Opinion Magazine
Number of visits: 9667356
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નૈતિક’ બહાદુર શાસ્ત્રીનું એ રાજીનામું શું બોધ આપે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 June 2023

રાજ ગોસ્વામી

દર્શનશાસ્ત્રમાં, નૈતિક જવાબદારી એક અગત્યની ધારણા છે. એક વ્યક્તિ અથવા એક સમાજ જયારે ફ્રી વિલ (સ્વતંત્ર ઈચ્છા) સાથે જીવતો હોય, મતલબ કે હું મારા આચારવિચારને મારી ઈચ્છા પ્રમાણે પસંદ કરતો હોઉં, ત્યારે તેના પરિણામો અંગે મારી નૈતિક જવાબદારી બંને છે. સામૂહિક અને સહિયારા માનવ જીવનનાં હિતો સચવાય અને તેનું કલ્યાણ થાય તે માટે એક વ્યક્તિથી લઈને એક પ્રધાન મંત્રી નૈતિક જવાબદારીના બંધનથી બંધાયેલા હોય છે.

નૈતિક જવાબદારી કાયદેસરની જવાબદારીથી અલગ છે. દાખલા તરીકે, કોઈ છોકરો કોઈનું ખૂન કરી નાખે, તો કાનૂની દૃષ્ટિએ તે અપરાધી છે, પણ તેના પિતા તેના પુત્રના કૃત્યનો પ્રશ્ચાતાપ કરે તો તે નૈતિક જવાબદારી કહેવાય. સાર્વજનિક જીવનમાં નૈતિક જવાબદારીનું બહુ મહત્ત્વ હોય છે કારણ કે સમાજ બહુ મોટો હોય છે અને તે નીતિ-નિયમ મુજબ ચાલતો રહે તેની જવાબદારી સાર્વજનિક આગેવાનોએ લીધેલી હોય છે. એટલા માટે સમાજની સારી-ખરાબ બાબતોની નૈતિક જવાબદારી તેમના માથે હોય છે.

આ સંદર્ભમાં, આપણે ત્યાં લાલબહાદુર શાસ્ત્રીને બહુ યાદ કરવામાં આવે છે. ગયા અઠવાડિયે, ઓડિશામાં દર્દનાન ટ્રેન દુર્ઘટના થઇ, ત્યારે ઘણા લોકોએ શાસ્ત્રીજીને યાદ કર્યા હતા. ઇન ફેક્ટ, દેશમાં જ્યારે જ્યારે ટ્રેન દુર્ઘટનઓ થઇ છે ત્યારે ત્યારે તેમને લોકો યાદ કરતા રહે છે. નૈતિક જવાબદારીની આ તાકાત છે. તે સદાચારનો એક એવો માપદંડ સ્થાપિત કરે છે કે પેઢી દર પેઢી તેને આંબવા પ્રયાસ કરે છે.

અસલી નેતાની આ જ ખૂબી છે. તેની નૈતિક ઊંચાઈ એટલી હોય કે તેની સાથેના લોકો અને તેની પછીના લોકો એટલા જ ઊંચા થવા પ્રયાસ કરે. ખરાબ નેતા હંમેશાં પોતાની ત્રૂટિઓને ઢાંકી રાખે. ઉત્તમ નેતા હંમેશાં પોતાનામાં સુધાર માટેના અવસર શોધે. સાચો નેતા તમારી અંદરથી તમારું બહેતર બહાર લાવે, તમારામાં જે શ્રેષ્ઠ છે, તેને મજબૂત કરે. એનાથી વિપરીત, એવા પણ નેતા હોય છે, જે તમને કનિષ્ઠ કરવા પ્રેરે, તમારામાં જે ગંદકી છે, તમારામાં જે બદતર છે, તે બહાર લાવે.

અઢાર મહિના માટે આઝાદ ભારતના બીજા પ્રધા નમંત્રી બનેલા લાલ બહાદુર શાસ્ત્રી, પંડિત જવાહરલાલ નહેરુના પ્રથમ પ્રધાનમંડળમાં રેલવે મંત્રી હતા. તેમનું મૂળ નામ લાલબહાદુર શ્રીવાસ્તવ હતું, પરંતુ કાશી વિદ્યાપીઠમાંથી સંસ્કૃત ભણીને તેમણે શાસ્ત્રીની ઉપાધિ મેળવી હતી. તેમણે શ્રીવાસ્તવ અટક એટલા માટે કાઢી નાખી હતી કારણ કે તે જાતિસૂચક હતી (શ્રીવાસ્તવ અટક કાયસ્થ બ્રાહ્મણોમાં હોય છે).

ઘરમાં સૌથી નાના હોવાથી પરિવારના લોકો તેમને ‘નન્હે’ કહીને બોલાવતા હતા. તે 18 મહિનાના હતા ત્યારે પિતાજીનો દેહાંત થઇ ગયો હતો. શાસ્ત્રીજી તેમના માસા-માસીને ત્યાં મોટા થયા હતા અને ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. પંડિતજી સાથે તેમણે ઘનિષ્ઠ રીતે કામ કર્યું હતું અને ભારત આઝાદ થયું પછી પંડિતજીએ તેમને તેમના પ્રથમ રેલવે મંત્રી બનાવ્યા હતા.

રેલવે મંત્રી તરીકે અને પ્રધાન મંત્રી તરીકે શાસ્ત્રીજીનો કાર્યકાળ નોંધપાત્ર રહ્યો હતો. ચીન સામેના નાલેશીભર્યા યુદ્ધ અને પંડિતજીના અવસાન પછી 1964માં તે પ્રધાન મંત્રી બન્યા ત્યારે દેશ ઘણા સંકટમાંથી પસાર થઇ રહ્યો હતો. આઝાદ ભારતમાં મૂડીવાદીઓ હાવી થવા માંગતા હતા ત્યારે શાસ્ત્રીજી સામે ખાધાન્ન કિંમતો રોકવાનો પડકાર હતો, જે તેમણે સફળ રીતે પૂરો કર્યો હતો. 65માં દેશને પાકિસ્તાનના આક્રમણનો પણ સામનો કરવો પડ્યો હતો. શાસ્ત્રીજીએ પંડિતજીની સરખામણીમાં આ યુદ્ધનો વધુ સફળતાથી મુકાબલો કર્યો હતો.

શાસ્ત્રીજી તેમની સાદગી અને નૈતિકતા માટે જાણીતા છે. તેઓ પ્રધાન મંત્રી હતા ત્યારે પરિવાર માટે કાર ખરીદવા માટે તેમણે પંજાબ નેશનલ બેંકમાંથી લોન લીધી હતી. તેમની પાસે 7,000 રૂપિયા હતા, પરંતુ ફિયાટ કારની કિંમત 12,000 રૂપિયા હતી એટલે 5,000 બેંક પાસેથી લીધા હતા. આજે તમે એક સાધારણ નેતાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યાના સમાચાર વાંચો તો શાસ્ત્રીજી તમને પરગ્રહવાસી જ લાગે.

શાસ્ત્રીજી ભારતના પહેલા નેતા હતા, જેમણે રેલવે મંત્રીપદેથી નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપ્યું હતું. 23 નવેમ્બર 1956ના રોજ, આંધ્ર પ્રદેશની મરુદૈયારુ નદી પરથી પસાર થઇ રહેલી થૂથુકુડી એક્સપ્રેસ ટ્રેન, ભારે વરસાદ અને નદીમાં પૂરના કારણે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઈ હતી. તેમાં 144 લોકોનાં મોત થયાં હતાં અને 200થી વધુ ઘાયલ થયા હતા. આઝાદ ભારતની એ પહેલી એટલી મોટી ટ્રેન દુર્ઘટના હતી. બરાબર બે મહિના પહેલાં, હૈદરાબાદમાં એક રેલવે બ્રિજ તૂટતાં 112 લોકોનાં મોત થયાં હતાં.

આ બંને ઉપરાછાપરી ઘટનાઓથી વ્યથિત શાસ્ત્રીજી નૈતિક જવાબદારી લઈને રેલવે મંત્રીપદેથી રાજીનામું ધરી દીધું હતું. પહેલી ઘટના બની ત્યારે પંડિતજીએ રાજીનામું લેવાની ના પાડી હતી, પરંતુ બીજી ઘટનામાં પણ શાસ્ત્રીજીએ અપરાધબોજના ભારથી પંડિતજીને રાજીનામું સ્વીકારી લેવાનો આગ્રહ કર્યો ત્યારે પ્રધાન મંત્રીએ રાષ્ટ્રપતિને સમંતિ આપી હતી કે તેઓ રાજીનામું મંજૂર કરે.

નહેરુ પર રાજીનામું નહીં સ્વીકારવાનું દબાણ હતું. ઓછામાં ઓછા 30 સંસદ સભ્યોને એવો અંદાજ આવી ગયો હતો કે પ્રધાન મંત્રી રાજીનામું સ્વીકારવાના મૂડમાં છે, એટલે તેમણે નહેરુને વિનંતી કરી હતી કે તેઓ શાસ્ત્રીજીને જવા ન દે. સભ્યોનો તર્ક એવો હતો કે દુર્ઘટના તકનિકી ભૂલથી થઇ હતી અને એમાં રેલવે મંત્રીની કોઈ જવાબદારી બનતી નથી.

એ પછી લોકસભામાં નિવેદન કરતાં પંડિતજી ઘટના અંગે નિવેદન કરતાં કહ્યું હતું કે તેમના માટે આ રાજીનામું સ્વીકારવું સહેલું નહોતું. તેમણે કહ્યું હતું કે તેમને શાસ્ત્રીજી માટે સૌથી વધુ આદર છે, પરંતુ બંધારણીય સુચિતાના વ્યાપક દૃષ્ટિકોણથી જોતાં એક દાખલો બેસાડવો જોઈએ, જેથી કોઈ વ્યક્તિને એવું ન લાગે કે, ગમે તેવી ઘટના બને તો પણ, તેને કોઈ અસર ન થઇ હોય તેમ વ્યવહાર કરે.

લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર્ય લખનાર સંદીપ શાસ્ત્રી આ ઘટનાના સંદર્ભમાં લખે છે કે, “તેમના રાજીનામા પત્રમાં, શાસ્ત્રીજીએ લખ્યું હતું કે હું ચૂપચાપ મંત્રીપદ છોડી દઉં તે મારા માટે અને સરકાર માટે હિતાવહ છે. અહીં ‘ચૂપચાપ’ (ક્વાઈટલી) શબ્દના ઉપયોગ પર ધ્યાન આપવા જેવું છે. ‘ચૂપચાપ’ એ તેમની પ્રકૃતિ હતી.”

સંદીપજી કહે છે કે રાજીનામું આપીને શાસ્ત્રીજીએ માપદંડ ઊંચો કરી નાખ્યો હતો. લોકો ભલે એને અનુસરી શકતા નહીં હોય, પરંતુ શાસ્ત્રીજી રાજકીય સાખ અને વિશ્વસનિયતા માપવા માટેનું એ અગત્યનું બેરોમીટર છે. છ દાયકાઓ પછી પણ એ ઘટનાને સદાચારના ગોલ્ડ સ્ટાન્ડર્ડ તરીકે યાદ રાખવામાં આવે છે એ હકીકત બતાવે છે કે તેમના રાજીનામાને કેવી રીતે જોવામાં આવે છે. એમાં સંદેહ નથી કે તેનાથી શાસ્ત્રીજીનું કદ ઘણું ઊંચું થઇ ગયું છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 11 જૂન 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતની મોટી સમસ્યા લોકસભામાં પ્રતિનિધિત્વની છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|11 June 2023

રમેશ ઓઝા

આ કોલમમાં મેં લખ્યું હતું એમ જો દર્શન અને મૂલ્યોના બનેલા સાચા ધર્મને પ્રેમ કરશો તો વિવેક આપોઆપ જાગૃત થઈ જશે અને ઝનૂન ઓગળી જશે. જો લોકોના બનેલા દેશને પ્રેમ કરનારા સાચા દેશપ્રેમી બનશો તો બુદ્ધિ આપોઆપ ઠેકાણે આવી જશે અને પ્રશ્નોની જટિલતા સમજાવા લાગશે.

જેમ કે દેશનાં ત્રણ સમૃદ્ધ રાજ્યો દેશનાં ત્રણ ગરીબ રાજ્યો કરતાં ત્રણ ગણી વધુ મહેસૂલ કમાઈને આપે છે, પણ તેમને કેન્દ્ર દ્વારા પૈસાની જે ફાળવણી થાય છે એ ૧૯૭૧ના વસ્તી ગણતરીના આંકડાને આધારે થાય છે, જેમાં ઓછું રળીને આપનારાં રાજ્યો વધુ મોટો હિસ્સો લઈ જાય છે અને વધુ રળીને આપનારાં રાજ્યોને ઓછો હિસ્સો મળે છે. વળી ગરીબ રાજ્યોના લોકો રોજગારી મેળવવા સમૃદ્ધ રાજ્યોમાં ઠલવાય છે. તેઓ મહેમાન રાજ્યમાં સ્થાનિક નાગરિકના ભોગે પોતાની જગ્યા બનાવે છે અને પોતાનાં રાજ્યમાં વધારે મોટો હિસ્સો ધરાવે છે. આને અન્યાય કહેવાય કે યોગદાન? ક્યારે ય વિચાર કર્યો છે?

દેશમાં જે પ્રમાણમાં શહેરીકરણ થઈ રહ્યું છે એ જોતાં નાગરિકનું પ્રતિનિધિત્વ વસ્તીના આધારે કરવું જોઈએ કે પ્રદેશના? જેમ કે ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ મહારાષ્ટ્રની કુલ વસ્તી ૧૧ કરોડ છે જેમાંથી ૨ કરોડ ૩૫ લાખ લોકો મુંબઈ શહેરી પ્રદેશમાં (મુંબઈ, થાણે, પાલઘર, નવી મુંબઈ)  રહે છે. મહારાષ્ટ્રની કુલ વસ્તીના વીસ ટકા. બીજી બાજુ મહારાષ્ટ્ર ૩,૦૭,૭૧૩ ચોરસ કિલોમીટર ભૂમિ ધરાવે છે જેમાં મુંબઈ શહેરી પ્રદેશનો હિસ્સો માત્ર ૬,૩૨૮ ચોરસ કિલોમીટર છે. કુલ ભૂમિના બે ટકા. હવે જો મહારાષ્ટ્રની બે ટકા ભૂમિમાં ૨૦ ટકા પ્રજા વસતી હોય તો કોને મહત્ત્વ આપવું? ભૂમિને કે પ્રજાની સંખ્યાને? વળી મહારાષ્ટ્રની બે ટકા ભૂમિમાં જે વીસ ટકા પ્રજા વસે છે એમાંથી અડધોઅડધ પ્રજા બિન મરાઠી છે. મહારાષ્ટ્રમાં શહેરીકરણનું પ્રમાણ અત્યારે ૪૫ ટકા છે જે વધવાનું છે, ઘટવાનું નથી. બીજું જે વાત મહારાષ્ટ્ર અને મુંબઈને લાગુ પડે છે એ દેશનાં તમામ પહેલી અને બીજી હરોળના શહેરોને લાગુ પડે છે. તો બોલો બંધુ, દેશપ્રેમી, પ્રતિનિધિત્વ વસ્તીના આધારે હોવું જોઈએ કે ભૂમિના?

લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીમાં કેટલીક બેઠકો હરિજનો અને આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવે છે. તેમને પણ લોકપ્રતિનિધિગૃહમાં પ્રતિનિધિત્વ મળે એ એની પાછળનો ઉદ્દેશ છે. પણ હવે વધતાં શહેરીકરણનાં કારણે હરિજનો અને આદિવાસીઓ શહેરોમાં સ્થળાંતરિત થવા લાગ્યા છે. શરૂ શરૂમાં વિકસતાં શહેરોમાં હરિજન વિસ્તાર ઓળખી શકાતા હતા અને શહેરોમાં હરિજનો માટેની બેઠકો અનામત રાખી શકાતી હતી. પણ હવે શહેરીકરણનાં વર્તમાન સ્વરૂપમાં હિંદુ મુસ્લિમના ધાર્મિક ભેદને છોડીને જાતિ આધારિત મહોલ્લા નથી રચાતા. આવનારા બે-ત્રણ દાયકામાં જ્યારે ૮૦ ટકા પ્રજા શહેરોમાં વસતી હશે અને શહેરો પચરંગી હશે ત્યારે હરિજનો અને આદિવાસીઓ માટે શહેરોમાં અનમાત બેઠકોને કેવી રીતે ઓળખી કાઢવી? બીજી બાજુ તેમના વતનમાં તેમની વસ્તી પાંખી થઈ ચૂકી હશે તો ત્યાંની બેઠકને અનામત રાખવાનો શો અર્થ? પણ તો પછી સામાજિક ન્યાયનું શું?

દક્ષિણનાં રાજ્યો પ્રગતિશીલ છે. તેઓ બાકીનાં ભારત કરતાં વધુ શિક્ષિત છે. અતીતની જગ્યાએ ભવિષ્ય વિષે વધારે વિચારે છે. વસ્તીનું નિયંત્રણ કરે છે. દક્ષિણનાં રાજ્યોમાં આરોગ્યની સગવડ પ્રમાણમાં ઉત્તમ કક્ષાની છે અને પ્રજા આરોગ્ય અને બીજી બાબતે જાગૃત છે. આનાં બે પરિણામ આવે. એક તો જ્યાં વસ્તી નિયંત્રણ ઓછું છે એ ઉત્તર ભારતની તુલનામાં દક્ષિણ ભારતની વસ્તી ઘટતી જાય, દેશમાં તેનું પ્રમાણ ઘટતું જાય અને બીજું ઉત્તમ આરોગ્યસેવા અને જાગૃતિનાં કારણે આયુષ્યરેખા લંબાય જેને પરિણામે નહીં કમાનારા વૃદ્ધોની સંખ્યા દક્ષિણ ભારતમાં વધે. આની શરૂઆત થઈ ચૂકી છે. આનાં લાંબા ગાળાનાં પરિણામો વિષે વિચારો. ઉત્તર ભારતમાં કમાનારાઓની સંખ્યા વધુ અને દક્ષિણ ભારતમાં નિવૃત્તોની સંખ્યા વધુ. કમાવાની ઉંમરના ઉત્તર ભારતના યુવાનો કમાવાની જગ્યાએ ત્રિશૂળધારી બનીને ગાય-ગોબરમાં રચ્યાપચ્યા રહે તો? ગાય-ગોબરમાં રત આર્યાવર્ત દ્રવિડ ભારત ઉપર સાંસ્કૃતિક આક્રમણ કરે તો? જે પ્રદેશ વિકસિત છે એ દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતના યુવાનો અને પરિવારો મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવા લાગે તો? શું થાય દક્ષિણ ભારતનું?

ભારત સંસદીય લોકતંત્ર ધરાવે છે અને લોકસભામાં કુલ બેઠકોનું પ્રમાણ નિશ્ચિત છે. કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ નામની વિશ્વપ્રસિદ્ધ સંસ્થા માટે જેમી હિન્સ્ટન અને મિલન વૈષ્ણવે તૈયાર કરેલા અભ્યાસ મુજબ ભારતની મોટી સમસ્યા લોકસભામાં પ્રતિનિધિત્વની છે. ભારત જો ૨૦૩૧ની વસ્તીના આધારે લોકસભાની બેઠકો નક્કી કરે તો ભારતની લોકસભા ૮૪૮ સભ્યોની બનવી જોઈએ. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે એ સ્થિતિમાં લોકસભામાં ઉત્તર પ્રદેશના એકલાના ૧૪૩ સભ્યો હોય અને દક્ષિણનાં પાંચ રાજ્યો અને પોંડીચેરી મળીને ૧૬૫ સભ્યો હોય. લોકસભામાં દક્ષિણ ભારતની હાજરી વીસ ટકા કરતાં પણ ઓછી થઈ જાય. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના મળીને ૩૭૪ સભ્યો હોય.

ધર્મસંકટ અહીં છે. લોકસભામાં પ્રજાના પ્રતિનિધિત્વને અંકુશમાં (૫૪૩ બેઠકો) રાખવામાં આવી રહ્યું છે એ પ્રજા સાથે (ખાસ કરીને ઉત્તર ભારતની પ્રજા સાથે) અન્યાય છે અને લોકતંત્રની ખામી છે. બીજી બાજુ જો વસ્તી મુજબ રાજ્યોને લોકસભાની બેઠક ફાળવવામાં આવે તો દેશનાં પ્રગતિશીલ રાજ્યોને અન્યાય થાય. એ રાજ્યો રાજકીય અને સાંસ્કૃતિક રીતે સાવ કચડાઈ જાય. હાંસિયામાં ધકેલાઈ જાય. આજે બી.જે.પી.ને મુસલમાનોના મત વિના જેમ ચાલે છે અને સત્તા મેળવવામાં કોઈ બાધા નથી આવતી એમ આવતીકાલે દક્ષિણ ભારતના મત વિના પણ ચાલી શકે. આવી સ્થિતિ દેશહિતમાં હશે?

તો કરવું શું? ૧૯૭૬થી ભારત સરકાર આ વિષે નિર્ણય લેવાનું ટાળે છે અને ૨૫ વરસ માટે તેને ભવિષ્યમાં ધકેલી દે છે. હવે ૨૦૨૬માં ભારત સરકારે લોકસભાની બેઠકો વિષે નિર્ણય લેવાનો છે. જો ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સરકાર અત્યાર જેટલી બહુમતી સાથે પાછી આવશે તો દક્ષિણનાં રાજ્યોને ભય છે કે તે લોકસભામાં બેઠકોની સંખ્યા વધારી દેશે અને દક્ષિણ ભારતને હાંસિયામાં ધકેલી દેશે. તામિલનાડુના મુખ્ય પ્રધાન સ્તાલીને તો આવો ભય વ્યક્ત પણ કર્યો છે.

અહીં પ્રચંડ વિવિધતા ધરાવતી જીવતી પ્રજાના જીવતા દેશના પ્રશ્નોનું આચમન માત્ર કરાવ્યું છે. આવા પાંચસો પ્રશ્નો છે. જી હાં, પાંચસો. અતિશયોક્તિ નથી. એને સમજવાનો પ્રયાસ કરશો તો સાચા અને ધબકતા દેશનો પરિચય થશે. દેશપ્રેમી તરીકેની જવાબદારીનું ભાન થશે અને તોર ઉતરી જશે. ખોટનો સોદો નથી જ નથી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 જૂન 2023

Loading

૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીતવા માટે ભા.જ.પા.ના મુખ્ય પત્તાઃ ધર્મ, જાતિ, વિકાસ અને શક્તિપ્રદર્શન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 June 2023

‘અબ કી બાર ૪૦૦ પાર’ – વાળા નારાને સાચો પાડવા માટે ભા.જ.પા.ને જીતેલી બેઠકો ઉપરાંત કૂલ ૯૮ બેઠકો પર જીત મેળવવાની છે અને એ માટે ભા.જ.પા.માં અત્યારે ટોચથી લઇને તળિયા સુધીના બધા જ પ્રકારના સભ્યો કામે ચઢી ગયા છે

ચિરંતના ભટ્ટ

આવતા વર્ષે માર્ચ મહિનાની આસપાસ ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હશે. ભા.જ.પા.એ 2024ની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. 2019ની ચૂંટણીમાં ભા.જ.પા.એ લોકસભાની 303 બેઠકો જીતી હતી અને ત્યારે ભા.જ.પા.ના જ એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે 2024માં તેઓ આ કરતાં વધુ બેઠકો જીતશે. 2024ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ ઘણાં બધા પ્લાન એક્શનમાં મૂકી દીધા છે. કેટલાક તો પૂરા પણ થયા છે. અમુક યોજનાઓ દેખીતી છે તો અમુક ગ્રાઉન્ડ લેવલનું કામ છે.

જેમ કે સંસદભવનની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવું તો 2024 સુધીમાં અયોધ્યામાં રામ મંદિર પૂરું કરવાનું એલાન પણ થઇ ચુક્યું છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના રાજસ્થાન સેક્શનનું ઉદ્ઘાટન પણ ફેબ્રુઆરીમાં કરાયું જેને કારણે દેશના બે મુખ્ય શહેરો વચ્ચેનો ડ્રાઇવિંગ ટાઇમ માત્ર ૧૨ કલાક થઇ ગયો છે. આ એક્સપ્રેસ વે પાંચ મોટા રાજ્યો – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડનારો છે. ૧,૪૦૦ કિલોમિટર લાંબા આ એક્સપ્રેસવેને લોકસભા ચૂંટણીના રાજકારણ સાથે સીધી લેવા-દેવા છે એવું કહેવાઇ ચૂક્યું છે. વળી બીજી માળખાકીય સુવિધાની વાત કરીએ તો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ શરૂ થઇ અને બીજી ટ્રેન્સને વંદે ભારત ટ્રેનમાં ફેરવવામાં આવશેની ચર્ચા તો છે જ. વળી વડા પ્રધાને ડિજીટલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું તો દેશના પહેલા વૉટર મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને પણ લીલી ઝંડી આપી. આ તમામ પ્રોજેક્ટ્સ લાંબા સમયથી ચાલી રહ્યા હતા અને અમુક હજી પણ ચાલી રહ્યા છે પણ તેનો છેલ્લો તબક્કો ૨૦૨૪ની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેની સાથે જ જાણે આવી રહ્યો છે. ભા.જ.પા.ને તો પૂરો વિશ્વાસ છે કે તેઓ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં જીતી જ જશે પણ છતાં ય તેઓ કોઇ કસર છોડવા નથી માગતા. માળખાકીય સુવિધાઓ પર જ્યારે કામ થાય ત્યારે સત્તા પક્ષને એક કાંકરે બે પક્ષી મારવાનો મોકો મળે – એક તો માળખાકીય સુવિધાઓ દેખીતો વિકાસ છે અને જે તે રાજ્યમાં આ વિકાસ થાય ત્યાં જો ભા.જ.પા.ની સરકાર ન હોય તો મતદાર વિકાસના મુદ્દાને ધ્યાનમાં આપીને જ મતદાન કરે.

વ્યૂહાત્મક રીતે પણ ભા.જ.પા. સજ્જ છે અને ૨૦૨૨થી જ ‘ગ્રાઉન્ડવર્ક’ શરૂ કરી દેવાયું છે. રાષ્ટ્રવ્યાપી પ્રચાર અભિયાન ચાલુ થઇ ચૂક્યા છે જેમાં વિસ્તૃત સરવેથી માંડીને નાનામાં નાના સ્તરે જાતિ, જ્ઞાતિ આધારિત કામગીરી ચાલુ કરી દેવાઇ છે. જે ૧૬૦ બેઠકો પહેલાના જનરલ ઇલેક્શનમાં ન જીતી શક્યા તેનો બુથ આધારિત ડેટા એકઠો કરી તેનું વિશ્લેષણ કરવાની કામગીરી ગયા વર્ષે મે મહિનાથી જ ચાલુ થઇ ગઇ છે. ત્યાં મતદારોએ જે ઉમેદવારને જીતાડ્યા એમાં તેમને શું ગમ્યું પ્રકારના પ્રશ્નોથી મતદારોની માનસિકતાનો તાગ મેળવવાની જહેમત કરાઇ. એક અહેવાલ અનુસાર ૪૦ હજાર જેટલા બુથ કામદારોએ ૧ લાખ જેટલા બૂથ જે ૫૪૩  લોકસભાની બેઠકોમાં આવેલા છે ત્યાંના મતદારો પાસેથી આ પ્રતિક્રિયાઓ મેળવી છે.  ભા.જ.પા.ના લઘુમતિ મોરચાએ ‘મોદી મિત્ર’ આઉટરીચ પ્રોગ્રામ પર કામ શરૂ કરી તે ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ચાલુ રાખવાનું નક્કી કર્યું હોવાનું પી.ટી.આઇ.ના એક અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું. આ બધું ઓછું હોય તેમ ભવ્ય રેલીઓ કાઢવી એ ભા.જ.પા.ની ચૂંટણી માટેની વ્યૂહ રચનાનો એક બહુ મોટો હિસ્સો છે. જે ૧૬૦ બેઠકોમાં ભા.જ.પા.એ હાર મેળવી હતી ત્યાં બધે જ વડા પ્રધાન હાજર રહી શકે તે રીતે રેલીઓ કાઢવામાં આવશે અને જાહેર સભાઓના આયોજનો કરાશે – આ માટે આ બેઠકોને અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવી છે અને દરેક જૂથમાં ૪ બેઠકો આવરી લેવાશે.  આ રેલીઓના આયોજન એ રીતે થશે કે પહેલાં ભા.જ.પા. પ્રમુખ જે.પી. નડ્ડા રેલીઓમાં જશે તો પછીથી અમિત શાહ પણ રેલીઓનું આયોજન કરશે અને વડા પ્રધાન મોદીની હાજરીનો માસ્ટરસ્ટ્રોક તો ખરો જ. નરેન્દ્ર મોદી તો બાકીની ૩૮૩ બેઠકો માટેના પ્રચારમાં પણ ભાગ લેશે. વળી જે પક્ષના પ્રમુખ જેવા જે માળખા બનાવાયા હતા તે જ રીતે મહિલા મોરચા, કિસાન મોરચા પણ કામે લાગશે. મહિલા મોરચા ‘કમલ દૂત’ નામે કાર્યક્રમ કરી પંચાયત સાથે સંપર્ક સાધી મોદી સરકારે જાહેર કરેલી વિવિધ યોજનાઓના લાભ અંગે પ્રચાર કરવા મંડી પડ્યા છે. ‘અબ કી બાર ૪૦૦ પાર’ – વાળા નારાને સાચો પાડવા માટે ભા.જ.પા.ને પોતાની નિયત બેઠકો ઉપરાંત બીજી કૂલ ૯૮ બેઠકો પર જીત મેળવવાની છે અને એ માટે ભા.જ.પા.માં અત્યારે ટોચથી લઇને તળિયા સુધીના બધા જ પ્રકારના સભ્યો કામે ચઢી ગયા છે. ૨૦૨૪ની ચૂંટણીમાં જીત નિશ્ચિત રહે તે માટે વડા પ્રધાન મોદીની ટીમમાં જે.પી. નડ્ડા, અમિત શાહ સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય વ્યવસ્થા મંત્રી બી.એલ. સંતોષ અને યુ.પી.ના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો સમાવેશ કરાયો છે.

એવું નથી કે માત્ર બધું જોરદાર આયોજન અને વ્યવસ્થા શક્તિથી કરવાથી ભા.જ.પા.ને જે જોઇએ છે તે મેળવી શકાશે અને આ હકીકતથી પક્ષ અજાણ નથી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોય કે વિદેશ પ્રવાસ હોય તે તમામમાંથી કંઇક શોધી કાઢીને તેની લીટી નાની કરવામાં પણ ભા.જ.પા. કંઇ જ બાકી નહીં રાખે એ તો નક્કી છે. કાઁગ્રેસ ચૂંટણીને મામલે વ્યૂહરચના ઘડી કાઢવામાં સફળ નથી એ પણ એક વાસ્તવિક્તા છે અને એક પક્ષ તરીકે કાઁગ્રેસની દૃષ્ટિ જાતને લઇને ગુંચવાયેલી છે – આ સંજોગોમાં ભા.જ.પા.ને માટે પણ ઘણી બાબતો સરળ થઇ જાય છે. પ્રાદેશિક વિવિધતાનો લાભ ખાટી લેતા હવે ભા.જ.પા.ને બરાબર આવડી ગયું છે. વળી સંજોગો એવા છે કે જ્યાં ભા.જ.પા.ની પકડ નથી એવા રાજ્યો જેમ કે આંધ્ર પ્રદેશ, કેરળ, ઓરિસ્સા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં જીતવું હશે તો કાઁગ્રેસને આ રાજ્યોની પ્રાદેશિક પાર્ટીઓની મદદ જોઈશે જ. કાઁગ્રેસે જરૂર છે એવી તરકીબ કરવાની જેથી તે ભા.જ.પા. સામે મજબૂત રાષ્ટ્રીય વિરોધ પક્ષ ખડો કરી શકે જેનાથી એ તમામ રાજ્યોમાં કાઁગ્રેસને ચૂંટણીલક્ષી ડિવિડન્ડ મળે જ્યાં ભા.જ.પા.ની પકડ મજબૂત છે. કાઁગ્રેસે પોતાના પડકારોને મૂળિયાંથી સમજીને તેની પર કામ કરવું જરૂરી છે.

બાય ધી વેઃ

એક સત્ય એ પણ છે કે જ્યાં શિક્ષણનું પ્રમાણ સારું છે ત્યાં ધ્રુવીકરણની રાજનીતિ ચાલે એમ નથી. જેમ કે કેરળ. નરેન્દ્ર મોદીએ કેરળમાં પારંપરિક પરિધાન પહેરીને રોડ શો કર્યા, માળખાકીય પ્રોજેક્ટ લૉન્ચ કર્યા એ એક વ્યૂહાત્મક ફેરફાર છે. અહીં હિંદુત્વનું કાર્ડ રમવાનું ભા.જ.પા.એ ટાળ્યું કારણ કે કેરળમાં તે પહેલાં પણ નથી ચાલ્યું. બલકે અહીં ભા.જ.પા. પહેલાં ખ્રિસ્તીઓને આકર્ષવા માગે છે પછી તેમનું બીજું લક્ષ્ય છે યુવાનોને આકર્ષવા અને ત્રીજો રસ્તો છે માળખાકીય વિકાસનું બરાબર બ્રાન્ડિંગ કરવું. આમ જોવા જઇએ ભા.જ.પા. મોટાભાગની બેઠકોમાં પોતાના પગ જમાવવા માટે ધર્મ, યુવા અને વિકાસ વાળી ત્રિરાશિ માંડે છે  – વળી જરૂર પડે ત્યાં દલિત કાર્ડ રમવું, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડવો જેવી સોગઠી રમતાં પણ ભા.જ.પા.ને આવડે છે. ભા.જ.પા.ની વ્યૂહરચના સજ્જડ છે પછી તે મૂર્ત બાબતોની હોય કે અમૂર્ત બાબતોની, જોવાનું એ છે કે મતદારોના મન કળવામાં શું ભા.જ.પા.ને તેનો વધુ પડતો આત્મવિશ્વાસ આડે આવે છે કે પછી ‘અબ કી બાર ૪૦૦ પાર’ વાળો ભા.જ.પા.નો દાવો સાચો પડે છે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 જૂન 2023

Loading

...102030...1,1111,1121,1131,114...1,1201,1301,140...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved