Opinion Magazine
Number of visits: 9667358
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટેક્સ ટેરરિઝમ : કરવેરાને સંગઠિત લૂંટ કહેવાય?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 July 2023

રાજ ગોસ્વામી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્‌ડાઈરેક ટેક્સેસ એન્ડ કસ્ટમ્સના ચેરમેન વિવેક જોશી અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષે અત્યાર સુધીમાં 22 હજાર કરોડની ટેક્સ ચોરી પકડાઈ છે. જોશીએ કહ્યું કે કરદાતાઓએ ઈનપુટ-આઉટપુટ સંબંધી ટેક્સ ક્રેડિટ કાનૂનની ખોટી સમજને લઈને ટેક્સ ચોરી કરી હોવાનું મનાય છે. આ ચોરી અને ચોરને પકડાવા માટે સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.)ને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) સાથે જોડી દીધો છે. મતલબ કે જી.એસ.ટી.માં ગડબડ કરનાર સામે ઈ.ડી. કાર્યવાહી કરશે.

ભારતમાં કરવેરાને લઈને સરકારો એટલી સખ્ત છે (કારણ કે આવકનો એ જ સૌથી મોટો સોર્સ છે) કે ઘણા લોકો તેને ટેક્સ ટેરરિઝમ કહે છે. જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ અને મનિપાલ ગ્રુપના ચેરમેન મોહનદાસ પાઈએ કહ્યું છે કે 2023માં 6,500 જેટલા હાઈ નેટવર્થ ઇન્ડિવ્યૂડ્યુઅલ્સ ભારત’ છોડીને વિદેશમાં જઈને વસી જવાના છે. પાઈના મતે આ લોકો ટેક્સ ટેરરિઝમથી ત્રાસી ગયા છે. ટેક્સ ટેરરિઝમ એટલે સરકારની તાકાતનો ઉપયોગ કરીને મનસ્વીપણે કાનૂનમાં ફેરફાર કરીને લોકોને કર ભરવા માટે ફરજ પાડે તે.

ભલે કાનૂની દૃષ્ટિએ નહીં, પણ નૈતિક દૃષ્ટિએ તો ઘણા ફિલોસોફરોને તેને લૂંટ ગણે છે. પશ્ચિમમાં રોબીનહૂડ અને આપણે ત્યાં બહારવટિયાઓની એક લોકપ્રિયતા રહી છે. પોલીસની દૃષ્ટિએ આ લોકો અપરાધી છે, પણ સમાજમાં એમનું સ્થાન હીરોનું રહ્યું છે. કેમ? એ લોકો ધનવાનોને લૂંટીને ગરીબોને પોષતા હતા એટલે.

રામાયણના રચયિતા, મહર્ષિ વાલ્મીકિ એમના પૂર્વજીવનમાં લૂંટારા હતા, અને પરિવારનું પેટ ભરવા માટે  અરણ્યમાં યાત્રીઓને લૂંટતા હતા. એમનો તર્ક એવો હતો કે જેની પાસે બહુ પૈસા છે તેની પાસેથી તે પૈસા લઇને, જેની પાસે નથી તેને આપવા એમાં ખોટું કંઈ નથી. એ તો એક ઋષિએ તેમને નૈતિક પ્રશ્ન કર્યો એટલે તેમણે તેમના વ્યવસાય અંગે પુનઃવિચાર કરવો પડ્યો. આમાંથી આપણો પ્રશ્ન એ છે કે કોઈની પાસેથી પૈસા લેવા ક્યારે નૈતિક કહેવાય અને ક્યારે અનૈતિક?

1979માં મનમોહન દેસાઈની ‘સુહાગ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, દુર્ગા માઈનું મંદિર બનાવવા માટે રસ્તા વચ્ચે કોલ્હાપુરી ચપ્પલ ફટકારીને ‘ચંદા’ એકઠો કરે છે એ તમને યાદ છે? ધારો કે લોકોના દાનમાંથી જરૂરતમંદોને મદદ કરવા માટે તમે એક ટ્રસ્ટ ઊભું કર્યું છે. લોકો એમાં દાન નથી આપતા એટલે જરૂરતમંદ લોકો મદદથી વંચિત રહે છે. તમે નક્કી કરો છો કે રસ્તા ઉપરથી પસાર થતા પૈસાદારોને માથે બંધૂક મૂકીને પૈસા ભેગા કરવા અને ગરીબો માટે ખૈરાતની વ્યવસ્થા કરવી.

અમિતાભ અને તમે બંને ચોર જ કહેવાઓ, બરાબર? કારણ કે, તમે બીજાની અનુમતિ વગર પૈસા તેના લઇ લો છો. ‘અનુમતિ વગર’નો મતલબ, ધાક-ધમકીથી પૈસા લેવા તે. આમાં શેના માટે પૈસા લેવાયા છે એનાથી ફરક નથી પડતો. તમે એવો તર્ક ના કરી શકો કે ‘આ પૈસા તો જરૂરતમંદો માટે છે એટલે એ ચોરી ના કહેવાય.”

ધારો કે, અમિતાભ બચ્ચન સુધરાઈની ચૂંટણીમાં ઊભો રહે છે અને તે નગર નિગમનો પ્રમુખ બની જાય છે. તે નિગમની બેઠકમાં એક કાયદો પસાર કરાવે છે; દરેક નાગરિકે મંદિર નિર્માણ માટે ટેક્સ આપવો પડશે, જે ટેક્સ નહીં આપે તેને સજા થશે. હવે આને ચોરી કહેવાય?

આને કરવેરા સાથે સરખાવો તો પણ વાત તો એ જ છે. સરકાર કરવેરા ન આપે તેને સજા કરે છે. આ તર્ક સામે દલીલ એવી થાય કે, કરવેરા એ ચોરી નથી, કારણ કે જનતાએ સરકાર સાથે બીજલી-સડક-પાની જેવી નાગરિક સુવિધાઓના બદલામાં સરકારમાં વેરા ભરવાનો ‘સોશ્યલ કરાર’ કરેલો છે, પણ ધારો કે આવી સુવિધાઓનો ઉપયોગ ના કરીએ તો? તો પણ, સરકાર કર આપવા ફરજ તો પાડે જ છે.

કરવેરા એ ચોરી છે એ વિચાર આત્યંતિક છે, પણ વિસંગત નથી. ફ્રી માર્કેટની અંદર વ્યક્તિગત સંભુતામાં (individual sovereignty) માનતા ઘણા આર્થિક અને રાજકીય પંડિતો આને સરકર દ્વારા થતી ચોરી ગણે છે. બ્રિટિશ પ્રધાન મંત્રી વિન્સ્ટન ચર્ચીલે કહ્યું હતું કે, “કોઈ દેશ ખુશહાલી માટે પોતાને જ ટેક્સ કરે એ તો બાલ્ટીમાં ઊભેલો કોઈ માણસ હેન્ડલ પકડીને અધ્ધર થવાની કોશિશ કરે એના જેવું છે.” પશ્ચિમમાં આ ખયાલ 1850થી છે. ફ્રેડરિક બસ્તીયાત નામના ફ્રેંચે ત્યારે કહ્યું હતું કે, “લોકકલ્યાણ માટે ટેક્સ લેવો એ કાનૂની લૂંટ છે.”

ભારતમાં જે રીતે નેતાઓ અને ધનવાનો દેશને લૂંટે છે, અને કરદાતાઓ પાયાની સગવડો માટે ઠોકરો ખાય છે તે જોતાં કરવેરા એ લૂંટફાટ જ છે. 2016માં મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે આવી રીતે જ અકળાઈને કહ્યું હતું કે, સરકાર જો ભ્રષ્ટાચારના સાપને નહીં નાથે તો નાગરિકો ટેક્સ નહીં ભરીને અસહકારની ચળવળ શરૂ કરશે. આપણો પ્રોબ્લેમ એ છે કે જે કરવેરામાંથી બીજલી-સડક-પાની જેવી સેવાઓ પોષાય છે, એ જ વેરામાંથી ભ્રષ્ટાચાર પણ થાય છે.

પૌરાણિક ભારતમાં સરકાર ચલાવાના ખર્ચ તરીકે સ્વેચ્છિત દાનની વ્યવસ્થા હતી. ચાણક્યએ એવું સૂચન કર્યું હતું કે, નાગરિકો પાસેથી એમની આવકના ૫ ટકાથી વધુ રૂપિયા ના લેવા જોઈએ. એક્ચુઅલી, જૂના સમયમાં લૂંટારા-પીંઢારાઓ લોકોને લૂંટતા હતા એટલે યુરોપીયનોએ એની કાનૂની વ્યવસ્થા બનાવી હતી જેમાં લૂંટારા જ શાસક બની ગયા હતા અને લોકો હોંશે હોંશે પૈસા આપતા થયા.

આ સમજવા માટે આ 7 સવાલોના જવાબ આપો : અમિતાભની જેમ રસ્તે ઊભેલો એક લૂંટારો ચાકુ બતાવી પૈસા લઈ લે, તો એ લૂંટ કહેવાય? એક ને બદલે બે લૂંટારા ચાકુ બતાવી પૈસા લઈ લે, તો એ લૂંટ કહેવાય? બે ને બદલે 100 લૂંટારાની ગેંગ ચાકુ બતાવી પૈસા લઈ લે, તો લૂંટ કહેવાય? ધારો કે એ ગેંગનો એ રસ્તાવાળા ઇલાકામાં ધાકધમકીનો ઈજારો આપવામાં આવ્યો હોય, તો એ લૂંટ કહેવાય? એ ગેંગ એ ઇલાકામાં નિયમો અને વહીવટ લાગુ કરે, તો એ લૂંટ કહેવાય? એ ઈલાકાના રહેવાસીઓ ગેંગના કામકાજને ટેકો આપે, તો એ લૂંટ કહેવાય? ત્યાં ચૂંટણી થાય, અને લોકો ગેંગને વોટ આપે, તો એ લૂંટ કહેવાય? મતલબ એ કે, બહુમતી લોકો ટેકો આપે એટલે અમિતાભની કોલ્હાપુરી ચપ્પલ મારીને પૈસા પડવાની રીત જાયજ બની જતી નથી. ઘણી ઇસ્લામિક સરકારો આવી જ રીતે સત્તામાં આવ્યાંના દાખલા છે.

ચાર્લ્સ ટિલી નામના એક અમેરિકન સમાજશાસ્ત્રીએ એટલા માટે જ કહ્યું હતું કે “સરકાર એક સંગઠિત સુરક્ષા ગિરોહ છે.”

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 16 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાશ, નવી દિલ્હી ‘દિલ્હીપણા’ને દિલી અલ્વિદા કહી શકે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 July 2023

સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનામાં કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ ઉમાશંકરના કિસ્સામાં પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હશે પણ એમને એવી લાગી નથી – કહો કે એમને માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી

પ્રકાશ ન. શાહ

બસ, હવે બે દિવસ, અને તરત ઉમાશંકર જયંતી (21 જુલાઈ) : ચારેક દાયકા પાછળ ચાલ્યો જાઉં છું અને શામળાજીમાં ઉમાશંકર જોશીને બોલતા ભાળું  છું. નકરું ભાળું જ શીદને, સાંભળું પણ છું. અવસર જેપી પ્રણિત લોકસમિતિના રાષ્ટ્રીય અધિવેશનનો હતો. બિહારથી આચાર્ય રામમૂર્તિ તો દિલ્હીથી રજની કોઠારી સામેલ થયા હતા. તો, ગુજરાતના જેપી આંદોલનના જોગંદર ભોગીલાલ ગાંધી અને કટોકટી કાળે ‘ભૂમિપુત્ર’-ખ્યાત ચુનીભાઈ વૈદ્ય તો હોય જ. ઉદ્દઘાટનનું ટાણું હતું અને, કેમ કે કવિ મંગલ વચનો ઉચ્ચારવાના હતા, આસપાસની શાળાઓનાં બાળકો બેલાશક હકડેઠઠ હતા.

કવિ વતનની ભોમકામાં હતા અને વળી સમવયસ્કો વચ્ચે હતા … ઉઘાડમાં જે ખીલ્યા છે! એમણે કહ્યું, સાચું કહું, મને કેવું લાગે છે … જાણે પિયરમાં ન આવ્યો હોઉં! બાળુડાં તો ઘેલાં ઘેલાં, ને એકદમ એમના હેવાયાં થઈ ગયાં. બાળ કિલ્લો સર કરી કવિએ બુરજબંધી હાથ ધરી, પિયર ને સાસરાને જોડવાની રીતે. પળવાર તો મને થયું, પેટલીકર પંડમાં પધાર્યા. પણ ઉમાશંકર આગળ ચાલ્યા, આપણી નાનકડી દુનિયા અને વિશાળ દુનિયા, એમાં સમાવું તે શું – એની રાજ્યશાસ્ત્રીય ને સમાજશાસ્ત્રીય ચર્ચા ભણી વળ્યા … અને શો ચમત્કાર!

સહસા સ્વાયત્તતાના મુદ્દા પર નાંગર્યા. એ દિવસોમાં ગુજરાતમાં યુનિવર્સિટીઓની સ્વાયત્તતાનો મુદ્દો સુરખીઓમાં હતો અને કવિ એનો મહિમા કરવા ઈચ્છતા હતા તે તરત પકડાયું. આજે નોકરિયાત મંડળી ઈચ્છતાં તંત્રોને શિક્ષણ સંસ્થાઓ અને એમની સ્વાયત્તતાનો મુદ્દો કેટલો પકડાશે, નહીં પકડાશે, દઈ જાણે.

1981માં, સિત્તેરમે, ઉમાશંકર ‘સમગ્ર કવિતા’ લઈને આવ્યા. એનાં પ્રાસ્તવિક વચનોમાં એમના, આપણને તો વિક્રમ વરતાય એવા જીવનક્રમનો એમણે સોજ્જો ખ્યાલ આપ્યો છે :

‘ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્યમંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, – એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ …’

2011-12માં નિરંજન ભગતની નિગેહબાનીમાં અમે ગેરસરકારી રાહે ઉમાશંકર શતાબ્દીનું આયોજન કરી રહ્યા હતા ત્યારે સ્વાતિ જોશીએ પરિપ્રેક્ષ્યની ગરજ સારતો એક સરસ લેખ કર્યો હતો, જેમાં ઉમાશંકર જોશીને જાહેર જીવનના કવિ તરીકે ઓળખાવ્યા હતા. શબ્દ ક્યાંથી ક્યાં લઈ ગયો, એ કેફિયતનુમા ઉદ્દગારોમાંથી તે તરત પમાય છે. 1981નાં હજુ હમણાં ટાંક્યાં પ્રાસ્તાવિક વચનોમાંથી જ આગળની થોડીક પંક્તિઓ ટાંકું એટલે એમનું જાહેર જીવનના કવિ હોવું તે શી વસ છે એ વિશે વધુ કંઈ કહેવાનું રહેશે નહીં : ‘સ્વાતંત્ર્ય, સામાજિક ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનામાં કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બંને વસ્તુઓ સર્જનકાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે, મને એવી લાગી નથી – કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી.’

વિશાળ ગુજરાતી વાચક સમાજે ઉમાશંકરને કવિ તરીકે વાંચ્યા-વધાવ્યા હશે, પણ એમનું જાહેર જીવનના કવિ હોવું વર્ગખંડોના પાઠ્યક્રમમાં કેવું ને કેટલું પહોંચ્યું હશે તે આપણે જાણતા નથી – ભલે ભોમિયા વિના ભણ્યાભમ્યા હોય ઉમાશંકર, આપણે સારુ તો એ ભોમિયાઓ પૈકી ખરા જ ને!

રાજ્યસભાના સભ્ય તરીકે અને પછીથી કેન્દ્રની સાહિત્ય અકાદમીના એ પોતે સાભિપ્રાય સંભારતા તેમ ‘ચૂંટાયેલા’ પ્રમુખ તરીકે, એમને દિલ્હીનો બાહ્યાભ્યંતર પરિચય છે, એવો જ પરિચય જેમ કે દાંડીકૂચના સૈનિક ને ખ્યાત પત્રકાર કવિ શ્રીધરાણીને પણ લાંબા દિલ્હીવાસને કારણે સહજ હતો. આ લખું છું ત્યારે સાંભરે છે કે એક તબક્કે બલ્લુકાકાને દુરારાધ્ય બ.ક.ઠા.ને) સુંદરમ્-ઉમાશંકર બેઉ કરતાં શ્રીધરાણીમાં કશુંક વિશેષ વરતાયેલું. ગમે તેમ પણ, શ્રીધરાણીનું દિલ્હી અને ઉમાશંકરનું દિલ્હી સાથે મળીને સત્તા-પ્રતિષ્ઠાન સામેનો સ્વતંત્ર સર્જક મિજાજ તે શું એ આબાદ ઉપસાવી આપે છે; અને આગળ ચાલતાં એમાંથી સ્તો નવયુગી નાગરિક એજન્ડા પણ નિ:સ્ત્રવે છે.

શ્રીધરાણીની લાંબી રચનામાંથી બે પંક્તિઓ : સર્વવ્યાપ્ત સરકાર બિરાજે, કવિને કરતી ભાટ /જંગલ છોડી દિલ્હી-કાંઠે યોગી માંડે હાટ … શ્રીધરાણીએ સ્વરાજની પહેલી પચીસીમાં ઝીલેલી આ છબિ છે. સ્વરાજની બીજી પચીસી બેઠે ત્રીજું વરસ ચાલે છે અને 1976ના એપ્રિલમાં (રાજ્યસભાની મુદ્દત પૂરી થતાં) ઉમાશંકર ‘અલ્વિદા દિલ્હી’ લઈને આવે છે. એની છેલ્લી થોડી પંક્તિઓ :

નવી, સાતમી દિલ્હી, ખબર છે તને તો –

ઇતિહાસ રાજધાનીઓની છેડતી કરે છે.

ખેડુની-શ્રમિકની વાંકી વળેલી પીઠ પર ઊભી છે

એને વધુ વાંકી વાળતી

દુનિયાની રાજધાનીઓ

રૂડી રૂડી વાતોને નામે.

સાતમી દિલ્હી, નીચે ઊતરી શકીશ,

જીવી જઈશ.

દિલ્હીપણાને કરી તારી – અને મારી પણ –

દિલી અલ્વિદા?

ઉમાશંકર, પ્રસંગે, ચોક્કસ રચનાઓનું પ્રકાશન મુદ્રિત સ્વરૂપે કરતાં પૂર્વે પઠનથી કરતા. એમની આ રચના પણ 1976ના માર્ચમાં લખાઈ અવાજ થકી પ્રકાશન પામી છે જાન્યુઆરી 1977માં, અને તે પણ ગુજરાતી સાહિત્ય પરિષદે યોજેલ કવિસંમેલનમાં. (બાય ધ વે, ’77નો જાન્યુઆરી સાંભરે છે ને? કટોકટીની કાલરાત્રિ પછી પોહનાં ઉંબર અઠવાડિયાં છે અને કવિ દિલ્હીને એના દિલ્હીપણાની અલ્વિદાનો અવાજ લઈને આવે છે, આર્ત અને આર્ષ.)

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 19 જુલાઈ 2023

Loading

ગમતાનો ગુલાલ સાંઈ મકરન્દ દવે

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|18 July 2023

સાંઈ મકરન્દ અને કુન્દનિકાબહેન સાથે મારો નાતો તેઓ અમેરિકા મારે ઘરે આવ્યાં તે પહેલાંનો. મકરન્દભાઈ અને કુન્દનિકાબહેન અંઘેરી વરસોવાથી નંદિગ્રામમાં સ્થાયી થયાં તે પહેલાં ઘાટકોપરમાં સાંઈનાથ નગરની સર્વોદય સોસાયટીમાં રહેતાં હતાં. સાંઈનાથ નગરની બાજુમાં જ આવેલ સંઘાણી એસ્ટેટમાં હું રહેતો હતો.

ન્યૂયોર્કથી એક સાંજે મને કુન્દનિકાબહેનનો ફોન આવ્યો કે અમે હમણાં ન્યૂયોર્ક આવ્યાં છીએ, સાંઈની ઈચ્છા છે નાયગરાના દર્શને જવાની જો તમને એકાદ વીકએન્ડમાં ફાવે એમ હોય તો અમે તમારે ઘરે તમારી અનુકૂળતાએ આવીએ. ચોથી જુલાઈના એક વિકએન્ડમાં કુન્દનિકાબહેન અને મકરન્દભાઈ મારા ઘરે રોચેસ્ટર શુકવારની સાંજે ન્યૂયોર્કથી ગેહામ બસમાં આવી પહોંચ્યાં.

અમેરિકામાં ભર ઉનાળો ચાલતો હતો, ગરમી કહે કે મારું કામ, ઘરમાં ફુલ ઍરકન્ડિશનર ચાલતું હોવાથી મકરન્દભાઈ અને કુન્દનિકાબહેનને જરા બેચેની લાગતી હતી. તેવો અહિંયાના આકરા ઉનાળે એરકન્ડિશનરમાં ઠંડી અનુભવતાં હતાં. તેમણે બંનેએ સમી સાંજે શાલ ઓઢી લીઘી હતી. આ જોઈ અમે ઘરનું ઍરકન્ડિશનર બંઘ કરી ઘરની બઘી બંઘ બારીઓ ખોલી નાંખી, પંખા શરૂ કરી દીઘા.

મારા આંગણાંમાં બે ધેઘૂર મેપલ વૃક્ષ આજે પણ અડીખમ ઊભાં છે. મેપલની રુમઝૂમ સાખો ઉનાળામાં સોળે કળાએ ખીલી ઊઠે. ઉનાળામાં અમને સામેના પડોશીનું ઘર મેપલની કુંજ ઘટાને કારણ ન દેખાય કે જોવા મળે અને શિયાળામાં સખત બરફ્ને કારણે. ઉનાળાના ચાર પાંચ મહિનામાં સવાર સાંજ વૃક્ષની ડાળે રંગબેરંગી પંખીના અઢળક ડાયરા મંડાય. સવારના હજી પાંચ સાડા પાંચ થયા ન થયા હોય ત્યાં તો અમારું આગણું નિતનવા પાંદડે પાંદડે ખીલેલાં રંગબેરંગી ફૂલો જેવાં પંખીના મઘુર ટહુકાથી છલકાઈ ઊઠે.

બારી ખુલ્લી હોવાથી સાંઈ અને કુન્દનિકાબહેનની આંખ ટહુકાના માઘુરવથી વહેલી સવારે ખુલ્લી ગઈ. મકરન્દભાઈએ બારીમાંથી એક નજર વૃક્ષમાં કરી તો! સાંઈ તો ખુશખુશાલ થઈ ગયા. રંગબેરંગી પંખીને ગાતાં જોઈ તેમણે પથારીમાં ચાદર ઓઢીને સૂતેલાં કુન્દનિકાબહેનને જગાડીને કહ્યું કુન્દનિકા, તમે બારીમાંથી એક નજર કરીને વૃક્ષમાં જુઓ તો ખબર પડે કે સ્વર્ગ જાણે આ ઘડીએ પૃથ્વી પર ઊતરી આવ્યું છે! અને આ પંખીડાં તેના આગમનમાં મજેથી ટહૂકી રહ્યાં છે.

કુન્દનિકાબહેન અને મકરન્દભાઈને ફરી બેડમાં ઝંપલાવવાનું મન ન થયું, તેવો બને શાલ ઓઢી, અમારા ઘરની પોર્ચમાં બહાર પડેલ બે ખુરશીમાં હરખાતાં આવીને બેઠાં ન બેઠાં ત્યાં જ ઠંડા પવન સાથે ઘીમે ઘીમે વિખરાતા અંઘકારમાં આંગણાંના મેપલ વૃક્ષ તળે તેમણે પાંચ છ હરણનું બેઠેલું એક ટોળું જોયું. હરણની આસપાસ સાતઆઠ બદામી રંગનાં સસલાં રમતાં કૂદતાં હરણાંની પીઠ પર ચઢ ઉતર કરતાં જોઈ મકરન્દભાઈ અને કુન્દનિકાબહેન આભા બની ગયાં. કુન્દનિકાબહેન અને મકરન્દભાઈના હોઠેથી શબ્દ સરી પડયા શું પરમેશ્વરની પરમ કૃપા છે, અહિંયાં!

આઠેક વાગે બીનાએ જાગીને ઘરનો દરવાજો ખોલ્યો તો સાંઈ અને કુન્દનિકાબહેનને પોર્ચની ખુરશીમાં બેઠેલાં જોઈ બીનાએ કહ્યું, બસ હમણાં જ ચા મૂકું છું.  કુન્દનિકાબહેન કહે, ‘બીના, આજે કદાચ ચા નાસ્તો કરવાની કોઈ ઈચ્છા નહિ થાય. અમે બંને પ્રકૃતિના પ્રેમમાં એટલાં બઘા ઘરાઈ ગયાં છીએ કે તેની તો વાત શું કરવી! આવી સવાર ભાગ્યમાં ક્યારે પાછી મળશે!’ મકરન્દભાઈ કહે, ‘વૃક્ષોની ડાળે ડાળેથી ટહુકતા પંખીના ટહુકામાં મસ્ત સમાધિમાં બેઠેલાં હરણો અને આસપાસમાં રમતાં ભમતા સસલાં આપણને ઈશ્વરના ખોળા સિવાય કયાં જોવા મળે? તમે તો બહુ ભાગ્યશાળી છો. ઈશ્વરના ભાગ્યમાં પણ આવું સુખ નહીં હોય! આજે અમે એટલાં બઘા ખુશ છીએ કે સાંજે આપણે  નાયગરા જવાનું  માંડી વાળીએ તો પણ કોઈ દુઃખ નથી! ભાગ્યમાં આવી રળિયામણી સવાર કયાં રોજ રોજ આવે છે?’

શનિવારની ઢળતી સાંજે અમે મારા ઘરથી ૬૦ માઈલ દૂર આવેલો નાયગરા ફોલ્સ જોવા ગયાં. નાયગરાથી પ્રભાવિત અને મનોમન છલકાઈ ગયેલાં મકરન્દભાઈના મુખેથી ઉદ્દગાર સરી પડ્યાં, વાહ શું પ્રકૃતિનું સૌન્દર્ય છે! ઈશ્વરે અમેરિકાને બે હાથે સૌન્દર્યની લહાણી કરી છે, ખરેખર અમેરિકા વિશ્વનો એક ભાગ્યશાળી દેશ છે. પ્રભુના હોઠોનું સ્મિત અહિંયા કણ કણમાં નીરખવા મળે છે! નાયગરાને જોઈ આપણને કવિ પ્રિયકાન્તની પેલી અદ્દભુત પંક્તિ અનાયાસે યાદ આવી જાય,’આ તે પાણી છે કે પ્રભુના હાથે વણાતું વસ્ત્ર?’

મોડી સાંજે નાયગરાની રંગીન લાઈટ જોઈ ઘરે પાછાં ફરતાં કોઈ કારણ વિના મકરન્દભાઈને મારાથી પૂછાઈ જવાયું કે અમણાં રમેશ પારેખના પર્વમાં વિનુભાઈ અને અનિલ જોશી વચ્ચે કેમ કોઈ કારણ વિના ચકમક ઝરી ગઈ? સાલું, મને તો એ વાત હજી સુઘી સમજાતી નથી. રમેશ પારેખ અને અનિલ જોશી આમ બંને અમરેલીના. રમેશ પારેખને ચાલુચીલાની વાર્તામાંથી બહાર કાઢી કવિ બનાવવામાં અનિલ જોશીનો સિંહ ફાળો. છતાં કવિઓમાં સાલી અદેખાઈ કયાંથી જન્મે છે!

“પ્રીતમ, અનિલ અમરેલીનો નહીં મૂળ મારા ગોંડલનો. અનિલના પિતાશ્રી રમાનાથ જોશી સરકારી અમલદાર હોવાને નાતે તેમની બદલી અમરેલી થયેલ. સદ્દભાગ્યે તેઓ રમેશ પારેખના ઓફિસર. તે વખતે અનિલ અમદાવાદ ભણતો. રજામાં અનિલ અવારનવાર અમરેલી આવે. આ કારણે રમેશ સાથે તેની દોસ્તી થઈ. આ દોસ્તીએ રમેશને વાર્તા છોડાવી કાવ્યને રવાડે ચઢાવ્યો. વાત આપણા સર્જકો અને કવિઓની અદેખાઈની તો તે આજની થોડી છે, આ અદેખાઈ તો મહાકવિ ન્હાનાલાલના વખતથી ચાલી આવે છે.

કવિ ન્હાનાલાલને બ.ક. ઠાકોર પ્રત્યે સાચો ખોટો પૂર્વગ્રહ. મહાકવિ કહેતા કે પ્રો. ઠાકોરે જિંદગીમાં બે જ સારાં કાવ્યો લખ્યાં છેઃ ‘એક ‘આરોહણ’ અને બીજું ‘ખેતી’. કવિ નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા અને કવિવર ન્હાનાલાલને તેમના સોનેટ પ્રત્યે રતિભારનો પણ કોઈ લગાવ કે ઊમળકો નહોતો! મહાકવિ પણ તેમના મિત્રો વિશે જ પ્રેમભાવ છલકાવતા, મિત્ર પ્રેમમાં પોતે એ પણ ભૂલી જતા કે પોતે કવિ નહિ પણ મહાકવિ છે. મિત્રોમાં ખાસ કરીને ગોવર્ધનરાવ માઘવરાવ ત્રિપાઠી, કાશીરામ દવે, કેશવ હર્ષદ ઘ્રુવ તેમ જ આંનદશંકર ઘ્રુવ, તેમના અગંત મિત્રો હતા. મહાકવિને ફકત બ.ક ઠાકોર પ્રત્યે જ પૂર્વગહ હતો તેવું નહોતું  કનૈયાલાલ મુનશીનું નામ સાંભળીને પણ  કવિનું નાકનું ટેરવું ચઢી જતું.”

મેં મકરન્દભાઈને પૂછયું, ન્હાનાલાલે ગાંઘીજીને “વર્ઘાનો વંઠેલો” કહેલ એ‌ સાચી વાત છે? મકરન્દભાઈ કહે તારી વાત સાવ સાચી, મહાકવિ સ્વભાવે થોડા ઉગ્ર હતા. કદાચ આ કારણે તેમણે ગાંઘીજી પ્રત્યે આવેશમાં આવી જઈ ને આવા ન બોલવાના શબ્દ બોલી નાંખ્યા હશે. તેનું પરિણામ મહાકવિને ભોગવવું પડ્યું હતું. કવિ ન્હાનાલાલે જ્યારે આ ફાની દુનિયામાંથી વિદાય લીઘી ત્યારે તેમની સ્મશાનયાત્રામાં રોકડા દસ બાર માણસ ભાગ્યે જ હશે!. મહાકવિની સ્મશાનયાત્રા કુમાર કાર્યાલય પાસેથી નીકળી ત્યારે હું ‘કુમાર’માં કામ કરતો હતો. મને હ્રદયમાં તેમના મૃત્યુથી પારાવાર દુ:ખ થયું. મનમાં થયું કે મહાકવિની અંતિમ યાત્રાનો એક ફોટો તો આપણી પાસે હોવો જોઈએ. મેં કવિની સ્મશાન યાત્રાને બેચાર મિનિટ માટે ત્યાં ઊભી રખાવી તેમની યાત્રાનો ફોટો લીઘો.

તે સાંજે ભોજન લેતા મેં કહ્યું મકરન્દભાઈ, કોઇ નવોદિતને કોઈ પીઢ કવિનું માર્ગદર્શન મળી જાય તો ? નવોદિતની કલમથી આપણે ન ઘાર્યા હોય તેવા સરસ મજાના કાવ્યો મળેને? મને કહે તારી વાત બહુ સાચી છે. અમારા ઘર પાસે રોજ એક બાવો ચીપિયો વગાડતો આવતો; અને મેં એક કવિતા લખી હતી ચીપિયો વગાડતો એક બાવો આવ્યો અને આ કવિતા મેં મેઘાણીભાઈ પાસે વાંચી તો મેઘાણીજીએ મારી કવિતામાં ચીપિયાવાળો બાવાને બદલે ઘુઘરિયાળો બાવો કરવાનું જણાવ્યું. આહ! એક નાનકડા માર્ગ દર્શનને કારણ આખા કાવ્યને એક અનોખો રંગ મળી ગયો!

એકવાર આપણાં મોટા ગજાના સાહિત્યકાર ગુણવંત શાહે મારા મિત્ર ડો. અશોક શાહની હાજરીમાં મને કહ્યું હતું કે હું કોઈને કદી ગુરુ બનાવતો નથી, પણ જો મને મારા ગુરુ તરીકે કોઈને સ્થાપિત કરવાની  ઈચ્છા થાય તો હું બેશક સાંઈ મકરન્દ દવેને ગુરુ તરીકે સ્વીકારું. ગુણવંતભાઈ ‘અસ્તિત્વનો ઉત્સવ, ઈશાવાસ્યમ્ લખી રહ્યા હતા ત્યારે મકરન્દભાઈએ ગુણવંતભાઈના આ પુસ્તકનાં ઘણા પ્રકરણો વાંચી નાના મોટા સૂચનો કર્યાં હતા અને ઘણાં પ્રકરણ ગુણવંતભાઈએ તેમના આદેશ/સૂચનને માન્ય રાખી હોંશે હોંશે ફરીથી લખ્યા હતાં.

ચાર પાંચ દિવસના રોકાણમાં એક સાંજે હું અને મકરન્દભાઈ મારી ઓસરીમાં બહાર બેઠા હતા, મને કહે કે મને ભજન જેટલો જ ગઝલ પ્રત્યે પ્રેમ લગાવ, મેં ‘ગઝલ” નામે ગઝલનું એક નાનકડી પુસ્તિકા જેવડું સામયિક શરૂ કરેલ. બેચાર અંકો બાદ સામયિકને સમેટી લેવું પડયું. વાતવાતમાં  મને મકરન્દભાઈએ કહ્યું કે, મનુભાઈ ત્રિવેદી, ‘ગાફિલ”ના નામે ગઝલ લખતા અને ‘સરોદ’ના નામે મરમીલાં ભજન લખતા. આમ તો મનુભાઈની કલમથી શું નથી લખાણું, ગઝલ તો ખરી જ પણ ગઝલ ઉપરાંત છંદોબદ્ધ કાવ્યો, વાર્તાઓ, નાટિકાઓ પણ તેમનો મુખ્ય રંગ તો ભજનનો! તેમની ગઝલમાં પણ ભજનના એકતારાનો રણકાર આપણને સંભળાય!

આ ટહુકતી સાંજે ગઝલ ભજનની વાત નીકળી છે તો તને હું એક વાત કરું. હું રાજકોટ ખાસ ઘાયલને મળવા ગોંડલથી જતો. હું અને ઘાયલ ગઝલની વાતોમાં ઘણી વાર મોડી સાંજ લગી ડૂબી જતાં ત્યારે વાતોમાં અમને સમયની ખબર રહેતી નહીં કે સાંજમાંથી મોડી રાત થઈ ગઈ છે. ઘણું ખરું અમે એક બેન્કના પગથિયા પર બેસીને વાતોમાં ખોવાઈ જતાં ત્યારે ઘણીવાર પોલીસવાળા આવી ચઢે અને પૂછપરછ કરતા, પણ ઘાયલસાહેબનો મિજાજ મજાકિયો એટલે પોલીસવાળાને મજાક ખાતર પજવે પણ ખરા. પછી તો પોલીસવાળાને ખબર પડી ગઈ કે આ તો કવિ/શાયરો છે એટલે તે પણ મોડી સાંજે અમારી પાસે શેર શાયરી સાંભળવા આવી ચડતા, ભાઈ, જુવાનીનો પણ કેવો મજાનો એક કેફ હોય છે!

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...1,0641,0651,0661,067...1,0701,0801,090...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved