Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂનું ઘર 

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|15 October 2025

હિતેશ રાઠોડ

વર્ષો પછી આજે વતનના ગામ ખારચિયા જવાનું થયું. સૌરાષ્ટ્રના બરડા ડુંગરની નજીક વસેલ અમારા આ ગામની વસતી આમ તો માંડ ત્રણેક હજાર જેટલી હશે, પણ ગામને અડીને વહેતી નદી અને ગામના પાદરમાંથી પસાર થતી મુખ્ય સડકની બરાબર મધ્યે વર્ષોથી અડીખમ ઉભેલ લીમડાનું ઘટાટોપ વૃક્ષ ગામની શોભામાં વધારો કરે છે. બહારથી આવતા વટેમાર્ગુને પહેલી નજરે જ ગમી જાય એવું રૂડું આ ગામ. એક સમયે સમૃદ્ધ ખેતીને લીધે ગ્રામજનોને રોજગારીની શોધમાં બીજે ક્યાં ય ભટકવું પડતું નહોતું. 

એસ.ટી. બસમાંથી ઉતરતા જ વર્ષોથી વિખૂટા પડેલ કેટલાક ચિરપરિચિત ચહેરા ગામને પાદર નજરે ચઢ્યા. પાદરના ઓટલે બેઠેલા વડીલોમાંથી એક પરિચિત સ્વજન બોલ્યા, 

“ભાઈ હીરજી, બહુ ઝાઝા વરહે ગામમાં ભૂલો પૈડો લાગે સે!” 

“હા, બાપા, હવે વાસના જૂના મકાનનું પણ કંઈક કરવું પડશે ને, એટલે થ્યું કે લાવ ગામે એક આંટો મારી આવું.” 

આટલું બોલી હું વાસ તરફ જવા આગળ વધ્યો. મનમાં વિચારોના વમળો ઉઠ્યા. ઉંમરને આંબી ગયેલ અને જીવનની કંઈ કેટલી ય તડકી-છાંયડી જોઈ ચૂકેલા એ વૃદ્ધોની વાત જરા ય ખોટી નહોતી. શહેરોની ઝાકમઝોળથી અંજાઈ ગયા પછી આપણા ખુદના ગામની નૈસર્ગિકતા અને સાદગીમાં રહેલા એ અનુપમ સૌંદર્યને આપણે વિસરતા જઈએ છીએ. ગામને છોડ્યા પછી વરસોનાં થર જામી જાય છે અને એ જુદારો એટલે સુધી હોય છે કે એ સાદગીભર્યા સૌંદર્યને માણવાની દૃષ્ટિ પણ પછી આપણે ખોઈ બેસતા હોઈએ છીએ. 

પાદરે બેઠેલા સૌ વડીલોને રામ રામ કરી અમારા જૂના વાસમાં પ્રવેશ કરાવતી નાનકડી ગલીમાંથી હું પસાર થયો. ઘડીભર માટે એમ લાગ્યું કે મારા બાળપણની સાક્ષી એવી એ ગલી અને એના પરની ધૂળ જાણે મને કોઈક અગમ્ય નજરે તાકી રહી છે. વાસમાં મોટાભાગના કાચા અને અર્ધપાકા જેવા મકાનોએ હવે જાણે કે સમયને અનુરૂપ નવા વાઘા પહેરી લીધા છે. થોડાક મકાનો હજી પણ એવા જ છે જેવા મેં ગામ છોડ્યું ત્યારે હતા. 

વાસની બંને તરફ આડાઅવળી કતારમાં ગોઠવાયેલા ઘરોની બરાબર મધ્યે અમારું ઘર આવેલ છે. વાસમાં જૂના પરિચિતો અને સગાઓને રામ-રામ કરતા કરતા હું મારા પૈતૃક ઘરની સન્મુખ આવી પહોંચ્યો. ગાર-માટીથી બનેલી દીવાલોમાં ઘરનો મુખ્ય દરવાજો જડાયેલો છે અને હવે જાણે કે આટલાં બધાં વર્ષોનો ભાર તે ખમી શકે એમ નથી એટલે એ દીવાલ જરાક આગળની તરફ નમી ગઈ છે. જૂના વખતના મજબૂત લાકડામાંથી બનેલ કમાડ હજી પણ ઘરની સુરક્ષા કરતા અડીખમ ઉભા છે. ક્યાંક કયાંક એમાં પડેલા છીંડા એના જીર્ણ થવાની સાક્ષી પૂરે છે. કમાડ પર ધૂળના થર જામી ગયા છે. કમાડની ઉપર લગાવેલ સાંકળ પરનું તાળું હવે કટાઈ ગયું છે. ઘડીભર માટે એ મારા એ પૈતૃક ઘરને નજરમાં સમાવી લેવાય એટલું સમાવવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ આંખોનો દૃષ્ટિ વિસ્તાર જાણે કે એ માટે ઓછો પડ્યો. 

આ કોઈ સામાન્ય ઘર નહોતું. એક સમયે અહીં મારા દાદા-પરદાદાનો વિસ્તાર ફાલ્યો-ફૂલ્યો હશે, એમના સંતાનો અને એમના સંતાનોના બાળકોની કિલકારીઓના પડઘા હજી પણ દૂર દૂર ક્યાંક સંભળાઈ રહ્યા હોય એવો આભાસ થતો હોય એમ લાગ્યું. માએ આપેલ દોરીથી બાંધેલ કૂંચી ખિસ્સામાંથી કાઢી સાચેણું ખોલ્યું (પહેલાના સમયમાં લોકો તાળાને સાચેણું કહેતા હતા, કેટલો સરસ શબ્દ છે, સાચેણું, આપણે ઘરમાં ન હોઈએ ત્યારે ઘરને સાચવે એ સાચેણું!). તાળું ખોલતા જ બારણાના કિચડુક અવાજથી એકાદ-બે પારેવા ફફડીને બહાર જતા રહ્યા. મોભ પર સહેજ અટકી રહેલ એક આડી વળી નીચે પડી. મોભ પર કરોળિયાના જાળાં ઉપર જાળાં બાઝી ગયા હતા. દીવાલો પર ઠેર-ઠેર માટીના પોપડા ઉખડીને પડું પડું થઈ રહ્યા છે. ઘરમાં જેમ જેમ અંદર પ્રવેશતો ગયો એમ એમ કરોળિયાના જાળાં મને વીંટળાતા ગયા. ઘરની દીવાલો, કાંધીઓ, કાંધી પર રાખેલા અમુક તાંબા-પીત્તળ અને કાંસાના ઠામડાં ધૂળના થર લાગ્યા છતાં કાંધીએ રાહ જોતા એમ જ પડી રહ્યા છે. ઘરની અંદરના મેડામાં જૂનો-પુરાણો સામાન એમને એમ ધૂળ ખાતો પડ્યો છે. રસોડામાં દાખલ થતાં જ માટીના બે ચૂલા અને એની પાસે થોડા લાકડા હજી પણ બળવાની રાહ જોતા હોય એમ પડ્યા છે. ચૂલાની બાજુ પરની કાળી પડી ગયેલ દીવાલ પર આંગળીઓ ફેરવી. આંગળા સહેજ કાળા થયા પણ દિલને એ સારું લાગ્યું. એક સમયે ઘરનાઓ અને મહેમાનોને અહીંથી સ્વાદિષ્ટ દેશી ખાણું પીરસાતું હતું. રસોઈની એ સોડમ દીવાલો હજી પણ સંઘરીને બેઠી છે. એ દીવાલને અડીને ઉભા રહેતા ક્યારેક કપડાં કાળા થતાં તો મા ધમકાવી નાખતી! રસોડાની પાછળનું બારણું સાવ લટકી રહ્યું હોય એમ લાગ્યું. દરવાજામાંથી કૂતરા-બિલાડા અંદર આવી જાય એવું મોટું બાકોરું પડી ગયું છે. ઘરમાં દીવાલને અઢેલીને ઢાળેલો ઢોલિયો અને એના પર પાથરેલી ઝીણી-ઝીણી સિલાઈ કરેલી ગોદડીઓ જાણે કે મહેમાન આવવાની રાહ જોતી હતી. એક સમયે ઘરની આ બધી સાહ્યબી આગળ આજની જાહોજહાલી તો સાવ ફીકી લાગે. જેમ જેમ ઘરને નીરખી નીરખીને જોતો રહ્યો એમ એમ જૂનાં સંસ્મરણો આળસ મરડીને બેઠાં થવાં લાગ્યાં. મારા દાદા અને એમના દાદાઓની કંઈ કેટલી ય પેઢીઓએ આ ઘરમાં અનેક લીલી-સૂકી જોઈ હશે. પહેલાના લોકો એક વાતે બહુ સુખી હતા, સંતોષનો બહુ મહત્ત્વનો ગુણ એમનામાં હતો. અડધો ખાઈને રહીશું પણ ઘરમાં ભેગા રહીશું. ગમે તે થશે પણ ઘર નહિ છોડીએ. આ વાત જ એમને લાગણીના તાણાવાણાથી એકબીજા સાથે ગૂંથીને જકડી રાખતી હતી. પહેલા અભાવો વચ્ચે પણ સંતોષ હતો. આજે અપાર વૈભવ અને સમૃદ્ધિ વચ્ચે સંતોષ ગાયબ છે. તેઓ અભાવો અને અસુવિધાઓમાં પણ સુખી રહેતા હતા, આજે તમામ સુખ-સુવિધાઓ વચ્ચે પણ મનને એ શાંતિ નથી મળતી જેની મનને હંમેશાં ઝંખના રહેતી હોય છે. 

પોતાના ઘરની આવી દુર્દશા જોતા પોતાની જાત પર જ ફિટકાર થવા લાગ્યો. થયું કે માણસ જાત કેટલી નગુણી અને સ્વાર્થી છે! જે ઘરમાં આપણો જન્મ થયો, પાલન-પોષણ થયું, જે ઘરમાં આપણું બચપણ વીત્યું, જે ઘરે આપણને ચાલતા શીખવ્યું, જે ઘર થકી આપણે આ દુનિયામાં પહેલો પગ મૂક્યો, એ ઘરને આપણે કેટલી સહજતાથી ત્યાગી દઈએ છીએ. આપણે પ્રાચીન સંસ્કૃતિની વાહ વાહ કરીએ છીએ પણ આપણા ખુદના પૈતૃક ઘરને સાચવવામાં આપણે કેટલા ઊણા ઉતરીએ છીએ. વર્ષે-દહાડે એકાદ વાર આવીને એ ઘરની દરકાર કરવાની પણ આપણે તસદી લેતા નથી. શહેરી સંસ્કૃતિએ આપણને એટલા બધાં આંજી નાંખ્યા છે કે આપણી વર્ષો જૂની સંસ્કૃતિ, ઓળખ, સગાં-વ્હાલાં, સંબંધો બધાને પાછળ છોડી દઈને આપણે એવી સંસ્કૃતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં આપણો પાડોશી પણ આપણને ઓળખતો નથી. 

થોડા ભારે મને ઘરની અંદર ફરતે આંટો માર્યો. આવા ખખડધજ ઘરની અંદર પણ મનમાં એક ન કળી શકાય એવી શાંતિનો અહેસાસ થતો હોય એમ લાગ્યું. કદાચ એ શાંતિ સંતોષની હશે જે મારા વડવાઓ આ ઘરની અંદર મૂકતા ગયા હોવા જોઈએ. ભારે હૈયે ઘરની બહાર નીકળ્યો. એક સમયે જે ઘર બધાને જોડવાનું નિમિત્ત બનતું હતું એ ઘર આજે તૂટી પડવાની અણી પર આવીને ઊભું છે એ વિચારથી અંતર વલોવાઈ જાય છે. ઘરને તાળું મારતા પહેલા ફરી એક વાર અમારા એ પૈતૃક ઘરને ધરાઈને જોઈ લેવાની ઈચ્છાને રોકી ન શકાઈ. ભારે હૈયે ઘરને એ જ જૂનું તાળું લગાવ્યું અને ઘરના ઉંબરેથી ચપટી ધૂળ લઈ માથે ચઢાવી ગમગીન વદને અને સજળ નયને ઘરથી વિદાય થવા પગ ઉપાડ્યા પણ પગ પર જાણે કે મણ મણના પથ્થરો બાંધી દીધા હોય એમ લાગ્યું …!!

સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com

Loading

મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 October 2025

1975માં કટોકટી જાહેર થઈ, ત્યારે આ ઘોર અન્યાય સામે પોતાનો વિરોધ નોંધાવવા દર્શકે સ્વરાજસૈનિક તરીકે મળેલું તામ્રપત્ર સરકારને પાછું મોકલી આપ્યું

જન્મ : 15-10-1914 • મૃત્યુ : 29-8-2001

દર્શક, આપણા મનુભાઈ પંચોળી સ્તો, આપણી વચ્ચે હોત તો આજે બરાબર એકસો અગિયાર વરસના થયા હોત! જો કે, અત્યારે હું લખી રહ્યો છું એમાં કોઈ જન્મજયંતી વિશેષ તરેહના ટાંચણટિપ્પણનો ખયાલ મુદ્દલ નથી. માત્ર, જૂન 1975થી માર્ચ 1977ના કટોકટીરાજના પચાસી ગાળામાં ત્યારે આપણા સારસ્વતો કેવી રીતે વ્યક્ત થયા હતા એની ઝલક ઝાંખી રૂપે થોડીક વાત કરવા વાસ્તે દર્શક સરખું રૂડું ઓઠું લેવું છે, એટલું જ.

હમણાં મેં ‘સારસ્વત’ એ પ્રયોગ કીધો પણ એમનાં અભિવચનોનો આ ગાળાનો પૂરા કદનો સંચય હજુ મળવાનો બાકી છે. ઉમાશંકરના ‘સમયરંગ’માં તેમ માવળંકરના ‘નો સર’માં આવી કેટલીક સામગ્રી જરૂર સચવાઈ ગઈ છે. 

પણ દર્શક જેવાને એ ગાળામાં જે લખવા-બોલવાનું થયું હશે, એ એમના સાહિત્યમાં કિંચિત સચવાયું હોય તો પણ વિશિષ્ટ સંચયોમાં તો તે પહોંચવું જ જોઈએ ને. અને હા, સ્વામી આનંદ જેવા લડવૈયા ને કરવૈયા એવા જ અનુત્તમ ગદ્યસ્વામીએ જીવનના આખર મહિનાઓમાં 1975ના જૂન-ડિસેમ્બરના ગાળામાં દિલ રેડીને જે લખ્યું, એની તો શી ખબર તે વખતના સીમિત દાયરા બહાર ક્યાં ય નોંધ પણ લેવાઈ હશે કે કેમ.

દર્શક બહારગામ હશે ને કટોકટી જાહેર થઈ. ઘરે, સણોસરા પહોંચ્યા ત્યારે ઘરમાં પ્રવેશતાં જ નજર એ તામ્રપત્ર પર પડી જે એમને સ્વાતંત્ર્યસૈનિકને નાતે મળ્યું હશે. સ્વાતંત્ર્યસૈનિક હોઈ પતિ-પત્ની બંને પેન્શનના અધિકારી હતાં, પણ ‘તે તો અમે નહોતું લીધું. દેશસેવાનું એટલું અલ્પ મૂલ્યાંકન કરવું નહોતું. પણ તામ્રપત્ર લીધું હતું. આપણાં સંતાનો, સંતાનોનાં સંતાનો જુએ, ગૌરવ લે, પ્રેરણા અનુભવે તેવી સમજથી લીધેલું. આની હવે જરૂર હતી ખરી? … થયું, ક્યાં છે તે સ્વરાજ જેમાં રવિ ઠાકુરે પ્રાર્થ્યું હતું કે ‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર, જ્ઞાન જેથા મુક્ત…’ ક્યાં છે તે સ્વરાજ જેને માટે પંદર વર્ષની કિશોર વયે મારા ઊઘડતા આકાશ સમા ભાવિને નાખી દઈ અજાણ વાટે ચાલી નીકળ્યો હતો, જેને માટે મેં માથાં પછાડતી મારી બહેનને છોડી હતી? કટોકટીની તારીખે સ્વરાજ નાશ પામ્યું છે. અને મેં રાજ્યપાલશ્રીને પત્ર લખવા કલમ ઉપાડી …’

અને શું લખ્યું એમણે આ પત્રમાં –

‘સ્વરાજ લાવવા, ટકાવવા અને વિકસાવવામાં અલ્પ છતાં મારી શક્તિ મુજબનો બધો ફાળો આપનાર, દેશ અને દેશનાં ગરીબ ભાઈબહેનોને ચાહનાર દેશવત્સલ નાગરિક તરીકે મારાથી કહ્યા વિના રહેવાતું નથી કે દેશ પર લાદેલી કટોકટી સ્વરાજના હેતુ અને સ્વરાજના સિદ્ધાંતને ઉથલાવી મૃત:પ્રાય કરનાર છે.’

‘વર્તમાન સરકારની નીતિ અને વ્યવહાર સામે લોકો શાંત, અહિંસક વિરોધ કરતા હતા. લાખોનાં સરઘસો પટણા, દિલ્હી, કલકત્તામાં નીકળ્યાં હતાં, અને જે ગાંધીયુગનો હું સાક્ષી છું તેના કરતાંયે ચડી જાય એવી શાંતિ આ સરઘસો, સભાઓમાં જળવાયેલી, મેં બિહાર અને બીજે સ્થળે જોઈ છે.’

‘આ સ્થિતિમાં આંતરિક અશાંતિનો ભય હતો તેવું કોઈ સમજુ નાગરિકને ગળે ઉતરે તેવું નથી.’

‘કટોકટી વાજબી કારણે કે વાજબી સમયે મુકાઈ છે કે નહીં તે સંબંધમાં કોઈ અદાલતમાં પણ જઈ શકે નહીં, તેવો બંધારણીય સુધારો લાવી સરકારે પોતાની પાસે કોઈ આધાર નથી તેવું તો આડકતરી રીતે કબૂલ્યું ગણાય, પણ નાગરિકોના રાજ્યને પ્રશ્ન પૂછવાના કે યોગ્યતા તપાસવાના મૂળભૂત અધિકારને નઠોરતાથી ઝૂંટવી લીધો છે. આ સ્વરાજ નથી.’

‘સ્વરાજમાં નાનામાં નાના નાગરિકને સરકારને પૂછવાનો, ખુલાસો માગવાનો અધિકાર છે, કારણ કે સરકાર સંતાન છે, નાગરિકો તેના જન્મદાતા છે.’

‘આ સ્વરાજ નથી, કારણ કે પ્રજાની નાડીના ધબકારા દર્શાવનાર યંત્ર સમા વર્તમાનપત્રોને મોંએ તાળાં મરાયાં છે …’

‘હું કોઈ પક્ષમાં નથી. કોઈ પક્ષનાં હિતો માટે આ લખતો નથી. સ્વરાજ ઝંખતા, તે માટે યથાશક્તિ ભોગ આપેલા અને ભોગ આપવા ઈચ્છતા નાગરિક તરીકે આ લખું છું.’

‘અત્યારે આ નાગરિકતા કટોકટી, સેન્સરશિપ, મિસા, સંરક્ષણ ધારાના અવિચારી અમલ નીચે ડૂબી રહી છે તેવું લાગે છે. તેવે વખતે હું મૌન રહું તો મારા આજ સુધીના સમગ્ર જીવનને લાંછન લાગે … આથી હું આ બધાંનો વિરોધ કરું છું અને વિરોધ રૂપે મને અપાયેલ ‘સ્વરાજસૈનિક’ તરીકેનું તામ્રપત્ર આપના દ્વારા સરકારને પાછું મોકલું છું …’

દર્શકને પણ થોડાં અઠવાડિયાં ત્યારે જેલની હવા ખાવા મળેલી. ક્યારેક જે જેલમાં એમણે ‘દીપનિર્વાણ’ નવલકથા લખી હશે, જે વાંચીને ઉમાશંકરે એમનામાં ગોવર્ધનરામના સાક્ષર જીવનનો આદર્શ ચરિતાર્થ થતો જોયો હતો, એ જ જેલનાં આ અઠવાડિયાં એક જુદા જ સર્જનની સોગાત લઈને આવ્યાં : કેદીઓ પાસે મહાભારતનું પારાયણ કર્યું. દર્શકનો આ પ્રકારનો પહેલો જ પ્રયોગ હતો.

અનસૂય આનંદ છતાં કંઈક નાજુક અદેખાઈ, એવો એક હૃદયભાવ પ્રગટ કરું? દર્શક પકડાઈને અમારી વડોદરા સેન્ટ્રલ જેલમાં આવ્યા હોત તો! એ દિવસોમાં અમે બાબુભાઈ જશભાઈને અક્ષરશ: કંઠસ્થ ‘રઘુવંશ’નું આકંઠ પાન કર્યું હતું. દર્શક હોત અને મહાભારતનો સમો બંધાયો હોત.

જો કે, શરૂમાં હું પાલનપુર સબ જેલમાં હતો ત્યારેદ ર્શકની પરોક્ષ મુલાકાત યાદગાર બની રહી હતી. મહેન્દ્ર મેઘાણીએ  જે સાહિત્ય મોકલીઆપ્યું તેમાં દર્શકનાં મેઘાણી વ્યાખ્યાનો પણ હતાં. ન ભૂતો ન ભવિષ્યતિ એવું આ મેઘાણી-ઘટન હજુ સુધી તો છે, દર્શકના એકસો અગિયારમે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 15 ઑક્ટોબર  2025

Loading

વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 October 2025

ચંદુ મહેરિયા

પણા દેશમાં પુસ્તકાલય આંદોલનનો આરંભ વ્યક્તિગત પ્રયાસોને કારણે શક્ય બન્યો છે. દેશના અનેક વિસ્તારોમાં ભૂતકાળમાં અને આજે પણ કેટલાક પુસ્તકપ્રેમીઓએ ખુદના કે મિત્રોનાં પુસ્તકો, સામયિકો, અખબારો દ્વારા નાના પાયે તેની શરૂઆત કરી હતી. એક સમય હતો જ્યારે અખબારો માત્ર અમીરોના ઘરની જ શોભા વધારતા હતા. સામાન્ય માણસો સુધી તેની પહોંચ નહોતી. માત્ર  કેરળના જ નહીં ભારતના પુસ્તકાલય આંદોલનના જનક કે.એન. પણિક્કરના ઘરે જ્યારે છાપું આવતું થયું ત્યારે તેમની આસપાસના પાંચ-પચીસ લોકો ભેગા થઈને તે વાંચતા-સાંભળતા. પછી તેમના ઘરે આવતા અખબારોની સંખ્યા વધી, વાંચનારા વધ્યા તો પુસ્તકો પણ આવ્યાં અને નાના પાયે પુસ્તકાલય શરૂ થયું હતું. લોકભાગીદારી કે સ્વયં લોકોએ શરૂ  કરેલી નાની-નાની લાઈબ્રેરી વાંચન સંસ્કૃતિના વિકાસનો પ્રાણ છે. 

આમ પણ દુનિયા આખી વાંચવાની બાબતમાં પછાત મનાય છે. તેમાં વળી મોબાઈલના વળગણે લોકોમાં વાચનની આદત ઓર ઘટાડી દીધી છે. અમેરિકામાં રોજ અચૂક વાંચતા લોકો ૨૦૦૪માં ૨૮ ટકા હતા. જે ઘણાં ઓછા કહેવાય. હવે લગભગ વીસ વરસો પછી ૨૦૨૩માં તે ઘટીને ૧૬ ટકા જ થઈ ગયા છે. અમેરિકામાં વાર્ષિક ત્રણ ટકાના દરે વાચન ઘટ્યું છે. તેને સંશોધકો ચોંકાવનારું અને ચિંતાજનક ગણાવે છે. એક સર્વેક્ષણ મુજબ ગુજરાતમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં ભણતા ૧૬ થી ૨૦ વરસની ઉમરના ૬૧ ટકા કોલેજ વિદ્યા ર્થીઓ રોજ પાંચ કલાક ફોન મચડે છે. તેમાં ૬૩.૩૦ ટકા છોકરીઓ અને ૬૧.૩૩ ટકા છોકરાઓ છે. રજાઓમાં તો તેમનો સ્ક્રીન ટાઈમ ઘણો વધી જાય છે. માંડ ૨૯ ટકાને જ વાંચવું ગમે છે. હા, વાંચવું ગમે છે. વાંચે છે તેમ નહીં. 

સાક્ષરતાનું પ્રમાણ જ્યાં ઓછું છે તેવા ભારત સહિતના દેશોમાં વાચન પણ ઓછું હોય તે સ્વાભાવિક છે. પરંતુ સાક્ષરતા દરમાં થયેલી વૃદ્ધિના પ્રમાણમાં વાચન વધ્યું નથી. તેનું કારણ વાચન સંસ્કૃતિનો અભાવ તો છે જ પુસ્તકાલયોનો અભાવ પણ છે. એટલે સરકાર અને સમાજ બંને વાચન વધે તે દિશામાં પ્રયાસરત બન્યા છે. 

સાક્ષરતામાં ટોચે રહેલા કેરળે વિદ્યાર્થીઓમાં પાઠયપુસ્તકો સિવાયનું વાચન વધે તે માટે એકડે એકથી પ્રયાસો હાથ ધર્યા છે. ગયા શૈક્ષણિક વરસથી કેરળની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડ દીઠ એક અખબાર હોય તેવી વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓએ રોજ અખબાર વાંચવું તેને અભ્યાસક્રમનો હિસ્સો બનાવ્યો છે. જો કે તેના ધાર્યાં પરિણામો મેળવવા અને વિદ્યાર્થીઓમાં વાચનની નિયમિત આદત કેળવાય તે માટે મૂલ્યાંકન કસોટી અને ગ્રેસિંગ માર્કસની યોજના પણ કરવી પડી છે.

કેરળ વાચનમાં અગ્રેસર છે અને પુસ્તકાલયોનું પિયર છે. કેરળનું ભાગ્યે જ એવું કોઈ નગર કે કસ્બો હશે જ્યાં એકાદ જાહેર પુસ્તકાલય ન હોય. કેરળ સો ટકા સાક્ષર રાજ્ય હોવાનો આ જાહેર પુરાવો છે. કેરળમાં આજે ૯,૦૦૦ જાહેર પુસ્તકાલયો છે. આઝાદી પછી કેરળમાં સૌથી પહેલી સામ્યવાદી સરકાર રચાઈ હતી. કામદારો-કિસાનો જમીનદારીમાંથી મુક્ત થયા તેની સાથે તેમનામાં વાચન અને ચિંતનની પરિપાટી વિકસે તે માટે પણ પુસ્તકાલયો જરૂરી હતા. વળી ત્યાં સાક્ષરતાનો દર પણ સૌથી ઊંચો છે એટલે પણ વાચન વધારે છે. પણ આજે કેરળ જો વાચનની આદત કેળવવા અખબારોનું વાચન પ્રાઈમરી સ્કૂલોના અભ્યાસક્રમમાં સામેલ કરે તો સમજાય છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. 

સયાજીરાવ ગાયકવાડ જેવા ઉદાર રાજાના પ્રતાપે ગુજરાતમાં આઝાદી પૂર્વે જ ગાયકવાડી ગામોમાં પુસ્તકાલયો સ્થપાયાં હતાં અને કથિત અસ્પૃશ્યો સહિતના બાળકો માટે શિક્ષણ ફરજિયાત હતું. આજે તો આપણે ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના યુગમાં છીએ. પણ ગુજરાતમાં સરકારી પુસ્તકાલયો ૧૯૭ જ છે. કદાચ આગામી એક બે વરસોમાં રાજ્યના તમામ તાલુકાઓ સરકારી પુસ્તકાલયોની સુવિધા મેળવી શકશે. ગુજરાતની અઢી ટકા શાળાઓમાં જ ડિજિટલ લાઈબ્રેરી છે. જે કેરળ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને પુડુચેરી કરતાં ક્યાં ય ઓછી છે. ‘ વાંચે ગુજરાત’નું અભિયાન તો થયું છે પરંતુ શું વાંચે અને ક્યાં વાંચેનો સવાલ નિરુત્તર છે. એ દૃષ્ટિએ ગુજરાતે વાચન સંસ્કૃતિના વિકાસ માટે ઘણી મોટી કામગીરી કરવાની બાકી છે. 

કેરળના કુનુર જિલ્લાના ચેરુપુઝા ગામમાં પુસ્તકદેવનું મંદિર છે મહારાષ્ટ્રનું ભિલાર બુક વિલેજ તરીકે પ્રખ્યાત છે. વિશ્વ પુસ્તક દિવસ (૨૩મી એપ્રિલ), રાષ્ટ્રીય વાચન દિન (૧૯મી જૂન) ઉજવાય છે. ૨૦૨૩માં કેરળના કુન્નુરમાં ઇન્ડિયન લાઈબ્રેરી કાઁગ્રેસનું અધિવેશન યોજાયું હતું. તેમાં ત્રણ હજાર ગ્રંથપાલો સાથે અધધધ પાંચ લાખ લોકો ઉપસ્થિત હતા. દેશમાં લાઈબ્રેરીઓ વધે, અંતરિયાળ ગામડાઓ અને આદિવાસી વિસ્તારો સુધી તે સ્થપાય તે માટે લાઈબ્રેરી કાઁગ્રેસ પ્રતિબધ્ધ છે. પુસ્તકાલયો માત્ર પુસ્તકની આપલેના કેન્દ્રો કે પુસ્તકોના સંગ્રહસ્થાનોને બદલે સાંસ્કૃતિક કેન્દ્રો બને અને તેમાં વાચન સંબંધી અનેક પ્રવૃતિઓ થાય તે દિશામાં કામ થવું જોઈએ. 

કર્ણાટકના મૈસુર નજીકના કેન્નાલ ગામે છોંતેર વરસના અનેક ગૌડાએ બાવીસ ભારતીય ભાષાઓ અને ઘણી વિદેશી ભાષાઓના પંદર લાખ પુસ્તકોની લાઈબ્રેરી ઊભી કરી છે તે માટે તેમણે જીવનભરની કમાણી આપી દીધી છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયરના અંકિત શર્માએ ઘરે ઘરે ફરીને પુસ્તકો ભેગા કરી ૩,૦૦૦ પુસ્તકોની લાઈબ્રેરી ઊભી કરી છે. તેર જ વરસની આકર્ષણ સતીષે તેલંગણા અને તામિલનાડુમાં ૨૧ લાઈબ્રેરી સ્થાપી છે. તે શાળા, હોસ્પિટલ અને અનાથાલયની નજીક પુસ્તકાલય સ્થાપે છે. જેથી યોગ્ય લાભાર્થી સુધી પુસ્તક પહોંચે. 

તમિલનાડુની જેલોમાં કેદીઓ માટે પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે. તેના કારણે કેદીઓ વચ્ચેના ઝઘડા અને તણાવ ઘટ્યા છે. ઉત્તર પ્રદેશના કોમી હિંસાગ્રસ્ત બાગપત, મુઝફ્ફરનગર અને શામલીના ગામડાઓમાં બાળકો માટે બાઈક લાઈબ્રેરી શરૂ થઈ છે. આ પ્રયાસે બાળકો મોબાઈલ છોડી વાચન તરફ વળ્યા છે. મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પુસ્તક મેળાઓએ લોકોને રાહતનો માર્ગ દેખાડ્યો છે. એટલે પુસ્તકો માત્ર માહિતી, શિક્ષણ, જ્ઞાન માટે જ નહીં મનુષ્યજીવનના પ્રશ્નોને સુલઝાવવામાં પણ મદદગાર છે.

કવિવર દલપતરામે અમદાવાદમાં પહેલા પુસ્તકાલયની સ્થાપનાને વિદ્યા વધે એવી આશનું થાનક ગણ્યું હતું. વાચન સંસ્કૃતિનો વિકાસ આજે પણ વિદ્યા વધવાની આશા જન્માવે છે. 

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...109110111112...120130140...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved