Opinion Magazine
Number of visits: 9667280
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અવિશ્વાસની વધતી ખાઈ : મણિપુરથી સંસદ સુધી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2023

રાજ ગોસ્વામી

બે મહિના પહેલાં, આપણે આ કોલમમાં લખ્યું હતું કે, “પૂર્વોત્તર રાજ્યો પ્રત્યે દેશના બાકી ભાગોમાં કેવી ઉપેક્ષા છે તેનું તાજું ઉદાહરણ મણિપુર છે. મણિપુરમાં સ્થાનિક જાતિઓ વચ્ચે સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થઇ છે, પરંતુ તેમને મુખ્ય ધારાનાં મીડિયામાં તેના વિશે કશું જ વાંચવા નહીં મળે. મણિપુરમાં આદિવાસી સમૂહો વચ્ચે હિંસાનાં પગલે લશ્કરે ફ્લેગ માર્ચ કરી છે. ઇમ્ફાલ, ચુરચાંદપુર અને કોંગપોકપીમાં હિંસક ઘટનાઓ પછી રાજ્યના આઠ જિલ્લાઓમાં અચોક્કસમુદ્દતનો કર્ફ્યું લાદવામાં આવ્યો છે. મણિપુર સરકારે આગામી પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હિંસાના પગલે 4,000 લોકોએ લશ્કરી અને સરકારી છાવણીઓમાં આશ્રય લીધો છે.

ભારતીય મહિલા મુક્કેબાજ મેરી કોમે ગુરુવારે વહેલી સવારે લગભગ પોણા ત્રણે વાગે ટ્વીટ કરીને વડા પ્રધાનની મદદ માગી હતી. તેણે લખ્યું હતું, “મારું રાજ્ય મણિપુર સળગી રહ્યું છે. મહેરબાની કરીને મદદ કરો.” મેરીએ વડા પ્રધાન મોદી, વડા પ્રધાન કાર્યાલય, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને ટેગ કરીને હિંસાની તસવીર પણ જોડી હતી.”

અગાઉ લખ્યું હતું તેમ, તાજેતરની ઉશ્કેરણીનું નવું કારણ મણિપુર હાઇકોર્ટનો એ ફેંસલો હતો, જેમાં તેણે બહુમતી (53 ટકા) મૈતેઈ સમુદાયના લોકોને અનુસૂચિત જનજાતિનું આરક્ષણ આપવા કહ્યું હતું. તેનાથી કૂકી લોકો અકળાયા હતા અને તેમની એક વિરોધ રેલીમાંથી હિંસાની શરૂઆત થઇ હતી. બંને સમુદાયો વચ્ચેના અવિશ્વાસનો મામલો 1960ના દાયકા જૂનો છે અને સમય સમય પર તેમની વચ્ચે હિંસા થતી રહી છે.

અલગ-અલગ સરકારોએ અલગ-અલગ રીતે આ સમસ્યાને ઉકેલવા પ્રયાસ કર્યા છે, પરંતુ રાજકીય લાભ લેવાની વૃત્તિ કહો, અણઆવડત કહો, ઉત્તર-પૂર્વના પ્રદેશો તરફ બાકી ભારતની ઉદાસી કહો કે પછી આ ત્રણે બાબતોનો સરવાળો કહો, સરવાળે મણિપુર સળગતું જ રહ્યું છે અને વર્તમાન બિરેન સિંહની સરકારમાં એ આગમાં ઘી હોમાયું છે. આરોપો તો એવા થઇ રહ્યા છે કે બિરેન સિંહની સરકારે આ વખતે મૈતેઈ સમુદાયનો પક્ષ લઈને કૂકી સમાજના લોકોને નિશાન બનવા દીધા છે.

બીજી બાજુ, સરકારનો દાવો એવો છે કે કૂકી લોકો મોટા પ્રમાણમાં ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા છે (કૂકીઓનું મણિપુરના પર્વતીય વિસ્તારોમાં પ્રભુત્વ છે) અને પાડોશી મ્યાનમારમાંથી પણ ઘણા ઘુસણખોરો એમાં મદદ કરી રહ્યા છે. બિરેન સિંહની સરકારે ડ્રગ્સના ધંધા પર અને ઘુસણખોરી પર પંજો કસ્યો છે એટલે કૂકીઓને તે ગમ્યું નથી.

ગમે તે કારણ હોય, પણ મેરી કોમના મણિપુરની એ આગ ન ઠરી અને ઊલટાની એવી વકરી કે કૂકી સમાજની બે મહિલાઓને નગ્ન કરીને સાર્વજનિક રીતે તેમની સાથે બેઈજ્જતીના એક વીડિયો મારફતે એ આગની જાણકારી આખી દુનિયાને થઇ. ભારતની સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ચેતવણી આપવી પડી કે સરકાર જો કોઈ પગલાં નહીં ભરે તો અમારે કંઇક કરવું પડશે.

વડા પ્રધાન, જે છેલ્લા બે મહિનાથી મણિપુરના મુદ્દે મૌન હતા, તેમણે ચુપ્પી તોડવી પડી અને દેશના લોકોને કહેવું પડ્યું કે આ ઘટનાથી તેમને વ્યથા થઇ છે અને 140 કરોડ લોકોને શરમ અનુભવવી પડી છે. મણિપુરની દીકરીઓ સાથે જે થયું છે તેને માફ કરી શકાય તેમ નથી.

વિરોધ પક્ષો જ નહીં, નાગરિક સમાજના લોકો અને મણિપુરમાં ભા.જ.પ.ના જ નેતાઓએ પણ કહ્યું કે વડા પ્રધાને મણિપુરની હિંસામાં સમયસર પગલું ભરવામાં મોડું કરી દીધું છે. વીડિયો આવ્યા પછી મણિપુરની પોલીસે આ સ્ત્રીઓને નગ્ન કરનાર 7 લોકોની ધરપકડ કરી છે, પરંતુ ત્યાંના મૈતેઈ અને કૂકી સમાજ વચ્ચે વૈમનસ્ય અને અવિશ્વાસની જે ખાઈ પહોળી થઇ છે તે જલદી ભરાવાની નથી.

ઊલટાનું, મણિપુરની ઘટનાના પડઘા પૂરા ઉત્તર-પૂર્વમાં અને દિલ્હીની રાજનીતિમાં પડ્યા છે. નજીકના મિઝોરામમાંથી મૈઈતી સમુદાયના લોકોએ ઉચાળા ભરવાના શરૂ કર્યા છે. મણિપુરની હિંસાના પગલે મિઝોરામમાં ‘આદિવાસીઓ માટે ન્યાય’ની રેલીનું આયોજન થતાં, સોમવારે 1,000 મૈતેઈ લોકો આસામ જતા રહ્યા હતા. આસામ સરકારે સરહદ પર રાહત શિબિરો પણ સ્થાપી છે. બીજી તરફ, ઓલ આસામ મણિપુર સ્ટુડન્ટ એસોસીએશને મિઝો લોકોને આસામ ખાલી કરવાની ધમકી આપતાં દક્ષિણ આસામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

શાંતિ માટે સુરક્ષા બળોના તમામ પ્રયાસો છતાં, 26મી તારીખે મ્યાનમાર સરહદે આવેલા એક ગામમાં 30 ખાલી ઘરોને સળગાવી દેવાંમાં આવ્યાં હતા. એ પહેલાં, સુરક્ષા બળોને લઇ જવા માટેની બે બસોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે છેલ્લાં 9 વર્ષમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં શાંતિ સ્થાપવા માટે ઘણી મહેનત કરી છે અને તેમાં ઘણા અંશે સફળતા પણ મળી છે, પરંતુ જાણકાર લોકો કહે છે કે મણિપુરની હિંસાને જો ડામવામાં ન આવી તો કર્યું કારવ્યું ધૂળમાં મળે તેમ છે.

વૈશ્વિક આતંકવાદ પર નજર રાખીને તેનાં સંભવિત જોખમો પર લોકોને અને સરકારોને સાવધ કરવાનું કામ કરતા અમેરિકા સ્થિત કાઉન્ટર ટેરરિઝમ ગ્રુપના 19 જૂનના એક અહેવાલ અનુસાર, મણિપુરના મૈતેઈ અને કૂકી સમુદાયના લોકોના સામાજિક, રાજકીય અને આર્થિક અસંતોષને જો દૂર કરવામાં નહીં આવે, તો આતંકવાદની દૃષ્ટિએ ઉત્તર-પૂર્વ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુઃખાવો બનેલું રહેશે.

અહેવાલ લખે છે, “એવી પૂરી શક્યતા છે કે મણિપુરની અશાંતિ પાડોશી રાજ્યોમાં ફેલાઈ જાય. અન્ય રાજ્યોમાં રહેતા નિરાશ્રિતો ખાવા-પીવા અને આશ્રયોમાં ભાગ પડાવશે અને એથી સ્થાનિક લોકોમાં નારાજગી વધશે. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાના સૂચનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ધ્રુવીકરણ ઊભું થયું છે.”

મણિપુરે કેન્દ્રની રાજનીતિમાં પણ આકરું ધ્રુવીકરણ ઊભું કર્યું છે. 18મી જુલાઈએ શરૂ થયેલા સંસદના ચોમાસું સત્ર પર મણિપુર છવાયેલું રહ્યું હતું. આ લખાય છે ત્યાં સુધી, આખું અઠવાડિયું કોઈ કામકાજ વગર જ પસાર થયું છે. વિરોધ પક્ષોના નવા સંગઠિત ‘ઇન્ડિયા’ મોરચાએ મણિપુર અંગે સંસદમાં ચર્ચાની અને વડા પ્રધાનના નિવેદનની માંગણી કરીને બંને ગૃહોને ઠપ્પ કરી દીધાં હતા. કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં એકઠા થયેલાં વિપક્ષી નેતાઓએ નક્કી કર્યું હતું કે ગૃહમાં મણિપુરની ચર્ચા ન થાય અને વડા પ્રધાન નિવેદન ન કરે તો કોઈ કામકાજ થવા ન દેવું.

સરકાર (જો રાજસ્થાન અને બંગાળમાં સ્ત્રીઓ પર અત્યાચારની ચર્ચા પણ કરવામાં આવે તો) મણિપુર અંગે ચર્ચા માટે તૈયાર હતી, પરંતુ વિરોધ પક્ષો વડા પ્રધાનનું નિવેદન માગી રહ્યા છે, જેના માટે સરકાર તૈયાર નહોતી. મણિપુરનો વીડિયો સામે આવ્યો અને સુપ્રીમ કોર્ટે પણ સખ્ત ટીપ્પણી કરી તે દિવસે સંસદમાં આવતાં પહેલાં, વડા પ્રધાને બહાર પત્રકારો સમક્ષ ઘટનાની ટીકા કરતુ નિવેદન કર્યું હતું, પરંતુ વિપક્ષી નેતાઓની માંગ હતી કે વડા પ્રધાને ગૃહમાં બોલવું જોઈએ. સરકાર આના માટે તૈયાર નહોતી.

છેવટે, 26 પક્ષોના ‘ઇન્ડિયા’ મોરચે મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવાનું નક્કી કર્યું હતું. 543 સભ્યોના ગૃહમાં, ભા.જ.પ.ની આગેવાની હેઠળના એન.ડી.એ. મોરચા પાસે 330થી વધુ સભ્યો છે, ઇન્ડિયા પાસે 140ની આસપાસ છે અને 60 સભ્યો બંનેમાંથી એકે ય જૂથમાં નથી. દેખીતી રીતે જ, સરકાર આ પ્રસ્તાવ જીતી જવાની છે, પરંતુ વિપક્ષો માટે મુદ્દો એ નથી. તેમને તો મણિપુરના મુદ્દે સરકારને ઘેરવી છે અને એ બહાને ગૃહમાં વડા પ્રધાનનું મોઢું ખોલાવું છે.

સંસદીય લોકશાહીમાં, અવિશ્વાસના પ્રસ્તાવને વિપક્ષોનું હથિયાર કહેવાય છે. પ્રસ્તાવ મારફતે તે સરકારની નિષ્ફળતાની ગૃહમાં ચર્ચા કરે છે અને સરકારે તેનો જવાબ પણ આપવો પડે છે. 1999માં, અટલ બિહારી વાજપેઈની સરકાર એક મતથી અવિશ્વાસનો પ્રસ્તાવ હારી ગઈ હતી, પરંતુ ગૃહમાં તેની જે વિસ્તૃત ચર્ચા થઇ હતી તે આજે પણ સંસદીય લોકશાહીના વિધાર્થીઓ માટે અગત્યનો પાઠ છે. 2018માં, આંધ્ર પ્રદેશના મુદ્દે તેલુગુ દેસમ પાર્ટી મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી, જે 199 મતોથી સરકાર જીતી ગઈ હતી.

તે વખતે, પ્રસ્તાવનો જવાબ આપતાં, વડા પ્રધાન મોદીએ કાઁગ્રેસને ટોણો માર્યો હતો, “તમે જરા વધુ મહેનત કરો એવી હું આશા કરું છું, જેથી 2023માં તમને ફરીથી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો અવસર મળે.”

કાઁન્ગ્રસે તો એના માટે શું મહેનત કરી હતી એ તો ખબર નથી, પણ મણિપુરની બિરેન સિંહની સરકારે તો ચોક્કસ એવી સ્થિતિ સર્જી છે કે મણિપુરમાં બે સમુદાયો વચ્ચે જે અવિશ્વાસ પેદા થયો છે તે સંસદમાં પણ પહોંચ્યો છે.

લાસ્ટ લાઈન:

“માણસો બ્રિજ ઓછા અને દિવાલો વધુ બનાવે છે.”

— જોસેફ ફોર્ટ ન્યુટન, અમેરિકન ધર્મઉપદેશક

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 30 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મણિપુર વંશીય હિંસાઃ  ડ્રગ્ઝનો વ્યાપાર, રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકીઓની ત્રિરાશીનો ખોટી રકમનો દાખલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 July 2023

મણિપુર અગેઇન્સ્ટ પૉપી કલ્ટિવેશન (MAPC) એક એવી ચળવળ છે જે સ્કોલર્સ, સમાજિક અને રાજકીય વિચારકો, સુધારકો, યુવાનો અને કાયદાકીય અગ્રણીઓએ શરૂ કરી છે; તેઓ બિરેન સિંઘની કામગીરીને વખાણે છે પણ એક ચોક્કસ પ્રજાતિની તરફ થતા અંગૂલી નિર્દેશ થાય તે તેમને યોગ્ય નથી લાગતું

ચિરંતના ભટ્ટ

મણિપુર અને મણિપુરનો મુદ્દો ભડકે બળે છે ત્યારે ત્યાંના જાતિવાદ – વંશવાદના સંઘર્ષને સમજવો બહુ અગત્યનો બની જાય છે. વળી મણિપુરમાં અફીણની ખેતી અને વ્યાપારને પણ આ જાતિવાદના ખટરાગ સાથે સીધો સંબંધ છે. નાગા, કુકી અને મૈતેઈ જાતિના લોકો વચ્ચેનો હિંસક સંઘર્ષ આજકાલની વાત નથી. ભારતના કેટલાક પુરાણા અલગાવવાદી આંદોલનો મણિપુરમાં થતી હિંસાના મૂળમાં છે, અને છેલ્લા બે દાયકાથી ઉત્તરપૂર્વમાં આ સંઘર્ષ ઘટ્યો પણ છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી જે રીતે સંજોગો વણસ્યા છે તેણે મણિપુરને ભરડામાં લીધું છે. આ વર્ષના પ્રારંભથી જ સતત હિંસક અથડામણો મણિપુરમાં શરૂ થઇ અને મે મહિનામાં મામલો એવો બીચક્યો કે સરકારે ત્યાં પાંચ દિવસ સુધી ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવી પડી. 

ભૌગોલિક રીતે જોઈએ તો મણિપુરના બે હિસ્સા થાય, ઇમ્ફાલ વેલી અને ડુંગરાળ પ્રદેશો અને ત્યાં જે 60 વિધાનસભા મતવિસ્તારો છે તેમાંથી 40 ઇમ્ફાલ વેલીમાં છે અને બાકીના 20 મતવિસ્તારો 10 અલગ અલગ જિલ્લાઓમાં વહેંચાયેલા છે. ઇમ્ફાલ વેલીમાં મૈતેઈ જાતિનો ઇજારો છે જે મોટેભાગે હિંદુઓ છે અને ડુંગરાળ જિલ્લાઓમાં નાગા અને કુકી (ચિન, મિઝો અને ઝોમી પ્રજાતિઓ પણ ડુંગરાળ પ્રજાતિઓ છે જે મૈતેઈ સામેના સંઘર્ષનો હિસ્સો છે) આદિવાસી જાતિઓ છે જેમાં મોટભાગના ખ્રિસ્તી ધર્મ અનુસરે છે. કુકી, નાગા અને મૈતેઈ જાતિઓ વચ્ચેના સંઘર્ષનાં મૂળિયાંમાં કંઇક આવી વાત છે – ડુંગરાળ પ્રદેશના આદિવાસીઓનો દાવો છે કે ઇમ્ફાલ વેલીમાં રહેતા લોકોએ પોતાની રાજકીય ઇજારાશાહી હોવાથી વિકાસ લક્ષી કાર્યો રૂંધ્યા છે તો મૈતેઈ લોકોનો દાવો છે કે તેઓ તેમની પોતાની જ વારસાગત જમીન પર – પ્રદેશમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છીએ અને તેમની સંખ્યા ઘટી રહી છે. તેમને એ વાંધો છે કે તેઓ મણિપુરના ડુંગરાળ વિસ્તારોમાં જમીન નથી ખરીદી શકતા કારણ કે ત્યાં આદિવાસી જાતિઓને વિશેષાધિકાર મળેલો છે અને આ કારણે તેમણે જબરદસ્તીથી માત્રને માત્ર ઇમ્ફાલ વેલીમાં જ રહેવું પડે છે, તેઓ ત્યાં બંધાઈ ચૂક્યા છે.

મૈતેઈ જાતિને આદિવાસી જાતિ – ખાસ કરીને અનુસૂચિક જનજાતિ હોવાનું સ્ટેટસ મળે એ માટે કેટલીક સંસ્થાઓ સતત માગ કરી રહી છે અને તાજેતરમાં ત્યાં હાઈકોર્ટમાં પણ એવી દલીલ કરાઈ કે રજવાડાઓ રાષ્ટ્રમાં ભળ્યા તે પહેલાં મૈતેઈ લોકો આદિવાસી જાતિમાં ગણાતા પણ હવે એ દરજ્જો તેમની પાસે ન હોવાથી તેમને પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જમીનો, ભાષાને સાચવવામાં તકલીફ પડે છે અને માટે તેમને ફરી આદિવાસી પ્રજાતિ હોવાનો દરજ્જો પાછો જોઈએ છે. કુકી અને નાગા આદિવાસી જાતિઓને લાગે છે કે આ માંગથી મૈતેઈ પ્રજાતિને વિધાનસભામાં અને તેના થકી આખા રાજ્ય પર કાબૂ કરવો છે વળી તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો દરજ્જો તો ધરાવે જ છે. મૈતેઈ જાતિ એક સમયે રાજાઓ ગણાતા, તેમના પ્રદેશો પર નાગા જાતિના લોકો લૂંટફાટ કરતા રહેતા અને અંગ્રેજોએ મૈતેઈઓના રાજાઓ સાથે કરાર કરેલા પણ અંગ્રેજો સાથે આ કરવાથી ફાયદા કરતા નુકસાન વધારે થયું. અંગ્રેજોએ મ્યાનમારના કુકીઓને પણ અહીં વસાવ્યા અને તે વખતથી આ ત્રણ જાતિઓ વચ્ચે ચાલતી આવતી ઈજારાશાહી લડાઈ આજે પણ ચાલી રહી છે. મૈતેઈની વસ્તી વધુ હોવા છતાં તે હાંસિયામાં છે તો કુકી વહિવટી તંત્રમાં છવાયેલા છે. જમીન પરનો કબ્જો તેમને આ સંઘર્ષનું બળતણ છે. વળી સ્થળાંતર કરીને આવતા વસાહતીઓને કારણે જંગલની અનામત જમીનો પર ઘુસી રહ્યા છે. આમાં પાછા જે મૂળ મણિપુરનાં છે તેમને જ હાંસિયામાં ધકેલાવું પડે છે, વળી આને લીધે અફીણની ખેતીના પ્રદેશો બદલાય છે અને વિસ્તરે પણ છે.

મણિપુરની આ હિંસામાં જમીન પરના અધિકારોનો પ્રશ્ન તો છે જ પણ ભારત-મ્યાનમાર સરહદે થતો હેરોઈનનો ગેરકાયદે વ્યાપાર આ સંઘર્ષને તીવ્ર બનાવે છે. મણિપુરના ડુંગરાળ પ્રદેશમાં પૉપીની મોટા પાયે ખેતી થાય છે, ખસખસના આ છોડમાંથી અફીણ બને છે અને મણિપુરની સરહદેથી તેનો બેફામ ગેરકાયદે વેપાર ચાલે છે. મણિપુરની હિંસામાં નાર્કોટિક્સ એક ન ટાળી શકાય એવો ભાગ ભજવે છે. જમીનના હકનો ટંટો મોટો થાય છે કારણ કે આદિવાસી પ્રજાતિઓ અફીણની ખેતમાં સંડોવાયેલી છે, તેમનું આર્થિક ગાડું આ નશાના જોર પર ચાલે છે. આ પરિસ્થિતિ વધારે જટિલ બને કારણ કે મ્યાનમાર સશસ્ત્ર શરણાર્થીઓને આ તરફ ધકેલે છે. આતંકી જૂથોને નાર્કોટિક્સના વ્યાપારથી ફાયદો થાય છે અને મૈતેઈ જાતિના લોકો કુકી જાતિના લોકોને આ તમામ માટે જવાબદાર ઠેરવે છે. સ્વાભાવિક છે કે કુકી જાતિના જે લોકો આમાં હિસ્સેદાર નથી તેમને આ ‘લેબલ’ સામે વાંધો હોય જ. ત્યાં શાસક વર્ગ અને વિરોધ પક્ષ વચ્ચેનું રાજકારણ પણ હિંસાની આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તાજેતરમાં પણ એ મુદ્દો ઊઠ્યો કે મણિપુરના મુખ્ય મંત્રીએ ‘ડ્રગ્ઝ સામેનું યુદ્ધ’ જાહેર કર્યું એમાં સંજોગો ધાર્યા કરતાં વધારે વણસ્યા. વળી અફીણના વ્યાપારના ઇતિહાસ વિશે વિગતવાર લખનારા પ્રસિદ્ધ લેખ અમિતવ ઘોષે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં એમ વાત કરી હતી કે હિંસાનું વિશ્લેષણ થાય ત્યારે અફીણના વ્યાપારને ગણતરીમાં લેવો જ પડે.

મણિપુરમાં નાર્કો-પૉલિટિક્સ જટિલ પ્રશ્ન છે. કુકી આતંકીઓ પાસે મોંઘાદાટ શસ્ત્રો છે (કઈ રીતે લાખોની કિંમતનાં એ.કે. -56 કે એ.કે. – 46 જેવા શસ્ત્રો આ પ્રજાતિઓ પાસે આવે છે જે આર્થિક રીતે સદ્ધર નથી) અને તે મ્યાનમાર, મિઝોરમ અને બાંગ્લાદેશના ગેરકાયદે વસાહતીઓ અને ડ્રગ્ઝના વ્યાપારના પૈસાને કારણે આવ્યા હોવાનું મૈતેઈ રિસર્જન્સ ફોરમનો આક્ષેપ છે. રાજ્ય સરકાર તેના કહેવાતા અભિયાનમાં ડ્રગ્ઝના વ્યાપારમાં સંડોવાયેલાઓની ધરપકડ કરે છે પણ છતાં ય એમ થાય છે કે મોટી માછલીઓ છટકી જાય છે અને સામાન્ય લોકોને આ પણ કઠે છે.

મણિપુર અગેઇન્સ્ટ પૉપી કલ્ટિવેશન (MAPC) એક એવી ચળવળ છે જે સ્કોલર્સ, સમાજિક અને રાજકીય વિચારકો, સુધારકો, યુવાનો અને કાયદાકીય અગ્રણીઓએ શરૂ કરી છે, તેઓ બિરેન સિંઘની કામગીરીને વખાણે છે પણ એક ચોક્કસ પ્રજાતિની તરફ થતા અંગૂલી નિર્દેશ થાય તે તેમને યોગ્ય નથી લાગતું. બિરેન સિંઘના આવાં વલણને કારણે તેમનું અફીણની ખેતી અંગેનું કોઇપણ વિધાન કોમવાદ ભડકાવે છે. મ્યાનમારના વસાહતીઓ જંગલોના નાશ માટે, અફીણની ખેતી અને નાર્કોટિક્સના વ્યાપાર માટે જવાબદાર છે એવું પણ બિરેન સિંઘે કહ્યું છે.

મણિપુર સરકારના સૂત્રો અનુસાર 2017-18 દરમિયાન 18,664 એકરમાં ફેલાયેલા અફીણના ખેતરોનો નાશ કરાયો હતો, જે મોટેભાગે ડુંગરાળ પ્રદેશોમાં હતા. રાજ્ય સરકારની આ કામગીરીને કારણે કુકી, ઝો, ચિન પ્રજાતિઓ ફુંગરાઈ કારણ કે તેઓ પૉપી સિડ્ઝની ખેતી કરીને જ કમાણી કરતા હતા. મ્યાનમાર, થાઇલેન્ડ અને લાઓસ – ગોલ્ડન ટ્રાયંગલ દેશો – માંથી આવનાર નાર્કોટિક્સ આજકાલ બને છે મણિપુરમાં. મ્યાનમાર અને ચીનની વચ્ચે થતા ડ્રગ ટ્રાફિકિંગમાં તેની આસપાસના વિસ્તારો સંડોવાય અને ત્યાં જ મણિપુર અને બાકીના ઉત્તર-પૂર્વિય ભારતની વાત આવે છે. આ સાબિતી છે કે વાત માત્ર મણિપુર પૂરતી નથી પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલમાં મણિપુરની સંડોવણીની છે.

મણિપુરમાં વંશવાદી હિંસા, નાર્કોટિક્સનું અર્થતંત્ર, રાષ્ટ્રીય સલામતી અને આંતરરાષ્ટ્રીય આતંકી વ્યૂહરચના આ ચારેય મુદ્દાનું કોકડું એક સાથે ગુંચવાયેલું છે. તેનો ઉકેલ એક દિશામાં વિચાર કરવાથી લાવવો મુશ્કેલ છે.

બાય ધી વેઃ

કેન્દ્ર સરકાર સારી પેઠે જાણે છે કે મણિપુરના સરહદી વિસ્તારોમાં શું ચાલી રહ્યું છે. સરકારે ભારત-મ્યાનમાર પ્રદેશની વ્યૂહાત્મક ગણતરીઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે તેની સાથે એ પણ યાદ રાખવું પડે કે સરહદી ખેલમાં આદિવાસી સપાટામાં ન લેવાય કારણ કે તેમની આર્થિક સ્થિતિ તો બદતર છે જ અને એવામાં બેની લડાઈમાં તેમનો ભોગ લેવાશે તો તેઓ સ્વ-બચાવમાં બમણા જોરથી સામા થશે.  સત્તાધીશો જો મણિપુર, નાગાલેન્ડ અથવા મિઝોરમ જેવા રાજ્યોમાં ચાલતા આંતરિક વિક્ષેપો કે સંઘર્ષનો બહાના તરીકે ઉપયોગ કરીને વંશીય વિભાજન લંબાવશે તો તેની અસરો સારી નહીં હોય. જો પરિસ્થિતિને સમજદારીથી સંભાળવામાં નહીં આવે તો ભારત આ સંવેદનશીલ ક્ષેત્રમાં મોટી ભૂલ કરી બેસશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જુલાઈ 2023

Loading

વાત દેશના બે આજી અને માજી રાષ્ટૃપતિની …

રમેશ ઓઝા|Opinion - Opinion|30 July 2023

રમેશ ઓઝા

આજે દેશનાં બે રાષ્ટ્રપતિ વિષે વાત કરવી છે. એક આજી છે અને બીજા માજી છે. જે આજી છે એ આદિવાસી છે અને ઉપરથી સ્ત્રી છે. પહાડમાં જન્મેલી અને ઉછરેલી આદિવાસીની દીકરી ગયા વરસે ૨૪મી જુલાઈએ દેશની રાષ્ટ્રપતિ બની તે ઘટનાને આજના યુગના રિવાજ મુજબ ઉજવવામાં આવી હતી. ઉજવણું એ વાતનું હતું કે આદિવાસી કન્યાને સર્વોચ્ચ સ્થાને બેસાડીને આદિવાસીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી કરવામાં નહોતો આવ્યો એવો ન્યાય કરવામાં આવ્યો હતો. આદર અને ન્યાય બન્ને એક સાથે હોદ્દો આપીને સાકાર કરવામાં આવ્યા હતા.

બરાબર એક વરસ પછી મણિપુરમાં નરાધમોએ પહાડમાં જન્મેલી અને ઉછરેલી આદિવાસી કન્યા સાથે કેમેરા સામે જ દુર્વ્યવહાર કર્યો. ક્યાં ગયો આદિવાસીઓનો આદર અને ક્યાં ગયો ન્યાય? એ તો ઠીક, જેને સર્વોચ્ચ હોદ્દે બેસાડીને આદિવાસીઓને આદર અને ન્યાય અપાયાની ઘોષણા કરવામાં આવી હતી એ રાષ્ટ્રપતિનો અવાજ ક્યાં ગયો? ભારતનાં નામદાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હજુ સુધી મોઢું ખોલ્યું નથી.

આ થઈ આજી રાષ્ટ્રપતિની વાત. એક માજી રાષ્ટ્રપતિ હતા જે ભારતનાં પહેલા દલિત રાષ્ટ્રપતિ હતા. એમનું નામ કે.આર. નારાયણન્‌. તેમને જ્યારે રાષ્ટ્રપતિ બનાવાયા ત્યારે દલિતોનું સન્માન  અને ન્યાયના ઢોલનગારા નહોતાં વગાડવામાં આવ્યાં. પણ કેવા રાષ્ટ્રપતિ! એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે રાષ્ટ્રપતિ હોય તો આવા!

અત્યાર સુધીમાં ભારતને મળેલા ૧૫ રાષ્ટ્રપતિઓમાં શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ કોણ એવો જો કોઈ મને પ્રશ્ન પૂછે તો મારો એક જ જવાબ હોય; કે.આર. નારાયણન્‌. ડૉ રાજેન્દ્ર પ્રસાદ, ડૉ. રાધાકૃષ્ણન્‌, ડૉ ઝાકીર હુસેન અને તાજેતરનાં વર્ષોમાં થયેલા અને સાદગી અને સરળતા માટે લોકપ્રિય બનેલા ડૉ. અબ્દુલ કલામ પણ તેમની તોલે ન આવે. પણ આપણે કે.આર. નારાયણન્‌ની રાષ્ટ્રપતિ તરીકેની મહાનતા વિષે ખાસ જાણતા નથી, કારણ કે આપણે ભારતીય સંઘમાં રાષ્ટ્રપતિની ભૂમિકા વિષે ખાસ જાણતા નથી. જાહેરજીવનનાં અન્ય કોઈ ક્ષેત્રમાં મહાન હોવું અને બંધારણચિંધી ભૂમિકા નિભાવવામાં દક્ષ હોવું એ બે અલગ ચીજ છે.

તમને કદાચ જાણ હશે કે કે.આર. નારાયણન્‌ જન્મે દલિત હતા. કેરળના એક નાનકડા ગામમાં તેમનો જન્મ થયો હતો અને હરિજન સેવક સંઘની આશ્રમશાળામાં તેમનું શિક્ષણ થયું હતું. ભણવામાં હોંશિયાર હતા, સ્કોલરશીપ મળતી હતી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. કર્યા પછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાં પ્રવેશ મળ્યો હતો. તેમને જે.આર.ડી. તાતાએ સ્કોલરશીપ આપી હતી અને એ ઉપરાંત કનૈયાલાલ મુનશીએ તેમના અંગ્રેજી સામયિક ‘સોશ્યલ વેલ્ફેર’ના લંડનના પ્રતિનિધિ બનાવ્યા હતા. એ સમયે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી હેરોલ્ડ લાસ્કી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસના વડા હતા અને વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ કાર્લ પોપર તેમ જ એટલા જ ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને રાજનીતિશાસ્ત્રી ફ્રેડરિક હાયેક ત્યાં ભણાવતા હતા. નારાયણન્‌ આ ત્રણેયના વિદ્યાર્થી હતા અને લાસ્કીના તો લાડલા હતા.

કે.આર. નારાયણન્‌ લંડનથી ભારત પાછા ફરવાના હતા ત્યારે હેરોલ્ડ લાસ્કીએ તેમને એક પત્ર આપ્યો હતો અને કહ્યું હતું કે આ પત્ર લઈને તું જવાહરલાલ નેહરુને મળજે. લાસ્કીએ નેહરુને ભલામણ કરી હતી કે આ યુવક તાજા સ્વતંત્ર થયેલા ભારતના ઘડતરમાં ઉપયોગી થઈ શકે એમ છે. સરકારે તેનો ઉપયોગ કરવો જોઈએ. નેહરુએ તેમને ભારતીય વિદેશ સેવામાં જોડાવાની ભલામણ કરી હતી. નિવૃત્તિ પછી તેમની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેટલોક સમય રાજીવ ગાંધીની સરકારમાં પ્રધાન હતા, ૧૯૯૨માં તેમને ઉપ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા અને ૧૯૯૭માં તેઓ દેશના ૧૦માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ તરીકે તેમને આવકારવામાં આવ્યા હતા, પણ એ તેમની બહુ ટૂંકી ઓળખ હતી. તેમની સાચી ઓળખ તો એ હતી કે રાષ્ટ્રપતિ કેવો હોવો જોઈએ તેનું તે આદર્શ ઉદાહરણ હતા. તેઓ પોતાને સક્રિય રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવતા હતા. સરકારી (એક્ઝિક્યુટિવ) કામકાજમાં ચંચુપાત કરનારા પણ નહીં અને મૂંગા રહીને મતું મારનારા રબ્બર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ પણ નહીં. બંધારણની મર્યાદામાં રહેવાનું, પણ બંધારણીય ફરજ પણ નહીં ચૂકવાની.

તેઓ ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે ચૂંટણીમાં મત આપવાનું શરૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ રાજકીય પક્ષપાત નથી ધરાવતા એ બતાવવા સારુ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મત નહીં આપીને તટસ્થતા બતાવતા હતા. નારાયણન્‌ની દલીલ હતી કે ભારતનો નાગરિક ગમે તે હોદ્દો ધરાવતો હોય, પણ તે નાગરિક મટતો નથી અને નાગરિકે ચૂંટણીમાં મત આપીને નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવવી જોઈએ. બીજું એવો કોઈ માણસ હોતો નથી જે મત ન ધરાવતો હોય. મત ધરાવનારા નાગરિકે ગુપ્ત રીતે પોતાનો મત આપીને લોકતંત્રમાં હિસ્સેદાર બનવું જોઈએ. તેમની ત્રીજી દલીલ એવી હતી કે તટસ્થતા જાળવવી એ વિવેક, અંતરાત્મા અને ફરજનિષ્ઠાનો ભાગ છે. અંતરાત્મા, વિવેક અને બંધારણ માટેની નિષ્ઠા હોય એ પૂરતું છે. તટસ્થતા એની મેળે આવી જશે.

૨૦૦૨ની સાલના ગુજરાતનાં કોમી હુલ્લડો પછી એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુજરાતના મુખ્ય પ્રધાનને રાજધર્મની યાદ અપાવી હતી એ યાદ હશે. હકીકતમાં રાજધર્મની યાદ એ સમયના રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને વાજપેયીને અપાવી હતી. તેમણે વડા પ્રધાન વાજપેયીને ગુજરાતની સ્થિતિ અને રાજધર્મ વિષે લખેલા પત્રો ભારતના લોકતંત્રના ઇતિહાસમાં સુવર્ણપાન બની રહેશે. વાજપેયીની નાછૂટકે નરેન્દ્ર મોદીને રાજધર્મની યાદ અપાવવી પડી હતી.

નારાયણન્‌ ૧૯૯૨થી ૧૯૯૭ની સાલમાં દેશના ઉપરાષ્ટ્રપતિ હતા અને ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાનું સંચાલન કરે છે. સંચાલન કેવું હોય અને તેમાં તટસ્થતા કેવી હોય એ ત્યારે જોવા મળ્યું હતું. ૧૯૯૭ની સાલમાં ઇન્દર કુમાર ગુજરાલની ત્રીજા મોરચાની સરકારે તેમને રાષ્ટ્રપતિપદ માટે પસંદ કર્યા હતા, પણ ગુજરાલ સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણ સિંહની બી.જે.પી.ની સરકારને બરતરફ કરવાના આદેશ પર રાષ્ટ્રપતિને સહી કરવાની સલાહ આપી ત્યારે તેમણે એ દરખાસ્ત પાછી મોકલી હતી. ગુજરાલ પછી અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા હતા અને તેમની સરકારે જ્યારે બિહારની રાબડી દેવીની સરકારને બરતરફ કરવાની દરખાસ્ત મોકલી તો તેને પણ તેમણે પાછી કરી હતી.

૧૯૭૯ની સાલમાં જનતા પાર્ટીની સરકાર તૂટી ત્યારે એ સમયના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ નવી સરકાર રચવા માટે જે તે પક્ષોનાં સંખ્યાબળનું ધોરણ અપનાવ્યું હતું. જે પક્ષ પાસે સૌથી વધુ બેઠક હોય એને પહેલો ચાન્સ. એ સરકાર રચી ન શકે તો બીજો એ પછી ત્રીજો એમ. ૧૯૮૯માં અને એ પછીનાં વર્ષોમાં આર. વેંકટરામને અને ડૉ શંકર દયાળ શર્માએ પણ આ જ માર્ગ અપનાવ્યો હતો. એ ધોરણે તો ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયીની ૧૩ દિવસ માટેની સરકાર રચાઈ હતી. ત્યારે રાષ્ટ્રપતિની ટીકા કરતા કાયદાવિદો કહેવા લાગ્યા હતા કે રાષ્ટ્રપતિએ સંખ્યાના ધોરણે એક પછી એક મુરતિયાઓને બોલાવવાના હોય તો રાષ્ટ્રપતિની જરૂર જ શું છે? એ કામ તો કોઈ પણ કરી શકે?

કે.આર. નારાયણને એ શિરસ્તો પણ બદલ્યો હતો અને કહ્યું હતું કે બંધારણ મુજબ રાષ્ટ્રપતિએ એ ચકાસવાનું છે કે કોણ સ્થિર સરકાર આપી શકે એમ છે. તેમણે અટલ બિહારી વાજપેયીને કહ્યું હતું કે સમર્થન કરનારા પક્ષોનો સમર્થનનો પત્ર રજૂ કરો. પત્રો મળ્યા પછી જે તે પક્ષના નેતાઓને બોલાવીને ખાતરી કરી હતી અને સરકાર રચવા વાજપેયીને કહ્યું હતું.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જુલાઈ 2023

Loading

...102030...1,0471,0481,0491,050...1,0601,0701,080...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved