Opinion Magazine
Number of visits: 9458176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રેમની ‘બંદિની’:  મૈં બંદિની પિયા કી, મૈં સંગિની હૂં સાજન કી

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 April 2023

રાજ ગોસ્વામી

થોડા વખત પહેલાં, અસ્પૃશ્યતાના વિષય પર બિમલ રોયે બનાવેલી સુંદર અને સંવેદનશીલ ફિલ્મ ‘સુજાતા’(1959)ની વાત અહીં કરી હતી.  તેમાં ફિલ્મની હિરોઈન નૂતનના 1995ના એક ઇન્ટરવ્યૂને ટાંક્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, “મારી બે ગમતી ભૂમિકા ‘બંદિની’ અને ‘સુજાતા’ હતી. બંને ફિલ્મોએ સ્ત્રીત્વનાં અજાણ્યા પાસાઓને એટલી તાકાતવર રીતે બતાવ્યા હતા, જે મારી બીજી ફિલ્મોમાં જોવા નથી મળ્યાં.” આપણે ત્યારે કહ્યું હતું કે ‘બંદિની’ની વાત ક્યારેક કરીશું. આજે કરીએ.

‘બંદિની’ 1963માં આવી. પૂરી કારકિર્દીમાં 11 ફિલ્મફેર એવોર્ડ અને 6 નેશનલ એવોર્ડ વિજેતા બિમલ રોયની આ અંતિમ ફિલ્મ. અંગ્રેજીમાં ‘સ્વાન સોંગ’ નામનો શબ્દ છે. કોઈ કલાકારનું અંતિમ અને યાદગાર પર્ફોમન્સ હોય તેને ‘સ્વાન સોંગ’ કહે છે. ગ્રીક પુરાણકથાઓમાં એક હંસ(સ્વાન)ની વાત છે, જે બીજા પક્ષીઓની જેમ તેની ગાયનકળા માટે જાણીતો નથી, પરંતુ એક અકસ્માતમાં મરતાં પહેલાં તે એક અદ્ભુત ગાયન ગાઈને લોકોને ચકિત કરી દે છે. 

બિમલ રોયનું અવસાન તો ત્રણ વર્ષ પછી, 7 જાન્યુઆરી 1966માં થયું, પણ 1963માં તેમણે ‘બંદિની’ના રૂપમાં તેમનું ‘સ્વાન સોંગ’ પેશ કર્યું. માત્ર એવોર્ડ્સની જ જો વાત કરીએ તો, ‘બંદિની’ને 6 ફિલ્મફેર એવોર્ડ (બેસ્ટ ફિલ્મ, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેકટર, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ સાઉન્ડ) અને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મ એ વર્ષે બોક્સ ઓફિસ ઓર સુપરડુપર હિટ ગઈ એટલું જ નહીં, હિન્દી સિનેમાના ચાહકો આજે પણ તેને નૂતનના કેરિયર-બેસ્ટ પરફોર્મન્સ, બિમલ રોયના યથાર્થવાદી નિર્દેશન અને સચિન દેવ બર્મનના મધુર સંગીત માટે યાદ કરે છે. 

ગુજરાતીમાં એક કહેવત જાણીતી છે; શાંત પાણી ઊંડા હોય. હિન્દી ફિલ્મોમાં મૌનના મહત્ત્વને અલગ-અલગ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, પરંતુ ‘બંદિની’માં નૂતને જે રીતે તેની મૌન શક્તિનો પરિચય કરાવ્યો હતો તે અદ્વિતીય છે. કલ્યાણીની તેની ભૂમિકા પણ મૌન રહેવા માટે જ હતી. અતીતમાં પ્રેમ અને પીડાના અવેશમાં આવીને કલ્યાણીએ એક ખૂન કર્યું હોય છે અને એવા જ આવેશમાં એ ખૂનનો એકરાર પણ કર્યો હોય છે. એની સજા બદલ તે જેલમાં આજીવન સજા કાપી રહી હોય છે (એટલે જ ફિલ્મનું નામ ‘બંદિની’ છે).

ફિલ્મ કલ્યાણીની જેલથી શરરૂ થાય છે અને પછી ફ્લેશબેકમાં જાય છે. તેની વાર્તા સ્વતંત્રતા પહેલાંના 30ના દાયકાના બંગાળી ગામડાની છે. ગરીબ પિતા સાથે રહેતી કલ્યાણી ગામના એક સ્વાતંત્ર્ય સેનાની યુવાન વિકાસ(અશોક કુમાર)ના પ્રેમમાં પડે છે. વિકાસ પાછા આવવાનું વચન આપીને શહેર જતો રહે છે અને પાછો નથી આવતો.

પિતાની અને પોતાની મુસીબતોથી પરેશાન કલ્યાણી ઘર-ગામ છોડીને શહેર આવી જાય છે. અહીં તે એક બીમાર, વિક્ષિપ્ત મહિલાની સાર-સંભાળ રાખે છે. આ મહિલા વિકાસની પત્ની નીકળે છે. કલ્યાણીને ખબર પડે છે કે તેની શોધમાં શહેર આવેલા તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું છે. જીવનની આવી આકરી પરીક્ષાથી વ્યથિત કલ્યાણી આવેશમાં પ્રેમીની પત્નીને ઝેર પીવડાવી દે છે.

એ અપરાધ બદલ તેને જેલમાં પુરવામાં આવે છે. જેલમાં પણ તે સૌને મદદરૂપ બને છે. ખાસ કરીને તે એક વૃદ્ધા કેદીની બીમારીમાં સારવાર કરે છે. કલ્યાણીની માનવતા જોઈને જેલનો ડોકટર દેવેન્દ્ર (ધર્મેન્દ્ર) તેના તરફ આકર્ષાય છે, પરંતુ તેના અતીતના કારણે કલ્યાણી દેવેન્દ્રના પ્રેમનો સ્વીકાર નથી કરી શકતી. કલ્યાણીના અસ્વીકાર પછી દેવેન્દ્ર રાજીનામું આપીને ઘરે જતો રહે છે.

દેવેન્દ્રના રાજીનામાનું કારણ જાણ્યા પછી જેલર કલ્યાણીને બોલાવીને તેના અતીત વિશે પૂછે છે. અહીંથી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે. કલ્યાણીની સજા પૂરી થયા પછી જેલર તેને દેવેન્દ્રની માતાનો પત્ર આપે છે. જેમાં તેને ખબર પડે છે કે દેવેન્દ્રની માતાએ તો તેને વહુ તરીકે સ્વીકાર કરી હતી. કલ્યાણી હવે દેવેન્દ્ર પાસે જવાની તૈયારી કરે છે.

એ સ્ટેશન પહોંચે છે તો ત્યાં ફરી એકવાર વિકાસનો ભેટો થાય છે. વિકાસ બીમારીનો ભોગ બન્યો છે અને તેનો અંતિમ સમય ગામમાં વિતાવા માંગે છે. કલ્યાણી માટે હવે દુવિધા ઊભી થાય છે. તેણે ગામમાં જેને પ્રેમ કર્યો હતો તેની સાથે રહેવું કે જેલમાં તેને જેણે પ્રેમ કર્યો હતો તેની પાસે જવું? છેવટે તે વિકાસની સાર-સંભાળ લેવાનું નક્કી કરે છે અને દેવેન્દ્રને ભૂલી જાય છે.

આ વાર્તાનો એક સાદો સાર છે કે સ્ત્રીઓ દીવાલોમાં કેદ નથી હોતી, પ્રેમની જેલમાં બંધ હોય છે. જેણે તેને ગામ છોડવા મજબૂર કરી, જેણે તેને હત્યા કરવા ધકેલી, જેણે તેને જેલમાં પહોંચાડી દીધી, જેણે તેની મોટાભાગની જિંદગી બરબાદ કરી નાખી તે વિકાસના પ્રેમમાંથી કલ્યાણી છૂટી શકતી નથી અને હવે એ જ પ્રેમ માટે તે દેવન્દ્રના પ્રેમનું બલિદાન આપી દે છે. કલ્યાણી જેલમાં છૂટવાની હોય છે ત્યારે જેલર તેને કહે હે પણ ખરા, “મેરી કૈદ સે તો  છુટકારા મિલ ગયા, અબ ઘર ગ્રહસ્થી કી જેલ મેં કૈદ રહોગી.”

‘બંદિની’ સ્ત્રીની એ કેદની વાર્તા છે. બિમલ રોયે જે જમાનામાં ફિલ્મ બનાવી હતી તેમાં પુરુષ ગમે તેટલો બદમાશ હોય, સ્ત્રીએ એકવાર તેને મનનો માણીગર માન્યો, પછી હર હાલમાં તેની સાથે જ રહેવાનું. આજે ઈમ્તિયાઝ અલી જેવા કોઈ નિર્દેશક જો ‘બંદિની’ને ફરીથી બનાવે તો તે કલ્યાણીને દેવેન્દ્ર પાસે મોકલે, વિકાસ પાસે નથી. મહેશ ભટ્ટે તો વળી ‘અર્થ’ ફિલ્મમાં પૂજાને બે ય પુરુષોથી દૂર મોકલી દીધી હતી. પ્રેમી કે પતિ વગર સ્ત્રી કેમ રહી ના શકે? એવો ક્રાંતિકારી સવાલ ભટ્ટે ‘અર્થ’માં પૂછ્યો હતો.

‘બંદિની’ની અંતમાં કલ્યાણી જ્યારે વિકાસ સાથે જાય છે ત્યારે બર્મન’દાના અવાજમાં ગીત વાગે છે, ‘ઓ માઝી, ઓ માઝી, મેરે સાજન હૈ ઉસ પાર.’ એમાં ગીતકાર શૈલેન્દ્રએ કલ્યાણીની સ્થિતિને એક પંક્તિમાં આબાદ વ્યક્ત કરી હતી; મૈં બંદિની પિયા કી, મૈં સંગીની હૂં સાજન કી.” તે એની દુવિધા પણ હતી અને તેની સ્વતંત્રતા પણ.

ફિલ્મમાં કુલ 7 ગીતો હતાં અને ઉપર લખ્યું તે સિવાય બીજાં બે ગીતો પણ એટલાં જ મશહૂર થયાં હતાં. એક હતું મૂકેશના અવાજમાં ‘ઓ જાને વાલે હો સકે તો લૌટ કે આના,’ જે કલ્યાણી ઘર-ગામ છોડે છે ત્યારે વાગે છે. બીજું હતું લતા મંગેશકરના અવાજમાં ‘મોરા ગોરા અંગ લાઈ લે, મુજે શ્યામ રંગ ડાઈ દે.’

આ ગીત ગામમાં કલ્યાણીના સુખી સમયનું ગીત છે. ગીત પહેલાં તેના કાને કૃષ્ણ ભગવાનની વાર્તા પડે છે કે રાધા શ્યામ દેખાય તેવી ઘટ્ટ ભૂરી સાડી, ભૂરી બંગડીઓ અને શ્યામ કાજલ લગાવીને અંધારામાં કૃષ્ણને મળવા જાય છે જેથી કોઈ તેને જોઈ ન જાય, પરંતુ તેનો ગોરો વાન અંધારામાં ચમકે છે એટલે તે પ્રાર્થના કરે છે કે તેનો રંગ શ્યામ થઇ જાય. કલ્યાણી વિકાસને યાદ કરીને પછી ગાય છે, ‘મોરા ગોરા અંગ લાઈ લે, મુજે શ્યામ રંગ ડાઈ દે.’

આ ગીત સાથે ગુલઝારનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ થયો હતો. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું તેમ, ‘બંદિની’ બનતી હતી ત્યારે એસ.ડી. બર્મન અને શૈલેન્દ્ર વચ્ચે કોઈક મગજમારી થઇ અને અબોલા થઇ ગયા. બિમલ’દાને તાત્કાલિક એક ભક્તિ ગીત જોઈતું હતું. ગુલઝાર ત્યારે મુંબઈમાં એક કાર ગેરાજમાં કલર કામ કરતા હતા અને શોખથી કવિતાઓ અને શાયરીઓ લખતા હતા. પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન સાથે જોડાયેલા હતા એ નાતે બિમલ રોયે તેમને મળવા બોલાવ્યા હતા. તેમણે ગુલઝારને બર્મન’દા પાસે મોકલ્યા.

બર્મન’દાએ ધૂન અને દૃશ્ય સમજાવ્યું. અઠવાડિયા પછી ગુલઝારે ગીત આપ્યું. બર્મન’દા ખુશ થઇ ગયા અને તેમને બિમલ’દા પાસે મોકલ્યા. તેમને પણ ગીત ગમી ગયું. ગુલઝારે રાધા-કૃષ્ણને ધ્યાનમાં રાખીને અવધી ભાષામાં એ ગીત લખ્યું હતું. એ પછી તો બિમલ’દાએ તેમને કહ્યું કે તારા માટે ગેરાજ એ કોઈ કામ કરવાની જગ્યા નથી, મારી પાસે આવી જા અને તેમની બીજી ફિલ્મ ‘કાબુલીવાલા’થી ગુલઝાર ગીતકાર બન્યા.

આજે પણ એ ગીત એટલું જ તાજું અને લાજવાબ છે. આજે જ્યારે સ્ત્રીઓની ત્વચાને ગોરી બનાવાની એક તોતિંગ ઇન્ડસ્ટ્રી ધમધમે છે ત્યારે 60 વર્ષ પહેલાં ગુલઝારે એક એવું ગીત રચ્યું હતું જેમાં શ્યામ રંગનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગોરા રંગનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હથિયારોની હોડ, સંરક્ષણ ખર્ચમાં વૃદ્ધિ અને વિશ્વશાંતિ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|20 April 2023

ચંદુ મહેરિયા

મહાવીર અને ગાંધીજીની અહિંસાનો દેશ ભારત આજે સંરક્ષણ ખર્ચની બાબતમાં દુનિયામાં ત્રીજું સ્થાન ધરાવે છે ! તેનું એક કારણ તો ચીન અને પાકિસ્તાન જેવા વસમા પાડોશી છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ‘રિપોર્ટ ઓન ટ્રેન્ડસ ઈન ગ્લોબલ મિલિટરી એક્સપેન્ડિચર, ૨૦૨૨’ મુજબ, ૨૦૨૧માં વિશ્વનો સંરક્ષણ ખર્ચ અધધધ ૨.૧ ટ્રિલિયન અમેરિકી ડોલર હતો. ૮૦૧ બિલિયન અમેરિકી ડોલરના સંરક્ષણ ખર્ચ સાથે વિશ્વમાં અમેરિકા પહેલા નંબરે હતું. વિશ્વના ટોપ ટેન દેશોમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન, રશિયા, ફ્રાંસ, જર્મની, સાઉદી અરેબિયા, જાપાન અને દક્ષિણ કોરિયા છે. બીજા ક્રમના દેશ ચીનનું રક્ષા ખર્ચ ૨૯૨ બિલિયન ડોલર હતું. તો તેના કરતાં લગભગ ચોથા ભાગના સંરક્ષણ ખર્ચ (૭૬.૬ બિલિયન ડોલર) સાથે ભારત ત્રીજા નંબરે હતો. દસમા ક્રમના દક્ષિણ કોરિયાના સંરક્ષણ ખર્ચ ૫૦.૨ બિલિયન ડોલર અને પ્રથમ ક્રમના અમેરિકાના ૮૦૧ બિલિયન ડોલર વચ્ચે ૭૫૦.૮ બિલિયન ડોલરનો તફાવત છે.

વિશ્વશાંતિ, વસુધૈવ કુટુંબકમ અને યુદ્ધ નહીં બુદ્ધ સહીની ભાવના છતાં હથિયારોની હોડ અને સંરક્ષણ ખર્ચમાં વધારો યથાવત છે. રશિયા-યુક્રેન યુદ્ધ આપણને તરત સાંભરે છે પરંતુ ૨૦૨૩માં દુનિયામાં નાનામોટા ચાળીસેક યુદ્ધ ચાલે છે. વર્તમાન યુદ્ધ યુક્રેન જાનમાલની દૃષ્ટિએ તો તબાહ થઈ જ રહ્યું છે, આર્થિક રીતે પણ તબાહ થઈ રહ્યું છે. અમેરિકાસહિતના ‘નાટો’ દેશો પ્રચ્છન રીતે યુક્રેનની તરફે રશિયા સામે લડે છે પરંતુ મોટું નુકસાન તો યુક્રેનનું જ છે. ચાલુ નાણાંકીય વરસમાં યુક્રેન ૩૦ અબજ ડોલરનું સંરક્ષણ ખર્ચ કરવાનું છે. જે તેના કુલ બજેટનો ૪૪ ટકા હિસ્સો છે. રશિયાએ ગત વરસે જી.ડી.પી.નો ૩.૫ ટકા ખર્ચ કર્યો હતો. આ વરસે તેણે જી.ડી.પી.ના ૪.૧ ટકા ફાળવ્યા છે. એટલે હિંસા અને યુદ્ધ કેટલાં મોંઘાં છે અને અહિંસા તથા વિશ્વશાંતિ કેટલાં જરૂરી છે તે ન સમજાય કે ઉકેલાય તેવો કોયડો તો નથી જ.

કોઈ પણ દેશ તેની સરહદોને સુરક્ષિત રાખવા જરૂરી સંરક્ષણ ખર્ચ કરે કે સૈન્ય રાખે તે સ્વાભાવિક ગણાય. પરંતુ કેટલાક દેશો જગત જમાદારી, હથિયારોનું વેચાણ અને વિસ્તારવાદ કરવા કે સૈન્ય મહાસત્તા બનવાની સ્પર્ધામાં મસમોટો ખર્ચ કરે છે કે સૈન્ય રાખે છે. તેઓ જ દુનિયામાં  અશાંતિ અને તણાવ સર્જી પોતાનો રોટલો સેકતા હોય છે. રક્ષા ખર્ચમાં મોખરાના દસ દેશોમાં ચીન અને ભારતને બાદ કરતાં બાકીના સાત દેશોનો ખર્ચ અમેરિકાથી અડધો છે. આ જ  અમેરિકા હથિયારો અને સંરક્ષણ સાધનોની નિકાસમાં પણ પ્રથમ ક્રમે છે. દુનિયાના ૯૬ દેશોને અમેરિકા હથિયારો વેચે છે. અને સંરક્ષણ હથિયારોની નિકાસમાં તેનો હિસ્સો સૌથી વધુ, ૪૦ ટકા, છે. આ હકીકત નજરઅંદાજ થવી ના જોઈએ.

ગત વર્ષ કરતાં તેર ટકાની વૃદ્ધિ સાથે વર્તમાન વર્ષનું ભારતનું સંરક્ષણ બજેટ ૫.૯૪ લાખ કરોડનું છે. જે દેશના કુલ બજેટનો ૧૩.૩૧ ટકા હિસ્સો છે તો દેશના જી.ડી.પી.નો ૨.૯ ટકા છે. તાજેતરમાં સૈન્ય માટે ૭૦,૫૦૦ કરોડના હથિયારો અને લશ્કરી શસ્ત્રસરંજામની ખરીદીની સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી છે. તો હાલના બજેટમાં તોપથી લઈને મિસાઈલ્સ જેવા નવાં હથિયારો, હેલિકોપ્ટર, ડ્રોન, એન્ટી ટેન્ક મિસાઈલ્સ, ફાઈટર જેટસ, સબમરીન્સ, અત્યાધુનિક વેપન્સ સિસ્ટમ ખરીદવા ૧.૬૨ લાખ કરોડની ફાળવણી કરી છે. ભારતે સ્વદેશી સૈન્ય હથિયાર વિકસિત કર્યા છે. તેમ છતાં મુખ્યત્વે તો તે સંરક્ષણ સાધનોની આયાત જ કરે છે. દુનિયાના કુલ સૈન્ય હથિયારોની આયાતમાં ભારતનો હિસ્સો ૧૧ ટકાનો છે. ભારત તેના ૪૫ ટકા રક્ષા સાધનો મિત્ર દેશ રશિયા પાસેથી ખરીદે છે. તે પછીના ક્રમે ફ્રાન્સ, અમેરિકા, ઈઝરાયેલ, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા પાસેથી લશ્કરી શસ્ત્રો ખરીદે છે.

બાહ્ય સુરક્ષાના નામે કે કારણે દુનિયામાં હથિયારોની હોડ મચેલી છે. જી-૨૦ના દેશો રક્ષા સાધનોના ઉત્પાદનની ઘરેલુ ઔદ્યોગિક ક્ષમતા ધરાવે છે. એટલે મોટા વીસ શસ્ત્ર નિકાસકારોમાં જી-૨૦ના બાર દેશો છે. દુનિયાની કુલ શસ્ત્ર ખરીદીમાં બાર ટકા સાઉદી અરબે ખરીધ્યા છે. અમેરિકાના અડધોઅડધ લશ્કરી હથિયારો પશ્ચિમ એશિયામાં વેચાય છે અને આ અડધામાં અડધા એકલું સઉદી અરબ ખરીદે છે. એશિયામાં સાઉદી પછીનો આયાતકાર દેશ ભારત છે.

ભારતની સરકારી કંપનીઓ વિશ્વસ્તરના સંરક્ષણ સાધનો બનાવે છે. ૨૦૨૨માં સરકારે ૧૫૬ રક્ષા સાધનો મિત્ર દેશોને વેચવાની પરવાનગી પણ આપી હતી. જો કે પાંચમી મોટી અર્થવ્યવસ્થા છતાં સૈન્ય સાધનોની નિકાસમાં ભારતનું પ્રદાન ૦.૨ ટકા જ છે. હવે ભારત વિશ્વનો ચોવીસમો લશ્કરી હથિયારોની નિકાસકર્તા દેશ તો બન્યો છે ખરો પણ અમેરિકા, રશિયા, ફ્રાન્સ, જર્મની અને ચીન જેવા મોટા નિકાસકાર દેશોની તુલનામાં ભારતની નિકાસ નગણ્ય છે. બુદ્ધની કરુણા અને ગાંધી-મહાવીરની અહિંસાને હડસેલીને વિશ્વગુરુ ભારત પણ હવે સૈન્ય સાધનોનો ઉત્પાદક અને નિકાસકાર છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી પ્રમાણે ૨૦૧૫-૧૬માં ભારતે રૂ.૧,૯૪૧ કરોડનાં સૈન્ય સાધનોની નિકાસ કરી હતી. પાંચ વરસે ૨૦૨૧-૨૨માં વધીને તે રૂ. ૧૧,૬૦૭ કરોડની થઈ છે.

દુનિયાનું ત્રીજા ક્રમનું સૈન્ય ખર્ચ કરતું ભારત ત્રીજા ક્રમનું લશ્કર પણ ધરાવે છે. સૌથી વધુ ૨૩.૩૩ લાખની સક્રિય સૈનિક સંખ્યા સાથે ચીન પ્રથમ છે, ૧૪ લાખ સાથે અમેરિકા દ્વિતીય અને ૧૩.૨૫ લાખ સાથે ભારત તૃતીય ક્રમે છે. નાટો દેશોએ તેના સભ્ય દેશો માટે જી.ડી.પી.ના ૨ ટકા વાર્ષિક સંરક્ષણ ખર્ચ ફરજિયાતપણે કરવાની શરત રાખી છે. અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાનું સૈન્ય ખર્ચ વૈશ્વિક સૈન્ય ખર્ચના ૬૨ ટકા છે. આખી દુનિયાના સૈન્ય બજેટનો ૩૮ ટકા હિસ્સો એકલા અમેરિકાનો છે. કોરોના મહામારી કે તે પછીના વરસની આર્થિક મંદીએ પણ સૈન્ય ખર્ચમાં ઘટાડો થવા દીધો નથી. આર્થિક તંગહાલીની હાલતમાં પાકિસ્તાન સરકાર આઈ.એમ.એફ.ની લોન માટે લશ્કરી ખર્ચમાં કાપની માંગ સ્વીકારે તે પાકિસ્તાનના સૈન્યને મંજૂર નથી. તેથી સરહદી સુરક્ષા કરતાં બીજા પરિબળો પણ સંરક્ષણ ખર્ચ અને સૈન્ય મહાસત્તા ગણાવા બાબતમાં જવાબદાર હોઈ શકે છે.

સરહદો સળગતી હોય તો શાંતિના જાપ ના ચાલે તેમ ગજા બહારનો સૈન્ય ખર્ચ પણ ના પરવડે. રશિયા તેના સૈન્ય ખર્ચમાં સતત ઘટાડો કરતું હતું. ૨૦૦૬થી સંરક્ષણ ખર્ચમાં ટોચના પાંચ દેશોમાં તેનું સ્થાન હતું તે ૨૦૧૬માં ગુમાવ્યું તેની પણ પરવા કરી નહોતી. હવે યુક્રેન સાથેના યુદ્ધે બાજી પલટી નાંખી છે. જર્મનીના વધતા સૈન્ય ખર્ચને તેના બહુમતી નાગરિકોનું સમર્થન નથી. સંરક્ષણ બજેટ નિર્ધારિત કરતી વેળા દેશની પ્રાથમિક જરૂરિયાતોની અવગણના ના થાય તેનો ખ્યાલા રાખવો પડશે. નાગરિકોની શિક્ષણ, આરોગ્ય, પાણી જેવી મૂળભૂત સગવડોને બાજુએ મૂકી સૈન્ય ખર્ચમાં વધારો દુ:શ્મન દેશના સૈનિકોની નહીં ખુદના નાગરિકોની હત્યા છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

માણસ ઘેટું બનીને જીવે એ આ યુગની શોકાંતિકા

રમેશ ઓઝા|Opinion - Opinion|20 April 2023

રમેશ ઓઝા

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ બનેલી પુલવામાંની ઘટના જેટલી આઘાતજનક હતી એટલી જ રહસ્યમય હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ દળ(સી.આર.પી.એફ.)ના ૨,૫૦૦ જવાનો ૭૮ વાહનોના કાફલામાં સરહદની નજીકથી પસાર થતા હાઈવે પરથી એક સાથે અને પ્રમાણમાં ધીમી ગતિએ પસાર થાય એ પહેલી ઝટ ગળે ન ઉતરે એવી ઘટના હતી. એવી કઈ આફત આવી પડી હતી કે આટલી મોટી સંખ્યામાં અને એક સાથે સી.આર.પી.એફ.ની મુવમેન્ટ કરવી પડી? બીજી રહસ્યમય ઘટના એ હતી કે અચાનક ત્રાસવાદીઓની જીપ વિસ્ફોટક દારૂગોળો લઈને આવી જાય છે, અને કાફલામાંના વાહનો સાથે અથડાય છે જેમાં સી.આર.પી.એફ.ના ૪૦ જવાનો માર્યા જાય છે. ત્રાસવાદીઓની જીપ વાજતેગાજતે સરહદ ઓળંગીને અચૂક સમયે અને અચૂક નિશાને તો નહીં જ પહોંચી હોય! પણ જીભે તાળાં. કોઈ પણ શરમજનક અને દર્દનાક ઘટનાને રાજકીય ફાયદો થાય એવા અવસરમાં ફેરવી નાખવો એ અત્યારના શાસકોની નીતિ છે. પુલવામાં ઘટનાનું પણ એવું જ બન્યું. એનો રાજકીય લાભ લેવામાં આવ્યો પણ ખુલાસો કરવામાં ન આવ્યો. આજે પણ નથી કરવામાં આવતો.

સત્યપાલ મલિક એ સમયે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. પુલવામાં ઘટના બન્યા પછી તરત જ તેમણે એક બે પત્રકારોને કહ્યું હતું કે આ સરકારની બેજવાબદારીનું પરિણામ છે પણ પછી તેઓ ચૂપ થઈ ગયા હતા. ચૂપ એટલે સાવ ચૂપ. હવે અહીં પત્રકારો વચ્ચેના ભેદને સમજી લઈએ. સારો પત્રકાર એ કહેવાય જે મૌનની પાછળ છુપાયેલા અવાજને સાંભળવાનો પ્રયાસ કરે. શા માટે કોઈ માણસ બોલીને ચૂપ થઈ જાય? જરૂર કોઈક રહસ્ય છે. બેવકૂફ કે બીકાઉ પત્રકાર અપનાવેલા મૌનને અવાજના અભાવ સ્વરૂપ મૌન તરીકે સ્વીકારી લે છે. કાંઈ બન્યું નથી એટલે બોલવાનું રહેતું નથી. આમ જેને હાડોહાડ અને પ્રામાણિક પત્રકાર કહેવાય એવા પત્રકારો સત્યપાલ મલિકના કાન ફાડી નાખે એવા મૌન ઉપર નજર રાખતા હતા. અપનાવાયેલા મૌનને એક દિવસ કાન સાથે ભેટો થવો જ જોઈએ.

અને ગયે અઠવાડિયે ભેટો થઈ ગયો. ‘ધ વાયર’ નામનાં ન્યુઝપોર્ટલના કરણ થાપરને આપેલી મુલાકાતમાં સત્યપાલ મલિકે મૌન તોડ્યું અને વટાણા વેરી દીધા. તેમણે કહ્યું કે સી.આર.પી.એફે. તેમની મુવમેન્ટ માટે પાંચ વિમાનો માગ્યા હતાં, પરંતુ કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે તેને વિમાનો આપ્યાં નહોતાં. સી.આર.પી.એફ. ગૃહ મંત્રાલય હેઠળ આવે છે.

તેમણે બીજી વાત એ કહી કે કાશ્મીરમાં જે વિસ્તારમાંથી કાફલો પસાર થવાનો હતો એ વિસ્તારમાં આઠથી દસ નાના માર્ગો મોટા માર્ગને મળે છે અને તેમાં કોઈ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં નહોતો આવ્યો. સામાન્ય રીતે જે માર્ગેથી વી.આઈ.પી. કે બીજી જોખમ ભરેલી મુવમેન્ટ થવાની હોય તે માર્ગને  જોડાતા બીજા તમામ માર્ગોને મુવમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી બંધ કરી દેવામાં આવે છે. આઠથી દસ એન્ટ્રી પોઈન્ટ્સ પર કોઈ જ નહોતું.

તેમણે ત્રીજી વાત એ કહી કે ત્રાસવાદીઓની જીપ એ જ દિવસે સરહદ ઓળંગીને કાશ્મીરમાં નહોતી આવી. એ જીપ દુર્ઘટના બની તેનાં દસ દિવસથી એ વિસ્તારમાં ફરતી હતી અને ગુપ્તચર વિભાગે તેનાં વિષે ચેતવણી પણ આપી હતી. એ ચેતવણી ગુપ્તચર વિભાગે જમ્મુ અને કાશ્મીરની સરકારને તેમ જ કેન્દ્ર સરકારને મોકલી હતી અને તે રેકર્ડ પર ઉપલબ્ધ છે. વાચકોને યાદ અપાવી દઉં કે પુલવામાંની ઘટનાના બે વરસ પછી ‘ફ્રન્ટલાઈન’ નામના સામયિકમાં (૨૧મી ફેબ્રુઆરી ૨૦૨૧) એ ચેતવણીઓની આખેઆખી ટેક્સ્ટ પ્રકાશિત થઈ હતી. ‘ફ્રન્ટલાઈન’ના અહેવાલ મુજબ પુલવામાંની ઘટના ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ બની હતી, પણ ગુપ્તચર વિભાગે સંભવિત ત્રાસવાદી હુમલાની તૈયારી ચાલી રહી છે એવી પહેલી ચેતવણી બીજી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આપી હતી અને છેલ્લી અને અગિયારમી ચેતવણી હુમલાના આગલા દિવસે એટલે કે ૧૩મી ફેબ્રુઆરીએ આપી હતી. ૪૨ દિવસમાં ૧૧ ચેતવણી! અને છતાં ય કોઈ તકેદારી નહીં! ન વિમાન આપવામાં આવ્યાં કે ન મુવમેન્ટના માર્ગને મળતી સડકોને બંધ કરવામાં આવી.

શા માટે? આ ભેદી રહસ્ય છે.

સત્યપાલ મલિક હવે હજુ વધારે ચોંકાવનારી વાત કહે છે. પુલવામાંની ઘટના પછી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિકે વડા પ્રધાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વડા પ્રધાન કોઈ વિદેશી ચેનલના ફોટોગ્રાફરો સાથે કોર્બેટના જંગલમાં શૂટિંગમાં વ્યસ્ત હતા. ત્રણ ત્રણ કલાક સુધી ઈમરજન્સીમાં વડા પ્રધાનનો સંપર્ક કરવાની કોઈ વ્યવસ્થા નહોતી અને જો હતી તો એ જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ રાજ્યના રાજ્યપાલ માટે ઉપલબ્ધ નહોતી. ઘટનાના ત્રણ કલાક પછી વડા પ્રધાને રસ્તામાં કોઈ ધાબામાંથી રાજ્યપાલને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે શું થયું છે અને કેવી રીતે થયું? સત્યપાલ મલિકે ઘટનાની જાણકારી આપીને કહ્યું કે આ સરકારની નિષ્ફળતાનું પરિણામ છે અને એ પછી તેમણે એ બધું કહ્યું જે ઉપર કહેવામાં આવ્યું છે. વડા પ્રધાને રાજ્યપાલને કહ્યું કે તેમણે આ વિષે મોઢું ખોલવાનું નથી. તેઓ દિલ્હી પહોંચીને વાત કરશે. દિલ્હી પહોંચીને વડા પ્રધાનનો તો ક્યારે ય ફોન ન આવ્યો પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોબાલનો ફોન આવ્યો અને રાજ્યપાલને કહેવામાં આવ્યું કે તેમણે સરકારની લાપરવાહી વિષે હરફ ઉચ્ચારવાનો નથી. ડોબાલે એમ પણ કહ્યું કે આ બાબતે શું લાઈન લેવી એ વિષે સરકાર વિચારશે. લોકસભાની ચૂંટણી માથે હતી એટલે લાઈન પણ દેખીતી હતી. ગોધરાના શહીદોની માફક પુલવામાંના શહીદોને પણ શાસકોના ખભાનું માન મળ્યું હતું.

સત્યપાલ મલિકે કરણ થાપરને આપેલી મુલાકાતમાં વડા પ્રધાનની કાર્યશૈલી વિષે કહ્યું છે કે તેઓ કોઈ પ્રકારનું હોમવર્ક કરતા નથી અને કોઈ બાબતથી વાકેફ હોતા નથી. તેઓ પોતાની દુનિયામાં મસ્ત રહે છે. એ મુલાકાતમાં તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન ભષ્ટાચાર માટે કોઈ સુગ ધરાવતા નથી. એ પછી તેમણે રિલાયન્સ, રામ માધવ વગેરેનાં નામ લઈને ભષ્ટાચારની કથા કહી છે.

ખેર, પુલવામાંની તુલનામાં આ બધી ગૌણ બાબત છે. ૪૦ જવાનો માર્યા ગયા એની જવાબદારી કોની? નિવૃત્ત લશ્કરી વડા શંકર રાયચૌધરીએ કહ્યું છે કે ૭૮ વાહનોનો કાફલો સંવેદનશીલ રાજ્યમાં સરહદી વિસ્તારમાંથી પસાર થાય એ ઘટના જ અકલ્પ્ય છે અને એ પણ ધીમી રફતારે. આની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ.

પણ કરે કોણ? બંગાળના શહીદ થયેલા બે જવાનોના પરિવારે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.

દરમ્યાન ગોદી મીડિયાએ આ ઘટસ્ફોટ વિષે તમને કોઈ જાણકારી આપી? માણસ જેવો માણસ ઘેટું બનીને જીવે એ આ યુગની શોકાંતિકા છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 ઍપ્રિલ 2023

https://thewire.in/politics/satya-pal-malik-full-interview-pulwama-modi

Loading

...102030...1,0351,0361,0371,038...1,0501,0601,070...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved