Opinion Magazine
Number of visits: 9458114
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાગણીઓની અભિવ્યક્તિ પર પશ્ચિમનો રંગ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 April 2023

રાજ ગોસ્વામી

ગયા અઠવાડિયે, તિબેટિયન નેતા અને આધ્યામિક ગુરુ દલાઈ લામાને લઈને એક વિવાદ થયો હતો. 28મી ફેબ્રુઆરીએ, ધર્મશાલાના એક ગામ મેકલોર્ડ ગંજમાં, દલાઈ લામાની ઉપસ્થિતિમાં એક મંદિર ખાતે લગભગ 100 વિધાર્થીઓનો એક કાર્યક્રમ યોજાયો હતો. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો, પછી આ વિવાદ ચગ્યો હતો.

વીડિયોમાં, એક વિધાર્થીએ માઈકમાં દલાઈ લામાને પૂછ્યું કે હું તમને ભેટી શકું? 87 વર્ષીય દલાઈ લામાએ તેને સ્ટેજ પર આવવા કહ્યું. એ આવીને બેઠો એટલે તેમણે બાળકના હોઠ પર ચૂમી લીધી અને પછી પોતાની જીભ બહાર કાઢીને બાળકને તે ચૂસવા કહ્યું. બાળક થોડો ખસ્યો એટલે દલાઈ લામા હસ્યા અને બાળકને ખેંચીને ભેટ્યા.

કાર્યક્રમમાં ઉપસ્થિત એક વ્યક્તિએ આ આખી ઘટનાનો વીડિયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર નાખ્યો. લોકોએ આ વીડિયોને ‘ઘૃણાસ્પદ,’ ‘ગંદો’ અને ‘બીમાર’ ગણાવીને દલાઈ લામાની જબરદસ્ત ટીકા કરી. અમુક લોકોએ તો ચાઈલ્ડ એબ્યુઝના અપરાધ હેઠળ દલાઈ લામા સામે પોલીસ ફરિયાદ કરવાનું પણ સૂચન કર્યું.

દલાઈ લામા અને તેમના અનુયાયીઓને આ વિવાદની જાણ થતાં તેમણે જનહિતમાં તાબડતોબ એક બયાન જારી કરીને બાળક અને તેના પરિવારની માફી માગી અને કહ્યું કે, “દલાઈ લામા જ્યારે પણ લોકોને મળે છે ત્યારે આવી નિર્દોષ અને રમતિયાળ શરારત કરે છે.”

દલાઈ લામાએ તો કોઈ બચાવ કરવાને બદલે સાર્વજનિક માફી માગીને વિવાદને આગળ ન વધાર્યો, પરંતુ હકીકત એ છે કે આવી રીતે જીભ કાઢવી એ તિબેટની એક પરંપરાનો હિસ્સો છે. તિબેટિયન લોકો આપસમાં મળે ત્યારે આવું કરતાં રહે છે પણ એ જ વાત સોશિયલ મીડિયા પર આવીને ‘કૌભાંડ’ બની ગઈ. એમાં ય પાછા એ દલાઈ લામા પોતે હતા, જે એક હાઈપ્રોફાઈલ વૈશ્વિક નેતા છે.

બાકી, સોશિયલ મીડિયા કેટલું ક્રૂર માધ્યમ છે તેનું આ લેટેસ્ટ ઉદાહરણ છે. સોશિયલ મીડિયા ધ્રુવીકરણ પર નભે છે. એમાં બહુમતી લોકોને આત્યંતિક, સામા છેવાડાનાં વલણ પસંદ હોય છે. લોકો કોઈ વિચાર કે વ્યક્તિની અત્યંત વાહવાહી કરે છે અથવા અત્યંત ટીકા કરે છે. લોકો ભાગ્યે જ ગમતી કે ન ગમતી વાત અથવા વ્યક્તિ માટે સંતુલિત સ્ટેન્ડ લઇ શકે છે. એટલા માટે તેમાં રોજ એક નવો વિવાદ ચાલતો રહે છે.

સોશિયલ મીડિયામાં લોકો ચીડમાં જીવે છે. દરેકને દરેકની સામે ચીડ છે. આપણે રોજ સવારે એક નવી ચીડ સાથે દિવસ શરૂ કરીએ છીએ અને રાત પડે બીજી કોઈક ચીડ લઈને સૂઈ જઈએ છીએ. ‘સૂઈ જઈએ છીએ’ કહેવું પણ ખોટું છે, કારણ કે આખા દિવસની ચીડ બંધ આંખો પાછળ જીવતી રહે છે. આપણને સુંદર સપનાં આવતાં બંધ થઈ ગયાં છે. આપણે ચીડનો એક રાક્ષસ પાળ્યો છે, અને એનું પેટ બહુ મોટું છે, એટલે આપણે નિરંતર એને ખવડાવતા રહેવું પડે છે. આપણે રોજ ચીડનો શિકાર શોધી લઈએ છીએ.

ક્યારેક મોદી-ગાંધી, ક્યારેક હિન્દુ-મુસ્લિમ, ક્યારેક મોરારિબાપુ, ક્યારેક મીડિયા, ક્યારેક હું અને ક્યારેક તમે. એનાથી કોઈ ફરક પડતો નથી કે હું તમારી પર મારી ભડાસ કાઢું છું કે બીજા કોઈની પર. ચીડની પ્રકૃતિ છે કે એ ક્યાંક ઠલવાવવી જોઈએ, અને તે ઠલવાઇને પાછી મળે છે. ચીડ કોરોના વાઇરસની જેમ ચેપી છે. તેનું કમ્યુનિટી સંક્રમણ થાય છે. રાજકારણ, મીડિયા અને આઈ.ટી. સેલ આ સંક્રમણ પર નભે છે. તે તમને સતત ચીડમાં રાખે છે. ચીડનું વ્યવસાયિક મૂલ્ય છે. સોશ્યલ મીડિયાનું અલગોરિધમ શું છે? એ તમારી ચીડને એમ્પ્લીફાઇ કરી મૂકે છે, જેથી તે જીવતી રહે. તે જીવતી રહે છે અને આપણને ‘ખાતી’ રહે છે.

આમાં જ દલાઈ લામા ઝપટમાં આવી ગયા. દલાઈ લામાના અનુયાયીઓ તો તેને ચીની કાવતરું પણ ગણે છે. “પરમ પૂજ્યની પ્રતિષ્ઠાને બગાડીને કોને ફાયદો થાય છે તે સમજાવાની જરૂર નથી,” ભારત સ્થિત સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેશનના વડા પેન્પા ઝેરિંગે એક મીડિયામાં કહ્યું હતું, “જે સ્તર પર વિવાદ ચગાવામાં આવ્યો તેમાં રાજકીય હિતને નજરઅંદાજ ન કરાય.”

તિબેટિયન સમાજમાં આ એક જૂની પરંપરામાં છે જેમાં તેઓ જીભ કાઢીને અરસપરસ અભિવાદન કરે છે, પરંતુ પશ્ચિમી મૂલ્યોથી રંગાયેલા લોકોએ તેને સેક્સુઅલ એક્ટ ગણીને ‘ગંદુ’ બનાવી દીધું. આ ઘટના પછી રેડિયો ફ્રી એશિયાએ પેલા બાળકનો ઇન્ટરવ્યૂ કર્યો હતો જેમાં તેણે તેને કેવું લાગ્યું હતું તેના જવાબમાં કહ્યું હતું કે તેને ‘સકારાત્મક ઉર્જા’નો અનુભવ થયો હતો.

1997માં, હોલિવૂડ સ્ટાર બ્રાડ પિટની એક ફિલ્મ ‘સેવન ઈયર્સ ઇન તિબેટ’ આવી હતી. તેમાં પિટ જ્યારે તિબેટિયન લોકોના એક સમૂહને મળે છે ત્યારે તે સૌ તેને જોઇને જીભ બહાર કાઢે છે. આ પરંપરા 9મી સદી જૂની છે. તે વખતે લાંગ દરમા નામનો તિબેટનો રાજા હતો. એ અત્યંત ક્રૂર હતો અને તેની જીભ કાળી હતી. તિબેટના લોકો પુનર્જન્મમાં માને છે. તેમને ડર હતો કે રાજા પણ પુનર્જન્મ લેશે. પરિણામે, સદીઓ સુધી તિબેટિયન લોકો એકબીજાને મળે ત્યારે જીભ બહાર કાઢતા હતા, એવું સાબિત કરવા કે તેમની જીભ કાળી નથી અને તેઓ ક્રૂર રાજાનો પુનર્જન્મ નથી.

રિવાજો હંમેશાં તર્કશૂન્ય હોય છે. ચાહે તે ધર્મ હોય, દેશ હોય કે સંસ્થા હોય, માણસ સદીઓથી જાત-ભાતની રસમ નિભાવતો આવ્યો છે, અને ધર્મ, દેશ કે સંસ્થામાં માન્યતાઓ બદલાય, તો માણસ નવા રિવાજો પાળતો પણ આવ્યો છે. ઉદાહરણ તરીકે એક જમાનામાં ધાર્મિક અનુષ્ઠાન વખતે પશુનો બલિ ચઢાવાનો રિવાજ હતો, આજે નથી. સદીઓ પહેલાં નેશન સ્ટેટની રચના ન થઇ હતી, ત્યારે ન તો કોઇ રાષ્ટ્રધ્વજ હતો કે ન તો રાષ્ટ્રગાન. એક સમયે રાજાશાહી હતી, ત્યારે રાજાના માનમાં ઊભા થવાનો કે ગાન કરવાનો રિવાજ હતો, આજે નથી. આજે આપણે રાષ્ટ્રગાનમાં ઊભા થઈએ છીએ. રિવાજનું મહત્ત્વ તેના પ્રસંગ કે સંદર્ભમાં છે, રિવાજમાં નહીં. એ પ્રસંગ કે સંદર્ભ ન હોય, તો રિવાજનો મતલબ રહેતો નથી.

ઉત્તરોતર, તિબેટમાં જીભ કાઢવી એક રિવાજ બની ગયો. હવે તો જીભ કાઢવી એ સન્માન, આવકાર અને સહમતિનું પ્રતિક છે. સોશિયલ મીડિયા પર લોકોએ દલાઈ લામાના વર્તનમાં કિસ જોઈ હતી, જે એક પશ્ચિમી ખ્યાલ છે. મુસીબત એ છે કે લાગણીઓ અને શિષ્ટાચારની અભિવ્યક્તિમાં પશ્ચિમનાં ધારા-ધોરણનો રંગ ચઢી ગયો છે. પશ્ચિમમાં લાગણીઓની અભિવ્યક્તિઓને ઇન્દ્રિય સુખનાં ચશ્માંમાંથી જ જોવામાં આવે છે.

જીભ બહાર કાઢવાની ક્રિયાના અલગ-અલગ સમાજોમાં અલગ-અલગ અર્થ નીકળે છે. ત્યાં સુધી કે એક બાળક જીભ કાઢે તેનો અર્થ એક વયસ્ક જીભ બહાર કાઢે અથવા એક સ્ત્રી જીભ બહાર કાઢે તેનો એક પુરુષ જીભ કાઢે તેના કરતાં ભિન્ન અર્થ હોય છે. એનો અર્થ અસભ્યતા પણ થાય, ઘૃણા પણ થાય, રમત પણ થાય અને જાતીય ઉશ્કેરણી પણ થાય. તેનો સંદર્ભ જોવો પડે. દાખલા તરીકે, ન્યુઝીલેન્ડના માઓરી જાતિના લોકોમાં યુદ્ધ શરૂ થતાં પહેલાં લલકાર તરીકે જીભ કાઢવાનો રિવાજ છે. ત્યાં જીભ કાઢવી એ આક્રમકતાનું પ્રતિક છે.

લાગણીઓની અભિવ્યક્તિ દુનિયામાં એક સરખી, એટલે કે બાયોલોજીકલ નથી હોતી. લાગણીઓ પર સામાજિક વાતાવરણનો પણ એટલો જ પ્રભાવ પડે છે. દાખલા તરીકે, ઉત્તેજના, આશ્ચર્ય, ઉલ્લાસ, ખુશી જેવા ‘હાઈ અરાઉઝલ ઈમોશન્સ’ પશ્ચિમના વ્યક્તિવાદી સમાજોમાં વધુ સ્વીકૃત છે, જ્યારે શાંતિ, શીતળતા, આરામ, દુઃખ, કંટાળો જેવા ‘લો અરાઉઝલ ઈમોશન્સ’ને પૂર્વનાં સમાજો વધુ મહત્ત્વ આપે છે.

બાય ધ વે, તિબેટિયન સમાજમાં ‘ઇટ માય ટંગ’ (મારી જીભ ખાઈ જા) નામની એક રમત પણ છે. એમાં બાળકો તેમના દાદા પાસે જઈને તેમના કપાળ પર ચૂમી ભરે છે અને નાકને સ્પર્શ કરે છે. દાદા તેમને મોઢા વડે કેન્ડી, ચોકલેટ કે ટોફી આપે છે અને પછી કહે છે, મેં તમને બધું જ આપી દીધું છે અને હવે મારી પાસે મારી જીભ જ રહી છે.

પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 23 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—193

દીપક મહેતા|Opinion - Opinion|25 April 2023

ખમ્ભાલા હિલ નામ કોના પરથી પડ્યું? 

આપણા દેશનો પહેલો ફ્લાય ઓવર મુંબઈમાં બંધાયો, 

જે આજે ય અડીખમ ઊભો છે.

ઈશ્વર જેવો ઈશ્વર પણ જ્યાં ભૂલો પડે તે ભૂલેશ્વરને રામ રામ કરીને હવે આગળ વધીએ. મુંબઈના રસ્તાઓનાં નામ વિષે ક્યારેક તો હસવું ખાળી ન શકાય એવી વાતો મળે છે. બોમ્બે પોર્ટ ટ્રસ્ટની માલિકીના વિસ્તારમાંનાં ઘણાં નામ મહારાષ્ટ્ર-ગુજરાતનાં બંદરો પરથી પડ્યાં છે એ વાત આપણે અગાઉ કરી હતી. જેમ કે ગોઆ સ્ટ્રીટ, કારવાર સ્ટ્રીટ, ઘોઘા સ્ટ્રીટ. પણ આ ઘોઘા સ્ટ્રીટ નામ કઈ રીતે પડ્યું એની એક સમજૂતી ‘મુંબઈનો બહાર’ નામના અમૂલ્ય પુસ્તકના વિદ્વાન લેખક રતનજી ફરામજી વાચ્છાએ આપી છે. ઘણા અંગ્રેજો ઘોઘા સ્ટ્રીટને બદલે ‘ગોગો સ્ટ્રીટ’ બોલતા. હવે વાચ્છાસાહેબ કહે છે કે એક જમાનામાં બહુ જાણીતું બનાજી કુટુંબ આ વિસ્તારમાં રહેતું. આ કુટુંબ મૂળ ઘોઘાનું વતની એટલે ઘણા તેને ‘ઘોઘાવાળા’ તરીકે પણ ઓળખતા. આ કુટુંબના કાવસજીની આ રસ્તા પર દુકાન. એક દિવસ એક ગોરો ખલાસી દુકાનમાંથી કંઈ ખરીદવા આવ્યો. ભાવ-તાલ અંગે કશોક ઝગડો થતાં કાવસજીના ભેજાનું બોઈલર ફાટ્યું. ઝાઝું અંગ્રેજી બોલતાં તો આવડે નહિ, એટલે મોટે મોટેથી Go, go એમ બૂમો પાડવા લાગ્યા. પણ ખલાસી માથાનો ફરેલો હતો. દુકાનથી થોડે દૂર ઊભો રહીને બૂમો પાડીને બીજા ખલાસીઓને કહેવા લાગ્યો: Don’t go to this ‘Go Go’s shop. પછીથી આ દુકાન જે રસ્તા પર આવેલી તેનું નામ ગોગો સ્ટ્રીટ પડી ગયું. પારસીઓ સ્વભાવે રમૂજી. વાચ્છાસાહેબ જેવા સુસજ્જ લેખક આવું કહેતા હોય તો તે મોટે ભાગે ઠઠ્ઠા તરીકે જ હોય. પણ ઘણાએ તેમની આ વાત સાચી માની લીધી છે. હા, એક વાત સાચી કે એક જમાનામાં આ સ્ટ્રીટને નાકે લગાડેલા પાટિયા પર Gogo Street એવું નામ લખાતું. પણ આવા સ્પેલિંગ એ જમાનાની એક ખાસિયત હતી.

ખમ્ભાલા હિલ, ૧૯મી સદીના પૂર્વાર્ધમાં

‘ભોલેશ્વર’માંથી ‘ભૂલેશ્વર’ ભાષાશાસ્ત્રના કિયા નિયમ પ્રમાણે થાય, એવો સવાલ કરનારા પંડિતોને આ એક દાખલો સાદર: માહિમમાં લેડી જમશેદજી રોડથી મોગલ લેન તરફ જતા એક રસ્તાનું નામ હતું હસાલી ટેન્ક સ્ટ્રીટ. એટલે કે એ વિસ્તારમાં ટેન્ક કહેતાં એક તળાવ આવેલું એટલું તો નક્કી. અલબત્ત, આજે એનું નામોનિશાન રહ્યું નથી. રુસ્તમ મસાણીસાહેબ કહે છે કે અહીં ‘હસાલી’ નામનું ગામડું આવેલું તેના પરથી તળાવ અને રસ્તાનાં નામ પડ્યાં. અહીંના વતનીઓ મૂળ જંજીરાના હબસીઓ. હવે ગેઝેટિયર કહે છે કે આ જંજીરાનો ટાપુ ‘હબસાણી’ તરીકે પણ ઓળખાતો. હબસાણી એટલે હબસીઓનો ટાપુ. માહિમ વિસ્તારમાં આવેલા ગામનું અસલ નામ હબસાણી. પછી તેનું થયું હબસાલી, અને તેનું થયું હસાલી. બોમ્બે વોટર વર્કસમાં એક જમાનામાં નોકરી કરતા કાશીનાથ ધુરુએ લખ્યું છે કે તેમના જમાનામાં પાણીનાં બિલમાં લખાતાં સરનામાંમાં આ વિસ્તાર માટે ‘હસાલી’ લખાતું. હવે, કોઈ ભાષા પંડિત કહી શકશે કે ‘હબસી’નું ‘હસાલી’ કયા નિયમ પ્રમાણે થાય? લોકોની જીભને ભાષાશાસ્ત્રના નિયમોથી બાંધી શકાતી નથી.

માત્ર મુંબઈમાં જ નહિ, એક જમાનામાં ગુજરાત-મહારાષ્ટ્રના દરિયા કાંઠા પરના ઘણા વિસ્તારોમાં આ હબસી કે સીદીઓની વસ્તી હતી. હજી આજે પણ ગીરના જંગલ નજીક તેમની અલગ વસ્તી છે. અગાઉ ભાવનગર જેવાં કેટલાંક દેશી રાજ્યો ‘સીદી સેના’ રાખતાં. અને એક જમાનામાં મુંબઈમાં ચીનાઓની પણ નોંધપાત્ર વસતી હતી. એ વખતે અહીંના રસ્તાઓ પર ચીની દાંતનાં ડોકટરનાં પાટિયાં જોવા મળતાં. નાતાલ વખતે વેચાતાં કાગળનાં ફાનસ, તોરણ વગેરે પણ મોટે ભાગે ચીનાઓ બનાવીને વેચતા. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ થયું તે વખતે આ ચીની વસતી અલોપ થઈ ગઈ.

જાણકારોને પણ મૂંઝવે એવું એક નામ છે ખમ્ભાલા હિલ. અંગ્રેજીમાં તેના ઓછામાં ઓછા બે સ્પેલિંગ જોવા મળે છે: Cumballa અને Kambala. આજે તો ફક્ત માલેતુજારો જ રહી શકે એવો આ વિસ્તાર. મલબાર હિલ પણ તેવો જ વિસ્તાર. પણ એક જમાનામાં આ બંને ટેકરીઓ પર નકરું જંગલ હતું. અને બંનેના વાસી હતાં જંગલી જાનવર. જ્યાં જુઓ ત્યાં સાપ સરતા હોય. ગીચ ઝાડીમાંથી ક્યારેક વાઘ કે ક્યારેક વરુનો અણસાર વર્તાય. માણસોએ અહીં વસવાનું શરૂ કર્યું તે પછી પણ જનાવરોએ સહેલાઈથી હાર માની નહોતી. ૧૮૦૩ના ઓક્ટોબરમાં તરસ (કે ઝરખ) નામનું પ્રાણી રેન્ડલ લોજ નામના મકાનના કંપાઉન્ડમાં દેખાયું હતું. ૧૮૨૨માં એક વાઘ મલબાર હિલની ટેકરી ઊતરીને પોતાની તરસ છીપાવવા ઠેઠ ગોવાળિયા તળાવ સુધી ગયો હતો. પણ પછી કશાકથી તે એવો તો ગભરાયો કે તીરની ઝડપે હર્મિટેજ અને અને પ્રોસ્પેક્ટ લોજ નામના બે બંગલાઓ વચ્ચેની ઝાડીમાં થઈને મલબાર હિલ ને બદલે સીધો કમ્બાલા હિલ પહોંચી ગયો હતો!

કેમ્પ્સ કોર્નર  ફ્લાયઓવર, ૧૯૬૫

મલબાર હિલ અને કમ્બાલા હિલના ઢોળાવ જ્યાં મળે છે ત્યાં વખત જતાં કેમ્પ એન્ડ કંપનીની દુકાન ખૂલી હતી. તે પછી એ વિસ્તાર કેમ્પ્સ કોર્નર તરીકે ઓળખાતો થયો. આજે હવે એ કંપની બંધ થઈ ગઈ છે. સત્તાવાર નામ છે ગોદરેજ ચોક. અને છતાં લોકજીભે વસેલું નામ તો છે કેમ્પ્સ કોર્નર. તેની નજીક આપણા દેશનો પહેલવહેલો ફ્લાઈ ઓવર બાંધવાનું કામ ૧૯૬૪ના એપ્રિલમાં શરૂ થયું હતું. અને ૧૯૬૫ના એપ્રિલની ૧૪મી તારીખે તે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. બાંધવાનો ખર્ચ થયો હતો સાડા સત્તર લાખ. (ના, જી. અહીં છાપભૂલ નથી. સાડા સત્તર કરોડ નહિ. સાડા સત્તર લાખ) પંદર-વીસ વરસ પહેલાં કરોડોના ખર્ચે બંધાયેલા ફ્લાઈ ઓવર કે સ્કાય વોક આજે તોડીને ફરી બાંધવા પડે છે. જ્યારે આ અને અને લગભગ તેની સાથે જ બંધાયેલ પ્રિન્સેસ સ્ટ્રીટનો ફ્લાઈ ઓવર થોડા સમારકામ પછી આજે ય અડીખમ ઊભા છે.

પણ સમયના ફ્લાય ઓવર પર આપણે જરા આગળ નીકળી ગયા. ખમ્ભાલા હિલની ટોચ  સુધી જતા રસ્તાનું નામ હતું અલ્ટામાઉન્ટ રોડ. કારણ એ નામનો બંગલો એ ટેકરીને મથાળે આવેલો હતો. આજુબાજુ ઝાડીઝાંખરા એટલે ત્યાં રહેવાનું કોઈ બહુ પસંદ ન કરે. છતાં ૧૮૬૫માં તેનું ‘બાદશાહી’ ભાડું હતું મહીને એક હજાર રૂપિયા! આજે અલ્ટામાઉન્ટ રોડનું સત્તાવાર નામ છે એસ.કે. બરોડાવાલા માર્ગ. પણ કોઈ ટેક્સીવાળાને આ નામ કહી જોજો. જવાબ મળશે : ‘સાહબ, યે તો મુમ્બઈ કા લોકલ ટેક્સી હૈ, બરોડા તક નહિ જાતા.’ આ બરોડાવાલા સાહેબ કોણ હતા તે જાણી શકાયું નથી.

ભુલાભાઈ દેસાઈ

અલ્ટામાઉન્ટ રોડને સમાંતર જતો બીજો રસ્તો તે પેડર રોડ. ૧૮૫૫થી ૧૮૭૯ સુધી ડબલ્યુ.જી. પેડર બોમ્બે સિવિલ સર્વિસમાં કામ કરતા હતા. ૧૮૭૯માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બન્યા. નિવૃત્તિ પછી સ્વદેશ પાછા ગયા ત્યારે લંડનની ઇન્ડિયા ઓફિસમાં રેવન્યૂ અને કોમર્સ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે તેમની નિમણૂંક થઈ હતી. આ રસ્તાનું આજનું સત્તાવાર નામ છે ગોપાળરાવ દેશમુખ માર્ગ. આગળ જતાં દરિયા કિનારા નજીક પેડર રોડને સમાંતર જતા રસ્તાનું નામ હતું વોર્ડન રોડ. આ રસ્તો લગભગ બસ્સો વરસ પહેલાં બંધાયેલો. ફ્રાન્સિસ વોર્ડન ૧૯મી સદીની પહેલી પચ્ચીસીમાં એક મહત્ત્વના અમલદાર હતા. ૧૮૨૮માં તેઓ મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી નિમાયા હતા. નિવૃત્તિ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીના એક ડિરેક્ટર બન્યા હતા. આ રોડનું આજનું નામ ભૂલાભાઈ દેસાઈ રોડ. ભૂલાભાઈ દેસાઈ (૧૮૭૭-૧૯૪૬) એટલે એ જમાનાના અત્યંત બાહોશ અને જાણીતા વકીલ.

પણ હવે પાછા જઈએ ખમ્ભાલા હિલ. આ નામ પડ્યું કેવી રીતે? ખમ્ભાલા હિલ પરના એક બંગલામાં એક મિજબાની દરમ્યાન એક મહેમાને પૂછેલું : ‘પણ આ મિસ્ટર ખમ્ભાલા હતા કોણ?’ આજુબાજુ બેઠેલાઓ હસ્યા હતા. પણ કોઈએ જવાબ આપ્યો નહોતો. કારણ આ નામનો ગળે ઊતરે એવો ખોલાસો હજી સુધી મળ્યો નથી. કોઈ ‘કમ્બાલા’ને કમળનાં ફૂલ સાથે સાંકળે છે. અને કહે છે કે ‘કમળ’નામથી થયું ‘કમ્બાલા.’ પણ ખાટલે મોટી ખોડ એ કે કમળ કાંઈ જમીન પર ખીલતાં નથી, અને ખમ્ભાલા હિલ પર મોટું તળાવ હોવાનું કોઈએ કહ્યું નથી. તો એક વિદ્વાન રિચાર્ડ એટન કહે છે કે આ નામ ઇથોપિયાના ‘કમબાતા’ શહેરના નામ સાથે જોડાયેલું છે. એક જમાનામાં હબસીઓને ગુલામ તરીકે હિન્દુસ્તાન મોકલવામાં આવતા. પણ મુશ્કેલી એ છે કે આવા ગુલામો વહાણ દ્વારા લવાતા અને વહાણ કાંઈ ટેકરી ઉપર નાંગરે નહિ. તો કોઈ વળી કહે છે કે એક જમાનામાં અહીં કબ્રસ્તાન અને સ્મશાન ભૂમિ આવેલાં હતાં. અંતિમ વિધિ થયા પછી તેમના માનમાં અહીં ખંભા કહેતાં થાંભલા ખોડાતા એટલે નામ પડ્યું ખમ્ભાલા હિલ. આમાં બે મુશ્કેલી : એક તો અહીં કબ્રસ્તાન કે સ્મશાન ભૂમિ હતાં એવું ક્યાં ય નોંધાયું નથી. બીજું, મુસ્લિમ બિરાદરો જે બાંધે છે તેને ‘કબર’ કહેવાય છે, ‘ખંભા’ નહિ. હા, ગુજરાત-મહારાષ્ટ્રમાં ધીંગાણામાં માર્યા ગયેલા વીરોની ખાંભી ખોડાય છે, પણ તેને ‘ખંભા’ કહેતાં નથી. વળી આ ટેકરી ઉપર ક્યારે ય કોઈ ધીગાણું થયું હોય એવું જાણવા મળતું નથી.

કંબલ / શમી / ખીજડો

બીજો અભિપ્રાય એવો કે આ ટેકરી પર મોટા પ્રમાણમાં જોવા મળતાં કંબલ નામના ઝાડને કારણે આ નામ પડ્યું. આ ‘કંબલ’ આપણને ‘શમી વૃક્ષ’ તરીકે વધુ જાણીતું છે. તેનું બીજું નામ ‘ખીજડો.’ શમી વૃક્ષનો ઉલ્લેખ છેક રામાયણ મહાભારતમાં પણ જોવા મળે છે. રાવણ સાથેના યુદ્ધ પહેલાં રામે શમી વૃક્ષની પૂજા કરી હતી. તો મહાભારતમાં એક વરસના વનવાસ દરમ્યાન પાંડવોએ પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર શમીના ઝાડ પર છૂપાવ્યાં હતાં એવા ઉલ્લેખ મળે છે. બીજી બાજુ ખીજડાના ઝાડ પર ભૂતનો વાસ હોય છે એવી લોકમાન્યતા પણ છે. બધી વાતોમાં આ વાત સૌથી વધુ ગળે ઊતરે તેવી છે. જે ટેકરી પર મોટા પ્રમાણમાં ‘કંબલ’નાં ઝાડ, એ ટેકરીનું નામ કમ્બાલા હિલ. અને બીજા ઘણા રસ્તાનાં નામ પણ કોઈ ને કોઈ ઝાડ પરથી ક્યાં નથી પડ્યાં? હવે આવતે અઠવાડિયે કયા રસ્તા પર લટાર મારશું? રામ જાણે.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મીડ–ડે”; 22 એપ્રિલ 2023)

Loading

ભગીરથ કાર્ય

Usha Thakkar|Opinion - User Feedback|24 April 2023
Dear Vipoolbhai,

Heartiest Congratulations to you and your team for this wonderful work! You all have done

ભગીરથ કાર્ય.

Sankaliyu is just amazing. I tried all the four magazines and I was very happy- the articles are just a click away.
I heard the programme this afternoon. It was excellent- well conceptualized and well administered. All of you- you, Ashokbhai, Nirajbhai, Abhimanyubhai and Prakashbhai were very good. Panchambhai’s vote of thanks was polite and pleasant. Your opening remarks were precise, meaningful and to the point. I was touched when you remembered your brother and parents.
I am sorry I could not join yesterday evening. I had to be with a friend who has recently lost her husband. However, my mind was with your programme.
May Opinion and Sankaliyu grow from strength to strength!
best wishes for all your work,
warmly,
Usha

Loading

...102030...1,0301,0311,0321,033...1,0401,0501,060...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved