Opinion Magazine
Number of visits: 9458202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાહુલ ગાંધીના બળાપા અને ભા.જ.પા.ના મ્હેણાંમાં નક્કર મુદ્દાઓને મામલે ‘નાખો વખારે’ જેવો ઘાટ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 March 2023

બીજા રાષ્ટ્રો સામે પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજાની લીટી ભૂંસવાની મથામણમાં ભારતીય નેતાઓ વૈશ્વિક સ્તરે સ્વકેન્દ્રી અને અતાર્કિક લાગે છે

ચિરંતના ભટ્ટ

જો તમારા ઘરમાં કંકાસ હોય, અંદર-અંદર મનભેદ હોય, તમને કોઇ વાતની સખત ચીઢ હોય તો સાવ અજાણ્યા લોકો સામે, જે તમારી આ સમસ્યાઓમાં કોઇ મદદ નથી કરવાના એવા લોકો સામે તમે તમારા ઘરની વાત ખૂલ્લી મૂકો? હા, હોઇ શકે કે તમને ઘરમાં કોઇ સાંભળતું ન હોય પણ એનો અર્થ એમ તો ન જ થાય કે મન થાય ત્યાં જઇને તમે તમારા ઘરની પોલંપોલ ખુલ્લી મૂકી દો. આ આખી વાતનો સંદર્ભ છે કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીથી લઇને ચેટનહામમાં આપેલાં વક્તવ્ય, જેને કારણે અત્યારે તેમને માથે માછલાં ધોવાઇ રહ્યાં છે. તેમણે અલગ અલગ જગ્યાઓએ આપેલાં પોતાનાં વક્તવ્યોમાં ઘણાં મુદ્દા છેડ્યા. જેમ કે ભારતીય લોકશાહી જોખમમાં છે, ભારતની સંસદમાં અમને બોલવા નથી દેવામાં આવતા, અમારા માઇક્સ બંધ કરી દેવાય છે, તેમણે વિદેશ નીતિ અને વિદેશ મંત્રીની કામગીરી પર પણ સવાલ કર્યા, આર.એસ.એસ.ને ફાસીવાદી સંગઠન તરીકે ખપાવ્યું, ચીન ભારત સાથે એવું જ કરે છે જેવું રશિયા યુક્રેન સાથે કરે છે, એમ કહી ભારત સરકાર ચીન અંગે કોઇ નક્કર પગલાં લેવા નથી માગતી, એમ કહ્યું તો વળી પેગેસસની જાસૂસી, કાશ્મીર, મીડિયાના સ્વાતંત્ર્ય પર સરકારની પકડ, અમુક જ લોકોના હાથમાં રહેલી આર્થિક સત્તાની વાત વગેરે અંગે રાહુલ ગાંધી મન મૂકીને બ્રિટિશ શ્રોતાઓ સામે બોલ્યા.

રાહુલ ગાંધીએ જે પણ વાત કરી એમાંથી કેટલી વાત સાચી અને કેટલી વાત ખોટી એ પ્રશ્ન અત્યારે અસ્થાને છે. રાહુલ ગાંધી વિપક્ષનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એ આ વાતો કરે એ સ્વાભાવિક છે. પરંતુ, આ વાતો ક્યાં અને ક્યારે કરવી એનું પ્રમાણભાન અહીંયા જરા ચુકાઈ ગયું લાગે છે. હવે આપણે શાસક પક્ષની વાત કરીએ, જેણે અત્યારે તો રાહુલ ગાંધીને ડાબે હાથે લેવાનું નક્કી કર્યું છે. વાસ્તવિક્તા તો એ પણ છે કે નરેન્દ્ર મોદી સહિતના ભા.જ.પા.ના નેતાઓએ મોકો મળે ત્યારે નહેરુ અને કૉંગ્રેસને વખોડવામાં કંઇ બાકી નથી રાખ્યું. નરેન્દ્ર મોદીએ પણ પોતે જ્યારે નવા નક્કોર વડા પ્રધાન બન્યા હતા ત્યારે, રાષ્ટ્રના પ્રતિનિધિ હોવા છતાં પોતાની લીટી લાંબી કરવાને બદલે બીજા રાષ્ટ્રોની સામે ખાસ કરીને કૉંગ્રેસની લીટી ટૂંકી કરવામાં વધારે લોહી-પાણી એક કર્યા છે.

શું રાહુલ ગાંધીએ ભારતની સ્થિતિ અંગે આટલી બધી રાવ-ફરિયાદ યુ.કે.માં કરવાની જરૂર હતી? ભા.જ.પા.ના અમુક ટેકેદારો તો એટલા ગિન્નાયા છે કે એમણે કહ્યું છે કે રાહુલ ગાંધી શું એમ ઇચ્છે છે કે અંગ્રેજો ભારતને ફરી પોતાના સામ્રાજ્યવાદની ચુંગાલમાં ફસાવી દે? રાહુલ ગાંધીએ જે કર્યું એ બરાબર કર્યું કે નહીં એનો કોઇ સ્પષ્ટ જવાબ નથી. સ્વાભાવિક છે કે એક પક્ષને એ જરા ય ગમવાનું નથી અને એવા પણ લોકો હશે જેમને લાગશે કે રાહુલે જે કર્યું એ બરાબર જ છે.  જરા તટસ્થ રહીને વિચારીએ તો એમ થાય કે રાહુલ ગાંધીએ ત્યાં જે રીતે કેન્દ્ર સરકાર સામેનું કમ્પ્લેઇન રજિસ્ટર ખોલી નાખ્યું એ જોતાં જાણે યુ.કે.ની મદદ માંગતા હોય એવું વર્તાયું અને એક રાષ્ટ્રીય સ્તરના નેતાની વાતમાં આ ટોન આવે એ છાજે નહીં. હવે આમાં એક દૃષ્ટિકોણ એ પણ જોવો પડે કે નરેન્દ્ર મોદીએ પણ કૉંગ્રેસના ૭૦ વર્ષને આગળ ધરીને ઘણું બધું કહ્યું છે. શું કેનેડા, નાઇજિરિયા કે ઑસ્ટ્રેલિયાના નેતાઓ બીજા દેશમાં જાય કે આપણે ત્યાં આવે ત્યારે આ રીતે પોતાના રાષ્ટ્રની સમસ્યાઓની પોટલી ખુલ્લી મૂકી દે છે? સ્વકેન્દ્રી થનારા આપણા રાજકારણીઓ – પછી તે ભા.જ.પા.ના હોય કે કૉંગ્રેસના – ભૂલી જાય છે કે દેશની છબી ઉજળી કરવાને બદલે તે એવા લોકો સામે રોદણાં રડે છે જેમને ન તો કોઇ ફેર પડે છે કે ન તો કે કોઇ મદદ કરવાના છે. બીજું, આપણે ત્યાં શું ગરબડ ગોટા ચાલે છે એ અંગે શું વિશ્વના બીજા દેશોને નહીં ખબર હોય?

રાહુલ ગાંધીએ જે પણ કહ્યું એમાં બધા મુદ્દા કંઇ છેદ ઉડાડવા જેવા નથી. તેમણે કહ્યું છે કે ભારતની ત્રણ મોટી સમસ્યા છે – બેરોજગારી, મોંઘવારી અને અસમાનતા. આપણે આ બદલવા માટે અમેરિકાનું આંત્રપ્રિન્યોરશીપ અને ઇનોવેશનનું મૉડલ લાગુ કરી જોયું પણ કંઇ કારી ન ફાવી. ભારતમાં ઉત્પાદન ક્ષમતા વધે તો આગળ ઉપર જણાવેલા ત્રણેય મુદ્દાને મામલે કોઇ ઉકેલ આવે – માત્ર સર્વિસ ઇન્ડસ્ટ્રીથી પૂરતી રોજગારીની તકો ખડી નહીં થઇ શકે. યુરોપ અને અમેરિકામાં પણ લગભગ આવી જ સમસ્યા છે કારણ કે ચીને આ બધા લોકશાહી રાષ્ટ્રોનો રોજગાર પોતાને ત્યાં ખેંચ્યો છે. ઉત્પાદનને મામલે ચીન રેસ જીત્યો કારણ કે ત્યાં લોકોને કામ કરવાની ફરજ પડાય છે – આવો અભિગમ લોકશાહી દેશોમાં શક્ય નથી. ભારતની વાત કરીએ તો આપણે ત્યાં યુરોપ કે યુ.એસ.એ.ની માફક રાષ્ટ્રોનો સંઘ નથી (બંધારણમાં એમ હોવા છતાં ય તેની સ્થિતિ યુરોપ કે અમેરિકાથી તદ્દન અલગ છે)– બધા રાજ્યોને માથે એક સરકાર છે.  આપણે ત્યાં અમુક રાજ્યો સત્તાને મામલે બળકટ છે તો અમુક આર્થિક રીતે જોરમાં છે. રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચાતાણીમાં સામાન્ય લોકો પિસાતા રહે છે. પરંતુ આ રજૂઆતમાં ગરબડ એ થઇ કે લોકશાહી રાષ્ટ્રોએ ચીન સામે ઉત્પાદન ક્ષમતા વધારવા શું કરવું જોઇએનો મુદ્દો હાંસિયામાં ધકેલાયો અને ભારતમાં શાસક પક્ષ સામે રજૂ કરાયેલા વાંધા પર વધુ લોકોનું ધ્યાન ગયું.

સમસ્યાઓ ઉકેલવાને બદલે તેની વાત કર્યા કરનારા રાજકારણીઓ – પછી તે કોઇ પણ પક્ષનાં હોય – સારી પેઠે જાણે છે કે આનાથી કંઇ વળવાનું નથી. એક સમયે કટોકટી લાદનારી કોંગ્રેસના નેતાઓએ કટોકટીને કારણે પોતાના પક્ષની શાખ માટીમાં મળી ગઇ એવું ભૂતકાળમાં કબૂલ્યું છે. ભા.જ.પા.ને પોતાની ભૂલો નથી સ્વીકારવી અને તેમની ભૂલો બતાડનારા બધાંનો કાન આમળવવો છે અને બોલતી બંધ કરી દેવી છે. એક પક્ષે લોકશાહીને ફરી સમજવાની જરૂર છે તો એક પક્ષે પ્રમાણભાનની વ્યાખ્યા પર નજર કરી જવાની જરૂર છે. પોતાનો કક્કો ખરો કરવા માથાકૂટ કરનારા રાજકારણીઓ ભૂલી જાય છે કે પોતે ભારતના પ્રતિનિધિ છે માલિકો નહીં.

બાય ધી વેઃ

રાહુલ ગાંધીને આપણે કોઇ પ્રમાણપત્ર નથી આપવું પણ માળું એક વાત તો છે કે કૉંગ્રેસ, નહેરુ અને સ્વાતંત્ર સંગ્રામ, નહેરુ પરિવાર એ બધા માટે ભા.જ.પા.નો વળગાડ જરા વધારે પડતો છે. રાહુલ ગાંધી નેતા થવાને લાયક નથી એવું હજારો વાર કહી ચૂકેલા ભા.જ.પા.ના નેતાઓ તેમની ભારત જોડો યાત્રા હોય કે પછી બ્રિટનમાં કરાયેલા વિધાનો હોય – એ બધાંથી જરૂર કરતાં વધારે જ વ્યથિત થઇ જાય છે. જો ખરેખર ભા.જ.પા.ને લાગતું હોય કે રાહુલ ગાંધીથી કોઇ ફેર નથી પડતો તો પછી આટલો હોબાળો શું કામ? રાહુલ ગાંધીના બોલવાથી ભારતની છબી ખરડાઈ જ જવાની હોય તો એવું ન થાય એ દિશામાં ભા.જ.પા. મક્કમ પગલાં ભરે તો બહેતર છે. રાહુલ ગાંધીને ખોટા સાબિત કરવાની કુસ્તીમાં જોર લગાડવાનો કોઇ અર્થ નથી કારણ કે એમ કરવામાં જે રાહુલ ગાંધીને તે હાંસિયામાં ધકેલવા માગે છે તે અનિવાર્યપણે ચર્ચાનો મુદ્દો રહે છે, લાઇમ લાઇટમાં રહે છે અને ભા.જ.પા. જે કરવા ધારે છે તેનાથી કંઇ બીજી જ દિશામાં વાત વળે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 માર્ચ 2023

Loading

એ ક્રાંતિકારીઓને જાનફેસાની સિવાય બીજું કાંઈ સૂઝતું નહોતું

રમેશ ઓઝા|Opinion - Opinion|12 March 2023

રમેશ ઓઝા

વિધિનો ખેલ જ કહેવો પડે! જે પક્ષે કેન્દ્રમાં અને રાજ્યોમાં દાયકાઓ સુધી શાસન કર્યું, જે પક્ષને ભ્રષ્ટાચારની ગંગોત્રી માનવામાં આવતો હતો, જે પક્ષના કેન્દ્રીય નેતૃત્વને એટલે કે નેહરુ-ગાંધી પરિવારને ભારતીય લોકતંત્રની બીમારીનું કારણ સમજવામાં આવતો હતો, જે પરિવારને સૌથી વધુ ધિક્કારવામાં આવતો હતો એ પક્ષ અને એ પરિવાર આજે ભારતીય લોકતંત્રને બચાવવા માટે પહેલી હરોળમાં મોખરે છે અને ડર્યા વિના તાનાશાહીનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ જે લોકો પોતાને ક્રાંતિકારી, પવિત્ર, સવાયા દેશપ્રેમી, માત્ર લોકહિતને વરેલા અને સત્તાની પરવા નહીં કરનારા ત્યાગી તરીકે ઓળખાવતા હતા એ મૂંગા છે. કેટલાકે તો લોકશાહી મૂલ્યો ખાતર તેને બચાવવાના ઉદાત્ત હેતુથી પ્રેરાઈને કાઁગ્રેસમાંથી ઉચાળા ભર્યા હતા અને પોતપોતાના પક્ષ રચ્યા હતા. કાઁગ્રેસીઓનાં મેલાં વસ્ત્રો સામે પોતાની સફેદીનો ગર્વ હતો. કેટલાકે દલિતોને, બહુજન સમાજને અને પોતાના પ્રદેશનાં ખાસ હિતો માટે અલગ પક્ષ રચ્યા હતા. તેમને એમ લાગતું હતું કે કાઁગ્રેસ તેમને ન્યાય આપતી નથી અને આપવાનો કોઈ ઈરાદો ધરાવતી નથી.

અને આજે? આજે દલિતો, બહુજન સમાજ, સ્ત્રીઓ, પ્રાદેશિક હિતો, સમવાય ભારત, વગેરે માટે જો કોઈ બોલતું હોય તો એ કાઁગ્રેસ અને પરિવાર.

આમ કેમ બન્યું હશે? ક્યાં ગયા એ બુલંદ અવાજો? અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ તો નજીકનાં ભૂતકાળની ઘટના છે એટલે આપણને યાદ છે, બાકી ભારતનાં રાજકીય આકાશમાં જેટલા નેતાઓ નજરે પડે છે એ બધા જ કોઈને કોઈ સમયે ક્રાંતિકારીઓ હતા. તેમને દેશ, પ્રજા અને પવિત્ર મૂલ્યો ખાતર જાનફેસાની કરવા સિવાય બીજું કાંઈ સૂઝતું નહોતું અને તેનાં ખાતર દેશને કાઁગ્રેસમુક્ત કરવો હતો. દેશ કાઁગ્રેસમુક્ત ન થાય તો કમ સે કમ પોતાનાં રાજ્યને તો કાઁગ્રેસમુક્ત કરવું જ રહ્યું. કમ સે કમ જે પ્રજાનો અવાજ હોવાનો એ લોકો દાવો કરતા હતા એ પ્રજાને કાઁગ્રેસના પ્રભાવથી તેઓ મુક્ત કરવા માગતા હતા. સિનારિયો એવો હતો દેશમાં દાયકાઓ સુધી એક માત્ર સ્થાપિત હિત હતું ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ અને બાકીના બધા જ સમૂળી ક્રાંતિ કરવા ઇચ્છનારા પરમ પવિત્ર યોદ્ધા હતા. ક્યાં ગયા એ યોદ્ધાઓ?

અહીં રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ઘરે બાહિરે’ અને એ જ નામની સત્યજિત રાયની ફિલ્મ યાદ આવે છે. બંગાળના એક પરગણામાં સંદીપ નામનો એક ક્રાંતિકારી આવે છે અને એ પરગણાના નિખિલેશ નામના જમીનદારનો મહેમાન બને છે. સંદીપ હિંદુ ધર્મની, ભારતવર્ષની અને આર્યાવર્તની મહાનતાની મોટી વાતો કરે છે અને પ્રજાને હાથમાં હથિયાર લેવા અને આઝાદી માટે ક્રાંતિ કરવા ઉશ્કેરે છે. એ પણ કહેતો હતો કે કાઁગ્રેસના કેટલાક નેતાઓ ડરપોક છે, સ્થાપિત હિતોનું રક્ષણ કરે છે, તેઓ આઝાદી અપાવી શકે એમ નથી વગેરે. વક્તા તો એવો કે રુવાડાં ઊભા કરી દે. હવે બીજો પક્ષ જુઓ જે જમીનદારનો છે. બેફામ બોલનારો ક્રાંતિકારી જમીનદારનો પરોણો છે અને જમીનદાર દેખીતી રીતે પોતાનું હિત જોખમાતું હોવા છતાં ય તે પેલા ક્રાંતિકારીને કહેતો નથી કે મારે ઘરેથી અન્યત્ર ચાલ્યો જા. તારી રાજકીય પ્રવૃત્તિ મને નુકસાન પહોંચાડી શકે છે. એ જમીનદારની પત્ની બિમલા આ ક્રાંતિકારીની ભાષા અને ૫૬ ઈંચની છાતી જોઇને આકર્ષાય છે, પણ જમીનદાર પોતાની પત્નીને પણ રોકતો નથી. તે અત્યંત શાલીનતાપૂર્વક, કોઈના અવાજને વાચા આપવાનો ઠેકેદાર બન્યા વિના પોતાની પત્નીના અવાજનો આદર કરે છે. પત્નીની સ્વતંત્રતાની વચ્ચે પુરુષ (અને તેમાં પણ પતિ) બનીને બાધા નથી નાખતો. કદાચ પોતાનું ઘર તૂટે એવી સ્થિતિ સર્જાય છે. પણ એની વચ્ચે બન્યું એવું કે આ ક્રાંતિકારકની જલદ ભાષાથી ઉશ્કેરાયેલા લોકો કાયદો હાથમાં લે છે અને તોફાનો થાય છે. જોતજોતામાં તોફાનો ફેલાય છે, અંગ્રેજ પોલીસ આવે છે અને પેલો ક્રાંતિકારી સંદીપ પ્રજાને ભગવાન ભરોસે મૂકીને ભાગી જાય છે. તોફાનોની અગનજ્વાળામાં વચ્ચે જવાનું કામ અને લોકોને શાંત પાડવાનું કામ પેલો “સ્થાપિત હિત ધરાવનારો, ડરપોક અને અંગ્રેજોનો વહાલો થઈને” રહેનારો નિખિલેશ નામનો જમીનદાર કરે છે.

તો આ આજની વાત નથી. સો વરસનો આવો ઇતિહાસ છે. રવીન્દ્રનાથ ટાગોરે બંગભંગનાં આંદોલન વખતે કેટલાક કહેવાતા ક્રાંતિકારીઓની અર્થાત્‌ રાષ્ટ્રવાદીઓની બુઝ્દીલી પોતાની સગી આંખે જોઈ અને અનુભવી હતી. આ એ લોકો હતા જેઓ રવીન્દ્રનાથને ડરપોક, સ્થાપિત હિતો ધરાવનારા જમીનદાર, અંગ્રેજોના ગુલામ, પાશ્ચાત્ય મૂલ્યોમાં વિશ્વાસ ધરાવનારા પશ્ચિમપરસ્ત ભારતવિરોધી કહેતા હતા. કારણ? કારણ કે રવીન્દ્રનાથે પશ્ચિમમાં ઊગેલા, ઉછરેલા, વિકસેલા અને ભારતમાં પ્રવેશવા ઈચ્છતા રાષ્ટ્રવાદને એક અભિશાપ એક જોખમ તરીકે ઓળખાવ્યો હતો જેને કેટલાક લોકો ભારતમાં દાખલ કરવા ઈચ્છતા હતા. આમ સો વરસ કરતાં પણ વધુ વખતથી વખતો વખત દેશમાં ક્રાંતિકારીઓ પેદા થતા રહે છે જે પોતાને અસલી અને કાઁગ્રેસને નકલી કહેતા આવ્યા છે. આમાં મુખ્યત્વે હિન્દુત્વવાદીઓ, સામ્યવાદીઓ અને સામાજિક ન્યાયના મશાલચીઓનો સમાવેશ થાય છે. આ લોકોએ આઝાદી માટેની એકેય લડતમાં ભાગ નહોતો લીધો. ઊલટું અંગ્રેજોને તેનાં સંકટમાં મદદ કરી હતી. એ લોકોએ માફી માગી છે, બાંયધરીઓ આપી છે; પણ હા કાઁગ્રેસને ડરપોક, સ્થાપિત હિતોની એજન્ટ, જૈસે થે વાદી તરીકે ઓળખાવવાનું ચુક્યા નહોતા.

આઝાદી પછી પણ આ સિલસિલો ચાલુ રહ્યો. પોતાની રાજકીય જગ્યા બનાવવા ઈચ્છનારાઓ પોતાને મહાન ક્રાંતિકારી, દેશભક્ત અને સામાજિક ન્યાયના એક માત્ર મશાલચી તરીકે ઓળખાવતા હતા અને કાઁગ્રેસને ઉપર કહી એવી ગાળો આપતા હતા. એમાં એક ઉમેરણ થયું હતું સત્તાપિપાસુ અને ભ્રષ્ટ હોવાનું. કેટલાક કાઁગ્રેસીઓ પણ મોકો જોઇને કાઁગ્રેસના નેતાઓને (એટલે કે પરિવારને) સત્તાલોલુપ અને ભ્રષ્ટ તરીકે ઓળખાવતા હતા અને પવિત્રતાનો અંચળો ઓઢીને કાઁગ્રસમાંથી બહાર નીકળીને કાઁગ્રેસની વિરુદ્ધ જતા હતા. અત્યારે ભારતની ભૂમિ ઉપર જેટલા રાજકીય પક્ષો છે એ બધા જ પક્ષના નેતાઓ કોઈને કોઈ સમયે કાઁગ્રેસને નાપાસ કરીને દેશને બચાવી લેવા મેદાનમાં ઉતરેલા નરપુન્ગવો છે. માથા પર કફન બાંધીને તેઓ દેશહિતમાં, પ્રજાહિતમાં મેદાનમાં ઉતર્યા હતા.

અને આજે? આજે પણ એ જ જોવા મળી રહ્યું છે જે આઝાદી પહેલાં જોવા મળ્યું હતું. ત્યારે તેઓ અંગ્રેજોથી ડરતા હતા અને આજે બી.જે.પી.ના માથાભારેપણાથી. ત્યારે તેઓ કાઁગ્રેસની સામે બોલતા હતા અને અંગ્રેજોની બાબતે મૂંગા રહેતા હતા અથવા મદદ કરતા હતા. આજે પણ એનું જ પુનરાવર્તન થઈ રહ્યું છે. કાઁગ્રેસની ટીકા કરે છે, પણ શાસકો વિરુદ્ધ કોઈ હરફ ઉચ્ચારતું નથી. પવિત્ર ક્રાંતિકારીઓને ખાતરી હતી કે કાઁગ્રેસનો મધ્યમમાર્ગ તેમને ક્યારે ય નુકસાન પહોંચાડવાનો નથી અને ઉપરથી કાઁગ્રેસનો મધ્યમ માર્ગ કાઁગ્રેસને સ્થાપિત હિતના એજન્ટ અને બીજું શું શું કહીને પોતાની રાજકીય જગ્યા બનાવવામાં ખપનો છે. કાઁગ્રેસથી ઊલટું અંગ્રેજોની જેમ જ બી.જે.પી. મધ્યમમાર્ગી નથી એટલે આઝાદી પહેલાં જોવા મળ્યું હતું એમ પોતાને કાઁગ્રેસનો વિકલ્પ, અસ્સલ ક્રાંતિકારી, પવિત્ર અને શૂચિર્ભું સમજનારાઓ દરમાં છૂપાઈ ગયા છે.

પણ કાઁગ્રેસ બોલે છે. રાહુલ ગાંધી ડર્યા વિના બોલે છે. રાહુલ ગાંધી એ લોકો માટે પણ બોલે છે જેનાં હિતમાં બોલવા સારુ કેટલાક લોકોએ ખાસ પક્ષો રચ્યા હતા. દલિતની કન્યા માટે માયાવતી નથી બોલતાં રાહુલ ગાંધી બોલે છે. ખેડૂતોના હિત માટે જે તે પક્ષોના કિસાન સંગઠન નથી બોલતા, પણ રાહુલ ગાંધી બોલે છે. ભ્રષ્ટાચાર સામે અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ નથી બોલતા, પણ રાહુલ ગાંધી બોલે છે. ઘરે બાહિરીમાં જોવા મળ્યું હતું એમ ક્રાંતિકારીઓ ભાગી ગયા છે અને પેલો “બુઝદિલ, સ્થાપિત હિત ધરાવનારો, જૈસેથે વાદી” નિખિલેશ અર્થાત્‌ રાહુલ ગાંધી બોલે છે.

આને શું કહીશું?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 માર્ચ 2023

Loading

કલમ અને હૈયામાં વાંસનો અંકુર અને વડવાનલને એક સાથે સમાવનાર ધીરુબહેન પટેલ

દીપક મહેતા|Opinion - Literature|11 March 2023

આજે સવારે નવેક વાગે એક મિત્રનો whatsapp પર ત્રણ શબ્દનો સંદેશો આવ્યો : “આપણાં ધીરુબહેન ગયાં.” ભલે છેલ્લાં થોડાં વરસથી અમદાવાદ રહેવા ગયાં હતાં, પણ મુંબઈગરા વાચકો, લેખકો, પત્રકારો માટે તો તેઓ કાયમનાં ‘આપણાં ધીરુબહેન’. મનમાં પહેલો વિચાર આવ્યો તે એ કે ધીરુબહેન એટલે પોતાનાં કલમ અને હૈયામાં ‘વાંસનો અંકુર’ અને ‘વડવાનલ’ને એક સાથે ઉછેરી ‘આગંતુક’નો આલેખ આપનાર લેખક. ના, લેખિકા નહિ. સાહિત્યની કે તેની બહારની દુનિયામાં પણ ધીરુબહેને સ્ત્રી તરીકે ગ્રેસનો એકાદ માર્ક પણ ક્યારે ય ન માગ્યો, ન સ્વીકાર્યો. પુષ્કળ લખ્યું : નવલકથા, વાર્તા, નાટક-એકાંકી, નિબંધો, લેખો, સંસ્મરણો, અને કવિતા પણ. શું જીવનમાં કે શું લખવામાં એમને કશો છોછ નહિ. પોતાની આંતરસ્ફુરણાથી લખે, તેમ બીજાની જરૂરિયાત કે માગ પ્રમાણે પણ લખે. ગઝલ પણ લખે અને જિંગલ પણ લખે. નિજાનંદ માટે લખે તેમ બીજાને માટે પણ લખે.

ધીરુબહેન પટેલ

૧૯૬૦ના દાયકામાં ધીરુબહેન ‘સુધા’ સાપ્તાહિકના તંત્રી હતાં ત્યારે જે સંબંધની શરૂઆત થઈ તે હંમેશ તાજો ને લીલો જ રહ્યો. મારા કરતાં પહેલાં સંબંધ બંધાયેલો પત્ની વંદના સાથે. ધીરુબહેન સતત નવી કલમોની શોધમાં રહેતાં. તેમણે વંદના પાસે લેખો લખાવ્યા, મુલાકાતો લેવડાવી, અનુવાદો કરાવ્યા. પછી મારો વારો. ‘સાહિત્યનાં સરોવર’ નામે સાહિત્ય વિશેની કોલમ લખાવી. પછી એક દિવસ કહે : “હવે મુંબઈ વિષે લેખમાળા કરી આપો.” તેને નામ શું આપવું એ અંગે દસ-પંદર મિનિટ ચર્ચા કરી, પણ અમને એકે નામ ગોઠ્યું નહિ. કહે, ‘આવતે અઠવાડિયે પહેલો હપ્તો લખી લાવો પછી નામ વિચારશું.’ હજી તો લિફ્ટ પાસે પહોંચ્યો ત્યાં એમનાં સહાયક બહેન લગભગ દોડતાં આવ્યાં. કહે, ‘ધીરુબહેન બોલાવે છે.’ પાછો ગયો, તેમની કેબિનનું ફ્લેપ ડોર ઉઘાડ્યું તો કહે : ‘સાત ટાપુનું સોનેરી શહેર, આવજો.’

હા. ધીરુબહેનની આ ખાસિયત. જો મૂડ હોય તો કલાકો સુધી વાતો કરે, નહિતર બે-ચાર શબ્દોમાં લટક સલામ. એટલે છેવટ સુધી unpredictable રહ્યાં – વ્યક્તિ તરીકે તેમ જ લેખક તરીકે પણ. જે લખ્યું તેમાં પુનરાવર્તન કયારે ય જોવા ન મળે. એટલે જ તેઓ ક્યારે ય કોઈ ચોકઠામાં બંધાયાં નહિ કે વાડામાં પુરાયાં નહિ. ૨૦૦૧માં ‘આગંતુક’ નવલકથા માટે દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો ત્યારે તેમની એક મુલાકાત લીધી તેમાં પૂછેલું : ‘ધીરુબહેન, તમે ગાંધીજીને પુષ્કળ ચાહો છો, છતાં ગાંધીવાદી નથી, એમ કેમ?’ જવાબમાં કહે: ‘ગાંધીજી ગાંધીવાદી નહોતા એટલે તો ચાહું છું તેમને.’ ધીરુબહેનને ગાંધીવાદી ન કહી શકાય તેમ નારીવાદી પણ ન કહી શકાય. નારી પાત્રોનું અત્યંત સબળ આલેખન, પણ નારીવાદની, કે બીજા કોઈ વાદની કંઠી ક્યારે ય ન બાંધી. વાદથી પર રહ્યાં તેમ બને ત્યાં સુધી વિવાદથી પણ પર રહ્યાં. છતાં ક્યારેક આપદ્દ ધર્મ તરીકે પોતાનાં માનેલાં સાથે ય વિવાદમાં સંડોવાયાં તો પછી કોઈની સાડીબારી ન જ રાખી.

૨૦૨૨ના ઓક્ટોબરની ૧૭મી તારીખની સવારે મિત્ર ડો. ખેવના દેસાઈ સાથે ધીરુબહેનને તેમના અમદાવાદના ઘરે મળવાનું થયું. વ્હીલ ચેરમાં બેસીને પણ મુક્ત મને અલકમલકની વાતો કરી. હસ્યાં, હસાવ્યાં. આનંદથી ફોટા પડાવ્યા. મન સતેજ હતું, પણ તન થાક્યું હતું એ દેખાતું હતું. થોડા દિવસ પહેલાં તો ‘હવે છેલ્લી ઘડીઓ ગણાય છે’ એવું જાણવા મળેલું. પણ આજીવન યોદ્ધાએ એક વાર તો મોતને પણ પાછું વળાવ્યું. વીડિયો અને ફોટામાં થોડો અસલ મિજાજ દેખાવા લાગ્યો. પણ આજે સવારે …

જેને નિમિત્તે દિલ્હીની સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર મળ્યો તે ‘આગંતુક’ નવલકથાનું પહેલું પ્રકરણ શરૂ થાય તે પહેલાં ધીરુબહેને એક વાક્ય મૂક્યું છે : “રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઊડીને આવેલું પક્ષી એક બારીમાંથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત.” ધીરુબહેનનો શબ્દ જ નહિ, તેમનું વ્યક્તિત્ત્વ પણ આ પંખી જેવું. જીવન અને જગતની મહેફિલને તેમણે એક પલકારામાં આંખમાં ભરી લીધી, પોતાની કૃતિઓ દ્વારા માણી, જાણી, અને પ્રમાણી લીધી. પણ તેમાં અટવાયાં નહિ. બીજી બારીએથી પંખી બહાર નીકળી જાય એટલી જ સહજતાથી આપણી વચ્ચેથી નીકળી ગયાં. પણ ધીરુબહેન, તમારો શબ્દ તો ઘણા લાંબા વખત સુધી અમારી મોંઘી મૂડી બની રહેશે.

આવજો, ધીરુબહેન!

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 11 માર્ચ 2023)

Loading

...102030...1,0741,0751,0761,077...1,0801,0901,100...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved