જુલાઈથી સક્રિય થઈ રહેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દસ લાખ ઝાડ વાવવાની આવકારદાયક ઝુંબેશ માત્ર જુમલો ન બની જાય તે માટે લાંબા ગાળાનો જનજાગૃતિ કાર્યક્રમ જરૂરી છે
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની દસ લાખ વૃક્ષો વાવવાની ઝુંબેશ વરસાદને પગલે જુલાઈ મહિનાથી વધુ સકિય બનશે, એ મતલબના સમાચાર બે-એક મહિનાથી મળતા રહ્યા છે. દર વર્ષે કૉર્પોરેશન ઝાડ વાવવાના ઉપક્રમ કરતી જ હોય છે. આવી આવકારદાયક યોજનાઓ પહેલાં અને તેમની સમાંતરે કોર્પોરેશને અનેક બાબતો હાથ ધરવા જેવી છે.
તેમાં પહેલી બાબત છે તે લોકોમાં છોડ ઊગાડવાં અને ઉછેરવાં માટેની મનોવૃત્તિ કેળવવાની છે, જે આપણી શહેર સુધરાઈ દ્વારા ભાગ્યે જ થતું જોવા મળે છે. અમદાવાદના લોકોનો એક મોટો હિસ્સો વૃક્ષો વાવવા જોઈએ નહીં એમ માને છે. આવી ગેરમાન્યતા પાછળનાં અનેક કારણોમાંનું પહેલું કારણ અજ્ઞાન છે. જાણીને આઘાત લાગે કે ભણેલા અને અભણ બંને પ્રકારના કેટલાક લોકોને ઝાડની જરૂરિયાત અંગેની પાયાની માહિતી હોતી નથી.
ઝાડ માણસ માટે હાનિકારક અંગરવાયુ હવામાંથી લઈને માણસ માટે જરૂરી પ્રાણવાયુ આપે, છાંયડો આપે, ગરમી ઘટાડે, માટીનું ધોવાણ અટકાવે, વરસાદ લાવે, જીવસૃષ્ટિને આશરો આપે – જેવી હકીકતો આ લોકો ભાગ્યે જ જાણતા હોય છે. જો કે આવું પાયાનું અજ્ઞાન આપણા સમાજમાં પાણી, આરોગ્ય, પોષણ, સલામતી, હકો, ફરજો, કરવેરા જેવી બાબતોમાં પણ જોવા મળે છે, અને ઝાડ તેમાં અપવાદ નથી. બીજું કારણ એ કે સંખ્યાબંધ શહેરીજનો માને છે કે વૃક્ષોનાં પાંદડાંથી કચરો થાય છે. વૃક્ષોને કારણે જીવજંતુ અને રોગચાળો ફેલાય છે એવો અજ્ઞાનમૂલક ભય પણ પ્રવર્તતો હોય છે. એક વ્યાપક માન્યતા એવી ય છે કે વૃક્ષોનાં મૂળ મકાનને નુકસાન કરે છે. જે લોકો ઝાડ હોવા જોઈએ એમ માને છે તેમાંથી કેટલાકને ઝાડ, ઉદ્યાન અને હરિયાળી વચ્ચેનો તફાવત સમજાતો નથી હોતો. તેઓ માત્ર સરસ રીતે ઉગાડેલ ઘાસ(લૉન્સ), ફૂલઝાડ, શોભા માટેની વનસ્પતિ અને ‘પામ’ (તાડવૃક્ષ) કુળનાં ઝાડને જ વૃક્ષારોપણ તેમ જ પર્યાવરણ માને છે.
આવાં કેટલાંક તદ્દન ગેરવાજબી કારણોસર લોકો છોડ ઊગાડતા નથી, કૉર્પોરેશને ઉગાડેલાં છોડને સાચવતા નથી. પરિણામે મ્યુનિસિપાલિટીનાં બગીચા ખાતાના જેન્યુઇન ઉદ્દેશો તેમ જ તેની નિસબત ઉપરાંત વિનામૂલ્યે છોડ-વિતરણ, મસમોટાં પાટિયાં, માધ્યમોમાં પ્રચાર, ઘણાં ખર્ચ છતાં પણ શહેરમાં ઝાડની સંખ્યામાં જૂજ વધારો થાય છે. સામે દર ચોમાસે મોટી સંખ્યામાં ઝાડ પડી જાય છે. ખરેખર તો કૉર્પોરેશને ચોમાસાના ચારેક મહિના પહેલાં લોકોમાં જાગૃતિ કાર્યક્રમ ચલાવવો જોઈએ. આવાં કાર્યક્રમો મતદાન, રસીકરણ, સાક્ષરતા, કરવેરા ઇત્યાદિ માટે ઠીક ગંભીરતા અને સૂઝથી ચાલતા હોય છે. વૃક્ષારોપણ માટે પણ આ ખૂબ જરૂરી છે. તેમાં શિક્ષણ સંસ્થાઓ અને એન.જી.ઓ.ને જોડીને અનેક બાબતો થઈ શકે.
પહેલાં તો કૉર્પોરેશને ઝાડ અંગે લોકોનું માનસ જાણવા માટે સર્વેક્ષણ કરવું જોઈએ. ત્યારબાદ લોકોને ઝાડની ઉપયોગિતા અંગે પાયાની હકીકતો પોસ્ટર્સ, વર્તમાનપત્રોમાંજાહેર ખબરો, વૉટ્સ ઍપ પર શૉર્ટ વિડિયો જેવાં માધ્યમો થકી સરળ અને અસરકારક સતત સમજાવવી જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું સ્થાન મોટું છે. પુરાણો, વેદો, ઉપનિષદો અને ભગવદ ગીતામાંથી વૃક્ષમહિમાને લગતાં સંખ્યાબંધ સૂક્તિઓ અને શ્લોકો લોકોમાં વહેતા કરવા જોઈએ. ઝાડ તરફની સંવેદનશીલતા ઢંઢોળવાનું (સેન્સિટાઇજેશનનું) આ અત્યંત જરૂરી કામ ઝાડપાન માટે કામ કરતાં સમર્પિત કર્મશીલોના જૂથોને અને કામ નિવડેલી કમ્યુનિકેશન સંસ્થાઓને સોંપવું જોઈએ. વળી નિષ્ણાતો થકી વૃક્ષો અંગે ગેરસમજો દૂર કરનારી અલગ કન્ટેન્ટનો પણ ફેલાવો કરવો જોઈએ. જેમ કે, વૃક્ષોનાં પાંદડા પ્લાસ્ટિક કે ઇ-વેસ્ટ જેવો કચરો નથી, પણ જમીન અને કુદરતનાં ચક્ર માટે જરૂરી ઘટક છે તે સમજાવી શકાય. બાંધકામ ઇજનેરો ઝાડનાં મૂળનાં ફેલાવા અંગેનો ડર વૈજ્ઞાનિક સમજ આપીને દૂર કરી શકે, અથવા ઝાડ કાપ્યા વિના મકાનને કથિત નુકસાનથી બચાવવાના રસ્તા સૂચવી શકે. વળી મુંબઈ સહિતનાં શહેરોમાં અનેક જૂની બહુમાળી રહેણાંક ઇમારતોને તેમની અડોઅડ પ્રચંડ વૃક્ષો હોવા છતાં કોઈ નુકસાન પહોંચ્યું નથી, તે પણ બતાવી શકાય. આપણાં જ શહેરના જે વિસ્તારોમાં વધુ ઝાડ હોવાને કારણે હવામાં પ્રાણવાયુ વધુ અને તાપમાન તેમ જ પ્રદૂષણ ઓછું રહે છે તે વિસ્તારોના તેમ જ વૃક્ષોનાં નામ વૃક્ષસંખ્યા સાથે લોકોની સામે મૂકવા જોઈએ. વૃક્ષો માટે કાર્યરત સ્ત્રી-પુરુષો અને સંગઠનોની પ્રેરક કથાઓ લોકો સુધી પહોંચાડવી જોઈએ. એ પણ હાકલ કરવી જોઈએ કે નાગરિકો તેમનાં ઘર અને ધંધાવ્યવસાયની આસપાસ સુધરાઈએ ઉગાડેલા છોડને તે એકાંતરે દિવસે પ્લાસ્ટિકની એકેએક શીશી પાણી પિવડાવતાં રહેશે તો બે-એક વર્ષમાં તેનાં રૂડાં ફળ મળશે !
લોકભાગીદારીથી છોડ ઉગાડાશે અને ઝાડ થશે, કાયદો બતાવવાથી ઝાડ કપાતાં અટકશે. વૃક્ષછેદન સામે કડક કાયદા છે. તે માત્ર જાહેર જ નહીં, પણ ખાનગી મિલકતનાં વૃક્ષોને પણ લાગુ પડે છે. આ કાયદાનો લોકોમાં ભરપૂર ફેલાવો કરવો જોઈએ.એટલું જ નહીં પણ ઝાડ પૂરેપૂરાં કાપવા કે તેની ડાળીઓની મોટા પાયે છટણી સામે ફરિયાદ કરવા માટે લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. ઝાડ કાપવા બાબતે સરકાર અને કૉર્પોરેશને કસૂરવારો સામે લીધેલા પગલાંની વાત લોકો પર ઠસાવવી જોઈએ. ઝાડ કપાઈ રહ્યું છે એવી ફરિયાદ મળે કે તરત જ પોલીસના સહકારથી તે અટકાવવું જોઈએ. કાળજા વિનાના કેટલાંક શૉપિન્ગ કૉમ્પ્લેક્સવાળા અને રસ્તા પરની જાહેરખબરવાળા તેમનાં પાટિયાંની ઝાકઝમાળ દેખાય તે માટે ઝાડને ખરાબ રીતે કાપે છે કે તેમનું માત્ર બિચારું થડ જ રહી જાય છે. કૉર્પોરેશન ધારે તો તેમને સહજ રીતે નશ્યત કરી શકે છે. તે જ પ્રમાણે કાયદા મુજબ બાંધકામનાં પ્રમાણમાં ઘટાદાર ઝાડ માટેનાં છોડ વાવવાં માટે પહેલાં બિલ્ડરને અને પછી તે ઉછેરવા માટે માલિકો/રહીશોને સુધરાઈ તાકીદ કરી શકે છે. દબાણ હઠાઓ ઝુંબેશમાં બિલ્ડરોને ખાસ કશું નહીં કરી શકનારી કૉર્પોરેશન વૃક્ષારોપણની બાબતમાં કદાચ સફળ રહે, કારણે કે ઝાડ વાવવામાં બિલ્ડરે ભોંયરાની જમીન દબાવવાની નથી, માત્ર એક કલ્યાણકારી કાયદો જ પાળવાનો છે. વળી, ઝાડ માટેની થોડાંક ચોરસ ફૂટ જમીન તો તેની જ રહેવાની છે.
રવિવારના વરસાદમાં અમદાવાદમાં બસો વૃક્ષો પડ્યાં. દર વર્ષે ઘણાં શહેરોમાં આ બને છે. તેમાં પવન કે વરસાદ નહીં પણ માણસ જવાબદાર છે. પવનમાં રસ્તા પરનાં વૃક્ષો પડી જાય તેનું એક સીધું કારણ એ છે કે છેક તેમનાં થડ સુધી ડામર અને સિમેન્ટ જેવો બાંધકામ માલ ઠાંસવામાં આવેલો હોય છે. આને ‘કૉન્ક્રિટાઇઝેશન ઑફ ટ્રીઝ’ કહે છે. વૃક્ષો ઊગ્યાં પછીનાં વર્ષોમાં માલનાં થર જામતા રહે છે. મૂળિયાં પકડી શકે એટલી માટી રહેતી નથી. વળી માટી ન હોવાને કારણે ઝાડને મૂળિયાં થકી મળતાં હવા, પાણી અને પોષણ અટકી જાય છે. મૂળિયાં પકડ ગુમાવે છે, ઝાડ તાકાત ગુમાવે છે. અક્કલ વિનાના માણસ સામે ઉદાર કુદરત હાથ હેઠાં મૂકી દે છે. ઝાડ પડી જાય છે. ઝાડનાં કૉન્ક્રિટાઇઝેશનને દિલ્હીની સરકારે દિલ્હી પ્રિઝર્વેશન ઑફ ટ્રીઝ ઍક્ટ, ૧૯૯૪ની કલમ આઠ મુજબ અપરાધ ગણ્યો છે. હમણાં બે દિવસ પહેલાં જ પાટનગરનાં બિકાનેર હાઉસ સંકુલમાં આ અપરાધ માટે દિલ્હીની સરકારે રાજસ્થાન સરકારને અઢાર લાખ રૂપિયાનો દંડ કર્યો છે. અલબત્ત, દુનિયાભરમાં ઝાડ સૌથી વધારે કાપનાર તો સરકારો જ હોય છે. તે વિકલ્પો અપનાવતી નથી, કુહાડીઓ જ ચલાવે છે. તેમને કોણ અટકાવે – લોકો જ વળી !
********
26 જૂન 2019
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામે લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 28 જૂન 2019