Opinion Magazine
Number of visits: 9742971
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અત્યંત મૂલ્યવાન અઢી દાયકા ભારતે વેડફી નાખ્યા

રમેશ ઓઝા|Opinion - Opinion|31 August 2023

રમેશ ઓઝા

બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ લશ્કરી અને આર્થિક એમ બન્ને રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. અમેરિકા અને પશ્ચિમના મૂડીવાદી દેશોએ આપસી લશ્કરી સહયોગ માટે ૧૯૪૯માં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન(NATO)ની સ્થાપના કરી હતી. એમાં ત્રીસ દેશો હતા અને તેનો ઉદ્દેશ સામ્યવાદનો અને સામ્યવાદી દેશોનો મુકાબલો કરવાનો હતો. ૧૯૫૫માં સામ્યવાદી દેશોએ વોરસો સમજૂતી કરીને કલેક્ટીવ સિક્યોરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશનની રચના કરી હતી અને તેનો ઉદ્દેશ મૂડીવાદનો અને મૂડીવાદી દેશોનો લશ્કરી અને વૈચારિક મુકાબલો કરવાનો હતો. દેખીતા યુદ્ધ વિના મૂડીવાદી અને સામ્યવાદી દેશોએ યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરી હતી એટલે એ યુગ શીતયુદ્ધ તરીકે ઓળખાતો હતો. એવા કેટલાક દેશો પણ હતા જે નહોતા મૂડીવાદી કે નહોતા સામ્યવાદી. તેને લશ્કરી હરીફાઈમાં રસ નહોતો અને પોતાની ભૂમિ બન્નેમાંથી કોઈ પણ બ્લોકને વાપરવા દેવા ઇચ્છતા નહોતા. આવા તટસ્થ દેશોએ ૧૯૬૧માં એક બ્લોકની રચના કરી હતી જે નોન એલાઈન્ડ મૂવમેન્ટ તરીકે ઓળખાય છે.

અત્યારે ૭૦ વરસ પછી સ્થિતિ એવી છે કે નાટોના સભ્ય દેશો યુક્રેનને આગળ કરીને રશિયા સામે લડી રહ્યા છે. સામ્યવાદી બ્લોકનું ૧૯૯૧ પછી વિસર્જન કરવામાં આવ્યું છે અને તટસ્થ દેશોના બ્લોકની હવે કોઈ પ્રાસંગિકતા રહી નથી.

આર્થિક રીતે પણ જગત ત્રણ હિસ્સામાં વહેંચાયેલું હતું. મૂડીવાદી શ્રીમંત દેશો પહેલા વિશ્વ તરીકે ઓળખાતા હતા. સામ્યવાદી દેશો બીજા વિશ્વ તરીકે ઓળખાતા હતા અને ભારત અને ચીન જેવા વિકાસશીલ અને બીજા અવિકસિત ગરીબ દેશો ત્રીજા વિશ્વ તરીકે ઓળખાતા હતા. આ વર્ગીકરણ અલબત્ત સંદિગ્ધ હતું.

૧૯૯૧ પછી જગતે કરવટ બદલી. સામ્યવાદી દેશોનું બીજું વિશ્વ જગતનાં નક્શામાંથી ગાયબ થઈ ગયું અને બીજા વિશ્વનાં દેશો વિકાસશીલ કે ગરીબ દેશોની પંક્તિમાં મૂકવામાં આવ્યા. રશિયાની ગણતરી અત્યારે વિકાસશીલ દેશ તરીકે થઈ રહી છે. બીજી બાજુ મૂડીવાદી દેશોનો આર્થિક વિકાસનો રથ થંભી ગયો. ત્રીજી તરફ ચીન, ભારત, બ્રાઝિલ જેવા એક સમયે ત્રીજા વિશ્વમાં સ્થાન ધરાવતા હતા એ દેશોનો આર્થિક વિકાસનો દર ઝપાટાભેર વધવા લાગ્યો. અર્થશાસ્ત્રીઓ એમ કહેવા લાગ્યા કે ૨૧મી સદી આ દેશોની હશે. તેની પાસે મોટી વસ્તી (વપરાશકાર) છે અને મોટું માર્કેટ છે. સસ્તા ભાવમાં શ્રમિકો મળે છે એટલે ઉત્પાદન સસ્તું પડે છે અને માટે કોઈ શ્રીમંત દેશ તેનો મુકાબલો કરી શકશે નહીં. ઉત્પાદક અને વપરાશકાર બન્ને એક જગ્યાએ હોય ત્યાં કોઈ શું હરીફાઈ કરી શકવાનું!

વાત બિલકુલ સાચી હતી. ૧૯૮૦ના દાયકામાં કોઈએ કલ્પના નહોતી કરી કે ત્રીજા વિશ્વના દેશો એક દિવસ જગતમાં આર્થિક રીતે સરસાઈ ધરાવશે. પણ એ દેશોની પોતીકી, આપસી, ભૌગોલિક અને એક જ શ્રેણીના હોવા છતાં સામૂહિક સમસ્યાઓ હતી અને છે. અમુક દેશોમાં તાનાશાહી, અમુક દેશોમાં લોકશાહી, અમુક દેશોમાં આંશિક લોકશાહી અને આશિંક તાનાશાહી, અમુક દેશોમાં રાજકીય અસ્થિરતા, અમુક દેશોમાં વાંશિક અને ધાર્મિક વિખવાદ અને અથડામણો, મોટાભાગના દેશોમાં નિર્ણયોને અવરોધનારી નોકરશાહી અને પ્રચંડ ભ્રષ્ટાચાર. ટૂંકમાં ૨૧મી સદી જેના નામે ઉધારવામાં આવી હતી એ ઉપર કહી એવી કેટલીક મર્યાદાઓથી ગ્રસ્ત અને ત્રસ્ત હતા.

૨૧ મી સદી જો આપણી હોય તો આપણે સંગઠિત થવું જોઈએ, આપસી સહકાર વધારવો જોઈએ અને હજુ વધુ જોર મારવું જોઈએ એવો કેટલાક લોકોનો આગ્રહ હતો. આખરે ભારત, ચીન, રશિયા અને બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વિશ્વની ૨૭ ટકા ભૂમિ, ૪૨ ટકા વસ્તી અને વિશ્વની જી.ડી.પી.માં ૨૮ ટકાનો હિસ્સો ધરાવે છે. આ પાંચ દેશો ગ્રુપ ૨૦ના સભ્યો પણ છે. ૨૦૦૧ની સાલમાં ગોલ્ડન સાચ નામની રેટિંગ એજન્સીના અર્થશાસ્ત્રી જિમ ઓનીલે ૨૧મી સદીના ટાઈગર દેશો વચ્ચે સહયોગની કલ્પના રજૂ કરી હતી અને અંતે BRICKS(બ્રિક્સ)ની રચના કરવામાં આવી હતી. શરૂઆત બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન એમ ચાર દેશો સાથે કરવામાં આવી હતી અને ૨૦૧૦ની સાલમાં તેમાં દક્ષિણ આફ્રિકાને પ્રવેશ આપવામાં આવ્યો હતો. BRICK નામનો બ્લોકમાં ફેરવાયો હતો.

૨૧મી સદી બેઠી ત્યારે બ્રિક્સ દેશોમાં સૌથી વધુ અપેક્ષા ભારત અને ચીન પાસેથી હતી. બન્ને વિશાળ વસ્તી અને વિશાળ કદના દેશો. આમાં પશ્ચિમના દેશો અને બહુરાષ્ટ્રીય કંપનીઓની અપેક્ષા ભારત પાસેથી વધુ હતી. મૂડીવાદને માફક આવે એવો ખુલ્લો સમાજ, લોકશાહી દેશ, ભલે લકવાગ્રસ્ત પણ કાયદાનું રાજ, જાગતિક સમજૂતીઓ અને મર્યાદાઓનું પાલન કરે, વગેરે ભારતની જમા બાજુ હતી. સામે ચીનની આબરૂ માથાભારે દેશ તરીકેની કોડીની. ચીન સામે ભારતને ઊભું કરવા જગતનાં શ્રીમંત દેશોએ ઘણી કોશિશ કરી હતી. પણ ઉપર કહ્યું એમ બ્રિક્સના સભ્ય દેશોની પોતપોતાની સમસ્યાઓ હતી અને એમાં ભારતની સમસ્યા ચીનની તુલનામાં જટિલ હતી. ભારત તેનો ઉકેલ નહીં લાવી શક્યું અને ચીન ભારત કરતાં ક્યાં ય આગળ નિકળી ગયું હતું. આજે ચીન માત્ર આર્થિક રીતે જ નહીં પણ લશ્કરી રીતે પણ જગતમાં એક મહાસત્તા બની ગયું છે. અત્યંત મૂલ્યવાન અઢી દાયકા ભારતે વેડફી નાખ્યા.

શું ભારતની સમસ્યાઓ એટલી બધી જટિલ હતી કે તેને ઉકેલી ન શકાય? ઉકેલી શકાય એમ હતી તો કેમ નહીં ઉકેલાઈ? ચીનની લગોલગ ઊભા રહેવાની તક ભારતે કેમ ગુમાવી !

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 31 ઑગસ્ટ 2023

Loading

તેઓ સામસામા સ્કોર કરે છે ઊંચનીચમુક્ત સમાજ માર્યો ફરે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 August 2023

રાજ્યમાં ઓ.બી.સી. અનામત

સોલંકીનો ખામ વિક્રમ તોડી નહિ શકનાર પણ 2002થી સળંગ ચૂંટણી જીતનાર મોદીવ્યૂહ મંડલમંદિરના જોડાણ પર વિકાસના વરખનો હતો 

પ્રકાશ ન. શાહ

રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓ.બી.સી. અનામતની જાહેરાત કરી તે સાથે ભા.જ..પ અને કાઁગ્રેસ વચ્ચે રાબેતા મુજબની સામસામી આતશબાજી આપણે જોઈ રહ્યા છીએ. બંને બાજુની વિગતોમાં તારતમ્યને ધોરણે સત્યાંશ હોઈ શકે છે, પણ સ્વરાજની વડી પાર્ટી તરીકે કાઁગ્રેસ અને વર્તમાન સત્તાપક્ષ ભા.જ.પ. બેઉ જે એક મુદ્દે કસુરવાર અને જવાબદાર છે તે એ કે સ્વરાજના આઠ દાયકા લગોલગ છીએ ત્યાં લગી આવી જોગવાઈઓ જરૂરી લાગે છે એ એક દુર્દૈવ વાસ્તવ છે.

નાત-જાત કોમલિંગ ધરમમજહબ એક્કે ભેદભાવ વગર સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એક ઐતિહાસિક નિર્ણય હતો. દલિત અધિકારના લડવૈયા, ક્યારેક આદિવાસ મતાધિકાર બાબતે મોળા વરતાયેલા આંબેડકરે બંધારણ પાઇલટ કરતી વખતે ન તો સાર્વત્રિક પુખ્તવય મતાધિકારને મુદ્દે આદિવાસીઓ જોડે ભેદભાવનું વલણ દાખવ્યું હતું, ન તો સવર્ણને એક મત અને દલિતને બે મતની ભાષામાં વાત કરી હતી. ગાંધી-નેહરુ-પટેલ એ સ્વરાજત્રિપુટી સહિતની નક્ષત્રમાળા સમસ્ત છતે ભાગલે ધરમમજહબના ભેદ વગર સાર્વત્રિક પુખ્તવય મતાધિકારને પુરસ્કારતી હતી. સમાજમાં ઊંચનીચ અને ભેદભાવ એક વાસ્તવિકતા છે અને સાર્વત્રિક મતાધિકારનો યથાર્હ તથા યથાર્થ ભોગવટો શક્ય બને તે માટે અનામત સહિતની જોગવાઈઓનું ચોક્કસ લૉજિક સ્વીકારાયેલું છે.

પાકિસ્તાનના વિધિવત્ ઠરાવ પૂર્વે મોહમ્મદ અલી ઝીણાએ ઉછાળેલો એક મુદ્દો એ હતો કે ઇંગ્લેન્ડમાં કૉન્ઝર્વેટિવ અને લેબર બે મુખ્ય પક્ષો છે, અને લિબરલ પક્ષ પણ છે. ત્યાં આજે લેબર તો આવતીકાલે કૉન્ઝર્વેટિવ એમ પલટો અને વિકલ્પ શક્ય છે. પણ હિંદમાં આજે હિંદુઓ ને કાલે મુસ્લિમો એવો સત્તાપલટો ક્યાં શક્ય છે ? અહીં તો હિંદુઓ કાયમી બહુમતી છે, અને મુસ્લિમો કાયમી લઘુમતી છે. વસ્તુતઃ ઝીણાની દલીલ, સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના લોકશાહી અભિગમ પ્રમાણે ગ્રાહ્ય નહોતી, કેમ કે મતદારે પસંદ કરવાનો છે. તે હિંદુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી નથી, ન તો વાણિયા – બ્રાહ્મણ – દલિત પણ છે. મતદારે તો કાર્યક્રમ ને ચારિત્ર્ય આધારિત પસંદગી કરવાની છે.

આવી પસંદગીમાં સુવાણ વાસ્તે કેટલોક સકારાત્મક અગ્રતાવિવેક કેળવવો રહે છે. અનામત તરેહની જોગવાઈઓ આમાંથી આવે છે. આપણને સવર્ણ-અવર્ણ અંતર સમજાતું હોય તો પણ, જેમ કે, કથિત સવર્ણ સમુદાય માંહેલા ઊંચનીચ પકડાતાં નથી. હિંદુ ધર્મમાંથી મુક્તિની લાહ્યમાં મુસ્લિમ તો થતા, પણ તમે બ્રાહ્મણમાંથી થયેલા મુસ્લિમ કે કથિત નીચલી પાયરીએથી આવેલા મુસ્લિમ, એવું જ ખ્રિસ્તીઓમાં પણ – વિનોબાએ આબાદ કહેલું કે જો જાતી હિ નહીં વો જાતિ હૈ.

હું નથી ગાંધીવાદી કે નથી માર્ક્સવાદી એમ કહેતા ઝુઝારુ એટલા જ સ્વાધ્યાય પ્રવણ સમાજવાદી લોહિયા નવા સમાજની દૃષ્ટિએ ‘પિછડોંકી રાજનીતિ’ના સમર્થક હતા. ચરણસિંહના રાજકારણમાં એ મુદ્દો અંશતઃ અલબત્ત ટૂંકનજરી રાહે પણ ઊભર્યો અને જેપી આંદોલનોત્તર માહોલમાં તે બિહારમાં લાલુ અને ઉત્તર પ્રદેશમાં મુલાયમને ફળ્યો.

જો કે, રાષ્ટ્રીય રાજકારણમાં એનો યશ કે જવાબદારી કાઁગ્રેસનીમ્યા મંડલ પંચની ભલામણોનો અમલ કરવાની જાહેરાત સારુ વિશ્વનાથ પ્રતાપ સિંહને નામે જમે બોલે છે.

ગુજરાતમાં તે પૂર્વે બક્ષીપંચ અને સવિશેષ તો માધવસિંહ સોલંકી પ્રણિત ખામ વ્યૂહ પણ આ સંદર્ભમાં સંભારવાં રહે છે. માધવસિંહના ક્ષત્રિય (K), હરિજન (H) આદિવાસી (A) અને મુસ્લિમ (M) એમ ‘ખામ’ સાથે ભા.જ.પે. કરેલી સર્જરી ‘ખાસ’ની હતી, મુસ્લિમને સ્થાને સવર્ણ (S) મૂકીને. એમનો વિક્રમ નહીં તોડી શકનાર પણ 2002થી સળંગ ચૂંટણીઓ જીતનાર મોદીવ્યૂહ મંદિરમંડલના જોડાણ ઉપર વિકાસના વરખનું હતું.

ગાંધીના સત્યાગ્રહી દર્શન, લોહિયાના સપ્તત્રાંતિ દર્શન કે જેપીના સંપૂર્ણ ક્રાંતિ દર્શન સિવાયનાં આ ઝાવાં આને કે તેને ફળે, પણ નાગરિક તો શોધ્યો જડે તો જડે. નેતૃત્વ, નેતૃત્વ, તું ક્યાં છો.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 30 ઑગસ્ટ 2023

Loading

લાલબત્તી ગઈ પણ વી.આઈ.પી. કલ્ચર રહ્યું

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 August 2023

ચંદુ મહેરિયા

દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુના સલામતી કાફલામાં તેમની મોટરકારની આગળ એક પાઈલોટિંગ મોટરસાઈકલ જ રહેતી હતી. આજે પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના મુખ્ય મંત્રી ભગવંત માનના સલામતી કાફલામાં બેતાળીસ વાહનો હોય છે ! કદાચ એ દેશના કોઈ પણ વી.આઈ.પી.નો સૌથી મોટો સુરક્ષા કાફલો છે. પણ રહો તેમની પૂર્વેના કાઁગ્રેસ અને અકાલી દળના મુખ્ય મંત્રીઓના સુરક્ષા કાફલા પણ કંઈ સામાન્ય નહોતા. તેમના કાફલામાં અનુક્રમે ઓગણચાલીસ અને તેત્રીસ વાહનો રહેતા હતા ! સલામતીના નામે વી.આઈ.પી. કલ્ચર કેવું ફાટીને ધૂમાડે ગયું છે, તેના આ વિરોધ અને રોષ જન્માવે તેવા દાખલા છે.

પદ, પ્રતિષ્ઠા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેમને કેટલીક ખાસ સગવડો કે વિશેષાધિકારો આપવામાં આવે છે તે વી.આઈ.પી. ગણાય. તેમાં રાજનેતાઓ, વહીવટી, પોલીસ અને લશ્કરી અધિકારીઓ, ન્યાયાધીશો, ફિલ્મીકલાકારો, ક્રિકેટરો, ધાર્મિક નેતાઓ વગેરેનો સમાવેશ થાય છે.

વી.આઈ.પી.ને મળતી ખાસ સુવિધાઓનો એ હદે દેખાડો અને અમર્યાદિત ઉપયોગ થઈ રહ્યો છે કે તે વી.આઈ.પી. કલ્ચર નહીં અપસંસ્કૃતિ કહેવાય. તેને માઈબાપ સરકાર સંસ્કૃતિ, વી.આઈ.પી. ફસ્ટ, હીરોગીરી, શક્તિનું પ્રદર્શન, તાકાતનો દેખાડો, સ્ટેટ્સ સિમ્બોલ અને સરકારી સુવિધાભોગી વર્ગ તરીકે પણ ઓળખી શકાય. વૈભવ પ્રત્યે આકર્ષિત અને અચંબિત ભારતીય લોકમાનસ દિલોદિમાગથી તો સાદગી સમર્થક અને પ્રશંસક છે. એટલે વી.આઈ.પી. કલ્ચર પ્રત્યે લોકોમાં તિરસ્કારની ભાવના વ્યાપક છે.

હજુ હમણાના જ દિવસોમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ ગૌતમ ચૌધરી પુરુષોત્તમ એકસપ્રેસમાં નવી દિલ્હીથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા. ટ્રેન ત્રણ કલાક લેટ ચાલતી હતી. તેથી જજસાહેબે અલ્પાહાર માટે પેન્ટ્રીનો અને પછી પોલીસનો સંપર્ક કર્યો. પણ તેમને કોઈ જવાબ મળ્યો નહીં. આ સંદર્ભે અલ્હાબાદ વડી અદાલતના રજિસ્ટાર (પ્રોટોકોલ) એ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી ફરિયાદ કરી અને જજસાહેબને પડેલ તકલીફ તથા પ્રોટોકોલનો અમલ ના કરવા બદલ જવાબદારો સામે પગલાં ભરવા જણાવ્યું. દિલ્હી હાઈકોર્ટના પૂર્વ અને કોલકાતા હાઈકોર્ટના વર્તમાન જજ ગૌરાંગ કંઠના દિલ્હી આવાસે સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીથી ઘરનો બહારનો ગેટ ખૂલ્લો રહી જતાં જજસાહેબનો પાલતુ કૂતરો ક્યાંક જતો રહ્યો. એટલે ન્યાયાધીશ મહોદયે દિલ્હીના પોલીસ કમિશનરને પત્રથી ફરિયાદ કરી કે તેમનો કૂતરો સુરક્ષાકર્મીના બેજવાબદાર વર્તનથી ખોવાઈ ગયો હોઈ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરો.

શાયદ તાજેતરના આવા જ બનાવોને અનુલક્ષીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ તમામ હાઈકોર્ટોના ચીફ જસ્ટિસને પત્ર લખી જણાવ્યું છે કે જજીસ તેમને પ્રોટોકોલ પ્રમાણે જે સુવિધાઓ મળે છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે અને લોકોના કરતાં તેઓ જુદા કે ઊંચા છે તેવું દેખાડવા તેનો ઉપયોગ ન કરે. જસ્ટિસ ચંદ્રચૂડની આ ટકોર સમયસરની છે અને જો તેનો અમલ થશે તો તે જજીસને જાહેર આલોચનાથી બચાવશે.

છેક ૨૦૧૩માં એક જાહેર હિતની અરજીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વી.આઈ.પી.ઓના વાહનો પરની લાલ લાઈટ દૂર કરવા કાયદામાં સુધારો કરવા અને વી.આઈ.પી.ની યાદી જાહેર કરવા કેન્દ્ર સરકારને જણાવ્યું હતું. સરકારને આટલી આસાન બાબતનો અમલ કરતાં ચાર વરસ લાગ્યા હતા. ૨૦૧૭માં ભારત સરકારે મોટર વાહન નિયમોમાં સુધારો કરીને લાલ લાઈટ દૂર કરી હતી. સામંતશાહી કે સત્તાનું પ્રતીક લાલ બત્તી જવાથી લોકોના તમામ દુ:ખ દૂર થઈ ગયાં અને  વી.આઈ.પી. કલ્ચર નાબૂદ થઈ ગયું એવો માહોલ એ સમયે ઊભો કરવામાં આવ્યો હતો.

પરંતુ વી.આઈ.પી. કલ્ચર તો બીજા અનેક સ્વરૂપે હજુ છે જ. અત્યાધિક સુરક્ષા વ્યવસ્થા, વી.આઈ.પી.ને કારણે રસ્તા પરનો ટ્રાફિક રોકવો, ટોલ ટેક્સમાંથી મુક્તિ, ઉદ્દઘાટનો અને શિલાન્યાસોની તકતીઓમાં નામ, સાઈરન, એરપોર્ટ કે રેલવે સ્ટેશનો પર અલગ વી.આઈ.પી. લોન્જ, વિમાનમાં ચઢવામાં પ્રાથમિકતા, અનેક બાબતોમાં વી.આઈ.પી. ક્વોટા જેવા વિશેષાધિકારો હજુ યથાવત છે. કેટલાક તો તેમણે જાતે મેળવી લીધા છે. જેમ કે સરકારી ગાડીમાં બાળકોને શાળાએ મોકલવા કે પત્નીએ શાકબકાલું લેવા જવું, પટાવાળાએ સાહેબ આવે ત્યારે બ્રીફ કેસ લેવા જવું, ડ્રાઈવર ઉંમરમાં મોટા હોય તો ય સાહેબની ગાડીનો દરવાજો તો તેમણે જ ખોલવો, અંગત કામ માટે સરકારી કચેરીના સ્ટાફનો ઉપયોગ કરવો, ઓફિસના પટાવાળાને ઘરકામ માટે રાખવા વગેરે. એટલે આ બધી સગવડોની તુલનામાં વાહનો પરની લાલ લાઈટ દૂર કરવી તો સાવ તુચ્છ લાગે છે.

જો કે કેટલાક વી.આઈ.પી.એ આ વિશેષાધિકારો પર લગામ કસવાના પ્રયાસો કર્યા છે. વર્તમાન સરકારે આખા દેશમાં સાવ સસ્તી એવી સંસદની કેન્ટીનમાં મળતી ખાણીપીણી પરની સબસિડી દૂર કરી છે. વી.પી. સિંઘે તેમના પ્રધાનમંત્રીકાળમાં વડા પ્રધાનના વિદેશપ્રવાસ વખતે આખી કેબિનેટ એરપોર્ટ પર વિદાય આપવા કે આવકારવા જાય તે બંધ કરાવ્યું હતું. તે પછીના વડા પ્રધાનો પણ તેને અનુસર્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાતે ઓફિસમાં બેલ વગાડી પટાવાળાને બોલાવવાનું બંધ કરી રેલવેના અધિકારીઓને પણ બેલ વગાડવી બંધ કરવા જણાવ્યું છે. અસમના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ સરમાએ તેમની ગાડી રસ્તા પરથી પસાર થાય ત્યારે જરા ય ટ્રાફિક ના રોકવા આદેશ કર્યો છે. તેથી વી.આઈ.પી.ને કારણે જાહેર રસ્તા બંધ કરવાથી લોકોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે. કદાચ આ પ્રયત્નો વી.આઈ.પી. માનસિકતામાં બદલાવ આણી શકશે. જો કે કેટલાક વી.આઈ.પી.એ લાલબત્તીના વિકલ્પે હૂટર અને કેટલાકે સરકારી હોદદ્દો લખેલી ઝંડી લગાવીને પોતે સામાન્ય પ્રજાથી નોખા હોવાનું જણાવવાનું ચાલુ રાખ્યું છે.

વી.આઈ.પી. સંસ્કૃતિ સર્વત્ર વ્યાપેલી છે. નવી દિલ્હીના યમુના તટે રાજઘાટની પાડોશમાં વી.આઈ.પી. સ્મશાન વિકસ્યું છે. ઘણાંને તેમાં મર્યા પછી સ્થાન જોઈએ છે. ભલે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ પીઠના ચુકાદામાં મંદિરમાં વિરાજતા ભગવાન સિવાય કોઈ વી.આઈ.પી. નથી તેમ જણાવે પણ મંદિરોમાં વી.આઈ.પી.ના માનપાન એ હદના હોય છે કે તેઓ દર્શનાર્થે પધારે છે ત્યારે આખા મંદિર પરિસરને સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. હજયાત્રામાં પણ મોટો વી.આઈ.પી. ક્વોટા હોય છે. કુદરતી કે માનવ સર્જિત આફત વખતે વી.આઈ.પી. અને તેમના કુટુંબને બચાવ અને રાહત પહેલા પહોંચે છે. હોસ્પિટલની સારવારમાં તેમને અગ્રક્રમ મળે છે. એટલે માત્ર લાલ લાઈટ જવાથી વી.આઈ.પી. કલ્ચર જવાનું નથી.

સર્વોચ્ચ અદાલતના આદેશથી ભારત સરકારને ૨૦૧૫માં વી.આઈ.પી.ની સૂચિ બનાવવી પડી ત્યારે તેમાં પહેલા ૨,૦૦૦ અને પછી ૧૫,૦૦૦ નામ હતા. બ્રિટનમાં ૮૪, ફ્રાન્સમાં ૧૦૯, જાપાનમાં ૧૨૫, જર્મનીમાં ૧૪૨, ઓસ્ટ્રેલિયામાં ૨૦૫, અમેરિકામાં ૨૫૨, દક્ષિણ કોરિયામાં ૨૮૨, રશિયામાં ૩૧૨ અને ચીનમાં ૪૨૫ વી.આઈ.પી. છે. પણ મેરા ભારત મહાનમાં આજે આશરે પ લાખ ૮૦ હજાર વી.આઈ.પી. છે ! હવે આ અપસંસ્કૃતિ સામે ના તો ન્યાયતંત્ર સંઘર્ષ કરતું દેખાય છે કે ના તો આમ આદમી. એટલે વી.આઈ.પી.ને તેનો પેધો પડ્યો છે અને બાકીનાને જાણે કે કોઠે પડી ગયું છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,0391,0401,0411,042...1,0501,0601,070...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved