Opinion Magazine
Number of visits: 9552863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાર ન થાય ત્યાં સુધી રાજકારણીઓ હાર પહેરતા રહે છે …..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 September 2025

રવીન્દ્ર પારેખ

લગભગ બધાં જ ક્ષેત્રોમાં નિવૃત્તિ વય નક્કી હોય છે, પણ રાજકારણમાં નિવૃત્તિનું ઠેકાણું નથી. રાજકારણીઓ ચૂંટણીમાં હારી જાય તો ઘરે બેસતા હશે કે પક્ષને જરૂર હોય તો પક્ષનું કામ કરતાં હશે, બાકી, મૃત્યુ નિવૃત્ત કરે તે સિવાય રાજકારણીઓ સ્વેચ્છાએ નિવૃત્ત થવા રાજી હોતા નથી. સાધારણ નોકરી કરનાર પણ તંદુરસ્ત હોય તો નોકરી છોડવા તૈયાર થતો નથી, તે એટલે પણ કે નિવૃત્તિ પછી પગાર આવતો બંધ થઈ જાય છે. વળી, નોકરીમાં પેન્શન જેવું પણ હવે ખાસ રહ્યું નથી, એટલે હાડકાં ચાલતાં હોય ત્યાં સુધી કોઈ નોકરી છોડવા તૈયાર થતું નથી, પણ, નવાને પણ તક મળવી જોઈએ, એટલે નિવૃત્તિની વય નક્કી કરવામાં આવી છે. એ વયમાં પણ એકવાક્યતા નથી. કોઈ 58 વર્ષે, તો કોઈ 60 વર્ષે નિવૃત્ત થાય છે. કોઈ 62, તો કોઈ 65, તો ખાસ કેસમાં કોઈ 70 વર્ષે પણ રિટાયર થાય છે. મજાની વાત એ છે કે સરકાર નિવૃત્તોને ફરી ફિક્સ પગારે નોકરી આપવા તૈયાર થાય છે, પણ શિક્ષકોની કાયમી ભરતી કરતાં તેની ચામડી તતડે છે. આવા વેપલા કરતી સરકારમાં નિવૃત્તિ વય નક્કી નથી. નિવૃત્તિ પછી પેન્શન વગેરે લાભો પણ મળતા હોય છે, તો ય ભાગ્યે જ કોઈ રાજકારણી નિવૃત્તિ લેવા તૈયાર હોય છે. તેનું સીધું કારણ એ કે કોઈ નેતા કે રાજકારણી લોકોની નજરમાંથી ઊતરી જવા તૈયાર નથી. પદ પર જે માન-સન્માન મળે છે, તે સત્તા છોડ્યા પછી ભાગ્યે જ મળતું હોય છે. એ ઉપરાંત પગાર, ભથ્થાંની કે કર રાહત….ની જે સગવડ સત્તા પર હોવાથી મળે છે, તે સત્તા છૂટતાં મળતી નથી તે હકીકત છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રાજકારણીની કોઈ નિવૃત્તિ વય નક્કી ન હોય એ મતલબનું વિધાન એક પુસ્તકનું વિમોચન કરતી વખતે કર્યું. તેમણે કહ્યું કે હું 75 વર્ષે નિવૃત્ત થઈશ કે કોઈએ પણ નિવૃત્ત થવું જોઈએ એવું મેં ક્યારે ય કહ્યું નથી, સાથે જ એમ પણ ઉમેર્યું કે તેમનું અગાઉનું નિવેદન કોઈ નીતિનિયમ પર આધારિત ન હતું. તે નિવેદન મોરોપંત પિંગળેની રમૂજી શૈલીનો એક ભાગ માત્ર હતું. જુલાઈમાં કહેવાયેલી વાતને પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાઁગ્રેસે જોડી અને  ખાસો હોબાળો કર્યો. નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે ને ભાગવત 11 સપ્ટેમ્બરે 75 વર્ષ પૂરાં કરે છે. ભાગવતે અગાઉ 75 વર્ષે નિવૃત્તિ અંગે ટિપ્પણી કરી, ત્યારે મોદીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. કાઁગ્રેસ આનો વધુ લાભ ઉઠાવે એ પહેલાં 28 ઓગસ્ટે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી સંઘની વ્યાખ્યાનમાળાનાં પ્રશ્નોત્તરી સત્રમાં ભાગવતે રોકડું કર્યું કે જે કામ કરી શકે એમ છે, એમણે સક્રિય રહેવું જ જોઈએ. અમે સંઘના સ્વયંસેવકો છીએ. સંઘ કહેશે તે કરીશું. પોતાને વિષે બોલતાં તેમણે કહ્યું કે હું 80 વર્ષનો થાઉં અને સંઘ કહે કે શાખા ચલાવો, તો મારે તે કરવું પડશે. સંઘમાં ઉંમર આધારિત નિવૃત્તિના નિયમો નથી, પણ ઉંમરની ચિંતા કર્યા વગર સ્વયંસેવકો સેવા કરે એવી અપેક્ષા સંઘની રહે છે.

મૂળ વાત મોરોપંત પિંગળેની રમૂજની હતી, પણ હસવામાંથી ખસવું થયું. એ રમૂજ ભાગવતને નામે ચડી. નાગપુરમાં સ્વર્ગસ્થ મોરોપંતને સમર્પિત એક પુસ્તકના વિમોચન સમારંભમાં ભાગવતે તેમની રમૂજી શૈલી વિષે વાત કરતા કહ્યું કે 75ની ઉંમર થાય તેનો અર્થ એ કે હવે તમે અટકો અને બીજાને આગળ આવવા દો. વાત એમ હતી કે મોરોપંત 75 વર્ષના થયા ત્યારે સંઘના નેતા એચ.વી. શેષાદ્રીએ તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. તે વખતે મોરોપંતે રમૂજમાં કહ્યું કે 75 વર્ષે કોઈ શાલ ઓઢાડે તો સમજી જવું કે એ નિવૃત્તિનો સંકેત છે. એ ધ્યાને લઈને યુવા નેતાઓને આગળ આવવા દેવા જોઈએ. આ વાત મોરોપંતની હતી, પણ ભાગવતે તે ટાંકી તો વિપક્ષે તેનો પોતાની તરફેણમાં ઉપયોગ કરવા વાત મોદી સાથે જોડી દીધી. વાત એવી ચગાવાઈ કે ભાગવતે મોદીને નિવૃત્ત થવાનો સંકેત આપ્યો છે એમ જ લાગે, પણ હકીકત એ છે કે ભાગવતે મોદીનું નામ પણ દીધું નથી.

‘સંઘનાં 100 વર્ષ’ નિમિત્તે શરૂ થયેલ ત્રિદિવસીય વ્યાખ્યાનમાળામાં ભાગવતે કહ્યું કે ભાષા તરીકે અંગ્રેજી શીખવાનો વાંધો ન હોવો જોઈએ. હા, તેને માટે અંગ્રેજ થવાની જરૂર નથી. 2. ભારતને સમજવા સંસ્કૃત શીખવું જરૂરી છે. ૩. મુખ્ય પ્રવાહને ગુરુકુળ શિક્ષણ સાથે જોડવું જોઈએ. 4. નોકરી શોધનાર કરતાં નોકરી આપનાર જરૂરી છે. 5. શિક્ષણનું લક્ષ્ય નોકરી જ હોય એ ઠીક નથી. 6. સંઘ બંધારણમાં જોગવાઈ મુજબ અનામતનું સમર્થન કરે છે. 7. દંપતીને ત્રણ બાળકો હોવાં જોઈએ. 8. ઘૂસણખોરી બંધ થવી જોઈએ. આપણા દેશમાં મુસ્લિમો પણ છે ને તેમને પણ નોકરીની જરૂર છે, તો બહારથી આવી ચડેલાઓને નોકરી ન આપવી જોઈએ. 9. ધર્માન્તરણ અને ગેરકાયદે સ્થળાંતર વસ્તી વિષયક અસંતુલનનાં મુખ્ય કારણો છે … આવી ઘણી વાતો ભાગવતે કરી.

એ ખરું કે સંઘ અને ભા.જ.પ. વચ્ચે કેટલાક સમયથી ચડભડ ચાલ્યા કરે છે. ભા.જ.પ. પ્રમુખ જે.પી. નડ્ડાએ થોડા સમય પર એવી ટિપ્પણી કરી હતી કે ભા.જ.પ. એવો સમૃદ્ધ પક્ષ છે કે તેને હવે કોઈ (સંઘ)ની જરૂર નથી. આ વાતે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. બાકી હતું તે મોરોપંતની વાત ભાગવતની છે એમ ઠઠાડીને કાઁગ્રેસે એવું ચિત્ર ઊભું કર્યું કે સંઘમાંથી જ ભા.જ.પ. વિરુદ્ધ અવાજ ઊઠ્યો છે એવું લાગે, જ્યારે  વાસ્તવિકતા એ છે કે સંઘ ભા.જ.પ.ના નિર્ણયોમાં દખલ દેતો નથી. ભા.જ.પ.ના પ્રમુખ નક્કી કરવામાં સંઘનો ફાળો નથી. એ કામ સંઘે કરવાનું હોત તો અત્યાર સુધીમાં તે થઈ ગયું હોત ! ભા.જ.પ. સલાહ માંગે તો સંઘ આપે છે, બાકી સંઘ, ભા.જ.પ. પર પોતાને થોપતો નથી. એ ખરું કે ભા.જ.પ. અને સંઘના લક્ષ્યો એક જ છે, પણ બંને સ્વતંત્ર રીતે સક્રિય છે. ભાગવતે એ પણ સ્પષ્ટ કર્યું કે ભા.જ.પ. કે સંઘને એકબીજા માટે મતભેદ હોય તો પણ તે મનભેદ નથી.

સાચું તો એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંતરિક રીતે એવી નીતિ ઘડી હતી કે નેતા 75ની ઉંમરે પહોંચે તો તેમને માર્ગદર્શક મંડળીના સભ્ય બનાવી દેવા. એ નીતિ અનુસાર વડા પ્રધાન મોદી 75 પછી નિવૃત્ત થવા જોઈએ, પણ ભા.જ.પ. અપવાદ કરે એમ બને. 2024માં કેજરીવાલે, મોદીને 17 સપ્ટેમ્બર, 2025ને રોજ 75 પૂરાં થતાં નિવૃત્તિની વાત કરી, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે મોદી 2029 સુધી ને તે પછી પણ દેશનું નેતૃત્વ કરશે. આમ તો 75 પછી પણ વડા પ્રધાન તરીકે સક્રિય રહેનાર અટલબિહારી વાજપેયી અને મોરારજી દેસાઈ યાદ આવે જ, એટલે 75 વર્ષે નિવૃત્ત થવાનો નિયમ નથી, પણ મોદી અને શાહે 75 પછી માર્ગદર્શક મંડળીના સભ્ય બનાવી દેવાની નીતિ ઘડી તે હવે લાગુ પડશે કે એ બાજી હવે ફોક ગણવાની છે તેનો ખુલાસો થવો જોઈએ.

શિવસેના યુ.બી.ટી. નેતા સંજય રાઉતનો પ્રશ્ન છે કે 75 પછી નિવૃત્તિ નથી, તો લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, જસવંતસિંહ જેવા નેતાઓને પરાણે નિવૃત્ત કેમ કરાયા? એવું નથી કે 75નો નિયમ લાગુ થયો જ નથી. 2019ની ચૂંટણી વખતે એ નીતિ અનુસાર જ અડવાણી, જોશી, સુમિત્રા મહાજન, કલરાજ મિશ્ર જેવા નેતાઓને ટિકિટ આપવામાં ન આવી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 75થી વધુ વયની કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી. એ જ નિયમ 2૦24ની ચૂંટણી વખતે પણ લાગુ કરવામાં આવ્યો અને રાજેન્દ્ર અગ્રવાલ, રીટા બહુગુણા જોશી, સત્યદેવ પચૌરી જેવાની ટિકિટ કપાઈ.

જોવાનું એ રહે કે મોદી 75 પછી નિવૃત થાય છે કે તેમને અપવાદ ગણીને વડા પ્રધાન પદે ચાલુ રખાય છે. નિયમો બધા માટે સરખા હોય, પણ અપવાદ એ નિયમ ચાલુ રાખવા જ કરવાનો થાય છે, જોવાનું એ રહે કે નિયમ કરતા અપવાદો વધે નહીં ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 સપ્ટેમ્બર 2025

Loading

રિશ્તોં મેં દરાર આઇઃ મોદી – ટ્રમ્પની દોસ્તીને મામલે ભારતીય ડાયસ્પોરાના મોહભંગ પછીનું મૌન

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 August 2025

ભારતીય ડાયસ્પોરાના અત્યારના મૌનમાં પસ્તાવો ઓછો થાક વધારે છે કારણ કે તેમને હવે  ખબર પડી ગઇ છે કે ટ્રમ્પ માટેનો તેમનો પ્રેમ, તેમની વફાદારી “એક તરફા પ્યાર”થી વધારે કંઇ જ નહોતી. ટ્રમ્પ તેમના આ અહોભાવ અને પ્રેમનો પ્રતિસાદ આપશે એ માનવું એક ભ્રમ હતો

ચિરંતના ભટ્ટ

યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દોસ્તીને નામે લોકોએ સોંગદો ખાવાની જ બાકી રાખી હતી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે વડા પ્રધાન મોદીએ તેમને જે આલિંગનો આપ્યા હતા તે તો શોલે ફિલ્મના જય અને વીરુની દોસ્તી યાદ કરાવે એ હતા. વિદેશમાં વસનારા ભારતીયો (આ કિસ્સામાં યુ.એસ.એ.માં વસનારા) – ઇન્ડિયન ડાયસ્પોરાના એક હિસ્સાને અને આપણે ત્યાંના એક હિસ્સાને લાગ્યું કે બસ હવે તો અમેરિકા અને ભારત એક સાથે કદમ મિલાવીને ચાલશે અને આપણે તો ક્યાંના ક્યાં પહોંચી જશું! મોદી અને ટ્રમ્પની વચ્ચે એક ઐતિહાસિક દોસ્તી શરૂ થવાની હોવાનો હરખ કોણ જાણે કેટલાયે વ્યક્ત કર્યો હશે. ભારતમાં ભા.જ.પ.ની રાષ્ટ્રવાદી વિચારસરણી પ્રત્યે ઝુકાવ ધરાવનારા ભારતીય અમેરિકનો માટે આ કોઇ રાજકીય કૂટનીતિ નહીં, પણ તેમના નસીબને ઉજાળનારી પરિસ્થિતિ હતી. તેમને તો સ્વપ્ને પણ કલ્પના નહોતી કે જે દેખાય છે એ ખરેખર હોય જ એવું માની લેવાની ભૂલ તેમને નિરાશા સિવાય કંઇ નહીં આપે.

હ્યુસ્ટન અને અમદાવાદની રેલીઓમાં “અબ કી બાર ટ્રમ્પ સરકાર”ના નારા ગૂંજ્યા જે મોદીના પોતાના ચૂંટણી પ્રચાર “અબ કી બાર મોદી સરકાર”માંથી જ ઉઠાવાયો હતો. મોદી અને ટ્રમ્પ એક બીજાનું પ્રતિબિંબ છે, એક બીજાના પર્યાય છે એવો માહોલ ખડો કરાયો. ભારતીય અમેરિકન બિઝનેસમેન શલભ કુમારે તો ભારતીય ડાયાસ્પોરા સામે ટ્રમ્પને મોદીની પ્રતિકૃતિ તરીકે રજૂ કર્યા. તેમની રિપબ્લિકન હિન્દુ કોએલિશને ચૂંટણી ફંડ માટે લાખો ડોલર એકઠા કર્યા અને ટ્રમ્પના વાક્ય “મને ભારત અને હિન્દુઓ બહુ ગમે છે” વાળી વાતને ગંભીરતાથી લઇ તેને ભાઇચારાનો પુરાવો ગણવા અપીલ કરી. આ તુક્કો થોડો સમય ચાલી ગયો. ભારત – જ્યાં ધર્મ એક મોટું શાસ્ત્ર જ નહીં, શસ્ત્ર પણ છે ત્યાં મંદિરોમાં ટ્રમ્પની મૂર્તિઓ મુકાઇ, તેને લાડુ ચઢાવાયા અને ન્યુ જર્સી અને ન્યુયોર્કમાં ટ્રમ્પના ટેકેદારોએ બુલડોઝર પરેડ કાઢી. આ બુલડોઝર આપણે ત્યાં, ભારતમાં હિન્દુ બહુમતીવાદનું પ્રતીક હતા અને મુસલમાન વિસ્તારો અને વ્યવસાયોને તોડી પાડવા માટે વપરાયા હતા. અમેરિકામાં વસનારી હિંદુઓએ લોચો એ માર્યો કે આ આખી વાતને સાચી માની લીધી – તેમને એમ કે ટ્રમ્પ એટલે વોશિંગ્ટન ડી.સી.ના વ્હાઇટ હાઉસમાં બેઠેલા “આપણા માણસ” – ભારતીય ડાયસ્પકોરાએ પોતાના સાંસ્કૃતિક નોસ્ટાલ્જિયાને અમેરિકન રાજકારણ સાથે ભેળવીને એક ધારણા બાંધી લીધી.

વળી દેખાડા કે નાટ્યાત્મક પ્રદર્શનોમાં બન્ને રાષ્ટ્રના વડાઓ જરા ય પાછા પડે તેમ નથી. હ્યુસ્ટનમાં ‘હાઉડી, મોદી!’ (2019) અને અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ (2020) રેલીઓ આ નેતાઓની એકબીજા સાથેની નિકટતા દર્શાવવાનો એક વ્યવસ્થિત મંચ હતી. મેગા – માગા પાર્ટનરશીપની વાતો થઇ અને મોદી ટ્રમ્પના નારા એકબીજા સાથે ભલી ગયા. મોદી માટે આ ભારતની વૈશ્વિક શક્તિનું એક પ્રદર્શન હતું અને ટ્રમ્પ માટે આ તેમના ટેકેદારોના મોડેલ માઇનોરિટી ગણાતા વિદેશી નેતાના સ્વીકારનું એક સર્ટિફિકેટ હતું. કોઇએ એવું ન વિચાર્યું કે રેલીઓ પ્રદર્શન છે તેમાં બધું નક્કર ન માની લેવાય. આ ડાયસ્પોરા રેલીઓનો હેતુ ક્યારે ય કોઇ ઠોસ પ્રભાવ ઊભો કરવાનો નહોતો પણ માત્ર દેખાવ ખડો કરવાનો હતો. યુ.એસ.એ.માં વસનારા લાગણીશીલ ભારતીયો મોદી-ટ્રમ્પની દોસ્તીને નામે ખુશખુશાલ થઇ ગયા પણ એવું ભૂલી ગયા કે ટેક્સાસ કે ગુજરાતમાં રહેનારા ભારતીય અમેરિકનો ભગવા ઝંડા લહેરાવે પણ ભારત પ્રત્યે યુ.એસ.એ.ની નીતિ હંમેશાં લેવડ-દેવડ પૂરતી જ રહી છે અને એમ જ રહેવાની છે. 

ઉપરછલ્લી દોસ્તીની હકીકતો બહુ જલદી બહાર આવી ગઇ. ટ્રમ્પની પહેલી ઇનિંગમાં ટ્રેડ વૉર્સ થયા જેમા ભારતને સાથીદાર નહીં પણ પ્રતિસ્પર્ધી તરીકે જોવાયો. ભારતીય સ્ટીલ અને એલ્યુમિનિયમ પર તગડા ટેરિફ લાગુ કરાયા. ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સિઝમાંથી બહાર રખાયો અને ભારતીય વ્યાપારની પદ્ધતિઓની ચકાસણી શરૂ કરાઇ. બીજી ઇનિંગમાં પણ ટ્રમ્પે જુદી દોસ્તીના દાવાઓ પોકળ જ છે એવું દર્શાવવાનું ચાલુ જ રાખ્યું. કોમર્સ વિભાગના સૂત્રો અનુસાર 2025માં તો આ વ્યાપારી નીતિઓ રાજદ્વારી કટોકટી બની ચૂક્યા છે. ફાર્માસ્યૂટિકલ્સ અને ટેક્સ્ટાઇલ સહિતના ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ ફટકારાયો છે. મોદી-ટ્રમ્પની દોસ્તીને કારણે બિઝનેસિઝને કોઇ સલામતી કે રાહત ન મળી. 

આટલું ઓછું હતું એમાં ઇમિગ્રેશનને મામલે ભારતીય અમેરિકનો એક પ્રતિકૂળ માહોલમાં ફસાયા. બર્થ રાઇટ સિટિઝનશિપ અને H-1B વિઝા પર નિયંત્રણો ઝિંકાયા અને ભારતીય પ્રોફેશનલ્સ હચમચી ગયા કારણ કે તેમણે તો માનેલું કે અમેરિકા હવે તેમને પોતાના જ માને છે. ટ્રમ્પની બીજી ઇનિંગમાં કેટલા ભારતીયોને ઘર ભેગા કરાયા છે અને કેવી રીતે કરાયા છે તે આપણને ખબર છે. રોજના અંદાજે આઠ ભારતીયોને વતનભેગાં કરવામાં આવ્યા જેમાં વિઝા પતી ગયો હોય એવા વિદ્યાર્થીઓ, બ્યુરોક્રસીમાં ફસાયેલા ટેક વર્કર્સ અને લાંબા સમયથી જુગાડ કરીને અમેરિકામાં ગોઠવાઇ ગયેલા પરિવારો ટ્રમ્પની ઝપેટમાં આવીને ઘર ભેગા થઇ ગયા. મોદીએ જેને વ્યક્તિગત દોસ્તી અને લાગણીનું લેબલ આપ્યું તેને ડાયસ્પોરાએ પોતાનું સુરક્ષા કવચ માનવાની ભૂલ કરી અને જ્યારે ટ્રમ્પે “અમેરિકા ફર્સ્ટ”નો સિદ્ધાંત પોકાર્યો તેમાં આ બધું પડી ભાંગ્યું. 

હરકારા નામના હિન્દી ડિજિટલ ન્યૂઝલેટરમાં ટ્રમ્પ ઘેલા ભારતીય ડાયસ્પોરાની માનસિકતા, અત્યારની સ્થિતિ વગેરે અંગે એક લાંબો ઇન્ટરવ્યુ તાજેતરમાં જ રિલિઝ થયો છે. દોઢ કલાકની આ વાત-ચીતમાં અમેરિકાની લેહાઇ યુનિવર્સિટી, પેન્સિલ્વેનિયામાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત નંદિની દેઓ ડાયસ્પોરા રાજકારણનાં અભ્યાસુ છે. તેઓ આ ઇન્ટરવ્યુમાં કહે છે કે જે ભારતીય અમેરિકનો એક સમયે ટ્રમ્પના પ્રચારક બની ગયા હતા તે હવે ચૂપ છે – તેઓ આ બીજી ઇનિંગના ચાર વર્ષ પૂરા થાય તેની મુંગા મોંએ રાહ જુએ છે. ન્યુ જર્સી એડિસન જે ખાસ કરીને ગુજરાતીઓ અને દક્ષિણ એશિયાઈ સમુદાયનો ગઢ ગણાય છે ત્યાંના લોકોને લાગે છે તેમનો ઉપયોગ કરાયો અને પછી તેમને ફગાવી દેવાયા. એક સમયનો તેમનો ઉત્સાહ તેમની શરમ બની ગયો છે. ભારતમાં પણ આ શરૂઆતી રોમાંચ ઘટી ગયો છે, ટ્રમ્પને માટે હવન કરનારા ભારતીયો હવે તેના પૂતળાં બાળે છે. 

આ બધાની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. એક સમયે ટ્રમ્પના સૌથી મોટા હિમાયતી રહેલા ભારતીય અમેરિકનો આજે મૌન છે. અમેરિકામાં વસતા ભારતીયોને ભોળા કે લાગણીશીલ માનીને તેમને દયા ખાવી જોઇએ? યુ.એસ.એ.માં હિન્દુ રાષ્ટ્રવાદી જૂથો જેમાં વી.એચ.પી.ની વિદેશી શાખાઓ અને રિપબ્લિકન હિન્દુ કોએલિશન જેવી સંસ્થાઓ સામેલ છે. આ તમામ ટ્રમ્પના ઇસ્લામોફોબિયા, પોતાનાથી અલગ દેખાતા ઇમિગ્રન્ટ્સ પ્રત્યનો અણગમો અને બહુમતીવાદના ગાણાંને કારણે ટ્રમ્પ તરફ આકર્ષાયા હતા. તેઓ એમ માની બેઠા કે આ બધું પોતે પણ વિચારે છે એટલે ટ્રમ્પ સાથે તાલ મિલાવવો જ જોઇએ. ભારતીય ડાયસ્પોરામાંના કેટલાક હિસ્સાએ પોતાની કોમવાદી રાજનીતિનો પડઘો ટ્રમ્પના ઇસ્લામોફોબિયામાં જોયો. કાયદાકીય ઇમિગ્રેશન પ્રત્યેના તિરસ્કારને અવગણીને ટ્રમ્પની પાકિસ્તાન પ્રત્યેની કડક વાતોને બિરદાવી. લોકશાહી પર થતા હુમલાઓ જોવાને બદલે સરમુખત્યાર વલણની વાહવાહી કરી. તેમને એમ લાગ્યું કે એક જૂની લોકશાહી અને બીજી મોટી લોકશાહી મળીને કમાલ કરી દેશે પણ આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. ટ્રમ્પના ભારતીય ટેકેદારો અત્યારે ચૂપ છે, જો કે મજાની વાત એ છે કે તેમણે ટ્રમ્પનો વિરોધ પણ નથી કર્યો. તેઓ બસ અત્યારે સીનમાંથી ગાયબ છે. 

ડાયસ્પોરાએ તો એ સમજવાની જરૂર છે કે મોદી અને ટ્રમ્પ જેવા રાજકારણીઓ પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ કઇ રીતે કરી શકે છે? આ નકરું રાજકારણ છે. ટ્રમ્પે મોદીના ગુણગાન ગાયા અને પોતાને વૈશ્વિક સત્તાધીશ તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો તો મોદીએ ભારત એક રાષ્ટ્ર તરીકે યુ.એસ.એ. સાથે ખભેખભા મેળવી ચાલી શકે છે તે દર્શાવવા આ દોસ્તીનો પ્રચાર કર્યો.

ટ્રમ્પ લેવડ-દેવડમાં માનનારા એક સ્વાર્થી બિઝનેસમેન અને રાજકારણી છે અને એવા જ રહેશે. ઇલોન મસ્ક સાથેની તેમની દોસ્તી ક્યાં હતી અને હવે ક્યાં છે એ જ બતાડે છે કે ટ્રમ્પને માટે પોતાને કોઇ કેટલો વખત કામ લાગશે તેનાથી વધારે અગત્યનું કંઇ છે જ નહીં. 

બાય ધી વેઃ 

ભારતીય ડાયસ્પોરાના અત્યારના મૌનમાં પસ્તાવો ઓછો થાક વધારે છે કારણ કે હવે તેમને સમજાયું છે કે ટ્રમ્પ માટેનો તેમનો પ્રેમ, તેમની વફાદારી “એક તરફા પ્યાર”થી વધારે કંઇ જ નહોતી. ટ્રમ્પ તેમના આ અહોભાવ અને પ્રેમનો પ્રતિસાદ આપશે એ માનવું એક ભ્રમ હતો. રાજકારણીઓ માટે મતદાતાઓ માત્ર એક સાધન હોય છે. આ સાધનને લાભ નથી મળતા કારણ કે તેમનો જેટલો ખપ હોય છે તેટલા જ તેમને મલાવાય છે. 

વિદેશી ભારતીયો કદાચ ભારતના સ્થાનિક રાજકારણમાં કંઇ પ્રભાવ ખડો કરી શકે (પાર્ટી ફંડ આપીને) પણ વ્હાઇટ હાઉસમાં દિલ્હીનું કહ્યું થાય એવું માનવું એ ફિફા ખાંડવા જેવું છે. મોદી એટલે ભારત નહીં અને ભારત એટલે મોદી નહીં. આપણા રાષ્ટ્રની વિશાળતા એક વ્યક્તિત્વને આધારે ટકી રહી છે એવું માનવાની ભૂલ ન કરવી. મોદીની ટીકા એ ભારતની ટીકા કરવાને સમાન નથી એ સમજો, અને એ જ રીતે ટ્રમ્પની ટીકા કરવાથી તમે હિન્દુઓના ગૌરવને નથી વખોડી રહ્યા. દોસ્તીના દેખાડા રાજકીય માર્કેટિંગ હોય છે. દરેક રાષ્ટ્ર માટે એ એક અનિવાર્ય અનિષ્ટ છે એ યાદ રાખીને નિષ્પક્ષતા કે તટસ્થતાથી રાજકારણીઓને નાણવા નહીંતર દુઃખી થવાનો વારો આવશે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ઑગસ્ટ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—304

દીપક મહેતા|Opinion - Opinion|31 August 2025

જ્યુરી અને જજ વચ્ચે મતભેદ 

જ્યુરીએ કહ્યું, નાણાવટી નિર્દોષ છે, 

જજે કહ્યું નાણાવટી નિર્દોષ નથી   

સિલ્વિયા નાણાવટીની જુબાની આગળ ચાલી ત્યારે મરનાર આહુજાના ઘરમાંથી મળી આવેલો એક ફોટો તેમને બતાવવામાં આવ્યો. આ ફોટો પોલીસે પંચનામા હેઠળ આહુજાના ઘરમાંથી બરામદ કર્યો હતો. બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલાએ પૂછ્યું : આ ફોટો કોનો છે તે કહી શકશો?

હા, જી. આ ફોટો મરનાર પ્રેમ આહુજાની આગલી પત્નીનો છે. એનું નામ પામ.

આવી, પામ નામની કોઈ વ્યક્તિ હતી જ નહિ, ઉપજાવી કાઢવામાં આવી છે, એમ કોઈ કહે તો તમે શું જવાબ આપશો?

‘પામ’ કલ્પના નથી, હકીકત છે. બોમ્બે ક્લબમાં એક લંચ વખતે હું તેને મળી હતી, ૧૯૫૮માં. 

તમને કઈ રીતે ખબર પડી પામ મરનાર આહુજાની પત્ની હતી?

મરનાર આહુજાએ મને એમ કહ્યું હતું કે ૧૯૪૭માં મેં પામ સાથે લગ્ન કર્યાં હતાં. પણ તેના મા-બાપે મારા પર ખોટ્ટા આક્ષેપો મૂક્યા હતા અને પામને મારી પાસેથી ઉઠાવી ગયા હતા.

મરનાર અને પામ વચ્ચેનો લગ્નસંબંધ પૂરો થઈ ગયો હતો?

થોડા વખત પછી પામે બીજાં લગ્ન કરી લીધાં એટલે એ સંબંધ કાયદેસર પૂરો થયો હોય તો જ એ શક્ય બને.  

ત્યાર બાદ સિલ્વિયાને ત્રણ પત્રો બતાવવામાં આવ્યા જે મરનારના ઘરમાંથી મળી આવ્યા હતા. એ જોઈને સિલ્વિયાએ કહ્યું કે આ પત્રો મેં પ્રેમ આહુજાને લખેલા પત્રો છે. 

મરનાર પ્રેમ આહુજાએ તમને ક્યારે ય પત્રો લખ્યા હતા?

ના, જી. 

તમારા પ્રેમ સંબંધ અંગે તમે ક્યારે ય બીજા કોઈની સાથે વાત કરી હતી?

હા, જી. મિસ આહુજા સાથે.

ક્યારે?

૧૯૫૮ના ઓક્ટોબર કે નવેમ્બરમાં. 

પબ્લિક પ્રોસિક્યૂટર : શું એ વાત સાચી નથી કે તમે દિલ્હીમાં હતાં ત્યારે તમારે લગ્ન અંગે મરનાર આહુજા સાથે વાત થઈ હતી, અને તમે બંનેએ એ વાત મિસ આહુજાને જણાવવાનું નક્કી કર્યું હતું.

ના, જી. કારણ મિસ આહુજા એ વાત ત્યારે જાણી ચૂક્યાં હતાં. એટલે તેમને જણાવવાનો પ્રશ્ન જ નહોતો. 

એટલે, મરનાર સાથેનાં તમારાં લગ્ન અંગે મિસ આહુજા સાથે પહેલી વાર વાત તમે ત્રણે આગ્રામાં હતાં ત્યારે થઈ હતી એમ કહેવું સાચું નથી?

ના, જી. એ સાચું નથી. 

ફરિયાદ પક્ષના વકીલે ઊલટ તપાસ લેવાની ના પાડતાં સિલ્વિયા નાણાવટીની જુબાની પૂરી થઈ. એ સાથે કોર્ટના રજિસ્ટ્રારે જાહેર કર્યું કે હવે કોઈ સાક્ષીની જુબાની બાકી રહેતી નથી.

*

આપણી અદાલતોમાં જ્યારે જ્યૂરી પ્રથા અસ્તિત્વમાં હતી ત્યારે શિરસ્તો એવો હતો કે બધા સાક્ષીની જુબાની પૂરી થયા પછી બચાવ પક્ષના વકીલ અને ફરિયાદ પક્ષના વકીલ જ્યુરીના સભ્યોને સંબોધીને બધા સાક્ષીઓની જુબાનીનો સાર (સમરી) આપે અને કયા સાક્ષીની કઈ વાત મહત્ત્વની છે એ તરફ જ્યુરીના સભ્યોનું ધ્યાન દોરે. 

સૌથી પહેલાં બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલા ઊભા થયા અને બધા સાક્ષીઓની જુબાનીનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું. તેમનો મુખ્ય મુદ્દો એ હતો કે આ કેસમાં ફરિયાદ પક્ષ એક પણ direct evidence રજૂ કરી શક્યો નથી. અને જે આડકતરા પુરાવા રજૂ થયા છે તે કમાન્ડર નાનાવટીને ન તો ખૂની ઠરાવી શકે તેમ છે, કે ન તો સદોષ મનુષ્યવઘનો ગુનો સાબિત કરી શકે તેમ છે. કમાન્ડર નાણાવટીએ જે કાંઈ કર્યું – અથવા તેમનાથી જે કાંઈ થઈ ગયું – તે પોતાના બચાવમાં થયું હતું. ખંડાલાવાલાની રજૂઆત પૂરા બાર કલાક ચાલી હતી.

તે પછી ચીફ પબ્લિક પ્રોસિક્યૂટર સી.એમ. ત્રિવેદીએ પોતાની રજૂઆતમાં કાર્લ ખંડાલાવાલાની ઘણીખરી વાતનું ખંડન કરીને કહ્યું હતું કે પ્રેમ આહુજા મરાયો છે, કમાન્ડર નાણાવટીની રિવોલ્વરમાંથી છૂટેલી (કે છૂટી ગયેલી) ગોળીઓ વડે તેનું મોત નિપજ્યું છે એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. તેનું મોત એ ખૂન છે, સદોષ મનુષ્યવધ છે, કે અકસ્માત છે એ જ્યુરીના માનવંતા સભ્યોએ નક્કી કરવાનું છે. ત્રિવેદીની રજૂઆત પણ ચાર દિવસમાં બધું મળીને બાર કલાક સુધી ચાલી હતી. 

ત્યાર બાદ જજ મહેતાએ બધા સાક્ષીઓની જુબાની, બંને પક્ષના વકીલોની રજૂઆત, કાયદાની બારીકીઓ, વગેરેની ચર્ચા કરી જે સાત કલાક ચાલી હતી. અંતે તેમણે કહ્યું કે આ ખટલા અંગે તમે જે કોઈ નિર્ણય લો તે કોઈથી પણ દબાયા કે દોરવાયા વિના, કોઈની શેહશરમમાં આવ્યા વગર, કાયદાને અને ન્યાયબુદ્ધિને વફાદાર રહીને લેવાનો રહેશે. 

અદાલતની બહાર લોકોનાં ટોળાં

સાંજે ૪:૪૦ વાગ્યે જ્યુરીના માનવંતા સભ્યો ચર્ચા વિચારણા કરવા માટે તેમના અલગ ખંડમાં ગયા હતા. સાધારણ રીતે જ્યુરીના સભ્યોને નિર્ણય પર આવતાં પોણો કે એક કલાક લાગે, પણ આ કેસમાં તેમને પૂરી ૧૩૫ મિનિટ લાગી. જજ મહેતાએ જાહેર કર્યું કે ભલે ગમે તેટલા વાગે, ચુકાદો આજે જ જાહેર કરવામાં આવશે. એટલે એ દરમ્યાન કોર્ટના કમ્પાઉન્ડમાં અને બહારના રસ્તાઓ પર લોખંડી ટોપા પહેરેલી ‘રાયટ પોલિસ’ના સિપાઈઓ ખડે પગે ઊભા રહી ગયા હતા. સશસ્ત્ર પોલિસની કેટલીક ટુકડીઓને નજીકના એક મકાનમાં રાખવામાં આવી હતી, પણ તેને જાહેરમાં તહેનાત કરવામાં આવી નહોતી. કોર્ટના કમ્પાઉન્ડની બહાર લોકોનું ટોળું મોટું ને મોટું થતું જતું હતું. 

રૂસી કરંજિયા

નાણાવટી ખૂન કેસે લોકોનું જેટલું ધ્યાન દોર્યું તેટલું આ પહેલાં કે પછી બીજા કોઈ ખૂન કેસે દોર્યું નથી. આ કેસને જબરદસ્ત પબ્લિસિટી અપાવવામાં અંગ્રેજી સાપ્તાહિક Blitzનો ફાળો ઘણો મોટો. તેણે સતત કમાન્ડર નાણાવટીની તરફેણ કરતા ‘પુરાવા’ પ્રગટ કર્યા, અને મરનાર પ્રેમ આહુજાની વિરુદ્ધના ‘દસ્તાવેજ’ સતત છાપીને આ કેસ વિષે સનસનાટી ભર્યું લખ્યા કર્યું. એ વખતે મુંબઈમાં Blitz સાપ્તાહિકનો અને તેના તંત્રી રૂસી કરંજિયા(૧૯૧૨-૨૦૦૮)નો ડંકો વાગતો. 

૧૩૫ મિનિટ પછી જ્યુરીના માનવંતા સભ્યો કોર્ટ રૂમમાં ફરી દાખલ થયા. તેમને જોતાં વેંત કોર્ટ રૂમમાં હાજર રહેલા લોકોએ તાળીઓ પાડી. જજ મહેતાએ કોર્ટના માર્શલને તરત હુકમ કર્યો કે આ કેસ સાથે જેમને સીધી રીતે લાગતું વળગતું ન હોય તેવા બધાને કોર્ટ રૂમમાંથી દૂર કરવામાં આવે. એમ થયા પછી જ્યુરીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો : તેમણે આઠ વિરુદ્ધ એક મતે કમાન્ડર નાણાવટીને બંને કલમો હેઠળ નિર્દોષ જાહેર કર્યા. જ્યુરીએ કહ્યું કે ન તો કલમ ૩૦૨ હેઠળ ખૂનનો ગુનો પુરવાર થયો છે કે નથી તો કલમ ૩૦૪ હેઠળ ખૂન નહિ તેવા સદોષ મનુષ્યવધનો ગુનો પુરવાર થયો છે. એટલે કમાન્ડર નાણાવટીને બાઈજ્જત છોડી મૂકવામાં આવે એવી ભલામણ કરીએ છીએ.

જજ મહેતાએ તરત જ આ નિર્ણય ‘totally perverse’ હોવાનું જણાવીને ખટલો refrence માટે બોમ્બે હાઈ કોર્ટને મોકલવાની જાહેરાત કરી અને હાઈ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી કમાન્ડર નાણાવટીને નેવલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો. બચાવ પક્ષના વકીલ કાર્લ ખંડાલાવાલા જજ મહેતાનો નિર્ણય સાંભળીને ઊભા થયા અને કહ્યું કે હું આપ નામદારને કશુંક કહેવા માગું છું.

જજ મહેતા : મેં તમને સતત ચાર દિવસ સુધી સાંભળ્યા છે. હવે વધારે સાંભળવાની જરૂર મને લાગતી નથી. પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું કે જ્યુરીના માનવંતા સભ્યોનો નિર્ણય કાયદાની નજરમાં એક ઘડી પણ ઊભો રહી શકે તેમ નથી. વધારામાં તેમણે એવી માગણી રજૂ કરી કે આરોપી નાણાવટીને નેવલ કસ્ટડીમાં નહિ, પણ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે. આ તબક્કે ખંડાલાવાલા અને ત્રિવેદી એક બીજા સાથે ઝગડી પડ્યા અને એક બીજા સાથે સીધી વાત કરવા લાગ્યા. ત્યારે જજ મહેતાએ બંનેને રોકીને ઠપકો આપ્યો. બંને વકીલોએ માફી માગતાં મામલો થાળે પડ્યો. પછી ખંડાલાવાલાએ જણાવ્યું કે અદાલતના ફેસલા પછી જે કાંઈ બન્યું તે માટે આરોપી કમાન્ડર નાણાવટી મુદ્દલ જવાબદાર નથી એટલે તેમને સજા રૂપે પોલીસ કસ્ટડીમાં મોકલવાની માગણી તદ્દન અયોગ્ય છે અને હું તેનો સખત શબ્દોમાં વિરોધ કરું છું.  

જજ મહેતાએ કહ્યું કે આરોપી કમાન્ડર નાણાવટીને નેવલ કસ્ટડીમાં મોકલવાના મારા નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની મને જરૂર લાગતી નથી. છતાં જો આગળ ઉપર નેવલ કસ્ટડીનો દુરુપયોગ થાય છે એમ લાગે તો લાગતાવળગતા વકીલ નેવલ કસ્ટડી કેન્સલ કરવા માટે અરજી કરી શકે છે. 

છેવટે આરોપી કમાન્ડર નાણાવટીને ઉદ્દેશીને જજ મહેતા બોલ્યા : જ્યુરીના માનવંતા સભ્યોએ આઠ વિરુદ્ધ એક મતે તમે નિર્દોષ હોવાનો અભિપ્રાય આપ્યો છે. તેમને મતે કલમ ૩૦૨ અને કલમ ૩૦૪ હેઠળનો ગુનો તમે કર્યો નથી અને એટલે આ મામલામાં તમે નિર્દોષ છો. પણ જ્યુરીના માનવંતા સભ્યોના આ અભિપ્રાય સાથે હું સહમત થઈ શકતો નથી અને એટલે તમારો ખટલો બોમ્બે હાઈ કોર્ટને ‘રેફરન્સ’ માટે મોકલવાનું ઠરાવું છું. એ સાથે જ હું આ કેસ માટેની જ્યુરીને બરખાસ્ત કરું છું. 

જ્યુરીએ કમાન્ડર નાણાવટીને નિર્દોષ જાહેર કર્યા છે એ ખબર ફેલાતાં કોર્ટની બહાર ઊભેલા લોકોના ટોળામાંથી કેટલા ય આનંદથી નાચી ઊઠયા હતા. જાણે કોઈ મોટો ઉત્સવ હોય એવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. પણ બે-પાંચ મિનિટ માટે જ. કારણ પછી થોડી જ વારમાં ખબર ફેલાઈ ગયા કે જજ સાહેબે જ્યુરીનો નિર્ણય સ્વીકાર્યો નથી અને કેસ બોમ્બે હાઈ કોર્ટને મોકલી આપ્યો છે. ટોળાના એક મોટા ભાગે જજના નામની ‘હાય, હાય’ પોકારી. કેટલાકે વળી ‘મારો મારો’ ની બૂમો પાડી હતી. આ બધું જોઈને પોલીસ સતેજ થઈ ગઈ. રિઝર્વમાં રાખેલ હથિયાર બંધ પોલીસને રસ્તાઓ પર તહેનાત કરવામાં આવ્યા. નેવલ હેડ ક્વાર્ટર્સમાંથી ઇન્ડિયન નેવીની ચાર સફેદ મોટર સાઈકલ નેવલ પોલીસના જવાનો સાથે આવી પહોચી. કોર્ટના કંપાઉન્ડમાં ઊભેલી નેવીની સફેદ મોટરની આગળ બે અને પાછળ બે મોટર સાઈકલ ગોઠવાઈ ગઈ. કમાન્ડર નાણાવટી ઊતરીને સીધા મોટરમાં બેઠા અને તેમનો કાફલો આઈ.એન.એસ. કુન્જાલીમાં આવેલી નેવીની કસ્ટડી તરફ ઝડપભેર રવાના થયો.

તો બીજી બાજુ પોલીસના અધિકારીઓ જજ મહેતાને મળવા ગયા અને સલાહ આપી કે તેમણે અત્યારે ઘરે જવા ન નીકળવું, પણ મોડેથી લોકો વિખરાઈ જાય પછી નીકળવું. જજ મહેતાએ આ સલાહ માની એટલે પોલીસે બીજી સલાહ એ આપી કે આજે તમારી મોટરમાં ઘરે ન જવું, પણ અમે મોકલીએ તે બીજી મોટરમાં જવું. એ મોટરમાં સાદા કપડામાં પોલીસના માણસો હશે. જજ મહેતાએ આ સૂચન પણ સ્વીકારી લીધું. 

છાપાંની હેડ લાઈન્સ 

બીજે દિવસે સવારે બધાં છાપાંમાં જ્યુરીના અને જજના પરસ્પર વિરોધી નિર્ણયના ખબર પહેલે પાને આઠ કોલમના હેડિંગ સાથે છપાયા. તો બીજી બાજુ વહેલામાં વહેલી તકે બોમ્બે હાઈ કોર્ટમાં સુનાવણી કરવાની તૈયારી શરૂ થઈ.

બોમ્બે હાઈ કોર્ટમાં જે કાંઈ બન્યું તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે|; 30 ઓગસ્ટ 2025 

Loading

...102030...109110111112...120130140...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved