Opinion Magazine
Number of visits: 9458134
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અખંડદીપ

બીજલ જગડ|Opinion - Opinion|6 April 2023

ચરણોમાં જેના ધ્વજ અંકુશ કુલિશ શોભી રહ્યા,

ચિદાનંદ ચકોરના ચરણોમાં ગંગાજી વહેતાં થયાં.

રામ રોહણ કાજે ચાર વેદ ચારણ રૂપ ધરી આવે,

ચૈતરસુદ નોમ દિવસે દશરથ ઘેર અવતરણ થયા

રામ લખે પથરા તરે ખોબે ખોબે કિરતાર જડે,

કોશલધીશના ચરણોમાં ભવસાગર તરતા થયા.

ફિકર ફાંફાં મારતી પાળે ઈ પોષે પળ પળ વળી,

અંતર્યામી રઘુવીર સમરતા દુઃખો ભાગતા થયા.

કૈક ભક્ત ઊગારિયા ચત્રભુજ ચિતમાં જઈ વસી,

ભૂધર કરુણાકર દુઃખભંજન ચૌદલોકના નાથ થયા

રામ હૃદયમાં રોપી લીલીછમ લાગણી તે શબરી,

બોર જેટલાં આંસુડાં સારી વનવાસ પૂરા થયા.

ભ્રાતા લખન, મીત સુગ્રીવ, મંજુલગત મતિધીર,

જાનકીનાથ તુજમાં ભળી સગુણ સમરસ થયા.

રંજન રામા રટણ અંતર અજવાળા અખંડદીપ,

પ્રજાળી લંકા પૂછડે ઉડિયો હનુ રણ ડુંગરા દીપ,

અંતર અરિસે ચિરી દેખાડ્યા રદીએ સીતા રામ,

સુધ બુધ લાવે; સાન ભાન રામ નામ અખંડદીપ.

ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com

Loading

દેશ, ધર્મ, રંગ, જાતિ, જ્ઞાતિ વર્ગ  અને સંસ્કૃતિ; એ બધી છે શી બલા? 

આશા બૂચ|Opinion - Opinion|6 April 2023

આશા બૂચ

છેલ્લા થોડા દાયકાઓથી દેશની સીમા અંગે પેદા થયેલ સંઘર્ષો, ધર્મને નામે ફેલાવાતા આતંકી હુમલાઓ, રંગભેદને આગળ ધરીને થતી હિંસા, જ્ઞાતિવાદના ઓઠા નીચે આચરાતા અન્યાય, વર્ગભેદની વધતી ખાઈને પરિણામે નબળો પડતો સમાજ અને સંસ્કૃતિનાં વૈવિધ્ય પ્રત્યે વધતી અસહિષ્ણુતાના પરિપાકરૂપે વિઘટિત થતાં રાષ્ટ્રોને કારણે જાણે દુનિયા આખી અશાંતિ અનુભવે છે.

સવાલ એ થાય કે આપણે શું દેશ (અને રાષ્ટ્ર), ધર્મ, રંગ (વર્ણ), જાતિ, જ્ઞાતિ, વર્ગ અને સંસ્કૃતિની ખરી વ્યાખ્યા જાણીએ છીએ? સમજીએ છીએ? જો આનો ઉત્તર હકારમાં હોય તો લડીએ છીએ શાને કાજે?

દેશની વ્યાખ્યા શી? એક ચોક્કસ ભૂ ભાગ, કે જેને નિર્ધારિત કરેલ ભૌગોલિક સીમા હોય, પોતાની સ્વાયત્ત સરકાર હોય અને તેની સીમામાં વસતા નાગરિકો હોય. એક દેશની સરકાર પોતાનો વહીવટ ચલાવવા સ્વતંત્ર હોય તેમ જ અન્ય દેશો સાથે સંબંધો ધરાવવા સક્ષમ હોય. એક રાષ્ટ્રનું અસ્તિત્વ તેની એક કે તેથી વધુ જાતિ (race), ધરાવતી પ્રજા, કે જે એક ભૌગોલિક સીમાની અંદર રહીને સહિયારો ઇતિહાસ રચતી હોય, વિવિધ ધર્મો પાળતી હોય, અલગ અલગ ભાષાઓ બોલતી હોવા છતાં એક સામાન્ય ભાષા વડે સંકળાયેલી હોય જેના જીવનના ઉદ્દેશો સમાન હોય તેનાથી નિર્ધારિત થાય છે.

બે દેશો વચ્ચે સીમા સુરક્ષાના પ્રશ્ને દુનિયાના અનેક દેશો વચ્ચે યુગોથી લડાઈઓ થતી આવી છે. આપણે ભારતની સમસ્યા ચર્ચીએ. સ્વતંત્ર થતાંની સાથે જ બધા પાડોશી દેશો સાથે સીમા રેખાંકન બાબત લેખિત કરારો કર્યા હતા. એ કરારોનું ઉલ્લંઘન થતાં જ તેના માત્ર શાંતિમય રાજદ્વારી ઉકેલ માટે ભરસક પ્રયાસો કરવાને બદલે શસ્ત્ર શક્તિમાં વધારો કરીને હિંસાત્મક લડાઈઓ માટે કાયમી વ્યવસ્થા કરી દીધી. આ થઇ દેશની બાહ્ય સુરક્ષાની સમસ્યા.

હવે જોઈએ દેશના આંતરિક સુરક્ષા અને શાંતિના પ્રશ્નો. દુનિયાના તમામ દેશોમાં એક કરતાં વધુ પ્રકારની જાતિઓ, વિવિધ ધર્મ પાળનારાઓ, જુદા જુદા વર્ણના લોકો હજારો વર્ષથી વસતાં આવ્યા છે. જ્યારથી જે દેશોની ધર્મ આધારિત સીમાઓ અંકિત થઇ ત્યારથી તે બંને દેશો વચ્ચે યાવતચંદ્ર દિવાકરો હિંસક લડાઈનાં બીજનાં વાવેતર થઇ ચૂક્યાં. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન તેનું જ પરિણામ હજુ ભોગવે છે; એવો જ બીજો દાખલો તે ભારત-પાકિસ્તાન. હવે એ સંઘર્ષો સીમોલ્લંધન કરવાને પરિણામે છે કે પરસ્પરના ધર્મને ધિક્કારવાને પરિણામે એ કળવું મુશ્કેલ થઈ ગયું. ખૂબીની વાત એ છે કે પોતાના દેશની સીમા સુરક્ષા માટે કે જે તે દેશના નાગરિકોના ધર્મ પાલનની સ્વતંત્રતા જાળવવા માટે બીજા દેશ સાથે લડવું જરા પણ જરૂરી નથી.

હવે આવીએ આ યુગના બહુ ચર્ચિત ખ્યાલ ધર્મ ઉપર. ધર્મને નીચે મુજબની વ્યાખ્યામાં બાંધી શકાય.

માનવ સર્જિત આ વિભાવનાએ અનેક ખમતીધર સંસ્કૃતિને જન્મ આપ્યો, ઉત્તમોત્તમ તત્ત્વજ્ઞાનની શાખાઓ કાયમ કરી, અધ્યાત્મને ઉચ્ચતમ સ્થાને સ્થાપિત કર્યું, શિલ્પ-સ્થાપત્ય અને અન્ય કલાઓને પોષી અને માનવીને અન્ય પ્રાણીઓ કરતાં અલગ અને ઉન્મત્ત બનાવ્યો. પણ એ ધર્મ આખર અતિમાનવ શક્તિ ઉપરની શ્રદ્ધા અને તેની પૂજાને આધારે સંસ્થાકીય માળખામાં સ્થાપિત થયો. ઈશ્વર પર આસ્થા વ્યક્ત કરવાનાં માધ્યમ રૂપે અલગ અલગ પૂજા સ્થાનો, ઇબાદતની વિભિન્ન રીતો, તેને અનુલક્ષીને ઉજવાતા તહેવારો, અનુસરવામાં આવતાં વિધિ વિધાનો અને માન્યતાઓ વિકસવા લાગી. તત્ત્વવેત્તાઓ ‘ધર્મ’ની આ વ્યાખ્યા માટે બે વિડંબણાઓનો નિર્દેશ કરે છે; એક તો અમુક ધર્મને અનુસરનારાઓ ઘણા સંકુચિત બની જાય અને બીજા ધર્મોના અસ્તિત્વ કે મહત્ત્વને સ્વીકારવા ન માગે અને બીજું, કેટલાકને માટે ધર્મની વ્યાખ્યા અત્યંત સંદિગ્ધ, વ્યાપક, સામાન્ય અને અનેકાર્થી હોવાને કારણે તેઓ મોટા ભાગનાં જીવનને ધર્મ સાથે સાંકળવા મથે છે. હિન્દુ ધર્મના અનુયાયીઓ કદાચ આ બીજી શ્રેણીમાં આવી શકે. Durkheim નામના સમાજશાસ્ત્રીએ ધર્મના બે પાસાં દર્શાવેલ, એક છે પૂજનીય અથવા પવિત્ર અને બીજું, અપવિત્ર કે ધર્મ દ્વેષી. પોતાના ધર્મ બંધુઓ દ્વારા પવિત્ર મનાતી તમામ બાબતો માટે વ્યક્તિ અને સમાજને એટલાં આદર અને માન હોય છે કે તેની આત્યંતિકતા તેને બીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુ બનાવવા સુધી ખેંચી જાય છે. આથી જ તો કેટલાક વિદ્વાનોના મતે સહુથી પ્રાચીન ગણાતા હિન્દુ ધર્મ કે જેનાં મૂળ 4,000 વર્ષ પહેલાં નંખાયેલાં મનાય છે અને આજે આશરે 900 લાખ જેટલા તેના અનુયાયીઓ છે. આ માનવ સર્જિત ધર્મ આખર એવું સંગઠન છે જે સમાજને કેટલીક માન્યતાઓનું માળખું પૂરું પાડે છે જે અલગ અલગ ચિહ્નો અને વિધિવિધાનો દ્વારા પ્રગટ કરવામાં આવે છે.

ગાંધીજી કોઈ ધર્મગુરુ નહોતા, પંથ કે વાડા શરૂ કરનાર નહોતા, પરંતુ ધર્મ વિશેના તેમના ખ્યાલ અને અન્ય ધર્મીઓ પ્રત્યેના તેમના વલણ સહુને માટે અનુકરણીય બની રહે તેવા છે. ગાંધી, “હું મારા ધર્મના એવા સિદ્ધાંતોને નકારું જે મારા તર્કની કસોટીએ ખરા ન ઉતરે અને નૈતિક ધોરણો સાથે સંઘર્ષ ખડો કરે.” તેમણે આગળ જતાં કહેલું, “મારી દૃષ્ટિએ વિવિધ ધર્મો એક જ બગીચાનાં સુંદર ફૂલો જેવાં છે જે એક જ વૃક્ષની ડાળીઓ અને ફૂલો સમાન છે.” તેમણે  ઘણી વખત કહેલું કે તેઓ જેટલા હિન્દુ છે તેટલા જ મુસલમાન, ખ્રિસ્તી, શીખ, બુદ્ધિસ્ટ, પારસી અને જૈન પણ છે અને ઉમેરતા, “જે હાથ બીજાની સેવા કરે તે માત્ર પ્રાર્થના કરતા હોઠ કરતાં વધુ પવિત્ર છે.” આથી તેમની ધાર્મિકતાને આધ્યાત્મિક માનવતા તરીકે જ ઉત્તમ રીતે ઓળખી શકાય. જો દુનિયાના મહત્તમ લોકો ધર્મને આ દૃષ્ટિથી જોતા-સમજતા થાય તો ધર્મ આધારિત ભેદાભેદ અને સંઘર્ષ ટળી જાય.

માનવ જાતિને એક દેશની સીમામાં બાંધવા અને ધર્મની ઓળખ આપી અલગ કરવા પૂરતા ન હોય તેમ એક જ દેશના, સમાન ધર્મને અનુસરતા લોકોને તેની ત્વચાના રંગના આધારે અલગ અને નિમ્ન કક્ષાના ગણવામાં આવે છે. હકીકતે આપણી ત્વચાનો રંગ મેલનિન નામના પીગ્મેન્ટ અને એપિડર્મિસ જેવાં બીજાં તત્ત્વો થકી નક્કી થાય છે. હવે સમાન ભૌગોલિક સીમામાં રહેતા, એક જાતિના લોકોની ત્વચાનો વર્ણ સમાન હોવાનો અને અન્યોનો જુદો હોવાનો, તો વર્ણનો અલગ રંગ = આપણાથી ઉચ્ચ કે નીચ એ વિચાર ક્યાંથી અને ક્યારે જન્મ્યો એ કોણ કહી શકે? રંગભેદથી ઉત્પન્ન થયેલાં શોષણ, દમન, ગુલામી પ્રથા અને હજુ આજે 21મી સદીમાં પણ વિકસિત ગણાતા દેશોમાં આચરવામાં આવતી હિંસા ખરેખર માનવ જાત માટે અક્ષમ્ય અપરાધ ગણાય. સંશોધનોએ પુરવાર કર્યું છે કે આફ્રિકા, એશિયા, યુ.એસ.એ., દક્ષિણ અમેરિકા, યુરોપ, અરે, પૂરી દુનિયામાં ન્યાયતંત્ર, વેપાર વાણિજ્ય, અર્થકારણ, રાજકારણ, સરકારની રહેઠાણ અને સ્વાસ્થ્યની નીતિઓ, પ્રસાર માધ્યમો અને મનોરંજન સુધ્ધાં જેવા ક્ષેત્રોમાં રંગભેદ નીતિએ ભારે અસમાનતા સર્જી છે.

ત્વચાનો વર્ણ, જાતિ અને જ્ઞાતિ એ ત્રણેય પરિભાષાઓ વચ્ચે ગૂંચવાડો પેદા થઇ શકે. જાતિ(Race)ની વ્યાખ્યા: બાહ્ય શારીરિક લક્ષણોમાં સામ્ય ધરાવતો માનવસમૂહ એક જાતિનો ગણાય. અમેરિકામાં શ્વેત, આફ્રિકન અમેરિકન, એશિયન, અલાસ્કન નેટિવ વગેરે પરિભાષાથી એક ચોક્કસ જાતિ સમૂહને ઓળખવામાં આવે છે, તો અન્ય દેશોમાં કોકેશિયન, મોંગોલ વગેરે પરિભાષા પ્રચલિત છે. અમુક વ્યક્તિ કે સમૂહ એક ચોક્કસ જાતિના છે એ ઓળખ હોવી એ બિલકુલ અયોગ્ય નથી, પરંતુ ઓળખ સાથે ભેદભાવ ક્યારે ઉમેરાયો એના સગડ નથી મળતા.

ભારત જેવા દેશમાં તો ઉપર જણાવ્યા એ ચાર વિભાગીકરણથી ધરાયેલા ન હોવાને કારણે જ્ઞાતિ ભેદનો પણ ઉમેરો કરવામાં આવ્યો. સદીઓથી આ ભેદભાવ સમાજને કોરી રહ્યો છે. જન્મને આધારે નવજાત શિશુને અમુક જ્ઞાતિના હોવાનું લેબલ મળે, તેના પરથી તે કેટલો શુદ્ધ/અશુદ્ધ છે, તેને કેવા પ્રકારની શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને રાજકીય સુવિધાઓ મળે તેના અધિકારો નિર્ણિત થાય. સમાજને સુચારુ રૂપે ચલાવવા શ્રમ વિભાજનની મૂળ નિસરણી આડી મુકેલી તેને સીધી મૂકીને તેમાં વારસાગત ઉચ્ચ-નીચના ભેદભાવોની રંગ પૂર્ણી કરીને સમાજને વધુ એક મુદ્દા પર વિભાજીત કર્યો. આજે આઝાદીના 75 વર્ષ બાદ, રાજ્ય બંધારણમાં તેની નાબૂદીનો પૂરો બંદોબસ્ત કર્યો હોવા છતાં આપણને એ બલા હજુ છોડતી નથી, અથવા કહો કે આપણે એ દૂષણને છોડવા માગતા નથી.

ઓગણીસમી સદીના અંતે અને વીસમી સદીમાં પૂર્વીય દેશોને પશ્ચિમી સભ્યતાની કહેવાતી ‘આધુનિકતા’નું ઘેલું લાગ્યું. નવીન અર્થવ્યવસ્થાને પગલે આવેલી સમાજની વર્ગ વ્યવસ્થા વધુ પ્રસરતી ચાલી. એ જ્ઞાતિની માફક જન્મને આધારે નહીં પણ મુખ્યત્વે આર્થિક ક્ષમતાને આધારે અસમાનતા સ્થાપિત કરનારી નીવડી. ધનિક, મધ્યમ અને ગરીબ એવા ત્રણ વર્ગો ઊભા થયા, જેમને આવાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી, રાજકીય અધિકારો વગેરેમાં ભેદભાવો સહન કરવા પડે જ છે, ફર્ક માત્ર એટલો કે એ પરિસ્થિતિ વારસાગત ન હોવાને કારણે તેમાં સામાજિક ગતિશીલતાનો અવકાશ રહે. નિમ્ન વર્ગમાં જન્મેલ વ્યક્તિ પોતાની બુદ્ધિ શક્તિના જોરે ઉત્તમ શિક્ષણ મેળવી, ઉચ્ચ ગણાતા વ્યવસાયમાં  આપબળે આગળ વધીને ઉચ્ચ મધ્યમ વર્ગ કે ધનિક વર્ગમાં જીવતો થઈ શકે. છતાં ખુદ પશ્ચિમનો સમાજ પણ વર્ગભેદના દૂષણથી પીડાઈ રહ્યો છે.

હજુ એક વધુ પરિબળ માનવ સમાજને સંગઠિત અને સમૃદ્ધ કરવા રચાયેલું; તે છે સંસ્કૃતિ. માનવ સમાજની એ એક એવી વિશેષતા છે જે તેને ઉર્ધ્વ ગતિ આપીને ઉત્તમ સ્થાને પહોંચાડવા સર્જવામાં આવી હતી, જે ક્યારેક એકતાને બદલે વિભાજન લાવવા જવાબદાર બની રહે છે. સંસ્કૃતિની વ્યાખ્યા આપવી બહુ મુશ્કેલ. એ એક શબ્દના છત્ર નીચે કળા, (સંગીત, નાટ્ય, નૃત્ય, ચિત્ર, સ્થાપત્ય વગેરે તમામ લલિત કલાઓ), માન્યતાઓ, વર્ણની રીતભાત, પોશાક, ખોરાક, ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક ધારાધોરણોનો સમાવેશ થાય. તેને જીવન પદ્ધતિ તરીકે પણ ઓળખીએ, જે સમાજનો કોઈ એક ચોક્કસ સમૂહ અનુસરે, ચાહે તે પોતાની જન્મભૂમિમાં રહેતો હોય કે વિદેશે. અને આ સંસ્કૃતિ પેઢી દર પેઢી વારસામાં ઉતરતી પણ હોય છે. એ સંસ્કૃતિની જાળવણી કથા-વાર્તાઓ, તહેવારોની ઉજવણી, મનોરંજનના માધ્યમો થકી ભૂતકાળના વારસાની સાચવણી થઇ અને તેના થકી ઉત્તમ મૂલ્યોના અમલીકરણથી અદ્દભુત સમાજ રચાતો અને જળવાતો જોવા મળે છે, તો બીજી બાજુ ‘સંસ્કૃતિ’ના ઓઠા હેઠળ કેટલાક માનવ હિત વિરુદ્ધ દુષ્કૃત્યો થતા પણ જોવા મળે છે. સમાજશાસ્ત્રની વ્યાખ્યા મુજબ સંસ્કૃતિ એ સમાજ જીવનનું અમૂર્ત પાસું છે જે સામાન્ય રીતે મૂલ્યો, માન્યતાઓ, ભાષા, અને પરસ્પર સાથે સંકળાયેલા રહેવાની રીતભાતમાં વ્યક્ત થાય છે જે તેમને એક સમાજના સભ્ય હોવાનો માપદંડ આપે છે. એક દેશમાં  બે સંસ્કૃતિઓના મિલનથી એક ઉત્તમ નવી સંસ્કૃતિનો ઉદ્દભવ થાય એ ભારત સિવાય બીજા કયા દેશમાં પ્રતીત થઇ શકે? અને એક દેશમાં બે સંસ્કૃતિ વચ્ચે વિરોધાભાસ અને ટકરાહટને કારણે દાયકાઓ સુધી સંઘર્ષ ચાલ્યા કરે તેના પણ આપણે સાક્ષી છીએ. જો કે 21મી સદીમાં સંસ્કૃતિના ભાષા, નીતિમત્તાનાં મૂલ્યો, સામાજિક ધોરણો, ધાર્મિક માન્યતાઓ, કલા, વગેરે જેવાં પાસાંઓનું સ્થાન બજાર અને ટેક્નોલોજીએ લીધું છે જે આપણ સહુને એક ગ્રાહક અને ટેક્નોલોજીના ઉપભોક્તાની સાંકળે બાંધે છે.

ત્વચાના વર્ણ અને જાતિ (Race) સિવાય દેશ, ધર્મ, જ્ઞાતિ, વર્ગ અને સંસ્કૃતિ એ તમામ વિભાવનાઓ માનવ સર્જિત છે. અદ્દભુત છે. તો એ દરેક અસ્તિત્વ ધરાવનાર ઘટકના મૂળ અર્થ જાણી, તેને આત્મસાત કરી શાંતિથી કાં ન જીવીએ? આજે દેશભક્તિ અને વફાદારીના મુદ્દે કેટલાક દેશો પોતાના જ નાગરિકોને પરાયા માની દેશનિકાલ કરવા તત્પર થયા છે. રાજનૈતિકશાસ્ત્રની વ્યાખ્યા મુજબ પોતાની જન્મની કે રહેઠાણની ભૂમિને ચાહવી, તેના કલ્યાણ માટે કાર્ય કરવું, અને જરૂર પડે તો તેને માટે બલિદાન આપવા તૈયાર રહેવું અને લોકશાહી દેશોમાં મતદાન કરવું એ વફાદારી સૂચવે, તો અમુક ધ્વજ લહેરાવવો કે સૂત્રો પોકારીને દેશભક્તિ સાબિત કરવાનો આગ્રહ કેવો નાદાનિયત ભર્યો કહેવાય? એવું જ બાકીના ચાર ઘટકો માનવીને વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે વિકાસ કરવા, ટકી રહેવા, અને ઉર્ધ્વ ગતિ કરવા રચાયેલા હતા એ સમજીને પરસ્પરને સાંકળનાર, નહીં કે વિભાજીત કરનાર છે એ સ્વીકારી તે સર્વેનો ઉત્તમ ઉપયોગ કરીએ નહીં તો વધુ એક વિભાજીત ઘટક – રાજકારણ – આપણો આ તમામ મુદ્દાનો દુરુપયોગ કરી, આપણો વિનાશ કરવા ટાંપીને બેઠું છે એ ધ્યાનમાં રહે.

સબકો સન્મતિ  દે ભગવાન!

e.mail : 71abuch@gmail.com

Loading

કે.એ. અબ્બાસના સાતમા હિન્દુસ્તાનીની ફિલ્મી દાસ્તાં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 April 2023

રાજ ગોસ્વામી

કે.એ. અબ્બાસ એટલે કે ખ્વાજા અહેમદ અબ્બાસનું નામ આમ તો એક ફિલ્મકાર અને પટકથા લેખક તરીકે જાણીતું છે, પણ તેઓ એક સારા પત્રકાર અને વાર્તાકાર પણ હતા. તેમણે લખેલી કે બનાવેલી જાણીતી ફિલ્મોમાં ડો. કોટનિસ કી અમર કહાની, નીચા નગર, આજ ઔર કલ, આવારા, શ્રી 420, જાગતે રહો, બમ્બઈ રાત કી બાહોં મેં, મેરા નામ જોકર, બોબી અને અચાનકનો સમાવેશ થાય છે. તેમણે હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં મળીને 73 પુસ્તકો લખ્યાં હતાં.

તેમનું છેલ્લું પુસ્તક, 1987માં તેમનું અવસાન થયું, તેના એક વર્ષ પહેલાં આવ્યું હતું. તેનું નામ હતું ‘સોને ચાંદી કે બૂત’ (સોના ચાંદીની મૂર્તિઓ). તેમાં હિન્દી ફિલ્મોની ઝાકમઝોળ દુનિયા અને તેની વાસ્તવિકતા પર તેમનાં નિરીક્ષણો હતાં. તેમાં ફિલ્મ કલાકારો અને ફિલ્મોનાં અન્ય પાસાંઓ પર ટૂંકી વાર્તાઓ, નિબંધો અને લેખોનો સમાવેશ હતો. આ પુસ્તક મૂળ ઉર્દૂમાં હતું. હવે તેનું અંગ્રેજી ભાષાંતર પ્રકાશિત થયું છે; સોને ચાંદી કે બૂત : રાઈટિંગ્સ ઓન સિનેમા. સૈયદા હમીદ અને સુખપ્રીત કાહલોને તેનું ભાષાંતર કર્યું છે.

તમે જો ઉપર નોંધ્યું હોય, તો અબ્બાસની ફિલ્મોમાં આપણે ‘સાત હિન્દુસ્તાની’(1969)નો ઉલ્લખ ટાળ્યો હતો. એટલા માટે કે આપણો આ આખો લેખ પણ તે ફિલ્મ પર જ છે. એ.કે. અબ્બાસને ‘સાત હિન્દુસ્તાની’ માટે જ સૌથી વધુ યાદ કરવામાં આવે છે, કારણ કે તે અમિતાભ બચ્ચનની સૌ પહેલી ફિલ્મ છે. ગોવા મુક્તિ સંઘર્ષ પર બનેલી આ ફિલ્મ વિશે સૌ જાણે છે તેમ, અમિતાભ ત્યારે કલકત્તાની એક ખાણ કંપનીમાં કામ કરતા હતા, પરંતુ એક્ટિંગનું ભૂત સવાર થયું હતું એટલે મુંબઈમાં નસીબ અજમાવાની કોશિશ કરતાં હતા.

અબ્બાસ સાહેબે ત્યારે ‘સાત હિન્દુસ્તાની’ની યોજના બનાવી હતી. ફિલ્મ રાષ્ટ્રીય એકતા પર હતી. તેમાં તેમણે અસલમાં સાત ધર્મો કે પ્રદેશના એકટરોને લીધા હતા. એમાં મૂળ સાત એક્ટર્સ આ પ્રમાણે હતા; મલયાલમ એકટર મધુ નૈયર, બંગાળી ઉત્પલ દત્ત, ઈર્શાદ અલી, જલાલ આગા, પારસી એક્ટ્રેસ શહેનાઝ વહાણવટી, (મહેમૂદનો ભાઈ) અનવર અલી અને ટીનુ આનંદ.

વરિષ્ઠ લેખક ઇન્દર રાજ આનંદના દીકરા ટીનુ આનંદને ત્યારે ફિલ્મ મેકિંગમાં રસ હતો અને સત્યજીત રેએ તેમની એક ફિલ્મમાં સહાયક નિર્દેશકનું કામ ઓફર કર્યું, એટલે તેમણે ‘સાત હિન્દુસ્તાની’ છોડી દીધી. એમની જગ્યા ખાલી પડી તેમાં અમિતાભનો નંબર લાગી ગયો. અબ્બાસ સાહેબે અમિતાભનો ‘સાત હિન્દુસ્તાની’માં (અને એ રીતે હિન્દી ફિલ્મ જગતમાં) ગજ કેવી રીતે વાગ્યો તેનું તેમના પુસ્તક ‘સોને ચાંદી કે બૂત’માં દિલચસ્પ વર્ણન કર્યું છે.

અમિતાભ જ્યારે એપોઇન્ટમેન્ટના દિવસે મુંબઈમાં અબ્બ્સાસ સાહેબને તેમની ઓફિસમાં મળ્યા, ત્યારે મુંબઈમાં તેમનો એ પાંચમો ધક્કો હતો. એ પહેલાં હિન્દી ફિલ્મોના ચાર મોટા નિર્માતાઓ અમિતાભને રિજેક્ટ કરી ચુક્યા હતા (‘હું તેમનું નામ આપીશ તો તેમનું નીચાજોણું થશે’ એવું અબ્બાસ લખે છે). અબ્બાસે કારણ પૂછ્યું, તો અમિતાભે કહ્યું હતું, ‘તેમને હું બહુ ઊંચો, કઢંગો અને એવો કાર્ટૂન જેવો લાગ્યો હતો અને તેમને થતું હતું કે કોઈ હીરોઈન મારી સાથે કામ નહીં કરે.’

અબ્બાસે કહ્યું કે મને એ લોકોને તું કેવો લાગ્યો એનાથી મતલબ નથી, મને તો અનવર અલી (ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રનું નામ મહેમૂદના ભાઈ અનવર અલી પરથી જ હતું) માટે જેવો એકટર જોઈતો હતો તે મળી ગયો છે. પછી પૂછ્યું, ‘કોન્ટ્રાકટ સાઈન કરવો પડશે. વાંચતાં આવડે છે ને?’ અમિતાભે કહ્યું કે તે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે, કોલેજનાં નાટકોમાં કામ કર્યું છે અને ગઈકાલ સુધી કલકત્તાની એક કંપનીમાં મહિને 1,400 રૂપિયા અને મફત કાર, મફત ઘરવાળી નોકરી હતી. એમાં ‘ગઈકાલ સુધી’ શબ્દ પર ભાર હતો તે અબ્બાસે નોંધ્યું.

‘કેમ?’ તેમણે પૂછ્યું.

‘તમે બોલાવ્યો હતો એટલે.’

‘પણ મેં તો તને જોવા માટે બોલાવ્યો હતો. તું પ્લેનમાં મુંબઈ આવ્યો? એટલી ફાસ્ટ ટ્રેન તો છે નહી!’

‘યસ, અજીતાભે (ભાઈ અજીતાભ બચ્ચન) તાર કર્યો હતો કે – સાત હિન્દુસ્તાનીમાં રોલ નક્કી થઇ ગયો છે, પરમ દિવસે પહોંચવાનું છે.’

‘આટલું મોટું જૂઠ? મેં ફિલ્મમાં લેવાની ના પાડી હોત તો?’

‘તો હું બીજે પ્રયાસ કરત. સુનીલ દત્ત સાહેબ નવી ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. કદાચ એ લઇ લેત. આમે ય, હું કલકતાની નોકરીથી ત્રાસી ગયો હતો.’

અબ્બાસ સાહેબે કાયમી નોકરી છોડીને આવેલા એ છોકરાના આશાવાદ અને આત્મવિશ્વાસને મનોમન શાબાશી આપી. પછી તેમણે તેનું નામ પૂછ્યું.

‘અમિતાભ.’

‘અમિતાભ કોણ?’

‘બચ્ચન. અમિતાભ બચ્ચન.’

અબ્બાસ સાહેબના કાન ચમક્યા, ‘ડો. બચ્ચન તારા સગામાં છે?’

‘યેસ,’ અમિતાભે ખચકાટથી કહ્યું, ‘એ મારા પિતા છે.’

‘તો તો આ કોન્ટ્રાકટ ના થાય. એ તો મારા જૂના ભાઈબંધ છે. તેમની મંજૂરી વગર આ કોન્ટ્રાકટ ના આપું.’

અમિતાભે કહ્યું કે મેં તો તેમને કાગળ લખ્યો જ છે, તમે તાર કરો, કાલે એ જવાબ આપી દેશે. અબ્બાસે કહ્યું કે તું આજે જતો રહે, હું તાર કરું છું, તેમની મંજૂરી આવે પછી તું પાછો આવજે અને કોન્ટ્રાકટ સાઈન કરી જજે.’

ત્રીજા દિવસે ડો. હરિવંશ રાય બચ્ચનનો કે.એ. અબ્બાસ પર તાર આવ્યો – ‘એ તમારી સાથે કામ કરતો હોય તો મને ખુશી થશે.’

અબ્બાસની શંકા દૂર થઇ અને તેમણે રૂપિયા 5,000ના પગાર સાથે એ કોન્ટ્રાકટ સાઈન કરાવ્યો. આ રીતે અમિતાભ બચ્ચનની ફિલ્મ કારકિર્દીની શરૂઆત થઇ હતી. કોઈ ફિલ્મ સર્જક ધારે તો આ આખા કિસ્સાની આસપાસ એક સરસ ફિલ્મ બનાવી શકે!

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 05 ઍપ્રિલ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0511,0521,0531,054...1,0601,0701,080...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved