Opinion Magazine
Number of visits: 9667004
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાતિ ગણનાનું ચંદ્રયાન ક્યારે જમીન ઉતરશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 August 2023

રાજ ગોસ્વામી

ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર અવતરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે, અમેરિકામાં જાતિ-વિરોધી કાનૂન માટે ચળવળ ચલાવતા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ સંલગ્ન સંગઠન, ફાઉન્ડેશન ફોર હ્યુમન હોરાઈઝનના અધ્યક્ષ દિલીપ મહસ્કેએ એક ઓનલાઈન સામયિકમાં લખ્યું લખ્યું હતું કે, “ચંદ્રયાન-3ની સાથે દેશ એક ઊંચી ઉડાન ભરી રહ્યો છે ત્યારે, આપણી સામે એક દુઃખદ સવાલ બનેલો છે, અને તે છે ભારતનું ગહેરું જાતીય વિભાજન. એ એક એવી જટિલ આંટીઘૂંટી છે જે સમાજની રૂપરેખાને પ્રભાવિત કરતી રહે છે, પણ જેને હંમેશાં નજરઅંદાજ કરવામાં આવે છે અથવા સહેતુક છુપાવામાં આવે છે.”

મહસ્કેની આ ટિપ્પણીનું કારણ સર્વોચ્ચ અદાલતમાંથી આવેલા એ સમાચાર હતા, જેમાં બેન્ચે બિહારની જાતિ ગણનાનો ડેટા સાર્વજનિક કરવા પર મનાઈ હુકમ આપવાનો ઇન્‌કાર કરી દીધો હતો.

બિહારન લોકોની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓનું વિગતવાર આકલન કરવા માટે અને વંચિત સમુદાયોને મદદ કરે તેવી સરકારી નીતિઓ ઘડવાના આશયથી, નીતીશ કુમારની સરકારે ગત જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં જાતિ ગણના શરૂ કરી હતી. આમ તો મે મહિના સુધીમાં પૂરી કવાયત પૂરી થઇ જવાની હતી, પરંતુ તેની સામે આવેલા કાનૂની અવરોધોને કારણે તેમાં વિલંબ થયો હતો.

ઓગસ્ટના બીજા સપ્તાહમાં તેનું કામ પૂરું થયું છે અને હવે તેની ડેટા એન્ટ્રીનું કામ ચાલે છે. એ કામ પૂરું થાય તે પછી એ રિપોર્ટને બિહાર વિધાનસભામાં મુકવામાં આવશે અને પછી તેને સાર્વજનિક કરવામાં આવશે. જાતિ ગણનાના નીતિશ કુમારના નિર્ણયને રાજકીય દાવ તરીકે જોવામાં આવે છે અને જાન્યુઆરી મહિનામાં જ જાતિ ગણના પર રોક લગાવવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજીઓ થઇ હતી, પણ અદાલતે અરજીઓને સાંભળવાની ના પાડી દીધી હતી.

એ પછી, હિતેચ્છુ અરજીકર્તાઓએ એવું કહીને જાતિ ગણનાના રિપોર્ટને સાર્વજનિક કરવા સામે મનાઈ હુકમ માંગ્યો હતો કે તેનાથી નિજતા(પ્રાઈવસી)ના બંધારણીય અધિકારનો ભંગ થાય છે. મંગળવારે, સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ સંજીવ ખન્નાએ એ તર્કને ફગાવી દેતાં પૂછ્યું હતું, “કોઈને તેની જાતિ કે પેટા જાતિ પૂછવાથી તેની નિજતા કેવી રીતે પ્રભાવિત થાય? તમારા પાડોશીઓને તમારી જાતિ ખબર જ હોય છે … તો પછી સર્વેમાં પૂછવામાં આવેલા 17 સવાલોમાંથી કયા સવાલથી નિજતાનું ઉલંઘન થાય છે?”

બિહારની જાતિ ગણનાએ દેશમાં વ્યાપ્ત સામાજિક વિભાજનો, રાજકારણ અને શાસન વચ્ચે ફરી એકવાર ટકરાવની સ્થિતિ ઊભી કરી છે. જાતિ ગણનાનાં પરિણામો દૂરગામી છે. તેનાથી નીતિ-વિષયક નિર્ણયો, રાજકીય પ્રતિનિધિત્વ અને જાતિ-આધારિત ભેદભાવ સામેની લડાઈ પર અસર પડવાની છે.

વાસ્તવમાં, જાતિ ગણના અંગ્રેજ સરકારની વિચારસરણી છે. તેની પાછળનો તર્ક એવો હતો કે જો ભારત પર શાસન કરવું હોય તો ધર્મ અને જાતિના આધારે ભાગલા પાડો. બ્રિટિશ સરકારે 1931માં વસ્તી ગણતરી કરાવી. આ વસ્તી ગણતરી વર્ષ 1941માં પણ થવાની હતી. પરંતુ વિશ્વયુદ્ધને કારણે આ શક્ય બન્યું નહીં. સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધી કોઈ કેન્દ્ર સરકારે જાતિ ગણતરીની ભલામણ કરી નથી.

બિહારમાં પછાત અને અત્યંત પછાત વર્ગોની વસ્તી રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ છે. આ જ કારણથી તમામ રાજકીય પક્ષો આ વોટ બેંકની તૈયારીમાં વ્યસ્ત છે. ભા.જ.પ. લગાતાર વડા પ્રધાન મોદીને પછાત ચહેરા તરીકે ગણાવીને વોટ માંગતી રહી છે, ત્યારે મહાગઠબંધન બિહારમાં જાતિની ગણતરીને મુદ્દો બનાવીને આ વોટ બેંકને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મુખ્ય પ્રધાન હોવાથી નીતીશ કુમારે ભલે જાતિ ગણના કરાવી હોય, તેનું અસલી શ્રેય આર.જે.ડી. નેતા અને ડેપ્યુટી સી.એમ. તેજસ્વી યાદવને જાય છે. તેમણે કહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવનું સપનું પૂરું થયું છે. લાલુ પ્રસાદ શરૂઆતથી જ જાતિ ગણનાની માંગ કરી રહ્યા હતા. 2020ની વિધાનસભા ચૂંટણી બાદ પેટાચૂંટણી દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાં સુધી નીતીશ કુમાર ભા.જ.પ. સાથે હતા. જો.કે બાદમાં નીતીશ આર.જે.ડી. સાથે આવ્યા હતા અને આ નિર્ણય લીધો હતો.

જાતિ ગણનાથી મતોની ગણતરી બદલાઈ જવાની છે. જાતિ ગણનાના સમર્થન અને વિરોધ પાછળ વોટની રાજનીતિ છે. જાતિ ગણનાએ મંડલ-કમંડલનું રાજકારણ ફરીથી જીવતું કર્યું છે. 2024ની ચૂંટણી પહેલાં જાન્યુઆરી મહિનામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. ભા.જ.પ. હિંદુ ઓળખ પર વોટ માગવાની છે. એટલે બિહારના સત્તાધારી પક્ષોએ ઓ.બી.સી. કાર્ડ એ જ રીતે ઉતાર્યું છે, જે રીતે વડા.પ્રધાન વી.પી. સિંહે (મંડલ કમિશનના નામે) લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન ઉતાર્યું હતું. વર્ષ 1990માં લાલુ પ્રસાદે મંડલના બહાને જાતિ ગણતરીની માંગ કરી હતી.

2024ની લોકસભા ચૂંટણી માથા પર છે ત્યારે યુ.પી.-બિહાર અને અન્ય રાજ્યોમાં વિરોધ પક્ષો જાતિ ગણનાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મધ્ય પ્રદેશમાં બિહારની જેમ દાવ ખેલ્યો છે. તેમણે જાહેરાત કરી કે પ્રદેશમાં કાઁગ્રેસની સરકાર બન્યા બાદ જાતિ ગણના કરવામાં આવશે. આમ કરવાથી એ જાણી શકાશે કે કોણ પછાત અને ગરીબ છે, કેટલા લોકો ભૂમિહીન છે અને તેમનો વિકાસ કેવી રીતે કરવો.

ખડગેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કાઁગ્રેસ હવે આ મુદ્દાને પકડીને પોતાની રાજનીતિ આગળ વધારશે. તેને બિહાર અને કર્ણાટકમાં રાજકીય લાભ પણ મળ્યો. હવે મધ્ય પ્રદેશમાં પણ આ જ લાભનું પુનરાવર્તન કરવા માંગે છે. જાતિ ગણનાની આ રમત પાછળનું કારણ ઓ.બી.સી. આરક્ષણ માનવામાં આવે છે કારણ કે તેમાં સમાવિષ્ટ જાતિઓનું કહેવું છે કે વર્તમાન સમયમાં તેમની સંખ્યા વધી છે, પરંતુ અનામતની મર્યાદા વધી નથી. કાઁગ્રેસ પણ ઓ.બી.સી.માં હા પુરાવે છે. કમલનાથે પોતે 27 ટકા અનામત આપવાની વાત કહી છે. કમલનાથ પહેલાં શિવરાજ સિંહ ચૌહાણની સરકાર દ્વારા પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી લીલી ઝંડી મળી શકી ન હતી.

ગુજરાત કાઁગ્રેસ પણ ઓ.બી.સી. કાર્ડનો ઉપયોગ કરી રહી છે. રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણીને લઈને કાઁગ્રેસે મંગળવારે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાઁગ્રેસે સ્થાનિક સંસ્થાઓમાં અનામતની જરૂરિયાત સહિત અન્ય પછાત વર્ગોને અસર કરતા વિવિધ મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટે ધરણામાં ભાગ લેવા શાસક ભા.જ.પ.ના વરિષ્ઠ OBC રાજકારણીઓને આમંત્રણ આપ્યું છે.

રાજ્ય કાઁગ્રેસના ધારાસભ્ય પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પાર્ટીએ તમામ સમુદાયો, તમામ ધર્મો અને તમામ પક્ષોના રાજકીય નેતાઓને ઓ.બી.સી.ને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા આમંત્રણ આપ્યું છે. સ્વાભિમાન ધરણાએ જાતિ આધારિત વસ્તી ગણતરી સહિત ચાર માંગણીઓ ઉઠાવી હતી. ચાવડાએ કહ્યું કે, અમે સ્થાનિક સ્વ-સરકારી સંસ્થાઓમાં 27 ટકા ઓ.બી.સી. અનામતના અમલીકરણ, ઓ.બી.સી. માટે રાજ્યના બજેટના 27 ટકાની ફાળવણી અને સહકારી મંડળીઓમાં અનામત મુજબ બેઠકોની ફાળવણી કરવાની માંગ કરી છે.

વિપક્ષ જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યો છે તેની સામે ભા.જ.પ. વિશ્વકર્મા યોજના લાવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે ઓ.બી.સી.ના ઘણા સમુદાયોને નવી શક્તિ આપવા માટે ‘વિશ્વકર્મા યોજના’ આવતા મહિને વિશ્વકર્મા જયંતી(17 સપ્ટેમ્બર)ના અવસર પર શરૂ કરવામાં આવશે.

દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી છે, આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાને રાજકીય હથિયાર માનવામાં આવી રહ્યું છે. આ યોજના 18 પ્રકારના પરંપરાગત કામદારો માટે છે. સરકાર તેમને માત્ર 5 ટકા વ્યાજના દરે લોન આપશે. આ યોજનાની મદદથી 30 લાખથી વધુ કામદારોને આગળ વધવાની તક મળશે. આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ યોજનાને મોદી સરકાર માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે.

ઓ.બી.સી. સમુદાયોના ઉત્થાન માટેના સકારાત્મક કદમનાં 25 વર્ષ પછી પણ મંડલનો વિચાર હજુ એટલો જ પ્રભાશાળી રહ્યો છે. દિલીપ મહસ્કે પેલા લેખમાં લખે છે, “ચંદ્રયાન-3 જેવા વૈજ્ઞાનિક મિશન હાથ ધરવા માટે ભારત સરકારનો ઉત્સાહ રાષ્ટ્રવ્યાપી જાતિ ગણના કરવાની તેની અનિચ્છાથી વિપરીત છે. ચંદ્રયાન-3 એક તરફ પ્રથમ બ્રહ્માંડ પર વિજય મેળવવાની રાષ્ટ્રની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે, જ્યારે જાતિ ગણના સામાજિક અસમાનતાઓનો સામનો કરવાની તેની ઇચ્છા વિશે ગંભીર આત્મનિરીક્ષણની પ્રેરણા આપે છે. એક તરફ આપણે તારાઓ સુધી પહોંચી રહ્યા છીએ, પણ બીજી તરફ જમીન પરના સાથી નાગરિકોના જીવંત અનુભવોને ઓળખવામાં નિષ્ફળ જઈએ છીએ.”

લાસ્ટ લાઈન:

“ગાંધી, નહેરુ અને સૌએ સ્થિતિ સુધારવાની કોશિશ કરી હતી. તેમણે ઘણા આર્થિક અને સામાજિક વિભાજનો તોડવાની કોશિશ કરી હતી, પણ જડતા અને વ્યવસ્થા આડે આવી હતી.”

— વી. પી. સિંહ, પૂર્વ વડા પ્રધાન

(પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે” 27 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જગતમાં કોઈ વ્યક્તિ અને કોઈ સમાજ સર્વગુણસંપન્ન નથી કે અધમ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|29 August 2023
  • વિનોબા ભાવેએ બહુ માર્મિક ભાષામાં કહ્યું હતું કે ‘હી’ની જગ્યાએ ‘ભી’ અપનાવશો તો જીવન સાર્થક થઈ જશે

  • આપણે આપણાં પોતાનાં અને બીજાના ઓછાપણાનો પણ સ્વીકાર કરીએ છીએ. ટૂંકમાં ‘હી’ વિધ્વંસક છે 

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં પારસી કોમ વિશેની અજાણી બાજુ જાણીને એક વાચકે પ્રતિક્રિયા આપી હતી કે પારસીઓ વિષે ભ્રમનિરાસન થયું. ભ્રમનું નિરાસન ત્યારે થાય જ્યારે ભ્રમ સેવ્યો હોય અને આ દુનિયામાં સૌથી મોટો ભ્રમ એ છે કે ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ કોમ સર્વગુણસંપન્ન છે અને ચોક્કસ વ્યક્તિ કે કોમ અધમ છે. માણસ આખરે માણસ હોય છે અને પારસીઓ પણ માણસ છે. પ્રત્યેક માણસ સારા-નરસા ગુણોનું પૂતળું હોય છે અને સમાજ આખરે માનવીઓનો બનેલો હોય છે, એટલે સમાજમાં પણ સારાપણું અને નઠારાપણું બન્ને હોય છે. એક સત્ય ગાંઠે બાંધી રાખો : આ જગતમાં કોઈ વ્યક્તિ અને કોઈ સમાજ સર્વગુણસંપન્ન નથી કે અધમ નથી. બન્ને છે અને એમાં આપણો પોતાનો, આપણાં પોતાનાંઓનો, આપણા સમાજનો તેમ જ માનવરચિત પ્રત્યેક સંસ્થા અને કૃતિનો પણ સમાવેશ થાય છે. 

આચાર્ય વિનોબાજી

વિનોબા ભાવેએ બહુ માર્મિક ભાષામાં કહ્યું હતું કે “હી”ની જગ્યાએ “ભી” અપનાવશો તો જીવન સાર્થક થઈ જશે અને જો “હી”માં અટવાયેલા રહ્યા તો અમૂલ્ય જિંદગી કોઈની આરતી ઉતારવામાં અને કોઈનું બુરું ઇચ્છવામાં વેડફાઈ જશે. પણ આ શીખ એ લોકો માટે છે જે પોતાની જિંદગીની કિંમત સમજે છે. જેની આરતી ઉતારો છો એની પણ કોઈ મર્યાદાઓ હશે અને જેને નીચ સમજો છો એની પણ કોઈ ઉજળી બાજુ હશે. મહાત્મા ગાંધી પણ મર્યાદાઓથી ગ્રસ્ત હતા અને તેમણે તેમની મર્યાદાઓનો ખુલ્લો સ્વીકાર પણ કર્યો છે. આ વાત ઇતિહાસમાં થયેલા અન્ય મહાપુરુષોને પણ લાગુ પડે છે. માટે વિનોબા કહેતા કે હમારી કૌમ “હી: શ્રેષ્ઠ હૈ કે હમારા ધર્મ “હી” શ્રેષ્ઠ હૈ એમ કહેવાની જગ્યાએ એમ કહેવું જોઈએ હમારા સમાજ “ભી” શ્રેષ્ઠ હૈ ઔર હમારા ધર્મ “ભી” શ્રેષ્ઠ હૈ. આમ જ્યારે તમે કહેશો ત્યારે બીજાના સારા હોવાપણાનો તમે સ્વીકાર કરો છો. તુમ ભી અચ્છે હો ઔર તુમ્હારા ધર્મ ભી અચ્છા હૈ. એટલું જ નહીં, આમ કહેતી વખતે આપણે આપણા પોતાના અને બીજાના ઓછાપણાનો પણ સ્વીકાર કરીએ છીએ. ટૂંકમાં “હી” વિધ્વંસક છે. જો તમારે તમારી અમૂલ્ય જિંદગીને એળે જવા દેવી હોય તો આવી પ્રવૃત્તિ કરો.

પારસીઓ “પણ” મહાન કોમ છે એમાં કોઈ શંકા નથી અને પારસીઓ “પણ” માનવીય મર્યાદાઓથી ગ્રસ્ત છે. પારસી કોમની મર્યાદાઓ બતાવવી હોય તો હું હજુ બીજી બે-પાંચ મર્યાદાઓ બતાવી શકું એમ છું. આ જગતમાં કોઈ સર્વગુણસંપન્ન નથી. ગુણ-અવગુણથી ગ્રસ્ત માનવી અને માનવીનો બનેલો સમાજ સમય અને સંજોગો મુજબ વર્તે છે. જો સમય અને સંજોગો અનુકૂળ હોય તો માણસ માનવીય મર્યાદાઓ સાથે બાંધછોડ કરવા લાગે છે અને સમાજ તો વળી હજુ વધુ મર્યાદાઓ સાથે બાંધછોડ કરે છે, કારણ કે તે સમૂહમાં તાકાતનો અનુભવ કરે છે. ભારતમાં અંગ્રેજો આવ્યા ત્યારે ભારતની બીજી કોઈ કોમ કરતાં પારસીઓને અંગ્રેજોની નજીક જવામાં ઓછી તકલીફ પડી હતી. જ્ઞાતિનાં બંધનો, ધાર્મિક બંધનો, પરંપરાનાં બંધનો, વેશભૂષાનાં બંધનો, ભોજનનાં બંધનો તેમને અન્ય ભારતીય કોમની તુલનામાં ઓછા નડ્યાં હતાં. પાશ્ચાત્યપણાને તેઓ ઝડપથી અપનાવી શક્યા હતા. અંગ્રેજ અને અંગ્રેજિયતના આસાન સ્વીકારને કારણે પારસીઓ અંગ્રેજોની નજીક પહોંચી ગયા હતા. દેખીતી રીતે એક વાર સત્તાની નજીક પહોંચી ગયા પછી પારસીઓ પણ મર્યાદાઓ સાથે બાંધછોડ કરવા લાગ્યા હતા. તેઓ પણ તાકાતનો, અજેયતાનો, ઐશ્વર્યનો ખોટો અનુભવ કરવા લાગ્યા હતા. આ બધું માનવસહજ છે.

પણ માનવસહજ છે એનો અર્થ એવો નથી કે એ યોગ્ય છે. પારસીઓનું કૃત્ય માનવસહજ હતું, પણ યોગ્ય તો નહોતું જ. માટે પ્રસંગ આવ્યે “ભી”ને કેન્દ્રમાં રાખીને કહેવું જોઈએ કે પારસીઓએ પણ અત્યાચારો કર્યા હતા. ભારતમાં જ્યારે મુસલમાનોનું રાજ હતું ત્યારે કેટલાક મુસલમાનો મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા હતા, મરાઠાઓનું રાજ હતું ત્યારે કેટલાક મરાઠાઓ મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા હતા, ક્ષત્રિય રાજવીઓનું રાજ હતું ત્યારે કેટલાક ક્ષત્રિયો મર્યદાઓનું ઉલ્લંઘન કરતા હતા અને અત્યારે કેટલાક હિંદુઓ મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્રણ ચીજ છે : એક, આ માનવસહજ છે. બે, આ અપવાદ વિના સાર્વત્રિક છે એટલે કે દરેક પ્રજામાં આ જોવા મળે છે અને ત્રણ, આ નિંદનીય પણ છે.

મારા લેખમાં મૂક સંમતિ કે સ્વીકાર મોટાભાગે શરણાગતિ હોય છે એ મુદ્દો સાબિત કરવા પારસી કોમનું ઉદાહરણ આપ્યું હતું કે પારસીઓ “પણ” આવું કરતા હતા. મુદ્દો મહત્ત્વનો હતો, પારસીઓની મર્યાદા નહીં. પણ ઘડીભર વિચારો કે હું ખોતરી ખોતરીને પારસીઓની મર્યાદાઓ શોધ્યા કરું, તેની યાદી બનાવું, દિવસરાત પારસીઓની અંધારી બાજુ શોધ્યા કરું તો? તો હું “ભી” ને “હી”માં ફેરવી નાખીશ. એમાં પારસીઓનું તો થવાનું હશે તે થશે પણ હું મારી અમૂલ્ય જિંદગીનું અને મારી આવનારી પેઢીનું નખ્ખોદ કાઢવાનો એ નક્કી છે. આજકાલ કેટલાક લોકો દિવસરાત “ભી”ને “હી”માં ફેરવવાનો વ્યાયામ કરી રહ્યા છે એ જોઇને દયા ઉપજે છે. હમ “હી” અચ્છે ઔર દુસરે “હી” બુરે. એક જ જિંદગી મળી છે એટલે અમૂલ્ય છે, પણ તેઓ તેમની જિંદગીની કિંમત સમજતા નથી!

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 27 ઑગસ્ટ 2023

Loading

૧૯૪૨, ઓગસ્ટ : લોકપ્રકોપના જ્વાળામુખીનો વિસ્ફોટ

ઉષા ઠક્કર|Opinion - Opinion|29 August 2023

ડૉ. ઉષા ઠક્કર આપણી જમાતનાં એક વિદ્વાન અધ્યાપક છે. રાજ્યનીતિશાસ્ત્ર, ઇતિહાસ તેમ જ સમાજશાસ્ત્રનાં એક તજ્જ્ઞ તરીકે એમની નામના છે. એમણે અનેક સંશોધન આધારિત પુસ્તકો ય આપ્યાં છે. આઝાદીના આ 75માં વરસ અનુસંધાને આ અભ્યાસુ લેખ આપણને દિશા તો આપે છે, પણ સાથે સાથે આપણને ઇતિહાસ ભણી દોરી જઈ વિચારને માટે નક્કર વાતાવરણ પણ તૈયાર કરી આપે છે.

ઉષા ઠક્કર

૧૯૪૨નો ઓગસ્ટ મહિનો ભારતમાં અસાધારણ રાજકીય ઊથલ-પાથલનો મહિનો. દેશપ્રેમીનો સમર્પણ અને બલિદાનનો મહિનો. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટેનું ૧૯૪રનું સૌથી છેલ્લું જન આંદોલન. આ સમયે આઝાદી માટેની અદમ્ય ઈચ્છા રાજકીય સમજૂતિઓની સીમા પાર કરી ગયેલી. શોષિત અને પીડિત પ્રજાએ બ્રિટિશ સરકાર સામે ખુલ્લો બળવો કરેલો. તે સમયને યાદ કરતાં ને સમયની ક્રાંતિરેખા અરુણા અસફઅલીએ જણાવેલું કે ‘ત્યારે તો લોકપ્રકોપના જ્વાળામુખીનો વિસ્ફોટ થયેલો અને તેમાંથી ફેંકાયેલ લાવારસનો હું તો એક ટુકડો માત્ર હતી.’ દેશની ધરતી પર આવા જ્વલંત ટુકડાઓ અને તણખાઓ હજારો-લાખોની સંખ્યામાં વેરાઈ ગયેલા. મુંબઈ (શહેર અને પ્રાંત), યુનાઈટેડ પ્રોવીન્સેઝ (યુ.પી.), સેન્ટ્રલ પ્રોવીન્સેઝ (સી.પી.), બિહાર અને ઓરિસ્સા જેવા ક્ષેત્રો આઝાદી માટેની પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠેલા.

૧૯૪૦ના દાયકાના આરંભના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણના પ્રવાહોએ ૧૯૪૨ના આંદોલનના ઉદ્ભવમાં અગત્યનો ફાળો આપેલો. દેશમાં ગાંધી વિચાર અનુસાર વ્યક્તિગત સત્યાગ્રહ થયેલો, પણ તેનું સ્વરૂપ મર્યાદિત હતું. સર સ્ટેફર્ડ ક્રિપ્સના આગમને આશા જગાવેલી, પણ છેવટે તો નિરાશા જ મળી. ક્રિપ્સ મિશનની દરખાસ્તોનો દેશના જાણીતા પક્ષોએ અસ્વીકાર કર્યો અને બીજું વિશ્વયુદ્ધ તો દેશની સીમાઓ સુધી પહોંચી ગયેલું. જાપાન તીવ્ર ગતિથી આગળ વધી રહેલું હતું. તેણે હોંગકોંગ, સિંગાપુર, મલાયા અને બર્મા પર વિજય મેળવી લીધેલો. અને તેની અસર ભારત પર પડી.

બિહાર અને યુ.પી. જેવા પ્રાંતોમાં લોકોને ચિંતા અને આશંકા થવા લાગી. બર્મા, સિલોન અને મલાયામાં ઘણા ભારતવાસીઓ ગયેલા. તેઓ નિયમિત રૂપે દેશમાં પોતાના કુટુંબોને પૈસા મોકલતા, જેથી કુટુંબોનો નિર્વાહ થઈ શકે અને આ રકમ નાની-સૂની નહોતી. ૧૯૪૦-૪૧ ના વર્ષમાં ૨,૦૩૮,૦૦૦ મની-ઓર્ડર તથા ૭ કરોડ ૨૫ લાખ જેટલા રૂપિયા આવેલા. ગોરખપુરના મોટા ભાગના રહેવાસીઓ હોંગકોંગ, બેંકોક, સિંગાપુર અને રંગૂનમાં કામ કરતા હતા. સગાં સંબંધીઓ દ્વારા મોકલાતા પૈસા પર જ આધાર રાખતા હતા. પણ હવે તો પરદેશમાં કામ કરના ભારતવાસીઓ જ પાછા ફરવા લાગ્યા, અંતે તે પણ નિરાશ્રિત થઈને. એક અંદાજ મુજબ લગભગ ૪,૦૫,૦૦૦ નિરાશ્રિતો કલકત્તા પહોંચ્યા, તેમાંથી ૩,૩૫,૦૦૦ ટ્રેનથી આવ્યા અને ૭૦,૦૦૦ સ્ટીમરથી ઘાયલ સિપાહીઓ થાકીને અને હારીને ઘરે પહોંચવા લાગ્યા. તેમની સ્થિતિ દયનીય હતી. આવી પરિસ્થિતિમાં અફવાઓનું બજાર ગરમ થયા લાગ્યું. એવી અફવાઓ થવા લાગી કે જાપાનનું સૈન્ય અજેય છે. બ્રિટિશ ઓફિસરો નાસી જવાના છે. આ સંજોગોમાં સામાન્ય પ્રજાનો બ્રિટિશ શાસનમાંથી વિશ્વાસ ઉઠવા લાગ્યો.

આ ઉપરાંત, દેશની પ્રજાને અસહકાર આંદોલન અને સવિનય કાનૂન ભંગ જેવી ચળવળોનો અનુભવ હતો. ૧૯૩૭ માં ચુંટાયેલી સાત પ્રાંતોમાં કાઁગ્રેસ સરકારની વિધેયાત્મક કામગીરીનો અનુભવ હતો અને સૌથી મહત્ત્વપૂર્ણ તો ગાંધીજીના અસાધારણ નેતૃત્વ હેઠળ કામ કરવાનો અનુભવ હતો.

ગાંધીજીના વિચારો અને વાતોએ પ્રજામાં હલચલ મચાવી દીધી. ગાંધીજીએ “હરિજન બંધુ”(૧૦-૦૫-૧૯૪૨)માં જણાવ્યું કે “હિંદુસ્તાનમાં અંગ્રેજોની હાજરી એ જાપાનને હિંદુસ્તાન પર ચડાઈ કરવાનું નોતરું છે. તેઓ ચાલ્યા જાચ તો લડાઈની લાલચ દૂર થાય.” અંગ્રેજોને ચાલ્યા જવાનું જણાવતાં તેમણે “હરિજન બંધુ”(૨૪.૫.૧૯૪૨)માં સ્પષ્ટ કર્યું કે “હિંદને ભગવાનના હાથમાં સોંપી દો અને આ શબ્દો વિચિત્ર લાગતા હોય તો કહું છું કે અરાજક્તાના હાથમાં સોંપો.”

કાઁગ્રેસના નેતાઓ ગાંધીજી સાથે હતા. ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીની બેઠક વર્ધામાં જુલાઈ ૧૯૪૨માં યોજવામાં આવી. ૧૪ જુલાઈના મહત્ત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે રોજેરોજ બનતા બનાવોએ તથા હિંદની પ્રજાને થઈ રહેલા કડવા અનુભવોએ કાઁગ્રેસીઓના એ અભિપ્રાયને સાચો ઠરાવ્યો છે કે હિંદમાંથી બ્રિટિશ અમલનો અંત આવવો જ જોઈએ. “સારામાં સારો પરદેશી અમલ પણ સ્વતઃ એક અનિષ્ટ છે તથા તાબેદાર પ્રજાને માટે નિરંતર હાનિરૂપ છે. એટલા ખાતર જ નહિ, પણ પરાધીન હિંદ પોતાનું રક્ષણ કરી શકે તેમ જ માનવજાતનું નિકંદન કાઢી રહેલા યુદ્ધના ભાવિ ઉપર અસર પાડવામાં અસરકારક ભાગ ભજાવી શકે એટલા માટે પણ, બ્રિટિશ અમલનો હિંદમાંથી અંત આવવો જોઈએ.”

કાઁગ્રેસના નેતાઓને અને ગાંધીજીને લાગવા માંડેલું કે અંગ્રેજો સત્તાપલ્ટા માટે તૈયાર નથી અને યુદ્ધ સમાપન થયા પછી પણ તેમ થવાની શક્યતા નથી. પહેલા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી ભારતને મળેલા રોલેટ કાયદો, લશ્કરી કાયદો અને રક્તરંજિત જલિયાનવાલા બાગ. આ વાતોને પ્રજા ભૂલી નહોતી. ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ કમિટીનું ઐતિહાસિક અધિવેશન ૭ અને ૮ ઓગસ્ટના મુંબઈમાં યોજવામાં આવેલું. વર્ધાના ઠરાવ અને આ અધિવેશન વચ્ચેનો સમય જનમત તૈયાર કરવા માટે ઘણો મહત્ત્વપૂર્ણ હતો. ઘણી સભાઓ અને ભાષણો ગોઠવાયા, જેમણે જનજાગૃતિ લાવવામાં અગત્યનો ફાળો આપ્યો. મુંબઈમાં ચોપાટી પર ૨ ઓગસ્ટના વલ્લભભાઈ પટેલની એક મોટી મીટિંગ થઈ. તેમાં ૫૦,૦૦૦ જેટલા લોકો ભેગા થયેલા. ગુજરાતીમાં બોલતા તેમણે કહ્યું કે આ ચળવળ ગાંધીજીએ ઉપાડેલી છેલ્લી ચળવળ છે. બ્રિટિશ સરકાર મલાયા, સિંગાપુર અને બર્માની બાબતમાં નિષ્ફળ ગઈ છે. તેમણે પ્રજાજનોને લડતમાં પૂરો સાથ આપવા માટે અસરકારક અપીલ કરી અને સ્કૂલ – કોલેજ – ફેક્ટરી અને વેપાર બંધ રાખવાનું સૂચવ્યું. મુંબઈના ગવર્નર સર આર.એલ. લમ્લેએ વાઈસરોય લોર્ડ લીનલીથગોને લખ્યું કે પટેલની મીટિંગ પછી વાતાવરણ પૂર્ણતઃ બદલાઈ ગયું, દૃષ્ટિકોણ જ ક્રાંતિકારી બની ગયો.

મુંબઈના ઓગસ્ટના અધિવેશને દેશવાસીઓ માટે નવી દિશા ઉઘાડી. દેશના વિભિન્ન ભાગોમાંથી નેતાઓ અને કાર્યકરો આ સુયોજિત અધિવેશનમાં આવેલા. વર્ધાની ૧૪ જુલાઈની મીટિંગમાં લેવાયેલા ઠરાવનું સમર્થન કરતાં અહીં નિર્ણય લેવાયો કે ભારત માટે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સફળતા માટે પણ દેશમાં બ્રિટિશ શાસનનો અંત આવશ્યક છે. ભારતની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ વ્યાપક સ્તર પર અહિંસક સામૂહિક સંઘર્ષ કરવાનો નિર્ણય લેવાયો.

સભાપતિ મૌલાના અબ્દુલ કલામ આઝાદે કાર્યવાહી શરૂ કરેલી. જવાહરલાલ નેહરુએ ઠરાવ રજૂ કરેલો અને સરદાર પટેલે તેનું સમર્થન કરેલું. ૮ ઓગસ્ટના ભાષણમાં ગાંધીજીએ આવા શબ્દોમાં પોતાનું હૈયું ઠાલવ્યું, અને લોકોને કહ્યું કે “આ ઘડીથી સૌ કોઈ માને કે આપણે આઝાદ છીએ અને હવે તમે આ સામ્રાજ્યની એડી નીચે નહીં પણ આઝાદ છો એમ માનીને વર્તજો … ગુલામ જે ઘડીએ એમ માને કે હું સ્વાધીન છું તે જ ઘડીએ તેની જંજીર તૂટી જાણવી … હું તમને એક ટૂંકો મંત્ર આપું છું એને તમારે હૈયે કોતરી રાખજો અને તમારે શ્વાસે શ્વાસે એનો જાપ ચાલવા દેજો એ મંત્ર છે “કરેંગે યા મરેંગે’. હિંદને કાં તો આઝાદ કરીશ નહીં તો મરી ફીટશું. કાયમી ગુલામી જોવા જીવતા નહીં રહીએ.” ગાંધીજીએ ભારપૂર્વક કહ્યું કે કાયર અને ડરપોક માટે આઝાદી નથી.

૯ ઓગસ્ટના કાઁગ્રેસના અનેક નેતાઓને બ્રિટિશ સરકારે જેલમાં ધકેલ્યા. ગાંધીજીને આગાખાન મહેલ, પૂનામાં કારાવાસ અપાયો. હવે દેશની પ્રજાનો રોષ ભભૂકી ઉઠ્યો. દેશના વિભિન્ન ભાગોમાં ક્રાંતિની જ્વાળા પ્રગટી. સ્થાનિક સ્તર પર ચળવળના સ્વરૂપ વિશે લોકો નિર્ણય લેવા લાગ્યા. નવી નેતાગીરીનો ઉદય થયો. કાઁગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી, ફોરવર્ડ બ્લોક અને અન્ય ક્રાંતિકારી જૂથો સક્રિય બન્યા. વિદ્યાર્થીઓએ મહત્ત્વ ની ભૂમિકા ભજવી. સ્રીઓએ સભા સરઘસો અને હડતાલોમાં તેમ જ જેલમાં ગયેલા સાથીઓના કુટુંબોની સારસંભાળમાં અગત્યનું યોગદાન આપ્યું.

બ્રિટિશ શાસનના બધા જ પ્રતીકો સામે જનતાનો આક્રોશ ફૂટી નિકળેલો. બ્રિટિશ સરકારના પ્રતીકો, જેમ કે સરકારી ઈમારતો, પોસ્ટ ઓફિસો, અને પોલિસ સ્ટેશનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. ફેક્ટરીઓ અને શિક્ષણ સંસ્થાઓ સામે હડતાલો થઈ. રેલવેના પાટાઓ તથા સંદેશ વ્યવહારના સાધનોની તોડફોડ કરવામાં આવી. હિંસાનો માર્ગ અપનાવવામાં કોઈ ક્ષોભ ન રહ્યો. કેટલાય નેતાઓ, જેમ કે જયપ્રકાશ નારાયણ અને સુચેતા કૃપલાણી ભૂમિગત થયાં. ડો. રામમનોહર લોહિયા, આચાર્ય નરેન્દ્ર દેવ, અચ્યુત પટવર્ધન, શંકરરાવ દેવ અને યુસૂફ મેહરઅલી જેવા નેતાઓ સક્રિય રહ્યા. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજ અને બર્લિન રેડિયોથી પ્રસારિત થતી માહિતી જેવા પરિબળોએ પ્રજાનો ઉત્સાહ વધાર્યો. મુંબઈથી ચાલતા ભૂગર્ભ કાઁગ્રેસ રેડિયોના સમાચારોને શહેર તથા અન્ય ભાગોમાં લોકો ઉત્સાહથી સાંભળતા. ઉષાબહેન મહેતાને આ રેડિયોની ક્રામગીરીમાં ભાગ લેવા માટે ચાર વર્ષની જેલની સજા મળેલી.

થોડા સમય માટે તો લોકોએ સાતારા (મહારાષ્ટ્ર), મેદિનીપુર (બંગાલ) અને બલિયા(યુ.પી.)માં પોતાની સમાંતર સરકાર પણ સ્થાપી દીધેલી. સાતારાનો પત્રી (પ્રતિ) સરકારને પ્રયોગ થોડો લાંબો ચાલેલો. સમાજના વિભિન્ન વર્ગો ૧૯૪૨ના આંદોલનમાં સહજ રીતે જોડાઈ ગયેલા, અને તેઓ પોતાની રીતે પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ કરતા. ભૂગર્ભવાસી નેતાઓ યથાસંભવ માર્ગદર્શન અને મદદ કરતા. ભૂગર્ભ ચળવળનું કેન્દ્ર સેન્ટ્રલ ડિરેક્ટોરેટ મુંબઈમાં હતું. સરકારી બંધન હોવા છતાં ‘ક્વીટ ઇન્ડિયા’, ‘વંદે માતરમ્‌’, ‘રિવોલ્ટ’, ‘નાઈન્થ ઓગસ્ટ’ અને કાઁગ્રેસ પત્રિકાઓ છપાતી રહેતી. અમદાવાદમાં વિદ્યાર્થી સંગ્રામ સમિતિએ લડતના સમાચાર લોકોને પહોંચાડવા તથા કાર્યક્રમોની જાહેરાત કરવા વિદ્યાર્થી પત્રિકા ગુપ્ત રીતે પ્રગટ કરેલી. દરરોજની પાંચ હજાર જેટલી પત્રિકાઓ છાપીને વહેંચવામાં આવતી.

‘ભારત છોડો’ આંદોલન બ્રિટિશ સરકાર માટે પ્રચંડ આહ્વાન બનેલું વાઈસરોય લોર્ડ લીનલીથગોએ ઈગ્લંડના વડા પ્રધાન ચર્ચિલને ૩૧ ઓગસ્ટના લખ્યું કે “૧૮૫૭ના બળવા પછીના સૌથી ગંભીર વિદ્રોહનો હું સામનો કરી રહ્યો છું. અત્યાર સુધી મિલીટરી સલામતીને કારણે આપણે આ વાતના ગાંભીર્ય અને વ્યાપને દુનિયાથી છુપાવ્યા છે.”

આંદોલનકારીઓ જુદી-જુદી વિચારસરણીઓ ધરાવતા હતા. પણ ગાંધીજીનું નેતૃત્વ સર્વ સ્વીકૃત હતું. ફ્રાંસીસ જી. હચીન્સ નામના લેખકના મત મુજબ ગાંધીજી વિના દરેક જણે પોતાના સત્તાધીકાર મુજબ કામ કર્યું અને ગાંધીજીનું પોતાની ઈચ્છા અને દૃષ્ટિથી અર્થઘટન કર્યું. અનિશ્ચિત પત્રિકાઓમાં ગાંધીજીનું નામ મુક્તપણે લેવાતું હતું અને તેમની અસ્પષ્ટ સામાન્ય સૂચનાઓ ભાંગફોડની વિગતવાર યોજનાઓમાં મોખરે મુકાતી હતી. દેશના ભૂમિગત નેતાઓ અને કાર્યકર્તાઓ ગાંધીજીથી ફક્ત પ્રભાવિત જ નહોતા, તેઓ ગાંધીજી સાથે સ્નેહ અને આદરના ગાઢ બંધનમાં જોડાયેલા હતા.

૧૯૪૨ના આંદોલનના સહભાગીઓ સાથેની મુલાકાતો અને વાતચીતો દર્શાવે છે કે ૧૯૪૨ના સંઘર્ષે પ્રજાક્રાંતિનું સ્વરૂપ લીધેલું. આંદોલનમાં જોડાવા માટેના કારણ પૂછતાં ઉષાબહેન મહેતા જેવાં સ્વાતંત્ર્ય સેનાનીઓ ઘણી વાર તેમના જવાબમાં ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ કહેતાં –

“નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે. ખબર છે આટલી કે માતની હાકલ પડી છે”. અને જ્યારે માતની હાકલ સાંભળીને દેશપ્રેમીઓ સ્વાતંત્ર્ય યજ્ઞમાં પોતાની આહૂતિ આપે, ત્યારે લોક પ્રકોપના જ્વાળામુખીનો વિસ્ફોટ જ થાય.”

e.mail : ushathakkar@yahoo.com

Loading

...102030...1,0101,0111,0121,013...1,0201,0301,040...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved