Opinion Magazine
Number of visits: 9458095
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચ ગઝલ

"પ્રણય" જામનગરી|Poetry|7 April 2023

(1)

એ પછી પણ કૈં જ નહિ              

     કેટલી લાંબી મથામણ !  એ પછી પણ કૈં જ નહિ !

     ગામ આખાની ભલામણ, એ પછી પણ કૈં જ નહિ !

     આ હવનકુંડે હ્રદયનું આયખું સ્વાહા કર્યું,

     શ્વાસ ઓર્યા મેં સવા મણ, એ પછી પણ કૈં જ નહિ !

     રત્ન નહિ તો છીપ ખાલી, શંખલા એ’કાદ-બે,

     ડ્હોળી નાખ્યો મેં મેરામણ, એ પછી પણ કૈં જ નહિ !

     એક- બે આંસુ નથી ખર્ચ્યા તને સમજાવવા,

     ભીની થઇ ગઇ સાવ પાંપણ, એ પછી પણ કૈં જ નહિ !

     જાણી મનનો વ્હેમ – એને ભૂલવા માંડો  ‘પ્રણય’

     જાય કોરો સાવ શ્રાવણ ! એ પછી પણ કૈં જ નહિ !

   17-05-2005
   (પ્રગટ : “કવિતા”; 31-07-2005)
•••

 (2)

બાથમાં આવે નહીં

    ખૂશ્બુઓ તો કોઇના યે હાથમાં આવે નહીં

    જિન્દગીભર કોઇ પણ સંગાથમાં આવે નહીં.

    દેહથી આગળ જવાથી પ્રેમ જેવું લાગશે,

    છે ઘણું એવું અહીં – જે બાથમાં આવે નહીં.

    હોય લખવી જો ગઝલ – તો ભાવ ઘૂંટાવા જ દે,

    મૌજ આવે છે ગઝલમાં – પ્રાસમાં આવે નહીં.

    હોય તારી એ જ ઈચ્છા, તો કશો વાંધો નહીં,

    જિન્દગી મારી ભલે અજવાસમાં આવે નહીં.

    તો સમજજો – કે નથી લાયક તમે જળને અહીં,

    જો તલબ જેવું કશું પણ પ્યાસમાં આવે નહીં.

    તો સમય થોડોક અંગત ક્ષણ મહીં પણ ગાળજો,

    જો મજા તમને ‘પ્રણય’ – અહીં ઘાસમાં આવે નહીં.

15-12-2002   
(પ્રગટ : “તાદર્થ્ય”)
•••

(3)   

અળગો થઉં તો ક્યાં !

     ઘરમાં રહું તો ક્યાં લગી-બાહર જઉં તો ક્યાં ? 

     થાક્યો છું હું તન્હાઈથી – જીવતો રહું તો ક્યાં ?

     આખી ય જિન્દગી નડી લાચારસંહિતા,

     મારી રીતે હું શ્વાસ પણ-આહીં લઉં તો ક્યાં ?

     ખડકાળ છે તમા મ- અહીં જે સંબંધ છે,

     જળ જેમ રોજ રોજ અહીં હું વહું તો ક્યાં ?

     સીધી રીતે કદી ય મને અવગણ્યો નહીં,

     એનાથી કોઇ પણ રીતે અળગો થઉં તો ક્યાં ?

     છે જર્જરિત સાવ અમારું ય ઘર અહીં,

     મારા હ્રદયની લાગણીઓ  – પાથરું તો ક્યાં ?

     હર કોઈને ‘પ્રણય’ ન કહી એ શકું કદી,

     એવી એ વાત હોય કહેવી -ક હું તો ક્યાં ?

24-12-2002
(પ્રગટ : “તાદર્થ્ય”)
પુન:લેખન : 02-06-2004)
•••

(4)    

મનને જો …              

      વીતી ગયેલ પળ ફરી ઉઘાડીએ છીએ

      જામી ગયેલ ધૂળને ઉડાડીએ છીએ !

      જંપી ગયેલ જીવને ઢંઢોળીએ છીએ,

      પોઢી ગયેલ પ્યાસને જગાડીએ છીએ.

      ખૂંદી વળીએ મનથી ધરા રજરજે લગી,

      મુઠ્ઠીમાં આસમાનને ઉગાડીએ છીએ.

      માટી ધસી પડે છે ફરી ભેખડો બની,

      મનને જો કોઇ વાતમાં લગાડીએ છીએ.

     આપી શકે ન તું ય સજા – એ ય છે સજા,

     હાથે કરીને જિન્દગી બગાડીએ છીએ.

     ઠોકર હજારવાર ‘પ્રણય’ – એ રીતે મળી,

     બહુ જાળવીને પગ હવે ઉપાડીએ છીએ.

07-04-2008
(પ્રગટ “તાદર્થ્ય”, એપ્રિલ-2012)
•••

(5)   

થયો

       આપનો હમદમ થયો

       એક માણસ કમ થયો !

       એ સમય – જાણે સમય,

       – જે ખુશી કે ગમ થયો.

       તારો-મારો સંગ પણ,

       ફૂલની મોસમ થયો.

       સૂર્ય પ્હેલાનો સમય,

       જો થયો-શબનમ થયો.

       હું ‘પ્રણય’ લાચાર છું,

       એમનો હુકમ થયો.

(પ્રગટ : “તાદર્થ્ય”; એપ્રિલ-2012)

Loading

ગઝલ

અનિલ દવે ("અનુ")|Poetry|7 April 2023

આંગળી ના ચીંધ ડર લાગી રહ્યો છે,

રાત અડધી થઈ છતાં જાગી રહ્યો છું.

કેટલો નિર્લેપ માણસ થઈ ગયો છે,

પેટ માટે નોકરી માગી રહ્યો છું.

સ્થિતિને આધિન થઈ તાબે થયો છું,

હાલથી ગભરાઈને ભાગી રહ્યો છું.

શૂન્યતા ઉશ્ચાસમાં શ્વસી ગયો છું,

પ્રાણવાયું ફૂંકવા ત્રાગી રહ્યો છું.

કોઈએ ઝખ્મો ઉપર પાટો ન બાંધ્યો,

સોય દોરા પર ઝખમ ટાંગી રહ્યો છું.

e.mail : addave68@gmail.com

Loading

વધસ્થંભની વાટનો સાચો સંગાથી – સિમોન કુરેની (Simon of Cyrene) 

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|7 April 2023

‘પ્રભુનો (હરિનો) માર્ગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો,

પરથમ પહેલું મસ્તક મૂકી વળતાં લેવું નામ જોને’.

અરવિંદ વાઘેલા

મધ્યકાલીન ગુજરાતી કવિ પ્રીતમદાસની આ પંક્તિઓ પ્રભુને માર્ગે ચાલવાની શરત બતાવે છે. પરમેશ્વરને ખાતર મસ્તક મુકવાની તૈયારી હોય તેને માટેનો આ માર્ગ છે. અને સ્વાભાવિક છે કે જે મસ્તક મુકવા, પ્રભુને નામે બલિદાન આપવા તૈયાર હોય તે શૂરો જ હોય, કાયરનું, ડરપોકનું આમાં કામ જ નથી. પ્રભુ ઇસુ સ્વયં કહે છે કે, – ‘… જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્થંભ ઊંચકીને મારી પાછળ ચાલવું’ (માર્ક 8.34) પોતાનો, પોતાની જાતનો, પોતાના વ્યક્તિત્વનો નકાર કરવો (Self Denial) એ આજના સ્વકેન્દ્રિત અને ગુમાની વિશ્વમાં અશક્ય બાબત છે. પોતાના પાપોનો સ્વીકાર કરવો અને પ્રાયશ્ચિત કરવું એ શિષ્યપણાની પ્રાથમિક શરત છે. ‘બાઈબલ’ના ‘નવા કરાર’માં  શિષ્યપણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું એક ઓછું જાણીતું, માત્ર એક જ પ્રસંગે થોડીવાર માટે આવતું Simon of Cyrene / ગ્રીકમાં simon Kyrenaios. (kurene – રોમનાઈઝ ગ્રીક નામ) ગુજરાતી અનુવાદ મુજબ સિમોન કુરેનીનું પાત્ર છે. મેરી મેગ્ડેલીનની જેમ જ સિમોન કુરેની વિશે પણ ઝાઝી ચર્ચા આપણે ત્યાં થઇ નથી.

બાઈબલના નવા કરારમાં ઈસુના ક્રુસિફિકેશન પૂર્વેની ઘટનાના સમયે સિમોન કુરેની(Simon of Cyrene)નું પાત્ર આપણી સમક્ષ આવે છે. ચાર પૈકીના ત્રણ સુવાર્તા લેખકો માત્થી, માર્ક અને લુક એક સમાન રીતે આ પ્રસંગ અને પાત્રને આલેખે છે. જુઓ –

માત્થી 27.32 – ‘તેઓ બહાર જતાં હતા ત્યારે કુરેનીનો સિમોન નામે એક જણ તેઓને મળ્યો, તેની પાસે તેઓએ તેનો વધસ્થંભ પરાણે ઊંચકાવી લીધો.’

માર્ક 15.21 – ‘સિમોન કરીને કુરેનીનો એક માણસ, જે એલેકઝાંડરનો તથા રૂફસનો પિતા હતો, તે સીમમાંથી આવતાં ત્યાં થઈને જતો હતો, તેની પાસે તેઓએ બળજબરીથી તેનો વધસ્થંભ ઊંચકાવ્યો’.

લુક 23.26 –‘તેઓ તેને લઇ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનેનો એક માણસ સીમમાંથી આવતો હતો, તેને પકડીને તેઓએ તેની ખાંધે વધસ્થંભ ચઢાવ્યો કે, તે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે’.

યોહાન 19.17 – ‘પછી તે પોતાનો વધસ્થંભ ઊંચકીને ખોપરીની જગા, જે હેબ્રી ભાષામાં ગલગથા કહેવાય છે, ત્યાં બહાર ગયો.’ –  ઉપરોક્ત હકીકત જોતાં માત્થી ,માર્ક અને લુક ત્રણે સિમોનના પ્રસંગની નોંધ લે છે,  માત્ર સંત યોહાન જ આ પ્રસંગમાં સિમોનના પાત્રનો નામોલ્લેખ કરતા નથી.

સિમોન ઉત્તર આફ્રિકાના પૂર્વ લીબિયાના ત્રિપોલી પાસે આવેલા કુરેન પ્રાંતની ગ્રીક વસાહતમાં રહેતો હતો. કુરેન(Cyrene)માં લગભગ એક લાખ જેટલા યહૂદીઓ રહેતા હતા, જેઓને તત્કાલીન ગ્રીક શાસક Ptolemy soterના સમયમાં 323 – 285 ADમાં યહૂદિયા પ્રાંતથી બળજબરીપૂર્વક સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. કુરેનના યહૂદીઓ દર વર્ષે પાસ્ખાપર્વ ઉજવવા પોતાના વડવાઓના દેવ પ્રભુ યહોવાહના મંદિરમાં City of David યરુશલેમ ઉપાસના માટે આવતા. સિમોન કુરેની એક પાક્કો વિશ્વાસી હતો, એ ઉત્તર આફ્રિકાના કુરેન (Cyrene)થી ઘણાં યાત્રાળુઓ સાથે 800 -900 milesની દરિયાઈ મુસાફરી કરી જોપ્પા બંદરે ઉતર્યો, જોપ્પાથી જેરુસલેમ 60 -70 km. તે પર્વતો, રણ અને ધૂળિયા માર્ગની દુર્ગમ યાત્રા કરી પાસ્ખાપર્વ માટે આવે છે.

એક કાલ્પનિક કથા પ્રમાણે સિમોનને યરુશલેમમાં રહેવા ઘર કે જગ્યા ન મળતાં તે નજીકના ગામમાં રોકાય છે અને બીજા દિવસે, યહોવાહના મંદિરમાં પૂજા અને મસીહાના દર્શનનું સ્વપ્ન લઇ યરુશલેમ આવે છે. નગરની શેરીઓમાં ફરતાં સિમોનની નજર એક આશ્ચર્યજનક દૃશ્ય પર પડે છે. કશુંક અસાધારણ – અસામાન્ય એને દેખાય છે. લોકોનું એક મોટું ટોળું તે જુએ છે અને ઉત્સુકતાવશ તે પણ ટોળાંનો ભાગ બને છે. સિમોનની નજર રોમન સૈનિકોની બે હારમાં ચાલતી ટુકડીની વચ્ચે ચાલતા ત્રણ જણ (ત્રણ કેદી) પર પડે છે. દરેકે પોતાનો વધસ્થંભ (Cross) ઊંચક્યો હતો, ક્રુસિફિકેશનને માટે. સિમોનની નજર ત્રણ પૈકીના એક પર સ્થિર થાય છે, જેનાં લૂગડાં લોહીથી લથપથ હતાં, શરીર પર કોરડાના મારને કારણે ઊંડા ઘા પડેલા હતા, જેમાંથી લોહી વહી રહ્યું હતું, માથા પર કાંટાનો મુગટ પહેરાવેલો હતો … આ દર્દનાક દૃશ્ય જોઈ સિમોન દૃવી ઊઠે છે, એ વિચારમાં પડી જાય છે કે, શા માટે ? શા માટે આ એકલા પર આટલો બધો અત્યાચાર ? તે અશક્ત અને થાકી ગયેલો લાગતો હતો, ક્રોસ ઊંચકવા એ અસમર્થ લાગતો હતો, પડી જવાની તૈયારીમાં હતો …. સિમોનના હૃદયમાં અનુકંપા જન્મી, તે ઘેરા શોક અને આઘાતમાં સરી પડ્યો. તેને પ્રશ્ન થયો કોણ છે આ ? સિમોનના પ્રશ્નના જવાબમાં ચારે બાજુથી યહૂદીઓના ઠઠ્ઠાભર્યા અનેક પ્રતિભાવો આવ્યા, – કોઈકે કહ્યું કે એ ઈસુ છે. ‘એણે કહ્યું હતું કે હું દેવનો દીકરો છું’ તો દેવ આવાં સમયે ક્યાં છે ?, એણે બીજાઓને બચાવ્યા હતા પણ હવે પોતાને બચાવી શકતો નથી ! તો વળી કોઈકે કહ્યું કે, એ મંદિરને પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનું કહેતો હતો, તે પોતાને યહૂદીઓનો રાજા કહે છે. કોઈક વળી બોલ્યો કે, એણે લાજરસને અને વિધવાના દીકરાને જીવન આપ્યું હતું પણ પોતાનું જીવન કેમ બચાવતો નથી ? તો બીજા એકે બૂમ પાડીને કહ્યું કે, એણે પાંચ રોટલી અને બે માછલી વડે પાંચ હજારને જમાડ્યા ત્યારે હું પણ ત્યાં હતો, તો આજે કેમ કોઈ ચમત્કાર કરતો નથી? તેનામાં જીવન છે, તે સર્વશક્તિમાન છે તો આજે શું થયું ? એ નાઝરેથનો ઇસુ છે જે પોતાને યહૂદીઓનો રાજા (King of Jews) કહેતો હતો. સિમોન આ સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો. તેને અત્યાર સુધી આ ઈસુ છે એવી ખબર નહોતી, હા, એ ચોક્કસ જાણતો હતો કે, એક ઉધ્ધારક આવશે, Messiah will come કેમ કે યહોવાહ વિશેની દરેક કથાનો સાર એ છે કે  Messiah will come.  તમારે માટે એક ઉધ્ધારક આવશે.

સર્વ સત્તાધીશ હોવાને કારણે રોમન સૈનિકો કોઈ પણ વ્યક્તિને પોતાના કામ કે ઉપયોગ અર્થે પકડી શકતા, સિમોનના આંતરમનમાં ઈસુ પ્રત્યે જન્મેલી અનુકંપાના ભાવોનું રેખાંકન તેના ચહેરા પર જોઈ, રોમન સૈનિકોએ સિમોનને પકડ્યો અને … પરાણે ઇસુનો વધસ્થંભ તેની કાંધે મૂક્યો. કેમ કે રોમન સૈનિકો ઈસુને હજુ વધસ્થંભની વધુ ક્રૂર યાતના અને વેદના માટે બચાવી રાખવા માંગતા હતા ! ઉપરાંત સિમોન આફ્રિકન નીગ્રો હોવાને કારણે દેખાવે બીજા યહૂદીઓથી અલગ પડતો હતો અને શારીરિક રીતે મજબૂત હતો. એટલું જ નહિ યહૂદીઓ ઈસુના વિરોધી હતા અને તેને સજા કરાવવા માંગતા હતા માટે એક આગંતુક વ્યક્તિને એમણે  ટોળાંમાંથી પસંદ કર્યો, સિમોન માટે આ એક અણધારી આફત હતી, કદાચ તેણે પોતે કોઈ ગુનો કર્યો ન હોય આવું કપરું કામ કરવા તે તૈયાર નહિ હોય. પણ … ઈસુ પ્રત્યે એને અનુકંપા હતી,  તેનામાં એને વિશ્વાસ બેઠો કે તે નિર્દોષ છે. સિમોનનું નસીબ અહીં વિમોચક વળાંક લે છે, અણધારી આફત તેને માટે અવસર બની. તે યરુશલેમના મંદિરમાં પૂજા માટે આવ્યો હતો, પણ  ખોટા સમયે ખોટી જગ્યાએ તેનું હોવું તેની મુક્તિનું કારણ બન્યું ! સિમોનની મનોદશા કદાચ પેલા માત્થી 21.28, 29માં આવતા ખેડૂતના પ્રથમ દીકરા જેવી હશે … ખેડૂતનો પ્રથમ દીકરો દ્રાક્ષવાડીમાં કામ કરવા જવાની પહેલાં ના પાડે છે પણ .. પછી પસ્તાઈને જાય છે, સિમોન સત્યને જાણ્યા પછી તૈયાર થયો. સિમોન આપણા જેવા સામાન્ય લોકોનો પ્રતિનિધિ છે. સામાન્ય રીતે ટોળાંને કોઈ ચહેરો (face) હોતો નથી .. પણ આ પ્રસંગે સિમોન ટોળાંનો ચહેરો બને છે. રોમન સૈનિકો ટોળાંમાંથી યહૂદીઓ કરતાં એક અલગ માણસની પસંદગી ઇસુનો વધસ્થંભ ઊંચકવા કરે છે. એક વિદેશીની ઈસુના મદદગાર તરીકેની પસંદગી એ દેવની યોજના જ ગણી શકાય ! સિમોન જેવો સામાન્ય માણસ વિદેશીઓના વિશ્વાસનું પ્રતીક બને છે. સિમોન કુરેનીની કથા એ બદલાણ(રૂપાંતર)ની કથા છે, તેની વધસ્થંભ ઊંચકી ઈસુને અનુસરવાની કથા, વિશ્વાસની કથા છે, પ્રેમ અને આશાની કથા છે, આત્મિક વિજયની કરુણ કથા છે.

સિમોનનો માર્ગ કઠિન છે – જેવા તેવાનું કામ નથી, જેના વિશે સ્વપ્નમાં પણ ન વિચાર્યું હોય તેવું કામ અચાનક આવી પડે તો શું કરવું ? અનઅપેક્ષિત રીતે વધસ્થંભ ઊંચકવા જેવી ઘટના બને, જેની મંજિલ મૃત્યુ હોય, ગોલ્ગથા (ખોપરીની જગ્યા) માનવકંકાલથી ભરેલું કબ્રસ્તાન હશે ! નામ લેતા ડર લાગે તો જવાનું તો કોણ વિચારે ?  જીવનનું કઠિનમાં કઠિન કામ છે આ. સિમોનને ખબર નથી તે શાને માટે પસંદ થયો છે ? સિમોનને એ ખબર છે કે, ‘ચાહવું અને ચાલવું બંનેની મંજિલ એક છે, મૃત્યુ.’ પણ … સિમોન એને પરમેશ્વરની યોજના હશે એમ સમજે છે. વિશ્વના સર્જન પહેલાં પણ દેવ પાસે યોજના હતી, આ પણ દેવની યોજના જ છે. દેવે તેને ખાસ હેતુ માટે પસંદ કર્યો હતો. નહિ તો આજે પણ આફ્રિકન નીગ્રો કે હબસીને સેકન્ડ ક્લાસ સિટીઝન, બીજા વર્ગના નાગરિક ગણવામાં આવે છે. એનું કાળાપણું આજે પણ શાપરૂપ છે. પણ દેવની યોજનામાં તે પસંદ થયો જે તેણે વિશ્વાસપૂર્વક સ્વીકાર્યું, આજે જો આપણને ખબર પડે કે દેવે આપણને ક્રોસ ઊંચકવા પસંદ કર્યા છે તો ? વિચારો આપણે શું કરીએ ? આપણે તો પ્રભુ હું જ શા માટે ? મને જ કેમ ? Why me ? કેટલી ફરિયાદ કરીએ ? સિમોન તો કદાચ ઈસુ વિષે કશું જાણતો પણ નહિ હોય ? આપણે તો જાણીએ છીએ ને ?

રોમન સૈનિકોએ એક અજાણ્યા માણસ પાસે ‘…. તેનો વધસ્થંભ પરાણે ઊંચકાવી લીધો. અને ગલગથા નામે એક જગા, જે ખોપરીની જગા કહેવાય છે, ત્યાં તેઓ પહોંચ્યા. સિમોને વધસ્થંભ ઊંચક્યો એ સાથે જ ઈસુ અને સિમોનની ઠઠ્ઠા મશ્કરી શરૂ થઇ, લોકો તેના પર હસતા હતા, આ સમયે ઘણાં ધાર્મિક લોકો બીક અને શરમથી છુપાઈ ગયાં હતાં, ઘણાં યહૂદીઓ મોટેથી બૂમો પડતા હતા એને ફાંસી આપો. એને વધસ્થંભે જડો .. પરંતુ સિમોન કોઈ પણ પ્રકારની શરમ વિના, દૃઢ મનોબળ સાથે આગળ વધે છે અને સૌ પ્રથમ પ્રભુ ઈસુને ઊભા થવામાં મદદ કરે છે, અને પછી તેમનો વધસ્થંભ પોતાની ખાંધે ઊંચકી લઇને ઈસુની પાછળ ચાલે છે. (He Follows Jesus, follower બન્યો) પ્રભુ ઇસુ તેની સામે જુએ છે, સિમોન પણ પ્રભુની સામે જુએ છે, બંને વચ્ચે મનોમન સંવાદ થાય છે. સિમોન કહે છે કે ‘આ મારો વધસ્થંભ છે’. સિમોન ઈસુના દુઃખમાં ભાગીદાર થયો, પ્રભુ ઈસુએ નમ્રતા સાથે તેની સેવાનો સ્વીકાર કર્યો. સિમોને પ્રભુ ઈસુને કહ્યું હશે કે, હું તમને ઓળખી ગયો છું, પ્રભુ, તમે માનવના રૂપમાં દેવ છો, જે સ્વપ્ન સાથે હું અહીં આવ્યો હતો તમે એ જ મસીહા છો. તમારી પાછળ ચાલવું મારું સૌભાગ્ય છે. તમે મારા દોરનાર છો, એ મારે માટે આનંદની વાત છે, આ વધસ્થંભ આમ તો ભારે છે (વધસ્થંભનું વજન લગભગ 300 pound / 136 kg. હતું)પણતમે સાથે છો તો મને એનો બોજ  લાગતો નથી. લોકો ભલે કંઈ પણ બોલે તમારી સાથે જોડાવાને કારણે મને મારુ ભાવિ ઉજ્જવળ લાગે છે. પ્રભુ ઈસુ અને સિમોન, એક દેવપુત્ર અને  એક સામાન્ય માણસ, બંને કાલવરી તરફ મહાપ્રસ્થાન આદરે છે.

આ ઘટનાની દુઃખદ બાબત એ હતી કે કોઈ યહૂદી, કોઈ શિષ્ય કે તેમનો કોઈ પ્રસંશક મદદ માટે આગળ આવતો નથી ! પ્રભુ ઇસુ દ્વારા એક સમયે ઉચ્ચારાયેલ શબ્દો ચરિતાર્થ થયા એક વિદેશી દ્વારા, – કે, ‘ … જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્થંભ ઊંચકીને મારી પાછળ ચાલવું’ (માર્ક 8.34) પ્રભુ ઇસુની પાછળ ચાલવું સહેલ નથી … શિષ્યપણાની પહેલી શરત જ એ છે કે  – પોતાનો નકાર કરવો, પોતાના વ્યક્તિત્વનો નકાર કરવો કેટલું કઠિન કામ છે આ. આપણો ‘હું’, મારો હોદ્દો, મારુ સ્ટેટસ .. આ સઘળું છોડવું પડે છે શિષ્ય બનવા. જુઓ પ્રભુ ઈસુ પોતે પોતાના વ્યક્તિત્વનો ઇન્‌કાર કરે છે, શેતાનના પરીક્ષણ સમયે હોય કે પછી પિલાતની સભામાં હોય, સ્વયં દેવપુત્ર, રાજાઓના રાજા હોવા છતાં તેમણે પોતાના દેવત્વનો ઇન્‌કાર કર્યો, સર્વશક્તિમાન હોવા છતાં પોતાની શક્તિ અને સત્તાનો ઇન્‌કાર કર્યો, Self denial કાચા પોચાનું કામ નથી.

કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ કહે છે તેમ કે , – 

                         ‘તારું કશું ન હોય તો છોડીને આવ તું, 

                          તારું જ બધું હોય તો છોડી બતાવ તું’   

ભક્તિનો માર્ગ, પ્રભુ ઈસુની પાછળ ચાલવાનો માર્ગ બલિદાનનો માર્ગ છે. પ્રભુ ઇસુ સ્વયં કહે છે કે .- ‘Because strait is the gate and narrow is the way, which leadth unto life and few there be that find it’. Mathew 7.14.’ સિમોન એ માર્ગને અનુસર્યો – He has dream One day he will see the Massiah જે મસીહાને સાક્ષાત્‌ જોવાનું સ્વપ્ન લઇ આફ્રિકાથી આવ્યો હતો, એ બીજા વર્ગનો નીગ્રો નાગરિક સિમોન ધન્ય થઇ ગયો. દુનિયામાં આજ પર્યંત સિમોન જેટલો નસીબદાર કોઈ માણસ થયો નથી. પ્રભુ ઈસુને સ્પર્શવાનો એને લ્હાવો મળ્યો, પ્રભુ ઈસુનો વધસ્થંભ તેણે ઊંચક્યો, ઈસુના લોહીથી લથપથ વધસ્થંભ ઊંચકતાં એ દિવ્ય રક્તનો સ્પર્શ એને થયો એટલું જ નહિ પ્રભુ ઈસુના લોહી સાથે એનું લોહી ભળ્યું. વિચારો આવી તક કોને મળે ? પ્રભુ ઇસુનો દિવ્ય સ્પર્શ કેટલો મહાન છે જુઓ  – એક કોઢિયો પ્રભુને કહે છે કે – ‘ઓ પ્રભુ જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો, ત્યારે તેમણે હાથ લાંબો કર્યો ને તેને અડકીને કહ્યું – ‘હું ચાહું છું, તું શુદ્ધ થા’ અને તે તરત કોઢથી શુદ્ધ થયો. (માત્થી 8.2,3) સિમોનને એ સ્પર્શ અહીં પ્રાપ્ત થયો. શું તમને નથી લાગતું કે પાપરૂપી કોઢ(Leprosy )થી આખી માનવજાત ગ્રસિત છે. એની શુદ્ધિ માટે ઈસુએ પોતાનું રક્ત વહેવડાવ્યું, આ પ્રસંગે સિમોને પણ યથાશક્તિ યોગદાન કરતાં કહ્યું હશે કે, તમારા સ્પર્શે મારુ વ્યક્તિત્વ ખૂલ્યું છે, ખીલ્યું છે, શુદ્ધ થયું છે. સિમોનનું વધસ્થંભ ઊંચકવું એ આખી માનવજાતના સાજાપણા માટેનું મહત્ત્વનું અને પ્રતીકાત્મક કાર્ય હતું’. સિમોનનો ક્રોસ એ માનવતાનો ક્રોસ હતો. તેને ઈસુના રક્તનો સ્પર્શ થયો, સિમોન ઈસુના રક્તથી બાપ્તિસમા પામ્યો એ સાથે જ, સિમોન અને આપણ સૌનું જૂનું માણસપણું ઈસુની સાથે વધસ્થંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય અને આપણે સૌ પાપની ગુલામગીરીથી મુક્ત થઈએ. પ્રભુ ઈસુ અને સિમોન વધસ્થંભ ઊંચકીને યરુશલેમની બહાર ગોલગથાની નાની ટેકરી, જે ખોપરીની જગાને નામે ઓળખાતી, જે લેટિનમાં કાલવરિયા અને ગ્રીકમાં ક્રેઇનિયનને નામે ઓળખાતી ત્યાં, મોતની મંજિલે પહોંચ્યા. સત્યને જાણી ચુકેલો સિમોન અહીં પ્રભુ ઈસુને કહે છે કે, – ‘તમારાથી છૂટા થવાનું દર્દ હોવા છતાં, આનંદ એ વાતનો છે કે હું તમને પામી શક્યો, એક મસીહાના દર્શન કરી શક્યો, એ ક્ષણ મારી સ્મૃતિમાં સદાય અકબંધ રહેશે, આંખોમાં આંસુ સાથે સિમોન વધસ્થંભની ઘટનાનો સાક્ષી બને છે.

ભલે તેનું નામ બાઈબલના ‘નવા કરાર’માં એક જ વાર આવતું હોય, પણ તે અમર થઇ ગયો. વિદેશીઓના વિશ્વાસને તેણે સ્થાપિત કર્યો. સિમોન વિશ્વાસ, આશા અને પ્રેમનું પ્રતીક છે.  શિષ્યપણાનું ઉત્તમ ઉદાહરણ સિમોને પૂરું પાડ્યું, ઈસુની કાલવરીની મુક્તિયાત્રામાં મદદરૂપ થવાની તક એક વિદેશીને પ્રથમ મળી. જેને કોઈ ઓળખતું નથી તેવો એક વિદેશી યાત્રી છે સિમોન પણ .. દેવને તે પસંદ  છે. સંત લુક દ્વારા કરાયેલી પ્રભુ ઈસુની ભવિષ્યવાણીનું ઈંગિત અહીં જોઈ શકાય છે. કે જુઓ  – ‘તેઓ પૂર્વ તથા પશ્ચિમથી, ઉત્તર તથા દક્ષિણથી આવીને ઈશ્વરના રાજ્યમાં બેસશે, જુઓ છેલ્લા છે તેઓ પહેલાં થશે. (લુક 13.29, 30.)

ચારેય સુવાર્તા લેખકોમાં માર્ક થોડો જુદો પડીને સિમોનના દીકરાઓનાં નામ પણ જણાવે છે. જુઓ  માર્ક 15.21 – ‘સિમોન કરીને કુરેનીનો એક માણસ, જે એલેકઝાંડરનો તથા રૂફસનો પિતા હતો,’ માર્કના લેખનની એ વિશેષતા રહી છે કે તે પાત્રને કોઈક સંબંધની ઓળખથી સ્પષ્ટ કરે છે, (દા.ત. યુસફ અરિમથાઈ) તેની પાછળ તેનો ચોક્કસ હેતુ છે. ચારેય સુવાર્તોમાં માર્કની સુવાર્તા સૌથી વધુ જૂની અને વિશ્વાસ પાત્ર છે , કેમ કે, માર્ક પ્રભુ ઈસુના શિષ્ય પિતરનો સાથીદાર હતો અને તેના દ્વારા પ્રભુ ઈસુ સંબંધી વિશ્વાસપાત્ર માહિતી માર્કને મળી છે. લાંબો સમય તે પિતરનો અનુવાદક કે દુભાષિયો પણ રહ્યો હોય. પિતરના મુખે સાંભળેલી વાતોને માર્ક પોતાની સુવાર્તામાં આલેખે છે. એટલે એ વધુ વિશ્વસનીય લાગે છે. સિમોનના પુત્રોનો નામોલ્લેખ કદાચ એ તરફ જ ઈંગિત કરે છે. પ્રભુ ઈસુ સાથેના મિલન પછી સિમોનનું બદલાણ થયું, બદલાયા વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. એક આફ્રિકન યહૂદી  ઈસુના રક્તથી બાપ્તિસમાં પામી ખ્રિસ્તી થયો અને તેની અસર તેના કુટુંબ પર પણ પડી, એના પુત્રોએ પિતાની પ્રેરણાથી ખ્રિસ્તીધર્મનો પ્રચાર કર્યો. શક્ય છે કે સિમોન પ્રભુ ઈસુના વધસ્થંભ પરના મૃત્યુની વેદનાથી આહત થયો હોય અને થોડા સમય પછી  મરણ પામ્યો હોય. રિચાર્ડ બેકહમ નામના અભ્યાસી લખે છે તે પ્રમાણે –  એલેકઝાંડર અને રુફસ એમના પિતાના જીવંત સાક્ષીઓ હતા. માર્ક તેમને મળ્યો પણ હોય ! અને સિમોનના વધસ્થંભ ઊંચકીને ઈસુની પાછળ ચાલવાના પ્રસંગની વાત એણે એમની પાસેથી જાણી હોય. માર્ક પોતે જે લખે છે તે સત્ય છે તેની ખાતરી આપી શકે એ માટે સિમોનના પુત્રોનો સંદર્ભ તેણે આપ્યો છે. પ્રારંભિક ખ્રિસ્તી આંદોલનોમાં સિમોનના બંને પુત્રોની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.

યરુશાલેમની શેરીઓમાં ઘણાં યહૂદીઓનાં ટોળાં હતાં છતાં, આ ટોળાંઓમાંથી સિમોન પસંદ થયો. એના આત્માનું બદલાણ થયું, એક આફ્રિકન યહૂદી ઇસુનો અનુયાયી  થયો, એનું કુટુંબ વિશ્વાસી કુટુંબ થયું. એના પુત્રો અને પત્નીએ પ્રારંભિક સમયમાં સુવાર્તા પ્રચારનું મહત્ત્વનું કામ ઉપાડી લીધું, જુઓ ‘પ્રેરિતોના કૃત્યો’માં સ્તેફનની સતાવણી પછી વિખરાય ગયેલા લોકો સાઈપ્રસ અને અંત્યોખ સુધી પહોંચ્યાં પણ તેઓએ માત્ર યહૂદીઓ સિવાય બીજા કોઈને પ્રભુની વાત પ્રગટ કરી નહોતી. ત્યારે સુવાર્તાને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું કામ કુરેનીના લોકો કરે છે. જુઓ  – ‘… પણ તેઓમાંના કેટલાએક સૈપ્રસ તથા કુરેનીના માણસો હતા, તેઓ એ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઇસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી’ જેને કારણે ઘણાં લોકો ઈસુખ્રિસ્ત તરફ વળ્યા.

સમય સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે સમયે સમયે ઈશ્વર તેડું આપે છે. ઈશ્વરની પસંદગી પામેલો વ્યક્તિ હિંમતવાન, બહાદુર અને પ્રતિકૂળ સંજોગો સામે ઝીંક જીલનાર હોય છે. પોતાના પુત્ર પ્રભુ ઈસુનો વધસ્થંભ ઊંચકવા એક સામાન્ય માણસની, એક અજાણ્યા વિદેશીની પસંદગી પરમેશ્વરની યોજનાનો ભાગ છે, જેના પરિણામો આજે સમગ્ર વિશ્વમાં જોઈ શકાય છે. દેવના વચનની પૂર્ણતા માટે સિમોન કુરેની માધ્યમ બન્યો. જુઓ એફેસી 2.19 – ‘માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો’. સિમોનનું આ કાર્ય મનુષ્યત્વનો દરવાજો ખોલી આપણને હાક મારી રહ્યું છે .   .

– ‘ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ’ – માત્થી 11.28.

બોપલ, અમદાવાદ
e.mail : arvindvaghela1967@gmail.com

Loading

...102030...1,0491,0501,0511,052...1,0601,0701,080...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved