શું છે? ગુજરાતીઓએ નોખો ચોકો કર્યો એનું આ પહેલું કારણ.

બીજું કારણ આનાથી પણ વધારે ચિંતા કરાવનારું છે. એક જમાનામાં લોકશાહી દેશોમાં રાજકીય પક્ષો ચોક્કસ વિચારધારા અને વિચારધારા આધારિત નીતિને વરેલા હતા. બ્રિટનમાં મજૂર પક્ષ વસાહતીઓની બાબતે ઉદાર વલણ અપનાવતો હતો એટલે ભારતીયો મહદ્અંશે તેને ટેકો આપતા હતા. આજે વિચારધારા અને નીતિનું સ્થાન લોબિંગે લઈ લીધું છે. એક સમાન હિતસંબંધો ધરાવનારાઓ જે તે પક્ષના પ્રતિનિધિઓને પોતાના જૂથ માટે લોબિંગ કરવા રોકે અને તેમને પૈસા આપે. પશ્ચિમના કેટલાક દેશોમાં લોબિંગ કાયદેસર છે.

બ્રિટિશ ગુજરાતી શ્રેષ્ઠીઓને લાગ્યું હશે કે આ રાજકારણીઓને પૈસા આપણે આપીએ, મત આપણા વધુ તો આપણી વગમાં હજુ વધારો થાય એવું શા માટે ન કરવું? બાકીના ભારતીયો જાય ભાડમાં, તેઓ પોતાનું ફોડી લેશે. નવા જૂથનું નામ જુઓ : ‘ધ બ્રિટિશ ગુજરાતી ઑલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ’ ઑલ પાર્ટી. અમારું કામ કરી આપો, અમે તમારું કામ કરી આપશું.

ટૂંકમાં ગુજરાતીઓએ નોખો ચોકો કર્યો એનું બીજું કારણ સ્વાર્થ છે. આવતીકાલે બ્રિટિશ ગુજરાતી પાટીદારોનું પણ અલગ જૂથ રચાઈ શકે છે. પૈસા અમે ખરચીએ તો અમારી સરસાઈ વધવી જોઈએ! જગતમાં અત્યારે લોકશાહી પર કુઠારાઘાત થઈ રહ્યા છે અને તેનું પોત પાતળું પડી રહ્યું છે તેનું આ મુખ્ય કારણ છે. પૈસાએ વિચારને ખરીદી લીધો છે. ખરીદ્યો નથી, ખતમ કરી નાખ્યો છે. મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, બહુમતી રાષ્ટ્રવાદ વગેરે બેવકૂફ લોકોને પકડાવવા માટેનું ગાજર માત્ર છે.

માટે કહ્યું કે આ ઘટના નાની છે, પણ તેનાં સૂચિતાર્થ મહત્ત્વનાં છે. ઓળખ સ્વાર્થનિર્ભર છે અને તે સતત બદલાતી રહેતી હોય છે! માટે ગાંડા થવાની જરૂર નથી.

e.mail : ozaramesh@gmail.com
સૌજન્ય : ‘કારણ તારણ’, ‘રસ રંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઍપ્રિલ 2023
છવિ સૌજન્ય : ભૂપેન્દ્રસિંહજી જેઠવા

Loading

...102030...1,1111,1121,1131,114...1,1201,1301,140...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved