Opinion Magazine
Number of visits: 9458136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨) 

સુમન શાહ|Opinion - Literature|30 April 2023

સુમન શાહ

કવિપ્રતિભા અને આલોચકની રાજશેખરે કરેલી ચર્ચામાં એમણે બે પ્રકારની પ્રતિભા વર્ણવી છે. એક છે, કારયિત્રી પ્રતિભા, જેની સત્તાએ સર્જનનું કાર્ય સમ્પન્ન થાય છે. ને બીજી છે, ભાવયિત્રી પ્રતિભા, જેની સત્તાએ ભાવનનું કાર્ય સમ્પન્ન થાય છે. હું એ ચર્ચા આ પછીના લેખમાં માંડીશ.

પણ આજે, ભાવન અને ભાવયિત્રી પ્રતિભા સાથે સંકળાયેલા એક નૉંધપાત્ર પ્રશ્નની અને તેના ઉત્તરની વાત કરવી છે.

એક ભાવકનો પ્રશ્ન છે : બધા રસ ભલે આનન્દ આપી શકે, પણ કરુણ રસ આનન્દ શી રીતે આપી શકે?

મેં બે દિવસ પછી ઉત્તર આપ્યો તેનું વિસ્તૃત વિવરણ નીચે મુજબ છે. એ વિવરણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશાના અન્ય અધ્યયનકારોને પણ કામ આવશે એમ આશા છે.

સૌ પહેલાં એ જાણી લઈએ કે આ પરત્વે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર શું કહે છે.

કાવ્યશાસ્ત્રનાં ગમ્ભીરતાપૂર્વક થયેલાં અધ્યયનોમાં ગાઈ-વગાડીને કહેવાયું છે કે કોઈપણ રસ આનન્દાત્મક છે – ‘આનન્દરૂપતા સર્વરસાનામ્’.

કહેવાયું છે કે ચાવવાથી રસ જનમે છે ને રસ વ્યક્તિને આનન્દ આપે છે. સાહિત્યકલારસની પણ ચર્વણા થતી હોય છે અને અન્તે એ રસનું આનન્દમાં પર્યવસાન થાય છે. કરુણ રસની પણ ચર્વણા થતી હોય છે, કરુણ રસ પણ આનન્દપર્યવસાયી છે.

શાસ્ત્ર એમ કહે છે કે આઠ રસ છે. એમ ઉમેરાયું છે કે નવમો રસ શાન્ત છે. કહેવાયું છે કે કરુણ રસ રૌદ્ર રસમાંથી ઉત્પન્ન થયેલો છે; જેમ શૃંગારમાંથી હાસ્ય રસ, વીરમાંથી અદ્ભુત, અને બીભત્સમાંથી ભયાનક.

શૃંગાર રસરાજ ગણાયો છે. પણ ભવભૂતિ કહે છે કે એક માત્ર કોઈ રસ હોય તો તે કરુણ છે. શાસ્ત્ર એમ પણ જણાવે છે કે શૃંગારનું ‘અનુકરણ’ હાસ્ય રસ છે. દાખલો આપું : નાયક-નાયિકાની પ્રેમચેષ્ટાના ચાળા પાડતાં રંગલોરંગલી આપણને હસાવે છે. વીર રસનું ‘કર્મ’ અદ્ભુત રસ છે. દાખલો આપું : કલાકૃતિમાં બે બાહુબલિ દ્વન્દ્વ યુદ્ધ કરતા હોય તો એમની એ પ્રવૃત્તિનું દર્શન થતાં આપણી આંખો એને તાકતી રહી જાય છે, ને મુખ આશ્ચર્યથી જરા ખુલ્લું અવાક્ રહી જાય છે. વીરરસનું એ કર્મફળ છે. બીભત્સનું ‘દર્શન’ ભયાનક છે. દાખલો આપું : વાર્તામાં ચીતરાયેલા શહેરના ગંદા વિસ્તારો, ઝૂંપડપટ્ટી, વગેરે જોઈને ડરી જવાય છે. રૌદ્રનું ‘કાર્ય’ કરુણ રસ છે. દાખલો આપું : નવલકથામાં યુદ્ધથી બન્ને તરફ નરસંહાર થઈ રહ્યો હોય, એ દૃશ્ય આપણને કરુણ રસે ‘રસે’ છે, મીન્સ, કરુણ પ્રગટે છે. જો કરુણ રૌદ્રનું કાર્ય છે, એટલે કે, ફન્કશન, તો કરુણ આનન્દ આપી શકે એવી આશા રાખવી વ્યર્થ છે.

કાવ્યશાસ્ત્રમાં કહેવાયું છે કે ધનપ્રાપ્તિ વા પુત્રપ્રાપ્તિથી થતો આનન્દ લૌકિક છે, પણ કલાનો આનન્દ એવો લૌકિક નથી, તે અ-લૌકિક છે. (એ શાસ્ત્રીઓને પુત્રીપ્રાપ્તિ નથી યાદ આવી – જો કે એ જુદી વાત છે).

આ પ્રકારે આનન્દ અ-લૌકિક છે – ત્યાં લગીની એની લાક્ષણિક ઓળખ મળે છે.

++

Questioning person

Pic courtesy : CanStockPhoto.com

જીવન અને કલા વચ્ચેનો ચિરકાલીન ફર્ક સમજી રાખવો જરૂરી છે : જીવનમાં થતા રહેતા અનુભવો ઍક્ચ્યુઅલ હોય છે – ખરા. પણ સાહિત્યકલાના વિશ્વમાં જે સૃષ્ટિ અનુભવવા મળે છે તે વર્ચ્યુઅલ હોય છે – આભાસી. દાખલા તરીકે, માથાભારે માણસ આપણી આસપાસમાં મળી આવે, પણ દશાનન રાવણ રામાયણમાં જ મળે. એ સૃષ્ટિને માણવા તેમ જ પ્રમાણવા માટેના માપદણ્ડ પણ જુદા, કલાપરક હોય છે. એ સૃષ્ટિને જો ઍક્ચ્યુઅલના માપદણ્ડથી માપીશું, તો કલાના ગુણ નહીં વસે, દોષ દેખાશે.

મારી દૃષ્ટિએ ઍક્ચ્યુઅલ – વર્ચ્યુઅલ ભેદની વાતને કાવ્યશાસ્ત્ર જરા જુદી રીતે ચીંધે છે, એમ કહી શકું.

કાવ્યશાસ્ત્ર અનુસાર, કલાનું સત્ય ચિત્રતુરગ-સમું છે. ચિત્રિત ઘોડો, ‘છે’ પણ ખરો અને ‘નથી’ પણ ખરો. કલાનું એવું મિશ્ર સત્ય છે. ચિત્રને જોનાર વ્યક્તિ જીવનમાં જોવા મળતા ઍક્ચ્યુઅલ તુરગને – ઘોડાને – શોધવા જશે, તો નિરાશ થશે. પણ એ જો ચિત્રમાં જોવા મળતા વર્ચ્યુઅલ ઘોડાને ઘોડા રૂપે જોઈ શકશે તો નિરાશ નહીં થાય.

અને, મહત્ત્વની વાત એ છે કે કલાના એવા મિશ્ર સત્યને પ્રમાણી શકાય છે, તો તે પણ, કલાનાં ધૉરણોથી; એથી આગળ, ભાવકનો રસાનુભવ છે જ વિ-લક્ષણ; એથી પણ આગળ, એ અનુભવ જ તેનું પ્રમાણ છે. “રસગંગાધર”-ના રચયિતા જગન્નાથ આ જ સંકેતાર્થો આપે છે. આનન્દને તેઓ ‘જાતિવિશિષ્ટ’ અને ‘અનુભવસાક્ષીક’ કહે છે, એટલે કે, આનન્દનો પ્રકાર વિશિષ્ટ છે અને તેનો અનુભવ એ જ તેનું પ્રમાણ છે.

++

મનુષ્યના જિવાતા જીવનની ભૂમિકાએ ઘટતા અપહરણ, બળાત્કાર, હત્યા કે મૃત્યુ જેવા પ્રસંગોમાં માણસ શોક નામના ભાવને અનુભવે છે. ત્યારે પ્રતિભાવ રૂપે સહાનુભૂતિ, અનુકમ્પા, કરુણા કે દયા અનુભવે છે, પણ એમ નહીં કહેવાય કે આનન્દ અનુભવે છે. મનુષ્યજીવનની એ ભૂમિકા દુ:ખાત્મક છે. એ ભૂમિકામાં સ્થળ કાળ વ્યક્તિ વગેરે તત્ત્વો માણસને વળગેલાં હોય છે, તેનો પરિહાર નથી થયો હોતો.

પણ એ જ ઘટનાઓ કે પ્રસંગો સાહિત્યકલામાં સરજાયાં હોય તો આનન્દ આપી શકે છે.

પણ તેની બે શરત છે, એક સર્જક પક્ષે, બીજી ભાવક પક્ષે.

સર્જકે શોકના ભાવનું કરુણ રસમાં રૂપાન્તર કરવું જોઈશે. “નાટ્યશાસ્ત્ર”ના રચયિતા ભરત દર્શાવે છે એમ વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવનો સંયોગે કરીને શોક નામના સ્થાયી ભાવની રસનિષ્પત્તિ થવી જોઈશે. કહેવાયું છે કે ત્યારે સ્થળ કાળ વ્યક્તિ વગેરે વિશિષ્ટ તત્ત્વોનો સમાહાર થયો હોય છે. વળી, તે -તેનાં સાધારણીકૃત રૂપો રજૂ થયાં હોય છે. દુષ્યન્ત-શકુન્તલા દુષ્યન્ત-શકુન્તલા લાગે ખરાં પણ તે કાન્ત-કાન્તા રૂપે સાધારણીકૃત હોય છે, પર્ટિક્યુલર છતાં યુનિવર્સલ.

ભાવક વ્યક્તિ સામાન્ય જન હશે તો નહીં ચાલે બલકે કલાને તન્તોતન્ત માણી-પ્રમાણી શકે તેવી તે સ-હૃદય હોવી જોઇશે. કહેવાયું છે કે રસાનુભવ દરમ્યાન ભાવકના વેદ્યનું – જ્ઞાનનું – વિગલન થઈ ગયું હોય છે. ત્યારે એના સુખદુ:ખાદિ ભાવો એના રસાનુભવમાં વિઘ્નરૂપે કશી દખલ નથી કરી શકતા, કેમ કે એની સંવિત્ અવિઘ્નાસ્વરૂપ થઈ ગઈ હોય છે.    

++

આમ, રસાનન્દની મીમાંસા સર્જક અને ભાવક બન્ને પક્ષે શરતી દીસે છે. 

++

મને થયેલો પ્રશ્ન એ છે કે આપણે ‘આનન્દ’-ના સંકેતાર્થને બદલી શકીએ કે કેમ. એ સંદર્ભે હું ત્રણ શાસ્ત્રકારોનાં મન્તવ્યોને તેમ જ ઍરિસ્ટોટલે રજૂ કરેલી કૅથાર્સિસની વિભાવનાને આગળ કરું છું :

રામચન્દ્ર અને ગુણચન્દ્ર રસને આનન્દપર્યવસાયી ગણવાને સ્થાને સુખદુ:ખાત્મક ગણે છે. એ બન્ને કાવ્યશાસ્ત્રીઓની દૃષ્ટિએ શૃંગાર, હાસ્ય, વીર, અદ્ભુત અને શાન્ત રસ સુખાત્મક છે. રૌદ્ર અને તેના કાર્ય રૂપે પ્રભવેલો કરુણ તેમ જ ભયાનક અને બીભત્સ દુ:ખાત્મક છે. એમ જાણીને મને પ્રશ્ન કરનાર પેલા ભાવકને ‘આનન્દ’ જરૂર થયેલો.

અભિનવ ગુપ્ત રસને તત્ત્વ રૂપે લક્ષમાં લે છે અને આનન્દને સ્થાને શાન્તતાનો નિર્દેશ કરે છે. કહે છે કે ‘સર્વે રસા શાન્તપ્રાયા’.

રસના સ્વભાવને – એની પ્રકૃતિને – શાસ્ત્રકારોએ માનસિક પ્રતીતિનો દરજ્જો આપ્યો છે. તેથી સમજાય છે એમ કે ભાવકો પોતાની માનસિકતા અનુસાર રસાનુભવ મેળવવાના. બને કે એમના નિજસુખાદિ ભાવો એમના રસાનુભવમાં વિઘ્નકર નીવડે. દેખીતું છે કે એમને કરુણ રસની કૃતિ કે એવાં દૃશ્યો આનન્દ ન આપી શકે. પણ એમને સંલગ્ન પાત્રો પ્રત્યે સહાનુભૂતિ, અનુકમ્પા, કરુણા કે દયા થાય. સરવાળે, દુ:ખ પણ થાય. જો કે કલાકૃતિ કરુણને એની અતિ માત્રામાં અને એના પ્રખર સ્વરૂપમાં રજૂ કરે તો ઍરિસ્ટોટલ કહે છે એ કૅથાર્સિસનો પણ એને અનુભવ થાય. કૅથાર્સિસ એટલે વિરેચનથી મળતો આરામ, એક ખાસ સ્વરૂપનું વિશોધન.

આમ, આનન્દને ‘સુખ’ કે ‘શાન્તતા’-ના સંકેતાર્થો રૂપે ઘટાવીએ તો વાત સરળ થઈ જાય છે. અને, આનન્દને ‘અ-લૌકિક’ કહેવાનું અને એને ‘બ્રહ્માનન્દ સહોદર’ કહેવાનું ફાલતુ ભાસે છે – રીડન્ડન્ટ !

એ મન્તવ્યો, મને પ્રશ્ન કરનાર ભાવકના પ્રશ્નનું સમર્થન કરે છે, તેથી પણ એને ‘આનન્દ’ થયેલો. રામચન્દ્ર અને ગુણચન્દ્ર કરુણને દુ:ખાત્મક કહે છે તે તેમ અવશ્ય હોઈ શકે છે. નવલકથામાં નિરૂપણ પામેલા બળાત્કાર કે સામૂહિક બળાત્કારના દૃશ્યથી અરેરાટી છૂટે છે, જીવ દુ:ખી દુ:ખી થઈ જાય છે. ભાવયિત્રી પ્રતિભા ધરાવતો સમર્થ સહૃદય પણ ડગી જાય છે. અભિનવ ગુપ્ત તો રસ અને ધ્વનિ બન્ને તત્ત્વોના પ્રકાણ્ડ શાસ્ત્રવેત્તા છે. જો તેઓ બધા રસને શાન્તપ્રાયા ગણે છે, અને મને યાદ આવે છે કે આનન્દવર્ધને પણ મહા યુદ્ધની કથા “મહાભારત”-માં ય શાન્તરસ ભાળ્યો છે, તો વાત સ્વીકાર્ય બની જાય છે.

અને, સાહિત્ય કે કલામાત્ર છેવટે તો શાન્તતા અર્પે છે. શાન્ત રસને નવમો રસ ભલે ગણો, બધા રસ ત્યાં જઈને મળે છે.

= = =

(April 29, 2023 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહારાષ્ટ્ર રિટર્ન્સ : પવારનું પાવર-પોલિટિક્સ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 April 2023

રાજ ગોસ્વામી

મહારાષ્ટ્રના રાજકારણને જો બોલિવૂડની કોઈ ઉતાર-ચઢાવ, સસ્પેન્સ, કોમેડી, ટ્રેજેડી અને એક્શનથી ભરપુર ફિલ્મ સાથે સરખાવીએ તો, રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી(એન.સી.પી.)ના મરાઠા સેનાપતિ શરદ પવારને એ ફિલ્મના ડિરેકટર સાથે સરખાવી શકાય. ઈશ્વર માટે કહેવાય છે કે તેની ઈચ્છા વગર પૃથ્વી પર એકેય પાંદડું હાલતું નથી. એવી જ રીતે, મહારાષ્ટ્રના રાજકારણમાં પવારની સંમતિ વગર એકેય ખુરશી હાલતી નથી.

82 વર્ષની ઉંમરે, શરદ પવાર એક માત્ર રાષ્ટ્રીય નેતા છે, જેમણે હજુ પણ ખુદની પ્રાસંગિકતા બનાવી રાખી છે. બારામતી હોય કે મુંબઈ, મંત્રાલય હોય કે સાઉથ બ્લોક શરદ પવાર અત્ર-તત્ર-સર્વત્ર હોય છે. પવારની રાજકીય કુનેહ ક્યાં લડવું અને ક્યાં ન લડવું તે નક્કી કરવામાં છે. કાઁગ્રેસના ‘ખજાનચી’ સિતારામ કેસરી જ્યારે પાર્ટીના પ્રમુખ હતા, ત્યારે શરદ પવારે તેમને ઉથલાવીને સોનિયા ગાંધીને પ્રમુખપદ સંભાળવા આમંત્રણ આપ્યું હતું.

એ જ સોનિયાના ‘વિદેશી મૂળ’નો વિવાદ થયો ત્યારે પવારે કાઁગ્રેસમાંથી કૂદકો મારીને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટીની રચના કરી હતી અને બિન-કાઁગ્રેસી પાર્ટીઓને એક સાથે લાવવા પ્રયાસ કર્યો હતો. જો કે 1999ની લોકસભા તેમ જ વિધાનસભાની ચૂંટણીઓ પછી તેમને મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે એ જ કાઁગ્રેસ સાથે હાથ મિલાવામાં કે 2004માં યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુ.પી.એ.)ની સરકારમાં મંત્રી બનવામાં હિચકિચાહટ થઇ નહોતી.

રાજકીય પ્રતિસ્પર્ધીઓની વાત છે ત્યાં સુધી પવાર જૂના જમાનાના કાઁગ્રેસી છે. એ કોઈની પણ સાથેની રાજકીય હરીફાઈને અંગત શત્રુતામાં પરિવર્તિત થવા દેતા નથી. તેમણે ક્યારે ય ચૂંટણીની રેલીઓમાં રાજકીય હરીફો માટે આકરાં વેણ નથી કાઢ્યાં. હકીકતમાં, ગમે તેટલી ગળાકાપ રાજકીય હરીફાઈ હોય છતાં તેઓ રાજકીય હરીફો સાથે ‘ભાઈબંધી’ જાળવી રાખે છે. આજની તારીખમાં કદાચ એ એક માત્ર નેતા છે જે સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદીને વગર નિમંત્રણે મળવા જઈ શકે છે.

મહારાષ્ટ્રમાં, રાજકીય મોરચે શિવસેના અને તેના વડા બાળ ઠાકરે સાથે કટ્ટર હરીફાઈ હોવા છતાં પવારે તેમની સાથે એટલો સુંદર અગંત સંબંધ કેળવ્યો હતો કે 2006માં જ્યારે તેમની પુત્રી સુપ્રિયા સૂલે રાજ્ય સભામાં જવા ઈચ્છતી હતી, તો ઠાકરેએ ફોન કરીને કહ્યું હતું કે, “મેં તેને મારી આંખ સામે નાનેથી મોટી થતી જોઈ છે. આ એના જીવનની મોટી ક્ષણ છે અને મારી પાર્ટી તેનું સમર્થન કરશે.”

તેમની આ કાબેલિયતના કારણે જ 2019માં તેઓ શિવસેના, કાઁગ્રેસ અને એન.સી.પી. વચ્ચે એક એવું અસાધારણ ગઠબંધન કરવામાં સફળ રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીને તે હજુ ય ચચરે છે. ભા.જ.પે. તેનો બદલો લેવા માટે પવારના ભત્રીજા અજીત પવારની મદદથી એન.સી.પી.માં ભંગાણ પાડીને શબ્દશ: રાતોરાત દેવેન્દ્ર ફડણવીસની સરકાર ઊભી કરી દીધી હતી, પરંતુ એમાં ય સિનિયર પવારની રાજરમત એવી કારગત નીવડી કે 80 કલાકમાં જ તેઓ કાકા પવારની છાવણીમાં પાછા ફરી ગયા.

ભા.જ.પ.ને એમાં ય સમસમી ગઈ અને છેવટે શિવસેનામાં જ ઊભી ફાચર મારીને એકનાથ શિંદેની મદદથી સરકાર બનાવી. હવે, 10 મહિના જૂની શિંદે સેના અને ભા.જ.પ.ની સરકાર સામે ફરી સંકટનાં વાદળો ઘેરાયાં છે અને ફરી એકવાર પવારનું પાવર-પોલિટિક્સ સક્રિય થયું છે.

એનું કારણ ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં કરેલો કેસ છે. શિંદે શિવસેનાને હાઈજેક કરીને ભા.જ.પ.ના ગાડામાં બેસી ગયા પછી અસલી સેના કોણ એવા પ્રશ્ન સાથે ઠાકરેએ સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા હતા. એ કેસ હવે પૂરો થવાની અણી પર છે અને એવી અફવા ગરમ છે કે ચુકાદો ઠાકરેની તરફેણમાં જશે. એવું થાય તો શિંદે-ફડણવીસની સરકારનું શું? અફવા એવી છે કે શિંદેને જો જવું પડે તો ભા.જ.પ. એન.સી.પી.ના અજીત પવારના ટેકા સાથે સત્તામાં ટકી રહેશે. આવું શરદ પવારની જાણ બહાર કે ઈચ્છા વગર શક્ય છે?

અમુક મોટા-મોટા સંકેત એવું કહે છે કે સિનિયર પવાર 2024ની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે. એક તો તેમની પુત્રી સુપ્રિયા સૂલેનું તાજેતરનું એ નિવેદન છે જેમાં તેણે કહ્યું હતું કે આગમી 15 દિવસમાં દેશની રાજનીતિમાં બે મોટા ધડાકા થશે. એમાંથી એક ધડાકો મહારાષ્ટ્રની રાજનીતિમાં થશે અને બીજો કેન્દ્રમાં.

બીજું, રાહુલ ગાંધીના નિશાના પર રહેલા ઉધોગપતિ ગૌતમ અદાણીની શરદ પવારે તરફેણ કરી છે. તેમણે હિડનબર્ગના રિપોર્ટની વિશ્વનીયતા પર સવાલ કર્યો હતો અને રાહુલ ગાંધી જેની માંગણી કરી રહ્યા છે તે સંયુક્ત સંસદીય સમિતિની તપાસને પણ અર્થ વગરની ગણાવી હતી. એટલું જ નહીં, પવારે અદાણી સાથે મુંબઈમાં બે કલાક સુધી બેઠક પણ કરી હતી.

ત્રીજું, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સામે સવાલ ઊભો કર્યો તો પવારે તેના પર પ્રત્યાઘાત આપ્યો હતો કે કોઈની ડિગ્રી કેવી રીતે રાજકીય મુદ્દો બની શકે? તેમણે કહ્યું કે દેશમાં બેરોજગારી, મોંધવારી, કાયદો-વ્યવસ્થા જેવા ઘણા મુદ્દા છે ત્યારે ડિગ્રી જેવો મુદ્દો કેવી રીતે મહત્ત્વનો બંને?

અદાણી અને ડિગ્રીના બંને વિવાદમાં નિશાન મોદી છે અને પવારે તેનાથી અંતર કરીને એક રીતે મોદીનો બચાવ કર્યો હોવાનું કહેવાય છે. શરદ પવારે તો ત્યાં સુધી કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી આજે છે, પરંતુ કાલે હશે કે નહીં તેની ખબર નથી. પવાર કોઈ વાત એમ જ નથી કહેતા. રાજકીય પંડિતો તેમાં મહારાષ્ટ્રના રાજકારણમાં આવનારા ફેરફારને જોઈ રહ્યા છે.

અજીત પવાર મહત્ત્વાકાંક્ષી છે એ વાત નવી નથી. એન.સી.પી.માં સુપ્રિયા સૂલેનાં ચઢતાં પાણીથી તેઓ નારાજ છે તે વાત પણ નવી નથી. ભા.જ.પે. તેમની એ નારાજગીનો ઉપયોગ કરીને જ એકવાર તો તેમને ખેંચ્યા હતા, પણ બીજી વાર પણ એવું જ થશે? મતલબ કે આ વખતે પણ અજીત પવાર (તેમને 40થી 53 વિધાનસભ્યોનો ટેકો હોવાનું કહેવાય છે) એન.સી.પી. સાથે છેડો ફાડશે કે પછી શિંદેની જેમ આખી એન.સી.પી.ને હાઈજેક કરી જશે? સિનિયર પવારને આ બધી સંભવાનાઓનો અંદાજ ન હોય તે શક્ય નથી.

ત્યાં સુધી કે ઉદ્ધવ સેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે પણ કહ્યું છે કે શિંદે સરકાર 15 દિવસમાં ગબડી પડશે. તેમણે કહ્યું છે કે શિંદેનું ડેથ વોરંટ જારી થઇ ચુક્યું છે અને બહુ જલ્દી તેના પર હસ્તાક્ષર થઇ જશે. દરમિયાનમાં, ખુદ એકનાથ શિંદે તેમના ગામમાં ત્રણ દિવસની રજા પર ચાલ્યા ગયા છે. જો કે રસ્તામાં મહાબળેશ્વર ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે તેમના વિરોધીઓ ઘરે નવરા બેઠા છે એટલે અફવાઓ ફેલાવા સિવાય તેમની પાસે કશું કામ નથી.

જો કે, આગ વગર ધુમાડો શક્ય નથી. ત્યાં સુધી કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અમુક ઠેકાણે તો ભાવિ મુખ્ય મંત્રી તરીકે અજીત પવારનાં પોસ્ટર પણ લાગ્યાં છે. શરદ અને અજીત પવાર બંનેએ આ બાબતે સ્પષ્ટતા કરવી પડી હતી. એન.સી.પી.ના કાર્યકરોમાં આટલો બધો ઉત્સાહ માત્ર અફવાઓ આધારિત ન હોય. ખુદ અજીત પવાર પણ મુખ્ય મંત્રી બનવા માટેની ઈચ્છા જાહેર કરી ચુક્યા છે. સવાલ એ છે કે તેઓ કાકાની ઈચ્છા વગર મુખ્ય મંત્રી પદ માટે નિશાન તાકશે?

ભા.જ.પ. મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવી રાખવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે, ખાસ કરીને એક વર્ષ પછી લોકસભાની ચૂંટણી છે ત્યારે એ મહારાષ્ટ્ર ખોવાના મૂડમાં નથી. મહારાષ્ટ્રમાં શિવસેના અને એન.સી.પી.ની સરખામણીમાં ભા.જ.પ. મતદારોમાં એટલી લોકપ્રિય નથી જેટલી, દાખલા તરીકે, ગુજરાતમાં છે. એકનાથ શિંદે ભલે સરકારમાં હોય, પરંતુ આમ જનતા હજુ પણ ઉદ્ધવ સેનાને જ અસલી સેના માને છે. ઉદ્ધવની પાર્ટી કાર્યકરોમાં જે પકડ છે તે ભા.જ.પ. માટે પડકાર છે. સહજ રીતે જ, વોટ માંગવા જતાં પહેલાં ભા.જ.પ. સરકારને મજબૂત કરવાનું ઈચ્છશે. ભા.જ.પે. સેનાને તો ખતમ કરી છે અને હવે તે એન.સી.પી.માં પણ એવું જ કરવાનું સ્વપ્ન જોઈ રહી છે. ફર્ક એટલો છે કે હવે જે થશે તે શરદ પવારની સહમતીથી થશે જેથી 2019નો 80 કલાક વાળો ફિયાસ્કો ન થાય.

ટૂંકમાં, મહારાષ્ટ્રમાં રાજકીય મોસમ સામાન્ય નથી. લોકસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલાં પવાર પરિવારના કાકા-ભત્રીજા વચ્ચે ફાટફૂટ નજર આવી રહી છે. ભા.જ.પ.ના નેતાઓ પવાર સાથે જે રીતે ઇલુ-ઇલુ કરી રહ્યા છે તેનાથી એકનાથ શિંદે ખુશ નથી. મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં બધું ઠીક નથી. સરકારમાં જ નહીં, ઇવન વિપક્ષમાં પણ કાઁગ્રેસ-એન.સી.પી.-સેનાનો મોરચો અકબંધ રહે તે ભા.જ.પ.ને મંજૂર નથી.

આ ત્રણે બાબતોમાં શરદ પવારની ભૂમિકા મહત્ત્વની બની રહેવાની છે. અનુકૂળ હોય કે પ્રતિકૂળ, દરેક રાજકીય પરિસ્થિતિમાં પોતાની ઉપયોગિતાને ગમે તે રીતે કાયમ રાખવામાં માહેર આ મરાઠા સેનાપતિ, રાજકારણના ફલક પરની આ લેટેસ્ટ ફિલ્મી ટ્વીસ્ટમાં કઈ રીતે તેમની છડી ઘુમાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

લાસ્ટ લાઈન:

“પોલિટિક્સમાં કશું અકસ્માતે થતું નથી, અને જો અકસ્માત થાય તો સમજવું કે તેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.”

— ફ્રેન્કલિન રૂઝવેલ્ટ

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 30 ઍપ્રિલ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માનુષ અને માટી, આદિવાસી અને અદના માણસોના ચિત્રકારની ગહન ચિંતન કથા  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|30 April 2023

પુસ્તક પરિચય 

● ‘માનુષ’ – લેખક : હકુ શાહ, આલેખન : પીયૂષ દઈયા, અનુવાદ : મોહન દાંડીકર, પ્રકાશક : ગૂર્જર, રૂ. 350/-

‘માનુષ’ એ ‘ચિત્રકાર અને લોકકલાવિદ હકુ શાહ(1934-2019)ની અંતરંગકથા’ છે. અહીં હકુભાઈએ કલા તરફનો પોતાના અભિગમ અને સર્જન પ્રક્રિયાની વાત કરી છે.

તદુપરાંત પોતાની કેટલીક અગત્યની કૃતિઓ અને દેશ-વિદેશમાં સફળતાપૂર્વક પાર પાડેલાં દેશજ કલાઓના ઉપક્રમોનું વર્ણન પણ મળે છે.

તેમની ખુદની કલાયાત્રા અને એ દરમિયાન મળેલાં વિલક્ષણ પાત્રો અને અનુભવો પુસ્તકનો સહુથી રસપ્રદ હિસ્સો છે. લેખકે કરેલો માટીનો મહિમા ભાવવિભોર બનાવી દેનારો છે.

હકુભાઈના દર્શનના કેન્દ્રમાં માનુષ – માણસ છે. આરંભે જ તેઓ લખે છે : ‘માનુષની વાત મને એટલી બધી નજીકની લાગે છે જેટલી પ્રકૃતિ, માટી અને ભૂ-માની વાત લાગે છે.’

રવીન્દ્રનાથની ‘સાબાર ઉપરેર મનુષ્ય’તેમની ધ્રુવ પંક્તિ છે. પણ તેમના હૈયામાં જે મનુષ્ય વસેલો છે તે આદિવાસી-વનવાસી, કુંભાર-સુથાર, કારીગર-કસબી, ઝૂંપડાવાસી-ફૂટપાથવાસી છે.

‘અદિવાસી લોકો કે એમનાં કામો મારે માટે એક મોટો પ્રેરણાસ્રોત બની રહ્યાં છે’ અને ‘જ્યારે પણ માણસની અસલિયત શોધવા નીકળું છું ત્યારે દરેક વખતે મારે લોકો પાસે અથવા આદિવાસીઓ પાસે જવું પડે છે’.

– આમ કહેનાર હકુભાઈ એમના આ ઉપેક્ષિત-વંચિત લોકની કલા અને પરંપરા, પરિશ્રમ અને પ્રતિભાને, જીવનસત્વ અને જીવનશૈલીની ઝલક આપે છે. ‘લોકોની સાથે મારો નાભિનાળ સંબંધ રહ્યો છે. લોકો જ સર્વોપરી છે મારે માટે’, એમ પણ તેઓ લખે.

‘માનુષ’ મૂળ તો દિલ્હી-સ્થિત કલાવિદ્દ અને હિન્દી કવિ પીયૂષ દઈયાએ હકુભાઈ સાથે 2007ના પહેલાં  છ મહિના દરમિયાન રોજબરોજ સંવાદ કરીને હિન્દીમાં આલેખેલું પુસ્તક છે.

દિલ્હીના સેન્ટર ફૉર મીડિયા એન્ડ આલ્ટરનેટિવ કમ્યુનિકેશને 2009માં બહાર પાડેલા આ સ્વકથનનું ગુજરાતી  ભાષાંતર મોહન દાંડીકરે (1932-2020) કર્યું છે.

જીવનના અંત સુધી ઊંડી સૂઝ અને પરિશ્રમથી, સામાજિક અનુબંધવાળા સંખ્યાબંધ અનુવાદ આપનાર મોહનભાઈએ આ અનુવાદ કર્યો ત્યારે ‘જીવનની સંધ્યા વેળાએ’ એક આંખ ‘અસહકાર’ પર ઊતરી હતી.

અર્થસભર અરૂઢ શીર્ષકો ધરાવતાં અગિયાર પ્રકરણોમાંથી પહેલાં પાંચ આ મુજબ છે : ‘અપરિચિત અસ્તિત્વ’, ‘આલોક સ્પર્શ્યું અસ્તિત્વ’, ‘યા ઘટ’ (કબીરના પદ પરથી), ‘દેહમાં દેવ તું’ અને ‘ચાકડા પર લીલા’.

આ બધાંમાં એકંદરે કલા તેમ જ જીવન વિશે ગંભીર, તત્ત્વજ્ઞાનપૂર્ણ, અમૂર્ત ખ્યાલોનું ચિંતન છે, જે વાચક પાસે વિશેષ રુચિ માંગી લે છે.

અહીં હકુભાઈ પોતાના સર્જનની પવિત્રતા, આયાસમુક્તતા, બાહ્યવાતાવરણ સ્વીકાર્યતાની, અપાર આનંદદાયકતા અને માનવી સૌંદર્યશાસ્ત્રમાંની આસ્થા જેવી વિભાવનાનો વિશે લખે છે.

હકુભાઈ શાહ

ચિત્રસામગ્રી, રંગસંયોજન, રૂપાકૃતિ, અવકાશ, નગ્નતા અંગેનું વિવરણ પણ અહીં છે. ‘માનુષનું વિશ્લેષણ અતિ કઠિન છે’ એવું લેખકનું નિરીક્ષણ પુસ્તકના પહેલા પાંચ પ્રકરણ માટે વિશેષ બંધબેસતું છે.

છઠ્ઠા પ્રકરણ ‘રૂપ ગોઠ’ અને તે પછીનાં પ્રકરણો પ્રત્યક્ષ કલાકૃતિઓ, કલા-ઉપક્રમો, અનુભવો, પ્રસંગો અને વ્યક્તિઓ વિશે વધતી રસાળતા સાથે લખાયેલી સામગ્રી છે. તેમનાં નામ છે : ‘તેજ તું’, ‘સર્વવ્યાપી સર્જનહાર’, ‘જીવને જે પૂજા’ અને ‘ગર્ભનો ખહરો’.

આ ગુચ્છમાં અનેક વિવિધ બાબતો છે. જેમ કે, ‘ગાંધી વિશે કંઈક કરવું જોઈએ’ એવી અંત:પ્રેરણાથી મહાત્માના આરાધકે ‘નૂર ગાંધીનું : મારી નજરે’ નામે રૂપ ગોઠ અર્થાત્‌ કોલાજ બનાવ્યું.

અમદાવાદમાં 2002માં કોમી રમખાણો થયાં. આ ‘જખમ’થી ચિતારો ‘વિહવળ’ થયો. ‘મારે આ સાંપ્રદાયિક તત્ત્વોની સામે હિંમતપૂર્વક ઊભા રહેવું જોઈએ’ એવા નિર્ધારથી હકુભાઈએ ‘હમન હૈ ઇશ્ક’ નામનું ચિત્રપ્રદર્શન કર્યું, જેને તે ‘હિંસક શક્તિઓ સામેનો મારો સવિનય વિરોધ’ તરીકે ઓળખાવે છે. 

‘કેટલીક કવિતાઓને કેન્દ્રમાં રાખીને’ કરેલાં ચિત્રો, રેખાંકનો, વિનોબાના ભૂદાનના આવકાર માટેની સંસ્થાપન કૃતિઓની વાત આવે છે. દેશભરના કુંભાર ભાઈઓને લઈને કરેલું ‘માટી તેરે કિતને રૂપ’ પ્રદર્શનની મહત્તાની ધારણા થઈ શકે.

‘ધર્મનિરપેક્ષ અને સમતામૂલક’ મૂલ્યો, અભિવ્યક્તિની તક અને પ્રકૃતિ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે દેશ અને દુનિયામાં કરેલી રચનાત્મક શાળાઓ તે પણ હકુભાઈનું મહત્ત્વનું પ્રદાન છે. ઉદયપુરના જે ‘શિલ્પગ્રામ’ સાથે હકુભાઈનું નામ જોડાયેલું છે તેની પરિકલ્પના અને રચનાનું બયાન મળે છે.

દેવીપૂજક સમુદાયની ઝૂંપડામાં રહેનારી ચીંથરેહાલ કસબી મહિલા ધૂળી માટીનાં સુંદર રમકડાં બનાવીને વેચતી. પરખંદા હકુભાઈ તે રમકડાંને પોતે રચેલાં ‘અનનોન ઇન્ડિયા’ નામના 1969માં  રચેલાં આંતરરાષ્ટ્રીય કલાપ્રદર્શનમાં લઈ ગયા. હવે તે ફિલાડેલ્ફિયાના સંગ્રહમાં છે.

મેઘા નામના ઝૂંપડાવાસી વૃદ્ધ મહિલાના મધુબની શૈલીના ચિત્રોને પણ હકુભાઈએ વિદેશોમાં પ્રતિષ્ઠા આપાવી. હકુભાઈના તેમના સ્નેહી અને વિશ્વવિખ્યાત અમેરિકન ડિઝાઇનર ચાર્લ્સ ઇમ્સને એક એવું ઝૂંપડું બતાવે છે જે જેની અંદર દિવાલ પર સુંદર ચિત્ર હોય અને દાદા-પૌત્ર સહિતનો પરિવાર હોય.

ઇમ્સે પોણા કલાક સુધી નિરીક્ષણ કરીને ઝૂંપડીની અંદરના ફોટા પાડ્યા,અને બે  વર્ષ પછી તેનું ‘યોર ફૅમિલી’ નામનું આલબમ ભારતમાં મોકલ્યું.

ઇમ્સની યાદ હકુભાઈએ અગિયારમા આખરી પ્રકરણ ‘આભલાં આતમ’માં લખી છે. તેમાં તેમણે જન્મ, ઉછેર, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા સ્થાપયેલા કલા વિભાગમાં અભ્યાસ તેમ જ ઘડતર તેમ જ 73 વર્ષ સુધીની તેમનાં કારકિર્દી અને સર્જનનું વાચનીય વર્ણન કર્યું છે. વાચક અભિભૂત થઈ જાય તેવા ફકરા અને ચિંતકણિકાઓ ઠેરઠેર મળે છે.         

pastedGraphic.png

‘માટી મા છે, આખા ભારતના લોકો આવું માને છે’. 

pastedGraphic.png

‘પૃથ્વી પર કોઈ જ વસ્તુ બાકી નથી જેમાં ફળદ્રુપતા ન હોય’.

pastedGraphic.png

 ‘આ દુનિયાને ઘણી મોટી ભેટ હુન્નર, કારીગરી અને સૌંદર્યરૂપે મળી છે’. 

pastedGraphic.png

‘ભારતમાં ડિઝાઈન જીવનનો ભાગ છે’. 

         એક આદિવાસીએ મને કહ્યું હતું. 

pastedGraphic.png

‘રાચ (વસ્તુ) છે તો ભાત પણ જોઈએ’. 

pastedGraphic.png

‘ભારતની સામાજિક, સાંસ્કૃતિક અને બહુલતાવાદી પરંપરાઓમાં કેટલી ઊંડી રચનાત્મકતાઓ  છુપાયેલી છે, જેને આપણે અત્યાર સુધી ઓળખી શક્યા નથી.’

હકુભાઈની ‘માનુષ’ ચિત્રશ્રેણીમાંથી ‘ખુદી કો’ નામનું ચિત્ર પુસ્તકના મુખપૃષ્ઠ પર છે, એમ કલા મરમી અધ્યાપક અજય રાવળ જણાવે છે.

વળી હકુભાઈના ચિત્રોની શ્વેતશ્યામ પ્રતિકૃતિઓ 230 પાનાંના પુસ્તકના અનેક પાનાં પર ગોઠવવામાં આવી છે.

જો કે ઘટનાપૂર્ણ વાચનની દૃષ્ટિએ આ પુસ્તક ગુજરાતીમાં ચિત્રકારોનાં જીવન પરના પુસ્તકોથી જૂદું છે. તે ગંભીર વાચકને સર્જકના મૂર્ત-અમૂર્ત આલોકમાં લઈ જનારી ચિંતનકથા છે.

-X-X-X-X-X-                             

30 એપ્રિલ 2023

-‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન : 079 – 265857949

 – ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ. મો. 09227055777

– ગૂર્જર સાહિત્ય પ્રકાશન, 102,લૅન્ડમાર્ક બિલ્ડીંગ, સીમા હૉલની સામે, પ્રહ્લાદનગર, અમદાવાદ. મો. 9825268759

[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા પુસ્તક પરિચયનો કેટલાંક ઉમેરણ સાથેનો લેખ, 800 શબ્દો]
 e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,0231,0241,0251,026...1,0301,0401,050...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved