વૈશ્વિક કોરોના વાઇરસ મહામારીએ નફરત અને વિદેશીઓ વિરુદ્ધ દ્વેષની ભાવના, બીજાને બલિના બકરા બનાવવાની વૃત્તિ તથા ડરના ત્સુનામીને જન્મ આપ્યો છે. ઇન્ટરનેટથી લઈને સડકો સુધી બધી જ જગ્યાએ વિદેશીઓ સામે નફરત વધી છે. યહૂદીવિરોધી ષડયંત્ર ફેલાયું છે અને મુસલમાનો પર હુમલા વધ્યા છે. પ્રવાસીઓ અને શરણાર્થીઓને વાઇરસના સ્રોતના રૂપમાં બદનામ કરાય છે અને તેમની સારવારનો ઈન્કાર કરાય છે. પત્રકારો, ગોટાળા અને જુલમોનો પર્દાફાશ કરનારા વ્હીસલ બ્લોઅર, આરોગ્યકર્મીઓ અને રાહતકર્મીઓ તથા માનવ અધિકાર કાર્યકરોને માત્ર તેમના કામને કારણે નિશાન બનાવાય છે.
મીડિયા અને સોશ્યલ મીડિયાને અનુરોધ છે કે તે કમજોર વર્ગો સુધી તેમની પહોંચ મજબૂત કરવા માટે રંગભેદી, સ્ત્રીઓ માટે નફરત ફેલાવતી અને અન્ય હાનિકારક સામગ્રીથી દૂર રહે. વર્તમાન મહામારી બહુ ઝડપથી માનવ અધિકારો પરનું સંકટ બની ગઈ છે. બધા જ લોકો સુધી કોવિડ-૧૯ની સારવાર પહોંચાડવામાં ભેદભાવ થઈ રહ્યો છે. કેટલીક માળખાગત અસમાનતાઓ તમામ લોકો સુધી આ મહામારીની સારવાર પહોંચવા દેતી નથી.
નફરત ફેલાવતાં વક્તવ્યો વધી રહ્યાં છે. કેટલાક દેશોમાં વંશીય રાષ્ટ્રવાદ, લોકરંજકતા, નિરંકુશતા અને માનવ અધિકારોમાં પીછેહઠના બનાવો વધ્યા છે. તેનાથી આ સંકટ દમનકારી ઉપાયો અજમાવવાનું બહાનું ઊભું કરે છે. સરકારો મહામારી સામે લડવાની આડમાં લોકોના મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. તે ચિંતાજનક છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 14 મે 2020