કોરોના વાઇરસનો ચેપ રોકવા માટે વિશ્વમાં અત્યારે નવ અલગ-અલગ પ્રકારની રસી વિવિધ દેશોમાં આપવામાં આવી રહી છે. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના અહેવાલ પ્રમાણે આમાં ફાઈઝર-બાયોન્ટેકની કોમિરન્ટી રસી ૬૧ દેશોમાં ૧૬ વર્ષથી ઉપરના વયસ્કોને આપવામાં આવી રહી છે. વિશ્વની આ પ્રથમ રસી હતી, જેને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની એસ્ટ્રાઝેનેકા ભારત સહિત ૪૧ દેશોમાં આપવામાં આવી રહી છે. ભારતમાં તે કોવીશિલ્ડ તરીકે ઓળખાય છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકસિયસ ડિસીઝ અને મોડેર્નાના સહકારથી બનેલી મોડેર્ના રસી ૨૭ દેશોમાં આપવામાં આવી રહી છે. અમેરિકાની જ જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનની સિંગલ ડોઝ રસી આફ્રિકન અને યુરોપિયન દેશોમાં આપવામાં આવી રહી છે.
બેજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટ્સની બી.બી.આઈ.બી.પી.-કોર્વી રસીને ૧૦ દેશોને પૂરી પાડવામાં આવી રહી છે. રશિયાની ગમાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમીઓલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ વિકસાવેલી સ્પુટનિક-વી રસી નવ દેશોમાં વાપરાઈ રહી છે. ચાઇનીઝ બાયોફાર્માસ્યુટિકલ કંપની સિનોવાકની કોરોનાવાક રસી છ દેશોમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ચીનની જ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટ્સની રસી સિનોફાર્મા ગણ્યાગાંઠ્યા દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. આઠમી રસી ભારતમાં ભારત બાયોટેકે વિકસાવેલી કોવેક્સિન છે અને તેને પાડોશી સાત દેશોમાં દાનમાં આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત, ૨૦૦ જેટલી રસીઓ હજુ વિકસાવવામાં આવી રહી છે, જેમાંથી ૬૦ રસીઓ ક્લિનિકલ ટ્રાયલમાં છે. અમેરિકાની બ્લૂમબર્ગ નામની સોફ્ટવેર અને મીડિયા કંપનીએ આખી દુનિયામાં કોરોનાની મહામારી પર નજર રાખવા માટે સૌથી મોટું વેક્સિન ટ્રેકર પ્લેટફોર્મ બનાવ્યું છે, જે ૨૪ કલાક અપડેટ થતું રહે છે. તેના આંકડા અનુસાર, ૧૫ એપ્રિલ ૨૦૨૧ સુધીમાં પૂરી દુનિયામાં ૧૫૪ દેશોમાં ૮૩ કરોડ લોકોને રસી આપવામાં આવી છે, પરંતુ દુનિયાને કરોડોમાં નહીં, અબજોની સંખ્યામાં રસીના ટીકાની જરૂર છે – અને બહુ જલદીથી.
માનવજાતના પૂરા ઇતિહાસમાં ક્યારે ય પણ એવો સમય નથી આવ્યો, જ્યારે બધા જ લોકો એક જ સમસ્યા સામે એક સાથે એક સમયે જ ઝઝૂમી રહ્યા હોય. કોરોના વાઇરસની મહામારીનો અંત ક્યારે આવશે? આ એક પ્રશ્ન આજે દુનિયાની પ્રત્યેક વ્યક્તિની જબાન પર છે. તેનો જવાબ રસીકરણમાં અને રાજકારણમાં છે. અમેરિકા સરકારના ટોચના સ્વાસ્થ્ય નિષ્ણાત એન્થની ફૌસીના અનુમાન પ્રમાણે દુનિયાની ૭૦થી ૮૫ ટકા વસ્તીને રસીકરણમાં આવરી લેવાશે, તે પછી સ્થિતિ સામાન્ય થશે. બ્લૂમબર્ગનું ટ્રેકર કહે છે કે અમુક દેશો રસીકરણમાં બહુ તેજ ગતિએ આગળ વધી રહ્યા છે, જ્યારે અમુક દેશો બહુ ધીમા છે.
દાખલા તરીકે, ઇઝરાયેલ માત્ર બે મહિનામાં જ ૭૫ ટકા વસ્તીને આવરી શક્યું છે, જ્યારે અમેરિકા ૨૦૨૨ના ન્યુઈયર સુધીમાં તે લક્ષ્ય પર પહોંચશે. ભારતમાં અત્યારે જે ગતિએ બે રસી અપાઈ રહી છે, અને બીજી વિદેશી રસીઓઓને મંજૂરી આપવામાં આવી છે, તે જોતાં ડિસેમ્બર ૨૧ સુધીમાં ૪૦ ટકા અને મે ૨૦૨૨ સુધીમાં ૬૦ ટકા વસ્તીનું ટીકાકરણ થશે.
આ આંકડાઓ અને સમય મર્યાદા અનુમાન છે. દેશોના આયાત-નિકાસના રાજકીય અંકુશોના કારણે રસીના વિતરણમાં વિલંબ થાય અથવા તેનું અસામાન વિતરણ (ધનવાન દેશોને જલદી મળે, ગરીબ દેશોને મોડેથી મળે) થાય, તો હર્ડ ઇમ્યુનિટી પાછી ઠેલાઈ જઈ શકે. આવી સંભાવનાને લઈને જ બુધવારે દુનિયાના ૧૭૦ નેતાઓ અને નોબેલ પારિતોષિક વિજેતાઓએ કોરોનાની રસીના બેરોકટોક ઉત્પાદન માટે ઇન્ટલેક્ચૂઅલ-પ્રોપર્ટી રાઈટ્સને જતા કરવાની ભલામણ કરી છે, જેથી ગરીબ દેશો પણ જાતે જ રસી બનાવી શકે.
આ નાની પણ જરૂરી પહેલ છે. ઇન ફેક્ટ, આ મહામારીને પહોંચી વળવામાં જો કોઈ ચીજની સૌથી મોટી ગેરહાજરી રહી હોય, તો તે છે વૈશ્વિક નેતાગીરી અને સહકારની. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો તે આ વૈશ્વિક કટોકટીમાં બહુ સુંદર સમાચાર છે. ટ્રમ્પના કારભાર હેઠળના અમેરિકાએ આ કારમી મહામારીમાં તેની પરંપરાગત જગત જમાદારની ભૂમિકા છોડી દીધી હતી. ‘અમેરિકા ફર્સ્ટ’નું સૂત્ર આપનાર ટ્રમ્પ એવું કહીને જગતને નધણિયાતું છોડીને જતા રહ્યા હતા કે, “જેને જે કરવું હોય તે કરે, હું તો મારું ઘર સંભાળીને બેસી રહીશ.”
ગયા અઠવાડિયે વિશ્વ બેંક સમૂહ અને આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડની જી-૨૦ના નાણા મંત્રીઓ તેમ જ દરેક દેશના કેન્દ્રિય બેંકોના ગવર્નરો સાથેની બેઠક વૈશ્વિક સહકાર સાધવાની દિશામાં પહેલો પ્રયાસ હતો. ૧૯૪૪થી અમેરિકા આ સંસ્થાઓ પાછળનું ચાલક બળ રહ્યું છે. ગયા અઠવાડિયે મળેલી બેઠક પૂર્વે જો બાઈડન વહીવટીતંત્રના નવા નાણા મંત્રી જનેટ યેલેને ટ્રમ્પને લબડધક્કે લેતાં કહ્યું હતું, “અમેરિકા વૈશ્વિક મંચ પરથી ખસી જાય, તો શું થાય તે આપણે છેલ્લા ચાર વર્ષમાં જાતે અનુભવ્યું છે. અમેરિકા ફર્સ્ટનો અર્થ એવો નથી કે અમેરિકા એકલું જ. આજના સમયમાં કોઈ એક દેશ એકલા હાથે તેના લોકોને સ્થિર અર્થવ્યવસ્થા પૂરી ન પાડી શકે.”
એ બેઠકમાં અનેક નેતાઓએ એ વાત પર ભાર આપ્યો હતો કે કોરોનાની મહામારી પર દરેક જગ્યાએથી અંકુશ નહીં મુકાય, ત્યાં સુધી તે કાબૂમાં નથી આવવાની. મૂળ મુદ્દો આ છે. જ્યાં સુધી દેશના છેલ્લામાં છેલ્લા નાગરિકને કોરોનાના ચેપથી સુરક્ષિત નથી કરાતો, ત્યાં સુધી બીજા માણસ માટે જોખમ યથાવત છે. જ્યાં સુધી દુનિયાનો ગરીબમાં ગરીબ દેશ સંપૂર્ણ રસીકરણનો લાભાર્થી નથી બનતો, ત્યાં સુધી બીજા દેશો પર કોરોના વાઈરસનું ભૂત ધૂણતું રહેવાનું છે.
કોરોનાની મહામારી માનવજાત સામેના ૨૧મી સદીના ત્રણ સૌથી મોટા જોખમો પૈકીનું એક જોખમ છે, જેમાં રાષ્ટ્રવાદ દેશવિરોધી સાબિત થાય તેમ છે. બીજા બે છે, ગ્લોબલ વોર્મિંગ અને આર્ટીફીશ્યલ ઈન્ટેલિજન્સની ટેકનોલોજી. આમાં બીજા દેશો જો રચનાત્મક સહકાર ન આપે, તો તમે પોતાના હિતમાં ગમે તેટલાં પગલાં ભરો, સરવાળે તેનો કોઈ અર્થ સરતો નથી.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 25 ઍપ્રિલ 2021