Opinion Magazine
Number of visits: 9458123
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વારસાને ભૂલી જવાનો ? ભૂંસી નાખવાનો ? 

રમેશ ઓઝા|Opinion - Opinion|16 April 2023

રમેશ ઓઝા

પાકિસ્તાનની સ્થાપના થઇ એ પછી સવાલ પેદા થયો કે વિદ્યાર્થીઓને શું ભણાવવું અને શું ન ભણાવવું? આખરે ગર્વ સાથે મુસલમાનો માટે સ્થાપવામાં આવેલો ઇસ્લામિક દેશ છે, જેવો તેવો દેશ થોડો જ છે! જેમ કે ઇતિહાસ ભણાવવો હોય તો તેની શરૂઆત ક્યાંથી કરવી? પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી? વળી પાછો વિચાર કર્યો કે પાકિસ્તાન તો ઇસ્લામનું પરિણામ છે. જો ભારતમાં ઈસ્લામ ન આવ્યો હોત તો મુસલમાન ન હોત અને તેમને માટે પાકિસ્તાન બન્યું જ ન હોત માટે પાકિસ્તાનની ભૂમિમાં ઈસ્લામ આવ્યો ત્યારથી પાકિસ્તાનનો ઇતિહાસ લખવાનું અને ભણાવવાનું શરૂ કરવું જોઈએ.

જેમને દૂરનું વિચારતા આવડતું હતું એવા લોકોએ સવાલ ઉપસ્થિત કર્યો કે ઈસ્લામ નહોતો પણ આજે જ્યાં પાકિસ્તાન રચાયું છે એ ભૂમિ તો એ પહેલાંથી હતી. જગતની પ્રાચીન સભ્યતામાંની એક સિંધુ નદીના કાંઠે વિકસેલી સભ્યતા માટે પાકિસ્તાની નાગરિકે ગર્વ લેવો જોઈએ કે નહીં?  બૌદ્ધકાલીન વિશ્વપ્રસિદ્ધ તક્ષશીલા વિશ્વવિદ્યાલય અત્યારનાં પાકિસ્તાનમાં હતી તો એ માટે પાકિસ્તાનઓએ ગર્વ લેવો કે નહીં? આ વિરાસત અત્યારનાં પાકિસ્તાનમાં ઇસ્લામનું આગમન થયું એ પહેલાંની છે એટલે તેની ઉપેક્ષા કરવાની? એવી પણ દલીલ કરવામાં આવી કે ધર્મને ત્રાજવે વસુંધરાને તોળવાની ન હોય. ત્રાજવું નાનું પડશે અને ધર્મઘેલા લોકો રાષ્ટ્રભાવના શી કહેવાય એ સમજી નહીં શકે. ભૂમિને જો પ્રેમ કરવો હોય તો ભેદભાવ કર્યા વગર ભૂમિએ જે આપ્યું છે અને ભૂમિમાં જે બન્યું છે તેનો નિખાલસ સ્વીકાર કરવો જોઈએ. મુસલમાનોનું ઈસ્લામિક પાકિસ્તાન જો આ ભૂમિની પેદાશ છે તો સિંધુસભ્યતા અને બૌદ્ધસંસ્કૃતિ પણ  આ જ ભૂમિની પેદાશ છે. પાકિસ્તાની મુસલમાનોના પરદાદાઓ પણ આ જ ભૂમિની પેદાશ છે, જ્યારે તેઓ મુસ્લિમ નહોતા અને તેમણે આ જ ભૂમિ ઉપર ઇસ્લામ સ્વીકાર્યો હતો.

આ સમસ્યા માત્ર પાકીસ્તાનની જ છે એવું નથી, જગતના મોટાભાગના મુસ્લિમ દેશો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને બંગલાદેશ, ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, ઈરાન, તુર્કીમાં આ સમસ્યા મોટી છે કારણ કે આ દેશોમાં ઈસ્લામ પૂર્વેની સભ્યતા સમૃદ્ધ હતી અને તેનો વારસો ત્યાંની પ્રજા ભોગવે છે. એ વારસાને ભૂલી જવાનો? ભૂંસી નાખવાનો? એ દેશોમાં કેટલાક લોકોને એમ લાગે છે કે એ સમૃદ્ધ વારસો પ્રાગ-ઇસ્લામિક છે એટલે તેને નકારી ન શકાય. એ આપણો છે, આપણાં વડીલોએ વિકસાવ્યો છે. એ ઈસ્લામ પૂર્વેનો છે કે પછી સહિયારો છે તેનાથી શું ફરક પડે છે? બીજી બાજુ એવા કેટલાક લોકો પણ છે જે એમ માને છે કે વિશ્વના એક માત્ર સાચા ધર્મના પ્રાદુર્ભાવ પછી જ સાચું જગત અસ્તિત્વમાં આવ્યું એટલે એ પહેલાંનાં કાચા-અધૂરા જગતને ભૂલી જવામાં કોઈ નુકસાન નથી. હકીકતમાં ભૂલી જ જવું જોઈએ અને ભૂંસી નાખવું જોઈએ. સાચા મુસલમાનની આ ફરજ છે.

અંતે પાકિસ્તાનમાં અને અન્યત્ર બીજા પ્રકારના લોકોનું પલડું ભારી નીવડ્યું અને પ્રાગ-ઇસ્લામિક વિરાસતને ભૂલવાનું અને ભૂંસવાનું શરૂ થયું. શિક્ષણસંસ્થાઓ કબજે કરવામાં આવી અને ત્યાં ધર્મઝનૂની અને અક્કલના ઓથમીરોને ગોઠવવામાં આવ્યા. ગેરઇસ્લામિક વિરાસતને ભુલાવનારા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા અને એ વિરાસતને ભૂંસવાનું તાલેબાની આંદોલન શરૂ થયું. આપણો ધર્મ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને આપણે જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ. જગતે આપણી પાસેથી શીખવું જોઈએ અને જગત આપણું ઋણી છે અને રહેશે. તેઓ વિશ્વગુરુ એવો શબ્દપ્રયોગ કરતા નથી, પણ પોતાને એટલે કે ઇસ્લામને તેમ જ મુસલમાનોને અન્ય ધર્મીઓ માટે પથદર્શક કહે છે. નકારનારી વિચારધારાને પરિણામે શું થયું? સત્તાધીશો, ધર્મગુરુઓ, અખંડ વિરાસતને ખંડિત કરનારાઓ, શિક્ષણસંસ્થાઓ ઉપર કબજો કરનારાઓ, સહિયારી વિરાસતને ભુલાવનારા પાઠ્યપુસ્તકો લખી આપનારાઓ, અખંડ વિરાસતને ભૂંસવા માગનારા તાલેબાનો વગેરે એકબીજાને સહારે પેદા થયા અને તેમની વચ્ચે એક ધરી રચાઈ જેણે પાકિસ્તાનને બરબાદ કરી નાખ્યું.

હવે જ્યારે આવી પ્રવૃત્તિ ભારતમાં શરૂ થઈ છે ત્યારે બે સવાલ પૂછવા રહ્યા. ખાસ કરીને એ લોકોને જેઓ ધર્મઘેલા હિન્દુત્વવાદીઓ છે. પહેલો સવાલ એ કે જે માર્ગ તમે આજે અપનાવવા માગો છે એ માર્ગ પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો દાયકાઓથી અપનાવતા આવ્યા છે. એ દેશો આ માર્ગ અપનાવીને આબાદ થયા કે બરબાદ થયા? એક દેશનું નામ આપો જે આ માર્ગ અપનાવીને આબાદ થયા હોય. બીજો પ્રશ્ન એ કે વિધર્મીઓના વાસ્તવ તેમ જ વારસાને ભૂલાવવા અને ભૂંસવાના સંગઠિત રીતે લાખ પ્રયત્નો કર્યા પછી પણ એ ભૂલાયા અને ભૂંસાયા છે? એક દાખલો આપો. આનું દેખીતું કારણ એ છે કે બેવકૂફોને ડરાવવા અને રડાવવા માટે એ જ સામાગ્રી કામમાં આવે છે જેને તેઓ ભૂલાવવા અને ભૂસવા માગે છે. અફઘાનિસ્તાનમાં બામિયાનમાં બુદ્ધની પ્રતિમાઓને તોડી નાખ્યા પછી પણ એ ખંડેર આજે પણ અફઘાનિસ્તાનમાં બૌદ્ધ વારસાની દાસ્તાન આપે છે. આવતીકાલે સમજો કોઈ હિંદુ તાલેબાન તાજમહેલને તોડી નાખે તો પણ એ મુઘલ સામ્રાજ્યનાં વૈભવની દાસ્તાન આપતો રહેશે. જેનું પોતાનું અસ્તિત્વ વિધર્મીઓના ખૌફ પર આધારિત હોય એ ક્યારે ય વિધર્મીઓને, તેમના અસ્તિત્વને અને તેમના વારસાને ભૂલી કે ભૂંસી ન શકે.

જે આ પ્રવૃત્તિ કરે છે તેમનો પોતાનો સત્તાકીય સ્વાર્થ હોય છે. પ્રજા ઉપર વર્ચસ બની રહેવું જોઈએ અને પ્રજા હાથમાંથી જવી ન જોઈએ. પણ જે લોકો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ભરમાઈને ટેકો આપે છે તેમના હાથમાં શું આવે છે? બરબાદ પેઢીઓ. જો વિવેકનો સૂર્ય ઊગતા વાર લાગે તો એક બે નહીં અનેક પેઢીઓની બરબાદી. નુકસાન મુસલમાનોનું, મુઘલોનું, ગાંધીજીનું કે સેક્યુલર હિંદુઓનું નથી થવાનું તમારું પોતાનું થવાનું છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ઍપ્રિલ 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—192

દીપક મહેતા|Opinion - Opinion|15 April 2023

સપનાંઓમાં જાગતું શહેર 

બારણે બેલ, જરા ઉઘાડથી, ટાઈમ્સ, 

તારીખ નવી, નવો યુગ!  

તો ચાલો પાછા ભૂલેશ્વર. હા, ૧૯૬૦ સુધી ધીરુભાઈ અંબાણી અહીં જ રહેતા હતા. પણ એનાથી મોટી વાત તો એ કે આપણા મોટા ગજાના કવિ રાજેન્દ્ર શાહ પણ ઘણાં વરસ ભૂલેશ્વરની શાક ગલ્લીની બરાબર સામે આવેલા એક મકાનમાં રહેતા હતા. અને રાજેન્દ્રભાઇની નજરે એ વખતનું ભૂલેશ્વર જોવું છે? એમના ‘ભૂલેશ્વરમાં એક રાત’ કાવ્યની થોડીક પંક્તિઓ :

વાજે ટકોરા દશ, 

શેન આરતિ

તણા દદામા ચહું ઓર મંદિરે. 

તહીં પૂરે વોલ્યુમ રેડિયો ધ્વનિ 

ભૂકંપ 

(ના શેષ ચળ્યો છતાંય તે!).

… આસ્ફાલ્ટને મારગ અશ્વ ડાબલા.

અરે કુરુક્ષેત્રની સૌ ભૂતાવળ!

ક્ષણેકની શાંતિ? નહિ, 

ન ભાગ્યમાં. 

… રે નીંદ મોરી!

ઊભી બજારે કરી જાય પ્રેમ 

એવી ન મોર્ડન.

શી લાજ! ભીરુતા!

… આ તો હવે બ્રાહ્મમુહૂર્ત,

નેપૂર 

આરે થકી આવતી દૂધવાળીનાં 

ને ભૈરવી તર્જ વિષે વણાય 

જે ઊઘડેલા દર શાકભાજીના.

… ત્યાં બારણે બેલ,

જરા ઉઘાડથી 

ટાઈમ્સ, 

તારીખ નવી, 

નવો યુગ! 

કવિ રાજેન્દ્ર શાહ

ફક્ત ચાર શબ્દોમાં કવિ રાજેન્દ્ર શાહે મુંબઈની તાસીર અને તસવીર કેવી આબાદ ઝીલી છે : ‘તારીખ નવી, નવો યુગ.’ બીજે બધે આપણી પરંપરાગત ગણતરી પ્રમાણે યુગ બદલાતો હશે. મુંબઈમાં તો દરેક નવી તારીખે નવો યુગ! આ કાવ્યમાં સમાઈ છે તેમાંની કેટલી બધી વાત-વસ્તુ આજે આપણા શહેર માટે ભૂતકાળ બની ગઈ છે! ભૂલેશ્વરનાં મંદિરોમાં શયન આરતીના દદામા આજેય વાગે છે, પણ હવે અહીં પૂરે વોલ્યુમે કે ધીમા વોલ્યુમે રેડિયો ભાગ્યે જ વાગે છે. હા, એનું સ્થાન ટી.વી.એ લઈ લીધું છે. આસ્ફાલ્ટના મારગ તો એના એ છે, પણ એના પર પડતા અશ્વ ડાબલા? ઘોડાગાડી જ નથી રહી, ત્યાં ઘોડાના ડાબલા ક્યાંથી સંભળાય? અને હવે મુંબઈમાં ફક્ત આરે કોલોનીનું જ દૂધ ક્યાં મળે છે? મહારાષ્ટ્ર અને ગુજરાતની કેટકેટલી ડેરીનું જાતભાતનું દૂધ મળે છે! હા, કવિના ઘરની સામેની શાક માર્કેટ એવી ને એવી છે, સામેનું ઘર પણ છે, પણ કવિ ક્યાં? જ્યાં ક્યારે ય ભૂલા ન પડાય એવા અક્ષર લોકમાં એ તો પહોંચી ગયા છે.

ભૂલેશ્વરની શાક ગલ્લીની એક દુકાન 

આપણા જ્ઞાની કવિ અખાએ સવાલ પૂછેલો : ‘ઘણા પરમેશ્વર એ કયાંની વાત?’ એટલે એટલું તો ચોક્કસ કે અખા ભગત મુંબઈ આવ્યા નહોતા, અને એટલે તેઓ ભૂલેશ્વર ગયા નહોતા. કારણ, નહિતર તેઓ આવો સવાલ પૂછત જ નહિ. કારણ, ઘણા પરમેશ્વર એ જ તો છે ભૂલેશ્વરની ખરી ઓળખ. અને વળી આ બધા દેવ-દેવી આજુબાજુમાં, સાખ પડોશી થઈને રહે છે, અને એ દરેકના ભક્તો પણ એ જ રીતે રહે છે. આજે હવે જેનું નામોનિશાન મળતું નથી એ તળાવને કિનારે કેટલાંક મંદિરો. તેમાંનું એક તે મારુતિ મંદિર. તે વખતની મદ્રાસ પ્રેસિડન્સીમાં આવેલા તિરુપતિના મહંતના એક ચેલા રામદાસ બાવાએ આ મંદિર બંધાવેલું, ૧૮૪૦ના અરસામાં. તેની બાજુમાં આવેલું મંદિર તે રણછોડરાયજીનું મંદિર. આ મંદિર બાલાજી અથવા વ્યંકટેશ મંદિર તરીકે પણ ઓળખાય છે. મારુતિ મંદિર કરતાં આ મંદિર વધુ મોટું અને આકર્ષક છે. આ મંદિરની જગ્યા મૂળ હતી પ્રભુદાસની. તેમણે એ ગુરુ રામદાસ બાવાને ભેટ આપી. તેમણે પોતાના ગુરુ ભગવાનદાસ બાવાની આજ્ઞાથી આ મંદિર બંધાવ્યું. તે પછી રામદાસ બાવા, મથુરાદાસ બાવા, ગંગાદાસ બાવા, બાલકદાસ બાવા, અને કિસનદાસ બાવા એક પછી એક આ મંદિરના મહંત બન્યા, અને લગભગ દરેકે મંદિરની મૂળ ઈમારતમાં ફેરફાર કે ઉમેરા કરાવ્યા, અને મંદિરને વધુ ‘આકર્ષક’ બનાવ્યું. દર વરસે શરદ પૂનમની રાતે રણછોડરાયજીની મૂર્તિને પાલખીમાં પધરાવીને ગણેશવાડીના ગણેશ મંદિરે લઈ જવાય. ત્યાં પાલખીમાંથી ઉતારીને થોડા વખત માટે ગણેશજીની બાજુમાં રણછોડજીને બેસાડાય. અને પછી પાલખીમાં બેસીને રણછોડરાયજી પોતાના મંદિરે પાછા પધારે.

આ મંદિરથી થોડે દૂર આવેલા રામેશ્વર મંદિરને બંધાવવાની શરૂઆત મુકુન્દ ભોજાણે નામના શિમ્પિ કહેતાં દરજીએ ૧૮૩૬માં કરી હતી. પણ બાંધકામ પૂરું થાય તે પહેલાં તેમનું અવસાન થયું. મંદિરને બંધાઈ રહેતાં પાંચ વરસ થયાં. ૧૮૪૧ના મે મહિનાની ચોથી તારીખે મુકુન્દના દીકરા કૃષ્ણાજીએ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. એ જમાનામાં આ મંદિર બાંધવાનો અધધધ ખર્ચ ૫૪ હજાર જેટલો થયો હતો એમ કહેવાય છે. તો આત્મારામ વિશ્વનાથ નામના બીજા એક દરજીએ કાશીવિશ્વેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. ભૂલેશ્વરના તળાવની આસપાસ આવેલાં મંદિરોમાંથી નર્મદેશ્વરનું મંદિર નારાયણ બાલાજી અને તેમના બે ભાઈઓએ બંધાવ્યું હતું. એ ત્રણે સુતાર જાતિના હતા.

ત્રણ વાત નોંધી? અહીંના લગભગ બધાં મંદિર દોઢ સો-પોણા બસો વરસ પહેલાં બંધાયાં છે. હવે, ઉજ્જડ જગ્યાએ તો કોઈ આટલાં બધાં મંદિર બાંધે નહિ. એટલે કે એ જમાનામાં પણ ભૂલેશ્વર વિસ્તારમાં સારી એવી વસ્તી હોવી જોઈએ. તો સાથોસાથ મુંબઈના બીજા વિસ્તારોમાંથી પણ ભક્તો અહીં આવી શકે એવી સગવડ ત્યારે પણ હોવી જોઈએ. બીજું, અહીંનું લગભગ એકેએક મંદિર ‘ઉજળિયાત’ કોમના માણસોએ નહિ, દરજી, સુતાર, માછીમાર જેવી જાતિના સ્ત્રી-પુરુષે બંધાવ્યાં છે. ત્રીજું, આ બધાં મંદિર બંધાવાનારા કાં  મરાઠીભાષી હતા, કાં દક્ષિણ ભારતના હતા. આજે હવે અહીં તેમની ઝાઝી વસ્તી રહી નથી, ગુજરાતીઓની છે. પણ એક જમાનામાં અહીં તેમની વસ્તી મોટા પ્રમાણમાં હોવી જોઈએ. નહિતર ગિરગામને બદલે તેઓ અહીં મંદિરો શા માટે બંધાવે?

ભૂલેશ્વરનું સૂર્યનારાયણ મંદિર

મુંબઈ માટે અનન્ય કહી શકાય એવાં બે મંદિર ભૂલેશ્વર વિસ્તારમાં જ આવેલાં છે. એક, સૂર્યનારાયણ મંદિર. આપણા શહેરમાં બીજે ક્યાં ય સૂર્ય મંદિર તો નથી જ, પણ આખા દેશમાં પણ બહુ ઓછાં સૂર્ય મંદિર છે. તેમાં કોણાર્ક અને મોઢેરાનાં મંદિર સૌથી જાણીતાં. મુંબઈનું સૂર્યનારાયણ મંદિર ૧૮૯૯ના અરસામાં બંધાયું હતું. તેની વ્યવસ્થા દશા સોરઠિયા વણિક જ્ઞાતિનું ટ્રસ્ટ સંભાળે છે. આ જ્ઞાતિના લોકો મૂળ કાઠિયાવાડના વતની. ત્યાંથી અહીં આવી વસ્યા. ભારતમાં સૂર્યપૂજાની પરંપરા વિષે અંગ્રેજીમાં ઠીક ઠીક લખાયું છે. પણ તેમાં સૂર્ય મંદિરોની જે યાદી અપાય છે તેમાં ક્યાં ય મુંબઈના સૂર્યનારાયણ મંદિરનો ઉલ્લેખ સુધ્ધાં જોવા મળતો નથી.

આવું બીજું મંદિર તે ભૂલેશ્વરમાં જ આવેલું હાટકેશ મંદિર. આમ જુઓ તો હાટકેશ એ શંકરનું જ એક રૂપ છે. પણ હાટકેશની પૂજા અર્ચના નાગર જ્ઞાતિ પૂરતી જ મર્યાદિત છે. હજી આજે પણ કેટલાક નાગરો અરપરસ મળે ત્યારે ‘જય હાટકેશ’ કહીને અભિવાદન કરે છે. અને જ્યાં નાગરોની વસ્તી ઠીક પ્રમાણમાં હોય ત્યાં દર વરસે ચૈત્ર સુદ ચૌદસે હાટકેશનો પાટોત્સવ ઉજવાય છે. વડનગરમાં આવેલું હાટકેશ મંદિર સૌથી જૂનું મનાય છે. સાર્થ ગુજરાતી જોડણીકોશ પાસે તો આશા ન રખાય, પણ ભગવદ્ ગોમંડળ જેવા કોશમાં પણ હાટકેશ શબ્દ જોવા મળતો નથી. બીજો એક કોશ કહે છે કે હિમાલયના હાટક ક્ષેત્રના વતની હોવાથી શંકર હાટકેશ તરીકે ઓળખાય છે.

અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદના જીવનના કેટલાક મહત્ત્વના પ્રસંગો સાથે પણ ભૂલેશ્વર જોડાયેલું છે. તેમણે પાંચ વરસની ઉંમરે ભણવાનું શરૂ કર્યું તે ભૂલેશ્વર નજીકની નાના મહેતાની નિશાળે. આત્મકથા ‘મારી હકીકત’માં નર્મદ લખે છે : “તે વેળાએ નિશાળિયાઓને ઘેર તેડ્યા હતા ને ગોળધાણા તથા ધાણી વહેચ્યાં હતાં, ને છોકરાઓ ‘સરસતી સરસતી તું મોરી માત’ ને ‘જી મેતાજી સલામત’ એમ બોલતા હતા તે મને સાંભરે છે. અને રાતે હમે ચાર-પાંચ છોકરાઓ એકઠા મળી, ઘાંટા કહાડી આંક ભણતા એ પણ.” પોતાની જિંદગીનું પહેલવહેલું જાહેર ભાષણ ‘મંડળી મળવાથી થતા લાભ’ ૧૮૫૦માં નર્મદે ભૂલેશ્વરના હાટકેશ મંદિરની નજીક આવેલા કોઈ મિત્રના ખાલી ઘરમાં આપ્યું હતું. ત્યારે સો જેટલા શ્રોતાઓ હાજર હતા.

સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના પિતા માધવરામની મુંબઈમાં વેપારી પેઢી હતી. સારું કમાતા. પણ પછી વેપારમાં ખોટ ગઈ. એ ખોટ ભરપાઈ કરવા માટે પોતાની માલિકીનો ભૂલેશ્વરમાં આવેલો ‘માળો’ તેમણે વેચી નાખ્યો. (‘માળો’ એ ચાલ માટે વપરાતો બીજો શબ્દ.) છતાં બધું દેવું ચૂકવી શક્યા નહિ. ત્યારે બાકીનું દેવું પોતે ચૂકવી આપશે એવી ખાતરી ગોવર્ધનરામે માતા-પિતાને આપી અને ઘરખર્ચમાં કાપ મૂકવાના ઈરાદે માતા-પિતાને વતન નડિયાદ મોકલ્યાં. ગોવર્ધનરામ પોતે મનસુખરામ ત્રિપાઠીને ત્યાં કેટલોક વખત રહ્યા.

તો રમણભાઈ નીલકંઠની અમર નવલકથામાં કથાનાયક ભદ્રમ્‌ભદ્ર ભૂલેશ્વરની મુલાકાત લેવા નીકળે છે તે પ્રસંગ જૂઓ : “રસ્તામાં એક રેંકડાવાળો પોતાને બેસવાની જગ્યાએ ઊભો રહી ‘બબ્બે દોડીઆં ભૂલેસર’ની જાહેર ખબર પ્રસિદ્ધ કરતો હતો. રેંકડામાં એક આદમી બેઠેલો હતો. તપાસ કરતાં જણાયું કે બે પૈસામાં દરેક જણને ભૂલેસર સમીપ લઈ જવાને રેકડાવાળો રાજી હતો અને ચાર આદમી થાય ત્યાં સુધી રાહ જોતો હતો. (જોયું? શેર અ ટેક્સી કે શેર અ ઓટો તો પછી આવી. પણ ૧૯મી સદીના મુંબઈમાં ‘શેર અ રેંકડા’ની પ્રથા હતી.) સોંઘુ ભાડું જોઈ અમે પણ બેસવાનું નક્કી કર્યું.”

આજની વાતની શરૂઆત રાજેન્દ્ર શાહના કાવ્યની થોડીક પંક્તિઓથી કરી હતી. તો છેલ્લે પણ થોડીક કાવ્યપંક્તિઓ, ‘મુંબઈ શહેરને’ નામના ફાલ્ગુની શાહના કાવ્યમાંથી :

મુંબઈ શહેરને આંખમાં 

વહેલી સવારનું સપનું અંજાયું હતું.

ગીચોગીચ વસ્તીવાળા એના હૃદયમાં 

રહી ગયેલો, છૂટી ગયેલો સમય મુસાફરી કરે છે. 

રહી ગયેલા, છૂટી ગયેલા સામાનનું શહેર.

સપનાંઓથી ભરેલું, સપનાંઓને જગાડતું 

સપનાંઓમાં જાગતું શહેર.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx   

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 15 એપ્રિલ 2023

Loading

રમૂજી લેખક મૂજી કેમ હોય છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 April 2023

કાવ્યકૂકીઝ

હા, રમૂજી લેખક મોટે ભાગે મૂજી હોય છે

લેખકને લેખક તરીકે ઓળખવામાં આવે છે

પણ હાસ્યલેખકને લેખક તરીકે નહીં, પણ

હાસ્ય લેખક તરીકે ઓળખવામાં આવે છે

હાસ્યલેખકો વાંચવામાં હોય છે એટલા સારા જોવામાં હોતા નથી

હાસ્યલેખક વાંચવામાં હસાવે છે

પણ જોવામાં રડાવે છે

વાંચીને પ્રેમમાં પડેલી છોકરી

હાસ્યલેખકને જોતાં જ એવી ડઘાય છે કે

મનોમન પતિ માનેલાને

મનોમન જ પતાવી દેતી હોય છે

એ જો ભૂલેચૂકે પણ પરણી હોત તો

તેણે સોએક વાર તો છૂટાછેડા લીધા જ હોત

રમૂજી લેખકો બને ત્યાં સુધી ઘરમાં

આરસી રાખતા નથી

એ કોણ રોજ ઊઠીને પોતાનાથી જ ડરે !

બને ત્યાં સુધી હાસ્યલેખકો

પોતે દાઢી કરતાં નથી

તે હેર કટિંગ સલૂનમાં જ જાય છે

જેથી ડરવાનું હોય તો સલૂનવાળાએ …

મોટે ભાગે હાસ્યલેખક

આત્મકથા લખતો નથી

ને લખે તો આત્મકથાને બદલે તે એટલે કે

હાસ્યલેખકની આત્મકથા

બહુ ખપતી નથી

કારણ લોકો તો એનું

હાસ્ય વાંચવા ટેવાયેલા હોય છે

તે એનાં રોદણાં સાંભળવા ક્યાં બેસે ?

એ પણ ખરું કે હાસ્યલેખકને નામ મળે છે

એટલાં ઈનામ ભાગ્યે જ મળે છે

જે મળે છે તે

હાસ્યલેખકનાં દર્શન ન થયાં હોવાને કારણે

હાસ્યલેખકને જોઈને

કોઈએ ઈનામ આપ્યું હોય

એવા તો અપવાદો ય નથી

રમૂજી લેખકો આમ તો ફનમાં માનતા હોય છે

પણ કોઈ તેમને

ફનનું ઉદાહરણ આપવાનું કહે તો

કહે છે, ‘ઓર-ફન !’

હાસ્યલેખક વિષે એવું મનાય છે કે

તેઓ રડતાં નથી

પણ

તેઓ કોઈને રડાવતાં નથી એ ઓછું છે?

હાસ્યલેખકને કોઈ પરણતું નથી

એટલે પત્નીનો પડોશમાં

વાટકી વ્યવહાર

રાખવાનો ચાન્સ જ  રહેતો નથી

હા, પડોશીઓ વાટકી વ્યવહારને બદલે

ખાટકી વ્યવહાર જરૂર રાખતા હોય છે

પોતે હસી શકતો નથી એનું એક કારણ

એની સાથે થતો

ખાટકી વ્યવહાર પણ હોઈ શકે

એ ખરું કે હાસ્યનું એ ફાનસ જરા ખરબચડું છે

પણ અજવાળું તો એ રેશમી જ આપે છે …

000

છાસિયું

‘ડેડ ! હું કૈં આ બધું વાંચવાનો નથી.’

‘કેમ, તું કોઈ તંત્રી છે કે વાંચવાનો નથી?’

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,0401,0411,0421,043...1,0501,0601,070...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved