Opinion Magazine
Number of visits: 9563705
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

થઈ ગઈ છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|10 July 2023

દુ:ખતી નસ કઠોર થઈ ગઈ છે,

આડઅસરો નઠોર થઈ ગઈ છે.

ધાઁવ પર ધાઁવ કેટલા ખમવા!?

ટાંકણી પણ નકોર થઈ ગઈ છે.

ચાલબાજી હવે નહીં ચાલે,

નાડ સર્તક બકોર થઈ ગઈ છે.

જિંદગી રોજ જીવ બાળે છે,

ધ્યાન બ્હેરી દઠોર થઈ ગઈ છે.

જાનથી પણ વિશેષ ચાહી છે,

ચાંદની પણ ચકોર થઈ ગઈ છે.

e.mail : addave68@gmail.com

Loading

ખુલ્લા પુસ્તક સમો માણસ 

પ્રીતમ લખલાણી|Diaspora - Features|10 July 2023

પ્રીતમ લખલાણી

અમેરિકા જેવા ધનવાન દેશના સ્વર્ગ સમા કેલિફૉર્નિયા રાજ્યમાં દસના લાખ કરવાની શકિત દેખાતી હોય એવી વ્યકિતને ભારતમાં જેને કામધંધા વિનાના નવરા માણસની પ્રવૃત્તિ ગણવામાં આવે છે, તેવા લેખનકાર્યમાં ગળાડૂબ જોઈએ ત્યારે મનમાં અચૂક થાય કે પોતાના વ્યવસાય ક્ષેત્રમાં પ્રવીણ ગણાતી આ વ્યકિતને આવો આંધળો શોખ કયાંથી જાગ્યો!

કદાચ આ વ્યકિત કવિતા કે વાર્તા લખતી હોત તો આપણે સમજી શકીએ કે નિજાનંદ ખાતર શબ્દ સાથે રમત કરે છે. જીવનનાં મહામૂલાં વર્ષો તેમ જ પાઈપાઈ બચાવીને એકઠી કરેલી પૂંજીને આવતી કાલની પેઢીની માતૃભાષાની સાન પાછળ રોકનારી આ વ્યકિત એટલે સ્ટેન્ડફોર્ડ મહાવિઘાલયના અનુસ્નાતક એવા કેલિફૉર્નિયા રાજ્યના બાંઘકામ ખાતાના એક સિનિયર એન્જિનિયર ભાઈ કિરીટ શાહ.

કિરીટ શાહના નિકટના મિત્રો તેમ જ પરિવારના સભ્યો પાસેથી જાણ્યું કે આ વિરલ વ્યકિતએ પોતાની માતૃભાષાના પ્રેમ પાછળ ૧૯૮૦ની આસપાસના ગાળામાં ૬૦થી ૭૦ હજાર અમેરિકન ડોલર હસતાંહસતાં ખર્ચીને જગપ્રસિદ્ઘ વિશ્વવિઘાલય હાર્વર્ડમાંથી પ્રગટ થતાં પુસ્તકોની હરોળમાં ઊભું રહી શકે તેવું મહામૂલું પુસ્તક પ્રસિદ્વ કર્યું છે. જેમની જેમની માતૃભાષા ગુજરાતી નથી તેવા વિદેશીઓને ગુજરાતી ભાષા શીખવાની ઈચ્છા થાય તો તેઓ કઈ રીતે સરળતાથી શીખી શકે તે વિષય પર સંપૂર્ણ સંશોધન કરી, વિશ્વભાષાપ્રેમીઓ માટે ભાષા શીખવા માટેનું એક વઘારે દ્વાર ઉઘાડી દીઘું.

કિરીટ શાહ

જ્યારે જ્યારે મારી નજર આ પુસ્તક પર પડે છે ત્યારે અચૂક મનમાં એક પ્રશ્ન જાગે છે કે આ કાબેલ માણસને અમેરિકામાં બીજા કોઈ ઔઘોગિક ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવાનો વિચાર કેમ ન આવ્યો! જેમાં ‘પાઈની પેદાશ નહિ, ઘડીની નવરાશ નહિ’ જેવા વિષય પાછળ સંશોઘન કરવામાં જીવનનાં અમૂલ્ય વર્ષો અને પૂંજી દાવમાં લગાડી દીઘાં.

લગભગ આજથી ત્રીસેક વર્ષ પૂર્વે નાનાભાઈ નીતિનના ઘરે ટૂંક સમય માટે ફરવા ગયેલ માતૃશ્રીને માતૃદિન નિમિત્તે વંદન કરવા કિરીટભાઈ વહેલી સવારે જઈ ચઢયા. પૂજ્ય બાને વીંટળાઈને બેસેલ ભાઈનાં નાનાં ફૂલગુલાબી બાળકોની કાલીઘેલી અંગ્રેજી વાતને દાદીમા મનહ્રદયથી સમજવા માટે કોશિશ કરવા છતાં કમભાગ્યે કશું સમજી શકતાં ન હતાં. બાના પ્રેમાળ ચહેરા પર મૂંઝવણની રેખાઓ અંકાતી જોઈને તે ક્ષણે કિરીટભાઈના હ્રદયમાં વિષાદ થયો. 

“અરે! બાળકોની માતૃભાષા ગુજરાતી અને મારાં માતૃશ્રીની ભાષા પણ ગુજરાતી તેમ છતાં આ બે પેઢીને સ્નેહના તાંતણે બાંઘતો દોર ભૌગોલિક પ્રદેશના ગૂંચવાડાને લીઘે એકમેકના પ્રેમભર્યો શબ્દોને પામી શકતો નથી. જો આ જ હાલત રહેશે તો આવતાં દસ-પંદર વર્ષમાં ગુજરાતી ભાષા મરી પરવારશે! જો ભાષા જ નહિ રહે તો પછી પરિવાર સમાજની તો વાત જ ક્યાં કરવી.”

વિદેશની આ હરિયાળી ભૂમિમાં આપણે કંઈક એવું નક્કર કાર્ય કરવું જોઈએ કે જેથી ગુજરાતી માતા-પિતાના ખોળે જન્મેલ સંતાનો તેમની માતૃભાષાથી વંચિત ન રહી જાય. જો બાળકોને અંગ્રેજી સાથે પોતાની માતૃભાષાનું જ્ઞાન પરિવારમાં બાળપણથી આપવામાં આવે અથવા આ દેશનાં શહેરોમાં સ્થાપેલા ગુજરાતી સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ ભારતથી વિદેશમાં આવતાં ખાસ કરીને દાદા-દાદી તેમનાં પ્રેમાળ પૌત્ર-પૌત્રી સંગ તનમનના દ્વાર ખોલીને આનંદપ્રમોદની પ્રત્યેક પળ માણી શકે.

આ વિચારનો બોજ હું કોઈના ખભા પર નાખું તેના કરતાં હું જ આ દિશામાં એકાદ પગલું આગળ ભરું તો શું ખોટું? બસ, તે જ વિષાદની ક્ષણે તેમણે મનહ્રદયથી નક્કી કરી લીઘું કે હું આવતા વર્ષના માતૃદિન નિમિત્તે વિદેશમાં વસતી દરેક ગુજરાતી માતાને પોતાનાં સંતાનો માટે ગુજરાતી શીખો નામનું એક પુસ્તક ભેટ આપીશ.

આવા વિરાટ કાર્ય માટે એક વર્ષનો સમય તો બહુ જ ઓછો પડે અને એ પણ અમેરિકા જેવા દેશમાં આઠ કલાકના ઑફિસકામ બાદ ઘરપરિવારનાં કામમાંથી ભાગ્યે જ એકાદ બે કલાક અઠવાડિયે નસીબમાં હોય તો ફુરસદના મળે. કિરીટભાઈએ પોતાના આ અટલ વિચાર સાથે માતૃદિનના બીજા દિવસની સવારથી ગુજરાતી શીખો એ વિષય પર શ્રીગણેશ કરી દીઘા.

જો આ પુસ્તક તેમને ફકત પ્રગટ જ કરવું હોત તો કિરીટભાઈ માટે એક વર્ષનો સમય પૂરતો હતો, પરંતુ કિરીટભાઈના મનની ઈચ્છા હતી કે આ પુસ્તક હાર્વર્ડ યુનિવર્સિટીમાં શિખવાડતી બીજી ભાષા સંગ કદમ-તાલ મેળવી શકે. છ-સાત મહિનાના સખત પરિશ્રમ બાદ પુસ્તકની કાચી પ્રત તૈયાર થઈ કિંતુ કિરીટભાઈને આ પુસ્તકમાં હજી કંઈ ખૂટતું જણાયું. ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેઓ કપાતે પગારે છ મહિનાની રજા લઈ અમદાવાદની યાત્રાએ ઊપડી ગયા. અમદાવાદ જઈને એક પળનો પણ સમય બગાડ્યા વિના તેમને જ્યાં જ્યાંથી આ વિષય પર સંપૂર્ણ માહિતી મળી શકે તે માટે તેમણે ગુજરાતી ભાષાના પ્રખર વિદ્ઘાનોના દ્વાર ખટખટાવ્યા. ગુજરાત રાજ્યની બે-પાંચ યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના વિભાગમાં ફરી વળ્યા. તેમને ગુજરાતી શીખો પુસ્તક માટે જેટલું માર્ગદર્શન મળ્યું તેની ગાંસડી બાંઘી અમેરિકા પાછા ફરી પુસ્તકને ખૂટતા રંગો આપી. ગુજરાતી શીખો નામનું માહિતીથી છલોછલ પુસ્તક આનંદ સાથે માતૃદિન નિમિત્તે વિદેશમાં વસતી દરેક ગુજરાતી માતાને ભાવભીનાં વંદન સાથે પોતાનાં બાળકને ઉત્સાહ સાથે ગજરાતી ભાષા શીખવવા પુસ્તકને ખોળામાં મૂકયું. ગુજરાતી શીખો પુસ્તક માતૃદિને પ્રગટ કરી કિરીટ શાહે એક સાથે માતા, માતૃભાષા, અને માતૃભૂમિનું કર્જ અદા કર્યું.

ગુજરાતી શીખો પુસ્તક વિદેશમાં અને તેમાં પણ ખાસ કરીને અમેરિકામાં બહુ જ મહત્ત્વપૂર્ણ પુરવાર થયું. અમેરિકાની નામાંકિત યુનિવર્સિટીમાં શીખવવામાં આવતી વિદેશી ભાષાઓમાં એક ભાષા ગુજરાતીના પાઠયપુસ્તક તરીકે કિરીટ શાહના પુસ્તકને માન્ય રાખવામાં આવ્યું તે અમેરિકામાં વસતા હરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. બહુ જ ઓછા સમયમાં ગુજરાતી શીખો પુસ્તકની સાતથી આઠ આવૃત્તિ પ્રગટ થઈ.

 *

૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં આ ભાષાપ્રેમી કોરોનાનો શિકાર બનતા, કાયમ માટે આપણી વચ્ચેથી સદા માટે વિદાય લીઘી ….                                                                       

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

મહારાષ્ટ્રની જનતા હાથમાં જૂતું લઈને ચાર રસ્તા પર ઊભી છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 July 2023

રાજ ગોસ્વામી

એક મકાન માલિકે તેના બે માળના ઘરમાંથી ઉપરનો માળ ભાડે આપ્યો. ભાડૂઆત એક કારખાનામાં સેકન્ડ શિફ્ટમાં કામ કરતો હતો. 4 વાગે કામ પર જાય અને રાતે 12 વાગે પાછો આવે.

રોજ રાતે એ થાકીને આવે અને કમરામાં પેસતાં વેંત ખાટલામાં ફસડાઈ પડીને પગમાંથી જૂતાં કાઢીને ધડામ કરતાં ખૂણામાં ફેંકે.

બરાબર એ જ કમરા નીચે આવેલા કમરામાં માલિક સૂઈ જાય. ભાડૂઆત રોજ રાતે ધડામ કરતાં એક પછી એક જૂતાં ફેંકે એ સાથે તેના અવાજથી ગભરાઈને ઊંઘમાંથી ઊઠી જાય.

આવું થોડા દિવસ ચાલ્યું પછી માલિક પરેશાન થઇ ગયો. એક દિવસ ભાડૂઆત કામ પર જવા નીચે ઉતાર્યો એટલે માલિકે રોકીને કહ્યું કે, “ભ’ઈ સાબ, રાતે ઘરમાં આવો ત્યારે જૂતાંને કાઢીને ધીમેથી મૂકતા હો તો સારું, તમે એને ધડાધડ ફેંકો છો એમાં મારી ઊંઘ ઉડી જાય છે.”

ભાડૂઆતને ભૂલ સમજાઈ. તેણે કહ્યું ધ્યાન રાખીશ.

એ રાતે એ પાછો આવ્યો, ત્યારે હંમેશની જેમ થાકીને લોથ થઇ ગયો હતો. ફેકટરીમાં મશીન પર કામ કરીને દમ નીકળી ગયો હતો.

અંદર આવીને એ ખાટલામાં ફસડાઈ ગયો અને જૂતાંની દોરી છોડીને એક જૂતું ધડામ કરતું ખૂણામાં ફેંક્યું.

અચનાક તેને મકાન માલિકે કહેલી વાત યાદ આવી. તેને અફસોસ થયો અને બીજું જૂતું ઉપાડીને હળવેકથી ખૂણામાં મૂકી દીધું.

બીજા દિવસે તે કામ પર જવા નીકળ્યો એટલે મકાન માલિકે રોક્યો, “રાતે તમે ભારે કરી!”

ભાડૂઆતે માફી માંગી અને કહ્યું કે ભૂલમાં જૂતું ફેંકાઈ ગયું હતું.

માલિકે કહ્યું, “ભલા માણસ, એક જૂતાંનો અવાજ આવ્યો પછી હું ‘હમણાં બીજું જૂતું પડશે, હમણાં બીજું જૂતું પડશે’ની ચિંતામાં ને ચિંતામાં આખી રાત ઊંઘી ના શક્યો. ફેંકી દેવું હતું ને!”

°°°

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી પછી જે ઉથલપાથલ થઇ છે તેના કેન્દ્રમાં આ જોક છે. જૂન 2022માં, રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્ર ફડણવિસે, સત્તારૂઢ મહાવિકાસ આઘાડી સરકારના ભાગીદાર શિવસેનામાં ઊભી તિરાડ પાડીને એકનાથ શિંદે જૂથ સાથે સરકાર બનાવી દીધી, ત્યારથી એક તેમની વચ્ચે ખટરાગભર્યા લગનની શરૂઆત થઇ હતી.

આ સગવડિયાં લગનનો ટૂંકા ગાળોનો ઉદેશ્ય સત્તા મેળવવાનો હતો, પરંતુ લાંબા ગાળાનો ઉદેશ્ય ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ખતમ કરવાનો હતો, જેથી મતદારો પાસે એ વિકલ્પ જ ન બચે. રાજકારણમાં પ્રતિસ્પર્ધીઓને ખતમ કરવા પાછળનો મુખ્ય હેતુ ઈર્ષ્યા કે દુ:શ્મની નથી હોતો (કહેવત છે ને કે રાજકારણમાં કોઈ ન તો કાયમી દોસ્ત છે, ન કાયમી દુ:શ્મન), પરંતુ ચૂંટણી વખતે મતદારોના વિકલ્પને સીમિત કરવાનો હોય છે.

મતદારો જો ‘એક્સ’ નામની પાર્ટીને મત આપતા હોય અને ‘વ્હાય’ નામની પાર્ટીને એ તમામ મત જોઈતા હોય, તો બે વિકલ્પ છે : ‘એક્સ’ જો ‘વ્હાય’ સાથે ભળી જાય, તો ‘એક્સ’ અને ‘વ્હાય’ના મતો એક થઇ જાય, અથવા, ‘એક્સ’નું અસ્તિત્વ જ ન હોય, તો બધા મતો આપોઆપ ‘વ્હાય’ પાસે આવી જાય. મહારાષ્ટ્રમાં પહેલો વિકલ્પ સંભવ નહોતો.

એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કરતા રહ્યા હતા કે શિવસેનાએ આઘાડી ગઠબંધન છોડીને ભા.જ.પ. સાથે જતા રહેવું જોઈએ, પણ ઉદ્ધવે ભા.જ.પ. સાથે વૈચારિક અંતર કેળવી લીધું હતું એટલે શિંદે અને ફડણવિસે બીજો વિકલ્પ અમલમાં મુક્યો; શિંદે શિવસેનાના વિધાનસભ્યો અને સિમ્બોલ સાથે ઉચાળા ભરીને ભા.જ.પ.ના બેન્ડવેગનમાં બેસી જાય તો કેવું?

વિધાનસભાની ચાર દીવાલો વચ્ચે તો થયું એવું, પરંતુ જમીન પર, એટલે કે મહારાષ્ટ્રમાં ઠાકરે સેના પ્રત્યે પ્રતિબદ્ધ મતદારોમાં તેની ઝાઝી અસર ન પડી. ભા.જ.પ.ને એકનાથ શિંદેની વફાદારી તો મળી, પરંતુ મતદારોનો પ્રેમ મળ્યો નથી. ભા.જ.પ.નો આંતરિક સર્વે કહે છે કે શિંદેએ પાટલી બદલી તેનાથી મતદારોમાં તેમના માટે નારાજગી અને ઠાકરે માટે સહાનુભૂતિ વધી છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી (જેમાં ઉદ્ધવ સેનાનું વર્ચસ્વ છે) એક વર્ષ માટે પછી ઠેલવાનું મૂળ કારણ એ છે કે શિંદે સેના અને ભા.જ.પ.ને ભરોસો નથી કે મતદારો મતદાન મથકમાં તેમની પર ભરોસો મૂકશે. એવી જ ચિંતા રાજ્ય વિધાનસભાની ચૂંટણીએ લઈને છે. 15 મહિના પછી મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. તડજોડ કરીને સગવડિયાં નાતરાં ઊભાં કરી દેવાં એક વાત છે અને તેના પર બહુમતી મતદારોનો સ્ટેમ્પ વાગવો બીજો.

ભા.જ.પ.ની સ્થિતિ અત્યારે પેલા મકાન માલિક જેવી છે. શિંદે અને ફડણવિસે સત્તાનું એક જૂતું તો કબજે કરી લીધું છે, પરંતુ ચૂંટણીમાં મતોનું બીજું જૂતું હાથમાં આવશે કે માથામાં વાગશે, તેની ચિંતામાં તેમને ઊંઘ નથી આવતી.

મહાવિકાસ આઘાડી ગઠબંધનની ત્રીજી હિસ્સેદાર, શરદ પવારની રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી સાથે. શિવસેનાવાળી જ કરવા પાછળ આ ચિંતા મુખ્ય કારણ છે. શિંદે – ફડણવિસ સત્તાના એવા સિંહ પર બેસી ગયા છે જેના પરથી ઉતરવું કોઈ કાળે પોષાય તેમ નથી (અને આ ક્ષણે ચૂંટણી યોજાય તો ઉથલી જવાના પૂરા ચાન્સ છે). તેમના માટે અગામી ચૂંટણી જીતવી અત્યંત અનિવાર્ય છે.

તેના માટે ઉદ્ધવ સેના, એન.સી.પી. અને કાઁગ્રેસ નબળા પડે તે જરૂરી છે. એમાં અડધું કામ શિંદેએ કર્યું હતું. કાઁગ્રેસને તોડવી એટલા માટે અઘરી છે કે વૈચારિક રીતે તે એકદમ છેડા પર છે અને તેના વિધાનસભ્યો જો ભા.જ.પ. સાથે જાય, તો તેમના મતવિસ્તારમાં તેમની રાજકીય કારકિર્દી કાયમ માટે ખતમ થઇ જાય. તેના પ્રમાણમાં, એન.સી.પી.માં બળવો કરવો સરળ હતો, કારણ કે પવારના ઘરમાં જ (દીકરી સુપ્રિયા સુલે અને ભત્રીજા અજિત પાવર વચ્ચે) પાવર-સ્ટ્રગલ ચાલે છે.

2019માં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી આ જ અજિત પવાર ભા.જ.પ.ના ટેકાથી 80 કલાક માટે નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા (મંગળવારે એ પાંચમીવાર નાયબ મુખ્ય મંત્રી બન્યા). તે વખતે સિનિયર પવારની કુનેહથી તે પાછા પાર્ટીમાં આવી ગયા હતા, પરંતુ તે દિવસથી આંતરિક ખટપટ વધી ગઈ હતી. ‘શોલે’માં સંજીવ કુમાર જય-વીરુને કહે છે તેમ, ભા.જ.પ. માટે હથોડો મારવા માટે એન.સી.પી.નું લોઢું ગરમ હતું.

એન.સી.પી.ના જે નવ નેતાઓએ શિંદે – ફડણવિસની સરકારમાં શપથ લીધા છે, તેમાંથી ઓછામાં ઓછા 4 – અજિત પવાર, છગન ભુજબળ, અદિતિ ટટકરે અને હસન મુશરિફ – સામે મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.) અથવા સી.બી.આઈ.ની તપાસ ચાલી રહી છે. રાજકીય વર્તુળોમાં એવું દૃઢપણે મનાય છે કે ઈ.ડી. વિરોધ પક્ષના નેતાઓ સામે તપાસ જ એટલા માટે કરે છે જેથી તેમને નબળા પાડી શકાય. બળવો થયો પછી શરદ પવારે કહ્યું પણ હતું કે, “ઈ.ડી.ની તપાસથી પાર્ટીના ઘણા નેતાઓ ચિંતામાં હતા અને હવે એ લોકો અજિત પવાર સાથે ચાલ્યા ગયા છે.”

વિડંબના જુઓ કે, એન.સી.પી.ના આ નેતાઓ એક તરફ વિધાનસભામાં શપથ લઇ રહ્યા હતા, તે જ વખતે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અને દેશના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે એક ખાનગી કેસમાં કોર્ટને ઈ.ડી.ની શક્તિ પર લગામ કસવાની અપીલ કરી રહ્યા હતા. રિયલ્ટી ગ્રુપ એમ.3.એમ.ના ડાયરેક્ટરોની ધરપકડોને લઈને દલીલો કરતાં સાલ્વેએ કહ્યું હતું કે, “મની લોન્ડરિંગના કેસોની તપાસ કરવા માટે ઈ.ડી. પાસે અમાપ શક્તિઓ છે. તેને જો નિયંત્રિત કરવામાં નહીં આવે તો આ દેશમાં કોઈ સલામત નથી.”

શરદ પવારે જ્યારે વડા પ્રધાન મોદીના એક બયાનને ટાંકીએ ટોણો માર્યો તે આ જ વિડંબનાને દર્શાવતો હતો. તેમણે કહ્યું હતું, “બે દિવસ પહેલાં વડા પ્રધાન એન.સી.પી. અંગે બોલ્યા હતા … તેમણે કહ્યું હતું કે એન.સી.પી. પતી ગયેલી પાર્ટી છે. તેમણે સિંચાઈ કૌભાંડ અને ભ્રષ્ટ્રાચારના આરોપોનો ઉલ્લેખ કર્યો હતો. મને ખુશી છે કે મારા સાથીઓએ શપથ લીધા છે. એના પરથી સ્પષ્ટ છે તેમનાં પાપ ધોવાઇ ગયાં છે. હું વડા પ્રધાનનો અભાર માનું છું.”

મહારાષ્ટ્રના રાજકારણમાં આ અંતિમ અધ્યાય નથી. ચૂંટણી સુધી હજુ ઘણાં જૂતાંના અવાજ આવવાના છે. 

લાસ્ટ લાઈન :

રાજકારણમાં નૈતિકતા નથી જોવાતી, ફાયદો જોવાય છે. એક બદમાશ પણ એટલા માટે જ આપણા કામનો હોઈ શકે કારણ કે એ બદમાશ છે.

— વ્લાદિમીર લેનિન

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 09 જુલાઈ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0351,0361,0371,038...1,0501,0601,070...

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved