Opinion Magazine
Number of visits: 9458186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવ-અધિકાર, પુરુષ અધિકાર, સ્ત્રી-અધિકાર …

સોનલ પરીખ|Opinion - Opinion|8 February 2023

આજે લગભગ 25 ટકા સ્ત્રીઓ કમાય છે ને આ ટકાવારી વધતી જાય છે, પણ સમાજની માનસિકતા એ ઝડપે બદલાતી નથી. પુરુષો હજી ઘરકામને પોતાનું માનતા નથી, અને સ્ત્રી બેવડો બોજો વહ્યે જાય છે. પોતાનાં ખોરાક, ઊંઘ, આરામ, આનંદ અને કસરત પર એનું ધ્યાન રહેતું નથી. આપણી સંસ્કૃતિ પણ સ્ત્રીને પોતાની જાતને સૌથી છેલ્લે મૂકવાનું શીખવે છે. 

નિયમિત ભોજન; તાજાં ફળ–શાકભાજી અને ઘરનું બનેલું ખાવાનું, 10 મિનિટ સૂર્યપ્રકાશ, 15 મિનિટ કસરત અને આઠ કલાક ઊંઘ. આટલું મળે તેટલો અવકાશ દરેક પુરુષને તેમ દરેક સ્ત્રીને જોઈએ. માનવ તરીકે સ્ત્રીને જીવન, સ્વાતંત્ર્ય અને સુખની પ્રાપ્તિનો અધિકાર છે. શોષણનો વિરોધ એ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે. 

ગયા વર્ષે એક અભિનેતાએ એક નવા રાજકીય પક્ષની સ્થાપના કરી અને કહ્યું કે જો પોતે ચૂંટાશે તો ગૃહિણીઓને વેતન અપાય તેવું કરશે. એક નેતાએ તેનું સમર્થન કર્યુ, ‘સરસ. ગૃહિણીઓને વેતન મળશે તો તેમના શ્રમનું ગૌરવ થશે અને તેમનું સશક્તીકરણ પણ થશે.’ સામે એક અભિનેત્રીએ વિરોધ કર્યો, ‘ગૃહિણીનાં પ્રદાનનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. તેને વેતન આપવું એ તેનું ગૌરવ હણવા જેવું છે.’

માનવ અધિકાર અને માનવગરિમા આ શબ્દો જૂના ને જાણીતા છતાં ઘણાં ક્ષેત્રોમાં એના પૂરા અર્થમાં ઊઘડતા નથી, તેમાંનું એક છે સ્ત્રીઓના અધિકાર. ‘હ્યુમન રાઈટ્સ’ શબ્દ પુરુષ અને સ્ત્રી બન્નેને સમાવી લે તો છે, પણ અધિકારોના મામલે વાત જુદી થઈ જાય છે. એકને અધિકાર મળે છે, બીજાને મેળવવા પડે છે. 10 ડિસેમ્બર – માનવ અધિકાર દિન નિમિત્તે વાત કરીએ આ ‘જુદી વાત’ની.

માનવ-અધિકાર એટલે માનવ હોવાને કારણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો. માનવ-અધિકારનાં બીજ ગ્રીસના સ્ટોઇક ચિંતકોએ રજૂ કરેલા ‘પ્રાકૃતિક કાયદા’ની વિભાવનામાં રહેલાં છે. તેઓ માનતા કે સૃષ્ટિનાં તમામ જીવંત સર્જનમાં એક સનાતન અને વિશ્વવ્યાપી શક્તિ રહેલી હોય છે, આથી માનવવર્તનને કાયદાઓથી નહીં, પ્રાકૃતિક નિયમોથી મૂલવવું જોઈએ. રોમન વિચારક સિસેરોએ આ નિયમોને સરકારોથી પણ ઉપરવટના કહ્યા, જેમાંથી ક્રમશ: પ્રાકૃતિક અધિકારોનો ખ્યાલ વ્યાપક બન્યો અને ધર્મસુધારણાની સાથે વિકસ્યો – જેમાં પ્રત્યેક ક્ષેત્રમાં બૌદ્ધિક, સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક સ્વાતંત્ર્ય માટેની માગ હતી. ટૉમસ એક્વાઇનસ, હ્યૂગો, ગ્રોશિયસ, સ્પિનોઝા, ફ્રાંસિસ બેકન, લૉક, વૉલ્તેર, મૉન્તેસ્ક અને રૂસો જેવા વિચારકો અને વિવિધ ક્રાંતિઓ દ્વારા આ અધિકારોની વિભાવના પરિપુષ્ટ થતી રહી. 1776માં અમેરિકાના બંધારણની ઘોષણામાં એને આવરી લેવામાં આવી : ‘અમે એ સ્વયંસિદ્ધ સત્યને સ્વીકારીએ છીએ કે તમામ માનવો જન્મે સમાન છે. પરમ સર્જકે તેમને કેટલાક અદેય અધિકારો દીધા છે; જેમાં જીવન, સ્વાતંત્ર્ય અને સુખની પ્રાપ્તિના અધિકારો સમાયેલા છે.’ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધોને કારણે માનવ-અધિકારોની સ્થિતિ ચિંતાજનક બની એથી સંયુક્ત રાષ્ટ્રસંઘે 10 ડિસેમ્બર, 1948ના રોજ ‘યુનિવર્સલ ડેક્લેરેશન ઑવ્ હ્યૂમન રાઇટ્સ’ ઘોષિત કર્યું. યુનોના તમામ સભ્ય રાષ્ટ્રોએ તેનો સ્વીકાર કર્યો.

આ પશ્ચાદ્દભૂમાં વાત કરીએ ઘરનાં કામનાં મૂલ્યની. મુદ્દો નવો નથી. ઘરનાં કામનું મૂલ્ય થવું તો જોઈએ. પણ તેની ગણતરી કેવી રીતે કરવી? પૈસા કોણ આપે? જો પતિ આપે તો પત્ની તેની પગારદાર નોકર ન ગણાય? ને ઘરના કામમાં શું શું ગણવું? રસોઈ, સફાઈ, વ્યવસ્થા, બાળઉછેર, વૃદ્ધોની સંભાળ, આવક અને ખર્ચનું મેનેજમેન્ટ, વ્યવહારિક કામો, નિર્ણય, સામાજિક સંબંધો સાચવવા – આ બધાની પૈસામાં કિંમત કઈ રીતે અંકાય? વાત તો સાચી – ગૃહિણીનાં પ્રદાનનું મૂલ્ય આંકવું મુશ્કેલ છે. પણ એનો અર્થ એવો પણ નહીં કે પછી તેની કિંમત કરવાની જ નહીં. આપણે તો ગૃહિણીનાં કામને કામ જ નથી ગણતા. ગૃહિણી પણ ‘હું કંઈ નથી કરતી’ એવું કહેવા ટેવાઈ ગઈ છે. ઘરનું કામ ‘બિનઉત્પાદક’ ગણાય છે. આ ‘બિનઉત્પાદક’ કામમાં સ્ત્રીના રોજના છ કલાક જાય છે જેની સામે પુરુષ આ કામમાં અડધીથી પોણી કલાક માંડ ખર્ચે છે. ઘરમાં વ્યવસ્થાની જરૂર સ્ત્રી અને પુરુષ બંને માટે જરૂરી છે. પણ પુરુષ ઘરમાં મહેમાનની જેમ રહે છે અને જવાબદારી બધી સ્ત્રી પર હોય છે.

પચાસ વર્ષની મીરાના પતિને મહિનામાં પંદર દિવસ બહારગામ ફરવું પડે છે. મીરા ગૃહિણી છે, પણ તેને બે દિવસ પણ ક્યાંક જવું હોય તો નીકળાતું નથી કેમ કે તેની બે દીકરીઓ નોકરી કરે છે. ઘરડા સસરા બીમાર છે. બધાના સમય, આદતો, ગમાઅણગમા સચવાય તેવી રસોઈ બનાવવી, શાકભાજી-ફળો-કરિયાણું લાવવું ને ભરવું, કામવાળી બહેનો પર દેખરેખ રાખવી, પતિના જવા-આવવાની તૈયારી કરવી અને કંઈ કેટલું ય. પતિ જે કરે છે તેનું તેને તગડું નાણાકીય વળતર મળે છે, પણ તેના વિના ઘર ચાલે છે. મંજરી જે કરે છે તેનું તેને કોઈ નાણાંકીય વળતર મળતું નથી. પણ તે ન હોય તો ઘર ચાલતું નથી. હવે તેનાં કામને પૈસામાં મૂલવવું હોય તો કઈ રીતે મૂલવવું ?

નીના ૩૫ વર્ષની છે. બાળકના જન્મ સમયે તેણે નોકરી છોડી અને બાળક દોઢ વર્ષનું થયું ત્યારે નોકરી ફરી શરૂ કરી. કામવાળી હતી, આયા અને રસોઈયણ રાખ્યાં. આ બધાના પગારમાં ખાસ્સા રૂપિયા જાય છે. એ લોકો પોતાના સમયે પોતાનું કામ સારી રીતે કરે છે, પણ એમ છતાં પ્રીતાને ઘરનું અને બાળકનું ઘણું કામ સતત પહોંચતું રહે છે.

અને નિવૃત્તિ. બાસઠ વર્ષનાં હેમાબહેન પર વેવાઈઓની સરભરાથી માંડી નોકરી કરતી વહુનો સમય સાચવવા સુધીની જવાબદારી છે. દીકરી અને પુત્રવધૂની સુવાવડો, જે પણ ઘરમાં જાય ત્યાં બાળકને સાચવવાનું, યુવાન પેઢીના રુટિન સાથે, કામકાજની પદ્ધતિ સાથે એડજસ્ટ થવાનું. પતિ સાથે જ હોય છે. તેમને એડજેસ્ટ થવાનું હોતું નથી. એમને સમયે સમયે ચા, નાસ્તો, જમવાનું હાથમાં મળે છે. મધુબહેન ત્રણ પેઢીની સગવડ અને મન સાચવવા દોડ્યાં કરે ને એમના પતિ સવારે લાફીંગ ક્લબમાં જાય, બપોરે-રાતે ખાઈ-પીને ટી.વી. જુએ, સાંજે ફરવા જાય.

કોરોનામાં પતિ-પત્ની બંનેને વર્ક ફ્રોમ હોમ થયું. ત્યાં પણ એ જ કહાણી – પતિને ઘર કે બાળક વળગતાં નથી. પત્ની ગમે તેટલી યુવાન હોય, આધુનિક હોય; તેને બધું જ વળગે છે અને જો તે મુક્ત થવા જાય તો ઘર અને બાળક રખડી પડે છે. મોટા ભાગની સ્ત્રીઓ ઘર-વ્યવસાય બંનેને સંભાળી તો લે છે, પણ તેમાં તેની શારીરિક-માનસિક તંદુરસ્તીનો ભોગ લેવાઈ જાય છે.

આ કારણથી અનેક આધુનિક યુવતીઓ બાળક અને લગ્નને પણ ટાળે છે ને પરણેલી અને છૈયાંછોકરાંવાળી સ્ત્રીઓને અદેખાઇ આવી જાય એવા દમામથી જીવે છે ખરી, પણ લગ્ન અને સંતાનો સામાજિક સ્વીકાર માટે જરૂરી તો ગણાય છે. પરિણીત અને સંતાન ન ઈચ્છતી નેહાને ટ્યુબલ લિગાટેશન એટલે કે બાળક ન થાય તેવું નાનું ઓપરેશન કરાવવું હતું. પણ ડૉક્ટરો એ કરવા તૈયાર ન થયા એટલું જ નહીં એ જેને પ્રોગ્રેસિવ ગણતી હતી એવા મિત્રોએ પણ નેહાના નિર્ણયને વિકૃત કહ્યો અને ડૉક્ટરોનો પક્ષ લીધો.

આ બધું આપણી આસપાસ જ છે. આજે લગભગ 25 ટકા સ્ત્રીઓ કમાય છે ને આ ટકાવારી વધતી જાય છે, પણ સમાજની માનસિકતા એ ઝડપે બદલાતી નથી. પુરુષો હજી ઘરકામને પોતાનું માનતા નથી, અને સ્ત્રી બેવડો બોજો વહ્યે જાય છે. પોતાનાં ખોરાક, ઊંઘ, આરામ, આનંદ અને કસરત પર એનું ધ્યાન રહેતું નથી. આપણી સંસ્કૃતિ પણ સ્ત્રીને પોતાની જાતને સૌથી છેલ્લે મૂકવાનું શીખવે છે. ફિટનેસ ઍપ્સ અને જિમ્નેશિયમના ઘોડાપૂર છતાં દોડધામભરી જિંદગી અને સ્ટ્રેસ એનું કામ કરે જ છે.

નિયમિત રીતે સવારનો નાસ્તો, બપોરનું અને રાતનું ભોજન; તાજાં ફળ-શાકભાજી અને ઘરનું બનેલું ખાવું, બિસ્કીટ-મીઠાઈ-તળેલાં નાસ્તા-ફાસ્ટ ફૂડ-ચોકલેટ બને તેટલાં ઓછા ખાવાં, 10 મિનિટ સૂર્યપ્રકાશ લેવો, 15 મિનિટ કસરત કરવી અને આઠ કલાક સૂવું. આટલું મળે તેટલો અવકાશ દરેક પુરુષને તેમ દરેક સ્ત્રીને જોઈએ. સ્ત્રી માનવ છે, અને તેને જીવન, સ્વાતંત્ર્ય અને સુખની પ્રાપ્તિનો અધિકાર છે તે તેણે પોતે, પુરુષે, પરિવારે અને સમાજે બધાએ સમજવાનું છે, કેમ કે શોષણનો વિરોધ એ દરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 11 ડિસેમ્બર 2022

Loading

વાર્તાકાર ધર્મેન્દ્ર ત્રિવેદીને અભિનંદન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|7 February 2023

‘પુષ્પક’ વાર્તાસંગ્રહના લેખક ધર્મેન્દ્ર ત્રિવેદીને આજે ‘શ્રી અંજલિ ખાંડવાળા વાર્તાકાર પારિતોષિક’થી નવાજવામાં આવી રહ્યા છે.

‘પુષ્પક’ સંગ્રહની બાર તાજગીભરી વાર્તાઓમાંથી કેટલીક અવનવી છે, તો થોડીક અ‍ટપટી પણ છે. બે વાર્તાઓ એટલા માટે વધારે ગમી કે તેમાં પુસ્તકોને, પુસ્તકોના વાચનને, તેમાંથી મળતાં આનંદને ખાસ સ્થાન છે.

કોઈ લેખક આપણા લોકમાંથી લુપ્ત થતા વાચનરાગને આટલી સરસ રીતે સ્પર્શે એ જ મોટા હરખની વાત છે.

‘સમણાંનો ચોર’ વાંચતાં તો ‘just fantastic, બિલકુલ અદ્દભુત!’ એવા ઉદ્દગાર સરી પડે. માત્ર એટલા માટે જ નહીં કે સંગ્રહની બીજી પાંચેક વાર્તાઓની જેમ તેમાં fantasyનો ઉપયોગ થયો છે, વધુ સહજ લાગે તે રીતે થયો છે; વિશેષ એટલા માટે કે આ નવલિકા બાળકો માટેની ફૅન્ટસીભરી વાર્તાઓની ચોપડીઓ, અને બાળકોને વાર્તા કહેવાની લગભગ ખોવાઈ ગયેલી વૃત્તિ-પ્રવૃત્તિને રમણીય રીતે ઉજાગર કરે છે.

મોડી સાંજે વડલા નીચે ગામનાં ટાબરિયાને ભેગાં કરી વાર્તા સંભળાવનાર મણિમાની યાદમાં બનેલું વાર્તામંદિર, તેમાં દર રવિવારે સાંજે વાર્તા કહેવા-સાંભળવા માટે ભરાતો રસિયાઓનો મેળાવડો, મણિમાની પુણ્યતિથિએ ઉજવાતો વાર્ષિક વાર્તા-ઉત્સવ, મણિમાના દિમાગમાંથી વાર્તાઓને, અને સમણાં કહેતાં વાર્તા સર્જનારી કલ્પનાશક્તિને ચોરવાનો નિષ્ફળ પ્રયાસ કરીને પછી સુધરી જનારા ‘સમણાંના ચોર’, તેમાંથી એકે અમેરિકામાં કરેલી સ્કૂલ ઑફ સ્ટોરિ ટેલિન્ગ … આ બધું ખૂબ રોમાંચક છે.

મણિમા અને બાળકોની વચ્ચેનાં તેમના વાર્તાકથનનાં બે પાનાંનું વર્ણન એક કરતાં વધુ વખત વાંચવાનું ગમે તેવું છે. ચોરના પાત્રો, આવા ચોર બનવા પાછળના કારણો, તેમની ‘વાર્તા-અતૃપ્તિ વિદ્યા’, મણિમાના અંતરંગમાં પ્રવેશીને તેમણે કરેલી ઉચાપત જેવી બાબતો ઉચ્ચ સર્જનશીલ કલ્પના creative imaginationની ફલશ્રુતિ છે.

ધર્મેન્દ્ર ત્રિવેદી

આ કલ્પનાસમૃદ્ધિના મૂળમાં બાળપણનું વાર્તાપોષણ છે. લેખક કેફિયતમાં નોંધે છે : ‘વાર્તા સાથેનો મારો નાતો ખોપરીની છાપ છોડી જતા ફૅન્ટમના મુક્કાની સાથે શરૂ થઈને જૂલે વર્નની કથાઓના નાયકો, ઇસપની બોધકથાઓનાં જાનવરો, અરેબિયન નાઈટસ તથા બત્રીસ પૂતળીની કથાઓ, તિલસ્મીઓ, વિક્ટર હ્યુગોના જ્યાં વાલજ્યાંની પીડાઓ સુધી બહુ નાની ઉંમરે વિસ્તર્યો.’

નાની ઉંમરે પુસ્તકો માટેનું ખેંચાણ અને તેને સંતોષી નહીં શકનાર પિતાની ખેંચતાણ ‘જેતલસર જંક્શન’માં મનભર રીતે વ્યક્ત થઈ છે. દીકરો બાપુની સાથે ઉપલેટાથી છેલ્લી ટ્વેન્ટિ સિક્સ ડાઉનમાં ઉપડ્યો છે. તેમણે એને ‘જેતલસર જંક્શનના બુકસ્ટૉલ પરથી ચોપડિયું લેવાની ટેવ પાડી છે’. પણ આ વખતે બાપુની પાસે નોકરી નથી એટલે એટલે પૈસાની ખેંચ છે. તેમને ‘સાંધાવાળાના હકો માટે લડતાં સસ્પેન્શન’ આવ્યું છે.

મા-બાપુની વાતમાં દીકરો સસ્પેન્શન વિશે સાંભળી ગયો છે પણ એનો મતલબ જાણતો નથી. રેલવેના ડબામાં બેઠાં પછી સ્ટેશન પર સ્ટેશન પસાર થતાં જાય છે. ચોપડીઓ માટેની દીકરાની  તાલાવેલી વધતી જાય છે.

બાપુ ય વળી થેલામાંથી ચોપડી કાઢીને વાંચવાની ઠાલી કોશિશ કરે છે. ચોપડીઓનું રટણ  કર્યાં કરતા છોકરાને આડે પાટે ચડાવા બાપુ તેને ‘મૃગજળ’ કહેતાં ઝાંઝવાની વાર્તા કહેવાની શરૂઆત કરે છે.

જેતલસર સ્ટેશને ઝગમગતા સ્ટૉલ દેખાય છે. દીકરાની નજરે ચોપડીઓનો સ્ટૉલ દેખાય છે : ‘જોવો ચોપડિ’યું દેખાય છે. જો ચાંદામામા, બુલબુલ, ચંપક લટકે.’ પણ ગાડી આગળ ચાલી. ‘બુક સ્ટૉલ તો વયો ય ગયો.’ ચોપડીઓ તે જાણે ઝાંઝવાં.

પણ સુખાન્ત વાર્તામાં દીકરાના ઘરના વાસ્તુવિધિમાં આવેલાં બાપુ થેલામાંથી રીડર્સ  ડાયજેસ્ટનું મોંઘુંદાટ પુસ્તક ‘એનિમલ્સ ઑફ ધ વર્લ્ડ – એન એનસાયક્લોપિડિયા’ કાઢે છે.

દીકરો બાપને ભેટીને હિબકાં ભરવા લાગે છે અને બાપ બોલે છે, ‘ના દીકુ, શાંત થઈ જા શાંત, ઈ ઝાંઝવાં નહોતાં.’ બે-ત્રણ દાયકાના સમયપટ પરના બે પ્રસંગો પરની આખી વાર્તા ટ્રેનના કડકડાટ અને પાત્રોના દિલોદિમાગના તલસાટની વચ્ચે ખૂબ અસરકારક રીતે ચાલતી રહે છે અને ઉત્કટાથી પૂરી થાય છે. 

‘રેલવે સૃષ્ટિની અઠ્ઠ્યાવીસ  ટૂંકી વાર્તાઓ’નો વાર્તાઓનો સંગ્રહ ‘ટેબ્લેટ’ તાજેતરમાં પ્રસિદ્ધ થયો છે. ગાંધીનગરના યુવાન સાહિત્યપ્રેમી ધ્રુવ પ્રજાપતિએ કરેલો આ નોખો સંચય ‘જુમો ભીસ્તી’ વાર્તાથી શરૂ થાય છે અને તેમાં ‘જેતલસર જંક્શન’ વાર્તા પણ છે.

સાહિત્યક્ષેત્રે ધર્મેન્દ્ર ત્રિવેદી પાસે ઘડાઈ રહેલા ઉત્સાહી વાચક ધ્રુવને, ધર્મન્દ્રભાઈની જ ઉપરોક્ત બે વાર્તાઓને પગલે, ગુજરાતી ભાષાની પુસ્તકકેન્દ્રી વાર્તાઓના સંચયનું સૂચન કરવાનું મન થાય છે.

કંઈક વિષયફેરે તેમાં ‘શબ્દ વર્સિસ અક્ષર’ વાર્તા પણ સમાવી શકાય. કમ્પ્યુટર ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગના વસ્તુ થકી કહેવાયેલી આ એક વિજ્ઞાન કથા – સાયન્સ ફિક્શન છે. પણ તેનો વિષય સાહિત્યજગતનો સંઘર્ષ છે. તેનું અર્થઘટન ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીમાં સ્વાયત્તાતાના સિદ્ધાન્ત માટે ચાલતાં સંઘર્ષના સંદર્ભમાં થઈ શકે.

જેતલસર જંક્શનની જેમ ‘પુષ્પક’ પણ પિતા-પુત્રના સંબંધની વાર્તા છે. તેમાં પણ પુસ્તક કહેતાં સામયિક આવે છે અને તે ય દીકરાના છાત્રાલયના ઓરડામાં બાપાને હાથ લાગેલ ખૂબ કામુક તસ્વીરો માટે પંકાયેલું ‘ડેબોનેર’ માસિક.

આ બંને વાર્તાઓ અને પહેલી વાર્તા ‘ફરી વાર’ વાંચતાં, ધર્મેન્દ્રના પિતા જનક ત્રિવેદીએ અત્યંત બળકટ ભાષામાં લખેલો દીર્ઘ આત્મકથનાત્મક નિબંધોનો, જુદી દુનિયામાં લઈ જનાર, વાચક પર છવાઈ જનાર સંગ્રહ ‘મારો અસબાબ’ યાદ આવે.

ધર્મેન્દ્રભાઈને તો જનકભાઈ યાદ આવે જ, એટલે તેઓ ‘મનની બે વાત’ને આરંભે લખે છે : ‘આંગળીએ વળગીને ચાલતાં થયો ત્યારે સહેજ ઊંચું જોઉં તો જનકભાઈ દેખાતા. બહારની દુનિયા અને મારી વચ્ચે તેઓ કાયમ અડીખમ ઊભા રહેતા અને હું સુરક્ષિત છું એવો અહેસાસ કરાવતા.

‘મજાની વાત તો એ કે  એક પિતા તરીકે એમણે મને કાયમ સુરક્ષાનો અનુભવ કરાવ્યો છે, પરંતુ એક સર્જક તરીકે તેઓએ મને હંમેશાં એમની ક્રૂર ટીકાઓના ઓથાર હેઠળ રાખેલો. એમ પણ થાય કે, શું મારે મારા મનની બે વાત કહેવી હોય તો પિતૃવંદના કરવાની જરૂર ખરી ? બિલકુલ નહીં, અને એ કારણોસર પણ મારે એમને યાદ તો જરૂર કરવા પડે ને ?’

લેખકે લાંબા સમયથી ચાલી રહેલી તેમની જે કથાસાધના વિશે પણ કેફિયતમાં લખ્યું છે. તેની પ્રતીતિ આ સંગ્રહની ઘણી વાર્તાઓમાંથી થાય છે.      

સંગ્રહનું અર્પણ છે : ‘મને કાનથી વાર્તા વાંચવાનો ચહકો લગાડનારી મારી ‘બહેન’ માતા સરોજબહેનને … અને વાર્તામાં કળાતત્ત્વની સમજણ આપનારા મારા ‘બાજી’ પિતા જનકભાઈને’. આ દંપતી વિશે વળી ક્યારેક …. અત્યારે તો તેમના ‘દકા’ને અભિનંદન !

 ધર્મેન્દ્ર ત્રિવેદીને 2021-22ના વર્ષનું અંજલિ ખાંડવાલા વાર્તાકાર પારિતોષિક તેમ જ દીપક શાહ (2020-21) અને પીયૂષ દવે(2021-22)ને અંજલિ ખાંડવાલા સ્વરકાર પારિતોષિક આપવાનો સમારંભ આજે સાંજે 5.30 વાગ્યે ગુજરાત વિશ્વકોશમાં યોજવામાં આવ્યો છે. 

 ‘પુષ્પક’: પ્રકાશક – સ્પર્શ પ્રકાશન, સૂરત. • નવેમ્બર 2021, • રૂ. એકસો પચાસ • e.mail : info@sparshpublication.com • 09428012249 

(850 શબ્દો)
07 ફેબ્રુઆરી  2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભોપાલ દુર્ઘટના નિવારી શકાઈ હોત …

સોનલ પરીખ|Opinion - Opinion|7 February 2023

સોનલ પરીખ

1984ની ત્રીજી ડિસેમ્બર. વહેલી સવારે પ્લાન્ટમાંથી મોટા ગડગડાટ સાથે ઝેરી ગેસના ગોટા છૂટ્યા ને નિંદ્રાધીન ભોપાલની પાંચ લાખની વસ્તી પર ફરી વળ્યા. થોડા કલાકોમાં તો શેરીઓમાં માણસો અને પશુપંખીઓના મૃતદેહો રઝળતા હતા. 3,800 લોકો તાત્કાલિક મૃત્યુ પામ્યા. હૉસ્પિટલો ઊભરાવા માંડી. શું થયું ને હવે શું થશે એનો અંદાજ કોઈને જ ન હતો …

વર્ષ 1984 ભારતના ઇતિહાસમાં ખાસ છે. એ વર્ષે સરકારે મંગલ પાંડેની ટિકિટ બહાર પાડી, એ જ વર્ષે રાકેશ શર્મા સોયુઝ ટી-20માં અવકાશયાત્રા પર ગયા, એ જ વર્ષે ઓપરેશન મેઘદૂત દ્વારા સિયાચીનનો મોટો ભાગ ભારતીય સૈન્યે કબજે કર્યો.

એ જ વર્ષે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. 1983ના ડિસેમ્બરમાં ભિંદરાવાલાએ પોતાના હથિયારબંધ સાથીઓ સાથે અમૃતસરના સુવર્ણમંદિરના અકાલ તખ્ત પર કબજો કર્યો. દિલ્હી સરકાર માટે આ સીધો પડકાર હતો. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ મોટો નિર્ણય લીધો, જૂન 1984માં બ્લુ સ્ટાર ઑપરેશન અંતર્ગત ભારતીય સૈન્યે અમૃતસરના સુવર્ણમંદિરમાં પ્રવેશ કર્યો અને અથડામણમાં 83 જવાનો સહિત 500 મૃત્યુ થયાં; એને પરિણામે વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની એમના જ શીખ અંગરક્ષકો દ્વારા હત્યા થઈ, એને પગલે શીખ રમખાણો થયાં અને ભારતના રાજકારણની દશા અને દિશા બદલાઈ ગઈ. 

1984ની 31 ઑક્ટોબરે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ. એ જ દિવસે રાજીવ ગાંધીને વડા પ્રધાન બનાવાયા. હજી તેઓ સ્થિર થાય – ન થાય ત્યાં મધ્ય પ્રદેશના ભોપાલમાં એક ઔદ્યોગિક દુર્ઘટના બની. ત્યાંના યુનિયન કાર્બાઈડના પેસ્ટિસાઈડ પ્લાન્ટમાંથી ઝેરી ગેસનું મોટા પ્રમાણમાં ગળતર થયું. પાંચ લાખ લોકોના ફેફસાંમાં આ ઝેરી ગેસ ગયો. હજારો માણસો તાત્કાલિક મૃત્યુ પામ્યા, હજારો માણસો બીમારી અને અકાળ મૃત્યુનો ભોગ બન્યા. ઇતિહાસની આ સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાએ કરેલાં પ્રદૂષણના અંશો હજી પણ ભોપાલનાં પાણી અને ભૂમિમાં છે. 3 ડિસેમ્બરે આ દુર્ઘટનાને 38 વર્ષ થયાં, એ નિમિત્તે વાત કરીએ સહેલાઈથી નિવારી શકાઈ હોત એવી, ખૂબ વિનાશ વેરી ગયેલી એ દુર્ઘટનાની.

1917માં અમેરિકાના હ્યુસ્ટનમાં એક રાસાયણિક ઉત્પાદનો કરતી કંપની સ્થપાઈ, યુનિયન કાર્બાઈડ કૉર્પોરેશન. 1970ના દાયકામાં ભારત સરકારે વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આકર્ષાય એવી કેટલીક નીતિઓ બનાવી, જેના પરિણામે યુનિયન કાર્બાઈડે ભારતમાં પોતાનું યુનિટ ભોપાલમાં, ભૌગોલિક સ્થાન અને અવરજવરની સુગમતાને લીધે શરૂ કર્યું. અહીં એશિયાના દેશોમાં જેની માગ હતી એવાં ખેતી માટેનાં જંતુનાશક બનવાનાં હતાં. જોતજોતામાં યુનિયન કાર્બાઈડ ઇન્ડિયા લિમિટેડ(યુ.સી.આઈ.એલ.) ધમધમવા લાગી. શરૂઆતમાં રસાયણો બહારથી આવતાં અને જંતુનાશકો કંપની બનાવતી, પણ દોઢેક દાયકા પછી વિવિધ કરણોસર જંતુનાશકોનું બજાર નબળું પડ્યું. આર્થિક સંઘર્ષને પહોંચી વળવા કંપનીએ કાચો માલ, પ્રક્રિયા અને ઉત્પાદન એક જ જગ્યાએ કરવા માંડ્યું. સુરક્ષા અને પ્રદૂષણને લગતાં ધોરણો સાચવવા મુશ્કેલ બન્યાં. અનુભવી અને જાણકાર લોકોની જગ્યાએ સ્ટાફમાં ઓછા પગારમાં કામ કરતા નવા અને અકુશળ લોકોની સંખ્યા વધી. યુ.સી.આઈ.એલ. હવે ખતરનાક પ્રક્રિયાઓ કરતું પણ પૂરતી સુરક્ષાવ્યવસ્થા વિનાનું કારખાનું હતું.

2 ડિસેમ્બર 1984ની રાત્રે 11 વાગ્યે, ભોપાલ શહેર લગભગ ઊંઘમાં સરી ગયું હતું એ સમયે પ્લાન્ટના એક ઓપરેટરે મિથાઈલ આઈસોસાઈનેટ ગેસનું ગળતર થતું જોયું અને એ પણ નોંધ્યું કે સ્ટોરેજ ટેન્કમાં પ્રેશર વધી રહ્યું છે. આવું થાય ત્યારે જે સુરક્ષાસાધન ઉપયોગમાં લેવાનું હોય તે ત્રણ અઠવાડિયાથી બંધ હતું. દરમિયાન એક તૂટેલા પાઈપમાંથી 1 ટન પાણી 40 ટન મિથાઈલ આઈસોસાઈનેટ સાથે ભળી ગયું જેને લીધે સ્ટોરેજ ટેન્કને ઠંડુ રાખતા રેફ્રિજરેશન યુનિટનું 30 ટન રસાયણ નકામું થઈ ગયું. પ્રેશર, ગરમી અને એને લીધે એક્ઝોથર્મિક રિએક્શન ઝડપથી વધ્યાં. આવા અકસ્માતો માટે ઔદ્યોગિક એકમોમાં ફ્લેર ગેસ સેફટી સિસ્ટમ હોય – અહીં પણ હતી, પણ ત્રણચાર મહિનાથી બંધ હતી.

અને ત્રણ ડિસેમ્બરની વહેલી સવારે એક વાગ્યે પ્લાન્ટમાંથી મોટા ગડગડાટ સાથે ઝેરી ગેસના ગોટા છૂટ્યા ને ભોપાલ પર ફરી વળ્યા. થોડા કલાકોમાં તો શેરીઓ માણસો અને પશુપંખીઓના મૃતદેહોથી છવાઈ ગઈ. 3,800 લોકો તાત્કાલિક મૃત્યુ પામ્યા. બળતી આંખો અને રુંધાતા શ્વાસની ફરિયાદ લઈ આવતા લોકોથી હૉસ્પિટલો ઊભરાવા માંડી. શું થયું છે ને હવે શું થશે એનો કોઈને અંદાજ ન હતો.

મૃત્યુઆંક વધતો ગયો. તપાસો થઈ. શરૂઆતમાં તો અમેરિકન કંપનીએ ‘પ્લાન્ટ ભારતનો છે’ કહી હાથ ખંખેરી નાખ્યા, અહીંના સત્તાવાળાઓએ ‘શીખ આતંકવાદીઓ’ પર દોષ ઢોળવાની કોશિશ કરી, ઝેરી વાયુઓના પુરાવા લોકોનાં ફેફસાંમાં ને લોહીમાં ભળ્યાના પુરાવાઓને પણ નકાર્યા. આટલું ઓછું હોય એમ દુર્ઘટના પછી કારખાનાની પૂરતી સફાઈ પણ ન થઈ. ઝેરી તત્ત્વો હવા, પાણી અને જમીનમાં ભળતાં રહ્યાં.

યુનિયન કાર્બાઈડ કંપનીના સી.ઈ.ઓ. અને ચેરમેન વૉરેન એન્ડરસનની ધરપકડ થઈ હતી, પણ થોડા જ કલાકમાં એને જામીન મળી ગયા. પીડિતો અદાલતના ચક્કર કાપતા રહ્યા. લાંબી કાનૂની લડાઇ પછી  સુપ્રિમ કૉર્ટમાં 15,000થી વધારે મૃત્યુ થયાં હોવાનું સ્વીકારાયું. કંપનીએ 470 મિલિયન યુ.એસ. ડૉલર આપ્યા જે થયેલા નુકસાનના પ્રમાણમાં ઘણા ઓછા હતા.

ભોપાલ દુર્ઘટના ત્રીજા વિશ્વના દેશોમાં અપૂરતી સુરક્ષાવ્યવસ્થાવાળા અને આડેધડ થઈ રહેલા  ઔદ્યોગીકરણ સામે લાલબત્તી ધરે છે. આર્થિક પ્રગતિ માટે મથતા વિકાસશીલ દેશોએ મલ્ટિનેશનલ કૉર્પોરેશનના બેવડાં ધોરણોથી ચેતવું અને સુરક્ષાનાં આંતરરાષ્ટ્રીય ધોરણો ગમે તેટલાં સારાં હોય, તેનું બરાબર વ્યવસ્થાપન-અમલીકરણ ન થાય તો નકામા છે એ સમજવું જરૂરી છે.

એ ગાળામાં ભોપાલનું જાહેર આરોગ્ય માળખું નબળું હતું. ખરું જોતાં ઝેરી રસાયણોની ઈન્ડસ્ટ્રી બાજુમાં હોય ત્યારે આરોગ્ય-માળખું મજબૂત અને મોટા અકસ્માતને પહોંચી વળવા સક્ષમ હોવું જોઈએ. એને બદલે પહેલેથી પાણી પ્રદૂષિત આવતું, વપરાયેલા પાણી કે કચરાના નિકાલની વ્યવસ્થા અપૂરતી હતી, ચાર મોટી હોસ્પિટલો હતી પણ ડૉક્ટરો પૂરતા ન હતા. આવી જગ્યાએ કેમિકલ ઈન્ડસ્ટ્રી બનાવવી ન જોઈએ.

આ ઘટના પછી 1986માં પર્યાવરણ-સંરક્ષણ કાયદો પસાર થયો અને દરેક ઉદ્યોગમાં એનો અમલ ફરજિયાત બન્યો. છતાં આરોગ્ય, જંગલો, વન્યજીવન અને પર્યાવરણ જોખમાતાં જ રહ્યાં છે. નીતિઓ અને પ્રતિબદ્ધતા અપૂરતાં પડી જાય છે. ઉદ્યોગો વધતા જાય છે, કુદરતી સ્રોતોનું ધોવાણ થયા કરે છે, શહેરીકરણ અને ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. ઉદ્યોગોથી આર્થિક વિકાસ થાય અને જી.ડી.પી. વધે એ ખરું, પણ તેનાથી જાહેર આરોગ્ય અને પર્યાવરણ પરનું જોખમ પણ એટલું જ વધે છે. મોટા પ્રમાણમાં સ્થપાયેલા નાના ઉદ્યોગો તો સુરક્ષાનિયમો પાળતા જ નથી – યમુના નદીનું પ્રદૂષણ એની સાક્ષી પૂરે છે.

ભોપાલ દુર્ઘટના પછી બે જ વર્ષમાં રશિયામાં ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટમાં મોટો અકસ્માત થયો, હજારો મૃત્યુ અને મોટા પ્રમાણમાં પ્રદૂષણ થયું. એચ.બી.ઓ.એ એના પર સુંદર સિરિયલ બનાવી છે. ભોપાલ દુર્ઘટના પર પણ ફિલ્મ બની છે. 2001માં કોડાઈકેનાલની એક સ્કૂલ પાસે થર્મોમીટર બનાવતી એક કંપની, જોખમી ઔદ્યોગિક વેસ્ટ નાખતા પકડાઈ હતી. વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો થોકબંધ કચરો કોઈ તપાસ કે શુદ્ધિકરણ પ્રક્રિયાઓ વગર ભારતમાં મોકલાતો હતો. વિકાસશીલ દેશોના લોકો પ્રદૂષિત જમીનોમાં ઊગેલું ખાય છે, પ્રદૂષિત પાણી પીએ છે અને પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે. ભારતમાં દર વર્ષે 25,000થી વધારે લોકો આ કારણે મરે છે. 

કેટલાક બ્રિટિશ, અમેરિકન અને ભારતીય ઉદ્યોગપતિઓ ઉત્પાદન જેટલું જ મહત્ત્વ આરોગ્ય અને પર્યાવરણને આપતા થયા છે, પણ એમનું પ્રમાણ ઓછું છે. ભોપાલ દુર્ઘટના જેવા બનાવોની શક્યતાઓ આજે પણ ઓછી નથી. ‘ચેર્નોબિલ’ સિરિયલનું એક પાત્ર કહે છે, ‘ખરું જોખમ એ છે કે આપણે ખોટી બાબતોથી એટલા બધા ઘેરાયેલા છીએ કે સાચી સ્થિતિને ઓળખી શકતા નથી. ઈફ વી ડૉન્ટ ફાઈન્ડ આઉટ હાઉ ધિસ હેપન, ધીસ વિલ હેપન અગેઈન.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 04 ડિસેમ્બર 2022

Loading

...102030...1,1111,1121,1131,114...1,1201,1301,140...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved