કોરોના વાઈરસ માત્ર સ્વાસ્થ્યને લગતી જ બીમારી નથી, પરંતુ આપણે ભવિષ્યમાં કેવી રીતે જીવીશું અને આપણી સામાજિક અને રાજકીય વ્યવસ્થાઓ કેવી રીતે કામ કરશે, તે પણ આ મહામારી નક્કી કરશે. આપણે આ મહામારીનો સામનો કરી લઈશું, આપણે તેની સારવારને પણ શોધી લઈશું, પરંતુ આજથી એક દાયકા પછી, આપણી દુનિયા એ નહીં હોય, જે આજે છે. કોરોના વાઇરસે દુનિયાના મૂળભૂત માળખામાં બુનિયાદી પરિવર્તનો લાવી દીધાં હશે. વ્યક્તિગત સ્તરે આજે આપણી પ્રાથમિકતા આપણાં સ્વાસ્થ્ય માટેની છે, તે સમજી શકાય તેમ છે, પરંતુ સામૂહિક કે વૈશ્વિક સ્તરે તેની શું અસર પડશે, તે જાણવું પણ એટલું જ અગત્યનું છે.
બેસ્ટ સેલર પુસ્તક 'હોમો સેપિયન્સ: માનવજાતિનો સંક્ષિપ્ત ઈતિહાસ'ના લેખક અને ઇઝરાયેલી ઈતિહાસકાર યુવલ નોઆ હરારીએ, લંડનના ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ સમાચારપત્રમાં, કોરોના વાઈરસ પછીના ભવિષ્યની કલ્પના કરી છે. અહીં તેમના થોડા વિચારો રજૂ કર્યા છે, જે તમને કોરોના વાઈરસની બીમારીને વ્યાપક દ્રષ્ટિકોણ જોવામાં મદદ કરશે.
તેઓ કહે છે કે આ વૈશ્વિક કટોકટીમાં લોકો અને સરકારો નજીકના ભવિષ્યમાં કેવાં પગલાં ભરે છે, તેના પર આવતીકાલની અર્થવ્યવસ્થા, રાજકીય અને સામાજિક સ્થિતિ આધાર રાખે છે. આપણે ઝડપથી પગલાં ભરવાં પડશે, પરંતુ તેના લાંબાગાળાનાં પરિણામોની પણ ચિંતા કરવી પડશે. આપણે જે પગલાં ભરીશું, તેનાથી મહામારીમાંથી ઉભરવામાં મદદ મળશે, પરંતુ એમાં જમ ઘર ભાળી જાય, તેવી શકયતા પણ છે.
હરારી કહે છે કે કટોકટીમાં લેવામાં આવેલાં ટૂંકા ગાળાનાં પગલાં કાયમ માટે રહી જાય, તેનો એક ઇતિહાસ છે. કટોકટીની પરિસ્થિતિઓની લાક્ષણિકતા છે કે સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાગુ કરતાં વર્ષો લાગે, તે કટોકટીનાં નામે કલાકોમાં અમલી બની શકે છે. સામાન્ય સંજોગોમાં આઘી રાખવામાં આવેલી ખતરનાક ટેકનોલોજીઓ કટોકટીના સમયમાં બહુ સરળતાથી સક્રિય કરી શકાય છે, કારણ કે તેની સામે કોઈ વિરોધ થતો નથી અને લોકો પણ સહજ રીતે તેનું સમર્થન કરે છે. આખાને આખા દેશો મોટા પાયે સામાજિક-પ્રયોગો માટે બલીના બકરા બની જાય છે. લોકો ઘરેથી કામ કરતા થાય અને દૂરથી જ વાત કરતા થાય, તો શું થાય? તમામ સ્કૂલો અને યુનિવર્સિટીઓ ઓન-લાઈન કામ કરતી થાય, તો શું થાય? સામાન્ય સંજોગોમાં, સરકારો, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ આવો પ્રયોગ ના કરવા દે, પણ સંજોગો સામાન્ય નથી.
હરારી કહે છે કે વિશ્વ સામે બે નોંધપાત્ર વિકલ્પો મ્હોં ફાડીને ઊભા છે; એક વિકલ્પ એકહથ્થુ જાપ્તો (ટોટેલિટેરીઅન સર્વેલન્સ) અને નાગરિક સશક્તિકરણ (સિટિઝન એમ્પાવરમેન્ટ) વચ્ચે છે, અને બીજો વિકલ્પ રાષ્ટ્રવાદી અળગાપણું (નેશનાલિસ્ટિક આઈસોલેશન) અને વૈશ્વિક એકતા વચ્ચે છે. આપણે આમાંથી શું પસંદ કરીએ છીએ, તેના પર આપણા ભાવિનો આધાર છે.
કઠોર જાપ્તાવાળી વ્યવસ્થા :
મહામારીને રોકવા માટે થઈને, આખી વસ્તીએ અમુક પ્રકારના નિયમો પાળવા જરૂરી બની જાય છે. એ માટેના બે રસ્તા છે; એક રસ્તો એ છે કે સરકાર લોકો પર જાપ્તો રાખે અને જે લોકો નિયમ તોડે, તેને સજા કરે. આજે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે સરકારો દરેક લોક પર હર સમય નિગરાની રાખી શકે. હરારી સોવિયત સંઘનું ઉદાહરણ આપીને કહે છે કે પચાસ વર્ષ પહેલાં, (સોવિયત ગુપ્તચર સંસ્થા) કે.જી.બી. પાસે ના તો એવી તાકાત હતી કે ૨૪ કરોડ લોકોની પાછળ-પાછળ ફરી શકે કે ના તો એટલા બધા લોકોની માહિતીઓનું વિશ્લેષણ કરી શકે. ત્યારે કે.જી.બી. એજન્ટો અને વિશ્લેષકો પર આધાર રાખતું હતું. આજે સરકારો કોટ-પેન્ટ અને ચશ્માં પહેરેલા એજન્ટોને બદલે સાધારણ લાગતાં સેન્સર્સ અને શક્તિશાળી અલગોરિધમની મદદથી આ કામ કરી શકે છે.
હરારી લખે છે કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં ઘણી સરકારોએ નવા પ્રકારનાં જાસૂસી યંત્રો ગોઠવ્યાં છે. એમાં નોંધપાત્ર ચીન છે. લોકોના સ્માર્ટફોન પર નિગરાની રાખીને, ચહેરાઓ પહેચાનતા લાખો કેમેરાઓ ગોઠવીને તથા લોકોને તેમના બોડી ટેમ્પરેચર અને મેડિકલ પરિસ્થિતિની જાંચ કરાવવાની ફરજ પાડીને ચાઇનીઝ સત્તાવાળાઓ બહુ ઝડપથી કોરોના વાઇરસ ધરાવતા શંકાસ્પદ લોકોને ઓળખી કાઢે છે એટલું જ નહીં, તે લોકોની તમામ ગતિવિધિ પર નજર રાખીને તે કોના સંપર્કમાં આવ્યા હતા, તેની માહિતી પણ એકઠી કરે છે. ચીનમાં એવી અનેક મોબાઇલ એપ્લીકેશન્સ છે, જે નાગરિકોને શંકાસ્પદ રોગીઓથી દૂર રહેવાની ખબર આપે છે.
આ પ્રકારની ટેકનોલોજી ઇઝરાયેલમાં આતંકવાદી સામે લડવા માટે પણ છે, પરંતુ પ્રધાનમંત્રી નેતન્યાહુએ કોરોનાના દર્દીઓઓ પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. કોઈ તેવી દલીલ કરી શકે કે આવી મહામારીથી બચવા માટે આકરાં પગલાં જરૂરી હોય છે, પરંતુ આ પ્રકારની નિગરાનીમાં એક મહત્ત્વનો ફર્ક એ આવ્યો છે કે અગાઉ તમે તમારા મોબાઇલના સ્ક્રીન પર કોઈ લીંક પર ક્લિક કરો, તો સરકારને એ જાણવામાં રસ હતો કે તમે શું ખોલીને વાંચ્યું છે. કોરોના વાઈરસમાં સરકારને જે તમારી આંગળીમાં કેટલું ટેમ્પરેચર અને કેટલું બ્લડ-પ્રેસર છે, તે જાણવામાં રસ છે. મતલબ કે અગાઉ શરીરની બહાર જાપ્તો રાખવામાં આવતો હતો, હવે શરીરની અંદર રાખવામાં આવે છે.
ટેકનોલોજીઓ અત્યંત તેજ ગતિએ વિકસી રહી છે. હું ક્યા સમાચાર વાંચું છું અને મારા રાજકીય વિચારો કેવા છે, હું કોઈ વીડિઓ જોઉં તો મારા બોડી ટેમ્પરેચરમાં, બ્લડ પ્રેસરમાં અને હૃદયના ધબકારામાં શું ફેરફાર થાય છે, હું ક્યારે હસું છું, ક્યારે ગુસ્સો કરું છું અને ક્યારે દુઃખી થાઉં છું, તે જાણવામાં સરકારોને રસ છે. મને તાવ આવે કે ખાંસી આવે, તેવી જ રીતે મને સુખમાં હસવાનું અને દુઃખમાં રડવાનું પણ આવે. સરકારને માત્ર મારી ખાંસીમાં જ રસ હશે, એવું માનવું ભૂલ ભરેલું છે. મારા વ્યક્તિત્વને જાણવામાં સરકારો અને કોર્પોરેશનોને રસ પડે છે. આખા દેશની પ્રજાનો આવો ડેટા સરકારો માટે બહુ કામનો છે. તે વિરોધીઓને ઓળખી શકે અને તેમને ‘સીધા’ કરવા માટે પગલાં ભરી શકે. બાયોમેટ્રિક પદ્ધતિથી એ પણ જાણી શકાય કે પ્રેસિડેન્ટ-પ્રાઈમ મિનિસ્ટરનું ભાષણ સાંભળીને મને મજા પડી કે આક્રોશ આવ્યો. ગુસ્સો આવ્યો હોય તેવી સરકારને ખબર પડે, તો વાત ગઈ.
કોરોના વાઈરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એકવાર મહામારી દૂર થઇ જાય, પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયેલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધવેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઈવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોના વાઈરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઈવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઈવસી કે સ્વાસ્થ્ય? એવી ચોઈસ આપો, તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઈવસી જતી કરશે.
હરારી કહે છે કે આ ગલત ચોઈસ છે. આપણે પ્રાઈવસી અને સ્વાસ્થ્ય બંનેના આનંદ લઇ શકવા જોઈએ. તેના માટે નાગરિક સશક્તિકરણનો બીજો રસ્તો છે. દક્ષિણ કોરિયા, તાઈવાન અને સિંગાપોર જેવા દેશોએ લોકોની ઓછામાં ઓછી જાસૂસી કરીને અને કોરોના વાઈરસનું વધુને વધુ ટેસ્ટીંગ, રિપોર્ટીંગ અને લોક-જાગૃતિ કરીને મહામારીને કાબૂમાં રાખી છે.
ઉપર બેઠેલી સરકાર બધા લોકો પર જાપ્તો રાખે અને આકરો દંડ કરે, એ એક જ ઉપાય નથી. લોકોને વૈજ્ઞાનિક તથ્યો આપવામાં આવે અને લોકોને વિશ્વાસ હોય કે સત્તાધારીઓ તેમને સત્ય કહી રહ્યા છે, તો લોકો જોર-જબરદસ્તી વગર યોગ્ય રીતે જ વર્તે છે. જાપ્તા હેઠળની અજ્ઞાની પ્રજાની સરખામણીમાં જાતે જ સભાન અને જાણકાર પ્રજા વધુ સશક્ત અને અસરકારક હોય છે.
(પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 05 ઍપ્રિલ 2010)