Opinion Magazine
Number of visits: 9667176
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી પાસે એનો ઉત્તર નથી, તમારી પાસે છે?

રમેશ સવાણી|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|24 August 2023

સામાજિક અગ્રણી, લેખક, ‘નવસર્જન’ના સ્થાપક સભ્ય માર્ટિન મૅકવાને સ્થળ મુલાકાત બાદ આંખ ખોલનારો અહેવાલ રજૂ કર્યો છે :

માર્ટિન મૅકવાન

દલિત અત્યાચાર પર યોજાનાર સેમિનારમાં જવા અંગે ગઈ કાલે અવઢવમાં હતો ત્યારે જ મિત્ર શિવ શંકરની એક ઇ-મેઇલ આવી. ખેરાલુ તાલુકા અને મહેસાણા જિલ્લાના લુણવા ગામની ઘટનાનો તેમાં ઉલ્લેખ હતો. મેં સાથી કાર્યકર ભરતભાઈને ફોન કર્યો અને અમદાવાદથી 125 કિલોમીટર દૂર આવેલ ગામે ભરતભાઈ અને શાંતાબહેન સાથે જવા નીકળી પડ્યો.

80 દલિત અને 400 જેટલા અંદાજિત મુસ્લિમ કુટુંબોવાળા આ ગામમાં સરપંચ નસરુદ્દીન હતા. તે અમને સનેવાર ખાનના ઘરે લઇ ગયા. સનેવાર ખાન નાના ખેડૂત છે અને પાંચ વીઘા જમીન ધરાવે છે. જમીનમાં સિંચાઇની વ્યવસ્થા નથી એટલે ભાગે ખેતીમાંથી વર્ષે સાત-આઠ હજાર રૂપિયા આવકમાં મળે છે. કુટુંબમાં તેમના 85 વર્ષનાં અને સાત ચોપડી ભણેલાં માતુશ્રી મેહેરુનિસા ઉપરાંત 4 બાળકો છે. ઊનેશા બાનુ 12મા ધોરણમાં ભણે છે. અરનાઝ બાનુએ 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો છે. અરીના સાતમા ધોરણમાં અને સૌથી નાનો ઝિયાન બાલમંદિરમાં છે.

હાલ દેશના ઘણાં છાપાં અને સામાજિક પ્રસાર માધ્યમોમાં ચર્ચાના કેન્દ્રમાં સનેવાર ખાન અને સોહાનાબાનુની 15 વર્ષની દીકરી અરનાઝ બાનુ છે. લુણવા ગામની કે.ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલય શાળામાં અરનાઝ બાનુએ ભણી 10મા ધોરણની બૉર્ડની પરીક્ષામાં શાળાના તમામ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 78.66 ટકા અને 91.60 પર્સેન્ટાઇલ ગુણ મેળવી માર્ચ 2023માં પ્રથમ અંક હાંસલ કર્યો છે. આ શાળાની પ્રથા અનુસાર, દર વર્ષની 15 ઑગષ્ટના રોજ આઝાદી પર્વની ઊજવણી કાર્યક્રમ દરમિયાન તેજસ્વી તારલાઓનું જાહેર સન્માન થાય છે અને ત્યાર બાદ શાળામાં જાહેરમાં લગાવેલ પાટિયામાં આવા પ્રથમ આવનાર વિધાર્થીનું નામ પણ લખાય છે. આવો જ આઝાદી પર્વનો કાર્યક્રમ તારીખ 15 ઑગષ્ટ, 2023ના રોજ શાળામાં યોજાયો. સમયસર તૈયાર થઇ અરનાઝ બાનુ પણ શાળામાં પહોંચી ગઈ. આજે તેના જીવનનો ધન્ય દિવસ હતો, કારણ જીવનમાં પ્રથમ વાર તેનું જાહેરમાં સન્માન થવાનું હતું. રાષ્ટ્રગીત ગવાયું અને ધ્વજવંદન પણ થયું. હવે એ ક્ષણ આવી જ્યારે આ વર્ષે શાળાનું નામ રોશન કરનાર વિધાર્થીનું નામ જાહેર કરી તેમને મંચ પર બોલાવી તેમનું સન્માન કરવાનું હતું. 15 વર્ષની અરનાઝની ભોળી આંખો આ જ ઘડીના ઈંતજારમાં હતી. 

અરનાઝ

પણ અરનાઝના અગાઉની રાતોમાં જોયેલાં તમામ સપનાં તૂટીને ચકનાચૂર થઇ ગયાં. એસ.એસ.સીના બૉર્ડની પરીક્ષામાં શાળામાં બીજા, ત્રીજા અને ચોથા ક્રમે આવેલ બાળકોનાં નામ જાહેર કરી મંચ પર બોલાવીને તેમનાં સન્માન કરાયાં પણ અરનાઝનું નામ જાણે હવામાં ઓગળી ગયું. અરનાઝની હિન્દુ અને મુસ્લિમ બહેનપણીઓની આંખો આશ્ચર્યથી તેને જોઈ રહી. કાર્યક્રમ સમાપ્ત થતાં વેંત અરનાઝ ઘરે આવી. ઘરના બારણે જ માબાપનો ભેટો થયો. દીકરીના રડમસ ચહેરાથી તેમને આઘાત લાગ્યો. અરનાઝના પ્રથમ શબ્દો હતા : ‘હું ન ભણી હોત તો સારું’. શાળામાં તેનું સન્માન તો ન થયું પણ ભરી સભામાં તેને ઉતારી પાડવામાં આવી. હજુ થોડા દિવસ પહેલાં જ સનેવાર ખાન અરનાઝની માર્કશીટ લેવા શાળામાં ગયા હતા ત્યારે આચાર્યે તેમને કહ્યું હતું કે અરનાઝનો શાળાના વિધાર્થીઓમાં પ્રથમ ક્રમ આવ્યો છે. સનેવાર ખાન શાળાની ‘સ્કૂલ મેનેજમેન્ટ કમિટી’ના સભ્ય પણ રહી ચુક્યા છે. પોતાની દીકરીના અપમાનનો મુદ્દો તેમણે શાળાના અધિકારી સમક્ષ ઉઠાવ્યો. શાળાના ઘણા ઉડાઉ જવાબોમાંથી બે ત્રણ જવાબો આવા હતા. (1) અરનાઝ આ કાર્યક્રમમાં ગેરહાજર હતી માટે તેનું સન્માન રહી ગયું. (2) ખરો કાર્યક્રમ તો 26 જાન્યુઆરીના રોજ યોજાનાર છે ત્યારે સન્માન કરીશું. (3) તમે કહો તો કાલે જ સન્માન કરીએ.

આ બધાં જ જૂઠાણાં હતાં. અરનાઝ કહે છે કે આવો સન્માન કાર્યક્રમ માત્ર 15 ઓગષ્ટના રોજ જ યોજાય છે અને 26 જાન્યુઆરીએ આવો કાર્યક્રમ ક્યારે ય યોજાયો નથી. સનેવાર ખાનના કહેવા અનુસાર શાળામાં CC TV કેમેરા લાગેલા છે અને અરનાઝની કાર્યક્રમમાં હાજરી જોઈ શકાય છે. આ બધા પરથી એક વાત નક્કી જણાય છે. અરનાઝનું જાહેર સન્માન ન કરવાની ઘટના પૂર્વયોજિત છે. આમ કરવાનું કારણ?

અમે અરનાઝને બોલાવી એટલે તે ઘરની બહાર આવી અને શાંતાબહેન સાથે અમારા આગ્રહથી ખાટલા પર બેઠી. એની માસૂમ આંખો આંસુથી છલકાયેલ હતી. શાળા હવે તેનું સન્માન કરે તેમાં તેને કોઈ જ રસ નથી અને તે શાળાનાં પગથિયાં ચઢવા માંગતી નથી. આ વાતચીત દરમિયાન ઘણા સ્ત્રી-પુરુષ-બાળકો ત્યાં આવી ચઢ્યાં. મુસ્લિમ-દલિત પરિવાર એક જ ફળિયામાં રહે છે. અમારી સાથે તે તમામે ચા-પાણી કર્યાં. દલિતો પણ માને છે કે અરનાઝ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. ત્યાં આવેલ દશરથભાઈ કહે છે કે એમની દીકરી નિશા સાથે પણ આ જ શાળાએ એવું જ વર્તન કર્યું હતું. અમે નિશાને બોલાવડાવી.

નિશા હાલ બી.કોમ.નો અભ્યાસ કરી રહી છે. 2019ના માર્ચમાં SSCની બોર્ડની પરીક્ષામાં આ જ શાળામાં નિશા પ્રથમ ક્રમે આવી હતી. નિશાનું જાહેર સન્માન કરવામાં આવ્યું ન હતું પણ શાળાના પાટિયા પર તેનું નામ અંકિત થયેલ છે. નિશાના પિતા જમીનવિહોણા ખેતમજૂર છે અને મજૂરી તથા પશુપાલનથી રોજીરોટી કમાય છે.

અન્ય એક દલિત યુવાન ત્યાં હાજર છે અને આક્રોશમાં છે. હાલ તે M. Ed.નો અભ્યાસ કરે છે. પોતાની ઇન્ટર્નશિપ માટે તે આ શાળામાં ગયો ત્યારે તેને અપમાનિત કરવામાં આવ્યો હતો.

સનેવાર ખાનનું ખેતર આ શાળાને અડીને આવેલું છે. થોડાં વર્ષ પહેલાં સરકારના ચાર મંત્રીની શાળામાં પધરામણી થવાની હતી ત્યારે શાળાની વિનંતીથી તેમના ખેતરમાં જાહેર કાર્યક્રમ થઇ શકે તે માટે તેમણે પાકની વાવણી કરવાનું માંડી વાળ્યું હતું. સામાન્ય ફરિયાદ પ્રમાણે મુસ્લિમ પરિવારો પોતાની દીકરીઓને ઝાઝું ભણાવતા નથી પણ અહીં તો 12 ચોપડી ભણેલ સનેવાર ખાન અને 7 ચોપડી ભણેલ સોહાનાબાનુંએ આ વર્ષે પોતાનું ખેતર એક લાખ રૂપિયામાં ગીરવે મૂક્યું છે, જેથી તે પોતાની બંને દીકરીઓને ભણાવી શકે. આ ગામમાં અત્યારે વહીવટદાર નિમાયા છે પરંતુ અગાઉ પાંચ વર્ષ સુધી સરપંચ નસરુભાઈ હતા. આ શાળાએ ક્યારે ય ગામના સરપંચને કોઈ જાહેર કાર્યક્રમમાં કે આઝાદીની ઊજવણી કાર્યક્રમમાં પણ નિમંત્રણ આપ્યું નથી.

શાળામાં ભણતા હતા ત્યારે આઝાદી બાદ ભારતના ભાગલા પડી તેમાંથી ભારત-પાકિસ્તાનના સર્જન વિષે માહિતી મળેલ હતી. દુનિયાના નકશામાં ગુજરાત-રાજસ્થાન-પંજાબ અને કાશ્મીરની સરહદે એક જ પાકિસ્તાન આવેલું હતું પણ કમનસીબી છે કે ભા.જ.પ. અને તેના વિવિધ સાથી પક્ષોએ ભારતના દરેક ગામ અને શહેરમાં નવા પાકિસ્તાનની રચના કરી, પાકિસ્તાનનો વિસ્તાર વધાર્યો છે. આ સંકુચિત દૃષ્ટિવાળા રાજકારણમાં ધર્મને આધારે ધ્રુવીકરણનો ફાયદો જરૂર તેમને સત્તા ટકાવવામાં મદદ કરી રહ્યો છે પણ એની સાથે સાચા રાષ્ટ્રવાદીઓની ચિંતા અનુસાર ભારત નબળું પડી ગયું છે. દેશની પ્રજા વિભાજીત હોય ત્યાં અવિભાજ્ય રાષ્ટ્રના સપનાં ઝાંઝવાનાં જળ સમાન છે.

નાનાં-ભૂલકાં જેવા નિર્દોષ બાળકોના દિલ-દિમાગમાં ધૃણાનાં વાવેતરનો ફાલ આવે ત્યારે એને લણવા કોણ જશે ? સમુદ્રમંથન સમયે વિષ આરોગી જનાર નીલકંઠ હતા પણ હવે જ્યાં નીલકંઠનું કામ કરતી તમામ જાહેર સામાજિક-સાંસ્કૃતિક કે ધાર્મિક સંસ્થાઓને ગળે ટૂંપો દેવાઈ રહ્યો છે  ત્યારે ભારતનું ભવિષ્ય કેવું હશે તે ચિંતા સામાન્યજનને કોરી ખાય તે સ્વાભાવિક છે.

અરનાઝનું અપમાન તે તો હકીકતે તેનું અપમાન કરવાવાળાઓનું અપમાન છે. બે કલાક ગામમાં રહી હું પાછો વાળ્યો ત્યારે આંસુથી છલકાતી અરનાઝની વાત મને કોરી રહી છે. મેં તેને પૂછ્યું હતું : ‘અરનાઝ તને શું જોઈએ?’ એણે મને કહ્યું, ‘ન્યાય’. મારી પાસે એનો ઉત્તર નથી, તમારી પાસે છે? 

[સૌજન્ય : માર્ટિન મેકવાન]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રેમના સહિયારાપણાની ‘કોશિશ’

રાજ ગોસ્વામી|Opinion - Opinion|24 August 2023

રાજ ગોસ્વામી

ગુલઝાર નિર્દેશિત સંજીવ કુમાર – જયા બચ્ચનની એવોર્ડ વિજેતા ફિલ્મ ‘કોશિશ’(1972)માં, શરૂઆતમાં મુખ્ય ભૂમિકામાં મૌસમી ચેટરજી હતાં એ વાત જાણીતી છે, પરંતુ એ ભૂમિકા કેવી રીતે જયાજી પાસે ગઈ તેને લઈને કોઈએ ખાસ ફોડ પાડ્યો નથી. વાત એવી છે કે મૌસમી મોંઘી-મોંઘી સાડીઓ, મહેનતાણાંના વધુ પૈસા અને મોડે સુધી શુટિંગ કરવાને લઈને ગુલઝારને પરેશાન કરતાં હતાં એટલે કંટાળીને તેમને પાણીચું આપવામાં આવ્યું હતું અને પછી જયા બચ્ચનને લેવામાં આવ્યાં હતાં.

તાજેતરમાં મૌસમીજીએ તેના માટે તે સમયના છળ-કપટનો દોષ કાઢ્યો છે. ‘લહેરે ટીવી’ ચેનલ માટે વરિષ્ઠ પત્રકાર ભારતી પ્રધાન સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે, “કોશિશ માટે મેં ત્રણ દિવસ શુટિંગ કર્યું હતું. હું જોતી હતી કે જયા બચ્ચનની સેક્રેટરી સવારથી સાંજ સુધી ગુલઝારની ઓફિસમાં બેસી રહેતી હતી. હું ગુલઝાર’દાને બહુ પહેલાંથી ઓળખતી હતી. એ મારાં સાસુ (સંગીતકાર અને ગાયક કલાકાર હેમંત કુમારનાં પત્ની બેલા મુખરજી)ને ઉર્દૂ શીખવાડવા માટે આવતા હતા. અચાનક જ તેમણે મને કહ્યું કે કાલથી તારે મોડી રાત સુધી શૂટિંગ કરવું પડશે. હું એ વખતે જ મા બની હતી. મેં કહ્યું કે, નહીં થાય, ઘરે શિશુ છે, હું એક જ શિફ્ટમાં કામ કરી શકું તેમ છું. તેમણે બધાની હાજરીમાં કહ્યું, તારી જગ્યા લેવા માટે ઘણી એક્ટ્રેસ લાઈનમાં છે. હું અકળાઈ અને બોલી, “તો લઇ લો.”

મૌસમી કહે છે કે આ સાંભળીને ગુલઝારે તેમના સસરા હેમંત કુમારને ફોન કર્યો કે “દાદા આ જતી રહે છે. સસરાએ કહ્યું કે ભલે જતી.” બીજા દિવસે, ગુલઝારનો સહાયક મૌસમીના ઘરે આવ્યો અને ફિલ્મમાં જે સાડી પહેરવાની હતી તેની માંગણી કરી. સાંજે તો એ જ સાડીમાં જયા બચ્ચને શુટિંગ શરૂ કરી દીધું. મૌસમીએ એ ઇન્ટરવ્યૂમાં એ એકરાર કર્યો છે કે આમ પણ, વ્યક્તિગત જીવનને પ્રાથમિકતા આપવાનાં કારણે તેના વ્યવસાયિક જીવનને ઘણું નુકશાન થયું હતું.

એમ તો સંજીવ કુમારને પણ ફિલ્મના નિર્માતા રોમુ અને રાજ એન. સિપ્પી સાથે વાંકું પડ્યું હતું. સંજીવ કુમારે ફિલ્મના નફામાં 25 ટકાની ભાગીદારીમાં એ ભૂમિકા કરી હતી, પરંતુ ફિલ્મ રિલીઝ થયા પછી નિર્માતાઓ ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા કે ફિલ્મ ફ્લોપ ગઈ છે અને નફો નથી થયો.

સંજીવ કુમારે પૈસા માટે આ ફિલ્મ નહોતી કરી, પણ નિર્માતાઓના વ્યવહારથી તેમને દુઃખ થયું હતું. ગુલઝાર અને સંજીવ કુમાર વચ્ચે એવી સમજૂતી થયેલી હતી કે બંને જણા વર્ષમાં ઓછા બજેટની હટકે ફિલ્મ કરશે. તે વખતે ફિલ્મ જગતના લોકો ગુસપુસ કરતા હતા કે આ ફિલ્મ સંજીવ કુમાર અને ગુલઝારને જોવા માટે બનાવવામાં આવી રહી છે, બાકી બહેરા-મૂંગા યુગલની ફિલ્મ જોવા કોઈ નહીં આવે.

એવું નહોતું. ‘કોશિશ’ ગુલઝાર, સંજીવ કુમાર અને જયા બચ્ચનની કારકિર્દીની એક સીમાચિહ્ન રૂપ ફિલ્મ છે. તેને 1973નો બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ અને બેસ્ટ એક્ટરનો બેન્ગાલ ફિલ્મ જર્નાલિસ્ટ એશોસિએશન એવોર્ડ (બી.એફ.જી.એ.) મળ્યો હતો. તે ઉપરાંત, તેને 1974ના બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેકટર, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. અલબત્ત, તે વર્ષે ‘કોશિશ’ની સ્પર્ધા બોબી, ઝંઝીર, દાગ, અનુરાગ (જેમાં મૌસમીજી હતાં) સાથે હતી.

ગુલઝાર અને સંજીવ કુમારનું એ સાચે જ સાહસ કહેવાય કે 80ના દાયકાના મારધાડ અને ઘોંઘાટિયા ફિલ્મોના દોરમાં તેમણે એક એવી ફિલ્મ બનાવી હતી જેમાં નાયક અને નાયિકા ન તો બોલી શકે કે ન તો સાંભળી શકે છે. માનવીય લાગણીઓની જટિલતાને બતાવવા / સમજવાની વાત આવે ત્યારે, હિન્દી સિનેમામાં ગુલઝારથી બહેતર કોઈ લેખક કે નિર્દેશક નથી. ચાહે ‘મેરે અપને’ હોય, ‘ખુશ્બૂ’ હોય, ‘આંધી’ હોય, ‘મોસમ’ હોય કે ‘ઈજાજત’ હોય, ગુલઝારે આપસી સંબંધોની સંવેદનશીલતાને બહુ પ્રેમથી પ્રદર્શિત કરી છે. એ તર્જ પર, ‘કોશિશ’માં દર્શકોને ભાવનાઓની એક અલગ જ દુનિયામાં લઇ જવાનો પ્રયાસ હતો.

મૂળમાં આ ફિલ્મ 1961માં આવેલી જાપાનીઝ ફિલ્મ ‘હેપ્પીનેસ ઓફ અસ અલોન’ પરથી પ્રેરિત હતી. 1952માં, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં ગુલઝારે આ ફિલ્મ જોઈ હતી. તેમાં, દ્વિતીય મહાયુદ્ધમાં બરબાદ થયેલા જાપાનમાં એક મૂંગું યુગલ બાળક પેદા કરે છે અને ક્રૂર સમાજ કેવી રીતે તેમને નકામા અને નાલાયક ગણીને ઉપેક્ષા કરે છે તેની હૃદયસ્પર્શી વાર્તા હતી. ગુલઝારે તેમાં થોડા ફેરફાર સાથે તેને ભારતીય સંદર્ભમાં પેશ કરવાનું નક્કી કર્યું હતું.

એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે, “એ ફિલ્મમાં દિવ્યાંગ લોકો માટે વિશેષ અને અલગ દુનિયા સર્જવાનો ખ્યાલ કેન્દ્રમાં હતો. એ વાત મને બહુ નવી લાગી હતી. એ ફિલ્મ જોઈ ત્યારથી મને થયા કરતું હતું કે દિવ્યાંગ લોકો સમાજનો જ એક અવિભાજ્ય હિસ્સો છે એ વાત મારે કહેવી છે.” આ ફરક મહત્ત્વનો છે. જાપાનીઝ ફિલ્મ દિવ્યાંગ લોકો માટે અલગ દુનિયા હોવી જોઈએ તેની વકાલત કરતી હતી, ગુલઝારની ‘કોશિશ’ એવા લોકો સમાજનો જ હિસ્સો હોવા જોઈએ તેના પર ભાર આપતી હતી.

ફિલ્મમાં હરિચરણ (સંજીવ) અને આરતી (જયા) નામનાં ગરીબ અને દિવ્યાંગ યુગલને જિંદગીમાં કેવી પરેશાનીઓમાંથી પસાર થવું પડે છે તેની પીડાને ગુલઝારે અદ્ભુત સંયમથી પેશ કરી હતી. સંયમથી એટલા માટે કે બહેરાં-મૂંગાની વાર્તા હોય એટલે દર્શકોની સહાનુભૂતિ ઉઘરાવાની લાહ્યમાં ફિલ્મમેકર તેમને બિચારાં અને દયાને પાત્ર બતાવવાની લાલચને રોકી ન શકે.

તેના બદલે, ‘કોશિશ’માં ગુલઝારે એક એવા યુગલની વાર્તા માંડી હતી જે શારીરિક કમજોરી હોવા છતાં સામાન્ય માણસથી કોઈપણ રીતે ઉતરતાં નથી. એ બાબતમાં ગુલઝાર એક જાદુગર છે. એ લાગણીઓનો તમાશો નથી કરતાં, એ તેની કવિતા રચે છે. ‘કોશિશ’ જોયા પછી આપણને હરિચરણ-આરતી પર દયા આવવાના બદલે, તેમના જીવનની સુંદરતા, અડચણો સામે ટકી રહેવાના તેમના સાહસ અને ઉત્તમ ભવિષ્ય માટેનો તેમનો આશાવાદ જોઈને આપણને આપણા ખુદના ‘તંદુરસ્ત’ જીવનને કેવી રીતે જીવવું તેની પ્રેરણા મળે છે.

પ્રેમના સહિયારાપણાનું એ પ્રદર્શન ‘કોશિશ’ ફિલ્મને એક અવિસ્મરણીય અનુભવ બનાવે છે. બે મૂંગા અને બહેરાં સ્ત્રી-પુરુષ પ્રેમમાં પડે અને આજીવન સાથે રહેવાનું નક્કી કરે એથી વધુ રોમેન્ટિક વાર્તા બીજી શું હોઈ શકે! મજાની વાત એ છે કે માત્ર ગુલઝારને જ એવો વિચાર આવેલો કે બોલિવૂડના પડદા પર એક એવી પણ ફિલ્મ બનાવવી જોઈએ જ્યાં પ્રેમને શારીરિક ક્ષમતા કે કમજોરી સાથે સંબંધ ન હોય. એટલે જ ફિલ્મનો અંત એક પંક્તિ સાથે થાય છે : એન્ડ કોશિશ કન્ટિન્યૂઝ …

સંજીવ કુમાર એક ઉત્કૃષ્ઠ અદાકાર હતા તેની અનેક ફિલ્મો ગવાહી પૂરે છે પરંતુ 1972ની ‘કોશિશ’ અને 1975ની ‘શોલે’ તેમને એક અલગ જ શિખર પર લઇ જાય છે. બંને ફિલ્મોમાં તેમણે શારીરિક કમજોરીને આધાર બનાવીને અદાકારીનો એવો રંગ બતાવવાનો હતો કે દર્શકો દયા ખાવાને બદલે જોશ અનુભવે.

‘કોશિશ’ ફિલ્મે એટલા બધા લોકોની લાગણીઓને સ્પર્શ કર્યો હતો કે મુંબઈમાં તો એ જ નામની એક દિવ્યાંગ સ્કૂલ પણ સ્થાપવામાં આવી હતી અને સંજીવ કુમાર (જયા બચ્ચનની સાથે) આજીવન એ સ્કૂલ સાથે જોડાયેલા રહ્યા હતા.

(‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 23 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતીય ઇસ્લામ માટે મુસલમાનોએ ગર્વ લેવો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 August 2023

રમેશ ઓઝા

ડેમોક્રેટિક પ્રોગ્રેસીવ આઝાદ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે ભારતનાં મોટાભાગના મુસલમાનો એક સમયે હિંદુ હતા અને વિદેશથી આવેલા મુસલમાનો તો બહુ ઓછી સંખ્યામાં હતા. તેમણે કાશ્મીરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે કાશ્મીરની ખીણમાં વસતા મુસલમાનોના બાપદાદાઓ કાશ્મીરી પંડિતો હતા અને છસોએક વરસ પહેલાં તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.

ગુલામ નબી આઝાદે જે કહ્યું એ શુદ્ધ સત્ય છે, પણ એ સત્ય હિંદુ કોમવાદીઓ અને મુસ્લિમ કોમવાદીઓ એમ બન્નેને પરવડે એવું નથી. લગભગ ૯૦ ટકા મુસલમાનો મૂળ ભારતીય હિંદુઓ હતા અને માંડ દસ ટકા મુસલમાનો વિદેશથી આવ્યા હતા એ વાત જો સ્વીકારવામાં આવે તો ઇસ્લામના આક્રમણની થિયરી પાતળી પડી જાય. તો એનો અર્થ એ થાય કે સત્તાના લોભમાં કે લૂટના ઈરાદે કેટલાક વિદેશી મુસ્લિમ શાસકોએ કે સેનાનીઓએ ભારત પર આક્રમણ કર્યાં હતા અને તેને ઇસ્લામના વિસ્તાર સાથે કોઈ સંબંધ નહોતો અથવા હતો એ દ્વિતીય સ્તરનો હતો. મુખ્ય ઉદ્દેશ સત્તા અને સંપત્તિ હતાં. ટૂંકમાં ભારત પર જે આક્રમણ થયાં એ મુસલમાનોએ કરેલાં આક્રમણો હતાં, ઇસ્લામનું આક્રમણ નહોતું. પણ હિંદુ કોમવાદીઓ એ આક્રમણોને ઇસ્લામના રંગે રંગવા માગે છે, એટલે તેમને વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા મોટી હોય એની આવશ્યકતા છે.

બીજું કારણ શરમ છે. જો ૮૦થી ૯૦ ટકા ભારતીય મુસલમાનોના બાપદાદાઓ હિંદુ હતા તો તેઓ મુસલમાન થયા શા માટે? અને કોણ થયા? શા માટે હિંદુઓ તેમને સાચવી ન શક્યા? જેમને ગામમાં પ્રવેશ નહોતો, જેમને હાંસિયામાં રાખવામાં આવતા હતા, જેમની સાથે અન્યાય કરવામાં આવતો હતો એવા લોકોએ સમાજમાં સન્માનપૂર્વકનું સ્થાન મેળવવા તેમ જ ન્યાય મેળવવા પોતાની ઈચ્છાથી ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો એ વાત પણ સાચી છે. આ હકીકત કબૂલ કરવામાં કોમવાદી હિંદુઓને શરમ આવે છે માટે તેમને સત્તા કે લૂટના ઈરાદે કરવામાં આવેલા મુસલમાનોના આક્રમણોને ઇસ્લામના આક્રમણ તરીકે રંગવાં જરૂરી છે અને એ સારુ વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા મોટી હોય એની આવશ્યકતા છે. ભારતમાં ઇસ્લામના વિસ્તારના ઈરાદે જો મોટી સંખ્યામાં મુસલમાનો ભારતમાં આવ્યા હોત અને ઇસ્લામના વિસ્તાર માટે જુલમ કર્યા હોત તો ભારતમાં મુસલમાનો બહુમતીમાં હોત. શા માટે ૭૫ ટકા હિંદુઓ નહીં વટલાયા? હિંદુઓએ મુસલમાનો સામે ધર્મ બચાવવા યુદ્ધ કર્યાં હોય કે પારસીઓની માફક ધર્મ બચાવવા એક સ્થળેથી બીજા સ્થળે દેશાટન કર્યું હોય એવી કોઈ ઘટના ઇતિહાસમાં જોવા મળતી નથી. હિંદુ-મુસ્લિમ વચ્ચેના સત્તાકીય યુદ્ધોનાં અનેક ઉદાહરણ છે, ધર્મયુદ્ધનું એક ઉદાહરણ બતાવો.

મુસ્લિમ કોમવાદીઓને પણ એ વાત સ્વીકારવામાં શરમ આવે છે કે ભારતમાં મોટાભાગના મુસલમાનોના બાપદાદાઓ પછાત હિંદુઓ હતા અને ન્યાય મેળવવા ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેઓ પોતાના વડાવાઓનાં મૂળ અરબસ્તાન, ઈરાન, ઈરાક, તુર્કસ્તાન અને મધ્ય એશિયામાં શોધે છે. માટે તેમને પણ વિદેશથી આવેલા મુસલમાનોની સંખ્યા છે એના કરતાં મોટી જોઈએ છે. “ઉચ્ચ ખાનદાન” અને “શુદ્ધ લોહી”નું વળગણ કમાલનું છે. ભલે નુકસાન થાય, પણ મૂળ તો વિદેશમાં જ શોધવાનાં.

આપણે તેમને પૂછવું જોઈએ કે ભારતીય ઇસ્લામ શું છે? જો ભારતીય ઇસ્લામ જેવી કોઈ ચીજ હોય તો એ ભારતીય મુસલમાનોએ જ વિકસાવી હોવી જોઈએ. દેખીતી રીતે તુર્કી, ઈરાની કે આરબ મુસલમાન ભારતીય ઇસ્લામ ન વિકસાવી શકે. ભારતીય ઇસ્લામ પર ભારતીય માટીની સુંગંધ છે. ભાષા, પહેરવેશ, રીતિરિવાજ, સંગીત, સાહિત્ય, કલાકારીગરી, વ્યંજન એમ કેટલી બધી ચીજો છે જે ભારતીય ઈસ્લામને એક વિશિષ્ટ ચહેરો આપે છે. જો વિદેશથી આવેલા મુસલમાનો મોટી સંખ્યામાં હોત તો ભારતીય ઇસ્લામનો ઘાટ ન ઘડાયો હોત. સૂફીઓમાં જોવા મળતી ખુદા અને બંદા વચ્ચેની એકત્વની તડપન જીવ અને શિવ વચ્ચેના એકત્વનો પ્રભાવ છે. આમ ભારતીય ઇસ્લામ પશ્ચિમ એશિયાના ઇસ્લામ કરતાં જુદો છે.

ભારતની માટીની સુગંધ ધરાવતો ભારતીય ઇસ્લામ ભારતની અને વિશ્વની એક સુંદર હકીકત છે જેને કટ્ટરપંથી મુસલમાનોએ નકારવાનું શરૂ કર્યું છે. તેઓ ભારતીય ઇસ્લામનું સાઉદીકરણ કરી રહ્યા છે. ભારતીય તો ઠીક ભારતના ઇસ્લામ પરના ઈરાની પ્રભાવને પણ ભૂંસી રહ્યા છે. આ દ્વારા તેઓ ભારતીય મુસલમાનોનો ચહેરો બદલી રહ્યા છે. હજુ હમણાં સુધી મુસ્લિમ સ્ત્રીઓ સાડી પહેરતી હતી, પણ હવે બુરખો પહેરે છે. બંગલાદેશની મુસ્લિમ મહિલાઓ સાડી પહેરવાનું છોડી રહી છે. એક સમયે બંગલાદેશ પૂર્વ પાકિસ્તાન હતું અને પશ્ચિમ પાકિસ્તાનના શાસકો સામે બંગાળી અસ્મિતાની લડાઈ લડતું હતું ત્યારે બંગાળી મુસ્લિમ સ્ત્રી ધરાર સાડી પહેરતી હતી. એમ કહેવા માટે કે અમારો ઇસ્લામ તમારા કરતાં અલગ છે. અમારો ઇસ્લામ બંગાળી સુગંધ ધરાવે છે.

ભારતમાં પોતાને ઇસ્લામના અને મુસલમાનોના પ્રવક્તા સમજનારાઓ પોતાને વિદેશી નસ્લના ઉચ્ચ કુલીન મુસલમાન તરીકે ઓળખાવે છે અને ભારતીય ઇસ્લામનો અને ભારતીય મુસલમાનોનો ચહેરો બદલવાનું કામ કરી રહ્યા છે. તેમને એ વાત નથી સમજાતી કે આવું કરીને તેઓ ભારતીય મુસલમાનોનું અહિત કરી રહ્યા છે. હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય વધારવાનું કામ કરી રહ્યા છે. આમ કરીને તેઓ હિંદુ કોમવાદીઓને મદદ કરી રહ્યા છે. મારી મુસ્લિમ મિત્રોને સલાહ છે કે એક ભારતીય મુસલમાન તરીકે ભારતીય ઇસ્લામ માટે ગર્વ લો અને તેનું જતન કરો. તેનાથી તમને દૂર કરનારાઓને દૂર કરો. આગળ કહ્યું એમ ભારતીય ઇસ્લામ આ ધરતી પરની એક સુંદર હકીકત છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ઑગસ્ટ 2023

Loading

...102030...1,0151,0161,0171,018...1,0301,0401,050...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved