Opinion Magazine
Number of visits: 9458186
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લેખકની સ્વસ્થતા અને લેખનમાં તટસ્થતા

ઇલિયાસ શેખ|Opinion - Opinion|1 April 2023

ઇલિયાસ શેખ

ગુજરાતી અખબારોમાં છપાતી અનેક કોલમ હું વાંચતો-જોતો હોઉં છું. ઘણીવાર આવી કોલમમાં લખવામાં આવતા વિષય-વસ્તુને લઇને મને મનમાં થતું હોય છે કે, ન જાને આવી ‘કોલમ’ના આધારે કંઈ કેટલાં ‘બિંબ’ અને ‘પ્રતિબિંબ’ ટકી રહેતા હશે !

‘કોલમ’ આમ તો અંગ્રેજી શબ્દ છે, પણ આપણી ગુજરાતીમાં કડિયાઓએ ‘બિંબ-કોલમનું ચણતર’ એમ બોલી-બોલીને એનું ગુજરાતીકરણ કરી નાખ્યું છે ! કોલમ માટે ગુજરાતીમાં સાચો શબ્દ ‘સ્તંભ’ છે. જે વર્તમાન સમયમાં લખાતી કોલમોના રંગ-રૂપ અને છટા જોતાં આપણને એકદમ બંધ-બેસતો શબ્દ લાગે. કેમ કે, સ્તંભ એ દંભનો સહોદર છે. આપણે અમુક-તમુક સ્તંભ લેખકોને વાંચીએ ને મળીએ તો આપણે સ્તબ્ધ બની જઇએ – એ હદ્દે એ લેખકો દંભી હોય છે. ટર્નર, ફિટર અને લેથના કારીગરની માફક એવાં લેખકો શબ્દો સાથે કામ પાર પાડતા હોય છે. અખબારમાં પ્રચલિત ‘કોલમ-સેન્ટીમીટર’ની સંજ્ઞા મને જાહેરાત કરતાં તો એ કોલમિસ્ટના દૂષિત અને અનિષ્ટ મસ્તિષ્કનું માપ હોય એવું વધારે જણાય છે !

કટાર-લેખનમાં હવે બે-ચાર અપવાદોને મજરે મુકતા, મોટાભાગની કલમો સત્તા સામે મુજરો કરતી, કુરનિશ બજાવતી ગણતરીબાજ જોહરાબાઇ બની ગઇ છે. આવી બુઠ્ઠી અને જુઠ્ઠી કટારોને હું તો ન કટાર માનું, અને ન કલમ. પણ, મારાં માનવા-ન માનવાથી એમને કોઇ ફેર નથી પડવાનો.

ગુગલ, વિકિપીડિયા અને સોશ્યલ મીડિયામાંથી, અહીં-તહીંથી એકઠું કરીને, આવાં બખિયાબાજ કટાર લેખકો માત્ર ફકરા ને ફિતુરના થીગડાં મારે છે. ચારેકોરથી થતાં માહિતીઓના વિસ્ફોટે આજના લેખકને જાણે કે એક ‘ઉચ્ચક – બબુચક લહિયો’ બનાવી નાખ્યો છે. આવા લહિયાઓ જ્યારે લખવા બેસે છે ત્યારે એના સંવેદનને જાણે કે લકવો મારી જાય છે. આવા લહિયાઓ તો પોતાની જાતને શ્વેત કાગળ ઉપર સાચા મોતીનો ચારો ચણતા માનસરોવરના હંસ માનતા હોય છે. પણ એ લહિયાઓ એ હકીકતથી બેખબર હોય છે કે, એ લોકો ‘માનસરોવરના હંસ’ નહીં પણ ‘અપમાન ધરોહરના કંસ’ સમાન હોય છે. 

માનસરોવરના હંસમાં તો ‘ક્ષીરનીર વિવેકની’ સમજણ હોય છે. જ્યારે આવા લહિયાઓ તો ‘સત્તાધારી’ના ચરણોમાં ગેલ કરતાં ગલુડિયાં સમાન હોય છે. એમને મન ‘વિસ્મય’ હોવું અને ‘વિષમય’ હોવું – બંને એક જ બાબત છે. આવા લોકોને જો ‘સત્તાધારી’ની સંધિ છૂટી પાડવાનું કહેવામાં આવે તો – એ લોકો એને ‘સત્ત આધારી’ તરીકે છૂટી પાડીને આપણને અચરજમાં નાખી દેતા હોય છે !

લેખનમાં ‘તટસ્થતા’ જાળવવી, એટલે કે ‘ન્યુટ્રલ’ હોવું – એ તો મને શબ્દ સાથે આચરવામાં આવતું ‘છળ-કપટ’ લાગે છે. લેખક તટસ્થ નહીં, પણ ‘સ્વસ્થ’ હોવો જોઈએ. એનો વિવેક એટલો મજબૂત અને સાબૂત હોવો જોઇએ કે, એ પોતાની જાત સાથેની નિસબત અને પ્રતિબદ્ધતા નિભાવી જાણે. ‘ન્યુટ્રલ’ તમે ખરેખર તો હોતા નથી, પણ પરાણે બની જતાં હો છો. ‘ન્યુટ્રલ’ હોવું અને ‘અનબાયસ્ડ’ હોવું – બંને એક જેવા ભલે લાગે – પણ હકીકતમાં એના અર્થ એક સરખા નહીં પણ તદ્દન અલગ-અલગ છે.

લેખનમાં ‘ન્યુટ્રલ’ હોવું એટલે પલાયનવાદી ગધેડાનું પૂછડું ઝાલવું ! પોતાને ‘ન્યુટ્રલ’ ઓળખાવતા લેખકોને ‘two face’ અને ‘two ass’ હોય છે ! એટલે કે ‘બે મોઢા’ અને ‘બે ધગડા’ હોય છે ! જ્યારે ‘અનબાયસ્ડ’ હોવું એટલે ન્યાયી ને નિર્ભીક હોવું. અનબાયસ્ડ લેખનમાં પાછલાં પૂર્વગ્રહની એક પણ પરછાઈ નથી હોતી. અનબાયસ્ડ લેખનમાં માંહ્યલામાં રહેલી માન્યતાની કોઇ આમાન્યા કે હઠાગ્રહ નથી હોતાં. એટલે અનબાયસ્ડ લેખન કોઇ મુદ્દાની તરફેણમાં પણ હોઇ શકે અને કોઇ મુદ્દાની વિરુદ્ધમાં પણ હોઇ શકે. એની સામે, ન્યુટ્રલ રાઇટિંગમાં મૂળ તો ‘સેઇફ રાઇડિંગ’નો કારસો રચવા જેવી વાત હોય છે. એટલે જ ન્યુટ્રલ રાઇટિંગના એક ફકરામાં ચાબૂક વીંઝાતી જોવા મળે તો તરત જ બીજા ફકરામાં આપણને લેખકની લેખિની હાથમાં ગુલાબ-જાંબુ ભરેલોનો કટોરો લઇને શરમાળ નવોઢા જેવી જોવા મળે !

ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગમાં પણ ન્યુટ્રલનું હોવું એટલે એક ‘અનપાવર્ડ’ કરન્ટ વગરની લાઈનની માફક સાથે રહેવું. ફેઇઝ એક લાઈવ પાવર્ડ લાઈન હોય છે. એ વિજ-ઉપકરણોનેને પાવર ફીડ કરે છે. અર્થિંગની ડ્યુટી અનવોન્ટેડ પાવરને ગ્રાઉન્ડ કરવાની હોય છે. એટલે કે ફેઇઝ પાવરનું વહન કરે છે. અર્થિંગ પાવરને સહન કરે છે. પણ ‘ન્યુટ્રલ’ની ઉપયોગિતા માત્ર ઇલેક્ટ્રિકલ સર્કીટને પૂરી કરવા માટે હોય છે. કે જેથી વિજ-પ્રવાહ સરક્યુલેટ થતો રહે.

ઇલેક્ટ્રિક સર્કીટમાં આવતા મોટાભાગના પ્રોબ્લેમ્સનું કારણ ‘bad neutral’ હોય છે. Neutral જ્યારે bad હોય ત્યારે એ ઉપકરણ અને અર્થિંગ બંનેને બગાડે છે. લેખનમાં પણ ન્યુટ્રલ લેખકો આવા બેડ-ન્યુટ્રલ સમાન હોય છે. એમની પાસે ન તો પોતીકી કોઇ ટોલરન્સ હોય છે, કે ન તો પોતીકી કોઇ વહનક્ષમતા. એટલે એ બેડલી ન્યુટ્રલ રહીને ‘અર્થ’ને નિરંતર ‘અનર્થ’ કરતા રહે છે. આવા ‘લે-ભાગું’ ન્યુટ્રલ લેખકોથી અંતર રાખવું. કેમ કે, ન્યુટ્રલ લેખકો પાસેથી આપણે કશું જ પામી શકતા નથી. ન્યુટ્રલ લેખકોનું તો માસ્તર માટેની કહેવત જેવું હોય છે કે ‘મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં’. જો કે, ન્યુટ્રલ લેખકો ઊઠાં ભણાવવામાં ભારે ઉસ્તાદ હોય છે.

અંતે, મારે ભારપૂર્વક એટલું જ કહેવું છે કે, આજે જ્યારે ઠેર-ઠેર માહિતીઓના રાફડા ફાટ્યા છે, ત્યારે કોઇ રાફડા પાસે હાંફળા-ફાંફળા થઇને ન જવું. વાચક તરીકેની સજ્જતા કેળવવી. નહીં તો આવા રાફડામાં રહેલા નાગ પળવારમાં એની તરફેણની ફેણ ફુલાવીને તમને તરત જ ડસી લેશે. એ ડસી લે પછી મને કહેતાં નહીં કે ‘તમે કેમ કીધું નહીં !’ કેમ કે, રાફડામાં રહેતા બધાં નાગ બિન-ઝેરી નથી હોતા! અસ્તુ. આ લખ્યું નથી અમસ્તુ.

••• 

સૌજન્ય : ઇલિયાસભાઈ શેખની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધી, તેમના વિચારો અને જીવન હજુ 21મી સદીના ત્રીજા દાયકામાં પણ શા માટે મહત્ત્વ ધરાવે છે તેનાં દસ કારણો.

લેખક : રામચંદ્ર ગુહા • અનુવાદક : આશા બૂચ|Gandhiana|31 March 2023

ચિરસ્થાયી આવશ્યકતા 

ભારતના પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ, પર્યાવરણવાદી, લેખક અને પ્રબુદ્ધ વક્તા રામચંદ્ર ગુહા ગાંધી વિચાર અને જીવન પદ્ધતિ વિશેના તેમના સિદ્ધાંતો આજે શા માટે પ્રસ્તુત છે તે અત્યંત તર્કબદ્ધ રીતે દર્શાવે છે જે એમના જ શબ્દોમાં જાણીએ.

− આશા બૂચ

•

ગાંધીના નિર્વાણ બાદ, 75 વર્ષ જેટલા લાંબા સમય પછી, ગાંધી ખરેખર હજુ મહત્ત્વના છે? એમનું મહત્ત્વ હોવું જોઈએ? આ લેખમાં હું ગાંધી, તેમનું જીવન અને વિચારો હજુ 21મી સદીના ત્રીજા દાયકામાં પણ શા માટે મહત્ત્વ ધરાવે છે તેના ભારે વજૂદવાળાં દસ કારણો આપીશ.

ગાંધીનું મહત્ત્વ છે એનું પ્રથમ કારણ છે, તેમણે ભારતને અને સારાયે વિશ્વને પોતે શસ્ત્ર બળનો ઉપયોગ કર્યા વિના અન્યાયી સત્તાનો સામનો કરવાનો ઉપાય આપ્યો. રસપ્રદ બાબત એ છે કે સત્યાગ્રહનો વિચાર જોહાનિસબર્ગના એમ્પાયર થિયેટરમાં ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતીય લોકો 11 સપ્ટેમ્બર 1906ને દિવસે જાતિભેદ ધરાવતા કાયદાનો વિરોધ કરીને જેલમાં જવા તત્પર થવા એકઠા મળેલા ત્યારે થયો. એ ઘટનાના 95 વર્ષ બાદ આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ધ્વંસ કર્યો. બે 9/11ની ઘટના : એક અહિંસક લડત અને વ્યક્તિગત બલિદાન મારફત ન્યાય માગનારી ચળવળ હતી, તો બીજી દુ:શ્મનો પર ત્રાસ અને શસ્ત્ર બળના ઉપયોગ દ્વારા ધાક બેસાડવા ખેલાયેલ જંગ હતો. ઇતિહાસ ગવાહ છે કે અન્યાય સામે વિરોધ કરવામાં સત્યાગ્રહ તેના અન્ય વિકલ્પો કરતાં વધુ નૈતિક અને અસરકારક સાબિત થયો છે. દક્ષિણ આફ્રિકા અને ભારતમાં બ્રિટિશ શાસન સામે પ્રથમ તેની અજમાયશ થઇ, ત્યાર બાદ તેનું અનુકરણ ઘણી જગ્યાએ થયું, સહુથી વધુ નોંધપાત્ર કદાચ અમેરિકાની નાગરિક અધિકારની ચળવળ ગણાવી શકાય.

ગાંધી મહત્ત્વના છે તેનું બીજું કારણ એ છે કે તેઓ પોતાના દેશ અને સંસ્કૃતિને ચાહતા હતા, સાથો સાથ તેને વિરૂપ કરનારાં તત્ત્વો શોધીને તેને દૂર કરવાનો પ્રયાસ પણ કરતા હતા. ઇતિહાસકાર સુનિલ ખિલનાની કહે છે તેમ, ગાંધી માત્ર બ્રિટિશરો સામે નહોતા જંગે ચડ્યા, તેઓ ભારત સામે પણ યુદ્ધે ચડ્યા હતા. તેઓ પોતાના સમાજને – આપણા સમાજને ઓળખતા હતા. વ્યાપક અને ઊંડે સુધી પ્રસરી ગયેલી અસમાનતાના રૂપમાં એ ચિત્રિત થાય છે એ તેઓ જાણતા હતા. ભારતીય પ્રજાને સ્વતંત્રતા માટે યોગ્ય બનાવવાની ઈચ્છામાંથી અસ્પૃશ્યતા સામેની લડાઈનો જન્મ થયો. અને મુખ્યત્વે નારીવાદી ન હોવા છતાં તેમણે મહિલાઓને જાહેર જીવનમાં સક્રિય કરવા ઘણો ફાળો આપ્યો.

ગાંધીની મહત્તા હજુ આજે પણ છે એનું ત્રીજું કારણ એ છે કે તેઓ એક હિન્દુ હતા છતાં પોતાની નાગરિકતા ધર્મને આધારે વ્યાખ્યાયિત કરવા તેઓ બિલકુલ સંમત નહોતા. જેમ જ્ઞાતિપ્રથાએ ભારતના સમાજને ક્ષિતિજની સમાંતર રેખામાં વિભાજીત કર્યો, તો ધર્મએ ભારતને શિરોબિંદુથી સીધી રેખામાં વિભાજીત કર્યો છે. આ ઊભી રેખામાં ઐતિહાસિક રીતે વિરુદ્ધ એવા બે સમાજ વચ્ચે પુલ બાંધવા ગાંધીએ ખૂબ સંઘર્ષ વેઠ્યો. હિન્દુ – મુસ્લિમ વચ્ચેની સંવાદિતા એ એમનો હંમેશની નિસબતનો વિષય હતો; તેને માટે જ તો તેઓ જીવિત હતા અને અંતે એ માટે મૃત્યુને ભેટવા પણ તૈયાર હતા.

ગાંધીની પ્રસ્તુતતાનું ચોથું કારણ એ ગણાવી શકાય કે તેઓ ગુજરાતી સંસ્કૃતિથી પૂરેપૂરા રંગાયેલા હતા, અને ગુજરાતી ગદ્ય લેખનમાં સિદ્ધહસ્ત હતા એ સર્વમાન્ય છે, છતાં તેઓ પ્રાંતવાદને પોષનારા નહોતા. જેમ તેમના હૃદયમાં પોતાના ધર્મ ઉપરાંત બીજા ધર્મ માટે સ્થાન હતું તેમ પોતાની ભાષા જેટલી જ ચાહ અને સ્થાન અન્ય ભાષાઓ પ્રત્યે ધરાવતા હતા. ભારતમાં ધર્મ અને ભાષાઓ વચ્ચેના વૈવિધ્યની સમજ તેમના વિદેશ વસવાટ દરમ્યાન વધુ ઘેરી બની, કેમ કે તેમના નિકટના સાથીઓ જેટલા હિન્દુ હતા તેટલા જ મુસ્લિમ અને પારસી હતા, અને ગુજરાતી બોલનારા જેટલા જ કદાચ તમિલ ભાષા બોલનારા પણ હતા.

પાંચમું કારણ ગાંધીની મહત્તાનો અહેસાસ કરાવે તેવું એ છે કે તેઓ દેશભક્ત હતા તેટલા જ રાષ્ટ્રો વચ્ચે હિતૈક્ય અને મૈત્રીભર્યા સહકારના સિદ્ધાન્તની હિમાયત કરનાર હતા. તેઓ ભારતીય સભ્યતાની સમૃદ્ધિ અને વારસાનું મૂલ્ય સમજતા હતા, પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે 20મી સદીમાં કોઈ દેશ કૂવામાંના દેડકાની જેમ જીવી ન શકે. વ્યક્તિ જો પોતાની જાતને બીજાની દૃષ્ટિથી જુએ તો તેને મદદ થાય. તેમના પર ભારતની અસર હતી તેટલી જ પશ્ચિમી સભ્યતાની પણ હતી. તેમના આધ્યાત્મિક અને રાજકીય દૃષ્ટિકોણ જેટલા ગોખલે અને રાયચંદભાઈને આભારી હતા તેટલા જ ટોલ્સટોય અને રસ્કિનને પ્રતાપે વિકસ્યા હતા. જાતિ અને અન્ય વિભિન્નતાઓ વચ્ચે પણ તેમણે હેન્રી અને મિલી પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ સાથે અતૂટ મૈત્રી કેળવી કે જેણે તેમના અંગત તેમ જ જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા બજાવી.

અહીં હું ક્ષણિક વિરામ લઈને સમજાવવા માગુ છું કે ગાંધીના વારસાના ઉપરોક્ત પાંચ પાસાંઓ વિના સ્વતંત્ર ભારતે જે માર્ગ લીધો તેનાથી તદ્દન અલગ રાહ જ લીધો હોત. કેમ કે ગાંધીએ વાટાઘાટની તરફેણમાં હિંસાને વર્જ્ય ગણી, જેને કારણે બહુ પક્ષીય લોકશાહી તરીકે ઉભરી આવવામાં ભારતને મદદ થઇ, જ્યારે મોટા ભાગના એશિયન અને આફ્રિકાના દેશોએ સ્વશાસન માટે હિંસક માર્ગ લઈને એક પક્ષીય એકહથ્થુ સત્તા સ્થાપી. ગાંધી અને આંબેડકરે લિંગ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો, જે સિદ્ધાંતો આપણા બંધારણમાં લેખિત રૂપમાં સામેલ થઇ ગયા. ગાંધી અને જવાહરલાલ નહેરુ જેવા લોકોએ ધાર્મિક અને ભાષાકીય સ્વાતંત્ર્ય પર ભાર મૂક્યો જેથી દુનિયાના અન્ય દેશોની માફક ભારતનું નાગરિકત્વ કોઈ એક ચડિયાતા ધર્મ કે એક બળૂકી ભાષાને આધારે નિર્ધારિત ન થયું.

આંબેડકર અને નહેરુના નામનો ઉલ્લેખ સૂચવે છે કે હું એક પણ ક્ષણ માટે એવો દાવો કરવા નથી માંગતો કે ભારતના લોકશાહી અને સર્વ સમાવેશી નૈતિક વલણોને ગાંધીએ એકલપંડે ઘાટ આપ્યો. જો કે તેમણે લોકશાહી, સાંસ્કૃતિક વૈવિધ્યમાં સહઅસ્તિત્વની ભાવના અને સામાજિક ઐક્ય ઉપર વારંવાર ભાર મૂકીને દેશના ઘડતરમાં મહત્ત્વનો ભાગ જરૂર ભજવ્યો.

ગાંધી મહત્ત્વના છે તેનું છઠ્ઠું કારણ છે, તેઓ અઠંગ પર્યાવરણવાદી હતા, જેમણે આગાહી કરી હતી કે નિરંકુશ પ્રગતિ અને ગ્રાહકવાદ આપણા ગ્રહનો વિનાશ સર્જી શકે. તેમણે ડિસેમ્બર 1928માં લખેલું : “ભગવાન ન કરે કે ભારત પશ્ચિમને અનુસરીને તેમની માફક ઔદ્યોગિકરણ ન અપનાવે. ઇંગ્લેન્ડ જેવા નાના ટાપુનો આર્થિક સામ્રાજ્યવાદ આજે દુનિયાને એક સાંકળમાં બાંધી બેઠો છે. જો 30 કરોડની પ્રજા ધરાવતો આખો દેશ એના જેવું આર્થિક શોષણ કરવા તરફ વળશે, તો તીડની માફક એ સારી ય પૃથ્વીને વેરાન બનાવી દેશે.” આ અદ્દભુત દૂરંદેશી હતી, કેમ કે પશ્ચિમે શોધી કાઢેલા મૂડી, સંસાધનો અને ઉર્જા કેન્દ્રિત ઔદ્યોગીકરણના માર્ગનું અનુસરણ કરવાથી ચીન અને ભારત આજે ખરેખર આ દુનિયાને તીડનાં ઝૂંડની માફક પૃથ્વીને ઉજ્જડ કરવાની અણી પર આવી રહ્યા છે. પોતાના જીવન અને કાર્ય દ્વારા ગાંધીએ સંયમ અને જવાબદારીપૂર્ણ વ્યવહારનાં મૂલ્યોનું સમર્થન કર્યું, કે જેને અપનાવવા પર આપણી પૃથ્વીના ભાવિનો આધાર છે.

ગાંધીની મહત્તા આજે પણ એટલી જ છે તેનું સાતમું કારણ છે, પોતાની શક્તિનો વિકાસ કરવાની અને વધુ ઉત્કૃષ્ટ થવાની તેમની શક્તિ. જેમ જેમ તેઓ નવા પડકારોનો સામનો કરતા ગયા, નવા અનુભવો મેળવતા ગયા તેમ તેમ તેઓ પોતાના આચાર-વિચાર બદલતા ગયા. અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કિન્સનું પ્રખ્યાત (કદાચ ગફલતથી એમનું છે એમ માનવામાં આવે છે) અવતરણ છે : “જ્યારે હકીકત બદલે, ત્યારે હું મારો વિચાર બદલું. અને તમે શું કરો, સર?” ગાંધીએ 1934માં કહેલું તે આ મુજબ છે, “હું મારી સુસંગતતા માટે કોઈ દાવો નથી કરતો. જો હું દરેક પળે મારી જાત પ્રત્યે સત્યનું પાલન કરતો રહું, તો મને અસંગત હોવાનું માનવામાં આવે તેનો કશો વાંધો નથી.”

પોતાના જીવન દરમિયાન ગાંધીએ ત્રણ અતિ મહત્ત્વના મુદ્દાઓ વિષે પોતાના વિચારો બદલ્યા. જાતિ, જ્ઞાતિ અને લિંગભેદ. આ ત્રણેય વિષે પોતાના નાની વયે બંધાયેલા પૂર્વગ્રહોને સ્થાને વધુ પરિપક્વ વલણો કેળવાયાં. જાતિ વિશે ખાસ ન વિચારનારા યુવકમાંથી જાતિવાદના પ્રખર વિરોધી બન્યા, પરંપરાગત ચાલતી આવેલી જ્ઞાતિ પ્રથાનો ભીરુતાથી અચકાતા વિરોધ કરનારમાંથી જ્ઞાતિભેદનો સીધો અને નિઃસંકોચ પણે વિરોધ કરનાર બન્યા, મહિલાઓને બિન રાજકીય ભૂમિકા સોંપનાર અગેવાનમાંથી મહિલાઓ જાહેર જીવનમાં અને સ્વાતંત્ર્યની લડાઈમાં સમાન ભાગીદારી કરે એવું માનીને તેમને પૂરેપૂરું પ્રોત્સાહન આપનારા બન્યા.

હવે ગાંધીની મહત્તાનું આઠમું કારણ જોઈએ. તેમનામાં પોતાના અનુયાયીઓમાંથી નેતા બનાવવાનું ભાગ્યે જ જોવા મળે તેવું કૌશલ્ય હતું. તેઓ અન્યમાં રહેલી શક્તિને પિછાણી લેતા, તેનું સંગોપન કરતા અને પછી તેમને પૂર્ણ રીતે વિકસવા સ્વતંત્ર છોડી દેતા. તેમના અસંખ્ય અનુયાયીઓ, કે જેઓ તેમની આસપાસ એકઠા થયેલા એ સમય જતા પોતાની શક્તિના બળ પર ઇતિહાસ રચનારા બની ગયા. આ અનુયાયીઓમાંથી નેતા બની ગયેલા નોંધનીય હસ્તીઓમાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકીર હુસૈન, જે.બી. ક્રિપ્લાની, જે.સી. કુમારપ્પા, સરલાદેવી સારાભાઈ (કેથરીન મેરી હેઈલમાન) અને બીજા અનેકનો સમાવેશ થાય.

ગાંધીની ભાવિ નેતાઓ તૈયાર કરવાની શક્તિ સ્વતંત્ર ભારતના ત્રણ વડા પ્રધાનોની તેમ કરવાની અશક્તિ કરતાં તદ્દન વિરુદ્ધ છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી પોતપોતાનાં ચારિત્ર્ય અને રાજકીય વિચારધારાઓમાં એકબીજાંથી ઘણા અલગ છે, પણ એક બાબતમાં ત્રણેયમાં સામ્ય છે – રાજકીય પક્ષ, સરકાર અને રાજ્યમાં પોતાના અસ્તિત્વને ભાળવું. ઇન્દિરા ગાંધીએ સત્તાનું વ્યક્તિગત માલિકીપણું નહેરુ કરતાં પણ વધુ આગળ ધપાવ્યું, અને મોદી તો ઇન્દિરા ગાંધી કરતાં પણ વધુ આગળ નીકળી ગયા. અને છતાં એ ત્રણેય પોતાને સત્તા પરથી હઠાવી ન શકાય અને અન્ય કોઈને તેમના સ્થાને મૂકી ન શકાય તેવું માનનારા હતા. તેઓએ તેમના પછીની પેઢીમાં કોઈ નેતા તૈયાર થાય એ માટે કશો પ્રયાસ નહીં કરેલો. (રાજકારણના બહારના ક્ષેત્રમાં વ્યક્તિગત સત્તા ભોગવવાનું લક્ષણ ભારતના મોટા નિગમના નેતાઓ અને સામાજિક સંગઠનોના આગેવાનોમાં વ્યાપકપણે જોવા મળે છે, કે જેઓ પોતાની જાતને જ જે તે સંગઠન તરીકે ઓળખાવતા હોય છે.)

હવે ગાંધીની મહત્તા આજે પણ પ્રસ્તુત છે તેનું નવમું કારણ જોઈએ. તેઓ પ્રતિપક્ષીના દૃષ્ટિકોણને સમજવા હંમેશ ઇચ્છુક રહેતા, તેમ જ પરસ્પરને માન્ય હોય તેવું સમાધાન કરવા સદાય તત્પર રહેતા. આથી તેઓ પોતાના પ્રતિસ્પર્ધીઓ જેવા કે મહમ્મ્દ અલી જિન્નાહ અને આંબેડકર તથા દક્ષિણ આફ્રિકા અને ભારતમાં સામ્રાજ્યના એલચીઓ વચ્ચે એક સામાન્ય ભૂમિકા શોધી શક્યા. ગાંધીને કોઈ સાથે વ્યક્તિગત અભાવ કે નફરતની લાગણી નહોતી, માત્ર બૌદ્ધિક કે રાજકીય મતભેદ, અને તેઓ આશા રાખતા કે એ બધા પણ હલ કરી શકાય તેવા છે. કોઈના પણ પ્રત્યે દ્વેષ રાખવાની તેઓમાં બિલકુલ શક્તિ નહોતી.

ગાંધી આજે મહત્ત્વના છે તેનું દસમું કારણ, તેમની રાજકીય જીવનમાં રહેલી પારદર્શિકતા. તેમના આશ્રમમાં કોઈ પણ પહોંચી જઈને તેમની સાથે ચર્ચા કરી શકે; ખરેખર, આખર એમ જ બન્યું, કોઈ પણ વ્યક્તિ તેમના સુધી પહોંચી જઈ શકે અને તેમની હત્યા કરી શકે. તેમના કે આપણા સમયમાં સલામતી દળોની ટુકડી સાથે રાખી ફરતા રાજકીય નેતાઓના જીવન કરતાં આ કેવો વિરોધાભાસ!

ગાંધીના જીવનમાંથી મળતી શીખ, જેનો મેં અહીં ઉલ્લેખ કર્યો છે એ માત્ર આ દેશ પૂરતી જ પ્રસ્તુત નથી. જો કે વર્તમાન સમયના આક્રમક ધાર્મિક બહુમતીવાદ, નિંદાત્મક ભાષણો અને અન્યો પ્રત્યેના અભદ્ર વર્તનથી સભર રાજકારણ, નેતાઓ અને સરકાર દ્વારા જૂઠાણાં અને ખોટા પ્રચારકીય સમાચારોનો પૂરો પાડવામા આવતો પુરવઠો અને પર્યાવરણની થતી બરબાદી અને વ્યક્તિ પૂજાનું વધતું જોર એ બધું જોતાં લાગે છે કે ભારતમાં કદાચ ગાંધીનું મહત્ત્વ સમજવું સૌથી વધુ જરૂરી છે.

Courtesy: The article has been adapted from The Telegraph, dt. 28.1.2023
e.mail : 71abuch@gmail.com

Loading

સ્કૂલનું શિક્ષણ અખતરા અને અરાજકતાનો શિકાર છે..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|31 March 2023

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ સ્કૂલનું શિક્ષણ પાટે ચડતું નથી. રોજ જાતભાતના ફતવાઓ શિક્ષણખાતું બહાર પાડે છે ને જરા પણ વિચાર્યા વગર જિલ્લા શિક્ષણાધિકારીઓ અને શિક્ષણ સમિતિઓ તેનાં અમલ માટે રઘવાયાં થઈ થઈને દોડે છે. આખું ખાતું પરિપત્રો અને ડેટા પર જ જીવે છે. આંકડાઓ ભરી ભરીને આચાર્યો, શિક્ષકો જવાબો લખે છે ને કાગળો પર બધું બરાબર ચાલે છે તેની આલબેલ પોકારતા રહે છે, બાકી, શિક્ષણ ડાયાલિસિસ પર હોય તેવું વધારે છે. સારી વાત એ થઈ કે માધ્યમ કોઈ પણ હોય, પણ ગુજરાતી, એક વિષય તરીકે ફરજિયાત ભણાવવાનો કાયદો થયો. ગુજરાતી માધ્યમમાં તો ગુજરાતી હોય જ, પણ અંગ્રેજી માધ્યમમાં પણ ગુજરાતી એક વિષય તરીકે પણ હોય એટલું નક્કી થયું. વર્ગમાં ગુજરાતી ભણાવાય છે કે નહીં, તે તો સમય કહેશે, પણ શિક્ષણ ખાતાને જંપ નથી. રોજ ઊઠીને તેને કોઈને કોઈ પ્રકારની ચૂંક ઊપડે છે ને કોઈને કોઈ પ્રકારના ફેરફારો તેના દ્વારા માથે મરાતા જ રહે છે. વિદ્યાર્થીઓની આ વિભાગ અને તેના સજ્જનો બહુ દયા ખાતાં હોય છે ને તેમને મુશ્કેલી ન પડે એમ માનીને મુશ્કેલીઓ વધારતા રહે છે.

સાદી વાત એટલી છે કે ગુજરાતી ફરજિયાત કરવામાં અંગ્રેજીની અવગણના તો નથી જ, પણ ગુજરાતી ફરજિયાત થવામાં અંગ્રેજીનો કાંકરો તો નહીં નીકળી જાયને એની કેટલાક ગુજ્જુઓને ફાળ પડે છે. સાચું તો એ છે કે અંગ્રેજીનો વાંધો તો કોઈને કદી હતો જ નહીં. સરકાર પોતે ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરીને અંગ્રેજી માધ્યમની સ્કૂલોનું લાયસન્સ આપતી હતી. વાલીઓને પોતાનાં સંતાનો અંગ્રેજ બનાવવા હતાં એટલે એ બધાં પણ મોંઘી ફી ભરીને અંગ્રેજીની આરતી ઉતારતાં હતાં ને સંતાનોને તો અંગ્રેજી હોય તો શું ને ગુજરાતી હોય તો શું, બધું સરખું હતું, એટલે અંગ્રેજીનો તો મૂળથી પાન સુધી કોઈને જ વાંધો ન હતો. વાંધો હતો તે ગુજરાતીનો. ગુજરાતમાં ગુજરાતીનો વાંધો બીજા કોઈને નહીં, પણ ગુજરાતીઓને હતો. તેમની દાનત ન હતી કે ગુજરાતી છોકરાં ગુજરાતી ભણે, એટલે નાછૂટકે સરકારે 1થી 8માં ગુજરાતી ફરજિયાત કરવું પડ્યું. જો કે, દાનત હજી ખોરી જ છે, એટલે દ્વિભાષી ફોર્મ્યુલા લાગુ કરવાનું તૂત ઊભું થયું છે. આ વાત આવી ત્યારે જે તે ટેક્સ્ટ બુક ગુજરાતી-અંગ્રેજીમાં તૈયાર કરવી એવું પણ વિચારાયું, પણ એક જ વિષયની બબ્બે બુકથી પુસ્તકોનું વજન વધે એમ હતું ને એમ થાય તો ભાર વગરનાં ભણતરની પથારી ફરી જાય એમ હતું, એટલે તે આઇડિયા હાલ તુરત તો પડતો મુકાયો, પણ શિક્ષણ વિભાગનો ઉપદ્રવ ઘટતો નથી. શૈક્ષણિક ઉપદ્રવ ન થાય ત્યાં સુધી તેને ચેન નથી પડતું, એટલે દ્વિભાષી ફોર્મ્યુલાનું ભૂત ફરી ધૂણ્યું છે. અંગ્રેજી, ગુજરાતી બંને પાનાં સામસામે ને પાસે પાસે રાખી ભણવું- ભણાવવું એવો વાવર ફેલાયો છે. આમાં ખરેખર તો ચાલતાને ઘોંચ પરોણો કરવા જેવું થાય છે. ગૂંચ વધારવાની જ વાત છે આ. આખી જમાતને એમ જ છે કે આગળ ઉપર અંગ્રેજીમાં છોકરું કાચું ન રહે, કારણ કે આ બધી પ્રજા પરદેશ નિકાસ થવાની છે ને એમને ત્યાં તકલીફ ન પડે એ મુખ્ય ચિંતા છે. એમને ગુજરાતીના વિષયમાં ગુજરાતમાં બે લાખ વિદ્યાર્થીઓ બોર્ડમાં નાપાસ થાય એનો વાંધો નથી, પણ વિદેશમાં અંગ્રેજીમાં છોકરાં પાછળ ન પડે એની ફિકર છે. આ છે, ‘જય જય ગરવી ગુજરાત’ ને આ છે આપણા ગુજ્જુઓ !

અહીં એ પણ વિચારવા જેવું છે કે ગુજરાતની કેટલા ટકા પ્રજા વિદેશ ભણવાની છે? એ પ્રજા અહીં રહેવાની છે એના કરતાં તો ઓછી જ હશે, તો જે અહીં રહેવાની છે એ પ્રજાને માથે અંગ્રેજી મારવાનો કોઈ અર્થ ખરો? અહીં અંગ્રેજી માધ્યમની વ્યવસ્થા ન હતી, ત્યારે પણ અહીંના લોકો વિદેશ ભણ્યા છે ને ડોક્ટર, વકીલ, વૈજ્ઞાનિક, એન્જિનિયર થયા જ છે ને તેમણે હાલ જે નામના મેળવાય છે, એવી જ નામના ત્યારે પણ મેળવી છે. જો એ અંગ્રેજી માધ્યમ વગર શક્ય હોય તો અત્યારે અંગ્રેજીનો અસહ્ય બોજ વધારવાની જરૂર ખરી? અંગ્રેજીનો જરા જેટલો પણ વાંધો નથી, એની અનિવાર્યતા પણ સમજાય છે, પણ ગુજરાતીને ભોગે અંગ્રેજી હાવિ થયું હતું, એટલે ગુજરાતી ફરજિયાત કરવું પડ્યું. અંગ્રેજી તો હતું જ, તે ફરજિયાત ન હતું, છતાં વર્ચસ્વ ભોગવતું હતું. સવાલ ગુજરાતી ભાષાનો હતો. દયનીય સ્થિતિ તો તેની હતી. તેને સરકાર સહિત સૌ કોઈ ભૂંસવા પર હતા એટલે ગુજરાતી ફરજિયાતની વાત આવી.

હવે એ થયું છે તો ગુજરાતી કેવી રીતે સરસ ભણાવી શકાય, તે વિચારવાને બદલે અંગ્રેજી કેવી રીતે ભણી-ભણાવી શકાય એની કાળજી વિશેષ લેવાય છે. દ્વિભાષી ફોર્મ્યુલાને એટલે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સત્તાવાર મંજૂરી આપી દીધી છે ને તેનું જોઈને રાજ્ય સરકારે ‘હા’માં ‘હા’ કરી છે. જો બંને ભાષા ભણાવવાની જ છે તો આ ‘બાઈ લિંગવલ’ યોજના આર્થિક, શૈક્ષણિક બોજ જ વધારશે કે બીજું કૈં? એટલું છે કે દ્વિભાષી ફોર્મ્યુલા ફરજિયાત નથી, પણ દાનત એ છે કે ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં ભણાવાય. ભલે, તેનો ય વાંધો નથી, પણ ગુજરાતીમાં પણ ભણાવાશે જ એવી સ્પષ્ટતા નથી, અંગ્રેજી મીડિયમનું જેટલું ધ્યાન રખાયું છે એટલું ગુજરાતીનું રખાયું નથી જ ! એવું શક્ય છે કે ગુજરાતીને નામે અંગ્રેજી ખપે. ભય એ રહે છે કે ગુજરાતી ફરજિયાત કરવાની વાત નાટક થઈને ન રહી જાય તો સારું.

શરમજનક એ છે કે અંગ્રેજી માધ્યમના શિક્ષકો છે, એટલા ગુજરાતી માધ્યમના નથી. એનો અર્થ એ થાય કે ગુજરાતમાં ગુજરાતીનો એટલો ઉપયોગ રહ્યો નથી કે તેનાં શિક્ષકો પૂરતી સંખ્યામાં મળી રહે. વારુ ગુજરાતી માધ્યમનો શિક્ષક દ્વિભાષીમાં અંગ્રેજી કેવી રીતે ભણાવશે એનો વિચાર પણ કરવાનો રહે જ છે ને કમાલ તો એ છે કે રાજ્યની 906 પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી કામ ચાલે છે. એક જ શિક્ષક 200-300 વિદ્યાર્થીઓની સ્કૂલ કઇ રીતે ચલાવી શકે એવો ખ્યાલ પણ શિક્ષણ વિભાગને નથી આવતો. જ્યાં શિક્ષક છે ત્યાં પણ કૈં બહુ સારી સ્થિતિ નથી. તેનાં પર પણ ખાસ નિયંત્રણ નથી. તાજેતરમાં જ રાજસ્થાનમાં એક શિક્ષકે, શિક્ષકનાં માટલામાંથી એક દલિત બાળકે પાણી પીધું તો એટલો માર માર્યો કે તેનું મોત નીપજ્યું. એ તો રાજસ્થાનની વાત છે એમ કહીને પડદો પાડી શકાય, પણ એ જ ગાળામાં ગરુડેશ્વરનાં  કોચારી ગામનો પ્રાથમિક શિક્ષક ચાલુ ક્લાસે પાટલી પર લંબાવીને ઘોરી જાય છે ને વિદ્યાર્થીઓ પોતાની રીતે ભણવા લાચાર બની જાય છે. બાળકોએ ‘6 વાગ્યા !’ કહીને કે વીડિયો ઉતારનારે પણ એમ કહીને સાહેબને ઉઠાડવાની કોશિશ કરી પણ તેમની ઊંઘ ઊડી નહીં. એમ પણ કહેવાય છે કે સાહેબ નશામાં હતા, સાચું ખોટું તો એ ને એમનો ભગવાન જાણે. એક તો પૂરતી સંખ્યામાં શિક્ષકો હોય નહીં, હોય તો ન હોય એવા ! મોટાભાગનો કારભાર પ્રવાસી અને વિદ્યાસહાયકોની ભરતી કરીને ચલાવાતો હોય ને શિક્ષણ વિભાગને તો શિક્ષકોના પગાર ને પેન્શન બચાવીને, ને એમ આંગળા ચાટીને પેટ ભરવું હોય તો એ તો આંખ આડા કાન કરીને જ ચલાવશે. આંખ આડા કાન તો આમ પણ થાય છે. સાતમાં ધોરણની ટેક્સ્ટ બુકમાં મનુબહેન ગાંધીનો પાઠ છે ને લેખિકાના પરિચયમાં ફોટો કસ્તૂરબાનો છપાયેલો છે. આવું 10 વર્ષથી ટેક્સ્ટ બુકમાં છે ને ભણાવાય છે, પણ પાઠ્યપુસ્તકમાં સુધારો થતો નથી. પાઠ્યપુસ્તકમાં છબરડા એવી રીતે ચાલે છે, જાણે એ જવાબદારી શિક્ષણ વિભાગની હોય જ નહીં ! હાલમાં જ સંસ્કૃત માધ્યમાની ધોરણ 12ની પરીક્ષા રદ કરવી પડી, કેમ? તો કે, પેપરમાં 90 ટકા પ્રશ્નો જૂનાં કોર્સમાંથી પુછાયા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. પેપરસેટર વિદ્યાર્થીઓ કરતાં વધુ અભણ હોય એનો આ નમૂનો છે. ગયાં અઠવાડિયામાં જ બનેલી આ ઘટનાઓ છે આ ને આવા તો બેચાર નમૂનાઓ જ અહીં આપ્યા છે, બાકી, સમસ્યાઓ જ સમાધાનની ગરજ સારતી હોય તો નવાઈ નહીં ! એકને બદલે બીજા વિષયનું પ્રશ્નપત્ર આપી દેવું કે જૂનું કે નવું પૂછવામાં દાટ વાળવાની શિક્ષણ ખાતાને જરા પણ નવાઈ નથી. આટલી ગરબડો હોય ને તેનો કોઈ ઉકેલ ન આવતો હોય ને બીજી તરફ દ્વિભાષી ફોર્મ્યુલા, ગુજરાતી ફરજિયાત ને એવા એવા તો કૈં કૈં અખતરાઓ રોજ જ થતા રહે, ત્યારે ઘરનાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો-ની નીતિ કોઈ રીતે શિક્ષણને ઉપકારક નીવડતી નથી તે સમજી લેવાનું રહે. શિક્ષણ વિભાગે થોડો સમય નવું કૈં કરવા કરતાં છે તેને પાટે ચડાવવાનું કામ કરવા જેવું છે. શિક્ષણ વિભાગને શિક્ષણ જોડે પણ લેવાદેવા છે એટલું હવે તેને યાદ આવે તો પણ શિક્ષણ ઉપર ઉપકાર જ થશે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 31 માર્ચ 2023

Loading

...102030...1,0551,0561,0571,058...1,0701,0801,090...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved