Opinion Magazine
Number of visits: 9458211
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બે મુક્તકો

મૂળ કૃતિ : રવીન્દ્રનાથ ટાગોર • અનુવાદ : સુરેન્દ્ર ભીમાણી|Poetry|27 February 2023
                 (શિખરિણી છંદ)

[1]

કહેતો સંધ્યાનો ક્ષિતિજ પારેથી સૂરજ કે, 

અધૂરાં કાર્યો લઈ કોણ લેશે મુજ કનેથી?

ન કો’ કાંઈ કહેતું, કઠિન સુણીને સૂર્યવચનો,

હતો દીવો, બોલ્યો, “પ્રભુ, કરીશ હું મારું બનતું.”  

[2]

ઘણા લોકો એવા, નિમિલિત કરી બેઉ નયનો,

રહસ્યો સૃષ્ટિના નિજ હૃદયમાં ચહે ઉતરવા.

રવિના  સામ્રાજ્યે તરસ્યા થઈને મુજ નયન આ,

 પ્રયત્નો કંઈ કરશે મધુર સૃષ્ટિ આ નીરખવા.

e.mail : surendrabhimani@gmail.com

Loading

ક્રોનીઈઝમ : અર્થકારણ અને રાજકારણનું ઇલુ ઇલુ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 February 2023

રાજ ગોસ્વામી

વૈશ્વિક ગરીબીના ઉન્મૂલન માટે કામ કરતા, 21 સેવાભાવી સંસ્થાઓના બનેલા બ્રિટન સ્થિત સંગઠન ઓક્સફામ ઇન્ટરનેશનલ દર વર્ષે અમીરી-ગરીબીની અસમાનતાનો વૈશ્વિક ડેટા જારી કરે છે. 2019માં, તેણે એક ચોંકાવનારો સર્વે આપ્યો હતો કે વિશ્વમાં 26 ધનકુબેરો વધુ ધનવાન થયા છે અને 380 કરોડ જનતા વધુ ગરીબમાં ધકેલાઈ છે. 2018માં, વિશ્વમાં 2, 200 ધનકુબેરોની સંપત્તિમાં એક દિવસમાં 900 બિલિયન ડોલરનો વધારો થયો હતો. એની સામે દુનિયાની અડધો અડધ ગરીબ જનતાની આવકમાં 11 ટકાનો ઘટાડો નોધાયો હતો.

ચાલુ વર્ષે, 16મી જાન્યુઆરીએ તેના તાજા ડેટામાં કંઇક આવું જ ચિત્ર ભારતનું હતું. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પહેલા દિવસે ભારતના આંકડા આપતાં ઓક્સફામે કહ્યું હતું કે ભારતની કુલ સંપત્તિની 40 પ્રતિશત સંપત્તિ 1 પ્રતિશત ધનકુબેરો પાસે છે. જ્યારે નીચેના 50 પ્રતિશત લોકો વચ્ચે 3 પ્રતિશત સંપત્તિ છે.

વ્યવહારિક દૃષ્ટિએ આનો શું અર્થ થાય તેનું એક કાલ્પનિક ચિત્ર આપતાં સંગઠને કહ્યું હતું કે ભારતના દસ સૌથી ધનવાન લોકો પર જો 5 પ્રતિશત ટેક્સ નાખવામાં આવે, તો એટલા પૈસામાંથી દેશનાં તમામ ગરીબ બાળકોની સ્કૂલનો ખર્ચો નીકળી જાય.

બીજી કલ્પના કરતાં ઓકસફામે કહ્યું હતું કે માત્ર એક જ અબજપતિ, ગૌતમ અદાણીના 2017-2021ના અનરિયલાઇઝ્ડ ગેઇન્સ પર એક જ વારનો ટેક્સ લેવામાં આવે તો, એક વર્ષ માટે 50 લાખ પ્રાથમિક શિક્ષકોનો પગાર નીકળી જાય. ભારતમાં 2020માં અબજપતિઓની સંખ્યા 102 હતી, જે 2022માં વધીને 166 પર પહોંચી ગઈ હતી. મતલબ બે વર્ષમાં 64 અબજપતિઓ વધ્યા હતા. દેશના 100 સૌથી અમીર લોકોની સંપત્તિ 660 અબજ ડોલર(લગભગ 12 હજાર કરોડ રૂપિયા)ને પાર ગઈ છે. એનાથી 18 મહિના સુધી ભારતનું બજેટ ચાલે.

અમીરી વધે એનો વાંધો નથી. વાસ્તવમાં, વિશ્વની તમામ આર્થિક વ્યવસ્થાઓ અને રાજકીય વિચારધારોઓનો છેવટનું લક્ષ્ય તો ભૌતિક સુખાકારીનું જ છે, પરંતુ અમીરી વધવાની સાથે ગરીબી ઘટે તો પ્રગતિ સાર્થક કહેવાય. જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એકવાર સવાલ કર્યો હતો કે ચારેબાજુ ગરીબી હોય ત્યારે અમીર થવું યોગ્ય છે?

ભારતમાં કુલ વસ્તીના 16.4 પ્રતિશત એટલે કે 23 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. એમાં 4.2 પ્રતિશત ગરીબ એવા છે જેમની પાસે ન તો ઘર છે કે ન તો બે ટંક ખાવાનું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ કહે છે કે ભારતમાં ધીમે ધીમે ગરીબી ઘટી રહી છે. છેલ્લાં 15 વર્ષોમાં ભારતમાં 41.5 પ્રતિશત લોકો ગરીબી રેખાની બહાર નીકળી ગયા છે. મતલબ આ લોકો મધ્યમ વર્ગના દાયરામાં આવી ગયા છે.

વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના ડિરેક્ટર રથિન રોયે 2019માં કહ્યું હતું કે “ભારત માળખાકીય મંદી તરફ જઈ રહ્યું છે. છેક 1991થી અર્થવ્યવસ્થા નિકાસના પાયા પર નથી વિકસતી, પણ ટોચના 10 કરોડ લોકો શું ઉપભોગ કરે છે તેના પર ભારતનો વિકાસ થઈ રહ્યો છે. એનો મતલબ એ થયો કે આપણે દક્ષિણ કોરિયા નહીં બની શકીએ, આપણે ચીન નહીં બની શકીએ, આપણે બ્રાઝિલ બનીશું, આપણે દક્ષિણ આફ્રિકા બનીશું. આપણે એક એવો મધ્યમ આવકવાળો દેશ બનીશું, જેમાં એક વિશાળ ગરીબ વર્ગ ગુનાખોરીનો સામનો કરશે. દુનિયાના ઇતિહાસમાં દેશો મધ્યમ આવકની ટ્રેપ ટાળતા રહ્યા છે, પણ કોઈ દેશ એકવાર એ ટ્રેપમાં આવી જાય પછી બહાર નથી નીકળી શક્યો.”

બ્રાઝિલનો ઇતિહાસ કહે છે કે ત્યાં ક્રોની કેપિટાલિઝમનું ચલણ હતું જેથી આર્થિક વિષમતા વધી હતી. બહુ વખત પહેલાં, ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામન રાજને કહ્યું હતું કે ક્રોની કેપિટાલિઝમ એવી સ્થિતિ પેદા કરે છે જેમાં દેશનાં સંશાધનો પર અમુક લોકોનું નિયંત્રણ આવી જાય છે, જેનાં પરિણામે આર્થિક વૃદ્ધિનો દર ઓછો થઇ જાય છે.

ક્રોની કેપિટાલિઝમ એટલે મૂડીવાદની એવી અર્થવ્યવસ્થા જેમાં બિઝનેસની સફળતા બજારની તાકાતો પર નહીં, પરંતુ રાજકીય વર્ગ અને બિઝનેસ વર્ગ વચ્ચેના સંબંધ પર નિર્ભર કરે છે. તેમાં સરકાર એવી નીતિઓ બનાવે છે જેથી એક વિશેષ વર્ગને લાભ થાય છે અને એ વિશેષ વર્ગ બદલામાં સરકારને આર્થિક લાભ આપતો રહે છે. ક્રોનીનો (ગ્રીક) અર્થ થાય છે લંગોટિયો દોસ્ત. રાજકારણીઓ અને બિઝનેસમેનો એકબીજાનાં હિતોનું રક્ષણ કરવા માટે એક થઇ જાય તેની ક્રોની કેપિટાલિઝમ કહે છે.

દુનિયાના ઘણા દેશોમાં રાજકીય વર્ગ એવું માનતો હોય છે કે દેશની અર્થવ્યવસ્થામાં મુઠ્ઠીભર ઉદ્યોગોનો જ સિંહફાળો હોય છે એટલે દેશે જો પ્રગતિ કરવી હોય તો એવા વર્ગને પ્રોત્સાહન આપવું જોઈએ. જો કે દુનિયાનો અનુભવ એવું કહે છે કે રાજકીય સત્તા અને આર્થિક સત્તાની ઈજારાશાહીમાં સરવાળે સમાજનું નુકસાન થાય છે.

ભારતમાં ૭૦ના દાયકાથી ક્રોની કેપિટાલિઝમનું ચલણ વધ્યું હતું. ત્યારથી રાજકીય અને બિઝનેસ વર્ગમાં ભરપૂર તાકાત એકઠી થઇ હતી. ભારતમાં જ્યારે મુક્ત બજારનું ચલણ નહોતું ત્યારે સરકારોએ બિઝનેસ પર પોતાનો અધિકાર સ્થાપ્યો હતો. જનકલ્યાણ કરવા માટે ઉધોગો અને બિઝનેસને પ્રોત્સાહન આપવું પડશે એવું સરકારોને લાગ્યું હતું. ત્યારે સરકારે લાઈસન્સ રાજ સ્થાપ્યું હતું. તેમાં કોણ કેવો અને કેટલો બિઝનેસ કરશે તે સરકાર નક્કી કરતી હતી. આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચારની શરૂઆત પણ ત્યારથી જ થઇ હતી.

અર્થવ્યવસ્થા માત્ર જનકલ્યાણ માટે નથી. એ રાજકીય તાકાત પણ છે. દરેક સરકાર તેની તાકાત બરકરાર રાખવા માટે અર્થવ્યવસ્થાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જેના હાથમાં અર્થવ્યવસ્થા હોય, તેના હાથમાં રાજકીય તાકાત હોય છે. એટલા માટે સરકાર બહુમતી સમાજ પાસેથી આર્થિક તાકાત છીનવી લઈને તેના માનીતા-પાળેલા મુઠ્ઠીભર લોકોને સમૃદ્ધ બનાવે છે, જેથી રાજકીય તાકાત સીમિત હાથોમાં સલામત રહે. આર્થિક સ્વતંત્રતાનો અર્થ જ રાજકીય સ્વતંત્રતા થાય છે. સરકાર જ્યારે આર્થિક વ્યવસ્થા પર નિયંત્રણ બનાવી રાખે છે, ત્યારે તે બુનિયાદી રૂપે બહુમતી લોકોને રાજકીય સ્વતંત્રતાથી વંચિત રાખવા માટે હોય છે.

ક્રોની-કેપિટાલિઝમનો મૂળ આશય પૈસાને નીચેથી ઉપરની તરફ વાળવાનો અને સમાજમાં ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ વચ્ચેની અસમાનતા બરકરાર રાખવાનો હોય છે. સમાજમાં વધુને વધુ અસમાનતા હોય, બે ટંક ભેગી કરવાનો સંઘર્ષ હોય અને લાગણીઓમાં ખેંચાઈ જવાય તેવી ‘સમસ્યાઓ’ હોય, તો તે સમાજને દબાયેલો રાખવાનું સરકાર માટે આસાન રહે છે. એટલા માટે સરમુખત્યારશાહી અને ગરીબી સાથે-સાથે જ ઉછરે છે. સુખી અને સશક્ત સમાજ આંખો બતાવે એ સરકારને ન પોષાય. સરકાર લોકોનું આર્થિક કલ્યાણ ઈચ્છે છે એ એક મોટો ભ્રમ છે. એવું સાચે હોત તો અમુક સમસ્યાઓ ક્યારની ય ઉકેલાઈ ગઈ હોત.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારત મારો દેશ છે કે ભાર તમારો દેશ છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 February 2023

રવીન્દ્ર પારેખ

આ દેશ વિષે મંત્રીઓ બોલે છે તો એટલું બધું ભવ્ય કાને પડતું રહે છે કે આટલું ગ્લેમર બીજે ક્યાં ય નહીં હોય એમ લાગે. કોઈ વિપક્ષ બોલે છે તો ક્યાં ય કશું સારું નથી એવી વાતો જ કાન કોતરતી રહે છે. સાચું બંનેમાં ખૂટે છે. સાચું એ છે કે કોઈ સાચું સ્વીકારવા તૈયાર નથી ને ભ્રષ્ટતા એટલી વ્યાપક અને ઊંડી છે કે સચ્ચાઈ સુધી નથી તો સાધારણ માણસ પહોંચતો કે નથી તો કોઈ નેતાની ઈચ્છા હોતી ત્યાં સુધી પહોંચવાની. આમ જોવા જઈએ તો આ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. એકમાં ભક્તો છે ને એકમાં વિરોધીઓ છે. સૌથી દુ:ખદ બાબત એ છે કે આ બધાંમાં સાચું કહેનારા અને માનનારાની સંખ્યા નગણ્ય છે.

એક તરફ જી.એસ.ટી. ને પેટ્રોલ વગેરેમાંથી કરવેરા ઉપરાંત સરકાર જ લાખો કરોડોની કમાણીની જાહેરાત કરતી રહે છે, અનેક રીતે બજેટમાં લાખો કરોડો ફાળવાતા રહે છે, બીજી તરફ જરૂરી ચીજવસ્તુઓ કે વ્યક્તિઓ બાબતે આ દેશ ભયંકર અછત કે દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. ગરીબો માટેની અનેક મફત યોજનાઓ છતાં આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જ આવે છે. નોકરીમાં ઘણી બધી જગ્યાઓ તો ભરાતી જ નથી ને સૌને એડહોકથી જ કામ લેવાની ટેવ પડી ગઈ છે. એથી પૈસાની બચત થતી હશે, પણ જે તે જગ્યા પર બજાવાતી ફરજ ઓછી જ વિશ્વસનીય રહે છે. જ્યાં વ્યક્તિની જરૂર છે ત્યાં વિકલ્પોથી કામ લેવાય છે, એક તરફ શિક્ષિત બેકારોની સંખ્યા વધતી જ જાય છે ને બીજી તરફ હજારોની સંખ્યામાં છટણીનો ઉપક્રમ ચાલે છે, તે ત્યાં સુધી કે હવે તો રોબોટ્સને પણ છૂટા કરવામાં આવે છે. આમાં સાચું શું તે સમજાતું નથી. એ શરમજનક છે કે કેટલા ય શિક્ષિતોને નોકરી આપી શકાતી નથી ને કેટલાયને નોકરીએથી છૂટા કરવામાં આવે છે. શિક્ષણની જ વાત કરીએ તો જરૂરી શિક્ષકોની ભરતી થતી નથી ને બીજી તરફ પ્રવાસી શિક્ષકો અને વિદ્યા સહાયકોની હજારોની સંખ્યામાં ભરતી કરવાનો વાંધો નથી આવતો. એ સનાતન સત્ય સરકાર પોતે કબૂલે છે કે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ પૂરવા સરકારે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા માંડી છે. પહેલાં એ નિમણૂક ગ્રેજ્યુએટ ઉમેદવારથી થતી હતી. એ પછી એવું જ્ઞાન લાધ્યું કે એમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાય છે, તો હવે ઉચ્ચ લાયકાતવાળા શિક્ષકો નિમાશે. મતલબ કે અત્યાર સુધી લાયકાત વગરના શિક્ષકોથી કામ કાઢીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું શિક્ષણ તો દાવ પર લગાવ્યું જ. વધારે કમાલ એ છે કે હવે ‘લાયકાતવાળા’ અધિકારીઓ લાયકાતવાળા પ્રવાસી શિક્ષકો નીમશે. અહીં સવાલ એ થાય કે એવા લાયકાતવાળા શિક્ષકોને પ્રવાસી શિક્ષકો તરીકે નીમવાને બદલે શિક્ષકોની જે ઘટ છે એમાં જ સમાવાય તો એટલી ઘટ પૂરી થાય એવું નહીં? પૂરી લાયકાતવાળા શિક્ષકોને નિમણૂક આપ્યા પછી પણ જો એ પ્રવાસી શિક્ષક જ ગણાવાનો હોય તો જેની ઘટ છે એવા શિક્ષકો ક્યાંથી ને ક્યારે આવવાના છે ને તે આ પ્રવાસી શિક્ષકો કરતાં કઇ રીતે વિશિષ્ટ હશે એનો ફોડ શિક્ષણ વિભાગે પાડવો જોઈએ. વારુ, બધી રીતે લાયક હોય તે શિક્ષકને પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક આપીને શિક્ષણ વિભાગ શોષણના જ નવા પાઠ ભણાવશે કે બીજું કૈં? કારણ, ગરજનો માર્યો શિક્ષક તો પ્રવાસી શું, સ્વર્ગવાસી થવા પણ તૈયાર થશે, પણ એવી રીતે નિમણૂક કરીને શિક્ષણ વિભાગ પોતાની કેવીક શોભા વધારશે તે વિચારવા જેવું છે. લાગે છે તો એવું કે શિક્ષકોની ખરી ઘટ સરકાર પૂરવા જ નથી માંગતી. એમ ઘટ પૂરે તો શિક્ષકોને મળવાપાત્ર લાભો આપવા પડે, પણ એ લાભોની બચત કરીને શિક્ષણ વિભાગ ઓછો પગાર આપીને પ્રવાસી શિક્ષક કે વિદ્યા કે શિક્ષણ સહાયકોથી જ કામ કાઢવા માંગે છે. પ્રવાસી શિક્ષકોથી જ કામ કાઢવા સરકારે 300 કરોડનું બજેટ વધારીને 2023-‘24 માટે 531 કરોડ ફાળવ્યા છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 38,867 કરોડ ફાળવ્યા છે ને શિક્ષણનું કુલ બજેટ તો 43,651 કરોડ છે જે આ વખતનાં બજેટની સૌથી વધુ ફાળવણી છે. આટલું બજેટ ફાળવવા છતાં શિક્ષકોની ઘટ પુરાતી ન હોય ત્યારે પ્રશ્ન થાય કે એવી તે કેવીક ઘટ છે કે વર્ષોથી પુરાતી જ નથી? પુરાતી નથી કે પૂરવી નથી એનો ખુલાસો થવો જોઈએ. ખરેખર તો દર વર્ષે શિક્ષણ વિભાગે શિક્ષકોની ઘટ કેટલી પૂરી તેના વિગતવાર આંકડા બહાર પાડવા જોઈએ. વહેમ તો એવો પડે છે કે સાચી નિમણૂક કરવાને બદલે પ્રવાસી શિક્ષકોથી જ વિભાગ કામ કરવા માંગે છે, પણ એમ આંગળાં ચાટે પેટ ભરવાનો અર્થ નથી. જો આપણે પ્રવાસી રાષ્ટ્રપતિ, પ્રવાસી વડા પ્રધાન, પ્રવાસી જજ, પ્રવાસી રાજ્યપાલોથી ન ચલાવતા હોઈએ તો શિક્ષણ જેવાં સૌથી મહત્ત્વનાં ક્ષેત્રમાં પ્રવાસી શિક્ષકો કે વિદ્યાસહાયકો જેવી તકલાદી શૈક્ષણિક વ્યવસ્થાઓથી શું કામ ચલાવવું જોઈએ? એ શરમજનક છે કે આવી કામચલાઉ વ્યવસ્થાઓને કાયમી કરવાની માનસિકતાથી શિક્ષણ વિભાગ પીડાય છે.

આ અવદશા શિક્ષણની જ છે એવું નથી. ન્યાયની પણ આ જ હાલત છે. શનિવારે જ સુપ્રીમકોર્ટે એ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે કે જુલાઇ, 2022 સુધીમાં ઘરેલુ હિંસાના 4.71 લાખ કેસો પેન્ડિંગ છે. સુપ્રીમે સરકારનું ધ્યાન એ મુદ્દે દોર્યું છે કે મામલાઓના નિરાકરણમાં અને મહિલા સુરક્ષાના કાયદાના અમલમાં નડતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે રાજ્યોના સચિવોની ત્રણ અઠવાડિયામાં બેઠક બોલાવવામાં આવે ને પડતર કેસોના નિકાલ અંગે નિર્ણય કરવામાં આવે. એ નોંધનીય છે કે ઘરેલુ હિંસા કાયદા અંતર્ગત થતી સંરક્ષણ અધિકારીઓની નિમણૂક ન્યાયિક કરકસરની ચાડી ખાય છે. એક જિલ્લામાં એક જ સુરક્ષા અધિકારીથી ચલાવાય છે ને તેની પાસે સરેરાશ 500થી 600 કેસ આવતા હોય છે. આ સ્થિતિ હોય તો કાયદાનો અસરકારક અમલ કરવાનું મુશ્કેલ જ છે. સુપ્રીમ ભલે કેન્દ્ર કે રાજ્યને આદેશ આપે, પણ 2001થી 2018 સુધીમાં ઘરેલુ હિંસામાં 53 ટકાનો વધારો થયો હોય તો ઓછી નિમણૂકોથી પણ આંગળાં ચાટીને પેટ ભરવા જેવું જ થશે કે બીજું કૈં? બીજે બધે જ ભવ્યતા ને ભરચકતાનો વાંધો ન આવતો હોય તો શિક્ષણ કે ન્યાયનાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં નિમણૂકની કરકસર અક્ષમ્ય છે.

‘વી ધ વુમન ઑફ ઇન્ડિયા’ એ મહિલાઓ પરના ઘરેલુ હિંસાના નિરાકરણ સંદર્ભે સુપ્રીમમાં અરજી કરી ત્યારે એની સુનાવણીમાં પડતર કેસોની વિગતો બહાર આવી હતી. કોઈ પણ કોર્ટના પડતર કેસો ન્યાયનાં મૂળ તત્ત્વની અવગણનાનું જ પરિણામ છે એવું ખરું કે કેમ?

આ તો ઘરેલુ હિંસાના પડતર કેસોની વાત થઈ, પણ કોર્ટના કુલ પડતર કેસોની સંખ્યા 4.90 કરોડથી વધુ છે એવી જાહેરાત સ્વયં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ શનિવારે જ કરી છે. આટલી મોટી સંખ્યા માટે કાયદા મંત્રીશ્રીએ ન્યાયાધીશને નહીં, પણ સિસ્ટમને જવાબદાર ઠેરવી છે. સરકાર પગલાં લઈ રહી છે એવું રાબેતા મુજબનું વિધાન કરીને તેમણે બિનજરૂરી કાયદાઓ રદ્દ કરવાની વાત પણ કરી છે. કોર્ટને ટેક્નોલોજીથી સજ્જ કરવાની જરૂર પણ તેમને વર્તાઇ છે. એ જે હોય તે, પણ આટલા પેન્ડિંગ કેસો રાતોરાત થયા નથી. એક જ દિવસમાં ન્યાયાધીશ 50થી 60 કેસો સાંભળતા હોય, તો પણ કેસોની સંખ્યા વધે જ છે. તેનું સાદું કારણ એ કે નિકાલ થતાં કેસો કરતાં નવા આવનારા કેસોની સંખ્યા બમણી હોય છે. ટેક્નોલોજીથી કોર્ટો સજ્જ થાય તેનો તો વાંધો જ નથી, પણ કોર્ટની ને ન્યાયાધીશોની અછત પણ એક મહત્ત્વનું કારણ છે. કોર્ટો પાળીઓમાં ચલાવવી પડે એ સ્થિતિ હોય ત્યારે કોઈ પણ પ્રકારની રજા કોર્ટમાં ન પાળવામાં આવે એ પણ એક ઉપાય તરીકે વિચારવા જેવું છે. કોર્ટોએ સ્વતંત્રતા પછી વર્ષો સુધી વેકેશન ભોગવ્યું છે. અંગ્રેજોની એ વ્યવસ્થા એટલે ચાલુ રાખવાની જરૂર ન હતી, કારણ એસી કેબિનમાં કેસો ચાલતા હોય ત્યાં આવાં વેકેશન લકઝરી ગણાય ને કરોડો કેસો પેન્ડિંગ હોય ત્યારે આવી સગવડ ગુનાહિત ગણાવી જોઈએ. એસી ન હોય ત્યાં એવી સગવડ ઊભી કરીને પણ કેસોનો નિકાલ થાય એ અંગે વિચારાવું જોઈએ. હજી કેટલીક કોર્ટો વેકેશન પાળે છે, તો ત્યાં કેસો પડતર નથી એમ માનવાનું છે? ખરેખર તો ખૂટતી વ્યવસ્થાઓ ઊભી કરીને રાતદિવસ કોર્ટો ચાલુ રહેવી જોઈએ. એવું નહીં થાય તો પડતર કેસોની સંખ્યામાં વધારો જ થવાનો છે એ કહેવાની જરૂર નથી. આમ પણ કોર્ટમાં કોઈ બહુ જવા નથી કરતું. તેનું એક કારણ એ પણ ખરું કે ન્યાયમાં અસહ્ય વિલંબ હવે સહજ બાબત થઈ ગઈ છે. લોકો માણસો રોકીને કોર્ટની બહાર જ ન્યાય મેળવી લેતા થયા છે. આ રીતે ન્યાય મેળવવો પડે એ સ્થિતિ જ સૂચવે છે કે કોર્ટનો ન્યાય તેમને આશ્વસ્ત કરી શકે એવી સ્થિતિ રહી નથી.

એ અત્યંત દુ:ખદ છે કે પૂરતી કમાણી છતાં સરકારો જરૂરી જગ્યાઓ ન ભરીને, તેનાં સસ્તા વિકલ્પો સ્વીકારીને, ગુણવત્તાને ભોગે જે ધંધો કરે છે એનાથી નફો થતો હશે, પણ આમ કરીને તેણે શિક્ષણ અને ન્યાયનાં મહત્ત્વનાં ક્ષેત્રોની ગુનાહિત ઉપેક્ષા કરી છે ને એના પડઘા આવનારા સમયમાં દૂર દૂર સુધી પડવાના છે. જે સત્તા જ સ્વાર્થનો પર્યાય છે તે વર્તમાનને તો અસર કરે જ છે, પણ ભવિષ્ય પર પણ ચોકડી મારે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ફેબ્રુઆરી 2023

Loading

...102030...1,0861,0871,0881,089...1,1001,1101,120...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved