Opinion Magazine
Number of visits: 9564599
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાનૂન (મંત્રી) ક્યા કરેગા? કિરેન રિજિજૂને અચાનક ગડગડિયું કેમ આપ્યું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 May 2023

રાજ ગોસ્વામી

ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારનું મોટાભાગનું કોમ્યુનિકેશન વડા પ્રધાન કરે છે. તેમના મંત્રીઓ ઔપચારિક વાતો સિવાય મીડિયા સાથે વાત કરતા નથી. અધિકારીઓ તો વળી તદ્દન છેટા રહે છે. શું કહેવું, કેટલું કહેવું, ક્યારે કહેવું, કોને કહેવું વગેરે વડા પ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ.)માંથી નક્કી થાય છે. આઝાદ ભારતના ઇતિહાસમાં, નરેન્દ્ર મોદીની પી.એમ.ઓ. ટીમ સૌથી વધુ તાકાતવર અને સક્રિય છે. માહિતીઓનું કેટલું મહત્ત્વ છે એ માત્ર પી.એમ.ઓ.ના બાબુઓને જ ખબર છે. એકપણ વાત કે માહિતી આમતેમ અથડાઈને અકસ્માત ન કરે તેનું તેઓ બહુ ધ્યાન રાખે છે. અન્ય મંત્રાલયના બાબુઓ પણ પી.એમ.ઓ.ના ‘સિનિયરો’ને પૂછીને પાણી પીવે છે.

એટલે, ગયા અઠવાડિયે કાયદા મંત્રી કિરેન રિજિજૂની અચનાક બદલી કરી નાખવામાં આવી ત્યારે, જનતા તો ઠીક, સરકારના લોકો પણ ઊંઘતા ઝડપાયા. સરકારના મોટાભાગના લોકોને તો તેમની બદલીના સમાચાર ન્યૂઝ ચેનલોની હેડલાઇન્સ પરથી મળ્યા હતા. રાષ્ટ્રપતિના હસ્તાક્ષરવાળી એક ઔપચારિક જાહેરાત સિવાય, સરકારમાંથી બીજી કોઈ સત્તાવાર કે બિનસત્તાવાર માહિતી ઉપલબ્ધ ન હતી કે બે વર્ષથી દેશમાં કાયદો વ્યવસ્થાને ‘સુધારવાનું’ ઉત્તમ કામ કરી રહેલા રિજિજૂને કેમ પાણીચું આપવામાં આવ્યું.

તેમને કાનૂન મંત્રાલયમાંથી ભૂ-વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. ભૂ-વિજ્ઞાન મંત્રાલયનું પણ એક મહત્ત્વ છે, પરંતુ બહુ બધા લોકોને તો આવું કોઈ મંત્રાલય પણ અસ્તિત્વમાં છે તેની જાણ રિજિજૂની બદલી થઇ ત્યારે ખબર પડી. રિજિજૂ એકલા જ ન ગયા. તેમના ડેપ્યુટી એસ.પી. સિંહ બઘેલને પણ કાનૂન મંત્રાલયના રાજ્ય મંત્રી પદેથી હટાવીને સ્વાસ્થ્ય મંત્રાલયમાં મુકવામાં આવ્યા.

રિજિજૂના સ્થાને રાજસ્થાનના દલિત નેતા અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી અર્જુન રામ મેઘવાળને લાવવામાં આવ્યા. તેઓ તેમના વર્તમાન મંત્રાલય ઉપરાંત કાનૂન મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળશે. અર્થાત, તેઓ રાજ્ય મંત્રી તરીકે કામ કરશે, કેબિનેટ મંત્રી તરીકે નહીં. બીજી રીતે કહીએ તો, કાનૂન મંત્રાલયનું કદ નીચે કરવામાં આવ્યું છે. કેબિનેટની બેઠકમાં તમામ કેબિનેટ મંત્રીઓ હાજરી આપે છે. રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રીને, તેમના મંત્રાલયને લાગતો વિષય હોય તો, વિશેષ આમંત્રણથી બેઠકમાં બોલાવામાં આવે છે.’

રિજિજૂ 8 જુલાઈ 2021ના રોજ રવિશંકર પ્રસાદની જગ્યાએ કાનૂન મંત્રી બન્યા હતા. એ મોટી જવાબદારી હતી. એ વખતે 12 મંત્રીઓની ફેરબદલ કરવામાં આવી હતી. તેમાં પ્રસાદનું નામ હતું એ ત્યારે પણ ચર્ચાનો વિષય બન્યું હતું. પ્રસાદ તે વખતે કોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી પણ હતા.

કહેવાય છે કે સોશિયલ મીડિયાની તોતિંગ કંપની ટ્વીટર સાથે તેમણે જે રીતે લડાઈ છેડી હતી અને દુનિયા ભરમાં સરકારની બદનામી થતી હતી તેનાથી નારાજ થઈને તેમની બદલી કરવામાં આવી હતી. તેમના ભાગે સરકારની નીતિઓ અને નિર્ણયોને જનતા સુધી પહોંચાડવાનું કામ હતું, પરંતુ વિવાદોને લઈને તેઓ ‘બડબોલા’ મંત્રી તરીકે જાણીતા થયા હતા.

કંઇક એવું જ, તેમના અનુગામી રિજિજૂ સાથે થયું હોવાનું મનાય છે. કોઈ મંત્રીનો વિભાગ અચાનક બદલી નાખવાનો વડા પ્રધાનનો સ્વભાવ નથી. ઊલટાનું, તેમની છાપ એવી છે કે ગમે તેવી ટીકાઓ વચ્ચે પણ મંત્રીઓનું રક્ષણ કરે છે. સવાલ એ છે કે રિજિજૂને કેમ હટાવવામાં આવ્યાં? મીડિયામાં અમુક તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે.

સૌથી મોટું કારણ એ આગળ ધરવામાં આવે છે કે રિજિજૂ ન્યાયતંત્રને લઈને ઘણા આક્રમક થઇ ગયા હતા. તેમણે એવાં બયાનો કર્યા હતાં, જેનાથી સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ટકરાવની પરિસ્થિતિ નિર્માણ થઇ હતી.

જેવી રીતે રવિશંકર પ્રસાદ સોશિયલ મીડિયા ટ્વીટર સામે પોલીસ કેસથી લઈને સર્ચ ઓપરેશન જેવાં આક્રમક પગલાં લેવા સુધી પહોંચી ગયા હતા, તેવી રીતે રિજિજૂ પણ આવતાં વેંત એન્ગ્રી યંગ મેનની ભૂમિકામાં આવી ગયા હતા. તેમાં છેલ્લા છ મહિનામાં તે જજોની પસંદગી અને પેન્ડીંગ કેસો જેવા અનેક મુદ્દાઓ પર અથડામણ ઊભી કરી ચુક્યા હતા.

એક નોંધપાત્ર ઘટનામાં તેમણે સુપ્રીમ કોર્ટને સીધી જ નિશાન બનાવી હતી. તેમણે કહ્યું હતું, “મને ખબર છે કે જજોની નિમણૂક કરવાની કોલેજિયમ સિસ્ટમથી દેશના લોકો ખુશ નથી. બંધારણની વાત કરીએ તો એ નિમણૂકોનો અધિકાર સરકારનો હોવો જોઈએ. ભારત સિવાય દુનિયામાં ક્યાંય એવી વ્યવસ્થા નથી કે જજો જાતે જ જજોની નિમણૂક કરે. ત્રીજું, કાનૂન મંત્રી તરીકે, મેં એ જોયું છે કે અડધો સમય તો જજો કોને જજ બનાવા તેમાં જ રચ્યાપચ્યા રહે છે. તેમનું પ્રાથમિક કામ ન્યાય તોળવાનું છે.”

એવી જ રીતે સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટોમાં જજોની નિમણૂકની ફાઈલ કાનૂન મંત્રાલયમાં અટકી પડી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે નારાજ થઇને કહ્યું હતું કે સરકાર અમને કોઈ એવું પગલું ભરવા મજબૂર ન કરે જેથી મુસીબત ઊભી થાય. આ આકરો પ્રતિભાવ હતો, અને ફાઈલને ઊંચી મુકવાને બદલે રિજિજૂએ સામે બાંયો ચઢાવી હતી કે અહીં કોઈ ચેતવણી ન આપી શકે.

તેમણે કહ્યું હતું કે, “કોલેજિયમ કહે એટલે સરકારે જો માત્ર સહી કરી દેવાની હોય, તો પછી સરકારનું કામ જ શું છે? સરકાર જો ફાઈલ પર બેસી રહેતી હોય, તો એ સરકારમાં મોકલતા જ નહિ. જાતે જ નિમણૂક કરી લેજો.”

હમણાં એપ્રિલ મહિનામાં સજાતીય લગ્નોને લઈને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વખતે પણ તેમણે પડકારના અંદાજમાં કહ્યું હતું કે લગ્ન જેવી બાબતોનો ફેંસલો અદાલતોમાં ન થાય. તેમણે કહ્યું હતું કે લગ્નનો નિર્ણય લોકો કરે છે અને લોકોની ઈચ્છાનું ધ્યાન સંસદ રાખે છે. એટલે કોર્ટે આમાં ન પડવું જોઈએ અને સરકાર પર છોડી દેવું જોઈએ.

હદ તો ત્યારે થઇ હતી, જયારે દિલ્હીમાં એક મીડિયા સમૂહના વાર્ષિક કાર્યક્રમમાં, રિજિજૂએ એવું કહી દીધું હતું કે અમુક નિવૃત્ત જજો ભારત વિરોધી ગેંગનો હિસ્સો બની ગયા છે અને તેઓ ભારતની ન્યાયપાલિકાને વિરોધ પક્ષની ભૂમિકા ભજવે તે માટે પ્રયાસ કરે છે. એવા લોકોએ કિંમત ચૂકવવી પડશે, એવું રિજિજૂ બોલ્યા હતા. નિવૃત્ત જજોને ગેંગ ગણવા એ વધારે પડતું જ હતું અને સુપ્રીમ કોર્ટ તેમ જ હાઈકોર્ટમાં 300 જેટલા વરિષ્ઠ વકીલોએ એક નિવેદનમાં આકરો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે કાનૂન મંત્રીએ તેમનું દાદાગીરી ભર્યું બયાન પાછું લેવું જોઈએ.

બીજી એક ઘટનામાં, રિજિજૂએ જનહિતની ‘ફાલતુ’ અરજીઓ અને જામીન અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સમય બરબાદ કરે છે એવો ટોણો માર્યો હતો. બીજા જ દિવસે, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચુડ સામે એક એવા કેદીના કેસની સુનાવણી આવી હતી જેને વીજળીની ચોરી માટે 18 વર્ષની સજા થઇ હતી. તે વખતે તેમણે કહ્યું હતું, “સુપ્રીમ કોર્ટ માટે કોઈ કેસ નાનો કે મોટો નથી હોતો.”

ટૂંકમાં, રિજિજૂની આ આક્રમકતાથી સંકેત તો એવો જ જતો હતો કે એ જે પણ કહી રહ્યા છે તે સરકારનો મત છે અને સરકારના ઉચ્ચ નેતૃત્વની એમાં સહમતી છે. મતલબ કે સરકાર સુપ્રીમ કોર્ટને દબાવીને કહ્યાગરી બનાવવા માંગે છે અને એટલા માટે જરૂર પડે તો લડાઈ કરવાના મૂડમાં છે. એમ તો અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ અને રવિશંકર પ્રસાદ પણ કહી ચુક્યા હતા કે સુપ્રીમ કોર્ટ વ્યવહારુ બનીને ફેંસલા આપે.

તો પછી રિજિજૂના કિસ્સામાં કેમ આવું થયું? પહેલો તર્ક એ છે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.નું જે રીતે ધોવાણ થયું તેના પરથી સરકારમાં એવો મૂડ બન્યો છે કે તેણે તેની વૈચારિક આક્રમકતાને ઓછી કરીને આક્રમક શાસન પર ધ્યાન આપવું જરૂરી છે. રિજિજૂનાં બયાનોથી તો એવું જ ફલિત થતું હતું કે સરકાર ટકરાવ કરવાને જ શાસન ગણે છે.

રિજિજૂને હટાવીને સરકાર એવો સંકેત આપવા માંગે છે કે તે સાર્વજનિક રીતે લડાઈ-ઝઘડા વહોરવાને બદલે સહકાર અને સહમતીથી શાસન દૃઢ કરવા માંગે છે. પરોક્ષ રૂપે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખડ માટે પણ આમાં સંકેત છે કે તેઓ ન્યાયપાલિકા સામે બયાનબાજી ન કરે. રિજિજૂની જેમ જ, ઘનખડે પણ સુપ્રીમ કોર્ટ સામે મોરચો ખોલ્યો હતો.

બીજો તર્ક પહેલા તર્ક સાથે જોડાયેલો છે. ન્યાયપાલિકા દરેક સરકારોને અપ્રિય જ લાગતી હોય છે. સત્તા જ્યારે નિરંકુશ થઇ જાય ત્યારે, અદાલત બંધારણને આગળ કરીને ન્યાય કરે છે, જે સરકારને ગમતું નથી હોતું અને એમાં ટકરાવની સ્થિતિ બંને છે. અગાઉની સરકારોમાં પણ આવું થયું હતું. બંધારણ હેઠળ કામ કરતી સ્વાયત્ત સત્તાઓ વચ્ચે આવો ટકરાવ અસહજ નથી, પરંતુ વર્તમાનમાં તો ટકરાવ અહંકાર અને ચીડનો હતો અને તે જોખમી દિશામાં જઈ રહ્યો હતો.

ખાસ કરીને, લોકસભાની ચૂંટણી એક વર્ષ જ દૂર છે ત્યારે સરકાર નથી ઈચ્છતી કે વાત અહીંથી આગળ વધે. સરકારને પણ પ્રસંગોપાત ન્યાયપાલિકાના સકારાત્મક સહકારની જરૂર પડતી હોય છે. ભૂતકાળમાં ઘણા કેસોમાં સુપ્રીમ કોર્ટે સરકારને અનુકૂળ ફેંસલા આપ્યા છે. એટલા માટે જ ન્યાયપાલિકા સરકારના દબાણમાં કામ કરે છે તેવા આરોપો પણ થયા છે. એટલે સરકાર એવું પણ ન કહી શકે કે ન્યાયપાલિકા સરકાર-વિરોધી છે.

ટૂંકમાં, સરકાર નથી ઇચ્છતી તે ચૂંટણીના માહોલમાં સુપ્રીમ કોર્ટ સાથે બિનજરૂરી શિંગડાં ભરાવવામાં આવે. એટલા માટે, એક બાજુ રિજિજૂને ભૂ-વિજ્ઞાન જેવા ‘અજાણ્યા’ વિભાગમાં મોકલીને કાનૂન મંત્રાલયમાં હાઈ-પ્રોફાઈલ કટકટ બંધ કરી છે અને બીજી બાજુ મેઘવાળ જેવા લો-પ્રોફાઈલ મંત્રીને ત્યાં બેસાડીને ચૂંટણી સુધી બધું સમુસૂતરું ચાલે તે પાકું કર્યું છે.

લાસ્ટ લાઈન :

બંધારણની પાયાની પ્રાથમિકતા સત્તાનું વિભાજન અને એકબીજા પર દેખરેખની પ્રણાલી બનાવાની હતી કારણ કે માણસને એક ભ્રષ્ટ થતા પ્રાણીના રૂપમાં જોવામાં આવ્યો હતો, જે કાયમ વધુને વધુ સત્તા ઈચ્છતો હતો.”

— રોય મૂર, ભૂતપૂર્વ અમેરિકન જજ

——————————-

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 28 મે 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મૃત્યુ પછી

સુરેન્દ્ર ભીમાણી|Opinion - Opinion|29 May 2023

મારી કબર કદાચ ભૂલાઈ ગયેલી અને કશી પણ નિશાની વગરની હશે,

અને તે સામાન્ય અવરજવરના રસ્તાથી ઘણી દૂર હશે.

આસપાસના વેરાન વિસ્તારમાં ક્યારેય કોઈ પગલાં સંભળાશે નહીં – 

સિવાય કે નજીકના કોઈ ગામડામાંથી કોઈક રમતિયાળ બાળા હિમ્મત કરીને, ગામ છોડીને એકલી જ જંગલી ફૂલોની શોધમાં આ બાજુ આવે.

અળતો લગાડેલા તેના નાજુક પગલાં બેધ્યાનપણે જ તેને કદાચ મારી કબર સુધી દોરી જશે 

અને ધડકતા હૃદયે અચાનક ત્યાં ઊભી રહી જશે.

તેના પાલવમાંથી ફૂલો નીચે પડશે,

પણ બેધ્યાન મન 

અને મનમાંના કશાક અણપ્રીછ્યા દુ:ખને કારણે પાછું જોયા વગર જ તે ચાલી જશે.

તે રાત્રે કદાચ તેને, તે જાણતી જ ન હોય એવી વ્યક્તિ સ્વપ્નમાં દેખાશે,

અને તેનું કોમળ હૃદય અજાણ્યાઓના દુ:ખોની સહાનુભૂતિમાં અને તેને પોતાને અજાણ્યા એવા દુ:ખથી રડી ઊઠશે.

મારી કબર પર સાંજનો દીવો પ્રગટાવવા કોઈ નહીં આવે;

ઘરનો સાદ દેતું સાંધ્યતેજ પછી મને ક્યારેય સાદ નહીં પાડે.

શિયાળુ આકાશમાં હું, ઝાડવાંમાંથી કરુણ ધ્વનિ કરીને પસાર થતા ઠંડા પવનનો અવાજ સાંભળીશ,

અને, જ્યારે તેનાં ફૂલો અને ગીતો લઇને, અને ભૂમિ પર વનશ્રી વિખેરતી વસન્ત પાછી આવશે,

ત્યારે મારી કબરમાંથી પણ હું, ઘેરા થતા જતા અંધકારમાં, ખીલતી ચમેલી માટે 

અને, માત્ર રાતભરમાં જ મૃત્યુશરણ થઈ જતા બકુલને માટે ઝૂરીશ.

——————————————-

સ્વ. હુમાયું કબીરના અંગ્રેજી કાવ્ય After Deathનો અનુવાદ • અનુવાદક : સુરેન્દ્ર ભીમાણી     
e.mail : surendrabhimani@gmail.com  

Loading

ભગવા(ન)કરણ 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 May 2023

રવીન્દ્ર પારેખ

રાજકોટની સિવિલ હોસ્પિટલનાં ઇમરજન્સી વોર્ડમાં 150 સ્ટ્રેચરને કેસરી રંગે રંગી નાખવાના સમાચાર છે. દર્દીને લઈ જવા વપરાતાં સ્ટ્રેચરને, બે દિવસમાં સફેદ રંગ મારવાને બદલે ભગવો રંગ મારી દેવાયો. કેમ? તો કે, સફેદ કલરનાં સ્ટ્રેચર ગુમ થઈ જતાં હતાં. ગુમ એ રીતે કે દર્દીઓને બીજા વોર્ડમાં લઈ જવાતા હતા, ત્યારે ત્યાંથી સ્ટ્રેચર પાછાં આવતાં ન હતાં. બાકી, હતાં તો હોસ્પિટલમાં જ ! પણ, નર્સિંગ સ્ટાફને એમ લાગ્યું કે સ્ટ્રેચર્સ ગુમ થઈ જાય છે, તો બીજાથી અલગ તરી આવે એટલે, કોઈને પણ પૂછ્યા વગર, કેસરી રંગે રંગી નાખ્યાં ! આમાં બે બાબત રમૂજ પ્રેરે છે. એક તો સ્ટ્રેચરો ગુમ થાય છે એ. દર્દીની દવા ચોરાય કે તેનાં કપડાં ગુમ થાય કે ખોરાક ચોરાય એ સમજાય, પણ સ્ટ્રેચર કોઈ શું કામ લઈ જાય? ને લઈ ગયું છે એટલે? કોઈ ઘરે લઈ ગયું નથી. છે તો હોસ્પિટલમાં જ ! પણ, કોઈ ‘કમલ’નયનીને લાગ્યું હશે કે દેશનું થાય છે તો સ્ટ્રેચર્સનું ભગવાકરણ શું કામ ન થાય? બીજું, કે સફેદ રંગનાં સ્ટ્રેચર ગુમ થાય એટલે કેસરી રંગ લગાવ્યો, તો સવાલ એ થાય કે કેસરી રંગનાં સ્ટ્રેચર ગુમ ન થાય એવું ક્યાંય લખેલું છે? ઓન ધ કોન્ટ્રેરેરી આજના સમયમાં તો કેસરી વધુ ઊપડે એમ બને. ખરેખર તો સફેદ રંગ ગુમ થાય ને કેસરી રંગ ગુમ થતો અટકે એવી મૌલિક શોધ માટે નર્સિંગ સ્ટાફનું સન્માન કરવું જોઇએ.

કોની પ્રેરણાથી ને કોના ખર્ચે તે નથી ખબર, પણ એ કેસરી સ્ટ્રેચરો ફરી સફેદ રંગે રંગાઈ ગયાં. તે એટલે કે લોકોએ વિરોધ કર્યો. કમાલ છેને, કેસરીનોય વિરોધ ! ક્યાંક કોઈ ગુનાહિત ભાવ કેસરિયાં કરવામાં પડેલો હશે કે કેમ, પણ કેસરી સ્ટ્રેચરને ફરી સફેદ કરી દેવાયાં. કાલ ઊઠીને કોઈ કહે કે સ્ટ્રેચર સફેદ નહીં, પણ લીલા રંગે રંગો, તો શું સ્ટ્રેચર્સ લીલાં થઈ જશે? એની વે, અત્યારે તો સ્ટ્રેચર, સ્ટ્રેચર પર હોય તેમ શોકસભાની ગંભીરતા ધારણ કરીને ખૂણો પાળી રહ્યાં છે. જો કે, સ્ટ્રેચરોનો પુન: શ્વેતાવતાર ગળે ન ઊતર્યો. આખો દેશ જ્યારે કેસરિયાં કરી રહ્યો હોય કે શિક્ષણમાં ભગવા ફતવા ફરફરી રહ્યાં હોય ત્યારે, સ્ટ્રેચરને ફરી સફેદ કરવાની જરૂર ન હતી. કદાચ આત્મપ્રેરણાથી કે બીજા કોઈ કારણથી, પણ નર્સિંગ સ્ટાફે સ્ટ્રેચરને કેસરિયાં કરાવી જ દીધાં હતાં, તો એમને પ્રોત્સાહિત કરીને આગળ વધવા દેવા જોઈતા હતા. શક્ય છે કે બીજે દિવસે આખો સ્ટાફ સફેદને બદલે, ભગવા યુનિફોર્મમાં આવ્યો હોત. જરા વિચારો કે આખી હોસ્પિટલ ભગવા રંગી દેખાય તો દર્દીઓમાં પણ કેવો ન જીવવાનો વૈરાગ્ય પ્રગટ થાય ! એમ લાગે છે કે દેશની બધી હોસ્પિટલો ભગવી કરી દેવી જોઈએ, જેથી ભગવાકરણમાં યોગદાન વધે. પેલા નર્સિંગ સ્ટાફને એ સૂઝ્યું નહીં હોય, બાકી, એમણે તો સ્ટ્રેચરની સાથોસાથ જ બધા દર્દીઓને પણ ભગવા રંગે રંગી નાખ્યા હોત. જરા વિચારો કે એ રીતે આખી જનતા જ કેસરિયાં કરતી દેખાય તો વૈરાગ્યનો કેવો ભવ્ય વારસો ભાવિ પેઢી માટે મૂકી જવાય ! એ જ રીતે આઇ.સી.યુ., ઓપરેશન થિયેટર, ઓપરેશન ટેબલ, ઓપરેશનનાં ઓજારો, ડોકટરો, નર્સો, વોર્ડબોય એમ બધાં જ ભગવાં દેખાય તો એ દૃશ્ય કેવું સાત્વિક ને પવિત્ર લાગે ! કોઈને બાટલો ચડાવવાનો હોય તો તે કેસરી, એમાંનું બ્લડ કેસરી, એની નીડલ કેસરી ને એ જેને ચડયો હોય તે દર્દી પણ કેસરી … આ બધું રોમાંચિત કરનારું નથી લાગતું?

– ને હોસ્પિટલ જ શું કામ, આખો દેશ જ ભગવો કરી શકાયને ! ભારત તો વિશ્વગુરુ છે, તે ધારે તો ઘણાં ગુરુ ઘંટાલોને કેસરિયાં કરાવી શકે. તો, તો પૃથ્વી પોતે ‘દિલવાલે’નાં પેલાં ગીતની જેમ ગાઈ શકે, ‘રંગ દે તું મોહે ગેરુઆ …’

આ ભગવાકરણનો તંતુ વિસ્તારવા જેવો છે. આમ તો એ ભગવાનકરણ પણ છે. અલબત્ત ! ‘ભગવાન’માં ‘ન’ સાઇલન્ટ રાખીને જ બધે કેસરી કેસરી થઈ રહ્યું છે. એ પણ છે કે ‘ભગવા’માં ‘ન’કાર જોડીને કેટલાંક ભગવાન થયા છે. જો કે, કોઈ ભગવાન કેસરી નથી. હા, તેના ભક્તો કેસરી ખરા ! સાધુસંતો કેસરી છે, પણ હવે ભગવો રંગ સાધુઓ પૂરતો સીમિત રહ્યો નથી. તે હોસ્પિટલનાં સ્ટ્રેચરથી માંડીને અનેક મંદિરોની ધજાઓ સુધી ચડયો છે. હવે સાધુઓના રંગે રાજકારણ પણ રંગાયું છે એટલે રાજકારણ અને સાધુકારણ લગભગ એક થઈ ગયાં છે. કોઈ રાજકારણી સાધુ થાય એમ નથી, પણ સાધુસાધ્વીઓ તો રાજકારણી થયાં છે ! તે એટલે કે તેમને સમજાઈ ગયું છે કે એકલા ધર્મથી કૈં થતું નથી, તેની સાથે સત્તા હોય તો બુલડોઝર પાસેથી પણ ધાર્યું કામ લઈ શકાય છે. એ ખરું કે સાધુ રહીને સંસારમાં રહી શકાય છે, પણ સંસારી રહીને સાધુ થઈ શકાતું નથી. એવું થઈ શકતું હોત તો ઘણાં સંસારીઓ કેસરિયાં કરીને પરણ્યાં હોત !

કુદરત વિચિત્ર છે એવું કહેવાય છે, પણ એવી વિચિત્ર છે કે તે બધું ભગવું કરવામાં માનતી નથી. કુદરતને હવે દેશ માર્ગદર્શન આપી શકે એમ છે. આમે ય વિશ્વમાં બીજો વિશ્વગુરુ છે જ કોણ? જો કુદરત વિશ્વગુરુને કન્સલ્ટ કરે તો આખું વિશ્વ કેસરી થઈ શકે એમ છે. દેશની, વિશ્વની એકતાનો જે ખ્યાલ વ્યાપેલો છે, તે ભગવા રંગથી કેવો એકાત્મભાવ ઊભો કરી શકે એનો વિચાર કરવા જેવો છે ! કુદરતને સમાનતાનો ખ્યાલ જ ન આવ્યો ને તેણે પર્વતો ઊંચા નીચા રાખ્યા. નદીઓ લાંબીટૂંકી કરી. સમુદ્રો નાના મોટા કર્યા. તેને બદલે એકસરખી ઊંચાઈના પર્વતો, એકસરખી લંબાઇની નદીઓ, એકસરખા કદના સમુદ્રો હોય તો કુદરતી ઐક્ય કેવું ભવ્ય લાગે ! ઉપરથી બધાંનો રંગ પણ કેસરી ! જરા કલ્પના કરો કે નદીનું પાણી કેસરી છે. નળ ચાલુ કરો ને પાણી કેસરી આવે, તો ભાત કેસરી કરવાનો રહે જ નહીં ! દાળ કેસરી. શાક પણ મૂળમાંથી કેસરી જ ઊગે. એટલે કોઈને પણ ગાજર પકડાવી શકાય ! ટૂંકમાં, આખી થાળી જ કેસરી !

આમ તો ફળો કાચાં હોય ત્યારે લીલાં હોય, પણ પાકે તો અંદરથી કેસરી થાય. કેરીનું તો નામ જ કેસર છે, તો એ પણ કેસરી જ હોયને ! પપૈયું કેસરી. નારંગી, નારંગી રંગની. હાફૂસ કેસરી. ફળો પણ સમજે છે કે મોડુંવહેલું કેસરી થયે જ છૂટકો છે. એમાં પ્રોબ્લેમ કેસરનો આવે. બધું જ કેસરી હોય ત્યાં કેસર ઊગીનેય શું કરે? એણે કેસરિયાં જ કરવાં પડે કે બીજું કૈં? સાચું તો એ છે કે કુદરતે બહુ ભૂલો કરી છે. એણે પાન, વૃક્ષ લીલાં રાખ્યાં. કેટલાંક ફૂલો કેસરી કર્યાં, પણ ગુલાબને ગુલાબી રાખ્યું. કરેણ પીળી ને લાલ કરી. એમાં ભારે થાપ ખાધી. બધાં જ ફૂલો ભગવાં હોય તો આખા સંસારમાં એક સાથે સાધુતાનો ને સત્તાનો સાત્ત્વિક અને રાજસી ઠાઠ પ્રવર્તે એવું નથી લાગતું? ખરેખર તો કુદરતે જ બ્રહ્માંડમાં વૈરાગ્યનો ભગવો રંગ પ્રસરાવવો જોઈએ જેથી તેનો વિશ્વમાં અલગથી મહિમા કરવાનો જ ન રહે. આકાશ જ ગેરુઆ રંગે રંગાયેલું હોય તો ભવ્ય લાગે ! ચંદ્ર પણ કેસરિયાળો રંગ લઈને ઊગે તો કેવું રમણીય લાગે ! તેની ચાંદની કેસરી હોય ને તેનાથી નદી, સમુદ્રનાં જળ કેસરી કેસરી ચમકતાં હોય ને રાતનાં વસ્ત્રોમાં કેસરી તારાઓ ટાંકેલા હોય એ દૃશ્ય કલ્પી તો જુઓ ! તમારી આંખો એ કેસરી દૃશ્યને કારણે ગેરૂરંગી હોય કે આંખો ગેરુઆ હોવાને કારણે દૃશ્ય કેસરી થયું એની મૂંઝવણ પણ કેવી કેસરી હોય ! એ કેસરી ગૂંગળામણથી તમારાં આંસુ ટપકે ને તમે પ્રેમીને ખભે માથું મૂકો તો એ, એ વાતે અકળાય કે કેસરી સાબુ ખલાસ થઈ ગયો છે, તો કેસરી વસ્ત્રો એ ધોશે કઇ રીતે? એટલે એ તમારું માથું ઊંચું કરીને તમારાં આંસુ આંગળી પર ઝીલે, તો એને એ ઝીણા બલ્બ જેવા ઝબૂકતાં લાગે એમાં નવાઈ નથી.

– અને સૂર્યને તો કેસરી કરવાની જરૂર જ ક્યાં છે? એ જ તો આખી સૃષ્ટિનું ચાલક બળ છે. એનાં કેસરી કિરણોથી પ્રભાત થાય ને મજા તો એ કે આપણા પડછાયા કેસરી લંબાય. આકાશમાં કેસરી વાદળો ચડી આવે ને કેસરી વીજ વચ્ચે વરસાદ વરસે તો ખુલ્લામાં તેનાં કેસરી છાંટણાં ચામડી કેવી થથરાવે તે કહેવાની જરૂર છે? વૈશ્વિક ભગવાકરણનું સુખ એ હશે કે કોઈના વાળ સફેદ નહીં થાય, એટલે કે કોઈ ઘરડું થાય જ નહીં ! બીજી મજા એ કે આ ભગવાયણ ને કારણે રાખ ચૂલાની હોય કે ચિતાની, કેસરી જ હશે. ચિંતા એક જ રહે કે ચૂલાની રાખ કરતાં ચિતાની રાખ વધે નહીં તો સારું, કારણ જોખમ તો કાયમ લીલુંછમ રહેવાં જ ટેવાયેલું છે ! કેસરી હોય તો પણ, ચિતાની રાખ, આંસુ તો લોહીનાં જ પડાવે છે … ભલેને પછી એ સત્તા પડાવે કે સાધુતા, શો ફરક પડે છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 મે 2023

Loading

...102030...1,0861,0871,0881,089...1,1001,1101,120...

Search by

Opinion

  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!
  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved