Opinion Magazine
Number of visits: 9743157
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દ્વન્દ્વ હિંદુ અને મુસલમાનની વચ્ચે છે કે હિંદુઓની અંદર છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 September 2023

માણસાઈથી મોટી પક્ષપાતરહિત સેક્યુલર ચીજ આ જગતમાં એકેય નથી

રમેશ ઓઝા

ગયા અઠવાડિયે એક શરમજનક ઘટના બની. ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર નજીક આવેલા ખુબ્બાપુર નામના ગામમાં ત્રીપ્તા ત્યાગી નામની શિક્ષિકાએ હિંદુ વિદ્યાર્થીઓને કહ્યું કે મુસલમાનો હલકી કોમ છે અને તે ઝૂડવાને લાયક છે અને એ પછી વર્ગમાંના એક મુસલમાન વિદ્યાર્થીને ઊભો કરીને તેમણે હિંદુ વિદ્યાર્થીઓને આદેશ આપ્યો કે વારાફરતી એક એક કરીને આને ઝૂડો. આ બહેન સરકારી શાળાની માત્ર શિક્ષિકા નથી, તે ખાનગી શાળાની માલિક છે અને પ્રિન્સિપાલ પણ છે, એટલે એટલું અનુમાન તો સહેજે કરી શકાય કે તે અને તેમનો પરિવાર શિક્ષણનો ધંધો કરવા સત્તાધારીઓને રાજી રાખવાની કસરત કરતા હશે. ખુબ્બાપુરની ઘટના વિશેનો જે વીડિયો વાયરલ થયો છે એમાં એ બહેન એમ કહેતાં દેખાય છે અને સંભળાય છે કે “મૈને તો ડીકલેર કર દિયા, જીતને ભી મોહમેડિયન બચ્ચે હૈ ઇનકે વહાં પહુંચ જાઓ.”

આ ઘટના અંગે દેશભરમાં પ્રતિક્રિયા પેદા થઈ, ત્યારે ત્રીપ્તા ત્યાગીએ બે હાથ જોડીને માફી માગતાં કબૂલ કર્યું હતું કે “મારાથી ભૂલ થઈને છે અને મને માફ કરવામાં આવે.” પરંતુ એ તેમની સ્વાભાવિક અને પહેલી પ્રતિક્રિયા હતી, પરંતુ એ પછી તેમણે કાવતરાની અને તેમને ફસાવવામાં આવ્યાં હોવાની થિયરી રજૂ કરી હતી. આ પણ સમજાય એવી સ્વાભાવિક વાત છે. અધમ કક્ષાનો ગુનો હિંદુ કરે, ગુનો કબૂલ પણ કરે અને માફી માગે તો તો હિંદુ લજવાય અને હિંદુ કોઈ પણ સંજોગોમાં લજવાવો ન જોઈએ. આત્મનિરીક્ષણ, ભૂલની કબૂલાત, પ્રાયશ્ચિત, શરમ અનુભવવી, જીવ કોચવાવો, માફી માગવી વગેરે સારા માણસનાં લક્ષણો હોય તો ભલે હોય, કેટલાક લોકોને જે “હિંદુ” અભિપ્રેત છે એ હિંદુનાં ન હોઈ શકે. માટે ત્રીપ્તાબહેનને કહેવામાં આવ્યું હશે કે ખબરદાર બહેન, માણસાઈની એરણે મોળા પડવાનું નથી, રાજ આપણું છે, એટલે સત્તાની એરણે ગુનો કર્યા પછી પણ શરમાયા વિના ગર્વથી ઊભા રહેવાનું છે. એ તો યાદ જ હશે કે વારંવારની જાતીય સતામણી સામે રસ્તા પર ઉતરેલી પહેલવાન છોકરીઓ સામે બ્રજભૂષણ શરણસિંહ કેવા મોળા પડ્યા વિના ઊભા રહ્યા હતા! જરા ય લાજ-શરમ અનુભવી હતી! તેમના ચહેરા પર શરમનો શેરડો પણ ક્યાં ય જોયો હતો?

માટે માણસાઈની એરણ ભૂલી જાઓ, સત્તાની અને સરસાઈની એરણ કેન્દ્રમાં રાખો. જો સત્તા અને સરસાઈને કેન્દ્રમાં નહીં રાખો અને માણસ બનવામાં જિંદગી વેડફી નાખશો તો હિંદુ રાજ ક્યારે ય અસ્તિત્વમાં નહીં આવે. ઉત્તર પ્રદેશ સરકારે ત્રીપ્તા ત્યાગી સામે એવી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે કે તેમની ધરપકડ કરવી ન પડે, તેમને એક દિવસ માટે પણ જેલમાં જવું ન પડે. ડીટ્ટો બ્રજભૂષણ શરણસિહ સાથે થયું હતું એમ. બીજી બાજુ જાણીતા ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેર સામે શાળામાં પ્રતાડિત કરવામાં આવેલા મુસ્લિમ વિદ્યાર્થીનું નામ જાહેર કરવા માટે ગુનો દાખલ કર્યો છે; અને કદાચ તેમની ધરપકડ પણ કરવામાં આવશે. કોરા સત્યને ઉજાગર કરનારા આ ઝુબેરની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી અને તેને બે મહિના જેલમાં રહેવું પડ્યું હતું. ઝુબેર જેવાઓ માણસાઈની એરણે હિંદુઓને માપે એ કેમ ચલાવી લેવાય! એ અક્ષમ્ય ગુનો છે.

મોહમ્મદ ઝુબેર અને કેટલાક સેક્યુલર હિંદુઓ તો ઠીક, સાવ સામાન્ય હિંદુઓને પણ આનો અનુભવ થયો! કદાચ પહેલીવાર. મુઝફ્ફરનગરની ઘટના વાયરલ થઈ એ જોઇને મોટી સંખ્યામાં હિંદુઓએ આઘાતનો અનુભવ કર્યો. આ ન ચાલે. આવું તો ન જ કરાય. નાના બાળકને આવી રીતે મરાતું હશે! ભગવાન આને માફ ન કરે. હિંદુને આ ન શોભે. હિંદુ ધર્મ આવું નથી કહેતો, વગેરે વગેરે. સોશ્યલ મીડિયા પર સામાન્ય હિંદુઓનો માણસાઈનો પોકાર જોઇને આ લખનારને શાતા વળી હતી. કેવી સુંદર ઘટના જેમાં મોટી સંખ્યામાં હિંદુઓ માણસાઈના પડખે ઊભા રહ્યા. જે હિંદુ ધર્મને હું સમજ્યો છું, જે હિંદુ દર્શન(બ્રાહ્મણ અને શ્રમણ બન્ને)નો મેં અભ્યાસ કર્યો છે, જે હિંદુ વારસાનો મને પરિચય છે, જે હિંદુ પરિવેશમાં મારો ઉછેર થયો છે એ હિંદુ આવો જ હોય! આવો જ હોવો જોઈએ. હિંદુ હોવા માટે અભિમાન ધરાવનારાઓની છાતી ગજગજ ફૂલે એવી એ સુંદર ઘટના હતી. હું તો હિંદુ ધર્માભિમાની નથી, પણ મેં પણ ગર્વનો અને એનાથી વધુ ઉપર કહ્યું એમ શાતાનો અનુભવ કર્યો હતો.

પણ પછી બીજા-ત્રીજા દિવસે સૈનિકો બહાર આવ્યા. જેનો કોઈ પણ રીતે બચાવ ન થઈ શકે એનો બચાવ કરવા કસરત કરવા લાગ્યા. કોઈ મુસલમાનોના અત્યાચારો યાદ કરાવવા લાગ્યા તો કોઈ વળી કાઁગ્રેસના પક્ષપાતના. કોઈએ સેક્યુલર હિંદુઓના પક્ષપાતી સેકયુલરિઝમની યાદ અપાવી. કોઈક એવા પણ હતા જે ઘટના પાછળની ઘટના કે ઘટનાઓ રચી રચીને રજૂ કરવા લાગ્યા. કોઈક વળી વિદ્વતાનો અંચળો ઓઢીને સેમેટિક ધર્મો(મુખ્યત્વે ઇસ્લામ અને કાંઈક અંશે ખ્રિસ્તી)ના સ્વભાવ વિષે મલ્લીનાથી કરવા લાગ્યા. ઉદ્દેશ એક જ હતો જે આગળ કહેવામાં આવ્યું છે. માણસાઈની એરણે હિંદુ લજવાય અને મોળો પડે તો હિંદુ રાજ કેવી રીતે અસ્તિત્વમાં આવે અને આવે તો ટકી રહે. સત્તા અને સરસાઈની એરણે ટકી રહેવું જરૂરી છે.

તો હવે કહો કે આનો અર્થ તમે શું કરશો? દ્વન્દ્વ હિંદુ અને મુસલમાનની વચ્ચે છે કે હિંદુઓની અંદર છે? એક એ હિંદુ છે જે હિંદુ હોવા ઉપરાંત માણસ બની રહેવા માગે છે અને એક એ હિંદુ છે જે માણસાઈના ભોગે હિંદુ હોવાપણું શોધે છે. આ સવાલ મુસ્લિમ વિશ્વમાં પણ પૂછાવો જોઈએ અને કેટલાક ભલા મુસલમાનો પૂછે પણ છે, પરંતુ તેમનો આવાજ જોઈએ એટલા પ્રમાણમાં લોકો સુધી પહોંચતો નથી. દ્વન્દ્વ મુસલમાનોની વચ્ચે છે કે મુસ્લિમ અને કુફ્ર(ઇસ્લામને નહીં માનનારાઓ)ની વચ્ચે છે? જો એ અવાજ બુલંદ હોત અને આમ મુસલમાન સુધી પહોંચ્યો હોત તો આજે મુસ્લિમ દેશોની સ્થિતિ જેવી છે એવી ન હોત. ધર્માંધ લોકો “આપણે” અને “બીજાઓ” વચ્ચેનાં દ્વન્દ્વનો આશરો લે છે કે જેથી અંદર ડોકિયું કરવું ન પડે. તેમને અંદર ડોકિયું કરતાં ડર લાગે છે અને જો લોકો અંદર ડોકિયું કરતા થાય અને તેનો માયલો જાગે તો તો હજુ વધુ ડર લાગે છે. માણસાઈથી મોટી પક્ષપાતરહિત સેક્યુલર ચીજ આ જગતમાં એકેય નથી.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 સપ્ટેમ્બર 2023

Loading

ભારત-ચીન સરહદ વિવાદઃ ચીનથી ચેતવું માત્ર ભારત માટે નહીં વિશ્વ શાંતિ માટે અનિવાર્ય

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 September 2023

વિશ્વમાં સત્તાની દોડમાં જોડાયેલા રાષ્ટ્રોને અત્યારે 3જું વિશ્વ યુદ્ધ પોસાય તેમ નથી, વળી ચીન-ભારત અને પાકિસ્તાનના સંજોગોનું કોકડું એકબીજા સાથે કોઈને કોઈ રીતે ગુંચાવેયલું છે ત્યારે ભારત માટે બે ધારી તલવાર પર ચાલવા જેવી સ્થિતિ છે.

ચિરંતના ભટ્ટ

ડિસેમ્બર ૨૦૨૨થી ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર અથડામણ ચાલી રહી છે. નિયંત્રણ રેખા એટલે કે Line of Actual Control જે 2,100 માઇલ લાંબી સરહદ છે ત્યાં ખેંચાતાણી ચાલી રહી છે. 2020માં ગલવાન વૅલીમાં જે સંઘર્ષ થયો એમાં 20 ભારતીય સૈનિકો અને લગભગ ચાર જેટલા ચીની સૈનિકોના જીવ ગયા. આવી અથડામણો થાય પછી બધું થાળે પાડવા સરકારો વચ્ચે સંવાદ થાય અને થોડો સમય બધું ઠેકાણે રહે પણ પછી બધું જ્યાંનું ત્યાં. થોડા વખતમાં G20 સમિટ શરૂ થવાની છે જેમાં ચીનના રાષ્ટ્રપતિ પણ સામેલ થવાના છે. આ પહેલાં જ ચીને પોતાના ‘સ્ટાન્ડર્ડ મૅપ’ એટલે કે માનક માનચિત્ર કે માનક નકશો જેને કહેવાય તે રજૂ કર્યો જેમાં અરુણાચલ પ્રદેશને પોતાના દેશનો હિસ્સો ગણાવ્યો છે અને ફરી એકવાર સીમા વિવાદ છંછેડાયો. જો કે ચીને તો તાઈવાન પર પણ પોતાનો દાવો માંડ્યો છે. વળી આ બધી જંજાળ ત્યારે ખડી થઈ જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં સાઉથ આફ્રિકામાં મળશે કેમની અટકળોએ જોર પકડ્યું હતું. વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ગયા અઠવાડિયે મુલાકાત થઈ અને લાઇન ઑફ એક્ચુઅલ કન્ટ્રોલ પરથી સૈનિકોએ પાછા ફરવું જોઈએની ચર્ચા બન્ને સત્તાધીશો વચ્ચે થઈ હોવાના અહેવાલ પણ આવ્યા. મોદીએ ચીની પ્રમુખને LACનું સન્માન કરવા કહ્યું તો ચીનના વિદેશ મંત્રાલયમાંથી પણ એવા અહેવાલ બહાર પડ્યા કે શી જિનપિંગ પણ દૃઢતાપૂર્વક એમ માને છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધરે તે જરૂરી છે. આ ચર્ચા તો થઈ અને તે પછી પણ કંઈ બધું પાર પડી ગયું છે એમ માની લેવાનું કોઈ કારણ નથી. ચીન સાથેના આ સહરહદી સંઘર્ષનો ઇતિહાસ કેટલો પુરાણો છે તે સમજવાનો પ્રયાસ કરીએ. અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવો સંકેત હતો કે સૈન્ય પાછળ ખસવા તૈયાર છે પણ તેમને રાજકીય નેતૃત્વની આ મામલેની સ્વીકૃતિની રાહ છે.

ભારત અને ચીનનો સરહદ પરનો સંઘર્ષ નવો નથી. સૌથી પહેલી ચકમક 1959માં ઝરી હતી જ્યારે ચીનની ટુકડીએ પેટ્રોલિંગ કરતા નેફ ફ્રંટિયર પર લોંગજુમાં હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને ત્યાંથી નીકળી જવું પડ્યું અને તેઓ ભારત આવ્યા, આ સફર તેમણે પગપાળા કરી હતી. 2017માં દલાઈ લામાએ જ્યારે અરુણાચલ પ્રદેશની યાત્રા કરી ત્યારે ચીને તેમનો આકરો વિરોધ કર્યો અને આમ કરવાથી ભારતને કોઈ લાભ નથી થવાનો એવો દેકારો પણ કર્યો. ચીન અને ભારત વચ્ચેનો સંઘર્ષ આમ તો હવે 46 વર્ષથી ચાલે છે પણ 3 વર્ષ પહેલાં 2020માં ગલવાન ઘાટીમાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ, ત્યારે 43 વર્ષથી ચાલતા ગોળીબારી વગરના સંઘર્ષને 43 વર્ષ થયા હતા. ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં અતિક્રમણ – ધુસણખોરી કરવી, એ વિસ્તારને પોતાનો ગણાવવો ચીન માટે કંઇ નવું નથી. આ પહેલાં ચીને ડોક્લામને પણ પોતાનો વિસ્તાર ગણાવ્યો છે અને એ વિવાદ પણ ખાસ્સો ચાલ્યો હતો. વળી એ વખતે ભારતને નેવે મૂકીને ચીને ભૂટાન સાથે ચર્ચા શરૂ કરી દીધી હતી, જ્યારે અહીં તો ભારત, ચીન અને ભૂટાનની સરહદો ભેગી થાય છે.

આમ તો ચીન સાથે ભારત 3,488 કિલોમિટરની લાંબી સરહદ ધરાવે છે, જે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે. તિબેટને તો ચીન પોતાનો જ હિસ્સો ગણાવે છે, તો અરુણાચલ પ્રદેશમાં મૅકમોહન રેખાને અને અક્સાઈ ચીન પર ભારતના દાવાને ચીન જરા ય ગણકારતું નથી. ચીન અને ભારત વચ્ચેના આ સંઘર્ષને કારણે બન્ને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધો પર પણ અસર પડી છે. ચીની કંપનીઓના એક્સપર્ટ્સ કે અધિકારીઓને ભારતનો વિઝા મળવામાં પણ મુશ્કેલી પડે છે તો ચીનથી આયાત થતી ચીજો પર ડ્યૂટી પણ વધારી દેવાઈ છે. આ મામલો જટિલ છે અને તે માત્ર જમીનનો પ્રશ્ન નથી પણ ફોર્વર્ડ ડિપ્લોયમેન્ટનો (સૈનિકો પોતાના કેમ્પથી આગળ આવીને તૈનાત રહે) છે એવું આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કહ્યું હતું.

ચીન અને ભારત વચ્ચે વણસેલા સંબંધો ચિંતાજનક છે કારણ કે તેને કારણે સરહદના લશ્કરીકરણ, ભારતની કડક વિદેશી નીતિ અને પ્રાદેશિક વ્યૂહાત્મક સ્થિરતા પર આવતા જોખમ જેવા પડકારો ખડા થાય છે. વળી પાકિસ્તાન નજીક હોવાને કારણે તેને આ સમીકરણોમાંથી બાકાત ન રખાય. ત્યાં રાજકીય અને આર્થિક અરાજકતા છે. વળી એશિયાઈ રાષ્ટ્રોમાં કોણ સૌથી વધુ શક્તિશાળી છે તેની સ્પર્ધા પણ ચાલી રહી છે ત્યારે વ્યૂહાત્મક સ્થિરતાનું સંચાલન કરવું મુશ્કેલ થઇ જાય. ચીન, ભારત અને પાકિસ્તાનમાં જે સંજોગો છે તેને કારણે આખા પ્રદેશમાં સુરક્ષાના પ્રશ્નો પણ વધારે તેજ બને કારણ કે ત્રણેય રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો છે. વળી દરેક પોતાને માથે જોખમ હોવાનું કારણ આગળ ધરીને પોતાના પરમાણુ શસ્ત્રોની શક્તિમાં વધારો કરે અને તેને યોગ્ય પણ ઠેરવે. સરહદ પરનો તણાવ અને વિવાદો ક્યાંક પરમાણુ શસ્ત્રો પરના દરવાજા પાર કરી દે એવું જોખમ તો છે જ. પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થવાની શક્યતા તો નથી દેખાતી, પણ પણ સીમા પરના વિવાદો લશ્કરી રોકાણો વધારી શકે છે. ટૂંકમાં જો ચીન કે ભારત પોતાની પરમાણુ કે અન્ય લશ્કરી શક્તિ વધારે તો એવો ઘાટ થાય કે દુ:શ્મને શિંગડા તો નથી ભેરવ્યા પણ ધાર જરૂર કાઢી છે એટલે સરહદ પરની સ્થિતિ વધુને વધુ તંગ બનતી જાય.

આમ તો LAC પરની તંગ સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામાન્ય બાબત બની ગઈ છે અને ચીન કે ભારત કોઈ કશું પણ હળવાશથી નથી લઇ રહ્યા અને આવામાં યુ.એસ.એ. તરફથી ભારતને એ રીતે ટેકો મળે જેનાથી તણખામાંથી ભડકો ન થાય પણ એક સલામતીનો ભાવ પ્રસરે એમ થઇ શકે. યુ.એસ.એ. ધારે તો ભારતને ચીનને લગતી ઇન્ટેલિજન્સ અને અન્ય માહિતી આપી શકે જે અરુણાચલ પ્રદેશ સહરદે 2022માં જ્યારે સંજોગો વણસ્યા હતા ત્યારે આપી હતી. યુ.એસ.એ.ના આવા ટેકાથી ભારત ચીનનો સામનો કરવા સજ્જ રહી શકે. કમનસીબે અત્યારે ભારત-ચીનના સંબંધો અંગે કોઇ સ્પષ્ટતાની શક્યતાઓ નથી દેખાતી અને સરહદેથી બન્ને રાષ્ટ્રો પીછે હઠ કરે અથવા ત્યાંનો તંગ માહોલ હળવો બને એવું અત્યારે તો નથી લાગતું.

ચીન અને પાકિસ્તાન બન્ને જો ભારતની સામે પડે તો આવી બને. ભારતે આવા સંજોગો ટાળવા પગલાં તો લીધાં છે. આ પહેલાં પણ 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને કાબૂમાં રાખવા માટે ભારતે યુ.એસ.એ.ની મદદ લીધી હતી. 1971માં બાંગ્લાદેશના ભાગલા થવાના હતા ત્યારે પૂર્વ પાકિસ્તાનમાં કોઈપણ કાર્યવાહી કરતા પહેલા ભારતે એની ખાતરી કરી કે ચીનનો આખી બાબતમાં ઓછામાં ઓછો ફાળો હોય. આ વખતે ભારતે યુ.એસ.એસ.આર. સાથે શાંતિ કરાર કરેલા અને ચીનનો ચંચૂપાત ભારતે લૉન્ચ કરેલા ઑપરેશન્સને કારણે નહિંવત્ હતો.

જેવો ડર ભારતને હોય તેવો ચીનને પણ હોય. યુ.એસ.-ઇન્ડો સંબંધ સારા થઈ રહ્યા છે એમાં ચીનનો જીવ તાળવે તો બંધાય જ છે. ભારત જો ચીનને એમ સમજાવી શકે કે બે મોરચા ખોલી દેવામાં બન્નેને નુકસાન છે, LAC પર સ્થિરતા રાખવી બન્ને રાષ્ટ્રોની એક સરખી જવાબદારી છે અને ચીન LAC પર મનસ્વી વહેવાર કરે તો ભારત પણ પોતાની શક્તિ દેખાડી શકે છે તે અત્યાર સુધીના સંઘર્ષોમાં સાબિત થયું છે તો ચીન પણ સંયમની દિશામાં વિચારી શકે છે.

બાય ધી વેઃ

ભારત અને ચીને લદાખ પરના બોર્ડર વિવાદને લઇને આઠ વાર નિવેદનો આપ્યા છે, જેને હકારાત્મકતાથી જોવામાં આવે છે. શી જિનપિંગ G20માં આવશે કે નહીં તે અંગે પણ અત્યારે અટકળો ચાલી રહી છે. દસ મહિનાથી બેઇજિંગમાં ભારતીય એમ્બસેડરની નિમણૂક નથી થઈ. ચીને પહેલાં પણ ડિસએન્ગેજમેન્ટને – સંઘર્ષમાંથી છૂટા થવું અથવા દૂર થવુંના અર્થમાં – ઠરાવ – રિઝોલ્યૂશન – તરીકે ખપાવ્યું છે અને તેનાથી ભારતને નુકસાન જ થયું છે. ચીની સૈનિકો સરહદમાં જેટલા આગળ આવી ધસ્યા હતા તેનાથી સહેજ દૂર જઈને તેમણે તો લશ્કરનું મોટું માળખું ખડું કરી દીધું હતું, જ્યારે ભારતીય સૈન્યએ પોતાના શબ્દોને અનુસરીને પોતે જ્યાં પહેલાં તૈનાત હતા ત્યાં પાછા ફર્યા હતા. મોદી અને જિનપિંગ વચ્ચે થયેલી ચર્ચાઓથી સરહદ વિવાદ શાંત પડે તો તેનાથી બહેતર કંઇ ન હોઈ શકે. વૈશ્વિક સ્તરે રાજકીય અને આર્થિક અરાજકતાઓ પૂરતી છે અને તણખામાંથી ભડકો થાય જે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જાય તો એ કોઈ પણ રાષ્ટ્રને પોસાય એમ નથી. લદાખમાં ડોકલામ વાળી થાય એવું કોઈ નથી ઇચ્છતું અને માટે જ ચીનના ડિસએન્ગેજમેન્ટને રિઝોલ્યૂશન માની લેવાની ભૂલ આપણે ફરી ન કરવી જોઈ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 સપ્ટેમ્બર 2023

Loading

આર્ટિકલ 370માંની જોગવાઈ એના એ જ સ્વરૂપમાં જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હતી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 September 2023

રમેશ ઓઝા

૨૦૧૯માં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરને સ્વાયત્તતા આપતા બંધારણના આર્ટીકલ ૩૭૦ને રદ્દ કર્યો (આ અર્ધસત્ય છે જેનો ખુલાસો આગળ થશે) એની સામે કરવામાં આવેલી પિટીશન પર સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી છે. અદાલતના પાંચ વરિષ્ટ જજોની બંધારણીય બેન્ચની રચના કરવામાં આવી છે જેની અધ્યક્ષતા મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ કરી રહ્યા છે. સુનાવણીના બારમાં દિવસે મુખ્ય ન્યાયમૂર્તિએ એક મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે મૂળમાં આર્ટીકલ ૩૭૦માં જે જોગવાઈ છે અને ૨૦૧૯માં આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો ત્યારે જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તા અંગેની જે વાસ્તવિક સ્થિતિ હતી એ એક સરખી હતી? બીજા શબ્દોમાં કહીએ તો આર્ટીકલ ૩૭૦માંની જોગવાઈ એના એ જ સ્વરૂપમાં જમ્મુ અને કાશ્મીરમાં લાગુ હતી? કે પછી ૬૯ વરસોમાં આર્ટીકલ ૩૭૦ની જોગવાઈઓ વાસ્તવિક ધરાતલ પર ચળાતી ચળાતી નહીં જેવી થઈ ગઈ હતી? તેમણે હજુ વધુ ફોડ પાડીને પ્રશ્ન પૂછ્યો હતો કે પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે જે આર્ટીકલ રદ્દ કરવામાં આવ્યો એ શું એ દિવસે એના એ જ સ્વરૂપમાં લાગુ હતો જેવું તેનું સ્વરૂપ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે હતું?

અને એ પછી તેમણે સવાલ પૂછ્યો હતો કે ૨૦૧૯માં કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો એ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલીનીકરણ થાય એ દિશાનું તાર્કિક પગલું હતું? Was it really a logical step forward to achieve that integration?

૧૯૪૭-૪૮માં ભારતનાં અન્ય રાજ્યોની માફક જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં સંપૂર્ણ વિલીનીકરણ થઈ શક્યું નહોતું. મુખ્ય કારણ જમ્મુ અને કાશ્મીરના રાજવી મહારાજા હરિસિંહની મૂર્ખાઈ હતી. કુલ મળીને ૯૦ ટકા કરતાં વધુ મુસ્લિમ વસ્તી ધરાવનારા રાજ્યના રાજવી એવું સપનું જોતાં હતા કે જમ્મુ અને કાશ્મીર સ્વતંત્ર રહેશે, ભારત કે પાકિસ્તાનમાં નહીં જોડાય, તેઓ રાજવી તરીકે કાયમ રહેશે અને જમ્મુ અને કાશ્મીર એશિયાનું સ્વીત્ઝરલૅન્ડ બનશે. એ સમયે મહારાજા સ્વામી સંત દેવ નામના એક સાધુના પ્રભાવમાં હતા અને તેમણે મહારાજાને સ્વતંત્ર બૃહદ્દ ડોગરા રાજ્યનું સપનું દેખાડ્યું હતું. આ ઉપરાંત કેટલાક હિન્દુત્વવાદીઓને એમ લાગતું હતું કે જો જમ્મુ અને કાશ્મીર સ્વતંત્ર રહે તો જમ્મુ અને કાશ્મીરને હિંદુરાષ્ટ્ર બનાવી શકાય, એટલે એ લોકો પણ જમ્મુ અને કાશ્મીર ભારતમાં ન જોડાય અને સ્વતંત્ર હિંદુરાષ્ટ્ર બને એ માટે પ્રયત્નશીલ હતા.

આ સિવાય હૈદરાબાદના નિઝામે અને જૂનાગઢના નવાબે જાણીબૂજીને એવા નિર્ણયો લીધા હતા કે જોડાણની નીતિ સામે મૂળભૂત પ્રશ્નો પેદા થાય. પ્રશ્ન એ હતો કે જોડાણ અંગેનો અંતિમ નિર્ણય લેવાનો અધિકાર કોનો? રાજવીનો કે પ્રજાનો? જો જમ્મુ અને કાશ્મીરના હિંદુ રાજાને જોડાણ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવે તો જૂનાગઢના નવાબના નિર્ણયને અને હૈદરાબાદના નિઝામના નિર્ણયોને પણ માથે ચડાવવો જોઈએ. જો જૂનાગઢમાં દલીલ કરવામાં આવી હતી એમ પ્રજાનો નિર્ણય આખરી હોય તો જમ્મુ અને કાશ્મીરની ૯૦ ટકા મુસ્લિમ પ્રજાનો નિર્ણય માથે ચડાવવો જોઈએ. ટૂંકમાં ભારત માટે સ્થિતિ બહુ અનુકૂળ નહોતી અને એમાં ખરા ટાણે રાજા આડો ફાટ્યો.

જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં જોડાણ અને તેના રાજકારણ વિષે આખું એક પુસ્તક લખાય એટલા લાંબા ઇતિહાસને ટૂંકાવીને આર્ટિકલ ૩૭૦ પર પાછા આવીએ. જમ્મુ અને કાશ્મીરને હડપી લેવા પાકિસ્તાને આક્રમણ કર્યું અને ભારતે વળતો જવાબ આપીને જમ્મુ અને કાશ્મીરનો ૬૦ ટકા હિસ્સો બચાવી લીધો. મહારાજા પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો એટલે તેમણે ભારત સાથેનાં જોડાણને મંજૂર રાખ્યું. જો મહારાજા જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં જોડાણ ન કરે તો ભારત તેનું લશ્કર પણ મોકલી શકે એમ નહોતું અને કાશ્મીર તો ઠીક, રાજાને પણ બચાવી શકે તેમ નહોતું. બધું ઉતાવળે થયું હતું. બંધારણીય જરૂરિયાત મુજબ જોડાણ માટેનાં બે જોડાણખતની પ્રક્રિયા પૂરી થઈ શકે એમ હતી નહીં, આખા વિશ્વની કાશ્મીર પર નજર હતી, મુસલમાનોની વસ્તી ૯૦ ટકા કરતાં વધુ હતી, રાજ્ય પાકિસ્તાનને લાગીને હતું, જમ્મુ અને કાશ્મીરના બધા જ મુસલમાનો શેખ અબ્દુલ્લા સાથે નહોતા અને જે નહોતા એ પાકિસ્તાનમાં જોડાવાનો આગ્રહ રાખતા હતા, શેખ અબ્દુલ્લા પણ સ્વાયત્તતાની શરતે ભારતમાં જોડાવાનો આગ્રહ રાખતા હતા એ હકીકતો જોતાં ભારતે જમ્મુ અને કાશ્મીરમાં લોકમત લેવાની ઓફર કરી હતી અને સ્વાયત્તતાની શરત મંજૂર રાખી હતી. જમ્મુ અને કાશ્મીર માટે અલગ બંધારણસભા રચવામાં આવી હતી જેણે ભારતમાં જોડાવાનો ઠરાવ કર્યો હતો. એ સમયે એ ઠરાવની મોટી કિંમત હતી. ભારતનો એક રીતે રાજકીય અને નૈતિક વિજય થયો હતો. ભારત પાસે આ સિવાય બીજો કોઈ સારો વિકલ્પ પણ નહોતો.

ભારત સરકારે ખાસ સ્થિતિમાં જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા બંધારણમાં આર્ટિકલ ૩૭૦ ઉમેરીને મંજૂર રાખી હતી. આ બાજુ જમ્મુ અને કાશ્મીરની બંધારણસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું કે જેથી જ્યાં છે ત્યાંથી પાછા જવાનો વિકલ્પ જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો પાસે ન બચે. બીજા શબ્દોમાં કહીએ તો જમ્મુ અને કાશ્મીર સ્વાયત્ત ભલે રહે, પણ બંધારણસભામાં ઠરાવ કરીને આઝાદી માગવાનો વિકલ્પ કાયમ માટે સમાપ્ત થઈ જાય.

હવે? હવે ભારત સરકારે નવી નીતિ અપનાવી જેને કાશ્મીરીઓ, પાકિસ્તાન, મોટાભાગના વિશ્વદેશો અને નૈતિકતામાં માનનારાઓ વિશ્વાસઘાત તરીકે ઓળખાવે છે. એ નીતિ હતી જમ્મુ અને કાશ્મીરને આર્ટિકલ ૩૭૦ હેઠળ આપવામાં આવેલી સ્વાયત્તતાને ઓગાળવાની. ક્ષીણ કરવાની. ભારત સરકારે ધીરે ધીરે સ્વાયત્તતાને ખતમ કરી નાખી હતી. જમ્મુ અને કાશ્મીરે તેની ૯૦ ટકા સ્વાયત્તતા પાંચ દાયકા પહેલાં ગુમાવી દીધી છે. એ સારુ જવાહરાલ નેહરુએ તેમના મિત્ર શેખ અબ્દુલ્લાની સરકારને બરતરફ કરી હતી, તેમના પક્ષમાં વિભાજન કરાવ્યું હતું અને શેખસાહેબને જેલમાં પૂર્યા હતા. સ્વાયત્તતાને હજુ વધુ ઓગાળવાનું કામ ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. આર્ટિકલ ૩૭૦ એની જગ્યાએ એમને એમ કાયમ હતો, સ્વાયત્તતા આંચકી લેવામાં આવી હતી.

બીજી વાત. આર્ટિકલ ૩૭૦ જાળવી રાખવો પણ જરૂરી છે. તમને કદાચ જાણ નહીં હોય કે ૨૦૧૯માં કેન્દ્ર સરકારે આર્ટિકલ ૩૭૦ સંપૂર્ણપણે રદ્દ નથી કર્યો. એ શક્ય નથી કારણ કે એનાં દ્વારા તો જમ્મુ અને કાશ્મીરને ભારત સાથેનાં જોડાણને માન્યતા મળે છે. આર્ટીકલ ૩૭૦ છે એટલે જમ્મુ અને કાશ્મીર ભારતમાં છે. ખુદ ગૃહ પ્રધાન અમિત શાહે ૨૦૧૯માં લોકસભામાં ખુલાસો કર્યો હતો કે આર્ટિકલ ૩૭૦માંથી માત્ર સ્વાયત્તતાની જોગવાઈ રદ્દ કરવામાં આવી છે આર્ટિકલ રદ્દ કરવામાં નથી આવ્યો. આમ નરેન્દ્ર મોદીની સરકારે આર્ટીકલ ૩૭૦ રદ્દ કર્યો છે એમ કહેવું ખોટું છે.

તો પછી આમાં તમે નવું શું કર્યું? સ્વાયત્તતા તો ભારત સરકારે પાંચ દાયકા પહેલાં જ ચૂપચાપ ગોકીરો કર્યા વિના  ઓગાળી નાખી હતી. તમે ખાલી વાસણ આંચકી લીધું, પણ વાસણ ખાલી કોણે કર્યું? દીર્ઘદૃષ્ટા, ચતુર અને મહાન કોણ? મૂંગે મૂંગે વાસણ ખાલી કરનાર કે પછી જે વાસણની કોઈ કિંમત જ નહોતી રહી એવા ખાલી વાસણને દુનિયા જુએ એમ આંચકી લેનાર? કોણ વધારે મુત્સદી? એક રીતે ભારત સરકારે ખોટનો સોદો કર્યો છે. કાશ્મીરના મુસલમાનોને નારાજ કર્યા અને દૂર કર્યા.

માટે ભારતનાં મુખ્ય ન્યાયમૂર્તિએ આ જ સવાલ પૂછ્યો છે. આર્ટીકલ ૩૭૦માં હતું શું જે તમે લઈ લીધું? શું પાંચમી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ આર્ટીકલ ૩૭૦ એ જ સ્વરૂપમાં હતો જે ૨૦મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ હતો? પાંચ દાયકા દરમ્યાન આર્ટીકલ ૩૭૦ની સ્વાયત્તતાની જોગવાઈને વ્યવહારમાં ખતમ કરી નાખવામાં આવી હતી અને એ નિષ્પ્રાણ સ્વરૂપમાં હતો એ હકીકત આખું જગત જાણે છે.

તો પછી સવાલ એ બચે છે કે આ નિરર્થક વ્યાયામ કોના માટે કરવામાં આવ્યો? ભક્તો માટે. મુસલમાનો પાસેથી કે હિંદુઓના કહેવાતા દુશ્મનો પાસેથી કોઈ ચીજ આંચકી લેવામાં આવે તો તેમને તેમાં મર્દાનગીનો અહેસાસ થાય છે. તેમને કોઈની નજરમાં પણ ન આવે એવી શાંત મુત્સદી કરતાં આવી ભલે નિરર્થક પણ ચિચિયારીઓ પાડનારી મર્દાનગીમાં વધારે પોરસ ચડે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 સપ્ટેમ્બર 2023

Loading

...102030...1,0351,0361,0371,038...1,0501,0601,070...

Search by

Opinion

  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved